Sunday, May 3, 2015

ટેક ઓફ : રેંટિયાવાળા: આ હતા અસલી રેન્ચો!

Sandesh - Ardh Saptahik Purti - 29 April 2015
ટેક ઓફ 
આપણે ધીરુભાઈ અંબાણીથી લઈને બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સ જેવા દેશી-વિદેશી ભેજાબાજ ઉદ્યોગ-સાહસિકોની ગાથાઓથી પ્રભાવિત થતા રહીએ છીએ, એ સારું જ છે, પણ અમદાવાદમાં સૌથી પહેલી કાપડમિલ સ્થાપીને ગુજરાતમાં ઔદ્યોગિક યુગના મંડાણ કરાવનાર નાગરપુત્ર રણછોડલાલ છોટાલાલને કેમ ભૂલી ગયા છીએ?

ગભગ પોણા બે સદી પહેલાંની વાત. ઘોઘા બંદરે કસ્ટમ ખાતામાં એક તેજસ્વી અને સુશિક્ષિત યુવાન નોકરી કરે. એ હંમેશાં જુએ કે અંગ્રેજો અહીંથી જહાજોનાં જહાજો રૂ ભરીને ઇંગ્લેન્ડ લઈ જાય છે અને ત્યાંના માન્ચેસ્ટર તેમજ લેન્કેશાયરની મિલોમાં કાપડ તૈયાર કરીને, જહાજોમાં લાદીને પાછા ભારત લાવે છે. મતલબ કે કાચા માલને પાકો બનાવીને આ અંગ્રેજો ભારતમાંથી લખખૂટ પૈસા કમાય છે. જુવાન વિચારે ચડયો. એને થાય કે આ કામ આપણે કેમ ન કરી શકીએ? આપણે ત્યાં કાચો માલ પેદા થાય છે, અહીં કાપડ માલ વેચવા માટે વિશાળ બજાર છે. ઇંગ્લેન્ડની સરખામણીમાં ભારતમાં મજૂરી પણ સાવ સસ્તી છે, તો પછી રૂમાંથી કાપડ બનાવવાનું કામ આપણે જાતે કેમ ન કરી શકીએ? સવાલ ખાલી મશીનરીનો છે. ધારો કે વિદેશથી મશીનો મગાવીએ અને થોડાક અંગ્રેજ ઇજનેરોને નોકરીએ રાખીને આપણે જ મિલ ઊભી કરીએ તો શું આપણે પણ નાણાં ન કમાઈ શકીએ?
કહે છેને કે એક જડબેસલાક આઇડિયા આખી જિંદગી, આખો માહોલ, આખો નકશો બદલી નાખે છે. ઓગણીસમી સદીમાં ઘરઆંગણે રૂમાંથી કાપડ બનાવવાનો વિચાર કરનાર અને તેને અમલમાં મૂકનાર યુવાન હતા, રણછોડલાલ છોટાલાલ. અમદાવાદમાં સૌથી પહેલી કાપડ મિલ એમણે ઊભી કરી. અમદાવાદની ભારતના માન્ચેસ્ટર તરીકેની જે ઓળખ ઊભી થઈ હતી તેનો પહેલો પથ્થર રણછોડલાલે મૂક્યો હતો. આપણે ધીરુભાઈ અંબાણીથી લઈને બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સ જેવા દેશી-વિદેશી ભેજાબાજ આંત્રપ્રિન્યોર્સ યા તો ઉદ્યોગ-સાહસિકોની ગાથાઓથી પ્રભાવિત થતા રહીએ છીએ, એ સારું જ છે, પણ ગુજરાતને મક્કમપણે ઉદ્યોગયુગમાં પ્રવેશ કરાવનાર આ પાયોનિયરને સાવ ભૂલી ગયા છીએ. આજે રણછોડલાલ છોટાલાલની ૧૯૨મી જન્મજયંતી પર એમને યાદ કરીએ.     
૨૯ એપ્રિલ, ૧૮૨૩ના રોજ અમદાવાદના એક સમૃદ્ધ સાઠોદરા નાગર પરિવારમાં એમનો જન્મ. નાગરો એ વખતે સામાન્યપણે રાજકારભારમાં જોડાતા. રણછોડલાલના પિતા પહેલાં પાટણમાં દીવાનપદે હતા, પછી વડોદરા રાજ્યમાં નોકરી કરતા. એમણે શિક્ષકોને ઘરે બોલાવીને રણછોડલાલને સારામાં સારું શિક્ષણ અપાવ્યું. રણછોડલાલ તરુણવયે ફાંકડું અંગ્રેજી બોલતા શીખી ગયા હતા. એ જમાનામાં દેખીતી રીતે જ અંગ્રેજીના જાણકારોને બહુ માનપાન મળતા. રણછોડલાલને સહેલાઈથી કસ્ટમ ખાતામાં સારી નોકરી મળી ગઈ હતી. બઢતી મેળવીને થોડાં જ વર્ષમાં તેઓ પંચમહાલ જિલ્લાના આસિસ્ટન પોલિટિકલ એજન્ટ બની ગયા હતા.
ઘોઘાના બંદરે કાચા માલની નિકાસ અને પાકા માલની આયાત થતી જોઈને રણછોડલાલને જે વિચાર આવેલો તે ગુજરાતના વેપારીઓ અને ઇન્વેસ્ટરો સામે રજૂ કર્યો. ગુજરાતના વેપારીઓ તે વખતે મુખ્યત્વે વ્યાજવટા અને અફીણના ધંધા સાથે સંકળાયેલા હતા. કોઈએ રણછોડલાલની વાતમાં રસ ન લીધો. અજાણ્યા ધંધામાં કૂદીને જોખમ શું કામ લેવાનું? કોઈએ કહ્યું: પહેલાં મુંબઈના વેપારીઓને મિલ નાખવા દો. એ લોકો સફળ થાય તો પછી વિચારીશું. કોઈએ વળી ઊલટી સલાહ આપી કે રણછોડલાલ, તમે રહ્યા નાગર બ્રાહ્મણ. તમે કારભારું કરી જાણો. ધંધામાં તમને શું ગતાગમ પડે?
રણછોડલાલ હિંમત ન હાર્યા. દરમિયાન સુરતમાં એક ઘટનાક્રમ બન્યો. ૧૮૪૭માં કેટલાક વેપારીઓ ભેગા થયા. તેઓ મોડર્ન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોટન ગૂડ્સ બનાવવા માગતા હતા. ગુજરાતમાં રહેતા કેટલાક અંગ્રેજો તેમના ટેક્નિકલ કન્સલ્ટન્ટ્સ તરીકે કામ કરવાના હતા. કમનસીબે પ્રોજેક્ટનો અમલ કરવાનો સમય આવ્યો ત્યારે વેપારીઓ પાણીમાં બેસી ગયા. પ્રોજેક્ટ કેવળ કાગળ પર જ રહ્યો. ઊંચો સરકારી હોદ્દો ધરાવતા રણછોડલાલને કેપ્ટન જ્યોર્જ ફુલજેમ્સ નામના અંગ્રેજ ઓફિસર દ્વારા સુરતના આ પડતા મુકાયેલા પ્રોજેક્ટ વિશે જાણ થઈ. ૧૯૫૦માં એમણે ફુલજેમ્સની મદદથી પ્રોજેક્ટ વિશેની સંપૂર્ણ ટેક્નિકલ વિગતો મેળવી. સુરતીઓએ ભલે પારોઠનાં પગલાં ભર્યાં હતાં, પણ રણછોડલાલને આમાં મિલ ઊભી કરવાનું પોતાનું સપનું સાકાર કરવાની તક દેખાઈ.
તેમણે જેમ્સ લેન્ડન નામના એક બ્રિટિશ કોટન પ્લાન્ટર સાથે હાથ મિલાવ્યા. લેન્ડન ભરૂચમાં કપાસ લોઢવાના સંચા ચલાવતા હતા. લેન્ડને કહ્યું: જો તમે અડધો ખર્ચ ઉપાડી લેવા તૈયાર હો તો બાકીનો અડધો ખર્ચ હું કરીશ. વડોદરાના બે શાહુકારની પેઢીઓ શરૂઆતમાં તો પૈસા રોકવા તૈયાર થઈ, પણ પછી એમણે હાથ ખંખેરી નાખ્યો. એમને લેન્ડન પર વિશ્વાસ નહોતો બેસતોઃ આ ગોરો અમારું નાણું ઉચાપત કરીને ઇંગ્લેન્ડ ભાગી ગયો તો? રણછોડલાલ નિરાશ થયા વગર પોતાની રીતે આગળ વધ્યા. લેન્ડનની સલાહ પ્રમાણે ઇંગ્લેન્ડની બ્રાયન એન્ડ ડંકન કંપનીને પત્ર લખીને યંત્રસામગ્રી મંગાવી. મશીનરી આવતાં જ રણછોડલાલે ભરૂચમાં ચાર લાખના ખર્ચે જિનિંગ મિલ શરૂ કરી. ૧૮૫૨નું આ વર્ષ. જેમ્સ લેન્ડન મેનેજર બન્યા. બળતણની મુશ્કેલી કહો કે કાબેલ કારીગરોનો અભાવ કહો, પણ મિલ શરૂ થાય તે પહેલાં જ એનું બાળમરણ થઈ ગયું. રણછોડલાલ મેસર્સ કરમચંદ પ્રેમચંદ નામની પેઢીમાં મેનેજર તરીકે નોકરીએ લાગી ગયા.
બે વર્ષ પછી મુંબઈના કાવસજી દાવર નામના પારસીએ બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપનીની સ્થાપના કરીને દેશની પહેલી કોટન મિલ શરૂ કરી. રણછોડલાલને પાછી ચાનક ચડી. તેમણે અમદાવાદમાં કોટન મિલ સ્થાપવાની હિલચાલ કરી દીધી. આ વખતે ઇન્વેસ્ટરોના ગળે વાત ઉતારવા માટે મુંબઈની મિલનું ઉદાહરણ હાથવગું હતું. "એ લોકો ત્યાં માન્ચેસ્ટરમાં જે કરે છે તે આપણે અહીં અમદાવાદમાં કરીએ" આ વાક્ય કરતાં "એ લોકો ત્યાં મુંબઈમાં જે કરે છે તે આપણે અહીં અમદાવાદમાં કરીએ" તે વાક્ય રોકાણકારોને સાંભળવામાં સારું લાગ્યું! તેઓ પૈસા રોકવા તૈયાર થઈ ગયા. ૧૮૫૯માં અમદાવાદના શાહપુર વિસ્તારમાં'અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ'નું ખાતમૂહુર્ત થયું, પણ અણધાર્યાં વિઘ્નોને કારણે મિલ શરૂ થવામાં બીજાં બે વર્ષ નીકળી ગયાં. કેવાં વિઘ્નો? સૌથી પહેલાં તો સુએઝની નહેર ખૂલી નહોતી એટલે વિલાયતથી મશીનરી લઈને નીકળેલાં જહાજોએ ખૂબ લાંબો રસ્તો કાપવો પડે તેમ હતો. અધૂરામાં પૂરું, જે જહાજ પર યંત્રો લદાયેલાં હતાં તેમાં મધદરિયે આગ લાગી ગઈ. સઘળો સરંજામ દરિયાના પેટાળમાં ગરક થઈ ગયો. સારું થયું કે તેનો વીમો ઉતરાવેલો હતો. બીજો કોઈ હોય તો હતાશ થઈને આઇડિયા પડતો મૂકે, પણ રણછોડલાલ જુદી માટીના બનેલા હતા. તેમણે નવેસરથી મશીનરીનો ઓર્ડર આપ્યો. આ વખતે પાછી નવી ઉપાધિ આવી પડી. જે અંગ્રેજ એન્જિનિયર મશીનોને ઇન્સ્ટોલ કરવાના હતા, એ મશીન ભારતની ધરતી પર ઊતરે તે પહેલાં જ અકાળે મૃત્યુ પામ્યો. મશીનો મુંબઈથી બળદગાડાંમાં લદાઈને અમદાવાદ લાવવાં પડયાં હતાં! આખરે ૩૦ મે, ૧૮૬૧ના રોજ સાંજે પોણા પાંચે સાયરન વગાડીને ગુજરાતની સૌપ્રથમ મિલનો પ્રારંભ કરવામાં આવ્યો.


અઢી હજાર સ્પિન્ડલની ક્ષમતાવાળી આ મિલમાં ૬૩ કારીગરો કામ કરતા હતા. થોડા અરસા બાદ મિલની ક્ષમતા વધારીને દસ હજાર સ્પિન્ડલ કરવામાં આવી. આ મિલ જામી ગઈ એટલે રણછોડલાલે ૧૮૭૨માં બીજી મિલ શરૂ કરી. તે પણ સરસ ચાલતી હતી, પણ ૧૮૭૫માં ફાટી નીકળેલી ભીષણ આગમાં આખી મિલ ભસ્મ થઈ ગઈ. રણછોડલાલ જેમનું નામ. એક વર્ષની અંદર એમણે મિલને ફિનિકસ પંખીની જેમ રાખમાંથી પાછી ઊભી કરી દીધી.
રણછોડલાલની કાપડ મિલની સફળતાએ અમદાવાદને ઔદ્યોગિક નગરી બનાવવા માટેના દરવાજા ખોલી નાખ્યા. બેચરદાસ લશ્કરી નામના એક ઉદ્યોગપતિએ પોતાની મિલ ખડી કરી. પછી તો બિલાડીના ટોપની જેમ એક પછી એક કેટલીય મિલો ધમધમતી થઈ ગઈ. ૧૮૯૯માં અમદાવાદની વસ્તી હતી દોઢ લાખ અને મિલોની સંખ્યા ૨૬ હતી. સત્તર હજાર જેટલા લોકોને આ મિલોને લીધે રોજીરોટી મળતી હતી. રણછોડલાલ છોટાલાલ અત્યાર સુધીમાં રણછોડલાલ રેંટિયાવાળાના નામે મશહૂર થઈ ચૂક્યા હતા. એમની લોકપ્રિયતા જોઈને સરકારે તેમને ૧૮૮૩માં મ્યુનિસિપાલિટીના પ્રમુખ બનાવ્યા. અત્યાર સુધી ગોરા જ આ હોદ્દા પર નિમાતા હતા, પણ ગુજરાતમાં આ પદ મેળવનાર રણછોડલાલ પહેલા ભારતીય બન્યા.
એમનું કામકાજ હવે કેવળ મિલ પૂરતું સીમિત ન રહ્યું. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે રણછોડલાલને સૌથી મોટું યોગદાન અમદાવાદને સ્વચ્છ બનાવવામાં તેમજ પાણીના નળ અને ગટર યોજનાનો અમલ કરીને આપ્યું. શરૂઆતમાં રૂઢિવાદીઓએ એમ કહીને જોરદાર વિરોધ કર્યો કે નળનું પાણી અપવિત્ર ગણાય અને તે પીવાલાયક નથી. સદ્નસીબે તે સમયના અખબારોએ જોકે રણછોડલાલને ખૂબ સપોર્ટ કર્યો. નળ અને ગટર યોજના આખરે સફળતા પામી. વર્નાક્યુલર સોસાયટીના પ્રમુખ તેમજ આજીવન સભ્ય તરીકે એમણે ખૂબ બધી સામાજિક અને તબીબી પ્રવૃત્તિઓ કરી.
અંગ્રેજ સરકારે પછી રણછોડલાલ રેંટિયાવાળાને રાવબહાદુરનો ખિતાબ આપ્યો હતો. રણછોડલાલની વિશેષતા એ રહી કે એમણે અંગ્રેજો સાથે હંમેશાં નજર ઉઠાવીને વાત કરી. તેઓએ અંગ્રેજોને માલિક તરીકે ક્યારેય ન જોયા, બલ્કે એમને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવ્યા. તેમના ટેક્નિકલ જ્ઞાાનનો ભરપૂર લાભ લીધો અને આ લાભ પોતાના દેશબંધુઓ સાથે શેર કર્યો. તેઓ ૭૫ વર્ષ જીવ્યા. છેક સુધી તેઓ જુદી જુદી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. 'થ્રી ઇડિયટ્સ'માં આમિર ખાને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા રણછોડલાલ ચાંચડ અથવા ટૂંકમાં રેન્ચો નામનું પાત્ર ભજવ્યું હતું, પણ રણછોડલાલ રેંટિયાવાળા ગુજરાતના અસલી રેન્ચો છે!
રણછોડલાલના પુત્ર માધવરાવે અને પછી દત્તક પૌત્ર ચીનુભાઈએ તેમનો વારસો બરાબર દીપાવ્યો. ચિનુભાઈને બેરોનેટની ઉપાધિ મળી હતી. તેઓ સર ચિનુભાઈ બેરોનેટ તરીકે જાણીતા બનેલા. ખુદ ગાંધીજીએ ૧૯૩૩માં અમદાવાદમાં ભદ્રકાળી મંદિર નજીક સર ચિનુભાઈ બેરોનેટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ગુજરાતના આવા બાહોશ સપૂતોને આપણે હંમેશાં સ્મૃતિમાં ધબકતા ન રાખવા જોઈએ શું?

0 0 0 

મલ્ટિપ્લેક્સ: પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ.

Sandesh - Sanskar Purti - 3 May 2015

મલ્ટિપ્લેક્સ 

મોહમ્મદ રફી, મુકેશ અને કિશોર કુમારના અવાજમાં ગાઈ શકતા કંઈકેટલાય ડુપ્લિકેટ્સ આવ-જા કરતા રહ્યા છે, પણ 'વોઇસ ઓફ મન્નાડે'નું બિરુદ હકથી ધારણ કરી શકે એવો કોઈ સર્વસ્વીકૃત ગાયક આવ્યો નથી. મન્ના ડેની આ ગ્રેટનેસ છે.



હેલી મેને આપણે ગુજરાતદિન તરીકે ઓળખીએ છીએ. આ દિવસ હિન્દી સિનેમાના દિગ્ગજ ગાયક મન્ના ડેનો બર્થડે પણ છે. ૧ મે, ૧૯૧૯ના રોજ એમનો જન્મ. મૃત્યુ હજુ દોઢેક વર્ષ પહેલાં જ ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ થયું. ૯૪ વર્ષનું સમૃદ્ધ આયુષ્ય અને એવી જ સમૃદ્ધ એમની મ્યુઝિકલ કરિયર. મન્ના ડેએ કેવાં કેવાં અદ્ભુત ગીતો આપ્યાં છે આપણને. એક બાજુ મન-હૃદયમાં તીવ્ર સ્પંદનો પેદાં કરી દે તેવાં "અય મેરે પ્યારે વતન" (કાબુલીવાલા, ૧૯૬૮), 'પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ' (મેરી સૂરત તેરી આંખેં, ૧૯૬૩), 'કૌન આયા મેરે મન કે દ્વારે' (દેખ કબીરા રોયા, ૧૯૫૭) જેવા શાસ્ત્રીય રાગ આધારિત ગીતો છે, બીજી બાજુ 'પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ' (શ્રી ૪૨૦, ૧૯૫૫), 'નૈન મિલે ચૈન કહાં' (બસંત બહાર, ૧૯૬૫), 'ચુનરી સમ્હાલ ગોરી' (બહારોં કે સપનેં, ૧૯૬૭) જેવાં રોમેન્ટિક ગીતો છે, તો ત્રીજી તરફ 'એક ચતુર નાર બડી હોશિયાર' (પડોસન, ૧૯૬૮), 'એ ભાઈ જરા દેખ કે ચલો' (મેરા નામ જોકર, ૧૯૭૦), 'ચલત મુસાફિર મોહ લિયો રે' (તીસરી કસમ, ૧૯૬૬) જેવાં મસ્તીભર્યાં ફન-સોંગ્સ છે. મોહમ્મદ રફી, મુકેશ અને કિશોર કુમારના અવાજમાં ગાઈ શકતા કંઈકેટલાય ડુપ્લિકેટ્સ આવ-જા કરતા રહ્યા છે, પણ 'વોઇસ ઓફ મન્નાડે'નું બિરુદ હકથી ધારણ કરી શકે એવો કોઈ સર્વસ્વીકૃત ગાયક આવ્યો નથી. મન્ના ડેની આ ગ્રેટનેસ છે.

એમનું મૂળ નામ પ્રબોધચંદ્ર ડે. સંગીતમય માહોલમાં તેમનો ઉછેર થયો. એમના કાકા કે.સી. ડે વિખ્યાત ગાયક હતા, જે તેર વર્ષની ઉંમરે અંધ થઈ ગયેલા. મન્ના ડેના પિતા અને મોટા કાકા એન્જિનિયર હતા. એ બન્નેનો પૂરપૂરો આગ્રહ કે મન્ના ડેએ સૌથી પહેલાં ભણતર પૂરું કરવાનું, શક્ય હોય તો વકાલતની લાઇનમાં આગળ વધવાનું, પછી બીજી વાત. અન્ડરગ્રેજ્યુએટ થયા પછી મન્ના ડે સામે બે વિકલ્પો ઊભા થયાઃ હવે સંગીતમાં આગળ વધવું છે કે લોના ક્ષેત્રમાં આગળ વધવું છે? મન્ના ડેએ પસંદગી કરીઃ સંગીત. સ્વાભાવિક છે કે પિતાજી આ નિર્ણયથી ખુશ ન થયા, પણ દીકરાને તેમણે રોક્યો નહીં. કાકા હવે ગુરુ બન્યા. જીવનભર અપરિણીત રહેલા કે.સી. ડેને મન્ના ડે માટે પુત્રવત્ લગાવ હતો. ભત્રીજા પાસે તેઓ સંગીતની કઠોર સાધના કરાવતા. મન્ના ડેને કુસ્તીનો અને પતંગ ઉડાવવાનો પણ બહુ શોખ હતો. તેઓ કાં તો સંગીતમાં રમમાણ હોય અથવા તો બોક્સિંગ-પતંગબાજી કરતા હોય.

શુદ્ધ શાસ્ત્રીય સંગીતના માહોલમાં કે.સી. ડે સુગમ સંગીત આમ જનતા સામે લઈ આવ્યા. આ એક માસ્ટર સ્ટ્રોક હતો. સુગમ સંગીત ક્રમશઃ ખૂબ લોકપ્રિય બનતું ગયું. મન્ના ડેનો પાયો શાસ્ત્રીય સંગીતનો ખરો, પણ એમને તેમાં એટલો બધો રસ કદી ન પડયો. એમને થતું કે એકનો એક રાગ બે-ત્રણ કલાક સુધી વગાડયા કરીને શ્રોતાઓની ધીરજની કસોટી શું કામ કરવી જોઈએ. કલકત્તામાં રવીન્દ્રનું સંગીત છવાયેલું હતું. મન્ના ડે એમાંથી બહાર આવવા માગતા હતા. કાકા સાથે તેઓ મુંબઈ આવી ગયા. એમણે જોકે કલ્પના નહોતી કે મુંબઈમાં સ્થાન બનાવવું મુશ્કેલ પુરવાર થવાનું. મુંબઈવાળા બંગાળીઓને આઉટસાઉડર તરીકે જુએ અને મજાક કરેઃ બાબુમોશાય, અહીં શું કરો છો? પાછા બંગાળ જાઓ ને રસગુલ્લા ખાઓ!




મન્ના ડેને પ્લેબેક સિંગર તરીકે પહેલો બ્રેક બાવીસેક વર્ષની ઉંમરે 'રામરાજ્ય' ફિલ્મમાં મળ્યો. તરત જ એમના પર ધાર્મિક ગીતો ગાતાં સિંગરનો થપ્પો લાગી ગયો. એમને જે ઓફર મળતી તે આ જ પ્રકારનાં ગીતોની મળતી. મોટી ઉંમરનો સફેદ દાઢીવાળો કોઈ કેરેક્ટર આર્ટિસ્ટ સ્ક્રીન પર ભજન-બજન ગાવાનો હોય તો તેના માટે મન્ના ડેને બોલાવવામાં આવતા. તેઓ ફ્રસ્ટ્રેટ થઈ ગયા. તેમને સમજાતું નહોતું કે મુંબઈમાં સ્ટ્રગલ ચાલુ રાખવી કે પાછા કલકત્તાભેગા થઈ જવું.


ખેર, મન્ના ડેના નસીબમાં ખૂબ બધી શોહરત લખાઈ હતી. તેઓ ધીમે ધીમે પાર્શ્વગાયક તરીકે પોતાનું સ્થાન દૃઢ કરતા ગયા. ટોચના લગભગ બધા જ સંગીતકારો સાથે એમણે કામ કર્યું. એસ.ડી. બર્મન તો ત્યાં સુધી કહેતાં કે જો ગીતકારે દિલના ઊંડાણથી શબ્દો લખ્યા હોય તો માત્ર બે જ સિંગર એવાં છે, જે આ શબ્દોમાં આત્માનો સંચાર કરી શકે - એક છે લતા મંગેશકર અને બીજા છે, મન્ના ડે! 'પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ' તેમજ 'અય મેરે પ્યારે વતન' - મન્ના ડેના આ બે ગીત એસ.ડી. બર્મનનાં ફેવરિટ હતાં.


'બૈજુ બાવરા'ના ભારત ભૂષણ એ જમાનામાં મોટા સ્ટાર હતા. 'બસંત બહાર'નાં લગભગ બધાં ગીત મોહમ્મદ રફી ગાવાના હતા, પણ શંકર-જયકિશનની જોડીવાળા શંકરે ખાસ મન્ના ડે માટે એક ગીત તૈયાર કર્યું. ભારત ભૂષણના ભાઈ શશી ભૂષણ 'બૈજુ બાવરા'ના પ્રોડયુસર હતા. એમણે વિરોધ નોંધાવ્યોઃ નહીં, "ફિલ્મનાં તમામ ગીત રફીસાબ પાસે જ ગવડાવો." શંકર અડગ રહ્યા. તેમણે કહ્યું: "જો તમારે મન્ના ડેનું ગીત ન જોઈતું હોય તો અમારે આ ફિલ્મ કરવી જ નથી. તમે બીજા કોઈ સંગીતકારને લઈ લો!" આ ગીત હતું, 'સૂર ના સજે ક્યા ગાઉં મૈં'. પછી શશી ભૂષણ આ ગીત સાંભળીને મન્ના ડેને ભેટી પડયા હતા. તેમણે કબૂલ્યું પણ ખરું કે આ ગીત તમારા સિવાય બીજું કોઈ આટલી સરસ રીતે ગાઈ શક્યું ન હોત!




'કેતકી ગુલાબ જુહી ચંપા ચમેલી' ગીતની કહાણી પણ ઇન્ટરેસ્ટિં છે. શંકરે મન્ના ડેને કહી રાખેલું કે દોસ્ત, તારી પાસે અમે એવું ક્લાસિકલ ડયુએટ ગવડાવાના છીએ કે તું જિંદગીભર યાદ રાખીશ. તારી સાથે કોણ સિંગર હશે એ તને પછી કહીશું. તું બસ, ફલાણા ફલાણા રાગની પ્રેક્ટિસ કરવા માંડ! મન્ના ડેએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી. થોડા દિવસ શંકર-જયકિશને એમને બોલાવ્યા. ગીતની તર્જ તૈયાર થઈ ગઈ હતી. જે ગાયકની સાથે મન્ના ડેએ જુગલબંદી કરવાની હતી એ બીજું કોઈ નહીં પણ સ્વયં ભીમસેન જોશી હતા! સિચ્યુએશન એવી હતી કે હીરો અને એના પ્રતિસ્પર્ધી વચ્ચે ગાવાની હરીફાઈ ચાલી રહી છે, જેમાં હીરો આખરે જીતી જાય છે. મન્ના ડેએ હીરો માટે ગાવાનું હતું. મન્ના ડે કાંપી ઊઠયાઃ સૌથી પહેલાં તો મારે ભીમસેન જોશી સાથે મુકાબલો કરવાનો ને એમાં એમને હરાવી દેવાના, એમ? ઇમ્પોસિબલ!
મન્ના ડે એટલા બધા નર્વસ થઈ ગયા હતા કે કેટલાય દિવસ સુધી લગભગ અન્ડરગ્રાઉન્ડ રહ્યા. એમણે વિચાર્યું કે શંકર-જયકિશન આખરે બીજા કોઈ સાથે રેર્કોિંડગ કરી લેશે પછી હું બહાર નીકળીશ. મન્ના ડેનાં પત્ની સુલોચનાને વાતની જાણ થતાં જ ભડકી ઊઠયાં: શેઇમ ઓન યુ. તમારે આ ગીત ગાવું જ પડશે! ગીત આખરે રેકોર્ડ થયું. અત્યંત કઠિન ક્લાસિકલ કંપોઝિશન હતું આ. રિઝલ્ટ અફલાતૂન આવ્યું. ખુદ ભીમસેન જોશી મન્ના ડેના પર્ફોર્મન્સથી પ્રભાવિત થયા. તેમણે કહ્યું પણ ખરું કે તમે ક્લાસિકલ મ્યુઝિક પર ફોકસ કેમ કરતા નથી?

રોશને પણ મન્ના ડેમાં રહેલા ગાયકને પડકારવામાં કશું બાકી નહોતું રાખ્યું. 'ના તો કારવાં કી તલાશ હૈ' જુગલબંદીમાં રફી હીરો માટે ગાવાના હતા અને મન્ના ડેએ ઉસ્તાદ માટે અવાજ આપવાનો હતો. રોશને કહ્યું કે બન્નેની ગાયકીમાં ફર્ક સ્પષ્ટપણે વર્તાવો જોઈએ. મન્ના ડેએ આ ગીતમાં જે રીતે આલાપ લીધો એ સાંભળીને રોશન પુલકિત થઈ ગયા હતા. અનિલ બિશ્વાસ તો ત્યાં સુધી કહેતાં કે રફી-મુકેશ-કિશોરનાં ગીતો મન્ના ડે ગાઈ શકે છે, પણ મન્ના ડેનાં ગીતો આ ગાયકો નહીં ગાઈ શકે! મન્ના ડે જોકે મોહમ્મદ રફીને સર્વશ્રેષ્ઠ માનતા હતા. એક જમાનામાં મન્ના ડે હીરો માટે પ્લેબેક કરતા અને રફીસાબ કોરસમાં ગાતા. એમનો હાથ ઝાલીને કોરસસિંગરમાંથી મેઇન સિંગર બનાવવામાં મન્ના ડે તેમજ કે.સી. ડેનું મહત્ત્વનું યોગદાન છે.



રાજ કપૂર પોતાનાં મોટાં ભાગનાં ગીતો મુકેશ પાસે ગવડાવતા, પણ તેમણે મન્ના ડે પાસે પણ કેટલાંક અવિસ્મરણીય ગીતો ગવડાવ્યાં છે. 'પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ'ના રેર્કોિંડગ વખતે ગાયકો અને સાજિંદાઓ સવારથી રિયાઝ કરી રહ્યા હતા. રાજ કપૂર સાંજે મ્યુઝિક રૂમમાં આવવાના હતા, પણ એમને બહુ મોડું થઈ ગયું. બધા પેકઅપ કરીને તૈયારીમાં હતા ત્યાં રાજ કપૂર પધાર્યા. સૌની દિલથી માફી માગી, બધા માટે ચા મંગાવી ને સંગીતની રમઝટ પાછી શરૂ થઈ. જેવું મન્ના ડે અને લતાએ ગાવાનું શરૂ કર્યું કે રાજ કપૂરના ક્રિએટિવ ભેજામાં વિચારોના તણખા ફૂટવા માંડયા. એમણે બધાને જરા ખસેડીને ઓરડામાં જગ્યા કરી, કોઈક પાસે છત્રી મગાવી અને આ ગીતના શબ્દો પર પર્ફોર્મ કરવા માંડયા. 'પ્યાર હુઆ ઇકરાર હુઆ'માં રાજ-નરગિસનું છત્રી સાથેનું વિઝ્યુઅલ આપણા ચિત્તમાં છપાઈ ગયું છે. આ વિઝ્યુઅલ આવી રીતે પેદા થયેલું!


મન્ના ડેએ હિન્દી અને બંગાળી ઉપરાંત કેટલીય ભારતીય ભાષાઓમાં ગીતો ગાયાં છે. 'જ્યાં સુધી સંગીતના સાત સૂર રહેશે ત્યાં સુધી મન્ના ડેનાં ગીતો ગૂંજતા રહેશે' - આ વાક્ય ભલે ટિપિકલ ક્લ્શિે લાગે, પણ એ શતપ્રતિશત સાચું છે. 

0 0 0

Thursday, April 23, 2015

All you need is stubbornness to be happy!

Written by Shishir Ramavat


“I lived in the red-light area of Mumbai….”

Soon after uttering these words, a teenage girl – must be hardly 16 or 17 – abruptly stops. In front of her is the audience of 70-80 people, listening to her attentively, looking at her chiseled face. She is slim, dark and dressed in decent clothes. Even though she appears just like any other school-college going regular teen, her story is far too horrific setting her apart from the rest. She clinches the microphone even more tightly. Perhaps she is arranging the words in her head, as her narrative is going to be explosive. Taking a deep breath, she finally speaks further:

“When I was twelve, my sir raped me…”

She stops yet again, but by then, the compassionate audience is stunned by her admission.

“It happened repeatedly. He raped me so many times. I just did not understand what was happening to  me. I was confused, I was traumatized. Why was I subjected to this torture? I was living in this huge red-light area of Mumbai, that’s why. Sorry to use this word, but my sir had assumed that a Kamathipura girl necessarily has to be a randi ki aulad. Aur randi ki beti ke sath kuch bhi kiya ja sakta hai. My mother is not a sex worker. My poor parents sent me to school even though they could afford to do so, but here was my sir, who…”

Her voice is brittle and little shaky - one can immediately sense the pain and anguish in it.

“For a long time there was this sense of shame and guilt within me. I could not share anything with my parents, because my father is almost bed-ridden since years and my mother too is not keeping well either. I was dying inside every day, whereas my sir was roaming around shamelessly. Finally I decided: enough is enough. What was my fault after all? It is him who should live with the burden of guilt, not me. Today it is first time that I am sharing my story with so many people. No, I don’t want to live in suffering. It is my life, my body, my mind and I am proud of it….”

After finishing her speech, she sits down. Yet another girl comes forward. She is even younger than the earlier one. She looks nervous. However, slowly but surely she does speak up in front of the audience:

“I am a daughter of a sex-worker. When I was young, I was sexually abused. But I have decided to get out of my pain and suffering…”

It is not easy to bare one’s soul. One has to be courageous enough to share the soul-crushing experiences of life with someone even in private. Whereas here, the girls were opening up, narrating the horrendous and most intimate incidents of their lives to the packed audience. It certainly needs tremendous amount of guts and incredible inner strength to do so! But then, these are very moments which set oneself free… Free from the deathly burden; free from the possible psychological complexities. Such moments of coming out in open, or let’s say, the moments of being transparent publicly are very, very powerful. Such an act can sometimes prove to be very decisive – it might even change the flow of one’s life.




On April 13, 2015, a small yet intimate meeting was held at The Hive in Khar, Mumbai. The occasion was to remember Suzette Jordan, ‘the Park Street rape survivor’ as media often referrers to her, who passed away due to multiple organ failure a month ago. Apart from the people who knew her personally, there were many who never met her or interacted with her, but they were still inspired by her steely personality or touched by her joie de vivre. This was the very gathering where those teenage girls shared their stories. Today both of them are moving ahead beautifully in their respective lives within protected environment, thanks to an NGO.     

The story of Suzette Jordan is well-documented. “I am tired of hiding my real identiy,” she had once told the BBC. “I am tired of this society’s rules and regulations. I am tired to being made to feel ashamed. I am tired of feeling scared because I have been raped. Enough is enough!”
She therefore, decided to openly tell the world her story.

“Please stop addressing me as ‘Park Street rape victim’,” she insisted. “I am not a victim. I am Suzette Jordan. I am a mother, a daughter, a sister. Please address me with my own name. And please stop blurring my face on TV screen.”

Suzette counseled many women. Her unpretentious and vibrant personality inspired not just victims but even those ‘regular’ people who were drowned by their own psychological complexes. Her vivacious and charming avatar invariably – and intuitively, without even uttering a word - conveyed this message to people: So what if you are badly scared? So what if your injuries are very deep? There is no need to keep on pampering your scars – it just does not make any sense. Life should not be stuck at any point. Yes, it is possible to be happy without the burden of guilt or shame or remorse. Oh yes, it is possible to live fully and whole-heartedly, no matter what. All you need is courage and stubbornness to be happy!



Harish Iyer, an activist and a victim of sexual abuse in his childhood, said, “Suzette and I could very well understand each other’s pain. Up to quite an extent, it was similar in nature. In fact, this very pain was the foundation of our friendship. However, we were so hell bent about not to be overwhelmed by the torture that we went through, we even joked about our sufferings!”

Joke they did too. Here ‘they’ implies to those three youngsters who allegedly gang-raped Suzette in a moving car along with two other men. The trio is still in jail where one cannot keep a mobile phone as per rulebook. Even then, till sometime back, they somehow managed to operate their Facebook accounts. They would change profile pictures periodically and even gloat looking at the number of ‘likes’ they received!

However, all this is hugely insignificant in front of Suzette’s irrepressible spirit. It is this very spirit which has motivated countless people. Just like that girl from the red-light area of Mumbai.

(Ends)

(The article appeared in Take-off column of Sandesh – a hugely circulated Gujarati newspaper – on April 21, 2015.)
   


Tuesday, April 21, 2015

ટેક ઓફ: ખુશ રહેવાની જીદ

Sandesh - Ardh-saptahik purti - 22 April 2015
ટેક ઓફ 
માંહ્યલો પીંખી નાખે, આખું અસ્તિત્વ કુંઠિત કરી નાખવાની ધાર સુધી ધકેલી દે તેવા અનુભવ પછી જીવનભર શરમ કે ગિલ્ટથી રિબાયા કરવાની જરૂર નથી. તે ઘટના વિશે લોકો સાથે આત્મવિશ્વાસપૂર્વક વાત કરી શકાય છે, ખૂલીને મુકાબલો કરી શકાય છે. હા, તે માટે જબરદસ્ત આંતરિક તાકાત જોઈએ. સુઝેટ જોર્ડન જેવી!


"હું મુંબઈના રેડલાઇટ એરિયામાં રહું છું..."
આટલું કહીને સોળેક વર્ષની એક તરુણી અટકી જાય છે. સામે ખુરશી પર ગોઠવાયેલા સાઠથી સિત્તેર લોકોની નજર એના ઘાટીલા ચહેરા પર તકાયેલી છે. ઊંચું કદ, શામળો વર્ણ, સુઘડ-શાલીન વસ્ત્રોમાં એ સ્કૂલ-કોલેજમાં જતી બીજી કોઈ પણ નોર્મલ તરુણી જેવી જ દેખાય છે. ફક્ત એની કહાણી બીજી છોકરીઓ કરતાં ઘણી જુદી અને ભયાવહ છે. હાથમાં પકડી રાખેલા માઇક ફરતે એની મુઠ્ઠી ઔર સજ્જડ બને છે. કદાચ એ મનોમન શબ્દો ગોઠવી રહી છે, કેમ કે હવે પછી એ જે કહેવાની છે તે ખૂબ સ્ફોટક છે. ઊંડો શ્વાસ લઈને, હિંમત કરીને એ બોલી નાખે છેઃ
"હું બાર વર્ષની હતી ત્યારે મારા પર મારા સરે બળાત્કાર કર્યો હતો."
એ પાછી અટકે છે, પણ ત્યાં સુધીમાં એને સાંભળી રહેલા લોકોના ચહેરા પર સ્તબ્ધતા લીંપાઈ ચૂકી છે.
"પછી તો આવું વારે વારે બનવા લાગ્યું. મારા સરે કેટલીય વાર મારા પર બળાત્કાર કર્યો. મને સમજાતું નહોતું કે મારી સાથે શું થઈ રહ્યું છે. હું મૂંઝાયેલી-મૂંઝાયેલી રહેતી. હું શું કામ અત્યાચારનો ભોગ બની? હું મુંબઈના, કદાચ દેશના સૌથી મોટા રેડલાઇટ એરિયામાં રહેતી હતી એટલે. આ શબ્દ વાપરવા માટે માફ કરજો, પણ મારે એ વાપરવો પડશે, કેમ કે કમાઠીપુરાની છોકરી રંડીની ઓલાદ જ હોય એવું પેલા નરાધમે માની લીધેલંુ અને રંડીની ઓલાદ સાથે તો કંઈ પણ થઈ શકે! પણ મારી મા રંડી નથી. મારાં ગરીબ મા-બાપની ત્રેવડ નહોતી છતાંય ગમે તેમ કરીને મને ભણવા મોકલતાં અને આ મારો સર..."
તરુણીના અવાજમાં વેદના અને આક્રોશનું વજન ઊતરી આવે છે. લોકો સ્થિર થઈને એને સાંભળી રહ્યા છે.
"સમજણી થઈ પછી કેટલોય સમય હું શરમ અને ગિલ્ટ અનુભવતી રહી. મેં ઘરમાં કોઈને વાત ન કરી, કેમ કે મારા પિતાજી પથારીવશ છે અને માની તબિયત નરમગરમ રહ્યા કરે છે. હું અંદર ને અંદર શોષવાતી રહી, પણ પેલો મારો સર આજેય નફ્ફટ થઈને ફરે છે. આખરે એક દિવસ મેં નક્કી કર્યું કે બસ, હવે વધારે નહીં. આખરે મારો વાંક શો હતો? મેં શું ગુનો કર્યો હતો? શરમાવાનું મારા સરે હોય, મારે નહીં. આજે મેં પહેલી વાર આટલા બધા લોકો સામે જાહેરમાં મારી વાત રજૂ કરી છે. મારે રિબાઈ રિબાઈને નથી જીવવું. મારું જીવન, મારું શરીર, મારું મન મારાં પોતાનાં છે અને મને એના પર ગર્વ છે."
આટલું કહીને તરુણી બેસી જાય છે. બીજી એક છોકરી આગળ આવે છે. એની ઉંમર પહેલી છોકરી કરતાંય નાની છે. એના ચહેરા પર ગભરાટ છે, પણ ધીમે ધીમે ટૂંકમાં એ પોતાની વાત રજૂ કરે છેઃ
"હું એક સેક્સવર્કરની દીકરી છું. નાની હતી ત્યારે મને સેક્સ્યુઅલી એબ્યુઝ કરવામાં આવી હતી, પણ મેં એના આઘાતમાંથી બહાર આવી જવાનું નક્કી કર્યું છે."
જેના લીધે માંહ્યલો પીંખાઈ ગયો હોય અને આખુંય અસ્તિત્વ કુંઠિત થઈ જવાની ધારે પહોંચી ગયું હોય તેવા આ પ્રકારના અનુભવોને બીજાની સાથે ખાનગીમાં શેર કરવા માટે પણ તાકાત લગાડવી પડતી હોય છે, જ્યારે અહીં તો જાહેરમાં ખૂલીને તેના વિશે વાત થઈ રહી હતી. કેટલી બધી આંતરિક હિંમત જોઈએ તેના માટે! પણ આ એક ક્ષણ આત્માને કચડી નાખતા બોજને દૂર ફગાવી દેવાની ક્ષણ છે. આવી નિર્ણાયક પળો જીવનને મહત્ત્વનો વણાંક આપી દેતી હોય છે. મુંબઈના ખાર વિસ્તારમાં ગયા અઠવાડિયે 'ધ હાઈવ' નામના એક્ટિવિટી સેન્ટરમાં એક નાનકડી પણ નક્કર બેઠક યોજાઈ હતી. કલકત્તાની પાર્ક સ્ટ્રીટ રેપ સર્વાઇવર તરીકે જાણીતી બનેલી અને એકાદ મહિના પહેલાં મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે મૃત્યુ પામેલી ખુદ્દાર મહિલા સુઝેટ જોર્ડનની સ્મૃતિમાં આ મિટિંગ ગોઠવાઈ હતી. સુઝેટના પ્રત્યક્ષ પરિચયમાં આવેલા અથવા તેની હિંમતથી પ્રેરાયેલા કેટલાક લોકો એકઠા થયા હતા. લેખની શરૂઆતમાં જેની વાત કરી તે બન્ને તરુણીઓએ અહીં જ પોતાની વાત શેર કરી હતી. આજે એ બન્ને એક સંસ્થાના સહયોગથી સુરક્ષિત માહોલમાં ભણી રહી છે, જીવનમાં આગળ વધી રહી છે.

કલકત્તામાં બે દીકરીઓ સાથે રહેતી એંગ્લો-ઇન્ડિયન સુઝેટ સિંગલ મધર હતી. ૨૦૧૨ની એક રાતે ક્લબમાંથી પાછા ફરતી વખતે થોડી વાર પહેલાં જ જેની સાથે પરિચય થયો હતો એવા એક પુરુષે એને કારમાં લિફ્ટ આપવાની ઓફર કરી. સુઝેટ કશું સમજે તે પહેલાં કારમાં પુરુષના ત્રણ દોસ્તારો પણ ઘૂસી ગયા અને પછી ચાલતી ગાડીએ એના પર ગેંગરેપ કરવામાં આવ્યો. સુઝેટને પીંખાયેલી હાલતમાં રસ્તા પર ફેંકી દઈને તેઓ નાસી ગયા. એ પોલીસ પાસે ફરિયાદ નોંધાવા ગઈ. આ પ્રકારના કિસ્સામાં પોલીસ સ્ટેશનમાં ને પછી હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન જે થતું હોય છે તે બધું જ સુઝેટ સાથે પણ થયું. ગંદી કમેન્ટ્સની વચ્ચે સવાલોની ઝડી વરસી. રાત્રે એકલી ક્લબ શું કામ ગઈ હતી? અજાણ્યા માણસ પાસે લિફ્ટ લેવાની શી જરૂર હતી? એ લોકોએ કઈ પોઝિશનમાં તારા પર રેપ કર્યો?
સુઝેટનો પાર્ક સ્ટ્રીટ રેપકેસ મીડિયામાં ઉછળ્યો. મીડિયાના રિપોર્ટ્સમાં બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ જાહેર કરી શકાતી નથી એટલે ટીવી સ્ક્રીન પર સુઝેટનો ચહેરો બ્લર કરી નાખવામાં આવતો અથવા તેની પીઠ તરફ કેમેરા તાકીને ઇન્ટરવ્યૂ લેવાતો. પશ્ચિમ બંગાળનાં મહિલા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બફાટ કર્યો કે સુઝેટ જૂઠાબોલી છે, કલકત્તાનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બદનામ કરવા માટે એણે ખોટેખોટી વાર્તા ઉપજાવી કાઢી છે! આ સાંભળીને મીડિયા અને જનતાએ તોફાન મચાવી દીધું. બળાત્કાર જાણે ઓછો હોય તેમ એકલી પડી ગયેલી સુઝેટ પર પ્રકાર પ્રકારના સામાજિક-આર્થિક અત્યાચાર થતા રહ્યા.
"હું 'પાર્ક સ્ટ્રીટ રેપ વિક્ટિમ'ના લેબલથી ત્રાસી ગઈ હતી." સુઝેટે કહેલું, "મને સમજાયું કે જો મારે અન્યાય સામે લડવું હશે તો ચહેરો બેનકાબ કરવો પડશે. મારે શા માટે શરમાવું જોઈએ? મારે નહીં, પણ પેલા હેવાનોએ શરમાવાનું છે. મારું સતત અપમાન કરી રહેલા, મને કલંકિત કરવાની કોશિશ કરતા સમાજે શરમાવાનું છે."
અને સુઝેટે હિંમતભેર લોકો સામે આવવાનું શરૂ કર્યું. એનો ઇન્ટરવ્યૂ લેવા આવતા મીડિયાકર્મીઓને એ કહેતી કે પ્લીઝ મને પાર્ક સ્ટ્રીટ રેપ વિક્ટિમ કહેવાનું બંધ કરો. હું વિક્ટિમ નથી, હું સુઝેટ જોર્ડન છંું, એક મા છું, કોઈની દીકરી અને બહેન છું. મને મારા નામથી જ બોલાવો. ટીવી સ્ક્રીન પર મારો ચહેરો ઢાંકવાનું બંધ કરો.


સુઝેટે બળાત્કારનો ભોગ બનેલી અન્ય મહિલાઓનું કાઉન્સેલિંગ શરૂ કર્યું. એના દંભ વગરના જીવંત વ્યક્તિત્વથી કેટલાયને હિંમત મળી, પ્રેરણા મળી. માત્ર બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને જ નહીં, પણ જાતજાતની માનસિક ગ્રંથિઓથી પીડાતા લોકોને અને સામાન્ય લોકોને પણ. સુઝેટ શબ્દોમાં મૂક્યા વગર, કેવળ પોતાના જીવંતપણાથી લોકો સુધી એ વાત પહોંચાડી શકતી કે પ્રહાર ગમે તેટલા આકરા કે ઊંડા કેમ ન હોય, ઘાને પંપાળ્યા કરવાનો કોઈ મતલબ હોતો નથી. જિંદગી કોઈ બિંદુ પર અટકી પડવી ન જોઈએ. જીવી શકાય છે, ભરપૂરપણે જીવી શકાય છે. બસ, હિંમત જોઈએ અને ખુશ રહેવાની જીદ જોઈએ. 
હરીશ અય્યર નામનો યુવાન એક્ટિવિસ્ટ બાળપણમાં વર્ષો સુધી જાતીય શોષણનો ભોગ બન્યો હતો. એ કહે છે, "હું અને સુઝેટ હમદર્દ હતાં, એકમેકની પીડા સમજી શકતાં હતાં, કારણ કે અમે બેય તે વેદનામાંથી પસાર થયાં હતાં. આ પીડા જ અમારી દોસ્તીનો આધાર હતી. દુઃખને તાબે ન થવાની અમારી જીદ એટલી તીવ્ર હતી કે અમે અમારા અત્યાચારને યાદ કરીને મજાક સુધ્ધાં કરી લેતાં."
મજાક તો સુઝેટ પર બળાત્કાર કરવાના આરોપ હેઠળ બે વર્ષથી જેલમાં પુરાયેલા ત્રણ યુવાનો પણ ક્યાં નહોતા કરતા. જેલમાં મોબાઇલ રાખી શકાતા નથી, પણ કોઈક રીતે આ લોકોએ મોબાઇલ સ્મગલ કરેલા. હજુ હમણાં સુધી તેઓ ફેસબુક પર પોતાનાં પ્રોફાઇલ પિક્ચર્સ બદલ્યા કરતા હતા અને 'લાઇક્સ' મેળવતા હતા. ચાલીસ વર્ષની સુઝેટ જોર્ડનના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે આ નફ્ફટ જુવાનોએ જેલમાં મીઠાઈ વહેંચી હતી.
ખેર, સુઝેટના જુસ્સા સામે આ બધું ક્ષુલ્લક છે. સુઝેટના મિજાજના સ્પર્શથી ઘણા લોકોને હિંમત મળતી રહેવાની. કમાઠીપુરાની પેલી તરુણીઓની જેમ.
0 0 0 

Tuesday, April 14, 2015

ટેક ઓફ : ટુ સર... વિથ લવ

Sandesh - Ardh Saptahik Purti - 15 April 2015

ટેક ઓફ 

સાહિત્યગુરુ રામનારાયણ વિ. પાઠકે ૫૯ વર્ષની ઉંમરે પોતાના કરતાં ૩૦ વર્ષ નાનાં હીરાબહેન સાથે લગ્ન કર્યાં ત્યારે સમાજમાં ધરતીકંપ થઈ ગયો હતો. આજે તેમનાં ધ્યેયનિષ્ઠ અને લાગણીસભર દાંપત્યજીવનને એક આદર્શ તરીકે જોઈ શકાય છે.



"... આવા રામનારાયણ પાઠક!? જેમની આપણે દ્વિરેફની વાતો વાંચેલી ને તે પરથી તેમની આકૃતિ કલ્પેલી તે આવા - કેવા દેખાવના છે! શરીર ઘણું સુકલકડી, એકવડું અને એકદમ નંખાયેલું લાગ્યું. તેમનું મોઢું કેટલું બધું બેસી ગયેલું! કપાળ કોરેલું હોય તેવું સુરેખ ધ્યાન ખેંચે એવું પુખ્ત ને તેમનું મોટું બધું નાક! બહાર પડતું, પોપટિયું, છેક હોઠ લગી ધસી આવેલું, જોતાં રમૂજ ઉપજે એવું. વળી, હડપચી, જડબાંનો ભાગ વગેરે અંગો પણ ઘણાં ઉઠાવવાળાં, તેથી પણ મોઢું વધારે બેઠેલું લાગતું. તેમના મોઢા પરના ખાડા તે ખાડા નહીં પણ ખાઈઓ હતી! આવી તેમની વિલક્ષણ મુખાકૃતિ."

આ હતી એક કોલેજ સ્ટુડન્ટની પોતાના સર વિશેની ફર્સ્ટ ઇમ્પ્રેશન. બિલકુલ દરિદ્રનારાયણ દેખાતા પાઠકસર ૪૮ વર્ષના, જ્યારે ઉત્સાહથી થનગનતી હીરા મહેતા નામની આ મુગ્ધ કન્યા માંડ ઓગણીસની. ગુરુ-શિષ્યા તરીકે એકમેકનો ઔપચારિક પરિચય થયો હશે ત્યારે બન્નેમાંથી કોઈએ કલ્પના સુધ્ધાં કરી હશે ખરી કે થોડાં વર્ષો પછી બન્ને પતિ-પત્નીના સંબંધમાં બંધાઈ જવાનાં છે અને સમાજમાં ભૂકંપ આવી જવાનો છે?

રામનારાયણ વિશ્વનાથ પાઠકની ગયા અઠવાડિયે ૧૨૯મી જન્મજયંતી ઉજવાઈ. 'દ્વિરેફ', 'શેષ' અને 'સ્વૈરવિહારી' જેવાં ત્રણ-ત્રણ ઉપનામ ધરાવતા રા.વિ. પાઠકે ગુજરાતી સાહિત્યમાં એક વાર્તાકાર, કવિ, નિબંધકાર અને તંત્રી તરીકે એટલું ઉત્તમ અને વિપુલ માત્રામાં કામ કર્યું છે કે 'મૂર્ધન્ય', 'શીર્ષસ્થ', 'પ્રથમકક્ષ' વગેરે જેવાં વિશેષણો જાણે તેમના માટે જ સર્જાયાં હોય એવું લાગે. તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશો તો ગુજરાતીના પાઠયપુસ્તકમાં આવતી રામનારાયણ પાઠક લિખિત 'મુકુંદરાય' કે 'ખેમી' જેવી વાર્તાથી ચોક્કસ પરિચિત હશો. મુંબઈનિવાસી હીરા મહેતાએ પણ 'દ્વિરેફની વાતો' ભાગ-૧ ટેક્સ્ટબુક તરીકે ભણી હતી. સમજોને કે આ પુસ્તકે જ તેમના માટે સાહિત્યજગતના દરવાજા ખોલવાનું કામ કર્યું હતું. કોઈ લેખક કે કવિની કૃતિઓ આપણને ખૂબ ગમવા માંડે ત્યારે અનાયાસે આપણાં મનમાં એ સર્જકની એક ઇમેજ ઊભી થઈ જતી હોય છે. હીરા મહેતાના કિસ્સામાં પણ એવું જ બન્યું. એનએનડીટી કોલેજમાં બી.એ. કરી રહ્યાં હતાં ત્યારે એમને ખબર પડી કે એમના ગુજરાતીના સર તરીકે રામનારાયણ પાઠકની નિમણૂક થવાની છે. ધોળકા તાલુકામાં ગાણોલ ગામે જન્મેલા રા.વિ. પાઠક અગાઉ મુંબઈની વિલ્સન કોલેજમાં ભણી ચૂક્યા હતા. પછી અમદાવાદ જઈને થોડાં વર્ષ વકીલાત કર્યા બાદ શિક્ષણ ક્ષેત્રમાં સક્રિય બન્યા. મુંબઈ આવ્યા ત્યારે એમને ઓલરેડી 'ગાંધીયુગના સાહિત્યગુરુ'નું બિરુદ મળી ચૂક્યું હતું.

બી.એ.ના સેકન્ડ અને થર્ડ યરમાં ઐચ્છિક વિષય તરીકે ગુજરાતી પસંદ કરનારાં હીરાબહેન આખા ક્લાસમાં એકલાં જ. એમની ઓળખાણ કરાવતી વખતે આચાર્યે રા.વિ. પાઠકને કહેલું, "આ બહેન હીરા. સાહિત્યનાં સારા રસવાળાં, વ્યાસંગવાળાં છે. કાવ્ય વગેરે લખે પણ છે. તેને શીખવતા તમને ઘણો આનંદ થશે, જોજો." પાઠકસરનો પરિચય કરાવતા કહેલું, "રામનારાયણભાઈ ભારે મોટા વિદ્વાન છે. તેમને આખું ગુજરાત ઓળખે છે. આપણી સંસ્થાનું આ સદ્ભાગ્ય કે તેમના જેવાનો આપણને લાભ મળ્યો." જોકે, પાઠકસરને જોઈને હીરાબહેન જરાય પ્રભાવિત ન થયાં, ઊલટાના સરનો દેખાવ એમને ભારે રમૂજી લાગ્યો!

રામનારાયણ પાઠકના સૂના વ્યક્તિત્વનું કારણ હતું, ૩૧ વર્ષની ભરજુવાનીમાં તેઓ વિધુર થઈ ગયા હતા. ત્યાર બાદ પુત્રીનું પણ મૃત્યુ થઈ ગયું. તેમણે બીજાં લગ્ન ન જ કર્યાં. દોઢ દાયકા કરતાં વધારે સમયથી તેઓ મૂંગે મોંએ અને સ્વૈચ્છિક રીતે એકાકી જીવન જીવી રહ્યા હતા. ન કોઈ જતન કરવાવાળું, ન કોઈ હૂંફ આપવાવાળું. કારમી એકલતાએ એમના શરીરને ભલે કૃશ કરી નાખ્યું હોય, પણ આંતરિક ચેતના અકબંધ હતી. હીરાબહેન પાઠક 'રા.વિ. પાઠક પરિશીલન ગ્રંથ'માં સંગ્રહાયેલા એક સ્મૃતિલેખમાં લખે છે, "તેમના વણપોષાયેલા, વણસંભળાયેલા ક્ષીણ શરીરમાં ભારે ચમકદાર, તેજસ્વી ને સ્ફૂર્તિલી તેમની આંખો હતી. જાણે તેમની સમસ્ત શક્તિના પ્રતીકસમી. એ આંખોના નૂર વિશે મારા મને પ્રથમ દિવસની પ્રારંભિક ક્ષણોમાં જ નોંધ લઈ લીધી હતી."



ગુજરાતીના ક્લાસમાં હીરાબહેન એકલાં જ વિદ્યાર્થિની એટલે રા.વિ. પાઠકનું સમગ્ર અટેન્શન એમને મળે. આ એક આદર્શ ગુરુ-શિષ્યાની જોડી હતી. સમય જતાં હીરાબહેનના પરિવાર સાથે પણ તેમનો પરિચય થયો. થોડાંક વર્ષ બાદ રા. વિ. પાઠક અમદાવાદ પાછા આવી ગયા. એલ.ડી. આર્ટ્સ કોલેજમાં પ્રિન્સિપાલ બન્યા, પણ વેકેશન અચૂકપણે મુંબઈમાં ગાળતા. મુંબઈમાં હીરાબહેનનાં ઘરે જ ઊતરવાનું રહેતું. પછી તો હીરાબહેન પણ એસએનડીટી કોલેજમાં પ્રાધ્યાપિકા બન્યાં.

બે જીવતી, જાગતી, ધબકતી વ્યક્તિઓનાં હૃદય-બુદ્ધિના તાર જોડાઈ ગયા હોય, એક નિશ્ચિત કેમિસ્ટ્રી રચાઈ ચૂકી હોય ત્યારે ઉંમરનો ભેદ અપ્રસ્તુત બની જાય છે. પ્રેમસંબંધ બંધાવાનું નિર્મિત હોય તો સંંબંધ બંધાઈને રહેતો જ હોય છે. હીરાબહેન કહે છે, "એક વાર અમે રજાઓ વરસોવાના સેનેટોરિયમમાં ગાળવાનું ઠરાવેલું. અમારો તો ગુરુ-શિષ્યાનો જ સંબંધ રહેતો અને કોઈ વાર પણ એમને કે મને એકાંતમાં કશી અણઘટતી છૂટ લેવાનો વિચાર સુધ્ધાં આવેલો નહીં, પણ આ દિવસોમાં એ માંદા પડયા. સાતેક દિવસની એ માંદગી દરમ્યાન મેં ખૂબ પ્રેમથી એમની સારવાર કરી. એ માંદગી ગયા પછી પણ એ નંખાઈ ગયેલા અને સૂતા હતા ત્યારે મેં એમના માથા ઉપર હાથ ફેરવવા માંડયો. ત્યારે મારો હાથ પકડી લઈને એ બોલ્યાઃ "મારા જીવન પર તારો પ્રભાવ કેટલો બધો વધી રહ્યો છે એની તને ખબર છે?" અને હું દ્રવી ગઈ. તે જ ક્ષણે મારા મનમાં જીવન સમર્પણનો જે અસ્પષ્ટ ભાવ હતો તે સ્પષ્ટ થયો. હું એમને સમર્પિત થઈ ચૂકી."

પાઠકસાહેબ અને હીરાબહેનના સંબંધ વિશે પરિચિતોમાં ગુસપુસ તો ક્યારની થવા માંડેલી. ૧૯૪૫ના ઉનાળુ વેકેશનમાં એ બન્ને તીથલમાં એક મકાન ભાડે રાખી રહેવા ગયેલાં ત્યારે નિબંધકાર-વિવેચક યશવંત પ્રાણશંકર શુક્લ (જે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા) તેમના મહેમાન બનેલા. એક સાંજે તીથલના દરિયાકાંઠે ત્રણેય ફરવા ગયાં. સૂર્યાસ્ત થતાં રેતીમાં વાતો કરતાં બેઠાં. હીરાબહેને પાઠકસાહેબને સંકેત કર્ર્યોઃ "વાત કરો." પાઠકસાહેબ ટટ્ટાર થયા, સહેજ પ્રયત્નપૂર્વક હસ્યા. પછી કહે, "ભાઈ યશવંત, હીરા સાથે હું લગ્ન કરું તો તમને કેવું લાગે?" યશવંત શુક્લે તરત જ જવાબ આપ્યો, "બહુ સારું લાગે." ત્રણેય વચ્ચે મૌન પ્રસરી ગયું. પાછા ઘરે પહોંચ્યાં ત્યાં સુધી ત્રણેય ખામોશ રહ્યાં. વાળુ કરવા બેઠા ત્યારે હીરાબહેને પૂછયું કે તમે કેમ વિચાર કરવાનો સમય લીધા વગર તરત જ તમારો પ્રતિભાવ આપી દીધો? યશવંત શુક્લે કહ્યું, "આનો વિચાર તો લોકો ક્યારનાયે કરાવતા જ રહ્યા છે. એટલે મારે કશો નવો વિચાર કરવાનો હતો જ નહીં." એમણે કહ્યું કે પણ લોકોને તો અજુગતું લાગશેને? શુક્લજીએ જવાબ આપ્યો, "જરૂર લાગશે, પણ જો તમે બે નિર્ણય પર આવ્યાં હો તો લોકો જખ મારે છે. તમે નિર્ણય કરવા સ્વતંત્ર છો અને મને પોતાને એમાં કશું અજુગતું લાગતું નથી."

હીરાબહેનના પરિવારને આ નિર્ણય વિશે જાણ કરવાની જવાબદારી યશવંત શુક્લને જ સોંપવામાં આવી. આ બધું યશવંત શુક્લે સ્વયં પોતાના સ્મૃતિલેખમાં વર્ણવ્યું છે.

હીરાબહેનના ઘરે જાણ થતાં જ તાંડવ થઈ ગયું. કુટુંબમાં પિતાતુલ્ય મનાતા પાઠકસાહેબ સાથે ૨૯ વર્ષનાં હીરાબહેન લગ્ન કરવાનાં હશે એવું તો સપનામાંય ક્યાંથી ધાર્યું હોય! સદ્ભાગ્યે હીરાબહેન પર કોઈ પાબંદી લગાવવામાં નહોતી આવી. આખરે હીરાબહેનના પરિવારને જાણ કર્યા વગર સાદી હિન્દુવિધિથી ૫૮ વર્ષના રામનારાયણ પાઠકે, પચીસ વર્ષના વૈધવ્ય વેંઢાર્યા બાદ, પોતાના કરતાં અડધી ઉંમરનાં હીરાબહેન સાથે મુંબઈમાં લગ્ન કર્યાં. લગ્નવિધિ વખતે પન્નાલાલ પટેલ, કરસનદાસ માણેક, ગુલાબદાસ બ્રોકર જેવા સાહિત્યકાર મિત્રો-શુભેચ્છકો હાજર હતા. સિનિયર સિટીઝન જુવાન સ્ત્રી સાથે લગ્ન કરે તો આજની તારીખેય લોકોનાં ભવાં ચડી જાય. કલ્પના કરો કે આજથી ૭૦ વર્ષ પહેલાં, ૧૯૪૫માં, આ સમાચાર ફેલાયા પછી કેવો ઊહાપોહ થયો હશે. રા.વિ. પાઠક સેલિબ્રિટી હતા એટલે ખળભળાટ અખબારોમાં પણ પ્રસર્યો. અરે, ગાંધીજી અને વલ્લભભાઈના જે પત્રો આવેલા એમાં પણ નારાજગી વર્તાતી હતી.

આ કંઈ મુગ્ધભાવે કે બીજા કોઈ હેતુથી થયેલાં લગ્ન નહોતાં. એક પ્રખર સાહિત્યકાર અને એક તેજસ્વી સ્ત્રીએ સમજીવિચારીને આ પગલું ભર્યું હતું. સમયની સાથે વિરોધ શમતો ગયો. સમાજમાં બન્નેનો આદરપૂર્વક સ્વીકાર થયો. ટોચના સાહિત્યપુરુષ તરીકે રા.વિ. પાઠકનો જે મહિમા હતો તેમાં વૃદ્ધિ થતી ગઈ. અંતરંગ મિત્રોને બન્નેના અદ્ભુત દાંપત્યનો અહેસાસ થયા વગર ન રહેતો. બન્નેનું ધ્યેયનિષ્ઠ જીવન હતું. બન્ને વાંચે, વિચારે, ચર્ચા કરે. ઘરે મિત્રો આવે ત્યારે કલાકો સુધી ગોષ્ઠિઓ ચાલે. એક આદર્શ પત્નીની માફક હીરાબહેન પાઠકસાહેબની નાની-મોટી તમામ બાબતોની ચીવટપૂર્વક કાળજી લે.

રા.વિ. પાઠક અને હીરાબહેનનું દાંપત્યજીવન દસ વર્ષ ટક્યું. હાર્ટએટેકમાં રા.વિ. પાઠકનું મૃત્યુ થયું. હીરાબહેન પાઠક ક્રમશઃ ઉત્તમ કવયિત્રી અને વિવેચક તરીકે ઊભર્યાં. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક સહિત કેટલાંય સન્માનો પ્રાપ્ત થયાં. 'પરલોકે પત્ર'માં એમણે પાઠકસાહેબને ઉદ્દેશીને અત્યંત સંવેદનશીલ પત્રકાવ્યો અથવા કાવ્યપત્રો લખ્યાં છે. ખરેખર, લગ્નસંબંધમાં વર્ષોના આંકડાનું ક્યાં કશું મહત્ત્વ હોય છે. ચાલીસ-પચાસ વર્ષ એક છત નીચે જીવેેલાં પતિ-પત્નીનું લગ્નજીવન ખાલીખમ ને ખોખલું હોઈ શકે છે, જ્યારે સચ્ચાઈપૂર્વક જિવાયેલું મુઠ્ઠીભર વર્ષોનું સહજીવન આયુષ્યની છેલ્લી ક્ષણ સુધી ચાલે એટલું ભાથું બાંધી દેતું હોય છે...

                                                                   0 0 0 

Sunday, April 12, 2015

મલ્ટિપ્લેક્સ : પરિંદા : તુમ સે મિલ કે... ઐસા લગા તુમ સે મિલ કે...

Sandesh - Sanskaar Purti - 12 April 2015
મલ્ટિપ્લેક્સ 
'પરિંદા'માં કમર્શિયલ હિન્દી ફિલ્મોમાં અગાઉ ક્યારેય જોવા ન મળ્યું હોય એવું રિઅલિઝમ હતું. 'સત્યા', 'બેન્ડિટ કવીન', 'વાસ્તવ'જેવી ફિલ્મોને આવવાને તો હજુ ઘણી વાર હતી. ફિલ્મોમાં આવું જ હોય, ફિલ્મ તો આમ જ બનાવાય એ પ્રકારની કેટલીય પ્રચલિત માન્યતાઓનો 'પરિંદા'એ ભાંગીને ભુક્કો કરી નાખ્યો. કેટલાય નવા ટ્રેન્ડ્ઝ પેદા કર્યા. હિન્દી સિનેમાના પ્રેમીઓ જ નહીં, નવી પેઢીના ફિલ્મમેકરો માટે પણ 'પરિંદા' એક ટેકસ્ટબુક જેવી બની રહી.
A poster of Parinda

તો, લગભગ પાંચ વર્ષથી બની રહેલી 'બ્રોકન હોર્સીસ' આખરે આ શુક્રવારે આખરે રિલીઝ થઈ ખરી. આ પ્રોપર હોલિવૂડ ફિલ્મ છે, જેના ડિરેકટર-પ્રોડયુસર કોઈ અમેરિકન કે એનઆરઆઈ નહીં, પણ પાક્કા બમ્બૈયા વિધુ વિનોદ ચોપડા છે. સહલેખક તરીકે અમદાવાદના અભિજાત જોશીનું નામ બોલે છે. 'બ્રોકન હોર્સીસ' એટલે અનિલ કપૂર-જેકી શ્રોફ-માધુરી દીક્ષિત-નાના પાટેકરને ચમકાવતી 'પરિંદા'ની અંગ્રેજી રીમેક. ૧૯૮૯ના અંતમાં એટલે સમજોને કે લગભગ પચીસ વર્ષ પહેલાં 'પરિંદા' રિલીઝ થઈ હતી. તેની વાર્તામાં આમ જુઓ તો કશું નવું નથી. બે ભાઈઓ છે, ભયંકર સંઘર્ષ કરીને આગળ આવ્યા છે, વિલન નાના ભાઈ અને એની પત્નીને ખતમ નાખે છે અને મોટો ભાઈ એનો બદલો લે છે. બસ, આટલી જ વાત, પણ ફિલ્મનું ડિરેકશન, વાર્તાને આગળ વધારવાની નરેટિવ સ્ટાઇલ, અભિનય અને ટેક્નીકલ પાસાં એવાં ગજબનાક હતાં કે પ્રેક્ષકો, સમીક્ષકો અને ઇવન ઇન્ડસ્ટ્રીના લોકો ફિલ્મ જોઈને ચકિત થઈ ગયા હતા.
'પરિંદા'માં કમર્શિયલ હિન્દી ફિલ્મોમાં અગાઉ ક્યારેય જોવા ન મળ્યું હોય એવું રિઅલિઝમ હતું. 'સત્યા', 'બેન્ડિટ કવીન', 'વાસ્તવ'જેવી ફિલ્મોને આવવાને તો હજુ ઘણી વાર હતી. ફિલ્મોમાં આવું જ હોય, ફિલ્મ તો આમ જ બનાવાય એ પ્રકારની કેટલીય પ્રચલિત માન્યતાઓનો 'પરિંદા'એ ભાંગીને ભુક્કો કરી નાખ્યો. કેટલાય નવા ટ્રેન્ડ્ઝ પેદા કર્યા. હિન્દી સિનેમાના પ્રેમીઓ જ નહીં, નવી પેઢીના ફિલ્મમેકરો માટે પણ 'પરિંદા' એક ટેકસ્ટબુક જેવી બની રહી. હિન્દી સિનેમામાં કલ્ટ કલાસિક ગણાતી આ અફલાતૂન ફિલ્મનાં મેકિંગ વિશે આજે વિગતે વાત કરવી છે.
'પરિંદા' રિલીઝ થઈ ત્યારે વિધુ વિનોદ ચોપડા ૩૭ વર્ષના હતા. જેકી-અનિલ ૩૩ વર્ષના અને ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવેલી માધુરી દીક્ષિત માંડ બાવીસની. 'પરિંદા' અને 'રામ-લખન' બન્ને એક જ વર્ષમાં આવી. પહેલાં 'રામ-લખન', પછી 'પરિંદા'. અનિલ-જેકી-માધુરી બન્નેમાં કોમન હતાં. હકીકતમાં જેકી ઉંમરમાં અનિલ કપૂર કરતાં થોડા મહિના નાનો છે, પણ મેચ્યોર દેખાવને કારણે બન્ને ફિલ્મમાં અનિલ નાના ભાઈનો રોલ કરે છે અને જેકી મોટા ભાઈનો. વિધુ વિનોદ ચોપડાએ અગાઉ ફકત એક જ ફિલ્મ બનાવી હતી, 'ખામોશ'. શબાના આઝમી-અમોલ પાલેકરને ચમકાવતી આ એક ફાંકડી સસ્પેન્સ-થ્રિલર હતી, પણ એના પર આર્ટ ફિલ્મનંુ લેબલ ચોંટી ગયેલું. 'ખામોશ'ને ખરીદવા કોઈ ડિસ્ટ્રીબ્યુટર તૈયાર થતો નહોતો તે દોઢ વર્ષ ડબ્બામાં પડી રહેલી એ ગાળામાં વિનોદના ફ્રસ્ટ્રેશનનો પાર નહોતો. એમણે નક્કી કરી લીધું કે જો આવી માથાઝીંકથી બચવું હશે તો પાક્કી કમર્શિયલ ફિલ્મ જ બનાવવી પડશે. એમણે વાર્તા વિચારી કાઢી. એક દિવસ ભયંકર ધૂંધવાટમાં કોઈકને લખવા બેસાડી દીધોઃ 'હું બોલતો જાઉં છું. તું લખતો જા. લિખ પહેલી લાઇન. દો ભાઈ હૈ. છોટા ભાઈ ભૂખા હૈ. રો રહા હૈ. બડા ભાઈ કહેતા હૈઃ રોતા ક્યું હૈ? મૈં હૂં ના ઈધર...' આ હતો કાગળ પર ઉતરેલો 'પરિંદા'નો પહેલો ડાયલોગ.

નાનો ભાઈનો રોલ અનિલ કપૂર કરશે તે પાક્કું હતું. વિધુની ઇચ્છા મોટા ભાઈ તરીકે અમિતાભ બચ્ચનને અને વિલન અન્ના શેઠના રોલમાં નસીરુદ્દીન શાહને લેવાની હતી. પરિસ્થિતિવશ નસીરની જગ્યાએ નાના પાટેકરને ગોઠવવા પડયા. અગાઉ ત્રણેક ઓફબીટ ફિલ્મો કરી ચૂકેલા નાના પાટેકરની આ સૌથી પહેલી કમર્શિયલ ફિલ્મ હતી. માધુરીનું રીતસર ઓડિશન લેવામાં આવ્યું હતું. મોટા ભાઈ તરીકે જેકી શ્રોફને લેવાનું સૂચન અનિલ કપૂરનું હતું. એણે જેકીને દોસ્તીદાવે અધિકારપૂર્વક કહ્યું: "જેકી, એક ફિલ્મ છે, તારે એ કરવાની છે." જેકી કહે, "કોણ છે ડિરેકટર-પ્રોડયુસર?" અનિલ કહે, "વિધુ વિનોદ ચોપડા." જેકીએ વિનોદનું નામ પણ નહોતું સાંભળ્યું. પૂછપરછ આગળ વધીઃ "મારો રોલ શું છે?" અનિલે કહ્યું, "મારા મોટા ભાઈનો." જેકી ભડક્યો, "હું તારાથી મોટો દેખાઉ છું એનો મતલબ એવો નહીં કે દર વખતે તું મને મોટો ભાઈ બનાવી દે! બડા ભાઈ-બડા ભાઈ કરીને તું તો મને ઇન્ડસ્ટ્રીમાંથી આઉટ કરાવી દઈશ!"
અનિલે હાર ન માની. એણે કારમાં જેકીને એક ગીત સંભળાવ્યું જે ફિલ્મમાં વપરાવાનું હતું. ગીત હતું, 'તુમ સે મિલ કે... ઐસા લગા તુમ સે મિલ કે...' જેકીને ઈમ્પ્રેસ્ડ થઈ ગયો. એને થયું કે જે ડિરેકટર આર.ડી. બર્મન પાસેથી આવું અફલાતૂન ગીત કઢાવી શકે છે તે ફિલ્મ પણ હાઈકલાસ બનાવશે. પૂછ્યું: "ભીડુ, આ ગીત કોના પર પિકચરાઈઝ થવાનું છે?" અનિલ ડરતા ડરતા કહેઃ "મારા પર." બીજો કોઈ એકટર હોત તો આ ઓર નારાજ થઈ જાત, પણ જેકીએ ઊલટી પ્રતિક્રિયા આપીઃ "હવે તો હું હંડ્રેડ પર્સન્ટ આ ફિલ્મ કરીશ!"
જેકીની ઈમેજ એ વખતે દેખાવમાં હેન્ડસમ પણ એકિટંગમાં ડોબા અભિનેતાની હતી. ખેર, વિધુ વિનોદ ચોપડાએ એને પોતાના ઘરે બોલાવીને સ્ક્રિપ્ટની ફાઇલ વાંચવા આપી. થોડી વાર પછી ફાઇલ બંધ કરીને જેકીએ ઘોષણા કરી દીધીઃ મૈં તેરી ફિલ્મ કરુંગા! વિનોદને એમ કે જેકીને સ્ક્રિપ્ટ બહુ ગમી ગઈ લાગે છે, પણ એને ક્યાં ખબર હતી કે જેકી હાથમાં ફકત ફાઈલ પકડીને બેસી રહેલો. એણે જિંદગીમાં ક્યારેય કોઈ સ્ક્રિપ્ટ વાંચી જ નથી. વાંચવાના નામ માત્રથી એને ત્રાસ થતો. એક પાનું પૂરું કરે ત્યાં સુધીમાં ઊંઘ આવવા માંડતી! જેકી બહુ સરળ અને મસ્તમૌલા આદમી છે. એણે વિનોદને એ જ વખતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું: "ભીડુ, યે જો તુને બડે ભાઈ કા જો રોલ લિખા હૈ વો બડા મુશ્કિલ હૈ. અપુન કો એકિટંગ-બેકિટંગ નહીં આતા. તુ સમ્હાલ લેના!" વિનોદ અવાચક થઈ ગયા. જેકીએ વિદાય લે તે પહેલાં વિનોદે એના હાથમાં એેક ચિઠ્ઠી પકડાવીને કહ્યું: "રોજ સવારે ઉઠીને તારે સો વાર આ ચિઠ્ઠી વાંચવાની." શું લખ્યું હતું ચિઠ્ઠીમાં? 'આઈ કેન એકટ!'

'પરિંદા'ની કેમરા પાછળની ટીમ જબરદસ્ત હતી. સિનેમેટોગ્રાફર તરીકે બિનોદ પ્રધાન, એડિટર તરીકે વિધુ વિનોદ ચોપડાની પ્રથમ પત્ની રેણુ સલુજા, ગીતોનાં પિક્ચરાઈઝેશનમાં આસિસ્ટ કરવા માટે સંજય લીલા ભણસાલી અને ફરાહ ખાન. 'પરિંદા'માં વિનોદે પડછાયાનો પુષ્કળ ઉપયોગ કર્યો છે. ફિલ્મનો લૂક નક્કી કરવા માટે તેઓ પોતાના સિનેમેટોગ્રાફર સાથે જુદા જુદા પેઈન્ટર્સનાં ચિત્રોને રેફરન્સ મટીરિયલ તરીકે રીફર કરે, ચિત્રોની શૈલી પરથી ફિલ્મની વિઝ્યુઅલ થીમ ક્યા પ્રકારની હોઈ શકે તેના આઈડિયા મેળવે. 'પરિંદા'થી માંડીને 'બ્રોકન હોર્સીસ' સુધીની પોતે ડિરેકટ કરેલી તમામ ફિલ્મોની વિઝ્યુઅલ થીમ વિનોદે આ રીતે નક્કી કરી છે.
વિનોદને પોતાની આવડત પર ગજબનો કોન્ફિડન્સ. ક્યારેક કોઈ એકટર કહે કે વિનોદ, આ ડાયલોગ બરાબર નથી તો એ ફટાક કરતા કહી દેઃ તો તૂ લિખ લે ના અપને હિસાબ સે! અનિલ કપૂર એકાદ-બે વાર કહેલું કે ફલાણા સીનના એડિટમાં મજા આવતી નથી. વિનોદ કહ્યું: તો તું બેસી જા એડિટર સાથે, તારી રીતે સીન મઠારી લે! વાસ્તવમાં વિનોદને ખબર જ હોય કે પોતે જે રીતે સીન વિચાર્યો છે તે બેસ્ટ છે, છતાંય એ એકટરો-ટેકિનશિયનોને અખતરા કરવા માટે ભરપૂર છૂટ આપે. આખરે સામેના માણસને સમજાયા વગર ન રહે કે વિનોદનું વર્ઝન જ બરાબર હતું.
'પરિંદા'માં બિયરનો મગ, વાયરના ગૂંચળા, દરવાજાનો નૉબ વગેરે જેવી નિર્જીવ વસ્તુઓના ખૂબ બધા કલોઝ-અપ છે. આવું ઓડિયન્સે અગાઉ ભાગ્યે જ જોયું હતું. એક સીનમાંથી બીજા સીનમાં જવા માટે સાંધા અથવા તો ટ્રાન્ઝિશન તરીકે વિનોદ સાઉન્ડ કટ્સનો કમાલ ઉપયોગ કરી જાણે છે. જેમ કે, ફિલ્મના અંતભાગમાં હતાશ થઈ ચુકેલો, ભાંગી પડેલો જેકી મોટેથી ચિલ્લાય છે. નેકસ્ટ શોટમાં આ ચીસનો અવાજ ગેટ વે ઓફ ઇન્ડિયા પર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ઊજવવા ભેગા થયેલા હજારો માણસોના કોલાહલમાં ભળી જાય છે અને તે સાથે જ નવી સિકવન્સ શરૂ થાય છે.
Madhuri Dixit in classing love-making scene of Parinda

'પરિંદા'ના કલાઇમેક્સમાં આવતાં અનિલ કપૂર-માધુરી દીક્ષિતના સુહાગ રાતવાળા લવ-મેકિંગ સીનનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. હિન્દી સિનેમામાં અગાઉ કદાચ ક્યારેય કોઈ લવમેકિંગ સીન આટલા આવેગ અને એસ્થેટેકિસ સાથે પેશ થયો નહોતો. આ દશ્યમાં અનિલ અને માધુરીને નિર્વસ્ત્ર અવસ્થામાં સાંકેતિક રીતે સંવનન કરતાં દેખાડવામાં આવ્યાં છે. વિનોદ સામે પડકાર આ હતો કે લવસીનમાં સહેજે કોમ્પ્રામાઈઝ ન કરવું, પણ તે એવી રીતે શૂટ કરવો કે ઓડિયન્સમાંથી કોઈને સીટી મારવાનું કે ગંદી કોમેન્ટ કરવાનું સૂઝે નહીં.વળી, આ સીન સેન્સર બોર્ડમાંથી પણ પાસ થવો જોઈએ.
વિનોદે તૈયારી માટે પોતાની બીજા નંબરની પત્ની શબનમ સુખદેવ અને સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાનની મદદ લીધી. અંધકારમાં શબનમના ઉઘાડા હાથ, પીઠ, ગરદન પર ટોર્ચ ફેંકીને એના પ્રકાશમાં સ્ટિલ કેમેરાથી તસવીરો ખેંચી. તસવીરોમાં આ અંગોનો આકાર સૂચવતી પ્રકાશિત રેખાઓ અને સ્કિનનું ટેક્સ્ચર - એટલું જ દેખાતું હતું. વિનોદે આ ફોટોગ્રાફ્સ પછી માધુરી દીક્ષિતને બતાવીને કહ્યું કે મારે સ્ક્રીન પર આ પ્રકારની ઈમ્પેકટ જોઈએ છે. આ દશ્યમાં માધુરીએ ભદ્દુ અંગપ્રદર્શન કરવાનું હતું જ નહીં. આખરે મુંબઈના ઈરોસ સિનેમામાં વિનોદે પહેલી વાર ઓડિયન્સ સાથે આ ફિલ્મ જોઈ ત્યારે આ સુહાગરાતની સિકવન્સ વખતે ન એક પણ સીટી ન વાગી કે ન કોઈ વલ્ગર કોમેન્ટ થઈ. ઓડિયન્સ આ સીન વખતે સ્થિર થઈ થઈ ગયું હતું. વિનોદની છાતી પરથી મોટો બોજ ઊતરી ગયો.
Nostalgia: Vidhu Vinod Chopra (L) discussing the making of Parinda with Anil Kapoor,
Jackie Shroff and Anurag Kashyap

'પરિંદા'નો ખરો સીન-સ્ટીલર યા તો સરપ્રાઈઝ પેકેજ જેકી શ્રોફ સાબિત થયો. ફિલ્મને બબ્બે નેશનલ અવોર્ડ્ઝ મળ્યા, ઓસ્કર અવોર્ડ્ઝમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે ભારતીય એન્ટ્રી તરીકે તેની પસંદગી થઈ. 'પરિંદા'ના મેકિંગ વિશે વિનોદ-જેકી-અનિલનાં લાઈવ ડિસ્કશનનો વિડિયો યુટયુબ પર જોવો જેવો છે. હવે 'પરિંદા' પરથી બનેલી 'બ્રોકન હોર્સીસ'નું શું થાય છે તે જોવાની મોજ પડશે.
0 0 0 

Tuesday, April 7, 2015

ટેક ઓફ : સ્ત્રીઓને શું જોઈએ?

Sandesh - Ardh Saptahik purti - 8 April 2015
ટેક ઓફ 
ભારતનાં ઉત્તમ નીતિમૂલ્યો જાળવી રાખીને એમાં પશ્ચિમનાં શ્રેષ્ઠ પાસાં ઉમેરવાં છેબેસ્ટ-ઓફ-બોથ-ધ-વર્લ્ડ્ઝનું અદ્ભુત કોકટેલ બનાવવું છે? કે પછી આપણું જે કંઈ સારું છે એને ફગાવી દઈને પશ્ચિમનો કચરો સંઘર્યા કરવો છે? ચોઇસ આપણે જ કરવાની છે.


ક વિરાટ લોખંડી ગોળો કલ્પી લો. એ પહાડ પરથી ગબડતો ગબડતો નીચે આવી રહ્યો છે. આ ગોળાને બ્રેક મારી શકાય તેમ નથી. ખાઈમાં અથવા તો સીધી સપાટી પર પટકાશે પછી જ એની ગતિ ધીમે ધીમે અટકશે. આપણી સંસ્કૃતિનું જે રીતે પશ્ચિમીકરણ થઈ રહ્યું છે તે પ્રક્રિયાને પહાડ પરથી ઝપાટાભેર ગબડી રહેલા વિરાટ ગોળા સાથે સરખાવો. આ પ્રક્રિયાને અટકાવી નહીં શકાય. ગોળો પડતો-આખડતો નીચેની ગતિ કરશે જ, એણે કરવી જ પડશે, જ્યાં સુધી એક સંતુલન બિંદુ નહીં આવે ત્યાં સુધી.
તાજેતરમાં દીપિકા પાદુકોણ જેવી દેશની ટોપ એક્ટ્રેસને ચમકાવતા 'માય ચોઇસ' વીડિયોને લીધે જે બુમરાણ મચ્યું તે સંભવતઃ આ ગબડતા ગોળાને અટકાવવા માટેનું બુમરાણ છે. વીડિયોમાં એવું તે શું છે કે લોકો આકળવિકળ થઈ ગયા? જે વાચકોને હજુ સુધી જાણ નથી થઈ તેમની જાણકારી માટે નોંધવાનું કે બે મિનિટના આ બ્લેક-એન્ડ-વ્હાઇટ વીડિયો અથવા શોર્ટ ફિલ્મમાં દીપિકા પાદુકોણની સાથે બીજી ૯૮ સ્ત્રીઓને એક પછી એક ઝપાટાભેર દેખાડવામાં આવે છે. બેકગ્રાઉન્ડમાં દીપિકાના સપાટ અવાજમાં'નારીવાદી' ઉચ્ચારણો સંભળાતાં રહે છે. આ નારીવાદી નારાના કેટલાક અંશઃ
"મારુંં શરીર, મારુંં મન, મારી ચોઇસ. હું મનફાવે એવાં કપડાં પહેરુંં, પછી ભલે મારો આત્મા નગ્ન ભટકતો હોય. હું સાઇઝ ઝીરો રહું કે સાઇઝ પંદર થઈ જાઉં, એ મારી ચોઇસ છે. એ લોકો (એટલે કે સ્ત્રીને ઊતરતી સમજનારાઓ) પાસે મારા આત્માને માપવાની માપપટ્ટી છે પણ નહીં અને ક્યારેય હશે પણ નહીં... લગ્ન કરવાં કે ન કરવાં, લગ્ન પહેલાં સેક્સ માણવું, લગ્નસંબંધની બહાર પરપુરુષો સાથે સેક્સ માણવું કે બિલકુલ સેક્સ ન માણવું - આ મારી ચોઇસ છે. હું કામચલાઉ પ્રેમ કરુંં કે કાયમ વાસનામાં સળગતી રહું એ મારી ચોઇસ છે. હું પુરુષને પ્રેમ કરુંં, સ્ત્રીને પ્રેમ કરુંં કે બન્નેને પ્રેમ કરુંં એ મારી ચોઇસ છે. હું મનફાવે ત્યારે ઘરે આવી શકું છું. હું સવારે ચાર વાગ્યે ઘરે પાછી ફરુંં તો તારે નારાજ નહીં થવાનું. હું સાંજે છ વાગ્યે પાછી આવી જઉં તો તારે ખોટેખોટા હરખાઈ નહીં જવાનું. સંતાન પેદા કરવાં કે ન કરવાં એ મારી ચોઇસ છે..." વગેરે વગેરે.
બાકીનો પ્રલાપ તો જાણે ઠીક છે, પણ લગ્નબાહ્ય લફરાં કરવાં એ મારી મુનસફીની વાત છે એવા મતલબની જે વાત કહેવાઈ છે તેણે સૌથી તીવ્ર પ્રતિક્રિયાઓ જન્માવી છે. નેચરલી. આ કયા પ્રકારનો નારીવાદ છે? આમાં સ્ત્રીને કઈ બાબતમાં સપોર્ટ કરવાની,કઈ જાતના સશક્તીકરણની અને કેવા પ્રકારના સમાન તક-સ્વાતંત્ર્ય-અધિકાર આપવાની વાત કહેવાઈ છે? આ નારીવાદ નથી, નારીવાદની ભદ્દી મજાક છે, એનું અપમાન છે. સ્ત્રી-પુરુષ સમાનતા એક ઉત્તમ ભાવના છે, પણ આ વીડિયોને તેની સાથે કે વુમન એમ્પાવરમેન્ટના કોન્સેપ્ટ સાથે કોઈ લેવાદેવા નથી.
'વોગ' નામનું ફેશનના ક્ષેત્રમાં ખાસ્સું ઇન્ફ્લ્યુએન્શિયલ ગણાતું એક અમેરિકન મેગેઝિન છે. દુનિયાભરના ૨૩ દેશોમાં એની સ્વતંત્ર આવૃત્તિઓ છપાય છે. ૨૦૦૭થી ભારતમાં 'વોગ' છપાવાનું શરૂ થયું. અતિ હાઈ ફેશન અને લાઇફસ્ટાઇલના લેખો-ફોટાઓ છાપતું આ 'નિશ' મેગેઝિન ઓડકાર અને વા-છૂટ પણ અંગ્રેજીમાં કરતા મુઠ્ઠીભર ઉચ્ચભ્રૂ વર્ગ સુધી માંડ પહોંચે છે. ગયા ઓક્ટોબરમાં ઇન્ડિયન 'વોગ'ની સાતમી એનિવર્સરી નિમિત્તે એ લોકોએ વોગ એમ્પાવર નામનું ઇનિશિએટિવ શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેમણે માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ જેવી સેલિબ્રિટીઝને લઈને કેટલીક શોર્ટ ફિલ્મ્સ બનાવી છે, જે ખરેખર સરસ છે. આ વખતે મેગેઝિનની એડિટોરિયલ અને ખાસ તો માર્કેટિંગ ટીમના આઠ-દસ માણસોમાં એરકન્ડિશન્ડ કોન્ફરન્સ રૂમમાં બેઠા બેઠા વિચાર્યું હશે કે હાલો હાલો, આ વખતે સરસ કરતાં એવંુ કશુંક હટકે બનાવીએ કે તરત લોકોનું ધ્યાન ખેંચાય. આજકાલ કઈ હિરોઇન હોટ-એન્ડ-હેપનિંગ છે? દીપિકા પાદુકોણ. એને લઈ લો. કોની પાસે વીડિયો બનાવડાવીશું? દીપિકાની 'ફાઇન્ડિંગ ફેની' નામની ફિલ્મ ડિરેક્ટ કરનાર હોમી અડજાણિયા પાસે. સ્ક્રિપ્ટ કોની પાસે લખાવીશું? 'ફાઇન્ડિંગ ફેની'ના રાઇટર કેરસી ખંભાતાને જ આ કામ સોંપોને. દોસ્તીના કમ્ફર્ટ ઝોનમાં વીડિયોની 'ક્રિએટિવ' ટીમ તૈયાર થઈ એટલે કેરસીભાઈએ નારીવાદના નામે તદ્દન છીછરાં, થર્ડ રેટ અને ઘટિયાં વાક્યોે ઘસડી માર્યાં. વીડિયોમાં બાકીની જે સ્ત્રીઓ દેખાય છે એમાંની કેટલીયને શૂટિંગ દરમિયાન સ્ક્રિપ્ટ શું છે તે પણ જાણ નહોતી. મેન્ટલ હેલ્થ જેવા ગંભીર ક્ષેત્રમાં હિંમતભેર કામ કરવાની શરૂઆત કરનારી દીપિકાએ જે આબરૂ ઊભી કરી હતી તે સઘળી આ 'માય ચોઇસ' વીડિયોએ ધોઈ નાખી. આ વીડિયો જોઈને થોડા વાહ-વાહ કરનારા પણ નીકળ્યા, પણ ચારે તરફથી આ ગિમિકને જે રીતે ગાળો પડી છે તે જોઈને 'વોગ'ની એડિટોરિયલ ટીમ ડઘાઈ ગઈ હશે. માર્કેટિંગવાળા જોકે હરખાતા હશે, કેમ કે આ જોણાંને કારણે 'વોગ' મેગેઝિન અને એમનું વોગ એમ્પાવર નામનું ઇનિશિએટિવ એકદમ ન્યૂઝમાં આવી ગયાં. 'માય ચોઇસ' વીડિયો ભયાનક ઝડપે વાઇરલ થઈ ગયો. કમેન્ટ્સનો વરસાદ વરસ્યો. દીપિકા ભારદ્વાજ નામની એક મહિલાએ એવી સચોટ,લોજિકલ અને જડબાતોેડ પ્રતિક્રિયા આપી કે 'વોગ'વાળાએ ગભરાઈને એની કમેન્ટ ડિલીટ કરી નાખવી પડી. શું લખાયું હતું એની કમેન્ટમાં? સાંભળોઃ
"જો લગ્ન બહાર શારીરિક સંબંધો બાંધવાને તું તારી ચોઇસ સમજતી હોય તો પત્ની સિવાયની સ્ત્રીઓ સાથે સંબંધો બાંધવા એ પુરુષની ચોઇસ છે. તો પછી જેની-તેની સાથે સૂઈ જતા પતિને તારે વુમનાઇઝર કે લફરેબાજ નહીં કહેવાનો અને એના આવા વર્તાવથી દુઃખ પણ નહીં લગાડવાનું. એ તને ગમે તેવી સમજે કે તારા વિશે ગમે તેવો અભિપ્રાય ધરાવે, એ એની ચોઇસ છે! તું સ્વેચ્છાએ પુરુષ સાથે શરીરસુખ માણે અને પછી એ તારી સાથે લગ્ન કરવાની ના પાડે તો રેપ-રેપનું બુમરાણ મચાવીને એના પર કેસ નહીં ઠોકી દેવાનો, કેમ કે તારી સાથે પરણવું કે ન પરણવું એ એની ચોઇસ છે. જો પુરુષને લગ્ન કરવા માટે ફક્ત ગોરી-ગોરી છોકરી જ જોઈતી હોય તો એને સેક્સીસ્ટ કે રંગભેદી નહીં કહેવાનો. એ કાળી-ધોળી-લાંબી-ટૂંકી ગમે તેવી કન્યાને પસંદ કરે છે, એ એની ચોઇસ છે. માલદાર બાપની દીકરીને પરણીશ તો એ પુષ્કળ માલમલીદો સાથે લેતી આવશે અને લાઇફ આસાન થઈ જશે એવી ગણતરી કરીને એ શ્રીમંત પરિવારમાં પરણવા માગતો હોય તોય એને દહેજનો લાલચુ નહીં કહેવાનો, કારણ કે પૈસાવાળી છોકરી સાથે શાદી કરવી કે નહીં એ એની ચોઇસ છે. લગ્ન પહેલાં કે પછી એ સ્ત્રીને પ્રેમ કરે, પુરુષને પ્રેમ કરે કે કોઈને પણ પ્રેમ ન કરે, એની મરજી. તારે એને નપુંસક, નમાલો કે ગે કહીને ઉતારી નહીં પાડવાનો કે એના પર કોઈ જાતની કાર્યવાહી નહીં કરવાની.

"લગ્ન પછી માબાપની સાથે રહેવું કે નહીં તે એ નક્કી કરશે. તારે એને અલગ થઈ જવા માટે દબાણ નહીં કરવાનું,કેમ કે માબાપના ઘરમાં રહેવું તે એની ચોઇસ છે અને લગ્ન કરીને તું તારી મરજીથી એના ઘરમાં રહેવા આવી છે. તારી ઇચ્છાઓ અને માગણીઓ સંતોષાતી રહે એટલા ખાતર એ જાણે મશીન કે રોબો હોય એમ એની પિદૂડી નહીં કાઢવાની. એ પણ માણસ છે અને એની પાસે પણ તારા જેટલા જ અધિકારો તેમજ ગમા-અણગમા છે. દીપિકા પાદુકોણ અને આ વીડિયોમાં વ્યક્ત થયેલા વિચારો સાથે સંમત થતી સ્ત્રીઓ મનફાવે તે રીતે, પોતાની ચોઇસ પ્રમાણે જીવી શકે છે, પણ પછી સમાજ તમને ગમે તે દૃષ્ટિએ જુએ, તમારે એ ચૂપચાપ સ્વીકારી લેવાનું, કારણ કે તમારા વિશે કેવો અભિપ્રાય બાંધવો એ સમાજની ચોઇસ છે."   

પશ્ચિમનું સિનેમા, ટીવી, સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ વગેરે પશ્ચિમની વેલ્યૂઝ અથવા નીતિમૂલ્યો પોતાની સાથે લેતું આવે છે. આ જ તો પશ્ચિમીકરણની પ્રક્રિયાને વેગ આપનારાં માધ્યમો છે. પશ્ચિમનું જ્ઞાાન, કળા, ઉચ્ચતા-ગુણવત્તા-શ્રેષ્ઠતાનો આગ્રહ, સમયની સાથે તાલ મિલાવતો આધુનિક મિજાજ, સ્વચ્છતા, એટિકેટ આ બધું આપણને પ્રચંડ આકર્ષે છે. આ ઉત્તમ અને અપનાવવા જેવી બાબતો છે, પણ પશ્ચિમનું કંઈ બધું જ શ્રેષ્ઠ નથી. હોઈ પણ ન શકે. શહેરી ભારતના પશ્ચિમીકરણની પ્રક્રિયામાં ત્યાંની કેટલીક નઠારી બાબતો પણ આપણા માહોલમાં ભળી ગઈ છે. 'વોગ'ના વીડિયોમાં વ્યક્ત થયેલી બેવકૂફ સ્વચ્છંદતા એનું એક નાનું ઉદાહરણ છે. પશ્ચિમનું ધમાકેદાર સંગીત આપણે ત્યાં આવ્યું તો પાછળ પાછળ ભયાનક અશ્લીલ પોર્નોગ્રાફિક ગીતો પણ આવ્યાં,જે હની સિંહ નામના છીછરા ગવૈયાએ ગાઈ નાખ્યાં. પશ્ચિમની પોર્ન ઇન્ડસ્ટ્રીની જેમ આપણે ત્યાં પણ વહેલામોડા પોર્ન સ્ટાર્સ અને પોર્ન સુપરસ્ટાર્સ આવી જાય અને એ લોકોને અવોર્ડ્ઝ સુધ્ધાં આપવાનું શરૂ થાય તો આશ્ચર્ય નહીં પામવાનું.
આવું બધું થવાનું જ. સમયની સાથે એની માત્રા સતત વધતી જવાની. પશ્ચિમની કેટલીય ઉત્તમ ચીજોની સાથે સાથે ત્યાંનો ગંદવાડો પણ આપણે ત્યાં આવવાનો. પહાડ પરથી પશ્ચિમીકરણનો વિરાટ ગોળો ગબડી રહ્યો છે. એને બ્રેક નહીં જ લાગે. આપણી સામે આ પ્રશ્નો છાતી કાઢીને ઊભા છેઃ ભારતનાં ઉત્તમ નીતિમૂલ્યો જાળવી રાખીને એમાં પશ્ચિમનાં શ્રેષ્ઠ પાસાં ઉમેરવાં છે? બેસ્ટ-ઓફ-બોથ-ધ-વર્લ્ડ્ઝનું અદ્ભુત કોકટલ બનાવવું છે? કે પછી, આપણું જે કંઈ સારુંં છે એને ફગાવી દઈને પશ્ચિમનો કચરો સંઘર્યા કરવો છે? પૂર્વ-પશ્ચિમની સેળભેળથી આંધાધૂંધી થવાની જ, પણ આખરે ચોઇસ તો આપણે જ કરવાની છે.
                                         0 0 0