Showing posts with label Fountainhead. Show all posts
Showing posts with label Fountainhead. Show all posts

Tuesday, January 10, 2017

તમારી ફેવરિટ હીરોઈન અસલી ખૂન કરે તો તમે એની મદદ કરો ખરા?

Sandesh - Ardh Saptahik Purti - 11 Jan 2017
ટેક ઓફ
વીસમી સદીનાં સૌથી પ્રભાવશાળી સર્જકોમાંનાં એક એવાં એન રેન્ડે સૌથી પહેલી 'આઈડીઅલ' નામની નવલકથા લખી હતી, પણ આ કૃતિ એમણે ક્યારેય છપાવી નહીં.  તેઓ વર્લ્ડ-ફેમસ રાઈટર બની ગયાં પછી પણ નહીં. આ નવલકથા એમનાં મૃત્યુનાં છેક 33 વર્ષ પછી બહાર પડી. સિદ્ધહસ્ત લેખક સર્જન કર્યા પછી તેને લોકો સામે ન મૂકવાનું ક્યારેક પસંદ કરતો હોય છે તેનું કારણ શું?

ધારો કે તમે પ્રિયંકા ચોપરાના જબરદસ્ત ફેન છો. પ્રિયંકા મિસ વર્લ્ડ બની ત્યારથી તમે એની પાછળ પાગલ છો. એમાંય બોલિવૂડની ટોપની હિરોઈન બન્યા પછી પ્રિયંકા હાલ જે રીતે હોલિવૂડમાં ધામા નાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે તરંગો સર્જી રહી છે એ જોઈને તમારી છાતી ગજ ગજ ફૂલે છે. તમે એવા હરખાઓ છો કે જાણે તમારું હૃદય છાતીનું પિંજરું ફડીને બહાર આવી જશે. તમે કેટલાય વર્ષોથી એના બર્થડે પર એને ગિફ્ટ અને બુકે મોકલો છો. સાથે સાથે ફેન-લેટર પણ બીડો છો. દર વર્ષે તમે પત્રમાં તમે એક વાત જરૂર લખો છોઃ પ્રિયંકા, હું તારો એટલો મોટો ફેન છું અને તને એટલો બધો ચાહું છું કે તારા માટે મારો જીવ આપી શકું. પ્રિયંકાએ એક વાર સામે તમને ‘થેન્કયુ’નું કાર્ડ મોકલ્યું હતું જે તમે ભારે ગર્વથી મઢાવીને ડ્રોઇંગરૂમમાં ટાગ્યું છે.
હવે કલ્પનાને આગળ વધારો. ધારો કે અસલી પ્રિયંકા ચોપરાનાં હાથે હોલિવૂડના કોઈ મોટા ડિરેકટરનું ખૂન થઈ જાય છે. શૂટિંગ દરમિયાન કેમેરા સામે નહીં, પણ સાચેસાચું, ભયાનક ક્રોધના પરિણામ રૂપે ડિરેકટરના ઘરની ચાર દીવાલ વચ્ચે થઈ ગયેલું અસલી ખૂન. જ્યાં સુધીમાં પોલીસ-મીડિયા વગેરેની નજરમાં હત્યાનો મામલો ચડે ત્યાં સુધીમાં પ્રિયંકા ઇન્ડિયા ભાગી આવે છે. એ કોઈ સલામત જગ્યાએ સંતાવા માગે છે, પણ એને ખબર નથી કે કયાં અને કોની પાસે જવું. અચાનક તેના દિમાગમાં તમારું નામ ઝબકે છે. એ વિચારે છે કે મિસ્ટર સો-એન્ડ-સો મારો આવડો મોટો ફેન છે, દર વર્ષે મારા માટે જાન હથેળી પર હાજર કરવાની વાત કરે છે, તો એ મને જરૂર મદદ કરશે. ધારો કે પ્રિયંકા ચોપડા તમને ફોન કરીને કાકલૂદી કરે કે દોસ્ત, હું મુસીબતમાં છું, પ્લીઝ મારી મદદ કરો… તો? તમે સારી રીતે જાણો છો કે આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસ હવે આખી દુનિયામાં ગાજી રહૃાો છે અને ઇવન ભારતની પોલીસ પણ સાબદી થઈ ગઈ છે એટલે જો તમે પ્રિયંકાને સહેજ અમથી મદદ કરશો તો પણ ભેખડે ભરાઈ જશો. તો હવે તમે શું કરશો?
બસ, આ છે મહાન લેખિકા એન રેન્ડની સૌથી પહેલી નવલકથા ‘આઈડીઅલ’નો પ્લોટ, જે એમના મૃત્યુના ૩૩ વર્ષ પછી, છેક ૨૦૧૫માં પ્રકાશિત થઈ. નવલકથામાં એન રેન્ડે આ પ્લોટને ખૂબ બહેલાવ્યો છે. આમાં હત્યાના આરોપથી ખરડાયેલી હોલિવૂડની ટોચની હીરોઈન પોતાના પર જીવ ન્યોછાવર કરવા તૈયાર હોય એવા એક નહીં પણ છ-છ ચાહકોની મદદ માગે છે. એક ગૃહસ્થ છે, બીજો ડાબેરી એકિટવિસ્ટ, ત્રીજો ચિત્રકાર, ચોથો ઉપદેશક, પાંચમો પ્લેબોય અને છઠ્ઠો ફ્કકડ ગિરધારી આદમી છે. જેને તેઓ પોતાની ડ્રિમગર્લ કે આદર્શ સ્ત્ર્રી માનતા હતા એ હીરોઈન સાક્ષાત જ્યારે મદદ માટે હાથ લંબાવે છે ત્યારે બધાની પ્રતિક્રિયાઓ સાવ જુદી જુદી આવે છે. આ પ્રતિક્રિયાઓમાંથી સૌનું ખરું વ્યકિતત્વ છતું થાય છે. 
અફ્લાતૂન પ્લોટ છે. ૧૯૩૪માં આ નવલકથા લખી ત્યારે એન રેન્ડ પૂરાં ત્રીસ વર્ષનાં પણ નહોતાં. રશિયામાં જન્મેલાં અને પણ પછી અમેરિકાને પોતાની કર્મભૂમિ બનાવનારાં એન રેન્ડની પહેલી પ્રકાશિત નવલકથા ‘વી ધ લિવિંગ’ ૧૯૩૬માં આવી. તે પછી બહાર પડેલી ‘ધ ફાઉન્ટનહેડ’ (૧૯૪૩) અને ‘એટલાસ શ્રગ્ડ’ (૧૯૫૭) સર્વકાલીન કલાસિક કૃતિઓ ગણાય છે. આ અદભુત નવલક્થાઓ વાંચીને દુનિયાભરની કેટલીય પેઢીઓ તીવ્રતાથી પ્રભાવિત થઈ છે, આજેય થઈ રહી છે. ‘ધ ફાઉન્ટનહેડ’ બહાર પડી ત્યારે એન રેન્ડ ૩૮ વર્ષનાં હતાં અને ‘એટલાસ શ્રગ્ડ’ વખતે બાવનનાં.

આજે આપણે વાત ‘આઈડીઅલ’ની કરવી છે. એને રેન્ડ એક વાર કોઈ અઠંગ ફ્લ્મિપ્રેમી સાથે વાતચીત કરી રહૃાાં હતાં ત્યારે પેલો બોલ્યો હતો કે ફ્લાણી હીરોઈન તો મને એટલી બધી ગમે છે કે એના માટે હું જીવ આપી દેતા ન ખચકાઉં. એન રેન્ડનાં મનમાં તરત સવાલ ઝબકયોઃ ખરેખર? બસ, આ વિચારબીજ પરથી એમણે સો-સવાસો પાનાંની (ટુ બી પ્રિસાઈઝ, ૩૪ હજાર શબ્દોની) 'આઈડીઅલ' નામની આ નવલકથા લખી નાખી.
એન રેન્ડે આ કૃતિ લખી ખરી, પણ છપાવી નહીં. આમાં એક પછી એક છ પાત્રોની વાત વારાફરતી આવે છે એટલે એન રેન્ડે વિચાર્યુ કે વાચકોને કદાચ આ નવલકથા ધીમી લાગશે. એમને આ વિષય નવલકથા કરતાં નાટક માટે વધારે યોગ્ય લાગ્યો. આથી એમણે ‘આઈડીઅલ’ શીર્ષક યથાવત્ રહેવા દઈને આ જ પ્લોટ પરથી ફુલલેન્થ નાટક લખ્યું. નવલકથાનાં કાગળિયાં તેઓ ૧૯૮૨માં મૃત્યુ પામ્યાં ત્યાં સુધી ફાઈલમાં એમ જ પડી રહૃાાં.
એન રેન્ડનાં એક વિશ્વાસુ મિત્ર હતા – લિઓનાર્ડ પિકોફ. તેઓ સ્વયં લેખક-વિચારક છે અને આજની તારીખેય હયાત છે. એમણે ૧૯૮૫માં એન રેન્ડ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી. એન રેન્ડનાં નિધનના થોડા અરસા પછી એક વાર તેઓ એન રેન્ડનાં કાગળિયાં, પુસ્તકો વગેરે ગોઠવી રહૃાા હતા ત્યારે અચાનક તેમના હાથમાં ‘આઈડીઅલ’ નવલકથાની પેલી જૂની ફાઈલ આવી ગઈ. આ નામનાં નાટક વિશે લિઓનાર્ડ જાણતા હતા, પણ એને રેન્ડે નાટકની પહેલાં આ નવલકથા પણ લખી હતી તેનો તેમને અંદાજ નહોતો. લિઓનાર્ડે જસ્ટ એમ જ ઉપરઉપરથી પાનાં ફેરવવાનું શરૂ કર્યું, પણ આમ કરતાં કરતાં કયારે વાર્તાના પ્રવાહમાં તણાઈ ગયા એનું એમને ભાન ન રહૃાું. નવલકથા પૂરી થઈ ત્યાં સુધીમાં તેમની આંખો છલકાઈ ચૂકી હતી. લિઓનાર્ડને થયું કે આટલી સરસ રચના… એને દુનિયાભરમાં ફેલાયેલા એન રેન્ડનાં ચાહકો સામે ન મૂકીએ તો તો પાપ પડે!

આ પ્રોજેકટ વર્ષો પછી એન રેન્ડનાં લખાણોનું ડિજિટાઈઝેશનની ગતિવિધિ શરૂ થઈ ત્યારે પાર પડયું. લિઓનાર્ડ આ નવલકથાને એન રેન્ડનું જુવેનાઈલ (બચ્ચા જેવું, બાલિશ, કાચું) લખાણ કહે છે. એને રેન્ડે જ્યારે આ કૃતિ લખી ત્યારે બીજાઓ શું, એમણે પોતે પણ કલ્પના કરી નહીં હોય કે ભવિષ્યમાં તેઓ કેવું વિરાટ કામ કરવાનાં છે. એન રેન્ડ જેવાં પ્રભાવશાળી સર્જકના પ્રારંભિક અને ‘બચ્ચા જેવા’ લાગતાં લખાણોમાં પણ તેમના ચાહકોને જ નહીં, અભ્યાસુઓને પણ ઊંડો રસ પડતો હોય છે. મસ્ત વાત એ છે કે જો તમે ‘આઈડીઅલ’ નવલકથા ખરીદશો કે ઓનલાઈન ઓર્ડર કરશો તો નાટક તમને ફ્રીમાં મળશે, કારણ કે ચોપડીમાં આ બન્નેને એકસાથે સમાવી લેવામાં આવ્યાં છે. આને કહેવાય ડબલ બોનાન્ઝા. એન રેન્ડના ચાહકોએ આ નવલકથા અને નાટક બન્ને વારાફરતી વાંચી બન્નેમાં ક્યાં અને કેવા ફેરફાર કર્યા છે તેનો અભ્યાસ કરવા જેવો છે. જલસો પડે એવી એકસરસાઈઝ છે આ.

હા, તો ફરી એ જ સવાલ. ધારો કે તમારી ફેવરીટ હીરોઈન કે હીરો કે લેખક કે ઉપદેશક કે નેતા કોઈપણ સફળ સેલિબ્રિટી કે જેના પ્રત્યે તમને જબરદસ્ત પ્રેમ અને આદર છે અને જેનાથી તમે ખૂબ પ્રભાવિત છો એવી વ્યક્તિ ખૂન જેવો ભયંકર ગુનો કરીને ભાગેડુ બની ગઈ હોય તો તમે એની મદદ કરો ખરા? 
0 0 0 

Wednesday, September 21, 2011

માણસની કક્ષા શી રીતે નક્કી થાય?

ચિત્રલેખા -
અંક તા. ૨૨ ઓગસ્ટ ૨૦૧૧


કોલમઃ
વાંચવા જેવું

-----------------


ક્રિયેટિવ મેન ઈઝ મોટિવેટેડ બાય ધ ડિઝાયર ટુ અચીવ, નોટ બાય ધ ડિઝાયર ટુ બીટ અધર્સ.

આ શબ્દો વિશ્વપ્રસિદ્ધ રશિયન-અમેરિકન લેખિકા આયન રેન્ડના છે. તેનો અર્થ છે, સર્જનાત્મક દિમાગ ધરાવતા માણસનું પ્રેરકબળ કશુંક હાંસલ કરવાની ઝંખના હોય છે, બીજાઓથી આગળ નીકળી જવાની કે હરાવી દેવાની વૃત્તિ નહીં. વિચારોની ધાર ઉતારી દેતી આયન રેન્ડની નવલકથાઓ ‘ધ ફાઉન્ટનહેડ’ (૧૯૪૩) અને ‘એટલાસ શ્રગ્ડ’ (૧૯૫૭)થી કેટલીય પેઢીના વાચકોને તીવ્રતાથી પ્રભાવિત થયા છે, હજય થઈ રહ્યા છે. આજે જેની વાત કરવાની છે તે પુસ્તક ‘અંગદનો પગ’ પણ આયન રેન્ડની કૃતિઓની અસર હેઠળ લખાયું છે. લેખક સ્વયં પ્રસ્તાવનામાં કહે છે કે તેમનો ઈરાદો આયન રેન્ડના ‘ફર્સ્ટ રેટર્સ’ અને ‘સેન્કડ રેટર્સ’ વિશેની થિયરીને ગુજરાતીમાં મૂકવાનો હતો અને તે માટે તેમણે નવલકથાનું ફોર્મ પસંદ કર્યું છે. વેલ, લેખકનો ઈરાદો અને અખતરો બન્ને સફળ થયા છે. પાંચ વર્ષના ગાળામાં ‘અંગદનો પગ’ની નવ આવૃત્તિઓ પ્રગટ થઈ છે તે હકીકત તેનું પ્રમાણ છે.


Ayn Rand

‘અંગદનો પગ’ની કથામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ મુખ્ય પાત્રસૃષ્ટિ રચે છે. સિદ્ધાંતવાદી શિક્ષક જ્યોતીન્દ્ર શાહ સાચા અર્થમાં માસ્તર છે. ‘ધ ફાઉન્ટનહેડ’ના નાયક હાવર્ડ રોર્કની માફક એ ઓરિજિનલ છે, આત્મસંપન્ન છે. શિક્ષક તરીકે એ જેટલા પ્રતિભાશાળી છે એટલા જ માણસ તરીકે ઉત્તમ છે. એમની આંખોમાં સદાય નિશ્ચયાત્મકતા ચમકતી રહે છે, જે નગુણા લોકોને થથરાવી મૂકે છે. સ્કૂલના વાતાવરણમાં ઓક્સિજનની જેમ છવાયેલા જ્યોતીન્દ્રની ખૂબી એ છે કે તે વિદ્યાર્થીઓને એક સાથે બહિર્મુખી અને અંતરમુખી બનાવી શકવાની તાકાત છે.



‘અંગદનો પગ’માં લેખક એક જગ્યાએ કહે છેઃ ‘વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રથમ કક્ષાના (ફર્સ્ટ રેટર્સ) અને દ્વિતીય કક્ષાના (સેન્કડ રેટર્સ). માનવના ઉષઃકાળથી આ વિશ્વનો વિકાસ હંમેશા પ્રથમ કક્ષાના લોકોએ કર્યો છે. કરૂણતા એ રહી છે કે વિશ્વનું નિયંત્રણ, રાજસત્તા, ધનસત્તા માત્ર બીજી કક્ષાના લોકો પાસે રહી છે. પ્રથમ કક્ષાના લોકો પોતાનાં કાર્યોમાં એવા મસ્ત હોય છે કે તેમને આવી સત્તા કે ધનમાં રસ જ નથી હોતો, ને બીજી કક્ષાના લોકો સર્જનાત્મક ન હોવાથી માત્ર આવી જ બાબતોમાં રસ ધરાવે છે. તેઓ હંમેશા પ્રથમ કક્ષાના લોકોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે.’



નવલકથામાં એક બાજ ફર્સ્ટ-રેટર જ્યોતીન્દ્ર છે તો સામા છેડે કિરણ દવે નામના શિક્ષક છે. દવેસાહેબ તરૂણ હતા ત્યારે જ એમની પારખુ માતાએ કહી દીધેલુંઃ ‘તારામાં મહત્ત્વાકાંક્ષા છે, પણ તે પૂરી કરવા માટેની શક્તિ તું નથી ધરાવતો... તું એવરેજ વ્યક્તિ છે. તું તદ્દન સામાન્ય બુદ્ધિ ધરાવે છે. તારી મહત્ત્વાકાંક્ષા ભાગ્યે જ ફળશે.’ આત્મવિશ્વાસનો તીવ્ર અભાવ ધરાવતો છીછરો માણસ સામાન્યપણે તેજોદ્વેષથી પીડાતો હોય છે. જ્યોતીન્દ્રની તેજસ્વિતા દવેસાહેબ સહન કરી શકતા નથી. જ્યોતીન્દ્રને મ્હાત કરવા અને સ્થૂળ લોકપ્રિયતા મેળવવા દવેસાહેબ જાતજાતના કારનામા કરે છે.



જ્યોતીન્દ્ર આ બધું જ જાણે છે, પણ એમની સ્વસ્થતા અકબંધ રહે છે, કારણ કે લેખક કહે છે તેમ, ‘પ્રથમ કક્ષાના લોકોને કદી નુક્સાન નથી પહોંચતું. હા, ભૌતિક સ્તરે કદાચ પહોંચતું દેખાય, પણ બૌદ્ધિક સ્તરે ન પહોંચે. પ્રથમ કક્ષાના લોકો હંમેશા આત્મપ્રતિભા પર મુસ્તાક હોય છે. પ્રતિભાની મસ્તી જ એટલી જબ્બર છે કે બાહ્ય સિદ્ધિઓનું કશું મૂલ્ય નથી હોતું. તેમને બાહ્ય સિદ્ધિઓ સહજ રીતે મળે છે. સૂર્ય સાથે પ્રકાશ હોય તેમ. પણ કદાચ ડગમગતો દેખાય સેન્કડ-રેટરોને.’





પહેલી દષ્ટિએ લાગે કે જ્યોતીન્દ્રે શહાદત વહોરી લીધી, દવેસાહેબે ધાર્યા નિશાન પાર પાડ્યાં, પણ વાસ્તવિકતા જદી છે. ‘ધ ફાઉન્ટનહેડ’ની પરાકાષ્ઠામાં નાયક હાવર્ડ રોર્ક અદાલતમાં સરસ કહે છેઃ ‘શહાદત વહોરી લેવી કે બીજાઓ પર અધિકાર જમાવવો સવાલ આ બન્નેમાંથી કોઈ એકની પસંદગીનો છે જ નહીં. સવાલ આ છેઃ શું પસંદ કરવાનું છે સ્વતંત્રતા કે પરતંત્રતા? ક્રિયેટર (એટલે કે ફર્સ્ટ-રેટ માણસ)ની આચારસંહિતા કે સેન્કડ-હેન્ડરની આચારસંહિતા? માણસના સ્વતંત્ર અહંમાંથી જે કંઈ ઉત્પન્ન થાય છે તે શુભ છે. માણસની પરતંત્રતામાંથી જે કંઈ પેદા થાય છે તે અશુભ છે... માણસની આત્મનિર્ભરતા, પહેલ કરવાની શક્તિ અને પોતાનાં કામ પ્રત્યેના પ્રેમના આધારે જ તેની પ્રતિભા અને મૂલ્ય નક્કી થાય છે.’



‘અંગદનો પગ’માં ખરો વિજય જ્યોતીન્દ્રની પ્રતિભાનો, એમનાં મૂલ્યોનો જ થાય છે. દવેસાહેબની દેખીતી જીત પરાજય કરતાંય વસમી પૂરવાર થાય છે. આ નવલકથાનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ સશક્ત ન્કટેન્ટ ઉપરાંત એની પ્રવાહિતા છે. વાચક તેને સડસડાટ, અટક્યા વગર વાંચી શકે છે. યુનિવર્સિટીમાં ટેકસ્ટબુક તરીકે રહી ચૂકેલી આ નવલકથા પરથી નાટક ભજવાયું છે અને બે વિદ્યાર્થીઓએ પીએચ.ડી. પણ કર્યું છે.

લેખક હરેશ ધોળકિયા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મેં ભુજની શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં વીસ વર્ષ ટીચર તરીકે અને તે પછી શ્રી વી. ડી. હાઈસ્કૂલમાં પાંચ વર્ષ પ્રિન્સિપાલ તરીકે કામગીરી બજાવી છે. આ નવલકથામાં મેં શાળાજીવનના મારા અનુભવોને વણી લીધા છે. વાચકોને પુસ્તકમાં વાસ્તવિકતાનું નિરૂપણ દેખાય છે, તેનાં પાત્રો અને પરિસ્થિતિઓ સાથે તેઓ આઈડેન્ટિફાય કરી શકે છે. પુસ્તકને જે પ્રકારનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે તેથી મારા જેવા ખૂણામાં બેઠેલા માણસને ખૂબ આશ્ચર્ય થયું છે.’



લખાણમાં સાદગી હોવી એક વાત છે અને ભાષામાં સમૃદ્ધિનો અભાવ હોવો તે તદ્દન જદી બાબત છે. ‘અંગદનો પગ’ના સંવાદો અસરકારક છે, પણ કેટલીય જગ્યાએ વર્ણનો બહુ જ પાંખાં અને દરિદ્ર રહી ગયા છે. ‘ઉત્તેજિતતા’ જેવા ખોટા શબ્દપ્રયોગો પણ કઠે છે (સાચો પ્રયોગ છે, ઉત્તેજના). વિવેચકોેને આ નવલકથામાં ‘કલાત્મકતા અને ઉચ્ચ સાહિત્યિક મૂલ્યો’ની ગેરહાજરી વર્તાતી હશે, પણ આ કૃતિ એક વિશાળ વાચકવર્ગના દિલને સ્પર્શી શકે છે તે વાતની સાદર નોંધ લેવાવી જોઈએ. નિકૃષ્ટ પુસ્તકોનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે સત્ત્વશીલ કથાવસ્તુ ધરાવતી આ નવલકથા ભાવકોને ગમી જશે. 000


અંગદનો પગ


લેખકઃ હરેશ ધોળકિયા

પ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧

ફોનઃ (૦૭૯) ૨૬૫૬ ૪૨૭૯

કિંમતઃ રૂ. ૧૨૦ /
પૃષ્ઠઃ ૨૯૨