Showing posts with label Swami Anand. Show all posts
Showing posts with label Swami Anand. Show all posts

Thursday, August 7, 2014

ટેક ઓફ : બ્રાહ્મણ જાતિએ હિંદુસ્તાનનું સૌથી વધુમાં વધુ નુકસાન કર્યું છે ?

Sandesh - Ardh Saptahik purty - 6 Aug 2014

ટેક ઓફ 

"બ્રાહ્મણ નામે જ (સ્વામી આનંદને) હડહડતો તિરસ્કાર ને નફરત. બ્રાહ્મણે ઊંચનીચ અને જન્મજાત અધિકારની ભાવના હિંદુઓના લોહીમાં અમીટપણે સીંચી ને પોતે ઈશ્વર, નીતિનિષેધ, તત્ત્વજ્ઞાાન બધાંને ઘોળીને પી જઈ ગજવેનેવે મૂકીને હજારો વર્ષ વર્ત્યો. આખા સમાજને પોતાની એડી હેઠળ રાખ્યો અને વિદ્યા, જ્ઞાાન, સંસ્કાર અને ઉત્કર્ષથી વંચિત રાખ્યો. અતિદ્વેષી, ડંખીલો, પામર, અનસ્ક્રુપ્યુલસ (એટલે કે નૈતિકતાની ઐસીતૈસી કરનારા) અને સ્વાર્થી. આખી બ્રાહ્મણ કોમના ઇતિહાસમાં દ્રોણ સૌથી પામર, હલકટ અને અધમ નમૂનો હતો, જેનો પુત્ર અશ્વત્થામા ઈવિલ પર્સોનીફાઈડ (એટલે કે સાક્ષાત્ શેતાન) કે અક્યુમ્યુલેટેડ ઈવિલ ઓફ ધ રેસ (માનવજાતમાં જે કંઈ અશુભ છે તે તમામનો સરવાળો) હતો. પરશુરામ હિંદુઓમાં હિંસા-મારફાડનો સૌથી મોટો પ્રતિનિધિ હતો તેમ (સ્વામી આનંદ) માને."

                                                                                        Pic courtesy : Gujarati Sahitya Parishad

હિંમતલાલ દવેેને તમે ઓળખતા ન હો તેવું બને, પણ ગુજરાતી ભાષાને પ્રેમ કરનારા કોઈ બંદા માટે સ્વામી આનંદનું નામ અજાણ્યું નથી, ન હોઈ શકે. હિંમતલાલ તેમનું મૂળ નામ. ૧૨૭ વર્ષ પહેલાં જન્મેલા સ્વામીનાં ગુજરાતી ગદ્યમાં એવી તાકાત છે કે તે વાંચતી વખતે આજે પણ નવેસરથી તરંગિત થઈ જવાય છે. એમનાં લખાણના ચિરંજીવીપણાનો સીધો સંબંધ એમના અનુભવોના વ્યાપ સાથે છે. ૧૧ વર્ષની ઉંમરે બાવા સાથે ભાગી જઈ, સંન્યાસ લઈ સ્વામી આનંદ નામ ધારણ કરવું, નેપાળ સરહદે રામકૃષ્ણ મિશનના અદ્વૈતાશ્રમમાં રહેવું, અઢાર વર્ષની ઉંમરે ગાંધીજીના સંપર્કમાં આવવું, 'નવજીવન' સામયિકની જવાબદારી સંભાળવી, ભારતભરમાં ફરીને લોકોની સેવા કરવી અને ક્યારેય વિધિસર ભણતર લીધું ન હોવા છતાં એકએકથી ચડિયાતાં ૨૯ જેટલાં પુસ્તકો લખવાં (એમનું અપ્રગટ અને અગ્રંસ્થ સાહિત્ય પણ પુષ્કળ છે)... એમનું ૮૯ વર્ષનું જીવન ખરેખર ઘટનાપ્રચુર રહ્યું.
દિનકર જોષીએ અત્યંત જહેમતપૂર્વક સ્વામી આનંદના અગ્રંસ્થ સાહિત્યના કેટલાક હિસ્સાનું ચાર ભાગમાં સંપાદન કર્યું છે -'ધોધમાર', 'ઉગમણી દિશાનો ઉજાસ', 'અમરતવેલ' અને 'આંબાવાડિયું'. આમાંથી 'અમરતવેલ'ના એક ખંડમાં સ્વામી આનંદના કેટલાક આત્મકથનાત્મક લેખોનો સંગ્રહ થયો છે. તેઓ પોતાની જાતને કઈ રીતે નિહાળતા? તેમની સેલ્ફઇમેજ કેવી હતી? આનો જવાબ સ્વામી આનંદ કરતાં બહેતર બીજું કોણ લખી શકે? 'મારી કેટલીક ખાસિયતો' નામના મજેદાર લેખમાં સ્વામી આનંદની કલમ હંમેશ મુજબ નિર્બંધપણે વહી છે. અઘરા અંગ્રેજી શબ્દો પણ એમણે છૂટથી વાપર્યા છે. તો કેવા હતા સ્વામી આનંદ? સૌથી પહેલાં તો એક લેખક તરીકેની એમની ખાસિયતો એમના જ શબ્દોમાં સાંભળોઃ   
- કોઈ નવી કે પ્રસિદ્ધ વ્યક્તિ જોડે ઓળખાણ કરવાનું મન ન થાય. કોઈ લિટરરી માણસના સંપર્કમાં આવવાનું મન ન થાય. લિટરરી માણસો સામાન્યપણે રાગદ્વેષવાળા, ચારિત્ર્યના નબળા ને નમાલા હોય એવો પ્રેજ્યુડાઇસ બહુ વહેલી વયથી જ ઘર કરી બેઠેલો.
- તાકીદના પ્રયોજન વગર લખવાનું સામાન્યપણે કદી મન ન થાય. લખેલું છપાય એવી ઉત્સુકતા ન થાય. પોતાનાં લખાણ, ફોટા વગેરે પ્રસિદ્ધ થાય એવી કશી ખાસ ઇચ્છા ન થાય. પોતાના લખાણ વિશે બીજાઓ અભિપ્રાય આપે કે લખે એવી ઇચ્છા ન થાય. પોતાના પુસ્તકની કોઈ પાસે પ્રસ્તાવના લખાવવાની કે પોતાનો પાડેલો ફોટો પ્રગટ થયેલો જોવાની કદી ઇચ્છા ન થાય.
- લખવા માટે સારો કાગળ, શાહીઓ, વતરણાં, સ્ટેશનરી, ચોડવાની ટેપ, ટેગ, ટાંકણીઓ, નોટબુકો, નોંધબુકો એ બધું સફેદ અને ઊંચા પ્રકારનું ખૂબ ગમે. જોઈને જ લખવાનું મન થાય. ન હોય તો મન મરી જાય.
- છાપભૂલો ને ગોબરાં પ્રકાશનો તરફ અતિ નફરત. સહન જ ન થાય. તેથી જ ગુજરાતમાં પ્રકાશન કળાની અમાવસ્યા વર્તે છે એમ માને. બંગાળીઓએ અને હિંદીઓએ બધાં પ્રાંતોને આજે માત કર્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ઈલસ્ટ્રેટેડ વીકલીવાળાઓ પ્રત્યે અતિ તિરસ્કાર. એ લોકો હિંદુ ઘરાકોનાં કામ કરે ને તેમનાં સારાંમાં સારાં ચિત્રો કે ફોટા છાપે તેમાં હિંદુઓ જોડે પારસી યુરોપિયન કરતાં બહુ જુદી રીતે - ગુરુતાગ્રંથિથી વર્તે. પૈસા ડબલ ને કામમાં પેલાઓનાં કામોના પ્રમાણમાં અરધું લક્ષ ન દે. "વાનિયા લોક સું સમજે?" કહે.
- ગુજરાત અને ગુજરાતીઓ બદલ મુદ્દલ માન આદર નહીં (યાદ રહે, આ સ્વામીજીના ખુદના શબ્દો છે). બાયલી પ્રજા. સુખસ્વાદના ઓશિયાળા ને લડવાના કાયર ગણે. પૈસાથી બધું થાય એમ ગણનારા. વાચકાછના શિથિલ - બિઝનેસ નીતિ પણ ઢીલીપોચી. લશ્કર, વિમાન કે ઈજનેરી જેવા જોખમી કે શરીરકામના ધંધામાં ન પડે. સર્જક ઉદ્યોગો કરતાં દલાલીના ધંધા વધુ પ્રિય. પરપ્રાંત કે વિદેશીઓ જોેડે બહુ લબાડી થઈને રહે તેની પાછળ બીકણપણું (કારણભૂત). રેલવે મુસાફરીમાં બહુચરાજીનો કમાળિયો ખાનામાં આવી પડે ને બેસે તો સ્ત્રીપુરુષ બેઉને જે જાતના ડિસકમ્ફર્ટની લાગણી થાય તેવી લાગણી ગુજરાતીઓના પામરવેડા જોઈને થાય ને એમના બધા ગુણોની કદર આ એક અવગુણ પ્રત્યેની નફરત આગળ ધોવાઈ જાય. 
- કાઠિયાવાડી, અમદાવાદી તેમજ નાગર, અનાવલા, પાટીદાર પ્રત્યે અતિ અણગમો. એ લોકો જૂઠ-પ્રપંચ અને કાવતરામાં જ પેદા થયા અને જિંદગી આખી એમાં જ રચ્યાપચ્યા રહીને જીવે એવી પાયાની માન્યતા. એથી અવળો અનુભવ થાય ત્યારે રાવણ કુળમાં વિભીષણ ગણીને તેટલા પૂરતો પોતાના અભિપ્રાય વગર આનાકાનીએ અને રાજી થઈને બદલે પણ પાયાની માન્યતા તો કાયમ જ રહે.
- બ્રાહ્મણ નામે જ હડહડતો તિરસ્કાર ને નફરત. બ્રાહ્મણ જાતિએ હિંદુસ્તાનનું આદિકાળથી માંડીને સૌથી વધુમાં વધુ નુકસાન કર્યું છે એવી દૃઢ માન્યતા. બ્રાહ્મણે ઊંચનીચ અને જન્મજાત અધિકારની ભાવના હિંદુઓના લોહીમાં અમીટપણે સીંચી ને પોતે ઈશ્વર, નીતિનિષેધ, તત્ત્વજ્ઞાાન બધાંને ઘોળીને પી જઈ ગજવેનેવે મૂકીને હજારો વર્ષ વર્ત્યો. આખા સમાજને પોતાની એડી હેઠળ રાખ્યો અને વિદ્યા, જ્ઞાાન, સંસ્કાર અને ઉત્કર્ષથી વંચિત રાખ્યો. સમાજમાં જે કોઈ સજ્જન પાક્યો તેનો હંમેશાં પર્સિક્યુશન - છળ જ કર્યો. અતિદ્વેષી, ડંખીલો, પામર, અનસ્ક્રુપ્યુલસ (એટલે કે નૈતિકતાની ઐસીતૈસી કરનારા) અને સ્વાર્થી. આખી બ્રાહ્મણ કોમના ઇતિહાસમાં દ્રોણ સૌથી પામર, હલકટ અને અધમ નમૂનો હતો, જેનો પુત્ર અશ્વત્થામા ઈવિલ પર્સોનીફાઈડ (એટલે કે સાક્ષાત્ શેતાન) કે અક્યુમ્યુલેટેડ ઈવિલ ઓફ ધ રેસ (માનવજાતમાં જે કંઈ અશુભ છે તે તમામનો સરવાળો) હતો. પરશુરામ હિંદુઓમાં હિંસા-મારફાડનો સૌથી મોટો પ્રતિનિધિ હતો તેમ માને.
સ્વામી આનંદ અગુજરાતીઓમાં કેમ જાણીતા ન બન્યા? આનો જવાબ નારાયણ દેસાઈ આપે છે, "સ્વામી અવિખ્યાત રહ્યા તેનું સાચું કારણ એ છે કે પોતાના સહજ સંન્યાસમાં એમણે પોતાની નામનાને ડુબાડી દીધી હતી. તેથી જ ગાંધીજીના આંદોલનના વાજતા ને ગાજતા દિવસોમાં પણ સ્વામી તમને મંચ પર બિરાજેલા ન દેખાતા. એ તો કોઈ ટ્રેડલ પ્રેસ ચલાવતા, બીબાં ગોઠવતા, પ્રૂફ જોતા, કોષો ઊથલાવતા કે ચોક્કસ ઉચ્ચારણોનાં મૂળ શોધતા. એમની મિજબાની તો ચાલતી હોય. ઘોડાગાડીમાં બેસીને ચણા ફાકવામાં કે બિહારનાં ગામડામાં રખડતાં પ્રેમથી સત્તૂ આરોગવામાં." 
સ્વામી આનંદના વિચારો સાથે સહમત હોઈએ કે ન હોઈએ તે અલગ વાત છે, પણ જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી ગુજરાતી ગદ્યના શૈલીસમ્રાટ તરીકે સ્વામી આનંદનું નામ ધબકતું રહેશે તે હકીકત છે.  

Wednesday, May 8, 2013

મડિયા શા માટે ઉમાશંકરથી નારાજ થયા?


 ચિત્રલેખા - અંક તા. ૬ મે ૨૦૧૩ 
                         
કોલમ: વાંચવા જેવું 





                                                                                   
Umashankar Joshi
માશંકર જોશીને એક વાર એક વિદ્યાર્થીનો કાગળ મળે છે. છોકરો આમ તો કોમર્સનો વિદ્યાર્થી છે, પણ સાહિત્યનો પ્રેમી છે. એનામાં મુગ્ધતા પણ છે, ઉત્સુકતા છે અને પાછો રોષ પણ છે. લખે છે:

‘તમારા ‘શ્રાવણી મેળો’ વાર્તાસંગ્રહનો આનંદ માણ્યો, પણ એ વાર્તાઓના આસ્વાદથી લોભાઈને બીજો સંગ્રહ વાંચવા લીધો ત્યારે ખૂબ નિરાશા સાંપડી. એટલી બધી કે સેક્ધડ હેન્ડ પુસ્તકોની દુકાનમાં ઝટઝટ એ વેચીને દોઢ રુપિયામાંથી અગિયાર આના પાછા મેળવી લીધા! હું વાર્તા લખવામાં રસ ધરાવું છું. સમય આપશો?’

આ આક્રમક છતાંય પ્રેમભૂખ્યો વિદ્યાર્થી એટલે ચૂનીલાલ મડિયા! આગળ જતા
Chunilal Madia
આ ‘છોકરો’ સાહિત્યનો કેટલો મોટો બંદો બન્યો તે આપણે જાણીએ છીએ. મડિયાનો આ મસ્તમજાનો પ્રસંગ - અને આવી તો કેટલીય વાતો - ખુદ ઉમાશંકર જોશીએ ‘મડિયારાજા’ નામના અફલાતૂન લેખમાં લખ્યો છે. આજના પુસ્તકમાં આવા કેટલાય સુંદર વ્યક્તિચિત્રો વીણી વીણીને એકત્રિત કરવામાં આવ્યા છે.

માણસને - પછી એ ગમે તે હોય, ગમે તેવો હોય - શબ્દોમાં પકડી શકાય? હા. આ પુસ્તકમાંથી પસાર થતા દઢપણે અનુભૂતિ થશે કે લખનારો જો શબ્દસ્વામી હોય તો ગણતરીના વાક્ય-લસરકાથી માણસનું જીવતું-ઘબકતું ચિત્ર ઊપસાવી શકે છે. અલબત્ત, આમ કરતી વખતે સંતુલન અને સમગ્રતા જાળવી રાખવાનું કામ સહેલું હોતું નથી. આ પ્રકારના લખાણની મજા એ છે કે જેના વિશે લખાયું છે તે વ્યક્તિ ઉપરાંત લેખકની ખુદની પર્સનાલિટીના અમુક રંગો સીધી કે આડકતરી રીતે વાચક સામે આવતા રહે છે. જેમ કે, કવિ દયારામ વિશેના નર્મદના લેખમાં આ બન્ને મહાનુભાવોના વ્યક્તિત્ત્વની ઝલક ભાવકને મળે છે. નર્મદ લખે છે:


Naarmad
‘કવિનો સ્વભાવ... મળતાવડો પણ પ્રસંગોપાત ઘણો જ ચીડિયો હતો - એટલો કે વખતેે જે પડ્યું હોય તે લઈને મારવાને ચૂકતો નહી. આકળો ઘણો હતો. કોઈ એને વિશે ખોટું બોલતું  તરત એ ચીડાઈ જતો ને સારું બોલતું તો ખુશ થતો... હું દયારામના ધર્મસંબંધી વિચારને બિલકુલ પસંદ નથી કરતો, હું એના ક્રોધી તથા અભિમાની સ્વભાવની દયા ખાઉં છઉં તોપણ એની દરદી કવિતાને અને એની તમામ કવિતાની ભાષાને વખાણું છઉં.’

સ્વામી આનંદ મુંબઈના એક તબેલાવાળાનું અદભુત શબ્દચિત્ર તૈયાર કર્યું છે. નામ એનું દાદો ગવળી. માવડિયું એટલે કે ગાયોની માવજત એ જ એનું જીવન. ઘરાકના વાસણમાં દૂધ ઠાલવતા ઠાલવતા એ બોલતા જાય:
                                                                                             
Swami Anand
‘કઈ માવડીનું દૂધ આવ્યું? આ તો મારી રઢિયાળીનું, આ તો મારી લાખેણીનું, આ આવ્યું મારી ભાગવંતીનું, આ સતવંતીનું, ચંદરણીનું, રુપેણીનું!... ખાઓ મારા બાપલા! ખાવ મારી માવડિયુંનું દૂધ, ને થાવ તાજા. મારી ભાગવંતિયુંનાં દૂધ એટલે શું સમઝો છ? બસ ઘર ને બહાર બધે તમારી બરકત જ બરકત.’ વચ્ચે વચ્ચે પાછા સૂચનાય આપતા જાય:

‘અલા જો છ કે? ઓલી સતવંતિયે પોદળો કર્યો. કાઢ ઝટ. ઈ તો માવડિયું કે’વાય, એકોએક.... કાઢ, કાઢ ઝટ પોદળો. તબેલા ને ગમાણ્યું બધાં કેવાં આભલા જેવા રેવા જોવે, રાત ને દી. હા, ઈમાં ફેર નો પડવો જોવે.’

વ્યક્તિચિત્ર દોરવાનું હોય એટલે જે-તે માણસની નકરી સારી સારી વાતો જ મધમીઠી જબાનમાં લખવી એવું કોણે કહ્યું. ૧૯૭૭માં વિનોદ ભટ્ટે એમની લાક્ષાણિક શૈલીમાં લાભશંકર ઠાકર વિશે લખ્યું હતું:

Labhshankar Thakar
‘આ લા.ઠા.ને હું લગભગ વીસ વર્ષથી જાણું છું. ઓળખું છું એવું નહીં કહી શકું. એવું તો કોઈપણ નહીં કહી શકે. ખુદ લા.ઠા. પણ નહીં. બહુ જ સૌમ્ય, રુજુહૃદયી, સ્નેહાળ, નમ્ર ને વિવેકી લા.ઠા.ને મેં જોયેલા. વિદ્યાર્થી અવસ્થામાં જ્યારે ઉદ્દંડ હોવું જોઈએ ત્યારે એ ઉંમરે તે શાંત ધીરગંભીર હતા. હવે ઠાવકા થવાની ઉંમરે પહોંચ્યા છે ત્યારે તોફાને ચડી જાય છે- ક્યારેક... આ   માણસ ક્યારે શું કરશે તે કહેવાય નહીં.  અનપ્રિડિક્ટેબલ. એક વાક્ય પૂરું કરે પછી બીજું વાક્ય ફલાણું જ આવશે એવું તમે છાતી ઠોકીને કહી ન શકો. ધરાર ખોટા પડો.’

વિનોદ ભટ્ટે દોેરેલા ખૂબ બધા સાહિત્યકારોના રમતિયાળ (અને જોખમી!) રેખાચિત્રો ખૂબ લોકપ્રિય બન્યા છે. આ પુસ્તકમાં માત્ર વ્યક્તિગત નહીં, પણ સંબંધગત ચિત્રો પણ છે. જેમ કે ઈશ્વર પેટલીકરે સાસુમા-ઈન-જનરલ વિશે લખ્યું છે. કહે છે, ‘માથી પરણાતું નથી એટલે છોકરાને પરણાવે છે. પણ એથી મૂરખો છોકરો વહુ પોતાની
Vinod Bhatt
સમજી બેસે છે - ને મૂરખી વહુ પણ પોતાના મૂળ ધણીને ઓળખ્યા વિના દેખાવ પૂરતા મંગળફેરા ફરનારને સાચમાચ પતિ માની લે છે ને ભવાટવીમાં ભૂલાં પડે છે. તેમાંય ‘પોતાનો છોકરો તો ડાહ્યોડમરો હતો પણ રાંડ વહુએ જ એને ભૂલો પાડ્યો’ એવી પાક્કી માન્યતાથી સાસુનો બધો રોષ વહુ ઉપર જ ઊતરે છે.’

સંપાદિકા ડો. પન્ના ત્રિવેદી પ્રસ્તાવનામાં યોગ્ય જ લખે છે કે આપણે ત્યાં કથાસાહિત્ય જેટલી ચર્ચા વ્યક્તિચિત્રો વિશે થઈ નથી. આ સાહિત્યપ્રકાર પ્રમાણમાં ઓછો ખેડાયેલો છે. આ પુસ્તકમાં બાવીસ લેખકોએ આલેખાયેલા કુલ ૩૬ રેખાચિત્રો સંગ્રહાયા છે. અહીં એક બાજુ મહારાજ સયાજીરાવ (લેખક ન્હાનાલાલ) અને મેઘાણી (ઉમાશંકર) છે તો સામી બાજુ, ચકલો ભગત (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ), કાલુ ગોળવાળો (પ્રફુલ્લ રાવલ) અને જીવો વણકર (મણિલાલ હ. પટેલ) પણ છે. આ બધાની વચ્ચે ‘શહેરની શેરી’ (જયંતિ દલાલ) સુંદર હોવા છતાંય મિસફિટ લાગે છે. જુદા જુદા કાળખંડમાંથી પસાર થતી ગુજરાતી ભાષાની કંઈકેટલીય આકર્ષક છટા આ પુસ્તકમાં ઝિલાઈ છે. પુસ્તકનું વાંચન ખૂબ સંતોષકારક અને આનંદપ્રદ પૂરવાર થાય છે તેનું સૌથી મોટું કારણ આ જ.

સાહિત્યના અઠંગ રસિયાઓ ઉપરાંત જેમને સામન્યપણે કેવળ નવલિકા અને નવલકથામાં જ રસ પડતો હોય છે તેવા વાચકોને પણ ચોક્કસપણે વાચવો ગમે તેવો સંગ્રહ.      


ગુજરાતી રેખાચિત્રો

સંપાદન: ડો. પન્ના ત્રિવેદી

પ્રકાશક: રન્નાદે પ્રકાશન, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૧ ૦૦૮૧, ૨૨૧૩ ૦૦૬૪
કિંમત:   ૩૩૫ /
પૃષ્ઠ: ૨૫૦

૦ ૦ ૦