Showing posts with label Naushil Mehta. Show all posts
Showing posts with label Naushil Mehta. Show all posts

Tuesday, December 1, 2020

ભારતનો ગામડિયો અમેરિકામાં મલ્ટિ-મિલિયોનેર રાજકારણી શી રીતે બન્યો?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ - 3 ડિસેમ્બર 2020, રવિવાર માટે

શ્રીનિવાસ થાણેદારની સક્સેસ સ્ટોરી જોશ ચડાવી દે તેવી છે. અનુકૂળ માહોલમાં હોશિયાર, મહેનતુ અને ફૉક્સ્ડ માણસની શક્તિઓ પૂરબહારમાં ખીલતી હોય છે.  


હારગામથી મુંબઈ ભણવા આવેલો એક જુવાનિયો. શ્રીનિવાસ એનું નામ. ટૂંકમાં સૌ એને શ્રી કહીને બોલાવે. સાવ સાધારણ ઘરનું સંતાન. એક હમઉમ્ર છોકરા સાથે એની દોસ્તી થઈ. એ છોકરાનું નામ નૌશિલ. બન્ને એમ. એસસી.નું ભણતા હતા એ એક વાતને બાદ કરો તો તેમની વચ્ચે ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલું અંતર. શ્રી કર્ણાટકના બેલગામથી આવેલો ગામડિયો, જ્યારે નૌશિલ નખશિખ બમ્બૈયા ગુજરાતી. સોફિસ્ટીકેશન, ટેબલ મેનર્સ, ઊંચી લાઇફસ્ટાઇલ આ બધા સાથે શ્રીને નહાવાનિચાવાનો સંબંધ નહીં, જ્યારે નૌશિલ એક સ્ટાઇલિશ બંદો. એના ઠાઠમાઠ રજવાડી. એ સિગારેટ પણ સ્ટાઇલથી પકડે. ટૅક્સી સિવાય કશેય જવાનું નહીં. ફાઇવસ્ટાર હોટલ કે મોંઘીદાટ રેસ્ટોરાં સિવાય કશેય ખાવાપીવાનું નહીં. એનું કદ ઊંચું, સોહામણું. હજારોમાં એક કહેવાય એવું એનું વ્યક્તિત્ત્વ. શ્રીને થાય કે નૌશિલે શું જોઈને મારી સાથે દોસ્તી કરી હશે.

નૌશિલે શ્રીનો પ્રવેશ નાટક, સિનેમા, ચિત્રકલા અને અંગ્રેજી પુસ્તકોની દુનિયામાં કરાવ્યો. નૌશિલને ખાસ કરીને પ્રયોગશીલ રંગભૂમિ વિશેષ આકર્ષે. પરેશ રાવલ, શફી ઇનામદાર, પ્રબોધ પરીખ આ બધા નૌશિલના ભાઈબંધો. ભેગા થઈને તેઓ નાટક, કળા અને સાહિત્યની બુદ્ધિની ધાર ઉતરી જાય એવી ચર્ચાઓ કરે ને શ્રી વિસ્મય અનુભવતો એ બધું સાંભળ્યા કરે. નૌશિલની સંગતની અસર એના પર ન થાય તેવું કેવી રીતે બને. શ્રી જાણે નાનકડા ખાબોચિયામાંથી વિરાટ સમુદ્રમાં પહોંચી ગયો હતો. એને થાય કે મારે નૌશિલ જેવા બનવું છે. નૌશિલ એના માટે ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઇડ અને ગુરૂ હતો. નૌશિલના માતા-પિતા પણ બહુ મજાનાં. તેઓને થાય કે આ શ્રી કેવો જવાબદાર છોકરો છે. મુંબઈમાં એકલો રહીને ભણે છે ને નોકરી પણ કરે છે, બચત કરીને ઘરે પૈસા મોકલે છે, જ્યારે અમારો મસ્તમૌલા નૌશિલ તો દિવસ-રાત કળાની દુનિયામાં જ રમમાણ રહે છે.

શ્રી સ્કૂલમાં સાવ સાધારણ વિદ્યાર્થી હતો, પણ એમએસસીમાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો. એણે નિશ્ચય કરી લીધોઃ હું જીવનમાં કંઈક કરીને બતાવીશ, હું વિદેશ જઈશ, પીએચ.ડી. કરીશ. વિદેશ એટલે અમેરિકા. એણે નૌશિલને વાત કરી. નૌશિલને કંઈ અમેરિકા જવાનો મોહ નહોતો. એ રહ્યો લહેરી લાલો.  જોઈશું, કરીશું એવો એનો એટિટ્યુડ હોય. આમેય એને અહીં જ રહીને કળાજગતમાં આગળ વધવું હતું.

શ્રીએ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઓ વિશે માહિતી એકઠી કરવા માંડી. આ વાત 1970ના દાયકાના ઉત્તરાર્ધની છે. એ વખતે ઇન્ટરનેટ કે ઇમેઇલનો જમાનો હજુ આવ્યો નહોતો એટલે શ્રીએ કેટલીય યુનિવર્સિટીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. આ આખી કસરતમાં નૌશિલ પણ એમ જ મસ્તી ખાતર જોડાયો. એડમિશન તો મળી જાય તેમ હતું, પણ ફી તોતિંગ હતી. શ્રીએ એવી જ યુનિવર્સિટી શોધવી પડે, જેમાં સ્કોલરશિપ મળતી હોય. આખરે લાંબી પ્રતીક્ષા પછી અમેરિકાના ઓહાયો સ્ટેટની એક યુનિવર્સિટી તરફથી શ્રી અને નૌશિલ બન્નેને કાગળ મળ્યો, જેમાં લખ્યું હતું કે તમને સ્કોલરશિપ મળશે, પણ તમારે અમારી જુનિયર કૉલેજમાં પાર્ટટાઇમ લેકચરર તરીકે કામ કરવું પડશે. શ્રી તો રાજી રાજી. એણે પાસપોર્ટ બનાવડાવવા માટે માટે મહેનત શરૂ કરી દીધી. પાસપોર્ટની અરજી પર જે જગ્યાએ નોકરી કરતા હોઈએ તેના અધિકારીની સહી લેવી પડે તેમ હતી. ઉપરીએ ચોખ્ખી ના પાડી દીધીઃ જો તમે નોકરીમાંથી રાજીનામું આપો તો જ હું આના પર તો જ સહી કરું. શ્રીએ એ જ વખતે રાજીનામું લખીને સાહેબ સામે ધરી દીધું: હવે તો સહી કરશોને, સાહેબ?

પાસપોર્ટ બન્યા પછી વિસા મેળવવાની ઝંઝટ. વિસા માટે ઇન્ટરવ્યુ લેનાર અમેરિકન મેડમે સવાલોની ઝડી વરસાવીને શંકા વ્યક્ત કરીઃ તમે પીએચ.ડી. પતાવીને ઇન્ડિયા પાછા આવશો જ તે વાતની શી ખાતરી? શ્રીએ પોતાની રીતે ઘણી સ્પષ્ટતાઓ કરી તોય વિસા પર રિજેક્ટેડનો થપ્પો લાગ્યો. શ્રીને જબરો આઘાત લાગ્યો. એણે રડમસ થઈને નૌશિલને કહ્યુઃ યાર, મને વિસા ના મળ્યા. નૌશિલ બેફિકરાઈથી કહેઃ એમાં શું? મને પણ ન મળ્યા!

પણ આટલી સહેલાઈથી હાર સ્વીકારી લે એ શ્રી નહીં. વિસા મેળવવા માટે એની ગડમથલ ચાલુ રાખી. વિસા મંજૂરીમાં ઉપયોગી બને તે માટે એણે જાતજાતનાં કાગળિયાં બનાવડાવ્યાં. વિસા ઇન્ટવ્યુનો બીજો પ્રયત્ન. ત્રીજો પ્રયત્ન. અમેરિકાના વિસા મળે જ નહીં. જે યુનિવર્સિટીમાં ભણવાનું હતું ત્યાંના અધિકારીએ અમેરિકન કોનસ્યુલેટ પર ભલામણનો પત્ર સુધ્ધાં લખી આપ્યોઃ શ્રી અને નૌશિલ બન્ને તેજસ્વી વિદ્યાર્થીઓ છે. અમારે ત્યાં જુનિયર કૉલેજમાં તેઓ પાર્ટટાઇમ ભણાવવાના પણ છે. અમને તેમની જરૂર છે. એમના વિસા મંજૂર કરો. લાગતું હતું કે ભલામણના જોરે આ વખતે વિસા મળી જ જશે, પણ પેલા અમેરિકન માનુની પિગળે તોને! એમણે ચોથી વખત પાસપોર્ટ રિજેક્ટ કર્યો. શ્રીની નિરાશાનો પાર નહીં. હવે? ઓર એક પ્રયાસ. ફાઇલ એની એ જ, ફક્ત અરજી નવી. આ વખતે નસીબ સારા હતા. પેલાં અમેરિકન મેડમ ચાર-પાંચ મહિના માટે રજા પર ઉતરી ગયાં હતાં. એની જગ્યાએ બીજા કોઈ સાહેબ આવ્યા હતા. એમને ફટાક કરતી વિસાની અરજી પર મંજૂરીની મહોર મારી દીધી!

માણસ હોશિયાર, મહેનતુ અને ફૉક્સ્ડ હોય અને એને જો અનુકૂળ માહોલ મળે તો એની શક્તિઓ પૂરબહારમાં ખીલે છે. શ્રીએ અમેરિકામાં 1982માં ઇનઑર્ગેનિક કેમિસ્ટ્રીમાં પીએચ.ડી.ની મેળવી મેળવી. હવે ગ્રીન કાર્ડની જરૂર હતી. બે વર્ષ પછી તે પણ મળ્યું. તેમણે રિસર્ચર-સાયન્ટિસ્ટ તરીકે જૉબ કરી, પછી કેમિર નામની લેબોરેટરીમાં જોડાયા, બિઝનેસ શીખ્યા, ખુદ બિઝનેસમેન બન્યા ને એવી પ્રગતિ કરી કે સૌ જોતા રહી ગયા. 2015માં એમની કંપની અમેરિકાના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ 5000 કંપનીઓના લિસ્ટમાં 673મા ક્રમે મૂકાઈ. સફળ એન્ત્રપ્રિન્યોર તરીકે એમણે કેટલાય પ્રતિષ્ઠિત અવૉર્ડઝ મેળવ્યા.

મલ્ટિ-મિલિયોનેર બિઝનેસમેન બની ગયેલા શ્રીએ 2018માં અમેરિકાના રાજકારણમાં પ્રવેશ કર્યો. તાજેતરમાં અમેરિકામાં પૂરી થયેલી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે મિશિગન સ્ટેટમાં 93 ટકા મત સાથે તેઓ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ચૂંટાઈ આવ્યા.

આપણે જેમના વિશે વિસ્તારથી વાત કરી રહ્યા છીએ એ શ્રી એટલે ડૉક્ટર શ્રીનિવાસ થાણેદાર અથવા ટૂંકમાં શ્રી થાનેદાર. આજે અમેરિકામાં વસતા ભારતીયો જ નહીં, પણ સ્થાનિક ભારતીયો પણ શ્રી થાનેદારને યાદ કરીને છાતી ગજ ગજ ફૂલાવે છે. એમના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ નૌશિલ એટલે રંગભૂમિનું મહત્ત્વનું અને અનોખું નામ ગણાતા નૌશિલ મહેતા. તેઓ અમેરિકામાં થોડાં વર્ષો વીતાવીને મુંબઈ પાછા ફર્યા હતા અને પોતાની મનગમતી પ્રવૃત્તિ રત બન્યા. શ્રી થાણેદાર અને નૌશિલ મહેતા આજે પણ એટલા જ સારા મિત્રો છે.

0 0 0 

Friday, October 21, 2016

મલ્ટિપ્લેક્સ: ગિલ્ટનો રંગ કેવો?

Sandesh - Ardh Saptahik purti - 19 Oct 2016
મલ્ટિપ્લેક્સ
કલાકાર - પછી એ ચિત્રકાર હોય, શિલ્પકાર હોય, લેખક હોય કે એક્ટર હોય - એનો માંહ્યલો કેવી રીતે એની કૃતિઓમાં ઝળકી જતો હોય છે?
Atul Dodiya
વાચન-લેખન જ જેનું જીવન છે એવો લેખક અમુક ચોક્કસ શબ્દ સરખી રીતે’હેન્ડલ’ કરી શકતો ન હોય એવું બને? આંકડાઓની એકધારી પટ્ટાબાજી ખેલવી જેનો ધર્મ છે એવો અકાઉન્ટન્ટ કોઈ ચોક્કસ આંકડાને બરાબર ‘હેન્ડલ’ ન કરી શકે તેમ બને? ચિત્રકળા જેનું પેશન છે એવો ચિત્રકારને કોઈ ચોક્કસ રંગ ‘હેન્ડલ’ કરતી વખતે અસ્થિર થઈ જતો હોય એવું બને?
હા, બને.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી ચિત્રકાર અતુલ ડોડિયાએ કહેલી એમના નાનપણની એક વાત સાંભળીને, રાધર, વાંચીને જબરું કૌતુક થયું હતું. આ વાત અતુલ ડોડિયાએ ઉત્તમ લેખક-નાટ્યકાર નૌશિલ મહેતાને કહી હતી, જે તેમણે પછી ‘ફાર્બસ' મેગેઝિનના તાજા અને દૃળદૃાર વિશેષાંક માટે લખેલા પોતાના મસ્તમજાના પ્રલંબ લેખમાં ઉતારી. 
નૌશિલ મહેતાની પહેલાં, એક લેખક-કયુરેટર અને કોલકાતાના જાણીતા અંગ્રેજી અખબારના એક સંપાદૃક સાથે અતુલ ડોડિયાની લંબાણપૂર્વક વાતચીત ચાલી હતી. ચારેક દિૃવસ સુધી બન્ને વચ્ચે ગુફતગૂ થયા કરી. વાતવાતમાં સંપાદૃકસાહેબે એકાએક  ‘સાઈકિયાટ્રિસ્ટ પૂછે એવો' તીરછો સવાલ ફેંક્યો કે અતુલભાઈ, તમે ઘાટકોપરની ચાલીમાં ઉછર્યા છો તો તમારા એ ઘરમાં તે વખતે ફર્નિચર કેવું હતું?
‘આ સવાલના જવાબમાં ભળતો મસાલો બહાર આવ્યો,' અતુલ ડોડિયા કહે છે, 'મેં એમને એક એવી વાત ઘટનાની વાત કરી જે મેં કોઈને નથી કરી, કેમ કે સ્મરણશકિત હોવા છતાં એ ઘટના ક્યાંક અંદૃર ધરબાઈ ગયેલી.'
શું હતી એ ઘટના? આનો જવાબ અતુલ ડોડિયાના શબ્દોમાં જ સાંભળોઃ 
 ‘થયેલું એવું કે અમારે ઘરે રોઝવુડની બનેલી બે સુંદર કેબિનેટ્સ હતી. બાપુજીના બેડરુમમાં. નાનકડી હતી. એમની ઉપર માળિયું આવે. ત્યાં મારાં ચિત્રો, પોર્ટફેલિયો, ઘરવખરીમાં આડો આવતો સામાન, હાર્ડવેરનો સામાન અને ઇનેમલ પેઇન્ટના ડબા રહેતા. પેઇન્ટ લીલો – પ્રોપર ગ્રીન.
માળિયેથી મારી ચીજવસ્તુ લેવા-મૂકવામાં એક દિવસ મારાથી એકાદ દસ લિટરનો ડબો આડો પડી ગયો હશે, આપોઆપ ખૂલી ગયો હશે. તે રંગ રેલાયો, ફેલાયો. જાડો ચમકતો લીલોચટ્ટક રંગે માળિયેથી બહાર નીકળીને કેબિનેટ પર પડયો… એની અંદર પેસ્યો.
મારા બાપુજી કપડાંના શોખીન. ફંકડી ફઉન્ટન પેન વાપરે, વિદેશી ઘડિયાળ, સ્ટાઇલિશ જોડાં પહેરે. કોટ-જેકેટ, સરસ સિલાઈના શર્ટ્સ અને નીચેથી વાળેલા ટ્રાઉઝર્સના રસિયા. એ લીલો ઇનેમલ રંગ બધું પલાળીને ભોંયની લાદી પર ફેલાયો ત્યાર સુધી અમારું કોઈનું ધ્યાન ન ગયું.
આ ઘટના રાતે થઈ હશે અને સવારે ઝાડું કાઢતા છોકરાનું ઝાડું ચોંટી ગયું ત્યારે એણે જોયું કે ત્યાં રંગ પડયો છે અને જામી ગયો છે. એણે મને પૂછયું કે આ રંગ કયાંથી આવ્યો? ત્યારે કબાટ ખોલ્યું અને જોયું કેવા હાલ થયેલા! જે વઢ પડી છે મને! એ યાદ નથી કે બાપુજીએ એકઝેકટલી શું બોલેલા, કદાચ હું બહુ નાનો હતો, પણ નીચી મૂંડી કરીને વઢ ખાધાનું યાદ છે.'

આ આખો કિસ્સો વર્ણવ્યા પછી અતુલ ડોડિયા ઉમેરે છેઃ ‘કમાલની વાત એ છે કે મારાં ચિત્રોમાં આજેય લીલો રંગ હેન્ડલ કરવો મને કપરો પડે છે. એવો લીલો રંગ જવલ્લે જ મારા કામમાં તમને દેખાશે. અલબત્ત, હું લીલો રંગ કયારેક જ વાપરું છું, પણ એમેરાલ્ડ ગ્રીન કે ઘેરા લીલા સ્વરૂપે.’
આં સાંભળીને પેલા સંપાદકે એક સ્ટેટમેન્ટ કરી નાખ્યું: ‘ગ્રીન ઇઝ ધ કલર ઓફ્ ગિલ્ટ ફેર યુ!’ અર્થાત્ લીલા રંગનો સંબંધ નાનપણમાં પેલી ઘટનાને કારણે ચિત્રકારના મનમાં જાગેલા તીવ્ર અપરાધીભાવની લાગણી સાથે હોઈ શકે. એવું બને કે ખુદની બેદરકારી, કપડાં તથા બીજી ચીજવસ્તુઓને થયેલું નુકસાન અને બાપુજીની વઢ – આ સૌની સ્મૃતિઓનું પડીકું પેલા લીલા રંગમાં ઝબોળાઈને એમના ચિત્તના કોઈ પડળમાં લપાઈ ગયું હોય, એક ગિલ્ટ બનીને. શકય છે કે ચિત્ર બનાવતી વખતે તે લીલોતરું ગિલ્ટ અભાનપણે સપાટી પર ડોકિયાં કરી જતું હોય, જેને કારણેે આટલા મોટા ચિત્રકાર હોવા છતાંય અતુલ ડોડિયાને લીલો રંગ હેન્ડલ કરવામાં મુશ્કેલીનો અનુભવ થતો હોય!
આ થિયરીમાં કેટલું તથ્ય છે તે આપણે જાણતા નથી, પણ તે ભારે ઇન્ટરેસ્ટિંગ એ તો નક્કી. સામયિકના લેખમાં અતુલ ડોડિયાએ બીજી કેટલીય ઇન્ટરેસ્ટિંગ વાતો કહી છે. માણસ કલા વિશે બહુ બધું જાણતો હોય, એને બહુ બધી ખબર પડતી હોય, દુનિયાભરના ચિત્રકારોના નામો છાંટી શક્તો હોય અને તેમની ચિત્રશૈલીઓ વિશે એ પટ્ પટ્ પટ્ કરતો અઘરા શબ્દોમાં વર્ણનો કરી શકતો હોય તો તે શું હંમેશાં ઇચ્છનીય બાબત છે? માણસનું જ્ઞાાન કલા-સંગ્રહ માણવામાં એની મદદ કરે છે કે વિઘ્નો ઊભા કરે છે?
 આ સવાલ પૂછીને અતુલ ડોડિયા કહે છે, ‘જાણકારો જ કલા માણી શકે એ ધારણા ભૂલભરેલી હોઈ શકે. તમે જે જાણો છો એ કયારેક તમારી જોવાની પ્રક્રિયામાં દખલ પણ કરી શકે. મારો ઉછેર મુંબઈના પરામાં થયો – ઘાટકોપરની ચાલીમાં. મારા કુટુંબીઓ કે પાડોશીઓને આધુનિક કલાના કક્કાનીય ખબર નહોતી. પણ મારું થતું કામ કે પૂરું થયેલું કામ જોઈને તેમના પ્રતિભાવો મોટા ભાગે સચોટ અને સાચા હતા અને આજેય હોય છે. એથી મને થાય છે, ના, કલા કેવળ કલારસિકોની જાગીર નથી. સામાન્ય માણસો – જેમને કલા વિશે કંઈ જાણકારી નથી – તેઓ આ કલા માણી શકે છે. હા, કયારેક કોઈ કલાકૃતિની ખૂબી ચીંધવી પડે, કયારેક એકાદ ઐતિહાસિક વિગત કહેવી પડે. પણ નજીવી ટિપ્પણીઓના આધારેય તેઓ ઉત્તમ કલા ભરપૂર માણી શકતા હોય છે.’

અતુલ ડોડિયા ભારતના સૌથી સફળ અને સૌથી મોંઘા કન્ટેમ્પરી આર્ટિસ્ટોમાં સ્થાન પામે છે. એમના એક-એક ચિત્રની કિંમત લાખોમાં નહીં, કરોડોમાં પહોંચે છે. તેઓ કહે છે, ‘અહીં ચિત્રકળાની વાત ચાલે ને નક્કી કોઈ બોલી ઊઠે, ‘આપણને તો સીધી લીટી દોરતાં ન આવડે…’ કે ‘મોડર્ન આર્ટમાં આપણું કામ નહીં…’ કે ‘આવું તો મારી ચાર વરસની બેબી પણ ચીતરી શકે…’ ચિત્ર કરવા બેસું ત્યારે આવાય વિચારો મારા માથામાં ભમતા હોય છે!’

આમ કહીને તેઓ ઉમેરે છે, ‘હું દઢપણે માનું છું કે હું કલાકૃતિ મારા માટે નથી બનાવતો. હું જ મારી કૃતિનો પહેલો દર્શક, પહેલો ચાહક, પહેલો વિવેચક… પણ એની રચના પૂરી થયા પછી એ કૃતિ મારે કોઈને દેખાડવી હોય. મારી કૃતિ જોતાં દર્શકના મારે હાવભાવ વાંચવા હોય… એના અંગેઅંગની ભાષા ઉકેલવી હોય! દરેક કૃતિ જોનારને કંઈક આપતી હોય છે… એને નિહાળીને દરેક જોનાર કશુંક પામતો હોય છે… દરેક જોનારને શું પહોંચ્યું એ મારે કળી લેવું હોય છે. આખરે કળા પ્રદર્શનનો હેતુ શું છે? અલબત્ત, કલાની બજાર છે અને અમે અમારું કામ વેચીએ છીએ – એ આર્થિક દુનિયાની ના નહીં – પણ પ્રદર્શનનો મૂળ હેતુ શેરિંગનો છે… કે મેં આ કર્યું છે તો બધા આવો અને માણો પોતપોતાની રીતે! જે આનંદ મને કલાકૃતિની રચના કરતી વખતે થાય છે એવો જ ઉલ્લાસ મને થાય છે જ્યારે લોકો એને નિહાળે છે ત્યારે!’

Jeram Patel
'ફાર્બસ'ના સ્પેશિયલ ઇશ્યુમાં ૮૬ વર્ષની પકવ ઉંમરે મૃત્યુ પામેલા નામાંકિત ચિત્રકાર જેરામ પટેલ વિશે પણ લેખ છે. તેમણે દાયકાઓ પહેલાં પોતાની કેફ્યિત આપતા લખેલું કે –
‘ચિત્ર રચતી વખતે હું હંમેશાં આક્રમણ જ કરતો હોઉં છું… ધારો કે હું લાલ રંગનો પ્રયોગ કરું છું. એનો અર્થ એ થાય છે કે કોઈક ચોક્કસ રંગ ઉપર, કોઈક ચોક્કસ જગા માટે એ કોઈક ચોક્કસ કારણોસર મેં હુમલો કર્યો છે. આ બધું એની મેળે બનતું આવતું હોય છે. કામ શરૂ કરું છું ત્યારે મારા મનમાં કશું સ્પષ્ટ હોતું નથી. એ બધું સ્વાભાવિક ક્રમે અનાયાસે જ આવતું હોય છે. આ જગા માટે લાલ છે, આ પીળા માટે છે કે આ કાળા માટે છે… રંગોને નાટકના પાત્રોની જેમ અભિનય કરતાં જોવામાં રસ છે. મુખ્ય વાત તો એ છે કે હું કશું જ આમ જુઓ તો ચોક્કસપણે કરવા માગતો નથી. મારે તો માત્ર લાલને એની પોતાની ખાસ જગાએ, કાળાને એની જગાએ અને કથ્થઈને એની જગાએ જોવા હોય છે અને એ જ પ્રમાણે બીજા રંગો બાબતે કહી શકું. અહીં કોઈ એવી દલીલ કરી શકે કે આવું તો કોઈપણ કરી શકે. હા, નિશંકપણે જરૂરથી એ કરી જ શકે, જેમ બાળકો પણ કરે છે. કશું જ પણ વિચાર્યા વગર રંગો લઈને એ તો કાગળ પર ચિતરડા કરતાં જ હોય છે ને!’

અતુલ ડોડિયાએ પોતાનાં ચિત્રોને લોકો સામે પ્રદર્શિત કરવાની અને શેરિંગના આનંદની વાત કરી છે, તો જેરામ પટેલ આ સ્થિતિને જરા જુદી રીતે મૂકે છેઃ 
‘એક ચિત્ર કર્યા પછી હું એને અલબત્ત નીરખું છું પણ એ એવી રીતે કે જે રીતે નૈસર્ગિક પદાર્થને જોતો હોઉં. જેમ કે એક લેન્ડસ્કેપને આપણે જોઈએ છીએ કે પછી ઝાડને જોઈએ છીએ કે પછી એક પથ્થરને પણ જોતાં હોઈએ છીએ. મનમાં કોઈ પૂર્વગ્રહ રાખ્યા વિના જોતો હોઉં છું. આ મેં બનાવ્યું છે માટે એના માટે મને મમત હોય કે લાગણી હોય એવું કશું એમાં નથી હોતું… કોઈ અન્યના ચિત્ર વિશે પણ એવું જ કહી શકું. એને કોઈ નૈસર્ગિક પદાર્થ તરીકે જ હું જોવાનું પસંદ કરું છું.’
કલાકારનો માંહૃાલો – પછી એ ચિત્રકાર હોય, શિલ્પકાર હોય કે લેખક હોય કે અભિનેતા – એ કેવી રીતે એની કૃતિઓમાં ઝળકી જતો હોય છે? બહુ રસપ્રદ છે આ સવાલ અને એનો જવાબ ચોક્કપણે બહુરંગી હોવાનો!
0 0 0 

Thursday, October 6, 2011

ગાંધીબાપુએ બકાને શું કહ્યું?


                                                                 ચિત્રલેખા -  અંક ૧૭ ઓક્ટોબર ૨૦૧૧

ચિત્રકાર અતુલ ડોડિયાનાં લેટેસ્ટ આર્ટ એક્ઝિબિશનમાં સાહિત્યકાર લાભશંકર ઠાકરનાં
લખાણને કમાલની કલાત્મક અભિવ્યક્તિ મળી છે.

                            Atul Dodiya                                                                                   (photograph by Vijayan Raghavan) 

                                                                                 
બીજા દિવસે બાપુ આવીને બેઠા કે મે પૂછ્યું,
 ‘બાપુ બીજાની ઊંઘ તે ઊંઘ જ હોયને?’   
‘હાસ્તો.’
‘બીજાની ઊંઘ ઊંઘ ના હોય?’
‘ઊંઘ જ હોય બકા.’
‘તો બકાની ઊંઘ બકાની ઊંઘ કરીને બકાને પૉલ્શન (એટલે કે માખણ) કેમ મારો છો?’
‘તારી ઊંઘમાં રહેવું ગમે છે બકા એટલે.’
‘એટલે પૉલ્શન મારો છો?’
‘એમ જ હશે બકા.’
‘હશે એટલે? ‘છે’-ની વાત કરોને.’
‘બકા, આમ ધમકાવ નહીં મને.’
‘તો પછી બકાને પૉલ્શન નહીં મારવાનું.’
‘પણ બકા એમાં શું બગડી ગયું તારું?’
‘ઊંઘ.’
‘સારું બકા. સોરી, લાય રબ્બર. પૉલ્શનના ડાઘા ભૂંસી નાખું.’

આ સંવાદ આકાર લે છે, મહાત્મા ગાંધી અને દસબાર વર્ષના એક ઉત્સુક કિશોર વચ્ચે. ૨૦૦૪માં પ્રતિષ્ઠિત સાહિત્યકાર લાભશંકર ઠાકર (લાઠા)નું ‘બકો છે. કલ્પો’ નામનું એક પુસ્તક પ્રકાશિત થયેલું. આ સંવાદ તે પુસ્તકનો એક અંશ છે. પુસ્તકમાં ગાંધીજી અને બકા વચ્ચે આવા ઘણા સંવાદો થાય છે. સાત વર્ષ પછી આ પુસ્તકને યાદ કરવાનું ખાસ કારણ એ છે કે ગાંધીજી, બકો અને આ સંવાદો પુસ્તકના પાનાં પરથી ગતિ કરીને હવે કેન્વાસ પર ઊભર્યા છે. આ કમાલનું સ્વરૂપાંતર કર્યું છે, ભારતના સર્વશ્રેષ્ઠ સમકાલીન ચિત્રકારોમાં અધિકારપૂર્વક સ્થાન પામતા અતુલ ડોડિયાએ. મુંબઈની ‘કેમોલ્ડ’ આર્ટગેલેરીમાં ‘બકો એક્ઝિસ્ટ્સ. ઈમેજિન’ શીર્ષક હેઠળ યોજાઈ ગયેલાં કળાપ્રદર્શનનાં ૧૨ પેઈન્ટિંગ્સમાં અતુલ ડોડિયાની ઓર એક સર્જનાત્મક છટા સુંદર રીતે ઝીલાઈ.



લાકડાના સ્ટેન્ડ પર માઉન્ટ કરવામાં આવેલાં વિશાળ કદનાં આ પેઈન્ટિંગ્સ પહેલી નજરે તો સ્કૂલના બ્લેકબોર્ડ જેવાં લાગે. અતિ વપરાશને કારણે બ્લેકબોર્ડની કાળી સપાટી ક્યાંક ક્યાંકથી ઘસાઈને જાણે ઊખડી ગઈ છે. તેના પર સફેદ ચોકથી અત્યંત સુઘડ અંગ્રજી અક્ષરોમાં બાપુબકાનું લખાણ લખવામાં આવ્યું છે. ડસ્ટરથી લૂછવાને કારણે રહી ગયેલા આછા સફેદ ડાઘ તેમજ અક્ષરોની આસપાસ ચોકના વેરાઈ ગયેલા ઝીણા કણો પણ ચોખ્ખા દેખાય છે. લખાણની આસપાસ અને નીચે જુદી જુદી ઈન્ટરેસ્ટિંગ આકૃતિઓ છે. ક્લાસરૂમનાં કાળા પાટિયાં જેવી આબાદ અસર ઊપજાવતાં બ્લેક કેનવાસ પર અતુલ ડોડિયાએ ઓઈલ, ઓઈલ સ્ટિક, વોટરકલર, એક્રેલિક અને માર્બલ ડસ્ટનો ઉપયોગ કર્યો છે.

બાવન વર્ષીય મુંબઈવાસી અતુલ ડોડિયા ચિત્રલેખાને કહે છે, ‘હું આકાર અને અક્ષરો વચ્ચે ભેદ જોતો નથી. લખાણ પણ દશ્યકળાનો જ એક ભાગ છે. હું જમણેરી છું , પણ આ પેઈન્ટિંગ્સ પરનું લખાણ તૈયાર કરવા માટે મેં ડાબો હાથ વાપર્યો હતો કે જેથી ફોન્ટ્સને સુનિશ્ચિત ઘાટ મળે. અગાઉ પણ મેં લિપિસંબંધિત, ટેક્સ્ટબેઝડ ઘણું કામ કર્યું છે. આ કૃતિઓને જોઈને કલારસિકને સવાલ થવો જોઈએ કે મારે આને જોવાનું કે વાંચવાનું? જોનાર મૂંઝાય, સમજવાની મથામણ કરે, એને અવઢવ થાય, હું જે કહેવા માગું છું તે યથાતથ સાંભળી લેવાને બદલે પોતાની કથા ઘડવાના પ્રયત્ન કરે... આ બધામાં મને બહુ રસ પડે છે.’

અતુલ ડોડિયાને ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો લગાવ જાણીતો છે. ૨૦૦૩માં તેમણે ‘એન્ટલર એન્થોલોજી’ શીર્ષક હેઠળ આઠ આધુનિક ગુજરાતી કવિઓની રચનાઓનો વિનિયોગ કરીને વિશાળ કદનાં એક ડઝન ચિત્રો તૈયાર કર્યાં હતાં. લાભશંકર ઠાકર લિખિત ‘બકો છે. કલ્પો’માં તેમના અતિ પ્રિય પાત્ર મહાત્મા ગાંધીજી જુદા જ અંદાજમાં પેશ થાય છે. ભૂતકાળમાં અતુલ ડોડિયાની કૃતિઓમાં ગાંધીજી અનેક વખત પ્રગટ થઈ ચૂક્યા છે. અલબત્ત, આ વખતનાં ચિત્રો ફક્ત ગાંધી વિશેનાં નથી એમ કહીને અતુલ ડોડિયા ઉમેરે છે, ‘લાઠાનાં આ પુસ્તકમાં ગાંધીજી અને બકો બે દોસ્તારોની જેમ સહજપણે વાતો કરે છે. ગાંધીજીની વાતચીતમાં સ્વાતંત્ર્યસંગ્રામ, અહિંસા કે સત્યાગ્રહ આવતાં નથી. આ એબ્સ્ટ્રેક્ટ વાતો છે. પુસ્તકમાં વચ્ચે વચ્ચે આવતા આ કાલ્પનિક ગદ્યખંડોમાં બકાનું વિસ્મય અને ઉત્સુકતા સરસ ઝીલાયાં છે. પુસ્તક વાંચ્યું ત્યારે બકાની માનસિકતા સાથે હું મારી ખુદની કિશોરાવસ્થાને રીલેટ કરી શક્યો. દસબાર વર્ષની ઉંમરે મારા મનમાં ખુદના ગમાઅણગમા વિશે તેમજ કળાપ્રેમ વિશે સ્પષ્ટતાઓ થવાની શરૂઆત થઈ ચૂકી હતી. મારે આ વિષયને લઈને કેનવાસ પર કશુંક ઊતારવું હતું. આખરે આ ટેક્સ્ટ-બેઝડ ફૉર્મ વિશે માનસિક સ્પષ્ટતા થતાં પેઈન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું.’


બાપુ બકાના સપનાંમાં નહીં, પણ ઊંઘમાં મળે છે. સપનું બહુરંગી હોઈ શકે, પણ ઊંઘનો શેડ ડાર્ક છે, ઘેરો કાળો છે. તેથી કેનવાસનું  બેકગ્રાઉન્ડ સ્કૂલનાં બ્લેકબોર્ડ જેવું કાળું છે. વળી, કાળા પશ્ચાદભૂને બેઝ યા તો ધરી નથી. ગુરુત્વાકર્ષણવિહીન સ્થિતિમાં વસ્તુઓ તરતી હોય તેમ અહીં જુદાં જુદાં એલીમેન્ટ્સ અને આકૃતિઓ ફ્લોટ કરી રહ્યાં છે. આ કૃતિઓ બહોળા વર્ગ સુધી પહોંચી શકે તે માટે લાઠાની ટેક્સ્ટનું અંગ્રજીમાં ભાષાંતર કરવામાં આવ્યું. આ કામ કર્યું નાટ્યકારલેખક નૌશિલ મહેતા તેમજ કવયિત્રી અરુંધતી સુબ્રમણ્યમે. અલબત્ત, આ ચિત્રોને લાઠાનાં લખાણનું ચિત્રસ્વરૂપ ગણીને મર્યાદિત દષ્ટિકોણથી જોવાની ભૂલ કરવા જેવી નથી. લેખકના લખાણને આત્મસાત કરીને, તેને પોતાના ચિત્તનો એક હિસ્સો બનાવીને ચિત્રકારે પોતાના મિજાજ પ્રમાણે કરેલું આ આત્મકથનાત્મક અર્થઘટન છે.

Installation- Meditation (with open eyes)


 આ એક્ઝિબિશનમાં માત્ર ચિત્રો જ નહોતાં, પણ ‘મેડિટેશન (વિથ ઓપન આઈઝ)’ નામનું બહુ જ રસપ્રદ આર્ટ ઈન્સ્ટોલેશન પણ હતું. ઈન્સ્ટોલેશન એટલે, સાદી ભાષામાં, મ્યુઝિયમના ઓરડામાં કે ખુલ્લામાં અલગ અલગ ચીજવસ્તુઓેની કરવામાં આવતી કલાત્મક ગોઠવણી. અતુલ ડોડિયાએ અહીં નવ જેટલાં લાકડાંના કબાટ લગોલગ ગોઠવ્યા હતા. તેમાં હાથેથી અનાજ દળવાની ઘંટીના તોતિંગ પડ, ગરમ પાણીથી શેક કરવાની કોથળી, વિષ્ણુના દશાવતારમાંથી સાતેક જેટલા અવતારની મૂર્તિઓ, એક પર એક ગોઠવાયેલા ડસ્ટરનો સ્તંભ, જૂના જમાનાની ઘડિયાળ જેવી કંઈકેટલીય વસ્તુઓ છે. તે સિવાય સત્યજિત રાય, ફ્રેન્ચ ફિલ્મમેકર ફ્રાન્સવા ત્રુફો, અમેરિકન પેઈન્ટર જાસ્પર જોન્સ આદિની તસવીરો તેમજ ‘આનંદ’ ફિલ્મનો સ્ટિલ ફોટોગ્રાફ સુદ્ધાં છે. આ બધાની સૂઝપૂર્વક થયેલી ગોઠવણી વિશિષ્ટ અસર ઊપજાવે છે.

 અતુલ ડોડિયા સમાપન કરે છે, ‘આ મારાં બાળપણનાં પ્રતીકો છે અને હું જેમનાથી પ્રભાવિત થયો છ  એવા મારા હીરોઝ છે. આર્ટ એક્ઝિબિશનનો આ મહત્ત્વનો હિસ્સો છે. જો બકો ન હોત તો આ ઈન્સ્ટોલેશન પણ ન હોત.’

 અતુલ ડોડિયાનાં અગાઉનાં પ્રદર્શનોની માફક આ એક્ઝિબિશન પણ કળાજગતમાં સ્પંદનો પેદા કરશે એ તો નક્કી.

0 0 0 

Monday, January 3, 2011

એક સુપરગર્લ, નામે વિપાશા

                                     અહા! જિંદગી - અંક જાન્યુઆરી ૨૦૧૧માં પ્રકાશિત

                                                                કોલમ : ફલક


એની આંખોમાં માત્ર સામેના માણસને અસ્થિર કરી દે તેવી નિર્મળતા જ નથી, તેમાં વિસ્મય પણ છે અને ઘૂંટાયેલો, દબાયેલો, શાંત થઈ ગયેલો વિષાદ પણ છે. પણ આ વાચાળ આંખો સંપૂર્ણ કથા કહેતી નથી...


હસે છે, ખિલખિલાટ હસે છે અને હસતી વખતે એની આંખો, એનો ચહેરો, એનું આખું વ્યક્તિત્ત્વ ગજબનાક રીતે પ્રકાશી ઊઠે છે. તે જોઈને તમે સુખદ કંપ અનુભવો છો. આવું હાસ્ય અને આવો પ્રકાશ તમે વાસ્તવની થપાટોથી અજાણ એવા નિર્દોષ બાળકના ચહેરા સિવાય બીજે ક્યાંય જોયા નથી. એ હસે ત્યારે એવું લાગે કે જાણે તેનું સમગ્ર અસ્તિત્વ, તેની સમગ્ર ચેતના તેની બુદ્ધિશાળી આંખોમાં સમેટાઈ ગયાં છે. હાસ્ય અટકી ગયા પછી એ કશુંક ધ્યાનથી સાંભળતી હોય કે વિચારતી હોય ત્યારે તમે જુઓ છો કે એની આંખોમાં માત્ર સામેના માણસને અસ્થિર કરી દે તેવી નિર્મળતા જ નથી, તેમાં વિસ્મય પણ છે અને ઘૂંટાયેલો, દબાયેલો, શાંત થઈ ગયેલો વિષાદ પણ છે.

પણ આ વાચાળ આંખો સંપૂર્ણ કથા કહેતી નથી.

આ આંખોને પેલે પાર એક મન છે, જે કદાચ બીજા કોઈ પણ પુખ્ત, વિચારશીલ માણસના મન કરતાં ઘણું વધારે જટિલ છે. તેના મનની લીલા સામેની વ્યક્તિને ગૂંચવી નાખે છે, આઘાત આપે છે, છળી ઉઠાય એવાં કલ્પન રચે છે. શું માસૂમિયતનો એક છેડો હિંસાના પ્રદેશને સ્પર્શતો હશે? શું માસૂમિયત એક પરાકાષ્ઠા પછી આપોઆપ વિકરાળ બની જતી હશે? તે સિવાય આવી કૂમળી છોકરી એવું શી રીતે લખી શકે કે -

ચાલ
ભોંક લોકની આંખોમાં ગરમ સળિયો,
ના,
બે અધમૂઈ આંખોમાં ઠંડા
સળિયા,
ને કૂચ કર.

એ તાડન અને આત્મપીડનની ઉપર ક્યાંક ઊભી ઊભી ચુપચાપ બધો તાલ જોયાં કરે છે. મનના પરદા પર પળેપળે આકાર બદલતાં શ્યામલ છાયાચિત્રોની ભાષા ઉકેલવાની શાંત કોશિશ કરતી રહે છે. શક્ય છે કે તેને ઉકેલવામાં બહુ રસ ન પણ હોય. તેને કદાચ આ છાયાચિત્રોને માત્ર નિહાળવાં છે, તેના સાક્ષી બનવું છે, તેને પોતાની કવિતાઓમાં જડી લેવાં છે. તેની કવિતાઓથી ભલે સામેનો માણસ ગૂંચવાય, આઘાત પામે કે છળી ઊઠે, પણ એ સ્વયં સ્થિર છે, શાંત છે.

એક મિનિટ. વિપાશા ખરેખર શાંત છે કે માત્ર શાંત દેખાય છે?

૦ ૦ ૦


A beautiful painting by Anju Dodia
 વિપાશા છેલ્લાં છ વર્ષથી જિદપૂર્વક અમેરિકામાં રહે છે, એકલી, પોતાના હાલી-ચાલી-બોલી ન શકતા શરીર સાથે. આ પસંદગીપૂર્વકની એકલતાને લીધે તે પોતાના મન અને શરીરમાં ઊઠતાં સ્પંદનોને કે તેની ગેરહાજરીને વધારે બારીકાઈથી તેમ જ બહાદૂરીપૂર્વક ઝીલી શકી છે. વિપાશા ૨૦૦૪માં અમેરિકા ગઈ ત્યારે તેનો પહેલો એવોર્ડવિનિંગ કાવ્યસંગ્રહ બહાર પડ્યો હતો - ‘ઊપટેલા રંગોથી રિસાયેલી ભીંતો’. હમણા ડિસેમ્બરમાં એ ઈન્ડિયાની મુલાકાતે આવી ત્યારે તેનો બીજો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો - ‘ટાપુઓ પર ફૂદડી’. આ બન્ને સંગ્રહોનાં ભાવવિશ્વો વચ્ચેનું અંતર સ્પર્શી શકાય એવું નક્કર છે. વિપાશાના પ્રકાશક-કમ-મિત્ર-જ્યાદા એવા નૌશિલ મહેતા ‘ટાપુઓ પર ફૂદડી’ વિશે લખે છેઃ ‘અહીં (એટલે કે આ કાવ્યોમાં) એ એકલી નથી. અહીં તો જાણે એકમેકથી તદ્દન ભિન્ન, એકમેક પ્રત્યે અનુકંપા વિનાનાં, જિદ્દી એવાં ત્રણ અસ્તિત્વો છેઃ શરીર, મગજ અને વ્યક્તિચેતના... આ ત્રણેય - હું-મગજ-શરીર - વચ્ચે સતત ખૂનખાર ઝનૂનપૂર્વકની ફેંદાફેંદીનો-ચૂંથાચૂંથીનો તણાવ, એકમેકને પછડાટ આપવાની હોડ આ કાવ્યોના વિષય અને વિશેષ છે.’

આ ફેંદાફેંદી અને ચૂંથાચૂંથીનું એક ઉદાહરણ જુઓ-

એક હથેળીમાં
મગજ


એક હથેળી પર
શરીર.

અફળાયાં
બન્ને એકબીજાં
સાથે.

ભુક્કા ઊડ્યા,
થોડું ચાલી
તણખાના
અજવાળામાં.

ભળી ગઈ
જમીન પર
પથરાયેલા
ભુક્કામાં.




જીવનના ચોથા દાયકાનો પ્રારંભ ઝાઝો દૂર ન હોય એવા બિંદુ પર ઊભેલી બીજી કોઈ પણ સ્ત્રી કરતાં - સ્ત્રી જ શા માટે? - બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં વિપાશાનાં સંવેદનવિશ્વનો નક્શો જુદી રીતે દોરાયો હશે? ધારો કે એમ હોય તો પણ ‘ટાપુઓ પર ફૂદડી’નાં કાવ્યોને માત્ર વિપાશાની આત્મ-અભિવ્યક્તિના ચોકઠામાં કેદ કરી દેવાની જરૂર નથી. વિપાશા જ્યારે એમ લખે કે -

જીવન ચકડોળ
ચાલે
ધમધમ
સંભળાય
બસ ખાલીખમ
અવાજો.

- ત્યારે સહેજે સવાલ જાગે કે આ અવાજો, આ ખાલીપો શું તમામ સંવેદનસભાન વ્યક્તિ જીવનના કોઈને કોઈ તબક્કે અનુભવતી હોતી નથી શું? વિપાશાની કવિતાઓની અપીલ ખાસ્સી વ્યાપક છે. આ સંગ્રહ પ્રમુખપણે વિપાશાનું અંગત એક્સપ્રેશન હોવા છતાં તેમાંની કેટલીય કવિતાઓમાં વ્યક્ત થયેલી લાગણીઓ ઘણા વિશાળ ફલક પર વિહરે છે.

એની ને મારી
વચ્ચે
લડાઈ
ચાલતી લાગે
છે.
જોઈએ
કોણ જીતે છે:
જીવન
કે
હું?

આ પ્રકારનાં દ્વંદ્વનો સામનો આપણે સૌએ કર્યો હોય છે. સંદર્ભો આપણા હોય, સ્વરૂપ આપણે આપ્યું હોય, પણ દ્વંદ્વ અનુભવાય છે એ તો નક્કી.

૦ ૦ ૦

વિપાશાનો પહેલો કાવ્યસંગ્રહ બહાર પડ્યો હતો ત્યારે તેના પિતાએ એને કાળજીપૂર્વક ઊંચકી હતી, કપડાંનું નિર્જીવ પોટલું ખભે નાખ્યું હોય તેમ, અને પછી ધીમે ધીમે સીડી ઊતરી ગયા હતા. શરીર એ જ છે, પણ આ વિપાશા આજે અમેરિકામાં પોતાના સહાયકની પોસ્ટ માટે હિસ્પેનિક કે આફ્રો-અમેરિકન કે યુરોપિયન ઉમેદવારોની જાતે પસંદગી કરે છે, મોજથી શોપિંગ કરવા ઊપડી જાય છે, પોતાના રહેઠાણથી ઘણે દૂર ક્રિયેટિવ રાઈટિંગના ઈવનિંગ ક્લાસ અટેન્ડ કરે છે. ક્લાસ પૂરા થયા પછી બીજા સ્ટુડન્ટ્સ જતા રહ્યા હોય અને ઘેરાઈ ચૂકેલા વેરાન અંધકારમાં વિપાશા વ્હીલચેર પર મોડી પડેલી બસની રાહ જોતી બેઠી હોય, પોતાનાં મન અને કહ્યું ન માનતા શરીર સાથે, એકલી. અને પછી એ લખે કે -

મનની નસોમાં અટવાઈને તાકે છે
તીક્ષ્ણ આંખો, બેબાકળી નહીં, અફાટ
ધીરજ પોતાનામાંથી ઊપજાવતી.


ધીરજ, ખુદવફાઈ, આત્મસન્માન, આત્મબળ... આ બધા શબ્દોથી વિપાશા ખૂબ આગળ નીકળી ચૂકી છે . જીવન અને તેની વચ્ચે ચાલતી લડાઈ એ ક્યારની જીતી ચૂકી છે. મગજ અને શરીર ભલે ફક્કડ જીવતાં હોવાનો ડોળ કરે, ખાનગી બાતમી એ છે કે એ બન્ને થરથર કાંપે છે. મગજ અને શરીર બેયને બરાબરનો પરચો મળી ચૂક્યો છે, વિપાશા નામની આ સુપરગર્લનો.

૦ ૦ ૦

Saturday, November 20, 2010

પરેશ રાવલનું હેરી પોટર કનેકશન

          દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - ૨૧ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


                                                       કોલમઃ મલ્ટિપ્લેક્સ

‘પહેલાં બે શોમાં સ્ટેજ પર નગ્ન થતી વખતે મને ખૂબ ટેન્શન રહ્યું, પણ ત્રીજા શોથી હું સહજપણે નગ્ન સીન કરવા માંડ્યો. મારા શરીર પર કપડાં છે કે નહીં... ઈટ જસ્ટ ડિડન્ટ મેટર!’




‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ’ ફિલ્મનો પાર્ટ વન આ શુક્રવારે રિલીઝ થયો. છેલ્લાં નવ વર્ષથી દુનિયાભરનું ઓડિયન્સ હેરી પોટર બનતા બાળજાદુગર ડેનિયલ રેડક્લિફને સ્ક્રીન પર મોટો થતાં જોઈ રહ્યું છે. ડેનિયલ હવે ૨૧ વર્ષનો પુખ્ત પુરુષ બની ગયો છે. જુવાનજોધ ડેનિયલની અંગત માલમિલકતનું મૂલ્ય આજની તારીખે ૨૮.પ મિલિયન પાઉન્ડસ (આશરે ૨૦૫ કરોડ રૂપિયા) જેટલું છે. ઇંગ્લેન્ડનાં પ્રિન્સ ચાર્લ્સ લેડી ડાયેનાના સુપુત્ર પ્રિન્સ વિલિયમ કરતાં પણ ડેનિયલ વધારે ધનિક છે!
Daniel with Richar Griffith in Equus - the play



હેરી પોટર પછી શું? એવો સવાલ ડેનિયલને સતાવે એમ નથી. પોતે અચ્છો એક્ટર છે તે ડેનિયલે ત્રણ વર્ષર્ પહેલાં જ પ્રસ્થાપિત કરી દીધું હતું, પીટર શેફર લિખિત ‘ઈક્વસ’ નાટકમાં કામ કરીને. પીટર શેફરે આ નાટક ૧૯૭૩માં લખ્યું હતું. નાટકની પ્રેરણા બન્યો લંડન નજીકના એક પરગણામાં બનેલો સાચો કિસ્સો. સત્તર વર્ષના એક તરૂણે છ ઘોડાની આંખો ફોડી નાખી હતી. ઊગીને ઊભો થતો લબરમૂછિયો આવું ઘૃણાસ્પદ કામ શા માટે કરે? આ પ્રશ્નના ઉત્તર રૂપે પીટર શેફરે એક કાલ્પનિક કહાણી રચી. અપરાધી છોકરાનો કેસ માનસચિકિત્સક પાસે આવે છે, જે ધીમે ધીમે તેના મનના પડળોને ખોલતો જાય છે. ધીમે ધીમે સ્પષ્ટ થતું જાય છે કે છોકરો તો ઘોડામાં ભગવાનનું સ્વરૂપ જોતો હતો. ઘોડા પ્રત્યે તે ન સમજાય એવું સેક્સ્યુઅલ એટ્રેકશન પણ અનુભવે છે. એક વાર એક ચંચળ તરૂણી ધરાર આ છોકરા સાથે તબેલામાં શારીરિક સંબંધ સ્થાપવાની કોશિશ કરે છે. તબેલામાં બાંધેલા છ ઘોડા તેને આ ‘પાપ’ કરતાં જોઈ ગયા છે તે વિચારે છોકરો ફફડી ઉઠે છે. આવેશમાં આવીને છોકરો છએ છ ઘોડાની આંખો ફોડી નાખે છે...

Daniel Redcliffe in Equus


 1973માં સૌથી પહેલી વાર રોયલ નેશનલ થિયેટરે લંડનમાં ‘ઈક્વસ’નું મંચન કર્યું. તરુણના રોલમાં પીટર ફર્થ નામનો યુવાન અદાકાર હતો. ૧૯૭૭માં નાટક પરથી ફિલ્મ બની, જેમાં રિચર્ડર્ બર્ટને અભિનય કર્યો હતો. તરૂણનો રોલ ફિલ્મમાં પણ પીટર ફર્થે જ કર્યોર્. ફિલ્મની જોકે ખૂબ ટીકા થઈ. મંચ પર ઘોડા નકલી હોય અને તેના પર થતો અત્યાચાર સજેસ્ટિવ કે પ્રતીકાત્મક હોય, પણ ફિલ્મમાં ઘોડા પર થતી હિંસાનાં દશ્યો ઓડિયન્સને અરેરાટી થઈ જાય તે રીતે શૂટ કરવામાં આવ્યાં હતા. એનિમલ રાઈટ્સવાળાઓ તો ઠીક, સ્વયં પીટર શેફરે આ ફિલ્મને વખોડી કાઢી હતી.

Poster of Equus - the movie

Equus- the movie: Richard Burton and Peter Firth


‘ઈક્વસ’ પછી તો મંચ પણ ઘણી વાર રિવાઈવ થયું. છેલ્લે ૨૦૦૭માં ડેનિયલ રેડક્લિફને મુખ્ય ભુમિકામાં કાસ્ટ કરીને ‘ઈક્વસ’ રિવાઈવ કરવામાં આવ્યું. તે વખતે ડેનિયલ ખુદ સત્તર વર્ષનો હતો. આ રિવાઈવલ અને ડેનિયલના પર્ફોર્મન્સે તરંગો પેદા કર્યા. નાટકમાં ડેનિયલે એક દશ્યમાં સંપૂર્ણપણે નગ્ન થવાનું હતું. ડેનિયલ કહે છે, ‘સ્ટેજ પર સંપૂર્ણપણે નગ્ન થવામાં મને કશો પ્રોબ્લેમ નહોતો એવું તો શી રીતે કહી શકાય? હું સખ્ખત નર્વસ હતો. ગેરી ઓલ્ડમેન નામના સિનિયર એક્ટરને હું મળ્યો. સ્ટેજ પર નિર્વસ્ત્ર થવાનો તેમને અનુભવ છે. મારે તેમની પાસેથી ટિપ્સ લેવી હતી. ગેરીએ મને કહ્યું કે જો, પહેલા શો વખતે તને ખૂબ ગભરાટ થશે, બીજા શો વખતે પણ તું ગભરાઈશ, પણ પછી તું નોર્મલ થઈ જઈશ. એવું જ થયું. પહેલા બે શોમાં મને ખૂબ ટેન્શન રહ્યું, પણ ત્રીજા શોથી હું સહજપણે નગ્ન સીન કરવા માંડ્યો. મારા શરીર પર કપડાં છે કે નહીં... ઈટ જસ્ટ ડિડન્ટ મેટર!’


 ‘ઈક્વસ’ નાટકમાં ડેનિયલના અભિનયે પ્રેક્ષકો અને વિવેચકો સૌને સાનંદાચર્યનો આંચકો આપ્યો. હેરી પોટર તરીકે જેનેે વર્ષોથી જોઈ રહ્યા છીએ તે ટાબરિયો જબરદસ્ત સ્ટેજ પ્રેઝન્સ ધરાવતો હશે અને અત્યંત કોમ્પ્લીકેટેડ રોલ પ્રભાવશાળી રીતે અદા કરી શકશે એવી કોઈએ કલ્પના પણ ક્યાંથી કરી હોય. જોકે ઇંગ્લેન્ડઅમેરિકાની ટીનેજ કન્યાઓની કેટલીય મમ્મીઓ નારાજ થઈ ગઈ હતી. તેમણે ડેનિયલને ફોન કરી કરીને ફરિયાદો કરી કે તું આવું ગંધારુંગોબરું નાટક કરી જ શી રીતે શકે? ડેનિયલ અકળાઈને કહે છે, ‘અરે! ‘ઈક્વસ’ કંઈ પોર્નોગ્રાફી થોડું છે? નાટકમાં હું ફક્ત સાત મિનિટ સ્ટેજ પર નેકેડ રહું છું અને તે પણ છેક ક્લાઈમેક્સમાં.’



Sitanshu Yashschandra





 
Paresh Raval
 ‘ઈક્વસ’ ગુજરાતીમાં ‘તોખાર’ના નામે અવતરી ચૂક્યું છે. આ નાટકને આપણી ભાષામાં અદભુત રીતે રૂપાંતરિત કર્યું વિખ્યાત કવિ-નાટ્યકાર સિતાંશુ યશશ્ચંદે. રંગભૂમિ અને ગુજરાતી ભાષાની તાકાત પ્રત્યે આકર્ષણ ધરાવતા લોકોએ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલું ‘તોખાર’ અનિવાર્યપણે વાંચવું જોઈએ. આ નાટકને ૧૯૭૭માં ડિરેક્ટર મહેન્દ્ર જોશી મંચ પર લાવ્યા, જેમાં એક નવી તેજસ્વી પ્રતિભા વિસ્ફોટ સાથે ઊછળીને બહાર આવી. તેનું નામ હતું, પરેશ રાવલ. તેઓ તરૂણની મુખ્ય ભુમિકા ભજવતા હતા. માનસચિકિત્સકનું પાત્ર શફી ઈનામદારે ભજવેલું. ‘તોખાર’ નાટક એટલું પાવરફુલ હતું કે દર્શકો ચકિત થઈ જતા. સર્વકાલીન શ્રેષ્ઠતમ ગુજરાતી નાટકોની સૂચિમાં તે હકથી સ્થાન પામ્યું. આ નાટકે પરેશ રાવલમાં જબરદસ્ત આત્મવિશ્વાસ પેદા કર્યો. તેઓ પોતાનામાં રહેલા અદાકારને આ નાટક થકી પારખી શક્યા.



Images of Naushil Mehta's Tokhar
‘તોખાર’ નાટકે એ વર્ષોમાં એક ઓર વ્યક્તિ પર પણ તીવ્ર અસર કરી હતી. એ હતા નૌશિલ મહેતા, જે ક્રમશઃ પ્રતિભાશાળી લેખક ડિરેક્ટર-પ્રોડ્યુસર તરીકે ઊભર્યા. વર્ષો પછી તેમણે ‘તોખાર’ રિવાઈવ ર્ક્યું. ડિરેક્ટર તરીકેની જવાબદારી ઉપાડતી વખતે તેમણે એક આકર્ષક ફેરફાર કર્યો. અત્યાર સુધીના વર્ઝનોમાં માનસચિકિત્સકનું પાત્ર પુરુષ કલાકાર ભજવતો હતો. નૌશિલ મહેતાએ આ કિરદાર રત્ના પાઠક શાહને આપ્યું. ડોક્ટર પુુરુષને બદલે સ્ત્રી હોય તે વિચાર સિતાંશુ યશશ્ચંદ્રને પણ ગમ્યો. પરેશ રાવલ (અને ડેનિયલ રેડક્લિફ)વાળું પાત્ર ભજવ્યું ટેલેન્ટેડ અમિત મિસ્ત્રીએ. ડોક્ટર અને દર્દી વિજાતીય હોવાથી કેટલાંક પરિમાણો આપોઆપ બદલાયાં અને એક જુદી જ કેમિસ્ટ્રી પેદા થઈ. નવી પેઢીના નાટ્યરસિકો પાસે તુલના માટે મહેન્દ્ર જોશી - પરેશ રાવલવાળા ‘તોખાર’નો સંદર્ભ ભલે નહોતો, પણ નૌશિલ મહેતાનું ‘તોખાર’ તેમના માટે યાદગાર પૂરવાર થયું. ‘તોખાર’ની બન્ને આવૃત્તિઓમાં દેખીતી રીતે જ નગ્નતા ન હોય. મહેન્દ્ર જોશી અને નૌશિલ મહેતાએ એટલી કુનેહપૂર્વક ડિરેકશન કર્યું હતું કે કલાકારો અને પ્રેક્ષકો બન્નેમાંથી કોઈને કશુંય અન્કમ્ફર્ટેબલ ન લાગે અને છતાંય વિગતો પૂરેપૂરી તીવ્રતાથી મંચ પર ઉપસે.




Naushil Mehta

Amit Mistry

‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ’નો પાર્ટ-ર્ટુ શૂટ થઈ ચૂક્યો છે. તે આવતા વર્ષે રિલીઝ થશે અને તે સાથે હેરી પોટર સિરીઝ પર પૂર્ણવિરામ મૂકાશે. ડેનિયલ રેડક્લિફ માટે આ સુખદ સ્થિતિ છે. એક એક્ટર તરીકે હેરી પોટરનું પાત્ર તેની સિસ્ટમમાંથી બહાર થઈ ગયું છે અને મેચ્યોર કિરદારો માટે તે સજ્જ છે તે હકીકત ‘ઈક્વસ’ થકી એસ્ટાબ્લિશ થઈ ચૂકી છે. ડેનિયલની હવે પછી કરિયર કેવો આકાર લે છે તે જોવાનું ઈન્ટરેસ્ટિંગ પૂરવાર થશે...



શો-સ્ટોપર



પ્રેમ ખરેખર આંધળો છે. આ હું જાતઅનુભવ પરથી કહું છું.

- દીપિકા પદુકોણ