Showing posts with label Sudhir Shah. Show all posts
Showing posts with label Sudhir Shah. Show all posts

Saturday, June 1, 2013

આલ્પ્સના ડુંગરા નજીકથી પણ રળિયામણાં!


 ચિત્રલેખા - અંક તા. જૂન ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું 

Interlaken
                                                                                   
ગુજરાતના પા ભાગ કરતાંય ઓછો એરિયા ધરાવતા, ફક્ત ૭૮ લાખની વસતીવાળા તેમજ જર્મની, ઓસ્ટ્રિયા, લીચટેનસ્ટેન, ઈટલી અને ફ્રાન્સની વચ્ચે વસેલા સ્વિત્ઝરલેન્ડમાં એવું તે શું છે કે દુનિયાભરના પ્રવાસીઓનું એ દાયકાઓથી મોસ્ટ ફેવરિટ છે? આ સવાલનો વિસ્તૃત જવાબ એટલે આજનું પુસ્તક. લેખકબેલડી અઠંગ વિશ્વપ્રવાસી છે. દુનિયાભરના દેશોમાં ઘુમીને પછી એનાં ઝીણવટભર્યા વર્ણનો કરતાં પુસ્તકો લખવાની એમની ખૂબસૂરત આદત છે. સ્વિત્ઝરલેન્ડના ઈન્ટરલેકન નગરની હેરિટેજ હોટલમાં રોકાણ કરીને એમણે લગભગ આખો દેશ ખૂંદી નાખ્યો. પછી દેશ પાછા ફરીને આ પુસ્તક પર કામ કરવાનું શરુ કરી દીધું.

ડો. સુધીર શાહ લખે છે કે સ્વિત્ઝરલેન્ડ તમારી સામે તમારી તાસીર પ્રમાણે બધું જ પીરસશે. જો તમને ચિત્રકલામાં રસ હોય તો અહીં અપ્રતિમ દશ્યો જોવા મળશે. સંગીતકાર બનવાની ઉત્કંઠા હોય તો અહીંના ઝરણાં અને પંખીઓ પોતાના સ્વરો દ્વારા  તમને સંગીત શીખવશે. કાવ્યો રચવા હોય તો આખો દેશ એ માટે પ્રેરણા પૂરી પાડશે. આર્કિટેક્ચરમાં રસ હોય તો અહીં તમને વર્ષો જૂનાં અને ફ્યુચરિસ્ટિક ડિઝાઈનો ધરાવતાં કંઈકેટલાય આવાસો જોવા મળશે. તમને એડવન્ચર અને સ્પોર્ટસમાં રસ હોય તો એને લગતી એક્ટિવિટીઝ માટે તો આ દેશ પંકાયેલો છે. ખાવાના શોખીન હો તો જીનીવા અને ઝ્યુરિક તમારી સામે દુનિયાભરની વાનગીઓનો અન્નકોટ ધરી દેશે. પીવાના શોખીન હો તો જાતજાતનાં સ્વાદિષ્ટ, માદક તેમજ નિદોર્ષ પીણાં તમને તર-બ-તર કરી મળશે. ટૂંકમાં, તમે કોઈ પણ બાબતમાં રુચિ ધરાવતા હો, આ દેશ એને સંતોષવાની અદભુત ક્ષમતા ધરાવે છે. કદાચ એટલે જ આખા વિશ્વના ટુરિસ્ટો માટે આ નંબર વન દેશ છે!

હિમાલયના પર્વતોને જોતા આધ્યાત્મિક અનુભૂતિ થાય, જ્યારે આલ્પ્સ પ્રવાસીઓને રોમાંચનો અનુભવ કરાવે. ઘણા પરદેશીઓ સ્વતંત્રપણે  સ્વિત્ઝરલેન્ડના પ્રવાસે ગયા હોય ત્યારે અડધા દિવસો ઈન્ટરલેકનમાં અને અડધા દિવસો લ્યુઝેનમાં રહેવાનું પસંદ કરે છે, જેથી આલ્પ્સની તળેટીમાં બબ્બે તળાવોની વચ્ચે વસેલા શાંત નગરના માહોલ અને જાતજાતની પ્રવૃત્તિઓથી ધમધમતા લ્યુઝેન શહેર, એમ બન્ને પ્રકારના વાતાવરણનો અનુભવ થઈ શકે.

Zurich


ઝ્યુરિકના બેનહોફ સ્ટ્રેસ નામના રસ્તા પર જોકે લેખિકા સંગીતા જોશીને અલગ અનુભૂતિ થઈ. એમને અચાનક યાદ આવ્યું કે આ રસ્તાની નીચે આવેલા અન્ડરગ્રાઉન્ડ લોકરોમાં દેશ-પરદેશના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓે અને ધનિકોના કાળા નાણાં અને એના વડે ખરીદાયેલા ઝરઝવેરાત, હીરા-મોતી, સોના-ચાંદીની લગડીઓ અહીં સંગ્રહાયેલા પડ્યા છે. એ લખે છે:

‘એ રસ્તા પર પગ મૂકતા જ જાણે કે મને વીજળીનો આંચકો લાગ્યો. હું પણ જાણે અબજોપતિ હોઉં એવું ત્યાંની ધરતી ઉપર પગ ઠેરવતા મેં અનુભવ્યું. જો પગ નીચેની દોલત માણસને આવો અનુભવ કરાવી શકે તો એ મિલકત એના ખિસ્સામાં હોય તો તો એ એને શું નું શું કરાવી શકે?’ આટલું કહીને લેખિકા હળવેથી ઉમેરી દે છે કે, ‘અન્ના હજારે જો સ્વિત્ઝરલેન્ડમાં જન્મ્યા હોત તો આ બેનહોફ સ્ટ્રેસ પર બેસીને જ કાળાં નાણાં વિરુદ્ધ ભૂખ હડતાળ આદરી હોત!’

સ્વિત્ઝરલેન્ડને ભારતીયોમાં પોપ્યુલર બનાવનાર જો કોઈ હોય તો એ છે યશ ચોપડા! એમણે પોતાની બેનરની ફિલ્મોનું અહીંના આંખ ઠારે એવાં લોકેશન્સ પર ચિક્કાર શૂટિંગ કર્યું છે. ૨૦૧૧માં એમને એમ્બેસેડર ઓફ ઈન્ટરલેકન તરીકેનું બહુમાન આપવામાં આવ્યું હતું. અહીંના એક પાર્કમાં યશ ચોપડાના નામની રીતસર તકતી મૂકાઈ છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ને કારણે માઉન્ટ ટિટલિસ ભારતીય પ્રવાસીઓમાં સુપરહિટ થઈ ગયું છે. આ પર્વતની ટોચ પર શાહરુખ-કાજોલનું પૂર્ણકદનું કટ-આઉટ સુદ્ધાં જોવા મળે છે! પ્રવાસીઓને શિખર સુધી લઈ જતી દુનિયાની સૌપ્રથમ રિવોલ્વિંગ કેબલકાર અહીં શરુ થઈ હતી. માઉન્ટ ટિટલિસની તળેટીમાં આવેલું એંગલબર્ગ શહેર તમને બર્ફીલા ઈગ્લૂમાં રહેવાની સુવિધા પૂરી પાડે છે.

Mount Titlis

કેટલી બધી જગ્યાઓ અને કેટલી બધી વાતો. યુરોપનો સૌથી ઊંચો પર્વત ઝુંગફ્રુજો (ઝંગફ્રુ શબ્દનો અર્થ છે, જુવાન છોકરી), હાર્ડર કુલ્મ, બેલનબર્ગ ઓપનએર મ્યુઝિયમ, બ્રિન્ઝ તળાવ, બર્ફીલા ગ્લેશિયરની ટૂર કરાવતી ટ્રેનો, જીનીવા લેકમાં આવેલો ૧૪૦ મીટર ઊંચાઈ સુધી પાણી ફેંકતો જેટ ડ્યુ ફાઉન્ટન, સિનિક પ્લેટ નામની રમણીય જગ્યા અને એવું તો કેટલુંય.

લેખકબેલડી પાસે ફિલ્ડ રિપોર્ટિંગ કરી રહેલા પત્રકાર જેવો મિજાજ છે. પ્રવાસ કરતી વખતે તેમની આંખ, કાન, નાક (અને જીભ પણ!) સતત સતેજ રહે છે. જે-તે સ્થળનું વર્ણન કરતી વખતે પાક્કા આંકડા અને વિગતો ટાંકીને સ્થાનિક તેમજ ઐતિહાસિક સંદર્ભ સ્પષ્ટ કરતા જાય છે. દુનિયાના કેટલાય દેશોમાં ઘુમ્યા છે એટલે એમની પાસે તુલનાત્મક દષ્ટિકોણ છે. જેમ કે એક જગ્યાએ એ કહે છે કે અમેરિકામાં તો જો તમે ટિપ ન આપો તો વેઈટરો, ટેક્સીડ્રાઈવરો, ટૂરગાઈડો તમને હડધૂત કરે કે રીતસર ગાળો આપે એવું સુધ્ધાં બને છે! અમેરિકા અને સિવાયના કેટલાંક યુરોપિયન દેશોમાં લોકો ટિપને પોતાનો હક માને છે, પણ સ્વિત્ઝરલેન્ડમાં રેસ્ટોરાંમાં બિલ ચુકવતી વખતે ટિપ આપવાનો રિવાજ નથી.

લેખકબેલડીનાં પ્રવાસકથાનાં પુસ્તકોમાં વાચકને આંજી નાખવાનો નહીં પણ હંમેશાં પોતાના આનંદને અને રોમાંચને શેર કરવાનો એટિટયુડ હોય છે. સ્થળોની વાતો કરતાં કરતાં એમની વચ્ચે થઈ ગયેલી તૂ-તૂ-મૈં-મૈં અને રોમેન્ટિક ક્ષણોની વાતો પણ બિલકુલ સહજભાવે ટાંકતા જાય છે. તેને લીધે પુસ્તક વધારે જીવંત અને હલકુફૂલકું બન્યું છે. ચિક્કાર ઉપયોગી ટિપ્સ ધરાવતાં આ પુસ્તકનું લખાણ સાદગીભર્યું અને અત્યંત પ્રવાહી છે. કાળાં ધાબાં જેવી બ્લેક-એન્ડ-વ્હાઈટ તસવીરો લગભગ નિરર્થક બની રહે છે, પણ એની કસર ખૂબસૂરત કલર તસવીરો પૂરી કરી નાખે છે. વાચકમાં મીઠી ઈર્ષ્યા જગાવી દે, તેને આનંદિત, ઉત્તેજિત અને બેચેન કરી નાખે એવું મજાનું પુસ્તક.                                                                                                                0 0 0


આલ્પ્સના ખોળામાં 

લેખકો: સંગીતા જોશી - ડો. સુધીર શાહ
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩
કિંમત:  ‚. ૨૫૦ /

પૃષ્ઠ: ૨૩૦




Friday, October 14, 2011

તહોમતનામું ઃ અરવિંદ જોશી, સુજાતા મહેતા, પુરુષોત્તમ ઉપાધ્યાય હાઝિર હો....


           

ગુરૂવાર, ૧૩ ઓક્ટોબર ૨૦૧૧ની સાંજે એક સરસ અને પ્રોગ્રામ મુંબઈમાં યોજાઈ ગયો. રંગભૂમિના વિખ્યાત અદાકાર-દિગ્દર્શક અરવિંદ જોશી, જાણીતા અભિનેત્રી સુજાતા મહેતા અને સુગમ સંગીતના શહેનશાહ પુરુષોત્તમ ઉપાધ્યાય સામે જાહેરમાં તહોમતનામું મૂકાયું. ત્રણેય સામે સ્ટેજ પર રીતસર કોર્ટમાર્શલ થયું. તેમની તરફેણમાં અને વિરોધમાં ઉગ્રા દલીલો થઈ, ખૂબ ગરમાગરમી થઈ. કાર્યક્રમને અંતે, અફ કોર્સ, ત્રણેય કલાકારો વધારુ ઊજળા, વધારે સન્માનનીય બનીને ઊભર્યાં. એ જ તો આ કાર્યક્રમનો ઉદ્દેશ હતો.



કાર્યક્રમ નોનફિકશનલ હતો, પણ કોઈપણ નાટકને ટક્કર મારે એટલો તે એક્સાઈટિંગ પૂરવાર થયો. ખૂબ બધું હાસ્ય, ટેન્શન, ગીતસંગીત અને તેમાંય તે સઘળું રંગભૂમિસંગીતજગતના સ્ટાર્સ દ્વારા. અભિનય સમ્રાજ્ઞી સરિતા જોશીને મંચ પર જે રીતે ખીલે છે તે એક લહાવો છે, ખરેખર. સગપણમાં સગા દિયર અને કરીઅરમાં પોતાના હીરો અને ડિરેક્ટર રહી ચૂકેલા અરવિંદ જોશીને સોલિડ ગ્રિલ કરવા તેઓ આવ્યાં હતાં! ઓડિયો-વિઝયુઅલ્સનો પણ સરસ ઉપયોગ થયો હતો. ઓડિયન્સને એટલી બધી મજા પડી ગઈ કે તેમના આગ્રાહને કારણને કાર્યક્રમને ઓર અડધો-પોણો કલાક લંબાવવામાં આવ્યો.

મને આ કાયર્ક્રમના હિસ્સો બનવાનો મોકો મળ્યો હતો. મારું કામ હતું ત્રણેય આરોપીઓ વિરુદ્ધ તહોમતનામા અને તેમના પૂછાનારા અણિયાળા પ્રશ્નો તૈયાર કરવાનું. આ કામમાં મને ઘણા લોકોના ઈનપુટ્સ મળ્યા  વરિષ્ઠ નાટ્યલેખક પ્રવીણ સોલંકી (કે જેમણે શોના સારથિ હતા અને તેમણે કાયર્ક્રમનો સરસ રીતે નાટ્યાત્મક ઉઘાડ કરી આપ્યો), અવિનાશ પારેખ, મધુ રાય, સંગીતકારગાયક સુરેશ જોશી અને ઉદય મઝુમદાર, વગેરે. સવાલો ખરેખર અણિયાળા અને વાગે એવા હતા, પણ ત્રણેય આરોપીઓએ ગજબની સ્પોટર્સમેનશિપ દેખાડી અને સહેજ પણ ઓફેન્ડ થયા વિના દિલથી જવાબો આપ્યા.

અરવિંદ જોશી, સુજાતા મહેતા અને પુરુષોત્તમ ઉપાધ્યાય વિરુદ્ધ રજૂ થયેલાં તહોમતનામાં અને કાચું માળખું અહીં પેશ કરું છું. સવાલો સાંભળીને કલ્પી લેજો કે જવાબો કેવા જોરદાર હશે!

     આરોપી નંબર વન ઃ અરવિંદ જોશી  


પબ્લિક પ્રોસિક્યુટર (સુરેશ રાજડા) :  
 આજની અદાલતમાં તેમજ મુંબઈની સંસ્કારી અને કલાપ્રિય જનતાની સમક્ષ સૌથી પહેલા      ગુનેગાર પેશ કરવામાં આવે છે... તેઓ ગુજરાતી તખ્તાના વરિષ્ઠ રંગકર્મી છે અને તેમનું      નામ છે,  શ્રી અરવિંદ જોશી...

   (અરવિંદ જોશીની એન્ટ્રી)

પબ્લિક પ્રોસિક્યુટરઃ 


અરવિંદ જોશી સામે આરોપ છે કે તેમણે ગુજરાતી રંગભૂમિ પર ઓછી મૂડીએ વધારે વેપાર કરવાની     કોશિશ કરી છે, નવા માલનું ઉત્પાદન કરવાને બદલે જૂનાં નાટકોને નવાં વાઘાં પહેરાવીને પ્રેક્ષકોને     અસંતુષ્ટ રાખ્યા છે અને પોતાની પાસે કલમની મૂડી હોવા છતાં ભેદી કારણોસર તેનો ઓછામાં ઓછો     ઉપયોગ કર્યો છે... 

   શ્રી અરવિંદ જોશી સામેના આ આરોપોની પુષ્ટિ કરવા માટે હું અદાલતમાં હાજર કરવા માગું છું,     અભિનયજગતનાં  ધુરંધર અભિનેત્રી સરિતા જોશીને. (એન્ટ્રી)

   નામદાર, શ્રી અરવિંદ જોશીના બચાવ પક્ષમાં છે, વરિષ્ટ અભિનેતા અરવિંદ રાઠોડ. હું એમને પણ     અદાલતમાં ઉપસ્થિત કરવા માટે નામદારની પરવાનગી માગું છું. (એન્ટ્રી)

જજઃ  
કાર્યવાહી શરૂ કરવામાં આવે.

પબ્લિક પ્રોસિક્યુટર ઃ
નામદાર, મારી વિનંતિ છે કે કાર્યવાહી શરૂ કરતાં પહેલાં ગુનેગારના કામ અને કારકિર્દીની એક ઝલક     પેશ કરવામાં આવે.

જજઃ  
પરમિશન ગ્રાન્ટેડ.
 
   ઓડિયો વિઝયુઅલ અને ત્યાર બાદ કાર્યવાહી, જેમાં સરિતા જોશી અને સુરેશ રાજડાએ અરવિંદ જોશી પર જે સવાલોની ઝડી વરસાવી તે આ રહી.

૧. અરવિંદભાઈ, પ્રવીણ જોશીનાં દેહાંત પછી તમે એમનાં નાટકો વારંવાર રિવાઈવ કેમ કર્યા? તમે તમારા ભાઈ કરતાં જરાય ઊતરતા નહોતા એવું લોકોને દેખાડી દેવા માટે? તમે પ્રવીણ જોશી કરતાં સવાયા છો તેવું પૂરવાર કરવા માટે?

૨. તમે ‘ખેલંદો’ નાટકને ‘......, અક્સા બીચ’ નામે રિવાઈવ કર્યું અને પ્રવીણભાઈવાળો રોલ તમે કર્યો. એ તો જાણે ઠીક, પણ તમે મધુ રાયની જે અદભુત લેખિની હતી, તેને ઈસ્ત્રી કેમ કરી નાખી? મધુભાઈનાં લખાણમાંથી જે ખૂબસૂરત સ્પંદનો ફૂટતાં હતાં તેેને પર  બમ્બૈયા ભાષાનો વઘાર કેમ કરી નાખ્યો?  

૩. સાત સમુંદર પારના એક માણસે તમારા પર આક્ષેપ મૂક્યો છે કે તમે તમારા લેખકોને લવ, લાડુ અને લિકરથી બગાડી મૂકતા હતા. લેખકોને વધારે પડતું વહાલ કરીને, જાતજાતના પકવાન ખવડાવીને અને પ્રકાર પ્રકારના દારૂ પાઈને તેમને ફટવી મારતા હતા. તમારા આવા વર્તાવને કારણે લેખકો પ્રમાદી બની જતા અને લખવાનું બંધ કરી દેતા હતા. આવું પાપ તમે શું કામ કર્યુર્, અરવિંદભાઈ?

૪. અરવિંદભાઈ, ભરપૂર જીવન જીવ્યા પછી શરીર ધીમું પડે તે સમજી શકાય તેવું છે. શરીર સાથ ન આપે એટલે સ્ટેજ પર અભિનય ન થાય તે તો સ્વીકાર્ય છે, પણ તમે લખવાનું પણ કેમ બંધ કરી દીધું છે? તમે કહો છો કે તમે હાલ એક નાટક લખી રહ્યા છો, પણ એવું તો તમે વર્ષોથી કહી રહ્યા છો. તમે તમારામાં રહેલા લેખક અરવિંદ જોષીને તેજીલા તોખારની જેમ હણહણતો રાખવાની જવાબદારી કેમ બરાબર ઉઠાવી નહીં?

પ. ‘શોલે’ ફિલ્મમાં ગબ્બર સિંહે તમને ગોળી મારી અને તમે ઢળી પડ્યા. ફક્ત ફિલ્મમાં જ ઢળી પડ્યા ત્યાં સુધી વાંધો નહોતો, પણ તમે તો હિન્દી ફિલ્મોમાં પાછા ક્યારેય સજીવન જ ન થયા. ગબ્બરસિંહની ગોળીની આટલી બધી અસર?

૬. હિન્દી ફિલ્મોનો હીરો બનવાની તમારી અધૂરી વાસના તમે દીકરા શર્મન થકી પૂરી કરી રહ્યા છો. અને તેથી જ તમે તમારા સુપર ટેલેન્ટેડ દીકરાને ગુજરાતી રંગભૂમિથી દૂર રાખો છો, રાઈટ?


આરોપી નંબર બે ઃ સુજાતા મહેતા 



વિરોધ પક્ષ ઃ વિપુલ મહેતા, સંગીતા જાશી
 બચાવ પક્ષ ઃ લતેશ શાહ


 સુજાતા મહેતા સામે આરોપ છે કે એમણે પોતાની ફાટ ફાટ અભિનયની ભયાનક અવગણના કરી છે. ગુજરાતી    રંગભૂમિને સમૃદ્ધ બનાવવાને બદલે પોતાના અયોગ્ય વર્તાવ અને વિચિત્ર સ્વભાવથી રંગભૂમિને રાંક થવાના રસ્તે ધકેલમામાં મદદ કરી છે... 

૧. ‘અમે બરફનાં પંખી’માં તમે બાળકલાકાર હતાં ત્યારેય સુજાતા મહેતા હતાં... અને આજે, આટલાં વર્ષો પછી પણ સુજાતા મહેતા જ છો. ક્યાં સુધી આ એકની એક સરનેમ રાખવાનો ઈરાદો છે?

૨. ‘અમે બરફનાં પંખી’માં બાળકલાકાર હતાં. આ નાટક પછી તમે ભુમિકાઓ વયસ્ક માણસોની કરી, પણ મનથી અને વર્તનથી તો તમે વર્ષો સુધી બાળકલાકાર જ રહ્યાં, નહીં?

૩. ‘ચિત્કાર’ ગુજરાતી રંગભૂમિનું એક સીમાચિહ્વરૂપ નાટક છે, કબૂલ. તેમાં તમે યાદગાર ભુમિકા અદા કરી એ ય કબૂલ, પણ પછી શું? ક્યાં સુધી ‘ચિત્કાર’નાં નામના ચિત્કાર કર્યા કરશો? ‘ચિત્કાર’ પછી તમે ગુજરાતી રંગભૂમિ પર એક્ઝેક્ટલી શું અચીવ કર્યું?

૪. તમે ‘પ્રતિઘાત’ જેવી હિટ ફિલ્મમાં પાવરફુલ રોલ કરીને સૌને મહાઈમ્પ્રેસ્ડ કરી દીધા. આ ફિલ્મને પણ લોકો આજેય યાદ કરે છે... પણ પછી તો તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સાવ ગાયબ જ થઈ ગયાં. શું ગરબડ થઈ ગઈ?

૫. ટીવી પર પણ તમે એવું જ કર્યું. એક સરસ સિરિયલ કરી, ‘શ્રીકાંત’ અને પછી ગાયબ. કેમ આમ થયું?

૫. સાચું પૂછો તો તમે વન-પ્લે, વન-ફિલ્મ, વન-ટીવી સિરિયલ વંડર છો. કોઈ પણ માધ્યમમાં તમે યાદગાર વસ્તુ કરી ને પછી હા....શ કરીને બેસી જવાનું! નિષ્ક્રિય થઈ જવાનું. તમે આટલા ઓછાથી સંતુષ્ટ કેમ થઈ જાઓ છો? મહાન કલાકારની કરીઅરમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી બન્નેનો સંગમ થવો જોઈએ. તમારા કેસમાં ઉત્તમ વસ્તુઓની ક્વોન્ટિટી જેવું છે નહીં. તમારી કરીઅરમાં સાતત્યનો આટલો ભયાનક અભાવ શા માટે છે, સુજાતાબહેન?

૬. તમારું ધાર્યુર્ં કરાવવા ડિરેક્ટરોથી માંડીને લેખક સુધીના સૌને સલાહો આપવામાં તમે ઘણું ગુમાવ્યું છે એવું તમને પણ નથી લાગતું?

૭. તમારા સલાહકારો કોણ છે, સુજાતાબહેન? એ તમને સાચો રસ્તો બતાવવાને બદલે તમને ગુમરાહ વધારે કરી રહ્યા છે એવું સૌને કેમ લાગે છે?

૮. તમે કારણ વગર જાતજાતની ટોપીઓ પહેરો છો અને ફેશનના ડિંડક ચલાવો છે, એ શું છે?

આરોપી નંબર ત્રણ ઃ પુરુષોત્તમ ઉપાધ્યાય 



વિરોધ પક્ષ ઃ નિરંજન મહેતા, સરેશ જોશી
બચાવ પક્ષ ઃ વિનયકાંત ત્રિવેદી, ડો. અજય કોઠારી

 શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય સામે આરોપ છે કે એમણે સુગમ સંગીતની સરળતાનો નાશ કર્યો છે. સુગમ સંગીતને    અટપટું બનાવી દઈને ગુજરાતની પ્રજાને આટલા મહાન કળાવારસાથી વિમુખ કરી દીધી છે. સુગમ સંગીતમાં    ભાષણો અને ટુચકાઓ ઉમેરી દઈને એને અશુધ્ધ બનાવી મૂક્યું છે... 

૧. પુરુષોત્તમભાઈ, તમને ગાવા માટે આમંત્રણ મળે છે ત્યારે વાણીવિલાસ વધારે કરો છો. અને વકતવ્ય આપવા માટે નિમંત્રવામાં આવે છે ત્યારે ગાવા માંડો છો. આ આરોપમાંથી, ખાસ કરીને, પહેલો ભાગ વધારે ગંભીર છે. સંગીત એ કમ્યુનિકેશનનો જ એક પ્રકાર છે. તો પછી, તમારી વાત કે લાગણીઓ ઓડિયન્સ સુધી પહોંચાડતી વખતે ગાયનની વચ્ચે આટલું બધું બોલો છો શું કામ?

૨. સુગમ સંગીત, બાય ડેફિનેશન ઈટસેલ્ફ, સુગમ એટલે કે સરળ હોવી જોઈએ. એને બદલે તમારી રચનાઓ આટલી બધી અટપટી અને ન સમજાય તેવી કેમ હોય છે?

૩. અવિનાશ વ્યાસ પ્રત્યે તમને ભારોભાર આદર છે તે બરાબર છે, પણ તમારાં કાર્યક્રમોમાં તમે અવિનાશ વ્યાસનાં ગીતોની ભરમાર કરી દો છો. કહો ને કે, તમારા પ્રોગ્રામમાં ૧૦માંથી ૪ થી પાંચ ગીતો અવિનાશભાઈનાં હોય છે. તમારા શોઝમાં પૂરેપૂરા પુરુષોત્તમભાઈ કેમ ગાયબ હોય છે?
૪.  તમે ઉત્કૃષ્ટ સંગીતકાર છો. તમારા કાર્યક્રમોમાં ગાયક પુરુષોત્તમ ઉભરે છે, પણ ક્રિયેટર પુરુષોત્તમ, કમ્પોઝર પુરુષોત્તમ કેમ રસિકોને મળતા નથી? તમે છેલ્લી રચના કેટલાં વર્ષો પહેલા કરી હતી? તમે તમારું સાહિત્ય શી રીતે પસંદ કરો છો? કવિતાઓ કે ગીતો પસંદ કરવાના તમારા માપદંડો ક્યા હોય છે? તમારી નવી રચનાઓ લોકો સુધી પહોંચતી કેમ નથી?

૫. પુરુષોત્તમભાઈ, તમે વિદેશમાં વધારે ગાઓ છો. આનું શું કારણ છે? ફોરેનની આબોહવા તમને વધારે માકફ આવે છે, એટલે? ત્યાંની સાઉન્ડ સિસ્ટમ આપણા કરતા વધારે સારી હોય છે એટલે? કે પછી, ત્યાંનું ઓડિયન્સ તમારા જોક્સ પર વધારે તાળીઓ પાડે છે એટલે?  આપણું યુથ પુરુષોત્તમભાઈથી અજાણ રહી જાય તે ચલાવી લેવાય એવું નથી. આખરે તમારા વિદેશના ઓબ્સેશનનું કારણ શું છે?

૬. મંગેશકર બહેનો માટે કહેવાતું કે તેમણે હિન્દી ફિલ્મ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં નવાં વિકલ્પો ઊભા થવા ન દીધા. અરે, લતા મંગેશકર પર તો સતત એવો આરોપ થતો રહ્યો છે કે તેમણે પોતાની સગી બહેન આશા ભોંસલેને દબાવી દેવાની કોશિશ કરી હતી. પુરુષોત્તમભાઈ, તમે ગુજરાતી સુગમ સંગીત જગતના ખૂબ સિનિયર હસ્તી છો. તમે પણ ગુજરાતી સુગમ સંગીતમાં સેકન્ડ જનરેશન કેમ ખાસ ઊભી થવા ન દીધી? અથવા તો, શા માટે સમાંતર નામો, સમાંતર પર્યાયો પેદા થવા ન દીધા?

૭. નાનપણમાં તમે એક્ટિંગ પર કરતા હતા. એ કેમ બંધ કરી દીધી? એક્ટિંગ ઈન્ડસ્ટ્રીને અને ઓડિયન્સને તમારી આ ટેલેન્ટથી વંચિત કેમ રાખી?

૮. તમે કહેતા હો છો કે ગુજરાતી ભાષા મારી મા છે અને અન્ય ભાષા મારી માસી છે. તો પછી તમે લતા મંંગેશકર, મોહમ્મદ રફી અને બેગમ અખ્તર જેવાં પરભાષી કલાકારો પાસે ગીતો યા તો ગઝલો કેમ ગવડાવ્યાં? મોટા નામો થકી પ્રસિદ્ધિ હાંસલ કરવા માટે તમે માનું મહત્ત્વ ઓછું કરી નાખ્યું?

૯. આગલા સવાલજવાબના અનુસંધાનમાં ઓર એક સવાલ. તમે રફીલતાબેગમ અખ્તર પાસે શરૂઆતમાં તો ગીતો-ગઝલો ગવડાવ્યાં પણ પછી કેમ બંધ કરી દીધાં? એક્ઝેક્ટલી બન્યું શું હતું તમારી વચ્ચે?

૧૦. તમારી બન્ને દીકરીઓ વિરાજ અને બીજલે હંમેશા ભેગાં જ ગીતો ગાયાં. બન્નેમાં પૂરતું પોટેન્શિયલ હોવા છતાં તમે એમની પાસે સોલો કેમ ન ગવડાવ્યાં?

૦૦૦

Friday, June 3, 2011

પ્રવાસ કરવાની કળા

 ચિત્રલેખા -  અંક તા. ૧૩ જૂન ૨૦૧૧માં પ્રકાશિત

કોલમઃ વાંચવા જેવું


Istanbul


                                                                                                       
‘જો આખી દુનિયા એક જ દેશ હોત તો ઈસ્તાનબુલ એનું પાટનગર હોત.’

આ શબ્દો નેપોલિયન બોનાપાર્ટના છે. નેપોલિયન શા માટે ટર્કી અથવા તો તુર્કના આ સૌથી મોટા શહેર પર આફરીન પોકારી ગયા હતા? આ સવાલના સંદર્ભમાં સંગીતા જોશી અને ડો. સુધીર શાહે સંયુક્તપણે લખેલું ‘ટર્કી અને અન્ય દેશોમાં’ પુસ્તક વાંચી જાઓ. અફલાતૂન જવાબ મળી જશે! વાર્તાનવલકથાના રસિયા તો ઠીક, જાતજાતનું નોનફિકશન વાંચવાનો શોખ ધરાવતા વાચકોે પણ સામાન્યપણે પ્રવાસવર્ણનો વાંચવા માટે ખાસ ઉત્સુક હોતા નથી. પણ આ પુસ્તકની વાત નિરાળી છે. તે બિલકુલ શક્ય છે કે આખેઆખું રસપૂર્વક વાંચી ગયા પછી તમે એકદમ નવાઈ પામીને યાદ કરો કે ‘અરે... આ પુસ્તક તો મેં જસ્ટ પાનાં ફેરવી જવાના ઉદેશ સાથે હાથમાં લીધું હતું...!’

૭ લાખ ૮૦ હજાર ચોરક કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા ટર્કીની વસતી સાડાછ કરોડની છે. વિશ્વના સૌથી મોટા ‘ઓપર એર મ્યુઝિયમ’ તરીકે ઓળખાતો આ દેશ એશિયા અને યુરોપ વચ્ચેના સેતુ સમાન છે. અહીં અરારતનો જ્વાળામુખી છે, ૩૬૦૦ કિલોમીટરનો વ્યાસ ધરાવતો વેન લેક છે અને યુફેરિક્સ તેમજ ટાયગ્રીસ જેવી વિશ્વની સૌથી મોટી નદીઓમાં સ્થાન પામતી નદીઓ પણ છે. લેખકબેલડી કહે છે કે તમારે માત્ર એક દિવસ માટે પણ ઈસ્તાનબુલ જવાનું થાય તો હિપ્પોડ્રમ, બ્લુ મોસ્ક, હાગિયા સોફિયા અને ટોપાકાપી પેલેસ  આ ચાર ચીજો ચોક્કસ જોવી. તેઓ લખે છે, ‘તમને આવી અદભુત, માનવે એકબીજાને અડખેપડખે ખડી કરેલી, અવર્ણનીય, કલાત્મક કૃતિઓ બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. તમારામાંના ઘણા કહેશે કે આપણા દેશમાં પણ કળાકારીગીરી, સંસ્કૃતિ અને સુંદરતાના અવ્વલ નમૂનાઓ છે. એ વાત સાચી છે. પણ દરેક કળાકૃતિની આગવી વિશેષતા હોય છે. એક કળાકૃતિ બીજી વિશેષ ચડિયાતી છે એમ કહેવું યોગ્ય નથી.’



Blue Mosque
 કાપાડોકિયા ચમત્કારિક ભૌગોલિક રચનાઓ છે, જે લાખો વર્ષો દરમિયાન લાવારસ ઓકતા પર્વતોના ઘસારાથી સર્જાઈ છે. કાપોડોકિયાના પહાડો, ગુફાઓે અને ભૂગર્ભમાં નવનવ માળ સુધી માનવોએ કોતરીને બનાવેલો શહેરો ખાસ જોવા જેવા છે. ઈન ફેક્ટ, લેખકો જે હોટલમાં રહેલાં તે પેરીકોવ હોટલ કાપાડોકિયાના કુદરતી ડુંગરા અને તેમાં પડેલા છેદોમાં ફલાયેલી હતી. હોટલના રૂમો ગુફાઓની અંદર હતા. સવારના પ્હોરમાં ટર્કીની વિખ્યાત એપલ ટી અને ટોસ્ટબટરનો બ્રેકફાસ્ટ કરતા હો ત્યારે તમારા માથા પર સફરજન લટકતા હોય,  બાજુ વેલાઓમાં દ્રાક્ષના ઝુમખા ટીંગાતા હોય અને બેકગ્રાઉન્ડમાં પક્ષીઓનો ઝીણો કલરવ સંભળાતો હોય. આવો નૈસર્ગિક માહોલ મોંઘીદાટ ફાઈવસ્ટાર હોટલમાં પણ કેવી રીતે મળવાનો!



Cappadocia

લોકપ્રિય કિરદાર મુલ્લા નસિરુદ્દીન (જેમનું જન્મસ્થળ ટર્કી હતું), ટર્કિશ કોફી, ટર્કી સંબંધિત પુસ્તકો તેમજ ફિલ્મો અને એવા કેટલાય વિષયો પર મૂકાયેલાં માહિતીસભર બોક્સ આઈટમ્સને લીધે પ્રકરણો ઓર સમૃદ્ધ બન્યાં છે. ટર્કી ઉપરાંત મ્યુનિક (જર્મની), થાઈલેન્ડ, જપાન, ઈન્ડોનેશિયા વગેરેના પ્રવાસઅનુભવોને પણ સુંદર રીતે આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તકની મજા એ છે કે અહીં શુષ્ક માહિતીનો ખડકલો નથી બલકે અનુભવો, અનુભૂતિઓ અને અવલોકનોનું ઉત્કટ બયાન છે. ડો. સુધીર શાહની કુંડળીમાં ભાગ્યવિધાતાએ પ્રલંબ અને શક્તિશાળી વિદેશયોગ રચ્યો છે. ૧૯૭૯માં તેમણે પહેલી વાર સોવિયેત રશિયાની યાત્રા કરી હતી. તે પછી આજ સુધીમાં તેઓ દુનિયાભરમાં ચિક્કાર ફર્યા છે, એક જ દેશોની એકથી વધારે વખત મુલાકાતો લીધી છે. જીવનસંગિની અને સહલેખિકા સંગીતા જોશી પણ હરવાફરવાનું એવું જ પેશન ધરાવે છે. બન્નેમાં ગમતાંને ગુલાલ કરવાની પોઝિટિવ લાગણી છે, જે આ પુસ્તકમાં સતત છલકાતી રહે છે. લેખકજોડીના ખુદના વ્યક્તિત્વ અને પારસ્પરિક સંબંધના આકર્ષક રંગો બેકગ્રાઉન્ડમાં ઉઘડતા જાય છે, જે પ્રવાસવર્ણનને વધારે આત્મીય બનાવે છે.

લેખકોનાં નિરીક્ષણો અને ટિપ્સ પણ મજાનાં છે. આપણે નવા સ્થળે જઈએ ત્યારે સૌથી પહેલાં ત્યાંના ટેક્સી ડ્રાઈવર અને હોટલ રિસેપ્શનિસ્ટના સંપર્કમાં આવીએ છે. તેથી જેતે દેશની ફર્સ્ટ ઈમ્પ્રેશન કેવી પડે છે તેનો સઘળો આધાર આ બન્નેનાં વ્યવહારવર્તણૂક પર અવલંબે છે! વિદેશ જતી વખતે આપણા દેશની નાનીનાની ગિફ્ટ આઈટમ્સ સાથે લઈ જવી. લેખકો કહે છે કે અજાણી વ્યક્તિ સાથે ઓળખાણ કરવાનો સૌથી સરળ રસ્તો છે, એને પોતાના દેશની કોઈ ચીજ ભેટમાં આપવાનો. આ ચેષ્ટા પાછળ ઈરાદો માત્ર ખુશી આપવાનો હોવાથી તમે નવા જૂથમાં આનંદભેર સ્વીકૃતિ પામો છો.

ડો. સુધીર શાહ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘આ પુસ્તક લખતી વખતે મનોમન ટર્કીનો નવેસરથી પ્રવાસ તો કર્યો જ, સાથે સાથે બીજા દેશોમાં  પણ માનસિક સ્તરે પાછાં ફરી આવ્યાં. તેથી આ પ્રવાસવર્ણન લખવાનો આનંદ, પ્રવાસના આનંદ કરતાંય વિશેષ પૂરવાર થયો. વિદેશપ્રવાસોના મારા વર્ષોના અનુભવોના આધારે હું શીખ્યો છ  કે પરદેશ ગયા હોઈએ ત્યારે કશુંક અણધાર્યું બને કે અપ્રિય પરિસ્થિતિ ઊભી થાય તો તેનો આનંદ માણતા પણ શીખી જવું જોઈએ. ફ્લેક્સિબલ તો રહેવું જ પડે. પ્રવાસ દરમિયાન તમે કોઈપણ ઉંમર કે સ્ટેટસની વ્યક્તિને મળો ત્યારે તેના પોઈન્ટઓફવ્યુથી જોઈવિચારી શકો તો તેની કંપની એન્જોય કરી શકશો.’

પુસ્તકના મોટા માઈનસ પોઈન્ટ છે તસવીરોની ક્ષતિયુક્ત છપાઈ અને નબળા લેઆઉટ્સ. એસ્થેટિક્સના સ્તરે પુસ્તક અનેકગણું બહેતર બની શક્યું હોત. વળી, ખૂબ બધી અંગત તસવીરો મૂકવાને બદલે જેતે સ્થળોના ફોટોગ્રાફ્સને વધારે મહત્ત્વ આપવાની આવશ્યકતા હતી. ખેર, આ ખામીઓ સહિત પણ પુસ્તક એટલું પાવરફુલ છે કે તે વાંચતી વખતે કેટલીય વાર તમને ફટાફટ બેગ પેક  કરીને કોઈ પણ રીતે ટર્કી પહોંચી જવાનું ઝનૂન જાગશે! અહીં ઉલ્લેખ પામેલા દેશોની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરનારાઓ માટે આ પુસ્તક ‘મસ્ટ રીડ’ છે. ઈવન પ્રવાસકથાઓમાં રસ ન ધરાવનારાઓને પણ તે ખૂબ ગમી જવાનું.

 ટર્કી અને અન્ય દેશોમાં

લેખકોઃ સંગીતા સુધીર શાહ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, 
મુંબઈ-૧ અને અમદાવાદ-૧

ફોનઃ (૦૨૨) ૨૨૦૧૭૨૧૩, (૦૭૯) ૨૨૧૪૦૭૭૦
કિંમતઃ  રૂ. ૩૨૫ /
પૃષ્ઠઃ ૩૮૪