Showing posts with label Isha Kundanika. Show all posts
Showing posts with label Isha Kundanika. Show all posts

Thursday, May 7, 2020

ઈશામા કુન્દનિકા, જવા દઈશું તમને...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ 6 May 2020, બુધવાર

ટેક ઑફ

અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનું, એક નવા પ્રેમનું આમ ઊગવું તે સૌભાગ્ય છે. આનંદથી મરી શકવું તે જ સૌથી મોટું સૌભાગ્ય છે!’



ક લેખક અને ભાવક વચ્ચે કેવો સંબંધ હોય છે? કેવું સંધાન હોય છે? એવું તે શું હોય છે કે જેના કારણે એક વ્યક્તિ (એટલે કે લેખક)નાં મન-હૃદયમાં જન્મેલી કોઈ વાત યા તો સ્પંદન કલમ વાટે અભિવ્યક્તિ પામે ને બીજી વ્યક્તિ (એટલે કે વાચક)નાં મન-હૃદયમાં તે સજ્જડપણે અંકિત થઈ જાય? લેખકના વિચાર, લાગણી, દષ્ટિબિંદુ કે અભિવ્યક્તિમાં એવી તે કેવી પ્રચંડ તાકાત હોય છે કે તે વાચકના ડીએનએનો હિસ્સો બની જાય છે? જાણે કે લેખક પોતાની કલમ દ્વારા વાચકની મનોભૂમિ પર બીજ ફેંકે છે ને તે બીજમાંથી ક્રમશઃ આખેઆખું વૃક્ષ ઊગી નીકળે છે. આખી જિંદગી શાતા આપતું રહે એવું ઘેઘૂર, મા-બાપની છત્રછાયા જેવું વૃક્ષ. અલબત્ત, આવું દરેક લેખક અને દરેક વાચકના સંદર્ભમાં બનતું નથી. લેખક મૂઠીઉંચેરો અને અતિ પ્રતિભાશાળી હોય, વાચક ઉત્સુક, સજ્જ અને સંવેદનાભર્યો હોય ને બન્નેના ભાવવિશ્વ વચ્ચે કશીક અકળ યુતિ સર્જાય ત્યારે જ આ પ્રકારની કેમિસ્ટ્રી રચાતી હોય છે.
કુન્દનિકા કાપડીઆનું નિધન થયું ત્યારે એક બાજુ હૃદયમાં પીડાનાં એકધારાં ટશિયાં ફૂટી રહ્યાં હતાં ને બીજી બાજુ બુદ્ધિ આ ટશિયાંનું પૃથક્કરણ કરી રહી હતી. શા માટે આટલી વેદના થઈ રહી છે? જેની સાથે કેવળ છપાયેલા શબ્દોનો જ નાતો હતો એવી આ વ્યક્તિ પ્રિયજન કરતાંય વધારે પોતીકી કેવી રીતે બની ગઈ? કુન્દનિકા કાપડીઆનાં લખાણોને તરૂણવયથી જબરદસ્ત તીવ્રતાથી ચાહ્યા છે. કુન્દનિકાનાં સર્જનો વડે પોતાની જાતને ડિફાઇન કરી છે. સમજાય છે કે ખુદનું જે સત્ત્વ, સ્વત્ત્વ અને પોતાની નજરમાં ઊભી થયેલી સ્વ-ઓળખ છે તેને આકાર આપવામાં કુન્દનિકા કાપડીઆનો કેટલો પ્રચંડ હિસ્સો છે. બે જ એવાં સર્જકો છે, જેણે માંહ્યલાને આટલી ગાઢ રીતે સ્પર્શ કર્યો હોય – ચંદ્રકાંત બક્ષી અને કુન્દનિકા કાપડીઆ. એકમેક કરતાં તદ્દન જુદો મિજાજ ધરાવતાં બે ગર્વિષ્ઠ ગુજરાતી સર્જકો. ખેર, પછી તો દેશ-વિદેશના કેટલાય લેખકોના સર્જકકર્મના પરિચયમાં આવવાનું થયું, તેમની પ્રત્યે તીવ્ર ખેંચાણ થયું, એમની અસરો પણ ઝીલી. સમજણ પક્વ થતી ગઈ જાય એમ કેટલાય લેખકોને આઉટ-ગ્રો પણ થતા ગયા, પણ આ બે સર્જકો સતત સાથે રહ્યાં - ત્વચાની જેમ, શરીરને ટટ્ટાર ઊભા રાખતા મેરુદંડની જેમ.
જીવનના એક તબક્કે તમે પણ લખતા થાઓ છો અને તમારી અભિવ્યક્તિમાં ક્યાંક ક્યાંક કુન્દનિકા કાપડીઆની અસર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. શબ્દોની પસંદગીમાં, ભાષાની રમ્ય છટામાં. તમે આ અસરનો વિરોધ કરતા નથી, બલકે તમને તેની હાજરી ગમે છે. ક્યારેક એવુંય લાગે કે કુન્દનિકા કાપડીઆ જાણે કે એક ઓપરેટિંગ સિસ્ટમનું નામ છે ને તમારી કેટલીય અભિવ્યક્તિઓ આ ઓપરેટિંગ સિસ્ટમમાંથી પ્રોસેસ થઈને બહાર આવે છે.

આપણને એવા સર્જકો ગમે છે જે આપણને આપણાં સત્યોની ઓળખાણ કરાવી શકતા હોય, જે આપણા માંહ્યલાની વધુ ને વધુ નિકટ લઈ જઈ શકતા હોય. મહાન પ્રેમ આપણી અંદર મહાનતા માગે છે... બે મનુષ્યોનો એકબીજાના મોં સામે અપલક નિહાળી રહેતો પ્રેમ કોઈ દિવસ પોતાનામાં મહાન બની શકે નહીં. મનુષ્યના પ્રેમને મહાન બનાવનાર એક જુદું જ તત્ત્વ છે જે એ બન્નેમાં વ્યાપ્ત છે ને છતાં બન્નેથી ઉપર છે... સંપૂર્ણ સુંદર પળે નવલિકામાં કુન્દનિકા જ્યારે આવું લખે ત્યારે તમને લાગે કે જાણે તમારી અંદર કશોક તાળો મળી રહ્યો છે, કોઈક ગૂંચ ઉકેલાઈ રહી છે. તમે તરૂણાવસ્થા વટાવીને યુવાનીમાં કદમ માંડી રહ્યા હતા ત્યારે તમારે પરોઢ થતાં પહેલાં નવલકથાના નાયક સત્ય જેવા બનવું હતું. સત્ય તમારો રોલમોડલ હતો. કદાચ હજુય છે. સત્ય નામના એ પુરુષપાત્રના આધારે તમે તમારી સેલ્ફ-ઇમેજ ઘડી હતી. એકાએક સમજાય છે કે જીવનના સંઘર્ષો અને વિરોધિતાઓએ તમને આ સેલ્ફ-ઇમેજ કરતાં કેટલા દૂર ફંગોળી દીધા છે. ખેર, હજુય મોડું થયું નથી. હજુય પોતાની જાત પર કામ થઈ શકે છે ને સત્યના થોડાઘણા ગુણો કેળવી શકાય છે. કદાચ...
જવા દઈશું તમને એ કુન્દનિકા કાપડીઆની અમર વાર્તા છે. એક વૃદ્ધા મૃત્યુના બિછાને પડી છે. કદાચ આજે એની અંતિમ રાત છે. દીકરાઓ-વહુઓ છેલ્લો મોં-મેળાપ કરવા માટે બહારગામથી આવી ગયાં છે. મારિયા નામની સૌથી નાની વહુ અંગ્રેજ છે, જેની સાથે અગાઉ ક્દાચ ક્યારેય મુલાકાત થઈ નથી. મોડી રાત્રે મારિયા વૃદ્ધાના કમરામાં આવે છે. થોડી વાતો કર્યા પછી વૃદ્ધાના મસ્તક પર બહુ જ પ્રેમથી હાથ ફેરવીને એ પૂછે છેઃ તમને ભય નથી લાગતોને? અજ્ઞાતનો ભય. બઘું પરિચિત છોડી શૂન્યમાં સરી જવાનો ભય. આર યુ અફ્રેઇડ?
... ને વૃદ્ધાના હૃદયમાં એક બહુ જ મોટું મોજું ઊછળે છે. આનંદનું મોજું. આ છોકરી મને સમજે છે. મારી ભીતર શી લાગણીઓ છે એ  જાણવાની એને ખેવના છે. મારા ભયની એને ચિંતા છે. એ ભયને કદાચ તે દૂર કરવા માગે છે. વૃદ્ધાને જવાબ આપવો હતો, પણ આ ભરતીથી એ ઉત્તેજિત થઈને થાકી ગઈ. કુન્દનિકા કાપડીઆ આગળ લખે છેઃ
જીવનની છેલ્લી પળોમાં એક નવો સંબંધ ઉદય પામ્યો હતો. જરા મોડો, પણ અત્યંત સુંદર... લોકો કહે છે, પતિ જીવંત હોય ત્યાં સુધીમાં પત્ની મરવા-કરવાનું પતાવી લે તો તેને સૌભાગ્યવતી કહેવાય. ઓહ... લોકોને શી ખબર સૌભાગ્ય એટલે શું? આ સૌભાગ્ય છે. અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનું, એક નવા પ્રેમનું આમ ઊગવું તે સૌભાગ્ય છે. આનંદથી મરી શકવું તે જ સૌથી મોટું સૌભાગ્ય છે!’
થોડી વાર બેસીને મારિયા વિદાય લે છે. વાર્તાને અંતે વૃદ્ધાને એ કહે છેઃ મે યોર જર્ની બી પીસફુલ.
ઈશામા કુન્દનિકા, તમારા માટે પણ અમારી આ જ પ્રાર્થના છે. મૃત્યુ પછીની તમારી અનંતયાત્રા સુખમય હો, શાંતિપૂર્ણ હો...   
0 0 0 

Tuesday, July 18, 2017

શ્ર્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૫ જુલાઈ ૨૦૧૭ 

ટેક ઓફ

 'મૃત્યુ નજીક આવે છે ત્યારે લગભગ બધું જ -  તમામ બાહ્ય અપેક્ષાઓ, ગર્વ, છોભીલા પડવાનો કે નિષ્ફળ જવાનો ડર - આ સઘળું અપ્રસ્તુત બનીને દૃૂર વિખેરાઈ જાય છે. માત્ર એ જ વસ્તુઓ ટકી રહે છે જે આપણા માટે ખરેખર મહત્ત્વની છે. મૃત્યુની સભાનતા હંમેશા રહેતી હોય તો આપણા હૃદૃયના અવાજને ન અનુસરવાનું કોઈ કારણ જ રહેતું નથી.'



થોડાં વર્ષ પહેલાં એક વિચિત્ર ઘટના બની ગઈ. મુંબઈમાં પથરાયેલા સંજય ગાંધી નેશનલ પાર્ક નામનું વિરાટ અને સુંદૃર જંગલ ફેલાયેલું છે. ચોમાસામાં એનું રુપ ખીલી ઉઠે છે, પણ ક્યારેક આ સિઝનમમાં અપ્રિય ઘટનાઓ પણ બની જતી હોય છે. જેમ કે, એક ચોમાસામાં નેશનલ પાર્કમાં વહેતી નદૃીમાં એવું પૂર આવ્યું પુલ પરથી પસાર થઈ રહેલી એક કાર તણાઈ ગઈ. એમાં બેઠેલા તમામ લોકો મૃત્યુ પામ્યા. આ દૃુર્ઘટના પછી એક મુંબઈગરાને સપનું આવ્યું. તેમાં કારમાં મૃત્યુ પામેલી એક મહિલા દૃેખાઈ. મહિલાએ આખી દૃુર્ઘટનાએ કેવી રીતે આકાર લીધો હતો એની રજેરજની માહિતી આ સજ્જનને દૃશ્યરુપે દૃેખાડી. સવારે ઉઠ્યા પછી પણ સજ્જનને ભારે નવાઈ લાગી. આ મહાશય ન કોઈ  આધ્યાત્મિક આંતરદૃષ્ટિ ધરાવતા હતા, ન તેઓ સાધક હતા કે ન પેલી મહિલા સાથે તેમનો વિશેષ પરિચય હતો. છતાંય મહિલાએ પોતાના મોતનાં દૃશ્યો દૃેખાડવા માટે આ સજ્જનને શા માટે પસંદૃ કર્યા?

સજ્જને આ વાત કવિ મકરન્દૃ દૃવે સાથે શેર કરી હતી. મકરન્દૃ દૃવે ખુદૃને આવો અનુભવ થયો હતો. પ્રોફેસર કે. ટી. મર્ચન્ટ એટલે મુંબઈની સિડનહામ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ અને જાણીતા અર્થશાસ્ત્રી. પાછલી વયે તેઓ એકલા રહેતા હતા. નાનાંમોટાં કામ કરવા ઘરમાં એક જુવાનિયો હતો.  પ્રો.મર્ચન્ટનું અડધી રાતે અવસાન થયું. મૃત્યુ પછી તેઓ મકરન્દૃ દૃવેના સપનામાં આવેલા. મૃત્યુની ઘડી આવી ત્યારે પોતે કયા ઓરડામાં કઈ રીતે સૂતા હતા, એમણે જુવાનિયાને મદૃદૃ માટે કઈ રીતે બોલાવ્યો આ બધી વિગતો એમણે માટે કહી નહીં, દૃષ્યરુપે દૃેખાડી.

શેરલોક હોમ્સનું અમર જાસૂસી કિરદૃાર સર્જનાર સર આર્થર કોનન ડાયલે સંપૂર્ણ ગાંભીર્ય સાથે જાહેરમાં કહ્યું છે કે મૃત્યુ પામેલા મિત્રો અને સ્વજનો સાથે એમણે વાત કરી છે. તેમણે કહેલું, 'મારા મામા અને ભત્રીજાને મેં જાણે જીવતા જાગતા હોય એવા સ્થૂળ રુપમાં જોયા છે. એટલે મૃત્યુ પછી આપણું અસ્તિત્ત્વ રહે છે એ મારા માટે પુરવાર થયેલી બાબત છે.

આપણે જેને સુપર નેચરલ કહીએ છીએ તે પ્રકારના કિસ્સા શા માટે બનતા હોય છે? બીજા કોઈ કહે તો આપણે કદૃાચ આ વાતને મેન્ટલ પ્રોજક્શન કે ભ્રાંતિ કહીને  એક બાજુ હડસેલી દૃઈએ, પણ કવિ મકરન્દૃ દૃવે જેવા અધ્યાત્મના ક્ષેત્રમાં ઊંડા ઊતરેલા સાહિત્યક્ાર કે આર્થર કોનન ડાયલ જેવો સુપરસ્ટાર રાઈટર આ પ્રકારના કિસ્સા વર્ણવે ત્યારે ગંભીરતાપૂર્વક સાંભળવું પડે. ઈશા-કુન્દૃનિકાએ ‘અંતવેળાએ' નામના એક અતિ સુંદૃર પુસ્તકમાં આ કિસ્સા ટાંક્યા છે. મૃત્યુ જીવનનું સૌથી પહેલું, સૌથી અંતિમ અને સૌથી સુનિશ્ર્ચિત સત્ય છે. દૃુનિયાભરની વિભૂતિઓ, ફિલોસોફરો, સાહિત્યકારો અને કલાકારોએ મૃત્યુ વિશે પુષ્કળ ચિંતન કર્યું છે. ‘અંતવેળાએ'માં આ ચિંતનના અંશોનો સુંદૃર સંગ્રહ થયો છે.



 'મૃત્યુ ન હોત તો માનવ કાયમ એક અપૂર્ણ સ્વરુપની અંદૃર જીવ્યા કરત, શ્રી અરિંવદૃે કહ્યું છે, 'મૃત્યુ તેની પાછળ પડ્યું છે તેથી જ તે પૂર્ણ જીવનના વિચાર પ્રતિ જાગે છે, અને તે પ્રાપ્ત કરવાનાં સાધનો અને તેની શકયતાઓ માટે પ્રયાસ કરે છે. ભૌતિક તત્ત્વ ચેતનામાં પૂર્ણતાના જરુરિયાત, પ્રગતિની જરુરિયાત જગાડવા માટે મૃત્યુ એ અનિવાર્ય સાધન છે. મૃત્યુની લટકતી તલવાર ન હોત બધા માનવો પોતે જે છે તે સ્થિતિમાં જ સંતોષ માની લેત.'\જે. કૃષ્ણમૂર્તિનો એમના અનુયાયી સાથેનો સરસ સંવાદૃ છે.  કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે, 'માણસે પોતાનો એક દિૃવસ કેવી રીતે જીવવો?

‘જાણે કે પોતે એક દિૃવસ માટે જ, એક કલાક માટે જ જીવવાનો હોય.'

‘એ કેવી રીતે?'

‘જો તમારે હવે માત્ર એક જ કલાક જીવવાનું છે એમ તમને ખબર પડે તો તમે શું કરો? તમે કામધંધો, વ્યવહાર યોગ્ય રીતે ગોઠવી લ્યો. જેમને દૃૂભવ્યા હોય તેમની માફી માંગો. બીજાઓએ તમને દૃૂભવ્યા હોય તો તેમને માફ કરી દૃો. મનના બધા વ્યાપારો, તૃષ્ણાઓ, ઇચ્છાઓનું તમારા સંસારનું તમે વિસર્જન નહીં કરો? અને તમે જો આ એક કલાક કે એક દિૃવસ માટે કરી શકો તો બાકીના દિૃવસો માટે પણ એ રીતે ન જીવી શકો? તમે એક કલાક પણ જીવનની પૂર્ણતામાં જીવી શકો તો બાકી રહેલા જીવનમાં પણ એ જ સભરતાથી જીવી શકશો.'

સભરતા. અર્થપૂર્ણ જીવનનું આ મુખ્ય લક્ષણ છે. માંહ્યલાને અનુસરતા રહીએ તો આ સભરતા તરફ વધારે ઝડપથી પહોંચી શકાતું હોય છે. વિશ્ર્વવિખ્યાત એપલ બ્રાન્ડના સર્જક સ્ટીવ જોબ્સે સરસ કહ્યું છે:

'મૃત્યુ નજીક આવે છે ત્યારે લગભગ બધું જ -  તમામ બાહ્ય અપેક્ષાઓ, ગર્વ, છોભીલા પડવાનો કે નિષ્ફળ જવાનો ડર - આ સઘળું અપ્રસ્તુત બનીને દૃૂર વિખેરાઈ જાય છે. માત્ર એ જ વસ્તુઓ ટકી રહે છે જે આપણા માટે ખરેખર મહત્ત્વની છે. આપણે ક્યારેક મૃત્યુ પામવાના છીએ તે હકીકત હંમેશાં યાદૃ રાખવી. આ રીતે કશુંક ગુમાવવાના ડરથી મુક્તિ મળી જશે. એવું સમજો કે તમે ઓલરેડી બધું ગુમાવી ચુક્યા છો, તમારા શરીર પર કપડાં પણ રહ્યાં નથી. આ પ્રકારની સભાનતા રહેતી હોય તો આપણા હૃદૃયના અવાજને ન અનુસરવાનું કોઈ કારણ જ રહેતું નથી.'

સ્ટીવ જોબ્સ પાત્ર પ૬ વર્ષ જીવ્યા, પણ કાકા કાલેલકર લાંબું જીવન પામ્યા હતા. પોતાના દૃીર્ઘાયુનું રહસ્ય સમજાવતા એક વાર કાકા કાલેલકરે કહેલું કે મૃત્યુના િંચતનને લીધે હું દૃીર્ઘાયુ બની શક્યો છું. એમણે તો તો એવી ટેવી જ પાડી દૃીધી હતી. મૃત્યુનું સ્મરણ એમને આઠે પહોર રહેતું. કાકાસાહેબ કહે છે, ‘હું અનુભવે કહી શકું છું કે આ રીતે મૃત્યુનું સ્મરણ કરતાં રહેવાથી હર્ષશોકથી પર એવો જે આનંદૃ, તેનો સાક્ષાત્કાર હું કરી શકયો છું. તેથી જ મારું ચિત્ત પ્રસન્ન રહે છે. આરોગ્ય પર પણ એની સારી અસર થાય છે.'

‘પરમ સખા મૃત્યુ' પુસ્તકમાં કાકાસાહેબે લખ્યું છે કે, 'મરણને પણ જો ન્યાય કરવો હોય તો તેને મનુષ્યનો પરમ મિત્ર કહેવો જોઈએ. મોટા મોટા ધન્વતરિ અને મનોવૈજ્ઞાનિકો પણ જે શાંતિ અને સાંત્વન માણસને આપી નથી શકતા, તે આ પરમ સખા નિશ્ર્ચિંત અને સ્થાયી રુપે આપે છે. ખરેખર તો મરણમાં દૃુખ નથી. જેને આપણે મરણનું દૃુખ માનીએ છીએ તે સાચી રીતે તો કષ્ટ વેઠી જીવવાનું દૃુખ છે. એ દૃુખ જ્યારે અસહ્ય બને છે ત્યારે મિત્રની માફક મરણ આવીને માણસનો એ દૃુખમાંથી છૂટકારો કરે છે. દૃુખ જીવન-કર્તુક છે, મરણ-કર્તુક નથી.'

સ્વામી વિવેકાનંદૃે પણ કંઈક આવા જ સૂરમાં કહ્યું છે કે, ‘જ્યારે પણ હું મૃત્યુ વિશે વિચારો કરું છું ત્યારે મારી બધી દૃુર્બળતાઓ અલોપ થઈ જાય છે. એ બાબત કોઈ ભીતિ કે શંકા મારા મનમાં રહેતી નથી. એ મહાયાત્રા માટે તૈયાર થવામાં હું પૂરેપૂરો ડૂબી જાઉં છું. હું જાણું છું કે ત્યાં એક અવર્ણનીય પ્રકાશપુંજનો મને સાક્ષાત્કાર થવાનો છે. પછી ભય શાનો?'



મૃત્યુ પૂર્ણવિરામ નથી. તે અલ્પવિરામ પણ નથી. મૃત્યુ અપૂર્ણવિરામ છે. કશુંક જીવ્યા કરતું હોય છે મોત પછીય.  સ્વજન સાથેના ગાઢ સંંબંધને મૃત્યુ ક્યાં તોડી શકે છે? હૃદૃયમાં ધબકતા મૃત પ્રિયજન પ્રત્યેના પ્રેમને ક્યારેક ગેબી પરિમાણ મળી જતું હોય છે. એક આખેઆખું પુસ્તક છે, જેનું શીર્ષક છે, ‘રવીન્દ્રનાથેર પરલોક-ચર્ચા'. અમિતાભ ચૌધરીએ લખેલા આ મૂળ પુસ્તકનો હિન્દૃી અનુવાદૃ પણ પ્રગટ થયો છે. આ પુસ્તકમાં મૃતાત્માઓને બોલાવવાની પ્લાન્ચેટ નામની એક જાણીતી વિધિ વિશે ખૂબ બધી વાતો છે. નોબલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરને મૃત જીવાત્માઓ સાથે સંપર્ક સ્થાપિત કરી શકાય છે એ વાતમાં વિશ્ર્વાસ હોવો જોઈએ, કેમ કે એમણે ખુદૃ અનેક વાર આ પ્રયોગો કરી જોયા હતા. ટાગોરનો પુત્ર શમી અને પુત્રી બેલા નાનપણમાં મૃત્યુ પામ્યાં હતાં. ટાગોર માધ્યમ મારફતે મૃત સંતાનો સાથે વાતો કરતા. માધ્યમ ટાગોરના મિત્રની દૃીકરી ઉમા બનતી. મૃતાત્માઓનું આહ્વાન કરવામાં આવે ને પછી ભયાનક ઝડપથી ઉમાની કલમ કાગળ પર ચાલવા માંડે. આ લખાણમાં કયાંય કશુંય અસંગત ન હોય, ભુલ કે રુકાવટ ન હોય.

દૃેહ છોડવો એ કંઈ અનિવાર્યપણે અશુભ ઘટના નથી. ઈશા-કુન્દૃનિકાએ ‘અંતવેળાએ 'પુસ્તકમાં એક જગ્યાએ સરસ મુદ્દો ઉઠાવ્યો છે કે અવસાનના સમાચાર આપતા પોસ્ટકાર્ડ કે પત્રમાં આપણે મોટા અક્ષરે ‘અશુભ' એવું શા માટે લખીએ છીએ? એક વાર એમને મરણસંદૃેશ આપતું પોસ્ટકાર્ડ આવેલું જેના પાછળના હિસ્સા પર, ફોર અ ચેન્જ, ‘શુભ' શબ્દૃ લખ્યો હતો. ઈશા-કુન્દનિકા કહે છે, 'મૃત્યુની ઘટનાને જેઓ ‘શુભ' તરીકે જોઈ શકે, તેમની ચેતના નિ:શંક અતિ ઉચ્ચ અવસ્થાએ પહોંચી હોવી જોઈએ. અકાળ કે અપમૃત્યુ કે ક્રૂર હસ્તોએ કરેલી હત્યા, કશી પૂર્વસૂચના આપ્યા વગર ભરવસંતે છીનવી લીધેલા પ્રિયજનનું જવું - એવી અતિ આઘાતપ્રેરક ઘટનાઓને બાદૃ કરીએ તો, સહજ સ્વાભાવિકપણે, જીવનના સર્વે કાર્યોનો સંકેલો કરી ચિરનિદ્રામાં કોઈ પાઢી જાય તો એને અશુભ ન કહીએ.'

shishir.ramavat@gmail.com


Wednesday, January 13, 2016

ટેક ઓફ : વેદના... આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને

Sandesh - Ardh Saptahik Purti - 6 January 2016
ટેક ઓફ

વેદના વરસવાનું એક બહુ મોટું કારણ શું એ નથી હોતું કે આપણા ખુદનાં સાચુકલા સ્વરૂપથી, આપણી ઓથેન્ટિક સેલ્ફથી આપણે દૂર થઈ ગયા હોઈએ છીએ ? જીવનની એક મહત્ત્વની ગતિ,મહત્ત્વનું કર્તવ્ય જ આ છે - ખુદની ઓથેન્ટિક સેલ્ફ સાથે એકરૂપ થઈને રહેવાનું. ધારો કે પૂરેપૂરા એકરૂપ ન થઈ શકાય તો તેનાથી બને તેટલા નિકટ રહેવાની કોશિશ કરવી જોઈએ. વેદનાની ભીષણ ક્ષણો વચ્ચે એક જ શબ્દ દીવાદાંડી જેવો બની રહે છે - ખુદવફાઈ. 


વા વર્ષની શુભ શરૂઆત કરવા માટે આપણી ભાષાના શ્રેષ્ઠોત્તમ કવિ સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા કરતાં બહેતર બીજું શું હોઈ શકે. સામાન્યપણે સિતાંશુ યશશ્ચંદ્ર 'અઘરા' કવિ ગણાય છે પણ આજે જે કૃતિ વિશે વાત કરવી છે તે જરાય કઠિન નથી. એમના લેટેસ્ટ કાવ્યસંગ્રહ 'વખાર'માં સ્થાન પામેલી આ કવિતા એક રીતે પ્રાર્થનાની ગરજ સારે એવી છે. કવિતા ઈશ્વરને નહીં પણ વેદનાને ઉદ્દેશી લખાયેલી છે. એ વેદના જે આપણા માંહ્યલામાં ટીપે ટીપે જમા થઈ છે અથવા એક જ કારમાં સંઘાત સાથે પેદા થઈ ગઈ છે.
કવિ કહે છે :
વેદના, તું અંધ ના કર. વેદના, તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે, લે હવે,
આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને.
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયમ્.
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભીતીચિત્ર દે.
દુઃખ માણસને દિશાહીન બનાવવાની ચેષ્ટા કરે છે. દુઃખના ભારથી બેવડા વળી ગયેલા માણસને શું કરવું ને શું ન કરવું તે સમજાશે નહીં. કયાં જવું, કોની મદદ લેવી તે સૂઝશે નહીં. આવી સ્થિતિમાં કાં તો મૂઢ થઈ જવાય, નિષ્ક્રિય બની જવાય અથવા શકય છે કે ખોટું પગલું ભરાઈ જાય. કવિ કહે છે કે વેદના, તું ભલે આવ, તારુંં સ્વાગત છે, પણ મહેરબાની કરીને મારી આંખો પર બાંધવાની પટ્ટી સાથે ન લાવતી. તું મારી આંખો બંધ કરવાનું નહીં, ખોલવાનું કામ કરજે.
વેદનાનાં આગમન પાછળ કશુંક પ્રયોજન જરૂર હોવાનું. એ જરૂર વિશેષ સંકેતો લઈને આવ્યું હશે. આ પ્રયોજન અને સંકેતો તો જ દેખાશે જો દુઃખ પોતાની સાથે પ્રકાશ પણ લેતું આવે. નવાં સત્યોનો પ્રકાશ. કવિ તો વેદનાને ત્યાં સુધી કહે છે કે તારી જ્યોતથી મને આખોને આખો દીવાની જેમ ઝળહળ પેટાવ. અત્યાર સુધી સુખના ઉજાસમાં ઘણું જોયું, હવે તારા પ્રકાશમાં મારે નવાં સત્યો જોવાં છે.
રવીન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ લખ્યું છે, 'ઈશ્વર જો તને વેદના આપે તો પોતાના દોષથી તે વેદનાને વ્યર્થ બનાવીશ નહીં - તેને સફળ કરવા માટે હ્ય્દય-મનને પૂરેપૂરાં તૈયાર કરીને જાગ્રત થજે. મનમાં કહેજે : હું દુર્બળ નથી, કહેજે કે હું હાર નહીં સ્વીકારુંં. કહેજે કે મારાં ક્ષણિક જીવનની પાછળ અનંત જીવનની પૂંજી રહેલી છે. આ જીવનની બધીય જાળજંજાળ એકેએક છેદાઈ જવાની છે, પરંતુ પેલી પૂંજી કદી ખૂટી જવાની નથી. તે સૂર્યના પ્રકાશની પેઠે અક્ષય છે. ઈશ્વરે તારી અંદર જે મહિમાનું સ્થાન કરેલું છે, તેને સંપૂણપણે જો. પોતાની જાતને દીન-દુર્બળ કહીને, ક્ષૂદ્ર કહીને અપમાન કરીશ નહીં, કારણ, એ વાત સાચી છે જ નહીં. તારા અંતરાત્મામાં વિજયલક્ષ્મી બિરાજેલાં છે.'


કુન્દનિકા કાપડિયાએ એક નવલકથા લખી છે - 'પરોઢ થતાં પહેલાં'. બહુ જ સુંદર પણ ખાસ્સી અંડર-રેટેડ કૃતિ છે આ. તેમાં એક જગ્યાએ કુન્દનિકાજીએ લખ્યું છે :
'દુઃખનું પ્રયોજન શું છે ? દુઃખ કદાચ માણસને તેના સાચા સ્વરૂપની પિછાણ આપવા આવે છે પણ દુઃખથી ભય પામીને માણસ ઝટ તેનાથી છૂટવાનો પ્રયત્ન કરે છે અને તેથી દુઃખનું આવવું સાર્થક થતું નથી, તેથી જ તે ફરી ફરીને આવ્યા કરે છે. દુઃખમાંથી નાસી છૂટવાને બદલે એના ઘોર એકાંતની વચ્ચે બેસીને માણસ પોતાની ગાઢ અતલ એકલતામાં પોતાના સ્વરૂપનો સાચો પરિચય મેળવી લે તો પછી દુઃખની કામગીરી પૂરી થાય, તો તે ફરી ફરી દ્વારે આવીને ઊભું ન રહે... કદાચ.'
આ જ નવલકથામાં બીજી એક જગ્યાએ કહેવાયું છે :
'જીવન કોઈ બિંદુએ, કોઈ આઘાતે અટકી પડવું ન જોઈએ. તેનું ઝરણ નિરંતર વહેતું રહેવું જોઈએ. ગમે તેવું દઃુખ હોય, તેની ગાંઠમાં હ્ય્દયને કુંઠિત બનવા દીધા સિવાય જીવન જીવી શકાય છે તો દુઃખ પણ જીવનનું એક સૌંદર્ય બની રહે.'
આઘાત પામીને કુંઠિત થઈ જવું એટલે દુઃખના કારાવાસમાં કેદ થઈ જવું. આ સ્થિતિ ટાળવાની હોય. દઃુખમાં ઊભા રહી જવાને બદલે આગળ વધી જવાનું હોય, તેથી જ સિતાંશુ યશશ્ચંદ્ર વેદનાને
કહે છે :
તું ન કારાવાસ થા, થા એક અણધાર્યો પ્રવાસ,
કયાં જવું, કયાં થઈ જવું, કે કઈ રીતે - નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે,
કોઈ સાવ અજાણ જણ પર એક ભલામણપત્ર દે.
કોણ હોઈ શકે આ અજાણ જણ ? ઈશ્વર કદાચ ? આપણી ઓથેન્ટિક સેલ્ફ ? વેદના વરસવાનું એક બહુ મોટું કારણ શું એ નથી હોતું કે આપણા ખુદનાં સાચુકલા સ્વરૂપથી, આપણી ઓથેન્ટિક સેલ્ફથી આપણે દૂર થઈ ગયા હોઈએ છીએ ? જીવનની એક મહત્ત્વની ગતિ,મહત્ત્વનું કર્તવ્ય જ આ છે - ખુદની ઓથેન્ટિક સેલ્ફ સાથે એકરૂપ થઈને રહેવાનું. ધારો કે પૂરેપૂરા એકરૂપ ન થઈ શકાય તો તેનાથી બને તેટલા નિકટ રહેવાની કોશિશ કરવી જોઈએ. વેદનાની ભીષણ ક્ષણો વચ્ચે એક જ શબ્દ દીવાદાંડી જેવો બની રહે છે - ખુદવફાઈ. પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું તે આપણી સૌથી પહેલી ફરજ છે, જો ખુદવફાઈ એની જગ્યા પર સ્થિર હશે તો જીવનનાં બાકીનાં બધાં સમીકરણો વહેલાં-મોડાં સચવાઈ જશે.
સિતાંશુ યશશ્ચંદ્ર અંતે લખે છે :
તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવા સીમાડે,
તે પછી કોઈ સીમાડો કયાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારુંં સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે.
કવિ જે સીમાડાની વાત કરે છે તે શું આ જ છે - ખુદવફાઈનો ઈલાકો ? કદાચ. એકવાર ખુદવફાઈનાં વર્તુળમાં પહોંચી ગયા પછી બીજા કોઈ સીમાડા આડા આવતા નથી. વેદના જાણે કોઈ સામર્થ્યવાન દેવીનું સ્વરૂપ હોય તે રીતે કવિ તેની પાસેથી જ્ઞાાની માણસનું ધૂનીપણું માગે છે, ભરપૂર પ્રસન્નતા સાથે આગ-ખેલ કરી શકાય એવી ક્ષમતા પણ માગી લે છે.
તો આ નવા વર્ષે સંકલ્પ કરીએ કે વેદનાથી ભાગીશું નહીં. બે હાથ પહોળા કરીને એને આવકારીશું. આનું આવવાનું પ્રયોજન શું છે તે જાણવાની કોશિશ કરીશું. વેદના જે સંદેશો લાવી છે તે કાન માંડીને સાંભળીશું, તેનો મર્મ સમજીશું અને પછી તે અનુસાર આપણાં વર્તન-વ્યવહારમાં - આંતરિક અને બાહ્ય એમ બંને સ્તરે - જ્યાં જરૂર લાગે ત્યાં પરિવર્તન લાવીશું.
0 0 0  

Friday, November 26, 2010

સુખ માર્ગ છે, મંઝિલ નહીં...

ચિત્રલેખા અંક તારીખ ૬ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત



સ્લગઃ વાંચવા જેવું


ચંદ્રકાંત બક્ષીએ ‘હું, કોનારક શાહ...’ નવલકથામાં એક પાત્રના મોઢે શબ્દો મૂક્યા છેઃ ‘માણસે માત્ર પોતાનાં દુખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી... પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે...’



‘નવનીત સમર્પણ’ માસિકમાં વર્ષા અડાલજાની ‘ખરી પડેલો ટહુકો’ નવલકથા ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ રહી હતી. મેન્ટલી ચેલેન્જ્ડ સંતાન અને તેની મા વચ્ચેના નાજુક સંબંધની તેમાં વાત હતી. એક દિવસ તત્કાલીન તંત્રી ઘનશ્યામ દેસાઈએ લેખિકાને ફોન કર્યોઃ વર્ષબહેન, હમણાં ને હમણાં ઓફિસે આવો. બસ, આવો જ. વર્ષા અડાલજા લગભગ દોડતાં પહોંચ્યાં. તેમણે જોયું કે અમેરિકાથી આવેલાં એક ગુજરાતી મહિલા આ નવલકથાનું મિસ થઈ ગયેલું પ્રકરણ વાંચી રહ્યાં હતાં. તેમનો ખુદનો દીકરો મેન્ટલી ચેલેન્જ્ડ હતો અને તેઓ વાસ્તવમાં નવલકથાની નાયિકા જેવું જીવન જીવતાં હતાં. વર્ષાબહેનને મળતાં જ મહિલા તેમને ભેટી પડ્યાં. કહેઃ તમારી વાર્તા વાંચીને મને મારા જીવનમાં સમાધાન મળ્યું. સમાજ સામે તમે આવાં બાળકો અને તેમના સ્વજનોની કથાવ્યથાને ફોકસમાં મૂકી આપી. થેન્ક્સ. આટલો કિસ્સો વર્ણવીને વર્ષા અડાલજા કહે છે, ‘... અને મને ને ઘનશ્યામભાઈને અમારું ‘સુખ’ મળી ગયું.’



એક સર્જક ભલે લાખો રૂપિયાના પુરસ્કાર કે રોયલ્ટી મેળવતો ન હોય, પણ જો તેની કૃતિ કોઈના જીવનને મૂળમાંથી સ્પર્શી શકે તો એ જ તેનું સુખ, તેની સાર્થકતા. વ્યક્તિએ-વ્યક્તિએ સુખની સમજ અને અનુભૂતિનું સ્વરૂપ જુદાં જુદાં હોવાનાં. સુરેશ દલાલે સંપાદિત કરેલું ‘મારું સુખ’ નામનું આ રૂપકડું પુસ્તક વાસ્તવમાં સુખનું શેડકાર્ડ છે. જુદાં જુદાં ક્ષેત્રોની ૭૨ વ્યક્તિઓએ પોતપોતાનાં કરેલી સંવેદનશીલ વાતોમાં સુખના એટલા બધાં રંગો અને વૈવિધ્ય ઉપસે છે કે વાચકને પોતાના સુખ સાથે મેચ થતો શેડ મળી જ રહે.



કાલિન્દી રાંદેરી લખે છેઃ ‘મનુષ્યસ્વભાવના છ શત્રુઓઃ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને ટાળી શકાય તો સુખ જ સુખ છે.’ એમ તો આપણી એક કહેવત પણ કહે જ છે ને કે, પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર, ત્રીજું સુખ તે કહ્યાગરી નાર અને ચોથું સુખ તે ભોજનમાં કંસાર... શું જીવનનાં મહાન સત્યોની જેમ સુખનું સત્ય પણ આટલું સાદું છે? કદાચ, ના. ચંદ્રકાંત બક્ષીએ ‘હું, કોનારક શાહ...’ નવલકથામાં એક પાત્રના મોઢે શબ્દો મૂક્યા છેઃ ‘માણસે માત્ર પોતાનાં દુખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી... પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે...’

સુખનો ઝરો શું આપણી ભીતર જ કશેક છુપાયેલો હોય છે? ઈશા કુન્દનિકા કહે છે, ‘મારું સુખ...જે દુખની ઉપરવટ થઈને ટકી રહે છે. એમાં નિરંતરતા છે. એક કાયમી રહેલી લાગણી, ક્યાંક કશાક પરનો કદાચ વિશ્વાસ, કશીક શ્રદ્ધા, કશુંક. કશુંક શું તેની સમજ નથી પડતી, પણ કંઈક છે જે અંદર છે અને હંમેશાં રહે છે.’



ભગવતીકુમાર શર્મા માટે શબ્દવ્યાપાર જ ચરમ અને પરમ સુખાનુભૂતિનું માધ્યમ છે. મૂકેશ જોષી સરસ રહે છેઃ ક્યારેક મારી કવિતાના શબ્દો કોઈના હ્યદયને હળવા પવનની જેમ સ્પર્શે છે ત્યારે હું જ્યાં હોઉં ત્યાં સુખનો મિસ્ડ કોલ આવી જાય છે! અરુણા જાડેજા કાર્યશક્તિમાં સુખ જુએ છે. સુખ અને કર્મ આ બે વચ્ચે હંમેશાં ગાઢ સંબંધ રહ્યો છે. સતત કામમાં વ્યસ્ત રહેવું તે સુખની દિશા હોય છે કે પછી પલાયનવાદનું સરનામું? પ્રદીપ ખાંડવાળા પોતાની જાતને જ પ્રશ્ન પૂછે છે, ‘શું હું મેસોકિસ્ટ છું જે પોતાને દુખ આપી સુખનો અહેસાસ કરવાનો પ્રયત્ન કરતો રહે? કે શું હું નિરુત્સાહી છું જે કાર્યોમાં રત રહીને ડિપ્રેશનમાંથી છટકવાના ઉપાયો શોધતો ફરે?’ આનો જવાબ પોતાની ભીતરથી જ જડી આવે છે, ‘ના, આ કષ્ટોનો સ્ત્રોત છે કંઈ નવું કરવાનો, કંઈ નવું શીખવાનો આનંદ, પડકાર ઝીલવાનો આનંદ, સર્જન કરવાનો આનંદ...’



સર્જન પછીની નિરાંત ખરેખર સુખદાયક હોય છે. ભરત ઘેલાણી એટલે જ કહે છે ને કે, ‘મારા માટે ખરું સુખ એટલે ‘ચિત્રલેખા’નું કામ આટોપી લીધા પછી હું મારા એકાંતમાં એરકન્ડિશનની આછી હૂંફાળી ટાઢક વચ્ચે મારા ડબલ બેડ પર એકલો પથરાઈને મારું મનગમતું પુસ્તક વાંચતો હોઉં, પાછળ ફાઈવ પોઈન્ટ વન મ્યુઝિક સિસ્ટમ પર મારાં ગમતીલાં ગીત આછાં આછાં ગુંજતાં હોય અને ડબલ બેડના સાઈડ સાઈડ ટેબલ પર ચિલ્ડ બિયરનો ગ્લાસ હોય...’ ખરેખર, ભૌતિક સુવિધાઓની કિંમત ઓછી આંકવા જેવી નથી જ!



પ્રકૃતિના સાન્નિધ્ય અને સુખ વચ્ચે પાક્કી દોસ્તી છે. દીપક દોશી સુખ વિશે વિચારે એટલે તરત તેમના મનમાં મુંબઈનાં હ્યદય જેવું કેન્હેરીનું જંગલ ઊભું થાય. અઠવાડિયે એકાદ વાર અહીં આવીને ‘જીવન સુંઘી જવાનો’ તેમનો વર્ષોનો ક્રમ છે. ઉત્પલ ભાયાણી રોજ ચર્ચગેટથી અંધેરી પાછા ફરે ત્યારે લોકલ ટ્રેનમાં સાવ ફૂટબોર્ડની ધાર પર ઊભા રહે. મસ્તક ટ્રેનની સપાટીની બહાર હોય, અંદરનો કોલાહલ સતત કાને પડતો રહે અને આંખ સામેથી મુંબઈના ત્રસ્ત અને વ્યસ્ત મુંબઈનાં દશ્યો સડસડાટ પસાર થતાં જાય. ‘એટલે જે દેખાય છે એ સંભળાતું નથી અને જે સંભળાય છે એને જોતો નથી,’ ઉત્પલ ભાયાણી કહે છે, ‘આ રોજિંદો અનુભવ મારું અદકેરું સુખ છે.’ વેલ, સુખનું આ શહેરી સ્વરૂપ છે!



સુખના પરિઘમાં માત્ર ‘સ્વ’નો જ સમાવેશ થાય તે ક્યાં જરૂરી છે? કોઈ દુભાયેલી વ્યક્તિ, ખાસ કરીને સ્ત્રી જ્યારે પોતાના મનનો સંતાપ પન્ના નાયક પાસે શેર કરે, એમની સાથે વાતો કરીને એ વ્યકિતનું મન હળવું થાય ત્યારે એમને સુખ મળે છે. જયેશ ચિતલિયાને ફિલ બોસમન્સે લખેલું અને રમેશ પુરોહિતે અનુદિત કરેલું ‘સુખને એક અવસર તો આપો’ એટલું ગમી ગયું કે તેની સંખ્યાબંધ નકલો લઈને પ્રિયજનોને ભેટમાં આપવું એ તેમનું સુખ બની ગયું. ગમતાને ગુલાલ કરવામાં તેમને ભરપૂર સુખ મળે છે. જયેશ ચિતલિયા સુખની સરસ વ્યાખ્યા બાંધે છેઃ ‘સુખ મંઝિલ નથી, માર્ગ છે...’ સ્વજનો સાથે રસાયેલા સુખનું આગવું સૌંદર્ય છે. વિનોદ ભટ્ટની સુખદ ક્ષણો અણીશુદ્ધ દાદાગીરીમાં સમાયેલી છે. ‘એને માટે અલબત્ત, દાદાનું સ્ટેટસ મેળવવું પડે,’ તેઓ સ્મિતપૂર્વક લખે છે, ‘આ દાદાગીરી એ ભોગવવા જેવું સુખ છે.’



સંગીત દ્વારા પેદા થતા સુખનું મૂલ્ય તો પ્રકાશ મહેતા અને ડો. સિલાસ પટેલિયા જેવા સંગીતરસિયાઓ જ જાણે. ‘મારામાં રહેલી શક્યતાઓને મિત્રો અને વડીલોએ ઓળખી એ મારું મોટું સુખ,’ આટલું કહીને ગાયક-સંગીતકાર સુરેશ જોશી પછી ઉમેરે છે, ‘... તો પછી સુખ નામનો પદારથ એ સંગીતનું બીજું નામ તો નહીં હોય ને?’



પ્રજ્ઞા પૈની સુખની વ્યાખ્યા સાદી પણ સચોટ છેઃ ‘મારા મતે, સુખ એટલે ભૂતકાળની ભુલો અને ભવિષ્યની કપોળકલ્પિત મુશ્કેલીઓના વિચારોેને હડસેલી ડિલીટ કરી વર્તમાન ક્ષણ માણી લેવાની ક્ષમતા.’ રાધેશ્યામ શર્મા ટોટલ એક્સેપ્ટન્સ એટલે કે સમગ્રના સ્વીકારમાં સુખ જુએ છે, જ્યારે હરિભાઈ કોઠારીનું કહેવું છે કે, ‘પ્રભુની શરણાગતિ સમું સુખ જગતમાં બીજું એકેય નથી.’



આખા પુસ્તકમાં કદાચ સૌથી પારદર્શક કેફિયત કાજલ ઓઝા-વૈદ્યની છે. તેઓ લખે છે, ‘મને એવું સમજાયું છે કે સુખ એ તદ્દન અંગત લાગણી છે. સામેની વ્યક્તિને આપણા સુખ સાથે કોઈ સંબંઘ જ નથી... ઈર્ષ્યાનો પણ નહીં!’ આટલું કહીને તેઓ આખરે ઉમેરે છે, ‘હવે ‘મારું સુખ’ હું જે કરું છું તેમાં છે... જે ક્ષણે જ્યાં હોઉં છું ત્યાં જ હોય છે... હું જેને મળું છું તે સહુ મને સુખી કરે છે... જે જીવું છું એનું નામ ‘સુખ’ રાખતાં હવે મને આવડી ગયું છે.’



અપૂર્વ આશરે કરેલી ‘મારું સુખ’ પુસ્તકની સજાવટ ભારે કલ્પનાશીલ છે. પ્રત્યેક લેખકનો ટૂંકમાં પરિચય આવ્યો હોત તો સારું થાત. આ પુસ્તકમાં અંકિત થયેલાં સુખનાં સત્ત્વશીલ ગાનને કાન દઈને સાંભળવા જેવું છે. મનોહરસિંહજી જાડેજા ‘સુખ કે પછી આનંદ- એનાં ગાણાં ન ગવાય’ એવું કહેતા હોય તો પણ!



(મારું સુખ

સંપાદકઃ સુરેશ દલાલ

પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન,

પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ૧.

સેન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ,અમદાવાદ૬.

ફોનઃ (૦૨૨) ૨૨૦૦૨૬૯૧, (૦૭૯) ૨૬૫૬ ૦૫૦૪

કિંમતઃ રૂ. ૫૦૦/

પૃષ્ઠ સંખ્યાઃ ૨૭૮)



૦૦૦૦