Showing posts with label Ramesh Sippy. Show all posts
Showing posts with label Ramesh Sippy. Show all posts

Saturday, February 17, 2018

તેરે મેરે જીવન કી યહી બુનિયાદ


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 18 ફેબ્રુઆરી 2018

મલ્ટિપ્લેક્સ                   

હિન્દી સિનેમામાં જે સ્થાન 'શોલે'નું છે એ જ સ્થાન ભારતીય ટેલીવિઝનમાં 'બુનિયાદ'નું છે. આજથી ત્રણ દાયકા પહેલાં દૂરદર્શન પર ટેલિકાસ્ટ થયેલી રમેશ સિપ્પીની આ ટીવી સિરીયલે ગુણવત્તાના જે માપદંડ સ્થાપિત કર્યા હતા તે આજે પણ અણનમ છે. 



મ તો સામેના માણસને એની ઉંમર યાદ કરાવવી અવિવેક ગણાય, પણ આ જોખમ સાથે પણ કહેવા દો કે આપણામાંથી જેમની ઉંમર કમસે કમ ચાલીસ વર્ષ હશે એ સૌને દૂરદર્શન પર 1986-87 દરમિયાન ટેલિકાસ્ટ થયેલી 'બુનિયાદ' સિરીયલ હજુય, આજે બત્રીસ વર્ષ પછીય, જરૂર યાદ હશે. ભારતીય મધ્યમવર્ગમાં ટીવી તે વખતે હજુ તાજું તાજું પ્રચલિત બની રહ્યું હતું. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રહાર, અઠવાડિયે એક જ વાર જોવા મળતી મોંઘેરી હિન્દી ફિલ્મ, સ્પાઇડરમેનનો કાર્ટૂન શો વગેરે જેવા મનગમતા કાર્યક્રમ જોવા માટે આપણે પાડોશીના ઘરે પહોંચી જતા હતા અથવા પાડોશીઓ આપણા ઘરે આવીને ટીવી સામે ગોઠવાઈ જતા હતા. ઇડિયટ બોક્સ તરીકે ઓળખાતું ટીવી મોટે ભાગે બ્લેક-એન્ડ-વ્હાઇટ જ હોય.

પેલાં રમૂજી દશ્યો બરાબર યાદ છે. ટીવી પર કાર્યક્રમ બરાબરનો જામ્યો હોય ત્યારે જ એકાએક વાતાવરણ ખરાબ થાય ને સ્ક્રીન પર દશ્ય હલ-હલ-ઉપર-નીચે થવા માંડે, તરડાવા-મરડાવા લાગે, કાં તો સાવ ગાયબ થઈ જાય. અવાજ-સંગીતનું સ્થાન કર્કશ ઘરઘરાટી લઈ લે. આવી કુદરતી રુકાવટ આવે એટલે કોઈક ઊભું થઈને તોતિંગ એન્ટેનાનો થાંભલો ગોળ-ગોળ ફેરવવા ઘરની બાલ્કનીમાં કે છત ઉપર જાય અને બૂમો પાડેઃ 'આવ્યું? આવ્યું?' (એટલે કે સ્ક્રીન પર બરાબર ક્લેરિટી આવી?) જવાબમાં ટીવી સામે બેઠેલું અધીરું ઓડિયન્સ કાગારોળ મચાવેઃ 'હા, આવી ગયું...' કે 'ના, હજુ જરાક ફેરવ...'!

ચાર્મિંગ સમયગાળો હતો એ! આજે એ વિચારીને જબરું આશ્ચર્ય થાય છે કે જ્યારે ટેલિવિઝન એન્ટરટેઇનમેન્ટના આખું તંત્ર ડિફાઇન થવાની હજુ તો માત્ર શરૂઆત થઈ હતી, ચેનલના નામે એકમાત્ર દૂરદર્શન હતું અને સેટેલાઇટ્સ ચેનલ્સની એન્ટ્રી થવાને હજુ આઠ વર્ષની વાર હતી એવા તબક્કે રમેશ સિપ્પી 'બુનિયાદ' જેવી કદી ભુલી ન શકાય એવી માતબર ટીવી સિરીયલ લઈને આવ્યા. 'બુનિયાદે' અભિનય-લખાણ-ડિરેક્શન-સંગીત સહિતનાં તમામેતમામ ડિપાર્ટમેન્ટ્સમાં ઉચ્ચતમ સ્ટાન્ડર્ડ સ્થાપ્યા. હા, 'બુનિયાદ' આવી તે પહેલાં ભારતીય ઓડિયન્સ અશોકકુમારવાળી 'હમ લોગ' (1984-1986) ટીવી સિરીયલની આનંદ માણી ચુક્યું હતું. 'હમ લોગ' પણ 'બુનિયાદ' જેવો જ લેન્ડમાર્ક ટીવી શો. આ બન્ને મેગા શો લેખક એક જ - મનોહર શ્યામ જોશી!

'બુનિયાદ' લોન્ચ થઈ એ વખતે રમેશ સિપ્પી પૂરા ચાલીસ વર્ષના પણ થયા નહોતા. એમના બાયોડેટામાં 'સીતા ઔર ગીતા', 'શોલે', 'શાન', 'શક્તિ' અને 'સાગર' જેવી ફિલ્મો ઓલરેડી ઉમેરાઈ ચુકી હતી. કલ્પના કરો કે આટલો સક્સેસફુલ ડિરેક્ટર જ્યારે પહેલી વાર એક ટીવી સિરીયલ લઈને આવતો હોય ત્યારે કેવું એક્સાઇટમેન્ટ ફેલાયું હશે અને એ શો પાસેથી કેટલી ઊંચી અપેક્ષા રાખવામાં આવી હશે. 'બુનિયાદે' તે અપેક્ષાઓ માત્ર સંતોષી નહીં, પણ ઓડિયન્સને ધાર્યા કરતાં પણ ઘણું વધારે આપ્યું.

Ramesh Sippy (left) directing Anita Kanwar and Alok Nath on the set of Buniyaad 


'બુનિયાદ' ભારત-પાકિસ્તાનના ભાગલાના પશ્ચાદભૂમાં આકાર લેતી અત્યંત સંવેદનશીલ પારિવારિક કહાણી છે. રમેશ સિપ્પી ખુદને હંમેશાં 'પાર્ટિશન બેબી' તરીકે ઓળખાવતા આવ્યા છે. ઓગસ્ટ 1947માં ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે તેઓ સાત મહીનાના હતા. દેશના ભાગલાની થીમ એમને ન સ્પર્શે તો જ આશ્ર્ચર્ય. શોની તજવીજ શરૂ થઈ ત્યારે તેઓ મનોહર શ્યામ જોશીને મળ્યા, ચર્ચા કરી. રમેશ સિપ્પી કન્વિન્સ થઈ ગયા કે 'બુનિયાદ' લખવા માટે આ પરફેક્ટ માણસ છે. હોમવર્કના ભાગરૂપે સિપ્પીએ 'ડલાસ' અને 'ડાયનેસ્ટી' જેવી એ સમયની હિટ અમેરિકન સોપ ઓપેરા જોઈ કાઢી. વિષયની દષ્ટિએ તેને 'બુનિયાદ' સાથે કશું લાગતુંવળગતું નહોતું, પણ આ શોઝ જોવાને લીધે સિરીયલના વ્યાકરણ અને સ્ટ્રક્ચર વિશે ઘણી માનસિક સ્પષ્ટતા થઈ ગઈ. રમેશ સિપ્પીને એક વાત એમને જડબેસલાક રીતે સમજાઈ ગઈ કે દરેક એપિસોડના અંતે મજબૂત હૂક પોઈન્ટ હોવો જ જોઈએ કે જેથી ઓડિયન્સના મનમાં 'હવે શું થશે?' એવો સવાલ થાય અને નેકસ્ટ એપિસોડ જોવાની ઉત્સુકતાને વળ ચડે.   

કાસ્ટિંગ શરૂ થયું. અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, ધર્મેન્દ્ર, કમલ હસન, રિશી કપૂર, હેમા માલિની, જયા ભાદુડી જેવાં ફિલ્મી દુનિયાનાં ધરખમ કલાકારો સાથે કામ કરી ચુકેલા રમેશ સિપ્પીએ 0બુનિયાદ માટે અજાણ્યા અને નવા નિશાળીયા એકટરોને પસંદ કર્યા. એમાંના ઘણા દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી તાલીમ લઈને આવ્યા હતા. આલોક નાથ માસ્ટર હવેલીરામ બન્યા. આલોક 'બાબુજી' નાથ એ વખતે મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા. 'બુનિયાદ'ના માસ્ટરજીના યાદગાર રોલે એમની લાઇફ સેટ કરી નાખી. અનિતા કંવર નાયિકા લાજોજી બન્યાં. એમનું કોઈ નાટક જોઈને જાવેદ અખ્તર પ્રભાવિત થયેલા અને એમણે રમેશ સિપ્પીને એનું નામ રિકમન્ડ કરેલું. આ ઉપરાંત વિજયેન્દ્ર ઘાટગે, દિલીપ તાહિલ, કિરણ જુનેજા (જેમની સાથે રમેશ સિપ્પીએ પછી લગ્ન કર્યાં), ઝીનત અમાનના જન્નતનશીન પતિ મઝહર ખાન, કંવલજીત સિંહ, કૃતિકા દેસાઈ, આલિયા ભટ્ટનાં મમ્મી સોની રાઝદાન,.. એકબીજાનાં માથાં ભાંગે એવાં આ સુપર ટેલેન્ટેડ કલાકારો હતાં.

મુંબઈના ફિલ્મસિટીમાં સેટ લગાડવામાં આવ્યો. અઠવાડિયામાં બે દિવસ સવારના સાતથી રાતના અગિયાર વાગ્યા સુધી નોનસ્ટોપ શૂટિંગ ચાલે. રમેશ સિપ્પી કલાકારો પાસે ખૂબ રિહર્સલો કરાવે અને જ્યાં સુધી બેસ્ટ શોટ ન મળે ત્યાં સુધી તંત ન છોડે. ફિલ્મ હોય કે સિરીયલ, રમેશ સિપ્પી પરફેક્શન અને ડિટેલિંગના માણસ છે. માત્ર એક્સપ્રેશન્સ જ નહીં, ઉચ્ચારણો, લઢણ, કપડાં, સ્કીન પર દેખાતી ચીજવસ્તુઓ આ બધું જ પરફેક્ટ જોઈએ. જેમ કે, એક દિવસ કોઈ સીનમાં ચાવીવાળા વાજાની જરૂર હતી. રમેશ સિપ્પીએ સેટ પર જઈને જોયું કે વાજું ગેરહાજર છે. બીજો કોઈ ડિરેક્ટર હોય તો સીનમાં થોડો ફેરફાર કરીને કદાચ વાજા વગર ચલાવી લે, પણ 'ચાલશે' શબ્દ સિપ્પીસાહેબની ડિક્શનરીમાં ક્યારેય નહોતો. એમણે કહ્યુઃ આ સીનમાં વાજું જોઈએ એટલે જોઈએ. ગમે ત્યાંથી, કોઈ પણ રીતે તેને હાજર કરો. એના સિવાય શૂટિંગ આગળ નહીં વધે! આખરે બે-ત્રણ કલાકે પ્રોડકશન ટીમે માંડ માંડ ક્યાંકથી વાજુ મેનેજ કર્યું તે પછી જ કામ આગળ વધ્યું.

'બુનિયાદ' સિરીયલ અઠવાડિયામાં બે વાર ટેલિકાસ્ટ થતી - દર મંગળવારે અને શનિવારે. એપિસોડ શરૂ થાય એટલે સૌથી પહેલાં અનુપ જલોટાએ ગાયેલું ટાઇટલ સોંગ રેલાયઃ 'કહીં તો હૈ સપના ઔર કહીં યાદ, કહીં તો હસીં રે કહીં ફરિયાદ.... પલછીન પલછીન તેરે મેરે જીવન કી યહી બુનિયાદ....' સિરીયલને નિશ્ચિત ઘાટ આપવામાં સંગીતનું યોગદાન મહત્ત્વપૂર્ણ હોય છે. 'બુનિયાદ'નું સંગીત તૈયાર કર્યું ત્યારે ગાયક-સંગીતકાર ઉદય મઝુમદાર માંડે બાવીસેક વર્ષના હતા. બે ટીવી શોમાં સંગીત આપવાનો અનુભવ ધરાવતા આ યુવાનની રમેશ સિપ્પી સાથે ઓળખાણ અમિત ખન્નાએ કરાવી હતી. અમિત ખન્ના 'બુનિયાદ'ના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતા. પ્રારંભિક બ્રિફ મળી તે પછી ઉદય મઝુમદારે ભાગલાને કારણે અસર પામેલા હિન્દુ-મુસ્લિમ સમાજના પ્રતીક જેવા વૈદિક મંત્રોચ્ચાર અને મસ્જિદની અઝાનનું મિશ્રણ કરીને થીમેટીક મ્યુઝિક કમ્પોઝ કર્યું. આ મ્યુઝિકલ પીસ અને તે પછી પણ જે રીતે સંગીતસર્જન થતું રહ્યું તેના પરથી રમેશ સિપ્પીને એક વાતની ખાતરી થઈ ગઈ કે આ યુવાન કેવળ 'મ્યુઝિકલ પર્સન' નથી, એ 'થિંકિંગ મ્યુઝિકલ પર્સન' છે! 'બુનિયાદ'નો સમગ્ર અનુભવ ઉદય મઝુમદાર માટે જાણે સંગીતની યુનિર્વસિટીમાંથી ગ્રેજ્યુએશન કરીને તગડી ડિગ્રી મેળવી હોય એવો જેવાે સમૃદ્ધ પૂરવાર થયો.  

ક્યારેક કલાકારોના પર્ફોર્મન્સથી રમેશ સિપ્પી ખૂબ ખુશ હોય તો ડિનર અને ડ્રિન્ક્સની પાર્ટી આપતા. શૂટિંગના બે દિવસ બાદ કરતાં બાકીના પાંચ દિવસ પોસ્ટ પ્રોડક્શનનું કામકાજ ચાલતું. આ સિરીયલ 105 એપિસોડ્સ ચાલી. માસ્ટરજી, લાજોજી, વીરાવાલી, રોશન વગેરે જાણે ખુદના પરિવારનો  હિસ્સો હોય એટલી હદે ઓડિયન્સનું તેમની સાથે સંધાન થઈ ગયું હતું. 

હિન્દી સિનેમામાં જે સ્થાન 'શોલે'નું છે એ જ સ્થાન ભારતીય ટેલીવિઝનમાં 'બુનિયાદ'નું છે. આ સિરીયલનું પછી તો સ્મોલ સ્ક્રીન પર એકાધિક વખત રિપીટ ટેલિકાસ્ટ પણ થયું. 'બુનિયાદ'ની યાદ તાજી કરવી હોય તો યુટ્યુબ પર લટાર મારીને એકાદ એપિસોડ જોઈ કાઢજો. મોજ પડશે. રમેશ સિપ્પીની આત્મકથા ટૂંક સમયમાં બહાર પડવાની છે. એ વાંચવાની તો સોલિડ મોજ પડવાની છે.         

0000

Sunday, November 1, 2015

મલ્ટિપ્લેક્સ : જાને કૈસે કબ કહાં...

Sandesh - Ardh Saptahik Purti - 1 Nov 2015
મલ્ટિપ્લેક્સ 
દિલીપકુમાર અને અમિતાભ બચ્ચનને એકસાથે ચમકાવતી ફિલ્મ 'શક્તિ'ની ગણના આજે એક કલાસિક તરીકે થાય છે. કાસ્ટિંગ પ્રોસેસ ચાલી રહી હતી તે દરમિયાન પોતાના ફેવરિટ એક્ટર સાથે કામ કરવાની ઈચ્છા બિગ બીએ સામેથી વ્યકત કરી હતી, પણ ફિલ્મ રિલીઝ થઈ પછી તેઓ નારાજ કેમ થઈ ગયા હતા? 

જે એક અફલાતૂન હિન્દી ફિલ્મને યાદ કરવી છે. એ છે, ૧૯૮૨માં રિલીઝ થયેલી 'શકિત'. આજે યાદ કરવા પાછળ કોઈ વિશેષ કારણ? ના, કશું નહીં. કલાસિક ફિલ્મો વિશે વિગતે વાત કરવા માટે મુહરત જોવાની કે 'હૂક પોઈન્ટ' શોધવાની કયાં જરૂર હોય છે!
'શકિત' આવી ત્યારે અમિતાભ બચ્ચનની કરીઅર શિખર પર પહોંચી ચૂકી હતી. રમેશ સિપ્પીએ 'શોલે' (૧૯૭૫) પછી પાંચ વર્ષે બનાવેલી 'શાન' ઓડિયન્સને નિરાશ કરી ચુકી હતી. તેઓ અભિનયસમ્રાટ દિલીપકુમાર સાથે કામ કરવા માગતા હતા. સુપરસ્ટાર લેખક-બેલડી સલીમ-જાવેદે 'થન્કા પટ્ટકમ' (૧૯૭૪) નામની સાઉથ ઈન્ડિયન ફિલ્મની રીમેક બનાવવાનું સજેશન કર્યું. આમાં બાપ-બેટાના ટકરાવની વાત હતી. બાપ અને દીકરા બન્નેના ડબલ રોલ શિવાજી ગણેશને કર્યો હતો. રમેશ સિપ્પીને સ્ટોરીમાં દમ લાગ્યો, પણ તેઓ એક વાતે સ્પષ્ટ હતા પિતા-પુત્રનાં કિરદારમાં અલગ અલગ એકટર જોઈએ.
દિલીપકુમાર એ અરસામાં છેલ્લી છેલ્લી જે ફિલ્મો કરી હતી - 'દાસ્તાન' (ડબલ રોલ), 'અનોખા મિલન', 'સગીના', 'ફિર કબ મિલોગી', 'બૈરાગ' (ટ્રિપલ રોલ) - એમાં ખાસ કંઈ ભલીવાર નહોતો. 'ક્રાંતિ' અને 'વિધાતા' છેક ૧૯૮૧માં રિલીઝ થઈ. દિલીપસાબ ડિરેકટરનાં કામમાં ખૂબ માથું મારે છે એવી હવા ઈન્ડસ્ટ્રીમાં ફેલાઈ ચૂકી હતી. રમેશ સિપ્પીના મનમાં ફફડાટ હતો કે, દિલીપકુમાર ધારો કે મને એમ કહી દે કે ભાઈ, તું જે કંઈ શૂટિંગ કરી રહૃાો છે એમાં મને ગરબડ લાગે છે, તું બધું નવેસરથી શૂટ કર, તો હાલત ખરાબ થઈ જાય. સલીમ ખાન અને પ્રોડયુસર મુશીર ભાઈ જઈને દિલીપાકુમારને મળ્યા. 'શકિત'ની વાર્તા સંભળાવીને કહૃાું કે 'સર, આ તમારા લેવલનો રોલ છે. ડિરેકટર પણ કાબેલ છે પણ એને ડર છે કે, તમે ફિલ્મમાં વધારે પડતા ઈન્વોલ્વ થઈ જાઓ છો.' દિલીપ કુમાર કહે છે, 'ના ના, એવું કશું નથી. ડિરેકટરને કહો કે, એવી કશી ચિંતા ન કરે. મને પોતાને ફિલ્મના કામકાજમાં ઓવર-ઈન્વોલ્વ થવું ગમતું નથી. એનાથી ઊલટાનું મારા પર્ફોર્મન્સ પર જ માઠી અસર થાય છે.'
સલીમસાહેબે આ વાત રમેશ સિપ્પી સુધી પહોંચાડી. રમેશ સિપ્પીને હાશ થઈ. દિલીપ કુમારને સાઈન કરી લેવામાં આવ્યા. ફિલ્મમાં ત્રણ જ મુખ્ય પાત્રો છે. ડીસીપી અશ્વિનીકુમાર અત્યંત પ્રામાણિક પોલીસ ઓફિસર છે. એમનો દીકરો વિજય નાનો હતો ત્યારે ગુંડાઓએ અપહરણ કરેલું બાપે તે વખતે દીકરા કરતાં ફરજને વધારે મહત્ત્વ આપ્યું હતું. માસૂમ દીકરાના મનમાં આ વાત બેસી ગઈ. એ મોટો થતો ગયો તેમ તેમ પિતા પ્રત્યેનો એનો રોષ ઘૂંટાતો ગયો. એ વિદ્રોહી બનીને આડી લાઈને ચડી ગયો. ઘરની સ્ત્રી પાસે બન્ને જિદ્દી પુરુષોના ગુંચવાયેલા સંબંધને અસહાય બનીને જોયા કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

ડીસીપી અશ્વિનીકુમાર (દિલીપ સાહેબ)નું પાત્ર એટલું પાવરફુલ હતું કે, એમની સામે દીકરાનું કિરદાર સહેજ ઝાંખુ પડી જતું હતું. રમેશ સિપ્પીએ શરૂઆતમાં દીકરાના રોલ માટે કોઈ નવા હીરોને લેવાનું વિચાર્યું. અમિતાભનું નામ મનમાં જરૂર આવ્યું હતું પણ સવાલ એ હતો કે, આવડો મોટો સુપરસ્ટાર મેઈન હીરોને બદલે સેકન્ડ લીડ શા માટે સ્વીકારે. એક નવા એકટરનું ઓડિશન સુધ્ધાં લેવામાં આવ્યું, પણ વિજયના પાત્રમાં જે તીવ્રતા હતી એ તે ઊપસાવી શકતો નહોતો. દરમિયાન અમિતાભના કાને વાત પડી કે,રમેશ સિપ્પી દિલીપસાહેબના દીકરાના રોલ માટે કોઈ ઈન્ટેન્સ એકટરને શોધી રહૃાા છે. એમણે રમેશને કહૃાું, 'ભાઈ, તને હું કેમ યાદ આવતો નથી? હું શું કામ તારી ફિલ્મમાં નથી?'
અમિતાભ સામેથી ફિલ્મમાં રસ લેતા હોય તો એના કરતાં રૂડું બીજું શું હોઈ શકે. રમેશ સિપ્પીએ નિર્ણય લીધો કે, દિલીપસાહેબ અને અમિતાભ બચ્ચન બન્નેને એક સાથે ફિલ્મનું નરેશન આપવું (એટલે કે અત્યંત વિસ્તારથી આખી વાર્તા કહી સંભળાવવી). રમેશ સિપ્પીએ એ વખતે જ બિગ બીને સમજાવ્યું હતું કે, તમારા રોલમાં બહેલાવીને પેશ કરી શકાય એવાં તત્ત્વો ઓછાં છે. અમિતાભને સ્ક્રિપ્ટ બહુ જ ગમી ગઈ. તેઓ નાનપણથી દિલીપસાહેબના ફેન હતા. એમની સાથે કામ કરવાની શકયતા માત્રથી તેઓ એકસાઈટેડ હતા.
રાખી પણ દિલીપ કુમાર સાથે કામ કરવા ઉત્સુક હતાં. તકલીફ એ હતી કે, એ ઓલરેડી કેટલીય ફિલ્મોમાં અમિતાભની હિરોઈન રહી ચુકયાં હતાં. બચ્ચનની પ્રેમિકા બનતી નાયિકા ઓચિંતા બચ્ચનની મા બનીને પેશ થાય તો કેવું લાગે? જે વર્ષે 'શકિત' આવી ગઇ એ જ વર્ષે 'બરસાત કી એક રાત' અને 'બેમિસાલ' પણ રિલીઝ થઈ હતી અને આ બન્નેમાં અમિતાભ-રાખી રોમેન્ટિક જોડી હતી! રાખી જાણતાં હતાં કે, 'શકિત' પછી એની લીડ હિરોઈન તરીકેની કરીઅર ખતમ થઈ જવાની, પણ તેઓ ગણતરીપૂર્વકનું જોખમ લેવાં તૈયાર હતાં.

બાય ધ વે, 'શકિત' ૧૯૮૨માં રિલીઝ થઈ ત્યારે રમેશ સિપ્પી અને રાખી બન્ને ૩૫ વર્ષનાં હતાં, અમિતાભ ૪૦ વર્ષનાં હતાં અને દિલીપ કુમાર ૬૦ વર્ષનાં. ટીમમાં સૌથી નાનાં સ્મિતા પાટિલ હતાં (૨૭ વર્ષ), જેણે આજથી ત્રણ દાયકા પહેલાં બનેલી આ ફિલ્મમાં અમિતાભની લિવ-ઈન ગર્લફ્રેન્ડનું નાનું પાત્ર ભજવેલું!
ટીમ રેડી થઈ ગઈ. મુહૂર્તનો દિવસ આવ્યો. હેલિકોપ્ટર મુંબઈના જૂહુ બીચ પર આવે છે, એમાંથી દિલીપ કુમાર ઉતરે છે અને પોતાની રાહ જોઈ રહેલા અમિતાભને મળે છે એવો શોટ હતો. એક પણ ડાયલોગ નહીં, કેવળ ચહેરાના હાવભાવથી લાગણી વ્યકત કરવાની હતી. આખું યુનિટ હાજર હતું. બીચ પર કેટલાય લોકો શૂટિંગ જોવા ટોળે વળેલા.
ધીમે ધીમે દિલીપ કુમારને યુવા ડિરેકટર સાથે ફાવટ આવતી ગઈ. એક-બે વાર રમેશ સિપ્પીના ખભે હાથ મૂકીને 'આના બદલે આપણે આ સીન આ રીતે કરીએ તો કેવું?' એમ કહીને સૂચન પણ આપ્યાં. રમેશ સિપ્પીએ શાંતિથી સાંભળ્યું. પછી સમજાવ્યું કે, સર આ રીતે તો મેં વિચાર્યું જ નહોતું, પણ આમાં તકલીફ એટલી જ છે કે, જો આવું કરીશું તો તમારા પાત્રનો જે સૂર છે તે હલી જશે. દિલીપ કુમારના ગળે વાત ઉતરી ગઈ. એમણે તરત કહૃાું કે, ના- ના તું બરાબર કહે છે, આપણે તારી રીતે જ સીન કરીશું.
'શકિત'માં કેટલાંય યાદગાર દશ્યો છે. એક સીન રાખીનાં મૃત્યુ પછીનો છે. એનો મૃતદેહ પડયો છે. અમિતાભને જેલમાંથી મરેલી માનાં અંતિમ દર્શન માટે લાવવામાં આવે છે. દિલીપ કુમાર તૂટી ચુકયા છે. દિવાલને ટેકે નિમાણા થઈને બેઠા છે. બાપ અને દીકરા વચ્ચે એક જ સેતુ હતો - માનો - અને હવે એ પણ રહૃાો નથી. દીકરાએ પોતાના સાવજ જેવા બાપને કદી આવી હાલતમાં જોયો નથી. એ બાપ પાસે જઈને બેસે છે, રડે છે, બાપના હાથ પર પોતાનો હાથ મૂકે છે. એકાદ-બે ક્ષણ માટે બાપ-દીકરાની નજર મળે છે. એ જ વખતે પોલીસ આવીને અમિતાભને લઈ જાય છે.
મૃત્યુ પહેલાં રાખી દીકરાને સમજાવવા એના ઘરે જાય છે તે સીન પણ સરસ છે. દીકરો પૈસાનો રૂઆબ છાંટે છે ત્યારે મા કહે છે, 'મૈં અભી ઈતની કમઝોર નહીં હૂં વિજય, કિ મૈં અપને પતિ કી ઈમાનદારી કા બોજ ન ઉઠા સકું.' સલીમ-જાવેદે લખેલી 'દીવાર'માં પણ આવા જ ઢાળની એક સિચ્યુએશન હતી, યાદ છે? નિરૂપા રોય ધનના મદમાં છકી ગયેલા દીકરા અમિતાભને સંભળાવી દે છે, 'અભી ઈતના અમીર નહીં હુઆ, બેટા, કિ તુમ અપની મા કો ખરીદ સકો.'

એક વાર ટીમ સેન્ટુર હોટલમાં હતી ત્યારે દિલીપકુમારે રમેશ સિપ્પીને કહેલું, 'મેં આ છોકરા (અમિતાભ) વિશે બહુ સાંભળ્યું હતું. મેં એની અમુક ફિલ્મો પણ જોઈ છે, પણ એની સાથે કામ કરતી વખતે મને સમજાય છે કે, શા માટે એની આટલી બોલબાલા છે. આ માણસ બહુ જ મહેનતુ છે ડિસીપ્લીનવાળો છે અને ખાસ તો એનામાં ટેકિનકની સમજ છે. બહુ દાદુ એકટર છે એ. જોકે એ કેેમેરા માટે એકિટંગ કરે છે. મારૂ એવું છે કે, હું કયારેક સીનમાં વહી જાઉં છું. મને વધારે મોકળાશ જોઈએ, આઝાદી જોઈએ. હું સતત કેમેરા અને લાઈટ અને માર્કિંગ્સને ધ્યાનમાં રાખીને સીન ન કરી શકું. મારે પહેલાં સીન ઈન્સિટિંકટ વડે ફીલ કરવો પડે અને પછી હું રિએકટ કરી શકું. અમિતાભ આ બધું સમજે છે, પણ એ તગડું હોમવર્ક પણ કરે છે. એના દિમાગમાં બધું પહેલેથી સ્પષ્ટ હોય છે. આથી શૂટિંગ વખતે એ કેમેરા એંગલ્સ માટે એકદમ સભાન હોય છે અને તેથી સહેજ પણ ટેકિનકલ ભુલ કર્યા વગર શોટ આપી શકે છે. અત્યારે એ જે ઊંચાઈ સુધી પહોંચી શકયો છે એનું આ જ તો કારણ છે.'
દિલીપ કુમારના શબ્દો જ અમિતાભ માટે ઓસ્કર અવોર્ડ કરતાં કમ નથી. જોકે 'શકિત' રિલીઝ થયા પછી ફિલ્મ રિવ્યુઅરોએ અમિતાભ કરતાં વધારે દિલીપ કુમારને વખાણ્યા ત્યારે ગરબડ થઈ ગઈ હતી. એક રિવ્યુઅરે લખી નાખ્યું કે, દિલીપસાહેબ અમિતાભને બ્રેકફાસ્ટમાં કાચેકાચા ખાઈ ગયા! કોઈએ એવું લખ્યું કે, યે તો હોના હી થા. દિલીપ કુમાર કા પલડા ભારી હો ગયા. અમિતાભનું અપસેટ થઈ ગયા. એમને લાગ્યું કે, એમના કિરદારને પૂરતો ન્યાય નથી મળ્યો. ઈવન સલીમ-જાવેદે કબૂલ્યું કે, અમે અમિતાભનું પાત્ર દિલીપ કુમાર જેટલું સ્ટ્રોન્ગ બનાવવામાં નિષ્ફળ ગયા છીએ. તેમણે એવુંય કહ્યું કે અમિતાભને બદલે બીજો કોઈ હીરો હોત તો ફિલ્મ બોકસઓફિસ પર કદાચ વધારે ચાલી હોત. ખુદ રમેશ સિપ્પીએ એક મુલાકાતમાં કહૃાું છે કે, ફિલ્મ રિલીઝ થઈ પછી ટીમમાં થોડા સમય માટે ટેન્શન થઈ ગયું હતું. જે બાકી હતું તે ફિલ્મફેર અવોર્ડ્ઝે પૂરૂ કર્યું. બીજા વર્ષે અમિતાભ ત્રણ ફિલ્મો માટે બેસ્ટ એકટર કેટેગરીમાં નોમિનેટ થયા હતા - 'બેમિસાલ', 'નમકહરામ' અને 'શકિત', પણ અવોર્ડ તાણી ગયા દિલીપ કુમાર. ખેર, ધીમે ધીમે મામલો થાળે પડતો ગયો. વાસ્તવમાં અમિતાભને ફિલ્મ સામે નહીં, પણ વિવેચકોએ જે રીતે એમના રોલને નબળો ગણાવ્યો તેની સામે વાંધો હતો. 'શક્તિ'માં અમિતાભનો અભિનય એમના સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સીસમાં સ્થાન પામે છે અને આ ફિલ્મ, અફકોર્સ, આજે કલાસિક ગણાય છે.
લેખ વાંચીને ફિલ્મ જોવાનું મન થઈ ગયું હોય તો જાણી લો કે યુટ્યુબ પર આખી ફિલ્મ અવેલેબલ છે. જોઈ કાઢો. 
0 0 0