Monday, June 25, 2018

હે ભગવાન!


સંદેશ - સંસ્કાર પૂર્તિ - તારીખ 24 જૂન 2018 

મલ્ટિપ્લેક્સ                   

સત્ય કલ્પના કરતાંય વધારે વિચિત્ર, ભયાવહ અને પીડાદાયી હોઈ શકે છે. ઓશો રજનીશના જીવનના એક વિવાદાસ્પદ પ્રકરણની છણાવટ કરતી 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' નામની ડોક્યુ-સિરીઝમાં હબકી જવાય, આંખો પહોળી થઈ જાય એવી ઘટનાઓ જોતી વખતે આપણને થાય કે આ બધું શું ખરેખર બન્યું હતુંઆવું બધું વાસ્તવમાં બનવું શક્ય છે?




તાજેતરમાં દુનિયાભરમાં જબરદસ્ત ગાજેલી કોઈ એક ડોક્યુમેન્ટરીનું નામ લેવાનું હોય તો તે કઈ હોઈ શકે? આનો જવાબ એટલો બધો સ્પષ્ટ છે કે માથું ખંજવાળવાનો કે વિચારવા બેસવાની જરૂર જ નથી. આ ડોક્યુમેન્ટરી છે, 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી', જે નેટફ્લિક્સ પર ત્રણેક મહિના પહેલાં મૂકાઈ. ડોક્યુમેન્ટરી શબ્દ કાને પડે એટલે અસંખ્ય લોકો માટે આજની તારીખે ય કંટાળજનક, નકરી માહિતીનો ઢગલો કરતું શુષ્ક જોણું એવું સમીકરણ ઊપસે છે. આવું માનનારાઓએ તાત્કાલિક આ શ્રેણી જોઈ કાઢવી જોઈએ. ડોક્યુમેન્ટરીની આખી ઇમેજ બદલી જશે.

ઓશો હજુ ભગવાન રજનીશ હતા ત્યારે, 1980ના દાયકામાં, અમેરિકાના ઓરેગોન રાજ્યની એક ઉજ્જડ જગ્યાએ એમના અનુયાયીઓએ રજનીશપુરમ નામની આખેઆખી ટાઉનશિપ ઊભી કરી હતી. આ ટાઉનશિપમાં મેડિટેશન હોલ હતો, કતારબદ્ધ રહેઠાણો હતાં, રેસ્ટોરાંઓ હતી, લેબોરેટરી-કમ-રિસર્ચ સેન્ટર હતું, પ્રાઇવેટ ડેમ હતું અને એક હવાઇપટ્ટી પણ હતી જેના પરથી પ્લેનો ટેક-ઓફ અને લેન્ડિંગ કરતાં હતાં. ઓશો રજનીશના અનુયાયીઓમાં પશ્ર્ચિમના કૂડીબંધ રિચ, ફેમસ અને ઇન્ટેલિજન્ટ લોકોનો સમાવેશ થતો હતો. સુપર ક્વોલિફાઇડ અને પ્રતિભાશાળી લોકો જ્યારે એકઠા થઈને સપનોં કા નગર ઊભું કરે ત્યારે એમાં શી કમી હોય!

રજનીશ 'ન્યુ મેન' એટલે કે આંતરિક સમૃદ્ધિથી ભરપૂર એવા મોડર્ન મનુષ્યોનો આખો સમુદાય વિકસાવવા માગતા હતા. તે ન્યાયે રજનીશપુરમમાં ખરેખર તો મૈત્રી, મહોબ્બત, કરુણા, સદભાવના અને આઝાદીની આબોહવા ઊભી થવી જોઈતી હતી. શરૂઆતમાં એવું વાતાવરણ જામ્યું પણ ખરું, પણ ધીમે ધીમે માહોલ કલ્પી ન શકાય એટલી હદે બદલાતો ગયો. સેક્સ કલ્ટ તરીકે ઓળખાતા આ સમુદાયના લાલ વસ્ત્રધારી સંન્યાસીઓ યા તો રજનીશીઓમાંથી કેટલાય લોકો કાનૂની કેસમાં સંડોવાયા. આક્ષેપો અને અપરાધો પણ કેવા કેવા. સેમી-ઓટોમેટિક હથિયારો ધરાવવા, પાણીમાં ઝેરીલાં તત્ત્વો ભેળવીને પાડોશમાં આવેલી વસતીને ખતમ કરી નાખવાનો કારસો રચવો, માણસને મારે નહીં તો કમસે કમ માંદા પાડી નાખે એવી ભયંકર મિલાવટ ખાદ્ય પદાર્થોમાં કરવી (આ કુચેષ્ટા માટે  અમેરિકાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય થયો ન હોય તેવો 'બાયો-કેમિકલ ટેરરિસ્ટ અટેક' એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે), ઓરેગોન રાજ્યના યુએસ અટર્નીની હત્યાનો પ્રયાસ કરવો, સ્થાનિક ચૂંટણી મેનિપ્યુલેટ કરવી વગેરે.



આ ક્યા પ્રકારની આધ્યાત્મિકતા હતી? આ કેવો ધર્મ હતો? રજનીશે મા આનંદ શીલા નામની પોતાની અતિ વિચક્ષણ ભક્તાણીને શી રીતે આટલી બધી સત્તા આપી દીધી? પ્રતિપ્રશ્ન એ પણ છે કે શું સંન્યાસીઓ વિરુદ્ધ થયેલા આ આક્ષેપ કે કાનૂની કારવાઈ ખરેખર વ્યાજબી હતાં? કે પછી, અમેરિકન સત્તાવાળાઓ રજનીશ અને એમના અનુયાયીઓની પાછળ પડી ગયા હતા? શું તેઓ યેન કેન પ્રકારણે રજનીશ અને એમના કાફલાને અમેરિકામાંથી ભગાડી મૂકવા માગતા હતા (જેમાં તેઓ સફળ પણ થયા)?

ડોક્યુમેન્ટરીમાં જોન્સટાઉન ટ્રેજેડીનો ઉલ્લેખ વારંવાર થાય છે. જોન્સટાઉન નામના અમેરિકન નગરમાં થયેલી ભયાનક કરુણાંતિકા અમેરિકાની સામૂહિક જનચેતનામાં સજ્જડપણે અંકિત થયેલી છે. જોન્સટાઉનનો ઘટનાક્રમ 1978માં બનેલો, રજનીશપુરમનો ફિયાસ્કો થયો એના થોડાંક જ વર્ષ પહેલાં. બન્યું હતું એવું કે જિમ જોન્સ નામનો એક આધ્યાત્મિક ગુરુ સેંકડો અનુયાયીઓ ધરાવતો હતો. એની દોરવણી હેઠળ અનુયાયીઓને એકસાથે ઝેરી સાઇનાઇડ અપાયું. આને લીધે બસ્સો બાળકો સહિત કુલ નવસો કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યો. 'વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ' ડોક્યુ-સિરીઝ જોઈને ખાસ કરીને અમેરિકનોને ઝટકો એ વાતનો લાગ્યો કે જોન્સટાઉનમાં જિમ જોન્સ હતો, તો ઓરેગોનમાં ભગવાન રજનીશ હતા. બન્નેની પાછલ એમના ભક્તો પાગલ હતા. રજનીશપુરમવાળા કિસ્સમાં પણ પોઇઝનિંગનો પ્રયાસ થયો હતો, જે સદભાગ્યે સફળ નહોતો નીવડ્યો. આ સિવાય પણ બીજા કેટલાંય સંગીન અપરાધો થયેલાં. આટઆટલું થયેલું તેમ છતાં અમેરિકા રજનીશપુરમનો આવડો મોટો કાંડ ભુલી કેવી રીતે ગયું?    

'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' નામની આ અંગ્રેજી ડોક્યુમેન્ટરીમાં જુદા જુદા મુદ્દાઓની એવી ગજબનાક શૈલીથી છણાવટ થઈ છે કે જોનારા દંગ થઈ જાય. કહે છેને કે સત્ય કલ્પના કરતાંય વધારે વિચિત્ર, વધારે ભયાવહ, વધારે પીડાદાયી હોઈ શકે છે. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' જોતી વખતે આપણને થાય કે આ બધું શું ખરેખર બન્યું હતું? આવું બનવું શક્ય છે ખરું? જવાબ એ છે કે હા, આ બધું જ બન્યું હતું. સ્ક્રીન પણ આપણે જે જોઈએ છીએ તે ડ્રામેટાઇઝેશન (નાટ્યસ્વરૂપ) નથી, પણ અસલી ઘટનાઓનું જેન્યુઇન ફૂટેજ છે. તે ઉપરાંત પડદા પર દેખાતા લોકો અસલી છે જે કેમેરા સામે આવીને પોતપોતાની કેફિયત સુણાવી રહ્યા છે.

જ્યારથી ડિજિટલ એન્ટરટેઇનમેન્ટની બોલબોલા વધી છે ત્યારથી 'બિન્જ વોચિંગ' નામનો શબ્દપ્રયોગ ખાસ્સો વપરાવા લાગ્યો છે. બિન્જીંગ એટલે આંકરાતિયાની માફક ખોરાક પર તૂટી પડવું. બિન્જ વોચિંગ એટલે સ્ક્રીન સામે ખોડાઈને ગાંડાની જેમ કલાકોના કલાકો સુધી શોના એક પછી એક એપિસોડ્સ સળંગ જોઈ કાઢવા તે. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી'માં છ એપિસોડ છે. સરેરાશ એક-એક કલાકના છ ભાગ. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' સિરીઝ એટલી હદે રોમાંચક, આઘાતજનક, રસાળ, અંદરથી હલાવી નાખે એવી, વિચારતા કરી મૂકે એવી અને મનોરંજક છે કે દુનિયાભરના ઓડિયન્સે આ સિરીઝ માત્ર જોઈ નહીં, બલ્કે એનું રીતસર બિન્જ-વોચિંગ કર્યું! અરે, એક ફિલ્મ ફેસ્ટિવલમાં તો તમામ એપિસોડ્સનું સળંગ સ્ક્રીનિંગ થયું હતું. આ એક જોખમ હતું. છ-છ કલાક સુધી ડોક્યુમેન્ટરી જોવા કોણ બેસે? પણ ઓડિયન્સ વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રીમાં એટલી હદે રમમાણ થઈ ગયું હતું કે ડોક્યુમેન્ટરીનો ધી એન્ડ ન આવે ત્યાં સુધી સૌ સજ્જડ બેસી રહેલા. 

Osho Rajneesh with Maa Anand Sheela


અદભૂત મેકિંગ છે આ સિરીઝનું. ઇન્ટેવેસ્ટિગેટિવ જર્નલિઝમનું આ ઉત્તમ ઉદાહરણ છે. સિરીઝ જોતી વખતે આપણને થાય કે આ લોકોએ કેટલી બધી મહેનત કરી છે યોગ્ય ફૂટેજ શોધવાની, લોકોના ઇન્ટરવ્યુઝ કરીને એમની પાસેથી વાતો કઢાવવાની, સઘળી સામગ્રીને એક રિધમમાં ગોઠવવાની અને સમગ્ર પેકેજિંગ કરવાની. મજાની વાત એ છે કે ડોક્યુમેન્ટરીના મેકરો કોઈ ચુકાદો તોળતા નથી. રજનીશીઓ સાચા હતા કે ખોટા હતા કે પછી સ્થાનિક અમેરિકનો તેમજ સત્તાધારીઓ સાચા હતા કે ખોટા હતા તે વિશેનું કોઈ મોરલ જજમેન્ટ આપતા નથી. તેઓ ફક્ત આપણી સામે હકીકતો પેશ કરે છે, આખી પરિસ્થિતિની સંકુલતામાં સહેજ પણ પાણી નાખ્યા વગર, તેને શક્ય એટલી રસાળ બનાવીને આપણી સામે રજૂ કરે છે અને જાણે આપણને કહે છે કે જે છે તે આ છે. હવે તમે વિચારો અને તમે નક્કી કરો કે કોણ કેટલું સાચું છે કે ખોટું છે!

આ ડોક્યુ-સિરીઝ બનાવનાર મેક્લેઇન વે અને ચેપમેન વે સગા ભાઈઓ છે. કેવી રીતે આવી અફલાતૂન અને મેચ્યોર્ડ ડોક્યુ-સિરીઝ બનાવી આ પચ્ચીસ-ત્રીસ વર્ષના જુવાનિયાઓએ? એમને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડ્યો આ શ્રેણી બનાવતી વખતે? ભૂતપૂર્વ રજનીશપુરમવાસીઓ અને ઓરેગોનવાસીઓના મોઢેથી એમણે કેવી રીતે આ બધી સ્ફોટક વાતો કઢાવી? આના જવાબ આવતા રવિવારે.   
 
0 0 0 

તા.ક. 

નેટફ્લિક્સ એક્ઝેક્ટલી શું છે તે હજુ ઘણા લોકો જાણતા નથી. સાવ સાદી ભાષામાં કહીએ તો, નેટફ્લિક્સ એક વેબસાઇટ અથવા ઓનલાઇન વિડીયો લાઇબ્રેરી છે, જેમાં દુનિયાભરની સેંકડો ફિલ્મો, ટીવી શોઝ, રજનીશ વિશેની આ ડોક્યુ-સિરીઝ જેવી બીજી કેટલીય ડોક્મેયુન્ટરીઓ વગેરેનો આખો ભંડાર છે. તમારા સમયે અને સગવડે આ ડિજિટલ મનોરંજન માણવા માટે નેટફ્લિક્સનું લવાજમ ભરવું પડે. ભારતમાં હાલ નેટફ્લિક્સનું બેેઝિક  સબસ્ક્રિપ્શન માસિક 500 રુપિયા છે.  


0 0 0 

Thursday, June 14, 2018

રો, આઇએસઆઇ અને પુસ્તકઃ તો આમાં નવું શું છે?


સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 13 જૂન 2018 

ટેક ઓફ                      

અમેરિકનોએ પાકિસ્તાનમાં ઘૂસીને લાદેનને ખતમ કરી નાખ્યો તે પછી પણ પાકિસ્તાની સત્તાધારીઓએ જૂની રેકર્ડ વગાડવાનું છોડ્યું નહોતું. આઇએસઆઇના ભૂતપૂર્વ વડા અસદ દુરાનીએ પાકિસ્તાનના આ જૂઠના ફૂગ્ગામાં ટાંચણી મારી દીધી છે.



વાત ચાલી રહી હતી 'ધ સ્પાય ક્રોનિકલ્સઃ રો, આઈએસઆઈ એન્ડ ધ ઇલ્યુઝન ઓફ પીસ' નામનાં અંગ્રેજી પુસ્તકની. એ.એસ. દુલાટ અને અસદ દુરાની પુસ્તકના મુખ્ય લેખકો છે. એ. એસ. દુલાટ એટલે ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ (રો)ના ભૂતપૂર્વ વડા અને અસદ દુરાની એટલે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ના ભૂતપૂર્વ વડા. પુસ્તકના ત્રીજા લેખક પણ છે, આદિત્ય સિંહા, જેમણે આ બન્ને સુપર જાસૂસોને સામસામા બેસાડીને કંઈકેટલાય વિષયો પર ચર્ચા કરી અને પછી જે કંઈ વાતચીત થઈ એના આધારે આ પુસ્તક તૈયાર કર્યું.

સ્વાભાવિક છે કે રો, આઇએસઆઇ કે બીજી કોઈ પણ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા પાસે પોતપોતાના દેશની અત્યંત ખાનગી અને સ્ફોટક માહિતી હોવાની. કાયદો કહે છે કે તમે ગુપ્તચર સંસ્થામાંથી રિટાયર થઈ ગયા હો તો પણ ચુપ રહેવાનું. તમારા કાર્યકાળ દરમિયાન તમને જે નેશનલ સિક્રેટ્સની જાણ થઈ હતી અથવા તો દેશની સુરક્ષા કાજે તમે ખુદ જે રહસ્યનાં જાળાં ઊભાં કર્યાં હતાં તે સઘળી વાતો ક્યારેય બહાર આવવી ન જોઈએ. ફેર ઇનફ. આ સિક્રેટ એક્ટ હેઠળ જે આદેશો અપાયા છે તે સમજી શકાય એવા છે. અલબત્ત, રોના ઘણા ભૂતપૂર્વ અધિકારીઓએ અગાઉ પુસ્તકો લખ્યાં જ છે, પણ તે સિક્રેટ એક્ટના દાયરામાં રહીને. એ. એસ. દુલાટ 18 વર્ષ પહેલાં અને અસદ દુરાની 26 વર્ષ પહેલાં અનુક્રમે રૌ તેમજ આઇએસઆઇમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. નિવૃત્તિ પછી પણ તેઓ કોઈક ને કોઈક સરકારી સ્તરે સક્રિય રહ્યા છે અને શાંતિદૂત બનીને ટ્રેક-ટુ ડિપ્લોમસી હેઠળ ભારત-પાકિસ્તાન વચ્ચે સુમેળ જળવાય તે માટેની વાટાઘાટો કરતા રહ્યા છે.

દુનિયાની સૌથી મોટી પ્રકાશનસંસ્થાઓમાં સ્થાન પામતી હાર્પર કોલિન્સની ભારતીય શાખાએ ભારત-પાકિસ્તાન જેવા દુશ્મન દેશોના બે સુપર જાસૂસોએ સંયુક્તપણે લખેલું આ 'સ્પાય ક્રોનિકલ્સઃ રો, સ્પાય એન્ડ ધ ઇલ્યુઝન ઓફ પીસ' પુસ્તક તાજેતરમાં છાપ્યું ને તે સાથે જ પાકિસ્તાનામાં ધમાલ મચી ગઈ. જુદા જુદા રાજકીય પક્ષોમાંથી અવાજ ઉઠ્યાઃ દુરાનીએ આ શું માંડ્યું છે? રોના એક્સ-ચીફ સાથે મળીને આખેઆખું પુસ્તક લખી નાખ્યું ને વટાણા વેરી નાખ્યા? પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે માગણી કરી કે નેશનલ સિક્યોરિટી કમિટીની ઇમરજન્સી મિટીંગ બોલાવો ને તપાસ કરો કે આ બધું શું ચાલી રહ્યું છે? ઇમરજન્સી મિટીંગ બોલાવાઈ ને તે પછી દુરાનીને પાકિસ્તાની મિલિટરીના હેડક્વાર્ટર પર તેડાવીને એમની કડક ઊલટતપાસ થઈ. પાકિસ્તાની આર્મીએ કહ્યું કે કાયદા પ્રમાણે દુરાનીએ આ પુસ્તક છપાવતાં પહેલાં લાગતાવળગતા અધિકારીઓ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જોઈતું હતું. પાકિસ્તાનના વર્તમાન સાહેબો આખા પુસ્તકનું લખાણ પહેલાં વાંચે અને આમાં કશું વાંધાજનક નથી એવું લિખિત આપે પછી જ તેઓ પુસ્તક છપાવી શકે. દુરાનીએ આવું કશું કર્યા વગર સીધેસીધું પુસ્તક છપાવી નાખીને કાનૂનનો ઉલ્લંઘન કરી નાખ્યો. પુસ્તકમાં દુરાનીએ જે દાવા કર્યા છે એમાં કેટલું તથ્ય છે એની છાનબીન કરવા પાકિસ્તાની આર્મીએ કોર્ટ ઇન્કવાયરી કરાવવાનો આદેશ આપ્યો. દુરાનીનું નામ નો-ફ્લાય લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યું. આનો અર્થ એ થયો કે દુરાની હવે પ્લેનમાં બેસીને પાકિસ્તાનની બહાર નહીં જઈ શકે.



દુરાનીએ એવું તે શું લખ્યું કે પુસ્તકમાં કે જેનાથી પાકિસ્તાની આકાઓના પેટમાં તેલ રેડાયું? સૌથી પહેલાં તો, એક સમયે દુનિયાના સૌથી ખતરનાક ટેરરિસ્ટ ગણાતા ઓસામા બિન લાદેન વિશેની વાત. પાકિસ્તાની સત્તાધારીઓ આજ સુધી એક જ પિપૂડી વગાડી રહ્યા છે કે અલ કાયદા ટેરરિસ્ટ ગ્રૂપનો આ બિગ બોસ પાકિસ્તાનના અબોટાબાદમાં છૂપાયો હતો એની અમને ખબર જ નહોતી? અમેરિકનોએ પાકિસ્તાનમાં ઘૂસીને લાદેનને ખતમ કરી નાખ્યો તે પછી પણ પાકિસ્તાને જૂની રેકર્ડ વગાડવાનું છોડ્યું નહોતું. દુરાનીસાહેબે પાકિસ્તાનના આ જૂઠના ફૂગ્ગામાં ટાંચણી મારી દીધી છે. આ પુસ્તકમાં એમણે કહ્યું છે કે પાકિસ્તાની સત્તાધારીઓને ખબર હતી કે લાદેન એક્ઝેક્ટલી ક્યાં લપાયેલો છે. ઇન ફેક્ટ, પાકિસ્તાને અમેરિકા સાથે ડીલ કરી હતી. પાકિસ્તાની સત્તાધારીઓના સહકારથી જ અમેરિકા પાકિસ્તાની સરહદમાં ઘૂસીને લાદેનને ખતમ કરવાનું ઓપરેશન સફળતાપૂર્વક કરી શક્યું.

સવાલ એ થાય કે આ કબૂલાત કરવામાં પાકિસ્તાની સાહેબોને શી તકલીફ છે? આનો જવાબ એ છે કે પાકિસ્તાની પ્રજાનો એક વર્ગ લાદેનને હીરો ગણે છે? અમેરિકાના ટ્વિન ટાવર ઉડાવી દઈને અને ચારે કોર આતંક ફેલાવીને લાદેને જાણે મહાન કાર્ય કરી નાખ્યું હોય એવું તેઓ માને છે. પાકિસ્તાની સત્તાવાળાઓ આ લોકોને નારાજ કરવા માગતા નથી એટલે આજે ય હાસ્યાસ્પદ ઉધામા કરી રહ્યા છે.  

બીજી વાત દુરાનીસાહેબે ખૂબ ગાજેલા ભારતના રિટાયર્ડ નેવી ઓફિસર કુલભૂષણ જાધવની અટકાયત વિશે કરી. પાકિસ્તાનીઓએ જાધવ પર એવો આક્ષેપ કરીને ધરપકડ કરી હતી કે તેઓ ભારતીય જાસૂસ છે અને એમણે બલૂચિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરી છે. અસદ દુરાનીએ પુસ્તકમાં કહ્યું છે કે જાન્યુઆરી 2016માં પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર આતંકવાદી હુમલો થયો હતો તેમાં પાકિસ્તાનનો હાથ છે એવો ભારતનો જે આક્ષેપ એની પ્રતિક્રિયારૂપે પાકિસ્તાન જાધવને પકડીને એનો બાજીના એક પત્તાની જેમ ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાનનો ભારતને અને દેશ-દુનિયાને એવો મેસેજ પહોંચાડવા માગે છે કે જો પાકિસ્તાનીઓએ પઠાણકોટ પર ટેરરિસ્ટ અટેક કર્યો છે એવું તમે માનતા હો તો સાંભળી લો કે ભારતીયો પણ કંઈ ઓછા નથી. ભારત પણ અમારા બલૂચિસ્તાન પ્રાંતમાં આ કુલભૂષણ જાધવ જેવો જાસૂસને ઘૂસાડીને આતંકવાદ ફેલાવે જ છેને! પુસ્તકમાં અસદ દુરાનીએ એવું પણ કહ્યું છે કે શરૂઆતથી જ પાકિસ્તાની સત્તાધારીઓ બલૂચિસ્તાનના મામલાને ખોટી રીતે હેન્ડલ કરતા આવ્યા છે.

પુસ્તકમાં દુરાની બીજા ઘણા વિષયો પર બોલ્યા છે - કાશ્મીર વિશે, હફિઝ સઈદ વિશે, મોદી વિશે, મોદીના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત દોવલ વિશે, ડોનાલ્ટ ટ્રમ્પ અને પુટિન વિશે, વગેરે. શું આ કોન્ટેન્ટને કારણે પુસ્તક જબરદસ્ત છે અને અનિવાર્યપણે અસાધારણ છે એવું કહી શકાય? ના. સુશાંત સરીન (ટીવી પર ડિબેટ્માં તેઓ નિયમિતપણે દેખાતા હોય છે) નામના પોલિટિકલ ઓબ્ઝર્વર અને લેખકે તો આ પુસ્તકનાં છોતરાં કાઢી નાખ્યાં છે. એમણે એક સમીક્ષાત્મક લેખમાં લખ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા વિખવાદનો જે લોકો બારીકાઈથી અભ્યાસ કરતા આવ્યા છે એમના માટે આ પુસ્તકમાં કશું જ નવું નથી. આ પુસ્તકથી તમને ભારત-પાકિસ્તાનના સંબંધો વિશે કોઈ નવો દષ્ટિકોણ પ્રાપ્ત થતો નથી. વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ચૂકેલા (અને એ રીતે આજના સંદર્ભમાં ઇર્રિલેવન્ટ એટલે કે અપ્રસ્તુત, નકામા બની ચુકેલા) દુલાટ અને દુરાની નામના આ બે લેખક-સજ્જનોએ આ પુસ્તકમાં ઇન્ટેલેક્યુઅલ માસ્ટરબેશન સિવાય બીજું કશું કર્યું નથી. લાદેન પાકિસ્તાનમાં ક્યાં છૂપાયો છે એની ત્યાંના સત્તાધારીઓને ખબર હતી કે પછી કુશભૂષણ જાધવને એ લોકો હાથો બનાવી રહ્યા છે એ બધું આપણે પહેલેથી જાણીએ જ છીએ. ઇન ફેક્ટ, આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન જાતજાતના ઉધામા શા માટે કરી રહ્યું છે. આમાં દુલાટ કે દુરાનીએ શું નવું કહી નાખ્યું?     


    
વેલ, સુશાંત સરીને જેવા અભ્યાસુને આ પુસ્તકની સામગ્રી વાસી લાગી શકે, પણ આમવાચકને આ બધું ઠીક ઠીક ઇન્ટરેસ્ટિંગ લાગશે એ તો નક્કી. રો અને આઇએસઆઇ જેવી ગુપ્તચર સંસ્થાઓની ગતિવિધિઓ, જુદા જુદા દેશોની સરકારો સાથેનું એમનું ઇન્ટરેકશન વગેરે જેવી બાબતોમાં રસ પડતો હોય તો 'ધ સ્પાય ક્રોનિકલ્સઃ રો, આઈએસઆઈ એન્ડ ધ ઇલ્યુઝન ઓફ પીસ'માંથી પસાર થવા જેવું છે.

o o o 

Wednesday, June 6, 2018

પરદા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાએગા


સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 8 જૂન 2018 

ટેક ઓફ                      

ભારત અને પાકિસ્તાન જેવા એકબીજાના જાની દુશ્મન ગણાતા દેશોની જાસૂસી સંસ્થાઓના ભૂતપૂર્વ સર્વોચ્ચ વડા ભેગા થઈને પુસ્તક લખે ત્યારે કેવું ગજબનું એક્સાઇટમેન્ટ પેદા થાય! તાજેતરમાં આવું એક પુસ્તક બહાર પડતાં પાકિસ્તાની સત્તાધારીઓ રાતાપીળા થઈ ગયા છે, કારણ કે...

Asad Durrani (left); (right) A.S. Dulat

જકાલ એક અંગ્રેજી પુસ્તક વિવાદાસ્પદ બન્યું છે. એનું શીર્ષક છે, 'ધ સ્પાય ક્રોનિકલ્સઃ રો, આઈએસઆઈ એન્ડ ધ ઇલ્યુઝન ઓફ પીસ'. પુસ્તકના મુખ્ય લેખકો છે, એ.એસ. દુલાટ અને અસદ દુરાની. એ. એસ. દુલાટ ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ (રો)ના વડા ચુક્યા છે, તો અસદ દુરાની પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ના ભૂતપૂર્વ વડા છે.

રો અને આઇએસએસ આ બન્ને અનુક્રમે ભારત-પાકિસ્તાનની પ્રમુખ ફોરેન ઇન્ટેલિજન્સ એજન્સી એટલે કે ગુપ્તચર સંસ્થા છે. અન્ય દેશોમાં ક્યાંય પણ ભારતને નુક્સાન કરી શકે એવી  શંકાસ્પદ હિલચાલ થઈ રહી હોય તો એની પર સતત ચાંપતી નજર રાખવી એ રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગનું મુખ્ય કામ. આ ઉપરાંત આતંકવાદ તેમજ વિદેશમાંથી થતી ઘૂસણખોરીને નાથવી, ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામની સલામતી સંભાળવી એ પણ રોના કાર્યક્ષેત્રના હિસ્સા છે. ભારતની રો, પાકિસ્તાનની આઇએસઆઇ, અમેરિકાની સીઆઇએ, ઈંગ્લેન્ડની એમઆઇસિક્સ, ઇઝરાયલની મોસાદ, અખંડ સોવિયેત રશિયાનું અસ્તિત્ત્વ હતું ત્યારે કેજીબી વગેરે જેવી વિશ્વની તમામ ઇન્ટેલિજન્સ એજન્સીઝનું મુખ્ય કર્તવ્ય એ છે કે પોતાના દેશને નુક્સાન પહોંચાડી શકે એવી કોઈ પણ ગતિવિધિ દુનિયાના કોઈ પણ ખૂણે ચાલતી હોય તો એ શ્વાનની જેમ સૂંઘી લેવાની, બાજની જેમ એના પર સતત નજર રાખવાની અને એને નિષ્ફળ બનાવવાની કોશિશ કરવાની.

કલ્પના કરો, ભારત અને પાકિસ્તાન જેવા એકબીજાના જાની દુશ્મન ગણાતા દેશોની ગુપ્ચતર સંસ્થાઓના ભૂતપૂર્વ સર્વોચ્ચ વડા ભેગા થઈને પુસ્તક લખે ત્યારે કેવું ગજબનું એક્સાઇટમેન્ટ પેદા થાય! એ.એસ. દુલાટ 1999-2000 દરમિયાન રિસર્ચ એન્ડ એનેલેસિસના ચીફ હતા. અસદ દુરાની 1990-1991 દરમિયાન આઇએસઆઇના વડા હતા. અનુક્રમે રો અને આઇએસઆઇમાં રિટાયર થયા પછી પણ તેઓ નિષ્ક્રિય નહોતા થયા. દુલાટસાહેબે 2000-04 દરમિયાન પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)માં કાશ્મીર મામલાના સલાહકાર તરીકે જવાબદારી નિભાવી હતી. એ જ પ્રમાણે અસદ દુરાનીને જર્મની અને સાઉદી એરેબિયા ખાતે પાકિસ્તાનના રાજદૂત તરીકે મોકલવામાં આવ્યા હતા. 

રો, આઇએસઆઇ કે બીજી કોઈ પણ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા પાસે દેખીતી રીતે જ પોતપોતાના દેશની અત્યંત ખાનગી અને સ્ફોટક માહિતી હોવાની. આમાં પોતાના દેશે જાસૂસોને ગુપ્ત રીતે ક્યા દેશોમાં શી રીતે ગોઠવ્યા છે, ન્યુક્લિયર શસ્ત્રોની શી સ્થિતિ છે, અન્ય દેશોની ગુપ્તચર સંસ્થાઓ અને સરકારો સાથે શી ખાનગી ગોઠવણ કરી છે વગેરે સહિતનું બધું જ આવી ગયું. રો અને આઇએસઆઇના વડાએ પોતપોતાના દેશના આ બધા ડાર્ક સિક્રેટ્સ સહેજ પણ લીક ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. એક દેશની ગુપ્તચર સંસ્થાના વડાને બીજા દેશની ગુપ્તચર સંસ્થાના વડા સાથે બોલવાના વહેવાર લગભગ હોતા નથી. જોકે છેલ્લાં બે દાયકા દરમિયાન રો અને આઇએસઆઇના ભૂતપૂર્વ વડા એકબીજા સાથે પ્રસંગોપાત બોલતા થયા છે.  ખાસ કરીને ટ્રેક-ટુ ડિપ્લોમસી હેઠળ.

બે દેશોના વડાપ્રધાન અને વિદેશપ્રધાન જેવા ટોપ લેવલના રાજકારણીઓ અને લશ્કરી વડા સામસામા બેસીને સીઝફાયર, શાંતિમંત્રણા, અમુક કરારો વગેરે જેવી બાબતો પર ચર્ચા કરે ને પછી જોઇન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડે તેને ટ્રેક-વન ડિપ્લોમસી કહેવાય. ટ્રેક-ટુ ડિપ્લોમસીમાં બન્ને દેશોના જુદાં જુદાં ક્ષેત્રોના એક્સપર્ટ્સ,  સામાજિક કાર્યકર્તાઓ, એનજીઓ ચલાવનારાઓ અને સમાજના અન્ય આગળ પડતા લોકો મળે, બેય દેશો વચ્ચે જે કોકડાં ગૂંચવાયેલાં છે તેનો કઈ રીતે નિકાલ આવી શકે તેમ છે, કઈ રીતે લડાઈઝઘડા ઓછા કરીને ભાઈચારાની ભાવના મજબૂત કરી શકાય તેમ છે તેના વિશે ચર્ચા કરે. એક દેશના લોકો બીજા દેશના સત્તાસ્થાને બિરાજેલા રાજકીય અધિકારીઓને મળે એવુંય બને. ટ્રેક-વન ડિપ્લોમસીની તુલનામાં દેખીતી રીતે જ ટ્રેક-ટુ ડિપ્લોમસીનું સ્વરૂપ દેખીતી રીતે જ અનૌપચારિક અને વધારે મોકળાશભર્યું હોવાનું. ટ્રેક-થ્રીમાં બન્ને દેશની આમજનતા એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે છે. ટ્રેક-ટુ અને ટ્રેક-થ્રી ડિપ્લોમસી હેઠળ સક્રિય થતી વ્યક્તિઓ પાસે રાજકીય કે વહીવટી સત્તા હોતી નથી, પણ તેઓ અપેક્ષા રાખે છે કે બન્ને દેશો વચ્ચે પ્રેમ અને શાંતિ જળવાઈ રહે તે માટે અમે જે સૂચવેલા ઉપાયો મોટાં માથાંઓ સાંભળે અને એમાંથી કમસે કમ અમુક બાબતોનો અમલ કરે.

ટ્રેક-ટુ ડિપ્લોમસી હેઠળ એકબીજા સાથે હળતીમળતી વ્યક્તિઓ માટે 'પીસનિક' શબ્દ વપરાય છે. પીસનિક એટલે સાદી ભાષામાં, શાંતિદૂત. ટીવી પર ડિબેટ્સમાં પીસનિક્સને ધીબેડતા અર્ણવ ગોસ્વામીને તમે જોયા હશે. (પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓ ઘૂસાડીને ત્રાહિમામ પોકારાવી રહ્યું છે ને તમે શાંતિનું કબૂતર બનીને, ચાંચમાં શાંતિસંદેશ પકડીને આ દુશ્મન દેશ સાથે ભાઇચારો કેળવવાની વાતો કરો છો?)



આપણે જે પુસ્તક વિશે વાત કરી રહ્યા છીએ એના બન્ને લેખકો, દુલાટ અને દુરાની, અનુક્રમે રો અને આઇએસઆઇના રિટાર્યડ ચીફ, ટ્રેક-ટુ ડિપ્લોમસીમાં ભાગ લેનારા પીસનિક્સ યા તો શાંતિદૂત છે. બન્નેએ સાથે મળીને જોઇન્ટ પ્રોજેક્ટ કર્યા છે, પેપરો (વિસ્તૃત નિબંધ પ્રકારનું લખાણ) પેશ કર્યા છે. 2011માં બર્લિનમાં યોજાયેલી પુગવોશ કોન્ફરન્સમાં એકેડેમિશિયનો અને નિષ્ણાતોએ ભેગા મળીને વૈશ્ર્વિક સલામતી વિશે ચર્ચાઓ કરી હતી. આ કોન્ફરન્સ બાદ દુરાટ અને દુરાનીએ સંયુક્તપણે ઇન્ટેલિજન્સ કો-ઓપરેશન વિષય પર એક પેપર લખ્યું હતું. ત્યાર બાદ 2013માં યુનિવર્સિટી ઓફ ઓટાવાએ આ જોડીનું પેપર પ્રકાશિત કર્યું હતું, જે કાશ્મીર વિશે હતું. ટૂંકમાં, એક સમયે સરકારી સ્તરે એકમેકના જાની દુશ્મન તરીકે વર્તતા આ મહાનુભાવો વચ્ચે હવે અંગત સ્તરે દોસ્તી છે. બન્નેની પત્નીઓને પણ એકબીજા સાથે સારું બને છે.  બન્નેને સૂચન થયું કે તમે બન્ને ઓલરેડી એકબીજા સાથે કમ્ફર્ટેબલ છો અને સાથે પેપરો પણ લખ્યાં છે તો ભેગા મળીને પુસ્તક કેમ લખતા નથી? આખી વાતમાં આદિત્ય સિંહા નામના દિલ્હીવાસી પત્રકાર-લેખક જોડાયા. નક્કી થયું કે ત્રણેયે મળવું, આદિત્ય સિંહા બન્નેને ભારત-પાકિસ્તાનના રાજકારણીઓ, વ્યૂહનીતિ, આતંકવાદ વગેરે જેવા કેટલાય વિષયો પર સવાલો પૂછે, બન્ને વિસ્તારપૂર્વક જવાબો આપે, સામસામી ચર્ચા કરે. આ બધું જ રેકોર્ડ થાય. પછી રેકોર્ડેડ પ્રશ્ર્નોત્તરીને કાગળ પર ઉતારવામાં આવે અને એનું વ્યવસ્થિત એડિટિંગ કરીને લિખિત સંવાદ સ્વરૂપનું પુસ્તક તૈયાર કરવામાં આવે. આ રીતે જોઈએ તો, દુલાટ અને દુલાનીએ પુસ્તક 'લખ્યું' છે એમ ન કહેવાય. પુસ્તકમાં જે કોન્ટેન્ટ છે તે તેઓ મૌખિક બોલ્યા છે.

2016-17માં ઇસ્તાંબુલ અને બેંગકોકમાં ટ્રેક-ટુ ડિપ્લોમસી હેઠળ કુલ ત્રણ કોન્ફરન્સ થઈ હતી. કોન્ફરન્સ પૂરી થાય એટલે હોટલના રૂમમાં ત્રણેય અડિંગો જમાવીને બેસે. શરાબની ચુસકીઓ વચ્ચે ચર્ચાઓ ચાલે. ત્યાર બાદ કાઠમંડુમાં પણ એકવાર ત્રિપુટીની મિટીંગ થઈ. રેકોર્ડેડ વાતચીતની શબ્દસંખ્યા 1.7 લાખ પર પહોંચી. એમાંથી અડધોઅડધ કોન્ટેન્ટ ઉડાડી દઈને, એને સુરેખ બનાવીને પુસ્તકમાં સમાવવામાં આવ્યું.   

કાયદો કહે છે કે તમે રો અને આઇએસઆઇ કક્ષાની ઇન્ટેલિજન્સ એજન્સીમાંથી રિટાયર્ડ થઈ ગયા હો તો એનો અર્થ એવો નથી કે તમને હવે વટાણાં વેરવાની છૂટ મળી ગઈ છે. તમારા પર સિક્રેટ એક્ટ આજીવન લાગુ પડવાનો છે. તમારા કાર્યકાળ દરમિયાન તમને જે નેશનલ સિક્રેટ્સની જાણ થઈ હતી કે સંવેદનશીલ માહિતી પ્રાપ્ત થઈ હતી તેના વિશે તમે કશું જ, ક્યારેય લખી-બોલી શકો નહીં. અલબત્ત, રો સહિતના ઇન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાઈ ચૂકેલા ઘણા ઉચ્ચ અધિકારીઓએ પછી પુસ્તકો લખ્યાં જ છે, પણ સાચવી સાચવીને, કાયદાનો ભંગ ન થાય તે રીતે.

દુશ્મન દેશોના બે સુપર જાસૂસોએ સંયુક્તપણે લખેલું 'સ્પાય ક્રોનિકલ્સઃ રો, સ્પાય એન્ડ ધ ઇલ્યુઝન ઓફ પીસ' પુસ્તક છપાયું. એના બુકલોન્ચમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણી હસ્તીઓ ઉપસ્થિત રહી. દુરાનીસાહેબને ભારત સરકારે વિઝા ન આપ્યો એટલે તેઓ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી ન શક્યા, પણ એમણે વિડીયો-મેસેજ મોકલીને પોતાની હાજરી જરૂર પૂરાવી. મેસેજમાં એમણે એવા મતલબની મજાક પણ કરી કે મને વિસા ન આપવા બદલ ભારત સરકારનો આભાર, કેમ કે જો હું આ બુક-લોન્ચ માટે આવ્યો હોત તો અહીં ઘરઆંગણે પાકિસ્તાની સત્તાધારીઓ મારા લોહી પી જાત!

અસદ દુરાનીના લોહી તો પણ પીવાયું જ. પુસ્તક બહાર પડતાંની સાથે જ પાકિસ્તાનના આકાઓએ દુરાનીને પૂછપરછ માટે બોલાવ્યા. એમના પર દેશની બહાર જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. દુરાનીએ પુસ્તકમાં પાકિસ્તાનનાં એવાં તો કેવાં રહસ્યો બહાર પાડી નાખ્યાં કે જેનાથી પાકિસ્તાની સત્તાધારીઓ રાતાપીળા થઈ ગયા? દુરાનીએ સિક્રેટ એક્ટનો એવું તે કેવુંક ભયંકર ઉલ્લંઘન કરી નાખ્યું? શું આ પુસ્તક ખરેખર એવું સ્ફોટક છે? કે પછી નામ બડે ઔર દર્શન ખોટે જેવો ઘાટ છે? આ સવાલોના જવાબ આવતા બુધવારે. 

0 0 0 

Sunday, June 3, 2018

આલિયામાં એવું તે શું છે?

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 3 જૂન 2018

મલ્ટિપ્લેક્સ                   

છ વર્ષની કારકિર્દી. કુલ દસ ફિલ્મો, જેમાંથી નવ બોક્સઓફિસ પર સફળ. ભુમિકાઓમાં ભરપૂર વૈવિધ્ય. ઓડિયન્સ, સમીક્ષકો અને ઇન્ડસ્ટ્રીના લોકો એમ સૌને પ્રીતિપાત્ર...  પોતાની ઉંમરના જ નહીં, ભલભલા સિનિયર કલાકારોને પણ ઇર્ષ્યાનો અટેક આવી જાય એવી સુપરડુપર આલિયાની કરીઅર છે.


ક કિસ્સો છે, જે આલિયા ભટ્ટ અને એના ફિલ્મમેકર ફાધર મહેશ ભટ્ટ ભારે ઉત્સાહથી અને આનંદપૂર્વક મિડીયાને મુલાકાત આપતી વખતે શેર કરતાં હોય છે. આલિયાની સૌથી પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' (2012) હિટ ઘોષિત થઈ એટલે મહેશ ભટ્ટે દીકરીનો ઓટોગ્રાફ માગ્યો હતો. આલિયાએ ભારે શાનથી પિતાજીને ઓટોગ્રાફ આપ્યો, જેમાં સહી કરતાં પહેલાં લખ્યું કે, 'થેન્કયુ પાપા ફોર નોટ હેલ્પિંગ મી એટ ઓલ' અર્થાત્ મને બિલકુલ મદદ ન કરવા બદલ તમારો આભાર, પપ્પા!

આ વાક્યનો સૂર રમતિયાળ પણ છે અને વ્યંગાત્મક પણ છે. મહેશ ભટ્ટ સ્વયં સફળ ડિરેક્ટર-પ્રોડ્યુસર-રાઇટર છે, ખુદનું બેનર છે, કેટલાય એક્ટરોને એમણે બોલિવૂડમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે, પણ સગી દીકરીની કરીઅરનો શુભારંભ કરવા માટે એમણે ફિલ્મ બનાવવાની તસ્દી ન લીધી. (મહેશ ભટ્ટે પ્રોડ્યુસ  કરેલી અક્ષયકુમાર - પ્રીતિ ઝિન્ટાવાળી 'સંઘર્ષ' ફિલ્મમાં આલિયા સાધારણ બાળકલાકાર તરીકે દેખાઈ હતી, પણ તે કંઈ આલિયાની કરીઅરનું લોન્ચિંગ નહોતું.) આલિયા ભટ્ટને 'સ્ટુડન્ટ ઓફ ય ધ યર' દ્વારા ફિલ્મોમાં વિધિવત બ્રેક આપનાર કરણ જોહર હતા.

કારકિર્દીની ગ્લેમરસ શરૂઆત કર્યા બાદ આલિયાએ છ વર્ષમાં દસ ફિલ્મો કરી જેમાંથી નવ સફળ પૂરવાર થઈ. એણે એકએકથી ચડે એવાં પર્ફોર્મન્સીસ આપ્યાં અને હિન્દી સિનેમાની નવી પેઢીની સૌથી કામિયાબ અને સૌથી પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે ખુદને પ્રસ્થાપિત કરી. ના, મહેશ ભટ્ટે હજુ સુધી આલિયા સાથે કોઈ ફિલ્મ બનાવી નથી. ગઈ 15 માર્ચે આલિયા પચ્ચીસ વર્ષની થઈ ત્યારે પપ્પાએ એને ગિફ્ટમાં એક ફોટોફ્રેમ આપી. આ ફોટોફ્રેમમાં શું હતું? છ વર્ષ પહેલાં આલિયાએ આપેલો પેલો ઓટોગ્રાફ જેમાં એણે લખ્યું હતું કે થેન્ક્યુ પાપા ફોર નોટ હેલ્પિંગ મી એટ ઓલ!

આજની તારીખે બોલિવૂડમાં સૌથી પ્રાઉડ પાપા જો કોઈ હોય તો એ કદાચ મહેશ ભટ્ટ છે. તેઓ કહે છે કે એરપોર્ટ પર, રેસ્ટોરાંમાં, બુકશોપમાં વગેરે લોકો મારી સાથે ફોટા-સેલ્ફી પડાવે છે. પોતાના માટે નહીં, પોતાનાં બાળકો કે ટીનએજ સંતાનો ખાતર અને એ પણ હું મહેશ ભટ્ટ છું એટલા માટે નહીં, પણ હું આલિયા ભટ્ટનો ફાધર છું એટલા માટે!   

મહેશ ભટ્ટનો હરખ સમજી શકાય તેવો છે. આલિયાની ફિલ્મોનું બોક્સઓફિસ પર્ફોર્મન્સ જુઓ. ફિલ્મી પંડિતોએ ફિલ્મના બજેટ અને કમાણીને ધ્યાનમાં રાખીને કરેલી આંકડાબાજી અનુસાર, આલિયાની 'સ્ટુડન્ટ ઓફ ધ યર' અને 'હાઇવે' હિટ છે, 'ટુ સ્ટેટ્સ', 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા', 'ડિયર ઝિંદગી' અને 'બદરીનાથ કી દુલ્હનિયા' સુપરહિટ છે, 'કપૂર એન્ડ સન્સ' અને 'ઉડતા પંજાબ' એવરેજ છે. આલિયાની લેટેસ્ટ ફિલ્મ 'રાઝી' ઓલરેડી મોંઘેરી હન્ડ્રેડ કરોડ ક્લબમાં શામેલ થઈ ચુકી છે. 2018માં અત્યાર સુધીમાં કુલ પાંચ જ ફિલ્મો 100 કરોડમાં સ્થાન મેળવી શકી છે (અન્ય ચાર ફિલ્મોઃ 'પદ્માવત', 'બાગી-ટુ', 'સોનુ કે ટીટુ કી શાદી', 'રેઇડ'). ટૂંકમાં, આલિયાના બાયોડેટામાં ફ્લોપના નામે એક માત્ર 'શાનદાર' જ બોલે છે. સમકાલીન એક્ટરો જ નહીં,  ભલભલા સિનિયર કલાકારોને ઇર્ષ્યાનો અટેક આવી જાય એવો જબરદસ્ત આલિયાનો ટ્રેક-રેકોર્ડ છે.   

ફિલ્મ કમાણી કરે તે એક વાત થઈ (એમ તો તદ્દન રદ્દી ફિલ્મો પણ ક્યારેક કરોડો કમાઈ લેતી હોય છે), પણ એક કલાકાર તરીકે સતત વિકસતા જવું, પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને સાવ નવા જ પડકારો ઉપાડવાની કસોટીમાંય ડિસ્ટીંક્શન માર્ક્સ સાથે પાસ થવું, દર્શકો ઉપરાંત ડિરેક્ટરો-પ્રોડ્યુસરો-સહકલાકારોમાં પણ સતત લોકપ્રિય બનતા જવું - આ કંઈ સહેલું નથી. ઘણા વાંકદેખાઓ કહેતા હોય છે કે આલિયાનો સ્વભાવ અતિ વિચિત્ર છે, પણ સચ્ચાઈ એ છે કે વિચિત્ર સ્વભાવવાળી વ્યક્તિની કરીઅર આટલી રુઆબદાર હોઈ જ ન શકે. સફળ થવા માટે મૂળભૂત પ્રતિભા ઉપરાંત માણસના વ્યક્તિત્ત્વમાં એક પ્રકારનું સંતુલન જોઈએ, મગજમાં સફળતાની હવા બિલકુલ ભરાવા દેવાની નથી અને નિષ્ફળતાથી જરાય નાસીપાસ થવાનું નથી એ વાતની એકધારી આત્મસભાનતા જોઈએ અને તગડો ઇક્યુ (ઇમોશનલ ક્વોશન્ટ) પણ જોઈએ. મહેશ ભટ્ટ કહે છે કે અમારા પાગલ પરિવારમાં આલિયા સૌથી નાની છે, પણ અમારા બધાયમાં સૌથી ઠાવકી એ જ છે!

આલિયાની સગી મોટી બહેનનું નામ શાહીન છે, જે ક્યારેય લાઇમલાઇટમાં આવી નથી. મહેશ ભટ્ટની પ્રથમ પત્નીનાં બે સંતાનો એટલે પૂજા અને રાહુલ. પૂજા ભટ્ટે ફિલ્મલાઇનમાં શરૂઆત કરી ત્યારે એની કરીઅર ઠીક ઠીક ઝમકદાર હતી (યાદ કરો 'ડેડી', 'દિલ હૈ કે માનતા નહીં', 'સડક'), પણ પૂજાની પર્સનાલિટીમાં આલિયા જેવું સંતુલન ક્યારેય નહોતું. બેફામ અંગત જીવન, લગ્ન પછી ઇન્ડસ્ટ્રીમાંથી ખોવાઈ જવું, ડીવોર્સ, આલ્કોહોલિક બની જવું - આ બધામાં એની અભિનયની કરીઅર હતી - ન હતી થઈ ગઈ.

આલિયાનો મોટો પ્લસ પોઇન્ટ એ છે કે એ જોખમ લેતાં ડરતી નથી. 'સ્ટુડન્ટ ઓફ ધ યર'માં અલ્ટ્રા-ગ્લેમરસ રોલ કર્યા પછી એણે ઇમ્તિયાઝ અલીની 'હાઇવે'માં બાળપણમાં સેકસ્યુઅલ અબ્યુઝનો ભોગ બનેલી યુવતીનો રોલ કર્યો. 'હાઇવે' એની કરીઅરની ત્રીજી જ ફિલ્મ છે, જે ખરાબ રીતે પીટાઈ શકી હોત, પણ આ ફિલ્મ સફળ થઈ અને આલિયા એક અભિનેત્રી તરીકે એકદમ લોંઠકી કે એ હકીકત પ્રસ્થાપિત થઈ ગઈ. 'હાઇવે'માં એણે એક ગીત પણ ગાયું હતું. પછી તો એણે અન્ય ફિલ્મોમાં પણ ગીતો ગાયાં.


આલિયા ખરેખર સ્માર્ટ છોકરી છે. અગાઉ આલિયાના નામના જોક્સ ધડાધડ વાઇરલ થવા માંડ્યા હતા. બીજું કોઈ હોત તો આવા ઉપહાસથી તૂટી જાત, પણ આલિયા સામે ચાલીને પોતાની જ મજાક ઉડાવતા એઆઈબીના 'જિનીયસ ઓફ ધ યર' નામના વિડીયોની હિસ્સેદાર બની. લોકોએ પથ્થર ફેંક્યા તો આલિયાએ એમાંથી મહેલ ચણ્યો. આજની તારીખે લોકોને યાદ પણ નથી આલિયાને  એક સમયે બાઘ્ઘીનું બિરુદ મળ્યું હતું.    

મેઘના ગુલઝારે 'રાઝી' ફિલ્મ માટે આલિયાનો સંપર્ક કરેલો ત્યારે ફક્ત એક જ લીટીમાં ફિલ્મનો કોન્સેપ્ટ સંભળાવ્યો હતોઃ એક કાશ્મીરની મુસ્લિમ છોકરી છે, પાકિસ્તાની ફૌજીને પરણે છે, સાસરે જઈને ભારત માટે જાસૂસી કરે છે અને વતનની સલામતી માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડી દે છે. બસ, આટલું જ. આલિયાનો જવાબ હતોઃ મેઘના, હું તમારી ફિલ્મ કરીશ. મેઘનાએ કહ્યું કે પણ હજુ તો મારે પ્રોડ્યુસર શોધવાનો પણ બાકી છે. આલિયાએ કહ્યુઃ કશો વાંધો નહીં. તમને જ્યારે પણ પ્રોડ્યુસર મળે ત્યારે હું તમારી આ ફિલ્મ કરવા તૈયાર હોઈશ એટલું નક્કી જાણજો!

ઇન્ડસ્ટ્રીમાં મેઘના ગુલઝારનું સ્થાન કંઈ ઝોયા અખ્તર કે ફરાહ ખાન જેવું મજબૂત નથી કે હિરોઈનો આંખ મીંચીને હા પાડી દે, પણ આલિયાએ 'રાઝી'ના એક લીટીના નરેશન પરથી પારખી લીધું કે આ દળદાર રોલ છે અને ફિલ્મ કરવા જેવી છે. આલિયાની સ્ટોરી-સેન્સ અથવા સ્ક્રિપ્ટ-સેન્સ તગડી છે એ એનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. 'શાનદાર'નું હજુ શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ એણે ડિરેક્ટર વિકાસ બહલને કહી દીધું હતું કે સર, આપણી ફિલ્મમાં લોચો છે.

આલિયા વચ્ચે એક ઇન્ટરવ્યુમાં કહેતી હતી કે, 'પહેલાં મને 'ઉડતા પંજાબ'નો રોલ મારી કરીઅરનો સૌથી અઘરો રોલ લાગતો હતો. એક તો મારે એમાં બિહારી ગામડિયણ છોકરી બનવાનું હતું અને બીજું, એ કેરેક્ટરના ઇમોશનલ ચડાવઉતાર ખાસ્સા તીવ્ર હતા. આજે હું 'રાઝી'ના રોલને મેં અત્યાર સુધીમાં ભજવેલું સૌથી ડિફિકલ્ટ કિરદાર ગણું છું. ના, વાત અહીં પૂરી થતી નથી. અત્યારે હું 'કલંક' નામની ફિલ્મ કરી રહી છું અને હવે મને લાગે છે કે એનો રોલ તો 'ઉડતા પંજાબ' અને 'રાઝી' બન્ને કરતાં વધારે અઘરો છે. જેમ જેમ મારી ફિલ્મોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ મારાં પાત્રો વધુ ને વધુ કોમ્પ્લીકેટેડ થતાં જાય છે!'

કરણ જોહરના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'કલંક'ના ડિરેક્ટર અભિષેક વર્મન છે, જેણે ભૂતકાળમાં આલિયા સાથે 'ટુ સ્ટેટ્સ' બનાવી હતી. વરુણ ધવન 'કલંક'નો હીરો છે. આ ઉપરાંત સંજય દત્ત અને માધુરી દીક્ષિત પણ ફિલ્મમાં છે. માધુરીવાળો રોલ મૂળ શ્રીદેવી કરવાની હતી. શ્રીદેવીના અણધાર્યા મૃત્યુ પછી એની ભુમિકામાં એક જમાનામાં એની કટ્ટર હરીફ ગણાતી માધુરી ગોઠવાઈ ગઈ. આ સિવાય, આલિયા 'બ્રહ્માસ્ત્ર' કરી રહી છે. આ પણ કરણ જોહરનું પ્રોડક્શન છે અને અયાન મુખર્જી ('વેક અપ સિડ', 'યે જવાની હૈ દીવાની') એના ડિરેક્ટર છે. 'બ્રહ્માસ્ત્ર' એક સુપરહીરો ફેન્ટસી ફિલ્મ છે. ફિલ્મમાં આલિયા સાથે રણબીર કપૂરે જોડી જમાવી છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની આલિયાની તીવ્ર ઇચ્છા આખરે 'બ્રહ્માસ્ત્ર'માં પૂરી થઈ રહી છે. આલિયાની ત્રીજી આગામી ફિલ્મ છે, 'ગલી બોય'. ડિરેક્ટર, ઝોયા અખ્તર. હીરો, રણવીર સિંહ. આ એક મ્યુઝિકલ છે. આ ત્રણેય ફિલ્મોનું કામકાજ શરૂ થઈ ગયું છે. આ સિવાય આલિયાએ અશ્ર્વિની ઐયર તિવારી ('નીલ બટ્ટે સન્નાટા', 'બરેલી કી બરફી')ની ફિલ્મ પણ સાઈન કરી છે.

આલિયાની આ આગામી ફિલ્મોની વિગતો પરથી લાગે છે કે આવનારાં ચાર-પાંચ વર્ષ સુધી તો એનો નવી પેઢીની ટોપમોસ્ટ એક્ટ્રેસ તરીકેનો દબદબો વધતો જવાનો. આલિયાને આપણે હજુ સુધી કોમેડી કરતાં અને નેગેટિવ રોલમાં જોઈ નથી. બસ, અભિનયના આ બે રંગો પણ એ દેખાડી દે એટલે ભયો ભયો!

 0 0 0