Wednesday, October 31, 2018

આદત, શિસ્ત અને આપણે

દિવ્ય ભાસ્કર - કળશ પૂર્તિ- 31 ઓક્ટોબર 2018 
ટેક ઓફ
પ્લીઝ, એક વાત સમજી લો કે સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી. એ હંમેશાં નહીં રહે. જો તમે સવારે વહેલા નથી ઊઠતા, યોગ-પ્રાણાયમ નથી કરતા તો તમે પ્રકૃતિ સાથે કરેલો કોન્ટ્રેક્ટ તોડી રહ્યા છો. એક દિવસ તમે પકડાઈ જશો ને તમારી પાસેથી તમારું શરીર પાછું લઈ લેવામાં આવશે.’ 


  
રદાર વલ્લભભાઈ પરોઢિયે અચૂકપણે ઉઠી જતા. વહેલી સવારે સાડાચારથી સાડાછ - આ બે કલાક તેઓ બ્રિસ્ક વોકિંગ એટલે કે ઝડપથી ચાલવાની કસરત કરતા. આ સમયગાળા કોઈને પણ સરદાર પટેલને મળવાની, એમની સાથે વાત કરવાની છૂટ. શરત એટલી કે એણે સરદાર સાથે કદમમાં કદમ મિલાવવા પડે. વલ્લ્ભભાઈની ચાલવાની ઝડપ એટલી બધી રહેતી કે સામેના માણસે બાપડાએ લગભગ દોડવું પડતું. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં જ્યારે ડોક્ટરે મોર્નિંગ વોક લેવાની મનાઈ ફરમાવી છેક ત્યારે એમણે આ રુટિન પર પૂર્ણવિરામ મૂક્યું. સરદાર પટેલ 75 વર્ષનું એવું સુપર એક્ટિવ અને પ્રેરણાદાયી જીવન જીવ્યા કે એમના મૃત્યુના 68 વર્ષ પછી એમની એક ભવ્યાતિભવ્ય પ્રતિમા બનાવવી પડે છે (જેનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે) અને જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા હોવાનો જશ ખાટી જાય છે.    

આપણને વોટ્સએપમાં વારંવાર અથડાયા કરતું હોવાથી આ વાક્ય સાવ પ્રભાવહીન થઈ ગયું છે, પણ એમાં જે સત્ય સમાયેલું છે એ પ્રચંડ છે. વાક્ય આ છેઃ આપણા વિચારોથી આપણો હેતુ ઘડાય છે, હેતુ આપણી પ્રવૃત્તિઓ નક્કી થાય છે, પ્રવૃતિઓથી ટેવ બને છે, ટેવો આપણું ચારિત્ર્ય ઘડે છે અને ચારિત્ર્ય આપણું પ્રારબ્ધ નક્કી કરે છે! માણસ જીવનમાં જે બને છે અથવા જે બની શકતો નથી એમાં એણે કેળવેલી યા ન કેળવેલી આદતોનો સિંહફાળો હોય છે.

એક વાત વારંવાર વાંચવા-સાંભળવામાં આવે છે કે નવી ટેવ પાડવા માટે ફક્ત ૨૧ દિવસ જોઈએ. લાગલગાટ ત્રણ વીક સુધી રોજેરોજપૂરેપૂરી નિષ્ઠાથી જેની આદત પાડવી છે તે ક્રિયાને વળગી રહો તો તે તમારી પર્સનાલિટીનો ભાગ બની જશેતમારો સ્વભાવ બની જશે!

ખરેખર? ફક્ત ૨૧ દિવસજે આરામપ્રિય મહાઆળસુ માણસ જિંદગીમાં સો મીટર પણ ચાલ્યો નથી તે ગમે તેમ કરીને ૨૧ દિવસ સુધી રોજની પોણી કલાક મોર્નિંગ વોક લઈ આવે એટલે બાવીસમા દિવસથી એને ચાલવાની સજ્જડ આદત પડી જશેપોતાની જાતને બિલકુલ ધક્કા નહીં મારવા પડેના.૨૧ દિવસવાળી આ થિયરી ભ્રામક છેએક 'મિથછે તે એક કરતાં વધારે અભ્યાસોમાં પુરવાર થયું છે. સવાલ એ છે કે તો પછી આ ૨૧ દિવસનો આંકડો આવ્યો ક્યાંથીજાણભેદુઓએ ખાંખાંખોળાં કરીને આ થિયરીનાં મૂળિયાં શોધી કાઢયાં છે. ડો. મેક્સવેલ માલ્ટ્ઝ નામના એક અમેરિકન કોસ્મેટિક સર્જ્યને ૧૯૬૦માં 'સાયકો-સાયબરનેટિક્સ' નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. તેમાં એમણે લખ્યું હતું કે, 'પેશન્ટના ચહેરાની પ્લાસ્ટિક્ સર્જરી થાય પછી નવા ચહેરાથી ટેવાતા ૨૧ દિવસ લાગે છે. હાથ કે પગ વાઢી નાખવામાં આવ્યા પછી પેશન્ટને ૨૧ દિવસ સુધી ફીલિંગ થતી રહે છે કે કાપી નંખાયેલું અંગ હજુ ત્યાં જ છે. જૂની મેન્ટલ ઇમેજને ભૂંસાતા અને નવી મેન્ટલ ઇમેજને સ્થિર થતાં ઓછામાં ઓછા ૨૧ દિવસ લાગી જાય છે.

આમડો. મેક્સવેલે ૨૧ દિવસવાળી વાત મુખ્યત્વે પ્લાસ્ટિક સર્જરીના સંદર્ભમાં કરી હતીપણ કાળક્રમે તેને જનરલાઈઝ્ડ કરી નાખવામાં આવી. ટૂંકમાં૨૧ દિવસમાં નવી આદત ઘડાય તે વાત ખોટી. ઠીક છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ૨૧ નહીં તો વધારાના કેટલા દિવસમાં હેબિટ ફોર્મ થાયઆના અનેક પ્રયોગો થયા છે. એક પ્રયોગમાં પાર્ટિસિપન્ટ્સને હેલ્થને લગતી કોઈ આદત જાતે પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. ભાગ લેનારાઓનું ૮૪ દિવસ સુધી નિરીક્ષણ ક્રવામાં આવ્યું. અમુક પાર્ટિસિપન્ટ્સને ૧૮ દિવસમાં ટેવ પડી ગઈઅમુકને પૂરા ૮૪ દિવસ લાગ્યા. ટેવ પડવા માટે જરૂરી દિવસોનો સરેરાશ આંકડો ૬૬ આવ્યો. ટેવ કઈ વસ્તુની પાડવી છે તે પરિબળ સૌથી મહત્ત્વનું છે. રોજ એક લિટર પાણી અચૂક પીવા જેવી સાદી બાબત હોય તો જલદી ટેવ પડી જાય. રોજ એક કલાક જોગિંગ-રનિંગ કરવા જેવી કઠિન આદત માટે લાંબો સમય જોઈએ.


દંતકથારૂપ બની ગયેલા અને ૯૮ વર્ષનું રસિક જીવન જીવનારા અંગ્રેજી પત્રકાર-લેખક ખુશવંત સિંહે 'ખુશવંતનામાઃ ધ લેસન્સ ઓફ માય લાઇફ' નામનાં પુસ્તકમાં આપેલી લાંબું જીવન જીવવાની ટિપ્સ ખાસ્સી પોપ્યુલર બની છે. એમાંની એક ટિપ એવી છે કે, 'સ્પોર્ટ્સમાં રસ લેવો. ટેનિસ, સ્ક્વોશબેડમિન્ટન કે એવું કંઈ પણ રમો. એવું થઈ શકતું ન હોય તો નિયમિતપણે કસરત કરો. એકાદ કલાક ઝડપથી ચાલો, સ્વિમિંગ કરો. દોડી શકતા હો તો ઉત્તમ.'

ખુશવંત સિંહ ખાણીપીણી પર કાપ મૂકવાની પણ સલાહ આપે છે. પીણી એટલે શરાબ. જમવાનો સમય સહેજ પણ આઘોપાછો ન થવો જોઈએ. ખુશવંતસિંહ દિવસની શરૂઆત એક ગ્લાસ ફ્રૂટ જ્યૂસથી કરતા. સવારે સાડા છ વાગ્યે બ્રેકફાસ્ટ પતાવી લે. બ્રેકફાસ્ટ એટલે સાત્ત્વિક બ્રેકફાસ્ટ. રોજેરોજ સવારના પહોરમાં ગાંઠિયા, જલેબીતીખાં મરચાં પર તૂટી નહીં પડવાનું. કાઠિયાવાડીઓ બપોરે બે કલાક ઊંઘીને 'હાલો હવે નવો દિવસ ઊગ્યો' કરતાં નવેસરથી નાસ્તો કરવા બેસે તે પણ ન ચાલે.

આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં આનંદમૂર્તિ ગુરુમાનું નામ અત્યંત પ્રેમ અને આદરથી લેવાય છે. એમણે એમના 'માઇન્ડ મેનેજમેન્ટ' નામના પુસ્તકમાં લખ્યું છે કે,  ‘પ્લીઝ, એક વાત સમજી લો કે સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી. એ હંમેશાં નહીં રહે. તમારે એના માટે બહુ બધું કરવું પડશે. જો તમે એ નહીં કરો તો બહુ જલદી બુઢા થઈ જશો અને જલદી મરી પણ જશો... જો તમે સવારે વહેલા નથી ઊઠતા, યોગ-પ્રાણાયમ નથી કરતા તો તમે પ્રકૃતિ સાથે કરેલો કોન્ટ્રેક્ટ તોડી રહ્યા છો. એક દિવસ તમે પકડાઈ જશો ને તમારી પાસેથી તમારું શરીર પાછું લઈ લેવામાં આવશે.’

ગુરુમાએ સૂર્યોદય પહેલાં જાગી જઈને યોગાસન કરવાનો સુવર્ણ નિયમ સૂચવ્યો છે. તેઓ લખે છે, 'સૂર્યનમસ્કાર, પશ્ર્ચિમોત્તાનાસન, જાનુશીર્ષાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, સર્વાંગાસન, ભુજંગાસન, મંડૂકાસન... બસ આટલાં જ આસાન. વધુ નહીં. જો તમે આટલાં આસન કરો તો તમને ક્યારેય સ્પોન્ડેલાઈટીસ, કમર કે પીઠનો દુખાવો, પાચનતંત્રની તકલીફ, માથાનો દુખાવો, માઈગ્રન નહીં થાય. બ્લડપ્રેશરની વ્યાધિ નહીં થાય... તમે જેટલા યોગાસન, ધ્યાન, પ્રાણાયામ કરતા જશો એમ તમે બેફિકર થવા માંડશો, ગાઢ નિંદ્રા આવવા માંડશેસ વાતોમાં વિહવળ નહીં થાઓ, હતાશ નહીં થાઓ, મુંઝાશો નહીં તેમજ સમસ્યાઓને સાચા પરિપ્રેક્ષ્યમાં જોઈ શકશો.'

આપણે આખરે શું છીએ? આપણી આદતોનો સરવાળો! ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહેવુંસુખની અનુભૂતિ કરતા રહેવી,પોઝિટિવ રહેવું તે પણ એક આદત હોઈ શકે છે. મેથ્યુ રિકેર્ડ નામનો એક ફ્રેન્ચ માણસ સુખની શોધમાં એક દિવસ બધું છોડીને હિમાલય આવીને બૌદ્ધ સાધુ બની ગયો. દલાઈ લામાના ખાસ માણસ ગણાતા મેથ્યુ રિકેર્ડે કેટલાંય પુસ્તકો લખ્યાં છે. તેમને ઘણી વાર 'ધ હેપીએસ્ટ મેન ઈન ધ વર્લ્ડતરીકે સંબોધવામાં આવે છે. સુખ માટે તેઓ મેડિટેશન પર ભાર મૂકે છે. તેઓ કહે છે, 'મેડિટેશનની ટેવ પાડવી પડે છેમનને શિસ્તપૂર્વક કેળવવું પડે છે. આપણે ભણતરમાં જિંદગીનાં પંદર વર્ષ નાખી દઈએ છીએ,ફિટનેસ પાછળ પુષ્કળ શક્તિ ખર્ચીએ છીએપણ જે સૌથી વધારે મહત્ત્વનું છે - આંતરિક શાંતિ અને ખુદના મન પર કાબૂ - એના માટે કોણ જાણે કેમ સમય ફાળવી શકતા નથી. ધ્યાન અને પ્રાણાયામ તો આત્માનો ખોરાક છે.'
આજે, સરદાર પટેલના બર્થડે પર, એમની પ્રતિમાના નિર્માણ પાછળ થયેલા તોતિંગ ખર્ચ કે એવા બધા મુદ્દે સામસામા બાખડતા રહેવાને બદલે એમની મોર્નિંગ વોક જેવી સારી આદતો પર ધ્યાન આપીએ, એને ખુદના જીવનમાં ઉતારવાના નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરીએ. વાત આખરે ટેવ અને શિસ્ત પર જ આવીને અટકે છે, ખરું?
00 


Saturday, October 27, 2018

આઠ દિવસ, નવ સ્ક્રીન, બસ્સો ફિલ્મો!


દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર - 28 ઓક્ટોબર 2018 
મલ્ટિપ્લેક્સ
અત્યારે પૂરજોશમાં ચાલી રહેલા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ફિલ્મો તરખાટ મચાવી રહી છે?


તો, ઉત્સાહી ફિલ્મી રસિયાઓ જેના માટે આખું વર્ષ રાહ જોતા હોય છે એ મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનો શુભારંભ આ ગુરૂવારે થઈ ગયો. મામી એટલે કે મુંબઈ એકેડેમી ઓફ મુવીંગ ઇમેજીસ નામની સંસ્થા દ્વારા આયોજિત આ ફિલ્મ ફેસ્ટિવલની પ્રતિષ્ઠા અને દબદબો સમયની સાથે સતત વધ્યાં છે. 25 ઓક્ટોબરે શરૂ થયેલો ફેસ્ટિવલ પહેલી નવેમ્બરે પૂરો થશે. આ આઠ દિવસ દરમિયાન મુંબઈના ત્રણ સિનેમાહોલની ટોટલ નવ સ્ક્રીનમાં દુનિયાભરની બસ્સો કરતાં વધારે ફિલ્મોનું સ્ક્રીનિંગ થશે. આ વખતની ફિલ્મોનું લાઇન-અપ ખરેખર મસ્તમજાનું છે. એવી કઈ કઈ ફિલ્મો છે જે આ વખતે સૌથી વધારે ચર્ચામાં છે? જોઈએ.  

મર્દ કો દર્દ નહીં હોતાઃ 

કોઈ પણ ફિલ્મની ઓપનિંગ અને ક્લોઝિંગ ફિલ્મનું હંમેશાં વિશેષ મહત્ત્વ હોવાનું. આ વખતનો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ આ હિન્દી ફિલ્મથી ઓપન થયો. અગાઉ પેડલર્સ નામની અવોર્ડવિનિંગ ફિલ્મ બનાવી ચુકેલા વાસન બાલાએ આ હળવીફૂલ અને એન્ટરટેનિંગ ફિલ્મ ડિરેક્ટ કરી છે. મર્દ કો દર્દ નહીં હોતામાં સૂર્યા નામના એક જુવાનિયાની વાત છે. એને નાનપણથી વિચિત્ર બીમારી લાગુ પડી છે. એને ગમે એટલો માર પડે, લોહી નીકળે કે ઈજા થાય તો પણ દરદનો અનુભવ જ થતો નથી! જુવાન પછી માર્શલ આર્ટ્સ શીખે ને જાતજાતના કારનામા કરે છે. ફિલ્માં મુખ્ય પાત્ર અભિમન્યુ દાસાણીએ નિભાવ્યું છે. હીરો નવો નિશાળિયો છે, પણ એની મમ્મીને તમે સારી રીતે ઓળખો છો - ભાગ્યશ્રી, જે મૈંને પ્યાર કિયામાં સલમાન ખાનની હિરોઈન બની હતી. મર્દ કો દર્દ નહીં હોતામાં ગુજરાતી રંગભૂમિ પર મંજાયેલો અને ગુજ્જુભાઈ સિરીઝની બન્ને ફિલ્મો ઉપરાંત 102 નોટઆઉટમાં આપણને મજા કરાવી ચુકેલો તગડો ગુજરાતી અભિનેતા જિમીત ત્રિવેદી પણ છે.
   
રોમાઃ 

સાન્ડ્રા બુલોક અને જ્યોર્જ ક્લૂનીને ચમકાવતી અદભુત સ્પેસ મૂવી ગ્રેવિટી (2013) હજુય આપણા ચિત્તમાં સજ્જડ ચોંટેલી છે. આ ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્શનનો ઓસ્કર જીતી ચુકેલા મેક્સિકન ફિલ્મમેકર અલ્ફોન્સો કુરોનની લેટેસ્ટ ફિલ્મ રોમાની તાસીર સાવ જુદી છે. મોનોક્રોમમાં શૂટ થયેલી આ ફિલ્મ કંઈક અંશે આત્મકથનાત્મક છે. આમાં અલ્ફોન્સોએ પોતાના બાળપણની સ્મૃતિઓ, એમના ઘરમાં રહેતી ફુલટાઇમ આયા અને તે સમયના મેક્સિકોના રાજકીય માહોલની વાત વણી લીધી છે. અલ્ફોન્સો કુરોનની પ્રતિભાની રેન્જ જુઓ. રોમાનું ડિરેક્શન, પ્રોડક્શન, રાઇટિંગ, એડિટિંગ અને સિનેમેટોગ્રાફી - આ બધું જ એમણે એકલે હાથે કર્યું છે!

કોલ્ડ વોરઃ 

આ વખતે ઓસ્કરની બેસ્ટ ફિલ્મ ઇન ફોરેન લેંગ્વેજ કેટેગરી માટે ભારતે વિલેજ રોકસ્ટાર્સ નામની આસામી ફિલ્મ મોકલી છે એ તમે જાણો છો, રાઇટ? પોલેન્ડે આ જ કેટેગરી માટે કોલ્ડ વોર મોકલી છે. આ બિછડે હુએ પ્રેમીઓની દર્દભરી દાસ્તાન છે, જે 1950ના દાયકામાં શીત યુદ્ધના માહોલમાં આકાર લે છે અને પોલેન્ડ-યુગોસ્લાવિયા-ફ્રાન્સમાં વિસ્તરે છે. ફિલ્મના ડિરેક્ટરનું નામ તો સીધુંસાદું છે, પણ અટક અતરંગી છે - પેવલ પેવલિસ્કોવ્સ્કી.

થ્રી ફેસીસઃ 

જાફર પનાહી એટલે ઇરાનના એક અતિ વિખ્યાત, અતિ પ્રતિભાશાળી અને અતિ તોફાની ફિલ્મમેકર. ઇરાનની સરકારે એમને એમને જેલમાં પૂર્યા, એમની ફિલ્મોનાં સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યો, એમના પર દેશની બહાર પગ મૂકવાની, ફિલ્મ લખવાની, ડિરેક્ટ કરવાની અને મિડીયા સાથે વાત કરવા સુધ્ધાં પર પાબંદી મૂકી દીધી, છતાંય આ માથાફરેલ મેકરે ફિલ્મો બનાવવાનું ચાલુ રાખ્યું. જાફર પનાહીના ફિલ્મમેકિંગના દિલધડક સાહસો પર ક્યારેક નિરાંતે વાત કરીશું, પણ અત્યારે એટલું જાણી લો કે એમની આ થ્રી ફેસીસ ફિલ્મને 2018ના કાન (સી-એ-એન-એન-ઇ-એસ કાન્સ નહીં, પણ કાન) ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવોર્ડ ઓલરેડી મળી ચુક્યો છે.
    
ક્લાઇમેક્સઃ 

ગાસ્પર નોએ નામના આર્જેન્ટિનીઅન ફિલ્મમેકરે બનાવેલી ક્લાઇમેક્સ ફેસ્ટિવલ સર્કિટમાં ક્યારની તરખાટ મચાવી રહી છે. આમાં યુવાન ડાન્સરોનું એક ગ્રુપ છે, જે એક પાર્ટી દરમિયાન જાણે-અજાણે નશીલી દવાનું સેવન કરે છે. પછી શરૂ થાય છે ઓડિયન્સને ડિસ્ટર્બ કરી મૂકે એવી હિંસા, ગ્રુપ સેક્સ અને સમજાય નહીં એવા અતિ વિચિત્ર વર્તનનો સિલસિલો. ડિરેક્ટરે આ ફિલ્મનું શૂટિંગ માત્ર પંદર દિવસમાં આટોપી લીધું હતું.

પાવસાચા નિબંધઃ 

નાગરાજ મંજુળેની સુપરડુપર હિટ મરાઠી ફિલ્મ સૈરાટ આપણને સૌને જબરદસ્ત ગમી હતી. નાગરાજ હવે પાવસાચા નિબંધ (એટલે કે વરસાદનો નિબંધ) નામની ઓર એક પાવરફુલ મરાઠી ફિલ્મ લઈને ઉપસ્થિત થયા છે. વરસાદ માટે સામાન્યપણે આપણા મનમાં રોમેન્ટિક ખયાલો હોય છે, પણ અહીં એક એવા ગ્રામ્ય અને ગરીબ પરિવારની વાત છે, જેમનું જીવન ધોધમાર વરસાદને કારણે અસ્તવ્યસ્ત થઈ જાય છે. વરસાદ શરૂ થતાં જ ઝૂંપડા જેવા ઘરમાં ઉપરથી પાણી ટપકવા લાગે એટલે તેને ઝીલવા માટે ભોંયતળિયે ઠેકઠેકાણે વાટકા, તપેલી ને એવું બધું ગોઠવવું પડે. ઘરનો સ્ત્રીને ચિંતા છે કે એનો દારૂડિયો બેજવાબદાર વર આવા બેફામ વરસાદમાં ઘર સુધી પહોંચશે કેવી રીતે? ફિલ્મની કહાણીમાં નાટ્યાત્મક કહેવાય એવું કશું જ નથી, છતાંય નાગરાજ મંજુળેનું ડિરેક્શન એટલું તગડું છે કે ઓડિયન્સને સીટ પરથી હલવાનું મન ન થાય. આખી ફિલ્મમાં વરસાદ પહેલેથી છેલ્લે સુધી સતત વરસતો દેખાડ્યો છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને સાઉન્ડ ડિઝાઇનના વિશેષપણે વખાણ થઈ રહ્યા છે. સૈરાટની માફક આમાં પણ સવર્ણ-દલિતના ભેદભાવની વાત થઈ છે. 


વિડોઝઃ 

વિડો એટલે વિધવા. મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલની આ ક્લોઝિંગ ફિલ્મ છે. આ એક્શન-પેક્ડ અમેરિકન ફિલ્મમાં ક્રિમિનલોની એક ટોળકી કશાક કારનામામાં નિષ્ફળ જતા સાગમટે જીવ ગુમાવે છે. આથી આ અપરાધીઓની વિધવા પત્નીઓ મેદાનમાં ઉતરે છે અને દિલધડક લૂંટ કરે છે. આ ફિલ્મમાં ચાર-ચાર ઓસ્કરવિનર અભિનેત્રીઓ છે, લટકામાં શિંડલર્સ લિસ્ટ ફેમ લિઆમ નિસન અને કોલિન ફેરેલ પણ છે. ફિલ્મના ડિરેક્ટર સ્ટીવ મેકક્વીન પણ ટ્વેલ્વ યર્સ અ સ્લેવ (2013) માટે ઓસ્કર અવોર્ડ જીતી ચુક્યા છે.      

આ સિવાય પણ ઘણી ફિલ્મો છે જેની નોંધ લેવી જોઈએ, જેમ કે, આ વખતના કાન ફેસ્ટિવલમાં સૌથી મોટો અવોર્ડ જીતી ચુકેલી શોપલિફ્ટર્સ (ઓસ્કર માટે જપાનની ઓફિશિયલ એન્ટ્રી), જગવિખ્યાત જપાની નવલકથાકાર હારુકી મુરાકામીની ટૂંકી વાર્તાના આધારે બનેલી સાઉથ કોરીઅન સસ્પેન્સ ફિલ્મ બર્નિંગ, ચાઇનીઝ ફિલ્મ અન એલિફન્ટ સિટીંગ સ્ટિલ (જેના 29 વર્ષીય ડિરેક્ટર હુ બોએ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ આત્મહત્યા કરી નાખી હતી), અમેરિકાના કોએન બ્રધર્સે ડિરેક્ટ કરેલી કાઉબોય જોનરની ધ બેલડ ઓફ બસ્ટર સ્ક્રગ્સ, સ્પાઇક લીની બ્લેકકેક્લેન્સમેન વગેરે.

આ લેખમાં ઉલ્લેખ પામેલાં નામોમાંથી શક્ય એટલી ફિલ્મો જ્યાં અને જ્યારે જોવાની તક મળી ત્યારે જોઈ કાઢજો, કેમ કે રેગ્યુલર સિનેમામાંથી જે સંતોષ મળતો નથી તે ઘણી વાર ફિલ્મ ફેસ્ટિવલ્સની આ પ્રકારની ફિલ્મોમાંથી મળી જતો હોય છે.  

0 0 0 

Tuesday, October 23, 2018

એકવીસમી સદીમાં આધ્યાત્મિકતા શા માટે જરૂરિયાત બની જવાની?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 24 ઓક્ટોબર 2018
ટેક ઓફ 
ઇઝરાયલના યુવલ હરારીની ગણના આજની તારીખે દુનિયાના સૌથી સ્માર્ટ, સૌથી અરિજિનલ અને સૌથી મહત્ત્વના ચિંતકો-લેખકોમાં થાય છે, કારણ કે...

યુઅલ નોઆહ હરારી એક એવા લેખક છે કે આજે એનું પુસ્તક બહાર પડે છે ને ચાર જ દિવસમાં બિલ ગેટ્સ ધ ન્યુ યોર્ક ટાઇમ્સમાં એનો મસ્તમજાનો રિવ્યુ લખી નાખે છે. વર્ષો સુધી વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ હોવાનું માન ખાટી ગયેલા બિલ ગેટ્સ ઉપરાંત ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા અને ફેસબુક લોન્ચ કરીને દુનિયાભરમાં સોશિયલ હુલ્લડ પેદા કરનારા માર્ક ઝકરબર્ગ જેવા મહાનુભાવોથી માંડીને સત્તર-અઢાર વર્ષના કોલેજિયનો સુધીના સૌ કોઈ યુવલ હરારીના ફેન છે. આ બેતાલીસ વર્ષીય હિસ્ટોરીઅનની ગણના આજની તારીખે દુનિયાના સૌથી સ્માર્ટ, સૌથી અરિજિનલ અને સૌથી મહત્ત્વના ચિંતકો-લેખકોમાં થાય છે. એમણે પોતાનાં સેપિઅન્સ નામના પુસ્તકમાં માનવજાતના લાખો વર્ષોમાં ફેલાયેલા અતીતનું સિંહાવલોકન કર્યું છે, તો હોમો ડુસ (એટલે કે સુપર હ્યુમન, મહામાનવ)માં માણસજાતના આવનારા ભવિષ્ય વિશે અભ્યાસપૂર્ણ વાતો કરી છે. આ વિષયો ભારેખમ છે, પણ યુવલની લખવાની શૈલી એવી રસાળ છે કે વાચકને એવું જ લાગે કે જાણે એ ટ્વિસ્ટ-ટર્ન્સથી ભરપૂર કોઈ દિલધડક જાસૂસી નવલકથા વાંચી રહ્યો છે. આજકાલ તેઓ પોતાના લેટેસ્ટ અંગ્રેજી પુસ્તક ટ્વેન્ટી-વન લેસન્સ ફોર ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીને કારણે ન્યુઝમાં છે.

 

એકવીસમી સદીમાં શીખવા જેવા એકવીસ પદાર્થપાઠ. આ પુસ્તકમાં યુવલ હરારીએ ભૂતકાળ કે ભવિષ્યકાળની નહીં પણ વર્તમાનકાળની વાત કરી છે. એકવીસમી સદીમાં કેવાં કેવાં પરિવર્તનો આવશે માણસજાત સામે ક્યા અતિ ગંભીર પડકારો ઊભા થશે? તેનો સામનો કરવા માટે આપણે શી તૈયારી કરવી જોઈએ? હિબ્રુ યુનિવર્સિટી ઓફ જેરુસલેમમાં લેકચરર તરીકે કામ કરતા યુવલ હરારી કહે છે કે એક સમયે જેમની પાસે સૌથી વધારે જમીન હોય તે માણસ સૌથી પાવરફુલ ગણાતો. ઓગણીસમી-વીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને જેની પાસે સૌથી વધારે ઉદ્યોગો હોય એવા માણસો કે દેશો પાવરફુલ ગણાયા. એકવીસમી સદીમાં જેની પાસે સૌથી વધારે ડેટા હશે એ મોસ્ટ પાવરફુલ ગણાશે! ડેટા એટલે માહિતી, ઇન્ફર્મેશન, વિગતો. માણસોનો વ્યક્તિગત ડેટા, સમુદાયો વિશેનો ડેટા, આર્થિક-વહીવટી-આરોગ્યને લગતો ડેટા. આજે આપણે ડિજિટલ યુગમાં પ્રવેશી ચુક્યા છીએ. ઇન્ટરનેટ જાણે ઓક્સિજન હોય એટલી હદે અગત્યનું બની રહ્યું છે. ડેટાની રમઝટ ઇન્ટરનેટના આધારે તો થાય છે. ગૂગલ, ફેસબુક, એમેઝોન અને બીજી કેટલીક કંપનીઓ ડેટા એકત્રિત કરવા હોડ લગાવી છે.

 

યુવલ હરારીએ અગાઉ લખ્યું હતું કે આવતી કાલ આલ્ગોરિધમ્સની છે. આલ્ગોરિધમ એટલે સાવ સરળ ભાષામાં કહીએ તો, કમ્પ્યૂટર સમજી શકે એવી ફોર્મ્યુલા કે સમીકરણો. એક્વીસમી સદીનું વિજ્ઞાન કહે છે કે માણસમાત્રનાં વિચારો, વૃત્તિઓ, વર્તન અને વ્યવહાર બીજું કશું નહીં, પણ આલ્ગોરિધમ છે. ચોકકસ પ્રકારની આંતરિક ફોર્મ્યુલા કે સમીકરણોનાં કોમ્બિનેશનના આધારે આ બધું નક્કી થાય છે. આજે વિજ્ઞાન એટલું વિકસી ચુક્યું છે કે માણસનું મગજ કઈ રીતે કામ કરે છે, આપણા શરીરમાં કેવા કેવા કેમિકલ લોચા થાય છે અને આ લોચાઓનો શો ઇલાજ છે એની આપણને ઠીક ઠીક ખબર પડવા લાગી છે. ઘણું બધું ઉકેલવાનું હજુ બાકી છે છતાંય બોડી અને બ્રેઇનની આંતરિક રચના હવે પહેલાં જેટલી રહસ્યમય રહી નથી. ઝપાટાભેર વિકસી રહેલા બોયોટેકનોલોજી અને કમ્પ્યુટર સાયન્સ (એમાંય ખાસ કરીને મશીન લર્નિંગ) જેવા વિષયોના ખતરનાક કોમ્બિનેશનને પ્રતાપે અલ્ટિમેટ ઓથોરિટી ક્રમશઃ કમ્પ્યૂટરાઇઝ્ડ આલ્ગોરિધમના હાથમાં આવી જવાની. ડેટા જેટલો વધારે, આલ્ગોરિધમ એટલું મજબૂત અને એક્યુરેટ. ત્રીસેક વર્ષમાં સંભવતઃ એવો સમય આવશે કે આપણે ખુદને જાણીએ છીએ એના કરતાં મશીનો આપણને વધારે સારી રીતે જાણવા લાગશે. આપણે પોતાની જાત કરતાં મશીનો પર વધારે વિશ્વાસ મૂકતા થઈ જઈશું! પર્યાવરણમાં આવી રહેલાં પરિવર્તનો અને આતંકવાદ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જો એ નિરંકુશ બની જશે તો, એકવીસમી સદીમાં સૌથી વિરાટ પ્રશ્નો ખડા કરશે.

   


અત્યારે ડ્રાઇવર વગર ચાલતી કમ્પ્યુટરાઇઝ્ડ કારના અખતરા પૂરજોશમાં ચાલી રહ્યા છે. કલ્પના કરો કે તમે આવી કારમાં કશેક જઈ રહ્યા છો. અચાનક કારની સામે બે નાનાં બાળકો કૂદી પડે છે. જો જીવતોજાગતો માણસ ડ્રાઇવિંગ કરતો હોય તો એ જોરદાર બ્રેક મારીને એક્સિડન્ટ થતો અટકાવવાનો પ્રયત્ન કરશે, પણ કમ્પ્યુટરાઇઝ્ડ કારનું આલ્ગોરિધમ જોશે કે જો હું અચાનક બ્રેક મારીશ તો કાર ઉથલી પડશે ને મારા માલિકને સખત ઇજા પહોંચશે. જો એમ નહીં થાય તો પાછળથી પૂરપાટ આવી રહેલો ટ્રક તો કારને જોરદાર ટક્કર મારી જ દેશે. માનો કે કારનું પ્રોગ્રામિંગ એવી રીતે થયું છે કોઈ પણ સંજોગોમાં માલિકની સેફ્ટી સૌથી પહેલી જોવાની. આથી કાર શું કરશે? એ ઓચિંતી બ્રેક નહીં મારે. ભલે પેલાં નાનાં માસૂમ બાળકો મરી જાય પણ મારો માલિક સલામત રહેવો જોઈએ!

 

આ એક સાદું ઉદાહરણ થયું. યુદ્ધના માહોલમાં કે રોગચાળાની સ્થિતિમાં કમ્પ્યુટર આલ્ગોરિધમ એવા નિર્ણયો લઈ શકે છે અત્યંત વિનાશક પૂરવાર થાય. આથી જ યુવલ હરારી કહે છે કે ખૂબ બધો પાવર અમુક સેંકડો-હજારો કમ્પ્યુટર એન્જિનીયરો અને મુઠ્ઠીભર કંપનીઓના હાથમાં આવી જાય એ ચિંતાજનક સ્થિતિ છે. ટેકનોલોજીનાં ક્ષેત્રમાં એથિક્સ (નીતિમત્તા) અને મોરલ વેલ્યુઝ (નૈતિક મૂલ્યો)ની આજે જેટલી જરૂર છે એટલી ભૂતકાળમાં ક્યારેય નહોતી.        

 

યુવલ હરારી ભવિષ્ય ભાખે છે કે ભવિષ્યમાં મશીનો એટલાં કાબેલ અને સક્ષમ બની જવાનાં છે કે માણસોનો એક મોટો વર્ગ નવરોધૂપ થઈ જવાનો. નકામા અને ઇરરિલેવન્ટ માણસોના વિરાટ સમુદાયો અસ્તિત્ત્વમાં આવશે જેના પરિણામે એક અલગ પ્રકારનો વર્ગવાદ પેદા થશે. શક્ય છે કે એક સત્તાશાળી અને અતિ ભદ્ર વર્ગ એવો હોય જે જિનેટિક્સના સ્તરે મેનિપ્યુલેશન કરીને વધારે સુંદર, તેજસ્વી અને પ્રતિભાશાળી સંતાનો પેદા કરતો જાય! આ બાજુ, ગરીબ લોકોની નવી પેઢીઓ મામૂલી રહી જાય. ધારો કે સરકારો નકામા બની ગયેલા લોકોના ભરણપોષણની જવાબદારી લઈ લે તો પણ શું? કામધંધા વગરના માણસે આખો દિવસ કરવાનું શું? આથી જ યુવલ હરારી કહે છે કે માણસે પોતાની ભીતર સ્થિર થતાં શીખવું પડશે, ધ્યાન અને મેડિટેશન કરતાં શીખવું પડશે, સમતા કેળવવી પડશે, આધ્યાત્મિક બનવું પડશે. એકવીસમી સદીમાં સ્પિરિચ્યુઆલિટી એ ફેશન કે બુઢા લોકોની પ્રવૃત્તિ નહીં, પણ એક જરૂરિયાત બની જશે! યુવલ હરારી સ્વયં અઢારેક વર્ષથી વિપશ્યનાના અઠંગ સાધક છે અને આસિસ્ટન્ટ ટીચર તરીકે સેંકડો લોકોને આ વિદ્યા શીખવામાં મદદ કરી ચુક્યા છે.   

 

આવનારા સમયમાં જોબ માર્કેટ એટલી ત્વરાથી બદલાશે કે તમે આજે જે ભણી રહ્યા છો તે ભવિષ્યમાં સહેજ પણ કામમાં ન આવે એવું બને. યુવલ હરારી કહે છે કે વિદ્યાર્થી અવસ્થાને જિંદગીના શરૂઆતના પંદર-વીસ વર્ષ પૂરતી સીમિત કરી નાખવાથી હવે નહીં ચાલે. સમયની સાથે ચાલવા માટે, કમાવા માટે, રિલેવન્ટ રહેવા માટે આપણે હવે આજીવન શીખતાં રહેવું પડશે, ભણતાં  રહેવું પડશે. આથી આજના વાલીઓએ પુસ્તકીયા જ્ઞાનને વધારે પડતું મહત્ત્વ આપવાને બદલે પોતાનાં સંતાનનાં મૂળભૂત કૌશલ્યો મજબૂત થાય, એ જીવન અને પ્રકૃતિ વિશે વધુ ને વધુ શીખતો જાય તે દિશામાં પ્રયત્નો કરવા જોઈએ.

 

ખરેખર વિચારતા કરી મૂકે એવી છે યુવલ હરારીની વાતો. યુટ્યુબ પર એમનાં અફલાતૂન અંગ્રેજી પ્રવચનો અને વાર્તાલાપોના કેટલાય વિડીયો અવેલેબલ છે. ખાસ જોજો.



0 0 0 


Saturday, October 20, 2018

મસાલા ઢોસાથી મર્ડર મિસ્ટરી સુધી

દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર - 21 ઓક્ટોબર 2018
મલ્ટિપ્લેક્સ
શારીરિક ક્ષતિ હોય, કોઈ સાઇકોલોજિકલ પ્રોબ્લેમ હોય અથવા બન્ને હોય તો પણ જીવન અટકી પડવું ન જોઈએ. આવી સમસ્યાઓને નાથી શકાય છે, એને અતિક્રમીને સફળ થઈ શકાય છે, ખુશ રહી શકાય છે. અંધાધુનના ડિરેક્ટર શ્રીરામ રાઘવન આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે.

ક યુવાન છે. નાનપણથી એ સ્ટેમરર છે એટલે કે બોલતી વખતે સખત થોથવાય છે. કોઈને કશુંક કહેતી વખતે જીભ ચોંટી જાય. અવાજ ગળામાં જ અટવાઈ જાય. મોઢું વિચિત્ર થઈ જાય. સ્કૂલમાં ટીચર સવાલ પૂછે ત્યારે એ ક્યારેય આંગળી ઊંચી ન કરે, કેમ કે જવાબ આવડતો હોય તો ય બોલવું કેવી રીતે? રેસ્ટોરાંમાં મસાલા ઢોસા ખાવાની ઇચ્છા હોય તો પણ વેઇટરને ઇડલી સાંભારનો ઓર્ડર આપે, કેમ કે એનાથી અક્ષર ઉચ્ચારી શકાતો નથી. વેઇટર સામે અમ્મ... અમ્મ... અમ્મ.... મસલા.... મસા...લા... મસાલા ઢોસા એવું ન કરવું પડે એટલા માટે ઇડલી સાંભાર બોલી નાખે છે. ઇડલી બોલવામાં એને ઓછી તકલીફ પડે છે. સ્કૂલમાં છોકરાઓની એની સતત મજાક ઉડાવતા. કોલેજમાંય લગભગ એવી જ હાલત. બોલવાની તકલીફને કારણે એણે લોકો સાથે ઓછું હળેમળે. એકલવાયો થઈને રહે.  

ગ્રેજ્યુએટ થયા પછી એ ક્યાંક જાહેરાત વાંચે છે કે સ્ટારડસ્ટ નામના ફિલ્મ મેગેઝિનમાં સબએડિટર- રિપોર્ટરની જગ્યા ભરવાની છે. યુવાન અપ્લાય કરે છે. એને નોકરી મળી તો જાય છે, પણ કમબખ્તી પછી શરૂ થાય છે. રિપોર્ટર તરીકે તમારે લોકોને સતત મળવું પડે, રૂબરૂમાં કે ફોન પર લાંબી વાતચીત કરવી પડે. જે માણસથી મસાલા ઢોસા પણ બોલી શકાતું ન હોય એ ફિલ્ડવર્ક કે રિપોર્ટિંગ ક્યાંથી કરી શકવાનો. ચાર જ મહિનામાં એને એવું કહીને રજા આપી દેવામાં આવે છે કે ભાઈ, તું માણસ સારો છે, પણ પત્રકાર તરીકે નકામો છે.   

સહેજે વિચાર આવે કે આ બાપડાનું લાઇફમાં પછી શું થયું હશે? બોલવાની તકલીફને કારણે બિચારો સાવ પાછળ રહી ગયો હશે, રાઇટ? ના. આ યુવાન આગળ જતાં સફળ ફિલ્મમેકર બને છે. હજુ હમણાં જ એની રોલરકોસ્ટર રાઇડ જેવા અજબગજબના ટ્વિસ્ટ્સ-ટર્ન્સ ધરાવતી અંધાધુન નામની એવી અફલાતૂન ફિલ્મ રિલીઝ થઈ કે જોનારાઓના મોં કાં તો પહોળા થઈ ગયા અથવા એમની બોલતી બંધ થઈ ગઈ!

વાત થઈ રહી છે શ્રીરામ રાઘવનની. એક હસીના થી (2004), જોની ગદ્દાર (2007), એજન્ટ વિનોદ (2012), બદલાપુર (2015) અને અંધાધુન (2018) જેવી એકએકથી ચડિયાતી ફિલ્મો (ઓકે, એજન્ટ વિનોદના અપવાદને બાદ કરી નાખો, બસ?) ડિરેક્ટ કરનારા શ્રીરામ રાઘવનનું નામ આજે બોલિવૂડના સૌથી ટેલેન્ટેડ અને સફળ ફિલ્મમેકર્સની સુચિમાં અધિકારપૂર્વક મૂકાય છે.   


પંચાવન વર્ષીય શ્રીરામ રાઘવનની ફિલ્મો તો મજબૂત હોય જ છે, પણ એમની ખુદની જીવનકથા ય ઓછી ઇન્ટરેસ્ટિંગ નથી. શારીરિક ક્ષતિ હોય, કોઈ સાઇકોલોજિકલ પ્રોબ્લેમ હોય અથવા બન્ને હોય તો પણ જીવન અટકી પડવું ન જોઈએ. આવી સમસ્યાઓને નાથી શકાય છે, એને અતિક્રમીને સફળ થઈ શકાય છે, ખુશ રહી શકાય છે. હૃતિક રોશનને પણ એક્ઝેક્ટલી શ્રીરામ રાઘવન જેવી જ બોલતી વખતે થોથવાની સમસ્યા હતી. મુંબઈસ્થિત રમેશ દવે નામના વિખ્યાત સ્પીચ થેરપિસ્ટના માર્ગદર્શન હેઠળ એણે સારવાર લીધી હતી. પ્રચંડ મનોબળના જોરે એ આ સમસ્યામાથી બહાર આવી ગયો અને સુપરસ્ટાર બન્યો.

સ્ટારડસ્ટમાંથી હકાલપટ્ટી થયા બાદ યુવાન શ્રીરામનું શું થયું? તેઓ એક ટ્રેડ મેગેઝિનમાં જોડાયા. ટ્રેડ મેગેઝિન એટલે કઈ ફિલ્મે કઈ ટેરેટરીમાં કેટલો બિઝનેસ કર્યો, કઈ કઈ નવી ફિલ્મોનાં મુહૂર્ત થયાં વગેરે જેવી માહિતી પીરસતું સામયિક. આ નવી નોકરીમાં બહુ બોલવાની જરૂર પડતી ન હોવાથી શ્રીરામને નિરાંત હતી. આ જ અરસામાં મુકુલ આનંદના પરિચયમાં આવવાનું થયું. સ્વર્ગસ્થ ડિરેક્ટર-પ્રોડ્યુસર મુકુલ આનંદના બાયોડેટામાં ઓરિજિનલ અગ્નિપથ, હમ, ખદાગવાહ, દસ જેવી ફિલ્મો બોલે છે. શ્રીરામ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે એમની ટીમમાં જોડાયા. શ્રીરામને એ વખતે ફિલ્મમેકિંગની એબીસીડીનો પણ આવડતો નહોતો. શોટ શરૂ થતાં પહેલાં ક્લેપ આપવાનું કામ એમને સોંપી શકાતું નહીં, કેમ કે ક્લેપ આપતી વખતે ફલાણું ફલાણું પ્રોડક્શન... સીન વન... ટેક ટુ એવું સડસડાટ બોલવું પડે, જે શ્રીરામથી થાય નહીં!

શ્રીરામને ધીમે ધીમે માનસિક સ્પષ્ટતા થઈ ગઈ હતી કે મારે ભવિષ્યમાં ફિલ્મમેકર જ બનવું છે. એક વાર મુકુલ આનંદે એમને કહ્યું કે જો દોસ્ત, તને આસિસ્ટન્ટ ડિરેક્ટરમાંથી ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બનતાં  સાતેક વર્ષ લાગી જશે. એના કરતાં મારી સલાહ છે કે તું પુનાની એફટીઆઇઆઇ (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા)માં એડમિશન લઈ લે. ત્યાંથી ત્રણ વર્ષનો કોર્સ કરીને ઇન્ડ્સ્ટ્રીમાં આવીશ તો તને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે વહેલો બ્રેક મળશે.

શ્રીરામના ગળે વાત ઉતરી ગઈ. એમણે એફટીઆઇઆઇમાં ડિરેક્શનનો કોર્સ કર્યો. એ વાત અલગ છે કે તે પછીય એમને પોતાની પહેલી ફિલ્મ બનાવતાં સાત નહીં સત્તર વર્ષ લાગ્યાં! 1987માં એફટીઆઇઆઇમાંથી બહાર આવ્યા પછી સૌથી પહેલાં તો એમણે ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્સ ઓર્ગેનાઇઝેશન)માં બે વર્ષ નોકરી કરી. અહીં તેમને પબ્લિક સેફ્ટી અનાઉન્સમેન્ટ માટે નાની નાની ફિલ્મો બનાવવાનું કામ સોંપાયું હતું. ઇસરોમાં કામનું દબાણ ખાસ ન રહેતું એટલે અહીંની અદભુત લાઇબ્રેરીમાં તેઓ પુષ્કળ સમય પસાર કરતાં. વાંચનનો જબરદસ્ત શોખ શ્રીરામ રાઘવનને એક ફિલ્મમેકર તરીકે ખૂબ કામ આવ્યો છે.


દરમિયાન શ્રીરામે એફટીઆઇઆઇના ફાયનલ યરમાં બનાવેલી ધ એઇટ કોલમ અફેર નામની ડિપ્લોમા ફિલ્મને નેશનલ અવોર્ડ મળ્યો. આ ફિલ્મનું એડિટિંગ એમના બેચમેટ રાજકુમાર હિરાણીએ કરેલું! (યુટ્યુબ પર અડધી કલાકની આ ફિલ્મ અવેલેબલ છે.) આવો પ્રતિષ્ઠિત અવોર્ડ મળવાથી શ્રીરામને પાછી ચાનક ચડી. ઇસરોમાં રાજીનામું આપીને તેઓ મુંબઈ પહોંચી ગયા. એ વીસીઆર-વીસીડીનો જમાનો હતો. શ્રીરામને એક વિડીયો મેગેઝિન માટે સિરીયલ કિલર રામન રાઘવ પર ફિલ્મ બનાવવાનું કામ મળ્યું. આ વિડીયો ફિલ્મ મર્યાદિત વર્તુળમાં ઠીક ઠીક વખણાઈ. પછી સ્ટ્રગલ શરૂ થઈ. પ્રોજેક્ટ્સ મળતા ખરા, પણ કોઈને કોઈ કારણસર વાત અટકી પડતી. શ્રીરામના સગા ભાઈ શ્રીધર રાઘવન એ વખતે સીઆઇડી અને આહટ જેવી સિરીયલો લખતા હતા. કડકી આવી જાય ત્યારે શ્રીરામ પણ અમુક એપિસોડ્સ લખી નાખતા ને ડિરેક્ટ પણ કરતા. આ સિલસિલો ત્રણચાર વર્ષ ચાલ્યો. દરમિયાન અનુરાગ કશ્યપ સાથે દોસ્તી થઈ. અનુરાગ એ વખતે રામગોપાલ વર્માને આસિસ્ટ કરી રહ્યા હતા. એકવાર અનુરાગે ફોન કરીને શ્રીરામને કહ્યું કે મેં તારી રામન રાઘવની વિડીયો કેસેટ રામુને જોવા આપી છે. રામુને ફિલ્મ ગમી. શ્રીરામને મળવા બોલાવ્યા અને કહ્યું કે સિરીયલો સમય બગાડવાને બદલે તું ફિલ્મો કેમ કરતો નથી? આખરે રામુએ એમને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે બ્રેક આપ્યો.
એ ફિલ્મ હતી, સૈફ અલી ખાન અને ઉર્મિલા માંતોડકરને ચમકાવતી એક હસીના થી. વર્ષ, 2004. 

એક ફિલ્મમેકર તરીકેની તેમની સફળ યાત્રાની આ રીતે શરૂઆત થઈ. શ્રીરામ રાઘવન ત્યારે 41 વર્ષના હતા અને હજુય બોલતી વખતે થોથવાતા હતા! પણ આ ફિલ્મની પ્રોસેસ દરમિયાન જાણે ચમત્કાર થયો. એમનું થોથવાનાનું સાવ બંધ થઈ ગયું. આજે તમે એમના ઇન્ટરવ્યુઝના વિડીયો જુઓ તો કલ્પના પણ ન થાય કે એક સમયે આ માણસ થોથવાયા વગર મસાલા ઢોસા પણ બોલી શકતો નહોતો!

શ્રીરામ રાઘવન અસલી જીવનમાં આશ્ચર્ય થાય એટલા સીધા-સરળ માણસ છે. એમની ફિલ્મો જોઈને આપણને નવાઈ લાગે કે આવા સિમ્પલ માણસને આવા હિંસક અને અતરંગી આઇડિયા કેવી રીતે આવતા હશે! શ્રીરામ રાઘવને એક જગ્યાએ કહેલું કે ગુસ્તાવ ફ્લોબર્ટ નામના ફ્રેન્ચ નવલકથાકારનું એક વાક્ય એમની પર્સનાલિટીને એકદમ બંધ બેસે છે. ગુસ્તાવે લખ્યું છે કે, ક્રિયેટિવ વ્યક્તિએ રોજિંદી જિંદગીમાં સીધા-સરળ અને સામાન્ય રહેવું, કે જેથી પોતાનાં સર્જનોમાં એ હિંસક અને ઓરિજિનલ બની શકે! 

000