Showing posts with label Osho. Show all posts
Showing posts with label Osho. Show all posts

Sunday, December 16, 2018

એક હતા ઓશો...


દિવ્ય ભાસ્કર– કળશ પૂર્તિ – 12 ડિસેમ્બર 2018, બુધવાર 
ટેક ઓફ 
અમેરિકામાં ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટની કાર્યવાહી ચાલે તે દરમિયાન રજનીશને સરકારી હિરાસતમાં રાખવામાં આવે, કારણ કે જો એમ કરવામાં નહીં આવે તો કાં તો રજનીશના અનુયાયીઓ એમને ઝેર આપીને મારી નાખશે અથવા રજનીશ ખુદ આત્મહત્યા કરી નાખશે!



શો રજનીશ જો જીવતા હોત તો એમના અનુયાયીઓએ ગઈ કાલે એમનો 87 જન્મદિવસ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હોત. ઓશો (જન્મઃ 11 ડિસેમ્બર 1931, મૃત્યુઃ 19 જાન્યુઆરી 1990) 61મા વર્ષમાં પ્રવેશ કરે તે પહેલાં જ મૃત્યુ પામ્યા. અત્યંત મેધાવી, ઓરિજિનલ અને અસાધારણ ઓશોનું માત્ર જીવન જ નહીં, મૃત્યુ પણ વિવાદાસ્પદ પૂરવાર થયું.

ઓફિશિયલ જાહેરાત તો એવી થઈ હતી કે ઓશોનું મોત હાર્ટ-અટેકથી થયું છે, પણ શું આ સાચું કારણ હતું? નેટફ્લિક્સની જબરદસ્ત વખણાયેલી વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી નામની ડોક્યુમેન્ટરી સિરીઝમાં ઓશોનાં મૃત્યુ ફરતે ઘેરાયેલાં પ્રશ્નોનાં વાદળને સ્પર્શવામાં જ આવ્યાં નથી. ઓશોના શંકાસ્પદ મોતને કેન્દ્રમાં રાખીને એકાધિક પુસ્તકો લખાયાં છે. અભય વૈદ્ય લિખિત હુ કિલ્ડ ઓશો?’ અને મા આનંદો (મૂળ નામ સૂ એપલટન) લિખિત વોઝ ભગવાન શ્રી રજનીશ પોઇઝન્ડ બાય રોનાલ્ડ રેગન્સ અમેરિકા?’ – આ બન્ને પુસ્તકોનો સૂર એક જ છેઃ અમેરિકન સત્તાવાળાઓએ ઓશોની હકાલપટ્ટી કરી એની પહેલાં જ્યારે એમને ધીમું ઝેર આપ્યું હતું. આ ઝેર જ ઓશોનાં મોતનું કારણ બન્યું.

ઓશોના મૃત્યુ વિશે, ખેર, ઘણી કોન્સિપરસી થિયરી ઘડાઈ છે. એક સમયે ઓશોથી સૌથી નિકટ ગણાતાં એમનાં પર્સનલ સેક્રેટરી મા આનંદ શીલાથી માંડીને સ્વામી દેવરાજ (પર્સનલ ફિઝિશીયન) અને સ્વામી આનંદ જયેશ (કેનેડિયન માઇકલ ઓબાર્ની, જે ઓશોના કેટલાંય ટ્રસ્ટ સાથે સીધા કે આડકતરી રીતે સંકળાયેલા હતા) જેવાં ઘણા લોકો તરફ આંગળી ચીંધાઈ, પણ આ તમામ થિયરીમાં ઝેરવાળી થિયરી સૌથી વજનદાર છે. ઓશોના નિધન બાદ એમના પૂનાસ્થિત આશ્રમમાંથી જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં પણ ઝેરને જ મોતનું કારણ ગણાવવામાં આવ્યું હતું.

એક્ઝેક્ટલી શો હતો આ ઝેરનો મામલો? અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી વકીલાત કરી ચુકેલાં સૂ એપલટન, કે જે પછી ઓશોનાં અનુયાયી બનીને મા આનંદો બની ગયાં હતાં, એમણે પોતાનાં પુસ્તકમાં આ મુદ્દાને માઈક્રોસ્કોપ નીચે મૂકીને ચકાસ્યો છે. અમેરિકામાં રજનીશ અને એમના અનુયાયીઓ વિરુદ્ધ તીવ્ર હવા બની ચુકી હતી ત્યારની આ વાત છે. (ઓશો નામ રજનીશે અમેરિકાથી ભારત પાછા ફર્યા બાદ ધારણ કરેલું.) એમણે કરેલાં કથિત કૃત્યો વિરુદ્ધ સરકાર કડક હાથે કામ ચલાવશે એ સ્પષ્ટ થઈ ચુક્યું હતું. આખરે 28 ઓક્ટોબર 1985ના રોજ નોર્થ કેરોલિના સ્ટેટ સ્થિત શાર્લોટ શહેરમાં રજનીશની ધરપકડ કરવામાં આવી. સરકારી અધિકારીઓએ ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરી કે કે કોર્ટની કાર્યવાહી ચાલે તે દરમિયાન રજનીશને સરકારી હિરાસતમાં રાખવામાં આવે, કારણ કે જો એમ કરવામાં નહીં આવે તો કાં તો રજનીશના અનુયાયીઓ એમને ઝેર આપીને મારી નાખશે અથવા રજનીશ ખુદ આત્મહત્યા કરી નાખશે!

એમને સાત દિવસ સરકારી હિરાસતમાં રાખવામાં આવ્યા. રજનીશને પોર્ટલેન્ડ લઈ જવાના છે એવું કહીને 4 નવેમ્બર 1985ના રોજ એમને સશસ્ત્ર પહેરા હેઠળ કસ્ટડીમાંથી બહાર કાઢવામાં આવ્યા. પોર્ટલેન્ડ એ અમેરિકાના ઓરેગોન રાજ્યનું સૌથી મોટું શહેર છે. રજનીશપુરમ નામનું રજવાડું ઓરેગોનમાં જ વિકસાવવામાં આવ્યું હતું. શાર્લોટથી પ્લેનમાં પોર્ટલેન્ડ પહોંચતાં માંડ પાંચ કલાક થાય, પણ રજનીશને આટલું અંતર કાપતાં ત્રણ દિવસે લાગ્યા. કેમ આમ થયું? 4થી 7 નવેમ્બર 1985 દરમિયાન રજનીશ ક્યાં અદશ્ય થઈ ગયા હતા? જો ઝેરવાળી કન્સિપરસી થિયરીને સાચી માનવામાં આવે, તો જે કોઈ કાંડ થયો તે આ ત્રણ દિવસ દરમિયાન થયો હતો. 

રજનીશના વકીલોએ આ ત્રણ દિવસનો હિસાબ માગ્યો ત્યારે અમેરિકાના સરકારી અધિકારીઓએ કશી જ વિગત આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એ તો પાછળથી ઓકલાહોમા સ્ટેટના એક ઓફિસરે માહિતી આપી કે રજનીશને 4 નવેમ્બર 1985ની રાતે ઓકલાહોમાની એક ગ્રામ્ય જેલમાં રાખવામાં આવ્યા હતા. મજા જુઓ. આ જેલના ઇન-ચાર્જે કહી દીધું કે અમારી જેલમાં તે રાતે રજનીશ નામની કોઈ વ્યક્તિ આવી જ નહોતી. રજનીશના વકીલે તંત ન મૂક્યો. એણે જેલના વોલ્ટરૂમમાં જઈને ત્યાં કામ કરતા ક્લર્કને વિનંતી કરી. ખાંખાખોળા કરતાં એક દસ્તાવેજ જડી આવ્યો. એમાં લખ્યું હતું કે 4 નવેમ્બર 1985ના રોજ રાતે 8 વાગીને 35 મિનિટે રજનીશપુરમમાં વસતા ડેવિડ વોશિંગ્ટન નામના માણસને જેલમાં લાવવામાં આવ્યો હતો. બીજા દિવસે બપોરે સવાત્રણે એને છોડી મૂકવામાં આવેલો. ફોર્મના નીચેના ભાગમાં સહીની જગ્યા ઉપર સફેદ પ્રવાહી લગાડીને એ માણસના હસ્તાક્ષર મિટાવી દેવામાં આવ્યા હતા. પ્રવાહીના સફેદ ડાઘા ઉપર વોશિંગ્ટન ડેવિડ એવું ટાઇપ કરવામાં આવ્યું હતું!  

જેલમાંથી બહાર કાઢ્યા પછી રજનીશને ક્યાં લઈ જવામાં આવ્યા હતા? ઓકલાહોમાની બહાર ગુનેગારો માટેના સુધારણા-કેન્દ્રમાં. પાંચમી અને છઠ્ઠી નવેમ્બર રજનીશે અહીં ગાળી. રજનીશની યાદશક્તિ કેટલી પ્રચંડ હતી તે આખી દુનિયા જાણે છે, પણ રજનીશને 5 અને 6 નવેમ્બર 1985ની રાત યાદ જ નહોતી! એમને 4 ડિસેમ્બરની ઓકલાહોમાના જેલમાં વીતાવેલી રાત જ યાદ હતી. તેમણે કહેલું કે મને તે રાતે બહુ જ સરસ ઊંઘ આવેલી. બસ, આટલું જ. તે પછીના બે દિવસ અને બે રાતની તમામ વિગતો એમના દિમાગમાંથી સમૂળગી ભૂંસાઈ ગઈ હતી, અથવા કહો કે, ભૂંસી નાખવામાં આવી હતી.

આ ઘટનાક્રમ પછી રજનીશને સખત ચક્કર અને ઉબકા આવવા, માથું દુખવું, ભૂખ ન લાગવી જેવી શારીરિક તકલીફો શરૂ થઈ ગઈ. 14 નવેમ્બર 1985ના રોજ ચોપન વર્ષીય રજનીશને અમેરિકા છોડવાનું ફરમાન કરવામાં આવ્યું. કેટલાય દેશોમાંથી જાકારો મળ્યા બાદ તેઓ આખરે ભારત પાછા ફર્યા. રજનીશ અગાઉ કડેધડે હતા, પણ હવે એમને નાનીમોટી બીમારીઓ લાગુ પડવા માંડી. વાળ ઊતરવા માંડ્યા, આંખે ઝાંખપ આવવાને કારણે વાંચવાનું ઉત્તરોત્તર ઓછું થતું ગયું, હાથ અને ખભાના સાંધા દુખવા લાગ્યા. 1987ના જાન્યુઆરીથી ઓક્ટોબરની વચ્ચે રજનીશે નાદુરસ્ત તબિયતને કારણે 91 દિવસ પ્રવચન કેન્સલ કરવા પડ્યા.

એક વાર રજનીશના કાનમાં ઇન્ફેક્શન થઈ ગયું. ટ્રીટમેન્ટ શરૂ થયા પછી સામાન્યપણે સાતેક દિવસમાં આ તકલીફ દૂર થઈ જવી જોઈતી હતી. એને બદલે કાન ઠીક થતાં દોઢ મહિનો લાગ્યો. ડોક્ટરો ચેતી ગયા. એમને સમજાયું કે મામલો ગંભીર છે. રજનીશનાં વાળ-લોહી-પેશાબનાં નમૂના, હાડકાંના એક્સ-રે વગેરે લંડન મોકલવામાં આવ્યાં. સારામાં સારી લેબોરેટરીઓમાં કેટલાંય પરીક્ષણો થયાં. તે પછીય ડોક્ટરો કોઈ ચોક્કસ નિદાન પર પહોંચી ન શક્યા, પણ એમણે ત્રણ સંભાવના જરૂર વ્યક્ત કરીઃ રજનીશનાં શરીરમાં જે લક્ષણો જોવા મળે છે એવા કાં તો કેન્સરને લીધે હોય, કાં રેડિયેશનના સંપર્કના કારણે હોય અથવા થેલિયમ પોઇઝનિંગને કારણે હોય. કેન્સર અને રેડિયેશનના વિકલ્પો બંધ બેસતા નહોતા એટલે બચ્યો માત્ર થેલિયમ પોઇઝનિંગવાળો વિકલ્પ.

થેલિયમને ઉંદર મારવાની દવામાં નાખવામાં આવે છે. ઉંદર જ નહીં, માનવહત્યા માટે પણ દુનિયાભરમાં તેનો ઉપયોગ થાય છે. તે રંગહીન, ગંધહીન તત્ત્વ છે, પાણીમાં આસાનીથી ભળી જાય છે. થેલિયમ માણસની ચેપ વિરુદ્ધની પ્રતિકારક્ષમતા સાવ ઘટાડી નાખે છે. થેલિયમનો હેવી ડોઝ આપવામાં આવે તો એ જીવ ખેંચી લે, પણ નાના નાના ડોઝથી માણસની નર્વસ સિસ્ટમ (જ્ઞાનતંત્ર) ધીમે ધીમે ક્ષીણ થઈને આખરે સાવ ખતમ થઈ જાય. થેલિયમ અપાયું હોય તો પણ ત્રણથી છ મહિના બાદ શરીરમાં એની કોઈ નિશાની પકડાતી નથી. એક લીટર પ્રવાહીમાં થેલિયમની માઇક્રોગ્રામથી કરતાં વધારે માત્રામાં હોય તો જ તેને પકડી શકાય. રજનીશનાં પરીક્ષણો તો અમેરિકા છોડ્યા બાદ બહુ મોડાં શરૂ થયેલાં. દેખીતું છે કે જુદી જુદી ટેસ્ટ્સમાં થેલિયમની હાજરી ન જ વર્તાય. 
  
ધારો કે થેલિયમવાળો વિકલ્પ સાચો હોય તો સવાલ એ ઉઠે કે રજનીશને તે કોણે અને ક્યારે આપ્યું? આનો ઉત્તરમાં માત્ર અટકળ થઈ શકે અને તે એ કે 4થી 7 નવેમ્બર 1985 દરમિયાન અમેરિકામાં સરકારી તંત્ર દ્વારા રજનીશને જે રીતે ગાયબ કરી દેવામાં આવેલા ત્યારે આ કુચેષ્ટા થઈ હોવી જોઈએ. અમેરિકાના રૂઢિચુસ્ત વર્ગને  રજનીશ આંખના કણાની જેમ ખૂંચતા હતા. રજનીશના ક્રાંતિકારી અને બોલ્ડ વિચારો એમને ખ્રિસ્તી-વિરોધી લાગતા હતા. થેલિયમના ડોઝ સંભવતઃ રજનીશને અપાયેલી ઓફ-ધ-રેકોર્ડ સજા હતી!   

અગાઉ નોંધ્યુ તેમ, રજનીશના અત્યંત નિકટના અનુયાયીઓએ જ એમનો કાંટો કાઢી નાખ્યો હોય એવી થિયરી પણ છે જ. રજનીશનાં નિધનના ફક્ત 41 દિવસ પહેલાં એમની ખૂબ વિશ્વાસુ ગણાતાં કેર-ટેકર મા પ્રેમ નિર્વાણોનું ભેદી સંજોગોમાં મોત થઈ ગયું હતું. મા પ્રેમ નિર્વાણો ફ્કત ચાલીસ વર્ષનાં હતાં ને એકદમ સાજાસારા હતાં.    
  
અમુક પ્રશ્નો અનુત્તર રહી જવા સર્જાયા હોય છે. અચાનક ત્રાટકેલું અથવા અસ્પષ્ટ રહી જતું મોત અસામાન્ય વ્યક્તિનું કદ વધારે લાર્જર-ધેન-લાઇફ બનાવી દેતું હોય છે. ઓશોની જેમ...

0 0 0 

Tuesday, July 3, 2018

વર્લ્ડ-ક્લાસ ડોક્યુમેન્ટરી બનાવવાની કળા


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 1 જુલાઈ 2018
મલ્ટિપ્લેક્સ
'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' ડોક્યુ-સિરીઝનો કેન્દ્રિય ભાવ 'ફિઅર ઓફ અધર્સ' છે. જે પોતાના જેવા નથી એવા અજાણ્યા લોકો તરફથી ઊભો થતો કલ્પિત કે વાસ્તવિક ભય. રજનીશના અનુયાયીઓ અને સ્થાનિક અમેરિકનો એમ બન્ને જૂથના લોકો દઢપણે માનતા રહ્યા કે પોતે  સાચા અને નિર્દોષ છે, બદમાશ તો સામેની પાર્ટી છે. બન્નેમાંથી કોઈએ છેક સુધી નમતું ન જોખ્યું. પરિણામે કલ્પી ન શકાય એવો મોટો કાંડ થઈ ગયો.  
બિલકુલ. રાજકુમાર હિરાણી-રણબીર કપૂરની 'સંજુ' અત્યારે જોરદાર ન્યુઝમાં છે તે કબૂલ, પણ આપણે ગયા રવિવારે ઓશો રજનીશના 'અમેરિકન' જીવન પર બનેલી 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' નામની અદભુત ડોક્યુમેન્ટરી વિશે વાત માંડી હતી તે પહેલાં પૂરી કરીએ. નેટફ્લિક્સ પર આ અંગ્રેજી ડોક્યુ-સિરીઝના એક-એક કલાકના છએ છ તબલાતોડ એપિસોડ્સ અવેલેબલ છે અને દુનિયાભરના લોકો જેને અધ્ધર શ્વાસે જોઈ ગયા છે અથવા જોઈ રહ્યા છે. જેની ગુણવત્તા સો ટચના સોના જેવી છે એવી આ ડોક્યુ-સિરીઝમાં છે શું તે થોડું રિવાઇન્ડ કરીને જોઈ લઈએ.
1980ના દાયકા પ્રારંભમાં રજનીશ (તે વખતે તેઓ ઓશો નહીં પણ 'ભગવાન' હતા) અને એમના અનુયાયીઓ માનવજાત માટે આદર્શ કહી શકાય એવી દુનિયાનું સર્જન કરવા માગતા હતા. આ માટે એમણે અમેરિકાના ઓરેગોન રાજ્યની 64 હજાર એકરમાં ફેલાયેલી ઉજ્જડ જમીન પસંદ કરી. અહીં તેમણે શાનદાર રજનીશપુરમ નામનું નગર ઊભું કર્યું. એમનો શુભ આશય તો એવો હતો કે અહીં માત્ર પ્રેમ, કરૂણા, મૈત્રી, સદભાવના અને આઝાદીનું રાજ ચાલતું હોય. હકીકતમાં થયું એનાથી બિલકુલ ઊલટું. સેક્સ કલ્ટ તરીકે બદનામ થઈ ગયેલા આ સમુદાયના કેટલાક લોકો પર સેમી-ઓટોમેટિક હથિયારો ધરાવવા, સ્થાનિક અમેરિકનોને, ખાસ કરીને એન્ટેલોપ નામના પાડોશમાં આવેલા ટચુકડા ગામના રહેવાસીઓને નુક્સાન પહોંચાડવા માટે વોટર પોઇઝનિંગ, ફૂડ-પોઇઝિનંગ, સ્થાનિક ચૂંટણીમાં ઘાલમેલ, ઇવન હત્યાનો પ્રયાસ વગેરે જેવા સંગીન અપરાધો કરવાનો આરોપ લાગ્યો. રજનીશીઓ અને સ્થાનિક અમેરિકનો વચ્ચે જંગ ફાટી નીકળ્યો. અદાલતમાં કેસ ચાલ્યા.  સરવાળે રજનીશે પોતાના નિકટના અનુયાયીઓ સાથે રાતોરાત જીવ બચાવીને નાસવું પડ્યું. રજનીશપુરમ હતું ન હતું થઈ ગયું. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી'માં આ સમગ્ર ઘટનાક્રમ કમાલની અસરકારકતાથી પેશ કરવામાં આવ્યો છે. શ્રેષ્ઠ બાબત એ છે કે રજનીશપુરમવાસીઓ અને સ્થાનિક અમેરિકનોમાંથી કોણ કેટલું સાચું હતું કે ખોટું હતું એનો નિર્ણય કરવાનું કામ ઓડિયન્સ પર છોડી દેવામાં આવ્યું છે.
આ ડોક્યુ-સિરીઝ ચેપમેન વે અને મેક્લેઇન વે નામના પચીસ-ત્રીસ વર્ષના બે સગા અમેરિકન ભાઈઓએ બનાવી છે. એમને આ વિષય પર કામ કરવાનું શી રીતે સૂઝ્યું? બન્યું એવું કે 2014માં તેઓ 'ધ બેટર્ડ બાસ્ટર્ડ્સ ઓફ બેઝબોલ' નામની ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા હતા, જે અમેરિકાના ઓરેગોન રાજ્યના પોર્ટલેન્ડ શહેરની 1970ના દાયકાની એક બેઝબોલ ટીમ પર આધારિત હતી. આ ડોક્યુમેન્ટરી માટે જરૂરી રિસર્ચ કરવા બન્ને ભાઈઓ ફિલ્મ આર્કાઇવ્ઝમાં જઈને તે જમાનાનું ફૂટેજ શોધવા ખાંખાંખોળા કરતા. આ સમયગાળા દરમિયાન એમની નજરે 'ભગવાન રજનીશ', 'રજનીશપુરમ' વગેરે જેવાં મથાળાંવાળી ચિક્કાર ટેપ્સ નજરે ચડી. ચેપમેન અને મેક્લેઇને જિંદગીમાં અગાઉ ક્યારેય રજનીશનું નામ સુધ્ધાં નહોતું સાંભળ્યું.
Dicector duo: Chapman Way and Maclain Way
એક વાર એમણે એમ જ કોઈ ટેપ પ્લે કરી.  એમને થયું કે કોણ છે આ પોતાને સંન્યાસી કહેડાવતા લાલ કપડાંવાળા વરણાગી લોકો? ઓરેગોનના ઉજ્જડ રણમાં તેઓ શું કરી રહ્યા છે? ભાઈઓને કુતૂહલ થયું એટલે તેઓ વધુ ને વધુ ટેપ્સ જોતા ગયા. રજનીશ એટલે કોણ, એમના અનુયાયીઓ કોણ છે, રજનીશપુરમ એટલે શું અને આ બધો હોબાળો શા માટે છે એ ધીમે ધીમે એમને સમજાતું ગયું. એમણે પામી લીધું કે આના પરથી જબરદસ્ત ડોક્યુમેન્ટરી બની શકે તેમ છે0 એમને નવાઇ એ વાતની લાગી રહી હતી કે માન્યામાં ન આવે એટલી હદે ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ ધરાવતી આ સત્યઘટનાને આજનું અમેરિકા ભૂલી કેવી રીતે ગયું?
ભાઈઓએ સારા માંહ્યલો પ્રોડ્યુસર શોધી કાઢ્યો. બેઝબોલવાળી ડોક્યુમેન્ટરીનું કામ પૂરું થતાંની સાથે જ તેમણે 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' બનાવવાનું કામ શરૂ કરી દીધું. છ એપિસોડની આ ડોક્યુ-સિરીઝ બનાવતાં એમને ચાર વર્ષ લાગ્યા! જૂના ફૂટેજના મામલામાં તેઓ ખરેખર લકી પૂરવાર થયા. 1980ના દાયકામાં, બીટાકેમ પ્રચલિત બન્યા એની પહેલાં સ્થાનિક ટીવી સ્ટેશનો યુ-મેટિક ટેપ્સ પર શૂટિંગ કરતાં. ખર્ચ બચાવવા માટે એકની એક ટેપ ઉપર વારે વારે રેકોર્ડિંગ કર્યા કરતા. આગલા દિવસના ન્યુઝ જૂના થઈ જાય એટલે એની ટેપ પર નવા દિવસનું ફૂટેજ 'છાપવામાં' આવતું. સદભાગ્યે ટીવી સ્ટેશનવાળાઓને તે વખતે રજનીશપુરમની સ્ટોરી રુટિન કરતાં ઘણી વેગળી અને મહત્ત્વની લાગી. આથી રજનીશપુરમવાળું ફૂટેજ ધરાવતી યુ-મિટક ટેપ્સ પર કશુંય ઓવરરાઇટ કરવાને બદલે એમણે એ સઘળી ટેપ્સ જાળવી રાખી. આને લીધે ચેપમેન અને મેક્લેઇનને જુદા જુદા લોકલ ટીવી સ્ટેશનોએ રજનીશપુરમની અંદર જઈને શૂટ કરેલું કુલ 300 કરતાં વધારે કલાકનું કિમતી ફૂટેજ મળી ગયું. રજનીશપુરમની સાવ અડીને રહેલા સ્થાનિક અમેરિકનો સાથે ટીવી પત્રકારોએ કરેલી વાતચીતનું ફૂટેજ પણ ખરું. રજનીશપુરમ વિશે પચાસેક જેટલાં પુસ્તકો લખાયાં હતાં તે અને એ સિવાયના રજનીશ વિશેના બને એટલાં વધારે પુસ્તકો આ ડોક્યુમેન્ટ્રીમેકર ભાઈઓએ વાંચી કાઢ્યા.
તમે ડોક્યુ-સિરીઝ જોશો તો સમજાશે કે એમાં બે પ્રકારનાં દશ્યો વારાફરતી આવ્યાં કરે છે. એક, 1980ના દાયકામાં બનેલી દિલધડક ઘટનાઓનું એક્ચ્યુઅલ ફૂટેજ. બીજું, આ બધું જ જોઈ-અનુભવી ચુકેલા અને સમગ્ર ઘટનાક્રમનો હિસ્સો રહી ચુકેલાં માનવપાત્રોના અત્યારના ઇન્ટરવ્યુઝ. આ ડોક્યુ-સિરીઝ માટે ભૂતપૂર્વ રજનીશીઓ અને સ્થાનિક અમેરિકનોમાંથી કોઈ આસાનીથી ઇન્ટરવ્યુ આપવા માટે તૈયાર નહોતું થયું. સૌને ખૂબ મનાવવા પડ્યા હતા.

રજનીશપુરમના આખા કાંડમાં સૌથી શક્તિશાળી પાત્ર તરીકે મા આનંદ શીલા ઉપસે છે. મા આનંદ શીલા એટલે વધારે પડતા આત્મવિશ્વાસથી છલછલતી, કોઈ પણ સંજોગોમાં હાર ન માનવાવાળી, ગજબની ભારાડી એવી રજનીશની પર્સનલ સેક્રેટરી. સમજોને કે રજનીશપુરમનો સમગ્ર કારભાર રજનીશે એને જ સોંપી દીધો હતો. આ ડોક્યુમેન્ટરીનો એક મોટો પ્લસ પોઇન્ટ એ છે કે મા આનંદ શીલાને શોધીને એમની પાસેથી સ્ફોટક વાતો કઢાવવામાં ચેપમને અને મેક્લેઇન વે સફળ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા એના બીજા જ દિવસે બન્ને ભાઈઓએ મા આનંદ શીલાને મળવા યુરોપની ફ્લાઇટ પકડી હતી. એમને મળતાંની સાથે જ મા આનંદ શીલાએ બન્નેને રીતસર ધમકાવી નાખેલાઃ તમને અમેરિકનોને શું થઈ ગયું છે? તમારામાં સેન્સ-ઓફ-કલ્ચર જેવું કશુંય બચ્યું નથી? સાવ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા માણસને તમે દેશનો પ્રેસિડન્ટ કેવી રીતે બનાવી શકો?
મા આનંદ શીલા સાથે ચેપમેન અને મેક્લેઇને પાંચ દિવસ ગાળ્યા. પહેલો એક-દોઢ દિવસ તો મા આનંદ શીલા ખાસ ખુલ્યાં કે ખીલ્યા નહીં. સદભાગ્યે ચેપમેન અને મેક્લેઇને વૃદ્ધ બની ગયેલા સ્થાનિક ઓરેગોનવાસીઓના તાજા ઇન્ટરવ્યુઝ ઓલરેડી કરી નાખ્યા હતા. એમાં એમણે રજનીશીઓ પર નવેસરથી બેફામ આરોપો લગાવ્યા હતા. આ ફૂટેજ મા આનંદ શીલાને બતાવવામાં આવ્યું. એક સમયના જાની દુશ્મન એવા સ્થાનિક અમેરિકનોની તાજી આક્ષેપબાજી સાંભળીને મા આનંદ શીલા સખત  ભડક્યાં... અને પછી જે એમની વાચા ફૂટી છે!        
રજનીશપુરમનો ભલે ફિયાસ્કો થયો, બાકી મોટા ભાગના સંન્યાસીઓ આજની તારીખે પણ રજનીશપુરમમાં એમને જે આંતરિક સમૃદ્ધિનો અનુભવ થયેલો તે બદલ ધન્યતા અનુભવે છે. ડિરેક્ટરોને ભાગ્યે જ એવો કોઈ સંન્યાસી મળ્યો (અથવા મળી) જે રજનીશ માટે ઘસાતું બોલતું હોય. હા, અમુક સંન્યાસીઓને મા આનંદ શીલા પ્રત્યે ગુસ્સો જરૂર છે. રજનીશની ફિલોસોફી અને વિઝનમાં આજની તારીખે પણ એમને ભરપૂર શ્રદ્ધા છે. રજનીશે જાહેરમાં મા આનંદ શીલાને ખૂબ ખરીખોટી સંભળાવી હતી, પણ મા આનંદ શીલા આજે પણ એમને પોતાના ગુરૂ ગણે છે અને એમને યાદ કરીને રડી પડે છે.
આ ડોક્યુ-સિરીઝનો કેન્દ્રિય ભાવ ફિઅર ઓફ અધર્સ છે. જે પોતાના જેવા નથી એવા લોકો તરફથી ઊભો થતો કલ્પિત કે વાસ્તવિક ભય. એવું કશું મટીરિયલ ખરું જે આ છ એપિસોડમાં સમાવી ન શકાયું હોય? હા, ઘણું બધું. એમાં 'ધ ડે ઇન લાઇફ' નામનું સેક્શન મુખ્ય છે. રજનીશપુરમમાં રહેતો સરેરાશ સંન્યાસી દિવસ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ કરતો હતો એ દર્શાવતી એક આખી સિકવન્સ તૈયાર કરવામાં આવેલી, જે એડિટિંગ ટેબલ પર ઉડાવી દેવી પડી. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી'ની ડીવીડી બહાર પડશે ત્યારે એકસ્ટ્રા ફિચર યા તો ડિરેક્ટર્સ કટમાં 'ઘ ડે ઇન લાઇફ' જરૂર સામેલ કરવામાં આવશે.    
સો વાતની એક વાત. નેટફ્લિક્સની 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' ડોક્યુ-સિરીઝ જો હજુ સુધી ન જોઈ હોય તો જોઈ કાઢજો. ગુડ ન્યુઝ એ છે કે જો સઘળું સમુસૂતરું પાર પડશે તો આપણને વહેલા-મોડી 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' સિક્વલ પણ જોવા મળશે. ટચવૂડ! 

000



Monday, June 25, 2018

હે ભગવાન!


સંદેશ - સંસ્કાર પૂર્તિ - તારીખ 24 જૂન 2018 

મલ્ટિપ્લેક્સ                   

સત્ય કલ્પના કરતાંય વધારે વિચિત્ર, ભયાવહ અને પીડાદાયી હોઈ શકે છે. ઓશો રજનીશના જીવનના એક વિવાદાસ્પદ પ્રકરણની છણાવટ કરતી 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' નામની ડોક્યુ-સિરીઝમાં હબકી જવાય, આંખો પહોળી થઈ જાય એવી ઘટનાઓ જોતી વખતે આપણને થાય કે આ બધું શું ખરેખર બન્યું હતુંઆવું બધું વાસ્તવમાં બનવું શક્ય છે?




તાજેતરમાં દુનિયાભરમાં જબરદસ્ત ગાજેલી કોઈ એક ડોક્યુમેન્ટરીનું નામ લેવાનું હોય તો તે કઈ હોઈ શકે? આનો જવાબ એટલો બધો સ્પષ્ટ છે કે માથું ખંજવાળવાનો કે વિચારવા બેસવાની જરૂર જ નથી. આ ડોક્યુમેન્ટરી છે, 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી', જે નેટફ્લિક્સ પર ત્રણેક મહિના પહેલાં મૂકાઈ. ડોક્યુમેન્ટરી શબ્દ કાને પડે એટલે અસંખ્ય લોકો માટે આજની તારીખે ય કંટાળજનક, નકરી માહિતીનો ઢગલો કરતું શુષ્ક જોણું એવું સમીકરણ ઊપસે છે. આવું માનનારાઓએ તાત્કાલિક આ શ્રેણી જોઈ કાઢવી જોઈએ. ડોક્યુમેન્ટરીની આખી ઇમેજ બદલી જશે.

ઓશો હજુ ભગવાન રજનીશ હતા ત્યારે, 1980ના દાયકામાં, અમેરિકાના ઓરેગોન રાજ્યની એક ઉજ્જડ જગ્યાએ એમના અનુયાયીઓએ રજનીશપુરમ નામની આખેઆખી ટાઉનશિપ ઊભી કરી હતી. આ ટાઉનશિપમાં મેડિટેશન હોલ હતો, કતારબદ્ધ રહેઠાણો હતાં, રેસ્ટોરાંઓ હતી, લેબોરેટરી-કમ-રિસર્ચ સેન્ટર હતું, પ્રાઇવેટ ડેમ હતું અને એક હવાઇપટ્ટી પણ હતી જેના પરથી પ્લેનો ટેક-ઓફ અને લેન્ડિંગ કરતાં હતાં. ઓશો રજનીશના અનુયાયીઓમાં પશ્ર્ચિમના કૂડીબંધ રિચ, ફેમસ અને ઇન્ટેલિજન્ટ લોકોનો સમાવેશ થતો હતો. સુપર ક્વોલિફાઇડ અને પ્રતિભાશાળી લોકો જ્યારે એકઠા થઈને સપનોં કા નગર ઊભું કરે ત્યારે એમાં શી કમી હોય!

રજનીશ 'ન્યુ મેન' એટલે કે આંતરિક સમૃદ્ધિથી ભરપૂર એવા મોડર્ન મનુષ્યોનો આખો સમુદાય વિકસાવવા માગતા હતા. તે ન્યાયે રજનીશપુરમમાં ખરેખર તો મૈત્રી, મહોબ્બત, કરુણા, સદભાવના અને આઝાદીની આબોહવા ઊભી થવી જોઈતી હતી. શરૂઆતમાં એવું વાતાવરણ જામ્યું પણ ખરું, પણ ધીમે ધીમે માહોલ કલ્પી ન શકાય એટલી હદે બદલાતો ગયો. સેક્સ કલ્ટ તરીકે ઓળખાતા આ સમુદાયના લાલ વસ્ત્રધારી સંન્યાસીઓ યા તો રજનીશીઓમાંથી કેટલાય લોકો કાનૂની કેસમાં સંડોવાયા. આક્ષેપો અને અપરાધો પણ કેવા કેવા. સેમી-ઓટોમેટિક હથિયારો ધરાવવા, પાણીમાં ઝેરીલાં તત્ત્વો ભેળવીને પાડોશમાં આવેલી વસતીને ખતમ કરી નાખવાનો કારસો રચવો, માણસને મારે નહીં તો કમસે કમ માંદા પાડી નાખે એવી ભયંકર મિલાવટ ખાદ્ય પદાર્થોમાં કરવી (આ કુચેષ્ટા માટે  અમેરિકાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય થયો ન હોય તેવો 'બાયો-કેમિકલ ટેરરિસ્ટ અટેક' એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે), ઓરેગોન રાજ્યના યુએસ અટર્નીની હત્યાનો પ્રયાસ કરવો, સ્થાનિક ચૂંટણી મેનિપ્યુલેટ કરવી વગેરે.



આ ક્યા પ્રકારની આધ્યાત્મિકતા હતી? આ કેવો ધર્મ હતો? રજનીશે મા આનંદ શીલા નામની પોતાની અતિ વિચક્ષણ ભક્તાણીને શી રીતે આટલી બધી સત્તા આપી દીધી? પ્રતિપ્રશ્ન એ પણ છે કે શું સંન્યાસીઓ વિરુદ્ધ થયેલા આ આક્ષેપ કે કાનૂની કારવાઈ ખરેખર વ્યાજબી હતાં? કે પછી, અમેરિકન સત્તાવાળાઓ રજનીશ અને એમના અનુયાયીઓની પાછળ પડી ગયા હતા? શું તેઓ યેન કેન પ્રકારણે રજનીશ અને એમના કાફલાને અમેરિકામાંથી ભગાડી મૂકવા માગતા હતા (જેમાં તેઓ સફળ પણ થયા)?

ડોક્યુમેન્ટરીમાં જોન્સટાઉન ટ્રેજેડીનો ઉલ્લેખ વારંવાર થાય છે. જોન્સટાઉન નામના અમેરિકન નગરમાં થયેલી ભયાનક કરુણાંતિકા અમેરિકાની સામૂહિક જનચેતનામાં સજ્જડપણે અંકિત થયેલી છે. જોન્સટાઉનનો ઘટનાક્રમ 1978માં બનેલો, રજનીશપુરમનો ફિયાસ્કો થયો એના થોડાંક જ વર્ષ પહેલાં. બન્યું હતું એવું કે જિમ જોન્સ નામનો એક આધ્યાત્મિક ગુરુ સેંકડો અનુયાયીઓ ધરાવતો હતો. એની દોરવણી હેઠળ અનુયાયીઓને એકસાથે ઝેરી સાઇનાઇડ અપાયું. આને લીધે બસ્સો બાળકો સહિત કુલ નવસો કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યો. 'વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ' ડોક્યુ-સિરીઝ જોઈને ખાસ કરીને અમેરિકનોને ઝટકો એ વાતનો લાગ્યો કે જોન્સટાઉનમાં જિમ જોન્સ હતો, તો ઓરેગોનમાં ભગવાન રજનીશ હતા. બન્નેની પાછલ એમના ભક્તો પાગલ હતા. રજનીશપુરમવાળા કિસ્સમાં પણ પોઇઝનિંગનો પ્રયાસ થયો હતો, જે સદભાગ્યે સફળ નહોતો નીવડ્યો. આ સિવાય પણ બીજા કેટલાંય સંગીન અપરાધો થયેલાં. આટઆટલું થયેલું તેમ છતાં અમેરિકા રજનીશપુરમનો આવડો મોટો કાંડ ભુલી કેવી રીતે ગયું?    

'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' નામની આ અંગ્રેજી ડોક્યુમેન્ટરીમાં જુદા જુદા મુદ્દાઓની એવી ગજબનાક શૈલીથી છણાવટ થઈ છે કે જોનારા દંગ થઈ જાય. કહે છેને કે સત્ય કલ્પના કરતાંય વધારે વિચિત્ર, વધારે ભયાવહ, વધારે પીડાદાયી હોઈ શકે છે. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' જોતી વખતે આપણને થાય કે આ બધું શું ખરેખર બન્યું હતું? આવું બનવું શક્ય છે ખરું? જવાબ એ છે કે હા, આ બધું જ બન્યું હતું. સ્ક્રીન પણ આપણે જે જોઈએ છીએ તે ડ્રામેટાઇઝેશન (નાટ્યસ્વરૂપ) નથી, પણ અસલી ઘટનાઓનું જેન્યુઇન ફૂટેજ છે. તે ઉપરાંત પડદા પર દેખાતા લોકો અસલી છે જે કેમેરા સામે આવીને પોતપોતાની કેફિયત સુણાવી રહ્યા છે.

જ્યારથી ડિજિટલ એન્ટરટેઇનમેન્ટની બોલબોલા વધી છે ત્યારથી 'બિન્જ વોચિંગ' નામનો શબ્દપ્રયોગ ખાસ્સો વપરાવા લાગ્યો છે. બિન્જીંગ એટલે આંકરાતિયાની માફક ખોરાક પર તૂટી પડવું. બિન્જ વોચિંગ એટલે સ્ક્રીન સામે ખોડાઈને ગાંડાની જેમ કલાકોના કલાકો સુધી શોના એક પછી એક એપિસોડ્સ સળંગ જોઈ કાઢવા તે. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી'માં છ એપિસોડ છે. સરેરાશ એક-એક કલાકના છ ભાગ. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' સિરીઝ એટલી હદે રોમાંચક, આઘાતજનક, રસાળ, અંદરથી હલાવી નાખે એવી, વિચારતા કરી મૂકે એવી અને મનોરંજક છે કે દુનિયાભરના ઓડિયન્સે આ સિરીઝ માત્ર જોઈ નહીં, બલ્કે એનું રીતસર બિન્જ-વોચિંગ કર્યું! અરે, એક ફિલ્મ ફેસ્ટિવલમાં તો તમામ એપિસોડ્સનું સળંગ સ્ક્રીનિંગ થયું હતું. આ એક જોખમ હતું. છ-છ કલાક સુધી ડોક્યુમેન્ટરી જોવા કોણ બેસે? પણ ઓડિયન્સ વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રીમાં એટલી હદે રમમાણ થઈ ગયું હતું કે ડોક્યુમેન્ટરીનો ધી એન્ડ ન આવે ત્યાં સુધી સૌ સજ્જડ બેસી રહેલા. 

Osho Rajneesh with Maa Anand Sheela


અદભૂત મેકિંગ છે આ સિરીઝનું. ઇન્ટેવેસ્ટિગેટિવ જર્નલિઝમનું આ ઉત્તમ ઉદાહરણ છે. સિરીઝ જોતી વખતે આપણને થાય કે આ લોકોએ કેટલી બધી મહેનત કરી છે યોગ્ય ફૂટેજ શોધવાની, લોકોના ઇન્ટરવ્યુઝ કરીને એમની પાસેથી વાતો કઢાવવાની, સઘળી સામગ્રીને એક રિધમમાં ગોઠવવાની અને સમગ્ર પેકેજિંગ કરવાની. મજાની વાત એ છે કે ડોક્યુમેન્ટરીના મેકરો કોઈ ચુકાદો તોળતા નથી. રજનીશીઓ સાચા હતા કે ખોટા હતા કે પછી સ્થાનિક અમેરિકનો તેમજ સત્તાધારીઓ સાચા હતા કે ખોટા હતા તે વિશેનું કોઈ મોરલ જજમેન્ટ આપતા નથી. તેઓ ફક્ત આપણી સામે હકીકતો પેશ કરે છે, આખી પરિસ્થિતિની સંકુલતામાં સહેજ પણ પાણી નાખ્યા વગર, તેને શક્ય એટલી રસાળ બનાવીને આપણી સામે રજૂ કરે છે અને જાણે આપણને કહે છે કે જે છે તે આ છે. હવે તમે વિચારો અને તમે નક્કી કરો કે કોણ કેટલું સાચું છે કે ખોટું છે!

આ ડોક્યુ-સિરીઝ બનાવનાર મેક્લેઇન વે અને ચેપમેન વે સગા ભાઈઓ છે. કેવી રીતે આવી અફલાતૂન અને મેચ્યોર્ડ ડોક્યુ-સિરીઝ બનાવી આ પચ્ચીસ-ત્રીસ વર્ષના જુવાનિયાઓએ? એમને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડ્યો આ શ્રેણી બનાવતી વખતે? ભૂતપૂર્વ રજનીશપુરમવાસીઓ અને ઓરેગોનવાસીઓના મોઢેથી એમણે કેવી રીતે આ બધી સ્ફોટક વાતો કઢાવી? આના જવાબ આવતા રવિવારે.   
 
0 0 0 

તા.ક. 

નેટફ્લિક્સ એક્ઝેક્ટલી શું છે તે હજુ ઘણા લોકો જાણતા નથી. સાવ સાદી ભાષામાં કહીએ તો, નેટફ્લિક્સ એક વેબસાઇટ અથવા ઓનલાઇન વિડીયો લાઇબ્રેરી છે, જેમાં દુનિયાભરની સેંકડો ફિલ્મો, ટીવી શોઝ, રજનીશ વિશેની આ ડોક્યુ-સિરીઝ જેવી બીજી કેટલીય ડોક્મેયુન્ટરીઓ વગેરેનો આખો ભંડાર છે. તમારા સમયે અને સગવડે આ ડિજિટલ મનોરંજન માણવા માટે નેટફ્લિક્સનું લવાજમ ભરવું પડે. ભારતમાં હાલ નેટફ્લિક્સનું બેેઝિક  સબસ્ક્રિપ્શન માસિક 500 રુપિયા છે.  


0 0 0 

Monday, June 30, 2014

મલ્ટિપ્લેક્સ : સોચો કભી ઐસા હો તો ક્યા હો...


Sandesh - Ardh Saptahik Purti - 29 June 2014


મલ્ટિપ્લેક્સ 
ધારો કે ૧૯૮૦ના દાયકાના પ્રારંભમાં અમિતાભ બચ્ચનને ટક્કર આપવાનું કૌવત ધરાવતા એકમાત્ર સુપરસ્ટાર વિનોદ ખન્નાએ અણધારી નિવૃત્તિ ન લઈ લીધી હોત તો? ધારો કે 'એક દૂજે કે લિએ'ની સુપરડુપર સફળતા પછી કમલ હાસને મુંબઈમાં સેટલ થઈને માત્ર અને માત્ર હિન્દી સિનેમા પર ફોકસ કર્યું હોત તો? તો બોલિવૂડનો સ્ક્રીન પ્લે કદાચ સાવ જુદી જ રીતે લખાયો હોત!

'જો' અને 'તો' દુનિયા બડી રોમાંચક હોય છે. જીવનમાં એકને બદલે બીજી ઘટના બને તો કેવળ આપણી જ નહીંક્યારેક બીજાઓના જીવનની ભૂગોળ પણ બદલાઈ જતી હોય છે. સહેજ અમથું કોમ્બિનેશન બદલાય ને કંઈકેટલીય જિંદગીના આકારોમાં ફેરફાર થઈ જતો હોય છે. અમિતાભ બચ્ચન આપણને સૌને પ્યારા છે. ૭૫ વર્ષના દાદાજીથી ૪૦ વર્ષના પુત્ર૧૦ વર્ષના પૌત્ર સુધીની જનરેશનને અમિતાભનું આકર્ષણ છે. આજે જ્યારે એમની અને એમના સમકાલીનોનો આખો કરિયરગ્રાફ આપણી આંખ સામે છે ત્યારે એક કલ્પના કરવાનું મન થાય છે.
ધારો કે ૧૯૮૦ના દાયકામાં અમિતાભ બચ્ચનને ટક્કર આપવાનું કૌવત ધરાવતા એકમાત્ર સુપરસ્ટાર વિનોદ ખન્નાએ અણધારી નિવૃત્તિ ન લઈ લીધી હોત તો? અને ધારો કે 'એક દૂજે કે લિએ'ની સુપરડુપર સફળતા પછી કમલ હાસને મુંબઈમાં સેટલ થઈને માત્ર અને માત્ર હિન્દી સિનેમા પર ફોકસ કર્યું હોત તો? તો બોલિવૂડનો સ્ક્રીન પ્લે કદાચ સાવ જુદી જ રીતે લખાયો હોત!
વાતને વિગતે સમજવા સમયચક્રને ઊલટું ઘુમાવીને ૧૯૮૦ના વર્ષમાં પ્રવેશીએ. ૩૮ વર્ષના અમિતાભની કરિયર શિખર પર છે. તેઓ મેગાસ્ટાર તરીકે ક્યારના પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. આ વર્ષે એમની ચાર ફિલ્મો આવે છે- 'દો ઔર દો પાંચ','રામ બલરામ', 'દોસ્તાના' અને 'શાન'. વિનોદ ખન્ના એમના કરતાં ચાર વર્ષ નાના. બચ્ચન સાથે એમણે ઘણી ફિલ્મો કરી છે અને કેટલીય વાર એવું બન્યું છે કે બચ્ચનને ટક્કર આપીને રીતસર માત કર્યા હોય. વિનોદ ખન્નાનો કરિશ્મા પણ ગજબનો છે. ઇન્ડસ્ટ્રીમાં બચ્ચનને હંફાવી શકે એવું કોઈ હોય તો એક વિનોદ ખન્ના જ છેએવું સૌ કોઈ માને છે. ૧૯૮૦માં વિનોદ ખન્નાની બે સુપરહિટ ફિલ્મો તરખાટ મચાવે છે - 'કુરબાનીઅને 'ધ ર્બિંનગ ટ્રેન'. પુરુષો 'કુરબાની'ની બિકીનિધારી ઝિનત પર ગાંડા ગાંડા થઈ ગયા છેતો મહિલાઓ સુપર હેન્ડસમ વિનોદ ખન્નાની મર્દાના અપીલ પર ફિદા છે.

બચ્ચન-ખન્નાની આ ફિલ્મોની અસર વચ્ચે ૫ જૂન, ૧૯૮૧ના શુક્રવારેકમલ હાસન નામનો સાઉથ ઇન્ડિયન હીરો હિન્દી સ્ક્રીન પર ત્રાટકે છે. 'એક દૂજે કે લિએ'નાં અફલાતૂન ગીતો અને ટ્રેજિક લવસ્ટોરી યંગસ્ટર્સ પર ભૂરકી છાંટે છે. ૧૯૮૧માં એક બાજુ કમલ હાસન નામના ૨૭ વર્ષના આ જુવાનિયાની ચારે બાજુ ચર્ચા છે તો બીજી બાજુઅમિતાભ એ જ વર્ષે જક્કાસ ફિલ્મોની હારમાળા સર્જી દે છે- 'લાવારિસ', 'નસીબ', 'સિલસિલા', 'યારાના', 'કાલિયા' અને 'બરસાત કી રાત'. આ તમામ ફિલ્મો એક જ વર્ષમાં રિલીઝ થાય છે! વિનોદ ખન્નાની માત્ર બે ફિલ્મો આવે છે - 'એક ઔર એક ગ્યારહ' અને બીજી ટીના મુનિમ સાથેની 'ખુદા કસમ'. આ બેમાંથી એકેય ફિલ્મ આપણને યાદ નથી.
વિનોદ ખન્નાની ઉદાસીનતા ઇન્ડસ્ટ્રીને અને ચાહકોને એકસરખી અકળાવી રહી છે. "હું રિટાયર થવા માગું છું" એવી ચોંકાવનારી ઘોષણા એમણે વર્ષો પહેલાં કરી દીધી હતી. સુપર સક્સેસગ્લેમરસ લાઇફસ્ટાઇલપૈસો, નામ અને સરસ મજાનો પરિવાર આ બધું એની પાસે છેપણ એમના જીવને સંતોષ નથી. એમને એક જ બાબત માનસિક શાંતિ આપી શકે છે - ઓશો રજનીશનું સાંનિધ્ય. અમિતાભનો એકમાત્ર હરીફ ઇન્ડસ્ટ્રી અને ઘરબાર છોડીને પૂરાં પાંચ વર્ષ માટે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ જાય છે! કમલ હાસન એક પાવરહાઉસ પરફોર્મર છેએ દક્ષિણ ભારત જાણતું હતું. 'એક દૂજે કે લિએપછી આખું ભારત પણ જાણવા લાગ્યું. સૌએ માની લીધું કે હિન્દી ફિલ્મોમાં અબ કમલ હાસન કી નીકલ પડી. એક વિકલ્પ હતોઆટલી સરસ શરૂઆત પછી સાઉથનું કામકાજ સમેટીનેબિસ્તરા-પોટલાં બાંધીને મુંબઈ સેટલ થઈ જવાનોતમિલ ફિલ્મોની તુલનામાં અનેકગણું વધારે ઓડિયન્સ આપતી હિન્દી ફિલ્મોને પ્રાયોરિટી આપવાનો. બીજો વિકલ્પ હતોદહીં-દૂધ બન્નેમાં પગ રાખવાનો. કમલ બીજો વિકલ્પ પસંદ કરે છે. 'એક દૂજે કે લિએ' પછીના દોઢ વર્ષમાં કમલની બે જ હિન્દી ફિલ્મો આવે છે - 'સનમ તેરી કસમ' અને પૂનમ ધિલ્લોન સાથેની 'યે તો કમાલ હો ગયા'. આમાંની પહેલી ફિલ્મ હિટ થાય છેએનાં ગીતો તો આજેય હિટ છેપણ બીજી ફિલ્મ ફ્લોપ જાય છે. આ બે પિક્ચરની સામે કમલ દક્ષિણમાં કેટલી ફિલ્મો કરે છેઅગિયાર ફિલ્મો. મતલબ કે ૧૯૮૨માં કમલની કુલ ૧૩માંથી બે જ ફિલ્મો હિન્દી છે.
Vinod Khanna with his guru, Osho Rajneesh 

પછીનું વર્ષ. વિનોદ ખન્નાનું ઓશોગમન થઈ ગયું છે એટલે બચ્ચનબાબુને મોકળું મેદાન મળી ગયું છે. ૧૯૮૨માં તેઓ અડધો ડઝન ફિલ્મોનો ખડકલો કરી દે છે- 'સત્તે પે સત્તા', 'બેમિસાલ', 'દેશપ્રેમી', 'નમકહલાલ', 'ખુદ્દાર' અને 'શક્તિ'. આમાંની મોટાભાગની ફિલ્મો હિટ છે.
૧૯૮૩. કમલ હાસનને દક્ષિણની ફિલ્મોથી છેડો નથી જ ફાડવો. આ વષે એમની કુલ ૮ ફિલ્મો રિલીઝ થાય છેજેમાંથી બે જ હિન્દી છે - 'ઝરા સી જિંદગી' અને 'સદમા'. ફિલ્મ ગમે તેટલી સારી હોય પણ બોક્સઓફિસ પર ધમાલ ન મચાવે ત્યાં સુધી એ ઝળકતી નથી. 'સદમા'ના કેસમાં એવું જ થયું. મતલબ કે 'એક દૂજે કે લિએ'નાં અઢી વર્ષ પછી પણ કમલ હસનના બાયોડેટામાં સાધારણ 'સનમ તેરી કસમ'ને બાદ કરતાં એક પણ હરખાઈ જવાય એવી સુપરહિટ ફિલ્મ ઉમેરાતી નથી. બોલિવૂડ અને કમલ હાસનની કુંડળી મળતી નથી કાં તો હિન્દી ફિલ્મમેકરોને આટલા ટેલેન્ટેડ એક્ટરનો વ્યવસ્થિત ઉપયોગ કરવા આવડયો નહીં અથવા કમલની હિન્દી સિનેમામાં કમાલ કરી બતાવવાની મહત્ત્વાકાંક્ષા ઓછી પડી. કદાચ આ બન્ને વાત સાચી છે. ૧૯૮૩માં અમિતાભની ચાર ફિલ્મો આવે છે- 'નાસ્તિક', 'મહાન', 'પુકાર' અને 'કુલી'. અમિતાભની લોકપ્રિયતા કેટલી ખતરનાક છે એનો પાક્કો અંદાજ 'કુલી'ના અકસ્માત પછી સૌને મળી જાય છે.

૧૯૮૪માં કમલ હાસનની ચાર ફિલ્મો આવે છે - 'એક નઈ પહેલી', 'યાદગાર', 'રાજતિલક' અને 'કરિશ્મા'. ફરી પાછી એ જ જૂની કહાણી. આ વર્ષે પણ કમલ હાસન ન કશો કરિશ્મા કરી શક્યા કે ન યાદગાર ફિલ્મ આપી શક્યા. ૧૯૮૫માં 'ગિરફ્તાર'માં કમલ - બચ્ચન - રજનીકાંતની ત્રિપુટી છે. 'સાગર' અફલાતૂન ફિલ્મ હતી, પણ અગેન, બોક્સઓફિસ પર ન ચાલી. 'દેખ કે પ્યાર તુમ્હારા'નામની ફાલતુ ફિલ્મ પણ આ જ વર્ષે આવી ગઈ. કમલ કંટાળી ગયા. હિન્દી ફિલ્મોમાં ધાર્યું પરિણામ આવતું નહોતું એટલે તેમણે મુંબઈમાં ખોટાં હવાતિયાં મારવાનું બંધ કરીને દક્ષિણ પર જ સંપૂર્ણપણે ધ્યાન એકાગ્ર કરવાનું નક્કી કર્યું. ૧૯૮૨થી ૧૯૮૫ દરમિયાન કમલ હાસનની કુલ ૩૭ ફિલ્મોમાંથી ૧૧ ફિલ્મો હિન્દી હતી. પછી આ આંકડો શૂન્ય થઈ ગયો. પછી છેક બાર વર્ષે, ૧૯૯૭માં 'ચાચી ૪૨૦' કરી. વચ્ચે એક 'પુષ્પક' આવી ગઈ, પણ એ મૂંગી ફિલ્મ હતી.
નિરાશા બચ્ચનના નસીબમાં પણ લખાયેલી હતી. ૧૯૮૪થી ૧૯૮૭માં તેમણે રાજકારણ અજમાવી જોયુંપણ બોર્ફોર્સનો ડાઘ લઈને પાછા ફરવું પડયું. આ બાજુ ઓશોનો પાંચ વર્ષ સત્સંગ કરીને ૪૧ વર્ષના વિનોદ ખન્નાએ ઇન્ડસ્ટ્રીમાં પુનરાગમન કર્યું. ૧૯૮૭માં આવેલી 'ઇન્સાફ' એમની કમબેક ફિલ્મ બની, જે હિટ થઈ. ૧૯૮૮માં બિગ બીએ 'શહેનશાહ'થી કમબેક કર્યું. તે પછી બચ્ચનની ભયાનક ખરાબ ('ગંગા જમુના સરસ્વતી', 'તુફાન', 'જાદુગર') અને ખન્નાની ઠીકઠાક ફિલ્મો ('દયાવાન', 'રિહાઈ', 'ચાંદની', 'બટવારા' વગેરે) આવતી રહી. જોકે, હવે સ્પર્ધાનું તત્ત્વ રહ્યું નહોતુંકેમ કે પેઢી બદલાઈ ચૂકી હતી. 
૧૯૮૩માં અનિલ કપૂર અને જેકી શ્રોફ બન્નેની ગ્રાન્ડ એન્ટ્રી થઈ ચૂકી હતી. અનિલ કપૂરની ‘વોહ સાત દિન’ અને જેકી શ્રોફની ‘હીરો’ આ વર્ષે રિલીઝ થઈ. ૧૯૮૮માં એક ક્યૂટ ક્યૂટ ચોકલેટી હીરોએ ઇન્ડસ્ટ્રીમાં તોફાન મચાવ્યું. એ નવાનિશાળિયાનું નામ હતુંઆમિર ખાન ('કયામત સે કયામત તક'). પછીનાં વર્ષે ઔર એક જુવાનિયાએ ઇન્ડસ્ટ્રીમાં ઉપાડો લીધો - સલમાન ખાન ('મૈંને પ્યાર કિયા'). એ બન્ને ઠરીઠામ થઈ રહ્યા ત્યાં શાહરુખ નામના ત્રીજા ખાને એન્ટ્રી મારી ('દીવાના', ૧૯૯૨). આ નવી જનરેશનના હીરો હતાજે ભવિષ્યમાં સુપરસ્ટાર બનવાના હતા.

ફરી પાછા મૂળ વાત પર પાછા ફરીએ. અમિતાભ નસીબના બળિયા છે એ તો નક્કી. વિનોદ ખન્ના અને કમલ હાસને બોલિવૂડ પરથી ફોકસ દૂર ન થવા દેવાના નિર્ણય લીધા હોત તો આ બન્ને જણા અમિતાભના અત્યંત સમાંતર શક્તિશાળી પાવર સેન્ટર તરીકે ઊભર્યા હોત એ તો નક્કી. ખેરફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતાનું કોઈ ગણિત નથી. આખો મામલો 'જોઅને 'તો'નો છે... અને ક્યારેક 'જો-તો'ની સાપસીડી રમવાની મોજ પડે છે!
શો-સ્ટોપર
"તુમ્હારા બાપ અપને ગુરુ કે સાથ ભાગ ગયા..." - હું રજનીશ પાસે જતો રહ્યો ત્યારે સૌ મારા દીકરાઓને આવું કહીને ટોન્ટ મારતા હતા. મારા વિશે લોકો કંઈ પણ બોલેમને ફરક નહોતો પડતોપણ મારા દીકરાઓની તકલીફ મને અકળાવતી હતી.
- વિનોદ ખન્ના