Monday, December 30, 2019

કવિ કાન્તકથાઃ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરતાં પહેલાં અને પછી


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 25 ડિસેમ્બર 2019, બુધવાર 
ટેક ઓફ 
ફરી ફરીને વિચારતાં પણ મારી ધાર્મિક માન્યતા મને ખોટી લાગતી નથી... પણ પત્ની અને બાળકોને પરાણે દાખલ કરવામાં મને કોક વાર પાપ જેવું લાગે છે.
ણિશંકર રત્નજી ભટ્ટને તમે કદાચ ન ઓળખતા હો એવું બને, પણ કવિ કાન્તને તમે બરાબર ઓળખો છો. જો તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશો તો પાઠ્યપુસ્તકના ભાગરૂપે એમણે લખેલી કવિતા પણ ભણી હશે. કવિ કાન્ત ખાસ કરીને એમના કાવ્યસંગ્રહ પૂર્વાલાપને કારણે ગુજરાતી સાહિત્યનું એક અમર નામ બની ગયા છે. છેક 1867માં એટલે કે આજથી 152 વર્ષ પહેલાં અમરેલી જિલ્લામાં એમનો જન્મ. નાગર પરિવારમાં જન્મેલા કવિ કાન્તના જીવનમાં એવું તે શું બન્યું કે એમણે ઈશુ ખ્રિસ્તનો ધર્મ અપનાવી લીધો?
વડોદરાની કૉલેજમાં સાહિત્યશાસ્ત્રના પ્રોફેસર બની ગયા પછી, કવિ તરીકે ગુજરાતી સાહિત્યજગતમાં પ્રસ્થાપિત થઈ ગયા પછી એક કરૂણ બનાવ બન્યો જેણે એમના જીવનને મૂળમાંથી હલાવી નાખ્યું. તે હતું એમની પત્ની નર્મદાનું મૃત્યુ. પત્ની પ્રત્યે એમને અનહદ પ્રેમ હતો. ચોવીસ વર્ષની ઉંમરે વિધુર બની ગયેલા કાન્ત પત્નીવિરહને કારણે જ ઇમેન્યુએલ સ્વીડનબોર્ગના વિચારો તરફ ખેંચાયા હતા.
સ્વીડનબોર્ગ એટલે સ્વીડિશ થિયોલોજિસ્ટ અને ગૂઢ તત્ત્વોમાં માનનારા ચિંતક. તેમનો દાવો હતો કે એમનું સ્પિરિચ્યુઅલ અવેકનિંગ થઈ ચુક્યું છે એટલે કે આત્મજ્ઞાન લાધી ચુક્યું છે. એમણે ઘોષિત કર્યું હતું કે સ્વયં જિસસ ક્રાઇસ્ટે એમને ખ્રિસ્તી ધર્મમાં સુધારા આણવા માટે ધ હેવનલી ડૉક્ટ્રીન (દૈવી સિદ્ધાંત અથવા દૈવી શિક્ષણ) લખવાનો આદેશ આપ્યો છે. સ્વીડનબોર્ગનું એવુંય કહેવું હતું કે ઈશુ ખ્રિસ્તે મારાં દિવ્ય ચક્ષુ ખોલી આપ્યાં છે તેથી હું ઇચ્છું ત્યારે સ્વર્ગ અને નર્કમાં આવ-જા કરી શકું છું અને આત્માઓ, ફરિશ્તાઓ, અસૂરી તત્ત્વો સાથે વાતચીત કરી શકું છું. સ્વીડનબોર્ગે ઘણું લખ્યું છે, જેમાંથી આફ્ટરલાઇફ અને હેવન એન્ડ હેલ નામનાં પુસ્તકો મુખ્ય છે. સ્વીડનબોર્ગની થિયરી એવી છે કે માણસને દૈહિક અવતાર તો એક જ વાર મળે છે, પણ આધ્યાત્મિક વિશ્વમાં એ કેટલીય વાર જન્મે છે. એમની ઑર એક થિયરી એવી હતી કે મનુષ્ય અવતારમાં જો પતિ-પત્નીનો જીવ મળી ગયો હોય તો સ્વર્ગમાં એમના આત્માનું મિલન જરૂર થાય છે. સ્વીડનબોર્ગ તરફ કવિ કાન્ત આકર્ષાયા તેનું મુખ્ય કારણ આ થિયરી હતી.    
પત્નીનું નિધન થયું ત્યારે પુત્ર પ્રાણલાલ બહુ નાનો હતો. કવિમિત્ર બળવંતરાય ઠાકોર અને અન્યોની સમજાવટથી કવિ કાન્ત ફરી પરણ્યા. યોગાનુયોગે બીજી પત્નીનું નામ પણ નર્મદા હતું. સ્વીડનબોર્ગના વિચારોનો પ્રભાવ બીજાં લગ્ન પછી ઓસર્યો નહીં. સ્વીડનબોર્ગે ધ ન્યુ ચર્ચ નામના પંથની સ્થાપના કરી હતી. વડોદરામાં એ જમાનામાં આ પંથ સક્રિય હતો. કાન્ત ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષાતા ગયા. સંભવતઃ મનોમન તેમણે એ જ વખતે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો.   
જીવન પર એક પછી એક સંઘાત થતાં જ રહે તો કોમળ દિલનો માણસ તે સહન કરી શકતો નથી. કવિ કાન્ત એકત્રીસ વર્ષના થયા ત્યારે પુત્ર પ્રાણલાલનું મોત થયું. જેનામાં માતૃત્વ કે પિતૃત્વનું તત્ત્વ અત્યંત તીવ્ર હોય એવી વ્યક્તિ સંતાનનું મોત થતાં સાવ તૂટી જાય છે, વેરવિખેર થઈ જાય છે. પુત્ર પ્રાણલાલના નિધન પછી કવિ કાન્તે લખ્યું હતુઃ
ચિરંજીવી પ્રાણલાલની હયાતી અને સુખ સિવાય મારી બીજી કશી સ્પૃહા નથી, કશું જીવિત પ્રયોજન નથી. દુનિયાના સુખથી હું બેદરકાર છું.
આ પ્રકારની માનસિક આબોહવામાં માણસને ભાગ્ય, જીવનનો અર્થ, સુખનું સ્વરૂપ, દુખનું સ્વરૂપ, પોતાની અસલી ઓળખ વગરે જેવા અસ્તિત્ત્વાદી પ્રશ્નો થવાના જ... અને આ પ્રશ્નોના ઉત્તર મેળવવા ઘાંઘો બનેલો માણસ આત્યંતિક પગલાં ભરી બેસે, એવું બને. કવિ કાન્ત માટે ધર્માંતર કદાચ આવું જ એક પગલું હતું. એમનામાં જાહેરમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાની હિંમત આવી. 1900ની સાલમાં ત્રેંત્રીસ વર્ષની વયે એમણે વિધિવત ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો.
કવિ કાન્તના જીવન પર નજર નાખતાં લાગે કે તેઓ સમગ્રપણ ધર્મ તત્ત્વ પ્રત્યે હંમશાં ઉત્સુક રહ્યા છે. શીખ ધર્મનો અભ્યાસ કરવા તેઓ પંજાબ ગયા હતા ને પછી ગુરુ ગોવિંદસિંહ નામનું નાટક લખ્યું હતું.  એમણે એકલપંડે હિમાલયભ્રમણ પણ ખૂબ કર્યું હતું. આ સઘળું કવિ કાન્તની ધર્મજિજ્ઞાસા સૂચવે છે. વટલાઈ જવું એક અપમાનજનક શબ્દપ્રયોગ છે. એમાંથી અજ્ઞાન, લાચારી કે ષડયંત્રની દુર્ગંધ આવે છે. કવિ કાન્ત પર કોઈ પ્રકારની બળજબરી થઈ નહોતી. એમનું ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનું પગલું સંપૂર્ણતઃ સ્વૈચ્છિક હતું.
કવિ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો એટલે ખળભળી ગયેલા સમાજે એમને ન્યાત બહાર મૂક્યા. કાન્તના ધર્માન્તર વિશે ગુજરાતી, દેશભક્ત જેવાં સામયિકોમાં ખૂબ બધા ચર્ચાપત્રો લખાયા. મિત્ર બળવંતરાય ઠાકોરે સુધ્ધાં મોઢું ફેરવી લીધું. એમણે તો હિન્દુ ધર્મનો તૂટતો ગઢ નામનું સોનેટ સુધ્ધાં લખી નાખ્યું હતું. મહારાજા સયાજીરાવ અને પ્રભાશંકર પટ્ટણી જેવા રાજકારભારીઓ કાન્તના વિરોધી બની ગયા. અમુક મિત્રો જોકે એવા હતા, જે કાન્તને ધર્માંતર પછી પણ ચાહતા રહ્યા. કવિ કલાપી એમાંના એક. કાન્ત  મિત્રોને  પત્રોમાં પોતાના અંગત તેમજ ધર્મજીવનની વાતો નિખાલસપણે લખતા. નવેમ્બર 2017માં સાહિત્ય સામયિક પરબએ કવિ કાન્ત પર વિશેષાંક બહાર પાડ્યો હતો, જેમાં કવિના પત્રવ્યવહાર વિશે એક સુંદર લેખ છે. એક કાગળમાં કાન્ત લખે છેઃ
...જ્ઞાતિ બહાર થવાનાં દુખોનો મારો અનુભવ હું તમને જણાવીશ... ઓ બન્ધુ, ખાત્રીથી માનજો, અને તમને પૂરતો અનુભવ થશે કે ભાઈઓ, સંબંધીઓ અને સ્નેહીઓ તો શું, પણ પત્ની સુધ્ધાં સત્યની ખાતર બલિદાન થવાનો તમારો વિચાર હશે, તો તમને સમજી શકશે નહીં. તમે જો સ્નેહના ભૂખ્યા હશો, તો તમારા આત્માને અતીશય અને તીવ્ર વેદનાઓ થશે. તમારા ખાનગી જીવનાં વિષપ્રવેશ થશે.
બીજા એક કાગળમાં કહે છેઃ
આ જગતમાં, સ્નેહમાં જ સાચું સુખ છે અને છતાં સ્નેહ, સ્નેહીને સુખી કરતાં દુખી વધારે કરે છે.
કવિ કાન્ત સત્તર વર્ષ ખ્રિસ્તી રહ્યા. આ સમયગાળા દરમિયાન એક પત્રમાં એમણે લખ્યું છેઃ
હું મારા મગજને વ્યાધિગ્રસ્ત માનું છું. તે એક તો આવા પ્રશ્નો માટે અને બીજું એટલા માટે કે મને કશામાં રસ લાગતો નથી, પણ શૂન્યવત્ બેસી રહું છું. વચ્ચે તો આવી સ્થિતિ જારી રહેતા જડતા કે ઉન્માદ સુધી વાત જશે એવી ભીતિ હતી પણ હવે તે દૂર થઈ છે અને હું ધીમે ધીમે પણ સ્પષ્ટ સબળ થતો જાઉં છું.
ધર્માંતરની ઘટના કાન્તના સ્વજનો માટે ખૂબ આકરી પૂરવાર થઈ હતી. બીજી પત્નીથી થયેલા બે પુત્રોને કોઈ દીકરી આપવા તૈયાર નહોતું, એમની દીકરીનો હાથ ઝાલવા કોઈ તૈયાર નહોતું. એમની તકલીફ કાન્તથી જોવાતી નહોતી. એક પત્રમાં એમણે લખ્યું છેઃ
મારી માનસિક સ્થિતિ ખરેખર વિષમ થઈ પડી છે. ફરી ફરીને વિચારતાં પણ મારી ધાર્મિક માન્યતા મને ખોટી લાગતી નથી... પણ પત્ની અને બાળકોને પરાણે (ખ્રિસ્તી ધર્મમાં) દાખલ કરવામાં મને કોક વાર પાપ જેવું લાગે છે. પત્ની જ્ઞાતિને જ ચાહે છે, તો તેને માટે જે કરવું પડે તે કરવાની મને ફરજ લાગે છે. અત્યાર સુધીમાં તેને ઘણું ખમવું પડ્યું છે, તો હવે તેનું દુખ ખમવું પડ્યું છે, તો હવે તેનું દુખ ઓછું થાય તે જોવાને ઉત્સુક છું.
કવિ કાન્તે ક-મને ખ્રિસ્તી ધર્મને તિલાંજલિ આપીને પુનઃ હિન્દુ ધર્મમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો. આ પગલું પણ ક્યાં આસાન હતું. તેમને પ્રાયશ્ચિત કરવું હતું, પણ પ્રાયશ્ચિત કરાવવા તૈયાર થતું નહોતું. માંડ માંડ કોઈ મળ્યું ને કાન્ત હિંદુ ધર્મમાં પુનઃ પ્રવેશ કરી શક્યા. મૂળ ધર્મમાં પાછા ફર્યા પછીય ખ્રિસ્તી ધર્મ પ્રત્યેનું આકર્ષણ ઓછું ન થયું. એમણે આ ગાળામાં જ સ્વીડનબોર્ગનાં પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યાં (સ્વર્ગ અને નર્ક, નવું યારૂશાલેમ અને તેના સ્વર્ગીય સિદ્ધાંતો અને સેન્ટ જ્હોનનું ભાગવત). તેઓ મિત્રોને સ્વીડનબોર્ગનું સાહિત્ય વાંચવાની ભલામણ કરતા. સ્વીડનબોર્ગના વિચારોનો પ્રસાર કરવા માટે તેમણે હિન્દી સ્વીડનબોર્ગ સોસાયટીની સ્થાપના પણ કરી હતી.
કાન્તે સમગ્ર સર્જકજીવન દરમિયાન ગીત, સોનેટ, મુક્તક વગેરે પદ્યપ્રકારોમાં સર્જન કર્યું છે, પણ તેમનું અવિસ્મરણીય પ્રદાન ખંડકાવ્યોમાં છે. અતિજ્ઞાન, ચક્રવાક મિથુન, વસંતવિજય, મૃગતૃષ્ણા, રમા વગેરે તેમના પ્રસિદ્ધ ખંડકાવ્યો છે. કવિ કાન્તના અંગત જીવન પર પ્રહારો સતત થતા રહ્યા. બીજી પત્ની અને પુત્રી હૃદયલક્ષ્મીનું મોત જોવાનું પણ એમના નસીબમાં લખાયું હતું. અંતિમ વર્ષોમાં તેઓ ઋષિકેશમાં ગીતા પર પ્રવચનો કરતા. 1923માં કાશ્મીરથી પાછા ફરતી વખતે ટ્રેનમાં તેમનું નિધન થયું.   
ધર્મ આખરે તો માનવસર્જિત વ્યવસ્થા છે, પ્રકૃતિસર્જિત વ્યવસ્થા નહીં. માણસનું આંતરિક બંધારણ એને અન્ય ધર્મમાં સક્રિય રસ લેતાં પ્રેરે, તેવું બને. કવિ કાન્તનું જીવન આ હકીકતનું બોલકું ઉદાહરણ છે.   
 0 0 0 

Monday, December 23, 2019

પહેલાં સાહિત્ય, પછી સિનેમા


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 18 ડિસેમ્બર 2019, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
લિજો પેલિસરી નામના મલયાલમ ફિલ્મમેકરની ફિલ્મો કન્ટેમ્પરરી ક્લાસિક ગણાય છે. આર્ટહાઉસ સિનેમા અને એન્ટરટેનિંગ સિનેમા વચ્ચેની ભેદરેખા ભૂંસતા લિજો જેવું બહુ ઓછા ફિલ્મમેકરોને આવડતું હોય છે.
Lijo Jose Pellissery (left) - Jallikattu

નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડીયો જેવાં અફલાતૂન ડિજિટલ પ્લેટફૉર્મ્સ પર આપણે વિદેશી ફિલ્મો અને વેબ શોઝમાં એવા ખોવાઈ જઈએ છીએ કે સાવ બાજુમાં દટાયેલો ખજાનો ક્યારેક ધ્યાન બહાર રહી જાય છે. તે છે ભારતીય ભાષાની ઉત્તમ ફિલ્મો અને તેના સર્જકોનો ખજાનો. આ ખજાનાનું એક ઝગમગતા રત્ન એટલે લિજો જોઝ પેલિસરી. વાંચવામાં અટપટું લાગતું આ નામ એક તેજસ્વી મલયાલમ ફિલ્મમેકરનું છે. નવ વર્ષમાં સાત ફિલ્મો ડિરેક્ટ કરનાર લિજોએ માત્ર ભારતના નહીં, પણ દુનિયાભરના ફિલ્મરસિયાઓ તેમજ ફિલ્મપંડિતોનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતની ડેવલપિંગ ઇન્ડસ્ટ્રી સાથે કેરળની વેલ-ડેવલપ્ડ ઇન્ડસ્ટ્રીની તુલના કરવાની ન હોય, છતાંય જાણી લો કે આપણે ત્યાં જેમ છેલ્લાં સાતેક વર્ષથી ન્યુ વેવ સિનેમાએ આકાર લીધો છે એવું જ કંઇક કેરળમાં પણ બની રહ્યું છે. કેરળની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ 2010-11થી નવો પ્રવાહ શરૂ થયો છે. લિજો પેલિસરી મલયાલમ ન્યુ વેવ સિનેમાનું આગળ પડતું નામ ગણાય છે.  
ચાલીસ વર્ષીય લિજો પેલિસરીની સર્જકતાની તાકાત અને એમની ફિલ્મમેકિંગની સ્ટાઇલ સમજવા માટે આ ત્રણ ફિલ્મો જોવી પડે -જલીકટ્ટુ (2019), ઈ.મા.યાઉ (2018) અને અંગમલી ડાયરીઝ (2017). અબ્બી હાલ આ ત્રણેય નામ તમારા મોબાઇલમાં અથવા કાગળ પર કશેક નોંધી લો. જલીકટ્ટુ અને ઈ.મા.યાઉ અમેઝોન પ્રાઇમ પર, જ્યારે અંગમલી ડાયરીઝ નેટફ્લિક્સ પર અવેલેબલ છે.
જલીકટ્ટુનો આધાર માઓઇસ્ટ નામની એક ટૂંકી મલયાલી નવલિકા છે. એના લેખક એસ. હરીશે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી છે. વાર્તા માંડ ચાર વાક્યની છે. કેરળનું એક નાનકડું પહાડી ગામ છે. એના કતલખાનામાંથી એક જંગલી ભેંસ હલાલ થાય તે પહેલાં જ છટકીને નાસી જાય છે ને આમતેમ દોડીને ઉધામા મચાવી મૂકે છે. ગામના પુરુષો એને કોઈ પણ ભોગે પકડવા મથે છે. બસ, આટલું જ. ફિલ્મ જોતાં જોતાં તમને સમજાતું કે અહીં ભેંસ પકડવાની પ્રવૃત્તિ તો કેવળ એક પ્રતીક છે. મૂળ વાત માણસમાં ધરબાયેલી મૂળભૂત હિંસક વૃત્તિની છે. ફિલ્મ આગળ વધતી જાય તેમ તેમ મનુષ્ય અને જનાવર વચ્ચેની ભેદરેખા ઓગળતી જાય છે. તમને થાય કે ખરેખર જંગલી કોણ છે – ભેંસ કે આ માણસો?
ઈ.મા.યાઉ - Ee.Ma.Yau.



ઈ.મા.યાઉ ટાઇટલ મલયાલમમાં જિસસ મૅરી જૉસેફનું શોર્ટ ફૉર્મ છે. અહીં એક ખ્રિસ્તી સદગૃહસ્થ મૃત્યુ પામે છે ને એમનો દીકરો મોટા પાયે અંતિમ વિધિઓનું આયોજન કરે છે. આ કટાક્ષિકા છે. વાત મૃત્યુની હોવા છતાં વચ્ચે વચ્ચે રમૂજ છંટાતી રહે છે. અંગમલી ડાયરીઝને ગેંગસ્ટર ડ્રામા કહી શકાય. અહીં અંગમલી નામના નગરમાં ગુંડાટોળકીના લીડર બનવા માગતા યુવાનની વાત છે. જલીકટ્ટુની માફક અંગમલી ડાયરીઝ પણ એક માસ્ટરપીસ ગણાય છે. ગુજરાતી ફિલ્મમેકરો, ફોર ધેટ મેટર, કોઈ પણ ભાષાના ફિલ્મમેકરને ટૂંકા બજેટની સમસ્યા સૌથી પહેલાં સતાવતી હોય છે. જાણી લો કે અંગમલી ડાયરીઝનું બજેટ ફક્ત ત્રણ કરોડ રૂપિયા હતું, જ્યારે જલીકટ્ટુ ચાર કરોડમાં બની ગઈ હતી. લિજો પેલિસરી વીસથી ત્રીસ દિવસમાં પોતાની ફિલ્મો શૂટ કરી નાખે છે. લિજોની ફિલ્મો એ વાતની સાબિતી છે કે જો સ્ક્રિપ્ટ જડબેસલાક હોય અને તગડું પ્લાનિંગ હોય તો ટૂંકા બજેટમાં પણ ઉત્તમોત્તમ પરિણામ અચીવ કરી શકાય છે.   
લિજો પેલિસરીનું કામ એટલું પ્રભાવશાળી છે કે આ માણસને, એની ક્રિયેટિવ પ્રોસેસને સમજવા માટે એમના ખૂબ બધા પ્રિન્ટ અને વિડીયો ઇન્ટરવ્યુઝમાંથી પસાર થવાનું આપણને મન થાય. એક જગ્યાએ તેઓ કહે છે, હું એટલો સ્માર્ટ નથી કે લિખિત મટીરિયલ વગર શૂટિંગ કરી શકું. મારે મન સ્ક્રિપ્ટ સૌથી અગત્યની છે. એ ટકોરાબંધ હોવી જ જોઈએ. મારી વાર્તા અને પાત્રો વિશે હું પૂરેપૂરો કન્વિન્સ્ડ હોઉં, એક ડિરેક્ટર તરીકે જે-તે લખાણને હું સ્ક્રીન પર સરસ રીતે ઉતારી શકીશ એટલો કૉન્ફિડન્સ મારામાં આવે તે પછી જ હું શૂટિંગ શરૂ કરી શકું છું. હું શરૂઆતથી માનતો આવ્યો છું કે પહેલાં સાહિત્ય (સ્ક્રિપ્ટ) આવે છે, પછી સિનેમા.
અંગમલી ડાયરીઝ - Angamaly Dairies

અગાઉ લિજોને એમની સાથે કામ કરવા તૈયાર થાય તેવા લોકો શોધવા પડતા હતા, પણ આજે તેઓ સ્વેચ્છાએ નક્કી કરી શકે છે કે કોની સાથે કામ કરવું. તેઓ કહે છે, મને સરળ અને હળવાફુલ લોકો સાથે કામ કરવું ગમે છે. લેખક, એક્ટર્સ, ટેક્નિશિયન્સ સાથે મારી પાક્કી કેમિસ્ટ્રી હોય તે બહુ મહત્ત્વની છે.
લિજોના સ્વગર્સ્થ પિતાજી જોઝ પેલિસરી મલયાલમ થિયેટર અને સિનેમાના સફળ અભિનેતા રહી ચુક્યા છે. આથી ઘરમાં ફિલ્મી માહોલ શરૂઆતથી હતો. લિજો નાનપણથી ઘરથી દૂર, હોસ્ટેલમાં રહીને ભણ્યા છે. કૉલેજમાં તેઓ ખૂબ નાટકો કરતા. ડિરેક્શન ઉપરાંત એક્ટિંગ પણ કરતા. કૉલેજકાળમાં એક વાર એમનો પગ ભાંગ્યો ને તેમણે લાંબા સમય સુધી પથારીવશ રહેવું પડ્યું. લિજોએ આ સમયનો ઉપયોગ વાંચવામાં કર્યો. ટોલ્સટોય, ચેખોવ જેવા રશિયન લેખકોને વાંચ્યા, લેટિન અમેરિકન સાહિત્ય વાંચ્યું ને પછી ધીમે ધીમે તેઓ સિનેમા તરફ વળ્યા. નાનપણમાં શોલેએ લિજો પર તીવ્ર પ્રભાવ પેદા કર્યો હતો. સ્ટેન્લી કુબ્રિકની ફિલ્મોના તેઓ મોટા પ્રશંસક છે.   
લિજોની ફિલ્મોમાં પિતા-પુત્રના સંબંધની વાત અવારનવાર આવે. કમાલની કોરિયોગ્રાફી ધરાવતાં ટોળાંના દશ્યો આવે. ખાવાપીવાનાં, વાનગીઓનાં દશ્યો  ખૂબ આવે. તેઓ ખૂદ ખ્રિસ્તી છે અને ખ્રિસ્તી સ્કૂલમાં ભણ્યા છે એટલે એમની ફિલ્મોમાં ખ્રિસ્તી પાત્રો તેમજ પરિવેશ પણ ખૂબ દેખાય. એમની ફિલ્મો એનર્જીથી ફાટ ફાટ થતી હોય. અંગમલી ડાયરીઝમાં કેટલાય એક્ટરો અને સેંકડો જુનિયર આર્ટિસ્ટોને આવરી લેતો ખાસ્સો કોમ્પ્લિકેટેડ એવો અગિયાર મિનિટ લાંબો વન-ટેક શોટ છે. જલીકટ્ટુમાં પણ લાંબા અને અઘરા શોટ્સ છે. લિજોની ફિલ્મોની સાઉન્ડ ડિઝાઇન વિશેષપણે ધ્યાન ખેંચે એવી હોય છે. જલીકટ્ટુની ઓપનિંગ સિકવન્સમાં અવાજો અને વિઝ્યુઅલ્સની જુગલબંદી જોજો. લિજોની ફિલ્મોની સ્ટોરી બે-ચાર વાક્યોમાં સાંભળો તો તમને લાગે કે આ આર્ટ ફિલ્મ હશે, પણ તમે ફિલ્મ જોવા બેસો એટલે તમારી આંખો ધી એન્ડ સુધી સ્ક્રીન પરથી હટવાનું નામ ન લે. આર્ટહાઉસ સિનેમા અને એન્ટરટેનિંગ સિનેમા વચ્ચેની ભેદરેખા ભૂંસતા લિજો જેવું બહુ ઓછા ફિલ્મમેકરોને આવડતું હોય છે.     
જો આપણે લિજો પેલિસરી જેવી ઘરઆંગણાની પ્રતિભાઓથી સાથે સારી રીતે પરિચિત હોઈશું તો વિદેશની ફિલ્મો અને ફિલ્મકારોને અલગ દષ્ટિકોણથી મૂલવી ને માણી શકીશું. લિજો પેલિસરીની ફિલ્મો જોજો. મોજ પડશે.  
0 0 0 


આવ ઓ મૃત્યુ, મને તારું જરૂરી કામ છે

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 18 ડિસેમ્બર 2019, બુધવાર 
ટેક ઓફ 
પ્રેમસંબંધ તો ઘટનાપ્રચુર જ હોવો જોઈએ. પ્રેમમાં નિષ્ક્રિયતા સ્વીકાર્ય નથી. અવગણના કે ઉદાસીનતા તો બિલકુલ નહીં.

રીઝ આપણી ભાષાના એક એવા શાયર છે, જેમની પાસે તમે કોઈ પણ સમયે જઈ શકો, કોઈ પણ ભાવસ્થિતિમાં જઈ શકો. તમે ફિલોસોફિકલ મૂડમાં હો, આત્મમંથન કરવા માગતા હો, પ્રેમમાં હો કે પ્રેમભગ્ન હો, ખુશ હો કે ઢીલા પડી ગયેલા મનને પાછું ચેતનવંતુ કરવા માગતા હો, તમારે મરીઝનાં પુસ્તકનાં પાનાં ફેરવવા. ઘણું કરીને મનને મૂંઝવતા પ્રશ્નનો જવાબ તમને જડી જશે. સંભવતઃ કશોક પ્રકાશ દેખાઈ જશે, વેરવિખેર લાગણીઓ અને વિચારો વ્યવસ્થિત ગોઠવાઈને ડિફાઇન થઈ જશે.
શરૂઆત મરીઝના આ ખુમારીભર્યા શેરથી કરીએઃ  
કિસ્મતને હથેળીમાં હંમેશાં રાખો,
ચહેરાની ઉપર એની ન રેખા રાખો,
દેવાને દિલાસો કોઈ હિંમત ન કરે,
દુખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો.
હથેળીમાં ભલે ગમે તેવી તૂટીફૂટી કિસ્મતરેખા અંકિત થયેલી હોય, માણસના ચહેરા પર આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિનું તેજ હંમેશાં ઝળકતું રહેવું જોઈએ. ચડતી-પડતી સૌના જીવનમાં આવ્યા કરે. ગમે તેવો ભડભાદર માણસ પણ નિષ્ફળ જઈ શકે, પણ મરીઝ કહે છે તેમ, માણસનું વ્યક્તિત્ત્વ, એની પ્રતિષ્ઠા  અને એની આભા એવાં બળકટ હોવા જોઈએ કે નિષ્ફળતાના દોરમાં પણ કોઈની હિંમત ન ચાલે કે પાસે આવીને સહાનુભૂતિ દેખાડવાની ચેષ્ટા સુધ્ધાં કરે.    
કિસ્મતને રડી, શક્તિનો ઉપહાસ ન કર,
નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર,
બેસી ન રહે – હોય જો તકદીર બૂરી,
કર યત્ન બૂરી ચીજનો વિશ્વાસ ન કર.
નસીબને દોષ દઈને બેસી રહેવાનો શો મતલબ છે? દુર્ભાગ્યનો વાંક કાઢવાનો સીધો અર્થ એ થયો કે ઈશ્વરે જે અપાર શક્તિઓ આપી છે એનો તમે ઉપયોગ કરી શકતા નથી અથવા કરવા માગતા નથી, હતાશાના, નિષ્ફળતાના સમયગાળામાં આપણે એટલા વલ્નરેબલ હોઈએ છીએ કે જો જાગૃત ન રહીએ તો ક્ષણિક રાહત ખાતર લપસી પડતાં, પ્રલોભનને વશ થતાં વાર ન લાગે. જેન્યુઇન પ્રેમની વાત અલગ છે. વેદનાના વરસાદ વચ્ચે જો પ્રિયજનનો સાથ મળી તો ક્યા કહને.
બંધ મુઠ્ઠી લાખની થઈ ગઈ છે સાચા અર્થમાં,
આપના પાલવનો છેડો હાથમાં આવી ગયો.
કેટલો સુંદર શેર. પ્રિયતમાનો પાલવ હાથમાં આવતાં જ કાયમ ખાલી રહેતી મારી મુઠ્ઠી બંધ થઈને લાખની થઈ ગઈ! પ્રેમનો પ્રસ્તાર ભલે ગમે તેવો હોય, આખરે તો આપણે આપણું વિશિષ્ટ સ્થાન બનાવવાનું હોય છે - સમાજની નજરમાં, ખુદની નજરમાં.
કોઈ કલા સ્વરૂપે, જગતથી જુદા બનો,
નક્શો બનો, કવિતા બનો, વાર્તા બનો.
મહેફિલ હો દોસ્તોની કે જાહેર સભાનો મંચ
જ્યાં પણ જવાનું થાય તમારી જગા બનો.
છે પ્રેમ એને યાદગીરીની જરૂર છે,
કંઈ પણ અગર બની ન શકો, બેવફા બનો. 
ઉપરની રચનાનો અંતિમ શેર વિવાદાસ્પદ છે! પ્રેમસંબંધ તો ઘટનાપ્રચુર જ હોવો જોઈએ. પ્રેમમાં નિષ્ક્રિયતા સ્વીકાર્ય નથી. અવગણના કે ઉદાસીનતા તો બિલકુલ નહીં. પ્રેમસંબંધ પાસેથી માણસને ખૂબ બધાં સ્મરણો મળવાં જોઈએ. મરીઝ કરે છે કે સારાં નહીં તો બેવફા બનીને કમસે કમ ખરાબ સ્મરણો આપો! આ વાત મસ્તીમાં કહેવાઈ છે, બાકી સચ્ચાઈ એ છે કે દગાબાજી સંવેદનશીલ માણસને અંદરથી તોડી નાખે છે. મરીઝ લખે છે -
તરી જવાની શરત છે સરળ – બહુ જ સરળ,
તમારી જાતમાં દરિયાનાં મોજાં સંકેલો.
હવે તમારાય પાલવનો આશરો ન રહ્યો,
હવે તમારોય પાલવ છે સાવ ફાટેલો.
સ્વયંનિર્ભર હોવું તે શ્રેષ્ઠ સ્થિતિ છે. બાકી પીડાદાયી તબક્કામાં પ્રિયજનની હૂંફ અતિ મૂલ્યવાન લાગે છે, પણ ક્યારેક એવું બને છે કે મુઠ્ઠીમાં પકડેલો પાલવ ફાટી ગયેલો હોય છે. સવા લાખની બંધ મુઠ્ઠી મૂલ્યહીન પાછી ખાલી ને ખુલ્લી થઈ જાય છે. ચિરાઈ ગયેલો પાલવ અને થાકી ગયેલો સંબંધ માણસને કશું આપી શકતા નથી.    

હસીને હું સહનશીલતાથી જે વાતો નિભાવું છું,
ભલી દુનિયા તે વાતોથી છૂપો આઘાત શું જાણે?
હજી તો સાથ રહેનારા, મને સમજી નથી શકતા,
નથી જે સાથ મારા, મારો ઝંઝાવાત શું જાણે?
માણસમાત્ર આખરે તો એકલો જ છે. આપણે સૌ આપણી આસપાસ ટાપુ રચીને જીવીએ છીએ. આવું ન ઇચ્છતા હોઈએ તોય થઈ જાય છે, કેમ કે-
અમે બેસી રહ્યા ખામોશ એક જ વાત સમજીને
સમજવા ઇચ્છતું હોતું નથી કોઈયે કોઈને.
પ્રેમ પ્રારંભિક અવસ્થામાં ખૂબ મહત્ત્વાકાંક્ષી હોય છે, પણ તે નિષ્ફળ જાય છે ત્યારે તેની પાસે જીજીવિષા પણ રહેતી નથી. એક નિષ્ફળ પ્રેમી પોતાની નિષ્ફળ પ્રેમિકાને શું કહી શકે? મરીઝની આ રચના ખૂબ વિશિષ્ટ છે-
આપણે બન્ને નકામાં અને બન્ને નિષ્ફળ,
આપણા બન્નેની કોઈ ન કહાની બનશે,
આપણા માટે ન છલકાશે જગતની આંખો,
આપણી વાત ન દુનિયાની ઝબાની બનશે.

કોઈ લેખકની કલમ સ્પર્શ નહીં એનો કરે,
ચિત્રકારો કદી એને નહીં રેખા આપે,
આપણા પ્રેમનો ઉલ્લેખ કદી પણ ન થશે,
આપણા પ્રેમની શાયર નહીં ઉપમા આપે.
આપણે બનવું હતું લૈલા-મજનૂ કે શીરી-ફરહાદ, પણ બની ગયા અજનબી. પ્રેમના ખંડેરમાં રહેતા બે અજનબીઓ કોઈને પ્રેરણા આપી શકતા નથી. છતાંય સાવ અંદર, ક્યાંક કશુંક બચેલું હોઈ શકે, નાના તણખા કે તિખારા જેવું. નિષ્ફળ પ્રેમી પોતાની નિષ્ફળ પ્રેમિકાને કેવો સધિયારો આપે છે તે જુઓઃ
તે છતાં મારી ઓ દિલબર, તું ગમગીન ન બન,
આપણા બન્નેનો વહેવાર સલામત રહેશે,
એને નિષ્ઠુર સમય પણ ન મટાડી શકશે,
હો ન ઉપયોગ – અધિકાર સલામત રહેશે. 

દુર્ભાગ્ય એ છે કે પ્રેમી તો ઠીક, જેને મિત્ર માન્યા હતા એ પણ આભાસી નીકળ્યા. સુખના પ્રકાશમાં ફૂટી નીકળે અને દુખના અંધકારમાં પાસે ન ફરકે એને દોસ્ત કેવી રીતે કહેવાય.   
સંકટમાં એ સંગાથી કદી થાશે નહીં,
જીવનની તિમીરતામાં એ રોકાશે નહીં,
મિત્રોનો એ આભાસ છે, મિત્રો કેવા?
મૃગજળ છે કદી રાતમાં દેખાશે નહીં.
...ને જીવન નિરુદ્દેશ ઢસડાતું જાય છે. ઉમંગ નથી, ઉત્સાહ નથી, ધ્યેય નથી. છે કેવળ ખાલીપો. મરીઝ લખે છેઃ
જે મને ગમતો નથી એવો જીવનઆરામ છે,
આવ ઓ મૃત્યુ, મને તારું જરૂરી કામ છે.
લાગણી જ્યાં જોઈ ત્યાં ફોકટમાં વેચાઈ ગયો,
કોઈ ના જાણી શક્યું કે શું અમારાં દામ છે‘?
શું કામ આખી જિંદગી આટલો લાગણીશીલ રહ્યો? કેમ જરાક અમથું હેત જોયું ત્યાં વહી ગયો? જ્યારે આપણે જ આપણી લાગણીઓની કિંમત ન કરતા હોઈએ ત્યારે બીજાઓને શું દોષ દેવાનો? સમય અને સંજોગો જીવનનાં ઘણાં સત્યોને સ્પષ્ટ કરે છે, ઘણાં સત્યોને બદલી નાખે છે. માત્ર સામેની વ્યક્તિ જ નહીં, આપણે પણ ખૂબ બદલાતા હોઈએ છીએ.  
આ કહ્યું કોણે, વિરહ, રાતે સમય વીતતો નથી,
અહીં તો લાગે છે કે સદીઓની સદી ચાલી ગઈ.
એક પળ જેના વિના ચાલતું નહોતું, મરીઝ,
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.

મૃત્યુ અંતિમ પડાવ છે, અંતિમ વિરામ છે, પણ મરીઝને તે પણ પસંદ નથી. મૃત્યુશય્યા પર પડ્યા રહેવામાં તેમને ઐયાશી દેખાય છે.  
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી, મરીઝ,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
જીવનની અંતિમ ચરણમાં લાધેલાં સત્યોનું મૂલ્ય કેટલું? આખા જીવનના અર્ક જેવાં જે સત્યો હવે સમજાયાં છે તેને જીવી શકાય એમ નથી, કેમ કે આયુષ્યરેખાનો અંતિમ છેડો આવી ગયો છે. માણસને માગ્યું મોત પણ ક્યાં મળે છે?
જિંદગીમાં આટલું સમજાય તો સારું, મરીઝા,
જિંદગી સમજીને કોને જિંદગીભર જોઈએ.
આ જગતમાં જ્યાં બધાનું મોત પણ સરખું નથી,
ત્યાં ભલા શું માંગીએ જીવન બરાબર જોઈએ?
મરીઝ આપણી ભાષાના એક અત્યંત માતબર સર્જક છે. એમની શાયરીઓ વહ્યા કરવાનું મન તમને પણ થતું હોય તો અપૂર્વ આશર દ્વારા જહેમતપૂર્વક સંપાદિત થયેલા પુનરાગમન નામના દળદાર પુસ્તકમાંથી પસાર થજો. તેમાં મરીઝની સંપૂર્ણ શાયરીને સુંદર રીતે સંગ્રહિત થઈ છે.
0 0 0 
    

Thursday, December 12, 2019

કરોડો કમાવી આપતી ફિલ્મ લખવાની કળા


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 1 ડિસેમ્બર 2019, રવિવાર
મલ્ટિપ્લેક્સ
પચ્ચીસ કરોડના બજેટમાં બનેલી હિટ ફિલ્મ બાલા દોઢસો કરોડ રૂપિયાનો બિઝનેસ ઓલરેડી કરી નાખ્યો છે. આ ફિલ્મના ભાવનગરી લેખક નીરેન ભટ્ટની ક્રિયેટિવ પ્રોસેસની વાતો સાંભળવા જેવી છે.   

Niren Bhatt                                                    Photographs by Devang Vyas

વેમ્બરના પહેલા શુક્રવારે સિનેમાપ્રેમી ગુજરાતીઓને હરખ થાય એવી એક નહીં, પણ બે ઘટના બની હતી. એક તો, હેલ્લારો ફિલ્મનું રિલીઝ થવું અને બીજું, આયુષ્યમાન ખુરાનાની હિન્દી ફિલ્મ બાલાનું રિલીઝ થવું. બાલાની સ્ટોરી-સ્ક્રીનપ્લેનું સહલેખન અને ડાયલોગ્ઝનું સંપૂર્ણ લેખન મૂળ ભાવનગરી અને હવે પાક્કા બમ્બૈયા બની ગયેલા નીરેન ભટ્ટે કર્યું છે. હેલ્લારોનાં મોજાં એવાં ઊછળ્યાં કે ટ્રેડિશનલ મીડિયા અને સોશિયલ મીડિયા બન્નેનું સઘળું ધ્યાન તેના તરફ ખેંચાયેલું રહ્યું. પરિણામે નીરેન ભટ્ટની કામિયાબી એટલી સેલિબ્રેટ ન થઈ જેટલી થવી જોઈતી હતી. બાલા હિટ થઈ, રાષ્ટ્રીય કક્ષાના લગભગ તમામ સ્ટાર-રિવ્યુઅર દ્વારા બાલાનાં લખાણનાં ભારોભાર વખાણ થયા, તો પણ.

ઓહ, હેલ્લારોની કામિયાબીથી હું પણ એટલો જ આનંદિત છું જેટલા સૌ કૌઈ છે, મુંબઇની એક કૉફી શોપની પારદર્શક દીવાલ નજીક ચેર પર ગોઠવાઈને નીરેન ભટ્ટ વાતચીતની શરૂઆત કરે છે, હું ગુજરાતી સિનેમાના આ ન્યુ વેવ સાથે બે યારના સમયથી સંકળાયેલો છું. કેવી રીતે જઈશ?’ (2012) અને બે યાર (2014)થી શરૂ થયેલી ગુજરાતી સિનેમાની આ યાત્રા અત્યારે હેલ્લારો સુધી પહોંચી છે. હું ખુદ અત્યંત રોમાંચિત છું ત્યારે દેખીતું છે કે હું કંઈ સ્વાર્થી બનીને એવી ફરિયાદ કરવા ન બેસું કે બાલાની સફળતામાં મારાં કન્ટ્રીબ્યુશન વિશે કેમ ઝાઝી વાત થઈ રહી નથી?’

નીરેન ભટ્ટ સ્વયં જોકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત વાતચીતનો વિષય બની રહ્યા છે. બે યારનું સહલેખન કર્યા પછી એમણે નેશનલ અવૉર્ડ વિનિંગ રોંગ સાઇડ રાજુ’ (2016)નું સહિયારું લેખન કર્યું, સુપરહિટ મરાઠી ફિલ્મ વેન્ટિલેટરને ગુજરાતીમાં ઉતારી અને 28 ગુજરાતી ફિલ્મોનાં ગીતો, કહોને કે આખેઆખાં આલ્બમ લખ્યાં. સિંગલ ગીતો તો અલગ. વાલમ આવોને આવો ને... માંડી છે લવની ભવાઈ, ગોરી રાધા ને કાળો કાન... ગરબે ઘુમે ભુલી ભાન જેવાં નીરેન ભટ્ટે લિખિત રચનાઓ પર આજે આખું ગુજરાત ઝુમે છે. તારક મહેતા કા ઊલટા ચશ્માના એમણે લખેલા એપિસોડ્સ આ શોના ચાહકોને હજુય હસાવે છે.

રોંગ સાઇડ રાજુના ડિરેક્ટર મિખિલ મુસળેએ પોતાની પહેલી હિન્દી ફિલ્મ મેઇડ ઇન ચાઇના બનાવી ત્યારે એની રાઇટિંગ ટીમમાં નીરેન ભટ્ટ પણ હતા. દિવાળી પર આવેલી મેઇડ ઇન ચાઇના બૉક્સઑફિસ પર જોકે ન ચાલી, પણ એના બીજા જ અઠવાડિયે રિલીઝ થયેલી અને પચ્ચીસ કરોડના બજેટમાં બનેલી બાલાનો બિઝનેસ, આ લખાઈ રહ્યું છે ત્યારે, દોઢસો કરોડના આંકડાને પાર કરી ચુક્યો છે.
   
જેમની સાથે કામ કરવાનું સપનું જોયું હોય એવા બૉલિવુડના કેટલાય મોટામાં મોટા ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ તરફથી મને અભિનંદનના ફોન અને મેસેજીસ આવી રહ્યા છે, નીરેન મલકાય છે, ટોચના પ્રોડક્શન હાઉસીસ સાથે મારી લાગલગાટ મારી મીટીંગ્સ થઈ રહી છે. આઇ એમ હૅપી!’

હૅપી કેમ ન હોય! બાલાની સફળતાએ નીરેન ભટ્ટનું નામ બૉલિવુડના -લિસ્ટ લેખકોની સૂચિમાં હકથી મૂકી દીધું છે.

મેઇડ ઇન ચાઇના અને બાલા બન્ને મડોક ફિલ્મ્સ બેનરની ફિલ્મો છે. નીરેન કહે છે, મડોકના પ્રોડ્યુસર દિનેશ વિજાનને મેઇડ ઇન ચાઇનાના મારા ડાયલોગ્ઝ ખૂબ ગમતા હતા. એમણે મને બાલા લખવાની ઑફર આપી. મૂળ વાર્તા પાવેલ ભટ્ટાચારજી નામના બંગાળી લેખકની હતી. એમાં એવું હતું કે બનારસમાં રહેતો હીરોના વાળ જુવાનીમાં ખરવા લાગે છે. એનું કારણ ગંગાનું પ્રદૂષિત પાણી છે અને આ પ્રદૂષણ માટે કોઈ મોટી કંપની જવાબદાર છે. હીરો પછી પર્યાવરણના મુદ્દે આ કંપનીની સામે જંગે ચડે છે, વગેરે. બાલાના ડિરેક્ટર અમર કૌશિક મૂળ આ ફિલ્મના ક્રિયેટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયા હતા. મેં એમને કહ્યું કે આ વાર્તા મને ખાસ એક્સાઇટિંગ લાગતી નથી. જોગાનુજોગે અમરના વાળ પણ નાની ઉંમરે ખરવાના શરૂ થઈ ગયા હતા. તેઓ પોતાના અનુભવો અમારી સાથે શૅર કરતા. જેમ કે એ નહાવા બેસે ત્યારે દર વખતે ટેન્શન એ વાતનું હોય કે આજે કેટલા વાળ જશે. નાહ્યા પછી વાળ ઓળે ત્યારે પહેલી નજર અરીસામાં નહીં, પણ દાંતિયા તરફ જાય! અમર ખુદ ગોરા-ચિટ્ટા હેન્ડસમ માણસ છે, પણ અકાળે ટાલ પડવાને કારણે તેઓ પરેશાન થઈ ગયા હતા. મેં કહ્યું કે વાર્તા ખરેખર આ છે. પર્યાવરણની પળોજણમાં પડવાને બદલે આપણે અકાળે ટાલિયા થઈ રહેલા હીરોના મનમાં મચેલા ઘમાસાણને કેન્દ્રમાં રાખીને  આખી વાર્તા ગુંથીએ.



જેમ જેમ લેખનપ્રક્રિયા આગળ વધી તેમ તેમ સમજાતું ગયું કે આ વાર્તામાં ધાર્યા કરતાં ઘણું વધારે કૌવત છે. માત્રા ટાલિયા જ નહીં, પણ જાડા, સૂકલકડી, બટકા, કાળા આ સૌનો આત્મવિશ્વાસ એમના દેખાવને કારણે ઘવાતો હોય છે. મુદ્દો સેલ્ફ-ઇમેજનો છે. નીરેન ભટ્ટ અને ક્રિયેટિવ ટીમ સામે સ્પષ્ટ થતું ગયું કે ફિલ્મમાં આપણે વાળ ખરવાની વ્યથા સુધી સીમિત રહેવાને બદલે ઘણી મોટી વાત કહી શકીએ તેમ છીએ. પોતાની જાતને ચાહવામાં, ખુદને જેવા હોઈએ તેવા સ્વીકારી લેવામાં જ સુખની ચાવી છે એવા મતલબનું સ્ટેટમેન્ટ આ ફિલ્મ દ્વારા કરી શકાય તેમ છે. અમર કૌશિક, કે જેઓ સ્ત્રી જેવી સુપરહિટ ડેબ્યુ ફિલ્મ આપી ચુક્યા છે, તેમને એટલી મજા આવી ગઈ કે એમણે બાલાના ક્રિયેટિવ પ્રોડ્યુસર રહેવાને બદલે ડિરેક્ટર બનવાનું પસંદ કર્યું.

મેં ગયા વર્ષે 18 ઓક્ટોબરે બાલા લખવાની શરૂઆત કરી હતી, નીરેન કહે છે, જાન્યુઆરીમાં પહેલો ડ્રાફ્ટ પૂરો થયો. મેં શરૂઆતમાં જ વાળનો વૉઇસઓવર (જેને અવાજ વિજય રાઝે આપ્યો છે) લખ્યો હતો, જે બધાને બહુ ગમ્યો. આ વૉઇસઓવરથી ફિલ્મનો ટોન સેટ થઈ જતો હતો. મે મહિના સુધીમાં કુલ દસ-અગિયાર ડ્રાફ્ટ્સ લખાયા. જેમ જેમ લખાતું ગયું તેમ તેમ સ્પષ્ટતા વધતી ગઈ, સૂક્ષ્મતાઓ અને લેયર્સ ઉમેરાતાં ગયાં. ફિલ્મની કથાનું લોકાલ કાનપુર છે. અમર કૌશિક ખુદ કાનપુરના છે. એમના ઇનપુટ્સ મને ખૂબ ઉપયોગી બન્યા. ફિલ્મ લખાતી હતી તે દરમિયાન અમે કાનપુર ગયા, એમના થિયેટરના અને બીજા દોસ્તોને મળ્યા. મને કાનપુરની બોલીની તાસીર સમજાતી ગઈ. જેમ કાઠિયાવાડી-અમદાવાદી-મહેસાણી અને સુરતી ગુજરાતી એકબીજાથી જુદી છે, તેમ બનારસી-લખનવી-કાનપુરી હિન્દીના લહેકા પણ એકમેકથી અલગ છે. કાનપુરી હિન્દીમાં આપણી કાઠિયાવાડી જેવો સ્વૅગ છે, એક પ્રકારની ટણી છે! મેક જૉક ઑફ નામની યુટ્યુબ ચેનલનું કોન્ટેન્ટ પણ સ્થાનિક બોલીના રેફરન્સ તરીકે મને ઉપયોગી બન્યું.

બાલાના સ્ક્રીનપ્લે ઉપરાંત કાનપુરી લહેજામાં બોલાતા સંવાદોની વિશેષપણે પ્રશંસા થઈ છે. સવાલ જ નથી. પૂછવા જેવો સવાલ આ છેઃ ભાવનગરમાં મોટો થનાર, સિવિલ એન્જિનીયર બનીને અને માસ્ટર ઓફ એન્જિનીયરીંગ (એમઇ) તેમજ એમબીએમાં ગોલ્ડ મેડલ મેળવનાર અને આર્થિક સલામતી આપતી કોર્પોરેટ જોબ સ્વીકારનાર નીરેન ભટ્ટ નામનો આ તેજસ્વી છોકરો બોલિવૂડનો સફળ લેખક શી રીતે બની ગયો? વચ્ચેનાં વર્ષોમાં શું શું બન્યું? સફળતાનો સ્વાદ ચાખતાં પહેલાં એમણે કેવા સંઘર્ષ, કેવી નિષ્ફળતાઓની કડવા ઘૂંડવા પીવા પડ્યા? આ પ્રશ્નોના ઉત્તર હવે પછી.        

    0 0 0 

ડિજિટલ યુગમાં હીરો તો લેખક જ હોવાનો 

 દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 8 ડિસેમ્બર 2019, રવિવાર

મલ્ટિપ્લેક્સ

બોલિવૂડના લેખક બનવા માટે તમારામાં ગાંડપણની હદ સુધીનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. ગ્લેમરને કારણે નહીં, પણ જો તમને લખવાની પ્રોસેસમાં મજા આવતી હોય તો જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું વિચારવું જોઈએ.



હું મૂળ પદ્યનો જ માણસ છું, ગદ્ય પણ મૂળભૂત રીતે પદ્યમાંથી જ પ્રગટે છે એવું મારું માનવું છે.

આયુષ્યમાન ખુરાનાની બાલા જેવી દોઢસો કરતાં વધારે કરોડ કમાઈ ચુકેલી ફિલ્મનું ગદ્ય લખનારા નીરેન ભટ્ટ જ્યારે આવી વાત કરે ત્યારે સહેજ નવાઈ તો લાગે. બાલાનું ગદ્ય એટલે સ્ટોરી-સ્ક્રીનપ્લેનું સહલેખન અને સંવાદોનું સંપૂર્ણ લેખન. અગાઉ મેઇડ ઇન ચાઇના, બે યાર, રોંગસાઇડ રાજુ જેવી ગુજરાતી અને હિન્દી ફિલ્મોનું સહલેખન પણ નીરેન ભટ્ટના બાયોડેટામાં બોલે છે. સાથે સાથે, ગયા રવિવારે નોંધ્યું હતું એમ, વાલમ આવો ને, ગોરી રાધા ને કાળો કાન જેવાં કેટલાંય સુપરહિટ ગુજરાતી ફિલ્મી ગીતો તેઓ લખી ચક્યા છે. આંકડાબાજી જ કરવી હોય તો સાંભળી લો કે એમણે 28 ગુજરાતી ફિલ્મોનાં આખેઆખાં આલ્બમ્સ લખ્યાં છે. છૂટક ગીતો તો અલગ. ફિલ્મનાં સ્ક્રીનપ્લે અને ડાયલોગ્ઝ લખવા કરતાં ગીતો લખવામાં નીરેનને વિશેષ મોજ પડે છે.    

હું કવિ નહીં, પણ ગીતકાર છું, મુંબઇની એક કૉફી શૉપમાં ગ્રીન ટીની ચુસકી લઈને નીરેન ભટ્ટ વાત આગળ ધપાવે છે, મારાં કેટલાંય ગીતો ઑલા-ઉબર ટૅક્સીની બૅકસીટ પર લખાયાં છે! મુંબઇમાં આમેય મીટીંગ માટે કે બીજાં કોઈ કામ માટે તમારે ટ્રાવેલિંગમાં પુષ્કળ સમય પસાર કરવો પડતો હોય છે. મારાં ગીતો પણ સ્ક્રીનપ્લેનો જ એક ભાગ હોય છે. જેમ કે, વાલમ આવો ને... આવો ને ગીતમાં પ્રતીક ગાંધી અને મલ્હાર ઠાકરનાં પાત્રોના જે મનોભાવ વ્યક્ત થયા છે તે સંવાદ સ્વરૂપે પણ વ્યક્ત થઈ શક્યા હોત. એ જ રીતે બાલામાં યામી ગૌતમ પોતાના માટે બાહ્ય દેખાવ શા માટે મહત્ત્વનો છે તે વિશે આક્રોશપૂર્વક જે લાંબો ડાયલોગ બોલે છે તે ગીતમાં પણ વણી શકાયું હોત.

નીરેને સ્કૂલ-કૉલેજમાં પુષ્કળ થિયેટર કર્યું છે. કંઈકેટલાંય નાટકોનું લેખન અને ડિરેક્શન જ નહીં, એમાં એક્ટિંગ પણ કરી છે. અમુક નાટકો મ્યુઝિકલ હોય એટલે એમાં ગીતોની ભરમાર હોય. એમણે  લખેલું ભવાઈ – ખેલદિલીનો ખેલ ઉર્ફ મેચ ફિક્સિંગનો વેશ નામનું નાટક તો આખેઆખું છંદોબદ્ધ છે. એની કોમેડી પણ છંદમાં.

મારા પપ્પા બેન્કમાં જૉબ કરતા હતા અને મમ્મી સાઇકોલોજીની પ્રોફેસર હતી, ભાવનગરમાં જન્મેલા અને ઊછરેલા નીરેન ભટ્ટ કહે છે, મમ્મી પોતાની કૉલેજમાં યુથ ફેસ્ટિવલના કો-ઓર્ડિનેશનની જવાબદારી ઉપાડતી. હું નાનો હતો ત્યારે મમ્મી સાથે જતો અને ને નાટકોને એવું બધું રસથી જોયા કરતો.


નીરેનનાં દાદી પણ એમના જમાનામાં સંસ્કૃત અને ગુજરાતીનાં પ્રોફેસર હતાં, વિદૂષી હતાં. નીરનને વાંચનની ટેવ પડે તે માટે બાળપણથી ઘરમાં પૂરેપૂરો અનુકૂળ માહોલ ઊભો થયો હતો. ઇતર પ્રવૃત્તિઓમાં રસ લેનાર નીરેન ભણવામાં પણ ખૂબ હોશિયાર. ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલમાં ભણ્યા પછી શાંતિલાલ શાહ એન્જિનીયરિંગ કૉલેજમાંથી તેઓ સિવિલ એન્જિનીયર થયા. પછી વડોદરાની એમ.એમ. યુનિવર્સિટીમાંથી એમ.ઇ. કર્યું, જેમાં ડિઝર્ટેશનના ભાગરૂપે સરદાર સરોવર નર્મદા નિગમના સહયોગથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ કેનલ ગેટ ઑટોમેશન મૉડલ બનાવ્યું. 1997થી 2000ની સાલ દરમિયાન નીરેને વડોદરામાં ખૂબ થિયેટર કર્યું. ધ્યાનાકર્ષક વાત એ છે કે થિયેટરમાં પ્રવૃત્ત હોવા છતાં એમણે એમ.ઇ.માં ગોલ્ડમેડલ પણ મેળવ્યો. પછી વડોદરાની પૉલિટેક્નિક કૉલેજમાં એક વર્ષ માટે લેકચરર તરીકે જૉબ કરી.

મને સમજાયું કે કરીઅરને ગતિ આપવા માટે એમબીએ કરવું જોઈએ. આથી મુંબઇની આઇબીએસ કૉલેજમાં બે વર્ષનો એમબીએનો ફુલ ટાઇમ કૉર્સ કર્યો. તે પછી મુંબઇ સ્થિત આઇબેક્સી નામની ફર્મમાં બિઝનેસ ઇન્ટેલિજન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. બસ, આ સમગાળામાં મને સમજાયું કે મારે તો લખવું છે, લેખન એ મારું પૅશન છે. હું કંઈ આખી જિંદગી જૉબ ન કરી શકું. દરમિયાન મારાં લગ્ન થઈ ચુક્યાં હતાં. મારી પત્ની પલક, કે જે શિલ્પી છે, એણે મને જૉબ છોડવા માટે પ્રોત્સાહિત કર્યો. છ મહિના ચાલે એટલું સેવિંગ એકઠું થયું એટલે મેં નોકરી છોડી દીધી.

તમારાં લગ્ન થઈ ગયાં હોય ને તમે મુંબઈ જેવા મોંઘાદાટ શહેરમાં રહેતા હો ત્યારે આર્થિક સલામતી પૂરી પાડતી નોકરી છોડવા માટે જિગર જોઈએ! હવે શરૂ થઈ સ્ટ્રગલ. નીરેને થોડું થોડું લખવાનું તો જૉબ ચાલતી હતી ત્યારે જ શરૂ કરી દીધું હતું. તેમણે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને મળવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, મેં પાંચેક ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ લખી હતી. હું ડિરેક્ટરોને મળું, સ્ક્રિપ્ટ અપ્રુવ થાય, પણ આ પાંચમાંથી  એકેય સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ ન બની. સિરીયલોમાં પણ એવું. કાં તો વાત પાયલટ એપિસોડથી આગળ ન વધે યા તો આખેઆખી ચેનલ જ બંધ થઈ જાય! મેં ઉમેશ શુક્લના ડિરેક્શન હેઠળ રિટર્ન ટિકિટ નામનું કમર્શિયલ નાટક પણ લખ્યું, પણ એના પહેલાં શોમાં ટેક્નિકલ ગરબડને કારણે મ્યુઝિક જ ન વાગ્યું!’
  
દરમિયાન ટીવી પર થોડું થોડું કામ મળવું શરૂ થયું. ઑફિસ ઑફિસની સિઝન-થ્રી, યે કાલી કાલી રાતેં નામની ભયંકર વિચિત્ર સમયે ટેલિકાસ્ટ થતો હોરર શો, ભાઇ ભૈયા બ્રધર, સાવધાન ઇન્ડિયા વગેરે જેવી સિરીયલોમાં લખાતું ગયું. સાવધાન ઇન્ડિયાને કારણે સારો આર્થિક ટેકો રહેતો હતો. 2012માં તારક મહેતા કા ઊલટા ચશ્માની રાઇટિંગ ટીમમાં સામેલ થયા. 2013માં બે યાર લખી ને અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી! 2018માં નીરેનની પહેલી હિન્દી ફિલ્મ રિલીઝ થઈ – લવરાત્રિ. સલમાન ખાને આ ફિલ્મ દ્વારા પોતાના બનેવીને મોટા ઉપાડે હીરો તરીકે લૉન્ચ કરવાની કોશિશ કરી હતી, પણ આ કોશિશ જરાય કામિયાબ ન થઈ. 2019માં પહેલાં મેઇડ ઇન ચાઇના (સંવાદલેખન) આવી અને ત્યાર બાદ આવી સુપરહિટ બાલા.

નીરેન કહે છે, ઊભરતા ફિલ્મલેખકોને ટિપ્સ આપી શકવાના સ્તર સુધી હજુ સુધી હું પહોંચ્યો નથી, પણ તોય કોઈ મારી પાસે સલાહ લેવા આવે ત્યારે સૌથી પહેલાં તો હું તેમને ડિસકરેજ કરતો હોઉં છું, કેમ કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે તમારામાં જબરદસ્ત હિંમત જોઈએ, ગાંડપણની હદ સુધીનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. એક વાત યાદ રાખવાની કે ફિલ્મરાઇટરને કોઈ રિબીન કાપવા નહીં બોલાવે, કોઈ તમારો ફોટોગ્રાફ કે ઓટોગ્રાફ લેવા નહીં આવે. ગ્લેમરને કારણે નહીં, પણ જો તમને લખવાની પ્રોસેસમાં મજા આવતી હોય તો જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું વિચારવું જોઈએ.

ફિલ્મલેખક બનવા માગતા ઉત્સાહીઓને નીરેન સૌથી પહેલો સવાલ એ કરે કે દોસ્ત, તમે શું શું વાંચ્યું છે? ઉત્તમ વાચક બન્યા વગર લેખક શી રીતે બની શકાય? નાનપણથી જ આપણા ઉત્તમોત્તમ સાહિત્યકારોનું શબ્દસાન્નિધ્ય કરનારા નીરેન કહે છે, જૉબ ચાલુ હતી ત્યારે હું રોજ અઢાર-અઢાર કામ કરતો, છતાં પણ મારું પુસ્તકોનું વાંચન બંધ નહોતું થયું. કોઈને ગીતકાર બનવું હોય એમને પણ હું આવો જ સવાલ પૂછતો હોઉં છું. આ ઉત્સાહીઓએ ન તો રમેશ પારેખને વાંચ્યા હોય, ન મરીઝ વિશે કંઈ જાણતા હોય. ઉશનસ જેવા કવિઓની તો વાત જ નહીં કરવાની.

બાલાની સફળતા માણી રહેલા નીરેન ભટ્ટે લખેલી બે વેબસિરીઝ ટૂંક સમયમાં સ્ટ્રીમ થવાની છે. અરશદ વારસીને ચમકાવતી અસૂર એક ફોરેન્સિક થ્રિલર છે, જે ડિજિટલ પ્લેટફૉર્મ વૂટ પર આવવાની છે, જ્યારે ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ એક્સેલે બનાવેલી ઇનસાઇડ એજની બીજી સિઝન આ લેખ તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થઈ ચુકી હશે.

ફિલ્મ કે ટીવી સિરીયલ લખવી એક વાત છે, જ્યારે એક-એક કલાકના દસ-દસ એપિસોડની પાંચ-સાત સિઝન ચાલે એટલું કોન્ટેન્ટ લખવું એ તદ્દન જુદી વાત છે, નીરેન ભટ્ટ સમાપન કરે છે, પાંચસો મિનિટનું કોન્ટેન્ટ શી રીતે લખવું? પશ્ચિમના લેખકો આ કામ સરસ રીતે કરી રહ્યા છે, પણ આપણે ત્યાં આ કોડ હજુ સુધી કોઈએ ક્રેક કર્યો નથી... પણ એક વાત નિશ્ચિત છે, આવનારા ડિજિટલ યુગમાં હીરો તો લેખક જ હોવાનો.

ટચવૂડ!

0 0 0