Showing posts with label Khushwant Singh. Show all posts
Showing posts with label Khushwant Singh. Show all posts

Wednesday, October 31, 2018

આદત, શિસ્ત અને આપણે

દિવ્ય ભાસ્કર - કળશ પૂર્તિ- 31 ઓક્ટોબર 2018 
ટેક ઓફ
પ્લીઝ, એક વાત સમજી લો કે સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી. એ હંમેશાં નહીં રહે. જો તમે સવારે વહેલા નથી ઊઠતા, યોગ-પ્રાણાયમ નથી કરતા તો તમે પ્રકૃતિ સાથે કરેલો કોન્ટ્રેક્ટ તોડી રહ્યા છો. એક દિવસ તમે પકડાઈ જશો ને તમારી પાસેથી તમારું શરીર પાછું લઈ લેવામાં આવશે.’ 


  
રદાર વલ્લભભાઈ પરોઢિયે અચૂકપણે ઉઠી જતા. વહેલી સવારે સાડાચારથી સાડાછ - આ બે કલાક તેઓ બ્રિસ્ક વોકિંગ એટલે કે ઝડપથી ચાલવાની કસરત કરતા. આ સમયગાળા કોઈને પણ સરદાર પટેલને મળવાની, એમની સાથે વાત કરવાની છૂટ. શરત એટલી કે એણે સરદાર સાથે કદમમાં કદમ મિલાવવા પડે. વલ્લ્ભભાઈની ચાલવાની ઝડપ એટલી બધી રહેતી કે સામેના માણસે બાપડાએ લગભગ દોડવું પડતું. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં જ્યારે ડોક્ટરે મોર્નિંગ વોક લેવાની મનાઈ ફરમાવી છેક ત્યારે એમણે આ રુટિન પર પૂર્ણવિરામ મૂક્યું. સરદાર પટેલ 75 વર્ષનું એવું સુપર એક્ટિવ અને પ્રેરણાદાયી જીવન જીવ્યા કે એમના મૃત્યુના 68 વર્ષ પછી એમની એક ભવ્યાતિભવ્ય પ્રતિમા બનાવવી પડે છે (જેનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે) અને જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા હોવાનો જશ ખાટી જાય છે.    

આપણને વોટ્સએપમાં વારંવાર અથડાયા કરતું હોવાથી આ વાક્ય સાવ પ્રભાવહીન થઈ ગયું છે, પણ એમાં જે સત્ય સમાયેલું છે એ પ્રચંડ છે. વાક્ય આ છેઃ આપણા વિચારોથી આપણો હેતુ ઘડાય છે, હેતુ આપણી પ્રવૃત્તિઓ નક્કી થાય છે, પ્રવૃતિઓથી ટેવ બને છે, ટેવો આપણું ચારિત્ર્ય ઘડે છે અને ચારિત્ર્ય આપણું પ્રારબ્ધ નક્કી કરે છે! માણસ જીવનમાં જે બને છે અથવા જે બની શકતો નથી એમાં એણે કેળવેલી યા ન કેળવેલી આદતોનો સિંહફાળો હોય છે.

એક વાત વારંવાર વાંચવા-સાંભળવામાં આવે છે કે નવી ટેવ પાડવા માટે ફક્ત ૨૧ દિવસ જોઈએ. લાગલગાટ ત્રણ વીક સુધી રોજેરોજપૂરેપૂરી નિષ્ઠાથી જેની આદત પાડવી છે તે ક્રિયાને વળગી રહો તો તે તમારી પર્સનાલિટીનો ભાગ બની જશેતમારો સ્વભાવ બની જશે!

ખરેખર? ફક્ત ૨૧ દિવસજે આરામપ્રિય મહાઆળસુ માણસ જિંદગીમાં સો મીટર પણ ચાલ્યો નથી તે ગમે તેમ કરીને ૨૧ દિવસ સુધી રોજની પોણી કલાક મોર્નિંગ વોક લઈ આવે એટલે બાવીસમા દિવસથી એને ચાલવાની સજ્જડ આદત પડી જશેપોતાની જાતને બિલકુલ ધક્કા નહીં મારવા પડેના.૨૧ દિવસવાળી આ થિયરી ભ્રામક છેએક 'મિથછે તે એક કરતાં વધારે અભ્યાસોમાં પુરવાર થયું છે. સવાલ એ છે કે તો પછી આ ૨૧ દિવસનો આંકડો આવ્યો ક્યાંથીજાણભેદુઓએ ખાંખાંખોળાં કરીને આ થિયરીનાં મૂળિયાં શોધી કાઢયાં છે. ડો. મેક્સવેલ માલ્ટ્ઝ નામના એક અમેરિકન કોસ્મેટિક સર્જ્યને ૧૯૬૦માં 'સાયકો-સાયબરનેટિક્સ' નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. તેમાં એમણે લખ્યું હતું કે, 'પેશન્ટના ચહેરાની પ્લાસ્ટિક્ સર્જરી થાય પછી નવા ચહેરાથી ટેવાતા ૨૧ દિવસ લાગે છે. હાથ કે પગ વાઢી નાખવામાં આવ્યા પછી પેશન્ટને ૨૧ દિવસ સુધી ફીલિંગ થતી રહે છે કે કાપી નંખાયેલું અંગ હજુ ત્યાં જ છે. જૂની મેન્ટલ ઇમેજને ભૂંસાતા અને નવી મેન્ટલ ઇમેજને સ્થિર થતાં ઓછામાં ઓછા ૨૧ દિવસ લાગી જાય છે.

આમડો. મેક્સવેલે ૨૧ દિવસવાળી વાત મુખ્યત્વે પ્લાસ્ટિક સર્જરીના સંદર્ભમાં કરી હતીપણ કાળક્રમે તેને જનરલાઈઝ્ડ કરી નાખવામાં આવી. ટૂંકમાં૨૧ દિવસમાં નવી આદત ઘડાય તે વાત ખોટી. ઠીક છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ૨૧ નહીં તો વધારાના કેટલા દિવસમાં હેબિટ ફોર્મ થાયઆના અનેક પ્રયોગો થયા છે. એક પ્રયોગમાં પાર્ટિસિપન્ટ્સને હેલ્થને લગતી કોઈ આદત જાતે પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. ભાગ લેનારાઓનું ૮૪ દિવસ સુધી નિરીક્ષણ ક્રવામાં આવ્યું. અમુક પાર્ટિસિપન્ટ્સને ૧૮ દિવસમાં ટેવ પડી ગઈઅમુકને પૂરા ૮૪ દિવસ લાગ્યા. ટેવ પડવા માટે જરૂરી દિવસોનો સરેરાશ આંકડો ૬૬ આવ્યો. ટેવ કઈ વસ્તુની પાડવી છે તે પરિબળ સૌથી મહત્ત્વનું છે. રોજ એક લિટર પાણી અચૂક પીવા જેવી સાદી બાબત હોય તો જલદી ટેવ પડી જાય. રોજ એક કલાક જોગિંગ-રનિંગ કરવા જેવી કઠિન આદત માટે લાંબો સમય જોઈએ.


દંતકથારૂપ બની ગયેલા અને ૯૮ વર્ષનું રસિક જીવન જીવનારા અંગ્રેજી પત્રકાર-લેખક ખુશવંત સિંહે 'ખુશવંતનામાઃ ધ લેસન્સ ઓફ માય લાઇફ' નામનાં પુસ્તકમાં આપેલી લાંબું જીવન જીવવાની ટિપ્સ ખાસ્સી પોપ્યુલર બની છે. એમાંની એક ટિપ એવી છે કે, 'સ્પોર્ટ્સમાં રસ લેવો. ટેનિસ, સ્ક્વોશબેડમિન્ટન કે એવું કંઈ પણ રમો. એવું થઈ શકતું ન હોય તો નિયમિતપણે કસરત કરો. એકાદ કલાક ઝડપથી ચાલો, સ્વિમિંગ કરો. દોડી શકતા હો તો ઉત્તમ.'

ખુશવંત સિંહ ખાણીપીણી પર કાપ મૂકવાની પણ સલાહ આપે છે. પીણી એટલે શરાબ. જમવાનો સમય સહેજ પણ આઘોપાછો ન થવો જોઈએ. ખુશવંતસિંહ દિવસની શરૂઆત એક ગ્લાસ ફ્રૂટ જ્યૂસથી કરતા. સવારે સાડા છ વાગ્યે બ્રેકફાસ્ટ પતાવી લે. બ્રેકફાસ્ટ એટલે સાત્ત્વિક બ્રેકફાસ્ટ. રોજેરોજ સવારના પહોરમાં ગાંઠિયા, જલેબીતીખાં મરચાં પર તૂટી નહીં પડવાનું. કાઠિયાવાડીઓ બપોરે બે કલાક ઊંઘીને 'હાલો હવે નવો દિવસ ઊગ્યો' કરતાં નવેસરથી નાસ્તો કરવા બેસે તે પણ ન ચાલે.

આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં આનંદમૂર્તિ ગુરુમાનું નામ અત્યંત પ્રેમ અને આદરથી લેવાય છે. એમણે એમના 'માઇન્ડ મેનેજમેન્ટ' નામના પુસ્તકમાં લખ્યું છે કે,  ‘પ્લીઝ, એક વાત સમજી લો કે સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી. એ હંમેશાં નહીં રહે. તમારે એના માટે બહુ બધું કરવું પડશે. જો તમે એ નહીં કરો તો બહુ જલદી બુઢા થઈ જશો અને જલદી મરી પણ જશો... જો તમે સવારે વહેલા નથી ઊઠતા, યોગ-પ્રાણાયમ નથી કરતા તો તમે પ્રકૃતિ સાથે કરેલો કોન્ટ્રેક્ટ તોડી રહ્યા છો. એક દિવસ તમે પકડાઈ જશો ને તમારી પાસેથી તમારું શરીર પાછું લઈ લેવામાં આવશે.’

ગુરુમાએ સૂર્યોદય પહેલાં જાગી જઈને યોગાસન કરવાનો સુવર્ણ નિયમ સૂચવ્યો છે. તેઓ લખે છે, 'સૂર્યનમસ્કાર, પશ્ર્ચિમોત્તાનાસન, જાનુશીર્ષાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, સર્વાંગાસન, ભુજંગાસન, મંડૂકાસન... બસ આટલાં જ આસાન. વધુ નહીં. જો તમે આટલાં આસન કરો તો તમને ક્યારેય સ્પોન્ડેલાઈટીસ, કમર કે પીઠનો દુખાવો, પાચનતંત્રની તકલીફ, માથાનો દુખાવો, માઈગ્રન નહીં થાય. બ્લડપ્રેશરની વ્યાધિ નહીં થાય... તમે જેટલા યોગાસન, ધ્યાન, પ્રાણાયામ કરતા જશો એમ તમે બેફિકર થવા માંડશો, ગાઢ નિંદ્રા આવવા માંડશેસ વાતોમાં વિહવળ નહીં થાઓ, હતાશ નહીં થાઓ, મુંઝાશો નહીં તેમજ સમસ્યાઓને સાચા પરિપ્રેક્ષ્યમાં જોઈ શકશો.'

આપણે આખરે શું છીએ? આપણી આદતોનો સરવાળો! ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહેવુંસુખની અનુભૂતિ કરતા રહેવી,પોઝિટિવ રહેવું તે પણ એક આદત હોઈ શકે છે. મેથ્યુ રિકેર્ડ નામનો એક ફ્રેન્ચ માણસ સુખની શોધમાં એક દિવસ બધું છોડીને હિમાલય આવીને બૌદ્ધ સાધુ બની ગયો. દલાઈ લામાના ખાસ માણસ ગણાતા મેથ્યુ રિકેર્ડે કેટલાંય પુસ્તકો લખ્યાં છે. તેમને ઘણી વાર 'ધ હેપીએસ્ટ મેન ઈન ધ વર્લ્ડતરીકે સંબોધવામાં આવે છે. સુખ માટે તેઓ મેડિટેશન પર ભાર મૂકે છે. તેઓ કહે છે, 'મેડિટેશનની ટેવ પાડવી પડે છેમનને શિસ્તપૂર્વક કેળવવું પડે છે. આપણે ભણતરમાં જિંદગીનાં પંદર વર્ષ નાખી દઈએ છીએ,ફિટનેસ પાછળ પુષ્કળ શક્તિ ખર્ચીએ છીએપણ જે સૌથી વધારે મહત્ત્વનું છે - આંતરિક શાંતિ અને ખુદના મન પર કાબૂ - એના માટે કોણ જાણે કેમ સમય ફાળવી શકતા નથી. ધ્યાન અને પ્રાણાયામ તો આત્માનો ખોરાક છે.'
આજે, સરદાર પટેલના બર્થડે પર, એમની પ્રતિમાના નિર્માણ પાછળ થયેલા તોતિંગ ખર્ચ કે એવા બધા મુદ્દે સામસામા બાખડતા રહેવાને બદલે એમની મોર્નિંગ વોક જેવી સારી આદતો પર ધ્યાન આપીએ, એને ખુદના જીવનમાં ઉતારવાના નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરીએ. વાત આખરે ટેવ અને શિસ્ત પર જ આવીને અટકે છે, ખરું?
00 


Tuesday, April 16, 2013

વ્હિસ્કીને વય સાથે શો સંબંધ છે?


સંદેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - ૧૭ એપ્રિલ ૨૦૧૩ 

કોલમટેક ઓફ 

ખુશવંતસિંહનું રોજ સાંજે એક પેગ શરાબ પીવાનું ફેન્સી સૂચન ગુજરાતની જનતા માટે જરા જોખમી છે! મુંબઈના ગુજરાતીઓની વાત અલગ છે.


'કાચબાની જેમ સો-સવા સો વર્ષ ખદબદવા કરતાં રેસના ઘોડાની જેમ દસ-પંદર વર્ષ દોડી લેવું સારું. ફાસ્ટ લાઇફ! કાચબો ન તો ખુલ્લી જમીન પર આવે છે કે ન તો ઊંડા પાણીમાં ઊતરે છે. બે-ચાર ફૂટ પાણીમાં અથવા બહાર સૂકા કાદવમાં ખદબદ્યા કરવાનો અને જરાક કંઈક થાય એટલે એની ઢાલમાં ઘૂસી જવાનો. કાચબાની જેમ જીવો તો જરૂર ઘણું લાંબું જીવતા રહેવાય.'
ચંદ્રકાંત બક્ષીની વિખ્યાત નવલકથા 'પેરાલિસિસ'માં યુવાન થઈ રહેલી દીકરી પ્રોફેસર પિતાને આ શબ્દો કહે છે. માની કૂખમાંથી અવતરતાંની સાથે જ માણસનું જીવન ટેક ઓફ કરે છે. કેટલાં વર્ષ જીવવું તે માણસના હાથમાં હોતું નથી, પણ કેવી રીતે જીવવું - હણહણતા ઘોડાની જેમ કે ખદબદતા કાચબાની જેમ - તેના પર જરૂર આપણો અંકુશ હોઈ શકે છે. ધારો કે હણહણતા ઘોડાની જેમ સો વર્ષ જીવવું હોય તો? આનો જવાબ ભારતીય પત્રકારત્વના 'ડર્ટી ઓલ્ડ મેન' ખુશવંતસિંહ પાસે છે. ફેબ્રુઆરીમાં તેમણે ૯૮ વર્ષ પૂરાં કર્યાં. પોતાના બર્થડેની આસપાસ તેમણે એક પુસ્તક બહાર પાડયું - 'ખુશવંતનામાઃ ધ લેસન્સ ઓફ માય લાઇફ'. આ પુસ્તકમાં તેમણે લાંબું જીવન જીવવા માટેની બાર ટિપ્સ આપી છે. શું છે તે? સાંભળોઃ
૧. સ્પોર્ટ્સમાં રસ લો. ટેનિસ, સ્ક્વોશ, બેડમિન્ટન કે એવું કંઈ પણ રમો. એવું થઈ શકતું ન હોય તો નિયમિતપણે કસરત કરો . એકાદ કલાક ઝડપથી ચાલો, સ્વિમિંગ કરો. દોડી શકતા હો તો ઉત્તમ.
૨. માનો કે તમારાથી આમાંનું કશં થઈ શકતું ન હોય તો દિવસમાં કમ સે કમ એક વાર આખા શરીરે હાઈક્લાસ મસાજ કરાવો. મસાજથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે. યાદ રહે, અહીં નિર્દોષ હેલ્થ મસાજની વાત છે. પેલાં ભમરાળાં મસાજ પાર્લરોના મસાજ સાથે આનો કોઈ સંબંધ નથી.
૩. ખાણીપીણી પર કાપ મૂકો. પીણી એટલે શરાબ. જમવાનો સમય સહેજ પણ આઘોપાછો ન કરો. ખુશવંતસિંહ દિવસની શરૂઆત એક ગ્લાસ ફ્રૂટ જ્યૂસથી કરે છે. સવારે સાડા છ વાગ્યે બ્રેકફાસ્ટ પતાવી લે. બ્રેકફાસ્ટ એટલે સાત્ત્વિક બ્રેકફાસ્ટ. રોજેરોજ સવારના પહોરમાં ગાંઠિયા, જલેબી, તીખાં મરચાં પર તૂટી નહીં પડવાનું. કાઠિયાવાડીઓ બપોરે ત્રણ કલાક ઊંઘીને 'હાલો હવે નવો દિવસ ઊગ્યો' કરતાં નવેસરથી બ્રેકફાસ્ટ કરવા બેસે તે પણ ન ચાલે.
૪. રાતના ભોજન પહેલાં સિંગલ મોલ્ટ વ્હિસ્કીનો એક પેગ (એક જ હં, વધારે નહીં) લગાવવો. તેનાથી ભૂખ સારી ઊઘડે છે. આવું ખુશવંતસિંહ કહે છે, અમે નહીં.
Khushwant Singh

૫. રાત્રે ડિનર લેતાં પહેલાં તમારી જાતને કહો, દાબી-દાબીને ન ખાતો (કે ખાતી). આપણે પરિવારના સભ્યો સાથે જમવા બેસવાનું પસંદ કરતા હોઈએ છીએ, પણ ખુશવંતસિંહ નવી વાત કરે છે. તેઓ કહે છે કે એકલા જમવા બેસવું. આની પાછળનું લોજિક એ છે કે સાથે જમવામાં અલકમલકની વાતો કરતાં કરતાં આપણે એકાદ ગરમાગરમ ભાખરી વધારે ખાઈ લઈએ એવું બને.
૬. એક જ પ્રકારનું શાક ખાવું. એનો મતલબ એવો નહીં કે રોજ તેલમાં લથડપથડતું આખાં બટાકા-રીંગણાંનું મસાલેદાર ભરેલું શાક ઝાપટવું. ખુશવતસિંહનો કહેવાનો મતલબ છે કે સ્વાદના ચટાકા ન રાખવા. જમ્યા પછી ચપટી એક પાચક ચૂર્ણ ફાકી લેવું. ડિનરમાં ઈડલી-ઢોંસાનો વિકલ્પ સારો છે, કારણ કે તે આસાનીથી પચી જાય છે.
૭. ભૂલેચૂકેય કબજિયાત ન થાય એની ખાસ કાળજી રાખો. તમારાં આંતરડાં કોઈ પણ હિસાબે ચોખ્ખાં રાખો. એ માટે એનિમા લેવો પડે એમ હોય તો શરમાયા વગર એનિમા લો.
૮. ફક્ત શરીર નહીં, માનસિક શાંતિ માટે તમારું બેન્ક બેલેન્સ પણ તંદુરસ્ત હોવું જોઈએ. ભવિષ્યની જરૂરિયાતો માટે તથા સંભવિત માંદગી દરમિયાન સરખા ઇલાજ માટેની વ્યવસ્થા હોય તે પૂરતું છે.
 ૯થી ૧૨. મગજ પર કાબૂ રાખવો. વાત વાતમાં કમાન છટકે તે ન ચાલે. હસતા રહો. જૂઠું બોલીને દિલ પર બોજ ન વધારો. ઉદાર બનો. ધરમધ્યાન અને પૂજાપાઠમાં સમય વેડફવાને બદલે નવો શોખ વિકસાવો. બાગકામ, સંગીત, બાળકોને કે જરૂરતમંદોને મદદ કરવી, કંઈ પણ. ટૂંકમાં, કાયમ બિઝી બિઝી રહો.તમારા હાથ અને દિમાગ બંને ચાલતા રહેવા જોઈએ.
લાલકૃષ્ણ અડવાણી આ પુસ્તક વાંચ્યા પછી અપોઇન્ટમેન્ટ લઈને ખુશવંતસિંહને મળવા ગયા હતા. તેમણે હસીને કહેલુંં, 'સરદારજી, તમે લાંબં જીવવા વિશે જે લખ્યું છે એમાંની અગિયાર ટિપ્સ તો જાણે બરાબર છે, પણ રોજ સાંજે વ્હિસ્કીનો ગ્લાસ ગટગટાવી જવાની ટિપ મને ફાવે એવી નથી!' વ્હિસ્કીવાળું ફેન્સી સૂચન ગુજરાતની જનતા માટે જરા જોખમી છે! મુંબઈના ગુજરાતીઓની વાત અલગ છે. પ્રખર મદિરાવિરોધીઓ દાંત કચકચાવીને, મુઠ્ઠી ઉગામીને કહેશે, કોણ કહે છે કે લાંબું જીવવા માટે માફકસરનો દારૂ પીવો જોઈએ? દારૂને અડયા વગર દીર્ઘાયુ પામેલા મહાનુભાવો વિશે કેમ સરદારજી કંઈ બોલતા નથી?
Morarji Desai
વાતમાં તથ્ય છે. જેમ કે, મોરારજી દેસાઈ આજીવન શરાબના ઉગ્ર વિરોધી રહ્યા અને તેઓ ૧૦૦ વર્ષ જીવ્યા. ખાસ્સા મોટા થયા ત્યાં સુધી પલાંઠી વાળીને બેઠા હોય ત્યારે હાથ ટેકવ્યા વિના કે બીજી કોઈ પણ ચીજનો ટેકો લીધા વિના સટ્ટાક કરતા ઊભા થઈ શકતા. (શોખીનો કહેશે કે લાંબું જીવવા મોરારજીભાઈની જેમ સ્વમૂત્રસેવન કરવા કરતાં શરાબનું માફકસરનું સેવન કરવું શું ખોટું?)પ્રખર લોકસેવક રવિશંકર મહારાજ પૂરી એક સદી જીવ્યા હતા. તેમણે દારૂના દૂષણના વિરોધમાં ઘણું કામ કર્યું હતું. કમાલનું હતું એમનું એનર્જી લેવલ! ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન આંદોલનમાં જોડાઈને તેઓ પગપાળા ગામેગામ ફર્યા હતા અને દુકાળગ્રસ્તો માટે ફાળો ઉઘરાવવા નીકળ્યા ત્યારે ૮૯ વર્ષના હતા. કે.કા. શાસ્ત્રી આયુષ્યનું શતક પૂરું કરવા નજીક પહોંચી ગયા હતા ત્યાં છેક સુધી અમદાવાદની વિશ્વ હિંદુ પરિષદની ઓફિસમાં રોજ બે કલાક હાજરી આપવા આવતા. ૧૦૧ વર્ષ જીવેલા શાસ્ત્રીજીનું લાંબા આયુષ્ય માટેનું સૂત્ર હતું, 'કમ ખા, ગમ ખા'
Ravishankar Maharaj
ખુશવંતસિંહની માફક પ્રતિષ્ઠિત બંગાળી લેખક નીરદ ચૌધરી પણ ૧૦૨ વર્ષ સુધી ભરપૂર જીવ્યા. અંતિમ પુસ્તક બહાર પડયું ત્યારે તેઓ ૯૯ વર્ષના હતા. ૮૭ વર્ષની ઉંમરે રેડ વાઇનનો ગ્લાસ હાથમાં રાખીને ઘરમાં ઘૂમતાં ઘૂમતાં પ્રણય રોયને 'ધ વર્લ્ડ ધિસ વીક' નામના ટીવી શો માટે ઇન્ટરવ્યૂ આપતી વખતે તેમણે કહ્યું હતું, "જે વસ્તુ હું નહીં કરી શકું એની મને ખબર હોય એનાથી હું કાયમ દૂર રહું છું."
વેલ, વધારે જીવવા માટે શરાબ કરતાં અનેક ગણું મહત્ત્વનું સિક્રેટ તો આ છે, અનુકૂળ ન હોય એવાં કામ, વ્યક્તિઓ અને પરિસ્થિતિઓથી દૂર રહેવું. ચિયર્સ!  
                                                               0 0 0 
Link to e-edition of Sandesh: 

Monday, August 23, 2010

સૌરભ શાહનું સંબંધશાસ્ત્ર

‘ચિત્રલેખા’ અંક તારીખ ૨૭ ઓગસ્ટ ૨૦૧૦માં પ્રકાશિત



કોલમઃ વાંચવા જેવું




તૂટે તે સંબંઘ, ટકે તે વ્યવહાર









સંંબંધો વિશે સમજતા રહેવાની અને જુદાં જુદાં સત્યો સુધી પોતાની રીતે પહોંચવાની પ્રક્રિયા આજીવન ચાલતી રહે છે. આ પ્રક્રિયાને વધારે ઝડપી અને વધારે સ્પષ્ટ બનાવી દે તેવાં માધ્યમની તલાશ હોય તો સૌરભ શાહ લિખિત ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’ની છ સંકલિત પુસ્તિકાઓ પાસે જવા જેવું છે. માનવસંબંધો વિશે મૌલિક લખવું ખૂબ કઠિન છે, પણ સૌરભ શાહે આ વિષય પર સતત લખ્યું છે અને ઉત્તમ લખ્યું છે.



‘જે પ્રેમ એ પ્રેમ સિવાયની ક્ષણોને પણ સમૃદ્ધ બનાવે તે ખરો પ્રેમ’ એવી વ્યાખ્યા બાંધીને લેખક પછી ઉમેરે છેઃ ‘પ્રેમમાં ખુવાર થવાનું ન હોય. પ્રેમ પામવા જતાં જિંદગી પોતે જ બરબાદ થઈ જવાની હોય તો એ પ્રેમનો અર્થ શો?’



આદર્શ સંબંધ કોને કહેવાય? ‘એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં રહેલી ઉત્તમોત્તમ ભાવનાઓ પ્રગટાવી શકે ત્યારે આદર્શ સંબંધની શક્યતાઓ સર્જાય. દરેક માણસમાં પોતે દાનવ બની શકે એવો કાચો માલ સંઘરાયેલો હોય છે અને એ દેવ જેવું વ્યક્તિત્વ ખીલવી શકે એવું રો મટીરિયલ પણ એનામાં પડેલું હોય છે. સામેની વ્યક્તિ તમારી આ બે શક્યતાઓમાંથી કઈ શક્યતાને ઉછેરી શકે એ જોવાનું છે.’



... પણ એક સમયે જેને ઉત્તમ માની લીધી હતી તે વ્યક્તિ સાથેનો સંબંધ શ્રેષ્ઠતાની સપાટી પર સતત તરતો રહે તે જરૂરી નથી. તેથી જ ‘તૂટે તે સંબંધ, ટકે તે વ્યવહાર’ લેખમાં લેખક લખે છે, ‘કોઈ ચોક્કસ સમયે અને કોઈ એક ચોક્કસ સ્થળે જન્મેલો સંબંધ કાયમ ત્યાં ને ત્યાં રહી શકતો નથી. સમય અને સ્થળની સાથે સંબંધની તીવ્રતામાં, એના આવેશમાં વધઘટ થતી રહેવાની.’



વૈચારિક સ્પષ્ટતા અને કન્વિકશન એ સૌરભ શાહનાં લખાણોનાં સૌથી મોટાં પ્લસ પોઈન્ટ્સ છે. ગોળગોળ નહીં, પણ ચોટદાર અને લક્ષ્યવેધી વાત. તેઓ કહે છેઃ ‘બેઉ વ્યક્તિ એકસરખી તીવ્રતાથી એકબીજાને ચાહતી હોય ત્યારે જ પ્રેમની માત્રામાં ઉત્તરોત્તર વધારો થાય. બેમાંથી એક વ્યક્તિની તીવ્રતામાં ઓટ આવ ે ત્યારે પ્રેમ સ્થગિત થઈ જવાને બદલે કથળવા માંડે. એક વ્યક્તિ અત્યંત ઉત્કટતાથી ચાહતી હોય તો પણ ચાહતમાં વળતાં પાણી આવવાનાં.’



પ્રેમ અને સંબંધોનું વિષ્લેષણ કરતી વખતે સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરવામાં લેખકે કોઈ રસ નથી. તેઓ લેશમાત્ર કંપ અનુભવ્યા વગર લખે છેઃ ‘લગ્નમાં ક્યારેય બેઉ વ્યક્તિ વચ્ચે ફિફ્ટીફિફ્ટી જવાબદારી હોઈ શકે નહીં. વાસ્તવિકતા એ છે કે લગ્નમાં પતિ યા પત્ની બેમાંથી એકની લગન્ ટકાવવાની જવાબદારી વધુ અને બીજાની ઓછી આપોઆપ થઈ જતી હોય છે.’



લેખકે એક વાર સાહિત્યકાર મધુ રાયને પૂછેલુંઃ પત્નીના પિતાને ફાધરઈનલો, એની માતાને મધરઈનલો, અને એના ભાઈને બ્રધરઈનલો કહેવાય તો પત્નીના પુરુષ મિત્રને ફ્રેન્ડઈનલો કહેવાય કે નહીં? મધુ રાયે ખડખડાટ હસતા પહેલાં ગંભીર ચહેરે જવાબ આપેલોઃ ના, એને તો ‘સાલા, હરામખોર’ કહેવાય!



વાત સંબંધોમાં સલામતીની છે. લેખક કહે છેઃ ‘ સંબંધમાં નિરાંત અનુભવતા હો ત્યારે જ તમે એ સંબંધને જાળવવાની ચિંતામાંથી મુક્ત બની એને વિકસાવવાની શરૂઆત કરી શકો... સંબંધમાં અસલામતીની ભાવનાનું મુખ્ય કારણ સામેની વ્યક્તિના વિચારો કે એનું વર્તન નહીં પણ પોતાના જ વિચારો તથા પોતાનું જ વર્તન હોઈ શકે એવું ભાગ્યે જ કોઈ માનતું હોય છે.’



૧૬ ઓગસ્ટે પ્રગટ થયેલા ‘અબ્સોલ્યુટ ખુશવંતઃ ધ લોડાઉન ઓન લાઈફ, ડેથ એન્ડ મોસ્ટ થિંગ્ઝ ઈનબિટવીન’ નામનાં પુસ્તકમાં ૯૫ વર્ષીય ખુશવંત સિંહે લખ્યું છેઃ ‘સુખી થવા માટે અંડરસ્ટેન્ડિંગ સાથીદાર હોવો જરૂરી છે, પછી તે જીવનસાથી હોય કે મિત્ર હોય. જો તમારા જીવનમાં ખૂબ બધી ગેરસમજણો હશે તો માનસિક શાંતિ હણાઈ જશે. આખો વખત ઝઘડતા રહેવા કરતા ડિવોર્સ લઈને છૂટા પડી જવું સારું.’



સૌરભ શાહ આ વાતને આવી રીતે મૂકે છેઃ ‘સંઘર્ષથી સંબંધ મજબૂત નથી બનતો, થાકી જાય છે. જેને જાળવવા સતત સંઘર્ષ કરવો પડે એવા સંબંધોમાં અંતે હારી જવાનું હોય છે.’ અલબત્ત, ડિવોર્સ તો અંતિમ વિકલ્પ થયો, બાકી લેખક કહે છે તેમ, ‘સામાન્ય પરિસ્થિતિમાં લગન્જીવન જેમને ત્રાસભર્યું અને ભારરૂપ લાગતું હોય તેમણે વિચારવું જોઈએ ક્યા ડિવોર્સીને તમે સુખી, ખુશ અને આનંદી જોયા?’



આ સંપુટની પુસ્તિકાઓનાં શીર્ષકો જ ઘણંુ બધું કહી દે છેઃ ‘પ્રેમ એટલે ખુલ્લા પરબિડીયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર’, ‘પ્રેમ, સેક્સ અને સંબંધો’, ‘સંબંધમાં સલામતીની ભાવનાઃ સારી ક્યારે, ખરાબ ક્યારે’, ‘લગ્નજીવનમાં પતિપત્નીની જવાબદારી સરખે હિસ્સે વહેંચી શકાય નહીં,’ ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’ અને ‘સાથે રહેવાનાં કારણો ખૂટી પડતાં લાગ ત્યારે’. ટીનેજર્સ અને નવયુવાનો આ પુસ્તિકાઓને આ જ ક્રમમાં વાંચે તે બરાબર છે, બાકી ‘જિંદગી જોઈ ચૂકેલાઓ’ કોઈ પણ પુસ્તિકાનું કોઈ પણ પાનું ઉથલાવીને વાંચવાનું શરૂ કરે તો પણ શક્ય છે કે તેમને મનમાં કોઈ ઉઘાડ થાય, કોઈ સ્પષ્ટતા થઈ જાય યા તો મૂંઝવી રહેલા કોઈ સવાલનો જવાબ મળી જાય. બહુ ઓછાં પુસ્તકો આવો દુર્લભ ગુણ ધરાવતા હોય છે!



‘વાત પહેલાં લખાય અને તેને સંલગ્ન અનુભવ પછી થાય તે શક્ય છે,’ સૌરભ શાહ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘અથવા કહો કે, નવી પરિસ્થિતિમાં લખાણનું અર્થઘટન જુદી રીતે થાય. લખાણ માત્ર સ્વાનુભાવોમાંથી નહીં, પર્સેપ્શનમાંથી પણ આવતું હોય છે.’



પુસ્તિકાઓનું કન્ટેન્ટ જેટલું સત્ત્વશીલ છે એટલું જ આકર્ષક તેનું પેકેજિંગ છે. છયે પુસ્તિકાઓને સમાવી લેતાં એેક નહીં, પણ બે ગિફ્ટબોક્સ ખરીદવાં, કારણ કે આટલી સુંદર પુસ્તિકાઓ કોઈને ભેટમાં આપી દેતાં તમારો જીવ ચાલવાનો નથી એ તો નક્કી!





(સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ
લેખકઃ સૌરભ શાહ

પ્રકાશકઃ ભારતી પ્રિન્ટ એન્ડ પબ્લિશિંગ હાઉસ,
સેટેલાઈટ, અમદાવાદ૩૮૦૦૦૯
વિક્રેતાઃ બુકમાર્ક, ૭એ, ચીનુભાઈ ટાવર્સ, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૯
ફોનઃ (૦૭૯) ૨૬૫૮ ૨૪૪૮
છ પુસ્તિકાઓની કુલ કિંમતઃ રૂ. ૪૬૦/
કુલ પૃષ્ઠ સંખ્યાઃ ૬૪૦)




0 0 0