Showing posts with label Jay Vasavada. Show all posts
Showing posts with label Jay Vasavada. Show all posts

Friday, December 21, 2012

એકવીસમી સદીના ચેમ્પિયન્સ કોણ હશે?


 ચિત્રલેખા - અંક તા. 17 ડિસેમ્બર 2012 

કોલમ: વાંચવા જેવું


                                                                                                                                   

ચાલો, એક સાવ સાદા સવાલનો જવાબ આપો. માણસ પોતાના કેટલા ટકા દિમાગનો ઉપયોગ કરે છે? તમારું જનરલ નોલેજ ઠીકઠાક હશે તો તમે તરત કહેશો: ૧૦ ટકા. આ ટકાવારી નીચે ઉતરીને ત્રણ ટકા સુધી જાય તો પણ જવાબ ‘સાચો’ ગણાશે, કારણ કે લેખકો, ઘર્મોપદેશકો, મનની શક્તિઓના મેનેજમેન્ટ ગુરુઓ, યોગાભ્યાસુઓ, સફળ સેલિબ્રિટીઓ અને કેટલાક ડોક્ટરો સુધ્ધાં વર્ષોથી આ વાત આપણા માથે હથોડાની જેમ સતત ફટકારતા આવ્યા છે. પણ આજના પુસ્તક ‘જય હો!’ના જોશીલા લેખક જય વસાવડાને પ્રચલિત સત્યોમાં રસ નથી. એ તરત પ્રતિ-પ્રશ્ન કરે છે:

‘આ બધા દિમાગી દહીં કરનારા વિદ્વાનોને પૂછો કે તમારી પાસે આ વાતનો શું આધાર-પૂરાવો છે? કોઈ અંગ્રેજી કિતાબનો હવાલો આપશે. કોઈ કહેશે ‘આધુનિક વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે...’ કયા વિજ્ઞાની? ક્યા પ્રયોગો? ક્યાં, ક્યારે, કેવી રીતે થયા? એવું બધું નહીં પૂછવાનું!... ટૂંકમાં, જાહેરમાં મોટા બ્રહ્મસત્યની અદામાં કોલર ટાઈટ કરીને જે માહિતી ફેંકી સુજ્ઞ જનતાને અચંબિત અને હતાશ કરી દેવાય છે, એવી આ ‘વૈજ્ઞાનિક માહિતી’ના આધાર-પુરાવા ઈન્ટરનેશનલ સાયન્સ પાસે તો ઠીક, સાદી અદાલતોમાં પણ માન્ય થાય એવા નથી હોતા! તો વૈજ્ઞાનિક રીતે માણસ પોતાના માત્ર ૧૦ ટકા દિમાગનો જ ઉપયોગ કરે છે એ વાત સાચી કે ખોટી? તો સાંભળી લો સાફ વાત: ખોટી, હળાહળ ખોટી. નરદમ જુઠ્ઠાણું. કપોળ કલ્પિત ગપ્પાથી વિશેષ કશું જ નહીં!’

આ એક આકર્ષક છટા છે આ પુસ્તકની. જે કંઈ સર્વસ્વીકૃત છે એની નીચે આંખ બંધ કરીને સહી કરતા રહેવાની જરૂર નથી. વિચારો, સવાલ કરો, તર્ક લડાવો, વાતમાં ઊંડે ઊતરો, મહેનત કરો અને પછી તમારા તારણ સુધી પહોંચો. અલબત્ત, આ પુસ્તકનું સૌથી મહત્ત્વનું પાસું તો વાચકને પાનો ચડાવી દે એવી એની મોટિવેશનલ ક્વોલિટી છે, જે એની ટેગલાઈનમાં પ્રતિબિંબિત થાય છે: ‘આઈ ડુ ઈઝ બેટર ધેન આઈ કયૂ’. પુસ્તકના ત્રણ ખંડોના શીર્ષકો જ ઘણું બધું કહી દે છે: સાહસ અને શોર્ય, તક અને તૈયારી, જીગર અને જિંદગી!

યુવા પેઢી પ્રત્યે લેખકને હંમેશા વિશેષ લગાવ રહ્યો છે. ઊભરતા યંગસ્ટર્સને લક્ષ્યમાં રાખીને એમણે બેસ્ટ કરીઅર માટે મસ્ત ફોર્મ્યુલા પેશ કરી છે. યાને ટાઈમ, ટેસ્ટ અને ટ્રેઝર. જે-તે કરીઅર જમાવવા માટે જેટલો સમય આપવો પડે એ તમારી પાસે છે? એટલી ધીરજ છે? ટેસ્ટ એટલે પરીક્ષાવાળી ટેસ્ટ નહીં, પણ સ્વાદવાળો ટેસ્ટ. જે ક્ષેત્રમાં કરીઅર બનાવવું છે એમાં તીવ્ર રસ અને રુચિ છે? ન ગમતા ક્ષેત્રમાં રસ ન પડે. રસ ન પડે તો સમય ન અપાય. સમય ન અપાય તો ગુણવત્તા ન જળવાય. ગુણવત્તા ન જળવાય તો કશું યાદ ન રે. યાદ ન રહે તો નિષ્ણાત ન બનાય. નિષ્ણાત ન બનો તો કરીઅર ન બને! ત્રીજું, ટ્રેઝર. મતલબ કે ખજાનો, નાણાં. કરીઅર પૂરતા રિસોર્સીસ વગર કરીઅર ન બને. બૂક્સ, સીડી, ક્મ્પ્યુટર, ટ્રાવેલિંગ... આ બધું બેસ્ટ કરીઅર માટેનો ખર્ચ નહીં, પણ રોકાણ છે. આ રોકાણ તમે કરી શકો એમ છો?



વેલ, આ ત્રણેય ‘ટી’ તગડા હોય તો પણ કરીઅર આપણી ધાર્યો હતો એવો પરફેક્ટ આકાર ધારણ ન કરે, એમ બને. પરફેક્ટ કશું જ હોતું નથી. આપણે જેને ભગવાન ગણીને પૂજીએ છીએ એમનાં જીવન પણ ક્યાં પરફેક્ટ છે? માણસ થાકી જાય, કંટાળી જાય, હારી જાય, દર્દથી તૂટી જાય ત્યારે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે... પરંતુ રામ, કૃષ્ણ, મોહમ્મદ, જિસસ વગેરે દેવતાઈ અવતારોએ પણ જો દુખદર્દ, પીડાવેદના, આફતસંકટ આવતા હોય તો આપણું શું ગજું? પીડાદાયી પરિસ્થિતિમાં પીસાવું એક વાત થઈ, પણ જીવનથી હારી જઈને જીવન ટૂંકાવી દેવું એ તદ્દન જુદી વાત થઈ. એમાંય પરીક્ષાના પરિણામથી નાસીપાસ થઈને કે બીજા કોઈ પણ કારણસર ઊગીનો ઊભો થતો યુવાન આપઘાત કરે એના કરતા વધારે અફસોસજનક વાત બીજી કોઈ હોઈ ન શકે. લેખક કહે છે કે, ‘મોક્ષની ફ્રેન્ચાઈઝી ધરાવનારા ગુરુઓ પાપી પશ્ચિમને પેટ ભરીને વખોડ્યા બાદ ભવ્ય ભારતના ભરપૂર વખાણ કરે, ત્યારે એ સગવડપૂર્વક ગુપચાવી જાય છે કે વસતિ જ નહીં, રેશિયો મુજબ પણ જગતમાં સૌથી વધુ આત્મહત્યા કહેવાતા ‘સંતોષી અને સુખી’ ભારતમાં થાય છે!’

એકવીસમી સદીના ચેમ્પિયન્સ કોણ હશે? લેખકના મત મુજબ એ લોકો જેમની પાસે આ ‘ફાઈવ આઈ’ હશે- ઈમેજિનેશન, ઈન્ફર્મેશન, ઈન્ટેલિજન્સ, ઈનોવેશન અને ઈન્સાઈટ! અને કશું વાંચ્યા વિના આ દરવાજાની ચાવી ક્યાંથી મળશે? વાંચનની ટેવને તરફેણમાં લેખકે બિલકુલ યોગ્ય રીતે જોરશોરથી દાખલા-દલીલો પેશ કર્યા છે. એ કહે છે કે અમેરિકાને ગાળો આપતા આપતા આપણે ત્યાંથી મેકડોનાલ્ડ્સ ઉપાડી લાવ્યા, પણ બાર્ન્સ એન્ડ નોબલ્સ જેવા બૂકસ્ટોરની ચેઈન આપણને પચતી નથી! લેખકની સ્પષ્ટ માન્યતા છે કે રીડર બન્યા વગર લીડર થઈ શકાય જ નહીં. શાહરુખ ખાને એક મુલાકાતમાં કહ્યું છે કે, ‘મુંબઈમાં મારાથી વધુ હેન્ડસમ દેખાતા લાખ છોકરાઓ છે, જે ડિઝાઈનર બ્રાન્ડેડ કપડાં પહેરે છે. ડાન્સ કે ઘોડેસવારી કરે છે. બોડીબિલ્ડર છે. પણ એ સવારે છાપું વાંચતા નથી. ધે ડોન્ટ નો, વોટ ઈઝ હેપનિંગ અરાઉન્ડ! માટે એ લોકોને સમજી શકતા નથી. એમને કળા કે સાહિત્યની સૂઝ નથી. માટે એ લોકો મેગાસ્ટાર નથી!’



પુસ્તકમાં સ્ટીવ જોબ્સ, બરાક ઓબામા અને હેરી પોટરનાં રચયિતાંની જે.કે. રોલિંગ જેવાં મહાનુભાવોની અફલાતૂન સ્પીચ મૂકીને લેખકે બહુ મજાનું કામ કર્યું છે. આ મૌલિક લેખોમાં જીવન વિશેની લેખકની સુંદર સમજ પણ સ્વાભાવિક રીતે વણાતી થઈ છે. જેમ કે, ‘સ્લમડોગ મિલિયોનેર’ વિશેના સુંદર લેખમાં કહેવાયું છે કે, ‘લાઈફની ક્વીઝના જવાબ જનરલ નોલેજની કિતાબોમાં નથી હોતા. એ જિંદગીના કાગળ પર વળતી કાળની ગડીઓથી સર્જાતા સળ જેવી ઘટનાઓની સ્મૃતિમાં હોય છે. જિંદગી એટલે કોઈ મોટો નેકલેસ નહીં, પણ નાના-નાના મોતીડાની માળા. ક્યારેક અગાઉ બનેલો એક સંબંધ, અગાઉ વાંચેલી એક વાત, અગાઉ જોયેલો એક કાર્યક્રમ, અગાઉ સાંભળેલો કોઈ શબ્દ... આ ફરી પાછા આપણને ભટકાઈને મળશે, તેનો અંદાજ માંડી શકાતો નથી!’

જય વસાવડા આગવી લેખનશૈલીથી આગળ નીકળી ચૂકેલા લેખક છે. એમની પોતીકી બ્રાન્ડ વિકસી ચૂકી છે. જીવનરસથી ધસમસતી, તેજસ્વી અને પ્રભાવશાળી. આ રુપકડાં પુસ્તકના પચાસ સંકલિત લેખોમાં એ પૂર્ણ કળાએ ખીલ્યા છે. બજારમાં એકધારા ઠલવાયા કરતાં પ્રેરણાદાયી પુસ્તકોમાંથી મોટા ભાગનામાં નથી નવી વાત કહેવાયેલી હોતી કે નથી રજૂઆતમાં તાજગી હોતી. એ બધા વચ્ચે ‘જય હો!’ સહજપણે વિશેષ ધ્યાન ખેંચે છે. નિ:શંકપણે એક કરતાં વધારે વખત વાંચવું અને વંચાવવું ગમે એવું સત્ત્વશીલ પુસ્તક.    00


 જય હો!

લેખક: જય વસાવડા

પ્રકાશક: રિમઝિમ ક્રિએશન્સ, ગોંડલ 
વિક્રેતા:  નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧

ફોન: (૦૨૮૨૫) ૨૨૩૭૭૬, (૦૭૯) ૨૨૧૩ ૨૯૨૧

કિંમત:   ૩૫૦ /
પૃષ્ઠ: ૨૩૦








‘’

Thursday, July 14, 2011

મા આખરે તો માણસ છે...

 


ચિત્રલેખા  
અંક તા. ૨૫ જુલાઈ ૨૦૧૧




કોલમઃ
વાંચવા જેવું 



                                                                                                     

 - એ કેટલા છોકરાઓ હતા?
એક રૂઆબદાર મહિલાએ પોતાના દીકરા સામે ‘શોલે’ના કિતને આદમી થે?ના અંદાજમાં ડાયલોગ ફેંક્યો.
 - ચાર.
 - અને તને ફક્ત ચાર છોકરાઓ મારી ગયા! પાછો જા અને એ ચારેયને ખોખરા કર્યા વગર પાછો ન આવતો.

દીકરામાં હિંમત આવી. એ ગયો અને ચારેયને ધીબેડીને જમીનથી ચાર વેંત અધ્ધર ચાલતો ઘરે પાછો ફર્યો. દાયકાઓ પછી દીકરો લખે છેઃ ‘મારી માતાએ તે દિવસે મારામાંથી એક વિજેતાને બહાર આણ્યો.’ ભીરૂ દીકરાને ભડવીર બનતા શીખવનાર એ માતાએ પછી છોકરો જુાન થયો ત્યારે બોલડાન્સ, વોલ્ટ્ઝ અને ફોક્સટ્રોટ ડાન્સ કરતાં પણ શીખવ્યું. આ રૂઆબદાર માનુની એટલે તેજી બચ્ચન અને પેલો છોકરો એટલે અમિતાભ બચ્ચન!

મા વિશે કેટલું લખી શકાય? શું લખી શકાય? જન્મદાત્રીનો આભાર માનવાનો હોય? કે પછી, પ્રતિષ્ઠિત નાટ્યલેખક પ્રવીણ સોલંકી કહે છે તેમ, ‘થેન્ક યૂ મમ્મી’ એ વાક્ય જ અવાસ્તવિક છે? નરેન્દ્ર મોદીએ ભલે ‘માનું  માર્કેટિંગ ન થાય’ એમ કહીને લેખ લખવાનું ટાળ્યું હોય, બાકી સંતાનો ધારે તો પોતાની જનની વિશે લખી શકે છે, દિલપૂર્વક લખી શકે છે અને સરસ લખી શકે છે. આ વાતની સાબિતી છે આ રૂપકડું પુસ્તક. વીર નર્મદથી લઈને ફિલ્મસ્ટાર પ્રાચી દેસાઈ સુધી અને મહાત્મા ગાંધીથી લઈને લોર્ડ ભીખુ પારેખ સુધીના ૪૭ સંતાનોના પોતાની મા વિશેનાં હૃદયસ્પર્શી લખાણો અહીં સંગ્રહ પામ્યાં છે.



‘દિવ્ય ભાસ્કર’ના સ્ટેટ એડિટર અજય ઉમટનાં મમ્મી અનેક વખત મજાકમાં કહેતાંઃ ‘જો હું જાતને ન સાચવી શકું એવી પરવશ થઈ જાઉં તો મને પ્રેમથી વિદાય આપજો. મારો જીવ ન જતો હોય તો ‘પાકીઝા’નું થાડે રહીયો એ બાંકે યાર રે વગાડજો.’ માત્ર ૫૬ વર્ષની વયે એમનાં માતાજીએ લીધેલી વિદાય માટે ડાયાબિટીસ નિમિત્ત બન્યો, જ્યારે  જાણીતા કોલમિસ્ટ જય વસાવડાનાં માતાજીને જીવલેણ કેન્સરે હણી લીધાં. મમ્મી ભાંગી ન પડે તે માટે હકીકત છુ૫વવામાં આવી હતી. જોકે સ્વજનો અને તબીબો દઢપણે માને છે કે તેમને સચ્ચાઈની જાણ હતી જ. જય વસાવડા લખે છેઃ‘માત્ર મેં જે (બીમારી છૂપાવવાનું) નાટક કર્યું છે તેમાં હું રાજી રહું એટલે મૃત્યુપર્યંત એણે એક પણ વખત પીડા વચ્ચે પણ એનો પ્રગટ એકરાર ન કર્યો. પ્રેમની આનાથી વધુ મોટી પરાકાષ્ઠા કઈ હોઈ શકે?’

જાણીતા ફિલ્મ-ટીવીલેખક તથા કોલમિસ્ટ સંજય છેલની અટક વાયડા છે અને તેઓ પોતાની મમ્મીને તોફાનભર્યા વહાલથી ‘કુસુમ છેલ વાયડી’ કહે છે! સંજય છેલ લખે છેઃ ‘મમ્મીને મારા સુખની ચિંતા હતી અને મને મારા સુખની, મારાં સપનાંઓની. અને એ મારું સુખ મળવવાની સફરમાં મેં અને એણે એકબીજાંને ખૂબ દુખ આપ્યાં છે. અમે ખૂબ લડ્યાં ઝઘડ્યાં છીએ... મને સો ટકા ખાતરી છે કે મૃત્યુ પછીય મારી મમ્મી ભૂત બનીને મારી આસપાસ આવીને ફરકશે અને પૂછશેઃ ‘તું સુખી છે? તું જમ્યો? સવારે વહેલો ઉઠીશ? થોડો ડિસીપ્લીન્ડ થઈશ? થોડું ગંભીર લખીશ?’ વગેરે વગેરે વગેરે અને મા કમસ મને ભૂત કરતાંય વધારે આ પ્રશ્નોનો ડર લાગે છે...’

મા વિશેનાં લખાણો પૂજ્યભાવથી છલકાવા માંડતાં હોય તો એ સ્વાભાવિક છે, પણ જો લાગલગાટ આ જ પ્રકારના લેખોની હારમાળા રચાય તો પુસ્તકને એકાંગી, એકવિધ અને એકપરિમાણી બનતાં વાર ન લાગે. આ સંગ્રહનો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં માતૃત્વના કેટલાક અપ્રિય લાગે એવા રંગો પણ પ્રામાણિકતાપૂર્વક ઝીલાયા છે. તેને લીધે પુસ્તક મલ્ટિડાયમેન્શનલ બની શક્યું છે.

રાજપીપળાના રાજકુંવર માનવેન્દ્ર ગોહિલને જન્મ તો આપ્યો જેસલમેરનાં રજવાડાંનાં કુંવરી રુક્મિણીદેવીએ, પણ માનો સાચો પ્રેમ મળ્યો દાઈમા રુખ્ખણ તરફથી. દાઈમાએ એમને સગા દીકરાથી વિશેષ ગણી એમને ઉછેર્યો, જ્યારે રુક્મિણીદેવી સાથેનો તેમનો પહેલેથી જ તંગ અને સૂકો રહ્યો. પોતે હોમોસેક્સ્યુઅલ છે એવી માનવેન્દ્રે ઘોષણા કરી ત્યારે રુક્મિણીદેવી દીકરા સામે યુદ્ધે ચડ્યાં હતાં. રાજઘરાનાની સંપત્તિમાંથી એમને રદબાતલ ઠેરવી દીધા અને અખબારોમાં મોટી જાહેરાત પણ આપી દીધી કે હવેથી માનવેન્દ્ર મારો દીકરો મટી ગયો છે. માનવેન્દ્ર કહે છે, ‘એમણે વળી ક્યારે મને પુત્ર ગણ્યો હતો કે હવે પુત્ર હોવાની ના પાડે છે? હું ક્યારેય એમનો પુત્ર હતો જ નહીં.’ માનવેન્દ્રે પોતાની સેક્સ્યુઅલિટીની જાહેરાત કરી તે પહેલાં જ દાઈમાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. માનવેન્દ્ર લખે છેઃ ‘મારા ગે હોવા વિશે દાઈમાને પણ બહુ મોટો આઘાત જરૂર લાગ્યો હોત, પણ એ અભણ બાઈએ મને આખરે તો સ્વીકારી જ લીધો હોત, કારણ કે એને તો એના લાલા સાથે પ્રેમ હતો, લાલો શું છે એની સાથે નહીં.’ ગે એક્ટિવિસ્ટ અશોક રાવ કવિને માનવેન્દ્ર પોતાની ત્રીજી મા, ગે-મા, ગણે છે!




આખા પુસ્તકમાં સંભવતઃ સૌથી ધ્યાનાકર્ષક લેખ હોય તો તે છે પત્રકાર જ્યોતિ ઉનડકટનો. તેઓ લખે છેઃ ‘માત્ર પ્રેમ જ એકતરફી નથી હોતો, ઘણી વખત નફરત પણ એકતરફી હોય છે. હા, ભાભીને (એટલે કે મમ્મીને) મારાં પ્રતિ એકતરફી નફરત છે. આજે કદાચ ભાભીને કોઈ પૂછે કે તમને સૌથી વધુ નફરત કોના ઉપર છે? તો એ મારું જ નામ લે.’ જ્યોતિની જીવનસાથીની પસંદગી પરિવાર પચાવી ન શક્યો અને તેમનો તીવ્ર રોષ, અબોલા અને સંબંધવિચ્છેદની સ્થિતિ એક દાયકા સુધી ખેંચાઈ. પણ પિતાનું મૃત્યુ થયું ત્યારે જ્યોતિથી ન રહેવાયું. અવસાનના છઠ્ઠા દિવસે જ્યોતિ પોતાનાં ઘરે ગયાં. ઈચ્છા તો માને વળગીને રડી લેવાની હતી, પણ સાડા સત્તર મિનિટની શુષ્કતા પછી જ્યોતિએ જ્યારે ઘરની બહાર પગ મૂક્યો ત્યારે માના શબ્દો કાનમાં પડઘાતા હતાંઃ ‘હું મરી જાઉં ત્યારે તું ન આવતી...’

માતૃપ્રેમના મહિમા વિશે કેટલાંય પુસ્તકો છપાયાં છે અને ભવિષ્યમાંય છપાતાં રહેશે. માનું માર્કેટિંગ ભલે ન થાય, પણ સંપાદકબેલડી અમીષા શાહ - મૃગાંક શાહ કહે છે તેમ, મા પ્રત્યેની ઈન્દ્રધનુષી લાગણીઓનું ઈમોશનલ શેરિંગ ચોક્કસ થાય. સુંદર છપાઈવાળું આ પુસ્તક લેખકોની પસંદગી તેમજ લખાણોની નક્કર પારદર્શિતાને લીધે વાંચનક્ષમ બન્યું છે એ તો નક્કી.                                                                   000



થેંક યૂ મમ્મી

સંપાદકઃ અમીષા શાહ- મૃગાંક શાહ

પ્રકાશકઃ આવિષ્કાર પબ્લિશર્સ
વડોદરા-૯

વિતરકઃ આર. આર. શેઠની કંપની
ફોનઃ (૦૨૨) ૨૨૦૧૩૪૪૧, (૦૭૯) ૨૫૫૦૬૫૭૩

કિંમતઃ  રૂ. ૨૪૪

પૃષ્ઠઃ ૩૦૦