Showing posts with label Sahcharya Prakashan. Show all posts
Showing posts with label Sahcharya Prakashan. Show all posts

Tuesday, August 6, 2019

અલગ છતાંય લગોલગ


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 7 ઓગસ્ટ 2019 બુધવાર
ટેક ઓફ 
સરખેસરખા લેખકો, કળાકારો, કસબીઓ, અભ્યાસીઓ કોઈ એક રમણીય સ્થળે સહવાસ ગાળે તો શી ઘટના બને?
બ્દોની રાહ જોતો કોરોકટ કાગળ અથવા તો એકધારું સામું તાકી રહેલી કમ્પ્યુટરની ખાલીખમ સ્ક્રીન – એક લેખક માટે આના કરતાં વધારે ડરામણી વસ્તુ સંભવતઃ બીજી કોઈ નથી. શું લખવું એ ભરપૂર એકાગ્રતા સાથે તંગ દોરડા પર વાંસડો લઈને ચાલવા જેવી એકાકી પ્રવૃત્તિ છે? કે પછી, અધ્ધર ઝુલા પર હિંચકતાં હિંચકતાં, એકબીજાના હાથ કે પગના ટેકે ઊંધાચત્તા લટકતાં લકટતાં, એકમેકને કેચ કરતા સરકસના ખેલાડીઓ જેવી સમૂહપ્રવૃત્તિ?
લેખનપ્રક્રિયા મૂળભૂત રીતે એકાકી પ્રવૃત્તિ છે તે સાચું, લખવું એ નાટક કરવા જેવી પર્ફોર્મિંગ આર્ટ નથી જ નથી તે પણ સાચું, પરંતુ સર્જનાત્મકતા અને એકલતા વચ્ચેનો સંબંધ જેવો દૂરથી દેખાય છે એવો સીધો ને સરળ નથી. કમ સે કમ સાહચર્ય શિબિરલેખનની અનુભવકથાઓ તો આવું જ કહે છે. ગુજરાતી સાહિત્યના સક્રિય પ્રેમીઓને ગદ્યપર્વ સામયિક માટે વિશેષ આદર હોવાનો. આ સામયિકે આધુનિક ગુજરાતી વાર્તા અને વાર્તાકારોને સુંદર રીતે પોષ્યાં છે. ગદ્યપર્વની આયુષ્યરેખા પર ભલે પૂર્ણવિરામ મૂકાયું, પણ સામયિકના આકર્ષક ફાંટા જેવી સાહચર્ય લેખનશિબિરનું આયોજન નિયમિતપણે થતું રહ્યું. તેમાં લેખકો ઉપરાંત દરજ્જેદાર ચિત્રકારો અને નાટ્યકારો પણ ભાગ લે. સળંગ ત્રણચાર દિવસ માટે સૌ એકબીજાનાં બાઉન્સિંગ બોર્ડ બને ને આ રીતે સમૂહની વચ્ચે રહીને પણ વ્યક્તિગત સ્તરે સર્જન થતું રહે.            
આમ તો સુરેશ જોષી સાહિત્યવિચાર ફોરમ હેઠળ વર્ષમાં બે-ત્રણ વાર લેખનશિબિરોનું આયોજન હજુ પણ થાય જ છે. ગદ્યપર્વ અને સાહચર્ય લેખનશિબિરનાં જન્મદાતા ભરત નાયક – ગીતા નાયક પણ સુરેશ જોષીના સાહિત્યવિચારોથી જ દીક્ષિત થયેલાં છેને. એકલા લેખનશિબિર શબ્દ પરથી આ પ્રવૃત્તિનો ભાવ કે જાદુ પકડી શકાતાં નથી. તે માટે દીપક દોશીએ સંપાદિત કરેલા સાહચર્યઃ લેખનશિબિરનાં ત્રીસ વર્ષ નામના મસ્તમજાના પુસ્તકમાંથી પસાર થવું પડે. ભરત નાયક એમના લેખમાં સમૂહલેખન પ્રવૃત્તિને આ રીતે ઊઘાડે છેઃ   

વિચાર એવો જાગ્યોઃ સરખેસરખા લેખકો, કળાકાર, કસબી, અભ્યાસી કોઈ એક રમણીય સ્થળે સહવાસ ગાળે તો શી ઘટના બને? વળી સરખેસરખા મળે તો ગાંઠના ખર્ચે મળે. ખોટ પડ્યે બીજા ઉમેરે. અને મળીએ ત્યારે, દરમિયાન ને પછી કોઈ ઔપચારિકતા ન હોય, કોઈ વિઘિ ન હોય, કોઈ નિષેધ ન હોય તો?... સાહચર્યશિબિરમાં લેખન કોઈએ નવુંનક્કોર આદર્યું. કોઈએ આદર્યું અધૂરું હોય એ પૂરું કર્યું. કોઈએ પૂરું કર્યું હોય એ ભેગું આણ્યું. જેટલું નીવડ્યું એ વખાણ્યું. કોઈએ કાચું કાપ્યું હોય એમણે મઠાર્યું. કોઈકે રદ કર્યું ને નવું માંડ્યું. લેખન કરનારાનાં વિચારવિમર્શ – વાદ – ચર્ચા ચાકમાં ચાલ્યાં... અહીં તો બેઉ નહીં, બધા જ બળિયા. કોઈ જેર થયું. કોઈએ જીવતદાન મેળવ્યું. કોઈ વધેરાયું. કોઈકે ચાંદ મેળવ્યા. કોઈકને મળ્યું ટાઢા પાણીનું સ્નાન.
આ બધા બળિયા ને સરખેસરખા દર વર્ષે ક્યાં ભેગા થાય? દીવ, દમણ, તીથલ, રાજકોટ, લુણાવાડા, નવસારી, સાપુતારા, માથેરાન, લોનાવાલા, ખંડાલા ઇત્યાદિમાંથી ક્યાંય પણ. જગ્યાઓ પણ કેવી આકર્ષક! લેખનશિબિરમાં એકલું લેખન જ ન થાય. એક બાજુ લખાતું જાય ને બીજી બાજુ, ભરત નાયક કહે છે તેમ, બપોરનાં ભાણાંને બિયરનો છંટકાવ થાય, સૂરજ આથમ્યે વાળુમાં વ્હિસ્કી વિથ સોડા’!

સાહચર્ય લેખનશિબિરમાં કેવાં દશ્યો ઊભાં થાય? હર્ષદ ત્રિવેદીના શબ્દોમાં કહીએ તો, સ્ક્રિપ્ટ વિનાના ત્રણ-ચાર દિવસ ચાલે એવા નાટક જેવાં! હર્ષદ ત્રિવેદીએ કેટલાંક સુંદર શબ્દચિત્રો દોર્યાં છેઃ
કિરીટ (દૂધાત) મોટા ફાફડા જેવા ગોળ ગોળ અક્ષરે લખે. લખે ત્યારે આખું શરીર લેખનના લયમાં હલ્યા કરે. એનું મોટું માથું સમગ્ર શરીરના લયમાં ન ગોઠવાય. વારે વારે નાક સાફ કર્યા કરે. એક પેરેગ્રાફ લખે ને ઊભો થાય. બે-ચાર આંટા આંટા મારી આવે. લખતા હોય એને સળી ન કરે, પણ જે વિચાર્યા જ કરતા હોય એમને જઈને કહે, સાલ્લું આ લખવાનો જબ્બર કંટાળો આવે છે નંઈ?’... બિપિન (પટેલ)ની લેખનપ્રક્રિયા તદ્દન જુદી. એકાદ પાનું લખ્યા પછી કોઈને ન બતાવે તો ચેન ન પડે. કહેવું જોઈએ કે આ બધા મિત્રો અદભુત હતા. એને પાનો ચડાવે. બિપિન લખતો રહે ને એની વાર્તા પૂરી થાય ત્યારે સમગ્ર વિશ્વ હાશકારો અનુભવે... ભરતભાઈ (નાયક) એમનું લખાણ વાંચવાના હોય એ સાંજથી જ ગીતાબહેન (નાયક)નાં રુંવાડાં ઊભાં થઈ ગયાં હોય. પઠન દરમિયાન અમે કંઈક હલનચલન કરીએ તો એ અકળાઈ જાય. વણકહ્યે પણ એમની  અપેક્ષા એવી કે રાજાની સવારીમાં ચૂં-ચાં ન ચાલે.
અફ કોર્સ, બૌદ્ધિક તડાફડી પણ થાય જ. જેમ કે, બિપિન પટેલની એક વાર્તાના અંત વિશે ચર્ચા થઈ રહી હતી ત્યારે પ્રબોધ પરીખે ટિપ્પણી કરી કે આપણને સુખાંત ફાવી ગયો છે. ખાધું પીધું ને રાજ કર્યુંમાં મહાલવાની સદીઓથી પડેલી ટેવ જતી નથી. આજની માનવ, આધુનિક માનવ સુખી કેવી રીતે હોઈ શકે? વી ઓલ આર કન્ડેમ્ડ ટુ લિવ. તરત કિરીત દૂધાતે દલીલ કરી કે વિદેશી સાહિત્ય વાંચી વાંચીને આપણે એમની સમસ્યાઓને આપણી કરીને મનમાં રોપી દઈએ છીએ ને આપણાં સર્જનોમાં પણ એનાં ચાળાં પાડીએ છીએ બિપીન પટેલે ઉર્મેયું કે આપણાં ને એમનાં જેમ જીવન નોખાં તેમ દુખ પણ નોખાં. આપણને કઈ એકલતા પીડે છે? આપણે (એટલે કે ભારતીયો, પૂર્વના લોકો) એકલા છીએ જ નહીં. આપણે સમૂહમાં રહેનારા અને મોટેથી બોલનારા છીએ. તેથી વાર્તાનો સુખદ અંત બિલકુલ હોઈ શકે છે!


અહીં ઉલ્લેખ પામેલાં બધાં જ આધુનિક ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલાં આદરપાત્ર નામો છે. આ ઉપરાંત હિમાંશી શેલત, બાબુ સુથાર, કાનજી પટેલ, બકુલ ટેલર, મનોજ શાહ સહિતના બીજાં ઘણાં સર્જકો-અભ્યાસુઓ આ એલિટ અને કેવળ આમંત્રણ દ્વારા જ પ્રવેશી શકાય એવી લેખનશિબિરનાં માનીતાં સભ્યો છે. સાહચર્ય લેખનશિબિરો ભૂપેન ખખ્ખર, ગુલામ મોહમ્મદ શેખ અને અતુલ ડોડિયા જેવા ચિત્રકારોની વિશ્વસ્તરે પહોંચેલી ક્રિયેટિવિટીના ગ્રાફની પણ સાક્ષી છે. લેખક-નાટ્યકાર નૌશિલ મહેતાને સાહચર્યની શિબિરોએ શું શું આપ્યું? ઘણું બધું. જેમ કે, ભૂપેન ખખ્ખરે શિબિરમાં જ અડધુંપડધું સર્જેલું  અફલાતૂન નાટક મોજીલા મણિલાલ, જેનું ડિરેક્શન જોકે મહેન્દ્ર જોશીએ કર્યું હતું.
હર્ષદ ત્રિવેદીનું આ નિરીક્ષણ પણ સરસ છેઃ (સાહચર્ય લેખનશિબરમાં ભાગ લેનારા) આ સૌ સાહિત્યકારો અલગ અલગ પ્રદેશના. લખે ગુજરાતીમાં જ પણ દરેકની ગુજરાતી જુદી. પાત્ર-પરિવેશ નોખાંનોખાં, પરિણામે વૈવિધ્ય અને આશ્ચર્યનો તો પાર જ નહીં. હાજર હોય એની વાતો તો થાય જ પણ ગેરહાજર હોય ને જેના પરિચયમાં આવ્યા હોય એની પણ વાત થાય. સ્થૂળ-સૂક્ષ્મ રીતે સમગ્ર ગુજરાતી સાહિત્ય ઉપસ્થિત થઈ ગયું હોય એવું જગત લાગે.
ફરી એ જ સવાલ. મિત્રોના સંગાથમાં ખીલી શકતા કલાકારોની વાત અલગ છે, પણ સ્વભાવે અંતર્મુખ, ઓછાબોલા, ઇવન સોશિયલી ઑકવર્ડ એવા સર્જકોને આટલા બધા લોકો સાથે રહેવાનું, લખવાનું ને પાછું શેર કરવાનું કેવી રીતે ફાવે? એમના માટે આ પ્રકારની શિબિરો કેવી રીતે ઉપકારક બને? આનો જવાબ કદાચ અજય સરવૈયા પાસે છે. એમને સાહચર્ય લેખનશિબિરમાં જવું એટલા માટે ગમતું કે, કશુંક બને, ઘટે એટલા માટે નહીં, કળા કે જીવનનો અર્થ મળી જાય કે શોઘી લેવાય એવી રોમેન્ટિક ભ્રમણા માટે પણ નહીં, પણ આમ આ રીતે, જુદી જુદી રીતે સાથે હોઈ શકાય એવી અનુભવની શક્યતાનો તાગ કાઢવા, કોઈ ફોર્મલ ચોક્કસ માળખા વિના, જેથી ફ્રીડમ શ્વાસ લઈ શકે, પ્રતિભા આકાર લઈ શકે, જેથી જાતને તપાસી શકાય, અન્યને સમજી શકાય...
જો આટલું મળી શકતું હોય તો વધારે જોઈએ પણ શું! સર્જન અમુક સંજોગોમાં જ થાય ને અમુક સંજોગોમાં ન જ થાય એવી પૂર્વધારણાઓમાં બંધાઈ રહેવા જેવું નથી. ક્રિયેટિવિટીનો તો સ્વભાવ છે માણસને આશ્ચર્યચકિત કરવાનો. આ આશ્ચર્યો એકાંતમાં પણ સર્જાય ને સમૂહમાં પણ સર્જાય, ખરું?
0 0 0   

Tuesday, September 18, 2012

વાર્તામાં હોવું એટલે કોઈનાં સ્વપ્નમાં હોવું?


 ચિત્રલેખા - અંક તા. ૧ ઓક્ટોબર ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું 



                                                                     
ક પુસ્તકોનું મ્યુઝિયમ છે. લાઈબ્રેરી નહીં, પણ મ્યુઝિયમ. આખેઆખું જોતાં એક હજાર ને એક દિવસ લાગે એવડું મોટું. મ્યુઝિયમમાં પહાડ પણ હોય અને રણ પણ હોય. રણમાં ‘વિખરાતાં પુસ્તકો’ નામનો વિભાગ છે, જ્યાં એવાં પુસ્તકો રાખવામાં આવેલાં જે રેતીની જેમ ખરતાં જાય, આપણી મુઠ્ઠીમાંથી સરતાં જાય. કહે છે કે રણ એવાં પુસ્તકોનાં ખરવાથી જ બનેલું! આ મ્યુઝિયમમાં આવેલી એક યુવતીને ઘણા વખતથી સપનામાં એક પુસ્તક દેખાય છે. એેને લાગે છે કે રોજ એ એક જ સપનું જોઈ રહી છે, રોજ એક જ દિવસ જીવી રહી છે. આ સપનાંને કારણે એની ઊંઘ તદ્દન વેરાઈ ગઈ છે. કોઈએ એને સલાહ આપી કે તું કોઈ એવું પુસ્તક વાંચ જે સ્વપ્નમાં આવતાં પુસ્તકની અસરને મારી શકે.  તો જ તને તારી ઊંઘ પાછી મળી શકશે! તેથી એ આ પુસ્તકોના મ્યુઝિયમમાં આવી છે.... અને પછી શરૂ થાય છે એ પુસ્તકની રોમાંચક શોધ!

તો... બળકટ વાર્તાઓની દુનિયામાં આપનું સ્વાગત છે! છેલ્લે આપણે આપણી ભાષામાં ક્યારે નાવીન્યપૂર્ણ અને તાજગીભર્યો, અર્થઘન છતાંય રસપૂર્ણ નવલિકાસંગ્રહ વાંચ્યો હતો? અજય સરવૈયાનું પુસ્તક ‘ફેક્ટ એન્ડ ફિક્શન અને બીજી વાર્તાઓ’ આત્મવિશ્વાસપૂર્વક ગુજરાતી નવલિકા-વિશ્વમાં એક નવો અને બુલંદ અવાજ બનીને ઊપસે છે.

આ સંગ્રહમાં અગિયાર વાર્તાઓ છે. કેટલીક ટૂંકી તો કેટલીક પ્રલંબ. આ કથાઓ છેલ્લાં કેટલાંક વર્ષોેમાં જુદાં જુદાં સાહિત્યિક સામયિકોમાં છપાઈ છે, પણ અહીં એક સાથે એ સૌમાંથી પસાર થતાં જાણે કોઈ અલગ અને નક્કર પેટર્ન ઊભરી રહી હોય એવી અનુભૂતિ થાય છે. લેખક અઠ્ઠંગ પુસ્તકપ્રેમી છે.  તેથી પુસ્તકો અને તેની સાથે સંકળાયેલું ભાવવિશ્વ આ સંગ્રહનો જાણે કે એક સ્થાયી ભાવ બની રહે છે. ‘જેની શરૂઆત નથી હોતી’ નવલિકામાં નાયક લાઈબ્રેરીમાં રોજ એક ચોક્કસ પુસ્તક વાંચવા જાય, પણ એનો એક ફકરો રોજ બદલાયા કરે. નાયક રોજ વાંચે ને રોજ એક ફકરો જુદો હોય. ‘આ વાર્તા પાનખરમાં નહીં વાંચતા’માં તો આખું પ્રકરણ, આખેઆખું પાત્ર ગાયબ થઈ જાય!



અહીં મેજિક રિઅલિઝમની આકર્ષક છટા છે. ખબર પણ ન પડે એવી રીતે વાસ્તવ રંગ બદલીને ફેન્ટસીમાં પરિવર્તિત થઈ જાય છે અને ફેન્ટસી મનના પડળો ભેદીને વિચારોને રણઝણાવે છે. વાર્તાને અંતે ચમત્કૃતિ હોય પણ ખરી અને ન પણ હોય. અહીં વાચકને ચમકાવી મૂકવાનો નહીં, પણ એને કદાચ એક ચોક્કસ એસ્થેટિક વાતાવરણમાં ખેંચી જવાનો ઉદેશ છે. એક નવલિકામાં કહેવાયું છે કે દરેક વાર્તાની ઘણી શરૂઆતો હોય છે ને ઘણા અંત. માટે દરેક વાર્તાની ભીતર બીજી ઘણી વાર્તાઓ હોય છે અને એક વાર્તામાંથી બીજી વાર્તા ઉદભવતી રહે છે. આ સંગ્રહનું પણ એવું જ છે. અહીં બધી નવલિકાઓ જાણે એકમેકમાં પરોવાઈને ઊભી છે, એ એકમેકનાં એક્સટેન્શન જેવી છે.

‘જગતનો નક્શો’ વાર્તા વળી રહસ્યરંગમાં ઝબોળાઈ છે. પ્રોફેસર કથાનાયકને અચાનક કોઈ અજાણી મધ્યવયસ્ક સ્ત્રીનો ફોન આવે છે. એ સ્ત્રીનો પતિ છ મહિનાથી સહસા ગાયબ થઈ ગયો છે. કોઈ જ સ્પષ્ટ કે અસ્પષ્ટ કારણ નહીં, કોઈ હિન્ટ પણ નહીં. સ્ત્રી કહે છે કે, ‘એ મારી દરેકેદરેક વસ્તુનું ધ્યાન રાખતા. એટલા પરફેક્ટ કે એ ખોટા હતા. તમે ઝાડને નિયમિત, ભૂલ્યા વગર પાણી આપતાં રહો તો એ ઊગે, ખીલે, પણ કોઈ વ્યક્તિ સાથે એટલા નિયમિત વર્તો તો એ વર્તન એનો અર્થ ગુમાવી બેસે. હું ચાહતી હતી કે એ મને ચકિત કરી મૂકે,  આળસ કે કંટાળાના નામે ફરિયાદ કરે... પણ એ અકળાઈ ઉઠતા. હું ગુસ્સે થતી, ચીસો પાડતી કે એ કંઈક બોલે, જુદુ બોલે, જુદું કરે, મને ફટકારે, ગાળો ભાંડે, પણ એ ભીંતની જેમ બેસી રહેતા. જે રીતે છાપાં પર નજર ફેરવતાં એ જ રીતે મને જોઈ લેતાં...’

ખોવાયા એની આગલી રાતે અને થોડા દિવસોથી પતિદેવ વિખ્યાત ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખનાં ‘માપામુંડી’ સિરીઝનાં પેઈન્ટિંગ્સ જોતા હતા. કથાનાયકે આ સિરીઝનાં ચિત્રો પર લેખો લખ્યા હતા. માત્ર એથી જ, સ્ત્રીને કોણ જાણે કેમ લાગે છે કે ગુમશુદા પતિને શોધી કાઢવાનું જે કામ પોલીસ પણ કરી શકી નથી, એ કામ કરવામાં આ કથાનાયક સફળ થઈ શકશે!



આખાં પુસ્તકમાં લેખકના પ્રિય સર્જકો નિર્મલ વર્મા, બોર્હેસ, મિલાન કુન્દેરા વગેરે છૂટથી ઉલ્લેખ પામતા રહે છે. કથાઓમાં લેખકની જીવન વિશેની સમજ અને સુંદર વિચારકણિકાઓ પણ સહજ રીતે વણાતી ગઈ છે. જેમ કે, ‘ફેક્ટ અને ફિક્શન’ નવલિકામાં કહેવાયું છે: 

‘સુખ એ ચમત્કાર છે, કારણ કે એ ઝાઝું નથી ટકતું. ટકી શકે પણ નહીં. નહીં તો એ સુખ નહીં રહે. જે બટકે નહીં, ભાંગીને ભૂકો ન થાય, ઓગળીને અદશ્ય ન થાય, એ સુખ કેવું? સુખ એ હંમેશા કશાકનું હોય છે. ક્યાંકથી આવે છે. થોડીવાર માટે, પછી ક્યાં જાય છે, કોઈ નથી જાણતું. સુખ હંમેશાં વાસ્તવ અને ભ્રમની વચ્ચે હોય છે. બીજી રીતે કહું તો, એ વાસ્તવ અને ભ્રમ વચ્ચેનો ભેદ ભૂંસી નાખે છે.’ 

‘સુખનું નામ નથી હોતું’ વાર્તાનો પ્રારંભ જુઓ:

‘દુખ આવતું નથી, હળવેથી કે વેશ બદલીને. દુખ વરસતું નથી, કે તૂટી પડતું નથી. દુખ નથી આગળ હોતું કે પાછળ નથી આવતું. દુખ સાથે પણ નથી હોતું. દુખ ફૂટી નીકળે છે, ઝબકી ઊઠે છે. જે ક્ષણોમાં અપેક્ષા નથી હોતી એ ક્ષણોમાં.

આ વાર્તામાં આગળ લેખક કહે છે કે, ‘મળવું અને ગુમાવવું એક થઈ જાય ત્યારે સુખ અને દુખ વચ્ચેની રેખા ભૂંસાઈ જાય છે.’ 



આ જ વાર્તાનું ઓર એક અવતરણ જુઓ:

‘પ્રેમમાં વધારે શું કે ઓછું શું? કઈ રીતે નક્કી કરીશું? પછી ખબર પડી, પ્રેમમાં સંતુલન હોતું જ નથી. પ્રેમનું ત્રાજવું હંમેશાં ઊંચું કે નીચું, ઓછું કે વધારે જ રહેવાનું. અસંતુલનનો અર્થ જ એ કે તમે વ્યક્તિ તરીકે શ્વાસ લઈ રહ્યા છો, મથી રહ્યા છો, કે તમે હજી કોઈના તાબે થયા નથી. શું ઈશ્વર પણ અપૂર્ણ નથી? એ પણ સતત ઘડાતો નથી?’ 

લેખકે નવલિકાની પારંપરિક વિભાવનાઓથી સંપૂર્ણપણે તો નહીં, પણ બને એટલું અંતર જાળવીને આગવો લય પેદા કરવાની સફળ કોશિશ કરી છે. અહીં શાલીન પ્રયોગશીલતા છે, સ્થૂળ પ્રયોગખોરી નહીં. અહીં કશું જ દુર્બોધ કે ક્લિષ્ટ નથી, બલકે સુંદર પ્રવાહિતા છે. અલબત્ત, કોઈક જગ્યાએ નકરી માહિતી રસક્ષતિ જરૂર કરે છે. ઉપલક દષ્ટિએ આ વાર્તાઓમાં ભલે વિષય વૈવિધ્ય ન લાગે, પણ લગભગ ચમત્કારિક રીતે એનું હોવું-ન હોવું અહીં અપ્રસ્તુત બની ગયું છે. કદાચ વાર્તાઓની સળંગસૂત્રતાને કારણે જ પુસ્તક એક વિશિષ્ટ માહોલ ઊભો કરી શક્યો છે.

Ajay Sarvaiya
એમ. એસ. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લિંગ્વિસ્ટિક્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત યુવા લેખક અજય સરવૈયાની લેખનયાત્રા ‘ગદ્યપર્વ’ અને ‘નવનીત સમર્પણ’ જેવાં સામયિકોથી થઈ હતી. એ ‘ચિત્રલેખા’ને કહે છે:

‘હું નવલિકા લખવા બેસું ત્યારે અંત સ્પષ્ટ ન હોય. જેમ જેમ આગળ લખાતું જાય એમ ક્રમશ: વાર્તા ઊઘડતી જાય. મને વાર્તા ફક્ત લખવા ખાતર લખવામાં રસ હોતો નથી. મારો પ્રયત્ન એવું સર્જન કરવાનો હોય છે - નવા અપ્રોચ, નવી સંકલ્પનાઓ, નવા પ્રયોગ - જેના થકી સંભવત: સાહિત્યમાં કશુંક ઉમેરાતું હોય. સત્યની શોધ આપણે મનોવિજ્ઞાનથી, ફિલોસોફીથી, ધાર્મિકતાથી કરતા હોઈએ છીએ, પણ કેટલાંક સત્યો એવાં છે જે કેવળ સાહિત્ય દ્વારા જ શોધી શકાય. મારાં લેખનની દિશા આ સત્યોને શોધવા તરફની છે.’

એક નિશ્ચિત સ્તરની સાહિત્યિક સજ્જતા ધરાવતા વાચકોને વારંવાર વાંચવું ગમે એવું પુસ્તક.  ચીલાચાલુ ટાઈમપાસ વાર્તાઓના શોખીનોએ આ સંગ્રહથી દૂર રહેવું!          0 0 0                                                                                


 ફેક્ટ એન્ડ ફિક્શન અને બીજી વાર્તાઓ 

લેખક: અજય સરવૈયા

પ્રકાશક: સાહચર્ય પ્રકાશન-મુંબઈ, નવભારત સાહિત્ય મંદિર-અમદાવાદ

ફોન: (૦૭૯) ૨૨૧૪ ૦૭૭૦

કિંમત:  ૧૭૫ / 
પૃષ્ઠ: ૨૩૮