Showing posts with label Pannalal Patel. Show all posts
Showing posts with label Pannalal Patel. Show all posts

Tuesday, April 14, 2015

ટેક ઓફ : ટુ સર... વિથ લવ

Sandesh - Ardh Saptahik Purti - 15 April 2015

ટેક ઓફ 

સાહિત્યગુરુ રામનારાયણ વિ. પાઠકે ૫૯ વર્ષની ઉંમરે પોતાના કરતાં ૩૦ વર્ષ નાનાં હીરાબહેન સાથે લગ્ન કર્યાં ત્યારે સમાજમાં ધરતીકંપ થઈ ગયો હતો. આજે તેમનાં ધ્યેયનિષ્ઠ અને લાગણીસભર દાંપત્યજીવનને એક આદર્શ તરીકે જોઈ શકાય છે.



"... આવા રામનારાયણ પાઠક!? જેમની આપણે દ્વિરેફની વાતો વાંચેલી ને તે પરથી તેમની આકૃતિ કલ્પેલી તે આવા - કેવા દેખાવના છે! શરીર ઘણું સુકલકડી, એકવડું અને એકદમ નંખાયેલું લાગ્યું. તેમનું મોઢું કેટલું બધું બેસી ગયેલું! કપાળ કોરેલું હોય તેવું સુરેખ ધ્યાન ખેંચે એવું પુખ્ત ને તેમનું મોટું બધું નાક! બહાર પડતું, પોપટિયું, છેક હોઠ લગી ધસી આવેલું, જોતાં રમૂજ ઉપજે એવું. વળી, હડપચી, જડબાંનો ભાગ વગેરે અંગો પણ ઘણાં ઉઠાવવાળાં, તેથી પણ મોઢું વધારે બેઠેલું લાગતું. તેમના મોઢા પરના ખાડા તે ખાડા નહીં પણ ખાઈઓ હતી! આવી તેમની વિલક્ષણ મુખાકૃતિ."

આ હતી એક કોલેજ સ્ટુડન્ટની પોતાના સર વિશેની ફર્સ્ટ ઇમ્પ્રેશન. બિલકુલ દરિદ્રનારાયણ દેખાતા પાઠકસર ૪૮ વર્ષના, જ્યારે ઉત્સાહથી થનગનતી હીરા મહેતા નામની આ મુગ્ધ કન્યા માંડ ઓગણીસની. ગુરુ-શિષ્યા તરીકે એકમેકનો ઔપચારિક પરિચય થયો હશે ત્યારે બન્નેમાંથી કોઈએ કલ્પના સુધ્ધાં કરી હશે ખરી કે થોડાં વર્ષો પછી બન્ને પતિ-પત્નીના સંબંધમાં બંધાઈ જવાનાં છે અને સમાજમાં ભૂકંપ આવી જવાનો છે?

રામનારાયણ વિશ્વનાથ પાઠકની ગયા અઠવાડિયે ૧૨૯મી જન્મજયંતી ઉજવાઈ. 'દ્વિરેફ', 'શેષ' અને 'સ્વૈરવિહારી' જેવાં ત્રણ-ત્રણ ઉપનામ ધરાવતા રા.વિ. પાઠકે ગુજરાતી સાહિત્યમાં એક વાર્તાકાર, કવિ, નિબંધકાર અને તંત્રી તરીકે એટલું ઉત્તમ અને વિપુલ માત્રામાં કામ કર્યું છે કે 'મૂર્ધન્ય', 'શીર્ષસ્થ', 'પ્રથમકક્ષ' વગેરે જેવાં વિશેષણો જાણે તેમના માટે જ સર્જાયાં હોય એવું લાગે. તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશો તો ગુજરાતીના પાઠયપુસ્તકમાં આવતી રામનારાયણ પાઠક લિખિત 'મુકુંદરાય' કે 'ખેમી' જેવી વાર્તાથી ચોક્કસ પરિચિત હશો. મુંબઈનિવાસી હીરા મહેતાએ પણ 'દ્વિરેફની વાતો' ભાગ-૧ ટેક્સ્ટબુક તરીકે ભણી હતી. સમજોને કે આ પુસ્તકે જ તેમના માટે સાહિત્યજગતના દરવાજા ખોલવાનું કામ કર્યું હતું. કોઈ લેખક કે કવિની કૃતિઓ આપણને ખૂબ ગમવા માંડે ત્યારે અનાયાસે આપણાં મનમાં એ સર્જકની એક ઇમેજ ઊભી થઈ જતી હોય છે. હીરા મહેતાના કિસ્સામાં પણ એવું જ બન્યું. એનએનડીટી કોલેજમાં બી.એ. કરી રહ્યાં હતાં ત્યારે એમને ખબર પડી કે એમના ગુજરાતીના સર તરીકે રામનારાયણ પાઠકની નિમણૂક થવાની છે. ધોળકા તાલુકામાં ગાણોલ ગામે જન્મેલા રા.વિ. પાઠક અગાઉ મુંબઈની વિલ્સન કોલેજમાં ભણી ચૂક્યા હતા. પછી અમદાવાદ જઈને થોડાં વર્ષ વકીલાત કર્યા બાદ શિક્ષણ ક્ષેત્રમાં સક્રિય બન્યા. મુંબઈ આવ્યા ત્યારે એમને ઓલરેડી 'ગાંધીયુગના સાહિત્યગુરુ'નું બિરુદ મળી ચૂક્યું હતું.

બી.એ.ના સેકન્ડ અને થર્ડ યરમાં ઐચ્છિક વિષય તરીકે ગુજરાતી પસંદ કરનારાં હીરાબહેન આખા ક્લાસમાં એકલાં જ. એમની ઓળખાણ કરાવતી વખતે આચાર્યે રા.વિ. પાઠકને કહેલું, "આ બહેન હીરા. સાહિત્યનાં સારા રસવાળાં, વ્યાસંગવાળાં છે. કાવ્ય વગેરે લખે પણ છે. તેને શીખવતા તમને ઘણો આનંદ થશે, જોજો." પાઠકસરનો પરિચય કરાવતા કહેલું, "રામનારાયણભાઈ ભારે મોટા વિદ્વાન છે. તેમને આખું ગુજરાત ઓળખે છે. આપણી સંસ્થાનું આ સદ્ભાગ્ય કે તેમના જેવાનો આપણને લાભ મળ્યો." જોકે, પાઠકસરને જોઈને હીરાબહેન જરાય પ્રભાવિત ન થયાં, ઊલટાના સરનો દેખાવ એમને ભારે રમૂજી લાગ્યો!

રામનારાયણ પાઠકના સૂના વ્યક્તિત્વનું કારણ હતું, ૩૧ વર્ષની ભરજુવાનીમાં તેઓ વિધુર થઈ ગયા હતા. ત્યાર બાદ પુત્રીનું પણ મૃત્યુ થઈ ગયું. તેમણે બીજાં લગ્ન ન જ કર્યાં. દોઢ દાયકા કરતાં વધારે સમયથી તેઓ મૂંગે મોંએ અને સ્વૈચ્છિક રીતે એકાકી જીવન જીવી રહ્યા હતા. ન કોઈ જતન કરવાવાળું, ન કોઈ હૂંફ આપવાવાળું. કારમી એકલતાએ એમના શરીરને ભલે કૃશ કરી નાખ્યું હોય, પણ આંતરિક ચેતના અકબંધ હતી. હીરાબહેન પાઠક 'રા.વિ. પાઠક પરિશીલન ગ્રંથ'માં સંગ્રહાયેલા એક સ્મૃતિલેખમાં લખે છે, "તેમના વણપોષાયેલા, વણસંભળાયેલા ક્ષીણ શરીરમાં ભારે ચમકદાર, તેજસ્વી ને સ્ફૂર્તિલી તેમની આંખો હતી. જાણે તેમની સમસ્ત શક્તિના પ્રતીકસમી. એ આંખોના નૂર વિશે મારા મને પ્રથમ દિવસની પ્રારંભિક ક્ષણોમાં જ નોંધ લઈ લીધી હતી."



ગુજરાતીના ક્લાસમાં હીરાબહેન એકલાં જ વિદ્યાર્થિની એટલે રા.વિ. પાઠકનું સમગ્ર અટેન્શન એમને મળે. આ એક આદર્શ ગુરુ-શિષ્યાની જોડી હતી. સમય જતાં હીરાબહેનના પરિવાર સાથે પણ તેમનો પરિચય થયો. થોડાંક વર્ષ બાદ રા. વિ. પાઠક અમદાવાદ પાછા આવી ગયા. એલ.ડી. આર્ટ્સ કોલેજમાં પ્રિન્સિપાલ બન્યા, પણ વેકેશન અચૂકપણે મુંબઈમાં ગાળતા. મુંબઈમાં હીરાબહેનનાં ઘરે જ ઊતરવાનું રહેતું. પછી તો હીરાબહેન પણ એસએનડીટી કોલેજમાં પ્રાધ્યાપિકા બન્યાં.

બે જીવતી, જાગતી, ધબકતી વ્યક્તિઓનાં હૃદય-બુદ્ધિના તાર જોડાઈ ગયા હોય, એક નિશ્ચિત કેમિસ્ટ્રી રચાઈ ચૂકી હોય ત્યારે ઉંમરનો ભેદ અપ્રસ્તુત બની જાય છે. પ્રેમસંબંધ બંધાવાનું નિર્મિત હોય તો સંંબંધ બંધાઈને રહેતો જ હોય છે. હીરાબહેન કહે છે, "એક વાર અમે રજાઓ વરસોવાના સેનેટોરિયમમાં ગાળવાનું ઠરાવેલું. અમારો તો ગુરુ-શિષ્યાનો જ સંબંધ રહેતો અને કોઈ વાર પણ એમને કે મને એકાંતમાં કશી અણઘટતી છૂટ લેવાનો વિચાર સુધ્ધાં આવેલો નહીં, પણ આ દિવસોમાં એ માંદા પડયા. સાતેક દિવસની એ માંદગી દરમ્યાન મેં ખૂબ પ્રેમથી એમની સારવાર કરી. એ માંદગી ગયા પછી પણ એ નંખાઈ ગયેલા અને સૂતા હતા ત્યારે મેં એમના માથા ઉપર હાથ ફેરવવા માંડયો. ત્યારે મારો હાથ પકડી લઈને એ બોલ્યાઃ "મારા જીવન પર તારો પ્રભાવ કેટલો બધો વધી રહ્યો છે એની તને ખબર છે?" અને હું દ્રવી ગઈ. તે જ ક્ષણે મારા મનમાં જીવન સમર્પણનો જે અસ્પષ્ટ ભાવ હતો તે સ્પષ્ટ થયો. હું એમને સમર્પિત થઈ ચૂકી."

પાઠકસાહેબ અને હીરાબહેનના સંબંધ વિશે પરિચિતોમાં ગુસપુસ તો ક્યારની થવા માંડેલી. ૧૯૪૫ના ઉનાળુ વેકેશનમાં એ બન્ને તીથલમાં એક મકાન ભાડે રાખી રહેવા ગયેલાં ત્યારે નિબંધકાર-વિવેચક યશવંત પ્રાણશંકર શુક્લ (જે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા) તેમના મહેમાન બનેલા. એક સાંજે તીથલના દરિયાકાંઠે ત્રણેય ફરવા ગયાં. સૂર્યાસ્ત થતાં રેતીમાં વાતો કરતાં બેઠાં. હીરાબહેને પાઠકસાહેબને સંકેત કર્ર્યોઃ "વાત કરો." પાઠકસાહેબ ટટ્ટાર થયા, સહેજ પ્રયત્નપૂર્વક હસ્યા. પછી કહે, "ભાઈ યશવંત, હીરા સાથે હું લગ્ન કરું તો તમને કેવું લાગે?" યશવંત શુક્લે તરત જ જવાબ આપ્યો, "બહુ સારું લાગે." ત્રણેય વચ્ચે મૌન પ્રસરી ગયું. પાછા ઘરે પહોંચ્યાં ત્યાં સુધી ત્રણેય ખામોશ રહ્યાં. વાળુ કરવા બેઠા ત્યારે હીરાબહેને પૂછયું કે તમે કેમ વિચાર કરવાનો સમય લીધા વગર તરત જ તમારો પ્રતિભાવ આપી દીધો? યશવંત શુક્લે કહ્યું, "આનો વિચાર તો લોકો ક્યારનાયે કરાવતા જ રહ્યા છે. એટલે મારે કશો નવો વિચાર કરવાનો હતો જ નહીં." એમણે કહ્યું કે પણ લોકોને તો અજુગતું લાગશેને? શુક્લજીએ જવાબ આપ્યો, "જરૂર લાગશે, પણ જો તમે બે નિર્ણય પર આવ્યાં હો તો લોકો જખ મારે છે. તમે નિર્ણય કરવા સ્વતંત્ર છો અને મને પોતાને એમાં કશું અજુગતું લાગતું નથી."

હીરાબહેનના પરિવારને આ નિર્ણય વિશે જાણ કરવાની જવાબદારી યશવંત શુક્લને જ સોંપવામાં આવી. આ બધું યશવંત શુક્લે સ્વયં પોતાના સ્મૃતિલેખમાં વર્ણવ્યું છે.

હીરાબહેનના ઘરે જાણ થતાં જ તાંડવ થઈ ગયું. કુટુંબમાં પિતાતુલ્ય મનાતા પાઠકસાહેબ સાથે ૨૯ વર્ષનાં હીરાબહેન લગ્ન કરવાનાં હશે એવું તો સપનામાંય ક્યાંથી ધાર્યું હોય! સદ્ભાગ્યે હીરાબહેન પર કોઈ પાબંદી લગાવવામાં નહોતી આવી. આખરે હીરાબહેનના પરિવારને જાણ કર્યા વગર સાદી હિન્દુવિધિથી ૫૮ વર્ષના રામનારાયણ પાઠકે, પચીસ વર્ષના વૈધવ્ય વેંઢાર્યા બાદ, પોતાના કરતાં અડધી ઉંમરનાં હીરાબહેન સાથે મુંબઈમાં લગ્ન કર્યાં. લગ્નવિધિ વખતે પન્નાલાલ પટેલ, કરસનદાસ માણેક, ગુલાબદાસ બ્રોકર જેવા સાહિત્યકાર મિત્રો-શુભેચ્છકો હાજર હતા. સિનિયર સિટીઝન જુવાન સ્ત્રી સાથે લગ્ન કરે તો આજની તારીખેય લોકોનાં ભવાં ચડી જાય. કલ્પના કરો કે આજથી ૭૦ વર્ષ પહેલાં, ૧૯૪૫માં, આ સમાચાર ફેલાયા પછી કેવો ઊહાપોહ થયો હશે. રા.વિ. પાઠક સેલિબ્રિટી હતા એટલે ખળભળાટ અખબારોમાં પણ પ્રસર્યો. અરે, ગાંધીજી અને વલ્લભભાઈના જે પત્રો આવેલા એમાં પણ નારાજગી વર્તાતી હતી.

આ કંઈ મુગ્ધભાવે કે બીજા કોઈ હેતુથી થયેલાં લગ્ન નહોતાં. એક પ્રખર સાહિત્યકાર અને એક તેજસ્વી સ્ત્રીએ સમજીવિચારીને આ પગલું ભર્યું હતું. સમયની સાથે વિરોધ શમતો ગયો. સમાજમાં બન્નેનો આદરપૂર્વક સ્વીકાર થયો. ટોચના સાહિત્યપુરુષ તરીકે રા.વિ. પાઠકનો જે મહિમા હતો તેમાં વૃદ્ધિ થતી ગઈ. અંતરંગ મિત્રોને બન્નેના અદ્ભુત દાંપત્યનો અહેસાસ થયા વગર ન રહેતો. બન્નેનું ધ્યેયનિષ્ઠ જીવન હતું. બન્ને વાંચે, વિચારે, ચર્ચા કરે. ઘરે મિત્રો આવે ત્યારે કલાકો સુધી ગોષ્ઠિઓ ચાલે. એક આદર્શ પત્નીની માફક હીરાબહેન પાઠકસાહેબની નાની-મોટી તમામ બાબતોની ચીવટપૂર્વક કાળજી લે.

રા.વિ. પાઠક અને હીરાબહેનનું દાંપત્યજીવન દસ વર્ષ ટક્યું. હાર્ટએટેકમાં રા.વિ. પાઠકનું મૃત્યુ થયું. હીરાબહેન પાઠક ક્રમશઃ ઉત્તમ કવયિત્રી અને વિવેચક તરીકે ઊભર્યાં. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક સહિત કેટલાંય સન્માનો પ્રાપ્ત થયાં. 'પરલોકે પત્ર'માં એમણે પાઠકસાહેબને ઉદ્દેશીને અત્યંત સંવેદનશીલ પત્રકાવ્યો અથવા કાવ્યપત્રો લખ્યાં છે. ખરેખર, લગ્નસંબંધમાં વર્ષોના આંકડાનું ક્યાં કશું મહત્ત્વ હોય છે. ચાલીસ-પચાસ વર્ષ એક છત નીચે જીવેેલાં પતિ-પત્નીનું લગ્નજીવન ખાલીખમ ને ખોખલું હોઈ શકે છે, જ્યારે સચ્ચાઈપૂર્વક જિવાયેલું મુઠ્ઠીભર વર્ષોનું સહજીવન આયુષ્યની છેલ્લી ક્ષણ સુધી ચાલે એટલું ભાથું બાંધી દેતું હોય છે...

                                                                   0 0 0 

Friday, February 6, 2015

ટેક ઓફ : ઉમાશંકર જોશીએ જ્યારે પન્નાલાલ પટેલને લેખનની દીક્ષા આપી...

Sandesh - Ardh Saptahik purti - 4 Feb 2015
ટેક ઓફ 
"... જીવન મને કરોળિયાના જીવન જેવું લાગે છે. પોતે જ લાળ કાઢતા જવું ને લાળનો આધાર લઈને આગળ વધતા જવું. એ જ રીતે હું પણ સમજદારીના આધારે જગતમાં માર્ગ કરતો ગયો, ઠોકરો ખાતો ગયો, શીખતો ગયો ને ઘડાતો ગયો."
Pannalal Patel

ન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી. બન્ને ગુજરાતી સાહિત્યજગતનાં અમર નામ. બન્ને સમવયસ્ક અને સમકાલીન. પન્નાલાલનો જન્મ ૧૯૧૨માં. ઉમાશંકર તેમના કરતાં એક વર્ષ મોટા. બન્ને ભર્યાભાદર્યા પરિવારના ફરજંદ. પન્નાલાલના કુટુંબમાં માતા-પિતા, બે મોટા ભાઈ, ત્રણ મોટી બહેનો, ઓરમાન મા અને તેમનાં દીકરા-દીકરી. ઉમાશંકરને છ સગાં ભાઈઓ ને બે બહેનો. કિશોરવયમાં બન્ને ઈડરની એક જ ર્બોિંડગમાં રહીને ભણ્યા. આમ તો ર્બોિંડંગ હાઉસ અંગ્રેજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જ હતી, પણ આ બન્નેને સ્પેશિયલ કેસ તરીકે તેમાં એડમિશન મળ્યું હતું. પન્નાલાલ તીવ્ર આર્થિક ભીંસ વચ્ચે માંડમાંડ ભણતરનું ગાડું ચલાવવા મથતા હતા. ઉમાશંકરે એડમિશન લીધું ત્યારે પન્નાલાલ ચોથા ધોરણમાં ભણતા હતા. અભ્યાસમાં પન્નાલાલ એટલા બધા તેજસ્વી નહીં, પણ સ્વાવલંબી પૂરેપૂરા. આત્મવિશ્વાસ પણ ભરપૂર. ઉમાશંકરે કિશાર વયના પન્નાલાલનું સુંદર સ્મૃતિચિત્ર ઉપસાવ્યું છેઃ "પન્નાલાલની કિશોર આકૃતિ છાત્રાલયમાં જુદી તરી આવતી. શરીર નાનકડું હૃષ્ટપુષ્ટ, ગોળમટોળ કહી શકાય એવું. લગભગ યુરોપીય લાગે એવો ગોરો - બલકે લાલ લાલ ચહેરો. ચૂંટી ખણો તો લોહી નીકળે. અવાજ ઊંડો, ઘેરો, પણ સૌથી વિશેષ તો મીઠાશભર્યો - કહો કે ગળ્યો ગળ્યો. આંખમાં અચૂક વરતાતી "હું સમજું છું બધું" એવી ચમક. મને સૌથી વધારે આકષર્તી વસ્તુ તે એમની મોકળાશભરી વર્તણૂક. કશી રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિઓમાં એ એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા."
ઉમાશંકરે દસથી સોળ વર્ષની ઉંમર ઈડરના આ છાત્રાલયમાં વિતાવી. અહીં ગામડાના કેટલાક મોટી ઉંમરના કદાવર પટેલ,રાજપૂત અને આદિવાસી છોકરાઓ પણ રહેતા. સૌ માથે સાફો બાંધતા અને પરીક્ષા વખતે પાસેની ધનેશ્વરની ડુંગર પરની દેરીઓમાં અથવા પડખેની સડકો પરના આંબાઓની ડાળો ઉપર બેસીને વાંચતા.
કમનસીબે પન્નાલાલ આઠમા ધોરણના વેકેશનમાં ગયા પછી પાછા આવ્યા જ નહીં. એમના નિશાળના ભણતર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. ર્બોિંડગમાં ડિપોઝિટ રૂપે એક પૂરો રૂપિયો એમણે જમા કરાવ્યો હતો. અભ્યાસ અટકી ગયો એટલે ડિપોઝિટનો રૂપિયો એમને મનીઓર્ડરથી પાછો મોકલવાનું કામ ઉમાશંકરને સોંપવામાં આવ્યંુ હતું. ફોર્મ જોઈને પોસ્ટમાસ્તરે પૂછેલું: "રૂપિયો આખેઆખો મોકલવાનો છે? મનીઓર્ડરનો ખર્ચ કાપ્યા વિના?"
ઉમાશંકર એ વખતે પન્નાલાલથી છૂટા પડેલા તે છેક બાર વર્ષ પછી એમનો ભેટો થયો - અમદાવાદમાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં. એ વર્ષ ૧૯૩૬નું. પ્રેમાભાઈ હોલમાં યોજાયેલા આ અધિવેશનના પ્રમુખ કોણ હતા? સ્વયં મહાત્મા ગાંધી! પચીસ વર્ષના ઉમાશંકર જોશી યુવા તેજસ્વી કવિ તરીકે એસ્ટાબ્લિશ થઈ ચૂક્યા હતા. એકલા ઉમાશંકર જ નહીં, તેમના હમઉમ્ર કવિમિત્ર સુંદરમ્ની ખ્યાતિ પણ ફેલાઈ ચૂકી હતી. એ પણ સંમેલનમાં આવવાના હતા. ઉમાશંકર તે વખતે મુંબઈ રહેતા. મુંબઈથી અમદાવાદ પહોંચે તે પહેલાં પન્નાલાલે એમને કાગળ લખ્યો હતો. પન્નાલાલને તે વખતે પન્નાલાલ પટેલ બનવાની ઘણી વાર હતી, પણ એમણે લખેલા પત્રની ભાષા એટલી દમદાર હતી કે ઉમાશંકરને તેમની સર્જનશક્તિનો અણસાર તો એ જ વખતે મળી ગયો હતો.
પ્રમોદકુમાર પટેલ લિખિત અને રમણલાલ જોશી સંપાદિત 'પન્નાલાલ પટેલ' નામના પુસ્તકમાં આપેલી વિગતો પ્રમાણે, બાર વર્ષે ઉમાશંકર એમના બાળસખા પન્નાલાલને સંમેલનમાં ઉષ્માપૂર્વક મળે છે, વચ્ચેના સમયમાં શું શું બન્યું તેની વીતકકથા સાંભળે છે.

"... અને લેખક માટે જરૂરી જીવનાનુભવનું ભાથું તૈયાર થયું છે એવી જ કોઈ પ્રતીતિ તેમના (એટલે કે ઉમાશંકરના) અંતરમાં જન્મી હશે. એટલે પન્નાલાલને તેઓ લેખનની દીક્ષા આપે છે અને પન્નાલાલે કલમ પકડી."
સ્થૂળ રીતે કહી શકાય કે, પન્નાલાલ પટેલે લેખક તરીકે જન્મ લીધો તે આ ક્ષણ હતી. ઉમાશંકર તે દિવસોમાં મુંબઈ રહેતા હતા એટલે એમણે પન્નાલાલનો હવાલો સુંદરમ્ને સોંપ્યો. આ રીતે પન્નાલાલ તે સમયના બન્ને ઉચ્ચ કોટિના યુવાન સર્જકોના સીધા સંપર્કમાં આવ્યા. મીટર રીડિંગનું કામ કરતાં કરતાં પન્નાલાલે શરૂઆતમાં તો કવિતાઓ રચી. સુંદરમ્ને તે બતાવી, પણ સુંદરમ્ જેવા સુંદરમ્ નબળી કૃતિ માટે ઠાલેઠાલા વાહ વાહ શાના કરે? શક્ય છે કે સુંદરમે્ કદાચ સ્પષ્ટપણે ટીકા ન પણ કરી હોય, પણ તેમના ચહેરાના હાવભાવ જોઈને પન્નાલાલ સમજી ગયા કે કવિતામાં આપણું કામ નહીં. ગુજરાતી સાહિત્યના એ સદ્ભાગ્ય કે પન્નાલાલ વહેલાસર પદ્ય છોડીને ગદ્ય તરફ વળી ગયા. એમણે ટૂંકી વાર્તાઓ લખવાની કોશિશ કરી જોઈ. એમની વાર્તાઓ વાંચતી વખતે સુંદરમ્ના ચહેરા પણ સ્મિત આવી જતું એટલે અડધી સફળતા તો ત્યાં જ મળી જતી. 'શેઠની શારદા' શીર્ષકધારી વાર્તા 'ફૂલછાબ'માં સ્વીકારાઈ અને છપાઈ એટલે પન્નાલાલને પાનો ચડયો. એ વખતે રામનારાયણ પાઠક 'પ્રસ્થાન' સામયિક સંભાળતા હતા. સંપાદક-વિવેચક તરીકે તેઓ અત્યંત કડક, પણ એમની કસોટીમાંથીય પન્નાલાલ પાસ થઈ ગયા. 'ધણીનું નાક' અને 'સુખદુઃખના સાથી' નામની બબ્બે વાર્તાઓને 'પ્રસ્થાન'માં સ્થાન મળ્યું એટલે સમજોને કે પન્નાલાલ પટેલ પર વાર્તાકારનો આઈએસઆઈ માર્કો લાગી ગયો!


પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યજગતનો એક સર્વસ્વીકૃત ચમત્કાર છે. માંડ આઠ ચોપડી ભણેલા માણસમાં સાહિત્યનો અજાયબ ઝરો કેવી રીતે ફૂટી નીકળ્યો કે ક્યારેય ન ભૂલી શકાય એવી કંઈકેટલીય નવલિકાઓ અને 'માનવીની ભવાઈ' તેમજ 'મળેલા જીવ'કક્ષાની માતબર નવલકથાઓ વગેરે એમની કલમમાંથી ટપકતું રહ્યું? 'મળેલા જીવ' નવલકથા આખેઆખી એમણે ફક્ત બાવીસ-ચોવીસ દિવસમાં લખી નાખી હતી! 'પન્નાલાલ પટેલ' પુસ્તકમાં કહેવાયું છેઃ
"બીજાઓને તો ઠીક, ખુદ પન્નાલાલને પોતાની અંદરથી ફૂટી નીકળેલી સર્જકચેતનાનું વિસ્મય રહ્યા કર્યું છે. તેમણેે 'મળેલા જીવ'નું લેખન માત્ર બાવીસ-ચોવીસ દિવસમાં એકધારી ચાલતી કલમે પૂરું કરેલું, એ ઘટનાને "સર્જન નહીં, અવતરણ કરું" એવું કહીને તેઓ બિરદાવતા રહ્યા છે. કોઈ દૈવી પ્રેરણાથી આખીય કથા સીધેસીધી તેમના માનસમાં ઊતરી આવી હતી એવી તેમની માન્યતા બંધાઈ ચૂકી છે."
સાહિત્ય પરિષદના એક અધિવેશનમાં પોતાના વક્તવ્યમાં તેમણે કહેલું કે, "બીજા સર્જકોની તો મને ખબર નથી, પણ મારા વિશે તો ઘણી વાર એવું બનતું આવેલું છે કે અણધારી રીતે બધું પ્રગટતું ને ગોઠવાતું આવતું હોય છે. પૌરાણિક સર્જનો વખતે તો એવો એવો અનુભવ થયેલો છે કે મારે એને ચમત્કાર જ કહેવો પડે."
પન્નાલાલ ખરેખર નસીબદાર કે એમના પર મા સરસ્વતીની આવી કૃપા ઊતરી. બાકી અસંખ્ય લેખકો બિચારા મહેનત કરી કરીને આખી જિંદગી ઘસી નાખે તોય ચિરંજીવ તત્ત્વવાળું તો ઠીક, સાધારણ સારું સાહિત્ય પણ સર્જી શકતા નથી. અલબત્ત, પન્નાલાલના સર્જકકર્મનો સઘળો જશ માત્ર એમના સદ્ભાગ્યને આપી દેવાની ભૂલ કરવા જેવી નથી. એમના ખુદના જીવનના અનુભવોએ એમની કલમને નિખારી છે. એક જગ્યાએ પન્નાલાલે કહ્યું છેઃ
"... જીવન મને કરોળિયાના જીવન જેવું લાગે છે. પોતે જ લાળ કાઢતા જવું ને લાળનો આધાર લઈને આગળ વધતા જવું. એ જ રીતે હું પણ સમજદારીના આધારે જગતમાં માર્ગ કરતો ગયો, ઠોકરો ખાતો ગયો, શીખતો ગયો ને ઘડાતો ગયો. હું અત્યારે જોઈ શકું છું કે મારી આ સમજદારી ચિંતનથી, વાચનથી કે અમુક વ્યક્તિઓના સંસર્ગમાંથી આવેલી નથી, પણ જીવનના અનુભવોમાંથી પ્રગટેલી હોય એવું મને લાગે છે."
નાનપણમાં ઉમાશંકર જોશીની સાથે છાત્રાલયમાં રહેનારા અને જુવાનીમાં એમની પાસેથી લેખનની દીક્ષા લેનારા પન્નાલાલ પટેલ બન્ને જુદી જુદી ભ્રમણકક્ષાઓમાં ખૂબ ઊંચાઈ પર બિરાજ્યા. બન્ને જ્ઞાાનપીઠ પારિતોષિક વિજેતા બન્યા અને માંડ ચારેક મહિનાના અંતરે મૃત્યુ પામ્યા તે પણ કેવો યોગાનુયોગ!

0 0 0 

Friday, July 11, 2014

ટેક ઓફ : બોલીથી ભાષા સુધી...

Sandesh - Ardh Saptahik purty - 9 July 2014

ટેક ઓફ  
માત્ર આઠ ચોપડી ભણેલા પન્નાલાલ પટેલ ગુજરાતી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠતમ સાહિત્યકારોમાં સ્થાન પામ્યા. આવા ચમત્કારો અન્ય ભારતીય ભાષાઓમાં પણ બન્યા છે. જેમ કે, ઉડિયા સાહિત્યના પિતામહ ગણાયેલા ફકીરમોહન સેનાપતિ. તેઓ માત્ર બે ચોપડી ભણ્યા હતા!

જ્ઞાનપીઠ એવોર્ડ સન્માનિત પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યનો એક ચમત્કાર છે. તેઓ આઠ ચોપડી માંડ ભણ્યા હતા, પણ તેમણે લખેલી કૃતિઓ સ્કૂલના બચ્ચાંથી લઈને એમ.એ. કરી રહેલા વિદ્યાર્થીઓને દાયકાઓથી અભ્યાસક્રમ તરીકે ભણાવવામાં આવે છે. પન્નાલાલ પટેલ જેવી ઘટનાઓ અન્ય કઈ ભારતીય ભાષાઓમાં થઈ છે?
આજે ફકીરમોહન સેનાપતિની વાત કરવી છે, જે માત્ર બે ચોપડી ભણ્યા હતા, પણ આગળ જઈને તેઓ ઉડિયા સાહિત્યના પિતા ગણાયા! ૧૭૧ વર્ષ પહેલાં એટલે કે છેક ૧૮૪૩માં જન્મેલા ફકીરમોહને પચીસ વર્ષની ઉંમરે 'લછમનિઆ' નામની નવલિકા લખી હતી. આ કેવળ ઉડિયા જ નહીં, બલકે સમગ્ર ભારતીય સાહિત્યજગતની પ્રથમ નવલિકા હોવાનો દાવો કરાય છે.
ફકીરમોહન તરુણ વયના હતા ત્યારે કલકત્તાના એક બંગાળી પંડિતે એક જાહેર નિવેદન કર્યું હતું કે, ઉડિયા કંઈ સ્વતંત્ર ભાષા નથી, એ તો બંગાળની પૂરક બોલી માત્ર છે. અન્ય કેટલાંય ઓરિસ્સાવાસીઓની માફક ફકીરમોહનને પણ હાડોહાડ લાગી આવ્યું. જે ભાષા સાંભળીને- બોલીને હું મોટો થયો છું એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નહીં? પોતાની ભાષાને અન્ય ભારતીય ભાષાઓની સમકક્ષ લાવવાની ઝંખના એમનામાં કાચી વયે જ જાગી ચૂકી હતી.
એમનું મૂળ નામ વ્રજમોહન હતું. સાવ નાના હતા ત્યારે મા-બાપની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા. દાદીમાએ એમને મોટા કર્યા. બાળપણમાં વર્ષો સુધી માંદગીનો ભોગ બની પથારીવશ રહ્યા. દાદીએ બાલેશ્વર (અથવા બાલાસોર)ના જાણીતા પીર પાસે જઈ માનતા માની, "જો મારા વ્રજની તબિયત ઠીક થઈ જશે તો હું એને તમારો ફકીર (એટલે કે શિષ્ય) બનાવી દઈશ. યોગાનુયોગે વ્રજની બીમારી દૂર થતી ગઈ, પણ પૌત્રને પીરનાં ચરણોમાં સોંપી દેતાં દાદીનો જીવ ન ચાલ્યો. એમણે વચલો રસ્તો શોધ્યો. દર વર્ષે મહોરમ વખતે આઠ દિવસ માટે એ વ્રજમોહનને મુસ્લિમ ફકીરની જેમ શણગારતી. આ રીતે વ્રજમોહન ફકીરમોહન બન્યા.
બીમારીમાંથી ઊઠયા પછી ફકીરમોહને નિશાળે જવાનું શરૂ કર્યું. નવ વર્ષની ઉંમરે એમને સાદો કક્કો પણ આવડતો નહોતો. એ જમાનામાં માસ્તરોની સોટી બહુ ચાલતી. છોકરા ભૂલ કરે એટલે હથેળી પર સોટી પડી જ સમજો. ઉત્પાત વધી જાય તો પીઠ પર પ્રહાર થાય. ફકીરમોહન રોજ સાંજે નિશાળ પૂરી થયા પછી માસ્તરની સેવા કરતા, રસોઈકામમાં મદદ કરતા. એક વાર મહિનો પૂરો થયા પછી માસ્તર ફી માગવા ફકીરમોહનના કાકા પાસે ગયા. કાકાએ કહ્યું, "તમે છોકરાને ભણાવતા નથી તો ફી કઈ વાતની માગો છો?" માસ્તરે કહ્યું, "હું એને રાત-દિવસ ભણાવું છું. થોડીક વાર માટે પણ રમવા જવા દેતો નથી." કાકા બોલ્યા, "ખોટી વાત. તમે એને ખરેખર ભણાવતા હો તો એની હથેળી અને પીઠ પર સોળના નિશાન કેમ નથી?" માસ્તર સમજી ગયા. પછી દર મહિને ફી માગવા જતા પહેલાં એ ફકીરમોહન પર વગર વાંકે સોટીઓનો વરસાદ વરસાવી દેતા. છોકરો બાપડો ચિત્કારી ઊઠતો,પણ એના શરીર પર સોટીનાં નિશાન જોઈને કાકાને સંતોષ થતો ને એ માસ્તરને ફી ચૂકવી દેતા!

કમનસીબે આ રીતે ભણવાનું પણ વધારે ન ચાલ્યું. પોતાના દીકરા કરતાં ફકીરમોહન વધારે હોશિયાર પુરવાર થઈ રહ્યા હતા એટલે કાકાને ઈર્ષ્યા થઈ. ફી પોસાતી નથી એવું બહાનું બતાવી ફકીરમોહનને બે ચોપડી પછી ઉઠાડી મૂક્યા ને બાલેશ્વરના દરિયાકિનારે મજૂરીકામમાં જોતરી દીધા. મજૂરી કરતાં કરતાં ફકીરમોહન હાથમાં જે કંઈ આવે તે વાંચી નાખતા. આ રીતે જાતમહેનતથી ઘણા વિષયોની સમજ કેળવી. બાલેશ્વર બંદર પર મીઠાનું ઉત્પાદન બંધ થતાં એ બેકાર થઈ ગયા.
બાલેશ્વર નજીક બારબાટી ગામમાં નવી સ્થપાયેલી સ્કૂલમાં ૧૯ વર્ષના ફકીરમોહને પાછું એડમિશન લીધું. અહીં એ પાછા ઝળક્યા પણ દોઢેક વર્ષમાં ફરી ભણતર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. કારણ એ જ, ફી! ખેર, ફકીરમોહનની બુદ્ધિપ્રતિભા સ્કૂલના સંચાલકના ધ્યાનમાં આવી ચૂકી હતી, તેથી થોડા અરસા બાદ ફકીરમોહનને અહીં શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પદ્ધતિસરનું પ્રાથમિક શિક્ષણ પણ નહીં લઈ શકેલા ફકીરમોહન વિદ્યાર્થીઓને ઇતિહાસ, ભૂગોળ અને ગણિત શીખવવા લાગ્યા! ફકીરમોહનને લીધે સ્કૂલની કીર્તિ આખા પંથકમાં ફેલાઈ. છોકરાઓને ભણાવતાં ભણાવતાં તેઓ પોતે પણ અધ્યયન કરતા. 'વ્યાકરણ કૌમુદી' અને 'ઋજુપાઠ' જેવા વ્યાકરણના ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેનાથી સંસ્કૃત શીખવાનું સરળ બની ગયું.
ફકીરમોહને હવે લખવાનું શરૂ કર્યું. 'સોમપ્રકાશ' નામના બંગાળી સામયિકમાં એમના લેખો છપાતા. પોતાની ઉડિયા ભાષામાં એક પણ સામયિક છપાતું નથી તે વાત તેમને સતત ખટક્યા કરતી. વળી, ઉડિયાની સ્વતંત્ર ભાષા તરીકે પ્રસ્થાપિત કરવાની ઝંખના પણ બળવત્તર બનતી જતી હતી. તેઓ બાલેશ્વરમાં પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવા માગતા હતા, પણ એટલા બધા પૈસા લાવવા ક્યાંથી?તેમણે એડવાન્સમાં લવાજમ ઉઘરાવ્યા. કંપની સ્થાપી. કલકત્તા જઈને મશીનરી પસંદ કરી. મશીનરીને બાલેશ્વર સુધી પહોંચતા બાવીસ દિવસ લાગી ગયા. બાલેશ્વરનું આ પહેલંુ છાપખાનું હતું. લોકોમાં કૌતુક ફેલાયું. જગન્નાથજીની રથયાત્રાની જેમ આ પ્રિન્ટિંગ પ્રેસ જોવા લોકોની ભીડ જમા થઈ જતી. બે-ત્રણ મહિના સુધી લોકોનાં ધાડાં ખાસ પ્રેસ જોવા માટે આવતાં રહ્યાં!
મશીન તો આવી ગયું, પણ એને ચલાવે કોણ? ફકીરમોહન જાતે બધું શીખ્યા. શિક્ષક અને પ્રેસના સંસ્થાપક તરીકેની ફકીરમોહનની કામગીરીથી પ્રભાવિત થયેલા અંગ્રેજ અધિકારીઓએ તેમને નીલગિરિ રાજ્યના દીવાન તરીકે નીમ્યા. પછી તો લાગલગાટ પચીસ વર્ષ સુધી કેટલાંય નગરોમાં કુશળ સનદી અધિકારી તરીકે કાર્યરત રહ્યા. ૫૩ વર્ષે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ બાકીનાં બાવીસ વર્ષ સાહિત્યસર્જનમાં વિતાવ્યાં.
તેમણે વ્યાકરણ અને ઇતિહાસનાં પુસ્તકો, વાલ્મીકિ રામાયણ તેમજ ભગવદ્ગીતાનો ઉડિયામાં પદ્યાનુવાદ, કાવ્યસંગ્રહો, 'છ માણ આઠ ગૂંઠા', 'લછમા' (આ બન્ને 'ઉત્કલ સાહિત્ય' નામના સામયિકમાં ધારાવાહિક રૂપે છપાઈ હતી) અને 'પ્રાયશ્ચિત્ત' જેવી નવલકથાઓ તેમજ 'ગલ્પસ્વરૂપ' જેવો નવલિકાસંગ્રહ આપ્યો. ફકીરમોહનની રચનાઓમાં ઓરિસ્સાના તત્કાલીન સમાજજીવનનાં સુંદર ચિત્રો ઉપસ્યાં છે. 'ફકીરમોહન સેનાપતિ કી સમગ્ર કહાનિયાં' નામે એમની વાર્તાઓનો હિન્દી અનુવાદ ઉપલબ્ધ છે. ઉડિયા ભાષાના વિકાસ માટે એમણે પાઠયપુસ્તકોની રચના કરી, અનેક કેન્દ્રો ખોલ્યાં. ઉડિયાને બંગાળીની પકડમાંથી મુક્ત કરાવવા માટે ચળવળ સુધ્ધાં ચલાવી. ઉડિયા ભાષાને પૂરક બોલીના સ્તર પરથી ઊંચકીને સ્વતંત્ર ભાષા તરીકે પ્રસ્થાપિત કરવાનું વિરાટ કામ તેમણે કર્યું, તેથી જ તેઓ ઉડિયા સાહિત્યના પિતા ગણાય છે.
ઉપરવાળાએ લખખૂટ પ્રતિભા આપી હોય ત્યારે શાળાનું ફોર્મલ એજ્યુકેશન મળે તોય શું ને ન મળે તોય શું. પન્નાલાલ પટેલ અને ફકીરમોહન સેનાપતિ જેવા અન્ય બે સાહિત્યકારો રાહુલ સાંસ્કૃત્યાયન (હિન્દી) અને રવુરી ભારદ્વાજ (તેલુગુ) વિશે હવે પછી.

                                                                       0 0 0 

Monday, September 27, 2010

અમેરિકન અન્ડરવર્લ્ડનું ગુજરાતી કનેક્શન!

‘અહા! જિંદગી’ના વાર્ષિક અંક-૨૦૧૦માં પ્રકાશિત


કોલમઃ ફલક

આપણે જેને ‘માંહ્યલો’ કહીએ છીએ તે એક્ઝેક્ટલી શું ચીજ છે? જીવનની કેટલીય બાબતોનાં ઉદગમસ્થાન આપણને ક્યારેક તાર્કિક રીતે સમજાતાં હોતાં નથી.





એન ઓફર યુ કાન્ટ રિફ્યુઝ.’

આ અતિપ્રચલિત વાક્ય વાસ્તવમાં ‘ધ ગોડફાધર’નો એક સંવાદ છે. કોઇ કૃતિ કે એનો નાનકડો અંશ પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરી લે પછી ક્યારેક જનમાનસનો હિસ્સો બનીને સમયની સપાટી પર જુદાં જુદાં સ્વરૂપોમાં તરતો રહેતો હોય છે. મારિયો પુઝોએ ૧૯૬૯માં લખેલી નવલકથા ‘ધ ગોડફાધર’ આજે ચાર દાયકા પછી પણ ખૂબ વંચાય છે. આ પુસ્તક પરથી ફ્રાન્સિસ ફોર્ડ કપોલાએ આ જ નામની ફિલ્મ, રાધર, ત્રણ ફિલ્મોની શંૃખલા બનાવી, જેણે સર્વકાલીન શ્રેષ્ઠતમ્ ફિલ્મોમાં મજબૂત સ્થાન મેળવી લીધું. મારિયો પુઝોએ આ ફિલ્મોનાં સ્ક્રીનપ્લે લખ્યાં હતા. પુઝોએ અપરાધની દુનિયામાં રમમાણ રહેતા ઇટાલિયનઅમેરિકન પરિવારો વિશે એટલી અસરકારતાથી લખ્યું કે લોકો માનવા લાગેલા કે પુઝો પોતે ક્રાઇમવર્લ્ડ સાથે કોઇક રીતે સંકળાયેલા હોવા જોઇએ, એ સિવાય તેમને ‘અંદર કી બાત’ની આટલી ઝીણવટભરી જાણકારી કેવી રીતે હોય? પુઝોએ જોકે અન્ડરવર્લ્ડ કનેક્શનવાળી આ વાત ઘસીને નકારી કાઢી હતી.



Mario Puzo
   1999માં મૃત્યુ પામેલા મારિયો પુઝો મોટા લેખક ગણાયા, પણ નાનપણમાં કોઇએ કલ્પના નહીં કરી હોય કે આ છોકરો આગળ જઇને આટલું નામ કાઢશે. તેમના ઘરનું વાતાવરણ કોઇ રીતે ‘લેખકજીવ’ને પોષણ આપે એવું નહોતું. મારિયો પુઝોનાં માબાપ અભણ હતાં. ‘મારી મા તો મારંુ લાઇબ્રેરી મેમ્બરશિપ કાર્ડ જોઇને છળી ઊઠતી,’ ફ્રેશ એર નામની એક અમેરિકન રેડિયો ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં મારિયો પુઝોએ કહેલું, ‘સંતાનની બેગમાંથી નશીલી દવાની પડીકી જોઇને અત્યારની મમ્મીઓના જે રીતે હોશકોશ ઊડી જાય છે એવી જ કંઇક પ્રતિક્રિયા મારી મા મારી વાંચવાની ચોપડીઓ જોઇને આપતી. એ કહ્યા કરતીઃ વાંચીને આંખો ફોડ્યા કરવાથી તારો દહાડો નથી વળવાનો. મા તો બિચારી એવું જ માનતી કે મારો દીકરો મોટો થાય ને એને ક્યાંક ક્લાર્કની નોકરી મળી જાય એટલે ભયો ભયો. મારે પેટનો ખાડો પૂરવા કાળી મજૂરી ન કરવી પડે એ જ તેના માટે બહુ મોટી વાત હતી.’

બચપણનો પારિવારિક માહોલ કંઇ માણસનાં ભવિષ્ય વિશેનો આખરી ચુકાદો ન તોળી શકે. નાનપણનો ઉછેર વ્યક્તિની જીવનયાત્રા નક્કી કરતાં અનેક પરિબળોમાંનું એક પરિબળ માત્ર હોઇ શકે, એ કંઇ એની સમગ્ર જિંદગીનો જડબેસલાક નકશો ન પેશ કરી શકે.

...‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ‘ટૂંકી વાર્તા અને હું’ વિશેષાંકમાંથી જોકે શબ્દસ્વામીઓની સાહિત્યયાત્રાનો નકશો જરૂર મળે છે. આ અંકમાં આપણી ભાષાના ૬૧ નવલિકાકારોનાં આત્મકથન શબ્દસ્થ થયાં છે, જેમાંનું એક ગોરધન ભેસાણિયાનું છે. વર્તમાન ગુજરાતી સાહિત્યજગતમાં સારા વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠા પામેલા ગોરધન ભેંસાણિયા માંડ પાંચેક ચોપડી ભણ્યા છે. તેમણે લખ્યું છેઃ ‘...(મારો) વાંચનશોખ વધ્યો પંદરસોળ વર્ષની ઉંમરે. ત્યારે અમે સીમાડાના ખેતરે કૂવો ખોદાવીને વાડી શરૂ કરેલી. વાળુ કરીને વાડીએ જ સૂવા જવાનું. દિવસભર ભારે પરિશ્રમ કર્યો હોય છતાં વાંચ્યા વિના તો ચાલે જ નહીં. ફાનસનાં અજવાળે રાતના વાંચતો રહું... દિવસેય જો પાણી વાળતો હોઉં તો પુસ્તક સાથે જ હોય. ક્યારો ભરાય ત્યાં સુધીનો સમય મળે. ...ઘણી વખત મારા બાપુજી આવતા હોય ને દૂરથી જોઇ જાઉં તો ગમે તેવું પુસ્તક હોય, નેફામાં ભરાવી દેવાનું! હું દરરોજનું એક પુસ્તક વાંચી નાખતો, પણ કોઇને ખબર ન પડે તેમ. વાંચન પણ ચોરીછૂપીથી કરવું પડે તેવું બહુ ઓછા લેખકોનાં નસીબમાં હશે.’

ગોરધન ભેસાણિયાએ વાંચનની જેમ લેખન પણ ચોરીછૂપીથી જ કરવું પડતું. ક્યારેક છપાયેલ લેખ કે વાર્તાની પ્રતો મારા બાપુજી જોઇ જાય તો સાંભળવું પડતુંઃ ‘આવા ધંધા કરશો તો ભૂખે મરશો. જરાક કામમાં ચિત્ત રખાય. આમાંથી રોટલા નહીં મળે.’

અદ્લ મારિયો પુઝોની મા જેવા જ શબ્દો!

ખોબા જેવડા વતનના ગામમાં લાઇબ્રેરી ક્યાંથી હોવાની? દોઢ ગાઉ દૂર બીજા ગામે લાઇબ્રેરીમાંથી પુસ્તકો લેવાઆપવા જવું પડે. આ લાઇબ્રેરી પુસ્તકોના માત્ર બે મોટા કબાટ, જે ત્રણચાર વરસ માંડ ચાલ્યા. શોધ પાછી આગળ ચાલી. છ કિલોમીટર દૂર બીજા એક ગામમાં લાઇબ્રેરી હતી, પણ પુસ્તકો બહારગામ લઇ જવાની મનાઇ. ગોરધન ભેસાણિયા લખે છેઃ ‘અમારી મદદ કોઇ કરે એમ નહોતું, કારણ કે ઘરના વડીલો જ કહેતાઃ ‘આ બેય છોકરા (ભેસાણિયા અને પાડોશી) બગડી ગયા છે. ચોપડીયું વાંચ્યા કરે છે.’

ચોક્કસ પ્રકારના વાતાવરણમાંથી આવતી વ્યક્તિ સાવ જુદા જ ક્ષેત્રમાં અણધારી ગતિ કરે અને ગજબનાક કાઠું કાઢે તો એને ચમત્કાર કહેવાય? ગુજરાતી ભાષાસાહિત્યમાં અમર સ્થાન બનાવી ચૂકેલા અને જેમણે લખેલી કૃતિઓ સ્કૂલો-કોલેજો-યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમ તરીકે વર્ષોથી ભણાવાય છે તે ખેડૂતપુત્ર પન્નાલાલ પટેલ પોતે ફક્ત આઠ ચોપડી ભણ્યા હતા! તેઓ છએક વર્ષના થયા ત્યારે તેમના ગામમાં કામચલાઉ નિશાળ જેવું શરૂ થયેલું. આખો દી’ માના પડખાંમાં લપાયેલા રહેતા પન્નાલાલને ટીંગાટોળી કરીને નિશાળે લઇ જવા પડતા. માંડ થોડાંએક વર્ષોનું ભણતર પામેલા પન્નાલાલ પટેલે લખેલી ‘કંકુ’ અને ‘માનવીની ભવાઇ’ જેવી રચનાઓ પરથી પછી તો અવોર્ડવિનર ફિલ્મો પણ બની.


Pannalal Patel
  ‘મારા સાહિત્યસર્જન માટે શરૂઆતથી જ ‘ચમત્કાર’ શબ્દ વપરાતો આવેલો છે,’ ઉમાશંકર જોષીએ સંપાદિત કરેલાં અફલાતૂન પુસ્તક ‘સર્જકની આંતરકથા’માં પન્નાલાલ પટેલ લખે છે, ‘વળી કોઇક વાર એમ પણ કહેવાયું છે, પન્નાલાલનાં સાહિત્યસર્જનમાં પન્નાલાલનું પોતાનું શું? એટલે કે પન્નાલાલને તો (બધું) સહજ (યા તો કુદરતી રીતે જ) ઊકલી આવ્યું છે... હું પણ એ વાતનો સ્વીકાર કરતાં કહું છું કે આ પ્રકારનાં મંતવ્યોમાં ઘણું બધું તથ્ય સમાયેલું પણ છે!... મને ક્યારેય લેખક થવાનો વિચાર તો આવેલો જ નથી પછી મથામણ કરવાની કે ચિંતન કરવાની તો વાત જ ક્યાં રહી! મારા સહાધ્યાયી મિત્ર ઉમાશંકર જોશીએ મને લખવા માટે સૂચન કર્યું અને મેં એ ઝીલી લીધું. કોઇ પણ પ્રકારના ખચકાટ કે પ્રશ્ન વગર. અને આમ અણધારી રીતે મેં સાપને દોરડું સમજીને પકડી લીધેલો. એ પછી ભણેલી દુનિયાનો ને વિદ્વાનોનો આવકારઅહોભાવ જોવા મળ્યો ને એ પછી જ મને ખબર પડેલી કે દોરડું નથી પણ આ તો સાચોકલો સાપ, બલકે ફૂંફાડા મારતો ભોરિંગ છે!’


 ટેક્નિકલી અલ્પશિક્ષિત પન્નાલાલને ભાષાની ખેંચ કદી પડી નહીં. શબ્દોનો ધોધમાર પ્રવાહ એમની ભીતરથી ફૂટતો હતો. આપણે જેને ‘માંહ્યલો’ કહીએ છીએ તે એક્ઝેક્ટલી શું ચીજ છે? જીવનની કેટલીય બાબતોનાં ઉદગમસ્થાન આપણને ક્યારેક તાર્કિક રીતે સમજાતાં હોતાં નથી. અલ્પ શિક્ષણ મળ્યું હોવા છતાંય પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ ઊંચાઇ પ્રાપ્ત કરી ચૂકેલી સત્ત્વશીલ વ્યક્તિઓને જોઇને સવાલ થાય કે સ્કૂલકોલેજનું ફોર્મલ ભણતર માણસને શું આપી શકે? ખૂબ બધું, જરૂર પૂરતું અથવા બહુ જ ઓછું... અને આ ત્રણેય જવાબો સાચા હોઇ શકે છે!   000