Showing posts with label Gunvant Shah. Show all posts
Showing posts with label Gunvant Shah. Show all posts

Wednesday, April 25, 2018

સ્વામી પ્રવાસાનંદની યુએસકથા

 ચિત્રલેખા - માર્ચ ૨૦૧૮

 કોલમ: વાંચવા જેવું 

 ‘થોડાક અપવાદો બાદ કરતાં એવું જોવા મળે છે કે અમેરિકા આવેલો દેશી, જે સાલમાં ભારત છોડ્યું હોય તે સાલનું માનસ જાળવી રાખે છે. પછીનાં વર્ષોેમાં ભારત ખાસ્સું આગળ નીકળી જાય તોય બિચારો ત્યાં જ ચોંટેલો રહે છે. (લેભાગુ, ધંધાદારી) સ્વામીજીઓ તો એ બિચારાને તેથીય આગળની સાલમાં ધકેલી મૂકે છે... ભારતથી રોજ એક્સપોર્ટ ક્વોલિટીના બાવાઓ ત્યાં પહોંચે છે. દોરા-ધાગા-જંતર-મંતર-મંત્રેલું પાણી અને જ્યોતિષની બોલબાલા ઓછી નથી. ભગવું વસ્ત્ર જોયું કે વાંસડાની જેમ ભોંય પર પડીને નમન કરાનારાં બબૂચક બૈરાં અને નાદાન માટીડા અહીં ઓછાં નથી.’  



ચાલો, આ લખાણમાં પૂર્વગ્રહના ખાડા કે અતિ મુગ્ધતાના સ્પીડબ્રેકર નથી જ આવવાનાં!
 ગુણવંત શાહ જેવી વિચારશીલ વ્યક્તિ વિદેશ વિશે વાત માંડે ત્યારે આપણા મનમાં આ વાતની સતત ધરપત હોય છે. આપણને ખબર હોય છે કે આ શબ્દસફર દરમિયાન જે સામે આવશે હશે એ આકર્ષક નિરીક્ષણો તેમજ એેક જ સ્થિતિને અનેક સંદર્ભમાં નિહાળી શકવાનો તટસ્થ અભિગમ હશે.

 આજે જે પુસ્તકની વાત કરવી છે એ ‘કોલમ્બસના હિન્દુસ્તાન’ કંઈ અમેરિકાની ટિપિકલ પ્રવાસકથા નથી. ન જ હોય. લેખક એને સંવેદનકથા તરીકે ઓળખાવે છે. એ પહેલી વાર ૧૯૬૭માં અમેરિકા ગયા હતા, યુનિવર્સિટી ઓફ મિશિગનના વિઝિટિંગ પ્રોફેસર તરીકે. એ વખતે લેખક સળંગ આઠ મહિના પત્ની સાથે અમેરિકા રહેલા. બીજી વખત ૧૯૮૫માં એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં ચાર મહિના કાર્યરત રહ્યા હતા. આ સિવાય પણ અમેરિકાના નાના નાના પ્રવાસ ઘણા થયા. ફરવાના શોખીન લેખક કહે છે કે ભૂલથી પણ જો એ સાધું બન્યા હોત તો પોતાનું નામ એમણે પ્રવાસાનંદ રાખ્યું હોત!

લેખક અમેરિકા વિશેની વાતોની સાથે સાથે ખૂબ બધી વિચારોત્તેજક વાતો પણ કરતા જાય છે. દેશ-દેશાવર ફરનારા લોકોને એ ત્રણ જૂથમાં વિભાજિત કરે છે - સહેલાણીવૃત્તિ ધરાવનારા (ટુરિસ્ટ), પ્રવાસવૃત્તિ ધરાવનારા (ટ્રાવેલર) અને યાત્રાવૃત્તિ ધરાવનારા (પિલગ્રિમ). ટુરિસ્ટને ઓછા સમયમાં ખૂબ બધી જગ્યાઓ ‘કવર’ કરી નાખવાની ઉતાવળ અને અભરખો હોય. એ ખર્ચે ઘણું, પણ પામે ઓછું. ફરે ઘણું, પણ શીખે ઓછું. પ્રવાસવૃત્તિ ધરાવનાર ટ્રાવેલરમાં કશુંક ઊંડાણથી પામવાની ઝંખના હોય છે. એ જે-તે સ્થળે પહોંચતા પહેલાં હોમવર્ક કરી લે, ફરતાં ફરતાં નોંઘ કરતો રહે. એને મોઢું ત્રાંસુ કરીને સેલ્ફી પાડ્યા કરવામાં નહીં, પણ યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે કેમેરાની ચાંપ દાબવામાં રસ હોય છે. આ બન્નેની તુલનામાં યાત્રાવૃત્તિ ધરાવતી વ્યક્તિ એક ઊંચી અવસ્થા પર હોય છે. લેખકે બાંધેલી વ્યાખ્યા પ્રમાણે, જે-તે સ્થળે સાહજિક રીતે ઉદભવેલાં વિચારતીર્થ અને ભાવતીર્થ સાથે એકરુપ થવાની સાચુકલી આકાંક્ષાનું પરિણામ એટલે યાત્રાવૃત્તિ. જોવાલાયક જગ્યા એટલે જીવવાલાયક જગ્યા, માણસને રહી પડવાનું મન થાય એવી જગ્યા. આવી ઇચ્છા યાત્રાવૃત્તિ હોય તો જ શક્ય બને.

 ગુણવંત શાહ લખે છે:

 ‘અમેરિકા મને ખૂબ ગમે છે. ત્યાં જઈને વસવાનું મન કદી નથી થયું, પણ દર બે વર્ષે એકાદ મહિનો ત્યાં ગાળવાનું મળે તે ખૂબ ગમતું... મને સતત એવી લાગણી રહે છે કે તમામ વૈભવ વચ્ચેય અમેરિકન આદમીની અંદર પલાંઠી વાળીને બેઠેલો ‘આદિમાનવ’ (એટલે કે સહજ, સાચુકલો, ઓથેન્ટિક માનવ) હજી મર્યો નથી. અમેરિકા પ્રત્યેના મારા ખેંચાણનું રહસ્ય આવી લાગણીમાં રહેલું છે.’

 અમેરિકા સારા અને ખરાબ બન્ને પ્રકારના ગ્લોબલ ટ્રેન્ડ્ઝ સેટ કરવામાં આગેવાની લેતું રહ્યું છે. લેખક અમેરિકાના નેતૃત્વને બટાટા છોલવાના ચપ્પુ સાથે સરખાવે છે. કાળજી રાખીએ તો બટાટા છોલાય અને ચપ્પુ ઊંધું પકડાય તો આંગળી છોલાય! 

 માત્ર સાડાચાર સદી જેટલી ઉંમર ધરાવતું અમેરિકા સાચા અર્થમાં યંગ નેશન છે. નાની ઉંમરે હોય એવી ઉર્જા, જોશ, નાદાની, વિસ્મય, ખુલ્લાપણું આ બઘાં જ અમેરિકાનાં પ્રમુખ લક્ષણ છે. હજારો વર્ષોેમાં ફેલાયેલી આપણા પ્રાચીન સભ્યતાની તુલનામાં અમેરિકાનો ઇતિહાસ સાવ નહીં જેવો, તોય અહીંની પ્રજાને પુરાતન બાબતમં બહુ રસ પડે.

 શ્ર્વેત-શ્યામ અમેરિકનોના વ્યક્તિત્ત્વના જુદા જુદા રંગ દોરવાની સાથે લેખકે ત્યાં વસેલા ભારતીયો વિશે કલમ ન ચલાવે એ કેમ બને. એક બાજુ અમેરિકામાં સ્થાયી થઈને આંતરિક-બાહ્ય સ્તરે સમૃદ્ધ જીવન જીવનારા ગરિમાભર્યા ભારતીયો છે, તો સામે છેડે કેટલાક નમૂનાઓ એવા છે જેમને જોઈને લાગે કે મૂળ તો એ મુંબઇ સેન્ટ્રલ સ્ટેશને હમાલી કરવા માટે સર્જાયેલા હતા, પરંતુ ભૂલથી અમેરિકા પહોંચી છે! લેખક કહે છે કે આવા લોકોને અમેરિકાથી તગેડી મૂકવામાં આવે તો ભારતની છબી સુધરે તેમ છે. આગળ લખે છે: 

 ‘થોડાક અપવાદો બાદ કરતાં એવું જોવા મળે છે કે અમેરિકા આવેલો દેશી, જે સાલમાં ભારત છોડ્યું હોય તે સાલનું માનસ જાળવી રાખે છે. પછીનાં વર્ષોેમાં ભારત ખાસ્સું આગળ નીકળી જાય તોય બિચારો ત્યાં જ ચોંટેલો રહે છે. (લેભાગુ, ધંધાદારી) સ્વામીજીઓ તો એ બિચારાને તેથીય આગળની સાલમાં ધકેલી મૂકે છે... ભારતથી રોજ એક્સપોર્ટ ક્વોલિટીના બાવાઓ ત્યાં પહોંચે છે. દોરા-ધાગા-જંતર-મંતર-મંત્રેલું પાણી અને જ્યોતિષની બોલબાલા ઓછી નથી. ભગવું વસ્ત્ર જોયું કે વાંસડાની જેમ ભોંય પર પડીને નમન કરાનારાં બબૂચક બૈરાં અને નાદાન માટીડા અહીં ઓછાં નથી.’ 

 પુુસ્તકના પ્રત્યેક લેખના અંતે મૂકાયેલું અવતરણ કે માહિતી પણ મજેદાર છે. જેમ કે, આ આંકડાબાજી પર નજર ફેરવો:

 દુનિયાની વસ્તીની પાંચ ટેકા જેટલા અમેરિકનો દુનિયાની ૨૪ ટકા ઊર્જા વાપરે છે. સરેરાશ ૧૨ ચીના, ૩૧ ભારતીય, ૧૨૮ બાંગ્લાદેશી અને ૩૭૦ ઇથિયોપિયાવાસી જેટલી એનર્જી એક અમેરિકન ખર્ચી નાખે છે. હજુ આગળ સાંભળો. અમેરિકનો રોજ બે લાખ ટન ખાવાલાયક ખોરાક ફેંકી દે છે. આખા અમેરિકાની પ્રજા ૮૧૫ અબજ કેલરી રોજ ખાય છે. જેટલી હોવી જોઈએ એના કરતાં ૨૦૦ અબજ કેલરી વધારે. કેલરીના આ વધારેના જથ્થામાંથી બીજા આઠ કરોડ લોકોને પોષણ આપી શકાય!

 પુસ્તકનું મૂળ લખાણ વર્ષો પહેલાં લખાયં હોવા છતાં આજે પણ એટલું જ રિલેવન્ટ લાગે છે એનું એક કારણ એ પણ છે કે સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરતી વખતે લેખકે આદત મુજબ સારી એવી જહેમત લીધી છે. વાંચવા વંચાવવા જેવું મસ્તમજાનું પુસ્તક.                                                                                                0 0


 કોલમ્બસના હિંદુસ્તાનમાં  

 લેખક:  ગુણવંત શાહ
 પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની 
 ખાનપુર, અમદાવાદ-૧ અને પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૧
 ફોન: (૦૭૯)૨૫૫૦૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
 કિંમત: ૧૫૦/ રુપિયા
  પૃષ્ઠ: ૧૪૬
 0 0 0 


Monday, July 16, 2012

બૉસ કેવી રીતે બનશો?


 ચિત્રલેખા - અંક તા. જુલાઈ ૨૦૧૨ 

કોલમઃ વાંચવા જેવું 

                                                                                                           

‘મેનેજમેન્ટ’ અને ‘લીડરશીપ’ આ બે શબ્દો એકસાથે સાંભળો. શક્ય છે કે આ શબ્દોને કારણે તમારા મનમાં અૌપચારિકતાના બોજવાળું એક શુષ્ક વર્તુળ રચાઈ જાય. આ ઈમેજ જોકે છેતરામણી છે. મેનેજમેન્ટ એટલે માત્ર એમબીએની ડિગ્રી કે સોગિયા મોઢાવાળા સુટેડબુટેડ સાહેબો કે કોર્પોરેટ મિટીંગ્સમાં ફેંકાતા અઘરા અઘરા શબ્દોની માયાજાળ નહીં, પ્લીઝ. ‘ધ બૉસ’ પુસ્તકમાંથી પસાર થશો એટલે સ્પષ્ટ થતું જશે કે ‘મેનેજમેન્ટ’ અને ‘લીડરશીપ’ શબ્દોનું વર્તુળ તો ખૂબ મોટું છે. લેખકો કહે છે તેમ, મેનેજમેન્ટ એ કોઈ વિષયનું નામ નથી. એ એક જીવનશૈલીનું, એક મિજાજનું કે એક સ્પિરિટનું નામ છે. ગુણવંત શાહે જુદાં જુદાં પ્રકાશનોમાં લખેલા તેંત્રીસ જેટલા લેખોના આ સંગ્રહમાં મેનેજમેન્ટનો એ સ્પિરિટ ફક્કડ રીતે ઝીલાયો છે.

બૉસ હોવું એટલે શું? ગુણવંત શાહ કહે છે કે બૉસ હોવું એટલે લીડર હોવું. બૉસ હોવું એટલે પહેલ કરનારા હોવું. બૉસ હોવું એટલે નિર્ણય લેનારા હોવું. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો એ વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના શોર્ટ ફોર્મનો ખરો મર્મ શો છે? ‘સી’ એટલે કોન્ફિડન્સ, ‘ઈ’ એટલે એફિશિયન્સી (કાર્યક્ષમતા) અને ‘ઓ’ એટલે ઓર્ગેનાઈઝડ બિહેવિયર (વર્તનવ્યવસ્થા)!

જે -તે કંપનીના બૉસ કે સીઈઓએ મેનેજમેન્ટના માસ્ટર બનવું પડે. લેખક મેનેજમેન્ટનું સૌથી મહત્ત્વનું સૂત્ર ગીતામાંથી શોધી કાઢે છે.  કૃષ્ણ અર્જુનને કહે છે, ‘યોગઃ કર્મસુ કૌસલમ’. અર્થાત, કર્મની કુશળતા એ યોગ છે. ગીતામાં એક ઑર સૂત્ર પણ છેઃ ‘સમત્વં યોગ ઉચ્યતે’. સમત્વ જાળવી શકતો બૉસ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ડગતો નથી. ઓફિસની અડધી સમસ્યા તો બોસના આત્મવિશ્વાસને કારણે ઊભી થતી અટકી જાય છે. બૉસના આત્મવિશ્વાસની અસર છેક પટાવાળા સુધી પહોંચતી હોય છે.



બોસ પ્રભાવશાળી હોય એ જરૂરી છે. લેખક કહે છે કે પ્રભાવહીન બોસ પોતાની સંસ્થાને ભારે નુક્સાન પહોંચાડી શકે છે. ગરીબી દૂર કરવી હોય તો ગરીબડા બૉસને દૂર કરવો પડે. નાની નાની લુચ્ચાઈ બૉસની શોભા ઘટાડે છે. સહકાર્યકર્તાઓને ખબર પડી જાય છે કે સાહેબ ભરોસાપાત્ર નથી. આવું બને ત્યારે સમગ્ર કંપનીનો જસો યા તો સ્પિરિટ ઓછો થાય છે. પોતાના જુનિયર્સનો આદર ક્યારેય સહેલાઈથી મળતો નથી. જૂઠા અને લુચ્ચા બૉસની પર્સનાલિટી નિવૃત્તિ પછી ઓફિસ છૂટી જાય ત્યારે ખાલી કોથળા જેવી થઈ જતી હોય છે. વટ અને પ્રભાવમાં ફર્ક છે. હોદ્દાનો વટ પડે છેે, જ્યારે ચારિત્ર્યનો પ્રભાવ પડે છે. વડાપ્રધાનનો વટ પડે, જ્યારે મહાત્મા ગાંધીનો પ્રભાવ પડે છે. વટ કરતાં પ્રભાવનું આયુષ્ય લાંબું હોય છે. બોસ નિવૃત્ત થાય ત્યારે વટ ખતમ થાય છે, પણ પ્રભાવ ખતમ થતો નથી.

ગુણવંત શાહ જેવા ચિંતક મેનેજમેન્ટના વિષય પર લખે ત્યારે મજા એ વાતની હોય છે કે લખાણમાં મેનેજમેન્ટની થિયરીઓની સાથે સાથે રામાયણ અને મહાભારતની વાતોની પણ રેલમછેમ હોય છે! આ રહ્યું એક ઑર દષ્ટાંત. એક જગ્યાએ એમણે લખ્યું છેઃ

‘વાલ્મીકિ રામાયણમાં દશરથના સિનિયર-મોસ્ટ પ્રધાન સુમન્ત્રને માટે ‘ત્વરિતવિક્રમઃ’ વિશેષણ પ્રયોજાયું છે. જે વ્યક્તિ કામનો ઝટ નિકાલ લાવવાનું પરાક્રમ ધરાવે તે ‘ત્વરિતવિક્રમ’ કહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલ આવા સમર્થ શાસક હતા. આવી જ કાર્યક્ષમતા મોરારજીભાઈ દેસાઈમાં પણ હતી. સમર્થ મેનેજર નિર્ણય લીધા પછી એનો અમલ કરવામાં વિલંબ કરતો નથી.’

લોર્ડ માઉન્ટબેટન માનતા હતા કે આઝાદી મળ્યા પછી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનતા પંદર વર્ષ લાગી જશે, પણ સરદારે આ ચમત્કાર દસબાર મહિનામાં કરી બતાવ્યો! મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ જ નહીં, પણ સૌ કોઈએ સરદારની શાસનશૈલીનાં નીચેનાં ચાર લક્ષણોને આત્મસાત કરવાં જેવાં છેઃ (૧) વેધક દષ્ટિએ પરિસ્થિતિનો કાર્ડિયોગ્રામ મેળવી લેવો. (૨) બધો વિચાર કર્યા પછી પૂરી મક્કમતાથી સમસ્યાનો ઉકેલ અંગે નિર્ણય લેવો. (૩) નિર્ણય લેવાઈ જાય પછી કોઈ પણ જાતની અવઢવ વિના એ નિર્ણયને પાર પાડવા માટે શક્તિનું છેલ્લું ટીપું વાપરી નાખવું. (૪) આમ કરતી વખતે દેશના (એટલે કે સામૂહિક) હિતનો જ વિચાર કરવો અને ક્યાંય વ્યક્તિગત સ્વાર્થ વચ્ચે આવવા દેવો નહીં.

કંપનીમાં ખરો વહીવટકર્તા કોણ ગણાય? લેખક કહે છે કે પ્રત્યેક ‘જ્ઞાન-કારીગર’ આજની કંપનીમાં વહીવટકર્તા છે. સેનાપતિ પાયાની વ્યૂહરચના સમજાવી શકે, પરંતુ પળ પળના નિર્ણયો જેતે સિપાઈએ જાતે જ લેવા પડે છે. આજની ‘જ્ઞાન કંપની’ઓમાં પ્રત્યેક નિર્ણયકર્તા  એક ‘વહીવટકર્તા’ જ છે.

Narayan Murthy: Climbing to the top!


પુસ્તકમાં મૂકાયેલાં નાનામોટા ચિક્કાર ફીલર્સ તો મુખ્ય લેખો કરતાંય ચોટદાર છે. પુસ્તકમાં એક તરફ મનોવિજ્ઞાની અબ્રાહમ મેસ્લોની સેલ્ફએક્ચ્યુલાઈઝેશનની સમજૂતી છે તો બીજી બાજુ ભગવાન બુદ્ધના ચાર આર્યસત્યો છે. અહીં માર્કેટિંગ પણ છે અને મહંમદ પણ છે. ‘ઈન્ફોસિસ’ના ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને કોફાઉન્ડર નંદન નિલકાનીનાં યાદગાર પ્રવચનોને ય અહીં સ્થાન મળ્યું છે. નારાયણ મૂર્તિ કહે છે કે એમની સફળતાના પાયામાં આ ચાર ચીજો છેઃ જીવનના અનુભવોમાંથી મળતી શીખ, વિકાસશીલ માનસિકતા, ઓચિંતી બનતી આકસ્મિક ઘટનાઓ (ચાન્સ ઈવેન્ટ્સ) અને ‘સ્વ’ અંગે વિચારવાની ટેવ.

અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલા પોતાના લેખોને સંગ્રહરૂપે બહાર પાડતી વખતે સહેજ પણ એડિટ કરવાની તસ્દી ન લેતા આળસુ લેખકોએ આ પુસ્તકમાંથી ઘણું શીખવાનું છે. મનીષા મનીષે અહીં લેખો બેઠ્ઠા છાપી નથી નાખ્યા, બલકે ફૂટનોટ્સ તેમજ પૂરક નોંધો વડે એને અપડેટ કર્યા છે અને આખા પુસ્તકની સૂઝપૂર્વક ગૂંથણી કરી છે.

સીધીસાદી ગૃહિણીથી માંડીને પાંચસો માણસોનો સ્ટાફ ધરાવતી કંપનીના માલિક સુધીના સૌને અપીલ કરી શકે એટલું પાવરફુલ પુસ્તક.                                               ૦ ૦ ૦


ધ બૉસ


લેખકોઃ ગુણવંત શાહ  - મનીષા મનીષ
પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૨
ફોનઃ (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
કિંમતઃ  રૂ. ૨૫૦ /  
પૃષ્ઠઃ  ૨૪૪

Thursday, February 10, 2011

કૃષ્ણત્વનું મેનેજમેન્ટ

ચિત્રલેખા - તારીખ 21 ફેબ્રુઆરી 2011






સ્લગઃ
વાંચવા જેવું














શોએ ‘કૃષ્ણ સ્મૃતિ’ નામનાં દળદાર પુસ્તકમાં કહ્યું છેઃ ‘જીવનમાં કશાયથી ભાગવાનું નથી અને જીવનમાં કશાયને છોડવાનું નથી. જીવનનો પૂર્ણ સ્વીકાર કરીને જીવવાનું છે. આ જાગૃતિની સાથે ક્રમશઃ  ભવિષ્યમાં કૃષ્ણની સાર્થકતા વધતી જવાની. વર્તમાન આપણને સતત એ ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યું છે જેમાં કૃષ્ણની છબી વધુને વધુ નિખરતી જશે.’

... અને એટલે જ કૃષ્ણ સાથે આજનો યુવાન શક્ય તેટલી વધારે નિકટતા કેળવે તે ઈચ્છનીય છે. ડો. મનીષા મનીષે સંપાદિત કરેલાં ગુણવંત શાહનાં પુસ્તક ‘કૃષ્ણં શરણં ગચ્છામિ’નો આ જ એટિટ્યુડ છે. ગુણવંત શાહ રચિત ‘કૃષ્ણનું જીવનસંગીત’ અને ‘સંભવામિ યુગયુગે’ જેવાં પુસ્તકો ઓલરેડી ખૂબ વખણાઈ ચૂક્યાં છે. પ્રસ્તુત પુસ્તકને તમે આ  શૃંખલાની એનર્જેટિક કડી કહી શકો. પુસ્તકના પહેલા ભાગમાં છેલ્લાં ૨૦ - ૩૦ વર્ષોમાં લખાયેલા કૃષ્ણલેખો છે, બીજા હિસ્સામાં સંપાદિકા સાથે થયેલી સંવર્ધિત પ્રશ્નોત્તરી છે અને અંતિમ ભાગમાં પદ્યમય ગદ્યખંડો છે.

લેખક કહે છે, ‘જેમ જેમ માણસ યંત્રવત થતો જાય છે, તેમ તેમ એની જાત સાથેની મૈત્રી ઘટતી જાય છે. સહજ હોવું એટલે કૃષ્ણની સમીપે હોવું. કૃષ્ણની સમીપે હોઈએ ત્યારે દોષ ટકી જ ન શકે. સહજ હોવું એટલે માંહ્યલાના કહ્યામાં હોવું.’

આજના જમાનાના મહારોગ એવા ડિપ્રેશનનું એક મોટું કારણ માણસ માંહ્યલાના કહ્યામાં રહી શકતો નથી,  એ હશે? ગુણવંત શાહ કહે છે, ‘ડિપ્રેશન આખરે શું છે? એ સ્વ-ધર્મ ભૂલેલા, સ્વ-રૂપનું ભાન ગુમાવી બેઠેલા અને સ્વ-ભાવથી ભિન્ન એવા વ્યવહારભાવને ધારણ કરનારા નગરમાનવનો વિષાદ છે અને એ વિષાદનું કુળ અને મૂળ ‘અર્જુનવિષાદયોગ’ છે... ડિપ્રેશનને વેડફી મારવામાં ડહાપણ નથી. વિસ્મયની માફક જ વિષાદ પણ તત્ત્વજ્ઞાનની જન્મભૂમિ બની શકે છે.’

લેખક  તો ત્યાં સુધી કહે છે કે હૃદય લગભગ વલોણું બની જાય એવો ઘેરો વિષાદ જીવનમાં પ્રત્યેક માનવીને મળવો જ જોઈએ. તેઓ ઉમેરે છેઃ ‘લાગણીઓનું ઘમ્મર વલોણું પણ એક આધ્યાત્મિક ઘટના છે. જીવનગીતા કદી વિષાદયોગ વગર જામતી નથી. વિષાદ માટે પ્રયત્ન કરવો પડતો નથી. જીવનમાં ગમે ત્યારે ત્રણ દુર્ઘટનાઓ ગમે તે દિશામાંથી આવી પડે છેઃ (૧) સ્વજન કે પ્રિયજનનું અણધાર્યું મૃત્યુ, (૨) અત્યંત પ્રિય પાત્ર તરફથી થયેલી દગાબાજી, (૩) કોઈ ભયંકર રોગ ઓચિંતો પેધો પડે.’

કૃષ્ણ શબ્દ ‘કૃષ્’ ધાતુ પરથી આવ્યો છે. ‘કૃષ્’ એટલે વશ કરવું, જીતી લેવું, આકર્ષવું. જે સૌને આકર્ષે છે તે કૃષ્ણ છે. એક જગ્યાએ ગુણવંત શાહ કહે છે, ‘ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ મળીને જીવનયોગનું જે સૌંદર્ય પ્રગટ થાય, તેમાં કૃષ્ણની મૌલિક જીવનમીમાંસાનો સાર આવી જાય છે. કૃષ્ણની ખૂબીને સમજવા માટે આજની મેનેજમેન્ટની પરિભાષામાં પ્રયોજાતો ‘સીનર્જી’ શબ્દ બરાબર સમજી લેવો પડશે. સાદી ભાષામાં સીનર્જી એટલે બે વત્તા બે બરાબર પાંચ. આવો જાદુ શી રીતે શક્ય બને? જવાબ છેઃ ‘સીનર્જી’. જ્ઞાન, કર્મ અને ભક્તિ વચ્ચે પણ સિનર્જેટિક રિલેશનશિપ રહેલી છે.’

ભક્તિની બે રૂપાળી વ્યાખ્યાઓ આ પુસ્તકમાંથી જડી આવે છે  ‘પરિણામનો સહજ સ્વીકાર એ જ ભક્તિ’ અને  ‘ભક્તિ એટલે ઈમોશનલ ઈન્ટેલિજન્સ’!  કૃષ્ણને ગુણવંત શાહ ‘વિશ્વના આદ્ય મેનેજમેન્ટ ગુરુ’નું બિરુદ આપે છે. સંપાદિકા ડો. મનીષા મનીષ તેમનાં પુત્રી થાય. તેઓ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મારી અને ભાઈની વચ્ચે એક કોમન લિન્ક છે  ફિલોસોફી. (પપ્પાને હું ‘ભાઈ’ કહીને સંબોધું છું.) એકવાર મારે પિયર ગઈ હતી ત્યારે મારા હાથમાં બાએ કાળજીપૂર્વક સાચવી રાખેલી ફાઈલો આવી, જેમાં ભાઈના જૂના લેખોનાં કટિંગ્સ હતાં.  શરૂઆતમાં તો હું તેને સ્કેન કરીને ઈફોર્મ આપવા માગતી હતી, પણ જેમ જેમ લખાણ વાંચતી ગઈ અને મારી રીતે નોંધ કરતી ગઈ તેમ તેમ સ્પષ્ટ થવા લાગ્યું કે આમાંથી કૃષ્ણ વિશેનું હજુય વધુ એક પુસ્તક સર્જાઈ શકે તેમ છે.  મનમાં નવા સવાલો પણ જાગી રહ્યા હતા. હિંચકામંથન કરતાં કરતાં હું ભાઈને કૃષ્ણ વિશે સવાલો પૂછતી જાઉં અને તેઓ મને ઉત્તર આપતા જાય.’

સંપાદિકા લેખકને પૂછી શકે છે કે વિયોગિની રાધા સાથે દગો થયો એમ નથી લાગતું? અથવા તો, ‘આર્ગ્યુમેન્ટેટિવ ઈન્ડિયન’ એવો અર્જુન જો કૃષ્ણનો સખા હતો તો એ કૃષ્ણને શરણે કેમ ગયો? શું એક મિત્ર બીજા મિત્રને શરણે જાય ખરો?  કે પછી, ક્રિકેટક્ષેત્ર અને કુરુક્ષેત્ર વચ્ચે શો સંબંધ?

ખરેખર તો સંપાદિકા લોજિક અને રિઝનિંગથી જ રિઝાઈ શકતી નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. એમની પ્રશ્નોત્તરીવાળો વિભાગ પુસ્તકનો સૌથી જીવંત હિસ્સો બની શક્યો છે.  બાકી આજનો યુવાન ભગવદ્ગીતા શા માટે વાંચે એવા સવાલનો લેખકને એક જ જવાબ જડે છે અને તે એ કે, ‘પોતાના જીવનની સમસ્યાઓનો ઉકેલ જો ગીતામાંથી મળી શકે તો જ તેઓ એને વાંચવા વારંવાર તૈયાર થાય. મને તો લાગે છે કે આ જ કારણસર, માત્ર આ જ કારણસર હું આ ગ્રંથ વાંચવાની તસ્દી લઉં છું. આપણે કૃષ્ણને રાજી કરવા માટે ગીતાનો અભ્યાસ નથી કરવાનો, પણ આપણા જીવનમાં પ્રસન્નતા પાંગરતી રહે તે માટે કરવાનો છે.’

આ પુસ્તકનું એકેએક પાનું, એકેએક ફકરો ક્વોટેબલ ક્વોટ્સથી માલામાલ છે. તેમાંથી શું ટાંકવું ને કેટલું ટાંકવું! ગુણવંત શાહના મૌલિક ચિંતનમાં પારદર્શિતા છે અને અભિવ્યક્તિમાં હળવાશ છે. મંચ પર બિરાજમાન થઈને ઉપદેશ ફટકારતા ભારેખમ મનુષ્યપ્રાણીની મુદ્રાથી તેઓ જોજનો દૂર રહે છે. તેમની લોકપ્રિયતાનું આ એક મોટું કારણ છે.

જહેમતપૂર્વક તૈયાર થયેલી કૃષ્ણ-વકતવ્યોની સીડી સાથેનું ‘કૃષ્ણં શરણં ગચ્છામિ’ પુસ્તક જેટલું સમૃદ્ધ છે એટલું જ સ્માર્ટ  છે અને ગીતા સુધી પહોંચવાના માર્ગ પર મજબૂત હમસફર પૂૂરવાર થાય એવું છે. કૃષ્ણના ભક્તો જ નહીં બલકે કૃષ્ણ વિશે ઉત્સુકતા ધરાવતા તમામ વયના ભાવકો માટે તે ઉત્તમ વાંચન બની રહે છે.



( કૃષ્ણં શરણં ગચ્છામિ

લેખકઃ ગુણવંત શાહ

સંપાદિકાઃ   ડો. મનીષા મનીષ

પ્રકાશકઃ આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

‘દ્વારકેશ’, રોયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-૧.

પ્રિન્સેસ સ્ટ્રીટ, કેશવબાગ, મુંબઈ-૧. 

ફોનઃ (૦૭૯) ૨૫૫૦૬૫૭૨, (૦૨૨) ૨૨૦૧૩૪૪૧

કિંમતઃ રૂ. ૩૯૯/ (સીડી સાથે)

પૃષ્ઠ સંખ્યાઃ ૩૯૬ )