Saturday, July 28, 2018

વો ઇન્સાન બનને આયા હૂં...

સંદેશ-સંસ્કાર પૂર્તિ-29 જુલાઈ 2019
મલ્ટિપ્લેક્સ
'મારી સ્ટ્રગલ એ નહોતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને બ્રેક મળે, મારી સ્ટ્રગલ એ હતી કે મારું પેટ ભરેલું હોય!'
 

' છોકરો મોટો થઈને કાં તો નેતા બનશે અથવા તો અભિનેતા!'
આઝાદ કુમાર નાના હતા ત્યારે એમના નાનાજીએ કોણ જાણે શી રીતે આ ભવિષ્યવાણી કરી નાખી હતી. આઝાદ કુમાર એટલે 'તારક મહેતા કા ઊલટા ચશ્મા' સિરીયલને લીધે વિખ્યાત થયેલા અને થોડા દિવસો પહેલાં હાર્ટ અટેકને લીધે સ્વર્ગસ્થ બન્યા એ ડો. હંસરાજ હાથી. પુત્રનાં લક્ષણ પારણામાંથી જ દેખાવાં માંડ્યાં હતાં. નાનપણમાં જ તેઓ મેદસ્વી બની ગયેલા. એ વખતે કોઈએ ક્યાં કલ્પના કરી હશે કે આઝાદ કુમારની અતિ ભરાવદાર દેહયષ્ટિ જ ભવિષ્યમાં એમની ઓળખ બનવાની છે અને એમને ખૂબ બધી પ્રસિદ્ધિ અપાવાની છે!

થોડા સમય પહેલાં આઝાદ કુમાર ઉર્ફ ડો. હાથી સાથે 'તારક મહેતા...'ના સેટ પર ખાસ્સો સમય પસાર કરવાનું બન્યું હતું. ખૂબ બધી વાતો કરી હતી એમણે પોતાના જીવન વિશે. બિહારના સાસારામ નામના નાનકડા ગામમાં એમનો જન્મ. ઉછેર પણ અહીં જ. માતાપિતાનું એકનું એક સંતાન. દિમાગ તેજ, પણ ભણવામાં મન ન ચોંટે.  કાચી ઉંમરે એમનામાં બહુ છોકરમત હતી. તેઓ મેટ્રિક થયા, પણ કોલેજ ન કરી શક્યા. તરૂણાવસ્થામાં આઝાદ ફિલ્મો ખૂબ જોતા. જ્યાં આજની તારીખે પણ વિજળીના ધાંધિયા છે એવા ગામમાં મોટા થઈ રહેલા આ છોકરાના મનમાં સપનાં અંજાવાં લાગ્યાં હતાં. એમને સતત થતું કે  આ ફિલ્મલાઇનમાં મારી પણ એક જગ્યા પહેલેથી નિશ્ચિત થયેલી છે. બસ, હું આ જગ્યા શોધી લઉં એટલી વાર છે!

ડો. હાથીની વેશભૂષા ધારણ કરીને મેકઅપ કરાવતાં કરાવતાં આઝાદ કુમાર કહી રહ્યા હતા, 'હું સૌથી પહેલાં તો દિલ્હી ગયો. મારે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લેવું હતું, પણ તે માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી હતું. હું પછી વિજય શુક્લના થિયેટર ગ્રુપમાં જોડાઈ ગયો. તિહાર જેલના કેદીઓ માટે અમે શો કરેલો. મારી કરીઅરનું એ સૌથી પહેલું પર્ફોર્મન્સ. હનુમાનજી પૃથ્વી પર આવે છે તે પ્રકારનો નાટકનો વિષય હતો.'

આઝાદ કુમારનો સ્ટ્રગલનો તબક્કો ખાસ્સો લાંબો ચાલ્યો હતો. ક્યારેક રેલવે સ્ટેશનની બહાર બેન્ચ પર સૂઈ રહેવું પડતું. ધીમે ધીમે દિલ્હીમાં બનતી સિરિયલોમાં નાનાંનાનાં રોલ મળવા લાગ્યા. દૂરદર્શન પર ટેલીકાસ્ટ થયેલી 'જિંદગી ઇસ પલ, જિંદગી ઉસ પલ' એમાંની એક. ટકી રહેવા માટે જનપથ વિસ્તારમાં નકલી ફોરેનર બનીને તેઓ ઘડિયાળ, ચશ્માં, હેટ વગેરે વેચતા. આમાંથી એમણે તે જમાનામાં પંદર-વીસ હજાર રૂપિયાની કમાણી કરેલી! 1996માં ગણપતિ મહોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો હતો એ દિવસોમાં તેમણે મુંબઈમાં પગ મૂક્યો.



'મારી સ્ટ્રગલ એ નહોતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને બ્રેક મળે, મારી સ્ટ્રગલ એ હતી કે પેટ ભરેલું હોય. હું ઘણાં વર્ષો આમતેમ ભટક્યો. જુહુમાં એક જગ્યાએ પેઇંગગેસ્ટ તરીકે રહેતો. આપવા માટે પૈસા નહોતા એટલે મને કાઢી મૂક્યો. મારો સામાન પણ ન આપ્યો. હોટલ સેન્ટોરની પાછળ સુલભ શૌચાલય પાસે ઓટલા પર હું સૂઈ રહેતો. સવાર પડે ત્યારે ચાદર મોઢા પર ખેંચી લેતો કે જેથી મોર્નિંગ વોક કરવા નીકળેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો મને જોઈ ન લે. મારે આ જ લોકો સામે સ્ટ્રગલ કરવાની હતી, કામ માગવા જવાનું હતું.'

ડો. હાથીએ આ સ્થિતિમાં મહિનાઓ કાઢ્યા હતા? આખરે ટીનુ વર્માની 'બજરંગ' નામની ફિલ્મમાં એમને કામ મળ્યું. સની દેઓલ અને કરિશ્મા કપૂરની મુખ્ય ભુમિકાવાળી આ ફિલ્મ ક્યારેય પૂરી જ ન થઈ. તે પછી આમિર ખાનની 'મેલા' ફિલ્મમાં કામ મળ્યું, પણ તેમાં એમનું કિરદાર એસ્ટાબ્લિશ ન થઈ શકયું. 'જુનિયર જી' નામની સિરીયલમાં તેઓ ઇન્સપેક્ટર બન્યા. આ રીતે નાની નાની ભુમિકાઓ મળતી ગઈ. ઇન્ડસ્ટ્રીનાં આંતરિક વર્તુળોમાં આઝાદની ઓળખ એક સારા પર્ફોર્મર તરીકે ઊભી થતી ગઈ. 'ફન્ટૂશ'માં ડબલ રોલ કર્યો. પરેશ રાવલ અને ગુલશન ગ્રોવર સાથે સીન્સ કર્યાં. 'લગાન'ની મજાક ઉડાવતી 'થકાન' નામની ફિલ્મમાં કામ કર્યું, પણ આ ફિલ્મેય ક્યારેય પૂરી જ ન થઈ.   

2000ની સાલથી એમને નવો શોખ લાગ્યો - લખવાનો! એમણે કવિતાઓ લખવા માંડી. એક ફેસ્ટિવલ ફિલ્મ માટે ગીત પણ લખ્યું, જે શાને ગાયેલું. આઝાદને પ્રિયદર્શનની ફિલ્મ 'ક્યોં કિ...'માં કામ મળ્યું અને પછી યુટીવીની બાળકો માટેની સિરિયલ 'હીરો'માં દેખાયા. વિજ્ઞાપનની દુનિયામાં અત્યંત ખૂબસૂરત ઉપરાંત વિશિષ્ટ શરીર-દેખાવ ધરાવતા લોકોની ડિમાન્ડ રહેતી હોય છે. આઝાદે એક હેર ઓઇલની એડમાં કામ કર્યું હતું, જે ડિરેક્ટ કરેલી આજના ફિલ્મમેકર નંબર વન, રાજકુમાર હિરાણીએ! આ એડમાં સની દેઓલ મુખ્ય મોડલ હતા. આઝાદે કેટલીક ભોજપુરી ફિલ્મો કરી. તેમને વેઇટલોસની થીમવાળો 'ધ બિગેસ્ટ લૂઝર' નામનો રિયાલિટી શો પણ ઓફર થયેલો, પણ બીમારીને કારણે તેઓ કરી નહોતા શક્યા.
આઝાદ કુમારની કરીઅરે પૂરજોશમાં દોડવાની શરૂઆત કરી 2009માં, જ્યારે 'તારક મહેતા કા ઊલટા ચશ્મા'માં એમને ડો. હાથીના રિપ્લેસમેન્ટ માટે ઓફર આવી. સિરીયલ શરૂ થઈ ત્યારે નિર્મલ સોની નામના દુંદાળા એક્ટર ડો. હાથીનું કિરદાર કરતા હતા. આઝાદ કુમાર શોના ક્રિયેટિવ પ્રોડ્યુસર આસિત મોદીને મળવા એમની ઓફિસે ગયેલા. આસિત મોદીએ એમનામાં કોન્ફિડન્સ જોયો અને નવા ડો. હાથી તરીકે એમને સિલેક્ટ કરી લીધા.

રિપ્લેસમેન્ટવાળું પાત્ર હંમેશાં પોતાની સાથે વધારાની જવાબદારી અને પડકાર લઈને આવતું હોય છે. આઝાદ કુમારે માત્ર ઓડિયન્સની નજરમાં નવેસરથી ગોઠવાવાનું નહોતું, બલકી 'તારક મહેતા...'ની ટીમના કલાકાર-કસબીઓ સાથે પણ કેમિસ્ટ્રી બનાવવાની હતી. ખાસ કરીને મિસિસ હાથીનો કિરદાર નિભાવી રહેલાં અંબિકા રંજનકર અને પુત્ર ગોલી બનતા કુશ શાહ સાથે.  આ બન્ને સ્તરે સફળતા મેળવવામાં આઝાદને ઝાઝી વાર ન લાગી. એમનું ખાધોકડાપણું અને 'સહી બાત હૈ' તકિયાકલામ દર્શકોમાં લોકપ્રિય બન્યા.


'આ સિરિયલે મને ઘણું આપ્યું છે,' આઝાદ કુમારે કહેલું, 'ખાસ તો તેણે મને જીવનમાં સ્થિરતા આપી છે. બીમારી સાથે મારે સારું એવું લેણું છે, પણ 'તારક મહેતા...'ની ટીમના સહકાર અને હૂંફને કારણે મારા દરદ ઘણી બધી રીતે સહ્ય બને છે.'

350 કિલોની કાયા લઈને વસઇ સ્થિત ઘરથી શોના સેટ સધી આવવું-જવું એમના માટે કેટલું કષ્ટદાયક પૂરવાર થતું હશે તે સમજી શકાય એવું છે. તેઓ પ્લાસ્ટિકની સાદી મોલ્ડેડ ચેર પર બેસી ન શકે એટલે સેટ પણ તેમના માટે લાકડાની અલાયદી પોર્ટેબલ બેન્ચ કાયમ રાખવામાં આવતી. શોટ પૂરો થાય એટલે કાં તો તેઓ વેનિટી વેનમાં જઈને બેસતા અથવા સ્પોટ બોટ એમના માટે આ બેન્ચ લાવી આપતા.

ડો. હાથીને એક સરસ અનુભવ થયેલો.  તેઓ વસઈમાં જ્યાં રહેતા તેની બાજુની બિલ્ડિંગમાં એક ટાબરિયો 'તારક મહેતા...'નો જબરો ચાહક. એક વાર એ બીમાર પડ્યો. ખૂબ પીડાતો હતો બિચારો. તેના પપ્પા આઝાદ કુમાર પાસે આવ્યા. દીકરા વિશે વિગતવાર વાત કરીને છેલ્લે સંકોચાઈને ઉમેર્યુઃ તમને વાંધો ન હોય તો થોડી વાર માટે અમારા ઘરે આવશો, પ્લીઝ? આઝાદ તરત તૈયાર થઈ ગયા. જીવતાજાગતા ડોક્ટર હાથીને ઘરે આવેલા જોઈને છોકરો રાજીનો રેડ થઈ ગયો. એનું દુખ-દરત કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયું. ડો. હાથીની સરસ સરભરા કરવામાં આવી. છોકરો વારંવાર કહેતો રહ્યોઃ મમ્મી, હાથીભાઈને બરાબર જમાડજે, હં! આ પ્રકારના અનુભવ થાય ત્યારે આઝાદ કુમારના દિલમાં લાગણી જાગતી કે પોતાનાં તમામ કષ્ટો, સઘળા પ્રયત્નો લેખે લાગ્યા છે.
આઝાદ કુમારે તે દિવસે ભારે ઉત્સાહથી પોતાની એક કવિતા સંભળાવી હતીઃ

મેહફિલ કી શાન નહીં,
માતાપિતા કા સમ્માન બનને આયા હૂં.
જિસે ભૂલા ના સકે જમાના
વો પેહચાન બનને આયા  હૂં.
જિસ પર કર સકે કોઈ ભરોસા
વો ઈમાન બનને આયા હૂં.
જો દે સકે કિસી કો ખુશી
વો ઇન્સાન બનને આયા હૂં...
000


Wednesday, July 25, 2018

પગાર? ઊંચામાં ઊંચો... રજા? માગો એટલી!

સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 25  જુલાઈ 2018 

ટેક ઓફ                      

ટીમ-વર્કમાં માનતો ન હોય એવો માણસ ગમે એટલો બ્રિલિયન્ટ હોય તો પણ નકામો પૂરવાર થઈ શકે છે. બ્રિલિયન્ટ હોવું એટલે માત્ર પોતાના કામમાં હોશિયાર હોવું એમ નહીં. નેટફ્લિક્સ કંપનીનું  કોર્પોરેટ કલ્ચર કહે છે કે તમે સુપર ટેલેન્ટેડ હો અને સાથે સાથે તમારામાં સૌની સાથે શાલીનતાભર્યો વ્યવહાર કરવાની ક્ષમતા હોય તો જ તમે સાચા અર્થમાં બ્રિલિયન્ટ છો!



નેટફ્લિક્સે મનોરંજનની દુનિયાનાં સમીકરણો સખળડખળ કરી નાખ્યાં છે એ આજે સૌએ નછૂટકે સ્વીકારવું પડે એવું સત્ય છે. નેટફ્લિક્સ એટલે મનોરંજનનો ઓનલાઇન ખજાનો. તમે  અમુક રકમ ભરીને એના મેમ્બર થઈ જાઓ એટલે દુનિયાભરની (ખાસ કરીને અંગ્રેજી) ફિલ્મો, ટીવી શોઝ, નેટફ્લિક્સના ખુદના ઓરિજિનલ શોઝ, ડોક્યુમેન્ટરી વગેરે તમારા કમ્પ્યુટર કે મોબાઇલ પર ગમે ત્યારે જોઈ શકો. નેટફ્લિક્સની શરૂઆત એક સીધીસાદી ડીવીડી લાઇબ્રેરી તરીકે થઈ હતી, પણ માત્ર વીસ જ વર્ષમાં એણે જે રીતે પ્રગતિ કરી છે તે જોઈને દુનિયા દંગ થઈ ગઈ છે. આજની તારીખે દુનિયામાં નેટફ્લિક્સના સાડાબાર કરોડ સબસ્ક્રાઇબર્સ છે. એની સ્ટોક-માર્કેટ વેલ્યુ લગભગ 165 બિલિયન ડોલર (આશરે 11,390 અબજ રૂપિયા) જેટલી અંકાય છે. ડિઝની સ્ટુડિયો કરતાં પણ નેટફ્લિક્સનું આર્થિક કદ મોટું થઈ ગયું છે. ઓરિજિનલ શોઝ બનાવવા માટેનું નેટફ્લિક્સનું 2018નું બજેટ કેટલું છે? 7 બિલિયન ડોલર એટલે કે લગભગ 482 અબજ રૂપિયા, ફક્ત. ફિલ્મી અવોર્ડ્ઝની દુનિયામાં જેમ ઓસ્કરનું નામ સૌથી મોટું છે એમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં એમી અવોર્ડ્ઝ સૌથી પ્રતિષ્ઠિત ગણાય છે. છેલ્લાં 17 વર્ષથી સૌથી વધારે એમી નોમિનેશન્સ એચબીઓ તાણી જતું હતું. આ રેકોર્ડ નેટફ્લિક્સે 2018માં તોડ્યો છે. આ વખતે એમીની જુદી જુદી કેટેગરીમાં એચબીઓને કુલ 108 નોમિનેશન્સ મળ્યાં, જ્યારે નેટફ્લિક્સના નામે 112 નોમિનેશન્સ નોંધાયાં. મનોરંજનની ક્વોલિટીના સ્તરે પણ નેટફ્લિક્સે (અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સે) એવી ધાક ઊભી કરી છે કે ફિલ્મી દુનિયાએ પણ પોતાની ગુણવત્તા સુધારવા માટે  કમર કસવી પડી છે.

શું છે નેટફ્લિક્સની પ્રચંડ સફળતાનું રહસ્ય? આ કંપની શી રીતે કામ કરે છે? અન્ય કંપનીઓ કરતાં તે શી રીતે જુદી પડે છે? આ સવાલના જવાબ નેટફ્લિક્સે ખુદ દુનિયા સાથે શેર કર્યા છે. નેટફ્લિક્સના મેનેજમેન્ટે બંધ બારણે નહીં, પણ પોતાના કર્મચારીઓ સાથે મુક્તપણે સતત ચર્ચા કરતા રહીને કંપનીના કલ્ચર તેમજ પોલિસી વિશે સવાસો પાનાનો દસ્તાવેજ તૈયાર કર્યો છે. નેટફ્લિક્સ કલ્ચર ડેક નામનું આ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન 2009થી ઓનલાઇન ઉપલબ્ધ છે. એમાં સમયાંતરે સુધારાવધારા થતા રહે છે. અત્યાર સુધીમાં કરોડો લોકો આ પ્રેઝન્ટેશન વાંચી ચુક્યા છે.

નેટફ્લિક્સનું હેડક્વાર્ટર ભલે અમેરિકામાં ગૂગલ, ફેસબુક, યાહૂ અને બીજા સંખ્યાબંધ સ્ટાર્ટ-અપની ઓફિસોની બાજુમાં ઊભું હોય, પણ તે ટિપિકલ સિલિકોન વેલીની કંપની નથી. ટેકનોલોજી ક્ષેત્રની જાયન્ટ કંપનીઓ કરતાં નેટફ્લિક્સનું કલ્ચર ઘણું અલગ છે. નેટફ્લિક્સના પેલા કલ્ચર ડોક્યુમેન્ટમાં કહેવાયું છે કે ઓફિસમાં ફાઇવસ્ટાર કાફેટેરિયા હોય, અફલાતૂન જિમ હોય, વારેતહેવારે પાર્ટીઓ થયા કરતી હોય - અમારા માટે ઉત્તમ વર્કપ્લેસની સંકલ્પના આ નથી. અમારા માટે ઉત્તમ વર્કપ્લેસ એટલે જબરદસ્ત મહત્ત્વાકાંક્ષી અને સુપર ટેલેન્ટેડ લોકોની ડ્રીમટીમ જે એક કોમન ધ્યેય માટે કામ કરતી હોય! નેટફ્લિક્સ કંપનીમાં હાલ લગભગ સાડાપાંચ હજાર લોકો કામ કરે છે, જેમાંના છસ્સોએક ટેમ્પરરી છે, બાકીના ફુલટાઇમ કર્મચારી છે.

Netflix headquarters, USA

નેટફ્લિક્સની ખાસ કરીને ફ્રીડમ એન્ડ રિસ્પોન્સિબિલિટી પોલિસીની ભારે પ્રશંસા થઈ છે. જો તમે નેટફ્લિક્સના પગારદાર હો તો ગમે ત્યારે, ગમે એટલા દિવસનું, ગમે એટલી વાર વેકેશન લઈ શકો છો. તે પણ પેઇડ લીવ! તમે ખુદ નક્કી કરો કે તમારે કેટલા દિવસ, અઠવાડિયાં કે મહિના ઓફિસમાં ગેરહાજર રહેવું છે. બસ, તમારા વગર કામ અટકી ન પડે એનું ધ્યાન રાખવાનું અને અફ કોર્સ, તમે ફરી ઓફિસ જોઈન કરો પછી જરૂર પડે ત્યારે વધારે કલાકો સુધી કામ કરવા માટે પણ તૈયાર રહેવાનું. નેટફ્લિક્સમાં કર્મચારીઓને પસર્નલ ટાઇમ અને પ્રોફેશનલ ટાઇમની તંદુરસ્ત સેળભેળ કરવા માટે પ્રોત્સાહન અપાય છે. બપોરે એક વાગે તમારી દીકરીની સ્કૂલમાં પેરેન્ટ-ટીચર અસોસિએશનની મિટીંગ ગોઠવાઈ છે? કશો વાંધો નહીં. તમે એ મિટીંગ અટેન્ડ કર્યા પછી ત્રણ વાગે ઓફિસે આવો. આજે તમારા દીકરાની ઇન્ટર-સ્કૂલ ટેબલટેનિસ મેચ છે? ફાઇન, તો આજે ઓફિસેથી વહેલા નીકળી જવાનું પણ દીકરાની મેચ મિસ નહીં કરવાની.  

નેટફ્લિક્સના કર્મચારીના ઘરે પારણું બંધાય ત્યારે મહિલા કર્મચારીને પેઇડ મેટર્નિટી લીવ અને પુરુષ કર્મચારીને પેઇડ પેટર્નિટી લીવ મળે છે. આ લીવ કેટલાં અઠવાડિયાં કે મહિનાની હોવી જોઈએ તે તમે ખુદ નક્કી કરો. તમે ઓફિસ આવો કે ન આવો, બચ્ચું એક વર્ષનું થઈ જાય ત્યાં સુધી કંપની તમારા બેન્ક અકાઉન્ટમાં પૂરો પગાર જમા કરતી રહેશે!

સાધારણ કંપનીઓની વાત કરીએ તો, કોઈ કર્મચારી ઓફિસના કામે બહારગામ જાય ત્યારે સામાન્યપણે એને ખાવા-પીવાનું અને હોટલમાં રહેવાનું એલાઉન્સ એટલે કે ભથ્થું મળતું હોય છે. કર્મચારીએ પછી જરૂરી બિલ કે વાઉચર ઓફિસમાં સબમિટ કરી દેવાનાં. નેટફ્લિક્સે આ આખી સિસ્ટમ જ કાઢી નાખી. તમે નેટફ્લિક્સના કર્મચારી તરીકે ટૂર પર હો ત્યારે રહેવા-ખાવા-પીવા-ફરવા પાછળ ગમે એટલો ખર્ચ કરો, ઓફિસને તેનો હિસાબ આપવાની જરૂર નથી! કંપની તમને એક પણ સવાલ પૂછ્યા વગર તમારા તમામ ખર્ચ ઉઠાવશે. નેટફ્લિક્સનો અનુભવ કહે છે કે કર્મચારી પર જ્યારે તમે આટલી હદે વિશ્વાસ મૂકો છો ત્યારે એ ખુદ સમજીને મેનેજમેન્ટે ધાર્યો હોય એના કરતાં ઘણો ઓછો ખર્ચ કરે છે.   

આપણે ઘણી વાર એવા કર્મચારીને જોતા હોઈએ છીએ જે ખૂબ બુદ્ધિશાળી અને કામમાં અત્યંત હોશિયાર હોય, પણ સ્વભાવે તૂંડમિજાજી હોય, ઓફિસમાં બધાની સાથે બાખડ્યા કરતા હોય, ટીમની સાથે રહેવાને બદલે પોતાનો જ સૂર આલાપતા હોય. નેટફ્લિક્સને આવા લોકોને હાયર કરવામાં કે ટકાવી રાખવામાં જરાય રસ નથી. નેટફ્લિક્સ માને છે કે અમારી ડ્રીમટીમમાં આ ટાઇપના બ્રિલિયન્ટ લોકો માટે કોઈ જગ્યા નથી. ટીમ-વર્કમાં માનતો ન હોય એવો માણસ ગમે એટલો બાહોશ હોય તો પણ નકામો છે. બ્રિલિયન્ટ હોવું એટલે માત્ર પોતાના કામમાં હોશિયાર હોવું એમ નહીં. તમે સુપર ટેલેન્ટેડ હો અને સાથે સાથે તમારામાં સૌની સાથે શાલીનતાભર્યો વ્યવહાર કરવાની ક્ષમતા હોય તો જ તમે સાચા અર્થમાં બ્રિલિયન્ટ છો!

નેટફ્લિક્સનું પગારધોરણ ખૂબ ઊંચું છે. ટોપ-પર્ફોર્મિંગ કર્મચારીને કેટલો પગાર મળવો જોઈએ? આ બાબતમાં મેનેજમેન્ટનો રવૈયો બહુ સ્પષ્ટ છે. (1) એને બીજી કોઈ પણ કંપની ન આપે એટલો સારો પગાર આપો, (2) ધારો કે એ રાજીનામું આપીને જતો રહે અને એની જગ્યા ભરવા માટે બીજો કોઈ કાબેલ માણસને રાખવો પડે તો એને જેટલો પગાર તમે આપવાના હો એટલો પગાર આ માણસને અત્યારે જ આપો અને (3) પગાર એટલો મસ્તમજાનો હોવો જોઈએ કે એને નેટફ્લિક્સમાં રાજીનામું આપીને હરીફ કંપનીમાં જવાનો વિચાર જ ન આવે! મેનેજમેન્ટ જુદી જુદી ટીમ સંભાળતા પોતાના મેનેજરોને સતત એ વાતે ટકોર કરતું રહે છે કે તમે ફક્ત બેસ્ટ લોકોને જ રાખો. બાકીનાઓને રજા આપી દો. જે કર્મચારી નેટફ્લિક્સનાં ધારાધોરણ પર ખરો ન ઉતરે એને વિના વિલંબે, પૂરેપૂરી ગરિમા જાળવીને અને તગડું બોનસ આપીને છૂટા કરવામાં આવે છે.
સામાન્યપણે ઓફિસની મિટીંગોમાં સિનિયર માણસો સુષ્ઠુ સુષ્ઠુ ભાષામાં આ તો આપણો  પરિવાર છે, આપણે સૌએ પરિવારની માફક કામ કરવાનું છે એવું કહેતા રહેતા હોય છે, પણ નેટફ્લિક્સના ડોક્યુમેન્ટમાં પ્રામાણિકતાપૂર્વક લખાયું છે કે આપણે એક ટીમની જેમ કામ કરવાનું છે, પરિવારની જેમ નહીં. પરિવારમાં સંતાન કે ભાઈ-બહેન કે ઇવન મા-બાપ ગમે એટલાં નઠારાં હોય તો પણ પ્રેમવશ કે લોહીના સંબંધવશ એમને નભાવી લેવાતાં હોય છે. નેટફ્લિક્સ એક પ્રોફેશનલ પ્લેસ છે અને તેની ડ્રીમટીમમાં નબળા પ્લેયરને નભાવી લેવાનો નથી, એને ટીમમાંથી બહાર કરી નાખવાનો છે. ડ્રીમટીમમાં સૌએ બેસ્ટ ટીમમેટ બનવાની ભરપૂર કોશિશ કરવાની છે, ખબર હોય કે આ ટીમ કંઈ જિંદગીભર સાથે રહેવાની નથી તો પણ પોતાના સાથીઓની ભરપૂર કાળજી લેવાની છે.



બીજી ઘણી સરસ વાતો છે નેટફ્લિક્સના કલ્ચર ડોક્યુમેન્ટમાં. ઝપાટાભેર વંચાઈ જાય એવું આ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન આખેખઆખું વાંચવા જેવું છે. ડોક્યુમેન્ટનો અંત એક સુંદર ફ્રેન્ચ કાવ્યપંક્તિથી કરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે -

જો તમારે વહાણ બનાવવું હોય તો લોકોને ભેગા કરીને એમની પાસે લાકડાં કપાવવાની, કામનું વિભાજન કરવાની કે આદેશો આપવાની ઉતાવળ ન કરો. એના બદલે સૌથી પહેલાં તો એમનામાં વિરાટ, અંતહીન સમુદ્ર પ્રત્યે પારાવાર જિજ્ઞાસા પેદા કરો!


shishir.ramavat@gmail.com

Saturday, July 21, 2018

સંજુ, સંબંધ અને પસંદગીપૂર્વકનું સત્ય

સંદેશ – સંસ્કાર પૂર્તિ – 22 જુલાઈ 2018
મલ્ટિપ્લેક્સ
સંજુ ફિલ્મ જોવાની બહુ મજા આવે છે, પણ આખરે તો એ સંજય દત્તની સિલેક્ટિવ સ્મૃતિઓનો સગવડિયો સરવાળો છે. બ્રેઇન ટ્યુમરનો ભોગ બનેલી પ્રથમ પત્ની રિચા શર્માનાં પ્રકરણમાં જબરદસ્ત ઇમોશનલ પંચ છે, પણ તે સંજુના સેલેબસની બહારની વસ્તુ છે.   


સંજય દત્તે ખુદ સામેથી ડિરેક્ટર-રાઇટર રાજકુમાર હિરાણી અને એમના ધરખમ સાથીદાર અભિજાત જોશીને સામેથી બોલાવીને દિવસોના દિવસો સુધી પોતાના જીવનની રામકહાણી સંભળાવી હતી. આ અર્થમાં સંજુ ફિલ્મને તમે ઓથોરાઇઝ્ડ બાયોપિક કહી શકો. સંજયના જીવન પરથી ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ એની પત્ની માન્યતાએ મૂક્યો હતો. આ અર્થમાં આ ફિલ્મને તમે કમિશન્ડ પણ કહી શકો. શું સંજુને એક ઓથેન્ટિક બાયોપિક કહી શકાય? ઓથેન્ટિક એટલે વિશ્ર્વસનીય, સાચુકલું, જેન્યુઇન. આ સવાલ ફિલ્મ રિલીઝ થઈ ત્યારનો ચર્ચાઈ રહ્યો છે. પસંદગીપૂર્વકનું સત્ય સંપૂર્ણ કેવી રીતે હોવાનું? શોભા ડેએ  પ્રામાણિકતાપૂર્વક પોતાની આત્મકથાને સિલેક્ટિવ મેમરીઝ નામ આપ્યું છે. ચુંટેલી યાદો. સ્મૃતિઓનું બયાન ખરું,પણ બધી સ્મૃતિઓનું નહીં, અમુક જ. જે વર્તમાનને અન્કમ્ફર્ટેબલ ન બનાવે અને ભવિષ્ય પર ખતરો પેદા ન કરે માત્ર એવી યાદોના જ લેખાજોખા. સંજુ ફિલ્મ સંજય દત્તની સિલેક્ટિવ સ્મૃતિઓનો સગવડીયો સરવાળો છે.

આતંકવાદના એંગલને હાલ પૂરતો ન સ્પર્શીએ, અંગત જીવનની વાત કરતી વખતેય એની ગર્લફ્રેન્ડ્ઝને બાદ કરી નાખીએ (ફલાણી સાથે અફેર? ના રે, એ તો કેવળ અફવા હતી…ઢીંકણી સાથેનું પ્રેમપ્રકરણ? એ તો  ખાલી મિડીયાના ભેજાની પેદાશ હતી), ફાઇન, પણ કાયદેસર રીતે થયેલાં બબ્બે લગ્નો અને પ્રથમ પત્નીથી થયેલી સગી દીકરી સુધ્ધાંને ફિલ્મમાં કન્વિનીયન્ટલી ભુલી જવામાં આવ્યાં છે. રાજકુમાર હિરાણી કહે છે કે અમે ફિલ્મમાં એકાધિક અસલી પાત્રોને કમ્પ્રેસ કરી નાખ્યાં છે. જેમ કે, સંજય દત્તના ચારેક ખાસ દોસ્તોને ખંડણીમાં દસ્તા વડે ખાંડીને એ દ્વવ્યમાંથી એક દોસ્ત બનાવી નાખવામાં આવ્યો – કમલી. આવું પત્નીઓની બાબતમાં કરવામાં આવ્યું નથી તે સારું છે. માન્યતા દત્ત અહીં કેવળ માન્યતા દત્ત જ છે. એમાં પત્ની નંબર વન રિચા શર્મા અને પત્ની નંબર ટુ રિઆ પિલ્લૈના અંશો ઉમેરવામાં આવ્યા નથી.

ચાલીસીમાં પ્રવેશી ચુકેલા વાચકોને કદાચ રુપકડી રિચા શર્મા ચહેરેમહોરે યાદ હશે. તબુ અને રિચા શર્માએ કરીઅરની શરૂઆત એકસાથે કરી હતી, દેવ આનંદની હમ નૌજવાન (1985) ફિલ્મથી. દેવ આનંદે  દુનિયાભરમાંથી નવી નવી કન્યાઓને શોધીને હિન્દી સિનેમામાં હિરોઈન તરીકે લોન્ચ કરી છે. રિચાને એમણે છેક ન્યુ યોર્કમાંથી શોધી કાઢી હતી. હમ નૌજવાનફિલ્મમાં તો ખાસ કંઈ હરખાઈ જવા જેવું નહોતું, પણ રિચાની ગાડી ચાલી નીકળી. એ વખતે અનિલ કપૂર, જેકી શ્રોફ, સંજય દત્ત વગેરે પૂરા ત્રીસના પણ ન થયેલા હીરોલોગ સામે એને ફિલ્મો ઓફર થવા માંડી. રિચાની બીજી ફિલ્મ અનુભવ એ જમાનાની સેક્સ-કોમેડી હતી, જેમાં શેખર સુમન મુખ્ય હીરો હતા. રિચાની ગણીને પાંચ જ ફિલ્મો રિલીઝ થઈ છે. એની ગણના પ્રતિભાશાળી ન્યુકમર તરીકે ક્યારેય નહોતી થઈ. સંજય દત્ત સાથે એણે એક ફિલ્મ શરૂ કરેલી, પણ એ સંભવતઃ ક્યારેય રિલીઝ ન થઈ. આ ફિલ્મના મુહૂર્ત વખતે સંજયે મલ્ટિકલર્ડ ટોપ પહેરેલી રિચાને પહેલી વાર જોઈ હતી. દિલફેંક સંજયને રિચા ગમી ગઈ. રિચાને સંજય ગમી ગયો. એમની વચ્ચે રોમાન્સ શરૂ થયો. યાસર ઉસ્માન લિખિત સંજય દત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલિવૂડ્સ બેડ બોયમાં કહેવાયું છે એમ,કોઈ પણ સંબંધની શરૂઆતમાં સંજય સાતમા આસમાનમાં વિહરતો હોય, પણ જેવો થોડો સમય પસાર થાય એટલે ફૂગ્ગામાંથી હવા નીકળી જાય. પછી નવી ઘોડી નવો દાવ. જોકે રિચાના કિસ્સો જરા અલગ હતો. સંજયની અગાઉનીમોટા ભાગની ગર્લફ્રેન્ડ્ઝ, એના હિસાબે, ગણતરીબાજ અને લાલચુ હતી, પણ સરળ સ્વભાવની રિચા પર ભરોસો કરી શકાતો હતો.



રિચા ન્યુ યોર્કમાં વસતા પોતાના પરિવારને છોડીને ખાસ ફિલ્મોમાં કરીઅર બનાવવા માટે જ મુંબઈ આવી હતી. સંજય દત્ત આ હકીકત સારી રીતે જાણતો હતો, છતાંય એ ઇચ્છતો હતો કે જો મારી સાથે લગ્ન કરવાં હોય તો રિચાએ ફિલ્મલાઇનને તિલાંજલિ આપવી પડે. સ્ત્રી કરીઅર અને ઘર એકસાથે સંભાળી ન શકે એવું એનું માનવું હતું. રિચા આમેય ખાસ મહત્ત્વાકાંક્ષી નહોતી. એણે હા પાડી. સંજય તાબડતોબ ન્યુ યોર્ક રવાના થઈને રિચાનાં મા-બાપને મળ્યો. સંજય ડ્રગ્ઝનો મહાબંધાણી રહી ચુક્યો હતો એ હકીકતથી તેઓ વાકેફ હતાં. કયાં મા-બાપ આવા છોકરા સાથે પોતાની દીકરીને પરણાવવા તૈયાર થાય? પણ સંજય એમની સાથેખુલ્લા દિલે ચર્ચા કરી. તેઓ કન્વિન્સ થઈ ગયાં. ઓક્ટોબર 1987માં ન્યુ યોર્કમાં ધામધૂમથી સંજય-રિચાનાં લગ્ન લેવાયાં. એ વખતે સંજય હતો 28 વર્ષનો અને રિચા હતી ચોવીસની. સંજયનો પરિવાર ખૂબ ખુશ હતો કે ચાલો, આ વંઠેલ છોકરો આખરે ઠરીઠામ થયો ખરો.

લગ્નને હજુ વર્ષ પૂરું થાય એ પહેલાં સંજય-રિચા મમ્મી-ડેડી બની ગયાં. દીકરી ત્રિશલાના આગમનથી આનંદનો માહોલ ઔર ઘૂંટાયો. બેબલી ચાર મહિનાની થઈ ત્યાં રિચાને માથામાં ભયંકર સણકા ઉપડવાનું શરૂ થયું. ડોક્ટરી તપાસ કરાવી. નિદાન થયું કે રિચાને બ્રેઇન ટ્યુમર છે. મગજની ગાંઠ. મા નરગીસ કેન્સરનો ભોગ બન્યાં હતાં, તો હવે પત્ની રિચા બ્રેઇન ટ્યુમરનો શિકાર બની. અમેરિકામાં ઇલાજ સારી રીતે થઈ શકે એટલે રિચા નાની ત્રિશલાને લઈને પિયર જતી રહી. રિચા માતા-પિતા પાસે ત્રણ વર્ષ રહી.

લોન્ગ-ડિન્સન્સ મેરેજ યા તો રિલેશનશીપ ટકાવી રાખવા માટે બન્ને પાત્રોમાં ચારિત્ર્યની તાકાત જોઈએ, વફાદારી જોઈએ, સંબંધ પ્રત્યે નિષ્ઠા જોઈએ. સંજય દત્ત પાસેથી આવા બધા ગુણોની અપેક્ષા શી રીતે રાખી શકાય? એક બાજુ રિચા ભયાનક બીમારી સામે ઝઝૂમી રહી હતી અને આ બાજુ સંજય દત્ત અન્ય સ્ત્રી (અથવા સ્ત્રીઓ) પ્રત્યે આકર્ષાવા લાગ્યો. જો ફિલ્મી ગોસિપમાં સચ્ચાઈનો જરાક અમથો પણ અંશ હોય તો, સંજય દત્ત અને માધુરી દીક્ષિત સાથેનું અફેર આ જ અરસામાં શરૂ થયું હતું. આજકાલનાં સ્ટાર્સ નિખાલસપણે બધું કબૂલી લે છે,બાકી અગાઉના સિતારા મગનું નામ મરી નહોતા પાડતા. જોકે સંજય-માધુરીના પ્રેમસંબંધની વાતો એટલી ચગી હતી કે એમના ચાહકો સુધ્ધાં વિચારવા લાગ્યા હતા કે આ તો કેવું સ્વકેન્દ્રીપણું! આ તો કેવી બેજવાબદારી!માંદી પત્ની નાની દીકરીને સંભાળતાં સંભાળતાં મોત સામે જંગ ખેલી રહી છે ત્યારે પતિ કઈ રીતે આટલી હદે સંવેદનહીન બની શકે! અને માધુરીશું પ્રેમમાં એટલી અંધ થઈ ગઈ છે કે સારું-ખોટું સમજી શકતી નથી?

મુંબઈમાં લવની ભવાઈ ચાલતી હોય ત્યારે રિચાનો જીવ ન્યુ યોર્કમાં ન જ ચોંટે. પોતાના લગ્નજીવનને બચાવવા માટે એ દીકરી સાથે મુંબઈ આવી ગઈ. ઘરની ચાર દીવાલો વચ્ચે કોણ જાણે શું થયું કે પંદર દિવસમાં એ પાછી ન્યુ યોર્ક જતી રહી. એ તો સાજી થઈને પતિ અને પુત્રી સાથે સુખી જીવન જીવવા માગતી હતી, પણ એણે જોયું કે પતિદેવ હવે પોતાના નથી રહ્યા. એની જીજીવિષા કદાચ ત્યારે જ ખતમ થઈ ગઈ હતી. 1993માં સંજય દત્તે ડિવોર્સ ફાઇલ કર્યા. દીકરીની કસ્ટડી માટે કાનૂની દાવપેચ ખેલાવાનું શરૂ થયું. તન-મન-હૃદયથી તૂટી ગયેલી રિચાએ 1996માં પ્રાણ ત્યજી દીધા. મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તનું નામ સંડોવાયું હોવાથી શાણી માધુરીએ એની સાથેનો સંબંધ ક્યારનો કાપી નાખ્યો હતો. ત્રિશલા નાના-નાની પાસે મોટી થઈ. રિચાનાં મૃત્યુનાં બે વર્ષ પછી સંજય દત્તે રિયા મોડલ પિલ્લૈ સાથે લગ્ન કર્યાં. દસ વર્ષ બાદ,2008માં, સંજય-રિયાના ઓફિશિયલ ડિવોર્સ થયા. એ જ વર્ષે સંજયે સ્ટ્રગલિંગ એક્ટ્રેસ માન્યતા સાથે ત્રીજાં લગ્ન કર્યાં.

Sanjay Dutt with Richa Shanrma (left), Rhea Pillai (center) and daughter Trishala

આમાંનું કશું જ, અલબત્ત,‘સંજુ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું નથી. અઢી-ત્રણ કલાકની ફિલ્મમાં શું લેવું ને શું ન લેવું તે નક્કી કરવાનો લેખક-દિગ્દર્શકને પૂરો હક છે જ, કબૂલ, પણ ઘટનાપ્રચુર જીવનમાંથી પ્રસંગોનું સગવડીયું સિલેક્શન થયું હોવાને કારણેસંજુ એક ઓથેન્ટિક બાયોપિકની ઊંચાઈ સુધી પહોંચવાને બદલે કેવળ ઓથોરાઇઝ્ડ કે કમિશન્ડ બાયોપિક બનીને રહી ગઈ છે.

0 0 0