Showing posts with label Multiplex. Show all posts
Showing posts with label Multiplex. Show all posts

Sunday, November 17, 2013

મલ્ટિપ્લેક્સ : રામજી કી નિકલી સવારી

Sandesh - Sanskaar Purti - 17 November 2013 

મલ્ટિપ્લેક્સ

અતિ એનર્જેટિક અને અતિ ઉત્સાહી રણવીર સિંહ એવો એકટર છે,જેની પાસેથી મજબૂત ફિલ્મો અને તગડાં પરફોર્મન્સીસની અપેક્ષા રાખવાનું હંમેશાં મન થાય.


'રામ-લીલા' રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મે ગુજરાતીઓનાં મન એક કરતાં વધારે કારણોસર ઊંચાં કરી નાખ્યાં હતાં ને ખાસ્સી નેગેટિવિટી ફેલાવી દીધી હતી તે સાચું, પણ એનો હીરો રણવીર સિંહ ભાવનાની બડો ઇન્ટરેસ્ટિંગ એક્ટર છે તે પણ એટલું જ સાચું. રણવીર મુંબઈના સમૃદ્ધ સિંધી પરિવારનું ફરજંદ છે અને એની અટક ભાવનાની છે. ભાવનાની જેવી સરનેમ કરતાં 'સિંહ'નું પૂછડું વધારે ફિલ્મી ને પ્રભાવશાળી છે એટલે રણવીરે ખુદને કેવળ રણવીર સિંહ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. 
રણવીરની પર્સનાલિટી મર્દાના ખરી, પણ એનો ચહેરો કંઈ ટિપિકલ બોલિવૂડ સ્ટાર જેવો ચોકલેટી કે સોહામણો નથી. આમ છતાંય યશરાજ બેનરે એને 'બેન્ડ બાજાં બારાત' (૨૦૧૦)માં લીડ હીરો તરીકે લોન્ચ કર્યો હતો. આદિત્ય ચોપડાને રણવીરનું ઓડિશન પસંદ પડયું ને એને અનુષ્કા શર્માના હીરો તરીકે પસંદ કરી લીધો, પણ ફર્સ્ટ-ટાઇમ-ડિરેક્ટર મનીષ શર્માનું મન આ અજાણ્યા છોકરામાં ઠરતું નહોતું. રણવીરને પછીનાં બે અઠવાડિયાં દરમિયાન કેટલીય વાર બોલાવવામાં આવ્યો, એની પાસે ઈમોશનલ સીન કરાવવામાં આવ્યા, નચાવવામાં આવ્યો, બીજા એક્ટરો સાથે રીડિંગ કરાવવામાં આવ્યું, લુક ટેસ્ટ્સ લેવામાં આવ્યો. આખરે મનીષ શર્મા કન્વિન્સ થયા ખરા કે મતવાલા વેડિંગ પ્લાનરનો બિટ્ટુનો રોલ રણવીર નિભાવી જશે.
એવું જ થયું. રણવીરે પહેલા જ બોલમાં સિક્સર ફટકારી. વેલ, ઓલમોસ્ટ. પોતે માત્ર નાચગાના જ નહીં પણ અભિનય પણ કરી શકે છે તે રણવીરે પહેલી જ ફિલ્મમાં પુરવાર કરી દીધું. અસલી જીવનમાં રણવીર રહ્યો નખશિખ બાન્દ્રાબોય. એની સામે સૌથી મોટો પડકાર બોલચાલમાં દિલ્હીની લઢણ પકડવાનો હતો. મનીષ શર્મા રેકી કરવા દિલ્હી ગયા ત્યારે રણવીરને પોતાની સાથે લઈ ગયા હતા (રેકી એટલે શૂટિંગ શરૂ કરતાં પહેલાં કરવામાં આવતી લોકેશનની શોધખોળ). દિલ્હી યુનિવર્સિટીનાં છોકરાંઓ સાથે રણવીરે પુષ્કળ સમય વીતાવ્યો, દિલ્હીના જુવાનિયાઓ કઈ રીતે બોલેચાલે છે એનો અભ્યાસ કર્યો. સદ્ભાગ્યે, 'બેન્ડ બાજાં બારાત'ના બિટ્ટુના કિરદાર જેવા જ એક યુવાન સાથે રણવીરની દોસ્તી થઈ ગઈ હતી. એ જ એનર્જી લેવલ, એવાં જ કપડાં, એવી જ ઢબછબ. રણવીરે પોતાનું પાત્ર દિલ્હીના આ અસલી લોંડાને ધ્યાનમાં રાખીને ઉપસાવ્યું.


'રામ-લીલા'ના શૂટિંગ પહેલાં પણ રણવીર પોતાની કોસ્ચ્યૂમ ડિઝાઈનર મેક્ઝિમા બસુ સાથે ગુજરાતની એક કરતાં વધારે વખત મુલાકાત લઈ ગયો હતો. સ્થાનિક દુકાનોમાંથી કપડાં ખરીદ્યાં, જાતજાતનાં ઘરેણાં ને એક્સેસરીઝ ખરીદી, કચ્છી જુવાનિયાઓના ફોટા પાડયા, પાઘડી પહેરવાની રીતનો અભ્યાસ કર્યો, પણ રામના પાત્ર માટે રેફરન્સ પોઇન્ટ બનાવી શકાય એવો કોઈ કચ્છી માડુ એને મળ્યો નહીં. કદાચ ત્રણ ફિલ્મો ('બેન્ડ બાજાં બારાત','લેડીઝ વર્સીસ રિકી બહલ' અને લૂટેરે')ના અનુભવ પછી આવી કોઈ જરૂરિયાત નહીં વર્તાઈ હોય. કદાચ અસલી જીવનમાં એ ખુદ રામ જેવો જ મસ્તમૌલા છે એટલે બહારથી પ્રેરણા શોધવાની જરૂર નહીં પડી હોય.
'રામ-લીલા'નું શૂટિંગ શરૂ કરતાં પહેલાં સંજય ભણસાલીએ રણવીર અને દીપિકા સાથે ઘણાં વર્કશોપ કર્યા હતા. બન્ને અદાકારોને તેઓ સતત કહેતા રહ્યા હતા કે તમારી વચ્ચે ચુંબકીય કેમેસ્ટ્રી હોવી અત્યંત જરૂરી છે. રામ લીલા પ્રત્યે અને લીલા રામ પ્રત્યે જલદ શારીરિક આકર્ષણ ધરાવે છે. આ આકર્ષણ, આ આગ પડદા પર ઊભરશે તો જ વાત બનશે. સંજય ભણસાલીને 'રામ-લીલા' ફિલ્મનો આઈડિયા સૌથી પહેલી વાર 'ખામોશી' (૧૯૯૬)ના શૂટિંગ દરમિયાન આવ્યો હતો. જોકે 'ખામોશી' પછી એમણે બનાવી 'હમ દિલ દે ચૂકે સનમ'. એમાંય ગુજરાતી માહોલ હતો એટલે 'રામ-લીલા' માટે વચ્ચે થોડાં વર્ષો જવા દીધાં.
'રામ-લીલા'ને કારણે રણવીર સિંહે અનુરાગ કશ્યપની 'બોમ્બે વેલ્વેટ' નામની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ગુમાવવી પડી છે. સાઠના દાયકાના મુંબઈની વાત કરતી આ ફિલ્મ માટે અનુરાગની ફર્સ્ટ ચોઈસ રણવીર હતો, પણ 'રામ-લીલા' સાથે એનું શૂટિંગ શેડયુલ ટકરાતું હતું એટલે ભારે હૈયે 'બોમ્બે વેલ્વેટ' છોડવી પડી. ખરું-ખોટું રામ જાણે, પણ ઓફિશિયલ વર્ઝન તો આ જ છે. રણવીર સિંહવાળો રોલ હવે રણબીર કપૂર કરી રહ્યો છે. મુંબઈના ફિલ્મસિટી સ્ટુડિયોમાં 'રામ-લીલા'નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રણબીર કપૂર સેટ પર હાય-હેલો કરવા આવેલો. તે વખતે 'બોમ્બે વેલ્વેટ' વિશે રણબીર અને રણવીર વચ્ચે ખાસ્સી ચર્ચા પણ થઈ હતી. અંદરખાને બળતરા થતી હોય તો અલગ વાત છે, બાકી બહારથી તો રણવીર સિંહ એવું દેખાડે છે કે એના રિપ્લેસમેન્ટમાં કોઈ આલતુફાલતુ એક્ટર નહીં, પણ રણબીર કપૂર આવ્યો છે તે વાતનો એને સંતોષ છે.
જોકે, રણવીરે પણ એક પ્રોજેક્ટમાં રણબીર કપૂરને રિપ્લેસ કર્યો જ છેને. ઝોયા અખ્તર પોતાની આગામી ફિલ્મમાં કઝિન્સ રણબીર કપૂર અને કરીના કપૂરને ભાઈ-બહેન તરીકે કાસ્ટ કરવા માગતી હતી, પણ મેળ ન પડયો. આ બેના સ્થાને હવે રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડા ગોઠવાઈ ગયાં છે. પ્રિયંકાને બહેન બનાવવાનું કોઈ હીરોને ગમે નહીં, પણ એવું વિચારીને સાંત્વન લેવાનું કે 'જોશ'ફિલ્મમાં શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય સગાં ભાઈ-બહેન બન્યાં જ હતાંને. રણવીરની ઔર બે ફિલ્મો આવી રહી છે, બન્ને યશરાજ બેનરની છે. 'ગુંડે'ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર છે અને સહ-ગુંડો બન્યો છે, અર્જુન કપૂર. બીજી છે 'કિલ દિલ'. એના ડિરેક્ટર શાદ અલી છે અને રણવીરની હિરોઈન છે, પરીણિતી ચોપડા.


રણવીર સિંહ અચ્છો પરફોર્મર છે. 'લૂટેરે' ભલે ચાલી નહીં, પણ આ ફિલ્મમાં એણે પોતાની ઇમેજ અને પર્સનાલિટીથી વિરુદ્ધ રોલ બખૂબીથી નિભાવ્યો હતો. રણવીર એવો અદાકાર છે, જેની પાસેથી મજબૂત ફિલ્મોની અપેક્ષા રાખવાનું મન થાય. રણવીર સિંહ, રણબીર કપૂર, સુશાંત સિંહ રાજપૂત, આયુષ્યમાન ખુરાના, આદિત્ય રોય કપૂર... બોલિવૂડની લેટેસ્ટ જનરેશનના આ તમામ જુવાનિયા માત્ર સ્ટાર નથી, પણ અચ્છા પરફોર્મર્સ પણ છે એ દિલને ટાઢક થાય એવી હકીકત છે. થ્રી ચિયર્સ ટુ જનરેશન-એક્સ!
શો-સ્ટોપર

હજુય કેટલું બધું કરવાનું બાકી છે. વધારે સારી ફિલ્મો, વધારે સારા રોલ્સ. આજે હું જે પોઝિશન પર છું એનાથી ખુશ જરૂર છું, પણ સંતુષ્ટ નથી.           
- દીપિકા પદુકોણ

Tuesday, November 5, 2013

મલ્ટિપ્લેક્સ : થોડા હૈ... થોડે કી જરૂરત હૈ

Sandesh - Sanskar Purti - 3 Nov 2013
મલ્ટિપ્લેક્સ  
'જુલી'નું સુપરડુપર મ્યુઝિક તૈયાર કર્યું ત્યારે રાજેશ રોશનની ઉંમર ફક્ત વીસ વર્ષ હતી! 'ક્રિશ-થ્રી'નાં ગીતોએ ભલે જોઈએ એવી જમાવટ ન કરી હોય, પણ આ લો-પ્રોફાઇલ મ્યુઝિક ડિરેક્ટરે ચાર દાયકાની કારકિર્દી દરમિયાન આપણને એક એકથી ચઢિયાતાં ગીતો આપ્યાં છે.

શુક્રવારે 'ક્રિશ-થ્રી' રિલીઝ થઈ એટલે ફિલ્મ કેવી છે, એની આપણને ખબર પડી, પણ એનું સંગીત ખાસ જમાવટ કરતું નથી તેની જાણ ક્યારની થઈ ચૂકી હતી. રાજેશ રોશનના ચાહકો નિરાશ છે. તેઓ જાણે છે કે મોટા ભાઈ રાકેશ રોશનની હવે પછીની ફિલ્મ નહીં આવે ત્યાં સુધી આ પ્રમાદી સંગીતકાર એક-બે વર્ષના પ્રલંબ વેકેશન પર ઊતરી જવાના.
હંમેશાં લો-પ્રોફાઇલ રહેલા રાજેશ રોશનનાં હિટ ગીતોની આજે વાત કરવી છે. કંઈકેટલાય સુપરડુપર, મહત્ત્વનાં અને કદીય ન ભુલાય એવાં ગીતો આપ્યાં છતાંય કોણ જાણે કેમ તેમની આસપાસ ઝગમગતું આભામંડળ ક્યારેય રચાયું નહીં. એમણે કરિયરની શરૂઆત ૧૯૭૪માં 'કંવારા બાપ'થી કરી હતી ને બીજે જ વર્ષે 'જુલી'નું સુપર્બ મ્યુઝિક આપીને પુરવાર કરી નાખ્યું કે પોતે કેટલા સશક્ત સંગીતકાર છે. 'જુલી' વખતે એમની ઉંમર હતી ફક્ત વીસ વર્ષ, કેન યુ બિલીવ ઇટ! 'જુલી'માં 'દિલ ક્યા કરે જબ કિસી કો... કિસી સે પ્યાર હો જાએ...'માં કિશોર કુમારે પ્રેમમાં તરફડતા પુરૂષના આવેગને જે રીતે વ્યક્ત કર્યો છે તે જુઓ. 'જુલી'ના ટાઇટલ સોંગમાં નાયક-નાયિકા તીવ્ર કામાવેગ અનુભવી રહ્યાં છે, પણ આ લાગણીને લતા-કિશોરે કેટલી ગરિમા સાથે પેશ કરી છે અને પ્રીતિ સાગરે ગાયેલું અંગ્રેજી ગીત, 'માય હાર્ટ ઇઝ બીટિંગ'! હિન્દી ફિલ્મમાં આખું ઈંગ્લિશ સોંગ મુકાયું હોય ને પાછું તે અત્યંત પોપ્યુલર પણ થયું હોય એવું અગાઉ કદાચ ક્યારેય નહોતું બન્યું.
નેકસ્ટ યર, ૧૯૭૬. રાજેશ રોશન 'સ્વામી'માં એક એવું અમર ગીત આપે છે, જેના લીધે મ્યુઝિક કંપોઝર તરીકેની એમની ધાક ઓર મજબૂત બને છે. આ ગીત એટલે 'કા કરૂ સજની આયે ના બાલમ... ખોજ રહી હૈ પિયા પરદેસી અખિયાં આયે ના બાલમ...' પ્રેમની વેદના, પે્રેમનો વિરહ અને તેમાંથી જન્મતી નિરાશા યેશુદાસના અવાજમાં કેટલી ગજબનાક રીતે વ્યક્ત થયાં છે. આ જ ફિલ્મમાં લતા મંગેશકરનું 'પલ ભર મેં યે ક્યા હો ગયા... ' ગીત પણ બહુ મીઠું છે. યેશુદાસના 'કા કરૂ સજની... 'ની સાથે તરત જ વિષાદમાં ઝબોળાયેલું રાજેશ રોશનની બીજું એક ગીત યાદ આવે. એ છે, અનવરે હ્ય્દયના ઊંડાણથી ગાયેલું 'હમે સે કયા ભુલ હુઈ જો યે સજા હમ કો મિલી...'. ૧૯૭૯માં રિલીઝ થયેલી ફિલ્મ 'જનતા હવાલદાર'ના આ ગીતનો ભાવ જુદો છે, પણ કારૂણ્યની તીવ્રતા સાંભળનારની ભીતર શારડીની જેમ ઊતરી જાય છે. વોઈસ-ઓફ-રફી ગણાયેલા અનવરે જિંદગીમાં બીજું કશું જ ન કર્યું હોત તોપણ ફક્ત આ ગીતને કારણે તેમને લોકો યાદ કરતા રહેત.


એક બાજુ આ દર્દભરે નગ્મે છે તો બીજી બાજુ છે, ૧૯૭૯માં જ રિલીઝ થયેલી 'મિસ્ટર નટવરલાલ'નાં સદાબહાર ગીતો. સૌથી પહેલું તો, 'પરદેસીયા... યે સચ હૈ પિયા લોગ કહતે હૈં મૈંને તુજકો દિલ દે દિયા...' ખરેખર એ નક્કી કરવું મુશ્કેલ બની જાય કે આ ગીતમાં લતા-કિશોરની ગાયકી પર ડોલવું કે પછી અમિતાભ-રેખાની ફૂલગુલાબી રોમેન્ટિક કેમિસ્ટ્રી જોઈને ઝૂમવું! અમિતાભ બચ્ચન પાસે ગીતો ગવડાવવાની શરૂઆત કરનાર રાજેશ રોશન. 'મેરે પાસ આઓ મેરે દોસ્તો એક કિસ્સા સુનાઉં...' - હિન્દી સિનેમાનાં શ્રેષ્ઠ બાળગીતોનું લિસ્ટ બનાવવામાં આવે આ ગીત ચોક્કસપણે ટોપ-ટેનમાં સ્થાન પામે. બિગ બીની કેટલીય ફિલ્મોમાં રાજેશ રોશને મસ્તમજાનાં ગીતો આપ્યાં છે. જેમ કે 'છૂ કર મેરે મન કો... કિયા તૂને ક્યા ઈશારા' સહિતનાં 'યારાના' (૧૯૮૧)નાં એકાધિક ગીતો, શંકર મહાદેવનનાં 'બ્રેધલેસ' સોંગના પરદાદા જેવું સુપર સ્પીડે ગવાયેલું 'તૂને અભી દેખા નહીં દેખા હૈ તો જાના નહીં' (દો ઔર દો પાંચ, ૧૯૮૦), 'કાલા પત્થર' (૧૯૭૯)નું 'એક રાસ્તા હૈ જિંદગી', ૧૯૮૨માં આવેલી 'ખુદ્દાર'નું 'મચ ગયા શોર સારી નગરી રે... આયા બિરજ કા બાંકા સંભાલ તેરી ગગરી રે' કે જેના વગર આજે પણ મટકીફોડની ઉજવણી અધૂરી રહી જાય છે.
રાજેશ રોશનને આ બે હસ્તીઓ સાથે કામ કરવાનું ફળ્યું છે - બાસુ ચેટર્જી અને દેવ આનંદ. બાસુ'દા-આરઆરના કોમ્બોએ કેવાં લાજવાબ ગીતો આપ્યાં? 'બાતોં બાતોં મેં' (૧૯૭૯)નાં ચારેય ગીતો લઈ લોઃ 'સુનિયે કહીએ... કહીએ સુનિયે', 'ના બોલે તુમ ના મૈંને કુછ કહા' (આ ગીતની ટયૂન અમેરિકન સિવિલ વોરના માર્ચિગ સોંગ પરથી પ્રેરિત હતી), 'કહાં તક યે મન કો..' અને 'ઉઠે સબ કે કદમ તારા રમ પમ પમ'. બાસુ'દાની 'ખટ્ટામીઠા' (૧૯૭૯)માં કિશોર'દાએ 'થોડા હૈ થોડી કી જરૂરત હૈ...' જેવું યાદગાર ગીત ગાયું. આ ફિલ્મનાં બીજાં ગીતો પણ સરસ. દેવ આનંદ માટે કંપોઝ કરેલાં રાજેશ રોશનનાં ગમતીલાં ગીતો કયાં? ઘણાં બધાં. 'દેસ પરદેસ' (૧૯૭૮)નાં એક સે બઢ કર ગીતો આ રહ્યાં: લતાનું 'આપ કહે ઔર હમ ના આએ ઐસે તો હાલાત નહીં...', ઓલ-ટાઇમ-ગ્રેટ દારૂસોંગ 'તૂ પી ઔર જી', કિશોરનું બીજું બહુ જ મીઠ્ઠું મધુરું 'નઝરાના... ભેજા કિસી ને પ્યાર કા'. ટાઈટલ સોંગ્સ તો ખરાં જ. 'લૂટમાર' (૧૯૮૦)માં એક બાજુ કિશોર કુમારનું ઈન્સ્પિરેશનલ 'હંસ તુ હરદમ' છે તો બીજી બાજુ આશા ભોસલેનું 'જબ છાએ તેરા જાદુ... કોઈ બચ ન પાએ' છે. આવું જ એક નશીલું ગીત 'ઓ... મુંગડા મુંગડા' પણ રાજેશ રોશનનું જ સર્જન. ઉષા મંગેશકરનું કદાચ આ એકમાત્ર સુપરડુપર હિટ સોંગ. આ એક ગીતના જોર પર ૧૯૭૮માં આવેલી 'ઈન્કાર' નામની ફિલ્મની આખી ઓળખ ઊભી છે.
રાજેશજીનાં ગીતોવાળું એક ઔર પર્સનલ ફેવરિટ આલબમ છે, 'દૂસરા આદમી'. આ ફિલ્મ યશ ચોપડાએ ૧૯૭૭માં બનાવી હતી. આહા, શું ગીતો છે એમાં. સાંભળોઃ 'નઝરોં સે કહ દો પ્યાર મેં મિલને કા મૌસમ આ ગયા...', 'ક્યા મૌસમ હૈ... ચલ કહીં દૂર નિકલ જાએ' ,'આંખોં મેં... કાજલ હૈ' અને 'આઓ મનાએ રસ્મ-એ-મોહબ્બત...'. ચારેય ગીતો લતા-કિશોરનાં. રાજેશ રોશનની આગવી સ્ટાઈલ આ ફિલ્મે સજ્જડ રીતે પ્રસ્થાપિત કરી દીધી હતી. 'આપ કે દીવાને' (૧૯૮૦) માટે લતા-રફી-કિશોરે ગાયેલાં 'મેરે દિલ મેં જો હોતા હૈ...' ગીતની અનિયમિત રિધમ જોજો. દીવાના થઈ જશો.
(L to R) Rakesh, Hritik and Rajesh Roshan

આ સિવાય પણ ઘણાં ગીતો છે. 'કામચોર' (૧૯૮૨)નું 'તુમ સે બઢકર દુનિયા મેં ના દેખા કોઈ ઔર જુબાં પર...' દિલને ગજબની ટાઢક પહોંચાડે છે. કિશોરકુમાર પાસેથી રાજેશ રોશને ખરેખર ઉત્તમ કામ લીધું છે. તેમની વચ્ચે ઘણી નિકટતા હતી. કદાચ એટલે જ કિશોર'દાની એક જુદી જ છટા રાજેશ રોશને કંપોઝ કરેલાં ગીતો દ્વારા આપણી સામે પેશ થાય છે. બાય ધ વે, 'તુમ સે બઢકર...'ગીતમાં અલકા યાજ્ઞિકનો અવાજ કેટલો માસૂમ લાગે છે!
રાજેશ રોશનને 'ગરીબોના આર.ડી. બર્મન' કહીને ઉતારી પાડવાની જરૂર નથી. તેમણે પોતાની કરિયરના પહેલા દાયકામાં શ્રેષ્ઠતમ ગીતો આપ્યાં છે. ૧૯૯૦નો દાયકો નબળો ગયો. કારકિર્દીનો ઉત્તરાર્ધ પોતાના ભાઈ રાકેશ અને ભત્રીજા હૃતિકના નામે કરી દીધો. સમયની સાથે ચાલીને 'કહો ના પ્યાર હૈ', 'કોઈ મિલ ગયા' વગેરેમાં મોડર્ન મ્યુઝિક આપવામાં તેઓ સફળ રહ્યા, પણ 'કાઇટ્સ' પછી પાછી 'ક્રિશ-થ્રી'માં ગરબડ કરી નાખી. ઠીક છે. ચાલ્યા કરે એ તો. આગલી ફિલ્મમાં તેઓ બાઉન્સ-બેક કરશે. ટચવૂડ!
શો-સ્ટોપર

'એક દૂજે કે લિયે'માં એસ.પી. બાલાસુબ્રહ્મણ્યમનાં ગીતો સુપરહિટ થઈ જવાથી કિશોરકુમાર ઇન્સિક્યોર થઈને ક્યારેક બોલી ઊઠતા - અબ મૈ ગાંવ ચલા જાતા હૂં!
- રાજેશ રોશન

Saturday, October 26, 2013

સંજય લીલા ભણસાલીની ક્રેડિટ-લીલા : મોરનો થનગાટ અને પનઘટ પર નંદલાલ

Sandesh - Sanskar Purti - 27 October 2013

મલ્ટિપ્લેક્સ 

ઝવેરચંદ મેઘાણીના અમર ગીત સાથે એમનું નામ મૂકવાનું હોય જ. અહીં કોઈ જ તુમાખી કે બૌદ્ધિક બદમાશી કે દલીલબાજી માટે અવકાશ છે જ નહીં. વર્ષો પહેલાં 'મોહે પનઘટ પે નંદલાલ...'ગીતના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટને ક્રેડિટ અપાવવા માટે તેમના પૌત્રે લાંબી લડત આપવી પડી હતી.

લાકાર માટે ખુદનો આગવો મિજાજ અને ધૂન હોવાં સારી વસ્તુ છે. પોતાના વિશિષ્ટ માનસિક વાતાવરણમાં રમમાણ હોવાને લીધે,આસપાસના માહોલથી કપાયેલો હોવાને કારણે એનાથી અમુક વસ્તુઓ ધ્યાન બહાર રહી જતી હોય તે બિલકુલ શકય છે. સ્વીકાર્ય પણ છે. આ એક વાત થઈ, પણ તુમાખીમાં રત રહીને મૂળભૂત ગરિમા કે સૌજન્યનો છેદ ઉડાડી દેવો તે તદ્દન જુદી વાત થઈ. સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મ 'રામ-લીલા'માં 'મન મોર બની થનગાટ કરે' જેવા અદ્ભુત ગીતનો પ્રયોગ કરે તે એમની કલાસૂઝ દર્શાવે છે, પણ આ અમર ગીતના રચયિતા ઝવેરચંદ મેઘાણીને ક્રેડિટ નથી અપાઈ તે સરતચૂક વિશે એકાધિક વખત ધ્યાન દોરવામાં આવ્યા પછી પણ આખી વાતને જો છેક સુધી ધરાર અવગણવામાં આવી હોત તો તે સંજય ભણસાલીની ક્રિયેટિવ બદમાશી ગણાઈ ગઈ હોત.
ઝવેરચંદ મેઘાણી

થેન્ક ગોડ આવું ન થયું. ફિલ્મની ઓપનિંગ ક્રેડિટમાં ઝવેરચંદ મેઘાણીની તસવીર સાથે ઋણસ્વીકાર કરવામાં આવશે તેવી ફિલ્મમેકર તરફથી ખાતરી આપવામાં આવી છે. ફિલ્મની મ્યુઝિક સીડી પર નામ મૂકાવાનું "ભુલ"થી રહી ગયું હશે તેવું માની લેવું પડે. ખરેખર તો ઝવેરચંદના પૌત્ર પિનાકી મેઘાણીએ લખેલો પત્ર છઠ્ઠી ઓકટોબરે મળ્યો તે પછી તરત જ સંજય ભણસાલી તરફથી ખુલાસો અને દિલગીરી બન્ને વ્યકત થઈ જવા જોઈતા હતા. એને બદલે અપેક્ષિત પ્રતિક્રિયા આવતાં બે અઠવાડિયાં વીતી ગયાં. દરમિયાન ગુજરાતી પ્રજા અને ગુજરાતી મિડીયા બન્નેનું પ્રેશર સંજય ભણસાલીએ અનુભવ્યું. ઝવેરચંદ મેઘાણીની ક્રેડિટ ગુપચાવી જવાની ચેષ્ટાનો કોઈ બચાવ ન હોઈ શકે. આ ગીત સાથે મેઘાણીનું નામ મૂકવાનું હોય જ. વાત પૂરી થઈ ગઈ. અહીં કોઈ જ તુમાખી કે બૌદ્ધિક આડોડાઈ કે ચતુરાઈભરી દલીલબાજી ન જોઈએ. સંજય ભણસાલી પોતાની ભુલ સુધારવામાં જેટલું વધારે મોડું કરત એટલા ગુજરાતી પ્રજાની નજરમાં તેઓ વધારે નીચે ઊતરતા જાત. ચાલો, તેમણે બાજી સંભાળી લીધી તે સારું થયું.બેટર લેટ ધેન નેવર.       
 ગીતકારને ક્રેડિટ આપવાની બાબતમાં વિવાદ થયો હોય તેવો આ કંઈ પહેલો કિસ્સો નથી. તે અંતિમ પણ નથી જ હોવાનો.'રોકસ્ટાર' ફિલ્મનાં અફલાતૂન ગીતોની સુપર સફળતાનું કારણ ફકત એ. આર. રહેમાન અને ગાયક મોહિત ચૌહાણ જ નથી, ગીતકાર ઈર્શાદ કામિલની ઉત્તમ લખાવટ પણ એટલી જ યશભાગી છે, પણ 'રોકસ્ટાર'નું મ્યુઝિક આલબમ બહાર પડયું ત્યારે જેકેટ પરથી ઈર્શાદ કામિલનું નામ ગાયબ હતું. ઈર્શાદ રહ્યા માણસ. તળાવમાં રહીને મગર સાથે વેર ન કરાય તે ન્યાયે તેમણે ઊહાપોહ ન કર્યો. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી અને મ્યુઝિક કંપની ટી-સિરીઝે 'આ તો ક્લેરિકલ મિસ્ટેક છે' એમ કહીને હાથ ખંખેરી લીધા, પણ હા, સીડીનો બીજો બેચ બહાર પડયો ત્યારે ઈર્શાદ કામિલનું નામ માનભેર મુકાઈ ગયું હતું.
Mohe Panghat Pe song (Mughal-e-Azam)

'મોગલ-એ-આઝમ'ના અમર ગીત 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે' નો કિસ્સો જાણીતો છે. આ ગીત રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું. ૧૯૧૯માં રજૂ થયેલાં જૂના ગુજરાતી નાટક 'છત્ર વિજય'માં આ હિન્દી ગીત મુકાયું હતું. ચાર દાયકા પછી ૧૯૬૦માં રિલીઝ થયેલી 'મોગલ-એ-આઝમ'માં આ આખું ગીત બેઠ્ઠું વપરાયું હતું અને ગીતના રચયિતા તરીકે શકીલ બદાયૂનીનું નામ હતું! રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના મુંબઈસ્થિત પૌત્ર ડો. રાજ બ્રહ્મભટ્ટ, જે વિખ્યાત સેક્સોલોજિસ્ટ છે, તેઓ 'સંદેશ' સાથે આ વિશે વિગતે વાત કરતાં કહે છે, "એ જમાનામાં ટીવી-ઇન્ટરનેટ તો હતાં નહીં, માત્ર રેડિયો પર એનાં ગીતો સાંભળી શકાતાં. 'મોગલ-એ-આઝમ' રિલીઝ થઈ તેના થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના 'ડોન' અખબારમાં સૌથી પહેલી વાર છપાયું હતું કે શકીલ બદાયૂનીના નામે જે ગીત બોલે છે તે 'મોહે પનઘટ પે...' ગીત ખરેખર રઘુનાથ બહ્મભટ્ટનું છે. દાદા તે વખતે નડિયાદ રહેતા. વાત ઊડતી ઊડતી તેમની પાસે પહોંચી. મુંબઈ આવીને તેમણે ફિલ્મમેકર કે. આસિફનું ધ્યાન દોર્યું. દરમિયાન ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હતી. આસિફસાહેબે 'દેખ લેંગે' કહીને વાતને ટાળી દીધી. છ-આઠ મહિના વીતી ગયા. કોઈ નિવેડો આવ્યો નહીં એટલે મામલો ફિલ્મ રાઇટર્સ એસોસિયેશનમાં ગયો. દાદા પાસે પાક્કા પુરાવા હતા. તેમણે પોતાની આત્મકથા 'સ્મરણમંજરી'માં પણ આ ગીત પોતે કેવી રીતે રચ્યું હતું તેનું વિગતે વર્ણન કર્યું હતું. એસોસિયેશનનો ચુકાદો આવ્યો. ગીતના સર્જક રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જ છે તે પુરવાર થઈ ગયું. ફિલ્મની પ્રિન્ટ્સ અને સંગીતની રેકોર્ડ્સ બની ગઈ હોવાથી વધારે કંઈ થઈ શકે તેમ નથી તેમ કહેવામાં આવ્યં. દાદાને ૧૧૦૦ રૂપિયા કોમ્પેન્સેશનરૂપે ચૂકવવામાં આવ્યા, જે તેમણે સ્વીકાર્યા."


ના, વાત અહીં પૂરી થતી નથી. ૨૦૦૪માં 'મોગલ-એ-આઝમ' સંપૂર્ણપણે કલરમાં રૂપાંતરિત કરીને નવેસરથી રિલીઝ કરવાની વાત આવી. નિર્માતા બોની કપૂર આ પ્રોજેક્ટ સાથે સંકળાયા હતા. નવી આવૃત્તિમાં મૂળ કવિની ક્રેડિટ ઉમેરાઈ જવી જોઈએ તેવી અપેક્ષા વંશજોને સ્વાભાવિકપણે રહે જ. ડો. રાજ બ્રહ્મભટ્ટે બોની કપૂરનો સંપર્ક કર્યો ત્યારે ફિલ્મ રિલીઝ થવાના બે-ત્રણ દિવસની જ વાર હતી. ડો. બ્રહ્મભટ્ટે સ્પષ્ટપણે કહ્યું કે હું કંઈ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લાવવાનો નથી, મને આર્થિક વળતરની પણ અપેક્ષા નથી, હું ફક્ત મારા દાદાને ક્રેડિટ મળે એટલું જ ઇચ્છું છું. બોની કપૂરે તરત પારખી લીધું કે ડો. બ્રહ્મભટ્ટનો કોઈ બદઈરાદો નથી. 'ઈરોઝ'માં પ્રીમિયર યોજાયો તેના પાસ પણ ડોક્ટરને મોકલાવ્યા, પણ પ્રિન્ટમાં હવે કોઈ પણ પ્રકારના ફેરફાર માટે બહુ મોડું થઈ ચૂક્યું હતું. ક્રેડિટની સમસ્યા એમની એમ રહી. ઓન-પેપર ગીત હજુ પણ શકીલ બદાયૂનીના નામે જ બોલતું હતું!
Dr. Raj Brhambhatt

પછી શરૂ થઈ દાદાને એમનો જશ અપાવવાની પૌત્રની લડાઈ, જે દોઢેક વર્ષ ચાલી. અત્યારે જેમ ઝવેરચંદ મેઘાણીના કિસ્સામાં બની રહ્યું છે તેમ આ કિસ્સામાં પણ ગુજરાતી-હિન્દી-મરાઠી મીડિયાએ સારું એવું કવરેજ આપ્યું. 'મોગલ-એ-આઝમ'ની ઓરિજિનલ ટીમમાંથી હવે ત્રણ જ લોકો હવે જીવિત હતા - સંગીતકાર નૌશાદ, લતા મંગેશકર અને દિલીપકુમાર. ડો. બ્રહ્મભટ્ટ નૌશાદને મળ્યા. બીમાર અવસ્થાનું કારણ હોય કે બીજું કંઈ પણ કારણ હોય, પણ નૌશાદ તરફથી ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. મામલો ફરી પાછો ફિલ્મ રાઇટર્સ એસોસિયેશન પાસે ગયો. એક તરફ ડો. રાજ બ્રહ્મભટ્ટ હતા, સામે શકીલસાહેબના દીકરા હતા. નવી 'મોગલ-એ-આઝમ'ના પ્રોજેક્ટ મેનેજર દીપેશ સાલગિયા પણ આખા કેસમાં ઈન્વોલ્વ્ડ હતા.

"મારી પાસે ૧૯૨૦થી લઈને અત્યાર સુધીનાં છાપાં-મેગેઝિનોનાં કટિંગ્સ, મૂળ ગુજરાતી નાટકમાં વપરાયેલાં ગીતનાં રેકોર્ડિંગની નકલ વગેરે મળીને જે ડોક્યુમેન્ટ્સ હતાં તેનું વજન કમસે કમ વીસ કિલો જેટલું હતું!" ડો. બ્રહ્મભટ્ટ હસી પડે છે, "ફિલ્મ એસોસિયેશનની ટીમમાં ડો. અચલા નાગર હતાં, જે તે વખતે એસોસિયેશનનાં પ્રેસિડન્ટ પણ હતાં. 'બાગબાન' ફિલ્મ એમણે લખી છે. એસોસિયેશનની ટીમમાં કવિ પ્રદીપનાં પુત્રી ઉપરાંત એક ૮૪ વર્ષના સજ્જન પણ હતા. યોગાનુયોગે અગાઉ મારા દાદા ખુદ આ કેસ લડી રહ્યા હતા ત્યારે એસોસિયેશનની જે ટીમ બની હતી તેમાં પણ આ વયોવૃદ્ધ આદમી હિસ્સો હતા. તેમને કિસ્સો યાદ હતો. એમણે તરત કહ્યું કે આ કેસનો ચુકાદો તો એક વાર ઓલરેડી આવી ચૂક્યો છે. એસોસિયેશનના રેકોર્ડમાંથી પણ એની નોંધ નીકળી. 'મોહે પનઘટ પે...'ના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ છે તે ફરી એક વાર પુરવાર થયું. ધારો કે પુરવાર થયું ન હોત તો મારા દાદાના નામ માટે હું આખી જિંદગી લડયો હોત. મારા પછી મારા દીકરાએ અને પૌત્રે લડાઈ આગળ વધારી હોત. મને બરાબર યાદ છે, ડો. અચલા નાગરની આંખોમાં તે દિવસે આંસુ હતાં. તેમણે કહ્યું કે કોઈ માણસે પોતાના દાદાના આત્મસન્માન માટે આટલી મહેનત કરી હોય તેવું મેં અગાઉ જોયું નથી! "

થોડા અરસા પછી નવી 'મોગલ-એ-આઝમ'ની ટીમ તરફથી ફિલ્મના કેલેન્ડર ઉપરાંત એક ખૂબસૂરત સોવેનિયર પ્રકાશિત કરવામાં આવ્યું. તેમાં સાદર નોંધ લેવાઈ કે, 'મોહે પનઘટ પે નંદલાલ...' ગીતના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ છે. ફિલ્મની નવી ડીવીડી તેમજ મ્યુઝિક આલબમના કવર પર કવિનું નામ માનભેર મુકાયં. ૪૫ વર્ષ પછી ગીતને વિધિવત્ ઓળખ મળી. દાદાની ગરિમા માટે શરૂ થયેલી લડાઈમાં આખરે પૌત્રની જીત થઈ!
Sanjay Leela Bhansali

'મન મોર બની થનગાટ કરે...'ના કિસ્સામાં પ્રશ્ન જલદી ઉકેલાઈ ગયો તે સારું થયું. મ્યુઝિક આલબમના જેકેટ પર ગીતના નામ પછી કૌંસમાં જ્યાં 'ટ્રેડિશનલ' લખાયું છે ત્યાં મેઘાણીનાં નામનું સ્ટીકર મૂકવાનો આઈડિયા અવ્યવહારુ લાગતું હોય તો ભવિષ્યમાં બહાર પડનારી સીડીની તમામ બૅચમાં મેઘાણીનું નામ પ્રિન્ટમાં છપાઈ જવું જોઈએ. ફિલ્મ રિલીઝ કરવાનો દિવસ નજીક આવતો જશે તેમ તેમ સંજય ભણસાલી પ્રિન્ટ મીડિયા અને ટીવી ચેનલોને ખૂબ બધા ઈન્ટરવ્યુઝ આપવાના. આમાંની કમ સે કમ અમુક મુલાકાતોમાં જો તેઓ ઝવેરચંદ મેઘાણીનો માનભેર ઉલ્લેખ કરશે તો સમજી લેવાનું કે એક સમયે ઉત્તમ કલાકાર તરીકે આપણે જેમને પોંખેલા એ સંજય લીલા ભણસાલીનો માંહ્યલો હજુ સંપૂર્ણપણે કરપ્ટ થયો નથી. 
                                         0 0 0