Showing posts with label Yogesh Cholera. Show all posts
Showing posts with label Yogesh Cholera. Show all posts

Tuesday, September 11, 2012

આપણને પ્રસન્ન થતાં રોકે છે કોણ?


 ચિત્રલેખા - અંક તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું 
                                                   

‘માણસ ત્રણ ‘વિ’માં જીવે છે. ઘણા માણસો વિદ્રોહમાં જીવે છે, ઘણા માણસો વિનોદમાં જીવે છે અને ઘણા માણસો વિસ્મયમાં જીવે છે.’

ક્યારેક વાક્યની રચના કે વાતને રજૂ કરવાની શૈલી એને કહેનારની ઓળખ બની જતી હોય છે. ઊપરનાં વિધાન વાંચતાની સાથે મનમાં મોરારીબાપુનું ચિત્ર ન ઊપસે તો જ આશ્ચર્ય! આજે જે બે પુસ્તકોની વાત કરવી છે એમાં પહેલાં પાનાંથી છેલ્લાં પૃષ્ઠ સુધી મોરારીબાપુ હાજરાહજૂર એટલા માટે છે કે આ પુસ્તકોનો મુખ્ય આધાર એમની રામકથાઓ છે.

‘આનંદ રાહ બતાવે રામાયણ’ પુસ્તકમાં મોરારીબાપુ કહે છે કે નંદવાય નહીં તે પ્રસન્નતાનું નામ આનંદ! પ્રસન્નતા ક્યારેય જન્મ લેતી નથી. તે તો સદા હાજર જ છે. પ્રસન્નતાનું તો પ્રગટીકરણ થાય છે. આનંદ તો આપોઆપ ફૂટે છે. પ્રસન્ન એ છે જે સમતામાં જીવે છે. પ્રસન્ન એ છે જે બીજાના અવગુણો નહીં, ગુણો જોયા કરે. એમાં ખોટું શું એ ન જુએ, ખરું કેટલું એ જોયા કરે. મરવાની પણ ફૂરસદ ન હોય એ પ્રસન્ન છે. પોતે અપ્રસન્ન રહેવું અને બીજાને અપ્રસન્ન કરવાં એ બન્ને મોટામાં મોટાં પાપ છે.

પ્રસન્નતાનાં સાત લક્ષણો છે: ગુણગ્રહીતા, આનંદસભરતા, રસસભરતા, હૃદયસભરતા, સમતાસભરતા, કર્મસભરતા અને પ્રેમસભરતા. મોરારીબાપુ હરખ અને પ્રસન્નતા વચ્ચે સુંદર વિભાજનરેખા દોરી આપે છે. એ કહે છે કે, ‘હરખાવું એ પ્રસન્નતા નથી. પ્રસન્ન થવું અને હરખાવું એમાં બહુ અંતર છે. હરખાવું એ મનનું લક્ષણ છે - મનનું ક્ષેત્ર છે, જ્યારે પ્રસન્નતા એ ચિત્તનું લક્ષણ છે. આપણને લાભ થાય અને આપણે જે ખુશી અનુભવીએ એ હરખ કહેવાય. બીજાને લાભ થાય અને આપણને જે ખુશી થાય એને પ્રસન્નતા કહેવાય.’

મોરારીબાપુની ધારદાર રમૂજવૃત્તિ વિખ્યાત છે. એ હળવા સૂરે ઉમેરી દે છે કે, ‘તમને ખાનગીમાં કહી દઉં કે માણસ હસે તોય રૂડો ન લાગેને તો એનો ભરોસો ન કરવો!’



‘સુખ-દુખ આનંદના સહોદર’ વિભાગમાં પ્રારંભમાં જ કહેવાયું છે કે અસ્તિત્ત્વે દુખની વ્યવસ્થા કરી જ નથી. દુખની વ્યવસ્થા માણસના મલિન મને કરી છે. પ્રસન્નતા, સુખ અને આનંદ માટેની પૂર્વશરત છે, શાંતિ. શાંતિ વગર પ્રસન્નતા અને સુખ મળશે નહીં અને મળશે તો ટકશે નહીં. માણસની દુખી થવાની પૂર્વતૈયારી જ એને દુખી કરે છે. જેને દુખી નથી થવું એને ઈશ્વર પણ દુખી કરી શકતો નથી! આટલું કહીને મોરારીબાપુ ઉમેરે છે:

‘સમજદારી સાથે જે ભૂલ થાય છે, તે દુખ ઉત્પન્ન કરે છે. આપણા જીવનના મોટા ભાગનાં દુખો ભૂલનું જ પરિણામ હોય છે. ક્યાંક હિસાબમાં ગરબડ છે. આ દુખો ટકાઉ નથી. ભુલ સુધરી, દુખ ગયું. અસત્ય બોલ્યા, ભૂલ કરી, તે ભૂલનું સત્ય બોલો તો દુખ ગયું. દુખ ભોગવો છો તો તે તમારા વિલંબના કારણે છે. ભૂલ સુધરી, દુખ ગયું એ સૂત્ર પાકું છે. કોઈ કોઈને સુખ નથી આપતું. કોઈ કોઈને દુખ નથી આપતું. સુખ અને દુખના દાતા કોઈ નથી. સુખ અને દુખ વ્યવહારનું સત્ય છે. પ્રત્યેક વ્યક્તિના સુખનું મૂળ એ છે કે જીવનમાં પ્રામાણિકતા હોય. જીવનમાં સત્ય છે એ જ સુખ છે, બાકી સુવિધા છે.’

મોરારીબાપુની શબ્દોની પસંદગી અને ભાષા પરનું પ્રભુત્વ શ્રોતાને (અને વાચકને) હંમેશાં પ્રસન્ન કરી મૂકે છે. ગુજરાતી ભાષા જાણે સંપૂર્ણ અભિજાત્ય અને ગરિમા સાથે મન મૂકીને મનોહર નર્તન કરી રહી હોય એવું વાતાવરણ મોરારીબાપુ અત્યંત સહજ રીતે સર્જી જાણે છે. આ પુસ્તકોનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એની અપીલ કેવળ મોરારીબાપુના નિયમિત ભક્તો પૂરતી સીમિત નથી, બલકે હળવા ચિંતનાત્મક વાંચનમાં રસ ધરાવતી કોઈપણ ઉંમરની વ્યક્તિ પર એ ચોટદાર અસર કરી શકે છે.

બીજું પુસ્તક ‘જીવન રાહ બતાવે રામાયણ’ બાર પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જીવન કોને કહેવાય? જીવન એને કહેવાય, જ્યાં કોઈપણ પ્રકારનો અભાવ ન હોય. જ્યાં સુધી કોઈ ને કોઈ અભાવ છે ત્યાં સુધી જીવન પૂર્ણ નથી. બીજી વ્યાખ્યા છે, જ્યાં પરાધીનતા ન હોય, એનું નામ જીવન. પરાધીનતા જીવનનો પરિચય નથી. જે જીવનમાં મૂર્છા નથી, નિરંતર ચૈતન્યનો અગ્નિ પ્રજ્વલિત છે એ સ્થિતિ પણ જીવનની સમાનાર્થી છે. જ્યાં રસિકતા હિલોળે ચડતી હોય અને જ્યાં શાંતિની, ભક્તિની, શક્તિની શોધ ચાલતી હોય એ જીવન!



આ પુસ્તકોમાંથી પસાર થતી વખતે, અચાનક જ, બજારમાં ઉપલબ્ધ પ્રેરણાનાં કેટલાય પુસ્તકો પોલાં લાગવા માંડે છે. એનું કારણ એ છે કે આ પુસ્તકોનો પાયો રામાયણ તેમજ અન્ય ધર્મગ્રંથો છે અને આ શબ્દો કહેનારી વ્યક્તિ એનાં સત્ત્વ-તત્ત્વને પચાવી ચૂકી છે, એનાથી સંપૂર્ણપણે રસાયેલી છેે. મોરારીબાપુ સ્વયં કહે છે કે  મેં પુસ્તકો બહુ વાંચ્યાં નથી, પણ દુનિયાભરમાં ફરીને માણસોનાં મસ્તક ખૂબ વાંચ્યાં છે! વ્યાવહારિકતાના આધારે પર ઊભેલી એમની વાતો સાથે સતત રિલેટ કરી શકાય છે. આ રૂપકડાં પુસ્તકોનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એની અપીલ કેવળ મોરારીબાપુના નિયમિત ભક્તો પૂરતી સીમિત નથી, બલકે જીવનકેન્દ્રી અને સત્ત્વશીલ વાંચનમાં રસ ધરાવતી કોઈપણ ઉંમરની વ્યક્તિ પર એ ચોટદાર અસર કરી શકે છે.

 સૂઝપૂર્વક તૈયાર થયેલાં આ પુસ્તકો વાસ્તવમાં અંગ્રેજી સહિત ચાર ભાષામાં પ્રગટ થનારી પાંચ પુસ્તકોની શ્રેણીની પ્રથમ બે કડી છે. સંપાદક-પ્રકાશક યોગેશ ચોલેરા ‘ચિત્રલેખા’ને કહે છે: ‘બાપુની ૩૦૯ જેટલી કથાઓ, એમણે જુદા જુદા પ્રસંગોએ આપેલાં પ્રવચનો, મુલાકાતો, અખબારી અહેવાલો, અમુક વેબસાઈટ્સ પર મૂકાયેલું ક્ધટેન્ટ, કોલમ, બાપુએ લખેલાં જૂનાં પત્રો વગેરેમાંથી આ પુસ્તકોની સામગ્રીનું ચયન કરવામાં આવ્યું છે. આ શ્રેણી પોણા-બે વર્ષની મહેનતનું પરિણામ છે.’

વેલ, મહેનત લેખે લાગી છે.  વારંવાર વાંચવાં ગમે એવાં સુંદર પુસ્તકો!  0 0 0


 આનંદ રાહ બતાવે રામાયણ / જીવન રાહ બતાવે રામાયણ 

વકતા-લેખક : મોરારિબાપુ
સંપાદક : યોગેશ ચોલેરા
પ્રકાશક: વંડરલેન્ડ પબ્લિકેશન્સ, રાજકોટ-૧
વિક્રેતા:  બુકમાર્ક, આશ્રમ રોડ, અમદાવાદ-૯
ફોન: (૦૨૮૧) ૩૦૫૩૫૭૭, (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭
પ્રત્યેક પુસ્તકની કિંમત:   ૧૬૦ /
પૃષ્ઠ: અનુક્રમે ૨૧૦ અને ૧૯૪




Friday, March 25, 2011

ઊંઘતા માણસને સમણાં સિવાય બીજું કંઈ મળતું નથી

Baby with a bat : Sachin Tendulkar
ચિત્રલેખા અંક તારીખ 4 એપ્રિલ 2011માં પ્રકાશિત



કોલમઃ વાંચવા જેવું



'ભૂલો હંમેશા ક્ષમ્ય હોય છે જો માણસમાં ભૂલ કબૂલ કરવાની હિંમત હોય તો..’






'હું ભારત માટે ક્યારે રમીશ?’

એક નાનકડા છોકરો પોતાને ક્રિકેટ શીખવતા મોટો ભાઈને હંમેશા આ સવાલ કરતો. તે એટલો નાનો હતો કે સાચું પૂછો તો ભારત માટે રમવું એટલે શું એની પણ એને ખબર નહોતી. નર્સરીમાં જતું બાળક  ‘માલે મોટા થઈને ડોક્ટલ બનવું છે’ કહે એના જેવી આ વાત હતી. પણ ક્યારેક સાવ કૂમળી ઉંમરે ઉચ્ચારાતી કાલી કાલી ભાષામાં આખી જિંદગીનો નક્શો દોરાઈ જતો હોય છે. આ બમ્બૈયા છોકરાના કિસ્સામાં એવું જ થયું. વર્ષો પછી તે ખરેખર ટીમ ઈન્ડિયામાં સામેલ થયો, એટલું જ નહીં, વિશ્વક્રિકેટના મહાનતમ ખેલાડીઓની સૂચિમાં ક્રમશઃ હકથી સ્થાન પણ પામ્યો. આ  છોકરો એટલે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર!

યોગેશ ચોલેરા દ્વારા સંકલિત ‘લાઈફ ઈઝ એ ગેમ’ પુસ્તકનાં પાનાં રસપૂર્વક ઊથલાવતાં જાઓ એટલે સચિન જેવા દુનિયાભરના સ્પોર્ટસ લેજન્ડ્સની આવી કેટલીય વાતો અને વિગતો તમારી આંખ સામે ઊપસતાં જાય. અદમ્ય જુસ્સો, પ્રચંડ સંકલ્પશક્તિ, પોઝિટિવ આક્રમકતા, છેલ્લી ક્ષણ સુધી હાર ન માનવાની વૃત્તિ... આ ઉત્કૃષ્ટ માનવીય ગુણો સ્પોર્ટ્સમાં જેટલી આકર્ષક રીતે ઉભરે છે એટલા કદાચ બીજી કોઈ ચીજમાં ઉભરતા નથી. અત્યારે વર્લ્ડ કપ ફિવર જોરદાર ફેલાયેલો છે ત્યારે ૩૩ જેટલી રમતોના ૧૨૪ જેટલા મહાન ખેલાડીઓના ખુદના અવતરણોમાં પેશ થતી એમની પ્રેરક વાતો ઓર અપીલ કરે છે.

Sir Don Bradman

Maradona in his childhood
  સચિન તો ભાગ્યશાળી હતો કે તેને નાનપણથી ક્રિકેટની તાલીમ મળવા લાગી હતી, પણ એક શ્રમિક ઓસ્ટ્રેલિયન પિતાના પુત્ર એવા મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડોન બ્રેડમેનને કદી ક્રિકેટનું કોચિંગ મળ્યું નહોતું. બેટ કેમ પકડવું એ એમને કદી શીખવવામાં આવ્યું નહોતું.  હોકી લેજન્ડ ધનરાજ પિલ્લૈ કહે છે, ‘હોકી તો મારા લોહીમાં હતી, પણ હોકીની સ્ટિક ખરીદવા અમારી પાસે પૈસા નહોતા. આથી હું અને મારો ભાઈ ભાંગેલી તૂટેલી સ્ટિકોને દોરી બાંધીને તેનાથી હોકી રમતા.’ ૧૫ વર્ષની ઉંમરે પ્રોફેશનલ ફૂટબોલર બની ગયેલો આર્જેન્ટિનાના ઓલ-ટાઈમ-ગ્રેટ ફૂટબોલર  ડિયેગો મેરેડોના અંધારામાં ફૂટબોલ રમતા શીખ્યા છે. એ કહે છે, ‘મારા ઘરની પછવાડે ફોર્થ લીગની ટીમનું સ્ટેડિયમ હતું. હું દિવસ આખો ફૂટબોલ રમતો અને બીજા છોકરાઓ ઘરે જાય પછી રોકાઈને બે કલાક અંધારામાં રમતો. અંધારામાં મને કંઈ દેખાતું નહીં તો પણ હું ગોલ તરફ કિક મારતો. દસ વર્ષ પછી મેં આર્જેન્ટિના જુનિયર્સ માટે કોન્ટ્રેક્ટ સાઈન કર્યો ત્યારે મને સમજાયું કે અંધારામાં ખેલેલા દડા કેટલા સચોટ હતા.’


Serena Williams
 ખરેખર, એકાગ્રતા એ ઉત્કૃષ્ટ સ્પોર્ટસપર્સનનો મહત્ત્વનો ગુણ છે. ટેનિસ પ્રિન્સેસ સેરેના વિલિયમ્સ એકાગ્રતાની સરસ વ્યાખ્યા કરે છેઃ ‘કોઈ શેરીમાં બંદૂકના ધડાકા કરતું હોય ત્યાર જો તમે ટેનિસ રમવાનું ચાલુ રાખી શકો, તો એનું નામ એકાગ્રતા.’ સેરેનાનું આ ક્વોટ પણ બહુ સુંદર છેઃ ‘ઊંઘતા માણસને સમણાં સિવાય બીજું કંઈ મળતું નથી...’ સમણું તો છે, પણ તે સાકાર કરવાનો સમય ન મળે એ વાત ખોટી. શતરંજ કે ખિલાડી નંબર વન ગેરી કાસ્પારોવ કહે છે, ‘તમે જો એમ કહો કે તમારી પાસે પૂરતો સમય નહોતો તો એનો અર્થ એ થયો કે તમે સુવ્યવસ્થિત નહોતા.’


Larissa Latynina
 પુસ્તકમાં માત્ર સ્પોર્ટ્સ પીપલનાં અવતરણો નથી, બલક્ે તેમના જીવન અને કરીઅરની વિગતો પણ છે. જેમ કે, જીમનેસ્ટિક્સમાં અમીટ સ્થાન બનાવનાર રશિયન ખેલાડી લેરિસ્સા લેટીનિનાએ ઓલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ અને યુરોપિયન ચેમ્પિયનશિપ્સ આ ત્રણેયમાં થઈને અધધધ ૨૬ ગોલ્ડમેડલ, ૧૪ સિલ્વર મેડલ અને ૬ બ્રોન્ઝ મેડલ જીત્યા છે! દુનિયાના બીજા કોઈ એથ્લેટે કોઈપણ સ્પોર્ટમાં ઓલિમ્પિક્સમાં લેરિસ્સા જેટલા મેડલ્સ જીત્યા નથી (નવ સુવર્ણ, પાંચ રજત, ૪ કાંસ્ય). ૧૯૫૮માં વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં છમાંથી પાંચ સ્પર્ધામાં વિજેતા બની ત્યારે લેરિસ્સા લેટીનિના સગર્ભા હતી! શ્રેષ્ઠ સ્ત્રીખેલાડીઓની કરીઅરમાં ગર્ભાવસ્થા અને પૂર્ણવિરામ માત્ર અલ્પવિરામ હોઈ શકે, પૂર્ણવિરામ નહીં. મેરેથોન ક્વીન તરીકે જાણીતી ઈથિયોપિયાની ડેરાર્ટ તુલ્લુ પ્રસૂતિને કારણે સ્પોર્ટની બહાર થઈ ગઈ હતી, પણ થોડા અરસા પછી તે પાછી ફરી અને ગોલ્ડમેડલ પણ જીત્યો. એ કહે છે, ‘કોઈ પણ ઉંમરે કશું પણ સિદ્ધ કરવું શક્ય છે.’

મહાન ખેલાડીઓ ‘અશક્ય’ શબ્દને પોતાની ડિકશનરીથી દૂર રાખતા હોય છે. સુપર સ્ટાઈલિશ ઇંગ્લિશ ફૂટબોલર ડેવિડ બેકહેમ કહે છે, ‘અશક્ય એટલે શું? પોતે જે પરિસ્થિતિમાં હોય તેને બદલવા માટેની પોતાની શક્તિઓની તલાશ કરવાને બદલે તેમાં જ જીવવાનું વધુ આસાન માને છે એવા નાના માણસો દ્વારા આમતેમ ફેંકાતો એક શબ્દ માત્ર.’

મહાન સ્પોર્ટસમેન કોને કહેવાય? અમેરિકન ટેનિસ પ્લેયર માર્ટિના નવરાતિલોવા પાસે એનો ઉત્તર છે, ‘પોતે શ્રેષ્ઠ ફોર્મમાં હોય ત્યારે નહીં, પણ ખરાબમાં ખરાબ ફોર્મમાં હોય ત્યારે પણ ઉત્તમ પર્ફોર્મન્સ આપી શકે તે મહાન સ્પોર્ટ્સમેનની નિશાની છે.’ શું ઊંચાઈ પર પહોંચી ચૂકેલા ખેલાડીઓને સતત એવું લાગતું હોય છે કે પોતે સમવન સ્પેશિયલ છે? ક્રિકેટર બ્રાયન લારા કહે છે, ‘હું ખાસ છું એવું મેં કદી વિચાર્યું જ નહોતું. મેં તો મારી રમત માટે સજ્જ થવા સખત મહેનત કરી અને આ પ્રક્રિયામાં આનંદ માણ્યો. હું તો એમ જ માનું છું કે તમારી મજલના દરેક પગલે તમે સખત મહેનત કરો, અને એમ કરવામાં આનંદ માણો. તેનું પરિણામ ક્યારેક અલૌકિક હોય છે, અને બધા એથી આશ્ચર્યચકિત થાય છે.’

એકધારી સફળતા અને ખ્યાતિ ક્યારેક સ્પોર્ટ્સમેનનું દિમાગ ખરાબ કરી દેતાં હોય છે. માર્શલ આર્ટ્સને વિશ્વના નકશા પર મૂકી દેનાર બ્રુસ લી કહે છે, ‘તામસી સ્વભાવ તમને જલદી મૂર્ખ બનાવશે. મૂર્ખ માણસ શાણપણભરી પરિસ્થિતિમાંથી જેટલું શીખી શકશે તેના કરતા શાણો માણસ મૂર્ખાર્ઈભરી પરિસ્થિતિમાંથી વધારે શીખી શકશે. ભૂલો હંમેશા ક્ષમ્ય હોય છે જો માણસમાં ભૂલ કબૂલ કરવાની હિંમત હોય તો.’ મહાન બોલર શેન વોર્ન એટલે જ કહે છે, ‘મારામાં ગઈ ગુજરીને ઝડપથી ભૂલી જવાની માનસિક ક્ષમતા હતી. અરેર! આ મેં શું કર્યું? એમ વિચારતા બેઠા રહેવાનો કોઈ અર્થ નથી. તમારે આગળ વધવું જ રહ્યું.’ 


Dhyan Chand
 સંકલનકાર અને સહપ્રકાશક યોગેશ ચોલેરા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘નાનપણથી જ મને વાંચવાનો અને સફળ લોકોનાં અવતરણો એકઠા કરવાનો ખૂબ શોખ. ત્રણ વર્ષ પહેલાં અમે વિષયવાર અવતરણોનાં પુસ્તકોની શૃંખલા શરૂ કરી હતી તેનું આ ચોથું પુસ્તક. દુનિયાભરનાં સ્પોર્ટ્સ સામયિકો સદીના ઉત્તમ ખેલાડીઓની પોતપોતાની યાદી બહાર પાડતાં હોય છે. આ યાદીઓનો આધાર લઈને સૌથી પહેલાં તો અમે ૫૦૦થી ૭૦૦ સ્પોર્ટ્સ પીપલની સૂચિ તૈયાર કરી રિસર્ચ શરૂ કર્યું. શોર્ટ લિસ્ટિંગ કરીને જેતે ખેલાડી સંબંધિત પુસ્તકો, ખાસ કરીને જીવનકથાઓ મગાવી. અમુક ખેલાડી વિશે સામગ્રી એકઠી કરવાનું ખૂબ અઘરું પૂરવાર થયું. જેમ કે ધ્યાનચંદની ‘ગોલ’ નામની જીવનકથા ક્યાંય ઉપલબ્ધ નહોતી. આખરે બેંગાલ હોકી અસોસિયેશનના પ્રેસિડેન્ટે તે પુસ્તિકાની ઝેરોક્સ કરાવીને મને મોકલી! અમુક પુસ્તકો ચીન, રશિયન કે કોરિયન જેવી ભાષામાં જ ઉપલબ્ધ હોય. આવા કેસમાં હું ઓનલાઈન કમ્યુનિટીની મદદ લઉં એને જેતે લખાણનો ઇંગ્લિશ અનુવાદ મેળવું. ઈન્ટરનેટ પર અવેલેબલ સામગ્રીનો પણ ઉપયોગ થાય, પણ ક્યાંય માહિતીદોષ ન રહી જાય માટે જુદા જુદા સોર્સનો ઉપયોગ કરીને વિગતોને વેરીફાય જરૂર કરવામાં આવે. આખરે છએક મહિનાની જહેમત બાદ પહેલાં અંગ્રેજીમાં અને પછી ગુજરાતી, હિન્દી અને મરાઠીમાં આ પુસ્તક બહાર પડ્યું.’

સંકલનકારની જહેમત આ રૂપકડાં પુસ્તકનાં પાને પાને વર્તાય છે. પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ જોકે હજુ વધારે પ્રવાહી અને સહજ થઈ શક્યો હોત. આ સત્ત્વશીલ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે જેમને સ્પોર્ટ્સમાં બહુ રસ ન હોય તેવા વાચકોને પણ તે સ્પર્શી જશે. સફળ અને પ્રેરણાદાયી વ્યક્તિઓની આ જ તો કમાલ છે! 

(લાઈફ ઈઝ એ ગેમ

સંકલનકાર: યોગેશ ચોલેરા
અનુવાદકઃ દિનેશ રાજા

પ્રકાશકઃ વંડરલેન્ડ પબ્લિકેશન,
૪૦૧-બી, સર્વોત્તમ કોમ્પલેક્સ, પંચનાથ મેઈન રોડ, રાજકોટ-૧
ફોનઃ (૦૨૮૧) ૩૦૫૩૫૭૭ 

કિંમતઃ રૂ. ૨૯૫/
પૃષ્ઠ સંખ્યાઃ ૨૪૮)