Showing posts with label Nobel Prize. Show all posts
Showing posts with label Nobel Prize. Show all posts

Wednesday, October 16, 2019

2018માં બૂકર, 2019માં નોબલ!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 16 ઑક્ટોબર 2019, બુધવાર
ટેક ઓફ 
શું લેખકની સર્જકતા અને એની વ્યક્તિગત રાજકીય માન્યતાને એકમેકથી અલગ કરીને મૂલવવી જોઈએ? શું આ બન્ને એકમેકથી તદ્દન ભિન્ન બાબતો છે? કે પછી, બન્નેનો થોડો વિસ્તાર અનિવાર્યપણે એકબીજા પર ઓવરલેપ થતો હોય છે?


તો, આ વખતે સાહિત્ય ક્ષેત્રનાં એક નહીં, પણ બે નોબલ પ્રાઇઝ વિનર ઘોષિત થયાં - 2018 માટે પૉલેન્ડનાં લેખિકા ઓલ્ગા તોકારતુક અને 2019 માટે ઑસ્ટ્રિયાના પીટર હન્ડકે. 57 વર્ષનાં ઓલ્ગા (એમની અટકનો સ્પેલિંગ અતિ વિચિત્ર છે, પણ ઉચ્ચાર તોકારતુક એવો થાય છે) મુખ્યત્ત્વે નવલકથાઓ, નવલિકાઓ અને નિબંધો લખે છે. તેઓ એક્ટિવિસ્ટ પણ છે. 76 વર્ષીય પીટરની ક્રિયેટિવિટી નવલકથા, નાટક અને કવિતામાં ખીલે છે. તેઓ અનુવાદો પણ કરે છે અને એમણે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી છે.
નોબલવિનર તરીકે પીટર હન્ડકેનું નામ ઘોષિત થતાં ઑસ્ટ્રિયા આનંદથી ઝુમી ઉઠ્યું, પણ સાથે સાથે  વિવાદ પણ પેદા થઈ ગયો. પીટર આમેય પહેલેથી કન્ટ્રોવર્શિયલ લેખક રહ્યા છે. અલ્બેનિયાના પ્રાઇમ મિનિસ્ટરે ટ્વિટ કર્યું કે, મેં સપનામાં પણ નહોતું વિચારેલું કે ક્યારેક એવો દિવસ પણ આવશે કે જ્યારે નોબલવિનરનું અનાઉન્સમેન્ટ સાંભળીને મને ઊલટી કરવાનું મન થાય. અલ્બેનિયાના ફોરેન મિનિસ્ટરે ટ્વિટર પર શેઇમ શેઇમના પોકાર કર્યા, તો કોસોવોના પ્રેસિડન્ટે લખ્યું કે પીટરને વિજેતા તરીકે પસંદ કરીને નોબલની કમિટીની હત્યાકાંડનો ભોગ બનેલા અસંખ્ય લોકોને ખૂબ દુખ પહોંચાડ્યું છે.
ક્યો હત્યાકાંડ? જર્મન ભાષામાં લખતા પીટર હન્ડકે શા માટે એક વિવાદાસ્પદ લેખક ગણાય છે? 1995માં યુગોસ્લાવિયાના યુદ્ધ દરમિયાન સર્બિઅન સૈનિકોએ બોસ્નિયાના આઠ હજાર મુસ્લિમોને હણી નાખ્યા હતા. આ જીનોસાઇડ એટલે કે વાંશિક હત્યાકાંડ હતો. સ્લોબોડન મિલોસેવિક નામનો રાજકારણી, કે જે પછી સર્બિયાનો પ્રેસિડન્ટ બન્યો, તે આ હત્યાકાંડ માટે જવાબદાર ગણાયો. સ્લોબોડન મર્યો ત્યાં સુધી વૉર ક્રિમિનલ તરીકે બદનામ રહ્યો. પીટર હન્ડકેને જોકે એના પ્રત્યે જબરી સહાનુભૂતિ હતી. સ્લોબોડનનાં અંતિમ સંસ્કાર વખતે પીટર હાજર રહ્યા હતા અને જાહેરમાં એવા મતલબનું બોલ્યા હતા કે મુસ્લિમોના હત્યાકાંડવાળી આખી વાત જ ખોટી છે, ઊપજાવી કાઢેલી છે. એ તો મુસ્લિમો જ આપસમાં લડીઝઘડીને અલ્લાહને પ્યારા થયા હતા. પછી જોકે આ અવળવાણી ઉચ્ચારવા બદલ પીટરે જાહેરમાં માફી પણ માગી હતી.
શું માણસની સર્જકતા અને એની વ્યક્તિગત રાજકીય માન્યતાને એકમેકથી અલગ કરીને મૂલવવી જોઈએ? શું આ બન્ને એકમેકથી તદ્દન ભિન્ન બાબતો છે? કે પછી, બન્નેનો થોડો વિસ્તાર એકબીજા પર અનિવાર્યપણે ઓવરલેપ થતો હોય છે?
ઓલ્ગા તોકારતુકની એક નવલકથા ભૂતકાળમાં પ્રતિબંધિત થઈ ચુકી છે, પણ તેઓ પીટર હન્ડકે જેટલાં કન્ટ્રોવર્શિયલ ક્યારેય નહોતાં. ઓલ્ગાનો સિતારો બુલંદી પર ઝળહળી રહ્યો છે. ગયા વર્ષે જ એમને ફ્લાઇટ્સ નામની નવલકથા માટે મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ મળ્યું હતું. નોબલ પ્રાઇઝ પણ એમને ગયા વર્ષે જ મળવાનું હતું, પણ કશાક કારણસર ઘોષણા એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી. એક જ વર્ષમાં બૂકર પ્રાઇઝ અને નોબલ પ્રાઇઝ બન્નેના હકદાર બનવું... એક લેખક માટે સિદ્ધિ અને સ્વીકૃતિની આ ચરમ સીમા છે!
ઓલ્ગા તોકારતુક પૉલેન્ડમાં દાયકોઓથી સેલિબ્રિટીનું સ્ટેટસ ભોગવે છે. એમનાં માતાપિતા બન્ને ટીચર હતાં. એમનાં ઘરમાં કબાટો પુસ્તકોથી ભરાયેલાં રહેતાં. આથી ઓલ્ગાને વાંચવા-લખવાનાં સંસ્કાર નાનપણથી જ મળ્યાં હતાં. સાઇકોલોજીનું ભણ્યા પછી તેઓ એક હૉસ્પિટલમાં થેરાપિસ્ટ તરીકે જોડાયા. દરમિયાન સાથી સાઇકોલોજિસ્ટ સાથે લગ્ન કર્યાં, એક પુત્રને જન્મ આપ્યો. પાંચ વર્ષ પછી એમણે નોકરી છોડી દીધી. શા માટે? કારણ કે એક માનસિક દર્દીના ઉપચાર દરમિયાન એમને લાગ્યું કે આના કરતાં તો હું વધારે ડિસ્ટર્બ્ડ છું! જૉબ છોડ્યાં પછી એમણે લખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 27 વર્ષની ઉંમરે એમનો કવિતાસંગ્રહ બહાર પડ્યો હતો. તે પછી પહેલી નવલકથા બહાર પડી, જેનું અંગ્રેજી ટાઇટલ છે, ધ જર્ની ઓફ ધ પીપલ ઓફ ધ બુક. એમાં સત્તરમી સદીના ફ્રાન્સની વાત હતી. આ નવલકથાને બેસ્ટ ડેબ્યુ (નવોદિત) અવૉર્ડ મળ્યો. ઓલ્ગા લખતાં રહ્યાં, પ્રતિષ્ઠિત પારિતોષિકો જીતતાં રહ્યાં. છેલ્લાં કેટલાંક વર્ષોથી એમની કૃતિઓનો અંગ્રેજીમાં અનુવાદ થવાનું શરૂ થયું ને ક્રમશઃ આખી દુનિયાનું ધ્યાન એમના તરફ ખેંચાયું.     
        
ઓલ્ગાની કથાઓમાં પાત્રો સતત પ્રવાસ કરતા હોય છે. લખવાનું શરૂ કર્યું ત્યારથી જ યાત્રા (બાહ્ય અને આંતરિક બન્ને) એમના લખાણની સેન્ટ્રલ થીમ રહી છે. એમને ખુદને પ્રવાસ કરવાનો ખૂબ શોખ છે. તેઓ દુનિયાભરમાં ફરતાં રહે છે. તે પણ એકલાં. પરિવારના સભ્યો કે મિત્રો સાથે પ્રવાસ કરવો અને એકલા પ્રવાસ કરવો – આ બન્ને તદ્દન જુદા અનુભવો છે.       
મનમાં જાગેલા વિચાર છટકી જાય કે ભુલાઈ જવાય તે પહેલાં એને ફટાક કરતાં કાગળ પર ટપકાવી લેવાની ઓલ્ગાને આદત છે. એ રસ્તા પર ચાલતાં હોય, લિફ્ટ કે એસ્કેલેટર પર હોય, ટ્રેનમાં હોય -  મનમાં જે આવ્યું હોય તેને તેઓ તરત ટિશ્યુ પેપર, છાપાની કોરી કિનારી કે બિલનો પાછલો હિસ્સો કે હાથમાં કાગળનો જે કોઈ ટુકડો આવ્યો એના પર નોંધી લે. ઘરે જઈને લખવા બેસે ત્યારે કાગળના આ બધા ટુકડા એકઠા કરીને લખાણને વ્યવસ્થિત આકાર આપે.
ઓલ્ગા એક મુલાકાતમાં તેઓ કહે છે, મધ્ય યુરોપનું સાહિત્ય પશ્ચિમ યુરોપના સાહિત્ય કરતાં ઘણું જુદું છે. સૌથી પહેલાં તો રિયાલિટી પર પશ્ચિમ યુરોપ અને અમેરિકન સાહિત્યકારોને જેટલો ભરોસો છે એટલો અમને નથી. અંગેજીમાં લખતા લેખકો આંતરિક મનોવૈજ્ઞાનિક સત્યોનો ડર રાખ્યા વિના લિનીઅર (સુરેખ, ક્રમબધ્ધ) ફૉર્મમાં લખી શકે છે, પણ મારાં જેવા મધ્ય યુરોપિયન લેખકોમાં એટલી ધીરજ હોતી નથી. અમારો ઇતિહાસ એટલો ઉથલપાથલભર્યો રહ્યો છે કે અમને સતત લાગ્યા કરે કે ક્યાંક કશુંક ખોટું છે. સામે જે દેખાય છે એ એકદમ સીધુંસાદું તો ન જ હોઈ શકે. બીજો ફર્ક એ છે કે પશ્ચિમના લેખકોની સર્જકતાનાં મૂળિયાં સાઇકોએનૅલિસિસમાં દટાયેલાં છે, જ્યારે અમે હજુય પૌરાણિક યા ધાર્મિક રીતે વિચારીએ છીએ.
નોબલ પ્રાઇઝ જે-તે લેખકના સમગ્ર સર્જનને ધ્યાનમાં રાખીને અપાય છે. ઓલ્ગાની ખૂબ જાણીતી અને 900 પાનામાં ફેલાયેલી નવલકથા ધ બુક ઑફ જેકબ્સનું લોકાલ અઢારમી સદીનું પોલેન્ડ છે. થોડાં મહિના પહેલાં ડ્રાઇવ યોર પ્લો નામની નવલકથા અંગ્રેજીમાં અનુદિત થઈને માર્કેટમાં આવી. તે એક એક્ઝિસ્ટેન્શિયલ થ્રિલર છે. એક ખડૂસ સ્વભાવનાં ડોસીમા કોઈ અંતરિયાળ ગામડામાં રહે છે. એમના એક પાડોસી, એક પોલીસ ઓફિસર અને ગામનું મોટું માથું ગણાતા એક માણસનું વારફરતી મર્ડર થઈ જાય છે. આ ઘટનાઓની ડોસીમાના જીવન પર શી અસર પડે છે એની વાત આ કથામાં છે.
ઓલ્ગા પોતાની કથાઓને કોન્સ્ટેલેશન નોવેલ્સ તરીકે વર્ણવે છે. કોન્સ્ટેલેશન એટલે તારાઓનું ઝૂમખું.  ઓલ્ગા કહે છે, જ્યારે આપણે નવલકથા વાંચવાનું શરૂ કરીએ છીએ ત્યારે એવું લાગે કે જાણે આપણા મનમાં એક નવું આકાશ ઊઘડી રહ્યું હોય. બે-પાંચ દિવસ પછી નવલકથાનું નવું પ્રકરણ વાંચવા બેસીએ ત્યારે ફરી પાછા આપણે એ જ જગ્યા પર પહોંચી જઈએ છીએ. આ માનસિક પ્રક્રિયા લેખક નહીં, પણ વાચક ખુદ કરે છે. લેખક તરીકે મારું કામ વાચકોને આ અનુભવ માટેની માત્ર ભુમિકા પૂરી પાડવાનું છે. મને મારા વાચકો પર ભરોસો છે. કેટલાંય વાચકો મારા કરતાંય વધારે બુદ્ધિશાળી છે. હું એમને ઘટનાઓ, સંજ્ઞાઓ, ઇમેજીસ વગરેનું જે ઝુમખું પૂરું પાડું છું એમાંથી તેઓ પોતાની રીતે આકાર ઘડી કાઢે છે. આકાશમાં તારાઓનાં ઝુમખાં જોઈને આપણે એ જ તો કરીએ છીએ. રિયાલિટી સીધી લીટીમાં ચાલતી નથી. આપણે કમ્પ્યુટર પર કામ કરતાં હોઈએ ત્યારે એક વિન્ડો ખોલીએ છીએ, પછી એમાંથી બીજી-ત્રીજી-ચોથી વિન્ડો ઓપન કરતાં જઈએ છીએ, નવો ક્રમ વિકસાવીએ છીએ. આ નવું વાસ્તવ છે. મારી નવલકથાઓના કોન્સ્ટેલેશન ફૉર્મમાં હું વાસ્તવની આ સ્થિતિને જ કેપ્ચર કરવાની કોશિશ કરતી હોઉં છું.
ઓલ્ગાને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર લખવાનું વધારે ગમે છે એટલે ડિટેલિંગને ખૂબ મહત્ત્ત્વ આપે. ધારો કે અઢારમી સદીના પોલેન્ડમાં કોઈ માણસ ખુરસી પર બેઠો બેઠો સીવતો હોય એવું દશ્ય હોય તો એ જમાનામાં ખુરસીની બનાવટમાં કયું લાકડું વાપરવામાં આવતું, ખુરસીના હાથા કેવા રહેતા, સીવણકામ માટે કેવી સોય વપરાતી એ બધું જ ઓલ્ગા પાક્કું રિસર્ચ કરીને શોધી કાઢે. એ જમાનામાં ધાતુની નહીં, પણ લાકડાની સોય વપરાતી. આથી જો ભુલથી લોખંડની સોય લખાઈ ગઈ હોય ઓલ્ગા તેને છેકીને લાકડાની સોય કરી નાખે. નોબલ પ્રાઇઝની કક્ષાના લેખકનું પરફેક્શન પણ એ જ સ્તરનું હોવાનું!
    0 0 0 


Monday, November 7, 2016

ધ ટાઈમ્સ ધે આર અ-ચેન્જિંગ…

Sandesh - Ardh Saptahik Purti - 26 Oct 2016

ટેક-ઓફ

સાહિત્યનું નોબલ પ્રાઈઝ જીતી જનાર ગીતકાર-સંગીતકાર-ગાયક બોબ ડિલન માટે ઘણી વાર ‘શેકસપિયર ઓફ્ અવર ટાઈમ’ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. બોબ, શેકસપિયર જેટલા મહાન છે તે અર્થમાં નહીં, પણ શેકસપિયરની માફ્ક તેઓ પણ પર્ર્ફાેિંમગ આર્ટિસ્ટ છે, તે અર્થમાં. શેકસપિયરની મોટા ભાગની કૃતિઓ વાંચવા માટે નહીં, પણ સાંભળવા અને જોવા માટે રચાયેલી હતી. બોબ ડિલનનું પણ એમ જ છે.


‘અમેરિકન ગીતોની મહાન પરંપરામાં નાવીન્યપૂર્ણ કાવ્યાત્મક અભિવ્યકિતઓનું સર્જન કરવા બદલ સાહિત્યના નોબલ પુરસ્કાર માટે બોબ ડિલનની પસંદગી કરવામાં આવે છે…’
૧૩ ઓકટોબરે આ સત્તાવાર ઘોષણા થઈ ત્યારે કેટલાય લોકોના મનમાં સવાલ જાગ્યા હતાઃ નોબલ પ્રાઈઝ? બોબ ડિલનને? પણ એ કયાં સાહિત્યકાર છે? એ તો સિંગર છે, મ્યુઝિકલ આલબમો બહાર પાડે છે, સ્ટેજ પર લબૂક ઝબૂક ડિસ્કો લાઈટ્સ વચ્ચે હાથમાં ગિટાર પકડીને પર્ફેર્મન્સીસ આપે છે. પોતાના ગીતો જાતે લખે છે એટલે બહુ બહુ તો એમને ગીતકાર કહી શકાય… પણ આ બધા માટે સાહિત્યનું નોબલ પ્રાઈઝ?
આવા પ્રશ્નો એ લોકોને જ થયા છે જે બોબ ડિલનના કામ અને પ્રદાનને સમજતા નથી. બાકી જાણકારો અને બોબ ડિલનની કરિયરને રસપૂર્વક ફેલો કરનારાઓ તો આ અનાઉન્સમેન્ટથી પુલકિત થઈ ગયા છે. મજા જુઓ. દુનિયાભરના મીડિયાએ ફ્ટાફ્ટ આ સમાચાર ચમકાવ્યા, પણ આ લખાઈ રહૃાું છે ત્યાં સુધી, એટલે કે અનાઉન્સમેન્ટના સાત દિવસ પછીય ખુદ બોબ ડિલને નથી ખુશી જાહેર કરી છે કે ન અસ્વીકૃતિ. નોબલ કમિટી ઘાંઘી થઈને ટેલિફેન પર એમનો સંપર્ક સ્થાપવાની કોશિશ કરતી રહી. આખરે માંડ એમના કોઈ મેનેજર પ્રકારની વ્યકિત સાથે ઇ-મેલ દ્વારા થોડું કોમ્યુનિકેશન થઈ શકયું. ખુદ બોબ ડિલને તો કોઈ જાતની પ્રતિક્રિયા નથી જ આપી.  અતરંગી મિજાજના કલાકારોની વાત જ નિરાળી છે, બીજું શું!
વાત સાહિત્યની હોય કે બીજા કોઈ ક્રિયેટિવ ક્ષેત્રની, સમયની સાથે વ્યાખ્યાઓ બદલાતી રહે છે, સીમાડા નવેસરથી ડિફઈન થતા રહે છે. સાહિત્ય એટલે માત્ર લખાતા અને વંચાતા શબ્દો જ નહીં, પણ શબ્દો સાથે પનારો પાડતાં તમામ ક્રિયેટિવ એકસપ્રેશન્સ, જે માણસના મન અને માંહૃાલા સ્પર્શી શકતા હોય, એની સમજને વધારે વિસ્તારી શકતા હોય, એની ચેતનાને ઊંચે લઈ જઈ શકતા હોય તે સઘળું સાહિત્ય છે! અંગ્રેજી કવિતાની ગંભીર એકેડેમિક ચર્ચા ચાલતી હોય ત્યારે વર્ષોથી બોબ ડિલનનો ઉલ્લેખ થતો આવ્યો છે અને લગભગ દર વખતે બોબને ‘કવિ’ તરીકે સ્વીકાર કરવામાં વિરોધીઓ પોતાનો મત વ્યકત કરતા આવ્યા છે. નોબલ કમિટીના આ બોલ્ડ ડિસિઝન પછી આ વાંકદેખાઓની બોલતી ક્મસે કમ હાલ પૂરતી બંધ થઈ ગઈ છે.

બોબ ડિલન માટે ઘણી વાર ‘શેકસપિયર ઓફ્ અવર ટાઈમ’ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. બોબ, શેકસપિયર જેટલા મહાન છે તે અર્થમાં નહીં, પણ શેકસપિયરની માફ્ક તેઓ પણ પર્ર્ફાેિંમગ આર્ટિસ્ટ છે, તે અર્થમાં. શેકસપિયરની મોટા ભાગની કૃતિઓ વાંચવા માટે નહીં, પણ સાંભળવા અને જોવા માટે રચાયેલી હતી. બોબ ડિલનનું પણ એમ જ છે. ભલે બોબની અભિવ્યકિતનું મુખ્ય માધ્યમ તો સંગીત અને ગાયન હોય, પણ એમનાં ગીતો જ્યારે છપાઈને સામે આવે છે ત્યારે કડક વિવેચકોને ય આ રચનાઓના બંધારણ અને લયમાં, ભાષા અને શબ્દોના બહેલાવમાં, સેન્સિબિલિટી અને કૌશલ્યમાં નખશિખ કવિતાનાં દર્શન થાય છે.
બોબ ડિલન જન્મે અમેરિકન છે. રોબર્ટ એલન ઝિમરમન, એમનું સાચું નામ. કોલેજમાં માંડ એકાદ વર્ષ ભણ્યા હશે, પછી આગળ ભણવાનું પડતું મૂકયું ને કામે લાગી ગયા. ૧૯૬૨માં, એકવીસ વર્ષની ઉંમરે તેમનું પહેલુંં મ્યુઝિક આલબમ બહાર પડયું. બોબની તેજસ્વિતા પહેલાં જ આલબમથી પ્રસ્થાપિત થઈ ગઈ હતી.  સાઠના દાયકામાં બોબે લખેલા ગીતો સૌથી અસરકારક પુરવાર થયા, પણ એમના લેટેસ્ટ ગીતો પણ ખાસ્સા પ્રભાવશાળી છે. બોબની કરિઅર અડધી સદી કરતાંય વધારે સમય અંતરાલમાં પ્રસરેલી છે. એમના ગીતોમાં અમેરિકાનો સમકાલીન સામાજિક-રાજકીય માહોલ અને જનતાનો મૂડ સતત ઝિલમિલાતો રહે છે. બોબ એમના ‘પ્રોટેસ્ટ સોંગ્સ’ એટલે કે અન્યાયનો વિરોધ કરતાં વિદ્રોહી ગીતો માટે ખાસ જાણીતા છે.
બોબની કરિઅરના શરૂઆતના વર્ષોમાં જે ગીત સૌથી વધારે ગાજ્યું તે હતું, ‘બ્લોઇંગ ઇન ધ વિન્ડ’. તેના કેટલાક અંશોને પહેલાં અંગ્રેજીમાં માણો-
હાઉ મેની યર્સ કેન અ માઉન્ટન એકિઝસ્ટ
બિફેર ઇટ’સ વોશ્ડ ઇન ધ સી?
હાઉ મેની યર્સ કેન સમ પીપલ એકિઝસ્ટ
બિફેર ધે આર અલાઉડ ટુ બી ફ્રી?
હાઉ મેની ટાઈમ્સ કેન અ મેન ટર્ન હિઝ હેડ
એન્ડ પ્રિટેન્ડ ધેટ હી જસ્ટ ડઝન્ટ સી?
હાઉ મેની ઇયર્સ મસ્ટ વન મેન હેવ
બિફેર હી કેન હિઅર પીપલ ક્રાય?
એન્ડ હાઉ મેની ડેથ્સ વિલ ઇટ વિલ ટેક ટિલ હી નોઝ
ધેટ ટૂ મેની પીપલ હેવ ડાઈડ?
ધ આન્સર માય ફ્રેન્ડ ઇઝ બ્લોઇંગ ઇન ધ વિન્ડ
ધ આન્સર ઇઝ બ્લોઇંગ ઇન ધ વિન્ડ.
ગીત યુદ્ધમાં થતી ખાનાખરાબી, રંગભેદ અને અન્યાયની વાત કરે છે. કહે છે, એક પહાડને ઘસાઈ ઘસાઈને દરિયામાં ભળી જવા માટે કેટલાં વર્ષો-સદીઓ જોઈએ? કેટલાં વર્ષનો કારાવાસ ભોગવીએ તો દમનકારીને લાગે કે બસ, હવે બહુ થયું, હવે આને આઝાદ કરી દેવો જોઈએ? કયાં સુધી પીઠ ફેરવીને, નજર હટાવી લઈને જાણે અમારું અસ્તિત્વ જ નથી એવું નાટક કરતા રહેશો? તમારા બહેરા કાનો પર અમારો અવાજ પડે તે માટે અમારે હજુ કેટલું વધારે આક્રંદ કરવું પડશે? હજુ કેટલી વધારે લાશો પડે તો તમને લાગે કે ઘણાં માણસો મરી ગયા છે? આનો જવાબ છે, મારા દોસ્ત,  બ્લોઇંગ ઇન ધ વિન્ડ… બ્લોઇંગ ઇન ધ વિન્ડ.


‘બ્લોઇંગ ઇન ધ વિન્ડ’ એટલે એકઝેકટલી શું? બોબ ડિલનના આ શબ્દપ્રયોગનું જુદા જુદા લોકોએ જુદું જુદું અર્થઘટન કર્યું છે. એક અર્થ એમ છે કે, આ બધી ફ્રિયાદો કરવાનો કશો અર્થ નથી. સત્તાસ્થાને બિરાજેલા લોકો નીંભર છે, સંવેદનહીન છે. તમારી વેદના સાથે એમને કશી લેવાદેવા નથી. તમારા શબ્દો, તમારો આક્રોશ બારીમાંથી જેમ હવા વહી જાય તેમ અદશ્ય થઈ જશે અને કોઈને કશો ફ્રક નહીં પડે. ‘બ્લોઇંગ ઇન ધ વિન્ડ’નો બીજો અર્થ એવો થાય છે કે દુનિયામાં અન્યાયો તો થતા જ રહેવાના, પણ તમારે મસ્ત રહેવાનું, દુઃખી નહીં થવાનું. ત્રીજો મતલબ એવો થાય છે કે જો તમે ઇચ્છતા હો કે આ જે કંઈ ચાલી રહૃાું છે તે બધું બંધ થાય તો તમારે જ પગલાં ભરવા પડશે. યુ બી ધ ચેન્જ!

બોબ ડિલનના ગીતો ઓપન-એન્ડેડ હોય છે, તેના એક કરતાં વધારે વિશ્લેષણ થઈ શકે છે. તેથી જ આટલાં વર્ષોમાં બોબ ડિલનના ગીતોનંુ અર્થઘટન કરનારાઓની આખી કમ્યુનિટી અસ્તિત્વમાં આવી ગઈ છે! બોબના  ગીતોની કેટલીય પંક્તિઓ અથવા એકસપ્રેશન્સ અંગ્રેજી ભાષામાં કહેવત કે રૂઢિપ્રયોગ બની ગયા છે. બોબ ડિલનનું એક બીજું બહુ જ જાણીતું ગીત છે, ‘ધ ટાઈમ્સ ધે આર અ-ચેન્જિંગ’.
કમ ગેધર ‘રાઉન્ડ પીપલ વ્હેરેવર યુ રોમ
એન્ડ એડમિટ ધેટ ધ વોટર્સ અરાઉન્ડ યુ હેવ ગ્રોન
એન્ડ એકસેપ્ટ ધેટ સૂન યુ વિલ બી ડ્રેન્ચ્ડ ટુ ધ બોન
ઇફ્ યોર ટાઈમ ટુ યુ ઇઝ વર્થ સેવિંગ
ધેન બેટર સ્ટાર્ટ સ્વિમિંગ
ઓર યુ વિલ સિન્ક લાઈક અ સ્ટોન
ફેર ધ ટાઈમ્સ ધે આર અ-ચેન્જિંગ.
કમ મધર્સ એન્ડ ફધર્સ થ્રુ આઉટ ધ લેન્ડ
એન્ડ ડોન્ટ ક્રિટીસાઈઝ વોટ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ
યોર સન્સ એન્ડ યોર ડોટર્સ આર બિયોન્ડ યોર કમાન્ડ
યોર ઓલ્ડ રોડ ઇઝ રેપિડલી એજિંગ
પ્લીઝ ગેટ આઉટ ઓફ્ ધ ન્યુ વન
ઇફ્ યુ કાન્ટ લેન્ડ યોર હેન્ડ
ફેર ધ ટાઇમ્સ ધ આર અ-ચેન્જિંગ.
‘ઓ ગાંવવાલો! કાન ખોલ કર સુન લો…’ પ્રકારના મિજાજમાં બોબ ડિલન આ ગીતમાં કહે છે કે સાવધાન, સમય ઝપાટાભેર બદલાઈ રહૃાો છે. પાણીની સપાટી ઉત્તરોત્તર વધી રહી છે. જો તરતા નહીં શીખો તો વહી જશો, પથ્થરની જેમ ડૂબી જશો. દેશના રાજકારણીઓ અને બુદ્ધિજીવીઓને ઉદેશી લીધા પછી અમેરિકાના માતા-પિતાઓને સંબોધીને કહે છે કે, તમારા દીકરાઓ અને દીકરીઓ તમારું કહૃાું બધું જ માની લેશે એવું હવે નહીં બને. જો તમને નવા જમાનાના, નવી પેઢીના તોર-તરીકા સમજાતા ન હોય તો મહેરબાની કરીને ટીકા કરવાનું બંધ કરો અને ચુપ રહો. જો તમે એમની મદદ કરી શકો તેમ ન હો કમસે કમ તેમના માર્ગમાં અવરોધરુપ તો ન બનો! યુદ્ધરેખાઓ ખેંચાઈ ચૂકી છે. આજનો વર્તમાન કાલે અતીત બની જવાનો છે. આજે જે માણસ ધીમો લાગે છે તે આગળ જતાં એવી ગતિ પકડશે કે તમારું માથું ચકરાઈ જશે. આજે જે સૌથી આગળ ઊભો છે તે શકય છે કે આવતી કાલે કતારમાં સૌથી છેલ્લો ખડો હોય… કારણ કે દોસ્તો, જમાનો ઝપાટાભેર બદલાઈ રહૃાો છે!
કેટલું મજાનું ગીત. આવા જોશીલા શબ્દોવાળા અને પોતાનાં મનની વાત ક્રતાં ગીતો પબ્લિકને પાગલ ન કરે તો જ નવાઈ. ઇન્ટરનેટ પર બોબ ડિલનના ગીતોનો આખો ખજાનો ઉપલબ્ધ છે. અગિયાર-અગિયાર ગ્રેમી એવોર્ડ્ઝ અને એક ઓસ્કાર એવોર્ડ જીતીને બેઠેલા બોબ ડિલનને હવે સાહિત્યનું નોબલ પ્રાઈઝ પણ જીતી લીધું છે. જીવનના અંતિમ તબક્કા સુધી ઉત્તમોત્તમ કામ કરતાં રહીને પોતાનાં ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવું તે આનું નામ!

0 0 0 

Wednesday, October 21, 2015

ટેક ઓફ : એક પત્રકારને જ્યારે સાહિત્યનું નોબલ પ્રાઇઝ મળે છે...

Sandesh - Ardh Saptahik Purti - 21 Oct 2015

ટેક ઓફ 

માનવીય વેદનાને વાચા આપવાનું કામ જેવુંતેવું નથી. આ વાચાનું સ્વરૂપ કયું છે તે બીજા નંબરની વાત છે. સ્વેત્લાના એલેક્સિવિચ નામના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટે આ વર્ષનું સાહિત્યનું નોબલ પ્રાઇઝ જીતીને ઇતિહાસ રચ્યો છે. કોઈ કવિ કે વાર્તાકારને બદલે પત્રકારે આ પ્રાઇઝ જીત્યું હોય એવું ભૂતકાળમાં અગાઉ કયારેય બન્યું નથી. સ્વેત્લાનાનાં નોન-ફિક્શન લખાણોમાં એવું તે શું છે?



સાહિત્ય અકાદમીના પારિતોષિકો ધડાધડ પાછા ફેંકી રહેલા સાહિત્યકારોએ છેલ્લા કેટલાક દિવસોથી એવો ઉપાડો લીધો છે કે આ વર્ષના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતાની ઘોષણા હાંસિયામાં ધકેલાઈ ગઈ. ધારો કે આ ઘોષણા કાને પડી હોત તોય આપણને વિજેતા સ્વેત્લાના એલેક્સિવિચનું નામ પરિચિત લાગ્યું ન હોત, કેમ કે બેલારૂસનાં વતની એવાં આ લેખિકા રશિયન ભાષામાં લખે છે. એમનાં પુસ્તકો, અલબત્ત, અંગ્રેજી સહિત ઘણી વિદેશી ભાષાઓમાં અનુવાદિત થયાં છે. બેલારૂસ ૧૯૯૦માં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં સોવિયેત સંઘનો હિસ્સો હતું, મજા એ છે કે આ વખતે સાહિત્યના નોબલ પ્રાઈઝ માટે કોઈ કવિ, વાર્તાકાર કે નવલકથાકારને બદલે પત્રકાર પર પસંદગીનો કળશ ઢોળાયો છે. ૬૭ વર્ષીય સ્વેત્લાના એલેક્સિવિચે આખી જિંદગી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ તરીકે સેંકડો લોકોના ઇન્ટરવ્યૂ લઈને અફલાતૂન હ્મુમન-ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ લખી છે અને એનાં પુસ્તકો બહાર પાડયાં છે.

સ્વેત્લાના જર્નાલિસ્ટિક નોન-ફિકશન લખાણોમાં એવું તે શું છે કે, તે નોબલ પ્રાઈઝને પાત્ર ગણાયુંં? સાદો જવાબ એ છે કે સ્વેત્લાનાએ સોવિયેત સંઘના દેશો છૂટા પડી ગયા તેની પહેલાંના અને પછીના સમયગાળાની કેટલીક દર્દનાક ઘટનાઓનો ચિતાર પોતાનાં લખાણોમાં આલેખ્યો છે. ખાસ કરીને ૧૯૮૬માં ચર્નાેબિલના ન્યુકિલયર પાવર પ્લાન્ટમાં જે ભયાનક દુર્ઘટના ઘટી હતી તેના પીડિતોને વાચા આપવાનું કામ કર્યું છે.

શું હતી આ દુર્ઘટના ? ચર્નોબિલ ન્યુકિલયર પાવર પ્લાન્ટ આમ તો યૂક્રેનમાં, બેલારૂસની બોર્ડરથી સાવ વીસ જ કિલોમીટરનાં અંતરે ધમધમતો હતો. ચર્નોબિલનગરમાં બાર હજાર લોકો રહેતાં હતાં અને થોડે અંતરે પ્રિપ્યેત નામનાં ગામમાં અડધા લાખ જેટલી વસતી હતી. ૨૫ એપ્રિલ ૧૯૮૬ની મધરાતે ૧.૨૩ કલાકે(એટલે કે ઓફિશિયલી ૨૬ એપ્રિલે) ન્યુકિલયર પાવર પ્લાન્ટનાં ચાર પૈકીનું એક અણુ રિએક્ટર ટેક્નિકલ ક્ષતિને લીધે પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટયું. ધડાકો એટલો મોટો હતો કે ૧,૦૦૦ ટનનું છાપરું ઊડી ગયું. થોડી સેકન્ડમાં આના કરતાંય વધારે મોટો બીજો વિસ્ફોટ થયો. અણુ રિએક્ટરનાં મકાનના ફુરચા ઊડી ગયા. અત્યંત હાનિકારક રેડિયેશનનો એક મોટો જથ્થો વાતાવરણમાં ભળવા લાગ્યો. વિસ્ફોટો અને તેને લીધે લાગેલી આગને કારણે મરનારાઓની સંખ્યા ૩૧ પર અટકી પણ લાંબા ગાળે જે નુકસાન થવાનું હતું તેનો અંદાજ કોઈને નહોતો.



સોવિયેત યુનિયનના સત્તાધિકારીઓ જાણે કશું બન્યું જ ન હોય એમ માહિતી દબાવીને બેસી ગયા. ચૂપચાપ પ્રિપ્યેતનગરને ખાલી કરાવી નાખવામાં આવ્યું. દુર્ઘટનાના બે દિવસ પછી, પાડોશી દેશ સ્વિડનના એક ન્યુકિલયર પ્લાન્ટમાં કામદારોનાં કપડાં પર રેડિયોએકિટવ કણો દેખાયાં, તરત જ આખા ન્યુકિલયર પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી. પ્લાન્ટમાં કયાંય લીકેજ નહોતું તો પછી આ રેડિયોએક્ટિવ કણો આવ્યા કયાંથી? તપાસ કરતાં સમજાયું કે આ પાર્ટિકલ્સ ૧,૧૦૦ કિલોમીટરના અંતરે આવેલા ચર્નોબિલના ન્યુકિયર પ્લાન્ટમાંથી ઊડતાં ઊડતાં આવ્યાં છે! આનો અર્થ કે ચર્નોબિલમાં નક્કી કશીક ગંભીર સમસ્યા સર્જાઈ હોવી જોઈએ, એ સિવાય આવું બને નહીં. ચર્નોબિલનું ભોપાળું બહાર પડી ગયું. હવે સોવિયેતના અધિકારીઓ પાસે કબૂલાત કરવા સિવાય કોઈ ઉપાય નહોતો. વિગતો સામે આવતાં દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. આટલી મોટી ન્યુકિલયર દુર્ઘટના અગાઉ કે ઈવન આજે ૨૦૧૫ સુધીમાં કયારેય થઈ નથી.

દુનિયાભરના સેંકડો પત્રકારો ચર્નોબિલધસી આવ્યા હતા. એમાંના એક સ્વેત્લાના એલેક્સિવિચ પણ હતા. એમનું વતન બેલારૂસ સૌથી વધારે અસરગ્રસ્ત બન્યું હતું. શું વાતાવરણ રેડિયેશન વડે દૂષિત થઈ જવાથી બહુ જ ખતરનાક અને લાંબા ગાળાનાં પરિણામ આવવાનાં હતાં? અસરગ્રસ્ત વિસ્તારમાં આવનારી કેટલીય પેઢીઓમાં હાનિકારક રેડિયેશનની અસર જોવા મળશે? ભય ફેલાઈ જવો સ્વાભાવિક હતો, પરસ્પર વિરોધી અહેવાલો આવતા રહ્યા. યૂક્રેન, બેલારૂસ અને રશિયામાં થાઈરોઈડ કેન્સરના છ હજાર કેસ નોંધાયા, જેનો સીધો સંબંધ કદાચ આ રેડિયેશન સાથે હતો. એક રિપોર્ટ પ્રમાણે દુર્ઘટના પછીના  છ વર્ષમાં ખોડખાપણવાળાં નવજાત શિશુઓનું પ્રમાણ ૪૦ ટકા વધી ગયું. ૨૦૦૦ની સાલ સુધીમાં યૂક્રેનના પાંચ ટકા વસતી(લગભગ ૩૫ લાખ લોકો) પર રેડિયેશનની કોઈને કોઈ કુ-અસર જોવા મળી. ૨૦૦૫ના રિપોર્ટ પ્રમાણે બેલારૂસના ૯૫ ટકા બાળકોને કમસે કમ એક ક્રોનિક બીમારી જોવા મળી.

આની સામે તદ્દન સામા છેડાના રિપોર્ટ એવા આવ્યા કે, શરૂઆતમાં જેવો ગભરાટ ફેલાયો હતો એવું અસલમાં કશું બન્યું નથી ને બનવાનું નથી! રેડિયેશનને લીધે પર્યાવરણને કે લોકોનાં સ્વાસ્થ્યને જે કહેવાતી ખરાબ અસર થઈ છે તે અવગણી શકાય એટલી ક્ષુલ્લક છે, હકીકત તો એ છે કે બેલારુસ અને યૂક્રેનમાં સાવ સાચુકલા હેલ્થ-રિલેટેડ ડેટા આજે પણ જાહેર થવા દેવામાં આવતા નથી.

અને તેથી જ સ્વેત્લાના એલેક્સિવિચે પાંચસો કરતાં વધારે લોકોને મળીને, અત્યંત જહેમત ઉઠાવીને એમના ફર્સ્ટ-હેન્ડ અનુભવોનું દસ્તાવેજીકરણ કર્યું છે તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. સ્વેત્લાના જે લોકોને મળ્યાંં એમાં વિસ્ફોટ પછી આગ ઠારવા દોડી ગયેલા બંબાવાળા, ખંડિયર બની ગયેલા અણુ રિએક્ટરનો કાટમાળ સાફ કરવાવાળા, રાજકારણીઓ, ડોક્ટરો, ભૌતિકશાસ્ત્રીઓ, અસરગ્રસ્ત લોકો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. દસ વર્ષના આકરા રિસર્ચ પછી એમણે જે પુસ્તક લખ્યું એનું નામ છે,  'વોઇસિસ ફ્રોમ ચર્નોબિલઃ ધ ઓરલ હિસ્ટરી ઓફ અ ન્યુકિલયર ડિઝાસ્ટર'.

'ચર્નોબિલ ડિઝાસ્ટરનું કારણ શું હતું, કોની ભૂલ હતી, લોકોને કેવી હાનિ પહોંચી, પર્યાવરણ અને જિનેટિક્સને શું નુકસાન થયું વગેરે જેવી ટક્નિકલ બાબતોમાં મને બહુ રસ નહોતો,' સ્વેત્લાના એક ઇન્ટરવ્યૂમાં કહે છે, 'રિપોર્ટિંગ કરવા દુનિયાભરમાંથી ચર્નોબિલદોડી આવેલા સેંકડો પત્રકારાએે જે પ્રકારના અહેવાલો અને પુસ્તકો પ્રગટ કર્યા એ મને બહુ છીછરાં લાગ્યાં. માત્ર પોલિટિકલ કે સાયન્ટિફિક વિગતોથી શું વળે? સમસ્યાના ઊંડાણમાં જવું જોઈએ. મને તરત સમજાઈ ગયું કે બીજા પત્રકારોની જેમ ફટાફટ પુસ્તક લખીને છપાવી નાખવાનો કશો મતલબ નથી, આથી મેં ર્દુઘટનાના સાક્ષી હોય એવાં  લોકોના ઇન્ટરવ્યૂ લેવાના શરૂ કર્યા. સામાન્ય રીતે મને એક પુસ્તક લખતાં ૩થી ૪ વર્ષ થાય છે પણ આ પુસ્તક તૈયાર કરતાં મને આખો દાયકો લાગ્યો. ચર્નોબિલની દુર્ઘટનાએ શી રીતે લોકોની જિંદગીઓને અને એમના આખા માંહૃયલાઓને ખળભળાવી મૂકયા છે એની આ પુસ્તકમાં વાત છે.'



સ્વેત્લાના લોકોને ઝીણા ઝીણા કેટલાય સવાલ કરે, એમને મોકળા મને બોલતરાં કરે. પ્રત્યેક ઇન્ટરવ્યૂ રેકોર્ડરમાં ટેપ કરી લે, પછી એ વાતચીત યથાવત્ ટ્રાન્સસ્ક્રાઈબ કરે એટલે કે સહેજ પણ ફેરફાર કર્યા વગર બેઠું લખી નાખે. અમુક મુલાકાતની ટ્રાન્સસ્ક્રિપ્શન ૧૦૦થી ૧૫૦ પાનાં જેટલી લાંબી થાય. સ્વેત્લાનાએ પાંચસો કરતાં વધારે માણસોની મુલાકાત લીધી હતી એટલે કલ્પના કરો કે એમની પાસે કેટલું ગંજાવર મટિરિયલ એકઠું થયું હશે, આમાંથી ફકત ૧૦૩ મુલાકાતો અલગ તારવવામાં આવી. પછી પ્રત્યેક શોર્ટલિસ્ટેડ બયાનને ચુસ્ત રીતે એડિટ કરવામાં આવ્યું. સો-દોઢસો પાનાંમાંથી કામની વાતો ચારથી પાંચ પાનામાં સમેટાઈ ગઈ. અમુક મુલાકાતમાંથી ઉપયોગી વાત માત્ર અડધા પાનામાં આવી ગઈ હોય એવું ય બન્યું. આ રીતે પુસ્તકને આખરી સ્વરૂપ મળ્યું.

નાટકનો અદાકાર મોનોલોગ એટલે કે એકોક્તિ બોલતો હોય એ રીતે ફર્સ્ટ પર્સનમાં દરેક મુલાકાત લખાઈ છે. વાંચવામાં બહુ જ રસાળ અને પ્રવાહી છે આ લખાણ. જાણે ફિક્શન વાંચતા હોઈએ એવી ફીલ આવશે. એલેસ અદામોવીચ નામના બેલારૂસના અન્ય એક લેખકની શૈલીના પ્રભાવ હેઠળ આ પુસ્તક લખાયંુ છે એવું સ્વેત્લાનાએ ખુદ પોતાના બ્લોગમાં લખ્યું છે. આ શૈલી અથવા જોનરને કલેકિટવ નોવેલ, નોવેલ-ઓરેટોરિઓ, નોવેલ-એવિડન્સ અથવા એપિક કોરસ કહે છે.(બાય ધ વે, 'વોઈસિસ ઓફ ચર્નાેબિલ' પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ આપણે બંદાએ  ઓનલાઈન ઓર્ડર કરીને મગાવી લીધી છે. તમે એમ કરવાના ન હો તો કમસે કમ પુસ્તકની પ્રસ્તાવના અને શરૂઆતનાં થોડાં પાનાં ઓનલાઈન વાંચી લેજો. આ બધું જ ઈન્ટરનેટ પર અવેલેબલ છે.)

સ્વેત્લાના કહે છે, 'ઘણાં લોકો મને કહેતાં હોય છે કે આ પુસ્તક લખીને તમે શી મોટી ધાડ મારી. જે કંઈ કન્ટેન્ટ છે એ તો બધું કોઈના મોઢે બોલાયેલંુ હતું, આમા તમારુંં શું છે? વેલ, આ કામ કંઈ એટલું સાદું નથી. તમે સામેના માણસને શું પૂછો છો, કેવી રીતે પૂછો છો, કેવી રીતે એને ધીમે ધીમે ખોલતા જાઓ છો, એ જે કહે છે એમાંથી શું સાંભળો છો અને આખરે એમાંથી ફાઇનલ વર્ઝનમાં લખવા માટે શું પસંદ કરો છો તે મહત્ત્વનું છે. મને વાસ્તવિકતા ચુંબકની જેમ આકર્ષે છે, ટોર્ચર કરે છે, મંત્રમુગ્ધ બનાવી દે છે. મારે બધાની વાતો શુદ્ધ સ્વરૂપમાં કાગળ ઉપર ઉતારવી હતી એટલે સાક્ષીઓ જાણે કોર્ટમાં વારાફરતી જુબાની આપતા હોય તે રીતે પુસ્તક લખ્યું છે. મને લાગે છે કે આ પુસ્તક દ્વારા મેં લેખક, રિપોર્ટર, સમાજશાસ્ત્રી, મનોવિજ્ઞાાની અને ઉપદેશક આ બધી ભૂમિકાઓ એક સાથે નિભાવી છે.' 

ચર્નાેબિલની સચ્ચાઈ એકદમ નગ્ન થઈને દુનિયા સામે આવે તે બેલારૂસના શાસકોથી કેવી રીતે સહન થાય? શું કામ દટાયેલાં મડદાં ખોદો છો એમ કહીને સ્વેત્લાનાનો વિરોધ થયો, એમને દેશદ્રોહીનું બિરૂદ આપવામાં આવ્યું, વર્ષો સુધી એમનાં પુસ્તક છાપવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, એમને હેરાન કરવામાં કશું બાકી રાખવામાં ન આવ્યું. સ્વેત્લાના ૨૦૦૦ની સાલમાં દેશ છોડીને પેરિસ જતાં રહ્યાં, પછી ગોથનબર્ગ અને બર્લિનમાં રહ્યાં. છેક ૨૦૧૧માં તેઓ બેલારૂસનાં પાટનગર મિન્સ્ક પાછાં ફર્યાં.

નોબલ પ્રાઈઝ લેખકના સમગ્ર કાર્યને ધ્યાનમાં રાખીને અપાતું હોય છે. 'વોઈસિસ ઓફ ચર્નાેબિલ' ઉપરાંત અફઘાનિસ્તાન વોર સંબંધિત 'ઝિંકી બોય્ઝઃ ધ રેકોર્ડ ઓફ અ લોસ્ટ સોવિયેત જનરેશન', 'વોર્સ અનવુમનલી ફેસ' જેવાં સ્વેત્લાનાનાં અન્ય પુસ્તકો પણ નોંધપાત્ર છે. ચર્નાેબિલવાળાં પુસ્તકના આધારે જુઆનિટા વિલ્સન નામની આઈરિશ ડિરેક્ટરે 'ધ ડોર' નામની શોર્ટ ફિલ્મ બનાવી હતી, જે ૨૦૧૦માં ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી. સત્તર મિનિટની આ ફિલ્મ યૂ ટયૂબ પર અવેલેબલ છે, જોઈ કાઢજો.

                                        0 0 0

Wednesday, November 5, 2014

ટેક ઓફ: લખવાનું કામ ધુમ્મસમાં કાર ચલાવવા જેવું છે


Sandesh - Ardh Saptahik Purti - 5 Nov 2014
ટેક ઓફ
કોણ કહે છે કે ડિટેક્ટિવ નવલકથા 'ચાલુ' સાહિત્યપ્રકાર ગણાય? ફ્રેન્ચ સાહિત્યકાર પેટ્રિક મોદીએનોની કૃતિઓમાં રહસ્યરંગી નવલકથાઓનું પ્રમાણ સૌથી વધારે છે અને તેઓ આ વર્ષના નોબેલપ્રાઈઝ વિનર છે. તેમને લેખનપ્રવૃત્તિ આનંદદાયક લાગવાને બદલે બોજરૂપ શા માટે લાગે છે તે પ્રશ્નનો ઉત્તર પણ એક રહસ્ય છે!

સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક ઘોષિત થવું તે એક આંતરરાષ્ટ્રીય ઘટના છે. દર વર્ષે નોબેલ પ્રાઈઝ વિજેતા સાહિત્યકારની ઘોષણા છાપાંમાં છપાય એટલે આપણે વિનરનું નામ વાંચી લઈએ, એ કયા દેશનો વતની છે તે જાણી લઈએ ને પછી બીજા સમાચાર વાંચવામાં બિઝી થઈ જઈએ. ગયા વર્ષનાં કેનેડિયન વિજેતા એલિસ મુનરો હોય કે તેની પહેલાંના ચાઇનીઝ સાહિત્યકાર મો યેન હોય, જો તમે સમકાલીન વિશ્વ સાહિત્યના અઠંગ રસિયા નહીં હોવ તો આ સાહિત્યકારોનાં નામ અને કામ મોટા ભાગે તો અપરિચિત લાગવાનાં. જો તમે અભ્યાસુ માણસ હો તો વાત અલગ છે.
થોડાં અઠવાડિયાં પહેલાં ૨૦૧૪ના નોબેલ પ્રાઈઝ વિજેતા સાહિત્યકારનું નામ જાહેર થયું - પેટ્રિક મોદીએનો. આ વખતે આ નામ સાંભળીને સામાન્ય માણસો જ નહીં, વર્તમાન વર્લ્ડ લિટરેચરના ખેરખાંઓ પણ માથું ખંજવાળવા લાગ્યાઃ પેટ્રિક મોદીએનો? એ વળી કોણ? પેટ્રિક મોદીએનો વરિષ્ઠ ફ્રેન્ચ નવલકથાકાર છે. ફ્રાન્સમાં એમનું બહુ મોટું નામ છે. કંઈકેટલાંય પ્રતિષ્ઠિત ફ્રેન્ચ પારિતોષિકો તેઓ ઓલરેડી જીતી ચૂક્યા છે. જોકે ફ્રાન્સની બહાર ૬૯ વર્ષના આ લેખક અજાણ્યા છે એવું ખુદ નોબેલ પ્રાઈઝવિનરોની પસંદગી કરતી કમિટીના સભ્યો સ્વયં સ્વીકારે છે. આનું કારણ એ છે કે અત્યાર સુધીમાં પેેટ્રિક મોદીએનોનાં થોડાંક જ પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે. આમાંથી કેટલાંય આઉટ-ઓફ-પ્રિન્ટ છે.
પેટ્રિક મોદીએનોની પસંદગી થઈ એટલે થોડો વિવાદ પણ થઈ ગયો. શું તેઓ ખરેખર નોબેલને હકદાર છે ખરા? શા માટે નોબેલ કમિટી વારે વારે યુરોપિયન સાહિત્યકારોને જ પસંદ કર્યા કરે છે? ખેર, આપણે વિવાદોમાં ન પડીએ. અગાઉ કહ્યું તેમ, પેટ્રિક મોદીએનો ફ્રાન્સમાં ખૂબ માનભર્યું સ્થાન ધરાવે છે. અતિ અંતર્મુખ સ્વભાવના આ લેખક સાહિત્યિક ઈવેન્ટ્સ કે પાર્ટીઓમાં ક્યારેય ભાગ લેતા નથી. મીડિયાથી દૂર રહે છે. તેમનાં પુસ્તકોની સંખ્યા પચ્ચીસેક જેટલી છે. અનુવાદો અલગ. પેટ્રિક માત્ર નવલકથાકાર નથી. તેમણે બાળસાહિત્ય ઉપરાંત ત્રણ ફિલ્મો લખી છે ને થોડુંક ટેલિવિઝન માટે કામ કર્યું છે. એમની નવલકથાઓ પરથી પણ ફિલ્મો બની છે. ૧૯૯૭માં રિલીઝ થયેલી એક ફ્રેન્ચ ફિલ્મમાં એમણે એક્ટિંગ સુધ્ધાં કરી છે.
પેટ્રિક મોદીએનોની કૃતિઓમાં રહેલું 'આર્ટ ઓફ મેમરી'નું તત્ત્વ નોબેલ કમિટીને સૌથી આકર્ષક લાગ્યું છે. શાની મેમરી? બીજા વિશ્વયુદ્ધ અને એની પશ્ચાત્ અસરો સાથે સંકળાયેલી મેમરી. સેકન્ડ વર્લ્ડવોરે લાખો-કરોડો લોકોનાં નસીબ પલટી નાખ્યાં, એમની જિંદગીએ યા તો મોતની દિશા બદલી નાખી. ૧૯૪૫માં પેરિસમાં પેટ્રિકનો જન્મ થયો ત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂર્ણતાના આરે હતું. ૧૯૪૦થી ૧૯૪૪ દરમિયાન જર્મન હકૂમત હેઠળ ફ્રેન્ચ લોકોએ જે યંત્રણા સહેવી પડી હતી તે પેટ્રિકની કૃતિઓમાં તીવ્રતાથી ઝિલાઈ છે. આ સમયગાળામાં પેરિસની કેવી સ્થિતિ હતી, એની શેરીઓ- કાફે- મેટ્રો સ્ટેશનો કેવાં હતાં, લોકોનું જીવન કેવું હતું વગેરે વિશેનું જબરદસ્ત ડિટેલિંગ પેટ્રિકની નવલકથાઓમાં હોય છે.
પેટ્રિકનું બાળપણ ખૂબ પીડામાં વીત્યું. એમના પિતા ઈટાલિયન યહૂદી હતા. કોન્સન્ટ્રેશન કેમ્પથી બચવા તેઓ ભાગતાં ફરતાં ને ક્રિમિનલ એક્ટિવિટિઝમાં રમમાણ રહેતા. સ્વકેન્દ્રી પિતામાં પરિવારની જવાબદારી ઉપાડવાની ઔકાત નહોતી. પેટ્રિકને એક નાનો ભાઈ હતો. અભિનેત્રી તરીકે કામ કરતી માતા પતિની ગેરહાજરીમાં દીકરાઓને બમણું વહાલ કરવાને બદલે ઊલટાનું ઓરમાયું વર્તન કરતી. નાનો ભાઈ દસ વર્ષની ઉંમરે લ્યુકેમિયામાં મૃત્યુ પામ્યો. પેટ્રિકની બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા ર્બોિંડગ હાઉસની ઉદાસીમાં વીતી. સત્તર વર્ષની ઉંમરે એમણે પિતા સાથેના સંબંધો સંપૂર્ણપણે કાપી નાખ્યા. તેનાં પંદર વર્ષ પછી પિતાનું મૃત્યુ થયું. પિતાને ક્યાં દફનાવવામાં આવ્યા છે તેની પેટ્રિકને ખબર પણ નહોતી ને પરવા પણ નહોતી.

રેમન્ડ ક્યુનો નામના એક મોટા લેખક પેટ્રિકના મેથ્સ ટીચર હતા. એણે પેટ્રિકનું કેટલુંક લખાણ વાંચ્યું ને એમનું હીર પારખી લીધું. માત્ર બાવીસ વર્ષની ઉંમરે પેટ્રિકે પહેલી નવલકથા લખી - 'ધ સ્ટાર્સ પ્લેસ'. રેમન્ડ ક્યુનોની ભલામણથી એક પ્રકાશકે આ નવલકથા છાપી. તેમાં એક યહૂદી આદમીની દુષ્ટતાની વાત હતી. આ પુસ્તક વાંચીને પેટ્રિકના પિતા એવા ભડકી ઊઠયા કે તેમણે પુસ્તકની શક્ય એટલી નકલો ખરીદીને જલાવી દીધી કે જેથી બીજા કોઈના હાથમાં તે ન જાય!
ઘણાં વિવેચકોનું કહેવું છે કે પેટ્રિક એકની એક નવલકથા વારેવારે લખ્યા કરે છે. આ વાત જોકે કેટલાય સિદ્ધહસ્ત લેખકો માટે સાચી છે. પેટ્રિક માટે સ્વ-ઓળખ એ સૌથી મોટો કોયડો રહ્યો છે. શું હું મારા અતીતના તંતુઓને પકડીને આગળ વધુ તો મારાં અસ્તિત્વનાં મૂળિયાં સુધી પહોંચી શકું? આ પ્રશ્ન તેમના લેખનકાર્યનું મુખ્ય ચાલકબળ રહ્યું છે. પોતાનું પીડાદાયી બાળપણ અને નાઝીઓની હકૂમત હેઠળનંુ ફ્રાન્સ - આ બે બાબતોનું એમની નવલકથાઓમાં સતત પુનરાવર્તન થતું રહે છે. પેટ્રિકે એક મુલાકાતમાં કહ્યું છે, "નવલકથા પૂરી થાય એટલે મને થાય કે મારે જે કહેવું હતું તે કહી દીધું છે, મારું દિમાગ હવે સાફ થઈ ગયું છે, પણ ઊંડે ઊંડે મને ખબર હોય કે આ જ બધું મારી આગલી નવલકથામાં ફરીથી આવવાનું છે, નવી વિગતો સાથે, નવાં રંગરૂપ સાથે. આવું દરેક નવલકથા વખતે બને છે. આખરે તો આપણે જે સ્થળે અને જે સમયે જન્મ્યા છીએ તેનાથી જ આપણી પર્સનાલિટી ડિફાઈન થતી હોય છે."
પેટ્રિકની નવલકથાઓ નાની નાની હોય છે - માંડ ૧૩૦થી ૧૫૦ પાનાંની. એમની લેખનશૈલી જેટલી સરળ છે એટલી જ ધારદાર છે. ટૂંકાં ટૂંકાં વાક્યો. ક્યાંય ભારેખમ વર્ણનોની ભરમાર નહીં. કોણ કહે છે કે ડિટેક્ટિવ નવલકથા 'ચાલુ' સાહિત્યપ્રકાર ગણાય? પેટ્રિક મોદીએનોએ રહસ્યરંગી નવલકથાઓ સૌથી વધારે લખી છે ને તેઓ નોબેલ પ્રાઈઝ વિનર છે. અલબત્ત, તેમની કૃતિઓમાં કેવળ સ્થૂળ રહસ્ય હોતું નથી. એમાં આખરે તો પોતાનાં મૂળિયાં, પોતાના અતીતને શોધવાની વાત હોય છે. પેટ્રિકને મિસ્ટરી એટલી બધી પસંદ છે કે ફ્રેન્ચ ભાષામાં એક આખો શબ્દ ઉમેરાઈ ગયો છે- 'મોદીએનેસ્ક' (modianesqe). કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ ખૂબ અસ્પષ્ટ અથવા ભેદી હોય તો તેના માટે 'મોદીએનેસ્ક' શબ્દ વપરાય છે. તેમણે 'પેડિગ્રી' નામના આત્મકથાનાત્મક પુસ્તકમાં લખ્યું છેઃ "વસ્તુસ્થિતિ જેટલી વધારે ભેદી હશે એટલો મને વધારે રસ પડશે. કોઈ પરિસ્થિતિ ઘીના દીવા જેવી સ્પષ્ટ હોય તો પણ હું એમાં ગમે તેમ કરીને રહસ્યનું આરોપણ કરતો હોઉં છું."
આવડો મોટો લેખક લેખનકાર્યને બોજ ગણાવે ત્યારે આપણે શું માનવું? લેખનપ્રવૃત્તિને લીધે જે માનપાન મળ્યાં છે તે વાતનો એમને આનંદ અને ગર્વ છે, પણ એક મુલાકાતમાં એમણે કહ્યું છે, "લખવું મારા માટે આનંદ નહીં પણ બોજ છે. મેં લખવાનું શરૂ કર્યું હતું ત્યારે પણ આ કામ મને ખૂબ કષ્ટદાયક લાગતું હતું. વર્ષોથી હું લખવાના કામમાંથી સંપૂર્ણપણે નવરો થઈ જવાનું સપનું જોઈ રહ્યો છું. દુર્ભાગ્યે હકીકત એ છે કે હું નવરો નથી પડયો. હું હજુય એક જ જગ્યાએ ઘુમરાયા કરું છું અને મને લાગે છે કે આ ઘુમરાવાનું કામ ક્યારેય પૂરું થવાનું નથી. હું ક્યારેક મારાં જૂનાં લખાણો જોઉં છું ત્યારે મને બધું અત્યંત ખીચોખીચ લાગે છે. વિચારોની ગીચતા, લાગણીઓની ગીચતા. જાણે કે એ સમયે હું ગૂંગળાઈ રહ્યો હતો. મારા માટે લખવાનું કામ ધુમ્મસમાં કાર ચલાવવા જેવું છે. ધુમ્મસને લીધે કશું જ દેખાતું ન હોય છતાંય આગળ વધતા રહેવું પડે છે."
તો પેટ્રિક મોદીએનોમાં રસ પડયો તમને? એમનું સાહિત્ય વાંચવું હોય તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? જાણકારોનાં સૂચન મુજબ, અંગ્રેજીમાં અનુદિત થયેલી આ ત્રણ નવલકથાઓથી - 'મિસિંગ પર્સન', 'આઉટ ઓફ ધ ડાર્ક' અને 'ડોરા બ્રુડર'. આપણે બંદા તો વહેલામાં વહેલી તકે આ ત્રણેય નવલકથાઓ ઓનલાઈન ઓર્ડર કરી દેવાના છીએ. તમે?          
0 0 0