Showing posts with label Saurabh Shah. Show all posts
Showing posts with label Saurabh Shah. Show all posts

Thursday, January 15, 2015

રઘુવીરોત્સવ

ચિત્રલેખા - અંક તા. 26 જાન્યુઆરી 2015

કોલમ: વાંચવા જેવું

‘આ લખવું એ જીવવાનો પ્રયત્ન નથી તો બીજું શું છે?... કવિતા રચનાની એ ક્ષણોમાં એકાગ્રતાથી જીવવાનું બન્યું છે. અહીં વેદના છે તેથી સંબંધ છે તેથી સૌંદર્ય છે.’




જુ ગયા શનિવારે, દસમી જાન્યુઆરીએ, અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદના સભાગૃહમાં એક મસ્તમજાનો કાર્યક્રમ યોજાઈ ગયો. આપણી ભાષાના ઊંચા ગજાના સાહિત્યકાર રઘુવીર ચૌધરીના જીવન અને કર્મને કેન્દ્રમાં રાખીને લેખકમિત્રો અને સ્નેહીઓએ હૂંફાળો ઉત્સવ મનાવ્યો. આજે આપણે પણ ‘અમૃતાથી ધરાધાર’ પુસ્તક વિશે વાત કરતાં કરતાં એ જ કરવાના છીએ- રઘુવીર ચૌધરીનાં સર્જકત્વનું સેલિબ્રેશન.

 આ પુસ્તક વાસ્તવમાં રધુવીર ચૌધરી અધ્યયનગ્રંથ શ્રેણીની બીજી દળદાર કડી છે. એમાં રઘુવીર ચૌધરી કૃત નાટક, કવિતા, નિબંધ, ચરિત્ર, વિવેચન, સંપાદન અને સંશોધન વિશે અન્ય જુદા જુદા સર્જક દ્વારા લખાયેલા લગભગ ૮૬ જેટલા રસપ્રચુર લેખોનો અફલાતૂન સંગ્રહ થયો છે. વિખ્યાત કલમોનો અહીં રીતસર મેળો જામ્યો છે. કેન્દ્રમાં છે, રઘુવીર ચૌધરી અને એમની લેખનયાત્રા.

 ‘ભૃગુલાંછન’ નિબંધસંગ્રહ વિશે વાત કરતી વખતે અશ્ર્વિન દેસાઈ સૌથી પહેલાં તો એક સવાલ કરે છે કે, ‘ગુજરાતી ભાષામાં લખતા ભારતીય પણ વૈશ્ર્વિક કક્ષાના સર્જકચિંતકો છે ખરા?’ અને પછી એનો સ્પષ્ટપણે જવાબ પણ આપી દે છે કે હા, છે. ગુજરાતી ભાષામાં સાંપ્રતકાળમાં જે ગણ્યાગાંઠ્યા સર્જકચિંતક છે, તેમાંના એક રઘુવીર ચૌધરી. એમની પોતીકી મુદ્રા અને નિજી સત્ત્વશીલતાના કારણે સાહિત્યના અનેકાનેક સ્વરુપોમાં થયેલું એમનું લેખન ગુજરાતી ભાષામાં હોવા છતાં તત્ત્વત: ભારતીય અને વૈશ્ર્વિક કક્ષાનું બની રહે છે.

 વિનોદ ભટ્ટની નજરે એક વાર રઘુવીર ચૌધરીની એક સરસ ચેષ્ટા ચડી ગઈ હતી. બન્ને ગુજરાતી સાહિત્ય પરિષદના મેદાનમાં ઊભા હતા. વરસાદ પડી ગયા પછીની માટી રઘુવીરના બૂટ પર ચોંટી હતી. નીચા વળીને એક સાંઠીકડા વડે બૂટ પરની એ ભીની માટી ઉખાડીને રઘુવીર બોલ્યા: ‘પરિષદની માટી પણ ઘરે ન લઈ જવાય.’ આટલું નોંધીને વિનોદ ભટ્ટ ઉમેરે છે કે, ‘દર વર્ષે પરિષદ પાછળ એમને બારથી પંદર હજાર રુપિયા ઘરના વેઠતા મેં જોયા છે.’

 રઘુવીર ચૌધરીએ દોરેલાં સુંદર કેટલાક સાહિત્યકારો વિશેનાં વ્યક્તિચિત્રો ‘સહરાની ભવ્યતા’માં સંગ્રહ પામ્યાં છે. આ પુસ્તક વિશેના લેખમાં પન્ના નાયક નોંધે છે:

 ‘રઘુવીરના સ્વભાવમાં રહેલું મશ્કરાપણું અથવા તો ગંભીર વાતને ક્ષણમાં હળવા કરી દેવાની ખૂબી વીજળીના ચમકારાની જેમ ચમકી જાય છે. જેમ કે, સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે જ્યારે રઘુવીર ચૌધરી બે વરસની કામગીરી વિશે સ્નેહરશ્મિને પ્રશ્ર્ન પૂછે છે ત્યારે લાલચોળ થઈ ગયેલા સ્નેહરશ્મિ રઘુવીરભાઈને ‘તમે મધ્યસ્થના સભ્ય છો, તમે શું કર્યું?’ જેવા પશ્ર્નસ્વરુપે વળતો ઘા કરે છે. એ સમયે ખડખડાટ હસી પડતા રઘુવીર કેટલો માર્મિક જવાબ આપે છે- ‘કેમ, તમને સવાલ પૂછીએ છીએ એ ઓછું છે?

અકાદમી વિજેતા અને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનારા રધુવીર ચૌધરીએ ‘માનસથી લોકમાનસ’માં આલેખેલું મોરારિબાપુની જીવનચરિત્ર પણ ખાસ્સું વખણાયું છે. સૌરભ શાહે આખી રાત જાગીને આ પુસ્તક પુરું કર્યું હતું. પછી અંગત પ્રસન્નતા વ્યક્ત કરવા રઘુવીર ચૌધરીને પત્રમાં લખ્યું કે તમારા કલમે બાપુ જેવી વ્યક્તિનું જીવનચરિત્ર લખાય એટલે તમે ઘન્ય અને બાપુની વ્યાસપીઠને તમારા જેવા બાયોગ્રાફર મળે એટલે વ્યાસપીઠ ધન્ય!

 રઘુવીર ચૌધરી અને ભોળાભાઈ પટેલના કિસ્સામાં પણ એવું જ બન્યું છેને. ભોળાભાઈ પટેલ માણસાની હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા ત્યારે રધુવીર એ જ સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા હતા એ જાણીતી વાત છે. રઘુવીરને ભોળાભાઈ જેવા ટીચર મળ્યા અને ભોળાભાઈને રઘુવીર જેવો સ્ટુડન્ટ મળ્યો. બન્ને ધન્ય!

 ફક્ત ૨૭ વર્ષની ઉંમરે ‘અમૃતા’ જેવી વિચારપ્રધાન નવલકથા આપનાર રઘુવીર સૌધરીએ સાહિત્યસર્જનની શરુઆત કવિતાથી કરેલી. એમણે કવિતા પ્રમાણમાં ઓછી પણ નોંધપાત્ર કવિતા લખી છે.



 હર્ષદ ત્રિવેદી અને રમેશ ર. દવેના સંગાથમાં અમદાવાદમાં ગયા શનિવારે પેલો કાર્યક્રમ યોજનાર કિરીદ દૂધાતે યોગ્ય જ લખ્યું છે કે ગાંધીયુગમાં આપણે ત્યાં સામાજિક ચેતનાની કવિતા રચવાનું અને પ્રમાણવાનું  સહજ હતું, પણ પછી આધુનિકતાવાદની અસરમાં ચિત્ર પલટાયું. એ પણ એટલી હદે કે સમાજની વર્તમાન સમસ્યા વિશે કવિતા કરનારા ઊલટાના ઉપહાસને પાત્ર બનવા લાગ્યા. અલબત્ત, રઘુવીર ચૌધરીએ ગોઘરાકાંડ પછીના રમખાણોને કેન્દ્રમાં રાખીને ‘એક ગોળી મને પણ વાગી’ શીર્ષક હેઠળ ધારદાર કાવ્ય લખ્યું જ. આ કવિતાનું રસદર્શન કરાવતા કિરીત દૂધાત લખે છે કે, ‘કવિ રઘુવીરની આ અને આવી લોક-કવિતાઓ કાવ્યસૌંદર્યની કોઈ પણ શરતો તોડ્યા વગર સમાજચેતના-લોકચેતનાને સિદ્ધ કરતી રહે છે.’

 આ સંદર્ભમાં કનુ ખડદિયાએ એક વાર પોતાનાં વકત્વ્યમાં ક્વોટ કરેલો રઘુવીર ચૌધરીની કેફિયતનો અંશ સાંભળાવા જેવો છે:

 ‘આ લખવું એ જીવવાનો પ્રયત્ન નથી તો બીજું શું છે?... કવિતા રચનાની એ ક્ષણોમાં એકાગ્રતાથી જીવવાનું બન્યું છે. અહીં વેદના છે તેથી સંબંધ છે તેથી સૌંદર્ય છે.’

 રઘુવીર ચૌધરીનાં પ્રવાસ વિષયક ચાર પુસ્તકોમાં એક ગુજરાત વિશે છે અને અન્ય ત્રણ બ્રિટન, અમેરિકા તેમજ ચીનના પ્રવાસ વિશે. ‘બારીમાંથી બ્રિટન’માં એક જગ્યાએ ત્યાંના શિયાળાનું વર્ણન કરતાં સુંદર વાક્ય લખ્યું છે કે, ‘શિયાળો વકર્યો હોય ત્યારે તો બધું સફેદ થઈ જાય. અલબત્ત, મૃત્યુ જેવું નહીં, પણ ચાંદની જેવું!’ રઘુવીર ચૌધરી કક્ષાનો સર્જક પ્રવાસવર્ણન લખે ત્યારે ભાવકને વિશેષ અનુભવ થતો હોય છે.

 ‘અમૃતાથી ધરાધામ’માંં કેટલાં બધાં પ્રિય લેખકોએ રઘુવીર ચૌધરીનાં સર્જન વિશે લખ્યું છે. કોનું અવતરણ લેવું ને કોનું નહીં! મજાની વાત એ છે કે પુસ્તક કેવળ સાહિત્ય સ્વરુપો પર અટકી ગયું નથી, અહીં રઘુવીર ચૌધરીનાં વ્યક્તિત્ત્વની કેટલીય છટા સહજપણે ઝીલાઈ છે. પુસ્તકમાં ભરપૂર વિદ્વત્તા છે અને હૂંફ અને આત્મીયતાનાં સ્પંદન પણ છે. એને લીધે પુસ્તક વધારે આકર્ષક બન્યું છે. રઘુવીર ચૌધરીનાં પુત્રી અને પુત્રવધૂએ આ સંપાદન પાછળ કરેલી જહેમત સ્પષ્ટ દેખાય છે. રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથના પ્રથમ ભાગની ટૂંકી ઝલક પણ આવરી લેવાઈ હોત તો ઓર મજા પડત. દરેક સાહિત્યપ્રેમીની અંગત લાઈબ્રેરીમાં ફરજિયાતપણે હોવું પડે એવું સુંદર પુસ્તક.                                                                                       0 0


અમૃતાથી ધરાધામ 
          
સંપાદન: દષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી
પ્રકાશક: રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ-૯
 ફોન: (૦૭૯) ૨૭૯૧ ૩૩૪૪
 કિંમત:  Rs. ૩૬૦ /
 પૃષ્ઠ: ૪૯૨

 0 0 0

Friday, January 27, 2012

મારું જીવન અંજલિ થાજો...


ચિત્રલેખા - અંક તા. ૩ ફેબ્રુઆરી ૨૦૧૨

કોલમઃ વાંચવા જેવું 




                                                                                 
માજના કોઈ વર્ગમાં નાના પાયે તો નાના પાયે પણ નક્કર પરિવર્તન લાવવા માટે શાની જરૂર પડે? ખૂબ બધો પૈસાની? સત્તાની? માનવબળની? ના. ‘જીના ઈસી કા નામ હૈ’ નામનું આ નાનકડું પણ મહત્ત્વનુ પુસ્તક વાંચતી વખતે આ સવાલનો સચોટ જવાબ મળી જાય છેઃ કોઈના જીવનને સ્પર્શવા માટે સૌથી જરૂરી તત્ત્વો છે, ભરપૂર સંવેદનશીલતા અને કદીય ઢીલું ન પડતું મનોબળ. જો આ બે બાબત સાબૂત હશે તો બાકીનું બધું આપોઆપ ગોઠવાઈ જશે.

બીજાઓની જિંદગીમાં આશાનું કિરણ બનીને આવેલી પચાસ વ્યક્તિઓની સુંદર વાત અહીં રસાળ શૈલીમાં કહેવાઈ છે. આમાંનું કોઈ સેલિબ્રિટી નથી. એમની તસવીરો અખબારોનાં પેજ-થ્રી પર છપાતી નથી કે ટીવી પર ઉછળી ઉછળી ચર્ચા કરતી પેનલમાં એ ક્યારેય સ્થાન પામતા નથી. પણ એમનું કામ નક્કર છે, આદરણીય છે, ઉદાહરણરૂપ છે.



દાખલા તરીકે, રામુ ઉર્ફ રામ સ્નેહી. એ મધ્યપ્રદેશની બેડિયા જાતિના સદસ્ય છે. આ જાતિના લોકોનું માનવું છે કે એમની સ્ત્રીઓ મૂળ અપ્સરા હતી, એટલે મૃત્યુલોકમાં જન્મીને એમણે પુરુષોને રીઝવવાનું કામ કરવાનું હોય. તેથી બેડિયા જાતિની બધી જ સ્ત્રીઓ વેશ્યા બને અને એમના ભાઈઓ ને બાપાઓ દલાલ. રામુએ કાચી વયે જ આ પોતાના સમાજની બહેનદીકરીઓને આ કીચડમાંથી બહાર કાઢવાનો નિર્ધાર કરી લીધેલો. એને ધમકીઓ મળી, એની મારપીટ થઈ, એને ગામબહાર તગેડી મૂકવામાં આવ્યો, પણ રામુએ તંત ન છોડ્યો. પોતાના ગામથી શહેરમાં ગયેલી વેશ્યાઓનો ભરોસો જીતતા રામુને બે વર્ષ લાગ્યાં. કમનસીબ યુવતીઓને રામુએ સમજાવી કે તમારાં સંતાનો મને સોંપી દો, હું એમને ઉછેરીશ. આજે રામુના આશ્રમમાં ૩૦૦ બાળકો છે. એમને શિક્ષણ અપાય છે, જાતજાતની રમતો રમાડાય છે. આમાંના કોઈકને મોટા થઈને ડોક્ટર બનવું છે, કોઈકને ટીચર. એક બાળકી માનસશાસ્ત્રી બનવા માગે છે. આશ્રમ માટે, આ બાળકો માટે રામુએ અંગત જિંદગી ન્યોચ્છાવર કરી દીધી છે.

આંધ્રપ્રદેશના એક પછાત વર્ગમાં પ્રચલિત જોગણીપ્રથાનો સંબંધ પણ દેહાચાર સાથે છે. આ સમાજમાં દસઅગિયાર વર્ષની ન્કયાઓને ભગવાનની મૂર્તિ સાથે પરણાવી દેવામાં આવે એટલે તે જોગણી બની ગઈ કહેવાય. એવી માન્યતા છે કે આ ધાર્મિકવિધિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને કુટુંબનું દળદર ફીટે છે. જોગણીઓ શ્રીમંત પરિવારોમાં લગ્ન કે મૃત્યુ પ્રસંગે નાચવા જાય. ગામના જે પુરુષની ઈચ્છા થાય તે આ જોગણીને પોતાની સાથે સૂવા માટે બોલાવી શકે. ધર્મના નામે ચાલતા વ્યભિચારના આ ખેલમાં લાચાર સ્ત્રીઓ હોમાતી રહે છે.

હેમલતા લવણમ નામની સમજસેવિકા દાયકાઓથી આ કુરિવાજ સામે લડી રહ્યાં છે. ઘરે ઘરે જઈને એ લોકોને સમજાવે કે ભગવાન કંઈ આ રીતે પ્રસન્ન ન થાય. પૈસાદાર અને ઊંચી જાતિના લોકો સામે એમણે પડકાર ફેક્યોઃ ‘ભગવાનને રિઝવવાની આ પ્રથામાં તમે ખરેખર માનતા હો તો મોકલોને તમારી દીકરીઓને પણ જોગણી બનવા. માત્ર ગરીબોની દીકરીઓને જ શા માટે ભગવાન જોડે પરણવા દો છો?’

હેમલતાના પ્રયત્નો સફળ થતા ગયા. પછાત જાતિના લોકો મોડે મોડે પણ સમજ્યા ખરા કે આ પ્રથા ખોટી છે. હેમલતાએ ‘ચેન્ની નિલયમ’ એટલે કે ભગિની નિવાસ સ્થાપ્યું. બાપ વગરના જોગણીઓનાં સંતાનો માટે શાળા શરૂ કરી. નાચવા જવાનું બંધ કરી ચૂકેલી જોગણીઓએ ધીમે ધીમે સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભળવા માંડ્યું છે. એમને સ્વેચ્છાએ સંસાર માંડવાની તક અને સમાજમાં માનપૂર્વક જીવવાનો હક મળી રહ્યા છે.



માણસમાં જો વિત્ત હોય તો એના પર ત્રાટકતું અણધાર્યું કારુણ્ય એને તોડી શકતું નથી, બલકે એનામાં અજબ શક્તિનો સંચાર કરી દે છે. બે કિસ્સા સાંભળવા જેવા છે. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં સાઈકલ રિપેરિંગની દુકાન ધરાવતા મોહમ્મદ શરીફનો દીકરો લાપતા થઈ ગયેલો અને એને દફન કરવાનો મોકો સુધ્ધાં નહોતો મળ્યો. આ વેદના ઓછી કરવા મોહમ્મદે રઝળતી બિનવારસી લાશોની સન્માનભેર અંતિમવિધિ કરવાનું કામ શરૂ કરી દીધું. મરનાર મુસ્લિમ હોય તો મૌલવી પાસે વિધિસર દફનવિધિ કરાવે અને હિન્દુ હોય તો બાહ્મણ પાસે સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરાવે.

બીજો કિસ્સો પશ્ચિમ બંગાળની સુહાસિની નામની કાછિયણનો છે. એના પતિએ સારવારના અભાવે  ડોક્ટરની ગેરહાજરીમાં જીવ ગુમાવ્યો હતો. સુહાસિનીએ પતિના નિર્જીવ શરીર પર હાથ મૂકીને શપથ લીધા કે હું એવી હોસ્પિટલ બનાવીશ જેમાંથી કોઈ ગરીબજન સારવાર પામ્યા વિના પાછ  નહીં જાય. આ ઘટના પછીનાં ૨૦ વર્ષ સુધી એ શાકભાજી વેચતી રહી. કાળજ  કઠણ કરીને બાળકોને અનાથાશ્રમમાં મૂકી દીધાં કે જેથી એમને સારું શિક્ષણ મળે. દીકરો અજય તેજસ્વી નિકળ્યો અને ડોક્ટર બન્યો. ટીપે ટીપે એકઠી કરેલી બચતમાંથી સુહાસિનીએ શરુઆતમાં નાની ડિસ્પેન્સરી ખોલી. થોડાં વર્ષોમાં 100 કરતાંય વધારે બૅડ તેમજ આધુનિક શસ્ત્રસરંજામ સાથેની હોસ્પિટલ ખડી થઈ ગઈ. અભણ સુહાસિનીએ પોતાની શપથ પાળી બતાવી!

અભણ ગરીબ માણસો જો આટલી હદે સામાજિક દાયિત્વ નિભાવી શકતા હોય તો સંપન્ન શિક્ષિત માણસ ધારે તો આ દિશામાં કેટલું બધું હાંસલ કરી શકે! આ પુસ્તક સહેજ પણ ઉપદેશ આપ્યા વગર વાચકમાં કમાલની પોઝિટિવિટી પેદા કરે છે, એને વિચારતો કરી મૂકે છે.  વાસ્તવમાં ૧૯૯૯૨૦૦૨ દરમિયાન દૂરદર્શન પર ‘કિરણ’ નામનો પાંચ જ મિનિટનો અવોર્ડવિનિંગ કાર્યક્રમ ટેલીકાસ્ટ થયો હતો. તેને ખૂબ સારો પ્રતિસાદ મળેલો. આ શોની સત્યકથાઓનું લિખિત સ્વરૂપ એટલે આ પુસ્તક. શોનું લાઘવ પુસ્તકમાં પણ સુંદર રીતે જળવાઈ રહ્યું છે. લાંબા લાંબા વર્ણનો નહીં, બિનજરૂરી લાગણીવેડા નહીં. સીધી ને સટ વાત અને ચોટદાર અસર. સૌરભ શાહે કરેલું ગુજરાતીકરણ એટલું સુંદર છે કે મૂળ લખાણ વધારે નિખરીને, વધારે પ્રભાવશાળી બનીને બહાર આવ્યું છે.

બજારમાં ઠલવાઈ રહેલાં પ્રેરણા અને ચિંતનનાં અસરહીન પુસ્તકો વચ્ચે ‘જીના ઈસી કા નામ હૈ’ તાજગીનો સુખદ અનુભવ કરાવે છે. બેશક, વાંચવા અને વંચાવવા જેવું પુસ્તક.    ૦૦૦


જીના ઈસી કા નામ હૈ 


લેખકઃ ઉમેશ અગ્રવાલ

 રજૂઆતઃ સૌરભ શાહ

પ્રકાશકઃ આર.આર. શેઠ એન્ડ કંપની
ફોનઃ (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧

કિંમતઃ  રૂ. ૮પ /

પૃષ્ઠઃ ૧૪૦


Sunday, September 25, 2011

ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે...

ચિત્રલેખા - અંક તા. ૩ ઓક્ટોબર ૨૦૧૧


કોલમઃ વાંચવા જેવું






‘આપણે મોટા થઈ ગયા છીએ એની જાણ આપણને બીજાઓ દ્વારા થતી હોય છે.’



અભિનેતા અનુપમ ખેરે એકવાર પત્રકાર-લેખિકા ભાવના સોમૈયાને આ ચોટડૂક વાત કહી હતી. મોટા થઈ જઈએ અને સમયની સાથે પુખ્તતા ઘૂંટાતી જાય પછી પણ પ્રારંભિક જીવન સાથેનું અનુસંધાન જળવાઈ રહેતું હોય છે. બાળપણ સાથેનો માનસિક સેતુ આપણને સુખ આપે, કૌતુક જન્માવે, ઉદાસ કરી મૂકે, અમુક પ્રશ્નોના ઉત્તરો આપે તો ક્યારેક સાવ નવા સવાલો ખડા કરી દે. પ્રસ્તુત પુસ્તકમાં ૬૩ વ્યક્તિઓએ પોતાના બાળપણને સંભાર્યું છે.



રોજ સવારે હજી આંખો પણ ખૂલી ન હોય ત્યાં ઉઠાડી, નવડાવી, દૂધ પીવડાવી જેઠા મહારાજ ખભે બેસાડી ટીંગાટોળી કરી બાળમંદિરે મૂકી આવતા તે દિવસો ‘ગુજરાત સમાચાર’ના ઑનર અને તંત્રી શ્રેયાંસ શાહ હજ ભૂલી શક્યા નથી. તેઓ કહેે છે, ‘ખભે બેસી રડતા રડતા માથા પર કેટકેટલા મુક્કા માર્યા હશે તે યાદ નથી, પરંતુ જેઠા મહારાજે મારેલી બે લપડાકો તો જીવનભર યાદ રહી ગઈ છે અને ત્યારથી સ્કૂલ જતા રડવાનું કે તોફાન કરવાનું ભૂલાઈ જ ગયું!’



વીતેલા જીવનની કઈ વાત ચિત્તના કયા પડળમાં કટલી તીવ્રતાથી નોંધાયેલી રહે, કેટલી ગળાઈ જાય અને કેટલી નાશ પામે તે માટેનું કોઈ ગણિત હશે ખરું? શબ્દસૃષ્ટિ સામયિકના સંપાદક હર્ષદ ત્રિવેદી તો કહે છે કે, ‘મને મારું બચપણ જ યાદ છે. એ પછીનું તો બધું ટેમ્પરરી...’ લેખક મધુ રાય આ વાત આ રીતે મૂકે છેઃ ‘દિમાગમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની જેમ મનમાં પ્રસંગો ડોકાય છે ને મનવાને અચરજ થાય છે, રે રે? આવું આમ હતું? પેલું નામ શું હતું? અમુકની હોઠની ધાર ઉપર મારી તર્જનીનાં ટેરવાં ફરેલાં? અમુકના શ્વાસ મારી મૂછને અડકેલા? અમુકના અંતર્દેશીય પત્રથી મારા ખૂનનો ચરખો પૂરપાટ ભમ્યો હતો? અમુક પ્રભાતફેરીમાં ‘ભારત માતાકી?’ ‘જૈય!’ બોલતાં ધ્રૂસકું આવ્યું હતું?’



બાળપણને યાદ કરવાથી સમૃદ્ધિ અને ખાલીપો બન્નેનો, ક્યારેક એકસાથે, અહેસાસ થતો હોય છે. આર્કિટેક્ટ-કવિ અવિનાશ પારેખ સીધું જ પૂછી લે છે, ‘કોઈ પળે અવળે હાથે ક્યાંક મૂકાઈ ગયેલી મારી આભલાવાળી કાળી જાદુઈ થેલી તમે કોઈએ જોઈ છે?’ નાનપણને જદા જ અંદાજમાં યાદ કરીને નવલકથાકાર અશ્વિની ભટ્ટ કહે છે, ‘મારી પાસે બધું છે અને તોય મને તેની (એ કિશોર અશ્વિનીની) અદેખાઈ આવે છે. તેનું ઊંટ, તેનાં કબૂતર, તેની કોચમણી... અને સૌથી વધુ કમબખ્તની આંખમાં રમતી મસ્તી અને નિનૈતિક ધીંગામસ્તી... ’



બાળપણ એટલે માત્ર ગુલાબી ગુલાબી અતીત અને મુલાયમ મુલાયમ યાદોનું પોટલું નહીં. હાસ્યલેખક તારક મહેતા, એમના શબ્દોમાં, માંડ દસ દિવસના જંતુ હતા ત્યારે મા એમને પૂછ્યા વગર ગુજરી ગયેલી. હાસ્યકાર વિનોદ ભટ્ટ લખે છે, ‘આ ગરીબી તો મારું આખેઆખું બાળપણ ચાવી ગઈ છે.’ ‘ચિત્રલેખા’ના કાર્યકારી તંત્રી ભરત ઘેલાણીએ નાનપણમાં જાહોજલાલીનું હોવું અને ઓસરવું બન્ને જોયા છે. એમને ત્યાં લાંબીપહોળી પીળાચટ્ટાક રંગની વૈભવી શેવરોલે કાર હતી, જેના ડેશબોર્ડ પરની ચાંપ દબાવતાં જ ઉપરનું હૂડ આસ્તેથી સરકીને, ફોલ્ડ થઈને પાછલી સીટમાં જતું રહેતું અને કાર ઓપરએર બની જતી. આખા કલકત્તામાં આવી ઈમ્પોર્ટેડ શેવરોલે એક ઘેલાણી પરિવાર પાસે જ હતી. તેઓ લખે છેઃ ‘આ ‘દોમ દોમ સાહેબી’નો અર્થ બાળપણમાં બરાબર ખબર નહોતો, કારણ કે એ સહજ હતું. જન્મતાંની સાથે જ એ બધું મળેલું. મોટા થયા, વાંચતા થયા ત્યારે પુસ્તકો-ફિલ્મોમાંથી જે અર્થ સમજાયો હતો ત્યારે જ ખબર પડી કે અમે બાળપણમાં કેવી દોમ દોમ સાહેબી ભોગવી હતી!’



લેખિલા કાજલ ઓઝા-વૈદ્યને લાગે છે કે એમનું બાળપણ એટલું બધું નિર્દોષ કે વહાલસોયું નથી વીત્યું. મુંબઈથી શિફ્ટ થઈને છોકરા-છોકરીઓ એકબીજા સાથે બોલે નહીં એવી અમદાવાદની સ્કૂલમાં તેમણે એડમિશન લીધું હતું. ‘ફ્રી ડ્રેસ’ના પહેલા જ દિવસે એ ટીશર્ટ અને શોટર્સ પહેરીને સ્કૂલે ગયાં અને ત્યારથી જ ‘બીજાથી જદી’ સાબિત થઈ ગયાં. આટલું કહીને લેખિકા ઉમેરે છેઃ ‘એ પછી હું કાયમ ‘જદી’ જ રહી...’ ડોકટર કવિ મુકુલ ચોક્સીની સમસ્યા જોકે જરા અલગ હતી. તેઓ છઠ્ઠા ધોરણમાં કોએજ્યુકેશનવાળી સ્કૂલમાં દાખલ થયા ત્યારે છોકરીઓની બાજમાં બેસવામાં તો ઠીક, છોકરીઓ રક્ષાબંધનના તહેવાર પર રાખડી બાંધે તોય એમને સંકોચ થતો!



બાળપણ પાસે પાછા પહોંચી જવાની ઝંખના હોવી અનિવાર્ય છે? બિલકુલ નહીં. લેખક-પત્રકાર સૌરભ શાહનો એટિટ્યુડ જઓઃ ‘જો કોઈ એમ કહે કે ભઈલા, આ તારી દૌલત-શૌહરતના બદલામાં હું તને તારું બચપન પાછ આપું છ તો હું શું કરું. આ ૨૦૦૯ની સાલમાં (આ પુસ્તક જોકે ૨૦૧૧માં પ્રગટ થયું છે) મારી દૌલત માઈનસમાં છે અને શૌહરત ચીંથરેહાલ છે, પણ આ બધું ટકાટક હોત તો પણ મેં ભગવાનની આ એક્સચેન્જ ઓફર સ્વીકારી ન હોત... કવિઓ-શાયરો માટે આવું બધું બરાબર છે અને કોઈ ગાય તો બે ઘડી મૌજ પણ આપી જાય, પરંતુ આ પ્રકારની રોમેન્ટિસિઝમ મારા મિજાજમાં નથી.’



પત્રકાર ઉર્વિશ કોઠારી કહે છે કે બાળપણ વિશેના ગામ, સીમ, વાડી, વગડો, આંબલીપીપળી કે ‘કાગઝ કી કશ્તી બારીશ કા પાની’ બ્રાન્ડ લખાણોમાં ‘શું હતું’ની સાથે ‘શું હોય તો સારું લાગે’ની ભેળસેળની તીવ્ર સંભાવના રહે છે. આ જોખમસ્થાન તરફ આંગળી ચીંધીને એ ઉમેરે છે, ‘ગાંઘીજીની કડાચોરી કે પરીક્ષામાં ચોરી ન કરવાની ઈમાનદારી, સરદારનું ક્લાસમાં ‘પાડા’ લાવવાનું તોફાન એ બધા ‘પરાક્રમ’નું મોટપણ-મહાનતાના સંદર્ભ વિના, સ્વતંત્ર મૂલ્ય નહીંવત છે.’



ખેર, આ જોખમ સહિત પણ અંકિત ત્રિવેદી સંપાદિત આ લેખો વાંચવા ગમે તેવા છે. આજકાલ આ પ્રકારનાં સંપાદનોનો જબરો ટ્રેન્ડ શરૂ થયો છે. આ પુસ્તકમાં સ્થાન પામેલી મોટા ભાગની વ્યક્તિઓનો સંબંધ કલમ અને શબ્દો સાથે છેે. દેખીતાં નામો ઉપરાંત અન્ય કંઈકેટલાંય ક્ષેત્રોની નોંધપાત્ર વ્યક્તિઓનાં લખાણો પણ જહેમતપૂર્વક મેળવવામાં આવ્યાં હોત તો સંગ્રહ ઓર નિખરી ઉઠત.

સાંભરે રે.. બાળપણનાં સંભારણાં...


સંપાદકઃ અંકિત ત્રિવેદી

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧ અને મુંબઈ-૧

ફોનઃ (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩

કિંમતઃ રૂ. ૩૫૦ /

પૃષ્ઠઃ ૩૨૬





૦ ૦ ૦



Monday, July 4, 2011

હસમુખ ગાંધીએ અણ્ણા હઝારે - બાબા રામદેવ વિશે શું લખ્યું હોત?

ચિત્રલેખા - અંક તા. ૧૧ જલાઈ ૨૦૧૧


કોલમઃ વાંચવા જેવું


Hasmukh Gandhi (Photographs courtesy: Saurabh Shah)

એબનોર્મલ દૈનિક.

પોતે જણેલા અને પોષેલા અખબાર ‘સમકાલીન’ માટે હસમુખ ગાંધી સ્વયં આ શબ્દપ્રયોગ કરતા. અખબાર અથવા સામયિક જો એના તંત્રીના વ્યક્તિત્ત્વનું પ્રતિબિંબ ગણાતું હોય તો એ ન્યાયે સ્વ. હસમુખ ચીમનલાલ ગાંધી (જન્મઃ૧૯૩૨, મૃત્યુઃ ૧૯૯૯) પણ એબનોર્મલ માણસ ગણાય. તંત્રી હસમુખ ગાંધી માટે, અલબત્ત, ‘એબનોર્મલ’ કરતાં ‘એક્સ્ટ્રા ઓર્ડિનરી’ શબ્દ વાપરવો પડે. તે સિવાય ‘ગાંધીભાઈના આગમન પહેલાંનું ગુજરાતી પત્રકારત્વ’ અને ‘ગાંધીભાઈના ‘સમકાલીન’ પછીનું આધુનિક ગુજરાતી પત્રકારત્વ’ એવા જે બે સ્પષ્ટ ભાગ પડ્યા છે તે ન પડ્યા હોત.



ગાંધીભાઈના ગાંધીત્વનો આબાદ પરિચય કરાવતું એક સુંદર પુસ્તક, એટલા જ મજાનાં અન્ય ચાર પુસ્તકો સાથે, તાજેતરમાં બહાર પડ્યું છે. સંપુટનું નામ છે, ‘મારા મનગમતા તંત્રીલેખો’. બાકીનાં ચાર પુસ્તકોમાં ભગવતીકુમાર શર્મા (‘ગુજરાત મિત્ર’), શાંતિલાલ શાહ (‘ગુજરાત સમાચાર’), કુંદન વ્યાસ (‘જન્મભૂમિ’) અને અજય ઉમટ (‘દિવ્ય ભાસ્કર’) લિખિત ચુનંદા તંત્રીલેખોનો સંગ્રહ છે. સીમિત જગ્યાને કારણે આપણે અત્યારે હસમુખ ગાંધીના તંત્રીલેખો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું.



હસમુખ ગાંધી કલમથી પટ્ટાબાજી ખેલતા અને કોઈને ન બક્ષતા. ૧૪ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ પ્રકાશિત થયેલા ‘સમકાલીન’ના સૌથી પહેલા અંકના તંત્રીલેખમાં ગાંધીભાઈએ ગર્વિષ્ઠ ઘોષણા કરી હતીઃ ‘છાપાળવી ભાષા, પ્રાદેશિક બોલી, ચીલાચાલુ પ્રયોગો, વ્યાકરણના ગ્રાઉન્ડ રૂલ્સનો ભંગ કરતાં લખાણો, ન સમજાય એવાં વાક્યો, જોડણીને કૂટી મારતા શબ્દોઃ આ બધાને ચાતરી જવાની ‘સમકાલીન’ની નેમ છે.’ આ ઠાલા શબ્દો નહોતા, ગાંધીભાઈએ આ પ્રમાણે કરી બતાવ્યું.



માહિતીની સમૃદ્ધિ, વૈચારિક સ્પષ્ટતા અને તીખીતમતી ભાષા - ગાંધીભાઈના લખાણમાં આ ત્રણેયનું ડેડલી કોમ્બિનેશન થતું. એમની ચીડ અને અણગમો હંમેશા તીવ્રતાથી વ્યક્ત થતાં. મધર ટેરેસા વિશે બીબીસીએ એક ડોક્યુમેન્ટરી બનાવેલી. એના સંદર્ભમાં ‘નરકની દેવીનો ભાંડો ફૂટે છે’ એવું શીર્ષક ફટકારીને ગાંધીભાઈએ લખ્યું હતુંઃ ‘મધર ટેરેસાની અસ્કયામતો ત્રીજા વિશ્વના અનેક દેશોની એસેટ્સ કરતાં ચડી જાય એટલી વિરાટ છે. મધર ટેરેસાની પ્રવૃત્તિઓથી કોને લાભ થાય છે? તો કે હીણા ડિટેક્ટરોને, વેટિકનને અને ભ્રષ્ટ લોકોને. સેવા? ક્રાઈસ્ટ, ક્રાઈસ્ટ કરો.’ ઘોંઘાટ વિશેના એક તંત્રીલેખમાં તેમણે ત્રસ્ત થઈને લખ્યું હતુંઃ ‘સૌથી દુષ્ટ પેલા હરેરામકૃષ્ણવાળા છેઃ ઝાંઝપખાજ વડે પિક અવર વખતે ચર્ચગેટ સ્ટેશનમાં તેઓ નાચે છે અને બહાર પુસ્તકો વેચવા માટે માઈકનો ઉપયોગ કરે છે.’



હસમુખ ગાંધી વિશેના એક લેખમાં પત્રકાર-લેખક સૌરભ શાહે લખ્યું છેઃ ‘ગુજરાતી ભાષામાં છપાઈને પડી રહેલું શબ્દનું રૌદ્ર સ્વરૂપ બહાર લાવવાની તેમનામાં જબરદસ્ત ફાવટ. કોઈ નીતિ, વ્યક્તિ કે ઘટના, વિચારની સાથે તેઓ સહમત ન થતા હોય ત્યારે એમની ભાષા સત્તરે કળાએ ખીલી ઊઠતી, સત્તરમી કળા પેપરવેઈટ ઉછાળવાની.’



સહેજે વિચાર આવે કે ગાંધીભાઈ અત્યારે જીવતા હોત તો અણ્ણા હઝારે અને બાબા રામદેવે ઘટનાઓનો જે વંટોળ ઊભો કર્યો છે તેના વિશે કેવું કચકચાવીને લખતા હોત! લંપટ સ્વામી કેશવાનંદનો કિસ્સો બહુ ચગ્યો હતો તે વખતે ગાંધીભાઈએ અંધશ્રદ્ધાળુઓને તો ઠીક, ગુજરાતી અખબારોની પણ બરાબરની ખબર લઈ નાખી હતીઃ ‘ગુજરાતી અખબારોએ વર્ષો સુધી દોરાધાગા, મૂઠમાદળિયાં, વળગાડઉતાર, વહેમ અને અંધશ્રદ્ધાને પોષ્યાં છે. આ અખબારોએ વાંઝિયણ સ્ત્રીને બાળક અવતરે એવો મંત્ર અને એ માટેનું યંત્ર આપનાર ધુતારાઓની ચિક્કાર જાહેરખબરો છાપી છે. હવે આ જ દૈનિકો દિવસો સુધી કેશવાનંદને ટપલી મારતા અગ્રલેખો બહાદુરીપૂર્વક છાપશે. કેવી છલના. કેવી આત્મવંચના. કેવાં બેવડાં ધોરણો.’



પત્રકારત્વ ગાંધીભાઈનું પેશન હતું. ગુજરાતી જર્નલિઝમના તેઓ ‘બિગ ડેડી’ હતા. ગુજરાતી છાપાંમેગેઝિનો, તેમાં કામ કરતા માનવપ્રાણીઓ અને ઈવન વાચકો વિશે વાત કરતી વખતે તમની કલમ જબરી ઉત્તેજિત થઈ જતી. એક લેખમાં તેઓ આકળવિકળ થઈને લખે છેઃ ‘૨૫ ઈન્કમ્બન્ટ તંત્રીઓ અને ૨૫ ભૂતપૂર્વ તંત્રીઓને રાખીને તમે ગુજરાતી પેપર કાઢો તોય એ પેપર ખરાબમાં ખરાબ અંગ્રેજી દેનિક કરતાંય ઊતરતું હશે. આમ કહેવાથી આપણી ગુજરાતી અસ્મિતા ઘવાતી હોય તો તમે, મિસ્ટર નૌતમલાલ ઠક્કર, બે કેરીના રસની સાથે રોટલી વધુ ખાજો. ગુજરાતીમાં (ફોર ધેટ મેટર, વર્નાક્યુલર ભાષાઓમાં) પત્રકારત્વ હતું જ નહીં, છે જ નહીં અને હશે જ નહીં.’



નોતમલાલ ઠક્કર એટલે ગાંધીભાઈએ પેદા કરેલું પોતાના ઓલ્ટર ઈગો જેવું એક કાલ્પનિક પાત્ર. ગાંધીભાઈની અતિશયોક્તિ કરવાની અદા પણ આકર્ષક હતી. ગાંધીભાઈના નિધન પછી મધુ રાયે અંજલિલેખમાં કહ્યું હતુંઃ ‘‘સમકાલીન’ની ભાષામાં એક પર્વર્સ વાઈટાસિટી યાને વકરેલી જવાની હતી. હસમુખભાઈ ગુજરાતી લિપિ સામે સિરજોરી કરતા હતા, ગલોફામાં ભાંગની પકોડી મૂકીને, સાથળ પર થાપા મારીને, આખી ગુજરાતી ભાષાનું આવાહન કરતા હતા... એડિટરસાહેબ પોતાના ‘સબ’લોકો પાસે ભાષાની વ્યાયામશાળામાં લેજિમનૃત્ય કરાવતા, પત્રકારત્વનાં તત્ત્વ શીખવવાની મદરેસા ચલાવતા, અને ખૂનખાર પત્રકાર તરીકેની ખ્યાતિ ઉપાર્જિત કરતા હતા.’



આ પુસ્તકના સંપાદક દિવ્યાંગ શુક્લે ગાંધીભાઈ સાથે વર્ષો સુધી કામ કર્યું છે. તેઓ કહે છે, ‘હું પત્રકારત્વમાં પ્રવેશ્યો એની પહેલાંથી ગાંઘીભાઈના લેખોનાં કટિંગ્સ કરતો અને પછી વર્ષો સુધી કરતો રહ્યો. તેમના મૃત્યુ પછી ‘સમકાલીન’માં અમે નામની પૂર્તિ બે ભાગમાં બહાર પાડી હતી. મને ખૂબ ગમેલા અને સાચવી રાખેલા ગાંઘીભાઈના લેખોમાંથી આ પુસ્તક તૈયાર થયું છે. ગાંધીભાઈને આપેલી આ મારી ગુરૂદક્ષિણા છે...’



કહે છે ને કે સ્વિટ્ઝર્લેન્ડ જેવા સ્થળે કોઈ પણ જગ્યાએ કેમેરા ધરીને ક્લિક ક્લિક કરી દો તો પણ તસવીર અફલાતૂન જ આવે. ગાંધીભાઈનાં લખાણોનું પણ એવું જ. જલસો કરાવે એવું આ પુસ્તક મિસ કરવા જેવું નથી.                                                                   000


(મારા મનગમતા તંત્રીલેખો - હસમુખ ગાંધી
સંપાદકઃ દિવ્યાંગ શુક્લ

પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન્સ, મુંબઈ-૧

ફોનઃ (૦૨૨) ૨૨૦૦ ૨૬૯૧
કિંમતઃ રૂ. ૧૫૦ /

પૃષ્ઠઃ ૧૩૮)











Saturday, January 22, 2011

Marathon Diary of a Couch Potato

How the hell can I do this to myself?

This was the first thought that was screaming in my mind just 25 minutes after I started my first ever half Marathon.

I wanted to punch myself for committing the biggest ever crime of my life, but where was the energy to do so? I was breathless, perspiring furiously and panting violently, gasping for some oxygen with mouth wide open. I had barely crossed 1.5 kilometers from the gathering area at Bandra Reclamation. Hell, I had not even touch the BWSL - Bandra-Worli Sea Link - and I was almost dead.

No… I am not going to finish this one! I declared to myself. I can’t! If this is the condition in the first 2 kilometers, how can I even dare to think of completing the total stretch of 21.097 km? Even 0.097 kms seemed a tough task!

I was mad at myself. Thousands of fellow Mumbaikars were running around me. No, they were running past me. Was Pinky – my wife and fellow runner - going through the same unbearable torture that I was experiencing? Possibly. Her panting was even louder than mine. Was she too realizing that she had committed the biggest mistake of her life by joining Mumbai Marathon 2011? Maybe she was waiting for me to be the first one to announce: Enough… Let’s quit.

Enough it was. Before I embarrassingly fell flat on the ground, I stopped running and started walking. I thought Pinky would push me to run little more. She didn’t. Instead, she immediately followed me and started walking herself. A few minutes of walk led us the entry point of the Bandra-Worli Sea Link.

Aha… to be on BWSL – my favorite spot in the city!


Bandra Worli Sea Link: Bliss...
 Maybe it was for the fact that I was realizing my fantasy to walk along BWSL or maybe I had stopped running long enough to get back to my normal self – I suddenly felt energized. It was around 7 am. The darkness in the sky was gradually disappearing. The incredible city skyline was now visible. BWSL did something to the runners. Suddenly they seized to be runners or even walkers. Everybody was busy taking pictures with their mobile phones or digital cameras. Some gentlemen were even standing in a queue near the railing and peeing unabashedly, enjoying the magnificent view. After all, you don’t get a chance to pee on the latest Wonder Of Mumbai everyday!


I was now in position to think beyond my immediate physical reality. The breeze was so exhilarating; I even smiled randomly. I was now able to reflect. How did I land on BWSL at all? What was a couch potato like me doing here?

                                                                         0 0 0

Yup, I have no qualms labeling myself as a couch potato simply because I am one. The white leather sofa in my drawing room right in front of a TV has been the most favorite place of my mine since the time I can remember. I must have moved into four houses by now, but my favorite place – sofa in front of a TV – has stubbornly remained unchanged. I lazily stretch my 84.2 kg body on the sofa with a remote control in hand, a plate full of sev-gathiya resting on my ever-expanding tummy and a leg strangely dangling on the back rest - this is the most common posture one would find me in when I am home. I just don’t sit on the sofa, I lie down.

… And I read Think Everest in the same posture.

It is an amazing book written by Atul Karwal – the first IAS officer to climb the Everest. Actually, I had to write an artilce on its Gujarati version - beautifully trans-created by Saurabh Shah - for my book review column in Chitralekha.

As I see it now, the book did the trick. Or maybe I was just waiting for a suitable trigger. I decided to do ‘something’ about my body. However, this was not the first time; I had taken such a decision oh-so-many-times in the past. What made me think that it was different this time? It is the last year of my 30s- was that the reason? I don’t know. We had already enrolled ourselves for Mumbai Marathon 2011. Technically, it was a good enough motive to sweat it out. I started getting up early in the morning anyways and joined Pinky for jogging and gymming sessions. Pinky is quite unlike me – being a typical Virgo, she is quite an disciplinarian.

There have been too many failed attempts and false starts in the past though at gym in the past. Was I serious this time? I simply refused to think on those lines. Neither did I set any target nor did I make any resolution. All I did was sat on my computer and prepare an Excel sheet. I filled up details in various columns: Week 1 - Day 1 (in this case, it was November 9), Calories Burnt, Bowel movements (I have been pathetically irregular in this department), Comments etc. Since keying-in does not demand too much energy, I was sure I would be regular in updating the Excel file on daily bases at least.

First week went by nicely. I did get up early in the mornings, I did hit the gym and best part was, I didn’t miss even a single day. My Excel updates looked impressive. ‘Running on a tread mill in air-conditioned confines doesn’t make sense,’ Pinky declared on Day 10, ‘we are going to start jogging on the ground from tomorrow.’

When did I run on a ground last time? In 9th grade? Or was it to catch a speeding local train on crowded station some months ago? I was never a sporty person, ever. Football, cricket, badminton etc were never a part of my bookish system. Am I going to run? Really?

‘You look so funny when you run,’ Pinky expectedly announced on the very first day. ‘So?’ I asked her even as I was huffing and puffing badly. ‘Nothing,’ she replied coolly, ‘keep running.’

From brisk walking I graduated to 2.5 rounds of running non-stop. The club ground was so tiny; it didn’t even amount to 0.75 km. I started walking-cum-jogging on Juhu beach. Of course, I did bunk many times, but mercifully I had not given up. I actually started enjoying myself. Not that I was addicted to running on the beach. The reason was I was hooked to those delicious salads that they sell at the beach early mornings. Temptations are not always bad, you see.


Did that mean that I was completely geared up for the half Marathon? No way!

I have been a spectator of Mumbai Marathons all these years. Yes, I enjoyed being on the field and cheering the runners. Yes, I liked the madness, the spirit, the energy in the air. But I was pretty clear on this one: since I am a participant myself this time around I would run or walk for, say, 6-7 kilometers, get the ‘feel’ and then catch first available cab to get back home. Then, of course, I would park myself leisurely on my favorite sofa and watch rest of the going-ons on TV. Simple.

0 0 0

But life is never as simple as we want it to be, you know. How the hell would I get a cab – or any other vehicle - on BWSL that day? The only damn thing available out there was an ambulance. Since I was far from being dead, I had no option but to cross the entire BWSL.

And that proved to be the best thing that has ever happened to me!

After doing so much time-pass in clicking pictures and posing and preening in front of mobile camera, I realized that my body was no more aching. In fact, I started feeling surprisingly fresh. Maybe my body-rhythm was set by now. By the time I reached the far end of BWSL, I had already covered some 9 to 10 kilometers in total! Suddenly a stroke of confidence hit me. Hell, I have already covered half of the distance. Why to escape? I would be able to complete the remaining stretch somehow!

The question that was bothering me now was, will I be able to finish it before sunset? Will there be anyone around to receive us, greet us or at least take a notice of us? I decided not to worry about distant future and concentrate instead on onlookers who had enthusiastically gathered along Worli Sea face and beyond.

Trust me, nothing can be more energizing than cheering voices and appreciating eyes especially when they belong to absolute strangers! There would go: ‘Come on India…’, ‘Buck up Mumbai…’, ‘Run, run… don’t walk… Yes, you can do it...’

The cheers and claps were not just encouraging, it was pressurizing as well. I heard a fellow runner saying,” Arre yaar, fir se taali bajane wale aa gaye… Ab fir se bhagna padega.. (Oh these clapping people… We are unnecessarily forced to run to keep up with the image and expectations…)’


















They were equipped with bowls full of biscuits, chocolates, orange slices, energy drinks and what not. They would say ‘Great going guys!’ while offering the stuff gently and smilingly. The kids were the most enthusiastic lot. They would feel so happy if runners-turned-walkers oblige them by taking an eatable from their tray. I feared that if I keep on eating delicious stuff along the way, forget losing weight, I would end up putting on more kilos on my body instead!

It was a great feeling, to say the least. It was like entire city was out there to pamper you. They made you feel so special. I found especially citizens of Altamount Road the most upbeat. Was the entry of Mr. Wealthiest Ambani in the neighborhood the reason for their exuberance? I don’t know. But I was ready to shed the impression of South Bombaiites being the snootiest of them all. Nope, they are not!

We were getting mixed up with full Marathon participants. They had started off from Chhatrapati Shivaji Terminus at the same time ie 6.15 am. Now they were returning back to CST after running to Bandra Reclamation and even leaving us behind. Suddenly I sprinted like never before. Nope, not towards the destination. Instead I took a sharp right turn at 90 degrees, jumped off the road-divider, crossed the entire road and crashed into the place that I was desperately searching for- a Sulabh Sauchalaya. Mercifully I could spot one before my bladder exploded!


Running along  Queen's Necklace: Almost there...
 We passed Huges Road and - aha! – now we were on the Queen’s Necklace! That effectively means we already covered more than 2/3rd of the distance! As we were moving towards Princess Street flyover, we could see Dream Runners coming in from the opposite direction. They had put on colorful clothes that were most shocking. They were holding play cards in hands and shouting slogans at top of their voices. Basically, they wanted to hog all the attention. And they did. Entire media and cheering crowds completely dedicated themselves to the Dream Runners. They had to cover the least distance - barely 6 kilometers - and they hogged the most limelight. Exhibitionists!

 Exhibitionistic Dream Runners at Princess Street Flyover!
By the time we reached Flora Fountain, my walk changed. I had started walking like Great Khali! Nobody was noticing me anyways. Who would be interested in humanized turtles? Crowds were gathered along the next lane dedicated to full Marathon runners and Dream Run creatures. I felt royally ignored. However, I decided not to feel bad about it. ‘Go! Go! Go! You have almost reached…’ Some official type screamed at us.

Aha… CST! The destination! I could see it with my naked eye. I looked at Pinky. She was beaming. I feared she would break down any moment. And… here it was! Did I just step onto the electronically devised finishing line? Whoa! I did it! Hurrah! I noticed the time: 4 hours, 10 minutes, 17 seconds. Being a sports person in past, Pinky obviously did better than me: 4 hours, 10 minutes, 16 seconds!


Since we had finished before 10.30 am, we were now automatically illegible for next year’s Mumbai Marathon. We were even given beautiful bronze medals with words 'I Finished' nicely carved on it. This was incredible! A couch potato like me actually completed the half Marathon successfully in first go! So what if the time taken to finish the run was more than four times than it should be? So what if I was not a runner, but a ‘walker’ in most parts? I had never imagined I could ‘achieve’ even this in my life time. I knew that this as well could be a defining moment of my life!

My 7 year son, however, felt cheated and needed an explanation. ‘Dad, how could you not win the race?’ He shouted at us the moment we weakly stepped into home post lunch time. ‘I saw some Africans won hours ago on TV… Where were you?’

‘Sorry beta…’ I said meekly knowing fully well that he would never going to listen to me in future when I’d push him to find a top-3 position in his school sports meets.

However I did promise to myself: I would sincerely try to finish half Marathon in 3 hours next year. Hell, now I know I can do this to myself...

0 0 0

Friday, November 12, 2010

પોતપોતાનો એવરેસ્ટ

ચિત્રલેખા ૨૨ નવેમ્બર ૨૦૧૧માં પ્રકાશિત




પોતપોતાનો એવરેસ્ટ

સ્લગઃ વાંચવા જેવું

----------------------------------------------------------------



જિંદગીનું ચુમાલીસમું વર્ષ આમ તો ફાંદાળા સદ્ગૃહસ્થો માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશેની વિચારણા શરૂ કરવાનું યા તો સંભવિત મેલ મેનોપોઝ વિશે ઓફિશિયલી ચિંતા કરી શકવાનું વર્ષ ગણાય. પણ અતુલ કરવલની ચિંતાઓ જરા જુદા પ્રકારની હતી. જેમ કે, ઓક્સિજનનું વધારાનું સિલિન્ડર ખતમ થઈ ગયું તો ૨૪,૦૦૦ હજાર ફીટથી વધારે ઉચાઈ પર કેવી રીતે પહોંચવું? અથવા તો, લગભગ આટલી જ ઉચાઈએ ભયંકર જોખમી ઢોળાવ પર દોરડાની મદદથી માંડમાંડ લટકતા રહીને એમ વિચારવું કે મને જીવનમરણ વચ્ચે ઝુલતો અટકાવી શકે એવો કોઈ માઈનો લાલ દેખા દેશે ખરો?



માણસ જ્યારે એવરેસ્ટનું શિખર સર કરવા નીકળ્યો હોય ત્યારે તેની ચિંતાઓ આ જ પ્રકારની હોવાની ને!



અલબત્ત, ‘થિન્ક એવરેસ્ટ’ પુસ્તકમાં અતુલ કરવલના આ ટેન્શન વિશે વાંચતી વખતે તમે સુપર એક્સાઈટેડ હશો, કારણ કે તમે એ જ પાના પર વાંચો છો કે કોઈ બીજી ટીમનો અજાણ્યો શેરપા ચમત્કારિક રીતે પોતાનું વધારાનું ઓક્સિજન સિલિન્ડર તેમને આપી દે છે અને પેલા ઢોળાવ પર થોડી જ મિનિટોમાં સાથી શેરપા આવીને તેમની મદદ કરે છે. પુસ્તકનાં પાનાં પર લેખક જેમ જેમ એવરેસ્ટના શિખરની નજીક પહોંચતા જાય છે તેમ તેમ ઉત્તેજનાના માર્યા તમારો શ્વાસ અધ્ધર થતો જાય છે અને જેવા એ પોતાની રકસેકમાંથી તિરંગો કાઢીને લહેરાવે છે કે તમને છળીને સીટી મારવાનું મન થાય છે. દુનિયાના સર્વોચ્ચ પર્વતારોહણ વિશેના ઉત્કૃષ્ટ લખાણનો આ જાદુ છે!




Atul Karwal : તમે કેટલા ઝડપથી ચાલો છે એ અગત્યનું નથી, તમે કેટલે દૂર સુધી પહોંચી શકો છો એ મહત્ત્વનું છે...
 અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક)ના પદ પરથી ૨૨ મે ૨૦૦૮ના રોજ એવરેસ્ટ પર સફળ આરોહણ કરનાર અતુલ કરવલ ગુજરાતના અને સમગ્ર ઓલ ઈન્ડિયા સવિર્સીઝના સૌપ્રથમ સાહસિક છે. પ્રસ્તુત પુસ્તકમાં આ સાહસકથા તેમણે પોતાનાં પત્ની અનિતા કરવલની મદદથી અત્યંત રસપ્રદ રીતે આલેખી છે. સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં પર્વતારોહણની દિલધડક કેફિયત ઉપરાંત તેમની આધ્યાત્મિક અંતર્યાત્રાનો આલેખ પણ છે. તસવીરો બ્લેક-એન્ડ-વ્હાઈટ હોવા છતાં પુસ્તકને જીવંત બનાવી દે છે. વાતનો પ્રવાહ એક કરતાં વધારે સ્તરો પર સતત ફ્લેશબેક - ફ્લેશ ફોરવર્ડ થયા કરે છે. લેખકે મનની શક્તિઓને વિસ્તારવાની, તેને અતિક્રમી જવાની વાત એટલી આસરકારક રીતે કરી છે કે વાચકને પાનો ચડી જાય. તેઓ લખે છે, ‘પર્વતારોહણ સમયે પણ જિંદગીમાં ઉતારવા જેવા સાદાસીધા અને સૌથી અગત્યના પુરવાર થતા પાઠ કેટલી સરળતાથી ભણવા મળે છેઃ ઝડપ તમને શિખર સુધી લઈ જતી નથી, એના માટે ખંત જોઈએ, દઢ નિર્ધાર જોઈએ, સતત આગળ વધતા રહેવાની મક્કમતા જોઈએ. કહેવાય છે ને કે તમે કેટલા ઝડપથી ચાલો છે એ અગત્યનું નથી, તમે કેટલે દૂર સુધી પહોંચી શકો છો એ મહત્ત્વનું છે...’



માણસ તીવ્રતાથી જે ઈચ્છતો હોય છે તે આખરે થઈને રહેતું જ હોય છે. ચંદીગઢમાં ઉછરેલા અને ફિઝિકલ ફિટનેસના દીવાના અતુલ કરવલનું પર્વતો પ્રત્યેનું તીવ્ર પેશન આખરે તેમને એવરેસ્ટના શિખર સુધી દોરી ગયું. લેખક માહિતી આપે છે કે વિશ્વમાં ૮,૦૦૦ મીટર (અથવા ૨૬,૦૦૦ ફૂટ) કરતાં ચા ૧૪ પર્વતો છે, જે તમામ હિમાલયમાં સ્થિત છે. બોલચાલની ભાષામાં તે ‘આઠ હજારી’ તરીકે ઓળખાય છે. તેમાંથી સૌથી જોખમી અણપૂર્ણા છે. તેનું આરોહણ કરનારાઓમાંથી ત્રીજા ભાગના પર્વતારોહકો પાછા ફરતા નથી. તે પછી કંચનજંગા અને કે-ટુનો વારો આવે. બણેનો મૃત્યુદર ૨૦ ટકાથી પણ વધુ. એવરેસ્ટનો મૃત્યુદર ૮થી ૯ ટકા જેટલો છે.




Atul Karwal: તમે પર્વત નથી ચડતા, પર્વત તમને ચડવા દે છે. એ નક્કી કરે છે કે તમે શિખર સુધી પહોંચશો કે નહીં
 લેખક લખે છેઃ ‘હું શીખ્યો કે કુદરતની અસીમ તાકાતનો ભય મનમાંથી કાઢી નાખવો હોય તો કુદરતનો ભરપૂર આદર કરતાં શીખી જવું જોઈએ... કુદરતનું પણ માનવસંબંધો જેવું જ છે. જો તમે કુદરતને ચાહશો, એનું માન જાળવશો તો એના પડઘારૂપે પોઝિટિવ આંદોલનો તમારા સુધી પહોંચવાના જ છે.... શેરપાઓ અને મહારથી ગણાતા ભલભલા પર્વતારોહકો પણ કંઈક આવું જ માનતા હોય છે કે તમે પર્વત નથી ચડતા, પર્વત તમને ચડવા દે છે. એ નક્કી કરે છે કે તમે શિખર સુધી પહોંચશો કે નહીં.’



પુસ્તકમાં માત્ર શ્વાસ અધ્ધર કરી દે તેવાં વર્ણનો જ નથી, ખડખડાટ હસી પડાય તેવી વાતો પણ છે. જેમ કે, હિમાલયની વિષમ પરિસ્થિતિમાં લઘુ અને ગુરૂશંકાના નિવારણ વિશેની વિગતો. ૧૭,૫૦૦ ફીટની ઉચાઈ પર ટોયલેટ માટેના તંબૂમાં સરકસના ખેલાડીઓની જેમ સંતુલન જાળવીને પીપડા પર બેસી પ્રાતઃક્રિયા પતાવતી વખતે ધ્યાન રાખવાનું કે પેશાબ પીપડાની બહાર પડે. પીપડું ભરાઈ જાય ત્યારે એને સીલબંધ પેક કરીને કાઠમંડુ પાછું મોકલી દેવાનું! આ પ્રકારની પરેશાનીઓનો અનુભવ એવરેસ્ટ આરોહણ માટેની કસોટીઓ અને તાલીમ દરમિયાન જ મળી ગયો હતો. સિક્કિમના એડવાન્સ બેઝ કેમ્પમાં એક વખત લેખકે ટ્રેનરને પૂછેલુંઃ અરે, અહીં તો ક્યાંય ખાલી જગ્યા દેખાતી નથી. સવારે ટોયલેટ જવા માટે કઈ તરફ જવાનું? જવાબ મળ્યોઃ ‘સર, ઉપર જવાનું, ઝાડ પર... કોઈ મજબૂત ડાળી જોઈને બેસી જવાનું અને કામ પતી જાય એટલે સાચવીને નીચે તરી જવાનું!’



આંશિક રીતે રોજનીશીના સ્વરૂપમાં લખાયેલા આ પુસ્તકમાં લેખકનું સંવેદનશીલ આંતરિક વ્યક્તિત્વ અને એનર્જેટિક બાહ્ય પર્સનાલિટી જ નહીં, બલકે તેમનો પારિવારિક માહોલ અને જીવનશૈલી પણ આકર્ષક રીતે પસતાં જાય છે. તેને લીધે પુસ્તક ઓર ભરેલુંભરેલું બન્યું છે. પુસ્તકનું ફલક એટલું વિશાળ છે કે તે માત્ર ટ્રેકિંગ કરવાના શોખીનોને જ નહીં, પણ સૌ કોઈને સ્પર્શી જશે. લેખક કહે છે, ‘એક પાઠ જે હું વારંવાર શીખતો રહ્યો છું તે એ કે મનની કોઈ સીમાઓ હોતી નથી, માત્ર મર્યાદાઓ હોય છે... મને લાગે છે કે દરેક વ્યક્તિ પાસે જિંદગીમાં પોતપોતાનો એક ‘એવરેસ્ટ’ હોવો જોઈએ, જેથી આપણે માની લીધેલી મર્યાદાઓમાંથી બહાર આવીએ, સરહદો તોડીને અને આપણે જે બનવું જોઈએ કે જે બનવું છે તે બનીએ.’



પુસ્તકનો અનુવાદ નહીં પણ અનુસર્જન (ટ્રાન્સક્રિયેશન) કેવી રીતે થવું જોઈએ તેનું ‘થિન્ક એવરેસ્ટ’ ઉત્તમ ઉદાહરણ છે. ઓરિજિનલને બદલે અનૂદિત પુસ્તક વાંચવાની ભલામણ કરવાનું મન થાય તેવાં સત્ત્વશીલ પુસ્તકો રોજ રોજ ક્યાં પ્રકાશિત થાય છે! સૌરભ શાહે પુસ્તકના ગુજરાતી અવતારને પોતાની શૈલીથી વધારે સમૃદ્ધ બનાવ્યો છે. તેમણે પુસ્તકમાં જેમનાં સતત ઉલ્લેખો થતા રહે છે તે ક્રેમ્પોન અને કેરબીનર જેવી પર્વતારોહણ માટે જરૂરી સામગ્રીને લગતી સચિત્ર સમજૂતી સમાવી લીધી છે (જે પુસ્તકની શરૂઆતમાં જ આવી ગઈ હોત તો વધારે સારું થાત), સરસ મજાની ફોટો કેપ્શન્સ આપી છે અને એક વધારાનું પ્રકરણ પણ ઉમેર્યું છે. ‘થિન્ક એવરેસ્ટ’ માટે આ ત્રણ જ શબ્દો કાફી છેઃ અ મસ્ટ રીડ!

Watch Atul Karwal Interview. Click on http://www.youtube.com/watch?v=MMR5nrjz-Ak
Watch a film on Atul Karwal. Click on http://www.youtube.com/watch?v=Itz6n82mqtE




(થિન્ક એવરેસ્ટ

લેખકોઃ અતુલ કરવલ - અનીતા કરવલ

અનુવાદકઃ સૌરભ શાહ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર,

દેરાસર પાસે, ગાંધી માર્ગ,

અમદાવાદ ૩૮૦૦૦૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩

કિંમતઃ રૂ. ૨૭૫/

પૃષ્ઠ સંખ્યાઃ ૩૨૦ )

Monday, August 23, 2010

સૌરભ શાહનું સંબંધશાસ્ત્ર

‘ચિત્રલેખા’ અંક તારીખ ૨૭ ઓગસ્ટ ૨૦૧૦માં પ્રકાશિત



કોલમઃ વાંચવા જેવું




તૂટે તે સંબંઘ, ટકે તે વ્યવહાર









સંંબંધો વિશે સમજતા રહેવાની અને જુદાં જુદાં સત્યો સુધી પોતાની રીતે પહોંચવાની પ્રક્રિયા આજીવન ચાલતી રહે છે. આ પ્રક્રિયાને વધારે ઝડપી અને વધારે સ્પષ્ટ બનાવી દે તેવાં માધ્યમની તલાશ હોય તો સૌરભ શાહ લિખિત ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’ની છ સંકલિત પુસ્તિકાઓ પાસે જવા જેવું છે. માનવસંબંધો વિશે મૌલિક લખવું ખૂબ કઠિન છે, પણ સૌરભ શાહે આ વિષય પર સતત લખ્યું છે અને ઉત્તમ લખ્યું છે.



‘જે પ્રેમ એ પ્રેમ સિવાયની ક્ષણોને પણ સમૃદ્ધ બનાવે તે ખરો પ્રેમ’ એવી વ્યાખ્યા બાંધીને લેખક પછી ઉમેરે છેઃ ‘પ્રેમમાં ખુવાર થવાનું ન હોય. પ્રેમ પામવા જતાં જિંદગી પોતે જ બરબાદ થઈ જવાની હોય તો એ પ્રેમનો અર્થ શો?’



આદર્શ સંબંધ કોને કહેવાય? ‘એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં રહેલી ઉત્તમોત્તમ ભાવનાઓ પ્રગટાવી શકે ત્યારે આદર્શ સંબંધની શક્યતાઓ સર્જાય. દરેક માણસમાં પોતે દાનવ બની શકે એવો કાચો માલ સંઘરાયેલો હોય છે અને એ દેવ જેવું વ્યક્તિત્વ ખીલવી શકે એવું રો મટીરિયલ પણ એનામાં પડેલું હોય છે. સામેની વ્યક્તિ તમારી આ બે શક્યતાઓમાંથી કઈ શક્યતાને ઉછેરી શકે એ જોવાનું છે.’



... પણ એક સમયે જેને ઉત્તમ માની લીધી હતી તે વ્યક્તિ સાથેનો સંબંધ શ્રેષ્ઠતાની સપાટી પર સતત તરતો રહે તે જરૂરી નથી. તેથી જ ‘તૂટે તે સંબંધ, ટકે તે વ્યવહાર’ લેખમાં લેખક લખે છે, ‘કોઈ ચોક્કસ સમયે અને કોઈ એક ચોક્કસ સ્થળે જન્મેલો સંબંધ કાયમ ત્યાં ને ત્યાં રહી શકતો નથી. સમય અને સ્થળની સાથે સંબંધની તીવ્રતામાં, એના આવેશમાં વધઘટ થતી રહેવાની.’



વૈચારિક સ્પષ્ટતા અને કન્વિકશન એ સૌરભ શાહનાં લખાણોનાં સૌથી મોટાં પ્લસ પોઈન્ટ્સ છે. ગોળગોળ નહીં, પણ ચોટદાર અને લક્ષ્યવેધી વાત. તેઓ કહે છેઃ ‘બેઉ વ્યક્તિ એકસરખી તીવ્રતાથી એકબીજાને ચાહતી હોય ત્યારે જ પ્રેમની માત્રામાં ઉત્તરોત્તર વધારો થાય. બેમાંથી એક વ્યક્તિની તીવ્રતામાં ઓટ આવ ે ત્યારે પ્રેમ સ્થગિત થઈ જવાને બદલે કથળવા માંડે. એક વ્યક્તિ અત્યંત ઉત્કટતાથી ચાહતી હોય તો પણ ચાહતમાં વળતાં પાણી આવવાનાં.’



પ્રેમ અને સંબંધોનું વિષ્લેષણ કરતી વખતે સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરવામાં લેખકે કોઈ રસ નથી. તેઓ લેશમાત્ર કંપ અનુભવ્યા વગર લખે છેઃ ‘લગ્નમાં ક્યારેય બેઉ વ્યક્તિ વચ્ચે ફિફ્ટીફિફ્ટી જવાબદારી હોઈ શકે નહીં. વાસ્તવિકતા એ છે કે લગ્નમાં પતિ યા પત્ની બેમાંથી એકની લગન્ ટકાવવાની જવાબદારી વધુ અને બીજાની ઓછી આપોઆપ થઈ જતી હોય છે.’



લેખકે એક વાર સાહિત્યકાર મધુ રાયને પૂછેલુંઃ પત્નીના પિતાને ફાધરઈનલો, એની માતાને મધરઈનલો, અને એના ભાઈને બ્રધરઈનલો કહેવાય તો પત્નીના પુરુષ મિત્રને ફ્રેન્ડઈનલો કહેવાય કે નહીં? મધુ રાયે ખડખડાટ હસતા પહેલાં ગંભીર ચહેરે જવાબ આપેલોઃ ના, એને તો ‘સાલા, હરામખોર’ કહેવાય!



વાત સંબંધોમાં સલામતીની છે. લેખક કહે છેઃ ‘ સંબંધમાં નિરાંત અનુભવતા હો ત્યારે જ તમે એ સંબંધને જાળવવાની ચિંતામાંથી મુક્ત બની એને વિકસાવવાની શરૂઆત કરી શકો... સંબંધમાં અસલામતીની ભાવનાનું મુખ્ય કારણ સામેની વ્યક્તિના વિચારો કે એનું વર્તન નહીં પણ પોતાના જ વિચારો તથા પોતાનું જ વર્તન હોઈ શકે એવું ભાગ્યે જ કોઈ માનતું હોય છે.’



૧૬ ઓગસ્ટે પ્રગટ થયેલા ‘અબ્સોલ્યુટ ખુશવંતઃ ધ લોડાઉન ઓન લાઈફ, ડેથ એન્ડ મોસ્ટ થિંગ્ઝ ઈનબિટવીન’ નામનાં પુસ્તકમાં ૯૫ વર્ષીય ખુશવંત સિંહે લખ્યું છેઃ ‘સુખી થવા માટે અંડરસ્ટેન્ડિંગ સાથીદાર હોવો જરૂરી છે, પછી તે જીવનસાથી હોય કે મિત્ર હોય. જો તમારા જીવનમાં ખૂબ બધી ગેરસમજણો હશે તો માનસિક શાંતિ હણાઈ જશે. આખો વખત ઝઘડતા રહેવા કરતા ડિવોર્સ લઈને છૂટા પડી જવું સારું.’



સૌરભ શાહ આ વાતને આવી રીતે મૂકે છેઃ ‘સંઘર્ષથી સંબંધ મજબૂત નથી બનતો, થાકી જાય છે. જેને જાળવવા સતત સંઘર્ષ કરવો પડે એવા સંબંધોમાં અંતે હારી જવાનું હોય છે.’ અલબત્ત, ડિવોર્સ તો અંતિમ વિકલ્પ થયો, બાકી લેખક કહે છે તેમ, ‘સામાન્ય પરિસ્થિતિમાં લગન્જીવન જેમને ત્રાસભર્યું અને ભારરૂપ લાગતું હોય તેમણે વિચારવું જોઈએ ક્યા ડિવોર્સીને તમે સુખી, ખુશ અને આનંદી જોયા?’



આ સંપુટની પુસ્તિકાઓનાં શીર્ષકો જ ઘણંુ બધું કહી દે છેઃ ‘પ્રેમ એટલે ખુલ્લા પરબિડીયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર’, ‘પ્રેમ, સેક્સ અને સંબંધો’, ‘સંબંધમાં સલામતીની ભાવનાઃ સારી ક્યારે, ખરાબ ક્યારે’, ‘લગ્નજીવનમાં પતિપત્નીની જવાબદારી સરખે હિસ્સે વહેંચી શકાય નહીં,’ ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’ અને ‘સાથે રહેવાનાં કારણો ખૂટી પડતાં લાગ ત્યારે’. ટીનેજર્સ અને નવયુવાનો આ પુસ્તિકાઓને આ જ ક્રમમાં વાંચે તે બરાબર છે, બાકી ‘જિંદગી જોઈ ચૂકેલાઓ’ કોઈ પણ પુસ્તિકાનું કોઈ પણ પાનું ઉથલાવીને વાંચવાનું શરૂ કરે તો પણ શક્ય છે કે તેમને મનમાં કોઈ ઉઘાડ થાય, કોઈ સ્પષ્ટતા થઈ જાય યા તો મૂંઝવી રહેલા કોઈ સવાલનો જવાબ મળી જાય. બહુ ઓછાં પુસ્તકો આવો દુર્લભ ગુણ ધરાવતા હોય છે!



‘વાત પહેલાં લખાય અને તેને સંલગ્ન અનુભવ પછી થાય તે શક્ય છે,’ સૌરભ શાહ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘અથવા કહો કે, નવી પરિસ્થિતિમાં લખાણનું અર્થઘટન જુદી રીતે થાય. લખાણ માત્ર સ્વાનુભાવોમાંથી નહીં, પર્સેપ્શનમાંથી પણ આવતું હોય છે.’



પુસ્તિકાઓનું કન્ટેન્ટ જેટલું સત્ત્વશીલ છે એટલું જ આકર્ષક તેનું પેકેજિંગ છે. છયે પુસ્તિકાઓને સમાવી લેતાં એેક નહીં, પણ બે ગિફ્ટબોક્સ ખરીદવાં, કારણ કે આટલી સુંદર પુસ્તિકાઓ કોઈને ભેટમાં આપી દેતાં તમારો જીવ ચાલવાનો નથી એ તો નક્કી!





(સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ
લેખકઃ સૌરભ શાહ

પ્રકાશકઃ ભારતી પ્રિન્ટ એન્ડ પબ્લિશિંગ હાઉસ,
સેટેલાઈટ, અમદાવાદ૩૮૦૦૦૯
વિક્રેતાઃ બુકમાર્ક, ૭એ, ચીનુભાઈ ટાવર્સ, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૯
ફોનઃ (૦૭૯) ૨૬૫૮ ૨૪૪૮
છ પુસ્તિકાઓની કુલ કિંમતઃ રૂ. ૪૬૦/
કુલ પૃષ્ઠ સંખ્યાઃ ૬૪૦)




0 0 0