Thursday, July 16, 2020

ગુજરાતી ભાષા ફાવે તેમ લખાય, એમ?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 15 જુલાઈ 2020

ટેક ઓફ
અત્યાર સુધી માત્ર છાપામાં લખનારા અને ટીવીવાળા ગુજરાતી ભાષા પર અત્યાચાર કરી શકતા હતા. સોશિયલ મિડીયાને કારણે આજે સાડાછ કરોડ ગુજરાતીઓને માતૃભાષા પર અત્યાચાર કરવાનો પરવાનો મળી ગયો છે.

સોશિયલ મિડીયા જેવું લેવલર બીજું એકેય નથી. લેવલર એટલે બધાને એક જ સ્તર પર લાવી દેતી વસ્તુ. ફેસબુક નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પને જે પ્લેટફૉર્મ આપે છે તે જ પ્લેટફૉર્મ તમને પણ આપે છે. ટ્વિટર પર અમિતાભ બચ્ચનના ટ્વિટની તરત નીચે તમારું ટ્વિટ હોઈ શકે છે. માત્ર ફેમસ વ્યક્તિની જ નહીં, તમારી પોસ્ટ પણ વાઇરલ થઈને હજારો-લાખો લોકો સુધી પહોંચી શકે છે, જો તે દમદાર હશે તો. અત્યાર સુધી માત્ર પત્રકારો અને કોલમનિસ્ટો છાપામાં લેખો લખીને પોતાના વિચારો વ્યક્ત કરી શકતા હતા. આજે સમગ્ર પ્રજા ગમે ત્યારે સોશિયલ મિડીયા પર જઈને પોતાનું મંતવ્ય જણાવી શકે છે, અહેવાલ આપી શકે છે, પોતાના ગમા-અણગમા દુનિયા સામે બેધડક રજૂ કરી શકે છે. સરસ વાત છે આ.

સોશિયલ મિડીયાને કારણે આજે અસંખ્ય લોકો ગુજરાતીમાં લખતા થયા છે. ગુજરાતી ભાષાને, ફોર ધેટ મેટર, ચલણમાં હોય તેવી કોઈ પણ ભાષાને, જીવંત ને ધબકતી રાખી શકવાની સોશિયલ મિડીયાની તાકાત જબરદસ્ત છે. આ અદભુત વાત છે. તકલીફ એ છે કે સોશિયલ મિડીયા બેધારી તલવાર જેવું છે. અત્યાર સુધી માત્ર પત્રકારો અને કોલમનિસ્ટો કે પછી ગુજરાતી ન્યુઝ ચેનલોવાળા જ ગુજરાતી ભાષા પર અત્યાચાર કરી શકતા હતા. આજે સ્થિતિ એવી આવી ગઈ છે કે સોશિયલ મિડીયાને પ્રતાપે સાડાછ કરોડ ગુજરાતીઓ માતૃભાષા પર ગમે ત્યારે, દિવસ-રાત દરમિયાન કેટલીય વાર, સતત અત્યાચાર કરી શકે છે.   

ગોબરું, ચિતરી ચડે એવું, માથામેળ વગરનું, દમ વગરનું... આપણે કેવું ગુજરાતી લખીએ છીએ સોશિયલ મિડીયા પર? જરા થોભીને જુઓ તો ખરા. માત્ર ઉચ્ચ કક્ષાની સાહિત્યિક ભાષામાં જ લખવું જોઈએ તેવું કોઈ કહેતું નથી. તે જરૂરી પણ નથી ને શક્ય પણ નથી, પણ સાહેબ, ગુજરાતીમાં લખતી વખતે ભાષાનું થોડુંઘણું માન તો જાળવો. બેઝિક નિયમો તો પાળો. ફેસબુક પર કોઈની પોસ્ટ વાંચીએ યા તો વોટ્સએપ પર કોઈનું ફૉરવર્ડ મળે ત્યારે લખાણનો  મુદ્દો સમજાય જાય, માણસ શું કહેવા માગે છે એટલી ખબર ખબર પડી જાય એટલે આપણને સંતોષ થઈ જાય છે. તે લખાણની ભાષા, વ્યાકરણ, વાક્યોનું બંધારણ, જોડણી વગેરે તમ્મર ચડી જાય તેટલાં વાહિયાત હોય તો પણ આપણને ફર્ક પડતો નથી. આપણા પેટનું પાણી સુધ્ધાં હલતું નથી. ગંદી ગુજરાતીમાં લખાયેલો પ્રેરણાદાયી ક્વૉટ કે ટુચકો આપણે ફટાફટ વાંચી જઈએ છીએ ને પાછા તેને શૅર કે ફોરવર્ડ પણ કરી નાખીએ છીએ. ભાષાના મામલામાં આપણી ઉદારતાનો જોટો જડે તેમ નથી.

નેનુંનાનોમાંથી’ - આ અક્ષરોને મૂળ શબ્દથી અલગ પાડી દેવાનો કાયદો ક્યારથી અમલમાં આવી ગયોલોકો લખશે કે - 

નરેન્દ્ર મોદી ને દેશ ચલાવતા આવડતો નથી
કોરોના નો કાળો કેરલૉકડાઉન માં છૂટ અપાશે
અમિતાભ બચ્ચન થી ચડિયાતો કોઈ એક્ટર નથી.... 

અરે સાહેબ, નરેન્દ્ર મોદી ને કે નરેન્દ્ર મોદીને
કોરોના નો કે કોરોનાનો
લૉકડાઉન માં કે લૉકડાઉનમાં
બચ્ચન થી કે બચ્ચનથી? 

ને-નો-માં-થી... આ અક્ષરોની પહેલાં સ્પેસ શા માટે ઘુસાડી દો છો તમે? આ ગુજરાતી ભાષા છેહિન્દી નથી. હિન્દીમાં આ પ્રકારના અક્ષરો છૂટ્ટા પડી જાયપણ ગુજરાતીમાં નો-ની-નુ-ના-ને જેવાં વિભક્તિનાં પ્રત્યયો અને માં-થી જેવા અક્ષરો આગલા શબ્દની સાથે જોડાયેલા જ રહે.


લોકો દલીલ કરશે કે એ તો અમે મોબાઇલમાં ગુજરાતી ટાઇપ કરતા હોઈએ ત્યારે શબ્દ પૂરો થાય પછી આપોઆપ સ્પેસ થઈ જાય છે. એમાં અમે શું કરીએઆ ટેક્નોલોજીકલ ગરબડ છે તે સાચી વાત છે. જ્યાં સુધી ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ, સેમસંગ જેવી કંપનીઓ આ ક્ષતિ પર કામ નહીં કરે ત્યાં સુધી આ ગરબડ થતી રહેશે, પણ સાહેબ, તમે પોતે સ્પેસ દૂર કરીને શબ્દને વ્યવસ્થિત કેમ કરતા નથી? શા માટે તમે ઊંધું ઘાલીને ટાઇપ કર્યા જ કરો છો ને બિનજરૂરી સ્પેસ હટાવ્યા વગર, લખાણને એડિટ કર્યા વગર ફેસબુક કે વૉટ્સએપ પર ચડાવી દો છો?

રસ્તાઓ પર તોતિંગ હોર્ડિંગ અને પોસ્ટરોમાં, છાપા-મૅગેઝિન-ટીવી પર જોવા મળતી મોંઘીદાટ જાહેરાતોમાં આવી ભયાનક ભૂલો આંખ પર સતત અથડાતી રહે છે. થથરી ઉઠાય છે આ ગંદવાડ જોઈને. એડવર્ટાઇઝમેન્ટ પાછળ હજારો-લાખો રૂપિયા ખર્ચી નાખનારા વિજ્ઞાપનદાતાઓ પોતાની પ્રોડક્ટની એડમાં સાચી ગુજરાતી ભાષા વાપરવાનો આગ્રહ કેમ રાખતા નહીં હોય? જાહેરાત તૈયાર કરનારી એડ એજન્સીઓને ખુદને સમજાતું નહીં હોય કે લખાણમાં ગુજરાતી ભાષાનો દાટ વળી ગયો છે? શું તેઓ તદ્દન અભણ કોપીરાઇટરોને નોકરીએ રાખતા હશેશું તેઓ તેલુગુ અને તમિલભાષીઓ પાસે ગુજરાતી જાહેરાતો લખાવતા હશે? શક્ય છે, બિલકુલ શક્ય છે. કદાચ તેઓ પરગ્રહના નિવાસીઓ પાસે સસ્તામાં ગુજરાતી કોપીરાઇટિંગ કરાવતા હોય એવુંય બને. તે સિવાય આટલી બધી ભૂલો કેવી રીતે રહી જાય?     

સો વાતની એક વાત. અત્યાર સુધી લિખિત ગુજરાતી ભાષાની ગરિમા સાચવવાની જવાબદારી મુખ્યત્ત્વે સાહિત્યકારો, છાપાં-મૅગેઝિનો, ટીવી ચેનલો-અને એડ એજન્સીઓ પર હતી. હવે આ જવાબદારી સોશિયલ મિડીયા પર માતૃભાષામાં પોતાની વાત રજૂ કરતા તમામ ગુજરાતીઓ ઉપાડી લેવાની છે. 




Tuesday, July 14, 2020

ડિરેક્ટર અને લેખક વચ્ચેનો સંબંધ પતિ-પત્ની જેવો છે!


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 13 જૂલાઈ 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ

તમે મોટો લેખક જ લાવો તે જરુરી નથી. મને નવોદિત લેખક પણ ચાલશે. શરત માત્ર એટલી કે એને ભાષાની પૂરતી સમજ હોવી જોઈએ.

Javed Siddiqui

બોલિવુડનાં નૃત્યોને એક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચાડનાર જન્નતનશીન કોરિયોગ્રાફર સરોજ ખાનનું સ્મરણ કરીને આપણે ગયા રવિવારે શરૂ કરેલી વાતને આગળ વધારીએ. વાત એમ હતી કે ભારતમાં કટોકટી લદાયેલી હતી તે અરસામાં મુંબઈની હોટલ પ્રેસિડન્ટમાં વર્લ્ડક્લાસ બંગાળી ફિલ્મમેકર સત્યજિત રાય અને જાવેદ નામના એક યુવા પત્રકારની મિટીંગ થાય છે. કશી જ પિષ્ટપિંજણ કર્યા વિના સત્યજિત રાય યુવાનના હાથમાં અંગ્રેજીમાં લખાયેલી એક ફિલ્મની સ્ક્રિપ્ટ પકડાવીને કહે છેઃ આના ડાયલોગ્ઝ તારે લખવાના છે! આશ્ચર્ય અને આનંદથી મૂઢ થઈ ગયેલો યુવાન પોતાની મિત્ર શમા ઝૈદીના ઘરે પહોંચી જાય છે,

યાર, શમા! આ મુનશી પ્રેમચંદની વાર્તા છે ને સત્યજિત રાય જેવા મહાન ફિલ્મમેકર તેના પરથી ફિલ્મ બનાવવા માગે છે, જાવેદે કહ્યું, સંવાદોમાં ક્યાંક જરાક અમથી પણ ભૂલ થઈ ગઈ તો લોકો મને પકડીને મારશે.

રિલેક્સ! કોઈ તને નહીં મારે.

આખરે એવું નક્કી થયું કે જાવેદ અને શમા બન્ને સાથે મળીને આ ફિલ્મના સંવાદો લખશે. શમા પાસે ગરમ હવા સહિતની કેટલીક ફિલ્મોનું સહલેખન લખવાનો અનુભવ હતો. મુનશી પ્રેમચંદનીશતરંજ કે ખિલાડી નામની ટૂંકી વાર્તા પરથી સિનિયર બંગાળી લેખક માણિકદાએ અંગ્રેજીમાં હાઇક્લાસ સ્ક્રીનપ્લે તૈયાર કર્યો હતો. 1850ના દાયકામાં આકાર લેતી આ કથામાં મિરઝા સજ્જાદ અલી અને મિર રોશન અલી નામના અવધમાં વસતા બે કુલીન પુરુષો કેન્દ્રમાં છે. તેમને શતરંજ રમવાનો ગજબનો શોખ છે. તેમની શતરંજની ચાલ અને અસલી રાજકીય કાવાદાવા બન્ને સમાંતરે ચાલ્યા કરે છે. સત્યજિત રાયની આ પહેલી હિન્દી ફિલ્મમાં સંજીવ કુમાર, સઈદ જાફરી, અમઝદ ગબ્બર ખાન, શબાના આઝમી, ફારુક શેખ અને ગાંધી ફિલ્મના ડિરેક્ટર રિચર્ડ એટનબરોની તેમાં અભિનય કરવાનાં હતાં.      

હવે સવાલ એ ઊભો થયો કે જો ફિલ્મના સંવાદો ઓગણીસમી સદીની અવધ ભાષામાં લખાશે તો ઑડિયન્સને કશું સમજાશે નહીં. સંવાદો એવી રીતે લખાવા જોઈએ જે આસાનીથી સમજાય પણ જાય ને તેમાંથી જૂના જમાનાની લખનવી સુવાસ પણ આવ્યા કરે. આ કામ કોને સોંપવું? પ્રોડ્યુસર સુરેશ જિંદાલના મનમાં રાજિન્દરસિંહ બેદીનું નામ હતું. સંજીવકુમાર ઇચ્છતા હતા કે સંવાદો ગુલઝાર પાસે જ લખાવવા જોઈએ. શબાના આઝમી અને આર્ટ ડિરેક્ટર બંસી ચંદ્રગુપ્તાનું સૂચન હતું કે આ કામ કૈફી આઝમી (શબાનાના પિતા) કરતાં બહેતર બીજું કોઈ ન કરી શકે. આ સિવાય અખ્તર-ઉલ-ઇમાન નામના લેખક પણ રેસમાં શામેલ હતા. માણિકદાએ કહ્યું કે રાજિન્દરસિંહ બેદી અને ગુલઝાર ઉચ્ચ દરજ્જાના લેખકો છે તેની ના નહીં, પણ તેમનું બૅકગ્રાઉન્ડ પંજાબનું છે. તેઓ કદાચ લખનવી સેન્સિબિલિટીથી એટલી હદે વાકેફ ન પણ હોય. અખ્તર-ઉલ-ઇમાને અગાઉ બી.આર. ચોપરાની ફિલ્મો માટે સંવાદો લખ્યા હતા. આ પ્રકારનું લખાણ આપણી ફિલ્મમાં નહીં ચાલે.



છેલ્લે એક જ નામ બચ્યું – કૈફી આઝમી. એમની પાસે હીર રાંઝા અને ગરમ હવા જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો લખવાનો અનુભવ પણ હતો. કૈફીસાહેબ અને સત્યજિત રાય જેવા બે દિગ્ગજો વચ્ચે મિટીંગ ગોઠવાઈ. તકલીફ એ થઈ કે કૈફી આઝમીને અંગ્રેજીમાં ફાંફા, જ્યારે સત્યજિત રાય ફક્ત બંગાળી અને અંગ્રેજી સિવાયની ત્રીજી કોઈ ભાષામાં કમ્યુનિકેટ ન કરી શકે. શબાના કહે, કશો વાંધો નહીં. 

સંવાદલેખનની આખી પ્રોસેસ દરમિયાન મારા પિતાજી માટે હું ટ્રાન્સલેટર અને દુભાષિયાનું કામ કરીશ. સત્યજિત રાયનું માનવું હતું કે ડિરેક્ટર અને લેખક વચ્ચેનો સંબંધ પતિ-પત્ની જેવો હોય છે. એમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિની હાજરી ન જ હોવી જોઈએ. સત્યજિત રાયે પોતાની ટીમને કહ્યું, તમે મોટો લેખક જ લાવો તે જરુરી નથી. મને નવોદિત લેખક પણ ચાલશે. શરત માત્ર એટલી કે એને ભાષાની પૂરતી સમજ હોવી જોઈએ.

આ તબક્કે શમા ઝૈદી, કે જે શતરંજ કે ખિલાડી માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કરવાનાં હતાં, તેમણે સૂચન કર્યુઃ જાવેદ સિદ્દીકી નામનો એક યંગ જર્નલિસ્ટ છે, મુંબઇના ઉર્દૂ અખબારમાં સરસ કૉલમો લખે છે, એમને અજમાવી જુઓ. સત્યજિત રાયે કહ્યુઃ તો પછી છોકરાને મેસેજ આપ કે મને આવીને મળી જાય. આ રીતે સત્યજિતદા અને જાવેદ સિદ્દીકીની મુલાકાત થઈ.

તહેરાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈને આઠ દિવસ પછી સત્યજિત રાય મુંબઇ પાછા ફર્યા ત્યાં સુધીમાં તો જાવેદ સિદ્દીકી અને શમા ઝૈદીએ સાથે મળીને આખી ફિલ્મના સંવાદો લખીને તૈયાર કરી નાખ્યા હતા! ફરી પાછી મિટીંગ ગોઠવાઈ. હોટલની રૂમમાં આ વખતે સત્યજિત રાય ઉપરાંત માણિકદા, પ્રોડ્યુસર જિંદાલ, આર્ટ ડિરેક્ટર ઉપરાંત ઉર્દૂ ભાષાના ધૂરંધર નિષ્ણાતો પણ હાજર હતા. કોઈથી ન અંજાવાનો જર્નલિસ્ટીક મિજાજ ધરાવતા જાવેદ સિદ્દીકીએ એક પછી એક સીનના સંવાદો મોટેથી વાંચવાનું શરૂ કર્યું. દોઢ કલાકના પઠન બાદ સવાલો પૂછાયા. જાવેદ અને શમાએ સંતોષકારક જવાબો આપ્યા. મિટીંગનું પરિણામ આવી ગયું. શતરંજ કે ખિલાડીના સંવાદલેખક તરીકે જાવેદ સિદ્દીકીનું નામ ફાયનલ થઈ ગયું.

આ રીતે જાવેદ સિદ્દીકીની ક્રિયિટિવ યાત્રાની શરૂઆત થઈ. પછી તો એમણે કેટલીય લેન્ડમાર્ક કૃતિઓ લખી - ઉમરાવ જાન જેવી આર્ટિસ્ટિક અને બાઝીગર, ડર, દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે, રાજા હિંદુસ્તાની જેવી સુપરહિટ મેઇનસ્ટ્રીમ ફિલ્મો, તુમ્હારી અમૃતા નાટક, ભારત એક ખોજ ટીવી સિરીઝ વગેરે. ખુદ સત્યજિત રાયે જે હીરાને પસંદ કર્યો હોય તે ન ચમકે તો જ નવાઈ!


shishir.ramavat@gmail.com



Monday, July 6, 2020

સત્યજીત રાયે એક કૉલમનિસ્ટને ફિલ્મલેખક કેવી રીતે બનાવ્યો?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 6 જૂલાઈ 2020, રવિવાર

મલ્ટિપ્લેક્સ

તમે આટલી સરસ રમૂજી કૉલમ લખો છે તો શક્ય છે કે તમારો કોઈ લેખ સત્યજિત રાયને બહુ ગમી ગયો હશે ને તેના પરથી એ ફિલ્મ બનાવવા માગતા હશે.




44 વર્ષ પહેલાંની વાત છે. ભારતમાં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ લાગુ પાડી દીધેલી કટોકટી ચરમસીમાએ પહોંચી ચૂકી હતી. મુક્તપણે લખવા-બોલવા પર પ્રતિબંધ હતો એટલે કેટલાય સ્વમાની પત્રકારોએ પોતપોતાની નોકરીઓમાંથી રાજીનામું આપી દીધું હતું. જાવેદ નામના 34 વર્ષના મુંબઇના જુવાનિયાએ પણ પોતે જે ઉર્દૂ અખબારમાં નોકરી કરતો ત્યાં જવાનું બંધ કરી દીધું હતું.
આ અરસામાં એક દિવસ જાવેદ પર શમા નામની એમની એક મિત્રનો ફોન આવ્યો, જાવેદ, સત્યજિત રાય તને મળવા માગે છે.

શમા આર્ટ ક્રિટિક તરીકે અંગ્રેજી અખબારોમાં લેખો લખતાં, નાટકો લખતાં. એમ.એસ સથ્યુની ગર્મ હવા તેમજ શ્યામ બેનેગલની ચરણદાસ ચોર જેવી ફિલ્મો તેઓ લખી ચૂક્યાં હતાં. ફોન પર એની વાત સાંભળીને જાવેદ ચમકી ગયાઃ હેં! સત્યજિત રાય જેવો વર્લ્ડક્લાસ ફિલ્મમેકર મને મળવા માગે છે?
એ તને શા માટે મળવા માગે છે એની તો ખબર નથી, પણ એ હોટલ પ્રેસિડન્ટમાં ઉતર્યા છે. કાલે બપોરે ચાર વાગ્યે એમને મળી આવજે, આટલું કહીને શમાએ ફોન મૂકી દીધો.

શમાનો સ્વભાવ બહુ મસ્તીખોર. જાવેદને સમજાતું નહોતું કે એણે મારી ટાંગ ખેંચવા માટે આવો ફોન કર્યો હશે કે કેમ. એમની પત્ની ફરિદાએ કહ્યું, તમે આટલી સરસ રમૂજી કૉલમ લખો છે તો શક્ય છે કે તમારો કોઈ લેખ સત્યજિત રાયને બહુ ગમી ગયો હશે ને તેના પરથી એ ફિલ્મ બનાવવા માગતા હશે.
પત્નીને મોઢે આવું સાંભળીને ખરેખર તો જાવેદે પોરસાવું જોઈતું હતું. એને બદલે તેઓ ચિડાઈ ગયા. પત્નીએ સૂચન કર્યુ, હોટલ પ્રેસિડન્ટમાં ફોન કરીને તપાસ કરો.. જો સત્યજિત રાય ખરેખર ત્યાં ઉતર્યા હોય તો શમાની વાત સાચી. ને જો ન ઉતર્યા હોય તો બધું ભૂલી જવાનું.

એક પણ પળ બગાડ્યા વગર જાવેદે હોટલનો નંબર શોધી ફોન કર્યો. જવાબ મળ્યો કે સત્યજિત રાયે અમારે ત્યાં ચેક-ઇન કર્યું છે, પણ અત્યારે એ એમની રૂમમાં પર નથી એટલે તમે વાત નહીં કરી શકો.
જાવેદના હૃદયના ધબકારા વધી ગયાઃ શમા સાચું કહેતી હતી... સત્યજિત રાયે ખરેખર મને મળવા બોલાવ્યો છે! બીજા દિવસે નિયત સમય કરતાં એક કલાક પહેલાં જાવેદ કોલાબામાં આવેલી હોટલ પ્રેસિડેન્ટ પર પહોંચી ગયા. આખરે ચાર વાગ્યે ઇન્ટરકોમથી સત્યજિત રાયના કમરામાં ફોન જોડ્યો.

યેસ?’ સામેથી ઘૂંટાયેલો અવાજ સંભળાયો.

જાવેદ માંડ માંડ પોતાની ઓળખ આપી શક્યા. ઉપર આવી જાઓ – આટલું કહીને સત્યજિત રાયે ફોન મૂકી દીધો. જાવેદે ઉપર જઈને કમરાને ટકારા માર્યા. જે માણસે દરવાજો ખોલ્યો એને જોઈને જાવેદનું મોઢું પહોળું થઈ ગયું. એમને ખબર નહોતી કે સિનેમાની દુનિયામાં મૂંઠી ઊંચેરું સ્થાન ધરાવતા સત્યજિતની શારીરિક ઊંચાઈ પણ આટલી બધી હશે – 6 ફૂટ 4 ઈંચ! શ્યામ વર્ણ, સરસ રીતે ઓળાયેલા વાળ, તીખું નાક અને હોઠ પર હળવું સ્મિત. જાવેદને ખુરસી પર બેસવાનો ઈશારો કરીને પોતે પલંગ પર અઢેલીને બેઠા. પછી કહે, મેં સાંભળ્યું છે કે તમે સરસ વાર્તાઓ લખો છો.

સર, હું વાર્તાઓ તો નહીં, પણ છાપાંમાં કૉલમો લખું છું... અને મને ખબર નથી કે મારા લખાણને સારું કહેવાય કે કેમ,’ જાવેદે નમ્રતાપૂર્વક કહ્યું, જો તમે કહેતો હો તો મારા કેટલાક લેખોનો અંગ્રેજી અનુવાદ કરીને તમને મોકલી આપીશ.

એની જરૂર નથી. મેં તમને જોઈ લીધા, તમને મળ્યો. એટલું પૂરતું છે મારા માટે.

આટલું કહીને સત્યજિત રાયે ઓશિકા પર પડેલી પ્લાસ્ટિકની એક ફાઇલ ઉંચકીને જાવેદને આપી, આ મારી ફિલ્મની સ્ક્રિપ્ટ છે. તમારે એના ડાયલોગ લખવાના છે.

અવાચક થઈ ગયા જાવેદ! એમના મનમાં હજારો વિચાર એકસાથે ફૂંકાઈ ગયા. એમણે ફાઇલ પર નજર કરી. પારદર્શક આવરણ નીચે દેખાતા કાગળ પર જાડા કાળા અક્ષરે લખાયેલું હતુઃ ફોર યાર આઇઝ ઓનલી, શું આ ફિલ્મનું વર્કિંગ ટાઇટલ હશે? જાવેદ માંડ માંડ આટલું બોલી શક્યાઃ

થેન્ક્યુ, સર. આઇ એમ ઑનર્ડ, સર.

સત્યજિત રાય ઊભા થયા. કહ્યું, હું એક ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કરવા તહેરાન જઈ રહ્યો છું. પાછો આવીને તમને ફોન કરીશ.

જી,’ કહીને જાવેદ પણ ઊભા થયા. સત્યજિત રાયની વિદાય લઈને હોટલમાંથી બહાર નીકળ્યા ત્યાં સુધી એમને માનવામાં નહોતું આવતું કે પોતે સત્યજિત રાય જેવા સિનેમાના દેવતા ગણાતા ફિલ્મમેકર સાથે કામ કરવાના છે! એમણે પોતાનું પર્સ ચેક કર્યું. પૈસા બહુ નહોતા. તોય શમાના ઘરે જવા એમણે ટેક્સી કરી લીધીઃ સાંતાક્રુઝ લે લો, જુહુ તારા રોડ.
આખા રસ્તે જાવેદને એક જ વિચાર આવતો રહ્યોઃ

...પણ સત્યજિત રાય પાસે મારું નામ પહોંચ્યું કેવી રીતે? કોણે મારું નામ રિકમન્ડ કહ્યું હશે?’

જો કે આ તબક્કે આપણા માટે વધારે મહત્ત્વનો સવાલ આ છેઃ આ જાવેદ એટલે એક્ઝેક્ટલી કોણ? આ ક્યા કોલમનિસ્ટ વિશે વાત ચાલી રહી છે? લો, તમારા સવાલનો જવાબ આપી શકાય તે પહેલાં આ કૉલમની જગ્યા પૂરી થઈ ગઈ. વધુ આવતા રવિવારે.   

0 0 0