Wednesday, February 27, 2019

ઇતિહાસના પ્રકાશપૂંજની પેલે પાર


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 27 ફેબ્રુઆરી 2019 
ટેક ઓફ 
તાજેતરમાં જેમને મરણોત્તર ભારતરત્ન ખિતાબથી નવાજવામાં આવ્યા એ નાનાજી દેશમુખ કોણ હતા? 

26 જૂન 1975ના રાતના સવા બાર. ઇંદિરા ગાંધીએ આજે ભારતમાં કટોકટી લાદી છે. દિલ્હીની દીનદયાળ ઇન્સ્ટિટ્યુટના સૌથી ઉપરના માળે ઓફિસ ગણો તો ઓફિસ અને બેડરૂમ ગણો તો બેડરૂમમાં એક પ્રૌઢ આદમી કશુંક લખી રહ્યા છે. પાતળું શરીર, સફેદ વાળ, આકરા તાપમાં રખડવાને કારણ કાળો થઈ ગેયેલો ચહરો. અચાનક એમનો ફોન રણકે છે. સામેના છેડેથી કોઈક એમને બાતમી આપે છેઃ

‘તમારી પાસે પૂરો એક કલાક પણ નથી. રાત્રે એક વાગે પોલીસ તમારી જગ્યા ચારે તરફથી ઘેરી લેશે. તમે અબ્બીહાલ નીકળી જાઓ.’

પુરુષ રિસીવર મૂકીને ફટાફટ બે-ચાર જણાને ફોન કરીને કશીક મસલત કરી લે છે. પછી એક થેલામાં એકાદ-બે ધોતીયાં, પહેરણ અને બીજી થોડી કામની વસ્તુઓ પેક કરીને તરત બહાર નીકળી જાય છે. પોલીસ હજુ આવી નથી.પરોઢ થાય ત્યાં સુધીમાં અડધોક ડઝન સાથીઓ એમની સાથે જોડાય છે અને પછી ભૂગર્ભમાં તેમનું ‘ઓપરેશન ટેકઓવર’ શરૂ થાય છે. શું ટેકઓવર કરવાનું છે? ઇંદિરા ગાંધીની સરકાર! આ મહાશય એક મહિના સુધી સતત આખા દેશમાં લપાતાછૂપાતા રહે છે. છતાંય 29 જુલાઈ, 1975ના રોજ એમની ધરપકડ થઈને જ રહે છે. આઝાદ ભારતની જેલમાં પૂરાતી વખતે એ યુવાને વિચાર્યું નહીં હોય કે 44 વર્ષ પછી એમને કોઈ પણ ભારતીય નાગરિકને મળી શકતું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થવાનું છે.

આ મહાનુભાવનુ નામ છે, નાનાજી દેશમુખ. થોડા દિવસો પહેલાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એમને મરણોત્તર ભારતરત્નનો ખિતાબના હકદાર ઘોષિત કર્યા. યોગાનુયોગે આજે નાનાજી દેશમુખની પુણ્યતિથિ છે (જન્મઃ 11 ઓક્ટોબર 1916, મૃત્યુઃ 27 ફેબ્રુઆરી 2010). આટલું મોટું સન્માન મેળવનાર આ વ્યક્તિના નામ અને કામથી લોકો ખાસ પરિચિત નથી. ચાલો, જાણીએ.

નાનાજી દેશમુખ એટલે રાષ્ટ્રીય સેવક સંઘ (આરએસએસ)ના એક બહુ જ મહત્ત્વપૂર્ણ સદસ્ય. ગ્રામ્ય ભારતીયોની સેવામાં જીવન ખર્ચી નાખનાર સાચુકલા સામાજિક કાર્યકર. નાનાજીનો જન્મ મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના કડોલી નામના ગામે થયો હતો. એમનું મૂળ નામ ચંડિકાદાસ અમૃતરાવ દેશમુખ. નિર્ધન માતા-પિતાના મૃત્યુ બાદ મામાના ઘરે ઊછરેલા નાનાજીનું બાળપણ અભાવમાં વીત્યું. ભણવામાં તેજસ્વી, પણ પાઠ્યપુસ્તક ખરીદવાના પૈસા ન હોય. આવી સ્થિતિમાં તેઓ શાકભાજી વેચીને બે પૈસા ઊભા કરી લેતા.

નાનાજી દેશમુખ તેર વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સેવક સંઘમાં જોડાઈ ગયા હતા. આરએસએસના સ્થાપક ડો. હેડગેવારના વિચારોથી તેઓ ખાસ્સા પ્રભાવિત હતા. ડો. હેડગેવારે એ અરસામાં 17 સ્વયંસેવકોને સંઘની આજીવન પ્રતિજ્ઞા લેવડાવી હતી. એમાંના એક નાનાજી દેશમુખ પણ હતા. નાનાજીએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી પછી આગળ ભણવા માટે ડો. હેડગેવારે એમને રાજસ્થાન જવાની સલાહ આપી. સંઘનું કામ કરવા માટે યુવાન સ્વયંસેવકોને આ રીતે દેશના જુદાં જુદાં રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા. નાનાજીએ પિલાની-રાજસ્થાનની બિરલા કોલેજમાં એડમિશન લઈને ત્યાં સંઘની શાખાઓ ઊભી કરી.

1940માં ડો. હેડગેવારનું મૃત્યુ થયું ત્યાર બાદ સંઘના દ્વિતીય સરસંચાલક મ, સ. ગોળવલકરનો આદેશ માથે ચડાવીને તેઓ ઉત્તર પ્રદેશ ગયા. અહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંપર્કમાં આવ્યા. પંડિતે એમને ગોરખપુર મોકલ્યા. આવકનું કોઈ સાધન નહીં ને સંઘ તરફથી પણ ખાસ કંઈ આર્થિક મદદ મળે નહીં. આથી નાનાજી ધરમશાળામાં રહેતા. ધરમશાળાનો એવો નિયમ કે સળંગ ત્રણ દિવસ કરતાં વધારે સમય રહી ન શકાય. આથી નાનાજીએ સતત ધરમશાળા બદલ્યા કરવી પડતી. આખરે એક કોંગ્રેસી નેતાએ એમની રહેવાની વ્યવસ્થા કરી. બદલામાં નાનાજીએ એમના માટે રસોઈ કરવી પડતી. આટલાં કષ્ટ વેઠીને પણ નાનાજી સંઘનું કામ કરતા રહ્યા. એમની મહેનતનું પરિણામ એ આવ્યું કે ત્રણ જ વર્ષમાં ગોરખપુરની આસપાસ આરએસએસની અઢીસો જેટલી શાખાઓ શરૂ થઈ ગઈ.

નાનાજી દેશમુખ તરૂણાવસ્થાથી જ એવું માનતા આવ્યા હતા કે ભારતને આઝાદી અપાવવા માટે આરએસએસ જેવું જ કોઈ માધ્યમ જોઈશે. વર્ષો પછી આપેલા એક મેગેઝિન ઇન્ટરવ્યુમાં એમણે કહેલું પણ ખરું કે જો આરએસએસ ન હોત તો મારા મનમાં ન તો દેશપ્રેમની ભાવના જાગી હોત કે ન મેં મારી જીંદગી દેશને સમર્પિત કરી હોત. આજે હું જે કંઈ છું તે આરએસએસને કારણે છું.

1948માં ગાંધીજીની હત્યા પછી આરએસએસ પર એક વર્ષ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પૂર્વગ્રહયુક્ત કોંગ્રેસી નેતાઓ દ્વારા સંઘના સ્વયંસેવકોની હેરાનગતી થઈ પછી સંઘને કોઈ રાજકીય પક્ષની ઓથની જરૂરિયાત જણાઈ. પરિણામે શ્યામાપ્રસાદ મુખર્જીના નેતૃત્વ હેઠળ ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી. પક્ષના સંગઠન માટે સંઘે કેટલાક પ્રચારકો પૂરા પાડ્યા. નાનાજી દેશમુખ એમાંના એક. એમને ઉત્તર પ્રદેશના જનસંઘના મહામંત્રીનું પદ આપવામાં આવ્યું. 1957 સુધીમાં જનસંઘની હાજરી યુપીના તમામ જિલ્લામાં નોંધાઈ. નાનાજીના પ્રયત્નોથી યુપીમાં પહેલી વાર બિનકોગ્રેસી સરકાર બની. ચૌધરી ચરણસિંહ મુખ્યમંત્રી બન્યા અને નાનાજી કુશળ સંગઠક તરીકે ઊભર્યા.

1971થી 1975 દરમિયાન નાનાજી કેન્દ્રમાં ઇંદિરા ગાંધીની સરકાર સામે લડત ચલાવી રહેલા જયપ્રકાશ નારાયણના સંગાથી બન્યા. એક વાર ઇંદિરા ગાંધીના કુશાસનના વિરોધમાં પટણામાં વિશાળ રેલી નીકળી. પોલીસે દેખાવકારો પર હુમલો કર્યો. જયપ્રકાશ નારાયણ પર પણ લાઠીના પ્રહાર થઈ શક્યા હોત, પરંતુ નાનાજીએ વચ્ચે પડીને ઘા ઝીલી લીધા. પરિણામે એમનો હાથ ભાંગી ગયો. એમની આ ચેષ્ટાની પ્રશંસા મોરારજી દેસાઈએ પણ કરી.

લેખની શરૂઆતમાં વર્ણવ્યું હતું તે પ્રમાણે, ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી ત્યારે નાનાજી સહિત ઘણા દેખાવકારો ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ તબક્કે વિપક્ષોએ સંગઠિત થઈને લોક સંઘર્ષ સમિતિની રચના કરી. નાનાજી તેના પહેલા મહાસચિવ બન્યા. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ગ્રુપના સંસ્થાપક રામનાથ ગોએન્કા એમના ખાસ દોસ્તાર હતા. નાનાજી દેશમુખને જેલમાંથી છોડવા માટે તેમણે ઇંદિરા ગાંધી પર દબાણ ઊભું કર્યું હતું. આખરે સત્તર મહિનાના જેલવાસ પછી નાનાજી દેશમુખને આઝાદી મળી. એમને 1977ની ચુંટણી લડવાનો આગ્રહ કરનારા પણ રામનાથ ગોએન્કા જ હતા.

તત્કાલીન નવા વડાપ્રધાન મોરારજી દેસાઈએ એમને પ્રધાનમંડળમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું, પણ નાનાજીએ તે સ્વીકારવાને બદલે સક્રિય રાજકારણને તિલાંજલિ આપવાનો નિર્ણય કર્યો. એમના આ પગલાએ આશ્ચર્ય સર્જ્યું હતું. વર્ષો પછી નાનાજીએ એક મુલાકાતમાં કહ્યું હતું, ‘આપણે તદ્દન ઊલટી દુનિયાનું સર્જન કરી રહ્યા છીએ. ભારતની સમૃદ્ધિ, માનવધન અન કુદરતી સંપત્તિ બન્ને, આપણાં ગામડાંમાં છે, પણ સરકાર આ હકીકતને અવગણના કરી રહી છે. સરકાર શહેરોનો વિકાસ કરી રહી છે અને ઉપભોક્તાવાદને ઉત્તેજન આપી રહી છે. હું રાજકારણ અને રાજકારણોથી એટલો ઉબાઈ ગયો હતો કે તે બધું છોડી યુવાશક્તિનો ગામડાંના ઉત્થાન માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું.’

નાનાજીએ જયપ્રકાશ નારાયણની સ્મૃતિમાં જયપ્રભા ગ્રામની રચના કરી. 1989માં ચિત્રકૂટ ધામમાં કાયમી વસવાટ કર્યો. નાનાજી કાયમ કહેતા કે એમને રાજા રામ કરતાં વનવાસી રામ હંમેશાં વધારે પ્રિય લાગ્યા છે. 1999માં તેમની રાજ્યસભાના સભ્ય તરીકે વરણી કરવામાં આવી. 1999માં તેમને પદ્મવિભૂષણ ખિતાબથી નવાજવામાં આવ્યા. એપીજી અબ્દુલ કલામે ખુદ એ વખતે કહ્યું હતું કે નાનાજીના પ્રતાપે ચિત્રકૂટની આસપાસનાં 80 ગામોમાં પોલીસ કેસ નોંધાવાનું બંધ થઈ ગયું છે. નાનાજીએ આપણને શીખવ્યું છે કે લોકો અંદરોઅંદર ઝઘડતા રહેશે તો વિકાસ માટે સમય ક્યાંથી બચશે?

એક વાર નાનજી દેશમુખને પૂછવામાં આવ્યું કે શું હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ એ જ તમારો અંતિમ એજન્ડા નથી? શું આરએસએસ મૂળભૂત રીતે જ મુસ્લિમ-વિરોધી નથી? નાનજી દેશમુખનો જવાબ હતો, ‘ભારતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે સમસ્યા છે જ નહીં. જઆ બધું રાજકારણીઓએ ઊભું કર્યું છે. મેં રાજકારણને તિલાંજલિ આપી એનું આ જ તો કારણ હતું.’

2010માં આજની તારીખે નાનાજી દેશમુખનું નિધન થયું. એમણે વસિયતનામામાં લખ્યું હતું તે મુજબ એમનો મૃતદેહને મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરવામાં આવ્યો. આપણે ત્યાં નાનાજી દેશમુખ જેવા એવા કેટલાય નાયકો થઈ ગયા, જે માત્ર લૉ-પ્રોફાઇલ હોવાને કારણે ઇતિહાસના પ્રકાશપૂંજની બહાર રહી ગયા છે. 
0 0 0 



No comments:

Post a Comment