Tuesday, January 31, 2017

મહાન માણસોની દિનચર્યા કેવી હોય છે?

Sandesh - Ardh Saptahik purti - 25 Jan 2017
ટેક ઓફ
‘પ્રેરણાની રાહ જોઈને બેસી નહીં રહેવાનું, લખવા માંડવાનું, કેમ કે ન લખવાનો યા કશુંય કર્યા વગર બેસી રહેવાનો આનંદ એવો પ્રચંડ હોય છે કે જો તમને એનો ચસકો લાગી જશે તો કામ કરવાનું કયારેય મન જ નહીં થાય!’



રસ સવાલ છે. જિનિયસ લોકો, સફ્ળ માણસો, બીજાઓ માટે રોલમોડલ બની ચૂકેલી વ્યકિતઓનું રોજિંદુ શેડયુલ કેવું હોય છે? એમનું જાગવાનું-સૂવાનું-કામ કરવાનું ટાઈમટેબલ કેવું હોય છે? મેસન કરી નામના એક અમેરિકન પત્રકાર-લેખકના મનમાં આ પ્રશ્ન પેદા થયો. એણે જુદાં જુદાં ક્ષેત્રોની પ્રેરણારૂપ વ્યકિતઓની લાઈફ્સ્ટાઈલ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. જે કંઈ માહિતી મળતી ગઈ તે એણે પોતાના બ્લોગ પર શેર કરવા માંડયું. ત્યાર બાદ આ જ વિષય પર એક પુસ્તક લખ્યું – ‘ડેઈલી રિચ્યુઅલ્સઃ હાઉ આર્ટિસ્ટ્સ વર્ક’. ૧૬૧ જેટલા લેખકો, ચિત્રકારો, સંગીતકારો, ચિંતકો, વૈજ્ઞાાનિકો, ગણિતશાસ્ત્ર્રીઓ અને રાજકીય વ્યકિતઓની વાતો એણે આ પુસ્તકમાં વણી લીધી છે.
સફ્ળ માણસોની કામ કરવાની આદત, રિલેકસ થવાની આદત અને અન્ય લાક્ષણિકતાઓમાં કયાંક એની સફ્ળતાની એકાદ-બે ચાવી છુપાયેલી હોવાની. પુસ્તક વિદેશી છે એટલે એમાં જે લોકો વિશે વાત થઈ છે તે પણ વિદેશી છે. એમાંના અમુકના નામ અને કામ તમને કદાચ અજાણ્યા લાગે તો લાગવા દેજો. મહત્ત્વ એમના વિશેની વિગતોનું છે.
એક સવાલ અવારનવાર પૂછાતો હોય છે કે દિવસનો કયો સમય વધારે ક્રિયેટિવ ગણાય? સવાર કે રાત? આનો કોઈ નિશ્ચિત ઉત્તર નથી. મહાત્મા ગાંધીના ઘનિષ્ઠ ગણાતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ નોંધ્યું છે તે પ્રમાણે, ગાંધીજી સવારે ચાર વાગે ઉઠી જતા. પછી હાથ-મોં ધોઈને પ્રાર્થના કરવા બેસે. નાસ્તો કરીને ફરવા નીકળે ને ત્યાર બાદ કામે લાગી જાય. નવેક વાગે તેલમાલિશ કરાવે. માલિશ કરાવતી વખતેય કામ તો ચાલુ જ હોય. પછી સ્નાન કરે. સ્નાન બાદ અગિયાર વાગે ભોજન લઈ એક વાગ્યા સુધી કામ કરે. બપોરે એકથી બેની વચ્ચે સૂઈ જાય. (ગાંઘીજી ગમે તેમ તોય કાઠિયાવાડી તો ખરા જ ને!) બે વાગે ઉઠીને શૌચક્રિયા કરવા જાય. ત્યાર બાદ પેટ પર માટીનો પાટો બાંધીને આરામ કરે. સૂતાં સૂતાં કામ તો જોકે ચાલતું જ હોય. ચાર વાગે કાંતવા બેસે. પછી લખવા-વાંચવાનું શરૂ થાય. સાંજે પાંચ વાગે તો વાળુ એટલે કે રાત્રિભોજન કરી લે. પછી ફરી પાછા લખવા બેસવાનું. સાત વાગે પ્રાર્થના. તે પછી થોડું કામ ને પછી રાત્રે સાડાનવની આસપાસ સૂઈ જવાનું. જરૂર પડ્યે ગાંઘીજી મધરાતે બે વાગે ઉઠીને કામ આરંભી દેતા. 

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ પ્રાઈમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ સવારે સાડાસાતે ઊઠીને બે કલાક સુધી પથારીમાંથી ઊભા ન થતા. બ્રેકફાસ્ટ કરવો, મુખ્ય છાપાં અને પત્રો વાંચવા તથા એકાધિક સેક્રેટરીઓને સૂચનાઓ  કે ડિકટેશન આપવું – આ બધું જ તેઓ આ બે કલાક દરમિયાન પથારીમાં જ પડયા પડયા કરી નાખતા. તાજા તાજા ભૂતપૂર્વ બનેલા અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા સવારે સાત વાગે ઊઠીને, વેઈટ્સ અને કાર્ડિયો જેવી એકસરસાઈઝ પતાવીને નવ વાગતા પહેલાં પોતાની ઓફ્સિ પહોંચીને કામ શરૂ કરી દેતા. રાતે ફેમિલી સાથે ડિનર કર્યા બાદ કેટલીય વાર તેઓ પાછા ઓફ્સિ આવી જતાં અને રાતના દસેક વાગ્યા સુધી કામ કર્યા કરતા.
એનેલિટિકલ સાઈકોલોજિના જન્મદાતા ગણતા કાર્લ જંગનું સ્પષ્ટ કહેવું હતું કે, ‘દિવસના મહત્ત્વના કામકાજ તો શરીર-મન થાકે એ પહેલાં જ પતી જવાં જોઈએ. થાકીને ચૂર થઈ ગયો હોય, કંટાળેલો હોય, એનાં તન-મનને આરામની જરૂર હોય છતાંય ઢસરડો કરતો હોય એ માણસ નક્કી મૂરખ હોવાનો.’ મોઝાર્ટ સવાર છ વાગે ઊઠીને રાત્રે એક વાગ્યા સુધી મ્યુઝિક લેસન, કોન્સર્ટ, મિટિંગ વગેરેમાં બિઝી રહેતા. આઈરિશ કવિ-લેખક જેમ્સ જોય્સ સવારે દસ વાગે ઊઠતા. એક કલાક સુધી પથારીમાં જ પડયા રહેતા. પછી ઊઠીને નહાતા, શેવિંગ કરતા અને પિયાનો વગાડવા બેસતા. આ બધા કાર્યક્રમ પતે પછી બપોરે તેમને લખવાનો મૂડ ચડતો. અમેરિકન લેખક જોન અપડાઈક શિસ્તપૂર્વક વહેલી સવારે લખવા બેસી જતા. તેઓ કહેતા, ‘પ્રેરણાની રાહ જોઈને બેસી નહીં રહેવાનું, લખવા માંડવાનું, કેમ કે ન લખવાનો યા કશુંય કર્યા વગર બેસી રહેવાનો આનંદ એવો પ્રચંડ હોય છે કે જો તમને એનો ચસકો લાગી જશે તો કામ કરવાનું કયારેય મન જ નહીં થાય!’
અમુક ક્રિયેટિવ વ્યકિતઓ માટે ચાલવા જવાની એકસરસાઈઝ બહુ જ અગત્યની હોય છે. પગની મૂવમેન્ટ્સ એમના દિમાગને ગતિશીલ રાખે છે. સોરેન કિકેગાર્ડ નામના ડેનિશ ચિંતકને ચાલતાં ચાલતાં અચાનક કંઈક નવો વિચાર આવતો તો તેઓ ઝપાટાબંધ ઘર તરફ્ પાછા પાછળ વળી જતા અને વોકિંગ સ્ટિક અને છત્રી સમેત સ્ટડીરૂમમાં ધસી જઈને ફ્ટાફ્ટ લખવા બેસી જતા. બ્રિટિશ લેખક ચાર્લ્સ ડિકન્સ સવારે નહીં પણ બપોરે ચાલવા નીકળતા. મહાન જર્મન કમ્પોઝર અને પિયાનિસ્ટ બીથોવન પણ જમ્યા બાદ પગ છૂટો કરવા નીકળતા. તેઓ ખિસ્સામાં કાગળ અને પેન્સિલ અચૂક રાખતા કે જેથી અચાનક કોઈક ધૂનની પ્રેરણા મળે તો એના નોટેશન્સ ટપકાવી શકાય. ક્રિયેટિવ અથવા ‘ઊંચા માંહૃાલા’ વિચારો કયારેક દિમાગમાંથી સાવ છટકી જતાં હોય છે એટલે તે નાસીને અદશ્ય થઈ જાય અથવા ભુલાઈ જાય તે પહેલાં નોંધી લેવા જોઈએ!

પોતે રોજ કેટલું લખે છે એનો લેખકે હિસાબ રાખવો જોઈએ? નોબલ પ્રાઈઝવિનર અર્નેસ્ટ હેમિંગ્વે રોજ પોતે કેટલા શબ્દો લખ્યા એનો રીતસર ચાર્ટ બનાવતા, કે જેથી ખુદને ઉલ્લુ બનાવી ન શકાય! બી.એફ્. સ્કિનર નામના અમેરિકન લેખક-સાઈકોલોજિસ્ટ લખવા બેસે ત્યારે રીતસર ટાઈમર સેટ કરતા અને પછી કલાક દીઠ કેટલા શબ્દો લખ્યા એનો નિયમિત ચાર્ટ બનાવતા.
સમજદાર જીવનસાથી કે પાર્ટનર પર પણ કયારેક ઘણી વાતો નિર્ભર કરતી હોય છે. માનસશાસ્ત્રના પિતામહ એવા સિગ્મન્ડ ફ્રોઈડની પત્ની માર્થા એમની ખૂબ સેવા કરતી. ટૂથપેસ્ટમાંથી પેસ્ટ કાઢીને બ્રશ પર લગાડવાનું કામ સુદ્ધાં સિગ્મન્ડ ફ્રોઈડ જાતે ન કરતા. ફ્રોઈડ નસીબદાર ગણાય. બાકી કંકાસણી પત્નીના પતિઓએ પણ ઉત્તમ સર્જન કર્યા હોવાના ઘણા દાખલા છે. અંગ્રેજ લેખિકા જેન ઓસ્ટિન પરણ્યાં નહોતાં. પણ એમની બહેન કસાન્ડ્રા ઘરનું તમામ કામ પતાવી નાખતી કે જેથી જેન પોતાની તમામ શકિત લખવામાં પરોવી શકે.
મહાન કલાકારોમાંથી કેટલાકનું એક કોમન લક્ષણ મર્યાદિત સામાજિક જીવન છે. ફ્રેન્ચ લેખિકા- ફેમિનિસ્ટ સિમોન દ બુવ્વા કયારેક કોઈ પાર્ટીમાં ન જતાં, કોઈ આમંત્રણ ન સ્વીકારતાં કે ન લોકો સાથે સાથ હળતાંભળતાં. એમણે પ્રયત્નપૂર્વક આ પ્રકારની લાઈફ્સ્ટાઈલ વિકસાવી હતી. ચિત્રકાર પિકાસો દોસ્તોને હળવામળવા માટે અડધો રવિવાર અલાયદો રાખતા. બાકીના દિવસોમાં માત્ર કામ, કોઈ ડિસ્ટર્બન્સ નહીં.

સો વાતની એક વાત. ઉત્તમ સર્જન કરવા માટે કોઈ એક જડબેસલાક પદ્ધતિ કે નિયમો હોતાં નથી. સર્જનશકિત ધરાવતા સફ્ળ માણસો પોતાની તાસીર પ્રમાણે ખુદની પદ્ધતિ વિકસાવી લેતા હોય છે.
0 0 0 

No comments:

Post a Comment