Saturday, April 25, 2020

તમારે 'પંચાયત' વેબ સિરીઝ શા માટે જોવી જોઈએ


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 26 March 2020

મલ્ટિપ્લેક્સ

વેબ સિરીઝ એટલે ગાળાગાળી, હિંસા અને સેક્સ એવું કોણે કહ્યું? પંચાયત નામનો અફલાતૂન શો આ થિયરીને મસ્ત રીતે ખોટી પાડે છે.   


ક શહેરી જુવાનિયો છે. અભિષેક એનું નામ. એના લગભગ બધા દોસ્તારોને સરસ પૅકેજવાળી કૉર્પોરેટ જૉબ મળી ગઈ છે, પણ અભિષેક સામે હાલ એક જ વિકલ્પ છેઃ ઉત્તરપ્રદેશના ફુલેરા નામના કોઈ અજાણ્યા અંતરિયાળ ગામડામાં પંચાયત સેક્રેટરીની સરકારી નોકરી સ્વીકારી લેવાનો. અભિષેકના ફ્રસ્ટ્રેશનનો પાર નથી. એનો દોસ્તાર કોઈ ફેન્સી મૉલના એસ્કેલેટર પર સરકતાં સરકતાં સમજાવવાનો પ્રયાસ કરે છેઃ યાર, લઈ લે આ જૉબ. સ્વદેસના શાહરૂખ ખાનને યાદ કર. એ અમેરિકામાં નાસા જેવી કંપનીમાં કામ કરતો હતો તોય કેવો ભારત પાછો આવીને ગામડાગામનો ઉદ્ધાર કરે છે! બસ, તને હવે એક્ઝેક્ટલી આવો જ મોકો મળ્યો છે. જરા વિચાર તો કર, પંચાયત સેક્રેટરી તરીકે તું રસ્તાઓ બનાવી શકીશ, ગામનો વિકાસ કરી શકીશ! અભિષેક કહે છેઃ અલ્યા, પગાર તો જો – વીસ હજાર રૂપરડી. આટલો તો તારો દર મહિને ટેક્સ કપાય છે! દોસ્તાર કહે છેઃ તારે ક્યાં ગામડે પરમેન્ટલી સેટલ થવું છે? આને એક સ્ટોપ-ગૅપ અરેન્જમેન્ટ તરીકે જો. આમેય તું એમબીએની તૈયારી કરવાનો છે. તારી પાસે જો રુરલ કામકાજનો આવો નક્કર અનુભવ હશે તો તું વધારે આસાનીથી ઇન્ટરવ્યુ ક્રૅક કરી શકીશ.
ખેર, ક-મને અભિષેક નોકરી સ્વીકારે છે. બાઇક અને બિસ્તરાં-પોટલાં એસટી બસ પર ચડાવીને એ ફુલેરા પહોંચી જાય છે. પછી શું થાય છે? બસ, આનો જવાબ તમારે અમેઝોન પ્રાઇમની અફલાતૂન નવી વેબસિરીઝ પંચાયત જોઈને જાતે શોધી લેવાનો છે.
વેબ સિરીઝ એટલે આડેધડ ગાળાગાળી, સેક્સ અને હિંસા – તમારા મનમાં જો આવી ઇમેજ બની ગઈ હોય (જે ઠીક ઠીક અંશે સાચી પણ છે) તો સાંભળી લો કે પંચાયત, ટિપિકલ ભાષામાં કહીએ તો, તમને તાજગીની લહેરખીનો અનુભવ કરાવશે. સેક્સ, હિંસા ને ગાળાગાળી તો જવા દો, અહીં તો સૉલિડ કૉન્ફિલક્ટ્સ પણ નથી. શોઝ, નાટકો, ફિલ્મો લખનારા ને બનાવનારાઓના મનમાં વર્ષોથી એક વાત સજ્જડપણે  ઘૂસી ગઈ છે કૉન્ફિલક્ટ (એટલે કે પાત્રો અને પરિસ્થિતિઓમાં પેદા થતી જોરદાર ટક્કર) તો જોઈએ જ. તો જ ડ્રામો પેદા થાય ને દર્શકોનો રસ જળવાઈ રહે. ટીવીએફે (ધ વાઇરલ ફિવર) પ્રોડ્યુસ કરેલો પંચાચત શો આ દલીલને મસ્ત રીતે ખોટી સાબિત કરે છે. અહીં નાટ્યાત્મક ઘટનાઓ છે ખરી, પણ કેવી? ઑફિસમાંથી મોનિટર ચોરાઈ જવું, પાસપોર્ટ સાઇઝનો ફોટો પડાવવા માટે સંઘર્ષ કરવો, દીવાલ પર ચિતરેલું સંતતિનિયમનનું સરકારી સ્લોગન વાંચીને ગામવાસીઓનું નારાજ થઈ જવું, વગેરે. સાવ નાની નાની, સાદી સાદી વાતો, પણ તોય એમાંથી એટલી સરસ રીતે રમૂજ પેદા થતી રહે ને વાર્તા આગળ વહેતી રહે કે અડધી-અડધી કલાકના આઠ એપિસોડ ક્યારે પૂરા થઈ ગયા એની ખબર પણ નહીં પડે.

અભિષેકનું પાત્ર પિચર્સ, કોટા ફેક્ટરી જેવા વેબ શોઝ અને શુભ મંગલમ્ જ્યાદા સાવધાન જેવી ફિલ્મમાં ચમકી ચુકેલા જિતેન્દ્ર કુમારે ભજવ્યું છે. જિતેન્દ્ર કુમાર આજનો અમોલ પાલેકર છે. સીધો-સપાટ, ઘરેલુ, ઝીરો ગ્લૅમર ઘરાવતા, નૅક્સ્ટ-ડોર-નૅબર પ્રકારના રોલ આજકાલ જિતેન્દ્ર કુમાર જેટલી સરસ રીતે બીજું કોઈ ભજવતું નથી. નીના ગુપ્તા ગામનાં સરપંચ છે, પણ ફક્ત નામનાં. સરકારે મહિલાઓ માટે ક્વોટા રાખ્યો હતો એટલે એ ચુંટાઈ આવ્યાં છે, બાકી સરપંચ તરીકેનું બધું કામકાજ તો એમના પ્રધાનપતિ રઘુવીર યાદવ જ સંભાળે છે. બન્ને વચ્ચેની નોંકઝોંક અને બોન્ડિંગ જોજો. માત્ર એક લૂકથી કે ચહેરાના હાવભાવથી આ બન્ને કેવી ધારી અસર ઊભી કરી શકે છે‘! નીના ગુપ્તા અને રઘુવીર યાદવ ગજબનાં એક્ટરો છે જ અને જિતેન્દ્ર પણ હવે સર્વસ્વીકૃત અદાકાર બની ચુક્યા છે, પણ તમારું ધ્યાન સૌથી વધુ કોઈ ખેંચતું હોય તો તે છે, ચંદન રૉય. એ પંચાયતની ઑફિસમાં કામ કરતા અતિ ઉત્સાહી આસિસ્ટન્ટનો રોલ કરે છે. આપણે માની જ શકતા નથી કે આ અસલી ગામડિયો નહીં, બલકે કોઈ એક્ટર છે. ઉપ-સરપંચ બનતા ફૈઝલ મલિક પણ કમાલના છે. ક્યાંથી શોધી લાવે છે ટીવીએફવાળા આવા ઉત્તમ એક્ટરોને!
આ શોમાં એક નહીં પણ બે ચંદનોએ ઉત્તમોત્તમ કામ કર્યું છે. એક તો ચંદન રૉય અને બીજા છે, શોના લેખક, ચંદન કુમાર. સાચું પૂછો તો લખાણ જ આ શોનો અસલી હીરો છે. એમ તો ડિરેક્ટર દીપકકુમાર મિશ્રાને પણ આ શોને આટલી સરસ રીતે એક્ઝિક્યુટ કરવા માટે ફુલ માર્ક્સ આપવા પડે. શો જે છે તે સ્વરૂપમાં સરસ જ છે, તોય એવો વિચાર જરૂર આવે કે જિતેન્દ્ર કુમારની દેસી પર્સનાલિટી આમેય અડધાપડધા ગામડિયા જેવી છે. એના બદલે મેઇન લીડમાં ટીવીએફ ટ્રિપલિંગના ચિતવન (અમોલ પરાશર) પ્રકારના કોઈ નખશિખ શહેરી લૂક, ફીલ અને એટિટ્યુડ ધરાવતા એક્ટરને કાસ્ટ કરવામાં આવ્યો હોત તો વાત ઑર ન જામત?
સો વાતની એક વાત. જો તમને માલગુડી ડેઝ, મુંગેરીલાલ કે હસીન સપનેં જેવી સિરીયલો ગમતી હોય તો લગભગ એવી જ તાસીર ધરાવતો પંચાયત શો જોઈ કાઢો. બાકી જો તમારે જો સેક્સ એન્ડ ધ સિટીના અનૌરસ સાઉથ બમ્બૈયા સંતાન જેવો ગ્લેમર, ગાળાગાળી અને સેક્સમાં ડીપ ફ્રાય કરેલો અર્બન મસાલો ચગળવો હોય તો ફોર મોર શોટ્સ પ્લીઝ!’ છે જ.                       

હું બહુ ડિપ્રેશનમાં છું...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 22 એપ્રિલ 2020, બુધવાર
ટેક ઓફ 
વિચારવું અને અનુભવવું આ બન્ને અલગ વસ્તુઓ છે. કોઈ પણ લાગણીને અનુભવતા પહેલાં તેને સમજવી પડે છે.

કોરોના ક્વોરન્ટાઇનને કારણે આપણે અત્યારે જાતજાતની લાગણીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ. ક્યારેક પરિવારજનો સાથે ખૂબ હસીએ-બોલીએ છીએ ને સૉલિડ મોજમાં રહીએ છીએ, તો ક્યારેક એમની એકધારી હાજરીથી અકળાઈ જઈએ છીએ. ક્યારેક પોતાની જાત સાથે એકલા રહેવામાં આનંદ અનુભવાય છે, તો ક્યારેક ઘર છોડીને બહાર ભાગવાનું મન થાય છે. ટૂંકમાં, આપણા મૂડ દિવસમાં કેટલીય વાર બદલાય છે.
આપણી વર્તમાન મનોસ્થિતિના સંદર્ભમાં ડૉ. ડેવિડ બર્ન્સ નામના જાણીતા અમેરિકન સાઇકિએટ્રિસ્ટે લખેલા ફીલિંગ ગુડઃ ધ ન્યુ મૂડ થેરાપી નામના પુસ્તકમાંથી પસાર થવા જેવું છે. પુસ્તકના શીર્ષકની ટેગલાઇન ખાસ ધ્યાન ખેંચે છેઃ ધ ક્લિનિકલી પ્રૂવન ડ્રગ-ફ્રી ટ્રીટમેન્ટ ફોર ડિપ્રેશન.  
ડૉ. બર્ન્સ કહે છે કે ડિપ્રેશન એ ઇમોશનલ ડિસઑર્ડર છે જ નહીં. તમે આમ તો સાજાસારા હો, પણ અચાનક તમારો મૂડ ઑફ થઈ જાય તો આ બદલાવનું એટલું જ મહત્ત્વ છે, જેટલું તમે ત્રણ માળ દાદરા ચડીને આવ્યા હો ને હાંફી રહ્યા હો. ડૉક્ટર બર્ન્સ કહે છે કે તમારા મનમાં જે કંઈ ખરાબ લાગણી જાગે છે તે તમારા ડિસ્ટોર્ડેટ (વિકૃત) નેગેટિવ થિંકિંગનું પરિણામ હોઈ શકે છે.
તમે જોજો, આપણે કોઈ નેગેટિવ વિચારે ચડી ગયા હોઈએ ત્યારે અચૂકપણે કોઈક ખરાબ અનુભવને યાદ કરતા હોઈએ છીએ યા તો કોઈ પીડાદાયક લાગણી આ નેગેટિવ વિચારને મમળાવતા હોઈએ છીએ. તમે અપસેટ ન હો ત્યારે તમારા મનમાં જાગતા વિચારો અને અપસેટ હો ત્યારે મનમાં જાગતા વિચારો એકબીજાથી બહુ જ અલગ હોવાના. જો આપણે આ નેગેટિવ વિચારોની પેટર્ન પકડી લઈએ તો ઘણી રાહત મળી શકે છે.
કેવી રીતે આ પેટર્ન પકડવી? ડૉ. બર્ન્સ કહે છે કે જ્યારે પણ તમને લાગે કે હું ડિપ્રેસ્ડ છું ત્યારે આ સમયગાળા દરમિયાન અથવા ડિપ્રેશન જેવું લાગવાનું શરૂ થયું તેની જસ્ટ પહેલાં તમારા મનમાં કયા નેગેટિવ વિચાર ચાલતા હતા તે ઓળખી કાઢવાનો પ્રયાસ કરવો. શક્ય છે કે કોઈ ચોક્કસ ઘટનાને બદલે ભળતા જ વિચારોને કારણે તમારો મૂડ ખરાબ થઈ ગયો હોય. નેગેટિવ થિંકિંગ આપણા માટે લગભગ ઑટોમેટિક બની ગયું છે. નેગેટિવ વિચારવા માટે આપણે કોઈ જ પ્રયત્ન કરવો પડતો નથી. નકામા વિચારો એની મેળે જ દિમાગમાં ઊછળવા માંડતા હોય છે.

વિચારવું અને અનુભવવું આ બન્ને અલગ વસ્તુઓ છે, પણ બન્ને વચ્ચે ગાઢ સંબંધ છે. લાગણીઓનો સઘળો આધાર આપણે જે-તે વસ્તુસ્થિતિને કેવી રીતે જોઈએ અને મૂલવીએ છીએ તેના પર રહેલો છે. આપણે કોઈ ઘટના કે લાગણી અનુભવીએ ત્યારે સૌથી પહેલાં તો મગજમાં તે પ્રોસેસ થાય છે. તેના કારણે તે લાગણી કે ઘટનાને અર્થ મળે છે. સીધી વાત છે કે કોઈ પણ લાગણીને અનુભવતા પહેલાં તેને સમજવી પડે.  
જે કંઈ બની રહ્યું છે તે પૂરેપૂરી સ્પષ્ટતાથી સમજી શકતા હોઈશું તો આપણી લાગણીઓ નોર્મલ રહેશે, પણ જો આપણી સમજણ યા તો દષ્ટિ અપરિપક્વ, વિકૃત કે ખોટી હશે તો આપણો ઇમોશનલ રિસ્પોન્સ એબ્નોર્મલ હશે. ડૉ. બર્ન્સ આપણા મનને રેડિયો સાથે સરખાવે છે. માનો કે રેડિયોમાંથી ચીંઈઈઈ... કરતો અવાજ આવી રહ્યો ને ગીત બરાબર સંભળાતું ન હોય, તો આનો અર્થ એવો નથી કે રેડિયો ખરાબ થઈ ગયો છે. આનો અર્થ એટલો જ થયો કે તમે કાં તો સ્ટેશન બરાબર સેટ કર્યું નથી અથવા ખરાબ હવામાનને કારણે ડિસ્ટર્બન્સ આવે છે. આવી સ્થિતિમાં શું કરવાનું? કળ ઘુમાવીને સ્ટેશન બરાબર સેટ કરવાનું. મેન્ટલ ટ્યુનિંગનું પણ એવું છે. એક વાર નેગેટિવ વિચારોનું વાદળિયું વિખરાઈ જાય છે એટલે ગીત બરાબર સંભળાવા લાગે છે.
કોઈ એમ પણ કહી શકે કે પણ ભાઈસાહેબ, મારો રેડિયો સાચે જ સાવ બગડી ગયો છે, એના પૂરજેપૂરજાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. ઉપરછલ્લા ટ્યુનિંગથી કશું નહીં થાય, હું ખરેખર બહુ જ ડિપ્રેશનમાં છું. ડૉ. બર્ન્સ કહે છે, આવું હું અસંખ્ય વાર સાંભળું છું. લગભગ દરેક ડિપ્રેસ્ડ વ્યક્તિને એવું જ લાગતું હોય છે કે એનો કેસ સાવ હોપલેસ છે, અસામાન્ય છે. વાસ્તવમાં મોટા ભાગના ડિપ્રેશનના કેસ સાધારણ હોય છે. દર્દીને હું ખૂબ ડિપ્રેશનમાં છું એવો ભ્રમ હોય છે ને આ ભ્રમનું કારણ એનું મેન્ટલ પ્રોસેસિંગ હોય છે.
આપણે ડિસ્ટર્બ્ડ યા તો વિકૃત કહી શકાય એવું નેગેટિવ થિંકિંગ કરીએ છીએ એવી શી રીતે ખબર પડે? તેમાંથી કેવી રીતે બહાર આવી શકાય? વેલ, વાત જરાક લાંબી છે એટલે તેના વિશે ફરી ક્યારેક શૅર કરીશું. આપણે હાલ પૂરતું એક જ વસ્તુ સમજવાની છે કે હું ખૂબ ડિપ્રેશનમાં છું એવા નિર્ણય પર કૂદકો મારીને પહોંચી જવાનું નહીં. મોટે ભાગે તો તમારો મૂડ ખરાબ હશે યા તો તમારી વિચારપ્રક્રિયા નેગેટિવ પેટર્નમાં ફસાઈ ગઈ હશે. ડિપ્રેશન એક ભારે શબ્દ છે. એને ગમે તેમ વાપરવાનો નહીં. સો રિલેક્સ, ચિલ... ઑલ ઇઝ વેલ!   
0 0 0 


Tuesday, April 21, 2020

'અસુર': ડેડલી દૈત્યકથા


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 5 એપ્રિલ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
રહસ્ય, રોમાંચ, હિંસા અને પૌરાણિક સંદર્ભોથી છલોછલ અસુર વેબ શો કેવો છે?

બેટા, મોટો થઈને તું શું બનીશ?’
એક ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ દસેક વર્ષના છોકરાને પ્રશ્ન પૂછે છે. છોકરાનો ચહેરો સપાટ છે. સપાટ અને બરફમાં દટાયેલા ખંજર જેવો ઠંડો. એ સામેની વ્યક્તિને જોતો નથી, બલકે એની તરફ ત્રાટક કરે છે.
અસુર, પાંપણ પટપટાવ્યા વગર છોકરો જવાબ આપે છે.
હેં?’ ડૉક્ટર ફરી પૂછે છે, શું બનવું છે તારે?’
અસુર.
અસુર એટલે દાનવ, દૈત્ય. છોકરો અસુર બનવા માગે છે, કેમ કે બનારસી બ્રાહ્મણ પિતાએ એના મનમાં આ શબ્દ કોતરી નાખ્યો છે. નફરતથી, ક્રોધથી. છોકરાના જન્મ સાથે જ એની મા મૃત્યુ પામી હતી. બાપ માને છે કે આ છોકરો જ પોતાની પત્નીને ભરખી ગયો છે. છોકરામાં અસાધારણ શક્તિઓ છે. એ જાડા થોથા જેવા પુસ્તકનાં પાનાં ફેરવીને ગણતરીની મિનિટોમાં સઘળું લખાણ પામી શકે છે, એટલું જ નહીં, યાદ પર રાખી શકે છે. પિતા માને છે કે આ બધાં અસુરી લક્ષણો છે. સગા સંતાનની માનસિકતા પર  સતત કુઠરાઘાત કરતા રહેતા પિતાએ દીકરાના અસુરીપણાનો ભોગ બનવું પડે છે. પુખ્ત થતાં પહેલાં જ છોકરો એવા એવા કાંડ કરે છે કે...
આ છે વૂટ સિલેક્ટ નામના ડિજિટલ પ્લેટફૉર્મ પર મૂકાયેલી નવીનક્કોર વેબ સિરીઝ અસુરની કથાનું આરંભબિંદુ. આ ખતરનાક છોકરો મોટો થઈને કેવા કારનામા કરે છે? એને કોણ કેવી રીતે કાબૂમાં લે છે? આ પ્રશ્નોના ઉત્તરમાં અસુરના આઠ એપિસોડની કથા સમાયેલી છે. કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે બાકીની દુનિયા ભલે ઠપ્પ થઈ ગઈ હોય, પણ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, વૂટ વગેરે જેવાં ડિજિટલ પ્લેટફૉર્મ્સ જોરદાર ફૉર્મમાં છે. લૉકડાઉન થઈને ઘરમાં પૂરાયેલા લોકો બીજું કરેય શું, આંકરાતિયાના માફક દિવસ-રાત ડિજિટલ મનોરંજન ઓહિયા કર્યા સિવાય? અસુર જેવા સાઇકોલોજિકલ ક્રાઇમ શો પ્રેક્ષકો સામે મૂકવા માટે આના કરતાં વધારે બહેતર સમય બીજો કોઈ હોઈ શક્યો ન હોત. મજાની વાત એ છે કે શો સરસ બન્યો છે. તમે એક વાર જોવાનું શરૂ કરો એટલે પૂરો કર્યે જ છૂટકો કરો એટલો રસપ્રદ. આમેય પ્રેક્ષક બિન્જ વૉચ કરવા માટે મજબૂર થઈ જાય એવા ચોટડૂક હોવું તે એપિસોડિક ડિજિટલ શોની પૂર્વશરત છે.

બનારસથી શરૂ થયેલી અસુરની કથા તરત દસેક વર્ષ કૂદાવીને અમેરિકા શિફ્ટ થાય છે. ક્રમશઃ મુખ્ય પાત્રો એક પછી એક ઇન્ટ્રોડ્યુસ થવા લાગે છે. સુંદર પત્ની અને રૂપકડી દીકરી સાથે રહેતા નિખિલ (વરૂણ સોબતી), જે એફબીઆઈમાં ફોરેન્સિક સાયન્સ ભણાવવાનું કામ કરે છે, એને સમયાંતરે મેસેજ મળતા રહે છે. આ સંદેશામાં ચોક્કસ લોકેશન દેખાડતાં કો-ઓર્ડિનેટ્સ હોય છે. તમામ લોકેશન ભારતનાં છે અને દરેક જગ્યાથી લાશ મળી આવે છે. નિખિલ અગાઉ સીબીઆઇમાં કામ કરતો હતો, પણ પોતાના સિનિયર ધનંજય (અરશદ વારસી) સાથે અણબનાવ થયા પછી એ અમેરિકા જતો રહ્યો હતો. એફબીઆઈના એના કામમાં હવે આમેય કોઈ રોમાંચ રહ્યો નહોતો એટલે એ ભારત પાછો આવીને પુનઃ સીબીઆઇ જોઇન કરી લે છે, પેલા ખતરનાક સિરિયલ કિલરની શોધ કરવા.  
પછી શ્વાસ અધ્ધર કરી દે, જોતાં તકલીફ થઈ જાય એવી ઘટનાઓ બનતી રહે છે. ઓની સેને ડિરેક્ટ કરેલા અસુર શોના ત્રણ લેખકોની ટીમમાં ભાવનગરી નિરેન ભટ્ટ (બે યારથી લઈને બાલા સુધીની કેટલીય ફિલ્મોના લેખક અને વાલમ આવોને જેવાં ઢગલાબંધ ગીતોનાં સર્જક) પણ છે. આ શોનો પ્લસ પૉઇન્ટ એ છે કે એની સ્ટોરીલાઇનમાં ભારતના પૌરાણિક સંદર્ભો અને રૂપકોને આકર્ષક રીતે વણી લેવામાં આવ્યા છે. રહસ્ય, રોમાંચ, ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ અને ઉત્તમ અભિનયનું આ શોમાં સરસ કોમ્બિનેશન થયું છે. સાચ્ચે, અરશદ વારસીને ચક્રમ જેવા કૉમેડીને બદલે, ફોર અ ચેન્જ, એક ઇન્ટેલિજન્ટ અને માથાફરેલ સીબીઆઇ ઑફિસરના રોલમાં જોવાની ખરેખર મજા આવે છે. શોનો માઇનસ પૉઇન્ટ એ છે કે પાછલા એપિસોડ્સ, શરૂઆતના એપિસોડ્સ જેટલા દમદાર નથી. ક્યારેક પકડ છૂટી જતી હોય એવુંય લાગે. એક તબક્કા પછી અસુરના અતિ શુદ્ધ હિન્દી ડાયલોગ્સ સહેજ બનાવટી લાગવા માંડે છે. આ બધી ક્ષતિઓ સહિત પણ અસુર એક સ્તરીય શો તો ખરો જ.  
બાય ધ વે, શું પહેલી સિઝનમાં મુખ્ય અસુરની એન્ટ્રી હજુ થઈ જ નથી? આ સવાલનો જવાબ આપણને બીજી સિઝનમાં મળશે. અત્યારે સૌથી મહત્ત્વનો સવાલ તો આ છેઃ શું અસુર જોવાય? જવાબ છેઃ ચોક્કસ જોવાય.
0 0 0 

Wednesday, April 8, 2020

‘અસુર’: ડેડલી દૈત્યકથા


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 5 એપ્રિલ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
રહસ્ય, રોમાંચ, હિંસા અને પૌરાણિક સંદર્ભોથી છલોછલ અસુર વેબ શો કેવો છે?


બેટા, મોટો થઈને તું શું બનીશ?’
એક ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ દસેક વર્ષના છોકરાને પ્રશ્ન પૂછે છે. છોકરાનો ચહેરો સપાટ છે. સપાટ અને બરફમાં દટાયેલા ખંજર જેવો ઠંડો. એ સામેની વ્યક્તિને જોતો નથી, બલકે એની તરફ ત્રાટક કરે છે.
અસુર, પાંપણ પટપટાવ્યા વગર છોકરો જવાબ આપે છે.
હેં?’ ડૉક્ટર ફરી પૂછે છે, શું બનવું છે તારે?’
અસુર.
અસુર એટલે દાનવ, દૈત્ય. છોકરો અસુર બનવા માગે છે, કેમ કે બનારસી બ્રાહ્મણ પિતાએ એના મનમાં આ શબ્દ કોતરી નાખ્યો છે. નફરતથી, ક્રોધથી. છોકરાના જન્મ સાથે જ એની મા મૃત્યુ પામી હતી. બાપ માને છે કે આ છોકરો જ પોતાની પત્નીને ભરખી ગયો છે. છોકરામાં અસાધારણ શક્તિઓ છે. એ જાડા થોથા જેવા પુસ્તકનાં પાનાં ફેરવીને ગણતરીની મિનિટોમાં સઘળું લખાણ પામી શકે છે, એટલું જ નહીં, યાદ પર રાખી શકે છે. પિતા માને છે કે આ બધાં અસુરી લક્ષણો છે. સગા સંતાનની માનસિકતા પર  સતત કુઠરાઘાત કરતા રહેતા પિતાએ દીકરાના અસુરીપણાનો ભોગ બનવું પડે છે. પુખ્ત થતાં પહેલાં જ છોકરો એવા એવા કાંડ કરે છે કે...
આ છે વૂટ સિલેક્ટ નામના ડિજિટલ પ્લેટફૉર્મ પર મૂકાયેલી નવીનક્કોર વેબ સિરીઝ અસુરની કથાનું આરંભબિંદુ. આ ખતરનાક છોકરો મોટો થઈને કેવા કારનામા કરે છે? એને કોણ કેવી રીતે કાબૂમાં લે છે? આ પ્રશ્નોના ઉત્તરમાં અસુરના આઠ એપિસોડની કથા સમાયેલી છે. કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે બાકીની દુનિયા ભલે ઠપ્પ થઈ ગઈ હોય, પણ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, વૂટ વગેરે જેવાં ડિજિટલ પ્લેટફૉર્મ્સ જોરદાર ફૉર્મમાં છે. લૉકડાઉન થઈને ઘરમાં પૂરાયેલા લોકો બીજું કરેય શું, આંકરાતિયાના માફક દિવસ-રાત ડિજિટલ મનોરંજન ઓહિયા કર્યા સિવાય? અસુર જેવા સાઇકોલોજિકલ ક્રાઇમ શો પ્રેક્ષકો સામે મૂકવા માટે આના કરતાં વધારે બહેતર સમય બીજો કોઈ હોઈ શક્યો ન હોત. મજાની વાત એ છે કે શો સરસ બન્યો છે. તમે એક વાર જોવાનું શરૂ કરો એટલે પૂરો કર્યે જ છૂટકો કરો એટલો રસપ્રદ. આમેય પ્રેક્ષક બિન્જ વૉચ કરવા માટે મજબૂર થઈ જાય એવા ચોટડૂક હોવું તે એપિસોડિક ડિજિટલ શોની પૂર્વશરત છે.

બનારસથી શરૂ થયેલી અસુરની કથા તરત દસેક વર્ષ કૂદાવીને અમેરિકા શિફ્ટ થાય છે. ક્રમશઃ મુખ્ય પાત્રો એક પછી એક ઇન્ટ્રોડ્યુસ થવા લાગે છે. સુંદર પત્ની અને રૂપકડી દીકરી સાથે રહેતા નિખિલ (વરૂણ સોબતી), જે એફબીઆઈમાં ફોરેન્સિક સાયન્સ ભણાવવાનું કામ કરે છે, એને સમયાંતરે મેસેજ મળતા રહે છે. આ સંદેશામાં ચોક્કસ લોકેશન દેખાડતાં કો-ઓર્ડિનેટ્સ હોય છે. તમામ લોકેશન ભારતનાં છે અને દરેક જગ્યાથી લાશ મળી આવે છે. નિખિલ અગાઉ સીબીઆઇમાં કામ કરતો હતો, પણ પોતાના સિનિયર ધનંજય (અરશદ વારસી) સાથે અણબનાવ થયા પછી એ અમેરિકા જતો રહ્યો હતો. એફબીઆઈના એના કામમાં હવે આમેય કોઈ રોમાંચ રહ્યો નહોતો એટલે એ ભારત પાછો આવીને પુનઃ સીબીઆઇ જોઇન કરી લે છે, પેલા ખતરનાક સિરિયલ કિલરની શોધ કરવા.  
પછી શ્વાસ અધ્ધર કરી દે, જોતાં તકલીફ થઈ જાય એવી ઘટનાઓ બનતી રહે છે. ઓની સેને ડિરેક્ટ કરેલા અસુર શોના ત્રણ લેખકોની ટીમમાં ભાવનગરી નિરેન ભટ્ટ (બે યારથી લઈને બાલા સુધીની કેટલીય ફિલ્મોના લેખક અને વાલમ આવોને જેવાં ઢગલાબંધ ગીતોનાં સર્જક) પણ છે. આ શોનો પ્લસ પૉઇન્ટ એ છે કે એની સ્ટોરીલાઇનમાં ભારતના પૌરાણિક સંદર્ભો અને રૂપકોને આકર્ષક રીતે વણી લેવામાં આવ્યા છે. રહસ્ય, રોમાંચ, ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ અને ઉત્તમ અભિનયનું આ શોમાં સરસ કોમ્બિનેશન થયું છે. સાચ્ચે, અરશદ વારસીને ચક્રમ જેવા કૉમેડીને બદલે, ફોર અ ચેન્જ, એક ઇન્ટેલિજન્ટ અને માથાફરેલ સીબીઆઇ ઑફિસરના રોલમાં જોવાની ખરેખર મજા આવે છે. શોનો માઇનસ પૉઇન્ટ એ છે કે પાછલા એપિસોડ્સ, શરૂઆતના એપિસોડ્સ જેટલા દમદાર નથી. ક્યારેક પકડ છૂટી જતી હોય એવુંય લાગે. એક તબક્કા પછી અસુરના અતિ શુદ્ધ હિન્દી ડાયલોગ્સ સહેજ બનાવટી લાગવા માંડે છે. આ બધી ક્ષતિઓ સહિત પણ અસુર એક સ્તરીય શો તો ખરો જ.  
બાય ધ વે, શું પહેલી સિઝનમાં મુખ્ય અસુરની એન્ટ્રી હજુ થઈ જ નથી? આ સવાલનો જવાબ આપણને બીજી સિઝનમાં મળશે. અત્યારે સૌથી મહત્ત્વનો સવાલ તો આ છેઃ શું અસુર જોવાય? જવાબ છેઃ ચોક્કસ જોવાય.
 0 0 0 

  

Thursday, April 2, 2020

તમારી સાથે, તમારાં વિના


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 1 એપ્રિલ 2020, બુધવાર 
ટેક ઓફ 
વચન આપો કે કોરોના લૉકડાઉન પછી પણ તમારાં મા-બાપ સાથે ભરપૂર સમય ગાળવાનું તમે ચાલુ રાખશો.

જે પહેલી એપ્રિલ છે. કાશ... આ કોરોના વાઇરસનું કમઠાણ એપ્રિલ ફૂલ પૂરવાર થાય. કાશ... આપણે સવારે ઉઠીએ ને ખબર પડે કે કોરોના-ફોરોના જેવું કશું છે જ નહીં, આ તો આપણે ખરાબ સપનું જોઈ રહ્યા હતા. કમનસીબે આવું કશું થવાનું નથી. હા, વર્ષો પછી આપણે યાદ કરીશું ત્યારે 2020નો આ સમયગાળો દુઃસ્વપ્ન જેવો જરૂર લાગશે. કદાચ ત્યારે આપણે કોરોનાનો આભાર પણ માનતા હોઈશું. લૉકડાઉનને કારણે, દિવસો સુધી લાગલગાટ ઘરમાં પૂરાઈ રહેવાને કારણે, આપણી લાઇફસ્ટાઇલમાં તોતિંગ ફેરફાર થવાને કારણે ઘણાં સત્યો આપણી નજર સામે આવી રહ્યાં છે. વૈશ્વિક સત્યો, રાષ્ટ્રીય સત્યો, સામાજિક સત્યો, અંગત સત્યો. આપણું ઘમંડ તોડવા માટે, આપણને મદમાં છકી જતાં અટકાવવા માટે, આપણા માટે શું ઈષ્ટ છે ને શું અનીષ્ટ છે તે સમજાવવા માટે પ્રકૃતિએ જે કચકચાવીને લપડાક મારી છે તે જરૂરી હતી.   
  
શું જરૂરી છે એક સુખી અને સભર જીવન માટે? સાચુકલા, બનાવટ વગરના, જેન્યુઇન સંબંધો. એવી વ્યક્તિઓ જેને તમારી ખરેખર ચિંતા છે, જેમનો ચહેરો તમને જોઈને હસી ઉઠે છે, જેમની હાજરીમાં તમને સલામતીનો અહેસાસ થાય છે. સાથે સાથે તમને એ પણ સમજાય છે કે તમને જીવનમાં એવી વ્યક્તિઓની જરાય જરૂર નથી જે તમારી ઉપર ન સમજાય એવી નેગેટિવ એનર્જી સતત ફેંકયા કરે છે, જેની સૂકીભઠ્ઠ શુષ્ક આંખોમાં આત્મીયતાનું નામોનિશાન વર્તાતું નથી, જે તમારાથી નજર ચોરીને દૂર ભાગ્યા કરે છે, જેનો તમારી સાથેનો વહેવાર નિર્દોષ હોતો નથી. ભલે આંગળી મૂકીને સ્પષ્ટપણે બતાવી ન શકાય, પણ તમારો માંહ્યલો પામી લે છે કે આ વ્યક્તિ તમારું સ્વજન કહેવડાવવાને લાયક નથી.       

જો તમે ભાગ્ચશાળી હશો તો તમારાં મા-બાપ તમારી સાથે હશે, આસપાસ હશે અથવા તમારી સાથે જોડાયેલાં હશે. જો કમનસીબ હશો તો તમારા માથા પરથી માતાની, પિતાની અથવા બન્નેની છત્રછાયા ઝૂંટવાઈ ગઈ હશે. કટોકટીની પરિસ્થિતિમાં તમે મા-બાપને સૌથી વધારે મિસ કરો છો, કેમ કે એમના જેવો પ્રેમ, હૂંફ અને ઇમોશનલ સિક્યોરિટીનો સ્રોત બીજો એકેય નથી. મા-બાપ અને સંતાન વચ્ચેના સંબંધ તદ્દન વણસી ગયા હોય છે તેવા અપવાદરૂપ પરિવારોની વાત આપણે અત્યારે કરતા નથી.            

માતા-પિતા ક્યાંય જતાં નથી. મૃત્યુ માતા-પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ તોડી શકતું નથી. એમની શાંત અને સુખદ હાજરી સતત વર્તાતી રહે છે. જાણે કે તેઓ અહીં જ છે આપણું રક્ષણ કરવાઆપણું કોઈ અહિત ન કરી જાય એનું ધ્યાન રાખવા. આપણે સાચો નિર્ણય લેતા હોઈએ ત્યારે તેમની મૌન સહમતી અનુભવી શકાય છે. ખોટી દિશામાં વિચારી રહ્યા હોઈએ ત્યારે એમનો નકાર સાંભળી શકાય છે. ક્યારેક ગિલ્ટ સપાટી પર આવી જાય છે કે આ બધી મીઠાશઆ મધુરતા મા-બાપ હયાત હતાં ત્યારે કેમ વ્યક્ત થતી નહોતીસદેહે જીવતાં હતાં ત્યારે કેમ તેમના પ્રત્યે કઠોર બની જવાતું હતું? અત્યારે કોરોના લૉકડાઉનમાં તમે ઘરમાં પડ્યા જ છો, રાઇટ? તમારા વગર પૃથ્વીનું પરિભ્રમણ પણ અટક્યું નથી. તો મા-બાપ જ્યારે હયાત હતાં ત્યારે એવા તો કયાં મહાન કામ કરીને ઊંધા પડી જતા હતા કે એમને સમય આપી શકતા નહોતાખબર હતી કે એમની અવગણના થઈ રહી છે તો પણ ખુદની લાઇફસ્ટાઇલમાં ફર્ક લાવવાની તસદી કેમ લેતા નહોતા?

મા-બાપ ક્યાંય જતાં નથી એ વાત અનુભૂતિના સ્તરે બરાબર છેપણ નક્કર સચ્ચાઈ એ છે કે મા-બાપ જતાં રહે છે. મા-બાપ અમર હોતાં નથી. એક દિવસ તેઓ મૃત્યુ જરૂર પામે છે. મા-બાપને કશુંય આપવાની સંતાનની હેસિયત ક્યારેય હોતી જ નથી. પોતાના જન્મદાતાને આપણે એક જ વસ્તુ આપી શકતા હોઈએ છીએ - સમય. એટેન્શન. મા-બાપ એ જ ઝંખતાં હોય છે સંતાન પાસેથી.

અત્યારે તક છે, મા-બાપને ભરપૂર સમય આપવાનો. એમની પાસે બેસો, જૂની વાતો કઢાવો. એમનાં બાળપણ, જુવાની અને સંઘર્ષની વાતો રસપૂર્વક સાંભળો. તમે જોજો, પોતાની વાત કરતાં કરતાં તેઓ ક્યારે તમારા બાળપણની વાતો કરવા માંડશે તેની ખબર પણ નહીં પડે, કેમ કે એમના જીવનનું કેન્દ્ર જ તમે છો. એમનાં વ્યક્તિગત સપનાં કે મહત્ત્વાકાંક્ષા જેવું ક્યાં કશું હતું? પોતાનાં સંતાનો અને પરિવારની સુખેથી રહે એ જ એકમાત્ર વિચારધારાની ધરી પર તેઓ હંમેશાં જીવતાં રહ્યાં. એમણે જીવનના તમામ નિર્ણયો તમારી સુખાકારીને ધ્યાનમાં રાખીને લીધા છે. એમનાં તમામ પગલાંનું રેફરન્સ પોઇન્ટ જ તમે છો.    

કોરોના લૉકડાઉનને કારણે તમને મા-બાપ સાથે રહેવાની ફરજ પડી છે. લૉકડાઉન પછી પણ તેમની સાથે ભરપૂર સમય ગાળવાનું તમે ચાલુ રાખશો. પ્રોમીસ?

0 0 0 

Sunday, March 29, 2020

ફિલ્મ કે આગાહી?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 29 માર્ચ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
 નવ વર્ષ પહેલાં બનેલી કન્ટેજિયન ફિલ્મમાં કોરાના વાઇરસના હાહાકાર વિશે આટલી સચોટ ભવિષ્યવાણી કઈ રીતે થઈ હતી?

શ્ચર્યચકિત થઈ જવાય છે આ ફિલ્મ જોઈને. આપણને થાય કે આવું કેવી રીતે શક્ય છે? આ ફિલ્મ બનાવનારા જ્યોતિષવિદ્યાના જાણકાર હતા કે શું? તે સિવાય 2020માં કોરાના વાઇરસ દુનિયાભરમાં હાહાકાર મચાવવાનો છે તેની આગોતરી જાણ આ લોકોને નવ વર્ષ પહેલાં કેવી રીતે થઈ ગઈ?
વાત થઈ રહી છે સ્ટીવન સોડનબર્ગ નામના માસ્ટર ફિલ્મમેકર બનાવેલી મેડિકલ થ્રિલર કન્ટેજિયન વિશે. કન્ટેજિયન શબ્દનો અર્થ થાય છે, ચેપ. હોલિવુડની આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2011ના રોજ રિલીઝ થઈ હતી. જ્યારથી કોરોનાએ ઉપાડો લીધો છે ત્યારથી આ ફિલ્મ મહામારીના એક્યુરેટ ચિત્રણને કારણે એકદમ પ્રકાશમાં આવી ગઈ છે. ઘરમાં પૂરાઈ ગયેલા લોકો કન્ટેજિયન જાણે પહેલી વાર રિલીઝ થઈ હોય તેમ યુટ્યુબ, આઇટ્યુન જેવાં પ્લૅટફૉર્મ્સ પર જોઈ રહ્યા છે ને ફિલ્મના લેખક-ડિરેક્ટરની ભરપૂર તારીફ કરી રહ્યા છે.
શું છે કન્ટેજિયનમાં? ફિલ્મની શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે ઑફિશિયલ કામ માટે હોંગકોંગ ગયેલી  બેથ નામની એક મધ્યવયસ્ક સ્ત્રી (ગિનિથ પેલ્ટ્રો) અમેરિકા પાછી આવી રહી છે. પોતાના શહેરમાં લૅન્ડ થતાં પહેલાં એણે શિકાગોમાં થોડો સમય રોકાવું પડે તેમ છે, કેમ કે કનેક્ટિંગ ફ્લાઇટ પાંચ કલાક પછી ઉપડવાની છે. સ્ત્રી પરિણીત છે, એક દીકરાની મા છે, તોય આ પાંચ કલાક દરમિયાન એ શિકાગોમાં રહેતા પોતાના ભૂતપૂર્વ પ્રેમીને મળી આવે છે, એની સાથે શારીરિક સુખ પણ માણી લે છે.
ઘરે પહોંચ્યા પછી એક-બે દિવસ તો બધું બરાબર લાગે છે, પણ પછી એની તબિયત એકાએક બગડે છે. શરૂઆતમાં એણે માની લીધું હતું કે જેટલેગને કારણે કદાચ આવું લાગતું હશે. એક દિવસ એ કિચનમાં કામ કરતાં કરતાં એકાએક પડી જાય છે, એનું શરીર ઝાટકા ખાવા લાગે છે, વાઇ આવી હોય તેમ મોંમાંથી ફીણ બહાર આવી જાય છે. એનો પતિ મિચ (મેટ ડેમન) એને તરત હોસ્પિટલભેગી કરે છે. ડૉક્ટરો એને બચાવી શકતા નથી. ડૉક્ટરો કહી પણ શકતા નથી કે બેથને એક્ઝેક્ટલી કઈ બીમારી લાગુ પડી હતી. વાત અહીં પૂરી થતી નથી. બેથનો પાંચ વર્ષનો દીકરો પણ રહસ્યમય રીતે મૃત્યુ પામે છે. હવે સ્પષ્ટ થાય છે કે મા-દીકરાનો ભોગ કોઈ અજાણ્યા વાઇરસે લીધો છે. બેથ હોંગકોંગથી આ વાઇરસ પોતાની સાથે લેતી આવી હતી, જેનો ચેપ એના દીકરાને લાગ્યો હતો. ચેપ તો એના વરને પણ લાગે હતો, પણ સદનસીબે એ બચી જાય છે.

...અને હવે શરૂ થાય છે આ દુનિયાને ઘરમોળી મૂકતો ઘટનાક્રમ. હોમલૅન્ડ સિક્યોરિટીવાળાઓ માને છે કે આ વાઇરસ વાસ્તવમાં બાયોલોજિકલ વેપન હોવું જોઈએ. ઘણાં બધાં કિરદારો કામે લાગી જાય છે - એપિડેમિક ઇન્ટેલિજન્સ સર્વિસ ઑફિસર ડૉ. એરિન (કેટ વિન્સલેટ), સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલમાં કામ કરતા ડૉ. ઍલી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ, ખાંખાખોળા કરીને ઇન્ફર્મેશન ખોદી લાગવતો એક બ્લોગર (જુડ લૉ) વગેરે.  ફિલ્મમાં જે વાઇરસ દેખાડ્યો છે તેનાં લક્ષણ બિલકુલ કોરોના વાઇરસ જેવાં જ છે. તે સ્પર્શથી, સરફેસ-ટુ-સરફેસ ફેલાય છે. જેને તેનો ચેપ લાગુ પડ્યો હોય એ વ્યક્તિને ક્વૉરન્ટાઇન કરી નાખવો પડે છે. બેથ હોંગકોંગમાં હતી ત્યારે કોને કોને મળી હતી તે શોધવાની અને તે સૌને ક્વૉરન્ટાઇન કરવાની કવાયત શરૂ થાય છે. રાગચાળો ફેલાતાં આખેઆખા શહેરોને ક્વોરન્ટાઇન કરવા પડે છે. આંધાધૂંધીનો પાર નથી. મેડિકલ સ્ટોરોના કાચના દરવાજા તોડીને લોકો લૂંટફાટ કરે છે, સરકારી સહાય પર લોકો જંગલીની માફક તૂટી પડે છે.          
ફિલ્મમાં પછી તો ઘણું બધું બને છે. આપણે અત્યારે યુરોપ-અમેરિકાની જે ન્યુઝ ક્લિપ્સ જોઈએ છીએ અદ્લ એવાં જ એ દશ્યો છે. ફિલ્મમાં આ  વાઇરસને લીધે એકલા અમેરિકામાં પચ્ચીસ લાખ લોકોનો જીવ જાય છે. આખી દુનિયાનો મૃત્યુઆંક અઢી કરોડ કરતાંય વધી જાય છે. ફિલ્મના અંતે પ્રતિપાદિત થાય છે કે આ વાઇરસ ચામાચિડીયામાંથી ફેલાયો હતો. એક ચામાચિડીયાનું કોઈ ફળ મોંમાં દબાવીને ઉડતું હતું જે છટકીને નીચે પડી ગયું. આ એઠું ફળ એક ભૂંડ ખાઈ ગયું. તે ભૂંડ કતલખાનામાં હલાલ થયું. તેના માંસમાંથી બનેલી વાનગી હોટલમાં ઉતરેલી બેથને પિરસાઈ અને આ રીતે બેથ પેલા ખતરનાક વાઇરસની પહેલી વાહક બની. બેથ પોતાના મોબાઇલ, દરવાજા, ગ્લાસ, રેસ્ટોરાંનું મેનુ વગેરેને સ્પર્શતી હોય તેના ક્લોઝ-અપ્સ વારે વારે દેખાડવામાં આવે છે. તે જોઈને આપણો શ્વાસ અધ્ધર થઈ જાય છે, કેમ કે આપણે જાણીએ છીએ કે બેથ વાઇરસની કૅરીયર છે. હાથ થોડી થોડી વારે ધોતા રહો... હાથ ચહેરા પર ન લગાવો જેવા ડાયલોગ્ઝ પણ ફિલ્મમાં આવતા રહે છે. 
કન્ટેજિયનના ડિરેક્ટર સ્ટીવન સોડનબર્ગ અને લેખક સ્કૉટ બર્ન્સે 2009માં ધ ઇન્ફૉર્મન્ટ નામની ફિલ્મ બનાવી હતી. પછી તેઓ કોઈ બાયોગ્રાફિકલ ફિલ્મ બનાવવા માગતા હતા, પણ સ્કૉટ બર્ન્સને રોગચાળાને કેન્દ્રમાં રાખીને મેડિકલ થ્રિલર બનાવવાનો વિચાર આવ્યો. ધારો કે કોઈ ઘાતક વાઇરસ દુનિયામાં ફેલાય તો શું શું થાય? આ સમજવા માટે તેઓ કેટલાય ડૉક્ટરો, ફિઝિશિયનો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓ વગેરેને મળ્યા. જેમ જેમ નિષ્ણાતોને મળતા ગયા તેમ તેમ ફિલ્મમાં કયા ક્યા એંગલ ઉમેરાઈ શકે છે તે સ્પષ્ટ થતું ગયું. આ રિસર્ચ પૂરું થયું એના છ જ મહિના પછી, 2009માં, ફ્લ્યૂએ ઉપાડો લીધો. તે વખતે જે અસલી ઘટનાઓ બની તેની વિગતો ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં મદદરૂપ બની.

દુનિયાના કેટલાય દેશોમાં મલ્ટિસ્ટારર કન્ટેજિયનનું શૂટિંગ થયું. ટાઇટેનિકની હિરોઈન કેટ વિન્સલેટનો આમાં દમદાર રોલ છે, પણ એનું શૂટિંગ ફક્ત દસ દિવસમાં પૂરું થઈ ગયું હતું. ફિલ્મ રિલીઝ થઈ તે વખતે ય મેડિકલ એક્યુરસી માટે તેના ખૂબ વખાણ થયા હતા. ફિલ્મમાં ક્યાંય બિનજરૂરી નાયકીયતા નથી. તે રિયલિસ્ટિક છે તેથી જ વધારે ધારદાર, વધારે ભયાનક લાગે છે.    
અત્યારે આપણે બધા પોતપોતાનાં ઘરોમાં નજરકેદ છીએ અને આપણી પાસે પુષ્કળ સમય છે ત્યારે કન્ટેજિયન જોજો. શરત એક જ છે કે તમને ડિપ્રેશન ન આવવું જોઈએ. યુટ્યુબ પ્રિમીયમ પર આ ફિલ્મ ઉપલબ્ધ છે. ફ્રી નથી, થોડા રૂપિયા ખર્ચવા પડશે, પણ આ ખર્ચ કરવા જેવો છે.       
0 0 0 


Wednesday, March 25, 2020

રોગચાળો અને દેશપ્રેમઃ એ અંગ્રેજને હું નહીં છોડું!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 25 માર્ચ 2020

ટેક-ઑફ

દેશમાં પ્લૅગની ભયાનક મહામારી ફેલાઈ હતી ત્યારે પૂનાના ચાફેકર બંધુઓએ અત્યાચારી અંગ્રેજ અધિકારીના કેવા હાલ કર્યા હતા?

જે કોરોના વાઇરસે દેશ અને દુનિયામાં ભયનો માહોલ પેદા કર્યો છે. આવું પહેલું વાર નથી બન્યું. ભૂતકાળમાં પ્લૅગની મહામારી હાહાકાર મચાવી ચૂકી છે. આ સંદર્ભમાં લગભગ સવાસો વર્ષ પહેલાં બનેલો એક ઘટનાક્રમ યાદ આવે છે. તેમાં મહામારીની યાતનાની સાથે દેશપ્રેમની ભાવનાનું અજબ સંયોજન થયું છે.

દામોદર હરિ ચાફેકર (જન્મઃ 1870)ના નામથી આપણે ખાસ પરિચિત નથી. આ પૂણેવાસીને નાનપણથી જ વ્યાયામ અને અસ્ત્રશસ્ત્ર ચલાવવામાં ખૂબ રસ. એમનો ઇરાદો તો ભણતર પૂરું કર્યા બાદ અંગ્રેજોના કબ્જા હેઠળની સેનામાં જોડાઈને સૈનિકોમાં વિદ્રોહ પેદા કરવાનો હતો. એમણે સેનામાં પ્રવેશ કરવા એકાદ-બે વાર પ્રયાસ પણ કરી જોયો, પણ સફળતા ન મળી. દામોદર ચાફેકર(આ અટક ક્યારેક ચાપેકર તરીકે પણ લખવામાં આવે છે) નિરાશ ન થયા. એમણે ખુદ પોતાની સેનાનું નિર્માણ કરીને યુવાનોને એમાં જોડ્યા, એમને હથિયારો ચલાવતાં શીખવ્યું. અંગ્રેજો સામે વિદ્રોહ કરવા તેઓ ઉતાવળા થયા હતા. લોકમાન્ય ટિળકની વાતો અને વિચારોથી એમની દેશદાઝ ઑર તીવ્ર બનતી હતી.

1896માં ભારતમાં બ્યુબોનિક પ્લૅગની બીમારી ફાટી નીકળી. 1897ના પ્રારંભમાં પૂના આ મહામારીના ઝપટમાં આવી ગયું. એકલા ફેબ્રુઆરીમાં જ પ્લૅગે પૂનામાં 657 લોકોનો જીવ ખેંચી લીધો. આ ઑફિશિયલ આંકડો હતો. અનઑફિશિયલ આંકડો તો આના કરતાં ક્યાંય મોટો હોવાનો. પૂણેવાસીઓ શહેર છોડી છોડીને ભાગવા માંડ્યા. પ્લૅગનો ફેલાતા અટકાવવા માટે અંગ્રેજ સરકારે માર્ચમાં સ્પેશિયલ પ્લૅગ કમિટી (એસપીસી)ની રચના કરી. આ કમિટીના વડાનું નામ હતું, વૉલ્ટર ચાર્લ્સ રૅન્ડ.

રોગચાળો ફેલાતો અટકાવવા માટે શક્ય હોય તે બધું જ કરવું પડે તે સાચું, પણ ચકાસણી કરવા કે બીજાં પગલાં ભરવા લોકોના ઘરમાં પ્રવેશ કરવામાં આવે ત્યારે પૂરેપૂરી સંવેદનશીલતાથી વર્તવાનું હોય. બીમારી પર રોક લગાડવા માટે કડક કાર્યવાહી કરવી જ પડે, પણ તે પહેલાં લોકોને પ્રેમથી સમજાવવા પડે કે અમે તમને હેરાન કરવા નહીં, બલકે તમારી ભલાઈ માટે આવ્યા છીએ. લોકોની ધાર્મિક કે અન્ય કોઈ લાગણી ન દુભાય તેનો ખાસ ખ્યાલ રાખવાનો હોય.  

થયું એનાથી ઊલટું. રૅન્ડે ખરેખર તો ડૉક્ટરોની ભરતી કરવાની હોય. એને બદલે એણે 800 જેટલા સૈનિકો અને અધિકારીઓને કામે લગાડી દીધા. એમનું કામ શું હતું? લોકોના ઘરમાં જરૂર પડ્યે બળજબરી કરીને પણ ઘુસવું, પુરુષો અને સ્ત્રીઓ બન્નેનું ઇન્સપેક્શન કરવું, પ્લૅગ હોવાની આશંકા હોય તેવા લોકોને અલાયદી છાવણીમાં લઈ જવા, રોગગ્રસ્ત લોકો પૂનામાં ન ઘુસે કે પૂનામાંથી બહાર ન જાય તેનો ખ્યાલ રાખવો.

જડભરત જેવા બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓએ ઉપાડો લીધો. પ્લૅગ પર અંકૂશ આણવાના બહાના હેઠળ તેમણે ઘરોમાં તોડફોડ કરવા માંડી. લોકોની અંગત ચીજવસ્તુઓ ખેદાનમેદાન કરી નાખી. ઘરમાં ગોઠવાયેલી ભગવાનની મૂર્તિઓ કે અન્ય ધાર્મિક પ્રતીકોની પણ આમન્યા ન જાળવી. ચેક-અપના નામે પુરુષો જ નહીં, સ્ત્રીઓ અને બાળકોનાં પણ કપડાં ઊતરાવ્યાં. ક્યારેક તો જાહેરમાં લોકોને નિર્વસ્ત્ર કર્યાં. સ્વજનના મૃત્યુની અંતિમ વિધિ વખતે એમના પરિવારજનોને રોકવામાં આવ્યા. જો પેશન્ટનું મૃત્યુ સરકારી ચોપડે નોંધાયેલું હોય તો જ પરિવારના લોકો અંતિમ સંસ્કાર વખતે હાજર રહી શકે એવો નિયમ લાગુ પાડી દેવામાં આવ્યો. જે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે એની સાથે અપરાધી જેવો ક્રૂર વ્યવહાર થતો.  



ગોપાલકૃષ્ણ ગોખલે જેવા સન્માનનીય સ્વાતંત્ર્યસૈનિકે નોંધ્યું કે પ્લૅગ અટકાવવાના બહાને અંદર ઘૂસી ગયેલા બ્રિટિશ સૈનિકોએ ઘરમાં હાજર રહેલી મહિલા પર બળાત્કાર કર્યો હોય એવા બે કિસ્સા બન્યા છે. બાળ ગંગાધર ટિળકે કેસરી અખબારમાં લખ્યું કે, હર મૅજેસ્ટી ઑફ ક્વીન, ધ સેક્રેટરી ઑફ સ્ટેટ અને એમની કાઉન્સિલે કોઈ કારણ કે દેખીતા ફાયદા વગર ભારતની જનતા પર અત્યાચાર કરવાનો આદેશ આપ્યો છે તે ખોટું છે. રૅન્ડે તરત રદીયો આપ્યો કે અમારી વિરુદ્ધ તદ્દન ખોટા આક્ષેપો થઈ રહ્યા છે.  

બ્રિટિશ સૈનિકોના નિર્દય વર્તનથી જનતામાં રોષ ફેલાઈ રહ્યો હતો. દશ્ય એવું ઊભું થઈ રહ્યું હતું કે સરકાર પ્રજાની મદદ કરવા નહીં, બલકે અત્યાચાર કરવા પર ઉતરી આવી છે. જનતાનો આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયો હતો. દામોદર ચાફેકરે ગાંઠ વાળી કે આ રૅન્ડને એ છોડશે નહીં. એમના બન્ને સગા નાના ભાઈ બાલકૃષ્ણ અને વાસુદેવ પણ તેમની સાથે હતા.
        
અંગ્રેજોની સંવેદનહીનતા જુઓ. એક તરફ પ્લૅગની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ને બીજી બાજુ પૂનામાં મહારાણી વિક્ટોરિયાના રાજ્યારોહણના હીરક મહોત્સવની તૈયારી ચાલી રહી હતી. ઉજવણીની તારીખ નક્કી થઈઃ 22 જૂન, 1897. ચાફેકરબંધુઓએ મસલત કરીને નિર્ણય કર્યો કે આ ઉજવણીમાં તમામ બ્રિટીશ ઑફિસરો હાજર હશે જ, રૅન્ડને ખતમ કરવાનો આ ઉત્તમ મોકો છે.

ઉજવણીના દિવસે દામોદર પહેલાં હથિયાર છૂપાવીને ગર્મેન્ટ હાઉસ પહોંચ્યા (આજે પૂનાસ્થિત આ ગર્મેન્ટ હાઉસ સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટીનું મુખ્ય બિલ્ડિંગ છે), પણ રૅન્ડ ત્યાં નહોતો. ખબર પડી કે એ સેન્ટ મૅરી ચર્ચમાં છે. દામોદર ત્યાં પહોંચી ગયા. અહીં લોકોની ખૂબ ભીડ હતી. દામોદરને ચિંતા થઈ કે હું રૅન્ડને મારવાની કોશિશ કરીશ તો નાહકના નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મૂકાઈ જશે. મોકો હતો, રૅન્ડને ઉડાવી દેવાની ભયંકર ચટપટી ઉપડી હતી, છતાંય દામોદર પોતાની અધીરાઈ પર કાબૂ રાખ્યો.

દામોદરને આખરે આ તક રાત્રે મળી. રૅન્ડ કાર્યક્રમ પતાવીને પોતાના નિવાસસ્થાને જવા નીકળ્યો હતો. ગણેશ ખિંદ રોડ (આજે તે સેનાપતિ બાપટ રોડ તરીકે ઓળખાય છે) લગભગ નિર્જન હતો. રાત્રીના બાર વાગીને દસ મિનિટ થઈ હતી. અગાઉથી નક્કી થયા મુજબ દામોદરના ભાઈ બાલકૃષ્ણે સંકેત કર્યો. એકદમ જ ઝાડ પાછળ છૂપાયેલા દામોદર દોડીને ઘોડાગાડીની પાછળના પગથિયાં ચડી ગયા. બારીનો પડદો ઊંચો કર્યો અને પૂરી સાવધાનીથી ગોળી છોડી. અંદર બેઠેલો અંગ્રેજ ઢળી પડ્યો. તરત ખબર પડી કે તે રૅન્ડ નહીં, પણ એનો મિલિટરી એસ્કોર્ટ લેફ્ટનન્ટ એર્સ્ટ છે, રૅન્ડ તો બીજી ઘોડાગાડીમાં બેઠો છે. દામોદર અને બાલકૃષ્ણ સહેજ પણ વિચલિત ન થયા. તેમણે જોયું કે ત્રીજો ભાઈ વાસુદેવ રૅન્ડની ઘોડાગાડીની પાછળ ધીમે પગલે દોડી રહ્યો છે. દામોદર તરત આ ઘોડાગાડી પર લપક્યા અને રૅન્ડના રામ રમાડી દીધા. 1857ના બળવા પછી અંગ્રેજ સરકાર સામે હિંસક વિદ્રોહ થયો હોય તેવો આ પહેલો કિસ્સો હતો.

કામ સફળતાપૂર્વક પૂરું કરીને દામોદર પોતાના બન્ને ભાઈઓ સાથે ફરાર થઈ ગયા. આ દેશમાં દેશદ્રોહીઓ અને જયચંદો દરેક સમયે રહ્યા જ છે. દ્રવિડબંધુ તરીકે ઓળખાતા ભાઈઓએ સરકારને બાતમી આપી દીધી કે દામોદર ક્યાં છૂપાયા છે. દામોદરને પકડી લેવામાં આવ્યા, તેમના વિરુદ્ધ મુકદમો ચાલ્યો ને 18 એપ્રિલ 1898ના રોજ તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. વચેટ ભાઈ બાલકૃષ્ણ ઑર એક વર્ષ સુધી લપાતાછૂપાતા રહ્યા. આખરે તેઓ પણ પોલીસની હડફેટે ચડી ગયા. તેમને 12 મે, 1899ના રોજ ફાંસી દેવાઈ. સૌથી નાના વાસુદેવ અને તેમના બે દોસ્તારો ખાંડો વિષ્ણુ સાઠે અને વિનાયક રાનડેએ પોલીસના પેલા ખબરીઓ એવા ડેવિડ બંધુઓની હત્યા કરી. વાસુદેવને 8 મે અને વિનાયક રાનડેને 10 મે 1899ના રોજ ફાંસી અપાઈ. ખાંડો વિષ્ણુ સાઠેએ હજુ અઢાર વર્ષ પૂરાં કર્યા નહોતા. તેથી એને દસ વર્ષ માટે કારાવાસની સજા ફરમાવવામાં આવી.   

ચાફેકર બંધુઓ આપણા ભૂલાઈ ગયેલા સ્વાતંત્ર્યસૈનિકો છે. આજે કોરોના વાઇરસે ભયનો માહોલ પેદા કર્યો છે ત્યારે આપણે આ ત્રણેય ભાઈઓનું આદરપૂર્વક સ્મરણ કરીએ.  

shishir.ramavat@gmail.com