Saturday, January 10, 2015

મલ્ટિપ્લેક્સ: શંકરને 'ભારતના જેમ્સ કેમરોન'નું બિરુદ શાથી મળ્યું?

Sandesh - Sanskar Purti - 11 Jan 2015
મલ્ટિપ્લેક્સ

ઓડિયન્સની નાડ પારખવામાં હોટશોટ તમિલ ફિલ્મમેકર શંકર એક્કા છે. જો બધું સમુસૂતરું પાર પડ્યું તો અજબગજબની સ્પેશિયલ ઈફેક્ટ્સ ધરાવતી અને ઉતરાણ પર ત્રણ ભાષામાં રિલીઝ થઈ રહેલી એમની ફિલ્મ "આઈ" નવાં કીર્તિમાનો સ્થાપી શકશે. 




સાૈથી પહેલાં તો ગુજરાતી સિનેમાના અભિનયસમ્રાટ સદગત ઉપેન્દ્ર ત્રિવેદીને હૃદયપૂર્વક યાદ કરીએ અને પછી તમિલ સિનેમાના સાૈથી હોટશોટ ફિલ્મમેકર એસ. શંકર વિશે વાત માંડીએ. 
સાચું પૂછો તો શંકર કેવળ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નહીં પણ સમગ્ર ભારતીય સિનેમાના સૌથી હોટ-એન્ડ-હેપનિંગ ફિલ્મમેકર્સમાંના એક છે. હિન્દી ફિલ્મો જોનારું ઓડિયન્સ એમના કામથી પરિચિત છે. કમલ હાસન-મનીષા કોઇરાલા-ઉર્મિલા માંતોડકરને ચમકાવતી 'હિન્દુસ્તાની' (અથવા 'ઇન્ડિયન', ૧૯૯૬), નવી નવી હિરોઇન બનેલી ઐશ્વર્યા રાય સાથે દુનિયાની સાત અજાયબીઓની સફર કરાવતી 'જીન્સ' (૧૯૯૮) અને અજબગજબની કમ્પ્યૂટર જનરેટેડ ઇફેક્ટ્સ ધરાવતી રજનીકાંત-ઐશ્વર્યાવાળી 'રોબોટ' (૨૦૧૦) - હિન્દીમાં ડબ થઈને વ્યવસ્થિત રીતે રિલીઝ થયેલી આ ત્રણેય ફિલ્મો શંકરે બનાવી છે. અનિલ કપૂરને એક દિવસ માટે ચીફ મિનિસ્ટર બનવાનો મોકો આપતી 'નાયક' (૨૦૦૧) શંકરે સીધી હિન્દીમાં જ ડિરેક્ટ કરી હતી. આ એમની પહેલી અને હાલ પૂરતી છેલ્લી હિન્દી ફિલ્મ. આ ઉપરાંત સાઉથ ઇન્ડિયન હીરો વિક્રમને સ્પ્લિટ પર્સનાલિટી ધરાવતા કેરેક્ટરમાં દેખાડતી 'અપરિચિત' નામની સાઇકો-થ્રિલરનું હિન્દી વર્ઝન ટીવી પર અવારનવાર ટેલિકાસ્ટ થતું રહે છે. 'થ્રી ઇડિયટ્સ'ની તમિલ રિમેક શંકરે ડિરેક્ટ કરી છે. રજનીકાંતની પેલી બહુ ગાજેલી 'શિવાજી-ધ બોસ'ના મેકર પણ શંકર જ. આજે શંકરને યાદ કરવાનું કારણ એ છે કે એમની નવીનક્કોર ત્રિભાષી ફિલ્મ 'આઈ' (આંખ કે માતાના અર્થમાં નહીં, પણ અંગ્રેજીનો મૂળાક્ષર આઈ) આવતા અઠવાડિયે ઉત્તરાણ નિમિત્તે ભારતભરનાં થિયેટરોમાં ચગવાની છે.
અઢી-ત્રણ વર્ષથી બની રહેલી 'આઈ' ફરતે શંકરે ગુપ્તતાની તોતિંગ દીવાલો ઊભી કરીને એટલું મોટું રહસ્ય ઊભું કરી દીધું હતું કે જાણે કોઈ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ન હોય. શંકરની આ ખાસિયત છે. દર વખતે ફિલ્મનું પ્રમોશન કાયદેસર શરૂ ન થાય તે પહેલાં એ મગનું નામ મરી ન પાડે. જોકે, રહેમાનના સંગીતવાળી 'આઈ'નો પ્રોમો ઓફિશિયલી રિલીઝ થવાનો હતો એના એક અઠવાડિયા પહેલાં જ તે લીક થઈને સોશિયલ મીડિયા પર તરખાટ મચાવવા લાગ્યો હતો. પ્રોમોમાં વિક્રમનો લુક જોઈને લોકો ચકિત થઈ ગયા હતા. (વિક્રમને આપણે છેલ્લે મણિરત્નમે ડિરેક્ટ કરેલી ઐશ્વર્યા-અભિષેકવાળી 'રાવણ'માં હીરો તરીકે જોયો હતો.) 'આઈ' એક રોમેન્ટિક થ્રિલર છે, જેમાં રૂડોરૂપાળો વિક્રમ ભયાનક જનાવરમાં પરિવર્તિત થતો દેખાય છે. 'આઈ'ની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તૈયાર કરનાર ઓસ્ટ્રેલિયાની રાઇઝિંગ સન પિક્ચર્સ નામની વીએફએક્સ કંપની ભૂતકાળમાં હેરી પોટરની ફિલ્મો માટે કામ કરી ચૂકી છે. જો બધું સમુંસૂતરું પાર પડયું તો 'આઈ' ઘણાં નવાં ર્કીિતમાનો સ્થાપશે એવી એક હવા બની છે.


શંકરનું નામ બિગ બજેટ ફિલ્મોનું સમાનાર્થી બની ગયું છે. રિજનલ હોવા છતાં એમની ફિલ્મો સો-દોઢસો કરોડના ખર્ચે બની હોય છે. શંકર પોતે ભારતના સૌથી મોંઘા ડિરેક્ટર ગણાય છે. એક ફિલ્મ ડિરેક્ટ કરવાના એ કરોડો રૂપિયાની ફી ચાર્જ કરે છે. ઓડિયન્સની નાડ પારખતાં શંકર જેવું બહુ ઓછા ડિરેક્ટરોને આવડે છે. એમની ફિલ્મો એટલે પૈસા વસૂલ એન્ટરટેઇનમેન્ટની ગેરંટી. મોટાભાગની ફિલ્મોમાં એ કંઈક ને કંઈક તો ગતકડું યા તો 'હૂક પોઇન્ટ' મૂકે જ કે જેનાથી ઓડિયન્સ ખેંચાઈ આવે. દાખલા તરીકે પોતાની પહેલી જ ફિલ્મ 'જેન્ટલમેન'માં પેલું 'ચિક પકુ રૈલે' ગીત હતું જેમાં ઓડિયન્સે પ્રભુ દેવાના અજબગજબના ડાન્સ મૂવ્ઝ પહેલી વાર જોયા. 'ઇન્ડિયન'માં કમલ હાસનનો વૃદ્ધ માણસનો ગેટઅપ લોકો આજેય યાદ કરે છે. 'રોબોટ'માં હોલિવૂડ સામે વટથી ઊભી રહી શકે એવી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ હતી.
વાત માત્ર ગિમિક્સ પર અટકતી નથી. શંકરની ફિલ્મોમાં સરસ સ્ટોરીટેલિંગ હોય, સુંદર અભિનય હોય, સહેજ પણ બોર ન થવાય એવી ગતિ હોય અને ક્વચિત્ મેસેજ પણ હોય. રોબિનહૂડ-રાસ્કલાના કોમ્બિનેશન જેવા એમના હીરો મોટેભાગે વિદ્રોહી હોય જે સલીમ-જાવેદવાળા અમિતાભ બચ્ચનની જેમ એંગ્રી યંગમેન બનીને કાનૂનને પોતાના હાથમાં લઈને હંગામો મચાવતા હોય. ટૂંકમાં, શંકરની ફિલ્મોમાં સફળ થવાનો તમામ કોમર્શિયલ મસાલો મોજૂદ હોય. તેમણે ડિરેક્ટ કરેલી ૧૧માંથી સાત ફિલ્મો સુપરડુપર હિટ થઈ છે. તોસ્તાનછાપ બજેટ ધરાવતી એમની ફિલ્મો એટલી બધી કમાણી કરે છે કે પ્રોડયુસરને બખ્ખાં થઈ જાય. શંકરે પોતે કેવળ પ્રોડયુસર તરીકે કેટલીક ફિલ્મો બનાવી છે.
શંકરની ઇમેજ એવી બની ગઈ છે કે ઓડિયન્સને હવે એમની ફિલ્મો પાસેથી ભવ્યતાથી ઓછું કશું ખપતું નથી. બોલિવૂડના ડિરેક્ટરોએ જ્યારે માચુ-પિચુ (પેરુમાં આવેલી અદ્ભુત પર્વતમાળા)નું નામ પણ સાંભળ્યું નહોતું ત્યારે શંકર ઐશ્વર્યા પર અહીં'જીન્સ'નું આખું ગીત શૂટ કરી આવ્યા હતા. આવાં તો કેટલાંય લોકેશનનાં ઠેકાણાં શંકરે બોલિવૂડ સહિત ભારતભરના ડિરેક્ટરોને આપ્યાં છે. થિયેટરોમાં સામાન્યપણે નવી ફિલ્મનાં હીરો-હિરોઇનોનાં મસમોટાં કટ-આઉટ્સ મુકાતાં હોય છે. શંકર કદાચ ભારતના એકમાત્ર એવા ડિરેક્ટર છે, જેના ખુદનાં કટ-આઉટ્સ થિયેટરની બહાર મુકાય છે. સાચું-ખોટું રામ જાણે, પણ એક કથા એવી છે કે કમલ હાસનવાળી 'ઇન્ડિયન' ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારે અમુક થિયેટરોમાં આખા મહિનાના શોઝનું એડવાન્સ બુકિંગ થઈ ગયું હતું! (આ જ ફિલ્મમાં 'ટેલિફોન બૂથ મેં મચલને વાલી' જેવા ચક્રમ શબ્દોવાળું ગીત હતું, યાદ છે?)


મહામહેનતે મિકેનિકલ એન્જિનિયર બનેલા શંકરે શરૂઆત તો એક કંપનીમાં ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝર તરીકે કરી હતી. તેમની ખ્વાહિશ એક્ટર બનવાની હતી. એક-બે ફિલ્મોમાં એમણે ટચૂકડા રોલ્સ પણ કર્યા છે. બન્યું એવું કે એક વાર એસ.એ. ચંદ્રશેખર નામના મોટા ડિરેક્ટરે શંકરે લિખિત-દિગ્દર્શિત નાટક આકસ્મિકપણે જોઈ લીધું. એમણે શંકરને પોતાના આસિસ્ટન્ટ તરીકે જોબ ઓફર કરી. ચંદ્રશેખરના સહાયક નિર્દેશક તરીકે શંકરે ૧૫ ફિલ્મો ડિરેક્ટ કરી. એમાંની બે ફિલ્મો કુંજુમોન નામના પ્રોડયુસરની હતી. કુંજુમોનને પોતાની એક મેગા-બજેટ ફિલ્મ માટે નવા ડિરેક્ટરની જરૂર પડી. એણે ઉત્સાહ અને ટેલેન્ટથી છલકાતા શંકરને આ જવાબદારી સોંપી. શંકર તે વખતે પૂરાં ત્રીસ વર્ષના પણ નહોતા થયા. આ ફિલ્મ એટલે 'જેન્ટલમેન'. બસ, પછી જે કંઈ બન્યું એ જગજાહેર છે.
શંકરનાં કિરદારો ભલે લાર્જર-ધેન-લાઇફ રહ્યાં, પણ શંકર સ્વયં અસલી જિંદગીમાં લો-પ્રોફાઇલ માણસ છે. કોઈ નવી વ્યક્તિ એને ફોન કરે અથવા મળે તો 'હાઈ, આઈ એમ શંકર, ધ ડિરેક્ટર' કહીને વાત શરૂ કરશે. સેટ પર એ બેઝબોલ કેપ અને ડાર્ક ગોગલ્સ પહેરીને ચૂપચાપ પોતાનું કામ કરતા હોય. કોઈ રાડારાડી નહીં, કોઈ ટેન્શન નહીં. કલાકારો અને ટેક્નિશિયનોને હેન્ડલ કરવાનું કામ ઘણું કરીને પોતાના આસિસ્ટન્ટ્સને સોંપી દેશે. એમને મળેલા 'ભારતના જેમ્સ કેમરોન'ના બિરુદનો ઉલ્લેખ કરશો તો સંકોચાઈને કહેશે કે મને ઓલરેડી જેટલું અટેન્શન મળી રહ્યું છે તે પણ મારાથી હેન્ડલ થતું નથી ત્યાં તમે મારા પર નવાં નવાં લેબલ શું કામ ચોંટાડો છો, ભાઈ! (જેમ્સ કેમરોન એટલે 'ટાઇટેનિક' અને 'અવતાર' જેવી યાદગાર ફિલ્મો બનાવનાર હોલિવૂડના ફિલ્મમેકર.)


'આઈ'ના હીરો વિક્રમ વિશે શંકર પાસે પ્રશંસા સિવાય બીજું કશું નથી. એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, "વિક્રમ તદ્દન પાગલ એક્ટર છે. 'આઈ'નું મેકિંગ અઢી-ત્રણ વર્ષ ચાલ્યું હતું અને આ ફિલ્મમાં પોતાના કેરેક્ટર માટે વિક્રમે જે કક્ષાની મહેનત કરી છે તે જોઈને હું તો નવાઈ પામી ગયો હતો. એક તબક્કે એણે બોડી-બિલ્ડર બનવાનું હતું. તે માટે દોઢ-બે વર્ષ સુધી એણે રોજના ત્રણથી પાંચ કલાક જોરદાર એક્સરસાઇઝ કરી. આ જ ફિલ્મમાં પછી એણે જનાવરના ગેટઅપમાં સીન કરવાના હતા. એણે મને સામેથી કહ્યું કે હવે હું વજન ઉતારીશ. અમને સૌને એની હેલ્થની બહુ ફિકર હતી, પણ ફિટનેસ એક્સપર્ટ્સના ગાઇડન્સ હેઠળ એ ફરી મચી પડયો ને ૨૦થી ૨૫ કિલો વજન ઘટાડી નાખ્યું. જનાવરના સ્વાંગમાં એણે ખાસ પ્રકારનો મેકઅપ કરવો પડતો હતો. વાળને લીધેે મેકઅપમાં અવરોધ ઊભો થતો હતો તો કોઈ દલીલબાજી કર્યા વગર એણે ટકો કરાવી નાખ્યો. સ્ક્રીન પર ટકો દેખાવાનો હોય તો એક્ટર માથું મૂંડાવે એ તો સમજાય એવું છે, પણ સ્ક્રીન પર ટકો દેખાવાનો ન હોય છતાંય વાળ ઉતારી નાખવા માટે વિક્રમની કક્ષાનું ડેડિકેશન જોઈએ."
'આઈ'ના મેકિંગ દરમિયાન શંકરે બીજી ત્રણ સ્ક્રિપ્ટ તૈયાર કરી નાખી છે. સંભવતઃ એમાંની એક 'રોબોટ પાર્ટ ટુ' છે. એમાં શંકર રજનીકાંતની સામે આમિર ખાનને વિલન તરીકે લેવા માગે છે તેવા રિપોર્ટ્સ છે. જો ખરેખર આવું થાય તો તો જલસા જ જલસા. ટચવૂડ!
શો-સ્ટોપર

જો શંકર અને આમિર હાથ મિલાવે તો ભારતને 'અવતાર' કક્ષાની સર્વપ્રથમ ફિલ્મ મળે!
- રામગોપાલ વર્મા

Sunday, January 4, 2015

મલ્ટિપ્લેક્સ : લાફ... ક્રાય... ડ્રામા!

Sandesh - Sanskar Purti - 4 Jan 2014
મલ્ટિપ્લેક્સ 
એલ-સી-ડી અર્થાત લાફ-ક્રાય-ડ્રામા! સીન એવો બનાવવાનો કે એમાં કાં તો ઓડિયન્સને ખૂબ હસવું આવવું જોઈએ અથવા રડવું આવવું જોઈએ યા તો કશોક મોટો ડ્રામા બનવો જોઈએ. આ ત્રણમાંથી એકેય વસ્તુ બનતી ન હોય તો સીન રાખવાનો જ નહીં! આ છે 'પીકે', 'થ્રી ઈડિયટ્સ' અને 'લગે રહો મુુન્નાભાઈ' જેવી સુપરડુપર હિટ ફિલ્મોના લેખક અભિજાત જોશીની મેજિક ફોર્મ્યુલા!


થેન્ક ગોડ! 'ક્વીન' જેવી નિતાંત સુંદર ફિલ્મથી પ્રારંભ થયેલા ૨૦૧૪ના વર્ષનો અંત 'પીકે' જેવી અફલાતૂન ફિલ્મથી થયો. 'પીકે' રિલીઝ થઈ ત્યાં સુધીમાં ઉત્તેજના, અટકળ અને ઈંતજાર આ ત્રણેય તત્ત્વો એટલાં તીવ્ર થઈ ચૂક્યાં હતાં કે જાણે હિંદુસ્તાનમાં કોઈ મોટી સિનેમેટિક ઘટના આકાર લઈ રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. તે વખતે કોઈએ કલ્પના સુધ્ધાં કરી હતી ખરી કે 'પીકે' દેશમાં આટલી મોટી બબાલ ખડી કરી દેશે! ફિલ્મ રિલીઝ થઈ પછી શરૂઆતના દિવસો તો શાંતિથી પસાર થયા, પણ પછી ધીમે ધીમે વિવાદ વકરતો ગયો.
ખેર, આપણી આસપાસ 'પીકે'ના વિવાદનો કાગારોળ એટલો તીવ્ર બની ચૂક્યો છે કે તેમાં નવું કશું ઉમેરણ કરવું નથી. દેશના કરોડો લોકો ઓલરેડી આ ફિલ્મ માણી ચૂક્યા છે અને ભરપેટ વખાણી ચૂક્યા છે. આપણે આ લેખમાં ફક્ત ફિલ્મનાં ક્રિયેટિવ પાસાં પર ફોકસ કરીએ. વિવાદ વકરે તેની બહુ પહેલાં 'પીકે'ના લેખક અભિજાત જોશીએ ફિલ્મ વિશે મસ્તમજાની વાતો કરી હતી. તેને રસપૂર્વક માણીએ.
"સૌથી પહેલાં 'પીકે'નો આઇડિયા ૨૦૦૪માં 'લગે રહો મુન્નાભાઈ' લખાઈ રહી હતી તે દરમિયાન આવ્યો હતો," અભિજાત જોશી વાત માંડે છે, "તે વખતે પૂરેપૂરી સ્પષ્ટતા નહોતી, પણ હું અને રાજુ બન્ને આ આઇડિયાથી એક્સાઇટેડ હતા. તે વખતે વિચારેલું કે ક્યારેક ભવિષ્યમાં આના પર કામ કરીશું. મુન્નાભાઈ પછી જોકે 'થ્રી ઇડિયટ્સ' આવી ગઈ. 'થ્રી ઇડિયટ્સ'નું કામ પૂરું થતાં જ થયું કે ચલો, વો જો આઈડિયા થા ઉસ પર ટ્રાય કરતે હૈં."
અમદાવાદમાં જન્મેલા, ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણેલા અને ૨૦૦૩થી ઓહાયો (અમેરિકા)ની ઓટરબીન કોલેજમાં પ્રોફેસર તરીકે પ્રવૃત્ત એવા ૪૫ વર્ષીય અભિજાત જોશીની ગણના આજે ભારતના સર્વોત્તમ સ્ક્રીનપ્લે-રાઈટર્સમાં થાય છે, પણ આ હકીકતની સહેજ અમથી સભાનતા પણ તેમની વાતો કે વર્તનમાં ક્યારેય ડોકાતા નથી. 'પીકે' અભિજાત જોશી અને રાજકુમાર હિરાણીએ સંયુક્તપણે લખી છે - 'લગે રહો...' અને 'થ્રી ઈડિયટ્સ'ની જેમ. પોતાની રાઈટિંગ પ્રોસેસ વિશે વાત કરતાં અભિજાત કહે છેઃ
"સમજોને કે ડિસેમ્બર ૨૦૦૯થી અમે 'પીકે' પર કામ કરવાનો શુભારંભ કર્યો. સૌથી પહેલાં તો અમારે એ ચકાસવું હતું કે જે આઇડિયા પાંચેક વર્ષ પહેલાં આવ્યો હતો તે હજુ પણ અમને એકસાઈટ કરી શકે છે કે કેમ. તે વિચારમાં અમને જાગતાં-સૂતાં ચોવીસે કલાક રમમાણ રાખી શકવાનુ કૌવત છે કે કેમ. આથી પહેલો એક મહિનો તો મેં અને રાજુએ 'પીકે'વાળા આઇડિયા પર ફક્ત વાતો કરી. અમને સમજાયું કે આ વિષય માટે અમે બન્ને સ્ટ્રોંગલી ફીલ કરીએ છીએ ને આ વાર્તા તો કહેવી જ છે."
અગાઉની ફિલ્મોની માફક આ વખતે પણ શરૂઆત તો કેવળ એક કેન્દ્રીય વિચાર, યુનિક આઈડિયા યા તો થીમથી જ થઈ હતી. પછી તે થીમને કેન્દ્રમાં રાખીને બન્નેની મૌખિક ચર્ચા ચાલતી રહી. જે કંઈક વાંચ્યું, સાંભળ્યું કે અનુભવ્યું હોય તે એકબીજા સાથે શેેર થતું રહ્યું. અભિજાત અને રાજુમાં એક સરસ વાત કોમન છે. બન્ને પોતપોતાના પિતાજીથી ખૂબ પ્રભાવિત છે અને તેમની સાથે ઊંડાણપૂર્વક સંવાદ સાધી શકે છે. પ્રોફેસર જયંત જોશી પાસે સાહિત્ય, કળા અને સમાજજીવનની ઊંડી સમજ છે, તો દેશના વિભાજન વખતે સિંધથી હિજરત કરીને હિંદુસ્તાન આવેલા રાજુના પિતા સુરેશ હિરાણી પાસે અનુભવોની સમૃદ્ધિ ઉપરાંત કમાલનો તાર્કિક દૃષ્ટિકોણ પણ છે. આ બન્નેના ઇનપુટ્સ લેખકોને ખૂબ ઉપયોગી બન્યા.
Abhijat Joshi and Rajkumar Hirani

"આ બધું એક-બે મહિના ચાલ્યું," અભિજાત વાત સાંધે છે, "એપ્રિલ ૨૦૧૦માં અમને પૃથ્વી પર આવી ચડેલા પરગ્રહવાસીનું કેરેક્ટર સૂઝ્યું. અમને થયું કે આ એક એવું કિરદાર છે, જેનો ઉપયોગ કરીને અમારે જે વાત કહેવી છે તે કહી શકીશું. આમ, પહેલાં થીમ વિશે સ્પષ્ટ થયા, ત્યારબાદ કેરેક્ટર મળ્યું ને બ્રોડ પ્લોટ ઘડાયો. ત્રીજો તબક્કો હતો, રેન્ડમ સીન્સ લખવાનો. અમે વિચારીએ કે આ પરગ્રહવાસીના પાત્રને અમુક સ્થિતિમાં મૂકીએ તો શું થાય. અમે કલ્પના કરી કરીને દૃશ્યો લખતાં ગયા. આ સીન્સ સ્ટોરીમાં ક્યાં ફિટ થશે એની તે વખતે અમને ખબર ન હોય. મૂળ વાર્તા એવી હતી કે યાનનું ફ્યુઅલ ખતમ થઈ જતાં એક પરગ્રહવાસીએ પૃથ્વી પર ઊતરવું પડે છે. જો એને યુરેનિયમ મળે તો જ યાન ફરી ચાલુ થઈ શકે તેમ છે. એ પૃથ્વીવાસીઓની મદદ માગે છે. લોકો એને કહે છે કે ભાઈ, તને તો ભગવાન જ મદદ કરી શકે તેમ છે. આથી પેલો પરગ્રહવાસી પછી ભગવાનની શોધમાં નીકળે છે. આ મૂળ વાર્તામાં પછી જોકે ઘણાં ફેરફાર કર્યા."
અભિજાત અને રાજુએ સ્ક્રીનપ્લે લખવાની એક અકસીર ફોર્મ્યુલા વિકસાવી છે. તે છે એલ-સી-ડી અર્થાત લાફ-ક્રાય-ડ્રામા! સીન એવો બનાવવાનો કે એમાં કાં તો ઓડિયન્સને ખૂબ હસવું આવવું જોઈએ અથવા રડવું આવવું જોઈએ યા તો કશોક મોટો ડ્રામા બનવો જોઈએ. આ ત્રણમાંથી એકેય વસ્તુ બનતી ન હોય તો સીન રાખવાનો જ નહીં!
અભિજાત કહે છે, "તમે જોજો કે અમારી ફિલ્મોમાં માત્ર માહિતી આપતાં હોય તેવાં દૃશ્યો ભાગ્યે જ હશે. અલબત્ત, વાર્તાને આગળ વધારવા માટે આ પ્રકારના લિન્ક સીન ક્યારેક જરૂરી બની જતા હોય છે, પણ આવા સીનની આગળપાછળ સૂઝપૂર્વક પેડિંગ થવું જોઈએ. કેવળ ઈન્ફર્મેશન કે એક્સપોઝિશન (સમજૂતી, વર્ણન) આપતો સીન ફક્ત બે મિનિટનો હોય તો પણ એ બે મિનિટ પૂરતી ફિલ્મ મરી જાય છે. આવા પાંચ-છ શુષ્ક સીન આવી જાય તો નેરેટિવ બેસી જાય અને પછી એમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ થઈ જાય."
ઓડિયન્સને હસાવતાં, રડાવતાં કે ચોંકાવી દેતા નમૂનેદાર સીન લખવા કેટલા કઠિન હોય છે એ તો અનુભવે જ સમજાય. અભિજાતના દિમાગમાં કેવી રીતે આવે છે આવાં અફલાતૂન દૃશ્યો? "હું અને રાજુ ચાલતાં ચાલતાં ખૂબ વાતો કરીએ, સતત વાતો કરીએ," અભિજાત હસે છે, "વોક લેતી વખતે શરીરમાં એક્ઝેક્ટલી કેવી કેમિકલ પ્રોસેસ થતી હશે એની તો ખબર નથી, પણ પગ ચાલતાં હોય ત્યારે દિમાગમાં આઇડિયાઝ સારા આવે છે! કોઈ સીન બરાબર બેસતો ન હોય તો જ્યાં સુધી તે પૂરેપૂરો ક્રેક ન થાય ત્યાં સુધી અમે એનો તંત છોડતા નથી. મારા માટે સીન લોક થવો તે બહુ મોટી વાત છે."
આ રીતે ૩૦થી ૪૦ સીન લોક થાય એટલે સમજોને કે ઇન્ટરવલ પહેલાંનો કાચો મસાલો તૈયાર થઈ ગયો. પછી આ તમામ સીનને વ્યવસ્થિત ક્રમમાં મૂકીને નવેસરથી ચકાસવામાં આવે. વાર્તાને સુરેખ બનાવવા માટે લોક થઈ ગયેલા સીનને ખોલીને નવેસરથી મઠારવોય પડે. આ રીતે ૧૩ મહિનાની જબરદસ્ત મહેનત પછી 'પીકે'ની આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ. ઓગસ્ટ ૨૦૧૧માં આમિર ખાનને નેરેશન આપવામાં આવ્યું.

"આમિર એવો એક્ટર છે જેને તમારા પાસ્ટ રેકોર્ડ સાથે કોઈ મતલબ નથી, પછી એ ગમે તેટલો ભવ્ય કેમ ન હોય!" અભિજાત સ્મિતપૂર્વક કહે છે, "એને તો તમે હવે શું લાવ્યા છો ને કેવું લાવ્યા છો તેમાં રસ હોય. એણે નેરેશન સાંભળ્યું. ફર્સ્ટ હાફ એને બહુ ગમ્યો, પણ સેકન્ડ હાફમાં હજુ વધારે કામ કરવું પડશે એવું તેને લાગ્યું. અમે થોડો સમય માગ્યો. સેકન્ડ હાફમાં જે કંઈ કચાશ હશે તે ઝડપથી દૂર કરી શકીશું એવી અમને ખાતરી હતી. નવેમ્બર, ૨૦૧૧માં નવી સ્ક્રિપ્ટ સાથે ફરી આમિરને મળ્યા. આ વખતે આમિર બહુ જ ખુશ થયો અને એણે દિલથી સ્ક્રિપ્ટની તારીફ કરી."
હવેનો તબક્કો હતો સ્ક્રિપ્ટને વધારે સમૃદ્ધ, વધારે ધારદાર, વધારે અસરકારક બનાવવાનો... અને આ પ્રોસેસ ભયંકર લાંબી ચાલી,લગભગ બે-અઢી વર્ષ! સો કરતાં વધારે ડ્રાફ્ટ્સ લખાયા. 'પીકે'ને અભિજાત અમસ્તા જ તેમની સૌથી કઠિન ફિલ્મ નથી કહેતા. આ સમયગાળામાં પરેશ રાવળ-અક્ષયકુમારવાળી 'ઓહ માય ગોડ' પણ આવી ગઈ. આ ફિલ્મમાં પણ ભગવાન અને ધાર્મિકતાના સંદર્ભમાં તીખા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. 'પીકે'ના વિષયનું જે અનોખાપણું હતું તે 'ઓહ માય ગોડ'ને કારણે જોખમાતું હતું, પણ 'પીકે'ની ટીમ પોતાની સ્ક્રિપ્ટ પર કોન્ફિડન્ટ હતી. શૂટિંગ શરૂ થયું અને આખરે જે મસ્તમજાની ફિલ્મ બની તે આપણી સામે છે. ફિલ્મ લક્ષ્યવેધ કરવાને બદલે નિરર્થક વિવાદ પેદા કરી નાખશે એવું તો 'પીકે'ની ક્રિયેટિવ ટીમના મનમાંય ક્યાંથી હોય. ખેર...
આમિર ખાન એક એવો અદાકાર છે જેનામાં વાતને વધારે પ્રભાવશાળી બનાવી શકવાનું કૌવત છે. "એના દિમાગમાં આખેઆખી સ્ક્રિપ્ટ જ નહીં, પણ તેમાં જેે ક્રમિક ફેરફારો થયા હોય તે બધું જ રીતસર છપાઈ જાય છે," અભિજાત કહે છે, "એક જ આઈડિયા પર વર્ષો સુધી કામ કરવાને કારણે ક્યારેક એવું બને કે અમે લેખકો અમારી ઓબ્જેક્ટિવિટી કોઈક સીન પૂરતા કદાચ ગુમાવી બેસીએ, પણ આમિર અમને ઓરિજિનલ સૂરથી સહેજ પણ ચસકવા ન દે. 'પીકે'માં એણે પોતાની તમામ ઈન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીઝ અને પચીસ વર્ષોનો અનુભવ કામે લગાડી દીધો છે."
'કરીબ' અને 'મિશન કશ્મીર'થી ફિલ્મયાત્રા શરૂ કરનાર અભિજાતની બે ઔર ફિલ્મો આવી રહી છે- 'વઝીર' અને 'બ્રોકન હોર્સીસ'.બે ચેસ પ્લેયર્સની વાત કરતી 'વઝીર' મૂળ હોલિવૂડ માટે કન્સીવ થઈ હતી. 'સિક્સ્ટી ફોર સ્કવેર્સ' ઓરિજિનલ ટાઇટલ હતું. ડસ્ટિન હોફમેન અને રોબિન વિલિયમ્સ જેવા ટોચના એક્ટરોએ એમાં રસ પણ દેખાડયો હતો, પણ કોઈક કારણસર આ ફિલ્મ બની ન શકી. તે હવે 'વઝીર' નામે હિન્દીમાં બની છે, જેમાં અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરે કામ કર્યું છે. વિધુ વિનોદ ચોપડાએ હોલિવૂડ માટે ફિલ્મ બનાવવાની દાયકાઓ જૂની મંશા આખરે 'બ્રોકન હોર્સીસ'થી પૂરી કરી છે. અમેરિકન-મેક્સિકન બોર્ડર પર આકાર લેતી આ મેઈનસ્ટ્રીમ હોલિવૂડ ફિલ્મમાં તમને 'પરિંદા'ના શેડ્ઝ દેખાશે.
અભિજાત છેલ્લે કહે છે, "ફિલ્મ રાઈટર તરીકેના મારા આટલાં વર્ષોના અનુભવો પરથી હું બે વસ્તુ શીખ્યો છું - સ્ટિક ટુ યોર કન્વિક્શન્સ. તમારે જે કહેવું છે તે જ કહો. બીજાઓને કેવું લાગશે તેની ફિકર ન કરો... એન્ડ નેવર ગિવ અપ! જ્યાં સુધી સીન કે સ્ક્રિપ્ટ ક્રેક ન થાય ત્યાં સુધી એકધારા મચ્યા રહો...!" 
                                             0 0 0 

Wednesday, December 24, 2014

ટેક ઓફ : કોઈનાં લાડકવાયાં

Sandesh - Ardh Saptahik Purti - 24 December 2014
ટેક ઓફ 
સંતાન નાનપણમાં મૃત્યુ પામ્યું હોય, એની સાથે પ્રમાણમાં ખૂબ ઓછો સમય ગાળ્યો હોય છતાંય એના પ્રત્યેનો પ્રેમ ગજબની તીવ્રતા શી રીતે ધારણ કરી લેતો હશે? 


પેશાવરની ઘટનાએ એટલો મોટો ઘા કર્યો છે આપણાં સૌનાં દિલ પર કે જખમ પર રૂઝ આવતા બહુ વાર લાગવાની છે. એક પછી એક ૧૩૨ માસૂમ જીવ રહેંસાઈ રહ્યા હશે તે બિહામણી ક્ષણોનું સત્ય કેવી રીતે પકડી શકાય? પેશાવરની શાળામાં જે બન્યું તે માનવસર્જિત હતું, પણ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ ધરતીકંપના તાંડવને લીધે ગુજરાતની કેટલીક શાળાઓમાં જે બનેલું તે પ્રકૃતિનું પાપ હતું. પ્રજાસત્તાક દિને સ્કૂલમાં તિરંગો ઝંડો લહેરાવવા ગયેલાં કેટલાંય માસૂમ બાળકો ક્યારેય પાછાં આવ્યાં નહીં. વાત પેશાવરની હોય કે અંજારની, બે કાંઠે વહેતી વેદનાના ઘૂઘવાટમાં તર્ક થીજી જાય ત્યારે ક્યારેક કવિતાની કૂંપળ જન્મી જતી હોય છે. કૃષ્ણ દવેએ ગુજરાતના ધરતીકંપમાં જીવ ખોનાર સ્કૂલી બચ્ચાંઓ માટે 'વંદે માતરમ્' નામનું અત્યંત હૃદયસ્પર્શી કાવ્ય લખ્યું હતું. તેના કેટલાક અંશોને પાકિસ્તાની હત્યાકાંડના સંદર્ભમાં પણ જોઈ શકાય છે. કવિ લખે છે -
હમણાં આવું છું એમ કહીને ગયેલી આ પગલીના વાયદાનું શું?
અધખુલ્લી પાંપણ પર છાપી નાખેલ તારા ખરબચડા કાયદાનું શું?
                 ઝાકળને જોખવામાં ફૂલની જગ્યાએ કાંઈ પથ્થરના હોય નહીં તોલ!
મનગમતા તડકાને પહેરીને છોડ બધા કેવા થયેલા તૈયાર!
કોની એ કાળમીંઢ આંખોમાં ખટક્યો આ લીલપનો આખો તહેવાર?
                   ખેતરની ચીસ એ તો ઢેફું થઈ જાય આંખ સામે વઢાઈ ગયો મોલ!
આંગળીએ વળગેલી ધૂળ કહે અહીંયાંથી મુઠ્ઠી ભરીને લઈ જાવને,
સન્નાટો તોડીને કૂંપળ ફૂટે ને અહીં એવું એકાદ ગીત ગાવને!
                   શોધી આપોને હજુ હમણાં ખોવાયા મારા માટીમાં રમવાના કોલ!
કહે છે ને કે નાનકડી કોફિનનો ભાર સૌથી વધારે લાગે છે. મૃત સંતાનના શબનો બોજ બાપ કેમેય કરીને જીરવી શકતો નથી. નિકોલસ ગોર્ડન નામના કવિનો પ્રલાપ જુઓઃ
લાગે છે, અનહદ પીડાને કારણે મારું હૃદય ધડકતું બંધ થઈ જશે.
તું મને એટલો બધો યાદ આવે છે, મારા બચ્ચા...
કે તારી સ્મૃતિનો અંધકાર મારો જીવ ખેંચી લેશે.
મને ખબર છે કે તું હવે ક્યારેય પાછો નહીં આવે,
પણ તોય તારા શરીરને અળગું કરી શકતો નથી.
તારા પર વહાવેલું સઘળું વાત્સલ્ય વ્યર્થ ગયું,
ઓહ, મારું આખું જીવન વેડફાયું.

તારાથી દૂર થવા માગું છું, પણ કેવી રીતે થાઉં?
મારા વહાલા બચ્ચા, ફરી મારી પાસે આવ.
તું જ મારો સૂરજ ને તું જ મારી વર્ષા,
મારું સુખ તું, મારું સર્વસ્વ તું,

મારી શક્તિનો સ્રોત તું,
લાગે છે કે આ વેદના મારો જીવ લઈ લેશે.
મારા વહાલા બચ્ચા, ફરી મારી પાસે ક્યારે આવશે?
સંતાન નાનપણમાં મૃત્યુ પામ્યું હોય, એની સાથે પ્રમાણમાં ખૂબ ઓછો સમય ગાળ્યો હોય છતાંય એના પ્રત્યેનો પ્રેમ ગજબની તીવ્રતા શી રીતે ધારણ કરી લેતો હશે? મેરી યાર્નેલ પોતાના મૃત્યુ પામેલા સંતાનને ઉદ્દેશીને કહે છે -
જિંદગી હજુ તો માંડ શરૂ થઈ હતી,
હજુ તો જગતમાં સ્થાન બનાવવાનું હતું બાકી,
કેટલું બધું કરી શક્યો હોત તું,
પણ તને સમય જ ન મળ્યો,
પણ બેટા, તેં ભરપૂર પ્રેમ જરૂર મેળવ્યો.

ન તેં દુનિયા જોઈ, ન પ્રકૃતિની સુંદરતા,
હજુ ઘરની બહાર પગલાં જ ક્યાં પાડયાં હતાં તેં?
ન તેં ગીત ગાયાં, ન મન મૂકીને નાચ્યો,
પણ બેટા, તેં ભરપૂર પ્રેમ જરૂર મેળવ્યો.

દીકરા, જે વધુ જીવે છે એણે વધુ સહેવું પડે છે,

એ રીતે તું ભાગ્યશાળી ખરો.
ન તેં નફરત જોઈ, ન આંસુ, ન ક્રોધ જોયો, ન વિશ્વાસઘાત,
તારી નાનકડી જિંદગીમાં તેં જોયો પ્રેમ, પ્રેમ અને કેવળ પ્રેમ...
સંતાન વહેલું જતું રહ્યું એટલે જીવનના કારમા સંઘાતોથી બચી ગયું એમ વિચારતી મા કે બાપ જરૂર જાણતાં હોય છે કે આ તો પોતાની જાતને છળવાની વાત થઈ, પણ સત્ય સ્વીકારવું પડે છે. ગમે તેમ કરીને જીરવવું પડે છે, જીવવું પડે છે. સ્વજનો સાંત્વન આપવાની કોશિશ કરે છે એમ કહીને કે, સંતાન ભગવાન પાસેથી અમુક જ વર્ષો લઈને આવ્યું હતું, એ વર્ષો પૂરાં થઈ ગયાં એટલે આપણને છોડીને પાછું ભગવાન પાસે જતું રહ્યું. માણસ માત્ર આખરે તો પ્રભુનું જ સંતાન છેને! એક બહુ સુંદર અંગ્રેજી કાવ્ય છે જેનાં એકાધિક વર્ઝન બન્યાં છે. તેમાં ઈશ્વર અને મનુષ્ય વચ્ચે સામસામા સંવાદ થાય છે. સાંભળોઃ



પ્રભુએ કહ્યું, લે, લઈ જા મારું બાળક.
પણ થોડા સમય માટે જ હં,
કાયમ માટે નહીં.
તારી પાસે રહે એટલી વાર ખૂબ વહાલ કરજે એને.
એ વિદાય લે ત્યારે શોકથી રડી લેજે.
એ તારી પાસે છ-સાત વર્ષ રહે
કે વીસ-બાવીસ વર્ષ પણ રહે.
પણ જ્યાં સુધી એને પાછું ન બોલાવું હું,
એની હૃદયપૂર્વક સંભાળ રાખીશ તું?
એના હોવા માત્રથી પુલકિત થઈ જઈશ તું.
ભલે રહે એ થોડો સમય
એની યાદોથી સમૃદ્ધ બની જઈશ તું.
આ સ્મૃતિ જ પછી બનશે તારા દર્દની દવા.
એ કાયમ તારી પાસે જ રહેશે એવું કોઈ વચન આપતો નથી તને.
પણ ત્યાં નીચે મૃત્યુલોકમાં એણે કેટલાક પાઠ છે શીખવાના.
ઇચ્છું છું હું કે એ તારી પાસે રહીને શીખે.
મેં ખૂંદી નાખ્યો આખો સંસાર.
જોયું, કોણ એને સારામાં સારી રીતે
શીખવી શકે તેમ છે જિંદગીના પાઠ?
અને મેં પસંદગીનો કળશ ઢોળ્યો તારા પર.
તો શું તું એના પર વરસાવી શકીશ પ્રેમ લગાતાર?
એ વિદાય લેશે ત્યારે 'મારો પ્રેમ વેડફાઈ ગયો'
એવું તો નહીં કહેને?
હું એને મારી પાસે પાછું બોલાવી લઈશ ત્યારે
મને ધિક્કારશે તો નહીંને?
તારી સઘળી શરતો મને મંજૂર છે, પ્રભુ!
આ બાળક એટલું બધું સુખ આપવાનું છે કે
સઘળી પીડાનું જોખમ ઉઠાવવા તૈયાર છું હું...
હે પ્રભુ! એનું જીવ કરતાંય વધારે જતન કરીશ હું.
ભીંજવી દઈશ ભરપૂર વાત્સલ્યથી...
જેટલો સમય અમારી સાથે રહેશે
ધન્યતા ને સાર્થકતા અનુભવ કરીશું અમે.
પણ હે ઈશ્વર! તેં એને આટલો જલદી પાછો બોલાવી લીધો?
કેમ એને લેવા ફરિશ્તાને આટલો વહેલો મોકલી દીધો?
એને વિદાય આપવા અમે હજુ તૈયાર નહોતાં...
પણ હે પ્રભુ! જીવ શોષી લે એવી કારમી વેદનાની વચ્ચે પણ
અમે હિંમત ટકાવી રાખીશું
તેં જે શરતો મૂકી હતી
તેને યાદ કરવાની ને સ્વીકારવાની કોશિશ કરીશું...
પોતાની અણધારી વિદાયથી મા-બાપ ફાટી પડયાં છે એ શું ઉપરથી સંતાનો જોતાં નહીં હોય? એક અનામી કવિની અંગ્રેજી કવિતામાં સ્વર્ગે સિધાવેલો નાનકડો દીકરો પોતાની માને કહે છેઃ
મા, પ્લીઝ દુઃખી ના થા.
મનેય તારા વગર ગમતું નથી.
અહીં બધું બહુ સરસ છે,
પણ મને તારી ફિકર થયા કરે છે.
અહીં ફરિશ્તાઓ મારું ખૂબ ધ્યાન રાખે છે,
અહીં ફક્ત પ્રેમ જ પ્રેમ છે.
અહીં ક્યારેય એકલું એકલું લાગતું નથી,
મને ક્યારેય ડર લાગતો નથી,
કેમ કે ભગવાન અહીં મારી આસપાસ જ હોય છે હંમેશ.
હું રોજ ભગવાન સાથે ચાલવા જાઉં છું.
બહુ જ પ્રેમાળ અને ભલા છે એ.
મારી જરાય ચિંતા ન કરતી, મા,
સોનેરી સડક ઓળંગતી વખતે,
ભગવાન મારી આંગળી પકડે છે.
હું ક્યારેય રડતો નથી, કોઈને હેરાન કરતો નથી.
દાદાજીને રોજ મળું છું,
ખૂબ રમું છું, હસું છું, મજા કરું છું.
તું પ્રાર્થના કરતી હોય ત્યારે કાન દઈને તારા શબ્દો સાંભળું છું.
પ્લીઝ મા, ભગવાન પર નારાજ ન થા.

એ પણ મને બહુ વહાલ કરે છે.
ભલે હું તારી આસપાસ ન હોઉં

છતાંય હું તારી સાથે જ છું, હરહંમેશ...      

0 0 0 

Wednesday, December 17, 2014

Take off : ચોલી મેં દિલ હૈ મેરા


Sandesh - Ardh Saptahik Purti - 17 Dec 2014

મુંબઈની લો ક લ ટ્રેનમાં મધરાત સુધી ભટકયાં કરતી સડકછાપ વેશ્યા, ભીતરથી કુંઠિત થઈ ગયેલો યુવાન પોલીસ અને એક પશ્ચાદભૂમાં પડઘાતું ગીત... આજ જાને કી ઝીદ ના કરો!



વેશ્યા છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં મધરાત સુધી ભટકયાં કરતી લગભગ સડકછાપ રુપજિવીની. ઉંમર હશે પચ્ચીસેક વર્ષની આસપાસ. ચળકતાં ટાઈટ કપડાં. રુપને ઑર ભડકામણું કરી મૂકતો મેકઅપ. હાથમાં સસ્તું પર્સ ને એમાં જાતજાતનો સામાન. એનાં લટકાંમટકાં એવાં છે કે તરત બીજાઓનું ધ્યાન ખેંચાય. એની ભાષા અને આખું વ્યકિતત્ત્વ ખડબચડાં છે, પણ એનાં તોછડાં અલ્લડપણામાં એવું કશુંક તત્ત્વ છે જે તમને કહે છે કે આ માનવપ્રાણી પાસે શરીર સિવાય પણ કશુંક છે. આ કશુંક એટલે કદાચ એનું ડહાપણ અથવા તો જિંદગીનાં કુરુપ સત્યો વિશેની સમજદારી, જે કારમી ચોટ ખાઈ ખાઈને ટીપે ટીપે ભીતર જમા થઈ  છે. જેમે જેમ તમે એને ઓળખતા જાઓ છો તેમ તેમ તમે એને કેવળ માદા તરીકે નહીં, પણ એક સ્ત્રી તરીકે જોવા લાગો છે. એવી સ્ત્રી જેની પાસે એક ઘબકતું દિલ છે જેમાં લાગણીનાં  સ્પંદનો જાગી શકે છે, જેના દિમાગમાંથી વિચારોના તણખા ફૂટી શકે છે. આ સ્ત્રીનાં ભદ્દા બાહૃા આવરણની નીચે કમાલની માસૂમિયત છૂપાયેલી છે. તમને સમજાય છે કે આસપાસનું ભલે બધું ક્રૂર રીતે છેદાઈ-ભેદાઈ ગયું હોય, પણ નિર્દોષતાનો એક ટાપુ એની ભીતર સલામત રહી ગયો છે.

...અને એક યુવાન પોલીસ છે. ખડૂસ. પોલીસોની પ્રવર્તમાન ઈમેજમાં મિસફિટ કહેવાય એવો સાચુકલો. એ સતત સહમેલો રહે છે. એ ખૂલીને વાત ભલે ન કરી શકતો હોય, પણ તમને એટલું જરુર સમજાય છે કે આ માણસની અંદર કશુંક બહુ જ ખરાબ રીતે ધ્વસ્ત થઈ ગયું છે. કશાક કારમા સંઘાતને લીધે એ થીજી ગયો છે, કુંઠિત થઈ ગયો છે. આ એકલવાયા માણસની કઠોરતાની નીચે તમને એક પ્રકારની અસહાયતા સળવળતી દેખાય છે. તમે એ પણ જોઈ શકો છો કે એની ભીતર એક જ્વાળામુખી ભભૂકી રહૃાો છે જે કોઈ પણ ક્ષણે પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી શકે તેમ છે.

એક વેશ્યા અને એક પોલીસ - આવાં બે કિરદાર એક મોડી રાતે મુંબઈની લાસ્ટ લોકલમાં આકસ્મિકપણે અથડાઈ જાય તો એમની વચ્ચે શું બને? કેવી કેમિસ્ટ્રી સર્જાય? કેવી શકયતાઓ આકાર લે? આ પ્રશ્નોનો અફલાતૂન ઉત્તર એટલે સૌમ્ય જોશીનું લેટેસ્ટ ગુજરાતી નાટક "આજ જાને કી ઝીદ ના કરો". અમદાવાદ સ્થિત સૌમ્ય જોશી છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ માત્ર ગુજરાત તેમજ મુંબઈની ગુજરાતી રંગભૂમિને જ નહીં, બલ્કે  તેના ઓડિયન્સને પણ નવેસરથી ડિફાઈન કરવાનું કામ પ્રભાવશાળી રીતે અને છતાંય સહજતાપૂર્વક કરી રહૃાા છે. એમનાં આ પહેલાંનાં બન્ને સુપરડુપર હિટ નાટકો "વેલકમ જિંદગી" અને "૧૦૨ નોટઆઉટ" પ્રેક્ષકોએ દિલપૂર્વક માણ્યા છે. જરાય સ્થૂળ બન્યા વગર, કળાના નામે અર્થહીન બૌદ્ધિક પટ્ટાબાજી ખેલ્યા વગર શી રીતે રંગભૂમિનું સત્ત્વ અને એસ્થેટિકસ જાળવી શકાય, શી રીતે પ્રેક્ષકને સતત જકડી રાખીને યાદગાર મનોરંજન પૂરું પાડી શકાય તે સમકાલીન ગુજરાતી નાટયજગતમાં સૌમ્ય કરતાં બહેતર કદાચ બીજું કોઈ જાણતું નથી. એક પછી એક શ્રેષ્ઠ મૌલિક ગુજરાતી નાટકો આપતો આ રંગકર્મી જ્યારે બીજી ભાષાનું નાટક એડપ્ટ કરે ત્યારે તે ઘટના પણ કુતૂહલ અને અભ્યાસનો વિષય બની જતી હોય છે.

"આજ જાને કી ઝીદ ન કરો"નાં મૂળિયાં "પ્રપોઝલ" નામનાં મરાઠી નાટકમાં દટાયેલાં છે. પ્રેક્ષકને ચકિત કરી નાખે, એને હચમચાવીને સ્તબ્ધ કરી મૂકે એવું માતબર આ નાટક છે.   સુરેશ ચિખલેએ તે લખ્યું છે ને રાજન ત્હામણેએ ડિરેકટ કર્યું છે. બોકસઓફિસ પર પણ સુપરહિટ. સૌથી પહેલાં તો આવાં જોખમી નાટકને કમર્ર્શિયલ ગુજરાતી રંગભૂમિ પર લાવવાનું વિચારવું એ જ હિંમતની વાત છે. પ્રશ્નો ઘણા હતા. સોશ્યલ કોમેડી નાટકો જોવા ટેવાયેલો ટિપિકલ ગુજરાતી પ્રેક્ષક ભૂંડા ચાળા કરતી ને અપશબ્દો બોલતી વેશ્યાવાળું બોલ્ડ નાટક સ્વીકારી શકશે? મરાઠીમાં મુંબઈની સેકસવર્કર અને તેની આસપાસ રચાતું વાતાવરણ સહજ લાગે, પણ મોબાઈલ પર ઘરાકના ઓર્ડર લેતી ગુજરાતી વેશ્યા અપિરિચિત માહોલ પેદા કરી નાખશે એનું શું? આવાં કિરદારને અને એની વાર્તાને કઈ રીતે બિલીવેબલ બનાવવાં?

Saumya Joshi

"આજ જાને કી ઝીદ ના કરો"માં રુપજીવિનીની ભુમિકા ગજબની પ્રભાવશાળી ઢંગથી પેશ કરનાર અભિનેત્રી જિજ્ઞાા વ્યાસ કહે છે, "મુંબઈમાં કયારેક નાઈટ શો પતાવીને લોકલ ટ્રેનમાં જતી વખતે કદાચ એકાદ-બે વાર આ પ્રકારની સેકસવર્કરને જોઈ હશે, પણ એ સિવાય આ પ્રકારની સ્ત્રીઓની રહેણીકરણી અને રંગઢંગ વિશે મને કશી જ ખબર નહોતી. તેથી આ નાટકમાં મારે ઓબ્ઝર્વેશન નહીં, પણ પ્યોરલી ઈમેજિનેશનથી કામ લેવાનું હતું. અમને છોકરીઓને કોઈ પુરુષ અડધી મિનિટ માટે તાકયા કરતો તો એટલું પણ સહન થતું હોતું નથી ત્યારે આ પ્રકારની સ્ત્રીઓ  કેવી રીતે જીવતી હશે? માણસ તરીકે એ કેવી હોય, એ શું અનુભવતી હોય? આ બધું જાણવામાં મને ખૂબ રસ પડયો. મને સમજાતું હતું કે ખૂબ મહેનત કરવી પડશે, પણ મારે આ રોલ કરવો જ હતો."

હોમવર્કના ભાગ રુપે મન્ટોની વાર્તાઓ વંચાઈ. "બોર્ન ઈનટુ બ્રોથેલ" નામની ઓસ્કરવિનર ડોકયુમેન્ટરી, પ્રોસ્ટિટયુટનાં પાત્રવાળી દેશવિદેશની કેટલીક ફિલ્મો જોવાઈ. શરુઆતમાં એવું નક્કી થયું હતું કે સૌમ્ય જોશી ફકત કાગળ પર નાટક ગુજરાતીમાં રુપાંતરિત કરે અને મૂળ ડિરેકટર રાજન ત્હામણે જ ગુજરાતી વર્ઝન ડિરેકટ કરે. સૌમ્યનું લિખિત-દિગ્દર્શિત "વેલકમ જિંદગી" જોયા પછી "૧૦૨ નોટઆઉટ" જોવા રાજન મુંબઈથી છેક અમદાવાદ ગયા. તે જોયા પછી એમણે વિચાર ફેંસલો સુણાવી દીધોઃ સૌમ્ય, ગુજરાતી વર્ઝનનું ડિરેકશન પણ તમે જ કરો! સૌમ્યને પોતે જ લખેલાં નાટકો ડિરેકટ કરવાની આદત, પણ આ વખતે એમણે બીજા કોઈનાં ચિત્તમાં જન્મેલાં પાત્રોેનો પુનર્જન્મ કરાવવાનો હતો.

"રિહર્સલનાં પહેલાં ૨૮ દિવસ મેં બિલકુલ ડિરેકશન ન કર્યું," સૌમ્ય કહે છે, "હું લખી-લખીને કાગળો જિજ્ઞાા અને જયેશ (મોરે, પોલીસની ભુમિકા ભજવનાર તગડો કલાકાર)ને  આપતો જાઉં. એ બન્ને વાચિક અભિનય કરે, પોતાની રીતે પાત્રનો ઘાટ ઘડવાનો પ્રયત્ન કરે. મારાં ઈનપુટ્સ ઓછામાં ઓછા હોય. આ વખતે મેં નક્કી કર્યું હતું કે એકટરો પોતે એક વાર કલર પકડે પછી જ ડિરેકટર તરીકે હું હસ્તક્ષેપ કરવાનું શરુ કરીશ. તેથી એકટરોને શરુઆતથી હેલ્પ કરવાને બદલે તેમને પછીથી મોલ્ડ કર્યા."

ગુજરાતી વર્ઝનમાં વેશ્યાના લગભગ અડધોઅડધ સંવાદો હિન્દીમાં લખીને સૌમ્યએ સ્માર્ટ  પગલું ભર્યું છે. અમુક સંવાદો ગુજરાતીમાં સંભવતઃ બેહૂદા લાગ્યા હોત, પણ હિન્દીમાં  તે ધારી અસર ઊપજાવીને સડસડાટ પસાર થઈ જાય છે. સૌમ્ય કહે છે, "શરુઆતની રીડીંગ સેશન દરમિયાન જિજ્ઞાા કયારેક કહેતી કે, મારું પાત્ર આવું ન બોલે. એ પોતાની રીતે અમુક વાકયોને હિન્દીમાં ફેરવી નાખતી. શરુઆતની દસ મિનિટના નાટકની પ્રોસેસ દરમિયાન આવું બન્યું. તે પછી મેં જિજ્ઞાાની  રિધમ અપનાવી લીધી અને એ જ ઢાળમાં ગુજરાતી-હિન્દી મિશ્ર ભાષામાં લખતો ગયો."




સૌમ્યએ ગુજરાતી વર્ઝનમાં નાના-મોટા ઘણાં ફેરફારો કર્યા છે. બન્ને પાત્રો વચ્ચે ક્રમશઃ બંધાતી જતી લાગણીનો આલેખ અસરકારક બનાવવા માટે કેટલાંક સ્ટ્રકચરલ ફેરફારો કરવા જરુરી હતા. જેમ કે, નાયક પોલીસ છે તે વિગત મરાઠી વર્ઝનમાં ઈન્ટરવલ પોઈન્ટ પર ખૂલે છે, પણ સૌમ્ય આ વાત નાટકની શરુઆતમાં જ એસ્ટાબ્લિશ કરી દે છે. જો બન્ને કિરદારોનાં પ્રોફેશન પહેલેથી સ્પષ્ટ થાય તો જ તેમની વાતચીત માટેનું કોમન ગ્રાઉન્ડ વધારે સારે રીતે રચાય એવું સૌમ્યનું માનવું હતું. સેકન્ડ એકટમાં પણ લવસ્ટોરીને વધારે સુરેખ અને તાર્કિક બનાવવામાં આવી. સૌથી નાટયાત્મક પરિવર્તન નાટકમાં અંતમાં કરવામાં આવ્યું છે, પણ તેના વિશે અહીં વધારે કહેવું નથી. તે તમારે સ્વયં જોઈ લેવાનું છે.

જિજ્ઞાા ધરાર ઓછાં નાટકો કરે છે, પણ જે કરે છે એમાં જીવ રેડી દે છે. કયાં "વેલકમ જિંદગી"ની પંચાવન વર્ષીય ગૃહિણી ને કયાં "આજ જાને કી ઝીદ ના કરો"ની વેશ્યા. એ કહે છે, ""વેલકમ જિંદગી"માં એવી કેટલીય લાઈન્સ છે કે જેમાં સીધું લાફ્ટર ફૂટે, પણ "આજ જાનેકી..."માં ઓડિયન્સનું રિસ્પોન્સ મિકેનિઝમ અલગ પ્રકારનું છે. અહીં સ્ટેજ પર જે કંઈ ચાલે છે તે જોઈને ઓડિયન્સ ગંભીર થઈ જાય છે, ખામોશ બની જાય છે. આ ખામોશીની ભાષા સમજવી જરુરી છે. શું ઓડિયન્સ નાટકમાં એકદમ ખૂંપી ગયું છે એટલે ખામોશ છે કે પછી એને નાટક જરાય સ્પશ્યું નથી એટલે ચુપચાપ બેઠું છે? આવા સમયે એકટર તરીકેનો તમારો અનુભવ કામે લાગે છે."

નાટક દરમિયાન સ્તબ્ધ બેઠેલું ઓડિયન્સ જાણે સાટું વાળી દેતા હોય તેમ પડદો પડતા જ  પોતાની સીટ પર ઊભા થઈને તાળીઓના ગડગડાટથી ઓડિટોરિયમ છલકાવી દે છે. તાળીઓના આ ગુંજારવમાં જાણે કે તમને ગુજરાતી ઓડિયન્સની પરિપકવતા, સજ્જતા અને પોતાને ઓછા ન આંકવાની વિનંતી પણ સંભળાય છે. નાટકમાં એક વેશ્યાના દિલની વાત થઈ છે એટલે સૌમ્ય એક તબક્કે નાટકનું ટાઈટલ "ચોલી મેં દિલ હૈ મેરા" રાખવા માગતા હતા. ટેકિનકલી આ શીર્ષક ભલે નાટકની વાર્તા સાથે બંધ બેસતું હોય, પણ ગુણવત્તાસભર નાટકો માટે પંકાયેલા પ્રોડયુસર મનહર ગઢિયાએ તેમને વાર્યા હતા કે સૌમ્ય, આ ટાઈટલ વાંચીને ભળતું જ ઓડિયન્સ નાટક જોવા આવી જશે! વેલ, હકીકત એ છે કે ના-ટ-કમાં રસ પડતા તમામ પ્રેક્ષકોએ "આજ જાને કી ઝીદ ના કરો" માણવું જ પડે. જીદપૂર્વક!

૦ ૦૦


Thursday, December 11, 2014

વાંચવા જેવું : અશ્ર્વિની ભટ્ટે શા માટે ‘ચિત્રલેખા’માં નવલકથા ન લખી?


ચિત્રલેખા - અંક તા. 1 ડિસેમ્બર ૨૦૧૪
 કોલમ: વાંચવા જેવું




હા, તો અશ્ર્વિની ભટ્ટ જેવા પોપ્યુલર લેખકે ‘ચિત્રલેખા’ જેવાં લોકપ્રિય સામયિકમાં શા માટે એક પણ ધારાવાહિક નવલકથા ન લખી?

 અસંખ્ય વાચકોના મનમાં કાયમ ખદબદ ખદબદ થતા કરતા આ સવાલનો જવાબ આખરે વિનોદ ભટ્ટે એમના મસ્તમજાના લેટેસ્ટ પુસ્તક ‘તમે યાદ આવ્યાં’માં આપી દીધો છે. આગળ વધતા પહેલાં સૌથી પહેલાં તો એ સાંભળી લો:

 ‘બજારમાં બીજા કયા કયા પ્રજાપ્રિય લેખકો છે એની હરકિસન મહેતા ખબર રાખતા ને ‘ચિત્રલેખા’માં લખવાનું કહેણ પણ મોકલતા. એકવાર તે અમદાવાદ હતા. મને કહે કે આપણે અશ્ર્વિની ભટ્ટને મળવું છે. મારે ત્યાં સાંજે મુલાકાત ગોઠવી. ચંદ્રકાંત બક્ષી, શેખાદમ આબુવાલા, અશ્ર્વિી ભટ્ટ અને હરકિસનભાઈ. હરકિસનભાઈ મને બીજા રુમમાં લઈ ગયા. પૂછ્યું: ‘જો વિનોદ, મેં અશ્ર્વિનીનું કશું વાંચ્યું નથી. તારો નિખાલસ મત જાણવો છે, તેને ‘ચિત્રલેખા’માં શરુ કરી શકાય?’ મેં તેમને હળવાશથી જણાવ્યું: ‘મારો પ્રામાણિક અભિપ્રાય એવો છે કે તમે એક વાર તેની વાર્તા ‘ચિત્રલેખા’માં શરુ કરશો તો તમારી છુટ્ટી થઈ જશે. વાચકો તેને વાંચતા થઈ જશે.’ મારી સામે લાક્ષાણિક હાસ્ય વેરતાં તે બોલ્યા: ‘તો તો ભારે પડી જાય, પણ ‘ચિત્રલેખા’ના વાચકો ફાવી જતા હોય તો અશ્ર્વિનીને છાપવા આપણે રાજી છીએ.’ અશ્ર્વિની સાથે વાત કરી, પણ તેની નવલકથા ‘સંદેશ’માં ચાલતી હતી. એટલે ‘સંદેશ’ના માલિક ચીમનભાઈ પટેલે ના પાડી દીધી. ત્યાર બાદ અશ્ર્વિની ‘અભિયાન’માં નવલકથા લખતો. પણ હરકિસનભાઈએ તેની સાથે છેક સુધી હૂંફાળો સંબંધ રાખેલો. તેમની દીકરી સ્વાતિનાં લગ્નમાં અમારી સાથે અશ્ર્વિનીનેય આગ્રહ કરીને તેડાવેલો ને બધાંનો પરિચય આપતાં તે કહેતા કે આ અશ્ર્વિની ભટ્ટ છે, મારો નાનો ભાઈ છે. મારા પછી નવલકથાકાર તરીકે મારી ગાદી તેણે સંભાળવાની છે.’

 આટલું લખીને વિનોદ ભટ્ટ ટમકું મૂકી દે છે: ‘નોવેલિસ્ટ લેખે પોતે નંબર વન છે એ બાબતે હરકિસન મહેતાના મનમાં લેશમાત્ર શંકા નહોતી!’

 આ એક કિસ્સામાં મજા પડી ગઈ હોય તો સમજી લો કે ‘તમે યાદ આવ્યાં’ પુસ્તકમાં આવી વિનોદી અને ‘અંદરની’ વાતોનો આખો ભંડાર છે. એક રીતે આ પુસ્તક ‘વિનોદની નજરે’ની સિક્વલ જેવું છે. ૩૫ વર્ષ પહેલાં પ્રગટ થયેલાં આ યાદગાર અને વિવાદાસ્પદ પુસ્તકમાં લેખકે પચ્ચીસ ગુજરાતી સાહિત્યકારોનાં અતિ રમૂજી છતાંય છોતરાંફાડ વ્યક્તિચિત્ર આલેખ્યાં હતાં. એમાંના પંદર સાહિત્યકારો આજે આપણી વચ્ચે હયાત નથી. ‘તમે યાદ આવ્યાં’માં ચંદ્રકાંત બક્ષી, જ્યોતીન્દ્ર દવે અને શેખાદમ આબુવાલા વિશે નવેસરથી લખાયું છે. બાકીના ૨૭ નામ નવાં છે.  

 ઉદાહરણ તરીકે, સુરેશ જોષી. લેખક લખે છે કે, ‘અન્ય સાહિત્યકારોના મુકાબલે એક વાતે તે (સુરેશ જોષી) ઘણા આગળ હતા, તેમના શત્રુઓની સંખ્યા બીજાઓની સરખામણીમાં અનેક ગણી મોટી. દુશ્મનો બનાવવાની બાબતમાં તે સ્વાવલંબી હતા. ચંદ્રકાંત બક્ષીને આ કળા વિકસાવવાની પ્રેરણા સુ.જો.માંથી જ સાંપડી હશે એવું આ લખનાર માને છે - બક્ષીના તે પૂર્વસૂરિ ગણાય.’

 સુરેશ જોષી પોતાનું લખેલું પુસ્તક ફાડતા નહીં. હા પુસ્તક આખેઆખું રદ કરતા ખરા. સુ.જો.નો ‘ઉપજાતિ’ નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો. એ પ્રગટ થયાનાં થોડાંક વર્ષો પછી એ કાવ્યો તેમને બરાબર  નહીં લાગ્યાં એટલે તેમણે જાહેર કર્યું: ‘આથી મારો એ સંગ્રહ રદ કરું છું.’ આ વાંચીને ચુનીલાલ મડિયાથી બોલ્યા વગર ન રહેવાયું: ‘ભાઈ, તમે આજે રદ કરો છો? અમે તો કેદિ’નો કરી નાખ્યો છે...

Harkisan Mehta (seated, right) with Chandulal Selarka and Chandrakant Bakshi (seated, left)


 ચંદ્રકાંત બક્ષીના વ્યક્તિત્ત્વમાં કમાલની એન્ટરટેનિંગ વેલ્યુ આજે પણ વર્તાતી હોય તો એ જ્યારે જીવતા હતા ત્યારે તો વાત જ શી કરવી. એ પ્રવચન આપવા જાય ત્યારે કલાક દોઢ-કલાકથી ઓછું ન બોલે. એ વિનોદ ભટ્ટ લખે છે:

 ‘બક્ષીને પાછું એવું ખરું કે વિષય ગમે તે હોય, તેમને બોલવું હોય એ જ બોલે, રત એટલી કે પ્રેક્ષકોને મજા આવવી જોઈએ... કલકત્તા સાથે જોડાણ હોવાથી બક્ષીબાબુને શરદબાબુની નવલકથા પર બોલવાનું સૂચવાયેલું. બક્ષીબાબુએ શરુ કર્યું, ‘શરદબાબુ આજકાલ આઉટડેટેડ થઈ ગયા છે. તમને શરદબાબુની વાર્તામાં ખાસ ઈન્ટરેસ્ટ નહીં પડે. આજે હું તમને મજા પડે તેવા રાઈટર ચંદ્રકાંત બક્ષીની વાત કરીશ.’ અને લગભગ ૭૦થી ૮૦ મિનિટ સુધી તેમણે પોતાની કેફિયત રજૂ કરી દીધી હતી... બીજી એક બિનસાહિત્યિક સભામાં બક્ષીજીએ ફાળવેલ સમય કરતાં ખાસ્સું લાં...બું બોલ્યા. લાંબુ બોલવાનું કારણ આપતાં નામદાર રાજ્યપાલ, મુખ્યમંત્રી વગેરે તરફ આંગળી ચીંધી શ્રોતાઓને તેમણે જણાવ્યું પણ ખરું, ‘તમે આ લોકોને નહીં, મને સાંભળવા આવ્યા છો.

 આટલું કહીને ભટ્ટજી સહેજ ઈમોશનલ થઈને ઉમેરે છે કે, ‘આજે આપણી પાસે બક્ષી તો શું, એમનો ડુપ્લિકેટ પણ નથી!’

 હરીન્દ્ર દવેનો એક કિસ્સો ખૂબ મજાનો છે. ભાવનગરથી એ નવા નવા મુંબઈ આવેલા. અહીંનું વાતાવરણ, એટિકેટ એમને માટે સાવ અજાણ્યું. જિંદગીમાં ગોળપાપડી, લાડુ જેવા મિષ્ઠ પદાર્થનો સ્વાદ માણેલો, પણ કેક એમણે મુંબઈની એક પાર્ટીમાં પહેલી વાર જોઈ. કેક હાથમાં લીધી તો ખરી, એ કેવી રીતે ખવાય એની ખબર ન પડે. ગોળ કેકની નીચે કાગળ હતો. ગામડિયામાં ગણતરી થઈ જશે એવા ડરથી આજુબાજુ કોઈને પૂછ્યું નહીં અને હરીન્દ્ર કાગળ સહિત કેક ખાઈ ગયા! આ કિસ્સો એમણે સ્વયં સુરેશ દલાલને  સંભળાવ્યો હતો. આ કિસ્સો ટાંકીને સુરેશ દલાલ પછી ઉમેરતા કે, ‘આ કાગળ સાથે કેક ખાઈ ગયો ત્યારથી એની કવિતાના કાગળમાં આટલું ગળપણ આવ્યું છે.’

 હરીન્દ્ર દવેને યાદ કરીએ ત્યારે એમના સિયામીઝ ટ્વિન જેવા સુરેશ દલાલને ન સંભારીએ કેમ ચાલે. વિનોદ ભટ્ટ લખે છે:

 ‘હું તેમને ઓળખતો થયો ત્યારથી તેમને મેં કાયમ જ જોયા છે. ક્યારેક તો મને એવું પણ લાગતું કે તે સફારી સાથે જ જન્મ્યા હશે! સફારીના ખિસ્સાં તે મોટાં રાખતા, માત્ર પોકેટ બુક્સ જ નહીં, મોટું પુસ્તક પણ તેમાં સમાઈ શકે એટલાં મોટાં... પોતાની ફાંદ તરપ ઈશારો કરીને કહેતા: ‘મારી આ ગાગર ઉતારો તો જાણું...’ તેમની કોઈ તંદુરસ્ત ટીખળ કરે તો તે ખેલદિલીથી હસી નાખતા. થોડાં વર્ષો પહેલાં તેમના ભાઈ અરવિંદ દલાલ કોઈને કહેતા હતા કે સુરેશ હમણાં ટીવી પર કાર્યક્રમ માટે જતો નથી, એનું કારણ એ છે કે તે એટલો બધો જાડો થઈ ગયો છે કે તેને જોવા હવે બે ટીવી ભેગાં કરીએ ત્યારે માંડ આખો જોઈ શકાય છે.

 ગુણવંત શાહ અને સુરેશ દલાલ વચ્ચે સરસ ભાઈબંધી. ગુણવંત શાહને હૃદયરોગનો જોરદાર હુમલો આવ્યો ને તે એમાંથી બચી ગયા ત્યારે સુરેશ દલાલની પ્રતિક્રિયા આવી હતી: ‘ગુણવંત નહીં, ખરેખર તો આપણે બચી ગયા!’

 આ સિવાય પણ કેટલાં બધાં પ્રભાવશાળી નામોને આવરી લેવાયાં છે અહીં. મુનશી, કલાપી, ગોવર્ધનરામ, કાન્ત, નર્મદ, ટાગોર, મરીઝ,  રાજેન્દ્ર શાહ વગેરે ઉપરાંત અહીં અમૃતા પ્રીતમ, શેક્સપિયર અને બર્નાર્ડ શૉને પણ આવરી લેવાયા છે.                                                                                     0 0 0


 ‘તમે યાદ આવ્યાં’ 
 લેખક: વિનોદ ભટ્ટ
પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧
 ફોન: (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩
 કિંમત:  ‚. ૨૫૦ /
 પૃષ્ઠ: ૧૮૪