Wednesday, May 7, 2014

ટેક ઓફ : નમકહલાલી, નમકહરામી અને મિર્ઝા ગાલિબ

Sandesh - Ardh Saptahik Purty - 7 May 2014
ટેક ઓફ 
અંગ્રજોની સામે પડનારા જાંબાઝ ભારતીય સ્વાતંત્ર્યસેનાનીઓ મિર્ઝા ગાબિલની નજરમાં નમકહરામ હતા! મહાન સર્જકના વ્યક્તિત્વનાં તમામ પાસાં મહાન નથી હોતાં, હોઈ શકે પણ નહીં, હોવા જરૃરી પણ નથી. આપણી નિસ્બત એમના સર્જકકર્મ સાથે હોવી જોઈએ. મિર્ઝા ગાલિબ અંગ્રેજોના આંધળા ભક્ત બનીને ભયંકર ચાપલૂસી કરતા એ હકીકત એક વિગત પૂરતી ઠીક છે, પણ આપણે તો એમની સમૃદ્ધ શેરો-શાયરી પર જ ફોકસ કરવાનું.

"રાણી (ક્વીન વિક્ટોરિયા), ચંદ્ર જેનો મુગટ છે, આકાશ જેનું આસન છે, સૂર્ય પણ એની બરોબરી કરી શકતો નથી. એટલે જ તો એ રોજ રાતે ગાયબ થઈ જાય છે એ (એટલે કે રાણી વિક્ટોરિયા) શસ્ત્રકળા અને અન્ય કળાઓમાં પારંગત છે, એ જ્ઞાાનનો ભંડાર છે, ન્યાયના સર્વોચ્ચ શિખર કરતાંય વધારે ઉચ્ચ છે. એની સાજસજ્જા એવી છે કે મહાનમાં મહાન રાજાઓ પણ એની સામે ભિખારી લાગે. એમના તેજને લીધે જ આકાશમાં સૂર્ય ચમકે છે અને પાણીનું બાષ્પીભવન થઈને વાદળો બને છે."
આપણે ત્યાં દેવ-દેવીઓનાં સ્તુતિગાન કરતી વખતે આ પ્રકારની અલંકારિક ભાષા વપરાતી હોય છે. બ્રિટનની રાણી વિક્ટોરિયા માટે આવું ભયંકર ખુશામતભર્યું વર્ણન કોણે કર્યું છે, કલ્પી શકો છો? સર્વકાલીન શ્રેષ્ઠતમ શાયર તરીકે એ અમર થઈ ગયેલા મિર્ઝા ગાલિબે! ગાલિબને કેમ આટલી હદે જી-હજૂરી કરવાની જરૃર પડી? રાણી વિક્ટોરિયા ખુશ થઈને એમને કીમતી ભેટ-સોગાદ આપે એટલે. ગાલિબ પોતાના કાગળમાં ભેટની રીતસર ઉઘરાણી કરે છેઃ
"રાણી વ્યક્તિગત દાન-દક્ષિણાથી જ્ઞાાનીઓની ઝોળી ભરી દે છે. જો મને રાણીના હાથે કોઈ દાન મળશે તો મારું આ સંસારમાં આવવું સાર્થક થશે."
આ તીવ્ર યાચકભાવ આશ્ચર્ય પમાડે તેવો છે, પણ મિર્ઝા ગાલિબ માટે આ બિલકુલ સહજ હતું. રાજાને ઈશ્વરના પ્રતિનિધિ ગણવા એવા તેમના સંસ્કાર હતા. રાજદ્રોહ એટલે દેશદ્રોહ એવું સીધું સમીકરણ હતું. 'દસ્તંબૂ' નામના પુસ્તકમાં, રાધર નાની ચોપડીમાં,ગાલિબની અંગ્રેજભક્તિ પાને પાને છૂટથી વિખરાયેલી છે. આ ચોપડી એમણે ૧૮૫૭ના સ્વાતંત્ર્યવિગ્રહ દરમિયાન લખી હતી.
અંગે્રજોના દમન વિરુદ્ધ થયેલો ૧૮૫૭નો વિગ્રહ ભારતીય ઇતિહાસનું એક બહુ જ મહત્ત્વનું પ્રકરણ છે. ૮ એપ્રિલ, ૧૮૫૭ના રોજ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી એટલે દેશભરના સૈનિકોના ધૂંધવાટનો પાર ન રહ્યો. બરાબર ૧૫૭ વર્ષ પહેલાં ૧૦ મે,૧૮૫૭ના રોજ વિગ્રહ ફાટી નીકળ્યો. સૌથી પહેલાં મેરઠ સળગ્યું ને પછી સૈનિકો દિલ્હી ધસી ગયા. ક્રાંતિકારીઓએ કર્નલ રિપ્લેની હત્યા કરી દિલ્હી કબ્જે કરવાની કોશિશ કરી. અંગ્રેજોએ પ્રતિકાર કર્યો. ભયાનક કત્લેઆમ થઈ.
એ અરસામાં મિર્ઝા ગાલિબ જૂની દિલ્હીની બલ્લીમારાન મહોલ્લામાં રહેતા હતા. તેમણે આ નરસંહાર સગી આંખે જોયો હતો. એમના યારો-બિરાદરોનું કાં તો મોત થઈ ગયું હતું યા તો દિલ્હી છોડીને નાસી ગયા હતા. બાસઠ વર્ષના મિર્ઝાસાહેબ એકલા પોતાના ઘરમાં ત્રસ્ત જીવન જીવી રહ્યા હતા. ૧૧ મે, ૧૮૫૭થી ૩૧ જુલાઈ, ૧૮૫૭ દરમિયાન એમણે એક ડાયરી લખી. તે પછી'દસ્તંબૂ' નામે પુસ્તકરૃપે પ્રગટ થઈ. દસ્તંબૂ શબ્દનો અર્થ છે ફૂલનો ગુચ્છો, બુકે. અબ્દુલ બિસ્મિલ્લાહે જૂની ફારસી ભાષામાં લખાયેલી આ નાનકડી ચોપડીનો આ જ નામે હિન્દીમાં અનુવાદ કર્યો છે. આ જ પુસ્તકમાં રાણી વિક્ટોરિયાને લખેલો પેલો પ્રશસ્તિપત્ર છે. 'દસ્તંબૂ'ના પ્રકાશન માટે ગાલિબ ખૂબ ઘાંઘાં થયા હતા કે જેથી ઝટ એ અંગ્રેજ સાહેબો તે વાંચે, ઝટ પ્રસન્ન થાય ને ફટાફટ પોતાને આર્થિક મદદની ભિક્ષા આપે. ચોપડીના પ્રકાશનના સંદર્ભમાં એમણે મુનશી હરગોપાલ 'તફ્ત' નામની વ્યક્તિને જે પત્રો લખ્યા હતા તે પણ અનુવાદ કર્યા વિના હિન્દી સંસ્કરણમાં સમાવી લેવામાં આવ્યા છે.

અંગ્રેજો પ્રત્યેની વફાદારીના મામલે ગાલિબના મનમાં કોઈ ગૂંચવણ નહોતી. તેઓ લખે છેઃ
"હું આ ચોપડીમાં જે રીતે શબ્દોનાં મોતી વિખેરી રહ્યો છું તેના પરથી વાચકો અનુમાન લગાવી શકશે કે હું નાનપણથી જ અંગ્રેજોનું નમક ખાતો આવ્યો છું. બીજા શબ્દોમાં કહું તો જ્યારથી મારા મોંમાં દાંત આવ્યા છે ત્યારથી આજ સુધી આ વિશ્વવિજેતાઓએ મારા મોંમાં રોટી મૂકી છે. ખુદા જેને શાસન પ્રદાન કરે છે એને ધરતી પર વિજય મેળવાની શક્તિ પણ ચોક્કસપણે આપે છે, તેથી જે માણસ શાસક વિરુદ્ધ કામ કરે છે એના માથે જૂતાં ફટકારવાં જોઈએ. એ એને જ લાયક છે. પ્રજા થઈને રાજા સામે લડવાનો મતલબ છે, ખુદનો નાશ કરવો."
મજા જુઓ. મિર્ઝા ગાલિબની ખુદની પત્ની ગુપચુપ ક્રાંતિકારીઓને મદદ કરતી હતી! ગાલિબની નજરમાં તો મહાન અંગ્રેજોની સામે પડવાની હિંમત કરનારા ભારતીય ક્રાંતિકારીઓ હલકા જ હોવાના. તેઓ લખે છેઃ
"૧૧ મે, ૧૮૫૭નો દિવસ હતો. અચાનક દિલ્હીની ધરતી ધણધણી ઊઠી. આ કંઈ ધરતીકંપ નહોતો, બલકે મેરઠના બાગી અને નમકહરામ સૈનિકો હતા, જે આ કમનસીબ દિવસે અંગ્રેજોના લોહીથી પોતાની પ્યાસ બુઝાવવા દિલ્હી શહેર પર ચડી આવ્યા હતા. આખા દેશમાં નમકહરામ જમીનદારો અને સિપાઈઓએ એકબીજા સાથે સાઠગાંઠ કરી લીધી છે, જેથી પૂરી તાકાતથી સરકાર વિરુદ્ધ મોરચો લઈ જઈ શકાય. જ્યાં સુધી લોહીની નદીઓ નહીં વહે ત્યાં સુધી તેમને સંતોષ નહીં થાય. હિન્દુસ્તાનમાં હવે ઘાસનાં તણખલાં જેટલી શાંતિની કલ્પના પણ અસંભવ છે. કેટલાંક સિપાઈઓએ બંદૂક અને ગોળા-બારુદ પચાવી પાડીને ખુદને તાકાતવાન બનાવી દીધા છે. જે કૌશલ્ય તેઓ અંગ્રેજો પાસેથી શીખ્યા હતા એ જ કૌશલ્ય હવે તેઓ અંગ્રેજો પર અજમાવી રહ્યા છે. હૃદય કંઈ પથ્થર કે લોઢું નથી, એ જરૃર તરફડશે. આંખ કંઈ દીવાલમાં પડેલી તિરાડ નથી કે આ દૃશ્ય જોયા પછી પણ રડે નહીં. અંગ્રેજ સાહેબોની હત્યા પર આંસુ વહેવાં જ જોઈએ. હિન્દુસ્તાનની બરબાદી જોઈને રડવું જ જોઈએ."
અંગ્રજોની સામે પડનારા જાંબાઝ ભારતીય સ્વાતંત્ર્યસેનાનીઓ મિર્ઝા ગાબિલની નજરમાં નમકહરામ હતા! અંગ્રેજો અને ભારતીયોની સરખામણી તેઓ કેવી રીતે કરે છે?
"એક એ આદમી જે નામાંકિત અને સુવિખ્યાત હતો (મતલબ કે અંગ્રેજ). એની તમામ પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ છે. બીજો એ,જેની પાસે નહોતી ઇજ્જત કે નહોતી દોલત (મતલબ કે હિન્દુસ્તાની), જે હવે (અંગ્રેજોનો વિરોધ કરીને) પછેડી કરતાં પગ વધારે લાંબા કરી રહ્યો છે."
ખૂંચે એવી તુલના છે આ! બળવાખોરોએ દિલ્હીને શી રીતે કબ્જે કર્યું અને તેને લીધે દિલ્હીવાસીઓએ શી હાલાકી ભોગવવી પડી તેનું ઝીણવટભર્યું વર્ણન ગાલિબે કર્યું છેઃ
"બે-ત્રણ દિવસ સુધી કાશ્મીરી ગેટથી લઈને લાલ કિલ્લાના ચોક સુધી ઘમસાણ યુદ્ધ ચાલતું રહ્યું. દિલ્હી ગેટ, તુર્કમાન ગેટ અને કાશ્મીરી ગેટ ભારતીય સેનાના કબ્જામાં હતા. મારા જેવા માણસનું શોકાતુર ઘર કાશ્મીરી ગેટ અને દિલ્હી ગેટની વચ્ચોવચ્ચ પડે છે. આ બન્ને દરવાજા મારા ઘરથી એકસમાન અંતરે છે, પણ મારી ગલીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. છતાંય થોડા થોડા સમયે હિંમત કરીને દરવાજા ખોલવામાં આવતા અને અમે ખાવા-પીવાનો સામાન લઈ આવતા."
Mazar of Mirza Ghalib, Nizammuddin, Delhi

આ બધી ધમાલમાં ગાલિબને એ વાતની પણ ચિંતા છે કે મારો કાગળ રાણીને લંડનમાં મળ્યો હશે કે નહીં! એક દિવસ ગાલિબને પહોંચનો પત્ર મળે છે. કોઈ મિસ્ટર રેજિંગ્ટને ગાલિબને આશ્વાસન આપતાં લખ્યું હતું કે તમારો પત્ર રાણી સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે અને સાથે ભલામણ પણ કરવામાં આવી છે કે તમને અંગ્રેજ સરકાર તરફથી આજીવિકાનું સાધન (ટૂંકમાં, પેન્શન) આપવામાં આવે. ગાલિબ મિયાં રાજીરાજી.
ગાલિબ માટે આ આત્મસન્માનનો મુદ્દો હતો જ નહીં. રાજ્યાશ્રય યા તો સરકારી મદદના ટુકડા પર જીવવું એમના માટે સ્વીકૃત જીવનશૈલી હતી. ગાબિલની ડાયરી આત્મદયા અને લાચારીના ભાવથી લથપથ છે. એમણે પોતાનાં પારિવારિક જીવન, પાગલ ભાઈનું મોત અને દોસ્તો વિશે પણ હૃદયપૂર્વક લખ્યું છે. ગાલિબ વિલાયતી શરાબ વગર ટળવળતા હોય ત્યારે મહેશદાસ નામનો ઉદાર મિત્ર ઊંચો માંહ્યલો દેશી દારૃ પીવડાવતા. ગાલિબ લખે છેઃ
"મહેશદાસ દેશી દારૃ મોકલાવીને મારા હૃદયની આગ ઠંડી કરતો ન હોત તો હું જીવતો રહી શક્યો ન હોત. હું આ શરાબની તરસમાં જ મૃત્યુલોક સિધાવી જાત. ઘણાં સમયથી ઇચ્છા હતી કે મને અસલી શરાબ મળે, મારી મનોકામના પૂરી થઈ જાય અને એક-બે પ્યાલા મારા હોઠ સુધી પહોંચે. જ્ઞાાની મહેશદાસે મને એ અમૃત ઉપલબ્ધ કરાવી આપ્યું, જે સિકંદરે પોતાના માટે શોધ્યું હતું."
દરિદ્ર ગાલિબનું પરાવલંબીપણું આ વાતમાંથીય ઊપસે છે. ખેર, મહાન સર્જકના વ્યક્તિત્વનાં તમામ પાસાં મહાન નથી હોતાં, હોઈ શકે પણ નહીં, હોવા જરૃરી પણ નથી. આપણી નિસ્બત એમના સર્જકકર્મ સાથે હોવી જોઈએ. મિર્ઝા ગાલિબ અંગ્રેજોના આંધળા ભક્ત બનીને ભયંકર ચાપલૂસી કરતા એ હકીકત એક વિગત પૂરતી ઠીક છે, પણ આપણે તો એમની સમૃદ્ધ શેરો-શાયરી પર જ ફોકસ કરવાનું.
0 0 0 

Thursday, May 1, 2014

ટેક ઓફ : મૃત્યુ વખતે સાવ એકાકી ન રહેવા માટે સદભાગ્ય જોઈએ

Sandesh - Ardh Saptahik Purty - 1 May 2014


ટેક ઓફ 
નોબલ પારિતોષિક વિજેતા લેખક ગેબ્રિઅલ ગાર્શિયા માર્ક્વેઝે લેટિન અમેરિકન સાહિત્યને વિશ્વના નકશા પર મૂકવાનું મોટું કામ કર્યું છે. એમણે મેજિકલ રિઅલિઝમનું તત્ત્વ શી રીતે શોધી કાઢયું હતું?

"...ને મેં મારી જાતને વર્ષોથી નહીં, પણ દાયકાઓથી માપવાનું શરૃ કર્યું. પચાસનો દાયકો નિર્ણાયક પુરવાર થયો, કેમ કે મને ભાન થવા માંડયું કે મોટાભાગના લોકો મારા કરતાં ઉંમરમાં નાના છે. સાઠથી સિત્તેર વર્ષનો ગાળો સૌથી ઇન્ટેન્સ રહ્યો, કેમ કે મને સતત એ વાતની સભાનતા રહેતી કે મારી પાસે હવે ભૂલો કરવાનો સમય બચ્યો નથી. સિત્તેરથી એંસીનો દાયકો સૌથી ભયજનક હતો. જીવનનો આ અંતિમ દાયકો બની રહેશે તેવી સંભાવના સતત હવામાં ઝળુંબ્યા કરતી. છતાંય મારી જિંદગીના નવમા દાયકાના પહેલાં દિવસે હું જીવતો હતો. હવે મને બહુ આસાનીથી રડવું આવી જાય છે. કંઈ પણ કોમળ કે ભલમનસાઈભર્યું જોઉં યા તો અનુભવું તો હવે તરત મારી છાતીમાં ડૂમો ભરાઈ આવે છે."
જીવનનું આ સત્ય 'મેમરીઝ ઓફ માય મેલેન્કલી વ્હોર્સ' નામની લઘુનવલના નાયકનું છે. આ અનામી નાયક એક લેખક છે. પોતાના નેવુંમા બર્થડે પર એ ખુદને એક વર્જિન વેશ્યાની ભેટ આપે છે. એવી વેશ્યા જે હજુ માંડ તરુણી છે, જેની જુવાની પણ હજુ પૂરી ફૂટી નથી. 'મેમરીઝ ઓફ માય મેલેન્કલી વ્હોર્સ' નોબેલ પ્રાઇઝ વિનર સાઉથ અમેરિકન લેખક ગેબ્રિઅલ ગાર્શિયા માર્ક્વેઝની અંતિમ કૃતિ હતી. ૧૭ એપ્રિલે ૮૭ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. પોતાના અંતિમ નાયકની માફક માર્ક્વેઝના નસીબમાં પણ દીર્ઘ જીવન લખાયું હતું.  
માર્ક્વેઝ સ્પેનિશમાં લખતા. આ નોબેલ પ્રાઇઝ વિજેતા કોલંબિયન લેખક, પત્રકાર, ફિલ્મ રિવ્યૂઅર અને ફિલ્મરાઇટર પણ રહી ચૂક્યા છે. આજે સલમાન રશદી સહિત દુનિયાભરના કેટલાય લેખકોનાં લખાણમાં મેજિકલ રિઅલિઝમનું તત્ત્વ જોવા મળે છે. આ શૈલી માર્ક્વેઝે પોતાની સૌથી વિખ્યાત નવલકથા 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' સૌથી પહેલી વાર ઇન્ટ્રોડયુસ કરી હતી.
તેઓ અઢાર-વીસ વર્ષની ઉંમરથી આ નવલકથા લખવા માગતા હતા. એક એવી નવલકથા જેના કેન્દ્રમાં પોતે જ્યાં ઉછર્યા હતા તે નાના-નાનીનું ઘર હોય, જેમાં બાળપણનાં વર્ષોની વાતો હોય. આ નવલકથામાં માર્ક્વેઝે મકોન્ડો નામનું કાલ્પનિક નગર કલ્પ્યું છે. એમાં બ્યુએન્ડિયા પરિવાર રહે છે. આ પરિવારની ચાર પેઢીઓમાં શું શું બને છે? કેવા કેવા ચઢાવ-ઉતાર આવે છે?નવલકથાનું આ વિષયવસ્તુ છે. માર્ક્વેઝ વર્ષો સુધી કોશિશ કરતા રહ્યા, પણ એમનાથી આ નવલકથાનું સ્ટ્રક્ચર અથવા તો ફોર્મેટ પકડાતું નહોતું. શું લખવું છે તે ખબર હતી, પણ કેવી રીતે લખવું, કયા સ્વરૃપમાં લખવું છે તે સ્પષ્ટ થઈ શકતું નહોતું. એ સ્પષ્ટતા વર્ષો પછી થઈ. તદ્દન અણધારી રીતે.
માક્ર્વેઝ એક વાર વીકએન્ડ માણવા બહારગામ જઈ રહ્યા હતા. સાથે પત્ની અને બન્ને દીકરા હતાં. માર્ક્વેઝને ડ્રાઇવિંગ કરવું ખૂબ ગમે. તે દિવસે લોન્ગ ડ્રાઇવ દરમિયાન તેઓ ખૂબ મૂડમાં હતા. અચાનક કોણ જાણે ક્યાંથી તેમના દિમાગમાં નવલકથાનું પહેલું વાક્ય સ્ફુર્યું. તે એક વાક્યની પાછળ આખી નવલકથા છુપાયેલી હતી. આ વાક્ય જાણે સિક્રેટ ફોર્મ્યુલા જેવું હતું. માર્ક્વેઝે બ્રેક મારી યુ-ટર્ન લીધો અને કાર પાછી મેક્સિકો તરફ મારી મૂકી. વીકએન્ડ કેન્સલ! ઘરે આવતાંવેંત માર્ક્વેઝ ટાઇપરાઇટર પર લખવા બેસી ગયા. તેર મહિનાને અંતે 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ'ની પ્રત તૈયાર હતી.
નાટયાત્મક લાગતી આ ઘટનાનાં ઘણાં વર્ઝન છે. એક વર્ઝન એવું છે કે માર્ક્વેઝના મનમાં નવલકથાનું પહેલું વાક્ય નહીં, પણ નાનાજી નાના છોકરાને કિસ્સો સંભળાવી રહ્યા હોય તેવી ઇમેજ ઉપસી હતી. બીજું વર્ઝન એવું છે કે માર્ક્વેઝ એ જ ઘડીએ યુ-ટર્ન લઈને પાછા ઘરે નહોતા આવી ગયા. પ્લાનિંગ પ્રમાણે તેઓ સપરિવાર જે જગ્યાએ જવાનું હતું ત્યાં જરૃર ગયા હતા, છુટ્ટી માણી હતી, પણ આ બે દિવસ દરમિયાન એમણે પુષ્કળ નોંધ તૈયાર કરી નાખી હતી. પછી ઘરે ગયા બાદ તેમણે આ નોંધના આધારે નવલકથા લખવાનું શરૃ કર્યું હતું. બધાં વર્ઝનમાં બે દિવસની રજા દરમિયાન આઇડિયા સુઝ્યો તે વાત કોમન છે.

અલગ અલગ વર્ઝન બહાર આવવાનું કારણ માર્ક્વેઝે ખુદ એક ઇન્ટરવ્યૂમાં કહેલી વાત છેઃ "સાચું કહું તો 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ'નવલકથા લખવામાં મને સૌથી વધારે આકરું જો કંઈ લાગ્યું હોય તો તે હતી શરૃઆત! પહેલં વાક્ય, પહેલો ફકરો લખતા તો મોઢે ફીણ આવી ગયાં હતાં. સખત ગભરાટ થતો હતો. મનમાં થતું હતું કે આટલું તો લખાયું, પણ હવે આગળ શું લખવાનું?"
ખેર, વીજળીની જેમ ત્રાટકેલી પેલી 'યુરેકા મોમેન્ટ' શું હતી? માર્ક્વેઝને ઓચિંતા સમજાયું કે મારે મારા બાળપણ વિશે નવલકથા નથી લખવી, મારે મારા બાળપણની 'સ્મૃતિ' વિશે નવલકથા લખવી છે. બાળપણમાં જે કંઈ થયું તે યથાતથ મૂકી દેવાનું તેમ નહીં, બલકે તે ઘટનાઓને વર્તમાનના પ્રિઝમમાંથી જોવાની. મારે રિયાલિટી વિશે નહીં, પણ 'રિપ્રેઝન્ટેશન ઓફ રિયાલિટી' વિશે લખવું છે. મારે કોઈ ચોક્કસ ગામ વિશે નહીં, પણ દુનિયા તે ગામને કેવા દૃષ્ટિકોણથી જુએ છે તે વિશે લખવું જોઈએ. ગામને બાકીની દુનિયાથી અલગ કરીને જોવાને બદલે આખી દુનિયાને મારા ઘર અને ગામ સુધી લાવવી જોઈએ. આ રીતે સીમાડા ખૂલી જતા હતા. એકસાથે અનેક સ્તરો પર કામ થઈ થઈ શકતું હતું. આ સ્થિતિએ માર્ક્વેઝને આઝાદીનો અહેસાસ કરાવ્યો.


જેવી દિમાગની બારીઓ ખૂલી, નવલકથાનું સ્ટ્રક્ચર પકડાયું અને લખવાનું શરૃ થયું કે માર્ક્વેઝને સમજાવા લાગ્યું હતું કે આ નવલકથા ઉત્તમ બનવાની. એમની શૈલી પછી 'મેજિકલ રિઅલિઝમ' તરીકે મશહૂર બની. મેજિકલ રિઅલિઝમમાં સાવ સાદી, દુન્યવી બાબતો અને જાદુઈ ઘટનાઓ સાથે સાથે બનતી રહે, બન્નેની એકબીજામાં સેળભેળ થતી રહે. પરિણામે વાચક સામે અસાધારણ અને અદ્ભુત અસર ઊભી થાય.
જેવા માર્ક્વેઝ કમ્ફર્ટ ઝોનમાં આવ્યા કે તેમની કલમ યા તો ટાઇપરાઇટર ફટાફટ ચાલવા માંડયાં. રોજ માંડ એક ફકરો લખી શકતો માણસ પાનાંનાં પાનાં ભરવા લાગ્યો. પહેલાં અઠવાડિયા દરમિયાન જ એમણે ખૂબ બધું લખી નાખ્યું હતું. એમને અંદાજ આવી ગયો કે મારો પહેલો ડ્રાફ્ટ આઠસો પાનાંનો થશે, જેમાંથી કાપીકૂપીને હું ચારસો પાનાંનો ફાઇનલ ડ્રાફ્ટ બનાવી શકીશ. ચારસો પાનાંમાં બ્યુએન્ડિયા પરિવારની ચાર પેઢીની વાતો આવી જાય. ઓગણીસમી સદીના કોઈ બિંદુથી વાર્તાની શરૃઆત થાય અને સો વર્ષના સમયગાળામાં ધીમે ધીમે આખી નવલકથા ફેલાય. બ્યુએન્ડિયા પરિવારની વાતોની સાથે સાથે કોલંબિયાનો સો વર્ષનો ઇતિહાસ પણ એમાં વણાતો જાય.
માર્ક્વેઝને તરત સમજાઈ ગયું કે આ નવલકથા લખવાનું કામ સંપૂર્ણ એકાગ્રતા માગી લે તેવું છે. તે સમયે તેઓ એક એડવર્ટાઇઝિંગ એજન્સી સાથે સંકળાયેલા હતા. આ સિવાય બીજું એક પુસ્તક લખવાનું કામ પણ તેમને મળ્યું હતું. આ બન્ને કામમાંથી નિશ્ચિત પૈસા મળતા હતા, જેનાથી ઘર ચાલતું હતું. માર્ક્વેઝે હાથમાં લીધેલી નવલકથાને સંપૂર્ણ ન્યાય આપવા માટે એક મોટો નિર્ણય લીધો. તેમણે એડ એજન્સી અને પેલું પુસ્તક બન્ને છોડી દીધાં. બીવી-બચ્ચાં લઈને બેઠેલા માણસ માટે આ મોટો જુગાર હતો.


પણ આ જુગાર બરાબરનો ફળ્યો. 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' નવલકથાએ તેમને વિશ્વસ્તરની ખ્યાતિ અપાવી. આ નવલકથા માર્ક્વેઝે ૩૮ વર્ષની ઉંમરે લખવાની શરૃ કરી હતી. નવલકથા પ્રકાશિત થઈ ત્યારે ૪૦ વર્ષના હતા. ત્રણ વર્ષ પછી તેનો અંગ્રેજી અનુવાદ થયો. પછી તો દુનિયાભરની કુલ ૩૭ ભાષાઓમાં તે અનુદિત થઈ. આજ સુધીમાં તેની ત્રણ કરોડ નકલો વેચાઈ ચૂકી છે. 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' નવલકથાએ માર્ક્વેઝને સુપરસ્ટાર રાઇટર બનાવી દીધા. એમની 'લવ ઇન ધ ટાઇમ ઓફ કોલેરા' પણ ખૂબ વંચાઈ અને વખણાઈ છે. ૧૯૮૨માં માર્ક્વેઝને એમની નવલકથાઓ અને નવલિકાઓ માટે સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું. તે વખતે તેમની ઉંમર પંચાવન વર્ષ હતી. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે છ નવલકથાઓ, ચાર લઘુનવલો, પાંચ નવલિકાસંગ્રહો અને સાત નોન-ફિક્શનનાં પુસ્તકો લખ્યાં છે. લેટિન અમેરિકન સાહિત્ય હિપ-એન્ડ-હેપનિંગ બનાવવામાં માર્ક્વેઝનો મોટો ફાળો છે. જેરાલ્ડ માર્ટિન નામના બ્રિટિશ લેખકે 'ગેબ્રિઅલ ગાર્શિયા માર્ક્વેઝ' નામની અફલાતૂન અને દળદાર જીવનકથા લખી છે. માર્ક્વેઝ અને તેમના સાહિત્યમાં રસ પડતો હોય તો આ પુસ્તક વાંચી જવા જેવું છે.
ધેર ઇઝ નો ગ્રેટર મિસફોર્ચ્યુન ધેન ડાઇંગ અલોન. 'મેમરીઝ ઓફ માય મેલેન્કલી વ્હોર્સ'નો પેલો વયોવૃદ્ધ નાયક કહે છે કે મરતી વખતે તમે સાવ એકાકી હો તો એના કરતાં મોટું દુર્ભાગ્ય બીજું કોઈ નથી. જીવનના અંતિમ તબક્કે માર્ક્વેઝ પાસે સર્જક સંતોષ,ચાહકોની સદ્ભાવના અને પરિવાર આ બધું જ હતું. માર્ક્વેઝ એ રીતે નસીબદાર હતા.

Friday, April 25, 2014

મલ્ટિપ્લેક્સ: શબ્દ, સ્ક્રીન અને સંબંધો

Sandesh - Sanskar Purty - 20 April 2014

મલ્ટિપ્લેક્સ
'ટુ સ્ટેટ્સ'ના સેલિબ્રિટી લેખક ચેતન ભગત પોતાના પિતાને આજેય પૂરેપૂરા માફ કરી શક્યા નથી. હા, તેમના દિલમાં હવે પહેલાં જેવાં ક્રોધ અને નફરત રહ્યાં નથી. એવું તે શું બની ગયું કે બાપ-દીકરાના સંબંધની ગૂંચ હજુ સુધી ઉકેલાઈ નથી?



ચે તન ભગત માત્ર આઈઆઈટી એન્જિનિયર-ટર્ન્ડ-આઈઆઈએમ ગ્રેજ્યુએટ-ટર્ન્ડ-બેસ્ટસેલર અંગ્રેજી નોવેલિસ્ટ-ટર્ન્ડ- કોલમિસ્ટ-ટર્ન્ડ- મોટિવેશનલ સ્પીકર નથી. આ વર્સેટાઈલ મહાશય ફિલ્મી હસ્તી પણ છે. તેઓ ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ લખે છે. જેમની તમામ નવલકથાઓ પરથી હિન્દી ફિલ્મો બની ચૂકી હોય અથવા બની રહી હોય તેવા આ એકમાત્ર ભારતીય લેખક છે. પહેલી નવલકથા 'ફાઈવ પોઇન્ટ સમવન' પરથી 'થ્રી ઈડિયટ્સ' બની (તેલુગુ અને તમિલમાં એની રિમેક પણ બની છે), 'વન નાઈટ એટ કોલ સેન્ટર' પરથી 'હેલો' બની, 'થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ' પરથી 'કાઈ...પો છે' બની. 'ટુ સ્ટેટ્સ' પરથી બનેલી આ જ ટાઇટલવાળી ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ. હવે પાંચમી નોવેલ 'રિવોલ્યુશન ૨૦૨૦' પરથી રાજકુમાર ગુપ્તા ફિલ્મ બનાવવાની તજવીજ કરી રહ્યા છે.
'હેલો' ફિલ્મ સૌથી પહેલી આવી હતી. એમાં સલમાન ખાન જેવો સુપરસ્ટાર હોવા છતાંય ફિલ્મ ખરાબ રીતે પિટાઈ ગઈ હતી. સુપરડુપર હિટ 'થ્રી ઈડિયટ્સ' વખતે ચેતન ભગતને વ્યવસ્થિત ક્રેડિટ આપવાના મામલામાં મોટો વિવાદ પેદા થઈ ગયો હતો. ખેર, સમયની સાથે બિનજરૃરી બાબતો ભુલાઈ જતી હોય છે અને પ્રોજેક્ટનું સત્ત્વ જ ટકી રહેતું હોય છે. 'થ્રી ઈડિયટ્સ' એક ઈમ્પોર્ટન્ટ ફિલ્મ છે. નવલકથા કરતાં ખાસ્સી જુદી હોવા છતાં ચેતન ભગતનું નામ તેની સાથે હંમેશાં જોડાયેલું રહેવાનું.    
'કાઈ... પો છે' વખતે ચેતન ભગત શરૃઆતથી સતર્ક રહ્યા હતા. આ ફિલ્મ પહેલાં ફરહાન અખ્તર પ્રોડયુસ કરવાનો હતો. સુશાંતસિંહ રાજપૂતવાળો મેઈન રોલ પણ એ જ કરવાનો હતો. લાંબા સમય સુધી અસ્પષ્ટતા રહી. આખરે પ્રોજેક્ટ યુટીવી મોશન પિક્ચર્સના હાથમાં આવ્યો. ફિલ્મ વખણાઈ અને હિટ પુરવાર થઈ. ઘણાંને ફિલ્મ પુસ્તક કરતાંય વધારે અસરકારક લાગી. બેસ્ટ સ્ક્રીનપ્લે માટે ચેતન ભગતને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.



'ટુ સ્ટેટ્સ'માં ચેતન ભગતના જીવનની કેટલીક અસલી વિગતો ઝિલાઈ છે. જેમ કે, મુખ્ય કિરદારોની જેમ ચેતન પંજાબી છે અને એમની પત્ની અનુશા તામ-બ્રામ (તમિલ બ્રાહ્મણ) છે. ઓપોઝિટ એટ્રેક્ટસવાળી થિયરી ચેતન આનંદ અને અનુશાના કેસમાં એકદમ લાગુ પડે છે. સીધાસાદા ટિપિકિલ તમિલ પરિવારમાંથી આવતી અનુશાને પંજાબી કલ્ચરમાં રહેલું ખુલ્લાપણું અને એક્સાઈટમેન્ટનું તત્ત્વ ગમી ગયું. સામે પક્ષે, અનુશાની કૌટુંબિક સ્થિરતા ચેતનને આકર્ષી ગઈ. ચેતનનું ખુદનું પારિવારિક જીવન ખૂબ તકલીફવાળું રહ્યું છે. એણે નાનપણમાં માતા-પિતા વચ્ચે સતત ખટરાગ જોયો છે. પિતાનો સ્વભાવ જોહુકમીભર્યો. ચેતન સાવ નાના હતા ત્યારે તો બહુ સમજાતું નહીં, પણ ટીનેજર થયા પછી લાગવા માંડયું કે પિતા તરફથી માને ખૂબ અન્યાય થયો છે. માને પિયર જવા ન મળે. નાની નાની વસ્તુઓ કે જેમાં માને ખુશી મળતી હોય તે કરવા ન મળે. માએ કુટુંબ માટે અને સાસરિયાંઓ માટે જાત ઘસી નાખી હતી, પણ પિતાએ એની કદર ન કરી.
આ ચેતન ભગતનું વર્ઝન છે. મા સાથે સંતાનનો ગર્ભનો સંબંધ છે. મા પ્રત્યે એને કુદરતી રીતે જ વધારે ખેંચાણ હોવાનું. સંતાનને સામાન્યપણે માની ભૂલો જલદી દેખાતી નથી ને પિતાની ભૂલોને એ માફ કરી શકતો નથી. ચેતનનો પિતા પ્રત્યે અણગમો વધતો ગયો. તેઓ વિદ્રોહી બનતા ગયા. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે ચેતનનાં મા-બાપે આખરે અલગ થઈ જવું પડયું, પણ ચેતનનો બાપ પ્રત્યેનો અભાવ ઘટયો નહીં. એ કહે છે, "મારા પર એટલી હદે અસર થઈ ગઈ હતી કે મેં વિચારી લીધું હતું કે જિંદગીમાં ક્યારેય બચ્ચાં પેદા નહીં કરું, ક્યારેય બાપ નહીં બનું. આ ડર જોકે પછી જતો રહ્યો અને આજે હું સરસ મજાના જોડિયા દીકરાઓનો પ્રાઉડ પાપા છું."
બાપ-દીકરાના વણસેલા સંબંધોનો રંગ ચેતન ભગતની બધી નવલકથાઓમાં ઊતર્યો છે. એમના તમામ હીરોના પિતા સાથેનો સંબંધ તંગ અને એબ્નોર્મલ હોય છે. ચેતન ભગત ઉમેરે છે, "હું 'ટુ સ્ટેટ્સ'ને હીરો-હિરોઈનની લવસ્ટોરી કરતાં બાપ-દીકરાના સંબંધની વાર્તા તરીકે વધારે જોઉં છું. આ નવલકથા લખવાના બે હેતુ હતા. એક તો, મારા પિતાજીનું બેકગ્રાઉન્ડ, એમની પર્સનાલિટી જેવી છે તેવી શું કામ છે તે મારે સમજવું હતં અને બીજું, મારે એમને માફ કરવા હતા. બહુ કઠિન હતું એમને માફી આપવી, પણ 'ટુ સ્ટેટ્સ' લખવાની પ્રક્રિયાને લીધે મને થોડી રાહત જરૃર મળી. ખેર, એમને પૂરેપૂરી માફ તો હજુય કરી શક્યો નથી, પણ કમ સે કમ હવે મારી અંદર ક્રોધ અને ધિક્કાર નથી રહ્યા. મારા ફાધર પ્રત્યે નિર્લેપ થઈ જવાનું મને આવડી ગયું છે. મારી માને મેં મુંબઈમાં ઘર લઈ આપ્યું છે. અત્યાર જેટલી ખુશ મેં એને ક્યારેય જોઈ નથી."


'ટુ સ્ટેટ્સ' ફિલ્મના હીરો અર્જુન કપૂરની કહાણી પણ ચેતન ભગતને મળતી આવે છે. અર્જુન નાનો હતો ત્યારે પિતા બોની કપૂરે બીજું ઘર કર્યું હતું. પત્ની મોના અને બન્ને સંતાનોને ત્યજીને તેઓ શ્રીદેવીને પરણી ગયા. તીવ્ર વેદના અને સંઘર્ષનાં વર્ષો હતાં એ. મોનાને સાસરિયાંઓનો પૂરો સપોર્ટ હતો. એણે સ્વાભિમાનપૂર્વક બન્ને બાળકોને એકલે હાથે સરસ ઉછેર્યાં. કમનસીબે અર્જુનની પહેલી ફિલ્મ 'ઈશકઝાદે' રિલીઝ થાય તે પહેલાં જ એનું એમનું મૃત્યુ થઈ ગયું. દીકરાને હીરો બનતા એ જોઈ ન શકી. મોનાએ ખરીદેલી 'ટુ સ્ટેટ્સ' નવલકથાની કોપી આજેય અર્જુનના ઘરમાં પડી છે. 'ટુ સ્ટેટ્સ' ફિલ્મ બની રહી હતી ત્યારે એના નાયક અને પિતા વચ્ચેના તંગદિલીભર્યા સંબંધને, એ પીડાને, એ કુંઠિત થઈ ગયેલી લાગણીઓને અને અધૂરી રહી ગયેલી અપેક્ષાઓને અર્જુન બહુ સારી રીતે સમજી શકતો હતો, એની સાથે આઈડેન્ટિફાય કરી શકતો હતો.
ચેતન ભગતની કૃતિઓમાં રમૂજતત્ત્વ ઊભરીને બહાર આવે છે, ઓડિયન્સને એમાં મજા પડી જાય છે, પણ આ રમૂજ અને કોમેડીની પાછળની પીડા ક્યારેક અણદેખી રહી જતી હોય છે.

શો-સ્ટોપર

હિન્દી ફિલ્મો ભલે બકવાસ હોય, પણ તેનાથી રોજ-બ-રોજના જીવનમાં આપણા કાને જે એકધારો બકવાસ પડે છે તેમાંથી થોડી વાર માટે મુક્તિ તો મળે જ છે.
- ચેતન ભગત

Monday, April 14, 2014

મલ્ટિપ્લેક્સ : ફ્રોમ સ્ટુડન્ટ વિથ લવ

Sandesh - Sanskaar Purty - 13 April 2014

મલ્ટિપ્લેક્સ 

નાનપણમાં તીવ્રતાથી ઝિલાયેલા સંસ્કારો આખા જીવનનો નકશો ઘડી નાખતા હોય છે. તાજેતરમાં રિલીઝ થયેલી 'નોઆહઅને મલ્ટિપલ ઓસ્કર નોમિનેટેડ 'બ્લેક સ્વાન'ના પ્રતિભાશાળી ડિરેક્ટર ડેરેન અરોનોફ્સ્કીના કિસ્સામાં આ વાત કેવી રીતે સાચી પડી?

Darren Aronofsky

હોલિવૂડમાં એક તેજસ્વી નામ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેજીથી ઊપસી આવ્યું છે- ડેરેન અરોનોફ્સ્કી. તાજેતરમાં ભારત સહિત દુનિયાભરમાં રિલીઝ થયેલી અને ઇન્સ્ટન્ટ હિટ ઘોષિત થયેલી 'નોઆહ' ફિલ્મના એ ડિરેક્ટર. 'નોઆહ' આ વર્ષની મોસ્ટ-અવેઇટેડ ફિલ્મોમાંની એક છે. આમેય રસેલ ક્રો જેવો બબ્બે વાર બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી ચૂકેલો અદાકાર જેમાં કામ કરતો હોય તે ફિલ્મ આપોઆપ હાઈ પ્રોફાઇલ બની જવાની. વળી, ફિલ્મનો વિષય બાઈબલની એક કહાણી પર આધારિત હોવાથી ઓડિયન્સ અને ઈન્ડસ્ટ્રી બન્નેની ઉત્કંઠા વધી ગયેલી.
શું છે 'નોઆહ'માં? સૃષ્ટિ પર એટલી અંધાધૂંધી ફેલાઈ ગઈ છે કે સર્જનહાર પોતાના જ સર્જનથી નાખુશ છે. તેઓ સઘળું ભૂંસીને, નષ્ટ કરીને એકડે એકથી શરૂ કરવા માગે છે. નોઆહ નામનો પુરુષ, જે સર્જનહાર સાથે કમ્યુનિકેટ કરી શકે છે, એ એક વિરાટ વહાણ બનાવે છે. પ્રલય વખતે નોઆહને પાગલ ગણતાં ગામવાસીઓ અને પશુપક્ષીઓ નર-માદાની જોડીમાં વહાણ પર સવાર થઈ જવાથી બચી જાય છે અને ક્રમશઃ સૃષ્ટિનો ક્રમ આગળ વધે છે. અમુક લોકો 'નોઆહ'ને '૨૦૧૨' પ્રકારની ડિઝાસ્ટર મૂવિ તરીકે જુએ છે, તો અમુક એને પર્યાવરણની કટોકટી વિશેની ફિલ્મ તરીકે મૂલવે છે. નોઆહની કથા પરથી 'ઈવાન ઓલમાઈટી' નામની મોડર્ન સેટઅપમાં બનેલી કોમેડી ફિલ્મ તમે કદાચ જોઈ હશે. આ ફિલ્મ જોકે ફ્લોપ થઈ હતી. 'નોઆહ'ની ખૂબ તારીફ થઈ છે, થોડી ઘણી ટીકા અને વિવાદ પણ થયાં છે, પણ એક વાત સૌએ સ્વીકારવી પડી છે કે ડેરેન અરોનોફ્સ્કી એક સુપર ટેલેન્ટેડ વર્સેટાઈલ ફિલ્મમેકર છે.

Darren Aronofsky with Russel Crow on the set of Noah

૪૫ વર્ષીય ડેરેન અરોનોફ્સ્કીએ ફિલ્મ સ્કૂલમાં રીતસર ફિલ્મમેકિંગની ટ્રેનિંગ લીધી છે. એમની પહેલી જ ફિલ્મ 'પાઈ'એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એમણે બનાવેલી છએ છ ફિલ્મોમાં તેમની નિશ્ચિત સિનેમેટિક લેંગ્વેજ અને ખુદની પર્સનાલિટીની સજ્જડ છાપ દેખાય છે. કોઈ ડિરેક્ટરની કરિયરની પહેલી છ ફિલ્મોમાં કામ કરનાર ચચ્ચાર એક્ટરો ઓસ્કર નોમિનેશન સુધી પહોંચી જાય એટલે દુનિયાભરના અદાકારો તેમના તરફ સ્વાભાવિકપણે આકર્ષાવાના. આ ચાર એક્ટર્સ એટલે એલને બર્સ્ટીન ('રિક્વિમ ફોર અ ડ્રીમ'માટે), મિકી રુર્કી અને મારીઆ ટોમેઈ (બન્નેને 'ધ રેસ્લર' માટે) અને નેટલી પોર્ટમેન ('બ્લેક સ્વાન' માટે). નેટલી તો ૨૦૧૦માં બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કાર જીતી ગઈ હતી.
ડેરેન અરોનોફ્સ્કીનાં પાત્રોમાં કોઈ ને કોઈ વાતનું લગભગ પાગલપણાની કક્ષાનું ઓબ્સેશન હોય છે. આ પાત્રો સતત કશાકની શોધમાં હોય છે. 'પાઈ'ના નાયકને બ્રહ્માંડનો ભેદ શોધવો છે, 'ધ ફાઉન્ટન'માં ભૂતકાળ અને ભવિષ્યકાળને જીવતાં કરવાની મથામણ છે, 'રિક્વિમ ફોર ધ ડ્રીમ'માં પાત્રો એવા યુટોપિયાની શોધમાં છે કે જ્યાં ફક્ત સુખ અને ખુશાલી હોય, જ્યારે 'બ્લેક સ્વાન'ની નેટલી પોતાની ક્રિએટિવિટીના ઉચ્ચતમ સ્તર પર પહોંચીને પોતાના નૃત્યમાં પરફેક્શન શોધે છે.

Derren Aronofsky with Natalie Portman on the sets of Black Swan 

ડેરેન લખી લખીને ફિલ્મમેકર બન્યા છે. 'નોઆહ' સાથે સંકળાયેલો એક સરસ કિસ્સો ડેરેન એક ઇન્ટરવ્યૂ દરમિયાન યાદ કરે છે, "હું સ્કૂલમાં હતો ત્યારે મારાં એક ટીચર હતાં, મિસિસ Vera Fried નામનાં. મારા પર એમની ખૂબ અસર છે. મને યાદ છે, સાતમા ધોરણમાં હતો ત્યારે એક વાર ક્લાસમાં આવીને એમણે કહ્યું: છોકરાંવ, નોટ કાઢો, પેન લો અને 'શાંતિ' વિષય પર એક કવિતા લખો. મને શું સૂઝ્યું કે મેં નોઆહ વિશે કવિતા લખી. પછી ખબર પડી કે યુનાઈટેડ નેશન્સે યોજેલી કોઈ સ્પર્ધાના ભાગરૂપે ટીચરે અમારી પાસે આ લખાવ્યું છે. જોગાનુજોગ હું એમાં ફર્સ્ટ આવ્યો. પછી મેં યુનાઈટેડ નેશન્સના ઓડિટોરિયમમાં એનું પઠન પણ કર્યું. ટીચરે તે વખતે કહેલું: વેરી ગૂડ, ડેરેન. મોટો થઈને તું લેખક બને ત્યારે તારી પહેલી ચોપડી મને અર્પણ કરજે."
બાર-તેર વર્ષના છોકરા માટે આ બહુ મોટી વાત કહેવાય. એ માંડયો કવિતાઓ અને વાર્તાઓ લખવા. એમના હાથમાંથી કલમ અને કી-બોર્ડ એ પછી ક્યારેય ન છૂટયાં. મોટા થઈને ફિલ્મડિરેક્ટર-રાઇટર બન્યા બાદ 'નોઆહ' પર કામ કરવાનું શરૂ થયું ત્યારે ડેરેનને સ્ક્રિપ્ટ પરથી ગ્રાફિક નોવેલ બનાવવાનો વિચાર આવ્યો. પોતાનાં ટીચરે કહેલી વાત યાદ કરીને ડેરેને નક્કી કરી લીધું કે આ ગ્રાફિક નોવેલ હું ખરેખર મિસિસ ફ્રીડને અર્પણ કરીશ. સવાલ એ હતો કે આટલાં વર્ષો પછી હવે એને શોધવાં ક્યાં? ડેરેનનાં મમ્મી નિવૃત્ત ટીચર છે. એમણે પોતાનાં સંપર્કો કામે લગાડીને રિટાયરમેન્ટ માણી રહેલાં મિસિસ ફ્રીડને શોધી કાઢયાં. પોતાનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ, જે હવે સેલિબ્રિટી ફિલ્મમેકર બની ગયો હતો, તેણે આ રીતે યાદ કર્યાં એટલે ટીચર રાજીના રેડ થઈ ગયાં.

With school teacher Vera Fried

"ટીચરને પછી અમે 'નોઆહ'ના સેટ પર પણ ખાસ તેડાવ્યાં હતાં," ડેરેન કહે છે, "ત્યાં સૌની વચ્ચે પેલી ગ્રાફિક નોવેલ તેમને અર્પણ કરી. એટલું જ નહીં, રસેલ ક્રો સાથે એક સીન પણ કરાવ્યો. ટીચરને અમે એક આંખવાળી ચુડેલનો રોલ આપ્યો છે. ફિલ્મમાં આ સીન છે!"
આ અનુભવ પછી મિસિસ ફ્રીડનું આયુષ્ય નક્કી એક વર્ષ વધી જવાનું એ તો નક્કી! એ હવે હરખાઈને સૌને કહે છે કે જે છોકરાને મેં સ્કૂલમાં ભણાવ્યો હતો એણે મને બિગ બજેટ ફિલ્મમાં આવડા મોટા હીરો સાથે એક્ટિંગ કરવાની તક આપીને મારી જિંદગી સુધારી નાખી! "હકીકત એ છે કે મિસિસ ફ્રીડે મારી લાઇફ બનાવી છે," ડેરેન કહે છે, "તે દિવસે જો એમણે મારી પાસે નોઆહની કવિતા લખાવી ન હોત અને પ્રોત્સાહન આપીને લખતો કર્યો ન હોત તો હું કદાચ ફિલ્મમેકર બન્યો ન હોત!"


Darren directing his school teacher Vera Fried on the set of Noah

નાનપણમાં તીવ્રતાથી ઝિલાયેલા સંસ્કારો આખા જીવનનો નકશો ઘડી નાખતા હોય છે. ડેરેનની મોટી બહેન હાઈસ્કૂલમાં ભણતી હતી ત્યારે બેલે ડાન્સિંગના ક્લાસ કરતી. નાનકડો ડેરેન જોતો કે બહેન આમાં ખૂબ મહેનત કરી રહી છે. થોડાં વર્ષ પછી જોકે એણે બેલેના ક્લાસમાં જવાનું બંધ કરી દીધું, પણ ડેરેનના મનના કોઈક ખૂણે બહેનનો ડાન્સ, પગની આંગળીઓની ટોચ પર આખું શરીર ઊંચકીને થતી કલાત્મક અંગભંગિમાઓ, એ માહોલ વગેરે અંકિત થઈ ગયું હતું. આ બધું 'બ્લેક સ્વાન'માં કમાલની ખૂબસૂરતીથી બહાર આવ્યું. આ અદ્ભુત ફિલ્મને બેસ્ટ ડિરેક્શન સહિતનાં પાંચ-પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં. અગાઉ નોંધ્યું છે તેમ, દિમાગ ચકરાવી મૂકે એવું ગજબનાક પરફોર્મન્સ આપીને નેટલી પોર્ટમેન બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર જીતી ગઈ. ડેરેને નાનપણમાં બહેનને બેલે ડાન્સિંગ કરતાં જોઈ ન હોત તો કદાચ આવી યાદગાર ફિલ્મ બનાવી શક્યા હોત કે કેમ તે સવાલ છે.
દિમાગના પટારામાંથી બાળપણની કઈ સ્મૃતિ કેવી રીતે બહાર આવશે ને કેવો ચમત્કાર કરી દેખાડશે એની આપણને ક્યાં ખબર હોય છે!
શો-સ્ટોપર

"જિંદગી જીવવાની દિશા આપણા પેશન તરફની હોવી જોઈએ. આ રીતે જીવવાથી બીજાઓને દોષ દેવાનો વારો નથી આવતો,કેમ કે સારું-ખરાબ જે કંઈ પરિણામ આવે તે માટે જવાબદાર આપણે જ હોઈએ છીએ. સો જસ્ટ ફોલો યોર પેશન!"
- ડેરેન અરોનોફ્સ્કી

Friday, April 11, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ: ફિલ્મ ૬૮ : અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર : મૈં તો દીવાની...

Mumbai Samachar - Matinee - 11 April 2014 

હૉલીવૂડ હન્ડ્રેડ


હિંસક શેડ્ઝ ધરાવતાં રફ પુરુષ પાત્રો હોલીવૂડના પડદા પર અગાઉ ઘણાં આવેલાં, પણ એક્ટરો જાણે ડરતા ડરતા, બ્રેક મારી મારીને, સાચવી સાચવીને અભિનય કરતા. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’માં કરેલા માર્લોેન બ્રાન્ડોના બિન્ધાસ્ત, રૉ, આગની જ્વાળા જેવો હિંસક અને પ્રામાણિક અભિનયે એક નવી શૈલી, નવો પ્રવાહ પેદા કર્યો. બ્રાન્ડોના ચાહકો માટે આ ફિલ્મ મસ્ટ-સી છે.

ફિલ્મ ૬૮ : અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર





ભિનય, ડિરેક્શન યા તો સિનેમાનાં બીજા કોઈ પણ પાસાં પર સજ્જડ છાપ છોડી જતી અને નવો પ્રવાહ પેદા કરી શકતી ફિલ્મો હંમેશાં મૂઠી ઊંચેરી હોવાની. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ આ કક્ષાની ફિલ્મ છે, જેમાં માર્લોેન બ્રાન્ડોએ અભિનયની નવી ભાષા દુનિયા સામે મૂકી. 

ફિલ્મમાં શું છે?

અમેરિકાના ન્યુ ઓર્લિઓન્સની આ વાત છે. ફિલ્મની શરૂઆતમાં જ ભરજુવાની વટાવી ચુકેલી એક મધ્યવયસ્ક સ્ત્રી રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ઊતરે છે. એનું નામ બ્લાન્ચ (વિવિઅલ લી) છે. પ્રમાણમાં ગ્લેમરસ કહી શકાય તેવાં કપડાં પહેર્યાં છે. થોડી ગભરાયેલી દેખાય છે. એક ટેક્સીવાળાને કાગળની ચબરખીમાં લખેલું સરનામું બતાવે છે. પેલો કહે છે: સામે એક ટ્રામ (સ્ટ્રીટકાર) આવશે. એના પર ‘ડિઝાયર’ (સ્ટેશનનું નામ) લખ્યું હશે. તેમાં ચડી જજો. સરનામું બ્લાન્ચની નાની બહેન સ્ટેલા (કિમ હન્ટર)નું છે. મોટી બેગ ઊંચકીને બ્લાન્ચ એના ઘરે પહોંચે છે. નિમ્ન મધ્યમવર્ગીય વસ્તીમાં બે માળના બેઠા ઘાટના મકાનમાં ઉપલા માળે મકાનમાલિક અને ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેલા એના વર સાથે રહે છે. બ્લાન્ચને થાય છે કે અરેરે, મારી બેનનું ઘર સાવ આવું? 



બન્ને બહેનો વર્ષો પછી મળી હતી એટલે સ્ટેલા બ્લાન્ચને જોઈને રાજી રાજી થઈ જાય છે. સ્ટેલાનો પતિ સ્ટેન્લી (માર્લોેન બ્રાન્ડો) સ્વભાવનો માથા ફરેલો આદમી છે. શાલીનતા, સભ્ય વ્યવહાર, સ્ત્રીઓનું સન્માન આવું બધું એ શીખ્યો જ નથી. વાત વાતમાં એની કમાન છટકે. ચીજવસ્તુઓના છુટ્ટા ઘા કરે. પત્ની પર હાથ પણ ઉપાડી લે. સ્ટેલા રડતી કકળતી ઉપર મકાનમાલિક મહિલા પાસે જતી રહે. સ્ટેન્લી જંગલી છે, સોફિસ્ટિકેશન સાથે એને કોઈ લેવાદેવા નથી, પણ એના વ્યક્તિત્વમાં એક ગજબની ચુંબકીય આભા અને કામુક આકર્ષણ છે. સ્ટેલા સાથે એ જનાવરની જેમ વર્તશે, પણ પછી ગુસ્સો ઊતરતાં હિબકાં ભરવાં લાગશે, સ્ટેલાની માફી માગશે. વારે વારે બાખડતાં રહેતાં પતિ-પત્નીને એકબીજા વગર ચાલતું નથી. એકમેક પ્રત્યે અદમ્ય ખેંચાણ હોવાથી તેમના ઝઘડાનો અંત હંમેશાં ‘ગ્રેટ સેક્સ’માં આવે છે. 

સ્ટેલા વરને વિનંતી કરે છે કે તું પ્લીઝ મારી બહેન સાથે સારી રીતે વર્તજે, બિચારીનું મારા સિવાય દુનિયામાં બીજું કોઈ નથી. સ્ટેન્લીને કુતૂહલ છે કે બ્લાન્ચનું ચક્કર શું છે? ધીમે ધીમે બ્લાન્ચની કુંડળી ખૂલતી જાય છે. બન્ને બહેનોને વારસામાં પુષ્કળ જમીન અને ખેતવાડી મળી હતી, પણ કોઈક કારણસર બધી પ્રોપર્ટી બ્લાન્ચના હાથમાંથી જતી રહી છે. સ્ટેન્લીને શંકા છે કે બ્લાન્ચ ખોટું બોલે છે. એ બધા પૈસા દબાવીને બેઠી છે. બ્લાન્ચનાં લગ્ન નાની ઉંમરે થઈ ગયાં હતાં, પણ એના વરની મર્દાનગી ઓછી પડી. બ્લાન્ચનાં મેણાંટોણાંથી ત્રાસીને એણે સાવ કાચી ઉંમરે આત્મહત્યા કરી નાખી હતી. સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી બ્લાન્ચે પછી કેટલાય પુરુષો સાથે સંબંધ બાંધ્યા. હદ ત્યારે થઈ જ્યારે એણે પોતાના જ સત્તર વર્ષના વિદ્યાર્થી પર નજર બગાડી. એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી. આથી તેણે બહેન સ્ટેલાના ઘરે કાયમી ધોરણે ધામા નાખ્યા હતા. 



સ્ટેન્લીને પત્તાં રમવાનો શોખ છે. એના ઘરે જુગાર રમવા આવતા દોસ્તારોમાં એક મિચ (કાર્લ માલ્ડન) પણ છે. બીજાઓની તુલનામાં એ જરા જેન્ટલમેન છે. બ્લાન્ચ અને મિચ એકમેક પ્રત્યે આકર્ષાય છે, પણ એમની લવસ્ટોરી આગળ વધતા પહેલાં જ ટાંય ટાંય ફિસ્સ થઈ જાય છે. મિચના કાને બ્લેન્ચના કેરેક્ટર વિશે જાતજાતની વાતો પડે છે. એ બ્લાન્ચને રિજેક્ટ કરીને જતો રહે છે. બ્લાન્ચની માનસિક સ્થિતિ ક્રમશ: વધારે ને વધારે બગડતી જાય છે. એના પોતાના વિશેના ભ્રમ વધારે તીવ્ર બનતા જાય છે. સ્ટેન્લી એને સતત અપમાનિત કરતો રહે છે. પ્રેગનન્ટ સ્ટેલાને વેણ ઊપડતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ડિલીવરી બીજા દિવસે થવાની છે એટલે સ્ટેન્લી રાત્રે ઘરે આવતો રહે છે. ઘરમાં એ અને બ્લાન્ચ એકલાં છે. જે વાતનો ડર હતો તે થઈને રહે છે. બ્લાન્ચ ખુદને બચાવવાની ખૂબ કોશિશ કરે છે, પણ સ્ટેન્લી પર હેવાનિયત સવાર થઈ છે. 

પછી શું થાય છે? બ્લાન્ચનું આખરે શું થયું? સ્ટેલાને જ્યારે ખબર પડે છે કે એના વરે પોતાની સગી બહેન પર બળાત્કાર કર્યો છે ત્યારે એની શી પ્રતિક્રિયા આવે છે? હજુય એ પતિને પ્રેમ કરતી રહે છે? હવે બાળક જન્મી ગયું હોવાથી એણે લાચાર થઈને ઘરસંસાર ચલાવતા રહેવું પડે છે? કે પછી, એનામાં પતિને છોડવાની હિંમત આવે છે?

કથા પહેલાંની અને પછીની

‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ મૂળ તો પુલિત્ઝર પ્રાઈઝ વિનિંગ નાટક. બ્રોડવે પર એલિયા કાઝને તે ડિરેક્ટ કરેલું. ડિસેમ્બર ૧૯૪૭માં તે ઓપન થયું પછી તેના ૮૫૫ શોઝ થયા હતા. નાટકના શુભારંંભના ચાર વર્ષ બાદ એના પરથી ફિલ્મ બની. સામાન્યપણે નાટક પરથી ફિલ્મ બને ત્યારે બધ્ધેબધ્ધા કલાકારો બદલી જતા હોય છે, પણ ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ નાટકના નવ કલાકારોેને સીધા કાસ્ટ કરી લેવામાં આવ્યા હતા. ડિરેક્ટર એલિયા કાઝન પણ એ જ. આવું ભાગ્યે જ બનતું હોય છે. માર્લોેન બ્રાન્ડો, કિમ હન્ટર અને કાર્લ માલ્ડન ત્રણેયે નાટકમાં પણ અનુક્રમે સ્ટેન્લી, સ્ટેલા અને મિચની ભૂમિકાઓ કરેલી. 



બ્લાન્ચની ભૂમિકા માટે વિવિઅન લીની વરણી કરવામાં આવી, કારણ કે ફિલ્મમાં કમસે કમ એક સ્ટાર એટ્રેક્શન તો હોવું જોઈએ. સુપરહિટ ‘ગોન વિથ ધ વિન્ડ’માં સ્કારલેટ ઓ’ હારાનો રોલ નિભાવીને વિવિયન લી મોટી હસ્તી બની ગઈ હતી. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’થી એ સાવ અજાણી પણ નહોતી. નાટકના લંડનમાં શો થયેલા ત્યારે બ્લાન્ચનું પાત્ર સ્ટેજ પર વિવિયન લીએ જ ભજવેલું. નાટકનું ડિરેક્શન એના તે વખતના પતિ લોરેન્સ ઓલિવિઅરે કરેલું. વિવિયને વર્ષો પછી સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એલિયા કાઝને ફિલ્મના શૂટિંગ દરમિયાન ડિરેક્શન આપેલું એના કરતાં મારા એક્સ-હસબન્ડનું નાટકનું ડિરેક્શન મને વધારે ઉપયોગી બન્યું હતું. વિવિયન લી અસલી જીવનમાં બાયપોલર ડિસઓર્ડરનો ભોગ બની હતી અને શૂટિંગ વખતે ઘણી વાર રીલ અને રિઅલ વચ્ચેનો ભેદ ભૂલી જતી એવું કહેવાય છે. 



આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ બની રહી હતી ત્યારે માર્લોેન બ્રાન્ડો હજુ માર્લોન બ્રાન્ડો નહોતા બન્યા. તેથી જ ક્રેડિટમાં એમનું નામ વિવિયન લી પછી મુકાયું છે. આ ફિલ્મમાં બ્રાન્ડોએ આપેલું પર્ફોેર્મન્સ હોલીવૂડના ઈતિહાસનાં સૌથી પ્રભાવશાળી પર્ફોેર્મન્સીસમાંનું એક ગણાય છે. અગાઉ હિંસક શેડ્ઝ ધરાવતાં રફ પુરુષ પાત્રો ફિલ્મી પડદા પર ઘણાં આવેલાં, પણ એક્ટરો જાણે ડરતાં ડરતાં, બ્રેક મારી મારીને, સાચવી સાચવીને અભિનય કરતા. માર્લોેન બ્રાન્ડોએ જે રીતે સ્ટેન્લીનું કિરદાર ભજવ્યું તે જોઈને સૌ ચકિત થઈ ગયા. આટલો બિન્ધાસ્ત, રૉ, આગની જ્વાળા જેવો હિંસક અને પ્રામાણિક અભિનય અગાઉ હોલીવૂડના કોઈ એક્ટરે નહોતો કર્યો. માર્લોેન બ્રાન્ડોના ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ના અભિનયે એક નવી શૈલી, નવો પ્રવાહ પેદા કર્યો. જેક નિકલસન, શૉન પેન જેવા પછીની પેઢીના એક્ટરો પર બ્રાન્ડોનાં આ પર્ફોેર્મન્સની તીવ્ર અસર છે.

વક્રતા જુઓ, આ ફિલ્મ માટે માર્લોેન બ્રાન્ડોને ઓસ્કર ન મળ્યો, પણ ફિલ્મનાં બાકીના ત્રણેય મુખ્ય અદાકાર - વિવિયન લી, કિમ હન્ટર અને કાર્લ માલ્ડન - પોતપોતાની કેટેગરીમાં ઓસ્કર તાણી ગયાં! બેસ્ટ એક્ટરનો ઓસ્કર તે વર્ષે ‘ધ આફ્રિકન ક્વીન’ માટે હમ્ફ્રી બોગર્ટને મળ્યો હતો. માર્લોેન બ્રાન્ડો જેવો સુપર એક્ટર ફિલ્મમાં હોવા છતાં ફિલ્મના બાકીના અદાકારો ઢંકાઈ જવાને બદલે એટલી જ ખૂબસૂરતીથી ઊભરી શક્યા તે રાઈટર-ડિરેક્ટરની કમાલ ગણાય. અભિનયની ચારમાંથી ત્રણ કેટેગરીના ઓસ્કર એક જ ફિલ્મના એક્ટરો જીતી ગયા હોય એવું ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’માં પહેલી વાર બન્યું. પછી છેક્ પચ્ચીસ વર્ષે, ૧૯૭૬માં, ‘નેટવર્ક’ ફિલ્મમાં આ સ્થિતિ રીપીટ થઈ. 



નાટક પરથી ફિલ્મ બનાવતી વખતે વાર્તામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. સૌથી પહેલો ફેરફાર એ હતો કે બ્લાન્ચના પતિને નાટકમાં હોમોસેક્સ્યુઅલ બતાવવામાં આવ્યો હતો, પણ ફિલ્મમાં આ વાત ગાળી નાખવામાં આવી છે. નાટકમાં સગી બહેન પર રેપ કરનાર પતિને સ્ટેલા છોડતી નથી. નાટકનું અંતિમ વાક્ય એવું છે કે ‘સ્ટેન્લી સ્ટેલાની બાજુમાં બેઠો અને એની આંગળીઓ સ્ટેલાનાં બ્લાઉઝનાં બટનો ખોલવા લાગી.’ ફિલ્મમાં મોરલ કોડ-ઓફ-ક્ધડક્ટની ચિંતા કરવી પડે તેમ હતી એટલે સ્ટેલા વરને છોડીને બચ્ચાં સાથે જતી રહેતી બતાવવામાં આવે છે. જોકે આ બદલાયેલા અંતને કારણે ધાર્યો પંચ આવતો નથી. મૂળ લેખક ટેનેસી વિલિયમ્સને પણ ફિલ્મ તો પસંદ પડી હતી, પણ અંત અસરહીન લાગ્યો હતો. નાટકનો એન્ડ ઘણો વધારે ધારદાર હતો.

આખી ફિલ્મનું શૂટિંગ ૩૬ દિવસમાં પૂરું થઈ ગયું હતું. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ રિલીઝ થઈ ત્યારે વિવાદો થવા સ્વાભાવિક હતા. લોકોનું, ખાસ કરીને રિવ્યુઅર્સનું કહેવું હતું કે આવાં નીતિ મૂલ્યો વિહોણાં ઘૃણાસ્પદ પાત્રોને ગ્લોરિફાય કરવાની જરૂર શી છે? પણ પાત્રો, પાત્રો છે. સિનેમા હોય કે સાહિત્ય, લોકોને માત્ર રામ-સીતા ને જિસસ ક્રાઈસ્ટ જેવાં પવિત્ર-પવિત્ર અને ડાહ્યાં ડાહ્યાં પાત્રોમાં રસ નથી હોતો. જીવનના તમામ રસ, તમામ શક્યતાઓ, તમામ પરિસ્થિતિઓ કળાકૃતિમાં ઝીલાતાં હોય છે, ઝીલાવાં જોઈએ.

સતત જકડી રાખે એવી મસ્ત ફિલ્મ છે આ. વિશ્ર્વના સર્વકાલીન મહાન અભિનેતાઓમાંના એક ગણાતા માર્લોેન બ્રાન્ડોના ચાહકો માટે તો આ ફિલ્મ મસ્ટ-સી છે.


‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર : એલિયા કઝાન 

મૂળ નાટ્યલેખક : ટેનેસી વિલિયમ્સ

સ્ક્રીનપ્લે : ટેનેસી વિલિયમ્સ, ઓસ્કર સાઉલ

કલાકાર : માર્લોેન બ્રાન્ડો, વિવિઅન લી, કિમ હન્ટર, કાર્લ માલ્ડન

રિલીઝ ડેટ : ૧૮ સપ્ટેમ્બર, ૧૯૫૧

મહત્ત્વના અવોર્ડ્ઝ : બેસ્ટ એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટ્રેસ અને આર્ટ ડેકોરેશન માટેનાં ઓસ્કર. બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એક્ટર, સ્ક્રીનપ્લે, કોસ્ચ્યુમ ડિઝાઈન, મ્યુઝિક અને સાઉન્ડ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ.

0 0 0 

Wednesday, April 9, 2014

ટેક ઓફ : ભવિષ્યનો નકશો દોરવા અતીતની આંખમાં જોવું પડે છે

Sandesh - Ardh Saptahik Purty - 9 April 2014

ટેક ઓફ 

સુમતિ મોરારજી અને હંસા મહેતા. બન્ને મૂઠી ઊંચેરી મહિલાઓ. બન્ને સુપર અચિવર. એકનો જન્મ વીસમી સદીના પ્રારંભમાં અને બીજાંનો ઓગણીસમી સદીના અંતમાં. એ જમાનામાં પણ ગુજરાતી મહિલા કેટલી પ્રગતિશીલ બની શકતી હતી?




હિલા શિક્ષણ, મહિલા સુરક્ષા, મહિલા સશક્તીકરણ જેવા શબ્દો સતત કાને પડતા રહે છે. આ મુદ્દાઓ ઉછાળવા માટે ચૂંટણીનો માહોલ કે કોઈ મોટી ઘટના કે આઘાતજનક દુર્ઘટનાની જરૂર નથી. આ નિરંતર નિસબતના વિષયો છે. વર્તમાનને સમજવા માટે,ભવિષ્યનું ચિત્ર કલ્પવા માટે અતીતને બન્ને હાથથી પકડીને એની આંખોમાં જોવું પડે છે. ગઈ કાલને સમજ્યા વગર આજની દશા અને દિશા સમજાતાં નથી. આજે બે નોંધપાત્ર ગુજરાતી મહિલાઓ વિશે વાત કરવી છે. સુમતિ મોરારજી, જે વીસમી સદીના પ્રારંભમાં જન્મ્યાં હતાં અને હંસા મહેતા, જે ઓગણીસમી સદીના અંતમાં જન્મ્યાં હતાં!
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના વિશાળ કેમ્પસમાં સમૃદ્ધ એચ. એમ. લાઈબ્રેરી છે. એક ગર્લ્સ હોસ્ટેલને એચ. એમ. હોલ નામ આપવામાં આવ્યું છે. આ એચ. એમ. એટલે હંસા મહેતા. ગુજરાતનાં તેઓ પ્રથમ મહિલા ચાન્સેલર. સર્વપ્રથમ 'ટ્રેઈન્ડ' ગુજરાતી મહિલા પત્રકાર પણ તેઓ જ. હંસા મહેતા સાથે બીજાં એકાધિક પ્રભાવશાળી નામો જોડાયેલાં છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાનાં તેઓ પત્ની. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ નવલકથા 'કરણઘેલો'ના લેખક નંદશંકર મહેતાનાં તેઓ પૌત્રી થાય. તેમના પિતા મનુભાઈ મહેતા વડોદરા રાજ્યના પ્રથમ દીવાન હતા.
૧૮૯૭માં એટલે કે ૧૧૭ વર્ષ પહેલાં જન્મેલી અને બાળવયે માતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ગુજરાતી મહિલા કેટલી પ્રગતિશીલ હોઈ શકતી હતી? ઊંચી ટકાવારી સાથે મેટ્રિક અને તત્ત્વજ્ઞાન સાથે બી.એ. કર્યા બાદ હંસા મહેતા પત્રકારત્વનો અભ્યાસ કરવા ૧૯૧૯માં ઈંગ્લેન્ડ ગયાં હતાં. ઈંગ્લેન્ડમાં જ તેઓ સરોજિની નાયડુના સંપર્કમાં આવ્યાં હતાં. તે સમયગાળામાં જિનિવામાં આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ મળી હતી. હંસા મહેતાએ તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારત પાછાં આવ્યાં ત્યારે દેશમાં અસહકારનું આંદોલન ચાલી રહ્યું હતું. ગાંધીજી જેલમાં હતા. સરોજિની નાયડુ તેમને મળવા અવારનવાર જેલમાં જતાં. એક વાર હંસા મહેતાને પણ પોતાની સાથે લઈ ગયાં. બાપુના કરિશ્માઈ વ્યક્તિત્વથી પ્રભાવિત ન થવું શક્ય જ નહોતું.
યુરોપ-અમેરિકામાં એ વર્ષોમાં ભારત વિશે ખોટા ખ્યાલો પ્રવર્તતા હતા. પશ્ચિમમાં ઘૂમીને, લોકોને મળીને ભારતનું સાચું ચિત્ર પેશ કરવાનું કામ હંસા મહેતાને સોંપાયું. છવ્વીસ વર્ષીય હંસા મહેતાએ એકલાં અમેરિકાભ્રમણ કર્યું. પ્રવચનો આપ્યાં. અંગ્રેજોના અન્યાયી શાસનની ઉગ્ર ટીકા કરી. આ જ ગાળામાં સાન ફ્રાન્સિસ્કોમાં પ્રથમ વિશ્વ કેળવણી પરિષદ ગોઠવાઈ. હંસા મહેતાએ એમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. અમેરિકાથી તેઓ જાપાન ગયાં. ત્યાંની મહિલા કોલેજો, સંસ્થાઓ અને મંડળોની મુલાકાત લીધી.
પ્રવાસ દિમાગની બારીઓ ખોલી નાખે છે. વિચારોનો વ્યાપ વિસ્તારે છે. દુનિયા ઘૂમેલાં હંસા મહેતા જેવી તેજસ્વી મહિલા માટે રૂઢિઓમાંથી બહાર આવી જવું સ્વાભાવિક હતું. ભારત પાછા આવ્યાં પછી તેઓ ડો. જીવરાજ મહેતાના સંપર્ક આવ્યાં, પ્રેમ થયો અને પરણી ગયાં. જોકે લગ્ન કરવાં આસાન નહોતાં. હંસા મહેતા રહ્યાં નાગર બ્રાહ્મણ અને ડો. જીવરાજ મહેતા કપોળ. મોસાળ પક્ષે આ આંતરજ્ઞાતીય સંબંધનો ખૂબ વિરોધ કર્યો. જ્ઞાતિનો કોઈ બ્રાહ્મણ વિધિ કરાવી આપવા તૈયાર ન હતો તેથી સાઉથ ઈન્ડિયન બ્રાહ્મણની મદદ લેવામાં આવી.
ડો. જીવરાજ મહેતા મુંબઈના પ્રતિષ્ઠિત ડોક્ટર હતા. બીમારીમાં ગાંધીજી પણ તેમની સલાહ લેતા. પતિને કારણે હંસા મહેતા અને ગાંધીજી વચ્ચેની નિકટતા વધી. આઝાદીની લડાઈમાં તેમણે જોશપૂર્વક ઝુકાવી દીધું. ગર્ભશ્રીમંત પિતાને ત્યાં જન્મેલી આ દીકરી મુંબઈમાં ભુલેશ્વરની વિદેશી કાપડ વેચતી દુકાનો પર પિકેટિંગ કરતાં, જુદાં જુદાં કારણોસર મહિનાઓ સુધી જેલમાં રહ્યાં.
હંસા મહેતાનું એ સદ્ભાગ્ય ગણાય કે બ્રિટિશ સરકાર સામે ખુલ્લો વિરોધ કરતાં હોવા છતાં તેમને આર્ટ એજ્યુકેશન કમિટીનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૪૬માં ભારતીય મહિલા વિશ્વવિદ્યાલયનાં પ્રથમ મહિલા ઉપકુલપતિ બન્યાં. પછીના વર્ષે યુનો ખાતે ભારતનાં પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. હંસા મહેતાના બાયોડેટામાં આવી તો ઘણી સિદ્ધિઓ છે, જેમાં એમ.એસ. યુનિવર્સિટીનંુ એક દાયકાની વાઈસ ચાન્સેલરશિપ પણ આવી ગઈ.
ઈંગ્લેન્ડમાં જર્નલિઝમ ભણેલાં હંસા મહેતાએ 'હિંદુસ્તાન' સાપ્તાહિકનું સહતંત્રીપદ સંભાળ્યું હતું. 'ભગિની સમાજ' પત્રિકાનાં માનાર્હ તંત્રી પણ બન્યાં. ૧૬ ગુજરાતી અને ચાર અંગ્રેજી પુસ્તકો લખ્યાં. શેક્સપિયરના 'હેમ્લેટ' નાટકનો અનુવાદ કર્યો. આ પુસ્તક ગાંધીજીને ભેટ આપવા ગયાં ત્યારે તે દિવસે બાપુએ મૌન પાળ્યું હતું. એમણે કાગળની કાપલી પર લખ્યું કે, "હું ત્યારે આને સારો અનુવાદ ગણું જ્યારે સામાન્ય માણસ પણ સમજી શકે."
ડો. જીવરાજ મહેતાના નિધન પછી હંસા મહેતા મુંબઈ સ્થાયી થયાં હતાં. અંતિમ વર્ષો દરમિયાન તેઓ જાહેરજીવનથી સંપૂર્ણપણે અલિપ્ત રહ્યાં હતાં. ગુજરાતી પ્રજાને ખબર પણ નહોતી કે હંસા મહેતા ૨૦૦૫ સુધી હયાત હતાં. ૯૮ વર્ષની દીર્ઘાયુ ભોગવીને ૨૦૦૫ની ચોથી એપ્રિલે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધો.
સ્ત્રી સશક્તીકરણના વર્તુળમાંથી પુરુષને સદંતર બાદ કરી નાખવાની જરૂર હોતી નથી. સ્ત્રીની મૂઠી ઊંચેરી બનવાની પ્રક્રિયાને પુરુષ વેગવંતી બનાવી શકે છે. સુમતિ મોરારજીનો કિસ્સો આ સંદર્ભમાં જોવા જેવો છે. જિતેન્દ્ર પટેલે '૫૧ જીવનચરિત્રો' પુસ્તકમાં આ બન્ને સન્નારીઓ વિશે વિગતે લખ્યું છે. સૌથી પહેલાં તો, સુમતિ મોરારજીને મોરારજી દેસાઈ સાથે કોઈ સંબંધ નથી. ગુજરાતી યંગસ્ટર્સ આજે શિપિંગનાં ફિલ્ડને ફેવરિટ કરિયર ઓપ્શન તરીકે જોતા નથી, પણ સુમતિ મોરારજીએ દાયકાઓ પહેલાં આ ક્ષેત્રમાં ગજબનું કાઠું કાઢયું હતું.
Sumati Morarjee

૧૦૫ વર્ષ પહેલાં મુંબઈના ભાટિયા પરિવારમાં એમનો જન્મ. પિતા મથુરદાસ ગોકુળદાસ મુંબઈમાં કાપડની મિલો ધરાવે. સુમતિ છ ભાઈઓની એકની એક બહેન એટલે લાડકોડમાં કોઈ કમી નહીં. ભાઈઓની માફક એ પણ ક્રિકેટ રમે, હોકી રમે, સ્વિમિંગ કરે,ઘોડેસવારી કરે. તેર વર્ષની ઉંમરે મુંબઈના પ્રતિષ્ઠિત વેપારી નરોત્તમ મોરારજીના પુત્ર શાંતિકુમાર સાથે તેમનાં લગ્ન થયાં. પ્રથમ વિશ્વયુદ્ધ પછી નરોત્તમ મોરારજીએ સિંધિયા સ્ટીમ નેવિગેશન નામની કંપની સ્થાપી હતી. ગ્વાલિયરના મહારાજાની કૃપાદૃષ્ટિથી કંપની શરૂ થઈ હોવાથી કંપનીના નામમાં એમની અટક જોડવામાં આવેલી. કહે છે કે તે જમાનામાં સાડા ચાર કરોડ રૂપિયાની ગંજાવર મૂડીમાંથી આ કંપની ઊભી કરવામાં આવી હતી. નરોત્તમ મોરારજીને ભારતીય વહાણવટાના પુનરુત્થાનના જનક તરીકે ઓળખવામાં આવે છે તેનું કારણ આ જ.
નરોત્તમ મોરારજીએ પુત્રવધૂ સુમતિનું તેજ પારખી લીધું. એને રસોડામાં પૂરી રાખવાને બદલે કંપનીના વહીવટમાં સામેલ કર્યાં. ક્રમશઃ પોતાની કંપનીમાં એમને ભાગીદાર બનાવ્યાં, એટલું જ નહીં, મોટા ભાગના શેર સુમતિના નામે કરી આપ્યા. સસરાએ પુત્રવધૂને સીધો વારસો આપી દીધો. એ જમાનામાં આ એક ક્રાંતિકારી ઘટના હતી. ૧૯૨૯માં કાર એક્સિડન્ટમાં નરોત્તમ મોરારજીનું અવસાન થયું ત્યારે કંપનીની જવાબદારી સંભાળવા માટે સૌએ સુમતિનું નામ આગળ કર્યું. આમેય નરોત્તમ શેઠે પોતાની હયાતીમાં જ સુમતિના નામે કંપનીના શેર કરીને આડકતરી રીતે પોતાના વારસદાર ઘોષિત કરી દીધા હતા. ફક્ત ૨૩ વર્ષની ઉંમરે સુમતિ કંપનીમાં ડિરેક્ટર બની ગયાં.
સંયોગથી તક મળી જવી એક વાત છે અને પોતાની બુદ્ધિ તેમજ મહેનતથી મળેલા મોકાને ઉજાળવો તે તદ્દન જુદી બાબત છે. સુમતિ મોરારજીએ પોતાની વહીવટી કાબેલિયત દેખાડી અને જોતજોતામાં કંપનીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યાં. પતિ શાંતિકુમારે ન ક્યારેય ધણીપણું કર્યું, ન ઈર્ષ્યા દેખાડી,બલકે તેઓ સતત પત્નીને પ્રોત્સાહિત કરતાં રહ્યાં. સુમતિ મોરારજીના હાથ નીચે તેમની કંપની દેશની નંબર વન શિપિંગ કંપની બની.
યાદ રહે, આંતરરાષ્ટ્રીય સ્તરે કામકાજ સંભાળતી જાયન્ટ કોર્પોરેટ કંપનીના એક્ઝિક્યુટિવ બોર્ડમાં મહિલાને ચાવીરૂપ સ્થાન મળે તો એ આજે પણ ન્યૂઝ બની જાય છે, જ્યારે સુમતિ મોરારજી તો આઝાદી પહેલાંનાંં કોર્પોરેટ વુમન હતાં. દેશ સ્વતંત્ર થયો પછી ભારત સરકારે સંસદમાં મર્ચન્ટ શિપિંગ બિલ પેશ કર્યું. સુમતિ મોરારજીએ એનો જોરદાર વિરોધ કર્યો, કેમ કે આ બિલ ભારતીય કંપનીઓ માટે ઓછું અને વિદેશી કંપનીઓ માટે વધારે ફાયદાકારક હતું. જો આમ જ થવાનું હોય તો આઝાદીનો મતલબ શો છે?એમણે બે વર્ષ કાનૂની લડત આપી. આખરે સરકારે નમતું જોખવું પડયું. સુમતિ મોરારજીની લડતને પ્રતાપે અન્યાયી કાનૂન બનતા અટક્યો.
૧૯૭૦માં ઈંગ્લેન્ડમાં શિપિંગના ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય પરિષદ મળી ત્યારે એમાં સુમતિ મોરારજી એકમાત્ર મહિલા પ્રતિનિધિ હતાં. એમનાં વક્તવ્ય સાંભળીને, શિપિંગ વિશેનું એમનું જ્ઞાન જોઈને સૌ અચંબિત થઈ ગયેલા. વિદેશ જતાં ત્યારે પણ તેઓ હંમેશાં ગર્વપૂર્વક ભારતીય પોશાક પહેરતાં. મસ્તક પર સાડીનો પાલવ, કપાળે મોટો લાલ ચાંદલો અને સેંથામાં કંકુ તેમની ઓળખ હતી.
કંપની શિખર પર હતી ત્યારે એમની પાસે કુલ પાંચ લાખ કરતાંય વધારે ટનનો ભાર વહન કરી શકે એવાં ૪૫ જહાજો હતાં. કમનસીબે એંસીના દાયકામાં આખી દુનિયાનો શિપિંગ ઉદ્યોગ મંદીમાં સરી પડયો. તેની અસર સુમતિ મોરારજીની કંપનીને પણ થઈ. ૯૧ વર્ષનું ભરપૂર જીવન જીવ્યાં બાદ મુંબઈમાં સુમતિ મોરારજીનું નિધન થયું.
હંસા મહેતા અને સુમતિ મોરારજી નક્કર અર્થમાં ગુજરાતી નારીરત્નો છે. વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ માટે તેઓ સશક્ત રેફરન્ટ પોઈન્ટ બની રહેવાનાં.
0 0 0 

Tuesday, April 8, 2014

મલ્ટિપ્લેક્સ: સત્યજિત રાયને બે સવાલ

Sandesh - Sanskar Purti - 7 April 2014

મલ્ટિપ્લેક્સ 

"દરેક ડિરેક્ટર અગાઉ થઈ ગયેલા મહાન ફિલ્મમેકર્સ અને વર્તમાન માસ્ટર્સ પાસેથી કશુંક તો શીખ્યો જ હોય છે. આ વાત કોઈ નકારી ન શકે. સૌથી વધારે મનમાં નોંધાતું હોય તો એ છે ડિરેક્ટરનો એટિટયૂડફિલ્મમાં ઊભરતી એની ખુદની પર્સનાલિટી."

ભારતીય સિનેમાને વિશ્વના નક્શામાં મૂકી દેનાર મહાન બંગાળી ફિલ્મમેકર સત્યજિત રાયે (૧૯૨૧ - ૧૯૯૨) એક સુંદર પુસ્તક લખ્યું છે - 'અવર ફિલ્મ્સ ધેર ફિલ્મ્સ'. સિનેમાને કેવળ ટાઇમપાસ નહીં પણ એક ક્રિએટિવ આર્ટફોર્મ તરીકે જોતાં વાચકોને મજા પડી જાય એવો અલગ અલગ લેખોનો આ સંગ્રહ છે. ૧૯૫૫માં એમની મશહૂર ફિલ્મ 'પાથેર પાંચાલી' આવી. ૨૧ વર્ષ પછી ૧૯૭૬માં આ પુસ્તક આવ્યું.
સિનેમામાં આવતા પહેલાં રાય એક એડવર્ટાઇઝિંગ કંપનીમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતા હતા. સાબુનું રેપર અને એવી બધી વસ્તુઓની ડિઝાઇનો બનાવતા. દેશ-વિદેશનાં પિક્ચરો જોવાના શોખ સિવાય ફિલ્મલાઇન સાથે એમને સ્નાનસૂતકનોય સંબંધ નહોતો. જાહેરાત બનાવવાનું કામ કરતાં કરતાં તેઓ અચાનક ફિલ્મોમાં કેવી રીતે આવી ગયા? તે પણ કોઈ જાતની ટ્રેનિંગ કે બેકગ્રાઉન્ડ વગર? 'પાથેર પાંચાલી' એમની પહેલી જ ફિલ્મ છે, જે દંતકથારૂપ બની ગઈ છે. કરિયરની પહેલી જ અવરના છ બોલમાં તેઓ છ સિક્સર કેવી રીતે ફટકારી શક્યા?
"કોઈ મને આવું પૂછે એટલે સૌથી પહેલાં તો હું ભેદી સ્માઇલ કરું!" સત્યજિત રાય એક લેખમાં કહે છે, "હકીકત એ છે કે એડવર્ટાઇઝિંગ અને સિનેમા બન્ને કન્ઝ્યુમેબલ કોમોડિટી છે. એકમાં આર્ટિસ્ટનાં માથા પર મેન્યુફેક્ચરર બેઠો હોય, તો બીજામાં પ્રોડયુસર. આ બન્નેમાંથી એકેયને કળા સાથે કોઈ લેવાદેવા ન હોય. આર્ટિસ્ટ બિચારો જાતજાતનાં બંધનો વચ્ચે પોતાની કળા દેખાડવા મથતો હોય. બેઝિકલી એડવર્ર્ટાઈઝિંગ અને સિનેમા બન્ને ક્રિએટિવ ફીલ્ડ્સ છે અને મને નથી લાગતું કે એકમાંથી બીજામાં ગતિ કરવા માટે મારે વધારે પડતો સંઘર્ષ કરવો પડયો હોય. કોઈએ સરસ કહ્યું છે કે સિનેમા એટલે કમર્શિયલ આર્ટનું સૌથી ઊંચું સ્વરૂપ. આ વ્યાખ્યા સાથે અસહમત થવાનું મારી પાસે કોઈ કારણ નથી."
સલામત ડેસ્ક જોબ છોડીને અનિશ્ચિતતાવાળી ફિલ્મલાઇનમાં જતી વખતે સત્યજિત રાય સ્પષ્ટ હતા કે એમણે સૌથી પહેલી વિભૂતિભૂષણ બંદોપાધ્યાય લિખિત 'પાથેર પાંચાલી' નવલકથા પરથી ફિલ્મ બનાવવી છે. એમણે કામ શરૂ કર્યું ત્યારે બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈએ એમનું નામ પણ સાંભળ્યું નહોતું. પરંપરાગત માન્યતા એવી હતી કે ડિરેક્ટર બનતાં પહેલાં છ સાત વર્ષ સ્ટુડિયોમાં કોઈ ને કોઈ પોસ્ટ પર ખૂબ મહેનત કરવી પડે. કાં ફર્સ્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે યા તો કેમેરામેન તરીકે અથવા કમ સે કમ સ્ક્રિપ્ટ રાઈટર તરીકે. સત્યજિત રાયે આમાંનું કશું નહોતું કર્યું. તેમણે ફક્ત થિયેટરમાં જઈને ફિલ્મો જોઈ હતી. નાનપણથી ફિલ્મો જોવાનો બહુ શોખ હતો. મોટા થયા પછી ગંભીર વિદ્યાર્થીની જેમ ફિલ્મોનો અભ્યાસ કરતા, ટેક્નિક વિશે જે કંઈ મટીરિયલ મળે તે વાંચતા, થિયેટરના અંધકારમાં ડાયરીમાં નોંધ કર્યા કરતા. આ નોટ્સ ઘણું કરીને એડિટિંગ પેટર્ન વિશેની હોય. ખાસ કરીને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા ('ધ ગોડફાધર'), ફ્રેન્ક કાપ્રા ('ઈટ હેપન્ડ વન નાઈટ'), જોન હ્યુસ્ટન ('ધ ટ્રેઝર્સ ઓફ ધ સિએરા માડ્રી'), બિલી વાઈલ્ડર ('સનસેટ બુલેવાર્ડ') અને વિલિયમ વાઈલર ('બેન-હર') જેવા અમેરિકન ડિરેક્ટરોની ફિલ્મો જોતી વખતે આ એક્સરસાઈઝ વિશેષ થતી.
સત્યજિત રાયના મનમાં અહીંના અને ત્યાંના ડિરેક્ટરો વચ્ચે સરખામણી થયા કરતી. આપણે ત્યાં કેવી રેઢિયાળ રીતે ફિલ્મો બને છે તે વધારે ને વધારે સમજાતું ગયું. "પણ આને લીધે ફિલ્મમેકર બનવાનો મારો ઉત્સાહ વધતો જતો હતો," રાય કહે છે, "મને ખાતરી જ હતી કે ડિરેક્ટર ભલે બિનઅનુભવી હોય, પણ જો એના આઇડિયાઝ અને સમજ ટકોરાબંધ હશે તો એ એટલી બધી ખરાબ ફિલ્મ તો નહીં જ બનાવે. વળી, મારે જેના પરથી ફિલ્મ બનાવવી હતી તે 'માલ' પણ સારો હતો (સત્યજિત રાયે 'પ્રોપર્ટી' શબ્દ વાપર્યો છે), નીવડેલો હતો એટલે મને બહુ ચિંતા નહોતી."
એવું નહોતું કે ૧૯૫૦ના દાયકાની બંગાળી ફિલ્મોમાં બધું ખરાબ જ હતું. વચ્ચે વચ્ચે અમુક ફિલ્મોમાં સરસ એક્ટિંગ, કલ્પનાશીલ ફોટોગ્રાફી, સારી રીતે પ્લાન થયેલા અને એડિટ થયેલા સીન, બનાવટી ન લાગે એવા ડાયલોગ્ઝ દેખાઈ જતા. તકલીફ એ હતી કે આ બધું છૂટુંછવાયું જોવા મળતું. આખેઆખા પિક્ચરના તમામ પાસાં હાઈક્લાસ હોય એવું કદી ન બનતું.
"મને સમજાયું છે કે ઇન્ડિયન ડિરેક્ટરો ફિલ્મના સ્ટ્રક્ચરમાં મ્યુઝિકલ પાસાંની સાવ અવગણના કરતા હતા," રાય કહે છે, "ફિલ્મના ઓવરઓલ સ્વરૂપ અને સિનેમેટિક રિધમની જે સેન્સ હોવી જોઈએ, તેની એમનામાં કમી વર્તાતી."
Pather Panchali

બેઠા બેઠા ટીકા કરવી સહેલી છે, કરી દેખાડવું અઘરું છે. આ સચ્ચાઈ સત્યજિત રાયને શૂટિંગના પહેલા જ દિવસે સમજાઈ ગઈ. એમની જિંદગીનો એ પહેલો શોટ હતો. નાનકડો અપ્પુ ઊંચા ઘાસના મેદાનમાં પોતાની બહેનને શોધવા નીકળ્યો છે. અપુ બનેલા બાળકલાકારે આટલું જ કરવાનું હતું - થોડાં ડગલાં ચાલવાનું, પછી ડાબે જોવાનું, જમણે જોવાનું અને ફરી થોડાંક ડગલાં આગળ વધવાનું.
"મેં કલ્પના પણ નહોતી કરી કે આટલો સાદો શોટ લેતાં મારા મોઢે ફીણ આવી જશે," સત્યજિત રાય કહે છે, "બાળકલાકારની ચાલ ચોક્કસ પ્રકારની જોઈએ, એના ચહેરા પર ચોક્કસ પ્રકારના ભાવ જોઈએ, એણે અમુક રીતે જ ઊભા રહેવું પડે, અમુક રીતે જ ગરદન ડાબે-જમણે ઘુમાવવી પડે અને આ ક્રિયા અમુક સમયમાં પૂરી કરી જ નાખવી પડે. અધૂરામાં પૂરું એ બાળકલાકાર પણ મારી જેમ સાવ બિનઅનુભવી હતો. જિંદગીમાં પહેલી વાર કેમેરા જોઈ રહ્યો હતો. એની સાથે પિષ્ટપેષણ પણ કેટલી કરવી."
ખેર, ટ્રાયલ-એન્ડ-એરર કરતાં કરતાં શૂટિંગ આગળ વધતું ગયું. 'પાથેર પાંચાલી' બની અને તે પછી જે કંઈ બન્યું એ ઇતિહાસ છે.
"તમે ફિલ્મોમાં કેવી રીતે આવ્યા?" પછીનો બીજા નંબરનો સૌથી વધારે પુછાતો પ્રશ્ન હોય તો તે છે, "તમારા પર કયા ફિલ્મમેકર્સની સૌથી વધારે અસર છે?" એકલા સત્યજિત રાયને નહીં, લગભગ દરેક સફળ ફિલ્મમેકરને આ બે સવાલ સૌથી વધારે પુછાતા હોય છે.
"દરેક ડિરેક્ટર અગાઉ થઈ ગયેલા મહાન ફિલ્મમેકર્સ અને વર્તમાન માસ્ટર્સ પાસેથી કશુંક તો શીખ્યો જ હોય છે. આ વાત કોઈ નકારી ન શકે," સત્યજિત રાય કહે છે, "સૌથી વધારે એ જો કંઈ શીખતો હોય તો તે છે ટેક્નિક. જેમ કે, કોઈ ફિલ્મના ચોક્કસ ક્લોઝ-અપની લાઇટિંગ મનમાં રહી જાય, ગ્રૂપ-સીન હોય તો કેમેરા એક્ઝેક્ટલી કઈ રીતે ફરે છે તે યાદ રહી જાય, જોશીલી ડાયલોગબાજીના સીનમાં સામસામા બન્ને પાત્રોના હાવભાવ વારાફરતી અને અસરકારક ઊભરે તે રીતે કરવામાં આવેલું એડિટિંગ - આ બધું મનના કોઈ ખૂણામાં નોંધાઈ જતું હોય છે. એક લેખક બીજા લેખકનું લખાણ વાંચે ત્યારે એના મનમાં અમુક શબ્દપ્રયોગ કે વાક્યરચના નોંધાઈ જતા હોય છે, તેમ. જોકે સૌથી વધારે મનમાં નોંધાતું હોય તો એ છે ડિરેક્ટરનો એટિટયૂડ, ફિલ્મમાં ઊભરતી એની ખુદની પર્સનાલિટી."
સારી ફિલ્મ હોય કે સારું પુસ્તક, ઓડિયન્સ સુધી પણ આખરે તો આ જ પહોંચતું હોય છે - કૃતિમાંથી ઝળકતું કલાકારના વ્યક્તિત્વનું પ્રભાવશાળી પાસું.
0 0 0