Thursday, October 6, 2011

ગાંધીબાપુએ બકાને શું કહ્યું?


                                                                 ચિત્રલેખા -  અંક ૧૭ ઓક્ટોબર ૨૦૧૧

ચિત્રકાર અતુલ ડોડિયાનાં લેટેસ્ટ આર્ટ એક્ઝિબિશનમાં સાહિત્યકાર લાભશંકર ઠાકરનાં
લખાણને કમાલની કલાત્મક અભિવ્યક્તિ મળી છે.

                            Atul Dodiya                                                                                   (photograph by Vijayan Raghavan) 

                                                                                 
બીજા દિવસે બાપુ આવીને બેઠા કે મે પૂછ્યું,
 ‘બાપુ બીજાની ઊંઘ તે ઊંઘ જ હોયને?’   
‘હાસ્તો.’
‘બીજાની ઊંઘ ઊંઘ ના હોય?’
‘ઊંઘ જ હોય બકા.’
‘તો બકાની ઊંઘ બકાની ઊંઘ કરીને બકાને પૉલ્શન (એટલે કે માખણ) કેમ મારો છો?’
‘તારી ઊંઘમાં રહેવું ગમે છે બકા એટલે.’
‘એટલે પૉલ્શન મારો છો?’
‘એમ જ હશે બકા.’
‘હશે એટલે? ‘છે’-ની વાત કરોને.’
‘બકા, આમ ધમકાવ નહીં મને.’
‘તો પછી બકાને પૉલ્શન નહીં મારવાનું.’
‘પણ બકા એમાં શું બગડી ગયું તારું?’
‘ઊંઘ.’
‘સારું બકા. સોરી, લાય રબ્બર. પૉલ્શનના ડાઘા ભૂંસી નાખું.’

આ સંવાદ આકાર લે છે, મહાત્મા ગાંધી અને દસબાર વર્ષના એક ઉત્સુક કિશોર વચ્ચે. ૨૦૦૪માં પ્રતિષ્ઠિત સાહિત્યકાર લાભશંકર ઠાકર (લાઠા)નું ‘બકો છે. કલ્પો’ નામનું એક પુસ્તક પ્રકાશિત થયેલું. આ સંવાદ તે પુસ્તકનો એક અંશ છે. પુસ્તકમાં ગાંધીજી અને બકા વચ્ચે આવા ઘણા સંવાદો થાય છે. સાત વર્ષ પછી આ પુસ્તકને યાદ કરવાનું ખાસ કારણ એ છે કે ગાંધીજી, બકો અને આ સંવાદો પુસ્તકના પાનાં પરથી ગતિ કરીને હવે કેન્વાસ પર ઊભર્યા છે. આ કમાલનું સ્વરૂપાંતર કર્યું છે, ભારતના સર્વશ્રેષ્ઠ સમકાલીન ચિત્રકારોમાં અધિકારપૂર્વક સ્થાન પામતા અતુલ ડોડિયાએ. મુંબઈની ‘કેમોલ્ડ’ આર્ટગેલેરીમાં ‘બકો એક્ઝિસ્ટ્સ. ઈમેજિન’ શીર્ષક હેઠળ યોજાઈ ગયેલાં કળાપ્રદર્શનનાં ૧૨ પેઈન્ટિંગ્સમાં અતુલ ડોડિયાની ઓર એક સર્જનાત્મક છટા સુંદર રીતે ઝીલાઈ.



લાકડાના સ્ટેન્ડ પર માઉન્ટ કરવામાં આવેલાં વિશાળ કદનાં આ પેઈન્ટિંગ્સ પહેલી નજરે તો સ્કૂલના બ્લેકબોર્ડ જેવાં લાગે. અતિ વપરાશને કારણે બ્લેકબોર્ડની કાળી સપાટી ક્યાંક ક્યાંકથી ઘસાઈને જાણે ઊખડી ગઈ છે. તેના પર સફેદ ચોકથી અત્યંત સુઘડ અંગ્રજી અક્ષરોમાં બાપુબકાનું લખાણ લખવામાં આવ્યું છે. ડસ્ટરથી લૂછવાને કારણે રહી ગયેલા આછા સફેદ ડાઘ તેમજ અક્ષરોની આસપાસ ચોકના વેરાઈ ગયેલા ઝીણા કણો પણ ચોખ્ખા દેખાય છે. લખાણની આસપાસ અને નીચે જુદી જુદી ઈન્ટરેસ્ટિંગ આકૃતિઓ છે. ક્લાસરૂમનાં કાળા પાટિયાં જેવી આબાદ અસર ઊપજાવતાં બ્લેક કેનવાસ પર અતુલ ડોડિયાએ ઓઈલ, ઓઈલ સ્ટિક, વોટરકલર, એક્રેલિક અને માર્બલ ડસ્ટનો ઉપયોગ કર્યો છે.

બાવન વર્ષીય મુંબઈવાસી અતુલ ડોડિયા ચિત્રલેખાને કહે છે, ‘હું આકાર અને અક્ષરો વચ્ચે ભેદ જોતો નથી. લખાણ પણ દશ્યકળાનો જ એક ભાગ છે. હું જમણેરી છું , પણ આ પેઈન્ટિંગ્સ પરનું લખાણ તૈયાર કરવા માટે મેં ડાબો હાથ વાપર્યો હતો કે જેથી ફોન્ટ્સને સુનિશ્ચિત ઘાટ મળે. અગાઉ પણ મેં લિપિસંબંધિત, ટેક્સ્ટબેઝડ ઘણું કામ કર્યું છે. આ કૃતિઓને જોઈને કલારસિકને સવાલ થવો જોઈએ કે મારે આને જોવાનું કે વાંચવાનું? જોનાર મૂંઝાય, સમજવાની મથામણ કરે, એને અવઢવ થાય, હું જે કહેવા માગું છું તે યથાતથ સાંભળી લેવાને બદલે પોતાની કથા ઘડવાના પ્રયત્ન કરે... આ બધામાં મને બહુ રસ પડે છે.’

અતુલ ડોડિયાને ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો લગાવ જાણીતો છે. ૨૦૦૩માં તેમણે ‘એન્ટલર એન્થોલોજી’ શીર્ષક હેઠળ આઠ આધુનિક ગુજરાતી કવિઓની રચનાઓનો વિનિયોગ કરીને વિશાળ કદનાં એક ડઝન ચિત્રો તૈયાર કર્યાં હતાં. લાભશંકર ઠાકર લિખિત ‘બકો છે. કલ્પો’માં તેમના અતિ પ્રિય પાત્ર મહાત્મા ગાંધીજી જુદા જ અંદાજમાં પેશ થાય છે. ભૂતકાળમાં અતુલ ડોડિયાની કૃતિઓમાં ગાંધીજી અનેક વખત પ્રગટ થઈ ચૂક્યા છે. અલબત્ત, આ વખતનાં ચિત્રો ફક્ત ગાંધી વિશેનાં નથી એમ કહીને અતુલ ડોડિયા ઉમેરે છે, ‘લાઠાનાં આ પુસ્તકમાં ગાંધીજી અને બકો બે દોસ્તારોની જેમ સહજપણે વાતો કરે છે. ગાંધીજીની વાતચીતમાં સ્વાતંત્ર્યસંગ્રામ, અહિંસા કે સત્યાગ્રહ આવતાં નથી. આ એબ્સ્ટ્રેક્ટ વાતો છે. પુસ્તકમાં વચ્ચે વચ્ચે આવતા આ કાલ્પનિક ગદ્યખંડોમાં બકાનું વિસ્મય અને ઉત્સુકતા સરસ ઝીલાયાં છે. પુસ્તક વાંચ્યું ત્યારે બકાની માનસિકતા સાથે હું મારી ખુદની કિશોરાવસ્થાને રીલેટ કરી શક્યો. દસબાર વર્ષની ઉંમરે મારા મનમાં ખુદના ગમાઅણગમા વિશે તેમજ કળાપ્રેમ વિશે સ્પષ્ટતાઓ થવાની શરૂઆત થઈ ચૂકી હતી. મારે આ વિષયને લઈને કેનવાસ પર કશુંક ઊતારવું હતું. આખરે આ ટેક્સ્ટ-બેઝડ ફૉર્મ વિશે માનસિક સ્પષ્ટતા થતાં પેઈન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું.’


બાપુ બકાના સપનાંમાં નહીં, પણ ઊંઘમાં મળે છે. સપનું બહુરંગી હોઈ શકે, પણ ઊંઘનો શેડ ડાર્ક છે, ઘેરો કાળો છે. તેથી કેનવાસનું  બેકગ્રાઉન્ડ સ્કૂલનાં બ્લેકબોર્ડ જેવું કાળું છે. વળી, કાળા પશ્ચાદભૂને બેઝ યા તો ધરી નથી. ગુરુત્વાકર્ષણવિહીન સ્થિતિમાં વસ્તુઓ તરતી હોય તેમ અહીં જુદાં જુદાં એલીમેન્ટ્સ અને આકૃતિઓ ફ્લોટ કરી રહ્યાં છે. આ કૃતિઓ બહોળા વર્ગ સુધી પહોંચી શકે તે માટે લાઠાની ટેક્સ્ટનું અંગ્રજીમાં ભાષાંતર કરવામાં આવ્યું. આ કામ કર્યું નાટ્યકારલેખક નૌશિલ મહેતા તેમજ કવયિત્રી અરુંધતી સુબ્રમણ્યમે. અલબત્ત, આ ચિત્રોને લાઠાનાં લખાણનું ચિત્રસ્વરૂપ ગણીને મર્યાદિત દષ્ટિકોણથી જોવાની ભૂલ કરવા જેવી નથી. લેખકના લખાણને આત્મસાત કરીને, તેને પોતાના ચિત્તનો એક હિસ્સો બનાવીને ચિત્રકારે પોતાના મિજાજ પ્રમાણે કરેલું આ આત્મકથનાત્મક અર્થઘટન છે.

Installation- Meditation (with open eyes)


 આ એક્ઝિબિશનમાં માત્ર ચિત્રો જ નહોતાં, પણ ‘મેડિટેશન (વિથ ઓપન આઈઝ)’ નામનું બહુ જ રસપ્રદ આર્ટ ઈન્સ્ટોલેશન પણ હતું. ઈન્સ્ટોલેશન એટલે, સાદી ભાષામાં, મ્યુઝિયમના ઓરડામાં કે ખુલ્લામાં અલગ અલગ ચીજવસ્તુઓેની કરવામાં આવતી કલાત્મક ગોઠવણી. અતુલ ડોડિયાએ અહીં નવ જેટલાં લાકડાંના કબાટ લગોલગ ગોઠવ્યા હતા. તેમાં હાથેથી અનાજ દળવાની ઘંટીના તોતિંગ પડ, ગરમ પાણીથી શેક કરવાની કોથળી, વિષ્ણુના દશાવતારમાંથી સાતેક જેટલા અવતારની મૂર્તિઓ, એક પર એક ગોઠવાયેલા ડસ્ટરનો સ્તંભ, જૂના જમાનાની ઘડિયાળ જેવી કંઈકેટલીય વસ્તુઓ છે. તે સિવાય સત્યજિત રાય, ફ્રેન્ચ ફિલ્મમેકર ફ્રાન્સવા ત્રુફો, અમેરિકન પેઈન્ટર જાસ્પર જોન્સ આદિની તસવીરો તેમજ ‘આનંદ’ ફિલ્મનો સ્ટિલ ફોટોગ્રાફ સુદ્ધાં છે. આ બધાની સૂઝપૂર્વક થયેલી ગોઠવણી વિશિષ્ટ અસર ઊપજાવે છે.

 અતુલ ડોડિયા સમાપન કરે છે, ‘આ મારાં બાળપણનાં પ્રતીકો છે અને હું જેમનાથી પ્રભાવિત થયો છ  એવા મારા હીરોઝ છે. આર્ટ એક્ઝિબિશનનો આ મહત્ત્વનો હિસ્સો છે. જો બકો ન હોત તો આ ઈન્સ્ટોલેશન પણ ન હોત.’

 અતુલ ડોડિયાનાં અગાઉનાં પ્રદર્શનોની માફક આ એક્ઝિબિશન પણ કળાજગતમાં સ્પંદનો પેદા કરશે એ તો નક્કી.

0 0 0 

Sunday, October 2, 2011

ફ્લાયઓવર બ્રિજ નીચે વહેતું ઝરણું


                                                                                 
શું મને મારાં કોઈ જર્નલિસ્ટિક કામ માટે પુલિત્સર પ્રાઈઝ એનાયત થયું છે?

શું મેં એવી કોઈ મહાન નવલકથા લખી નાખી છે યા તો એવી કવિતાઓ, નવલિકાઓ કે બીજું કોઈ સાહિત્ય રચી નાખ્યું છે જેને લીધે હું સાહિત્યના નોબલ પ્રાઈઝ માટે મજબૂત દાવેદાર ગણાતો હોઉં?

શું મેં એવી કોઈ મહાન ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે જેને લીધે ઓસ્કરમાં મારું નોમિનેશન પાકું હોય?

ફેન્ટસીના લેવલ પર આ ત્રણેય સવાલોના જવાબ છેઃ હા. ફેન્ટસીમાં તો, ખેર, મારા ઘરની શેલ્ફ પર આ ત્રણ સિવાયના પણ બીજા કેટલાય ભવ્ય પારિતોષિકો હું કાયમ જોઉં છું!

પણ હકીકત જુદા અંતિમ પર  ઊભી છે.

અને છતાંય હું ‘લેખક’ તો છું જ. ગર્વિષ્ઠ અને આત્મસન્માનથી પુષ્ટ લેખક. ગૌરવ અને સંતોષની આ લાગણી ભીતરમાંથી, જેને આપણે માંહ્યલો કહીએ છીએ તેમાંથી, ઝરે છે.

જેમ ખુમચાવાળા માટે પાણીપુરી બનાવવી એક કામ છે, કેશકર્તનકાર માટે કેશકર્તન કરવું એક કામ છે, તેમ લેખક માટે લખવું એક કામ છે. અલબત્ત, ખુમચાવાળાએ કે કેશકર્તનકારે કામ કરતી વખતે માત્ર પોતાનું કૌશલ્ય બતાવવાનું હોય છે, એને પોતાની જાતને ‘એક્સપ્રેસ’ કરવાના અબળખા હોતા નથી. લેખકનું ખાતું જરા જુદું છે. પોતાનાં વિચારો-લાગણીઓ-ક્રિયેટિવિટીને વાચક સુધી પહોંચાડવાની તેની ઝંખના હોય છે. શ્રોતા વગરનો વક્તા અપ્રસ્તુત છે તેમ વાચક વગરનો લેખક અપ્રસ્તુત બની જાય છે. લેખક અથવા તો લખાણનો મહિમા થવા માટે વાચકનું હોવું જરૂરી. છતાંય એક હદ પછી લેખકની લેખકવૃત્તિ બાહ્ય વેલિડેશન પર આધારિત ન રહે, તે શક્ય છે. કમરાના એકાંતમાં સિતાર કે પિયાનો કે કોઈપણ વાદ્ય પર લીન થઈને રિયાઝ કરી રહેલા કે સંગીતનું સજર્ન કરી રહેલા કલાકારનો આનંદ, સેંકડો-હજારો શ્રોતાઓની દાદ ઝીલી રહેલા કલાકારના આનંદ કરતાં માત્ર જુદો હોય છે, ચડિયાતો કે ઉતરતો નહીં. કલાકારનો યા તો લેખકનો નિજાનંદ ક્યાં સુધી વિસ્તરતો હોય છે અને સ્વીકૃતિની અપેક્ષાનો ઈલાકો ક્યાંથી શરૂ થઈ જતો હોય છે?

                                                                    ૦ ૦ ૦

નિજાનંદ ને અભિવ્યક્તિ ને સર્જનપ્રક્રિયા ને એવા બધા ભારેખમ શબ્દોથી પરિચિત થવાની વાર હતી ત્યારે, કોલેજનાં વર્ષોમાં, લખવું એ અનાયાસે જ મારા માટે એક એવું દોરડું બની ગયું હતું, જેના થકી લટકતા રહીને ઊંડી ખીણમાં ફંગોળાઈ જતા બચી શકાય. સ્કૂલજીવનમાં ભણતર એ ગર્વનો અને સ્વપરિચયનો સૌથી મોટો સ્ત્રોત હતો, પણ એન્જિનીયરિંગ કોલેજમાં પ્રવેશતાંની સાથે જ, જાણે એક ક્ષણમાં સ્વિચ પટાક્ કરતી ઓનમાંથી ઓફ્ થઈ જાય તેમ, ભણતર એકદમ જ ભયાનક આઈડેન્ટિટી ક્રાઈસિસનું કારણ બની ગયું. જીવનનો એ સૌથી પીડાદાયી તબક્કો હતો. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ હતી કે વડોદરાના પોલિટેક્નિક કેમ્પસમાં મારી હોસ્ટેલ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ પર હું રાત્રે એકલો જતો અને રેલિંગ પાસે ઊભા રહીને નીચે આવજા કરી રહેલી ટ્રેનોને જોતો, મનોમન ટ્રેનોના સમય નોંધતો અને પ્લાનિંગ કરતોઃ માત્ર એક જ છલાંગ, બસ. શરીર સીધું નીચે બે પાટા વચ્ચે પટકાશે એટલે જીવ આમેય જતો રહેશે. ધારો કે ન ગયો તો બીજી જ મિનિટે ધસમસતી ટ્રેન શરીરનો ખુદડો બોલાવી દેશે. વાત પૂરી.

પણ વાત હંમેશા અધૂરી રહી જતી. હું ફ્લાયઓવર બ્રિજ પરથી પાછો વળી જતો અને હોસ્ટેલના દોસ્તોની ધમાલમસ્તીમાં ચુપચાપ સામેલ થઈ જતો.

એ વર્ષોમાં ટકી રહેવા માટે આ બે જ આધારો હતા-  હોસ્ટેલના બંદરછાપ દોસ્તો  અને બીજી ડાયરી. અંગત ડાયરી. મિત્રો મારા જેટલા જ અપરિપક્વ અને બિનઅનુભવી હતા તે કારણ હતું અથવા કદાચ તેમની પાસે હૈયું ઠાલવી શકવાનો માહોલ ઊભો થઈ શકતો નહોતો. ઘરના લોકો સાથે બિલકુલ વાત કરી શકું તેમ નહોતો. તેથી તમામ પીડાઓ, અસ્પષ્ટતાઓ, માનસિક સંઘર્ષો, તારણો અને સંકલ્પો ડાયરીનાં પાનાં પર ઠલવાતાં. ઓરડાના એકાંતમાં ભીષણ એકાગ્રાતાથી મારી કલમ સડસડાટ ચાલતી. ભયાનક દબાણ અનુભવતું કૂકર વિસ્ફોટ સાથે ફાટી પડે તે પહેલાં વ્હીસલ વાગે અને પ્રેશર હળવું થઈ જાય તેમ ડાયરીનાં પાનાં પર ખાલી થઈ ગયા પછી હું શાંત થઈ જતો. કશુંક ધાર પાસે આવીને અટકી જતું અને પાછું ભીતર લપાઈ જતું. મારી ડાયરી પેલી આત્મઘાતી વૃત્તિનાં ઝેરીલાં અંકૂરોને ખબર ન પડે તેમ વાઢી નાખતી. હું ટકી જતો.

મારી ડાયરી  મારી ઓક્સિજન-માસ્ક હતી. ડાયરીમાં થતું આ લેખન મારી થેરાપી હતી. સેલ્ફથેરાપી. આ એવું લખાણ હતું જે ક્યાંય છપાવાનું નહોતું. જેને હું ક્યારેય કોઈને વાંચવા આપવાનો નહોતો. જેને વાહવાહી કે શાબાશી કે વ્યાપક સ્વીકૃતિ સાથે કોઈ સંબંધ નહોતો. પણ એ લખાણ લખાવું મારા માટે અત્યંત નિર્ણાયક હતું.


Chandrakant Bakshi
તીવ્ર માનસિક કટોકટીનો આ તબક્કો તો ખેર, એક બિંદુ પછી શમી ગયો, પણ ડાયરી વફાદાર પ્રિયતમાની જેમ સતત સાથે રહી. એન્જિનીયરિંગના વર્ષોમાં એન્જિનીયરિંગનાં પુસ્તકો સિવાયનું બીજું બધું જ વંચાતું. એમ. એસ. યુનિવર્સિટીની એચ. એમ. લાઈબ્રેરીમાં મોટા ઉપાડે વાંચવા તો જતો, પણ અડધી જ કલાકમાં માઈક્રોપ્રોસેસર્સ અને ઈન્ડસ્ટ્રીયલ ઈલેક્ટ્રોનિક્સનાં થોથાંનાં સ્થાને હાથમાં ચંદ્રકાન્ત બક્ષીની ‘આકાર’ કે પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ આવી જતાં. કોલેજના અધૂરાં એસાઈન્મેન્ટ્સ બેગમાં જ રહી જતાં અને ‘પરબ’ કે ‘ગદ્યપર્વ’ જેવાં સાહિત્યિક સામયિકોમાં બિઝી થઈ જવાતું.  
Madhu Rye







હોસ્ટેલમાં મોડી રાત સુધી જાગીને પ્રેક્ટિકલ્સની જર્નલ બને કે ન બને, પણ ‘અભિયાન’માં પ્રગટ થતી બક્ષીની ‘વિકલ્પ’, મધુ રાયની ‘નીલ ગગન કે તલે’ કોલમ, સૌરભ શાહના ‘આડી લાઈને ચડેલાઓને...’ જેવા લેખો તેમજ ‘સમકાલીન’ની ‘વરાયટી’ પૂર્તિમાંથી હસમુખ ગાંધીની કોલમનાં પાનાં ફાડીને એની વ્યવસ્થિત ફાઈલો જરૂર બનતી. આ સઘળા  વાંચનને કારણે મનમાં કંઈ કેટલુંય ટ્રિગર થતું, પાર વગરનાં તરંગો જન્મતાં જે પછી શબ્દરૂપે યા તો ‘વિચારકણિકા’ રૂપે ડાયરીમાં અવતરતાં. (ડાયરી એટલે બસ્સો પાનાંના પાકાં પૂઠાવાળાં ફુલસ્કેપ ચોપડાં જ.) જે કંઈ વંચાતું એમાંથી ‘નોંધવા જેવાં’ અવતરણો રસપૂર્વક લખાતાં. આમ, ડાયરી કેવળ વિષાદ કે માનસિક યાતનાનો દસ્તાવેજ ન રહી, બલકે તેમાં કંઈકેટલાંય પ્રફુલ્લિત અને ક્રિયેટિવ રંગો ઉમેરાતા ગયા.


Saurabh Shah

લખવાનો શોખ પહેલેથી હતો. બાળપણમાં ‘ચંપક’, ‘ફૂલછાબ’, ‘ફૂલવાડી’ વગેરેમાં ઝીણું ઝીણું બચ્ચા જેવું લખતો હતો અને નામ છપાયેલું જોઈને રાજી રાજી થઈ જતો હતો, પણ સાચા અર્થમાં લખવાનો નક્કર રિયાઝ આ ડાયરીને કારણે થયો. ડાયરીની એકધારી દોસ્તીને લીધે લખાણ ધીમે ધીમે સફાઈદાર થવા માંડ્યું. તે શુદ્ધ અને પ્રવાહી બનતું ગયું. ભાષાની સમજ, ભાષાની લીલા, ભાષાની મસ્તી પકડમાં આવતી ગઈ. સમજાયું કે લખવું એટલે માત્ર વ્યક્ત થવું એમ નહીં, લખતી વખતે લેખક પોતાની જાતને છુપાવવાનું કામ પણ કરી શકતો હોય છે! ગુજરાતી સામયિકો અને અખબારોની દુનિયા વધુને વધુ વશીભૂત કરી રહી હતી. કોલેજનાં વર્ષોમાં જ ‘પરબ’ અને ‘કંકાવટી’ જેવાં પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિકોમાં નવલિકાઓ સ્વીકારાઈ અને છપાઈ એટલે બાપુ રાજીના રેડ થઈ ગયા. આ પિરીયોડિકલ્સમાં વાર્તા પ્રગટ થવી એટલે જાણે કે તમારા પર લેખક હોવાનો આઈએસઆઈનો માર્કો લાગી જવો!


Hasmukh Gandhi
આજે પણ ક્યારેક કોઈ લેખ લખવો હોય ત્યારે પંદરવીસ વર્ષ જૂની ડાયરીઓના થોકડા કાઢીને બેસું છું, પાનાં ફેરવું છું અને જરૂરી મસાલો અચૂકપણે મળી જાય છે. ઉદાસ કરી મૂકે તેવાં પાનાંને સ્ટેપલર વડે પિન કરી દીધાં છે કે જેથી એમાંથી નવેસરથી પસાર થવંુ ન પડે. જે કંઈ થયું હતું એનો પૂર્ણ સ્વીકાર છે, તે અનુભવોએ મજબૂતી બક્ષી છે તે સત્યનો પૂરો આદર છે. છતાં નથી કરવી એ યાદોને રિફ્રેશ. નથી જીવવી એ ક્ષણોને ફરીથી.

હું જે અનુભવો અને અનુભૂતિઓમાંથી પસાર થયો છું તે પરથી કહી શકું છું કે મારા માટે લખવું એટલે માત્ર પત્રકારત્વનાં ન્યુઝફીચર્સ લખવાં કે વાર્તા-નવલકથા-નાટક લખવાં કે અન્ય કોઈ પ્રોફેશનલ રાઈટિંગ કરવું એમ નહીં. લખવું એટલે એકત્રિત કરેલી માહિતી કે પોતાના વિચારો-લાગણીઓ ક્રિયેટિવિટીને લોકો સામે રજૂ કરવાં કેવળ એમ પણ નહીં. બીજાઓનો સંદર્ભ તો પછી આવે અથવા ન પણ આવે. મારા કિસ્સામાં લખવું એટલે ભગવાને આપેલાં મન-મગજ-દિલમાં જે હોબાળો ચાલી રહ્યો છે તેને સમજવો. કશુંક અસ્પષ્ટ છે, અધૂરું છે, કશાકનો તાળો મળી રહ્યો નથી કે કશુંક હવામાં અધ્ધર લટકે છે તેવું આઈડેન્ટિફાય કરવું, સમજવું અને સ્વીકારવાની કોશિશ કરવી. માંહ્યલા સામે પ્રામાણિક બનવાનો પ્રયત્ન કરવો.  

મારી ડાયરીએ મારું ઘડતર કર્યુ છે. મને જીવતો રાખ્યો છે. લખવું એટલે શું એ પ્રશ્નનો સૌથી પહેલો નક્કર જવાબ મને ડાયરીના રૂપમાં, જીવન ટકાવી રાખવાના ઓજારના રૂપમાં મળ્યો છે. મારી નજરમાં લેખનપ્રક્રિયાની આ સૌથી સુંદર અને સૌથી મૂલ્યવાન ઓળખાણ છે.

                                                          ૦ ૦ ૦

વ્યું. પછી તો બધું જ આવ્યું. પત્રકારત્વમાં પ્રવેશ્યા પછી યુએનઆઈ-પીટીઆઈના અંગ્રોજી સમાચારોના અનુવાદોથી લઈને  આવતા રવિવારે ફલાણા સ્થળે છગનભાઈ મગનભાઈનું જાહેર પ્રવચન પ્રકારની નગરનોંધથી લઈને છાપાં-મેગેઝિનનાં ફિક્સ ફોર્મેર્ટ ધરાવતા વિભાગો માટેનાં લખાણોથી લઈને ઘાટઘાટનાં પાણી પીધેલા જાતજાતના લોકોના ઈન્ટરવ્યુઝ-ક્વોટ્સ લીધા પછી તૈયાર થતા લેખોથી લઈને કોલમ્સથી લઈને ધારાવાહિક નવલકથા સુધીનું બધું જ લખવાનું આવ્યું.

એન્જિનીયરિંગમાં વર્ષો સુધી દબાયેલી રહેલી મારી સ્પ્રિન્ગ ૧૯૯૫માં પત્રકારત્વમાં પ્રવેશતાની સાથે જ તીવ્રતાથી ઉછળી. શરૂઆત ‘જન્મભૂમિ’થી થઈ. સવારે સાત વાગે શરૂ થયેલી ઓફિશીયલ ડ્યુટી બપોરે બે વાર પૂરી થઈ જતી, પણ પછી મારી ‘હિપ્ હિપ્ હુર્રે’ સપ્લીમેન્ટ માટે કામ ચાલતું. મુંબઈમાં ‘સમાંતર પ્રવાહ’ અને ‘મિડ-ડે’ જેવાં જોશીલા ટેબ્લોઈડ્સ નવાં નવાં લોન્ચ થયાં હતાં અને તેની સામે ‘જન્મભૂમિ’ જેવું સિનિયર અને ગંભીર અખબાર આ સપ્લીમેન્ટનાં રૂપમાં યુથફુલ છટા ધારણ કરી રહ્યું હતું. એમાંય હસમુખ ગાંધીએ એમના તંત્રીલેખમાં આ સપ્લીમેન્ટની પોઝિટિવ નોંધ લીધી એટલે સમજોને કે પુલિત્ઝર પ્રાઈઝ મળવાનો આનંદ કેવો હોઈ જોઈએ તેનો પાક્કો અંદાજ જર્નલિઝમમાં આવ્યાને ત્રીજા જ મહિને મળી ગયો! મુંબઈ જેવું મારા માટે સાવ નવું શહેર અને આ પૂર્તિ માટે નવા નવા લોકોને મળવાનું, ઈન્ટરવ્યુઝ કરવાના, રોકટોક વગર ખૂબ બધું મૌલિક અને મનગમતું લખવાનું, ઢગલાબંધ બાઈલાઈન્સ જોવાની... એટલો બધો આનંદ આવતો હતો કે મને ખરેખર સવાલ થતો કે ઓફિસ મને કઈ વાતનો પગાર ચૂકવે છે? આટલી બધી મજા કરવા દેવા ખરેખર  તો મારે સામેથી કંપનીને ફી ચૂકવવી જોઈએ! એન્જિનીયરિંગના વર્ષોમાં સાવ પાતાળમાં પહોંચી ગયેલું આત્મસન્માન અને સ્વઓળખ ઝપાટાભેર ઊંચકાઈને નોમર્લ સપાટી પર આવી રહ્યાં હતાં. હવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પરથી નીચે નજર કરતી વખતે છલાંગ લગાવવાનો વિચાર નહોતો આવતો, પણ ધડધડાટ દોડતી લોકલ ટ્રેનોનું મીઠું મેટ્રોપોલિટન મ્યુઝિક સંભળાતું હતું...

‘જન્મભૂમિ’ પછી અનક્રમે ‘સમાંતર પ્રવાહ’, ‘ચિત્રલેખા’, ‘મિડ-ડે’ અને પછી ‘અભિયાન’નો સ્ટાફર બન્યો. જવાબદારીઓ વધતી ગઈ. અગાઉનાં પ્રકાશનો કરતાં ‘ચિત્રલેખા’ની કામગીરી જુદી હતી. અહીં હું  ‘ડેસ્કનો માણસ’ નહીં, રિપોર્ટર હતો. મારી વર્ક પ્રોફાઈલ અને ટેમ્પરામેન્ટ એવાં રહ્યાં છે કે જો ‘ચિત્રલેખા’માં જોડાયો ન  હોત તો નક્કર ફિલ્ડવર્કનો જે ટૂંકો અનુભવ મળ્યો છે તે કદાચ કદી ન મળ્યો ન હોત. હાલ ‘અહા! જિંદગી’ના એડિટોરિયલ કન્સલ્ટન્ટ તરીકે તેમજ ‘ચિત્રલેખા’ અને ‘દિવ્ય ભાસ્કર’ સાથે કોલમિસ્ટ તરીકે સંકળાયેલો છું.

પત્રકાર હોવાની સૌથી ‘પૈસા વસૂલ’ એક્ટિવિટી જો કોઈ હોય તો એ છે અલગ અલગ ક્ષેત્રોની વ્યક્તિઓનો વનટુવન ઈન્ટરવ્યુ  લેવાનો આવ્યો છે. પાંચદસ લીટીના ક્વોટ નહીં પણ ફુલફ્લેજ્ડ ઈન્ટરવ્યુ. જીવતાજાગતા માણસને મળવું, તેની સાથે સંધાન કરી શકવું, તેની ભીતર ઝાંકવાની કોશિશ કરવી, તેનાં મન-હ્યદય-વિચારોને ક્રમશઃ અનાવૃત્ત થતાં નિહાળવા... આ આનંદ મહામૂલો છે. મુલાકાત લેનાર જો ઠીકઠીક પર્સેપ્ટિવ હોય તો અમુક ન કહેવાયેલી વાતો પણ જોઈસાંભળી-સ્પર્શી શકતો હોય છે. ઈન્ટરવ્યુ લીધા પછી તે લખવાની પણ મજા છે.

પત્રકાર ડેડલાઈનનો માણસ છે અને જ્યાં સુધી ડેડલાઈનનું પ્રેશર ન આવે ત્યાં સુધી એની કલમ હલવાની તસ્દી લેતી નથી તે એક સર્વસ્વીકૃત વાત છે. આ પુસ્તકમાં ઘણાએ આ ‘જર્નલિસ્ટિક સત્ય’ ટાંક્યું હશે, આઈ એમ શ્યોર! કોઈ બહાનું બચ્યું ન હોય, સાવ ભીંતસરસા ચંપાઈ ગયા હોઈએ અને સહેજ પણ ચસકી શકાય તેમ ન હોય, આમતેમ નજર કરીએ ત્યારે ભાગી છૂટવા માટે નાનું બાકોરું પણ દેખાતું ન હોય, આર્ટિકલ સબમિટ કરવા માટેનો બેર મિનિમમ સમય બચ્યો હોય છેક ત્યારે લખવા બેસવાનું અમને લોકોને ગમતું હોય છે. ચાલુ ભાષામાં કહીએ તો ‘નીચે રેલો આવે’ ત્યારે જ રિપોર્ટ-લેખ-કોલમ-ફિલ્મ રિવ્યુ કે કંઈપણ લખવાની મજા આવતી હોય છે! ડેડલાઈનનું જોરદાર દબાણ હોય ત્યારે એકાગ્રાશક્તિ (અને કદાચ લેખનશક્તિ પણ) ખીલે, શબ્દો ફ્ટાફટ સૂઝવા માંડે અને કાગળ અથવા તો કમ્ય્યુટર કીબોર્ડ પર ફરતી આંગળીઓ મહત્તમ સ્પીડ ધારણ કરી લે. આ રીતે લખાયેલો આર્ટિકલ ફાઈલ થઈ ગયા પછી જે નિરાંત થાય... આહા!

પણ છેલ્લી ઘડી સુધી લખવાનું ઠેલ્યા કરવાનું જોખમી નિવડી શકે છે. આ વાત ‘અભિયાન’માં ‘વિક્રાંત’ ધારાવાહિક લખી રહ્યો હતો ત્યારે બરાબર સમજાઈ રહી હતી. ‘વિક્રાંત’ મારી પહેલી જ નવલકથા. બે આંગળીના વેઢા પણ માંડ થાય એટલી જે નવલિકાઓ લખી હતી તે છેક પૂર્વજન્મમાં, કોલેજનાં વર્ષોમાં. આથી એવું પણ નહોતું કે આ પ્રકારનું ક્રિયેટિવ લખવાનો મહાવરો હતો. ‘અભિયાન’માં હવે પછીની ધારાવાહિક મારે લખવાની છે તે એકદમ જ નક્કી થયું. એક તો ‘અભિયાન’નુ સંપાદન અને એક્ઝિક્યુશન કરવાનું પુષ્કળ સમય માગી લેતું જવાબદારીભર્યુ કામ. તેમાં દર અઠવાડિયે ‘વિક્રાંત’ના હપ્તા લખવાનું એટલું જ વજનદાર વધારાનું કામ ઉમેરાયું.  આદર્શ રીતે તો દસેક હપ્તા તૈયાર થાય પછી નવલકથા શરૂ કરવી જોઈએ, પણ એટલો સમય અને મોકળાશ લાવવા ક્યાંથી. અને ડેડલાઈનના પ્રેશર વગર દસદસ હપ્તા લખાય પણ કેમ. માંડ ત્રણ લખાયા અને નવલકથા છપાવાની શરૂ થઈ ગઈ. બુધવારે ઈશ્યુ પેક કરવાનો હોય એટલે નવલકથાનાં પાનાંવાળું ફોર્મ મોડામાં મોડા સોમવારે પ્રોસેસમાં જતું રહેવું જોઈએ. છેલ્લી ઘડી સુધી ‘વિક્રાંત’નો હપ્તો લખાતો રહે. પાંચપાંચસાતસાત પાનાં લખીલખીને કંપોઝમાં મોકલતો રહું અને છેલ્લે છેલ્લે ઈન્ટરકોમ પર ઓપરેટરને પૂછતો રહુંઃ હજુ કેટલાં પાનાં જોઈશે?

હપ્તો લખાતો હોય ત્યારે સાથે સાથે રૂટિન કામ તો ચાલતાં જ હોય   મુબઈના અને બહારના રિપોર્ટરો સાથે સતત ફોન પર સંપર્કમાં રહેવું, ડેસ્કના સ્ટાફ અને બીજા ડિપાર્ટમેન્ટ્સ સાથે કો-ઓર્ડિનેટ કરવું, ઈમેઈલ્સ ચેક કરતા રહેવું, બીજા લેખો-વિભાગોનું એડિટિંગ કરતા રહીને તેનાં પાનાં ફાઈનલાઈઝ કરતાં જવાં વગેરે. માનસિક મોકળાશ કે નો ડિસ્ટર્બન્સ  કે એકાંત કે રાઈટર્સ બ્લોકની લકઝરી એટલે શું વળી?  એક વીક્લીની જે રુટિન ધમાલ હોય એમાં કશી બાંધછોડ કરવાનો સવાલ જ નહોતો. તે જ પ્રમાણે, નવલકથાની સુરેખતા, પ્રવાહીતા, અપીલ તેમજ જરૂરી રિસર્ચ કરવું પડે તો તેમાં પણ કશી બાંધછોડ ન હોય. અગાઉ કહ્યું તેમ, આ રીતે પહેલી નવલકથા લખવી કેટલી જોખમી છે તે મને સમજાઈ રહ્યું હતું. એક્સિડન્ટ-બેક્સિડન્ટ થયો ને હાથ ભાંગી ગયો તો? બે મહિનાનો ખાટલો થઈ ગયો તો? ગુજરી ગયા તો? ધારો કે આવું કશું ન થાય, પણ નવલકથામાં કેવી રીતે આગળ વધવું તે સમજાતું ન હોય તો? કશીક ક્રિયટિવ ક્રાઈસિસ ઊભી થઈ તો?

પણ થેન્ક ગોડ આવું કશું ન થયું. દીકરા, ચિંતા ન કર, ઉપર હું બેઠો છું એવું હજાર હાથવાળાએ ફરી એકવાર પૂરવાર કર્યુ! ‘વિક્રાંત’ લખાઈ, સરસ રીતે લખાઈ, પૂરો સંતોષ થાય તે રીતે લખાઈ. વાચકોએ તેને દિલપૂર્વક પસંદ કરી. પછી તો તે પુસ્તકરૂપે પણ પ્રકાશિત થઈ. ‘વિક્રાંત’ વાંચીને વાચકો હજુય પત્ર-એસએમએસ-ફેસબુસ મેસેજ રૂપે સંપર્ક કરે અને ફીડબેક આપે છે ત્યારે હોઠના બન્ને ખૂણા કાનને સ્પર્શી જાય એટલું મોટું સ્મિત ચહેરા પર આવી જાય છે.

‘મિડ-ડે’ માટે હિન્દી ફિલ્મોના રિવ્યુઝ લખવાની વાત આવી ત્યારે પહેલો વિચાર એ આવ્યો હતો કે હું તો રહ્યો કેવળ સિનેમાનો પ્રેમી, સિનેમાની સમીક્ષા કરવા માટે જે અભ્યાસ, એક્સપોઝર અને પાંડિત્ય  જોઈએ તે ક્યાંથી લાવવાં? સદભાગ્યે મને આપવામાં આવેલી બ્રિફ પ્રમાણે મારે કોઈ પણ પ્રકારની પંડિતાઈના ભાર વગર આમદશર્કના પોઈન્ટ-ઓફ-વ્યુથી રિવ્યુ લખવાના  હતા. રિવ્યુ લખવાનો હોય એટલે ગમે તેટલી ખરાબ હોય તો પણ ફિલ્મ આખેઆખી જોવી પડે અને પાછી ધ્યાનપૂર્વક જોવી પડે, તમે અડધેથી નાસી ન શકો, નસકોરાં બોલાવતાં સૂઈ પણ ન શકો! જોકે ફિલ્મ જેટલી ખરાબ હોય, કચકચાવીને રિવ્યુ લખવામાં એટલી વધારે મજા આવે. રિવ્યુઝ માટે લાગલગાટ બે વર્ષ સુધી દર અઠવાડિયે બબ્બે, ત્રણત્રણ અને ક્યારેક તો ચારચાર હિન્દી ફિલ્મો જોવાની ફળશ્રુતિ એ કે, મા કમસ,  સહનશીલતા ગજબની વધી ગઈ છે!

                                                                 ૦ ૦ ૦
સાહિત્યમાં રસ હોય, લખવાનો શોખ હોય એટલે પત્રકારત્વમાં જવું એવું એક સાદું સમીકરણ આગાઉ પણ હતું, આજે ય છે. આ જરા નાજુક બાબત છે. સાહિત્ય અને જર્નલિઝમ બન્નેનો સંબંધ કલમ સાથે છે એ ખરું, પણ પત્રકારત્વમાં તો જ આવવું જોઈએ જો પત્રકારત્વમાં રસ હોય.  પત્રકાર બન્યા પછી આગળ જતાં તમે કોલમિસ્ટ બનો અને સાથે સાથે જો સાહિત્યની ‘સેવા’ પણ કરી શકો તો એના જેવું ઉત્તમ બીજું કશું નહીં. આની સામે બીજી વાત પણ છે. ફુલટાઈમ પત્રકાર બન્યા પછી એના પડકારોમાં, એના અલગ જ પ્રકારના આનંદ અને સંતોષમાં, તેના બીબાંઢાળ રૂટિનમાં તમારી  સાહિત્યપ્રીતિ સૂકાવા માંડે કે સાહિત્ય તરફ તમે જે થોડીઘણી ગતિ કરી હતી એ તદ્દન જ અટકી જાય તે બિલકુલ શક્ય છે. સાહિત્યનું સર્જન તો ઠીક, સાહિત્યનું વાંચન પણ સદંતર બંધ થઈ જાય તેમ પણ બને. કેટલાય પત્રકારો સાથે આવું બન્યું છે અને સતત બનતું રહે છે. આ જોખમસ્થાન બરાબર સમજી લેવું જોઈએ. ‘કેમ? હરીન્દ્ર દવે, ભગવતીકુમાર શર્મા અને હરકિસન મહેતા ફુલટાઈમ પત્રકાર હોવા છતાંય સાહિત્યકાર હતા જ ને?’  આવી દલીલ હંમેશા કરવામાં આવે છે. આ બધા મજાનાં અને અપવાદરૂપ ઉદાહરણો છે. બધા સાહિત્યસર્જનવાંછું પત્રકારો કંઈ દવે-શર્મા-મહેતા જેવું કોમ્બિનેશન અચીવ કરી શકવાના નથી.

નિર્ભેળપણે જર્નલિસ્ટ હો એટલે ટ્વેન્ટીફોર-બાય-સેવન ‘એક્સાઈટિંગ સ્ટફ’ કરતા રહેવું એમ નહીં, પ્લીઝ. આંખમાં જર્નલિઝમનું ગ્લેમર આંજીને બેઠેલાં છોકરાછોકરીઓએ આ બાબત સમજી લેવી જોઈએ. પત્રકાર તરીકે તમે કેટલાંય એક્સાઈટિંગ લોકોને મળો છો, તેમની સાથે ઈન્ટરેક્ટ કરો છો તો સાથે સાથે તમે અંદરથી બુઠ્ઠા કરી નાખે તેવી બીબાઢાંળ કામગીરી પણ કરો છો. તમે મજ્જા પડી જાય તેવા લેખો લખવાની સાથે માત્ર રેવન્યુ જનરેટ કરવાના ઉદેશ સાથે બહાર પાડવામાં આવતી માર્કેટિંગની મહાબોરિંગ પૂરવણીઓ પણ તૈયાર કરો છે. પત્રકાર એક પ્રોફેશનલ રાઈટર છે અને તેને માટે નિજાનંદનું ગણિત જરા પેચીદું હોય છે. પત્રકારત્વ એક પેકેજ ડીલ છે, કોઈપણ નિકટની વ્યક્તિ કે ઘનિષ્ઠ સંબંધની જેમ, જેને આખેઆખું સ્વીકારવું પડે.

ખેર, આ બધું અનુભવે સમજાતું જાય છે, શીખાતું જાય છે. સમય બદલાય છે, પત્રકારત્વનાં નીતિમૂલ્યો તેમજ સમીકરણો બદલાય છે અને તમે પણ બદલાઓ છો. પાણીનું ઝરણું જેમ દિશાઓ બદલતું વહેતું જાય તેમ તમે તમારી આંતરિક શક્તિ અને ઝંખના અનુસાર પોતાનો માર્ગ કરતા આગળ વધતા રહો છો.
                                                            ૦ ૦ ૦

લેખક માટે ‘સામૂહિક ક્રિયેટિવ પ્રોસેસ’ જેવી પણ કોઈ વસ્તુ હોય શકે તે ભાઈદાસ-તેજપાલ જેવી કમર્શિયલ અને પૃથ્વી થિયેટર જેવી નોન-કમર્શિયલ રંગભૂમિના અનુભવ પરથી સમજાયું. આ ક્ષેત્ર સાથેનો સંબંધ હજુ તો નવો છે, પણ આ એક અલગ દુનિયા છે અને બહુ મજાની દુનિયા છે. સિનેમાનું માધ્યમ તીવ્રતાથી આકર્ષેં છે, પણ હજુ સુધી તેની સાથેનો નાતો કેવળ એક સિનેમા-લવર તરીકેનો જ રહ્યો છે. ખેર, ઝરણું પોતાની ગતિ, શક્તિ અને મસ્તી પ્રમાણે વહેતું રહેશે. ઝરણું કઈ દિશામાં કેવી રીતે આગળ વધશે તેની આગાહી ક્યાં કરી શકાતી હોય છે?

આગાહી આમ તો ફેન્ટસીનો જ એક પ્રકાર થયો કહેવાયને !                                                    
                                                                 
0 0 0




(કૌશિક મહેતા દ્વારા સંપાદિત પુસ્તક લખવું એટલે કે...માટે)

Friday, September 30, 2011

Eat, Pray, Love, Read!


I just finished Elizabeth Gilbert’s Eat Pray Love few minutes ago with amazing sense of joy and satisfaction. In fact, this has been the constant feeling all along while reading the book - a delicious mix of joy and satisfaction. 

Even though I knew about this book - I have seen it oh-so-many-times at pirated book sellers parked outside Andheri station - somehow I never felt like even picking it up. I was never intrigued by the book. I even remembered newspaper reports when Roberts was shooting for the movie in India. Though I hadn’t watched the film.

But then Oprah did the trick. One night I accidentally happened to watch a joint interview of Gilbert and Julia Roberts in one of Oprah’s shows on Love channel. I kind of liked what I saw and felt like reading the book. Hetal, a good friend of mine, had already read the book and the kind of dispassionate feedback that she gave to me did not help - I already had a very low expectations from the book. 

And then one fine day I started reading this autobiographical book anyway. And the book pulled me in completely! The writing, the flair, the humor, the weaving, the craft, the overall impact... AHA! To top it all, the book has this 'unputdownable' quality to it. I was sucked in Gilbert’s world. I could relate to her totally. I could identify with her quest for love and life.

I never thought I would love this book with such a massive intensity. This is kind of a book that one would possibly go to all over again for selective reading. It is such a rare quality.  Okay, one can dismiss it off as a glamorised-self help-book-disguised-as-a memoir. Though I don't agree with it at all. The literary value? Who cares! Okay, Gilbert is nowhere near likes of, say, Ayn Rand. But then, why compare two totally different people? Some may even find the book 'too American'. Even if it is so, how does that matter? Human emotions are universal - that's the reason the book has seen such an enormously success all over the world. The book, published in 2006, remained on The New York Times Best Seller list for 187 weeks, that is, more than 3 and half years !    

Elizabeth Gilbert

Having said that, well, the account of one-year-of-self discovery-cum-world tour of Gilbert does come across as too good to be true. How can so many interesting events and interesting people can happen to one person in a span of single year? Especially the later part of book does has this fairy tale ring to it.  Nonetheless, it all makes an interesting read.

Julia Roberts in Eat Pray Love
Incidentally, while I was still in the middle of the book, I watched the movie Eat Pray Love on TV with rapt attention. I found it horrible - easily one of the worst adaptions.  Well, less said about it,  better. Few books are just not ‘adaptable’. Eat Pray Love belongs to this category. Period. 

I am going to read Gilbert's other work, one after another. Committed is a sequel to Eat Pray Love. She has also written a novel and few short stories earlier. Well, everything that she has written before or after Eat Pray Love would be invariably compared to it. Quite clearly, it would be difficult for Gilbert to match with that kind of success and may be even quality. This is an usual phenomenon and every successful writer has to carry the excessive weight of his or her most successful work till the moment s/he dies.

So  Go Read... Eat Pray Love! 

Sunday, September 25, 2011

ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે...

ચિત્રલેખા - અંક તા. ૩ ઓક્ટોબર ૨૦૧૧


કોલમઃ વાંચવા જેવું






‘આપણે મોટા થઈ ગયા છીએ એની જાણ આપણને બીજાઓ દ્વારા થતી હોય છે.’



અભિનેતા અનુપમ ખેરે એકવાર પત્રકાર-લેખિકા ભાવના સોમૈયાને આ ચોટડૂક વાત કહી હતી. મોટા થઈ જઈએ અને સમયની સાથે પુખ્તતા ઘૂંટાતી જાય પછી પણ પ્રારંભિક જીવન સાથેનું અનુસંધાન જળવાઈ રહેતું હોય છે. બાળપણ સાથેનો માનસિક સેતુ આપણને સુખ આપે, કૌતુક જન્માવે, ઉદાસ કરી મૂકે, અમુક પ્રશ્નોના ઉત્તરો આપે તો ક્યારેક સાવ નવા સવાલો ખડા કરી દે. પ્રસ્તુત પુસ્તકમાં ૬૩ વ્યક્તિઓએ પોતાના બાળપણને સંભાર્યું છે.



રોજ સવારે હજી આંખો પણ ખૂલી ન હોય ત્યાં ઉઠાડી, નવડાવી, દૂધ પીવડાવી જેઠા મહારાજ ખભે બેસાડી ટીંગાટોળી કરી બાળમંદિરે મૂકી આવતા તે દિવસો ‘ગુજરાત સમાચાર’ના ઑનર અને તંત્રી શ્રેયાંસ શાહ હજ ભૂલી શક્યા નથી. તેઓ કહેે છે, ‘ખભે બેસી રડતા રડતા માથા પર કેટકેટલા મુક્કા માર્યા હશે તે યાદ નથી, પરંતુ જેઠા મહારાજે મારેલી બે લપડાકો તો જીવનભર યાદ રહી ગઈ છે અને ત્યારથી સ્કૂલ જતા રડવાનું કે તોફાન કરવાનું ભૂલાઈ જ ગયું!’



વીતેલા જીવનની કઈ વાત ચિત્તના કયા પડળમાં કટલી તીવ્રતાથી નોંધાયેલી રહે, કેટલી ગળાઈ જાય અને કેટલી નાશ પામે તે માટેનું કોઈ ગણિત હશે ખરું? શબ્દસૃષ્ટિ સામયિકના સંપાદક હર્ષદ ત્રિવેદી તો કહે છે કે, ‘મને મારું બચપણ જ યાદ છે. એ પછીનું તો બધું ટેમ્પરરી...’ લેખક મધુ રાય આ વાત આ રીતે મૂકે છેઃ ‘દિમાગમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની જેમ મનમાં પ્રસંગો ડોકાય છે ને મનવાને અચરજ થાય છે, રે રે? આવું આમ હતું? પેલું નામ શું હતું? અમુકની હોઠની ધાર ઉપર મારી તર્જનીનાં ટેરવાં ફરેલાં? અમુકના શ્વાસ મારી મૂછને અડકેલા? અમુકના અંતર્દેશીય પત્રથી મારા ખૂનનો ચરખો પૂરપાટ ભમ્યો હતો? અમુક પ્રભાતફેરીમાં ‘ભારત માતાકી?’ ‘જૈય!’ બોલતાં ધ્રૂસકું આવ્યું હતું?’



બાળપણને યાદ કરવાથી સમૃદ્ધિ અને ખાલીપો બન્નેનો, ક્યારેક એકસાથે, અહેસાસ થતો હોય છે. આર્કિટેક્ટ-કવિ અવિનાશ પારેખ સીધું જ પૂછી લે છે, ‘કોઈ પળે અવળે હાથે ક્યાંક મૂકાઈ ગયેલી મારી આભલાવાળી કાળી જાદુઈ થેલી તમે કોઈએ જોઈ છે?’ નાનપણને જદા જ અંદાજમાં યાદ કરીને નવલકથાકાર અશ્વિની ભટ્ટ કહે છે, ‘મારી પાસે બધું છે અને તોય મને તેની (એ કિશોર અશ્વિનીની) અદેખાઈ આવે છે. તેનું ઊંટ, તેનાં કબૂતર, તેની કોચમણી... અને સૌથી વધુ કમબખ્તની આંખમાં રમતી મસ્તી અને નિનૈતિક ધીંગામસ્તી... ’



બાળપણ એટલે માત્ર ગુલાબી ગુલાબી અતીત અને મુલાયમ મુલાયમ યાદોનું પોટલું નહીં. હાસ્યલેખક તારક મહેતા, એમના શબ્દોમાં, માંડ દસ દિવસના જંતુ હતા ત્યારે મા એમને પૂછ્યા વગર ગુજરી ગયેલી. હાસ્યકાર વિનોદ ભટ્ટ લખે છે, ‘આ ગરીબી તો મારું આખેઆખું બાળપણ ચાવી ગઈ છે.’ ‘ચિત્રલેખા’ના કાર્યકારી તંત્રી ભરત ઘેલાણીએ નાનપણમાં જાહોજલાલીનું હોવું અને ઓસરવું બન્ને જોયા છે. એમને ત્યાં લાંબીપહોળી પીળાચટ્ટાક રંગની વૈભવી શેવરોલે કાર હતી, જેના ડેશબોર્ડ પરની ચાંપ દબાવતાં જ ઉપરનું હૂડ આસ્તેથી સરકીને, ફોલ્ડ થઈને પાછલી સીટમાં જતું રહેતું અને કાર ઓપરએર બની જતી. આખા કલકત્તામાં આવી ઈમ્પોર્ટેડ શેવરોલે એક ઘેલાણી પરિવાર પાસે જ હતી. તેઓ લખે છેઃ ‘આ ‘દોમ દોમ સાહેબી’નો અર્થ બાળપણમાં બરાબર ખબર નહોતો, કારણ કે એ સહજ હતું. જન્મતાંની સાથે જ એ બધું મળેલું. મોટા થયા, વાંચતા થયા ત્યારે પુસ્તકો-ફિલ્મોમાંથી જે અર્થ સમજાયો હતો ત્યારે જ ખબર પડી કે અમે બાળપણમાં કેવી દોમ દોમ સાહેબી ભોગવી હતી!’



લેખિલા કાજલ ઓઝા-વૈદ્યને લાગે છે કે એમનું બાળપણ એટલું બધું નિર્દોષ કે વહાલસોયું નથી વીત્યું. મુંબઈથી શિફ્ટ થઈને છોકરા-છોકરીઓ એકબીજા સાથે બોલે નહીં એવી અમદાવાદની સ્કૂલમાં તેમણે એડમિશન લીધું હતું. ‘ફ્રી ડ્રેસ’ના પહેલા જ દિવસે એ ટીશર્ટ અને શોટર્સ પહેરીને સ્કૂલે ગયાં અને ત્યારથી જ ‘બીજાથી જદી’ સાબિત થઈ ગયાં. આટલું કહીને લેખિકા ઉમેરે છેઃ ‘એ પછી હું કાયમ ‘જદી’ જ રહી...’ ડોકટર કવિ મુકુલ ચોક્સીની સમસ્યા જોકે જરા અલગ હતી. તેઓ છઠ્ઠા ધોરણમાં કોએજ્યુકેશનવાળી સ્કૂલમાં દાખલ થયા ત્યારે છોકરીઓની બાજમાં બેસવામાં તો ઠીક, છોકરીઓ રક્ષાબંધનના તહેવાર પર રાખડી બાંધે તોય એમને સંકોચ થતો!



બાળપણ પાસે પાછા પહોંચી જવાની ઝંખના હોવી અનિવાર્ય છે? બિલકુલ નહીં. લેખક-પત્રકાર સૌરભ શાહનો એટિટ્યુડ જઓઃ ‘જો કોઈ એમ કહે કે ભઈલા, આ તારી દૌલત-શૌહરતના બદલામાં હું તને તારું બચપન પાછ આપું છ તો હું શું કરું. આ ૨૦૦૯ની સાલમાં (આ પુસ્તક જોકે ૨૦૧૧માં પ્રગટ થયું છે) મારી દૌલત માઈનસમાં છે અને શૌહરત ચીંથરેહાલ છે, પણ આ બધું ટકાટક હોત તો પણ મેં ભગવાનની આ એક્સચેન્જ ઓફર સ્વીકારી ન હોત... કવિઓ-શાયરો માટે આવું બધું બરાબર છે અને કોઈ ગાય તો બે ઘડી મૌજ પણ આપી જાય, પરંતુ આ પ્રકારની રોમેન્ટિસિઝમ મારા મિજાજમાં નથી.’



પત્રકાર ઉર્વિશ કોઠારી કહે છે કે બાળપણ વિશેના ગામ, સીમ, વાડી, વગડો, આંબલીપીપળી કે ‘કાગઝ કી કશ્તી બારીશ કા પાની’ બ્રાન્ડ લખાણોમાં ‘શું હતું’ની સાથે ‘શું હોય તો સારું લાગે’ની ભેળસેળની તીવ્ર સંભાવના રહે છે. આ જોખમસ્થાન તરફ આંગળી ચીંધીને એ ઉમેરે છે, ‘ગાંઘીજીની કડાચોરી કે પરીક્ષામાં ચોરી ન કરવાની ઈમાનદારી, સરદારનું ક્લાસમાં ‘પાડા’ લાવવાનું તોફાન એ બધા ‘પરાક્રમ’નું મોટપણ-મહાનતાના સંદર્ભ વિના, સ્વતંત્ર મૂલ્ય નહીંવત છે.’



ખેર, આ જોખમ સહિત પણ અંકિત ત્રિવેદી સંપાદિત આ લેખો વાંચવા ગમે તેવા છે. આજકાલ આ પ્રકારનાં સંપાદનોનો જબરો ટ્રેન્ડ શરૂ થયો છે. આ પુસ્તકમાં સ્થાન પામેલી મોટા ભાગની વ્યક્તિઓનો સંબંધ કલમ અને શબ્દો સાથે છેે. દેખીતાં નામો ઉપરાંત અન્ય કંઈકેટલાંય ક્ષેત્રોની નોંધપાત્ર વ્યક્તિઓનાં લખાણો પણ જહેમતપૂર્વક મેળવવામાં આવ્યાં હોત તો સંગ્રહ ઓર નિખરી ઉઠત.

સાંભરે રે.. બાળપણનાં સંભારણાં...


સંપાદકઃ અંકિત ત્રિવેદી

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧ અને મુંબઈ-૧

ફોનઃ (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩

કિંમતઃ રૂ. ૩૫૦ /

પૃષ્ઠઃ ૩૨૬





૦ ૦ ૦



Wednesday, September 21, 2011

માણસની કક્ષા શી રીતે નક્કી થાય?

ચિત્રલેખા -
અંક તા. ૨૨ ઓગસ્ટ ૨૦૧૧


કોલમઃ
વાંચવા જેવું

-----------------


ક્રિયેટિવ મેન ઈઝ મોટિવેટેડ બાય ધ ડિઝાયર ટુ અચીવ, નોટ બાય ધ ડિઝાયર ટુ બીટ અધર્સ.

આ શબ્દો વિશ્વપ્રસિદ્ધ રશિયન-અમેરિકન લેખિકા આયન રેન્ડના છે. તેનો અર્થ છે, સર્જનાત્મક દિમાગ ધરાવતા માણસનું પ્રેરકબળ કશુંક હાંસલ કરવાની ઝંખના હોય છે, બીજાઓથી આગળ નીકળી જવાની કે હરાવી દેવાની વૃત્તિ નહીં. વિચારોની ધાર ઉતારી દેતી આયન રેન્ડની નવલકથાઓ ‘ધ ફાઉન્ટનહેડ’ (૧૯૪૩) અને ‘એટલાસ શ્રગ્ડ’ (૧૯૫૭)થી કેટલીય પેઢીના વાચકોને તીવ્રતાથી પ્રભાવિત થયા છે, હજય થઈ રહ્યા છે. આજે જેની વાત કરવાની છે તે પુસ્તક ‘અંગદનો પગ’ પણ આયન રેન્ડની કૃતિઓની અસર હેઠળ લખાયું છે. લેખક સ્વયં પ્રસ્તાવનામાં કહે છે કે તેમનો ઈરાદો આયન રેન્ડના ‘ફર્સ્ટ રેટર્સ’ અને ‘સેન્કડ રેટર્સ’ વિશેની થિયરીને ગુજરાતીમાં મૂકવાનો હતો અને તે માટે તેમણે નવલકથાનું ફોર્મ પસંદ કર્યું છે. વેલ, લેખકનો ઈરાદો અને અખતરો બન્ને સફળ થયા છે. પાંચ વર્ષના ગાળામાં ‘અંગદનો પગ’ની નવ આવૃત્તિઓ પ્રગટ થઈ છે તે હકીકત તેનું પ્રમાણ છે.


Ayn Rand

‘અંગદનો પગ’ની કથામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ મુખ્ય પાત્રસૃષ્ટિ રચે છે. સિદ્ધાંતવાદી શિક્ષક જ્યોતીન્દ્ર શાહ સાચા અર્થમાં માસ્તર છે. ‘ધ ફાઉન્ટનહેડ’ના નાયક હાવર્ડ રોર્કની માફક એ ઓરિજિનલ છે, આત્મસંપન્ન છે. શિક્ષક તરીકે એ જેટલા પ્રતિભાશાળી છે એટલા જ માણસ તરીકે ઉત્તમ છે. એમની આંખોમાં સદાય નિશ્ચયાત્મકતા ચમકતી રહે છે, જે નગુણા લોકોને થથરાવી મૂકે છે. સ્કૂલના વાતાવરણમાં ઓક્સિજનની જેમ છવાયેલા જ્યોતીન્દ્રની ખૂબી એ છે કે તે વિદ્યાર્થીઓને એક સાથે બહિર્મુખી અને અંતરમુખી બનાવી શકવાની તાકાત છે.



‘અંગદનો પગ’માં લેખક એક જગ્યાએ કહે છેઃ ‘વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રથમ કક્ષાના (ફર્સ્ટ રેટર્સ) અને દ્વિતીય કક્ષાના (સેન્કડ રેટર્સ). માનવના ઉષઃકાળથી આ વિશ્વનો વિકાસ હંમેશા પ્રથમ કક્ષાના લોકોએ કર્યો છે. કરૂણતા એ રહી છે કે વિશ્વનું નિયંત્રણ, રાજસત્તા, ધનસત્તા માત્ર બીજી કક્ષાના લોકો પાસે રહી છે. પ્રથમ કક્ષાના લોકો પોતાનાં કાર્યોમાં એવા મસ્ત હોય છે કે તેમને આવી સત્તા કે ધનમાં રસ જ નથી હોતો, ને બીજી કક્ષાના લોકો સર્જનાત્મક ન હોવાથી માત્ર આવી જ બાબતોમાં રસ ધરાવે છે. તેઓ હંમેશા પ્રથમ કક્ષાના લોકોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે.’



નવલકથામાં એક બાજ ફર્સ્ટ-રેટર જ્યોતીન્દ્ર છે તો સામા છેડે કિરણ દવે નામના શિક્ષક છે. દવેસાહેબ તરૂણ હતા ત્યારે જ એમની પારખુ માતાએ કહી દીધેલુંઃ ‘તારામાં મહત્ત્વાકાંક્ષા છે, પણ તે પૂરી કરવા માટેની શક્તિ તું નથી ધરાવતો... તું એવરેજ વ્યક્તિ છે. તું તદ્દન સામાન્ય બુદ્ધિ ધરાવે છે. તારી મહત્ત્વાકાંક્ષા ભાગ્યે જ ફળશે.’ આત્મવિશ્વાસનો તીવ્ર અભાવ ધરાવતો છીછરો માણસ સામાન્યપણે તેજોદ્વેષથી પીડાતો હોય છે. જ્યોતીન્દ્રની તેજસ્વિતા દવેસાહેબ સહન કરી શકતા નથી. જ્યોતીન્દ્રને મ્હાત કરવા અને સ્થૂળ લોકપ્રિયતા મેળવવા દવેસાહેબ જાતજાતના કારનામા કરે છે.



જ્યોતીન્દ્ર આ બધું જ જાણે છે, પણ એમની સ્વસ્થતા અકબંધ રહે છે, કારણ કે લેખક કહે છે તેમ, ‘પ્રથમ કક્ષાના લોકોને કદી નુક્સાન નથી પહોંચતું. હા, ભૌતિક સ્તરે કદાચ પહોંચતું દેખાય, પણ બૌદ્ધિક સ્તરે ન પહોંચે. પ્રથમ કક્ષાના લોકો હંમેશા આત્મપ્રતિભા પર મુસ્તાક હોય છે. પ્રતિભાની મસ્તી જ એટલી જબ્બર છે કે બાહ્ય સિદ્ધિઓનું કશું મૂલ્ય નથી હોતું. તેમને બાહ્ય સિદ્ધિઓ સહજ રીતે મળે છે. સૂર્ય સાથે પ્રકાશ હોય તેમ. પણ કદાચ ડગમગતો દેખાય સેન્કડ-રેટરોને.’





પહેલી દષ્ટિએ લાગે કે જ્યોતીન્દ્રે શહાદત વહોરી લીધી, દવેસાહેબે ધાર્યા નિશાન પાર પાડ્યાં, પણ વાસ્તવિકતા જદી છે. ‘ધ ફાઉન્ટનહેડ’ની પરાકાષ્ઠામાં નાયક હાવર્ડ રોર્ક અદાલતમાં સરસ કહે છેઃ ‘શહાદત વહોરી લેવી કે બીજાઓ પર અધિકાર જમાવવો સવાલ આ બન્નેમાંથી કોઈ એકની પસંદગીનો છે જ નહીં. સવાલ આ છેઃ શું પસંદ કરવાનું છે સ્વતંત્રતા કે પરતંત્રતા? ક્રિયેટર (એટલે કે ફર્સ્ટ-રેટ માણસ)ની આચારસંહિતા કે સેન્કડ-હેન્ડરની આચારસંહિતા? માણસના સ્વતંત્ર અહંમાંથી જે કંઈ ઉત્પન્ન થાય છે તે શુભ છે. માણસની પરતંત્રતામાંથી જે કંઈ પેદા થાય છે તે અશુભ છે... માણસની આત્મનિર્ભરતા, પહેલ કરવાની શક્તિ અને પોતાનાં કામ પ્રત્યેના પ્રેમના આધારે જ તેની પ્રતિભા અને મૂલ્ય નક્કી થાય છે.’



‘અંગદનો પગ’માં ખરો વિજય જ્યોતીન્દ્રની પ્રતિભાનો, એમનાં મૂલ્યોનો જ થાય છે. દવેસાહેબની દેખીતી જીત પરાજય કરતાંય વસમી પૂરવાર થાય છે. આ નવલકથાનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ સશક્ત ન્કટેન્ટ ઉપરાંત એની પ્રવાહિતા છે. વાચક તેને સડસડાટ, અટક્યા વગર વાંચી શકે છે. યુનિવર્સિટીમાં ટેકસ્ટબુક તરીકે રહી ચૂકેલી આ નવલકથા પરથી નાટક ભજવાયું છે અને બે વિદ્યાર્થીઓએ પીએચ.ડી. પણ કર્યું છે.

લેખક હરેશ ધોળકિયા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મેં ભુજની શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં વીસ વર્ષ ટીચર તરીકે અને તે પછી શ્રી વી. ડી. હાઈસ્કૂલમાં પાંચ વર્ષ પ્રિન્સિપાલ તરીકે કામગીરી બજાવી છે. આ નવલકથામાં મેં શાળાજીવનના મારા અનુભવોને વણી લીધા છે. વાચકોને પુસ્તકમાં વાસ્તવિકતાનું નિરૂપણ દેખાય છે, તેનાં પાત્રો અને પરિસ્થિતિઓ સાથે તેઓ આઈડેન્ટિફાય કરી શકે છે. પુસ્તકને જે પ્રકારનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે તેથી મારા જેવા ખૂણામાં બેઠેલા માણસને ખૂબ આશ્ચર્ય થયું છે.’



લખાણમાં સાદગી હોવી એક વાત છે અને ભાષામાં સમૃદ્ધિનો અભાવ હોવો તે તદ્દન જદી બાબત છે. ‘અંગદનો પગ’ના સંવાદો અસરકારક છે, પણ કેટલીય જગ્યાએ વર્ણનો બહુ જ પાંખાં અને દરિદ્ર રહી ગયા છે. ‘ઉત્તેજિતતા’ જેવા ખોટા શબ્દપ્રયોગો પણ કઠે છે (સાચો પ્રયોગ છે, ઉત્તેજના). વિવેચકોેને આ નવલકથામાં ‘કલાત્મકતા અને ઉચ્ચ સાહિત્યિક મૂલ્યો’ની ગેરહાજરી વર્તાતી હશે, પણ આ કૃતિ એક વિશાળ વાચકવર્ગના દિલને સ્પર્શી શકે છે તે વાતની સાદર નોંધ લેવાવી જોઈએ. નિકૃષ્ટ પુસ્તકોનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે સત્ત્વશીલ કથાવસ્તુ ધરાવતી આ નવલકથા ભાવકોને ગમી જશે. 000


અંગદનો પગ


લેખકઃ હરેશ ધોળકિયા

પ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧

ફોનઃ (૦૭૯) ૨૬૫૬ ૪૨૭૯

કિંમતઃ રૂ. ૧૨૦ /
પૃષ્ઠઃ ૨૯૨






Sunday, September 4, 2011

વાત્સલ્ય, વિદ્રોહ અને વિકૃતિ

દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૪ સપ્ટેમ્બર ૨૦૧૧

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

આ અઠવાડિયે રિલીઝ થયેલી બે લેટેસ્ટ ફિલ્મોમાં બાપ-દીકરીના સંબંધો કેન્દ્રમાં છે, પણ એકમાં વહાલને બદલે વિદ્રોહ છે અને બીજીમાં વાત્સલ્યનું સ્થાન વિકૃતિએ લીધું છે.


યોગાનુયોગ જુઓ. આ અઠવાડિયે રિલીઝ થયેલી બે ફિલ્મો ‘બોલ’ અને ‘ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ’માં પિતા અને પુત્રીનો સંબંધ કેન્દ્રમાં છે. પહેલી પાકિસ્તાની ફિલ્મ છે અને બીજી, ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મહાલતા ઈન્ટરનેશનલ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં બાપદીકરીના જે સંવેદનો જોવા ટેવાયેલા છીએ તેનાથી આ બન્ને ફિલ્મો જોજનો દૂર છે. બેમાંથી એકેયને ‘બાબુલ કી દુવાંએ લેતી જા... ’ પ્રકારની લાગણીઓ સાથે નહાવા-નિચોવાનો સંબંધ નથી. વાત્સલ્યનાં સંવેદનો અને પિતૃપ્રેમની કુમાશ એટલે શું વળી? અહીં તો જ્વાળામુખીની જેમ ફાટતો વિદ્રોહ છે યા તો ત્રાસ થઈ આવે એવી વિકૃતિ છે.



‘બોલ’ એટલે મોઢું ખોલ, વાત કર, મનમાં જે હોય તે વ્યકત કર. ફિલ્મના ડિરેક્ટર છે શોએબ મન્સૂર. તેમણે ૨૦૦૭માં ‘ખુદા કે લિયે’ નામની કરીઅરની સૌથી પહેલી ફિલ્મ બનાવી હતી, જે આતંકવાદના વિષય પર આધારિત હતી. ‘ખુદા કે લિયે’ એટલી
Shoaib Mansoor

અફલાતૂન ફિલ્મ હતી કે શોએબ મન્સૂર જેવો ટેલેન્ટેડ રાઈટર-ડિરેક્ટર પેદા કરનાર પાકિસ્તાનની આપણને ઈર્ષ્યા થઈ આવે. ‘બોલ’ શોએબની બીજી ફિલ્મ છે, જે ‘ખુદા કે લિયે’ કરતાં તદ્દન વેગળી છે અને ખાસ્સી અસરકારક છે. આ બે ફિલ્મો પરથી શોએબ મન્સૂરની એક ફિલ્મમેકર તરીકેની તાસીર સુરેખપણે ઉપસી આવે છે. આ ફિલ્મો સ્પષ્ટ કરી આપે છે કે શોએબ મન્સૂર સિનેમાના માધ્યમને તેઓ પૂરેપૂરી ગંભીરતાથી લે છે. પાવરફુલ સ્ટોરીટેલિંગ, કમર્શિયલ સેટઅપ અને મનોરંજનક તત્ત્વો અકબંધ રાખીને એમને ઓડિયન્સને વિચારતા કરી મૂકે એવી ફિલ્મો બનાવવામાં રસ છે.



‘બોલ’માં દીકરાનું મોઢું જોવાના ધખારાને કારણે સાત-સાત દીકરીઓની લંગાર ખડી કરી દેતા અને એક જડભરત હકીમની વાત છે. આ વિષય શહેરી ભારતીયોને આઉટડેટેડ લાગશે, પણ આપણાં ગામડાંમાં કે ઈવન નાનાં નગરોમાં આજે પણ દીકરો મેળવવાના આશામાં એક પછી એક દીકરીઓ જણ્યા જતા નમૂનાઓ જોવા મળે છે. ‘બોલ’ના હકીમને આખરે દીકરો નસીબ તો થાય છે, પણ એ જન્મજાત હીજડો છે. હકીમ એને ધિક્કારે છે, પણ લાચાર મા અને મોટી બહેનોને એ જેવો છે એવો ખૂબ વહાલો છે. હકીમ આખરે પોતાના આ સ્ત્રૈણ દીકરાના શા હાલહવાલ કરે છે?

Manzar Sehbai : Oh father....


ખેર, આ તો ફિલ્મની અડધી જ વાર્તા થઈ. બાપ પોતાના જૂનવાણી અને સગવડીયા વિચારોનો ગુલામ છે. કંગાલિયતની ખીણમાં ધકેલાઈ ચૂકેલા પરિવારને એ જાણેઅજાણે સહન ન થઈ શકે એવા આઘાતો આપતો જાય છે. મોટી દીકરી ઝૈનબ (અભિનેત્રી હુમૈમા મલિક, બહોત અચ્છે) સમજુ છે, પ્રગતિશીલ છે, પણ બાપને એની આંખોમાં બગાવત દેખાય છે. બાપ-દીકરી વચ્ચે સતત ઘર્ષણ થતું રહે છે અને આખરે....


Iman Ali : Pakistani Umrao Jaan


હિન્દી ફિલ્મો સુપરહિટ ગીતો આપીને તરખાટ મચાવનાર પાકિસ્તાની પ્લેબેક સિંગર આતીફ અસલમે ‘બોલ’માં હીરોગીરી કરી છે. આખી ફિલ્મમાં આતીફનો ચહેરો રંધો મારેલા પાટિયા જેવો સપાટ રહે છે અને અભિનયના મામલામાં એ સૌથી નબળો પૂરવાર થાય છે. શોએબ મન્સૂરને ડિરેક્ટ કરેલી ફિલ્મોમાં આમેય અસલી હીરો એ પોતે જ હોય છે. હકીમ બનતા મંઝર સેહબી અને તવાયફની ભુમિકા અદા કરનાર ઈમાન અલી (જે ‘ખુદા કે લિયે’ની લીડ હિરોઈન હતી) એટલાં ઈન્ટરેસ્ટિંગ અદાકારો છે કે બોલીવૂડે તાત્કાલિક આ બન્નેને ઈમ્પોર્ટ કરી લેવાં જોઈએ. ‘બોલ’માં ભલે ‘ખુદા કે લિયે’ જેવી ઝમક ન હોય (આ બે ફિલ્મોની સરખામણી જ ન કરવી જોઈએ, ખરેખર તો), પણ તોય એ જોવી ગમે તેવી છે. હા, ફિલ્મ લાંબી જરૂર છે.



એમ તો ‘ઘેટ ગર્લ ઈન યલો બૂટ્સ’ માંડ દોઢેક કલાકની હશે, પણ તોય કેટલી લાંબીલચ્ચ લાગે છે. રાઈટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ ઓડિયન્સને ચોંકાવી દેવામાં માહેર છે. ‘દેવ.ડી’માં એણે દેવદાસપારોચંદ્રમુખીને ને એકવીસમી સદીમાં ઈમ્પ્લાન્ટ કર્યા હતાં અને એટલી ‘હટ કે’ ફિલ્મ બનાવી હતી કે સાહિત્ય કૃતિ ‘દેવદાસ’માં રહેલી માસૂમિયત અને મુગ્ધતાની વાટ લાગી ગઈ હતી.


Anurag Kashyap - Kalki Koechlin


બાપ અને સંતાન વર્ષો પહેલાં વિખૂટાં પડી ગયાં હોય, સંતાન જુવાન થાય એટલે બાપની શોધમાં નીકળે અને આખરે બન્નેનો મેળાપ થાય આ ચવાઈને ચુથ્થો થઈ ગયેલી થીમને કેટલી જુદી રીતે પેશ કરી શકાય? ‘ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ’ આ સવાલનો જવાબ છે. આ ફિલ્મમાં બ્રિટીશ યુવતી અર્જુન પટેલ નામના પોતાના પિતાને શોધવા મુંબઈ આવે છે અને એક મસાજપાર્લરમાં કામ કરવા માંડે છે. મસાજ-કમ-સેક્સ પાર્લરનું ફિલ્ડ જ એવું છે કે ભમરાળાં દશ્યો વગર ચાલે નહીં. સ્ક્રિપ્ટ કી ડિમાન્ડ, યુ સી. હિન્દી (આમ તો હિંગ્લીશ) ફિલ્મોમાં ક્યારેય કલ્પના કરી ન હોય એવાં સેક્સના જુગુપ્સાપ્રેરક (સજેસ્ટિવ) દશ્યોની અહીં ભરમાર છે. ફિલ્મનો અંત તો ઓર ઘૃણાસ્પદ છે. આ મેનિપ્યુલેટિવ ફિલ્મમાં જોકે કેટલાંય પાત્રો અને ટ્રેક્સ અર્થહીન પૂરવાર થાય છે.અનુરાગ કશ્યપ પાવરફુલ ફિલ્મમેકર છે, પણ ‘ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ’ એમની નબળી ફિલ્મોમાંની એક ગણાશે.



બીબાંઢાળ ફિલ્મોથી કશુંક અલગ અને મજાનું જોવું હોય તો ‘બોલ’ જોઈ શકાય. ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દેખાડાતી અતરંગી ફિલ્મોમાં જો તમને મજા પડી જતી હોય તો જ ‘ધેટ ગર્લ...’ હિંમત કરવી. બાકી કોઈ પણ જાતનું જોખમ ન લેવું હોય અને માત્ર મસાલો એન્જોય કરવો હોય તો કરીના કપૂરના ઠુમકા ને ‘બોડીગાર્ડ’ સલમાનના ઝટકા તો છે જ!



શો સ્ટોપર

ઈન્સાન કો મારના ઝુલ્મ હૈ તો પૈદા કરના ક્યૂં નહીં?

- ‘બોલ’નો એક સંવાદ


















































Sunday, August 7, 2011

‘ધ ટ્રી ઓફ લાઈફ’ ઃ પડદા પરનો કાવ્યસંગ્રહ

 દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - ૭ ઓગસ્ટ ૨૦૧૧

મલ્ટિપ્લેક્સ

‘ધ ટ્રી ઓફ લાઈફ’ ફિલ્મે તીવ્ર પ્રતિક્રિયા જન્માવી. વિવેચકો સમરકંદબુખારા ઓવારી ગયા, અમુક દર્શકો ચકિત થઈ ગયા જ્યારે બાકીના ત્રાસીને, કંટાળીને ફિલ્મ અડધી છોડીને નાસી છૂટ્યા. એવું તે શું છે બ્રેડ પિટની આ ફિલ્મમાં?




એક સુંદર મજાની અંગ્રેજી ફિલ્મ કોઈ પણ પ્રકારનો હોબાળો કર્યા વિના ચુપચાપ ભારતના થિયેટરોમાં ચાલી રહી છે. તેનું ટાઈટલ છે ‘ધ ટ્રી ઓફ લાઈફ’. ૬૮ વર્ષના ટેરેન્સ મલિકે તે ડિરેક્ટ કરી છે. ટેરેન્સની ફિલ્મી કરીઅર ચાલીસ વર્ષમાં ફેલાયેલી છે અને તેણે ડિરેક્ટ કરેલી ફિલ્મોનો સ્કોર છે, માત્ર છ. ‘ધ ટ્રી ઓફ લાઈફ’નો અસલી ‘હીરો’ તો એનું પાવરફુલ કન્ટેન્ટ જ છે, પણ જો એક્ટર્સની વાત કરતા હોઈએ તો આ ફિલ્મમાં  બ્રેડ પીટ, શોન પેન અને જેસિકા ચેસ્ટેઈને અભિનય કર્યો છે. બ્રેડ પિટ ફિલ્મનો કો-પ્રોડ્યુસર પણ છે.

આ વર્ષના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ધ ટ્રી ઓફ લાઈફ’નું સૌથી પહેલું પબ્લિક સ્ક્રીનિંગ થયું હતું. ફિલ્મને દર્શકોનો અને વિવેચકોનો જબરદસ્ત પ્રતિસાદ ઉપરાંત એકાદ પ્રતિષ્ઠિત અવોર્ડ પણ મળ્યો. મે મહિનામાં અમેરિકામાં અને પછી યુરોપ તેમજ અન્ય દેશોમાં ફિલ્મ ક્રમશઃ રિલીઝ થઈ. અમુક ફિલ્મો અત્યંત તીવ્ર અને તદ્દન વિરુદ્ધ અંતિમો પર  પ્રતિક્રિયાઓ જન્માવતી હોય છે. કાં તો એ દર્શકને જબરદસ્ત પસંદ પડે અથવા તો સહેજ પણ ન ગમે. ‘ધ ટ્રી ઓફ લાઈફ’ના કેસમાં પણ એવું જ બન્યું. અમુક દર્શકો આ ફિલ્મ જોઈને ચકિત થઈ ગયા. બાકીના ત્રાસીને, કંટાળીને ફિલ્મ અડધી છોડીને નાસી છૂટ્યા. 


Brad Pitt with a child artist in The Tree of Life


એવું તે શું છે ‘ધ ટ્રી ઓફ લાઈફ’માં? આ ફિલ્મમાં ‘ધ સેક્સીએસ્ટ મેન અલાઈવ’નું બિરુદ પામેલો બ્રેડ પિટ જેવો મેઈનસ્ટ્રીમ કમર્શિયલ હીરો ભલે રહ્યો, પર સુવિધા ખાતર તેના પર ‘આર્ટહાઉસ સિનેમા’નું લેબલ લગાડવું પડે. એક મધ્યવયસ્ક માણસ (શોન પેન) પોતાનાં મા, બાપ (બ્રેડ પિટ) અને બે નાના ભાઈઓ સાથે વિતાવેલા બાળપણને સંભારે છે અને તેના થકી જીવનનો મૂળ અને તેનો અર્થ પણ સમજતો જાય છે. બ્રેડ પિટ કહે છે, ‘મને પહેલી વાર આ ફિલ્મની કથા સંભળાવવામાં આવી તેના સ્ટ્રક્ચરની વિગતો જાણીને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો.  અહીં માઈક્રો લેવલ પર ટેક્સાસના એક નાનકડા ટાઉનમાં રહેતા કુટુંબની વાતો ચાલે છે અને મેક્રો લેવલ પર બ્રહ્માંડની રચના અને પૃથ્વી પર જીવસૃષ્ટિની ઉત્ત્પત્તિની વાત ચાલે છે. આનું જે રીતે કોમ્બિનેશન કરવામાં આવ્યું છે તે ખરેખર એકસ્ટ્રા-ઓર્ડિનરી છે.’

Terrence Malick (left)

કહેનારાઓ કહેશે કે ભઈ, બ્રેડ પિટ ખુદ સહનિર્માતા અને નાયક છે એટલે પોતાની ફિલ્મના વખાણ તો કરવાનો જ ને. વરને વરની મા નહીં વખાણે તો બીજું કોઈ વખાણશે? સાવ એવું નથી. ફિલ્મમાં જો વિત્ત ન હોત તો ટોચના ફિલ્મ સમીક્ષકોને આવરી લેતી ‘રોટન ટોમેટોઝ’ નામની અફલાતૂન વેબસાઈટ પર તેને ૮૫ ટકા જેટલું ઊંચુ રેટિંગ ન મળ્યું હોત.

‘ધ ટ્રી ઓફ લાઈફ’ની વિઝયુઅલ ઈફેક્ટ્સ માટે એક જ શબ્દ વાપરી શકાય - અદભુત.  સ્પેશિયલ ઈફેક્ટ્સનું ડિપાર્ટમેન્ટ ટેરેન્સ મલિકના વર્ષો જૂના દોસ્ત ડગ્લાસ ટ્રમબુલે સંભાળ્યું છે. ડગ્લાસભાઈએ તો ત્રીસ વર્ષ પહેલાં જ હોલીવૂડને અલવિદા કહી દીધી હતી. ટેરેન્સ મલિક એને પાછા ખેંચી લાવ્યા. એમની એક જ સૂચના હતીઃ આજકાલ હોલીવૂડની ફિલ્મોમાં જે પ્રકારની ક્મ્પ્યુટર-જનરેટેડ સ્પેશિયલ ઈફેક્ટ્સની ભરમાર જોવા મળે છે એવી મારે ધોળે ધરમેય જોઈતી નથી.


Douglas Trumbull


તો પછી બ્રહ્માંડનું સર્જન જેવી કેટલીય ઘટનાઓ કેવી રીતે પડદા પર દર્શાવવી?  ડગ્લાસ કહે છે, ‘અમે વિઝયુઅલ્સ ક્રિયેટ કરવા માટે કેમિકલ્સ, પેઈન્ટ્સ, ફ્લ્યુરોસન્ટ ડાઈ, ધુમાડો, પાણી, આગની જ્વાળા, લાઈટિંગ અને હાઈસ્પીડ ફોટોગ્રાફી વડે જાતજાતના અખતરા કર્યા. ટેરેન્સે અમને છુટ્ટો દોર આપી દીધો હતો. અમુક વસ્તુ અમુક રીતે જ દેખાવી જોઈએ એવો એનો કોઈ આગ્રહ નહોતો. બ્રહ્માંડનાં સર્જનના દશ્યોની વાત કરું તો તે  ફિલ્માવવા માટે અમે સાવ સાંકડા પાત્રમાં ગળણી વડે દૂધ રેડ્યું, ચીવટપૂર્વક લાઈટિંગ કરી અને આ આખી ક્રિયાને હાઈસ્પીડ કેમેરા અને ફોલ્ડેડ લેન્સ વડે શૂટ કરી લીધી. આ રીતે અમને જે ફૂટેજ મળ્યું તે ખરેખર કોસ્મિક અને ભવ્ય દેખાતું હતું.’

ફિલ્મમાં આવાં તો કેટલાંય દશ્યો છે અને તે એટલાં રૂપાળાં છે કે, એક સમીક્ષકે કહ્યું છે તેમ, તેની એકેએક ફ્રેમને પોઝ કરીને  દીવાલ પર કલાકૃતિની જેમ ટાંગી શકાય. ‘પડદા પરની કવિતા’ એવો એક ચવાઈ ગયેલો શબ્દપ્રયોગ અવારનવાર થતો હોય છે. ‘ધ ટ્રી ઓફ લાઈફ’ને એ દષ્ટિએ આખેઆખો કાવ્યસંગ્રહ કહેવો પડે! ધ્યાન રહે, આ ફિલ્મમાં માત્ર દર્શનીય ચિત્રાવલિની રેલમછેલ નથી  એ તો માત્ર બાહ્ય માળખું થયું  પણ સંવેદનશીલ અને રિસેપ્ટિવ દર્શકને તેનું ફિલોસોફીકલ ઊંડાણ સ્પર્શી ગયા વગર રહેતું નથી. બ્રહ્માંડનાં તમામ તત્ત્વો  એકકોષી અમીબાથી લઈને લાખો પ્રકાશવર્ષ દૂર રહેલા તારોઓ સુધીનું બધું જ  એકબીજા સાથે સંકળાયેલાં છે તે વાત ટેરેન્સ મલિક આ ફિલ્મ થકી કુશળતાપૂર્વક કહી શક્યા છે.  

‘ધ ટ્રી ઓફ લાઈફ’, સાદી ભાષામાં કહીએ તો, ‘અઘરી આર્ટ ફિલ્મ’ છે. જો તમારામાં પાર વગરની ધીરજ હોય, તમારો ટેસ્ટ આ પ્રકારની ફિલ્મો માટે થોડોઘણો કેળવાયેલો હોય અને કશુંક અલગ જોવાની હોંશ હોય તો આ ફિલ્મ અવશ્ય જોવી. અન્યથા જે થિયેટરમાં આ ફિલ્મ ચાલતી હોય તે દિશામાં નજર પણ ન કરવી. ફિલ્મ ગમી જશે તો થોડા અરસા પછી એની ડીવીડી બહાર પડે ત્યારે સબટાઈટલ્સ ઓન કરીને ફિલ્મ નવેસરથી જોવાની જરૂર તમને ખુદને જ લાગશે. આગામી ઓસ્કર અને ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્ઝમાં પર ફિલ્મ કેવોક પ્રભાવ પાડે છે તે જોવાની મજા આવશે.

શો સ્ટોપર

વચ્ચે મારા દાદાજીએ મને ફોન કરીને કહ્યુંઃ દીકરા, અમે તારી ફિલ્મ જોઈ. મેં પછ્યું, કઈ? દાદાજીએ બૂમ પાડીને દાદીને પૂછ્યુંઃ બ્રેડની પેલી કઈ ફિલ્મ આપણે જોઈ જે મને જરાય ન ગમી? 

-  બ્રેડ પિટ