Wednesday, August 7, 2013

ટેક ઓફ : બિકીનિ કલ્ચર : ટેન્કીની, મોનોકીની, બુર્કીની અને એવું બધું...


Sandesh - Ardh Saptahik Purty - 7 August 2013

Column : ટેક ઓફ 

બિકીનિ એટલી પાતળી અને નાની હોવી જોઈએ કે આંગળીમાં પહેરવાની વીંટીમાંથી પસાર થઈ જાય. જે વીંટીમાંથી પસાર થઈ શકતી નથી એ બિકીનિ નથી! 


પૂજા ચૌહાણ. આ નામ સાંભળીને દિમાગમાં કોઈ બત્તી થાય છે?યાદ કરો, છ વર્ષ પહેલાં રાજકોટમાં આ યુવાન પરિણીત સ્ત્રી કપડાં ઉતારીને, કેવળ બ્લેક પેન્ટી અને વ્હાઈટ બ્રેસિયરમાં, હાથમાં બેઝબોલનું બેટ પકડીને ભરબજારે નીકળી પડી હતી. શા માટે? પતિ અને સાસરિયાં વધારે દહેજ લાવવા માટે અને દીકરાને બદલે દીકરી જણી તે માટે સતત માનસિક-શારીરિક ત્રાસ આપતાં હતાં એનો વિરોધ કરવા! પૂજા ચૌહાણને એકાએક યાદ કરવાનું કારણ કેટરીના કૈફ છે. થોડા દિવસો પહેલાં કેટરીના સ્પેનના દરિયાકિનારા પર બોયફ્રેન્ડ રણબીર કપૂરના સંગાથમાં દેખાઈ હતી. આ પાપારાઝી ફોટોગ્રાફ પ્રિન્ટ-ટીવી અને સોશિયલ મીડિયામાં ખૂબ ગાજ્યો. મુદ્દો એ છે કે રૂઢિચુસ્ત રાજકોટની સડકો પર પૂજા ચૌહાણ બ્લેક પેન્ટી-સફેદ બ્રામાં જેટલી અણઘડ લાગતી હતી એટલી જ અણઘડ કેટરીના આ તસવીરમાં દેખાય છે. એ બિકીનિને બદલે માથામેળ વગરના મિસ-મેચ્ડ અન્ડર-ગારમેન્ટ્સમાં દરિયા પર દોડી ગઈ હતી કે શું? લાલ પેન્ટી અને વ્હાઈટ બ્રા? આટલી મોટી હિરોઈનથી આટલી મોટું ફેશન ફો પા (faux pas) એટલે કે ફેશનનું પાપ કેવી રીતે થયું?

Pooja Chauhan (top); (below) Katrina Kaif

આપણે ત્યાં શો બિઝનેસ અને કિંગફિશરના કેલેન્ડર સિવાય બિકીનિ કલ્ચર ખાસ વિકસ્યું નથી. પશ્ચિમમાં બિકીનિ એ સ્ત્રી માટે બેશર્મીનું નહીં, પણ દેહ પ્રત્યેના આત્મવિશ્વાસનું પ્રતીક છે. ઈશ્વરે જે શરીર આપ્યું છે અથવા મહેનત કરીને જે રીતે પોતાના શરીરને તરાશ્યું છે તેને દરિયાકાંઠે બેધડક, સેંકડો માણસોની હાજરીમાં એ ખુલ્લું કરી શકે છે! ઊછળતાં મોજાં છે, નીલું સ્વચ્છ પાણી છે, એમાં જલક્રીડા કરીને પછી ગોગલ્સ ચડાવીને, સરસ ઝીણી રેતી પર લંબાવીને સૂર્યપ્રકાશ ઝીલતાં ઝીલતાં ચામડીને 'ટેન' કરવાની છે. બિકીનિ અંતઃવસ્ત્ર નથી, એ આઉટરવેર છે. બિકીનિ અને બ્રા-પેન્ટીમાં ફર્ક છે. બન્નેના હેતુ જુદા છે. બ્રામાં હૂક હોય છે, જાડી પટ્ટીઓ હોય છે, સ્તનોને ઢાંકતો ભાગ પહોળો હોય છે. બિકીનિમાં વપરાતું મટીરિયલ પાતળું હોય છે. એ ઝડપથી સુકાય છે. એ સ્વિમિંગ માટે છે, ટેનિંગ માટે છે. બ્રાનો ધર્મ સ્તનોને સપોર્ટ કરવાનો છે, પણ બિકીનિ પર આવી કોઈ જવાબદારી નથી! બિકીનિની સ્પષ્ટ વ્યાખ્યા છે. બિકીનિ એટલી પાતળી અને નાની હોવી જોઈએ કે આંગળીમાં પહેરવાની વીંટીમાંથી પસાર થઈ જાય. જે વીંટીમાંથી પસાર થઈ શકતી નથી એ બિકીનિ નથી! આ વ્યાખ્યા આધુનિક બિકીનિના 'પિતામહ' ગણાતા લુઈ રિઅર્ડ નામના ફ્રેન્ચ માણસે બાંધી છે, જે વ્યવસાયે ફેશન ડિઝાઈનર નહીં પણ ઓટોમોબાઈલ એન્જિનિયર હતો.
આપણે ત્યાં જાતજાતની વોટર રાઈડ્સ ધરાવતા વોટર પાર્ક્સમાં લજ્જાશીલ સન્નારીઓને જે વસ્ત્રો ભાડા પર આપવામાં આવે છે એમાં હાથ અને ગોઠણથી નીચેના પગ સિવાયનું બાકીનું બધં જ ઢંકાયેલં રહે છે. એ બિકીનિ તો નથી જ નથી, એને સ્વિમવેર પર કહી શકાય કે નહીં તે પ્રશ્ન છે! આ વસ્ત્રો ધારણ કરીને અદોદળાં અંગઉપાંગોવાળી જાડ્ડીપાડ્ડી ગુજરાતી સન્નારીઓ પછી છબછબિયાં કરે છે અને રમરમાટ કરતી લસરપટ્ટી પર સરકીને પાણીમાં ધુબાકા મારે છે. ગુજરાતી પુરુષોની તો વાત જ નહીં કરવાની. લાંબા ઘાટઘૂટ વગરના ચડ્ડા પહેર્યા હોય, એમાંથી બહાર લચી પડેલી તોતિંગ ચરબીદાર ફાંદ ધ્રૂજ્યા કરતી હોય અને શરીર પર ચારે બાજુ ફૂટી નીકળેલા વાળ પાણીમાં હિલોળા લેતા હોય!



અલબત્ત, પશ્ચિમમાં સૌનાં શરીર ગ્રીક દેવીદેવતાઓ જેવાં ચુસ્તદુરસ્ત હોય છે એવું બિલકુલ નથી. ત્યાં જાડિયાપાડિયાઓનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે, પણ ત્યાં બીચ કલ્ચર વિકસી ચૂક્યું હોવાને કારણે છરહરા શરીરવાળી માનુનીઓ સુંદર બિકીનિમાં પ્રગટ થઈને માહોલને રમણીય બનાવી મૂકે છે! ડિઝાઈન અને સ્ટાઈલના મામલામાં વન-પીસ અને ટુ-પીસ બિકીનિમાં રીતસર આંખો ચાર થઈ જાય એટલું વૈવિધ્ય છે. નાજુક દોરીવાળી સ્ટ્રિન્ગ બિકીનિ છે, ટેન્કીની અથવા કેમિકીની છે. ટેન્કીની એટલે ટેન્ક-ટોપ વત્તા બિકીનિ. એમાં ઉપરનું વસ્ત્ર ટોપ જેવું હોવાથી પેટ અને પીઠનો ભાગ ઢંકાય છે. થોન્ગ બિકીનિમાં નીચેના વસ્ત્રમાં ઓછામાં ઓછું, કેવળ જનનાંગ ઢંકાય એટલું કપડું વપરાતું હોવાથી બંને નિતંબ લગભગ આખા ખુલ્લા રહે છે, સુમો પહેલવાનની જેમ. ફ્લોરિડા (અમેરિકા)ના મેલબોર્ન બીચ અને અન્ય કેટલીક જગ્યાએ થોન્ગ બિકીનિ પહેરવા પર પ્રતિબંધ છે. જો તમે મોટા ઉપાડે નિતંબ પ્રદર્શન કરતી બિકીનિ પહેરો તો દંડ યા તો જેલ થઈ શકે છે! વચ્ચે મોનોકિની પ્રક્ારની એક બિકીનિ  ઈન્ટ્રોડ્યુસ થઈ હતી, જેણે અમેરિકાના બિન્દૃાસ મિજાજ લોક્ોને પણ ધ્રૂજાવી મૂક્યા હતા. એમાં ગળા નીચેથી પસાર થતા પટ્ટા (સ્ટ્રેપ) સાથે કમર નીચેનું વસ્ત્ર જોડાયેલું હોય અને બંને સ્તનો તદ્દન ખુલ્લાં હોય.  વિવાદૃ થઈ જવો સ્વાભાવિક્ હતો. આ પ્રક્ારનું સ્વિમવેર ક્ેવળ એક્ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનીનું રહી ગયું.  વ્યાવહારિક ઉપયોગ ઓછો હોવાથી મોનોકિનીને આઉટ-ઓફ-સ્ટાઈલ થતાં વાર ન લાગી.
જાહેરમાં જલક્રીડા કરવા માગતી મુસ્લિમ સ્ત્રીઓ માટે એક લેબનીઝ-ઓસ્ટ્રેલિયન ડિઝાઈનરે ૨૦૦૭માં બુર્કીની ઈન્ટ્રોડયુસ કરી હતી. બુર્કીની એટલે બુરખા વત્તા બિકીનિ! બુર્કીની સ્વિમવેર કરતાં સ્પોર્ટ્સવેર જેવી વધારે દેખાય છે. ઢીલું, ફુલ-સ્લીવવાળું અને અતિ લાંબું ટોપ, નીચે પગની પાની સુધી પહોંચતું ટ્રેકસુટ જેવું પહેરણ અને માથા સાથે ચપ્પટ ચીપકી જતું હેડ-ગિયર. ટૂંકમાં,બુર્કીનીમાં સ્ત્રીનું કપાળ પણ ખુલ્લું રહેતું નથી. પેરિસના એક સ્વિમિંગ પુલમાં બુર્કીની પહેરીને નહાવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું હતું કે આ ફુલબોડી સ્વિમસુટ સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે!

Burka plus Bikini = Burkini! 

એક અંદાજ પ્રમાણે સ્વિમવેર ઈન્ડસ્ટ્રીનું આંતરરાષ્ટ્રીય માર્કેટ ૧૩.૨૫ બિલિયન ડોલર એટલે કે આશરે ૮૦૬ અબજ રૂપિયા જેટલું અધધધ આર્થિક કદ ધરાવે છે. જેમાં ૭૦ ટકા હિસ્સો સ્ત્રીઓનાં સ્વિમવેરનો છે. એકલી અમેરિકન સ્ત્રીઓ જ વર્ષેદહાડે ૮ બિલિયન ડોલર એટલે કે લગભગ ૪૮૭ અબજ કરતાંય વધારે રૂપિયા ટુ-પીસ બિકીનિ પાછળ ખર્ચી નાખે છે. બ્રાઝિલની બિકીનિ સૌથી સેક્સી ગણાય છે.  બ્લુ રંગની બિક્ીની સૌથી વધારે પહેરાય છે. અલબત્ત, સ્વિમવેરની સૌથી વધારે નિક્ાસ ચીન કરે છે. સનગ્લાસ, હેટ, બીચ-બેગ,  બિકીનિ વેકસ વગેરે જેવી સ્વિમવેર એસેસરીઝનું પાછું અલગ માર્ક્ેટ છે. ટાપટીપ અને ફેશનના મામલામાં પુરુષો સ્ત્રીઓથી જોજનો પાછળ રહેવા જ સર્જાયા છે. પુરુષોનાં બોરિંગ સ્વિમવેર કુલ માર્ક્ેટના ૧૭ ટકા અને બાળક્ો ૧૩ ટકા ભાગ રોકે  છે. 
આજે બિકીનિ રાઉન્ડ વગરની બ્યુટી ક્ોન્ટેસ્ટની ક્લ્પના થઈ શક્તી નથી. મિસ વર્લ્ડ contestની શરુઆત ૧૯૫૧માં થઈ ત્યારે એનું ઓફિશિયલ નામ હતું, ફેસ્ટિવલ Bikini Contest!  પણ ટુ-પીસ બિકીનિમાં ક્ન્યાઓને લટક્મટક્ ચાલતી જોઈને વિવાદૃ પેદૃા થઈ ગયો હતો. તેથી મિસ વર્લ્ડ ક્ોન્ટેસ્ટમાં બિકીનિ પર પ્રતિબંધ મૂકાઈ ગયો, જે વીસ વર્ષ સુધી ટક્ી રહ્યો. 
સ્ત્રી હોય કે પુરુષ, શરીર ઘાટીલું હોય તો સ્વિમવેર શાનથી પહેરી શકાય છે, શાનથી પહેરવું જોઈએ. કેટરીના કૈફે પોતાના સ્ટેટસ અને ફિગરને શોભે એવી ઢંગની બિકીનિ પહેરવાને બદલે ફૂવડ જેવી બ્રા-પેન્ટી પહેરીને ભારતના શૂન્યવત્ બિકીનિ કલ્ચરની મોટી કુ-સેવા કરી નાખી છે! બાય ધ વે, રાજકોટવાસી પૂજા ચૌહાણ શું કરે છે આજકાલ?                             0 0 0 

Saturday, August 3, 2013

મલ્ટિપ્લેક્સ (Sandesh) : હંસના જરૂરી હૈ!


Sandesh - Sanskaar Purti - 4 August 2013
મલ્ટિપ્લેક્સ
કપિલ શર્મા માત્ર હાસ્યકલાકાર નથી, એ પોતાના શોનો સફળ પ્રોડયુસર પણ છે. ટીવીનો આ કોમેડિયન નંબર વન મૂળ તો ગંભીર નાટકો કરતો થિયેટર એક્ટર છે.


આને કહેવાય ટીવી ઇન્ડસ્ટ્રીનું 'બ્રેઇન ડ્રેઇન'. સોની ટીવીએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કપિલ શર્માને 'કોમેડી સરકસ' શોનું તગડું પ્લેટફોર્મ આપ્યું, અનુભવ અને એક્સપોઝર આપ્યા, લગાતાર પાંચ-પાંચ સીઝનમાં વિનર બનાવ્યા. પરિણામ શું આવ્યું? કપિલ શર્માએ સોનીને અલવિદા કહી કલર્સ ચેનલ પર 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'નામનો સુપરહિટ શો શરૂ કરી ચેનલનો ટીઆરપી વધારવાનું શરૂ કરી દીધું! હજુ ગઈ સીઝન સુધી 'ઝલક દિખલા જા'નું એન્કરિંગ એક મહિલા અને એક પુરુષની જોડી કરતી હતી. આ વખતે પહેલી વાર મનીષ પોલને કો-એન્કર તરીકે રૂપકડી કન્યાને બદલે કપિલ શર્માની ભાગીદારી આપવામાં આવી. શનિ-રવિ દરમિયાન કલર્સ પર 'ઝલક...' અને 'કોમેડી નાઇટ્સ' જેવા બેક-ટુ-બેક બે શોઝ કરીને કપિલ શર્મા લાગલગાટ લગભગ અઢી કલાક સુધી રીતસર છવાઈ જાય છે. એક સમયે ટીવી પર કોમેડીના મામલામાં રાજુ શ્રીવાસ્તવનો જે દબદબો હતો તે આજકાલ કપિલ શર્માનો છે. ઇન ફેક્ટ, રાજુ કરતાંય એ બે ડગલાં આગળ નીકળી ગયા છે.'કોમેડી નાઇટ્સ'માં એ માત્ર રમૂજના દારૂગોળા નથી ફોડતા, તેઓ આ શોના પ્રોડયુસર પણ છે.
પોતાની રમૂજ દ્વારા લાખો લોકોને એન્ટરટેઇન કરતો આ પંજાબી યુવાન મૂળ ગંભીર ભૂમિકાઓ કરતો થિયેટર એક્ટર છે તે કલ્પી શકાય છે. વતન અમૃતસરમાં એણે બાર વર્ષ સુધી રંગભૂમિ પર ગંભીર નાટકો કર્યાં છે. સ્વભાવ મશ્કરો અને રમૂજવૃત્તિ ધારદાર એટલે રિહર્સલ દરમિયાન અને બેક સ્ટેજમાં એમની કમેન્ટ્સ અને જોક્સથી સાથીઓ હસી-હસીને પાગલ થઈ જાય. દોસ્તો કહેતાં કે અરે યાર, તારી સેન્સ-ઓફ-હ્યુમર આટલી તગડી છે તો તું ટીવી શોમાં ભાગ કેમ લેતો નથી? તે અરસામાં સ્ટાર પ્લસ પર 'લાફ્ટર ચેલેન્જ' હિટ થયા પછી એક પંજાબી ચેનલ પર આ જ પ્રકારનો શો શરૂ થયો હતો. કપિલે તેમાં ભાગ લીધો. આ શોમાં પર્ફોર્મન્સ વખણાયું એટલે સ્ટારપ્લસની 'લાફ્ટર ચેલેન્જ' ઉપાડી. આ સીઝન-થ્રીની વાત છે. કપિલ તેમાં વિજેતા બન્યા. ત્યાર બાદ એક પછી એક શોઝની કતાર થઈ ગઈ, જેમાં એણે કાં તો સ્ટેન્ડ-અપ કોમેડી કરી અથવા એન્કરગિં કર્યું. આ શોઝ હતા 'પંજાબી ચક દે', 'છોટે મિયાં', 'લાફ્ટર નાઇટ્સ' અને 'ઉસ્તાદોં કે ઉસ્તાદ'. ત્યારબાદ આવી 'કોમેડી સરકસ'ની શૃંખલા, જેણે કપિલને ઘરેઘરમાં જાણીતા કરી દીધા.


'મને સેન્સ-ઓફ-હ્યુમર મારી મમ્મી તરફથી વારસામાં મળ્યું છે,' કપિલ એક મુલાકાતમાં કહે છે, 'હું અમૃતસરમાં મોટો થયો છું. કામધંધો તો ખાસ કંઈ હોય નહીં. ખા લિયા, પી લિયા, હંસ લિયા એવી લાઇફ હતી. હું થિયેટર કરતો હતો એ ખરું, પણ મારે ગાયક બનવું હતું. એ વખતે પંજાબમાં પૈસાદાર શોખીનો ખિસ્સામાંથી પાંચ-દસ લાખ રૂપિયા ખર્ચીને ખુદનાં આલબમ લોન્ચ કરતા. મારી પાસે એટલા પૈસા ક્યાંથી હોવાના. હું મ્યુઝિક કંપનીઓના સાહેબોને મળીને કહેતો કે ભાઈ, મેરા આલબમ લોન્ચ કર દો, પણ કોઈને મારામાં રસ ન પડયો.'
પણ કપિલના ગાવાના અભરખા ઝી ટીવીના 'સ્ટાર યા રોકસ્ટાર' નામના શોએ સંતોષ્યા. કોમેડિયન તરીકે સફળ થયા પછી કપિલે આ સેલિબ્રિટી સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો, જેમાં એ રનર-અપ બન્યા. તેઓ હસે છે, 'ઝીવાળાઓએ મને ગાવાની તક આપી, બીજા નંબરનો વિજેતા બનાવ્યો અને ઉપરથી પૈસા પણ આપ્યા, બોલો. આને કહેવાય નસીબ!'
લોકોને હસાવવા કંઈ સહેલા નથી. કોઈ પણ અદાકાર માટે કોમેડી કરવી એક પડકાર હોય છે. 'કોમેડી સરકસ'માં કપિલની પ્રોસેસ કંઈક આવી રહેતી. સૌથી પહેલાં તો લેખક સ્ક્રિપ્ટ આપે એટલે એના પર ઝપાટાભેર નજર ફેરવી જવાની. પછી જે પંચલાઇન્સ યા તો રમૂજી વાક્યો જામતાં ન હોય એ હટાવી દેવાનાં. લખાણનો ૫૦-૬૦ ટકા હિસ્સો તો આમ જ ઊડી જાય. પછી પોતાની રીતે નવાં વાક્યો અને ગેગ્સ ઉમેરવાનાં કે જેથી આઇટમમાં ચમક આવે ને એમાંથી હાસ્યનાં તીર છૂટે. મઠારવાનું કામ પૂરું થાય પછી ફાઇનલ સ્ક્રિપ્ટ યાદ કરવાની. કપિલને કોમેડીનો મહાવરો એટલો તગડો છે કે અંતિમ લખાણ પર બે-ત્રણ વાર નજર ફેરવી લે એટલે લાઇન્સ યાદ રહી જાય. મંચ પર ગયા પછી આમેય ઇમ્પ્રોવાઇઝેશન તો થવાનું જ.
'કોઈની ટાંગ ખેંચીને રમૂજ પેદા કરવાની હોય તો એ કામ એવી રીતે થવું જોઈએ કે સામેની વ્યક્તિને માઠું ન લાગે.' કપિલ કહે છે, 'રમૂજ એવી હોવી જોઈએ કે જેની મજાક થઈ રહી હોય તે વ્યક્તિને ખુદને પણ હસવું આવી જાય. જોકે મજાક સહન કરવાની સૌની ક્ષમતા જુદી જુદી હોય છે. 'કોમેડી સરકસ'માં અમે સૌ અર્ચના પુરણસિંહ પર ખૂબ જોક્સ બનાવતા. કોઈક આઇટમમાં એ આખેઆખું ઘેટું ખાઈ જાય એવું બતાવીએ, તો કોઈમાં એને દારૂડિયણ તરીકે પેશ કરીએ. હકીકતમાં અર્ચના સંપૂર્ણ શાકાહારી છે અને આલ્કોહોલથી જોજનો દૂર છે, પણ હાસ્ય પેદા કરવા માટે અમે અર્ચનાની ભળતી જ ઇમેજ ઊભી કરી હતી. મજાની વાત એ છે કે અર્ચનાએ ક્યારેય એની સામે વાંધો લીધો નથી. એ જાણે છે કે આ બધું અમે ફક્ત મજાકમસ્તી માટે અને લોકોને હસાવવા માટે કરીએ છીએ.'

વચ્ચે કલર્સ ચેનલે 'નૌટંકી ધ કોમેડી થિયેટર' નામનો શો કર્યો હતો, જેમાં તુષાર કપૂર અને નેહા ધૂપિયા જજ હતા, ટેલેન્ટેડ આર્ટિસ્ટોની ટીમ હતી, પ્રોડક્શન વેલ્યૂ ખૂબ સારી હતી, પણ આ શો તદ્દન ફ્લોપ થઈ ગયો હતો. એક સવા કલાકના લાંબા સળંગ નાટક જેવું ફોર્મેટ લોકોએ રિજેક્ટ કરી નાખ્યું. 'નૌટંકી'ની નિષ્ફળતાએ જે નુકસાન કરી નાખ્યું હતું એની સંપૂર્ણ કસર 'કોમેડી નાઇટ્સ વિથ કપિલે' પૂરી કરી નાખી. પહેલા જ એપિસોડથી આ શો ક્લિક થઈ ગયો. શોને આટલી હદે ઇન્સ્ટન્ટ સક્સેસ મળશે એવી કલ્પના કપિલ કે કલર્સ બન્નેમાંથી કોઈએ નહીં કરી હોય. શોનું ફોર્મેટ સ્માર્ટ, વેરાઇટીવાળું અને ટીવી સામે બેઠેલા દર્શકોને બાંધી રાખે એવું ગતિશીલ છે. 'નૌટંકી'ની માફક અહીં પણ પતિ-પત્ની, દાદી, ફોઈ, નોકર અને પૂરક પાત્રો કોઈક મુદ્દો લઈને દરેક એપિસોડમાં 'નાટક' જરૂર ભજવે છે, પણ એ સિવાય એમાં બીજો ઘણો મસાલો હોય છે. દર અઠવાડિયે ફિલ્મસ્ટારો પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવા આવે ત્યારે હાસ્યનું હુલ્લડ સર્જાય છે. કપિલે આ શોને ઇન્ટરેક્ટિવ બનાવ્યો છે. લાઇવ ઓડિયન્સ સેલિબ્રિટીઓને પ્રશ્નો પૂછી શકે છે. કપિલ આ પ્રશ્નો પૂછનારાઓની અને મહેમાન બનીને આવેલાં હીરો, હિરોઇન, ડિરેક્ટરની જોરદાર ખીંચાઈ કરે છે. બાકીની કસર દાદી બનેલા અલી અસગર અને ફોઈ બનતાં ઉપાસના સિંહ પૂરી કરે છે. વચ્ચે વચ્ચે નવજોતસિંહ સિદ્ધૂ પોતાના આગવા અંદાજમાં શેરો-શાયરી છાંટતા રહે છે. આ શોમાં ગેસ્ટ બનીને આવતા સેલિબ્રિટીઓને ખરેખર પોતાની સેન્સ ઓફ હ્યુમર સતર્ક રાખવી પડે છે, કારણ કે અહીં એમની સાથે કંઈ પણ થઈ શકે છે! 'કોમેડી વિથ કપિલ'નું હ્યુમર કંઈ ઉચ્ચ કક્ષાનું રિફાઇન્ડ હ્યુમર નથી, એમાં ક્યારેક ભદ્દાપણું જરૂર આવી જાય છે. આમ છતાં એ ઓડિયન્સને એન્ટરટેઇન કરવામાં સફળ થયું છે.
કપિલ શર્માનો સિતારો અત્યારે બુલંદી પર છે. શાહરુખ ખાનની 'ચેન્નાઈ એક્સપ્રેસ' અને સલમાન ખાનને ચમકાવતી 'શેરખાન'માં (આ ફિલ્મ જો અને જ્યારે બને તો) કપિલ દેખાશે. ફિલ્મોમાં પણ કપિલનું નસીબ જોર કરે છે કે કેમ એ તો સમય બતાવશે. બાકી ટીવી પર તો હાલ એણે કોમેડીસમ્રાટનું બિરુદ હકથી ધારણ કરી લીધું છે એ તો નક્કી.
શો-સ્ટોપર

મહાન માણસોની આત્મકથામાં ફર્સ્ટ હાફ હંમેશાં સેકન્ડ હાફ કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ હોય છે.
- અનુપમ ખેર

Tuesday, July 30, 2013

ટેક ઓફ : અધ્યાત્મ અને અનુભૂતિ : બુદ્ધિના સીમાડાની પેલે પાર...


Sandesh - Ardh Saptahik Purty - 1 August 2013

Column: ટેક ઓફ

'મને સાગર જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો. મારા ઉપર જાણે પ્રકાશનો દરિયો ફેલાઈ આવ્યો. જાણે નક્કર જગતનો લોપ થઈ ગયો. નાથાભાઈ જોશીએ કહ્યું: હવે શંકા કરશો નહીં. માએ તમને શક્તિનો અનુભવ કરાવ્યો છે.'


ગુરુપૂર્ણિમાના પર્વ પર આ વખતે કેટલાય ગુજરાતીઓએ ગોંડલવાસી નાથાભાઈ જોશીની ગેરહાજરી તીવ્રતાથી અનુભવી હશે. નાથાભાઈ એટલે કશુંક 'ભાળી ચૂકેલો' આત્મા. પ્રસિદ્ધિથી જોજનો દૂર રહેલા અત્યંત લો-પ્રોફાઈલ આધ્યાત્મિક ગુરુ, જેમનું મે મહિનામાં નિધન થયું. નાથાભાઈના શિષ્યોમાં (એમને તો 'શિષ્ય' શબ્દ સામે પણ વિરોધ હતો) પત્રકારો અને પ્રતિષ્ઠિત સાહિત્યકારોનાં નામ બોલે છે, છતાંય જાહેર માધ્યમોમાં તેમના વિશે ભાગ્યે જ કશુંક લખાયું છે કે ચર્ચાયું છે. તેમના વિશે ઝાઝી વાત પણ ન કરવાની એક સ્વયંશિસ્ત અનુયાયીઓએ પાળી છે.
જોકે નાથાભાઈના જીવનકાળ દરમિયાન એમના વિશે સ્વર્ગસ્થ કવિ મકરંદ દવે સહેજ ખૂલીને બોલ્યા હતા, સુરેશ દલાલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં. આ સોળેક વર્ષ પહેલાંની વાત છે. મકરંદ દવે વાત કરી શક્યા એનું કારણ એ હશે કે નાથાભાઈ સાથે તેમનો મૈત્રીનો સંબંધ હતો, ગુરુ-શિષ્યનો નહીં. બંનેની પહેલી મુલાકાત જે સંજોગોમાં થઈ હતી તે આખો કિસ્સો ભારે રસપ્રદ છે. તર્કને જરા એક બાજુ પર મૂકીને સાંભળવા જેવી આ અલૌકિક વાત છે.
Nathabhai Joshi (Gondal)

મકરંદ દવે યુવાનીમાં રાજકોટના એક અખબારમાં સબ-એડિટર તરીકે કામ કરતા હતા. એક વાર રાતે બે વાગ્યે અચાનક તેમની નાભિમાંથી અવાજ આવ્યોઃ 'હરિ બોલ... હરિ બોલ.' મકરંદ દવે ચમકી ગયા. થોડું પાણી પીધું ને આમતેમ આંટા માર્યા એટલે એ અવાજ, એ અનુભૂતિ જતા રહ્યા. બીજા દિવસે રાત્રે ફરી પાછો આ અનુભવ થયો. કવિ મૂંઝાઈ ગયા. દિવસે ઓફિસમાં તો બરાબર કામ થાય છે, પણ રાતે અચાનક શું થઈ જાય છે? નર્વસ બ્રેકડાઉન થઈ ગયો કે શું? ધીમે ધીમે એ સ્થિતિ આવી ગઈ કે દિવસ દરમિયાન પણ એકાએક'હરિ બોલ' અવાજ સંભળાવા લાગ્યો. મકરંદ એના તરફ ધ્યાન ન આપે, ઇચ્છાશક્તિથી અનુભૂતિને દબાવી દે, પણ એક રાત્રે ફરી પાછું નાભિમાંથી 'હરિ બોલ' સંભળાયું ને મકરંદ ભયંકર ચીસ પાડી ઊઠયા. એવું લાગતું હતું કે જાણે મગજની નસો ફાટી જશે. સવારે જાગ્યા ત્યારે વિસ્ફોટ પછીની શાંતિ અનુભવાઈ, પરંતુ રાતે ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું ત્યારે મકરંદ કાબૂ ગુમાવી બેઠા. એમને અવાજ સંભળાયોઃ "તમે ગોંડલ જાઓ. એક માણસ તમને મળશે. એ બધું સમજાવશે." મકરંદે કહ્યું: "મારા પર દૈનિકની જવાબદારીઓ છે. કામ મૂકીને કેવી રીતે જાઉં?" અવાજ આવ્યોઃ "તમે જાઓ. તમારે જવું જ પડશે."
બીજા દિવસે અખબારના માલિક અને તંત્રી વચ્ચે મતભેદ થઈ ગયો. માલિકે તંત્રીને છૂટા કર્યા. તંત્રીને અન્યાય થઈ રહ્યો છે એવું લાગતા સાથી પત્રકારોએ સામૂહિક રાજીનામું આપી દીધું. મકરંદ દવે પરથી ચમત્કારિક રીતે કામની જવાબદારીઓ જતી રહી! હવે ધારે તો તેઓ ગોંડલ જઈ શકે એમ હતા, પણ એ રહ્યા બુદ્ધિવાદી માણસ. આ જે અવાજો સંભળાય છે એ કેવળ ભ્રમણા કે માનસિક બીમારી હોય તો? તર્કની શક્તિમાં વિશ્વાસ હોવા છતાં મકરંદ મૂંઝાયા કરે. ભૂખ-તરસ જાણે મરી ગઈ. ગિરનાર જઈને કોઈ યોગીને મળવાની ઇચ્છા થયા કરે. જોકે એમને જૂનાગઢ જવાની જરૂર જ ન પડી. એક દિવસ એક મિત્રે કહ્યું કે જૂનાગઢથી નાથાભાઈ જોશી નામના એક કૃષ્ણભક્ત આવ્યા છે. જૂનાગઢનું નામ પડતાં મકરંદ દવેના કાન ચમક્યા. નાથાભાઈને મળવા ગયા ત્યારે ઘણા માણસો બેઠા હતા. મકરંદ દવેએ કહ્યું: "એક પ્રશ્ન પૂછવો છે. કશુંક જાણવું છે મારે. તમને ખબર પડે?" જવાબ મળ્યોઃ "ભાઈ, આજે તો ઘણા લોકો છે, કાલે આવજો."

બીજા દિવસે સવારે નવ વાગ્યે નાથાભાઈ બારણે રાહ જોતા ઊભા હતા. મકરંદ દવેને ઓરડામાં લઈ જઈ બારણાં બંધ કર્યાં. નાથાભાઈ કહે, "તમે કશું કહેશો નહીં. હું કહું છું." પછી 'હરિ બોલ'ના અવાજથી માંડીને મકરંદ દવેને જે કંઈ અનુભવો થયા હતા તે બધા જ નાથાભાઈ બોલી ગયા. ત્યારબાદ ઉમેર્યું: "આ બધું જ સાચું છે, ભ્રમણા નથી, કલ્પના નથી. ભગવાનનો આ અનુગ્રહ છે. તમે એનો સ્વીકાર કરો.' મકરંદ દવે કહેઃ "મારી આજીવિકાનું શું? બા-કુટુંબનું શું?" નાથાભાઈએ જવાબ આપ્યો કે ભગવાનનું નામ લો, બાકીની ચિંતા મા જગદંબા પર છોડી દો. મકરંદ દવેના મનનું સમાધાન થઈ ગયું. પ્રશ્નો દૂર થયા. શાંતિનો અનુભવ થયો.
આ રીતે નાથાભાઈ સાથે બંધાયેલો સંબંધ ઘનિષ્ઠ થતો ગયો અને મૃત્યુપર્યંત જળવાઈ રહ્યો. બંને ભેગા થાય એટલે ગંભીર વાતો વચ્ચે હાસ્યના ફુવારા ઊડે અને હાસ્ય શમે ત્યાં અંતર્લીન, ભાવમસ્ત અવસ્થા આવી જાય. મકરંદ દવે કહે છે, "અધ્યાત્મ અને અંગત પ્રાપ્તિની એવી કોઈ ભૂમિકા નહીં હોય જેના વિશે અમે ઝીણી નજરે ન જોયું હોય. ઘણા પડદા હટાવીને અંતરંગ વાતો થઈ છે, સંવેદના અનુભવી છે."
મકરંદ દવે આપણી ભાષાના શ્રેષ્ઠતમ કવિઓમાંના એક છે. એ જ્યારે કશુંક ગંભીરતાથી કહેતા હોય ત્યારે આપણા વૈજ્ઞાાનિક મિજાજને ઝટકો લાગે તો પણ સાંભળવું જોઈએ. એક વખત નાથાભાઈ સાથે મકરંદ દવે શક્તિપાત વિશે ચર્ચા કરી રહ્યા હતા. શક્તિપાત એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં પવિત્ર મંત્ર, દૃષ્ટિ કે સ્પર્શથી આધ્યાત્મિક શક્તિનું આરોપણ કરે એ. સામાન્યપણે આ ઘટના ગુરુ-શિષ્ય વચ્ચે બનતી હોય છે. મકરંદ દવેએ કહ્યું કે હું કંઈ શક્તિપાતમાં માનતો નથી. વ્યક્તિએ સ્વયં પોતાની જાતને પ્રગટ કરવી જોઈએ. નાથાભાઈ કહે, "ના, એવી શક્તિ છે. એ શક્ય છે. ભગવદ્ શક્તિ દ્વારા એ ઉત્પન્ન થઈ શકે." મકરંદના ગળે વાત ન ઊતરી. નાથાભાઈ ઊભા થઈને મકરંદ પાસે આવ્યા. એમના મસ્તક પર હાથ મૂક્યો. કંઈક અજબ ચમક હતી નાથાભાઈની આંખોમાં. એ વખતે તો કશું થયું નહીં, પણ સાંજ થતા પરિસ્થિતિ પલટાઈ ગઈ.


'મને સાગર જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો,' મકરંદ દવે કહે છે, "મારા ઉપર જાણે પ્રકાશનો દરિયો ફેલાઈ આવ્યો. હું તેમાં ડૂબી ગયો. જાણે નક્કર જગતનો લોપ થઈ ગયો. મને વિચાર આવ્યો કે આ મને શું થઈ ગયું છે? હું નાથાભાઈને કહેવા ગયો. એમણે મને પૂરી અને દહીં ખવડાવ્યાં. ત્યારબાદ શાંતિ થઈ ગઈ. તેમણે કહ્યું: "હવે શંકા કરશો નહીં. માએ તમને શક્તિનો અનુભવ કરાવ્યો." આ જગતના કેન્દ્રમાં એક શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ પ્રકાશ છે. જ્ઞાાનનો પ્રકાશ છે. પ્રકાશનાં આવર્તનો છે. અમારો સંબંધ ભગવતી શક્તિના ખોળામાં ખીલ્યો છે. 'મા' એટલે સર્વસ્વ. 'મા'ને આમ જીવંત, જાગ્રત રીતે અનુભવવી તે મને જીવનનો સાર લાગ્યો છે."
સઘળું તર્કની ફૂટપટ્ટીથી માપી શકાતું નથી. બધું જ ઈન્દ્રિયોના જોરથી સમજી શકાતું નથી. બુદ્ધિના સીમાડાની પેલે પાર એવું કશુંક હોય છે જેની પાસે કેવળ શ્રદ્ધાના માધ્યમ થકી જ પહોંચી શકાય!
                                           0 0 0 

Saturday, July 27, 2013

મલ્ટિપ્લેક્સ : 'શિપ ઓફ થિસિયસ' : યે હુઈ ન બાત!


Sandesh - Sanskaar Purti - 28 July 2013, Sunday

મલ્ટિપ્લેક્સ 

એક તરફ આર્ટ સિનેમાના નામે ઘટિયા ફિલ્મો બને છે અને બીજા છેડે તેજસ્વી ગુજરાતી યુવાન આનંદ ગાંધીએ બનાવેલી 'શિપ ઓફ થિસિયસજેવી ઉત્તમ ફિલ્મ ઊભી છે,જેને જોઈને સંવેદનશીલ દર્શકને જાણે ભીતર શાંત વિસ્ફોટ થયો હોય એવી અનુભૂતિ થાય છે.

જકાલ આપણે ત્યાં જીવને ઠંડક થાય એવી ફિલ્મી ઘટનાઓ બની રહી છે. કંઈકેટલાય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તરખાટ મચાવનાર 'શિપ ઓફ થિસિયસ' ફેસ્ટિવલ સર્કિટમાં જ ચૂપચાપ ઘૂમરાયા કરીને પછી ચૂપચાપ ઢબુરાઈ ગઈ હોત, જો એને આમિર ખાનના સ્ટાર-પાવરનો સ્પર્શ થયો ન હોત. આમિર કરતાં ખાસ તો એની પત્ની કિરણ રાવનો. એક ફિલ્મ ફેસ્ટિવલમાં 'શિપ ઓફ થિસિયસ' જોઈને કિરણ એટલી પ્રભાવિત થઈ કે આ ફિલ્મને કમર્શિયલ ફિલ્મોની જેમ વ્યવસ્થિતપણે થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લઈ લીધો. આમિરે આખા બોલિવૂડ માટે ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ ગોઠવ્યું. એક સુંદર ફિલ્મને પ્રોત્સાહન આપવાનો ઇરાદો હોય કે પછી આમિરની ગૂડ બુક્સમાં રહેવાની ઝંખના હોય, પણ આખી ઇન્ડસ્ટ્રી આ ફિલ્મ જોવા ઊમટી પડી હતી. એક 'આર્ટ ફિલ્મ'નો આવો ગ્લેમરસ દબદબો આપણે અગાઉ ક્યારેય ભાળ્યો નથી. ૧૯ જુલાઈએ મોટાં શહેરોનાં ચુનંદા થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થઈ. શોઝ મર્યાદિત હતા, પણ આમ દર્શકો મલ્ટિપ્લેક્સમાં જઈને બીજી કોઈ પણ મેઇનસ્ટ્રીમ ફિલ્મની માફક પોપકોર્ન-બર્ગર-પેપ્સીનો કોમ્બો ઝાપટતાં ઝાપટતાં 'શિપ ઓફ થિસિયસ' માણી શક્યા તે બહુ મહત્ત્વની વાત છે.
Anand Gandhi
આપણને આનંદિત કરે એવી બીજી મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ આનંદ ગાંધી નામના તેજસ્વી મુંબઈવાસી ગુજરાતી યુવાને લખી છે અને ડિરેક્ટ કરી છે. હિન્દી અને અંગ્રેજી મિશ્ર ભાષામાં બનેલી 'શિપ ઓફ થિસિયસ'ની આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે પ્રશંસા થઈ છે તે ચકિત થઈ જવાય એવી છે. ઇંગ્લેન્ડના ક્રિટિક્સ સર્કલે આ ફિલ્મને 'ફિફ્ટીન લાઇફ-ચેન્જિંગ ફિલ્મ્સ ઓફ ઓલ-ટાઇમ'એટલે કે આપણી જિંદગીને જોવાની-સમજવાની દૃષ્ટિ સમૂળગી પલટી નાખે એવી સર્વકાલીન શ્રેષ્ઠતમ પંદર ફિલ્મોના લિસ્ટમાં મૂકી છે. કોઈએ એને 'ભારતીય સિનેમાનું છુપાયેલું રત્ન' તરીકે ઓળખાવી છે. કોઈએ લખ્યું છે કે ચાલો, ઇન્ટરનેશનલ સર્કિટમાં છાતી કાઢીને શાનથી ઊભી રહી શકે એવી ભારતીય ફિલ્મ મોડી તો મોડી પણ આવી ખરી! ફિલ્મમેકર શેખર કપૂરે 'શિપ ઓફ થિસિયસ' જોઈને આનંદપૂર્વક કહ્યું, હાશ ચાલો હવે હું નિશ્ચિંત થઈને સંન્યાસ લઈ શકીશ!
'શિપ ઓફ થિસિયસ' ટાઇટલનો અર્થ શો છે? પ્લુટાર્ક નામના એક ગ્રીક ફિલોસોફર હતા. એમણે એક પાવરફુલ થિયરી રજૂ કરી હતી. ધારો કે જૂના થઈ ગયેલા કોઈ જહાજને રિપેરિંગની જરૂર છે. માનો કે જહાજનું કાલ્પનિક નામ 'દરિયાદેવ' છે. એની બનાવટમાં વપરાયેલા એક-એક લાકડાના પાટિયાને કાઢતા જઈને એની જગ્યાએ નવાં પાટિયાં ફિટ કરતા જઈએ તો એક સ્થિતિ એવી આવે કે જહાજમાં એક પણ જૂનું પાટિયું ન બચે. એનાં બધેબધાં પાટિયાં રિપ્લેસ થઈ ગયાં હોય. તો શું હજુય આ વહાણને'દરિયાદેવ' જ ગણવું? કલ્પના થોડી આગળ વધારો અને માની લો કે ફેંકી દેવામાં આવેલાં પેલાં જૂનાં પાટિયાંને ભેગાં કરીને એમાંથી ફરી એક વહાણ બનાવવામાં આવે છે. આ નવા બનાવેલા જહાજની ઓળખ શી? બન્ને વહાણમાંથી કયા જહાજને ઓરિજિનલ 'દરિયાદેવ' ગણવું? આ ફિલોસોફિકલ પેરાડોક્સ અથવા તો વિરોધિતા 'શિપ ઓફ થિસિયસ' તરીકે જાણીતી થઈ છે.


જો ડિફાઇન કરવી જ હોય તો કહી શકાય કે આ ફિલ્મ એક 'ફિલોસોફિકલ ડ્રામા'   છે. તેમાં જહાજની જગ્યાએ માનવશરીર છે અને પાટિયાંની જગ્યાએ શરીરનાં જુદાં જુદાં અંગો છે. ફિલ્મમાં ત્રણ જુદી જુદી વાર્તાઓ છે. પહેલી વાર્તા એક અંધ ફોટોગ્રાફર યુવતીની છે. એકલી એકલી સંપૂર્ણ કોન્ફિડન્સ સાથે એ મુંબઈમાં ફર્યા કરે ને કેવળ ધ્વનિ તેમજ આંતરિક સમજના આધારે ફોટોગ્રાફી કરતી રહે. એણે ખેંચેલી અફલાતૂન તસવીરોનું એક્ઝિબિશન પણ ગોઠવાય છે. એક દિવસ એની નિર્જીવ આંખમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એ દેખતી તો થાય છે, પણ હવે એ ફોટોગ્રાફી કરી શકતી નથી. એ તો કાળા અંધકાર વચ્ચે ફક્ત અવાજોના જોરે તસવીરો ખેંચવા ટેવાયેલી હતી. આંખો મળતાં જ એની તસવીરો ખેંચવાની આંતરસૂઝ નષ્ટ થઈ ગઈ! બીજી વાર્તા એક મધ્ય વયસ્ક સાધુની છે. સાધુ એક્ઝેક્ટલી જૈન નથી. ડિરેક્ટરે અહીં નામ દઈને ધર્મને ડિફાઇન કર્યો નથી, તે જરૂરી પણ નથી. સાધુ વિચક્ષણ છે, ધારદાર તાર્કિક દલીલો કરી શકે છે. ગંભીર બીમારીમાં એ ધરાર દવા લેતા નથી, કેમ કે એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવા બજારમાં મૂકતા પહેલાં નિર્દોષ પ્રાણીઓ પર જે રીતે અત્યંત ક્રૂર પદ્ધતિથી અખતરા કરતી હોય છે તેની સામે એમનો તીવ્ર વિરોધ છે. આત્યંતિક અહિંસાવાદી કહી શકાય એવા આ સાધુ લગભગ મૃત્યુની ધાર સુધી ફેંકાઈ જાય છે. તો હવે શું કરવાનું? દવા લીધા વગર મરી જવાનું? કે જિંદગીભર જે મૂલ્યોને નજર સામે રાખ્યાં છે એની સાથે સમાધાન કરી લેવાનું? 

ત્રીજી વાર્તા આખો દિવસ શેરબજારમાં રમમાણ રહેતા યુવાનની છે. એણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડી છે. એને ખબર પડે છે કે મુંબઈમાં ગરીબ દર્દીઓની જાણબહાર એનાં શરીરમાંથી કિડની કાઢી લઈને વેચી મારવાનું કૌભાંડ ચાલે છે. આવા એક કેસનું પગેરુ શોધવા એ છેક સ્વિડન પહોંચે છે. ફિલ્મના ક્લાઇમેક્સમાં આ ત્રણેય વાર્તાઓ એકબીજામાં જે રીતે પરોવાય છે તે ખરેખર અદ્ભુત છે. ખરેખર તો ફિલ્મમાં એક ચોથી વાર્તા પણ પ્લાન થઈ હતી, જેમાં નસીરુદ્દીન શાહ કામ કરવાના હતા, પણ લંબાઈ વધી જવાના ડરે આ ટુકડો પડતો મૂકવામાં આવ્યો.
'શિપ ઓફ થિસિયસ' જોઈને સંવેદનશીલ દર્શકની ભીતર જાણે શાંત વિસ્ફોટ થાય છે. આ ફિલ્મ વિચારતા કરી મૂકે છે. આપણે જેને 'પોતાપણું' કહીએ છીએ તે એક્ઝેક્ટલી શું છે? આ પરિવર્તનશીલ સૃષ્ટિમાં સ્વ-ઓળખને કેવી રીતે વ્યાખ્યામાં બાંધવી? ફિલ્મ ઇન્ટરનેશનલ સર્કિટમાં બોમ્બની જેમ ફૂટી પછી કિરણ રાવે ફિલ્મમેકર આનંદ ગાંધીનો હાથ પકડયો. તે પછી આ બત્રીસેક વર્ષના યુવાનના ઇન્ટરવ્યૂઝનો વરસાદ વરસી ગયો. એક જગ્યાએ આનંદ કહે છે, 'આ કંઈ આર્ટ ફિલ્મ નથી. અમુક ફોર્મ્યુલામાં બંધાઈને બનતી એક્સપેરિમેન્ટલ ફિલ્મ પણ નથી. આમાં ક્લિયર-કટ સ્ટોરીલાઇન છે. પાત્રો અને પરિસ્થિતિઓ વચ્ચે પેદા થતો ટકરાવ છે અને એમાંથી જન્મતા પ્રશ્નો તેમજ મૂંઝવણો છે. સાહિત્યકૃતિ કે સિનેમા પાસે જવાનો હેતુ શો હોય છે? રાધર, શો હોવો જોઈએ?આપણી દૃષ્ટિ ખૂલે, મનની ક્ષિતિજો વિસ્તરે એવું કશુંક માણવા મળે એ. કમનસીબે આ વસ્તુ ભુલાઈ જતી હોય છે. મેં કોશિશ કરી છે કે 'શિપ ઓફ થિસિયસ' જોઈને દર્શકને કશુંક એવું મળે જે સત્ત્વશીલ હોય, નવું હોય, વિચાર કરવા પ્રેરે તેવું હોય.'
Anand Gandhi with his cinematographer, Pankaj Kumar

હું ખરેખર કોણ છું, મારા હોવા ન હોવાથી શું ફરક પડે છે, મારું વજૂદ શું છે, શું સાચું ને શું ખોટું, શું સત્ય સનાતન છે, સમય અને સંજોગો પ્રમાણે જે બદલાઈ શકે છે એને સત્ય કહેવાય? આ પ્રશ્નો ભલે ફિલોસોફિકલ ગણાય, પણ આપણા સૌના મનમાં તે ક્યારેક ને ક્યારેક નથી ઊઠતા શું? 'શિપ ઓફ થિસિયસ'ની મજા એ છે કે જરાય ભાષણબાજીમાં પડયા વિના કે ઉપદેશાત્મક થયા વિના આ કશમકશને સુંદર રીતે પેશ કરે છે. અહીં બાળસહજ વિસ્મય પણ છે અને એક પ્રકારની ફીલ-ગુડ ક્વોલિટી પણ છે. તમામ અદાકારોના અભિનય બેનમૂન છે. સિનેમેટોગ્રાફી પણ કમાલ છે. સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે 'શિપ ઓફ થિસિયસ' બોર કરતી નથી. એ આગવી રીતે એન્ટરટેઇનિંગ છે અને તમને વચ્ચે વચ્ચે હસાવી પણ નાખે છે. આનંદ ગાંધીની હવે પછીની ફિલ્મનું નામ ન સમજાય એવું છે, 'તુમબડ'. એક ઔર ફિલ્મની પ્રોસેસ શરૂ થઈ છે, જે ઘણું કરીને કિરણ રાવ પ્રોડયુસ કરશે. આનંદ ગાંધીની કરિયર હવે જે રીતે આગળ વધશે તે જોવાની બહુ મજા આવશે.


હા-હા-હી-હી બ્રાન્ડ માઈન્ડલેસ અને સેન્સલેસ ફિલ્મો સિવાયનું બીજું કશું જ જોઈ ન શકનારા કે કદર ન કરી શકનારા લોકોએ આ ફિલ્મથી દૂર જ રહેવું. શુક્રવારે ફિલ્મો બદલાતાં જ ‘શિપ ઓફ થિસિયસ'  મુંબઈના થિયેટરોમાંથી એક ઝાટકે અદશ્ય થઈ જશે એવો ડર હતો, પણ ગુડ ન્યુઝ એ છે કે અહીં એનું બીજું વીક ચાલી રહ્યું છે. લોકો ફિલ્મને માણી રહ્યા છે. ઓર મજાની વાત એ છે કે અમદાવાદ અને વડોદરામાં પણ આ શુક્રવારે રિલીઝ થઈ છે. સંભવત: એ ધીમે ધીમે અન્ય મોટાં શહેરોમાં પણ જશે.  જેમને ખરેખર કશુંક નવું જોવું છે, ઉત્કૃષ્ટ જોવું છે તેમણે આ ફિલ્મ છોડવા જેવી નથી. એમાંય ડીવીડીને બદલે મોટી સ્ક્રીન પર તે જોવા મળે તો એનાથી ઉત્તમ બીજું કશું નહીં. 


શો-સ્ટોપર

અત્યાર સુધી હું મારા ડિરેક્ટરોનો ગુલામ હતો. એક રીતે એ સારું જ હતું. સૌ પોતપોતાની મુનસફી પ્રમાણે વર્તવા માંડે તો સરવાળે કશું જ સિદ્ધ થતું હોતું નથી.
- એ. આર. રહેમાન

Thursday, July 25, 2013

હોલીવૂડ હંડ્રેડ: શિંડલર્સ લિસ્ટ : અગર તુમ ન હોતે...


મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ - હોલીવૂડ હંડ્રેડ  - તા. ૨૬ જુલાઈ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

સ્ટીવન સ્પીલબર્ગ નામનો જે માણસ શાર્ક માછલી ને પરગ્રહવાસી પ્રાણી ને ડાયનોસોર વિશેની ફિલ્મો બનાવતો હતો એ જ માણસ તદ્ન જુદા અંતિમ પર જઈને ‘શિંડલર્સ લિસ્ટ’ જેવી બેનમૂન ફિલ્મ બનાવીને દુનિયાભરના દર્શકોને ચકિત કરી નાખ્યા. વોટ અ રેન્જ! નાઝી નરસંહાર વચ્ચે સેંકડો યહૂદીઓને બચાવનારા ઉસ્તાદ વેપારીની વાત કરતી આ ફિલ્મ સાચા અર્થમાં એક માસ્ટરપીસ છે.  



ફિલ્મ નંબર ૩૨. શિંડલર્સ લિસ્ટ 

કશી જ પ્રસ્તાવના બાંધ્યા વિના સીધા ફિલ્મ પર આવી જઈએ. ૧૯૩૯નું વર્ષ છે. સ્થળ પોલેન્ડનું ક્રેકો નામનું નગર. બીજાં વિશ્ર્વયુદ્ધનો પ્રારંભ થઈ ચુક્યો છે. જર્મનીની સેનાએ પોલેન્ડના આર્મીને ત્રણ જ અઠવાડિયામાં હરાવી દીધું છે. ચેકોસ્લોવેકિયાથી ઓસ્કર શિંડલર નામનો એક સફળ અને રંગીન મિજાન બિઝનેસમેન અહીં આવી પહોંચે છે. એ ખુદ નાઝી પાર્ટીનો સભ્ય છે. પોલેન્ડની જ્યુ એટલે કે યહૂદી પ્રજામાં તેને સાવ સસ્તામાં શરીર તોડીને મજૂરી કરતા લાચાર કામદારો દેખાય છે. શિંડલરનો ઈરાદો એવો છે કે અહીં કારખાનું નાખી, આ ચીપ લેબરનો લાભ કરી, જર્મન મિલિટરીનાં રસોડા માટે જરુરી વાસણો મેન્યુફેક્ચર કરતી ફેક્ટરી નાખીને ચિક્કાર પૈસા બનાવવા. શિંડલર આમેય તકવાદી માણસ છે. મોંઘાદાટ કપડાં પહેરીને નાઈટ-ક્લ્બમાં મહાલતા અને નાઝી અધિકારીઓને શરાબની પાર્ટીઓ આપીને ખુશ રાખતા એેને સરસ આવડે છે. લાગતાવળગતાઓને પૈસા ખવડાવીને એ કારખાનું નાખવા માટેના જરુરી પરવાના મેળવી લે છે. આ પ્રકારનું કારખાનું એણે અગાઉ ક્યારેય ચલાવ્યું નથી એટલે એ ઈટ્ઝેક સ્ટર્ન (‘ગાંધી’ ફેમ બેન કિંગ્સલે) નામના લોકલ યહૂદી આદમીને પોતાના સલાહકાર તેમજ એડમિનિસ્ટ્રેટર તરીકે કામે રાખી લે છે. શિંડલર માટે કામ કરનાર યહૂદી કારીગરોને બહુ મોટો ફાયદો એ છે કે તેમને નર્ક જેવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલવામાં નહીં આવે. મતલબ કે શિંડલરના કારીગરોને બીજા યહૂદીઓની જેમ મારી નાખવાાં નહીં આવે, બલકે જીવતા રહેવા દેવામાં આવશે.

દરમિયાન એમોન ગોએેથ (રાલ્ફ ફાઈન્સ) નામનો એક જડભરત નાઝી ઓફિસર ક્રેકો આવે છે. એ નજીકમાં ક્યાંક ક્ધસ્ટ્રક્શનનું કામકાજ શરુ કરવા માગે છે. એના માટે ખૂબ બધા બંદીવાન યહૂદીઓની જરુર પડવાની છે. ભયાનક ક્રૂર માણસ છે આ ગોએથ. સવારે ઉઠીને સામાન્ય માણસ ચા-પાણી કરે, જ્યારે આ જલ્લાદ આળસ મરડતા મરડતા હાથમાં રાયફલ લઈને બાલ્કનીમાંથી જે કોઈ દેખાય એ યહૂદીને વીંધી નાખે. એમ જ, કશા જ કારણ વગર. જીવતાજાગતા માણસનું શરીર એના માટે રાયફલ શૂટિંગની પ્રેક્ટિસ કરવા માટે વપરાતાં પૂંઠાના કાર્ડબોર્ડ કટઆઉટથી વિશેષ નથી. ક્ધસ્ટ્રક્શન સાઈટ પર જવા આનાકાની કરનારનો, બુઢા  કે નકામા લાગતા લોકોનો એ એક પળનો વિચાર કર્યા વિના જીવ લઈ લે છે. એના અત્યાચાર જોઈને શિંડલર જેવો કાબો અને સ્વકેન્દ્રી માણસ વ્યથિત થઈ જાય છે. એ ગોએથ સાથે દોસ્તી કરી,  એને રિશ્વત આપી, પોતાના માટે એક સબ-કેમ્પ ઊભો કરે છે કે જેથી પોતાના કારીગરોને એમાં કામે લગાડીને તેમને સુરક્ષિત કરી શકાય.



થોડા સમય પછી ગોએથને ઉપરીઓનો આદેશ આવે છે કે એણે ઉભી કરેલી ક્ધસ્ટ્રક્શન સાઈટને વિખેરી નાખવી અને બચેલા યહૂદીઓને  ઓશ્કવિટ્ઝ (કે જ્યાં ગેસ ચેમ્બરમાં સૌને ઘાતકી રીતે મારી નાખવાના છે) નામના સ્થળે મોકલી આપવા. શિંડલર એને વિનંતી કરે છે કે તું મારા કારીગરોને મારી પાસે જ રહેવા દે, હું એ સૌને મોરાવિઆ નામની જગ્યાએ આવેલી મારી જૂની ફેક્ટરીમાં કામે લગાડી દેવા માગું છું. જે માણસોને ઓશ્કવિટ્ઝ મોકલવાના નથી એ લોકોનું એક લિસ્ટ શિંડલર અને સ્ટર્ન તૈયાર કરે છે. શિંડલરના આ લિસ્ટમાં સ્થાન પામતા પુરુષો તો સલામત રીતે મોરાવિઆ પહોંચી જાય છે, પણ કશીક ગરબડને કારણે સ્ત્રીઓ અને બાળકોને ભુલથી ટ્રેનમાં ઓશ્કવિટ્ઝ મોકલી દેવામાં આવે છે. અહીં મહિલાઓને ખોફનાક યાતનામાંથી પસાર થવું પડે છે. પહેલાં તો આડેધડ સૌના વાળ કાપી નાખવામાં આવે છે. પછી સંપૂર્ણ નગ્ન કરીને ગેસ ચેમ્બર જેવા દેખાતા એક ઓરડામાં ઘેટાબકરાંની જેમ ઠાંસી દેવામાં આવે છે. અચાનક  છતમાં ગોઠવેલા શાવરમાંથી પાણીની ધારાઓ છૂટે છે. તે દિવસે તો ખેર, તેમનો જીવ બચી જાય છે. શિંડલરને આ ઘટનાની ખબર પડતાં જ એ હાંફળોફાંફળો ઓશ્કવિટ્ઝ પહોંચે છે. ત્યાંના નાઝી કમાન્ડરને તોતિંગ લાંચ આપીને પોતાની તમામ મહિલા કામદારો અને બાળકોને  હેમખેમ સાઈટ પર લેતો આવે છે. અહીં એણે નાઝી ગાર્ડઝને ફેક્ટરીની અંદર પગ સુધ્ધાં મૂકવાની સખત મનાઈ દીધી છે.



વિશ્ર્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી યહૂદી કારીગરો માટે આ ફેક્ટરી અભેદ્ય કિલ્લો બની રહે છે. શિંડલરના નાણાં નાઝીઓને લાંચ આપવામાં ખતમ થઈ જાય છે. લડાઈ પૂરી થતાં સોવિયેટ રશિયાનું રેડ આર્મી હવે અહીં ગમે ત્યારે આવી પહોંચે તેમ છે. તે પહેલાં શિંડલરે અહીંથી નાસી જવાનું છે. એ અલવિદા કહેવા તમામ ફેક્ટરી વર્કર્સને ભેગા કરે છે. કારીગરો એમને એક કાગળ આપે છે, જેમાં લખ્યું છે કે તમે ભલે નાઝી હો, પણ તમે ગુનેગાર નથી, તમે તો અમારા માટે તો ભગવાન છે. શિંડલર ગળગળો થઈ જાય છે. એ લાગણીશીલ થઈને કહે છે કે હું હજુ ઘણું વધારે કરી શક્યો હોત, વધારે લોકોને બચાવી શક્યો હોત! બીજે દિવસે પરોઢિયે શિંડલર પત્ની સાથે નીકળી જાય છે. રશિયન સૈનિકો આવીને કારીગરો સામે ઘોષણા કરે છે કે યુદ્ધ ખતમ થઈ ચૂક્યું છે, તમે સૌ હવે આઝાદ છો! મુખ્ય કથા અહીં પૂરી થાય છે, પણ વાત ચાલુ રહે છે. હવે બચી ગયેલા રિઅલ-લાઈફ યહૂદીઓના દશ્યો આવે છે. સ્વાભાવિક રીતે જ હવે તેઓ બુઢા થઈ ગયા છે. પોતાનાં સંતાનો અને સંતાનોનાં પણ સંતાનોની સાથે સૌ શિંડલરની કબરનાં દર્શન કરવા આવ્યા છે. તે વખતે શિંડલરે ૧,૧૦૦ યહૂદીઓને બચાવ્યા હતા. હવે (એટલે કે ફિલ્મ બની તે વખતે) તેમની સંખ્યા વધીને ૬,૦૦૦ જેટલી થઈ ગઈ છે. આ બિંદુ પર આ અદભુત ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મ થોમસ કેનીઅલી નામના લેખકનાં ‘શિંડલર્સ આર્ક’ નામનાં પુસ્તક પર આધારિત છે. યુનિવર્સલ સ્ટુડિયોના ટોપ બોસ સિડની શીનબર્ગે ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગને સૌથી પહેલાં તો ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં છપાયેલા આ પુસ્તકનો રિવ્યુ વાંચવા માટે મોકલ્યો હતો. સ્પીલબર્ગ ખુદ યહૂદી છે. ઓસ્કર શિંડલરના કારનામા વાંચીને એ ઝુમી ઉઠ્યા. તેઓ માની ન શક્યા કે ખરેખર આવો કોઈ માણસ થઈ ગયો છે, જે ખુદ નાઝી હોવા છતાં સેંકડો યહૂદીઓનો જીવનદાતા બન્યો. આ તે કેવું વિરોધાભાસી વ્યક્તિત્ત્વ! એમને રસ પડ્યો એટલે યુનિવર્સલ સ્ટુડિયોએ પુસ્તકના રાઈટ્સ ખરીદી લીધા. સ્પીલબર્ગ પછી પોલ્ડેક ફેફરબર્ગ નામના માણસને મળ્યા. પોલ્ડેક એટલે પેલા બચી ગયેલા ૧૧૦૦ યહૂદીઓમાંના એ એક સજ્જન. ઈન ફેક્ટ, પોલ્ડેકને મળ્યા પછી જ લેખકે ‘શિંડલર્સ આર્ક’ પુસ્તક લખ્યું હતું. વાતચીતના અંતે પોલ્ડેકે પૂછ્યું: તો સ્પીલબર્ગસાહેબ, ક્યારે ફિલ્મ બનાવવાનું શરુ કરો છો? સ્પીલબર્ગે શાંતિથી જવાબ આપ્યો: દસ વર્ષ પછી! આ ૧૯૮૩ની વાત છે. સ્પીલબર્ગ એ વખતે ‘જાઝ’ તેમજ ‘ઈ.ટી.’ જેવી ફિલ્મો બનાવીને હોલિવૂડના હોટશોટ ડિરેક્ટર તરીકે પોતાનું સ્થાન બનાવી ચુક્યા હતા, પણ એમને લાગતું હતું કે નાઝી નરસંહાર જેવી અત્યંત ગંભીર ઐતિહાસિક ઘટનાને પડદા પર પેશ કરી શકવા જેટલી મેચ્યોરિટી હજુ પોતાનામાં આવી નથી. સ્પીલબર્ગે આ પ્રોજેક્ટ રોમન પોલન્સ્કી નામના પ્રતિષ્ઠિત ડિરેક્ટરને સોંપવાની કોશિશ કરી. પોલન્સ્કીની ખુદની માતાનો ઓશ્કવિટ્ઝની ગેસ ચેમ્બરનો ભોગ બની ચુકી હતી. એમણે ફિલ્મ બનાવવાની તૈયારી ન બતાવી એટલે સિડની પોલેક અને માર્ટિન સ્કોર્સેઝીનો સંપર્ક કરવામાં આવ્યો, પણ આ ફિલ્મની કુંડળીમાં સ્પીલબર્ગ જ લખાયા હતા. એમણે યુનિવર્સલના બોસ સિડની શીનબર્ગને (કે જેમને સ્પીલબર્ગ પોતાના મેન્ટર ગણે છે) નિર્ણય જણાવી દીધો: સર, હું તૈયાર છું. સિડનીએ કહ્યું: ઓલરાઈટ, આપણે આ ફિલ્મ જરુર બનાવીશું, પણ એક શરત છે. ‘શિંડલર્સ લિસ્ટ’ની પહેલાં તારે ‘જુરાસિક પાર્ક’ બનાવી નાખવી પડશે. સિડની જાણતા હતા કે સ્પીલબર્ગ એક વાર ‘શિન્ડલર્સ લિસ્ટ’ જેવી સત્યઘટના પર આધારિત હૃદયભેદક ફિલ્મ બનાવશે પછી ‘જુરાસિક પાર્ક’ જેવી કાલ્પનિક કથા નહીં ડિરેક્ટ કરી શકે!



શિંડલર જેવા રોલ પર, અફકોર્સ, આખા હોલીવૂડની નજર હોવાની. વોરન બેટ્ટી, કેવિન કોસ્નર અને મેલ ગિબ્સન જેવા એક્ટર્સને પાછળ રાખી દઈને લિઆમ નિસન નામના અભિનેતાએ બાજી મારી લીધી. સ્પીલબર્ગે એમને બ્રોડવેના એક નાટકમાં એક્ટિંગ કરતા જોયા હતા. એમોન ગોએથના રોલમાં રાલ્ફ ફાઈન્સને એટલા માટે લેવામાં આવ્યા કે સ્પીલબર્ગને એમની પર્સનાલિટીમાં ‘સેક્સ્યુઅલ એવિલ’ નજરે ચડતો હતો. ફિલ્મમાં જેના ભાગે ડાયલોગ આવ્યા હોય એવા કુલ ૧૨૬ પાત્રો છે. શૂટિંગ દરમિયાન ત્રીસ હજાર એકસ્ટ્રા કલાકારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટા ભાગનું શૂટિંગ અસલી લોકેશન પર કરવામાં આવ્યું છે. જે ચોક્સાઈથી માણસોનાં ટોળાનાં દશ્યોને શૂટ કરવામાં આવ્યાં છે તે અપ્રતીમ છે. શરુઆત અને અંતને બાદ કરતાં ત્રણ કલાક આઠ મિનિટની આ ફિલ્મ બ્લેક-એન્ડ-વ્હાઈટમાં શૂટ થઈ છે. વચ્ચે અચાનક બે જ અચાનક વખત રંગો દેખાય છે.

એવું તે શું બન્યું કે શિંડલર જેવા નફાખોર માણસનું એકાએક હૃદય પરિવર્તન થયું ને એણે દુશ્મન પ્રજાના સદસ્યોને બચાવવા પોતાની સઘળી મૂડી ફૂંકી મારી? આ પ્રશ્ર્નનો કોઈ ઉત્તર ફિલ્મ આપતી નથી. જીવનમાં અને આપણી આસપાસ ઘણું બધું ન સમજાય એવું, અતાર્કિક લાગે એવું બનતું હોય છે. ફિલ્મ સમીક્ષક રોજર ઈબર્ટ કહે છે તેમ, ભયાનક કત્લેઆમની વચ્ચે આ રીતે વિરોધી છાવણીના સેંકડો માણસોને બચાવવાનું કામ શિંડલર જેવો અવિચારી અને બદમાશ જ કરી શક્યો હોત. વિચારી વિચારીને પગલાં ભરતા સેન્સિબલ માણસનું આ કામ નહીં!




‘શિંડલર્સ લિસ્ટ’ એક સાચા અર્થમાં માસ્ટરપીસ છે. ડિરેક્શન, અભિનય, સિનેમેટોગ્રાફી, આર્ટ ડિરેક્શન જેવા લગભગ તમામ ડિપાર્ટમેન્ટમાં આ ફિલ્મ ઓડિયન્સને ચકિત કરી દે છે. સાત ઓસ્કર અવોર્ડ્ઝ જીતી લેનાર આ ફિલ્મે સ્ટીવન સ્પીલબર્ગને એક જુદી જ ઊંચાઈ પર મૂકી દીધા. અત્યાર સુધી જે માણસ શાર્ક માછલી ને પરગ્રહવાસી પ્રાણી ને ડાયનોસોરની ફિલ્મો બનાવતો હતો એ જ માણસ તદ્ન જુદા અંતિમ પર જઈને ઐતિહાસિક કરુણાંતિકા પર આધારિત ‘શિંડલર્સ લિસ્ટ’ જેવી બેનમૂન ફિલ્મ બનાવીને દુનિયાભરના દર્શકોને ચકિત કરી નાખવામાં કામિયાબ નીવડ્યો. વોટ અ રેન્જ! એક વાર જોયા પછી કદી ભુલી ન શકાય એવી અદભુત ફિલ્મ.  

 ‘શિંડલર્સ લિસ્ટ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : સ્ટીવન સ્પીલબર્ગ
મૂળ લેખક         : થોમસ કેનીઅલી
સ્ક્રીનપ્લે          : સ્ટીવન ઝેલિઅન
કલાકાર           : લિઆમ નિસન, બેન કિંગ્સલે, રાલ્ફ ફાઈન્સ  
રિલીઝ ડેટ        : ૩૦ નવેમ્બર ૧૯૯૩
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ડિરેક્ટર, પિક્ચર, એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફી, આર્ટ ડિરેક્શન, એડિટિંગ અને ઓરિજિનલ સ્કોર માટેના ઓસ્કર અવોર્ડ્ઝ

બોલીવૂડ એક્સપ્રેસ : પરિણીતિનાં પેરેન્ટ્સ કેમ રડી પડયાં?


Sandesh - Cine Sandesh - 26 July 2013

બોલિવૂડ એક્સપ્રેસ 

જો તમને પ્રિયંકા-પરિણીતિથી ધરવ ન થયો હોય તો સાંભળી લો કે એમની બે કઝીન બોલિવૂડમાં આવું-આવું થઈ રહી છે - મીરાં અને બાર્બી.

લરાઇટ... તો આજે શુભ શુક્રવાર છે અને બોલિવૂડ બોય ઉર્ફ બો-બો ફરી પાછો કૂદતો કૂદતો આવી ગયો છે, ખૂબ ફિલ્મી વાતોના તડાકા મારવા. આજે એને બોલિવૂડનાં ટાબરિયાંઓ વિશે વાત કરવાનું મન થઈ રહ્યું છે. બોલિવૂડનાં ટાબરિયાં એટલે ફિલ્મી દુનિયામાં પા-પા પગલી માંડી રહેલાં ન્યૂકમર્સ. દાખલા તરીકે પરિણીતિ ચોપરા. યશરાજ બેનરની આગામી ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'ના પ્રોમોમાં પરિણીતિ અને 'કાઈપો...છે'વાળા સુશાંતસિંહની બ્રાન્ડ-ન્યૂ જોડી ખરેખર મસ્ત લાગે છે, કેમ? પરિણીતિ મુંબઈમાં એકલી રહે છે. એનાં મધ્યમવર્ગીય મમ્મી-પપ્પા પંજાબના અંબાલા નામના શહેરમાં રહે છે. એમની ગત મેરેજ એનિવર્સરી વખતે લાખો કમાવા લાગેલી દીકરી પરિણીતિએ એમને નવીનક્કોર કાર ભેટમાં આપી. સરસ રીતે સજાવીને, કલરફુલ રિબિનોથી ગિફ્ટ-રેપ કરીને. દીકરીએ ભેટમાં આપેલી કાર જોઈને મિસ્ટર એન્ડ મિસિસ ચોપરા રડવા લાગ્યાં. બન્ને એટલું બધું રડયાં કે આંખોમાંથી આંસુ અટકવાનું નામ જ ન લે. હાઉ સ્વીટ! સાચ્ચે, મા-બાપને સુખી કરવાથી ચઢિયાતું બીજું કોઈ કામ નથી. બાકી પરિણીતિની પહેલી જ ફિલ્મ 'લેડીઝ ર્વિસસ વિકી બહલ'થી બો-બોને લાગી રહ્યું હતું કે આ છોકરી એની સુપરસ્ટાર કઝીન પ્રિયંકા ચોપરા કરતાં બહેતર એક્ટ્રેસ છે. બેવફા બો-બોએ તો પ્રિયંકાના નામ પર ચોકડી મૂકીને એની જગ્યાએ જાડુડીપાડુડી પરિણીતિનું નામ ઓલરેડી લખી નાખ્યું છે!
                                                       * * *

જો તમને બે ચોપરાકન્યાઓથી ધરવ ન થયો હોય તો સાંભળી લો કે ઔર બે ચોપરાકુમારીઓ બોલિવૂડમાં આવું-આવું થઈ રહી છે. એ છે મીરાં ચોપરા અને બાર્બી ચોપરા. આ ચારેય કન્યાઓ એકબીજીની કઝીન થાય. 'ના ના... મીરાં ફક્ત અમારા સગામાં થાય,એ કંઈ અમારી ફર્સ્ટ કઝીન નથી.' પરિણીતિ તરત કરેક્શન કરે છે, 'મારા અને પ્રિયંકાના પપ્પા સગ્ગા ભાઈઓ છે એ હિસાબે અમે બન્ને ફર્સ્ટ કઝીન કહેવાઈએ. બાર્બી અમારાં ફોઈની દીકરી છે, એટલે એ પણ અમારી ફર્સ્ટ કઝીન થાય.'
બો-બો તો કહે છે કે પ્રિયંકા-પરિણીતિનાં મામા-માસીની છોકરીઓ રહી ગઈ હોય તો એનેય બોલિવૂડમાં તેડાવી લો. પછી ભલે બધીયું ભેગી થઈને 'સત્તે પે સત્તા' ટાઇપની ફિલ્મોમાં સાગમટે હિરોઇન બને. સગાંવહાલાંઓની જ વાત થઈ રહી છે તો ભેગાભેગું આ પણ સાંભળી લો. અનુપમ ખેરની ભત્રીજી (યા તો ભાણી) વૃંદા ખેર પણ બોલિવૂડમાં એન્ટ્રી મારી રહી છે. ફિલ્મનું નામ છે'માયા, વેનિલા એન્ડ સ્ટ્રોબેરીઝ'. સ્વાદિષ્ટ ટાઇટલ છે નહીં!
                                                     * * *

'રમૈયા વસ્તાવૈયા' નામની ફિલ્મથી ગયા અઠવાડિયે ગિરીશકુમાર નામના નવા છોકરડાએ બોલિવૂડમાં એન્ટ્રી લેવાની કોશિશ કરી. ફિલ્મના પ્રોમો શરૂ થયા ત્યારથી નવાઈ લાગતી હતી કે પ્રભુ દેવા જેવા સુપરહિટ ડિરેક્ટરે પોતાની લેટેસ્ટ ફિલ્મમાં આ કોણ સાવ અજાણ્યા અને સાંઢની જેમ વધી ગયેલા ટીનેજર જેવા દેખાતા હીરોને સાઇન કર્યો છે? હિરોઇન તરીકે શ્રુતિ છે, પ્રોડક્શન વેલ્યૂ પણ સરસ છે. પછી ખબર પડી કે ઓહ્હો... આ તો 'રમૈયા વસ્તાવૈયા'ના પ્રોડયુસર રમેશ તૌરાણીનો જ દીકરો છે. દીકરાને ટિપિકલ હીરો તરીકે લોન્ચ કરવા માટે ડેડી ડિયરે જ આખો પ્રોજેક્ટ ઊભો કરીને કેપ્ટન ઓફ ધ શિપ તરીકે પ્રભુ દેવાને સાઇન કર્યા છે. ગિરીશને બધું તૈયારભાણે મળી ગયું એ એનાં નસીબ! વાત ત્યાં પૂરી થઈ. હવે જનતા જર્નાદન એને પોતાના હૃદયમાં સ્થાન આપી શકે છે કે પછી ઠંડે કલેજે જાકારો આપી દે છે તેનો સઘળો આધાર એની ટેલેન્ટ પર છે, ખરું કે નહીં?
                                                      * * *

શ્રુતિ હાસનને ભોળી કહેવી કે ભોટ? એને ખબર નથી કે પોતાની જ ફિલ્મ વિશે ઊતરતી વાત ન કરવી જોઈએ. 'રમૈયા વસ્તાવૈયા' રિલીઝ થાય એ પહેલાં જ એક ઇન્ટરવ્યૂમાં એણે કહી દીધેલું કે, 'આ કંઈ મારા ટાઇપની ફિલ્મ નથી. હું પોતે આવી ફિલ્મ જોવા ક્યારેય ન જાઉં.' અરે! જો તને ખુદને આ ફિલ્મ માટે ઊંચો અભિપ્રાય ન હોય તો એમાં કામ શા માટે કર્યું? 'એમાં એવું છેને કે ફિલ્મ સાઇન કરવા પાછળ ઘણાં પરિબળો કામ કરતાં હોય છે.' શ્રુતિ કહે છે, 'તમને કંઈ દરરોજ અદ્ભુત ફિલ્મો ઓફર ન થાય.'
લાગે છે, કમલ હાસને વહેલામાં વહેલી તકે દીકરીની કરિયરમાં રસ લેવાનું શરૂ કરવું પડશે. મીડિયા સાથે શું વાત કરવી અને કયા મુદ્દે મોંમાં મગ ભરી રાખવા તે પણ દીકરીને શીખવવું પડશે, એ સિવાય બોલિવૂડની નદીમાં શ્રુતિની નૈયા પાર નહીં ઊતરે. ભલે ત્યારે જય રામજી કી.                0 0 0 

વાંચવા જેવું : ડૂબશે તોયે દ્વારકા છે સનાતન


 ચિત્રલેખા - અંક તા. જૂન ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું 




                                                                                                       
મે દ્વારકા ગયા હો તો ક્યારેય પ્રશ્ન થયો છે કે શ્રીકૃષ્ણના પિતા વાસુદેવજીના મંદિરને દ્વારકાધીશ મંદિર સંકુલની અંદર શા માટે સ્થાન આપવામાં આવ્યું નથી? આ સવાલનો તર્કશુદ્ધ ખુલાસો એ છે કે શ્રીકૃષ્ણને સાત પટરાણી હતી. એમને પ્રાઈવસી મળી રહે અને મર્યાદાભંગ ન થાય તે માટે સસરાજીનું મંદિર મુખ્ય સંકુલની બહાર પશ્ચિમ દિશામાં સ્થાપવામાં આવ્યું, બ્રહ્મપુરી પાસે વાસુદેવ શેરીમાં! શ્ર્વસુરની બાજુમાં જ જેઠ બલદેવજી પણ બિરાજમાન છે! આજનાં પુસ્તક ‘દ્વારકા’માં આવી તો કેટલીય રસપ્રદ વાતો સંગ્રહાયેલી છે.

ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી મૂળ દ્વારકાનું નામ હતું દ્વારાવતી. એને બીજાં નામો પણ હતા - કૃશસ્થલી, ઉષામંડલ, આનર્તપુરી વગેરે. કૃષ્ણેે ગોકુલ-મથુરાથી આવીને સમુદ્ર પાસેથી બાર યોજન જમીન સંપાદિત કરી, દ્વારાવતી નગરીની સ્થાપના કરી, લગાતાર ૧૦૦ વર્ષ સુધી એને પોતાની કર્મભૂમિ બનાવી હતી. દ્વારાવતી એટલે આદિકાળનું આ પ્રથમ લોકતાંત્રિક પ્રજાસત્તાક રાજ્ય. ‘પેરિપ્લસ’ નામની એક ગ્રીક સાગરકથા છે, જે ઈશુની પહેલી સદીમાં લખાઈ હતી. એમાં દ્વારકાનો ઉલ્લેખ ‘બરાકે’ તરીકે થયો છે. આ સાગરકથામાં જણાવ્યા પ્રમાણે આ પ્રદેશ કચ્છના નીચેના હિસ્સામાં તીક્ષ્ણ ખડકાળ કિનારાવાળા સાત ટાપુ સ્વરુપે અસ્તિત્ત્વ ધરાવતો હતો, જે કાળક્રમે રેતી તથા પરવાળા ભરાવાથી તેમજ ધરતીકંપ કે સુનામીની આપત્તિથી એક સળંગ ટાપુમાં પરિવર્તિત થતો ગયો. દ્વારકામાં ઉત્ખનન કાર્યો અને સાગર સંશોધનો થતાં રહે છે, પણ હજુ સુધી મૂળ દ્વારકાની ભાળ મળી નથી. અલબત્ત, હાલનું દ્વારકા કૃષ્ણએ વસાવેલા દ્વારકાની જગ્યા પર વસેલું છઠ્ઠું સંસ્કરણ છે એટલો સંતોષ પુરાતત્ત્વવેત્તાઓ લઈ રહ્યા છે. હાલની દ્વારકા ઓરિજિનલ દ્વારકા ન હોય તો શું થયું, શ્રદ્ધાળુઓ શ્રીકૃષ્ણના સ્પંદનો અહીં જરુર અનુભવી શકે છે. કદાચ તેથી જ કવિ ન્હાનાલાલે કૃષ્ણના મુખેથી બોલાવ્યું છે કે,

દ્વારકા મારી છે ને મારી રહેશે, કાળની કૃપાણ છેદશે નહીં અમને
દ્વારકાના શિખરે છું, હૈયામાં છું, ડૂબશે તોયે દ્વારકા છે સનાતન.

એમ તો ‘હું પણ દ્વારકા’ એવો દાવો કરતાં ઘણાં સ્થળો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, માધવપુર, કોડીનાર, વિસાવાળા, પિંડારા અને ડાકોર ઉપરાંત  મૈસુર પાસે હડેબીડ, કેરળમાં ગુરુવાયુર, ચેન્નાઈમાં મન્નારગુડી, મારવાડમાં ખેડદ્વારકા, પંજાબમાં કાસુર તેમજ ઉત્તરપ્રદેશમાં લખનૌને પણ દ્વારકા માનવામાં આવે છે. સંશોધકોએ તો ભારત બહારનાં સ્થળોને મૂળ દ્વારકાની સંભાવના તરીકે પેશ કર્યા છે, જેમ કે, કંબોજની રાજધાની દ્વારકા, સિયામીની પ્રાચીન રાજધાની આયુથ્ય તથા અફઘાનીસ્તાનનું દારવાઝ.



જૂના જમાનામાં દ્વારકામાં બૌદ્ધો, જૈનો, ઈજિપ્શિયનો, આરબો પણ આવ્યા. દ્વારકાક્ષેત્ર પ્રાચીન કાળથી અનેક સંપ્રદાયોનું આશ્રયસ્થાન રહ્યું છે. એક સમયે અહીં વૈષ્ણવ સંપ્રદાયનો સુવર્ણયુગ પ્રવર્તમાન હતો. સૂર્યપૂજાની બોલબાલા હતી. ઈરાનથી આવેલા મગી બ્રાહ્મણો અહીં સૂર્યપૂજા તથા કર્મકાંડ સાથે લઈ આવ્યા હતા. મગી બ્રાહ્મણોમાંથી ઊતરી આવેલા અબોટી બ્રાહ્મણો આજે પણ આ પંથકમાં વસે છે. અબોટી બ્રાહ્મણ ઉપરાંત ગુગળી બ્રાહ્મણ, રાજગોર બ્રાહ્મણ, લોહાણા, ખારવા, રબારી, ચારણ, વાઘેર, આહીર તથા મુસ્લિમ ભડાલા અહીંની મૂળ પ્રજા. કહેવાય છે કે આમાંના કેટલાક શ્રીકૃષ્ણ સમયે મથુરાથી દ્વારકાથી આવેલા. અતિ કર્મકાંડને કારણે સૂર્યપૂજાને ઝાંખપ લાગી એટલે વૈષ્ણવ સંપ્રદાયે એને પોતાનામાં ભેળવી લીધી. તે પછી સૂર્યદેવ વૈષ્ણવ સંપ્રદાયનું મહત્ત્વનું અંગ બની દ્વારકામાં પૂજાતા રહ્યા. આ સંપ્રદાયે અહીં સાહિત્ય, સંગીત, ચિત્રકલા, મૂર્તિકલા, સ્થાપત્યને પ્રોત્સાહન આપ્યું છે.

શ્રાદ્ધક્રિયા માટે દ્વારકાની ગોમતી નદીનું મહાત્મ્ય અપરંપાર છે તે આપણે જાણીએ છીએ. બ્રહ્માની આજ્ઞાથી ગંગાજી ગોમતી નામ ધારણ કરીને દ્વારકાના કિનારે પ્રગટ થયાં હતાં. તેથી જ ગોમતીકિનારે બ્રહ્મકુંડનું સર્જન કરવામાં આવ્યું હશે. આજની તારીખે પણ અહીં બ્રહ્માની મૂર્તિનું પૂજન થાય છે. અહીં સ્નાન કરવાથી ગંગાસ્નાનનું પુણ્ય મળે છે. શાસ્ત્રો કહે છે કે ગોમતીકિનારે શ્રાદ્ધ કરવાથી મૃતકને અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે! અહીં યાત્રીઓને સ્નાન સંકલ્પ કરાવવાનું કામ ગુગળી બ્રાહ્મણો કરે છે, તો દ્વારકાધીશ મંદિરના ઉત્તુંગ શિખરે ધ્વજારોહણનું કપરું કામ અબોટી બ્રાહ્મણો દ્વારા થાય છે.



મહાભારતકાળના અવશેષ સમાન ઊલૂખલ દ્વારકાની શાન છે. ઊલૂખલ એટલે પથ્થરમાંથી કોતરવામાં આવેલાં વિરાટ ખાંડણીયાં. આમાંના કેટલાય ખાંડણીયા તૂટી ગયા છે યા તો નાશ પામી રહ્યા છે. લેખક બિલકુલ વ્યાજબીપણે ચિંતા વ્યક્ત કરે છે કે દ્વારકાની અસ્મિતા જાળવવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. દ્વારકા સંબંધિત પૌરાણિક - ધાર્મિક - ઐતિહાસિક સંદર્ભો ઉપરાંત દ્વારકાનાં વિવિધ મંદિર, કુંડ, વાવ, ગુપ્ત માર્ગ, આશ્રમ, સૂર્યમંદિર આસપાસનાં સ્થળ, દર્શનની સમયસારણી જેવી ચિક્કાર માહિતી ભારે જહેમતપૂર્વક લેખકે પુસ્તકમાં રજૂ કરી છે. એમણે દ્વારકા સંબંધિત જુદા જુદા સર્જકોની કવિતાઓ અને કાવ્યપંક્તિઓનો પણ સરસ ઉપયોગ કર્યો છે. જેમ કે, કવિ દયારામ એક જગ્યાએ કહે છે:

દ્વારકાપુરી પછી ગયો, જ્યાં સદા જગજીવન
ગોમતી સાગર ચક્રતીર્થે કર્યું સ્નેહે સ્નાન
શ્રી વિક્રમ માધવ પુરુષોત્તમ નિર્ખિયા કૃષ્ણ કલ્યાણ. 

 વડોદરાની એમ.એસ. યુનિર્વસિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરી ચુકેલા સવજી છાયા લેખક ઉપરાંત ચિત્રકાર પણ છે. પુસ્તકનું વિશેષ આકર્ષણ એનાં ખૂબસૂરત રેખાંકનો છે, જે લેખકે ખુદ તૈયાર કર્યાં છે. આ પુસ્તક શ્રદ્ધાળુઓને ખૂબ ગમશે, પણ પુસ્તકનો માઈનસ પોઈન્ટ છે, એનું નબળું એડિટિંગ. વાચનસામગ્રીના વિભાજન અને ક્રમબદ્ધ ગોઠવણીમાં ખાસ્સી અરાજકતા છે, જે હવે પછીની આવૃત્તિઓમાં દૂર થઈ જવી જોઈએ. નબળાઈઓ સહિત પણ એક ઉત્તમ રેફરન્સ મટિરીયલ બની રહે એવું પુસ્તક.      000


 દ્વારકા


લેખક-ચિત્રકાર: સવજી છાયા

પ્રકાશક-પ્રાપ્તિસ્થાન: સવજી છાયા, જગત મંદિર સામે, દ્વારકા -૩૬૧૩૩૫

ફોન: ૯૮૭૯૯ ૩૨૧૦૩

કિંમત: ૨૨૫

પાનાં: ૩૦૦