Monday, July 22, 2013

વાંચવા જેવું : આંખ ખોવા કરતાં દષ્ટિ ખોવી વધારે નુક્સાનકર્તા છે...


ચિત્રલેખા - અંક તા. જુલાઈ ૨૦૧૩ માટે 

કોલમ: વાંચવા જેવું 


                                                                                   

શૉન પેને ડિરેક્ટ કરેલી એક અદભુત અમેરિકન ફિલ્મ છે - ‘ઈનટુ ધ વાઈલ્ડ’. પોતાની મરજીનો માલિક બનીને જીવતો એનો યુવા નાયક એક જગ્યાએ કહે છે કે, ‘કરીઅર તો વીસમી સદીમાં શોધાયેલી ચીજ છે અને મને એની બિલકુલ જરુર નથી!’

ફિલ્મનો હીરો આમ કહી શકે, પણ સામાન્ય માણસ કારકિર્દીનો અસ્વીકાર કરીને હવામાં દિશાહીન ઉડ્યા કરતાં પીંછા જેવું જીવન જીવી શકતો નથી. જીવનને ડિફાઈન શી રીતે કરી શકાય? સંબંધો વડે, સ્વજનો વડે, કારકિર્દી વડે. આપણે કર્મ કરવામાં માનનારા લોકો છીએ.  આજનાં પુસ્તક ‘મારી કારકિર્દીનો સૂર્ય’માં જુદાં જુદાં ક્ષેત્રના કર્મનિષ્ઠ અને સફળ લોકોના આત્મકથનાત્મક લેખોનો સંગ્રહ થયો છે.

મોરારીબાપુ કહે છે કે, ‘મને કારકિર્દીના સૂર્ય કરતાં કારકિર્દીના ચંદ્રમામાં વધારે પ્રસન્નતા દેખાય છે. ક્ષીણતા અને વૃદ્ધિ પામવા છતાં, કલંકગ્રસિત ઘટનાઓ થતી રહે છતાં ચંદ્ર પોતાનાં શીતળ સત્ય, પ્રેમ અને કરુણાના પ્રકાશને છોડતો નથી. પૂર્ણ ચંદ્રની સ્થિતિ નિરંતર રહેતી નથી. તેથી માનવીએ સતત વિચારતા રહેવાનું છે કે હું મારી કારકિર્દીમાં પૂર્ણ નથી થઈ ગયો, મારે નિરંતર વૃદ્ધિ કરતાં રહેવાની છે.’

અર્થોપાર્જન માટે થતી પ્રવૃત્તિ અને પેશનને અનુસરીને થતી પ્રવૃત્તિ - આ બન્ને વચ્ચે ભેદ હોય, ન પણ હોય. ઉત્પલ ભાયાણી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને વાર્તાકાર. ઉપરાંત સુરેશ દલાલ સાથે પુસ્તક પ્રકાશન તેમજ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનાં ક્ષેત્રમાં સીમાચિહ્ન કહી શકાય એવી એકાધિક પ્રવૃત્તિઓ કરી. આમ છતાંય નાટકો જોવાની, માણવાની અને તેના વિશે સંપૂર્ણ નિષ્ઠા તેમજ તટસ્થતાથી લખવાની સાડાત્રણ દાયકાની સાતત્યપૂર્ણ પ્રલંબ કારકિર્દી એમને સૌથી વધુ અસામાન્ય લાગે છે. અહીં ‘સાતત્ય’ શબ્દ મહત્ત્વનો છે, જેનો સીધો સંબંધ શિસ્ત સાથે છે.

કરીઅર સમયની સાથે અલગ અલગ રંગછટા ધારણ કરતી જતી હોય છે.  જેમ કે અવિનાશ પારેખને ‘બિલ્ડિંગ લાઈનનો બાદશાહ એટલે બિલ્ડર, આર્કિટેક્ટ નહીં’ એ સૂત્ર મળ્યું અને તેમના મનને જાણે ચાબૂક લાગી ગઈ. પ્લાનિંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઈનિંગ તરફથી તેઓ ક્ધસ્ટ્રક્શન તરફ વળ્યા. સફળતા અને પ્રતિષ્ઠા બન્ને મળ્યાં. અનુભવે એક વાત શીખ્યા કે ઈર્ષાજનક સફળતા મેળવ્યા પછી આત્મવિશ્વાસ કરેલી ભૂલનું મૂલ્ય ક્યારેય ઓછું હોતું નથી. દષ્ટિ ખોવી એ આંખ ખોવા કરતાં વધારે નુક્સાનકર્તા છે! એમણે ‘અભિયાન’ સાપ્તાહિકની સ્થાપના કરી. આ સામયિકે કંઈકેટલાય ‘હાઈ’ અને ‘લૉ’ જોયા, કેટલાય આરોહ-અવરોહમાંથી પસાર થયું. ‘અભિયાન’ સરવાળે સફળતા પામ્યું? અવિનાશ પારેખનો ઉત્તર છે: ‘હા અને ના!’

આ ‘હા’ અને ‘ના’નું સહઅસ્તિત્ત્વ ‘અભિયાન’નું સત્ય છે. કવિ અને ડોક્ટર રઈશ મનીઆર પોતાનાં જીવનનાં કેટલાંક સત્ય આપણી સાથે શેર કરે છે. એ કહે છે કે કારકિર્દી કે કર્મનો એજન્ડા જેટલો અંગત એટલી પીડા વધુ. જીવનમાં આપણે તલ્લીન થઈને કરેલી પ્રવૃત્તિ ધન કે યશ અપાવે જ, પણ એ તો આડપેદાશ છે. જીવનનો ખરો આનંદ તો પેલી તલ્લીનતા જ છે. સતત સક્રિય રહેવું જરુરી નથી. આપણા કાર્યક્ષેત્ર સિવાયની રોજબરોજ જિવાતા જીવનની નાની નાની બાબતોમાં પણ વ્યસ્ત અને મસ્ત રહેતાં આવડવું જોઈએ. નવરાશનેય અજંપા વગર માણતાં આવડવું જોઈએ...



‘ઈનટુ ધ વાઈલ્ડ’ ફિલ્મના નાયકની માફક કાંતિ ભટ્ટને પણ ‘કારકિદી’ કે ‘કરીઅર’ શબ્દ બિલકુલ પસંદ નથી. આ શબ્દોમાંથી એમને ગુલામીની ગંધ આવે છે! ‘કરીઅર’ મૂળ ગ્રીક શબ્દ ‘કેરરિયા’માંથી ઉતરી આવ્યો છે. કેરરિયા એટલે પૈડાંવાળું વાહન. એ કહે છે કે આજનો યુવાન કે યુવતી ડિગ્રી મેળવીને સીઈઓ કે બિઝનેસ મેનેજર કે એવા કોઈ ફેન્સી નામવાળી પોસ્ટ પર ઊંચા પગારવાળી નોકરી કરે છે, પણ આખરે રહે છે તો ગ્લેમરસ નોકર જને? પછી વર્ષો સુધી એ પૈડાંવાળાં વાહનની જેમ કારકિર્દીનો અને જિંદગીનો બોજ ઘસડ્યા કરે છે. અલબત્ત, કાંતિ ભટ્ટ હર દિન લખવા પડતા લેખને પોતાના જીવનનું પ્રેરકબળ અને રોજે રોજના સૂર્ય સાથે સરખાવે છે.

કારકિર્દી અને નસીબ વચ્ચે શો સંબંધ છે? કાઠિયાવાડના સાવરકુંડલામાં જન્મેલા અને ઉછરેલા નટવર ગાંધી કાળક્રમે અમેરિકાની રાજધાનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર જેવી પાવરફુલ પોઝિશન પર દોઢ દાયકા કરતાંય વધારે સમય માટે કાર્યરત રહ્યા. વોશિંગ્ટોનિઅન ઓફ ધ યર, (વન ઓફ) ધ મોસ્ટ પાવરફુલ મેન ઓફ વોશિંગ્ટન જેવા કેટલાય ખિતાબ મેળવ્યા. આ સિદ્ધિ નાનીસૂની નથી. નટવર ગાંધી કહે છે કે, ‘તમે ગમે તેટલા હોશિયાર હો, પણ જો નસીબની લોટરી ન લાગે તો એ હોશિયારી કામે લાગતી નથી. સફળતાના શિખરે બેઠેલા મૂછો મરડતા તિસમારખાંઓએ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એમની ઉન્નતિમાં કો’ક જાણ્યા-અજાણ્યાનો હાથ છે...’ અમદાવાદનાં ‘રજવાડું’ અને ‘માધુર્ય’ જેવી અવોર્ડવિનિંગ રેસ્ટોરાંના માલિક મનીષ પટેલ લગભગ આ જ સૂરમાં કહે છે: ‘હું નસીબમાં માનું છું અને મેં જોયું છે કે જેમ જેમ હું વધુ કામ કરું છું, તેમ તેમ વધુ નસીબદાર બનતો જાઉં છું.’

પુસ્તકમાં કેટલીય સરસ રસપ્રદ વિગતો જાણવા મળે છે. જેમ કે, સાહિત્યકાર ભોળાભાઈ પટેલ શિક્ષક બન્યા ત્યારે રઘુવીર ચૌધરી આઠમા ધોરણમાં ભણતા અને ખાદીનાં કપડાં ને સફદ ટોપી પહેરીને પહેલી બેન્ચ પર બેસતા! ભોળાભાઈ કહે છે કે ચૌધરી અત્યારે ‘મુખી’ જેવા છે એવા ત્યારે પણ હતા! આ પુસ્તકમાં તારક મહેતા, વિનોદ ભટ્ટ, ઉત્કર્ષ મઝુમદાર, ઉદયન ઠક્કર, દીપક દોશી, રતિલાલ ‘અનિલ’, ધનજીભાઈ શાહ, સ્વામી માધવપ્રિયદાસથી લઈને વિવાદાસ્પદ પોલીસ ઓફિસર વસંત ઢોબળે સુધીની પંચાવન વ્યક્તિઓએ પોતપોતાની કારકિર્દી વિશે સુંદર રીતે લખ્યું છે. કાજલ ઓઝા વૈદ્યનું લખાણ હંમેશ મુજબ શ્ર્વાસ અધ્ધર કરીને વાંચી જવું પડે એવું રસાળ છે. અલબત્ત, પુસ્તકમાં લેખકોની સૂચિને વધારે ચુસ્ત અને વૈવિધ્યપૂર્ણ બનાવી શકાઈ હોત.

ઈમેજ પબ્લિકેશનનું પુસ્તક હોય એટલે પ્રોડક્શન વેલ્યુ ઉત્કૃષ્ટ હોવાની જ. ‘મારી કારકિર્દીનો સૂર્ય’ વાંચવું અને વંચાવવું ગમે એવું પુસ્તક છે. આમેય પ્રેરણાનો સીધો મારો ચલાવતાં બીબાંઢાળ પુસ્તકોને બદલે નિશ્ચિત ગરિમા સાથે પ્રેરક વાતોને વણી લેતાં પુસ્તકો હંમેશા વધારે આવકાર્ય હોવાનાં.


મારી કારકિર્દીનો સૂર્ય  

સંપાદક: સુરેશ દલાલ
પ્રકાશક: ઈમેજ પબ્લિકેશન, મુંબઈ-૨, અમદાવાદ-૬
ફોન:  (૦૨૨) ૨૨૦૦ ૧૩૫૮, (૦૭૯) ૨૬૪૪ ૨૮૩૬
કિંમત:  ૫૦૦ /
પૃષ્ઠ: ૨૫૬

 ૦ ૦ ૦
‘’

Saturday, July 20, 2013

મલ્ટિપ્લેક્સ : ટૂંકમાં કહીએ તો...


Sandesh - Sanskaar Purti - 21 July 2013

Column : મલ્ટિપ્લેક્સ 

શોર્ટ ફિલ્મ ચોટદાર નવલિકા જેવી હોય છે. થોડાકમાં એ ઘણું બધું કહી દે છે. 'બોમ્બે ટોકીઝપછી દસ જ અઠવાડિયાંમાં 'શોર્ટ્સનામનું ટૂંકી ફિલ્મોનું ઔર એક ઝૂમખું થિયેટરોમાં રિલીઝ થઈ શક્યું એ સારી નિશાની છે.

નુરાગ કશ્યપ વિશેની બે વાતો છે. એક આનંદ થાય એવી, બીજી ડર લાગે એવી. અનુરાગને લેખક તરીકે ફિલ્મોમાં બિગ બ્રેક રામગોપાલ વર્માએ આપ્યો હતો, 'સત્યા'ના લેખક તરીકે. વર્માજીએ પોતાના કેટલાય આસિસ્ટન્ટ્સની કરિયર બનાવી છે. અનુરાગ કશ્યપ પણ એમના નકશેકદમ પર ચાલીને પોતાના આસિસ્ટન્ટ રહી ચૂકેલા તેજસ્વી છોકરાંઓને સ્વતંત્રપણે ફિલ્મ ડિરેક્ટ કરવાની તક આપી રહ્યા છે. આ આનંદ થાય તેવી વાત થઈ. ડર એવી કલ્પનાથી લાગે છે કે અનુરાગ કશ્યપ આગળ જતાં સાવ રામગોપાલ વર્મા જેવા થઈને, આત્મરતિમાં સરી પડીને ક્વોલિટી કંટ્રોલની પરવા કર્યા વિના ક્યાંક સત્ત્વહીન ફિલ્મોની 'ફેક્ટરી' શરૂ ન કરી દે!
Anurag Kashyap
અનુરાગ કશ્યપે પ્રોડયુસ કરેલી 'શોર્ટ્સ' નામની ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ. તાજેતરમાં એટલે પરમ દિવસે નહીં પણ એની પહેલાંના શુક્રવારે. પાંચ સરસ મજાની શોર્ટ ફિલ્મ્સનું આ ઝૂમખું છે. પાંચેયની વાર્તા અલગ, ટેકનિક અલગ, પાંચેયના ડિરેક્ટરો અલગ. આ પાંચમાંથી ત્રણ ડિરેક્ટરો અનુરાગના આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે. થોડા સમય પહેલાં 'બોમ્બે ટોકીઝ' નામની ફિલ્મ આવી હતી, જેમાં દિબાકર બેનર્જી, કરણ જોહર, અનુરાગ કશ્યપ અને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરેલી અડધી-અડધી કલાકની ચાર શોર્ટ ફિલ્મ્સ સમાવી લેવામાં આવી હતી ('મલ્ટિપ્લેકસ', ૨૮ એપ્રિલ, ૨૦૧૩). દસ જ અઠવાડિયાં પછી 'શોર્ટ્સ' નામનું ટૂંકી ફિલ્મોનું ઔર એક કલેક્શન અમદાવાદ સહિત કેટલાંય શહેરનાં થિયેટરમાં જોવા મળ્યું એ સારી નિશાની છે. એ વાત અલગ છે કે 'શોર્ટ્સ'ની પબ્લિસિટી ઓછામાં ઓછી થઈ હતી. આખા મુંબઈમાં ગણીને ત્રણ જ સ્ક્રીન એના ભાગે આવ્યા હતા. તે પણ રોજના એક-એક શો પૂરતા.
'શોર્ટ્સ'ની પાંચેય ફિલ્મોમાં શું છે? સુજાતા નામની એક યુવતી (હુમા કુરેશી) છે. ચૌદ-પંદર વર્ષની હતી ત્યારથી સગી ફોઈનો નઠારો દીકરો એનું લોહી પીતો આવ્યો છે. સંજોગો એવા ઊભા થયા હતા કે છોકરીએ ફોઈના ઘરે રહીને આગળ ભણવું પડયું. કેરમ રમતાં હોય તો છોકરાની નજર સુજાતાના ટીશર્ટમાંથી ડોકાઈ જતાં સ્તન પર ફરતી હોય. એક હાથમાં પ્લાસ્ટરવાળી સુજાતા સૂતી હોય તો છોકરો ગુપચૂપ એને ફરતે ખાંડ ભભરાવી દે કે જેથી લાલ કીડીઓ એને ચટકા ભરીભરીને પરેશાન કરે. છોકરી ચીસો પાડતી જાગી જાય એટલે કઝીન બ્રધર અજાણ્યો થઈને 'કપડાં ઉતાર, કપડાં ઉતાર... નહીં તો કીડીઓ જશે નહીં' કરતો 'મદદ'કરવા ધસી આવે. છોકરીએ બિચારી બાથરૂમમાં દોડી જવું પડે. આ સિલસિલો બંને યુવાન થયાં પછી પણ ચાલુ રહે છે. આઈડેન્ટિટી છુપાવી છુપાવીને જીવતી સુજાતા ક્યાંક ઘર શોધીને ટિફિન સર્વિસ શરૂ કરે છે તો ત્યાં પણ ભાઈસાહેબ આવી ચડે છે. પોલીસ માટે આ ઘરનો આંતરિક મામલો છે. સેવાભાવી સંસ્થાઓ પણ કેટલી મદદ કરે. આખરે સુજાતાની ધીરજ ખૂટે છે. એનો વર્ષોનો દબાયેલો આક્રોશ આખરે સ્ફોટ સાથે ઊછળે છે. અસરકારક ફિલ્મ છે. સુજાતા કેવા કેવા સેક્સ્યુઅલ એબ્યુઝમાંથી પસાર થઈ હશે એની વિગતોમાં ગયા વગર ડિરેક્ટર શ્લોક શર્માએ કેવળ હિન્ટ્સ આપી છે.
Huma Qureshi (top); (bottom) Nawazuddin Siddiqui


શોર્ટ ફિલ્મોમાં પાત્રોનું વૈવિધ્ય ખૂલી જતું હોય છે. 'મેહફૂઝ' નામની ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી નધણિયાતી લાશોને ઠેકાણે પાડવાનું કામ કરે છે. રાત પડે એટલે કપડાંમાં વીંટળાયેલી ગંધાતી વિકૃત લાશો ટ્રકમાં આવે. નવાઝુદ્દીન પછી એને ચિતા પર ચડાવે. વરસાદમાં લાકડાં ભીનાં થઈ ગયાં હોય તો એને દફન કરી દે. લગભગ બુદ્ધિહીન લાગતો નવાઝુદ્દીન સમાજની નિમ્નતમ કક્ષાએ જનાવર જેવું અસ્પૃશ્ય જીવન જીવે છે, પણ આવા માણસનેય લાગણીની, પ્રેમની, હૂંફની જરૂર હોય જ. એ શી રીતે બીજા મનુષ્યજીવ સાથે સંધાન કરે છે? ઓછામાં ઓછા સંવાદોનો ઉપયોગ કરીને ડિરેક્ટર રોહિત પાંડેએ હૃદયભેદક વાર્તા કહી છે. અનિરબન રોય નામના ડિરેક્ટરની 'ઓડેસિટી' નામની વાર્તામાં મા-બાપનું કહ્યું ન માનતી એક હઠીલી ટીનેજ કન્યાની વાત છે. પાંચેય શોર્ટ ફિલ્મોમાંથી આ એકમાં જ હ્યુમરનો રંગ જોવા મળે છે. ચોથી મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહીને સંઘર્ષ કરી રહેલાં બનારસી પતિ-પત્નીની વાત છે. ચાર માણસોના પરિવારની તમામ જવાબદારી પૂરી કર્યા પછી પણ સ્ત્રી શરીર તૂટી જાય એટલી મહેનત કરી પૈસા કમાય છે પણ ઘરમાં નવરાધૂપ બેસી રહેતા બેકાર પતિદેવના મનમાં એના ચારિત્ર્ય વિશે જાતજાતની શંકાઓ ઉછળકૂદ કરતી રહે છે. કદરના, પ્રેમના શબ્દો બાજુએ રહ્યા, અહીં તો સ્ત્રીએ જશને બદલે જોડાં ખાવાં પડે છે. નીરજ ઘાયવાને ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં રત્નબાલી ભટ્ટાચાર્યજી નામની અભિનેત્રીએ સરસ અભિનય કર્યો છે. જોકે સાસુના પાત્ર અને હેપી એન્ડિંગને લીધે આ શોર્ટ ફિલ્મ સહેજ 'ફિલ્મી' બની જાય છે.
આ પાંચ ટૂંકી ફિલ્મોમાં તો વારે વારે દરિદ્ર પાત્રો જ આવ્યાં કરે છે એવું લાગતું હોય તો છેલ્લી શોર્ટ ફિલ્મ 'એપિલોગ' આ ફરિયાદ દૂર કરી નાખે છે. સિદ્ધાર્થ ગુપ્તે ડિરેક્ટ કરેલી આ ટૂંકી ફિલ્મ સૌથી સ્ટાઈલિશ અને સંભવતઃ સૌથી અસરકારક છે. વીસ-પચ્ચીસ મિનિટમાં એક પણ ડાયલોગ આવતો નથી. કેવળ અફલાતૂન વિઝ્યુઅલ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી એક આધુનિક શહેરી યુગલનું જીવન પેશ થાય છે. આ બંને પતિ-પત્ની પણ હોઈ શકે અને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ પણ હોઈ શકે. તેમનો સંબંધ કોહવાઈ ગયો છે,બંધિયાર થઈ ગયો છે, ડચકાં ખાઈ રહ્યો છે. ફિલ્મમાં કલ્પના અને વાસ્તવિકતાની સરસ સેળભેળ થઈ છે. યુવતી અત્યંત પઝેસિવ છે. પુરુષનું જીવવું ઝેર કરી નાખ્યું છે એણે. કાં તો એ કેવળ પ્રેમની ભૂખી છે, એને પ્રિયતમનું એટેન્શન જોઈએ છે. આખી વાતનું તમે અનેક રીતે અર્થઘટન કરી શકો છો. સ્ત્રીએ ખરેખર બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી કે એ પુરુષની ફેન્ટસી છે?કે પછી, સ્ત્રી જીવ ટુંકાવી દેવાની માત્ર કલ્પના કરી રહી હતી? ફિલ્મ ઓપન-એન્ડેડ છે અને એમાં જ એની મજા છે.
Richa Chadda

સિનેમા કંઈ માત્ર નાચગાના કે ટાઈમપાસ એન્ટરટેઇનમેન્ટ માટે નથી. જુદી જુદી વાર્તાઓ, કિરદારો અને રજૂઆતની અવનવી શૈલીઓ પેશ કરીને દર્શકના મનમાં વિચારનો તણખો પ્રગટાવી શકતું આ ઉત્કૃષ્ટ આર્ટ-ફોર્મ છે તે વાત ભુલાઈ જતી હોય છે. મેઈનસ્ટ્રીમ ફીચર ફિલ્મો મનોરંજન અને બિઝનેસમાં પડી ગઈ છે ત્યારે આવી શોર્ટ ફિલ્મો સિનેમાના સત્ત્વને સાચવી રાખવાનું કામ સરસ રીતે કરી શકે છે. આ પ્રકારની ફિલ્મોનો પ્લસ પોઈન્ટ એ છે કે એમાં નથી સ્ટાર્સની જરૂર પડતી કે નથી તોતિંગ બજેટની જરૂર પડતી. ટેલેન્ટ અને કલ્પનાશક્તિ હોય એટલે પોણા ભાગનો જંગ જિતાઈ ગયો. 'શોર્ટ્સ'ની પાંચેય ફિલ્મો દુનિયાભરના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એવોર્ડ્ઝ જીતી ચૂકી છે. ફેસ્ટિવલની ફિલ્મો બોરિંગ જ હોય એવી લોકોમાં એક છાપ પડી ગઈ છે તે મોટી તકલીફ છે. તેને લીધે થિયેટરવાળાઓ 'શોર્ટ્સ' પ્રકારની ફિલ્મો દેખાડવા તૈયાર થતા નથી તેવી અનુરાગ કશ્યપની ફરિયાદમાં પૂરેપૂરું તથ્ય છે. એ ઉમેરે છે, 'આપણી ફિલ્મોની લંબાઈ ટૂંકી થઈ રહી છે, ધીમે ધીમે ઓડિયન્સનો ટેસ્ટ બદલાઈ રહ્યો છે. થિયેટરમાં નિયમિતપણે શોર્ટ ફિલ્મ્સ દેખાડાતી નથી તે અલગ વાત થઈ, બાકી ઈન્ટરનેટ પર શોર્ટ ફિલ્મ્સ ખૂબ પોપ્યુલર છે. મને તો એનું ભવિષ્ય સરસ દેખાઈ રહ્યું છે.'
શ્લોક શર્મા, રોહિત પાંડે, અનિરબન રોય, નીરજ ઘાયવાન અને સિદ્ધાર્થ ગુપ્ત - આ પાંચેય ટેલેન્ટેડ ફિલ્મમેકર્સનાં નામ પણ નોંધી રાખજો, કારણ કે એમનાં ભવિષ્ય પણ ઉજ્જવળ છે અને આવનારા સમયમાં મેઈનસ્ટ્રીમ સિનેમામાં ગમે ત્યારે એ બોમ્બની જેમ ફાટવાનાં છે!
શો-સ્ટોપર

પ્રાણસાહેબ મેકઅપમેન અને વિગ બનાવનારા સાથે દોસ્તી કરી એમનું સિક્રેટ જાણી લેતા. પ્રત્યેક ગેટઅપમાં એ સાવ જુદા જ દેખાતા એનું કારણ આ જ. વિગ અને મેકઅપના મામલામાં પ્રાણસાહેબ મારા આદર્શ છે. 

અનુપમ ખેર

Thursday, July 18, 2013

બોલિવૂડ એક્સપ્રેસ : ઓયે બરખુરદાર...


Sandesh - Cine Sandesh - 19 July 2013
Column: બોલિવૂડ એક્સપ્રેસ
પ્રાણસાહેબ જેવા તગડા અભિનેતા-ખલનાયક સામે ન હોત તો અમિતાભ બચ્ચનની એન્ગ્રી યંગમેન તરીકેની ઇમેજ આટલી મજબૂત ન થઈ શકી હોત.

બોલિવૂડ બોય ઉર્ફ બો-બો આમ તો દર શુક્રવારે દુનિયાભરની ફિલ્મી વાતોની રમઝટ બોલાવવા થનગન થનગન થતો હોય છે, પણ આજે એ ઉદાસ છે. સિનિયર એક્ટર પ્રાણની એક્ઝિટથી થયેલા દુઃખથી બો-બોનું દિલ હજુ પણ હર્ટ થઈ રહ્યું છે. એક સરસ કિસ્સો એ શે'ર કરવા માગે છે. પચાસ કરતાંય વધારે વર્ષ પહેલાંની વાત છે. મુંબઈના આર.કે. સ્ટુડિયોમાં મનમોહન દેસાઈની 'છલિયા' ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પ્રાણસાહેબ ખુલ્લામાં એક ખુરશી પર શાંતિથી બેઠા હતા. એક મુગ્ધ યુવાન પોતાના ફ્રેન્ડ્સ સાથે શૂટિંગ જોવા આવેલો. એને પ્રાણસાહેબનો ઓટોગ્રાફ જોઈતો હતો, પણ પાસે જતા ફફડતો હતો. માંડ માંડ હિંમત એકઠી કરીને એ નજીક ગયો. સર, ઓટોગ્રાફ પ્લીઝ! ખલનાયક પ્રાણે બહુ જ પ્રેમથી એને ઓટોગ્રાફ આપ્યો, વાતો કરી, સાથે ફોટા પણ પડાવ્યા. યુવાન રાજીના રેડ થઈ ગયો. એની તો જાણે લાઇફ બની ગઈ. આ યુવાનનું નામ જાણો છો? અમિતાભ બચ્ચન!
પછી તો અમિતાભ, અમિતાભ બન્યા અને પ્રાણસાહેબની સાથે ૧૪ ફિલ્મોમાં કામ કર્યું. સામે પ્રાણ જેવો તગડો ખલનાયક ન હોત તો અમિતાભની એન્ગ્રી યંગમેન તરીકેની ઇમેજ ચોક્કસપણે આટલી મજબૂત ન થઈ શકી હોત. પ્રાણસાહેબ પોતાની ફિલ્મો ક્યારેય ન જોતા. 'જંજીર' રિલીઝ થઈ પછી છેક વીસ વર્ષે એમણે આ ફિલ્મ ટીવી પર જોઈ હતી અને તે પણ આકસ્મિક રીતે. ફિલ્મ જોયા પછી એમણે અમિતાભને ફોન કરીને કહ્યું, "અમિત, 'જંજીર' મેં તૂને અચ્છા કામ કિયા હૈ." આ કિસ્સો યાદ કરીને અમિતાભ કહે છે, "પ્રાણસાહેબે બબ્બે દાયકા પછી મને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યાં તોપણ હું રાજીના રેડ થઈ ગયો હતો!"
આવો હતો પ્રાણસાહેબનો કરિશ્મા. લોંગ લીવ પ્રાણસાહેબ!   

                                                   0 0 0                                         

ગોળમટોળ રિશિ કપૂર પણ એમ તો કરિશ્મેટિક તો ખરા જ ને. જુઓને, આ ઉંમરે પણ એ કેવા જલવા દેખાડી રહ્યા છે. કાયદેસર સિનિયર સિટીઝન થઈ ગયેલા રિશિ કપૂર પોતાના સુપરસ્ટાર પુત્ર રણબીર જેટલા જ બિઝી છે. એમની કરિયરને જાણે નવેસરથી જુવાની ફૂટી છે. સાચુકલી જુવાનીમાં એ ચોકલેટી લવરબોય બનીને રહી ગયા હતા. એ માત્ર સ્ટાર કહેવાયા, 'એકટર'નો દમામદાર દરજ્જો એમને ક્યારેય નહોતો મળ્યો, પણ પાકટ ઉંમરે કરિયરની બીજી ઇનિંગ્સમાં તેઓ જાતજાતના રોલ કરીને પોતાની ભડાસ કાઢી રહ્યા છે. કાયમ હિરોઇનની પાછળ ચકરડી ભમરડી ફરતા રિશિ કપૂર આગળ જતાં સીધાસાદા દિલ્હીવાસી સ્કૂલ ટીચરનો રોલ અફલાતૂન રીતે કરી બતાવશે ('દો દૂની ચાર') એવું કોણે કલ્પ્યું હતું? 'અગ્નિપથ'માં તેમણે ઘૃણાસ્પદ વિલનનો રોલ કર્યો તે પણ ઓડિયન્સ માટે એક પ્લેઝન્ટ શોક હતો. આજે રિલીઝ થયેલી 'ડી-ડે'માં તેઓ દાઉદ ઇબ્રાહિમ જેવા ડોન બન્યા છે.
કમલ હાસને વર્ષો પહેલાં એક વાર તેમને કહેલું કે, "રિશિ, તું રોમેન્ટિક ઢાંચામાંથી બહાર કેમ આવતો નથી? અખતરા કેમ કરતો નથી?" રિશિ કપૂર કહે, "કેવી રીતે કરું? કોઈ મને ચાન્સ આપે તો કરુંને?" રિશિને આ ચાન્સ હવે મળી રહ્યા છે. રાકેશ રોશન એમના ખાસમખાસ દોસ્તાર છે. 'કોઈ મિલ ગયા'માં એ રિશિ કપૂરને રિતિકના બાપના રોલમાં લેવા માગતા હતા. રિશિ કપૂરે ના પાડી દીધી હતી કે ના યાર, મારે બાપના રોલમાં ટાઇપકાસ્ટ નથી થવું, મારા મનમાં કરિયરને લઈને કંઈક જુદા જ પ્લાન છે. રાકેશ રોશનને ભારે ખીજ ચડી હતી. એમણે ખીજાઈને કહ્યું હતું કે, "યે કોઈ ઉમ્ર હૈ કરિયર પ્લાન કરને કી?" રિશિ કપૂરને આ ટોણાથી લાગી આવેલું, પણ તેઓ કંઈ બોલ્યા નહીં. આમ જોવા જાઓ તો રાકેશ રોશનની વાત પણ ક્યાં ખોટી હતી. વ્યાવહારિક બુદ્ધિ કહે છે કે આધેડ વયે તો જે રોલ મળે તે ચૂપચાપ કરી લેવાના હોય, પણ રિશિ કપૂરે મનોમન નક્કી કરી નાખ્યું કે ના, હું રાકેશને સાબિત કરીને દેખાડી દઈશ. એ કહે છે, "રાકેશ રોશન પહેલો માણસ હતો, જેણે મારી સામે ચેલેન્જ ફેંકી હતી. સમજોને કે તે દિવસથી મેં એક્ટર તરીકે મારી બ્રાન્ડવેલ્યૂ ઊભી કરવાનું નક્કી કરી નાખ્યું હતું."
બો-બોનું મન કંઈક જુદું કહે છે. બો-બોને પાક્કી ખાતરી છે કે દીકરા રણબીરે એક સારા એક્ટર તરીકે જે રીતે ધાક ઊભી કરી છે એ જોઈને રિશિ કપૂરને એમ દેખાડી દેવાની ચાનક ચડી હશે કે, 'બચ્ચુ, મૈં ભી તેરા બાપ હૂં'. એમ તો એમ, પણ રોલીપોલી રિશિમાં એક્ટર તરીકે એક્સપેરિમેન્ટ્સ કરવાની હિંમત આવી એ જ મહત્ત્વનું છે, રાઇટ?
ઓક્કે ધેન. જય શુક્રવાર!                     0 0 0 

Tuesday, July 16, 2013

ટેક ઓફ : આર્ય મૌનઃ સ્મિત ને ઈશારા પર પણ પ્રતિબંધ છે!

Sandesh - Ardh Saptahik Purti - 17 July 2013

Column: ટેક ઓફ 

ઓશો કહે છે કે ગૌતમ બુદ્ધ સિવાય બીજો કોઈ ધર્મ મેડિટેશનનો સાચો અર્થ શોધી શક્યો નથી. એકમાત્ર બુદ્ધ જ એવા હતાજે સાક્ષીભાવ કેળવવા સિવાયની તમામ બાબતોને નકારતા રહ્યા. વિપશ્યનાનો આ જ મતલબ છે,સુખી કે દુઃખી થયા વિના મનના વિચારોને સાક્ષીભાવે નિહાળતા રહેવું. 

જુલાઈએ બિહારના બોધગયા મંદિરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા અને બૌદ્ધ ધર્મના આ સૌથી મહત્ત્વના સ્થળની શાંતિ ખંડિત થઈ ગઈ. ચૂપચાપ કામે લાગી જવાને બદલે ભાજપ અને કોંગ્રેસ બન્નેના નેતાઓ સહેજ પણ સમય બગાડયા વગર એકબીજા પર ગંદકી ઉછાળવામાં, ટીવી કેમેરામાં મોં ખોંસીને જોરજોરથી આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરવામાં વ્યસ્ત થઈ ગયા. દેશની આંતરિક કે બાહ્ય સુરક્ષાનો મામલો હોય ત્યારે સામસામા બાખડવાને બદલે ધીરગંભીર શાંતિ જાળવવાની હોય, પણ આપણા નેતાઓ પાસેથી આવી અપેક્ષા રાખવી પણ મૂર્ખતા છે. ગરિમાપૂર્ણ મૌન અથવા ડિગ્નિફાઇડ સાઇલન્સનો મહિમા સમજવો તે રાજકારણીઓના વર્તુળની બહારની વસ્તુ છે.
ગૌતમ બુદ્ધ જેવો મૌનનો મહિમા સંભવતઃ બીજા કોઈ ધર્મપુરુષે કર્યો નથી. સાધના અથવા મેડિટેશનનો સીધો સંબંધ મૌન સાથે છે. વિપશ્યનાની યોગશિબિર એટેન્ડ કરો તો તમારે લાગલગાટ દસ સૌથી મૌન રહેવાના ગજબનાક અનુભવમાંથી ફરજિયાતપણે પસાર થવું પડે. વિપશ્યના બૌદ્ધ ધર્મનું એક પ્રેક્ટિકલ યા તો પ્રાયોગિક પાસું છે. વિપશ્યનાનો અર્થ થાય છે વિશિષ્ટ રીતે જોવું,પરિસ્થિતિઓને જેવી છે તે સ્વરૂપમાં જોવી. વિપશ્યના કરનાર સાધકે સીધું સાદું મૌન નહીં, પણ આર્ય મૌન પાળવાનું હોય છે. આર્ય મૌન એટલે કેવળ વાણીથી જ નહીં, પણ શરીરથી પણ મૌન. તમે કોઈની સામે જુઓ અને સામેવાળો સ્મિત કરે કે ગુસ્સાથી જુએ તો તે પણ એક પ્રકારનું કમ્યુનિકેશન થયું ગણાય. આ પણ ટાળવાનું છે. વિપશ્યના કરનાર સાધકે આ પ્રકારનું આંગિક્ ક્મ્યુનિકેશન પણ ટાળવાનું છે. દૃસ દિવસ દૃરમિયાન એણે એવી રીતે રહેવાનું છે જાણે આખા કેમ્પસમાં એ એક્લો જ હોય. વિપશ્યના પ્રમાણમાં સહેજ ક્ઠિન સાધના છે. દિવસના દૃસ કરતાં વધારે ક્લાક્ો ચોક્કસ પ્રકારના મેડિટેશનમાં ગાળવા પડે છે, પણ બધાના પરિણામ સ્વરુપે જે ભાવસ્થિતિ પેદૃા થાય છે તે અદૃભુત અને અસામાન્ય હોય છે તે આ લખનાર અનુભવે સમજ્યો છે. અલબત્ત, વિપશ્યનાનો રિયાઝ અટક્ી જતાં પેલી ભાવસ્થિતિ પણ વિખરાઈ જાય છે તે અલગ વાત થઈ.

Vipassana

ઓશો કહે છે કે ગૌતમ બુદ્ધ સિવાય બીજો કોઈ ધર્મ મેડિટેશનનો સાચો અર્થ શોધી શક્યો નથી. અન્ય ધર્મો કર્મકાંડ, મંત્રતંત્ર,પૂજા-અર્ચનામાં પડી ગયા. એકમાત્ર બુદ્ધ જ એવા હતા જે સાક્ષીભાવ કેળવવા સિવાયની તમામ બાબતોને નકારતા રહ્યા. વિપશ્યનાનો આ જ મતલબ છે- સુખી કે દુઃખી થયા વિના તમામ શારીરિક અને માનસિક ગતિવિધિઓને સાક્ષીભાવે નિહાળતા રહેવું. આ સાક્ષીભાવ તમારી ચેતના, તમારી સભાનાવસ્થા સાથે અન્ડરકરંટની જેમ સતત વહેતો રહેવો જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ હો ને ગમે તે કામ કરતા હો, પણ તમારી આંતરિક શાંતિ અકબંધ રહે, તેને કશું જ ખલેલ પહોંચાડી ન શકે તો તમે ખરું મેડિટેશન કર્યું કહેવાય.
બુદ્ધ પોતાના શિષ્યોને કહેતાં યોગસાધના કરવી હોય તો મનની ઉપેક્ષા કરો. મનને બાયપાસ કરી નાખો. એને ભલે જ્યાં જવું હોય ત્યાં જાય, ભલે જે કહેવું હોય તે કહે, પણ તમારે તેના તરફ લક્ષ આપવાનું નથી. મનનો સ્વભાવ છે કૂદકા મારવાનો, જાતજાતના ઊંધાચત્તા વિચારો કર્યા કરવાનો. મન માંકડું અમસ્તું નથી કહેવાયું, પણ આપણે એની ઉપેક્ષા કરતા શીખી જઈશું તો ધીમે ધીમે મન કેળવાતું જશે. તે ખુદ સમજવા લાગશે કે એનું કયું વર્તન સ્વીકાર્ય છે અને કયું અસ્વીકાર્ય. એક વાર તે જાણી લેશે પછી નિરર્થક બકવાસ કરવાનું બંધ કરી દેશે. આંતરિક વિકાસ માટે આ સ્થિતિ આવવી જરૂરી છે.


ઓશો કહે છે, 'બોધગયા એ જગ્યા છે જ્યાં બુદ્ધને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તમે બોધગયાના મંદિરમાં જાઓ તો મેડિટેશન બે રીતે કરજો- બેઠાં બેઠાં અને ચાલતાં ચાલતાં. પહેલો એક કલાક તમે મંદિરમાં મૌન ધારણ કરીને બેસો, તમારા મનમાં જે વિચારો ફૂંકાયા કરે તેનું શાંતિથી નિરીક્ષણ કરતા રહો. ત્યાર બાદ મંદિરની બાજુમાં જે પથ્થરોની કતાર છે તેના પર ધીમે ધીમે ચાલવાનું શરૂ કરો. ચાલતાં ચાલતાં તમારે એ જ ક્રિયા કન્ટિન્યૂ કરવાની છે. મનમાં જાતજાતના વિચારો આવશે, જશે. તમારે માત્ર એને સાક્ષીભાવે જોયા કરવાના. આ વોકિંગ મેડિટેશનને જાપાનમાં કિનહીન કહે છે. ક્રમશઃ તમને પ્રતીતિ થશે કે તમે બેઠા હો કે ચાલતા હો, તમારી ભીતર એવું કશુંક છે જે સતત જાગ્રત રહે છે, બદલાતું નથી. બહુ સુંદર અનુભવ હોય છે આ. તમે સૂતા હો તોપણ જાણે કોઈ પ્રકાશ તમારી નિદ્રામાં પ્રવેશીને ઝળહળતો રહે છે. આ પરફેક્ટ એન્લાઇટમેન્ટ છે.'
કહે છે કે ગૌતમ બુદ્ધના મંદિરમાં મૂર્તિ એવી રીતે બનાવવામાં આવે છે કે એને કેવળ જોતા રહેવાથી મૌનમાં સરી પડાય. આ યોગસાધનાની મૂર્તિ છે, ગૌતમ બુદ્ધ નામના મહાપુરુષની નહીં. એક વાર વાચાગોત્તા નામના યતિએ બુદ્ધને કેટલાક પ્રશ્નો પૂછયા હતા, જેનો ઉત્તર આપવાને બદલે બુદ્ધ મૌનમાં સરી પડેલા. આ રહ્યા વાચાગોત્તાના પ્રશ્નોઃ શું બ્રહ્માંડ શાશ્વત છે કે નથી? શું બ્રહ્માંડ અનંત છે કે અનંત નથી? શું આત્મા અને શરીર એક જ છે કે પછી આ બન્ને જુદી જુદી વસ્તુઓ છે? શું તથાગત (એટલે કે બુદ્ધ) મૃત્યુ પછી અસ્તિત્વ ધરાવશે કે નહીં ધરાવે? શું મૃત્યુ પછી બુદ્ધનું અસ્તિત્વ હોવું અને ન હોવું આ બન્ને સ્થિતિ એકસાથે સાચી પડશે? કે બન્નેમાંથી એક પણ સ્થિતિ સાચી નહીં પડે? 

આના જવાબો આપવાને બદલે બુદ્ધે મૌન ધારણ કરી લેવાથી તરંગો જન્મ્યા. આ મૌન વિશે દુનિયાભરના વિચારકો પોતપોતાની રીતે અર્થઘટન કરતા આવ્યા છે. કોઈ કહે છે કે બુદ્ધ એટલા માટે મૌન થઈ ગયા કે દૈવી અને અલૌકિક તત્ત્વો શબ્દોથી પર હોય છે. કોઈએ ત્યાં સુધી કહ્યું કે બુદ્ધ એટલા માટે ચૂપ થઈ ગયા કે એમની પાસે આના જવાબો જ નહોતા. એક થિયરી એમ કહે છે કે બુદ્ધે મૌન ધારણ એટલા માટે કરી લીધું કે તેઓ કંઈ પણ બોલ્યા હોત તે કેવળ એક અભિપ્રાય હોત, એક વિચાર હોત અને શબ્દોમાં બંધાયેલા પ્રત્યેક અભિપ્રાય કે વિચારની એક મર્યાદા હોય છે, સીમા હોય છે. આ પ્રકારના પ્રશ્ર્નોના ઉત્તર આપવાથી ધ્યાન ખોટી દિૃશામાં ફંટાય જાય છે અને મૂળ વસ્તુ બાજુ પર રહી જાય છે. કોઈ નિશ્ચિત ફિલોસોફી કે થિયરીમાં બંધાઈ ન જવાય એટલા માટે બુદ્ધ મૌનમાં સરી પડયા હતા.
એ જે હોય તે, પણ આપણને પજવતી વાત તો આ છેઃ કોઈ પણ સવાલનો પટ્ટ કરતો જવાબ આપી દેતા, સવારના છાપાંની હેડલાઇન્સથી માંડીને રાતની ન્યૂઝ ચેનલોની ડિબેટ સુધી એકધારી રાડારાડી ને દેકારો કરતા રહેતા આપણા રાજકારણીઓને મૌનમાં સરકાવી શકાય એવો કોઈ જાદુઈ નુસખો છે કોઈની પાસે?                                                 0 0 0

http://www.sandesh.com/article.aspx?newsid=203899

Saturday, July 13, 2013

મલ્ટિપ્લેક્સ : ધ બેડ રોડ


Sandesh - Sanskaar Purti - 14 July 2013

Column: મલ્ટિપ્લેક્સ 

'ધ ગુડ રોડનામની ગુજરાતી ફિલ્મે નેશનલ એવોર્ડ જીતી લીધો તે એક વાત થઈ અને તે જોઈને બેવકૂફ બની ગયાની અને છેતરાઈ ગયાની તીવ્ર લાગણી જાગે છે તે તદ્દન જુદી વાત થઈ. શું આવી કંગાળ અને કળાશૂન્ય ફિલ્મ ગુજરાતી સિનેમાની શ્રેષ્ઠતાનું માપ નક્કી કરશે?



'સાંભળો, સાંભળો, સાંભળો. એક અદ્ભુત ઘટના ઘટી છે. છેલ્લાં વીસ વર્ષમાં ક્યારેય ઘટી ન હોય એવી. એક રત્ન સાંપડયું છે, અત્યંત કીમતી. જાણકારો આ રત્નને જોઈને દંગ થઈ ગયા છે. એમની આંખો ફાટી ગઈ છે. નિષ્ણાતોએ ઘોષિત કર્યું છે કે આપણી ધરતીમાંથી આવું મહામૂલું રત્ન પ્રાપ્ત થવું એ દુર્લભ ઘટના છે. તો ગીતડાં ગવડાવો, ઢોલ પર દાંડી પીટો, વાજાં વગડાવો અને આ રત્નના પ્રકાશમાં નહાઓ!'
આવી પ્રચંડ ઘોષણા સાંભળીને તમે સ્વાભાવિક રીતે જ ઉત્સુક થઈ જવાના, ખુશ પણ થવાના. તમને થાય કે ઓહોહો, શું વાત છે? ચાલો જરા જોઈએ તો ખરા કે કેવુંક રત્ન છે. તમે થનગન થનગન થતા પ્રદર્શનમાં મૂકવામાં આવેલા રત્નને નિહાળવા પહોંચી જાઓ છો, પણ રત્નને જોતાં જ તમે ઘા ખાઈ જાઓ છો. આ? કાચના નિર્જીવ ટુકડાને આ લોકો રત્ન કહે છે? કીમતી, મહામૂલું, દુર્લભ આવાં બધાં વિશેષણો આ નકામી અને રદ્દી વસ્તુ માટે વપરાયાં હતાં? તમે ક્રોધિત થઈ ઊઠો છો. તમારા મનમાં છેતરાઈ ગયાની તીવ્ર લાગણી જાગે છે.
હવે આ 'રત્ન'ના સ્થાને 'ધ ગૂડ રોડ' નામની ગુજરાતી ફિલ્મને મૂકો. વાહવાહીના સ્થાને નેશનલ એવોર્ડનું લેબલ ચીપકાવી દો. નિષ્ણાતોની જગ્યાએ ભેદી મનુષ્ય-પ્રાણીઓથી બનેલી સિલેક્શન પેનલને ફિટ કરી દો. વાત એ જ રહે છે. ત્રીજી મે, ૨૦૧૩ના રોજ ૬૦મા નેશનલ ફિલ્મ એવોર્ડ્ઝ સેરિમનીમાં 'ધ ગૂડ રોડ'ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ ને સિલ્વર લોટસ (રિજનલ કેટેગરી)નો નેશનલ એવોર્ડ એનાયત થયો. અગાઉ  1980માં કેતન મહેતાની ભવની ભવાઈને બે અને ત્યાર બાદ 1993માં ઉપેન્દ્ર ત્રિવેદીની માનવીની ભવાઈને એક નેશનલ અવોર્ડ મળી ચૂક્યા છે.  વચ્ચેનાં વર્ષો બિલકુલ ખાલી ગયાં હતાં. 'ધ ગુડ રોડ' નામની આ અજાણી તો અજાણી પણ ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય સન્માન મળ્યાના સમાચાર આવ્યા ત્યારે એક સિનેમાપ્રેમી તરીકે હરખ થયો હતો. વળી, ફિલ્મના સાઉન્ડ ડિઝાઇનર તરીકે ઓસ્કર વિનર રસુલ પુકુટ્ટી તેમજ મ્યુઝિક ડિરેક્ટર તરીકે રજત ધોળકિયા જેવાં મહત્ત્વનાં નામ જોડાયેલાં હોવાથી આ એક સિન્સિયર ફિલ્મ હશે એવી ખાતરી બેસતી હતી,પણ થોડા દિવસો પહેલાં આ ફિલ્મ જોવાની તક મળી ને એમ સઘળો હરખ એક ઝાટકામાં ગાયબ થઈ ગયો. ઊલટાની બેવકૂફ બની ગયાની અને છેતરાઈ ગયાની લાગણી જાગી. નેશનલ એવોર્ડનો નશો ઝાટકામાં ઊતરી ગયો. મદહોશ થઈને ઝૂમી રહેલા દારૂડિયાને કચકચાવીને લાફો મારવાથી એ એકાએક ભાનમાં આવી જાય તેમ.


લાંબા સમયથી ડબામાં પુરાઈ રહેલી આ ફિલ્મ હવે આવતા શુક્રવારે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં રિલીઝ થઈ રહી છે. શું છે આ ફિલ્મમાં? ફિલ્મ કચ્છની ભૂમિ પર આકાર લે છે. મુંબઈનું એક યુગલ કારમાં વતન જઈ રહ્યું છે. સાથે આઠ-દસ વર્ષનો દીકરો છે. રસ્તા પર ધાબા જેવી જગ્યાએ ચંચળ છોકરો ઊતરી જાય છે અને મા-બાપ ભૂલથી એને ત્યાં જ છોડીને આગળ નીકળી જાય છે. પછી દીકરો ગાયબ છે એવી ખબર પડતાં ઘાંઘાં થાય છે. ટેણિયો મમ્મી-પપ્પાની રાહ જોવાને બદલે કોઈ ટ્રક ડ્રાઇવર સાથે નીકળી પડે છે. ઔર એક ટ્રેક દસેક વર્ષની બાળકીનો છે. તે રસ્તા પર શરીર વેચતી વેશ્યાઓની ગેંગનો હિસ્સો બની જાય છે. છેલ્લે અફકોર્સ, સૌ સારા વાના થઈ જાય છે.
ફિલ્મ એનએફડીસી (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના ફંડિંગથી બની છે. મુંબઈવાસી ડિરેક્ટર જ્ઞાન કોરિયા મૂળ એડવર્ટાઇઝિંગના માણસ છે. એ મૂળ ગોવાના. રસુલ પુકુટ્ટી અને રજત ધોળકિયા જેવાં વજનદાર નામ સંકળાયેલાં હોય એવા પ્રોજેક્ટના હાલહવાલ કરી નાખવા માટે ખરેખર જ્ઞાનભાઈ જેવી 'સુપર ટેલેન્ટ' જોઈએ! નથી ડિરેક્શનનાં ઠેકાણાં, નથી અભિનયમાં ભલીવાર. સોનાલી કુલકર્ણી અને પપ્પાનો રોલ કરતો અજય ગેહી (જે સીધાં ગુજરાતી વાક્યો પણ બોલી શકતો નથી)ને બાદ કરતાં ડિરેક્ટરસાહેબે નોન-એક્ટર્સને લેવાનો આગ્રહ રાખ્યો છે, ફિલ્મને 'રિયાલિસ્ટિક ફીલ' મળે તે માટે. મતલબ કે સ્થાનિક લોકોને પકડીને, તેમને ટ્રેનિંગ આપી, તેમને અલગ અલગ રોલમાં ફિટ કરીને અભિનય કરાવ્યો છે. સપાટ ભાવશૂન્ય ચહેરાવાળા, પથ્થરના ચેતનહીન ખડકલા જેવા આ 'એક્ટરો'નો અભિનય જોઈને કંપી ઉઠાય છે. ફિલ્મની વાર્તામાં આખેઆખા ટ્રક પસાર થઈ જાય એવડાં મોટાં ગાબડાં છે. આપણી સેન્સિબિલિટી પર સૌથી મોટો ઘા તો પેલી નાની બાળકીવાળો ટ્રેક કરે છે. આ ફિલ્મ આપણને માહિતી આપે છે કે કચ્છના કોઈક હાઈવે પાસે ખુલ્લા મેદાનમાં વેશ્યાઓનો મેળો ભરાય છે. રાત પડે એટલે શામિયાણા જેવું તૈયાર કરવામાં આવે, જેમાં દરવાજા હોય. હજુ કદાચ ઋતુકાળમાં પણ આવી ન હોય એવડી દસ-બાર વર્ષની માસૂમ બાળકીઓ ઉપરાંત તરુણીઓ બનીઠનીને, લાલી-લિપસ્ટિક કરીને કતારમાં ઊભી રહી જાય. આ બધી વેશ્યાઓ છે. સામે આડશની પેલી બાજુ પુરુષો ભીડમાં ઊભા હોય. જેને જે છોકરી પસંદ પડે એના તરફ ઇશારો કરે એટલે દલાલ છોકરીને ઘરાક સાથે તંબૂમાં મોકલી આપે. આ છોકરીઓ દિવસે રમતી હોય, કાનમાંથી કીડા ખરી પડે એવી ભૂંડાબોલી ગાળો બોલતી ઝઘડતી હોય (ફિલ્મમાં આ બધી ગાળો યથાતથ મૂકવામાં આવી છે) અને રાત પડે એટલે ધંધો કરવા ઊભી રહી જાય. કચ્છમાં ફોર ધેટ મેટર, ગુજરાતના કયા હિસ્સામાં આ રીતે મુંબઈના કમાઠીપુરાની જેમ વેશ્યાનાં બજારો ભરાય છે?
આ કયા ઓડિયન્સ માટે બનાવેલી ફિલ્મ છે? તે આમ જનતા માટે તો નથી જ, તો શું આ ફિલ્મ બનાવનારા એવા ભ્રમમાં હશે કે અમે તો 'ક્લાસ' માટે આર્ટ ફિલ્મ બનાવી રહ્યા છીએ? ખરેખર? આર્ટ ફિલ્મ ભૂલી જાઓ, 'ધ ગૂડ રોડ' સ્યુડો આર્ટ ફિલ્મ પણ નથી. હા, કળા અને ક્રિએટિવ એક્સપ્રેશન્સના નામે જે ભયાનક ખરાબ, ગંદાં, ગમાર અને નિકૃષ્ટ કક્ષાનાં જોણાં તૈયાર થાય છે એમાં તે જરૂર હકથી સ્થાન પામી શકે એમ છે. 'ધ ગૂડ રોડ'માં કચ્છનાં ગામોનો સતત નામોલ્લેખ થતો રહે છે. તે ભૂજ અને ધોરડો વચ્ચેના રોડ પર અને બન્નીના રણમાં ડોક્યુમેન્ટરી જેવી શૈલીથી શૂટ કરવામાં આવી છે. આ જ વિસ્તારમાં કચ્છનો રણોત્સવ ભરાય છે જે ધીમે ધીમે બિનગુજરાતીઓમાં પણ લોકપ્રિય બની રહ્યો છે. 'ધ ગૂડ રોડ' રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં દેખાડાય તે શક્ય છે. એક સવાલ એ પણ જાગે કે ફિલ્મમાં કચ્છનું જે કક્ષાનું વિકૃત નિરૂપણ થયું છે તે જોઈને બિનગુજરાતીઓ કે બિનભારતીયોમાં કેવી ઇમેજ બનશે?
આ કોઈ ન્યૂઝ રિપોર્ટ નહીં, પણ કાલ્પનિક કથા છે તે કબૂલ. આપણે એવા કંઈ સૂગાળવા પણ નથી કે વેશ્યાઓનાં સીન જોઈને કે ગાળો સાંભળીને આતંકિત થઈ જઈએ. પ્રશ્ન સિનેમેટિક ઓનેસ્ટિનો છે. તમે ફિલ્મને રિયાલિસ્ટિક બનાવવા જાતજાતના ઉધામા કરો છો, ઓથેન્ટિક લોકેશન પર જઈને શૂટ કરો છો અને પછી ફિલ્મને 'એક્ઝોટિક ફ્લેવર' મળે તે માટે આવો વેશ્યાઓનો માથામેળ વગરનો ટ્રેક ભભરાવી દો છો. ગાળો, સેક્સ આર્ટ ફિલ્મમાં આવું બધું હોવું જોઈએ, યુ સી. ખાટલે મોટી ખોડ એ છે કે વેશ્યાઓની વાર્તાને ફિલ્મના મુખ્ય નેરેટિવ સાથે કોઈ લેવાદેવા નથી. ખરેખર તો સંતાનને શોધી રહેલાં મા-બાપ, લાપતા છોકરાની રખેવાળી કરતો ટ્રક ડ્રાઇવર અને વેશ્યા બનતાં બનતાં રહી ગયેલી બાળકી- આ ત્રણેય વાર્તાઓ એકબીજામાં આખરે પરોવાઈ જવી જોઈએ અને એક સુરેખ સંપૂર્ણ ચિત્ર ઊપસવું જોઈએ, પણ અહીં એવું અણઘડ એડિટિંગ-કટિંગ થયું છે કે વાર્તાઓના છેડા હવામાં અધ્ધર લટકતા રહી જાય છે. તેને લીધે વાત અધૂરી અને અધકચરી રહી જાય છે. અતિ ધીમી ગતિએ ચાલતી ફિલ્મ તમારી ધીરજની કસોટી કરતી રહે છે. 'ધ ગુડ રોડ'નું બજેટ અઢી કરોડનું કહેવાય છે. મતલબ કે રેગ્યુલર ગુજરાતી ફિલ્મો કરતાં લગભગ પાંચ ગણું. ફિલ્મની અતિ કંગાળ પ્રોડક્શન વેલ્યૂ જોઈને થાય કે અરેરે, આ ફિલ્મે અઢી કરોડ રૂપિયા ક્યાં ચાવી નાખ્યા હશે?

'ધ ગુડ રોડ'ની સાથે નેશનલ એવોર્ડની સ્પર્ધામાં 'કેવી રીતે જઈશ' અને 'સપ્તપદી' પણ હતી. આ બન્નેમાંથી કોઈ એક કેમ ક્વોલિફાઈ ન થઈ એ ઇશ્યૂ નથી. મહત્ત્વનો મુદ્દો એ છે કે 'ધ ગુડ રોડ' જેવી નબળી ફિલ્મ કયા જોરે નેશનલ એવોર્ડ માટે લાયક ઠરી? તે એનએફડીસીની ફિલ્મ છે અને એનએફડીસી ફિલ્મને એવોર્ડ-બેવોર્ડ મળતો રહેવો જોઈએ એવી કોઈ ગણતરી છે? જ્ઞાન કોરિયા અને રસુલ પુકુટ્ટી એફટીઆઈઆઈ (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા)ના ગ્રેજ્યુએટ્સ છે. નેશનલ એવોર્ડની સિલેક્શન પેનલના માનવંતા સભ્યોને એફટીઆઈઆઈવાળાઓ માટે બહુ પ્રેમ છલકાતો હોય છે તે એક પરિબળ છે?
'કેવી રીતે જઈશ' પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પોઝિટિવ વાતાવરણ બન્યું હતું. આવામાં 'ધ ગુડ રોડ' જેવું 'નામ બડે ઔર દર્શન ખોટે' છાપ સુરસુરિયું માહોલને ડહોળી નાખે છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પણ નેશનલ એવોર્ડ એક કક્ષા નક્કી કરી નાખે છે, રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકેલી ફિલ્મ એક રેફરન્સ પોઇન્ટ બની રહે છે. જેમ કે, 'ભવની ભવાઈ' ગુજરાતી સિનેમામાં એક સીમાચિહ્ન છે અને તેણે જીતેલા નેશનલ એવોર્ડને હંમેશાં યાદ કરવામાં આવે છે. 'ધ ગુડ રોડ' જેવી કળાશૂન્ય ફિલ્મ, કે જેમાંથી બેઈમાનીની વાસ આવ્યા કરે છે, તે શ્રેષ્ઠતાનું માપ શી રીતે બની શકે? નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે-તે ભાષાની સિનેમાનું અને જે-તે રાજ્યના પોપ્યુલર કલ્ચરનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. આ મોટું ભયસ્થાન છે. 'ધ ગુડ રોડ' જેવી ફિલ્મો ગુજરાતી સિનેમાનું ભલું કરવાને બદલે નુકસાન કરી નાખે છે. ગુજરાતી સિનેમાને નેશનલ એવોર્ડ જીતી લેવાના કોઈ ધખારા છે. ભલે બીજાં પાંચ વર્ષ રાહ જોવી પડે, પણ કોઈ નકામી ફિલ્મ ભવિષ્યમાં બનનારી ફિલ્મો માટે ધારાધોરણ સ્થાપિત કરવાની કુચેષ્ટા કરે તે બિલકુલ ન ચાલે.                  0 0 0

Thursday, July 11, 2013

હોલીવૂડ હંડ્રેડ: ટ્વેલ્વ એન્ગ્રી મેન : માર દિયા જાય યા છોડ દિયા જાય...


મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ  -  તા. ૧૨ જુલાઈ ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

 કોણ કહે છે કે દર્શકોને રિઝવવા હોય તો ફેન્સી લોકેશનો પર શૂટિંગ કરવું પડે ને જાતજાતનાં નખરાં કરવાં પડે? ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ નામની બેનમૂન કોર્ટરુમ ફિલ્મ આ બીબાંઢાળ ખયાલને તોડીફોડી નાખે છે.



ફિલ્મ નંબર ૩૧. ટ્વેલ્વ એન્ગ્રી મેન

કોર્ટરુમ ડ્રામામાં સાહજિક રીતે જ એક થ્રિલનું તત્ત્વ વણાઈ જતું હોય છે. એમાંય જો સ્ક્રીનપ્લે અને ડિરેક્શન જબરદસ્ત હોય તો ફિલ્મને બીજાં કોઈ નખરાંની જરુર પડતી નથી. અલગ અલગ લોકેશન્સની પણ નહી. ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’એ પૂરવાર કર્યું છે કે શરુઆતથી અંત સુધી કેમેરા એક જ ઓરડામાં ફર્યા કરતો હોય છતાંય ઓડિયન્સ લગભગ અધ્ધર શ્ર્વાસે જકડાઈને બેસી રહે એટલી રસપ્રદ ફિલ્મ બનાવી શકાય છે.

ફિલ્મમાં શું છે? 

વાત કાનૂની કેસની છે, પણ તે કોર્ટરુમમાં નહી, પણ એક ૧૬ બાય ૨૪ ફૂટના કમરામાં આકાર લે છે. ન્યુયોર્કની કોઈ ઝુંપડપટ્ટીમાં રહેતા અઢાર વર્ષના છોકરાએ પોતાના સગા બાપને છાતીમાં છરો ભોંકીને મારી નાખ્યો છે. છોકરો અમેરિકન નહીં પણ ‘બહારનો’ છે. તે હિસ્પેનિક છે, ઈટાલિયન છે, ઈન્ડિયન છે કે બીજો કોઈ દેશનો તેની સ્પષ્ટતા છેક સુધી થતી નથી. મામલો અદાલતમાં પહોંેચ્યો, કેસ ચાલ્યો. ફિલ્મની શરુઆતમાં જજ બાર માણસોની બનેલી જ્યુરીને સૂચના આપે છે કે તમે બધા અંદરોઅંદર ચર્ચા કરીને તારણ પર પહોંચો કે છોકરો અપરાધી છે કે નહીં. જો સૌ સર્વાનુમતે છોકરાને ગિલ્ટી જાહેર કરશે તો છોકરાને મૃત્યુદંડની સજા થશે.



જ્યુરીના બારેબાર સભ્યો અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. બધા એકબીજા માટે અજાણ્યા છે. એક અલાયદા કમરામાં મોટા ટેબલ ફરતે બધા ધીમે ધીમે ગોઠવાય છે. વાતાવરણમાં સખત ઉકળાટ છે. ઓરડામાં એસી તો નથી જ, પણ ભીંત પર જે પંખો ટાંગ્યો છે તે પણ ચાલતો નથી. બધા વચ્ચે જે અલપઝલપ થતી વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે જ્યુરી મેમ્બરોએ માની જ લીધું છે કે છોકરો ગિલ્ટી છે. જે રીતે સાક્ષીઓએ કોર્ટમાં જુબાની આપી તે પરથી વાત એકને એક બે જેટલી સ્પષ્ટ છે. ઝાઝું પિષ્ટપેષણ કરવાની જરુર જ નથી. લગભગ બધાનું માનવું છે કે ફટાફટ વોટ લઈને વાત પૂરો કરો. આવી ગરમીમાં શા માટે નાહકના બફાતા રહીને સમય વેડફવો. બારમાંથી ફક્ત મેમ્બર નંબર આઠ (હેનરી ફોન્ડા)નો મત બધાથી જુદો પડે છે. એ કહે છે કે ભાઈઓ, એ છોકરાનું જીવન દાવ પર લાગેલું છે, આટલી ઉતાવળ શા માટે કરો છો? નિર્ણય પર કૂદી પડતા પહેલા જરા ચર્ચા તો કરો. મેમ્બર નંબર આઠ પાસે તર્કશુદ્ધ દલીલો છે. જેમ કે, કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે છોકરાએ જે છરાથી ખૂન કર્યું હતું તે દુર્લભ છે. મેમ્બર નંબર આઠ પોતાના ખિસ્સામાંથી સેમ-ટુ-સેમ છરો કાઢીને સૌને ચોંકાવી દે છે. આ છરો એને કોઈ દુકાનમાંથી આસાનીથી મળી ગયો હતો. મતલબ કે છરો દુર્લભ છે તે મુદ્દાનો છેદ ત્યાં જ ઉડી ગયો. મેમ્બર નંબર આઠ કહે છે કે તમે સૌ સાંયોગિક પૂરાવાઓના આધારે છોકરાને અપરાધી માની રહ્યા છો, મને ખુદને લાગી રહ્યું છે કે છોકરો ગિલ્ટી છે, પણ સાથે સાથે મને એમ પણ લાગે છે કે છોકરો નિર્દોષ હોય તેવી સંભાવના પણ છે જ.



ફરીથી વોટ લેવાય છે. આ વખતે ઓર એક મેમ્બર છોકરાને ‘નોટ ગિલ્ટી’ ગણાવે છે. મતલબ કે દસ વિરુદ્ધ બે વોટ. પ્રક્રિયા આગળ વધતી જાય છે. ત્રણ... ચાર... પાંચ... છોકરાને ‘નોટ ગિલ્ટી’ માનનારા સભ્યોની સંખ્યા ક્રમશ: વધતી જાય છે. સાંયોગિક પૂરાવાઓને એક પછી એક દલીલોની એરણ ચડાવવામાં આવે છે તેમ તેમ કેટલીય વાતો સ્પષ્ટ થતી જાય છે. ખૂન થયું ત્યારે બાજુમાંથી ટ્રેન પસાર થઈ રહી હતી. ટ્રેનના જોરદાર ઘોંઘાટમાં સાક્ષી બનેલા પાડોશીને મૃતકના ધબ કરતા પડેલાં શરીરનો અવાજ કેવી રીતે સંભળાયો? તે  વૃદ્ધ પાડોશીને કદાચ પહેલીવાર એને આટલો ધ્યાનથી સાંભળવામાં આવ્યો હતો, કદાચ પહેલી વાર એને આટલું બધું અટેન્શન મળ્યું હતું. શક્ય છે કે પોતાની મહત્તા સિદ્ધ કરવા બિલકુલ અભાનપણે એણે ખૂનની ઘટના વખતે અવાજો સાંભળવાની વાતો કોર્ટમાં ઊપજાવી કાઢી હોય! વળી, મૃતક બાપ કરતાં આરોપી દીકરાની હાઈટ ઓછી હતી. જે એંગલથી બાપની છાતીમાં છરો હૂલાવવામાં આવ્યો હતો તે ઓછી ઊંચાઈવાળા માણસ માટે શક્ય નહોતું. સાક્ષી બનેલી ઓર એક મધ્યવયસ્ક સ્ત્રીએ દૂર બારીમાંથી છોકરાને ‘રીતસર’ ખૂન કરતો જોયો હતો. આ ઘટના બની ત્યારે સ્ત્રીએ ચશ્માં પહેર્યાં નહોતાં. વગર ચશ્માએ એને કેવી રીતે ખબર પડી ગઈ કે ખૂન કરનારો માણસ આરોપી દીકરો જ હતો?



જેમ જેમ આરોપી ગિલ્ટી ન પણ હોય તેમ માનનારાઓની સંખ્યા વધતી જાય છે તેમ તેમ જ્યુરી મેમ્બરોના ખુદનાં વ્યક્તિત્ત્વના કેટલાક પાસાં અને માનસિકતા સામે આવતાં જાય છે. જેમ કે, એક મેમ્બર ખુદ ઝૂંપડપટ્ટીમાં ઊછરેલો હતો. એના પર આક્ષેપ થાય છે કે તું ખુદ સ્લમમાં મોટો થયો છે એટલે આરોપી છોકરા પ્રત્યે હમદર્દી દેખાડી રહ્યો છે! છેલ્લે બાજી તદ્દન પલટાઈ જાય છે. બારમાંથી અગિયાર જ્યુરી મેમ્બર છોકરા પરનો ખૂનનો આરોપ ખોટો હોઈ શકે છે તેમ માને છે, ફક્ત એક મેમ્બર (લી કોબ) એને ગિલ્ટી પૂરવાર કરવા મથી રહ્યો છે. એના ખુદના પુત્રએ એકવાર તેના પર અટેક કર્યો હતો એટલે અભાનપણે ‘દીકરાઓે સાલા આવા જ હોય’ પ્રકારની માનસિકતા અને ક્રોધ એની હઠાગ્રહ પાછળ કામ કરતાં હતાં. ખેર, આખરે તે પણ બાકીના જ્યુરી મેમ્બરો સાથે સહમત થાય છે. આરોપીએ ખૂન કર્યું હોય તેવી શંકા જરુર છે, પણ તે સોએ સો ટકા અપરાધી છે જ તે પૂરવાર થતું નથી - આ પ્રકારનો એકમત સધાતા સૌ વિખરાય છે. આખી ફિલ્મમાં એક પણ જ્યુરી મેમ્બરનાં નામનો ઉલ્લેખ થતો નથી, પણ છેલ્લાં દશ્યમાં કોર્ટના મકાનની બહાર બે મેમ્બર જતાં જતાં ઊભા રહીને એકબીજાનાં નામ પૂછે છે. પછી ‘ભલે ત્યારે’ કહીને છૂટા પડે છે. અહીં ફિલ્મ પૂરી થાય છે.  

કથા પહેલાંની અને પછીની

કમાલની ફિલ્મ છે આ. આના પરથી બાસુ ચેટર્જી એક સરસ હિન્દી ફિલ્મ બનાવી ચુક્યા છે - ‘એક રુકા હુઆ ફૈસલા’, જે ૧૯૮૬માં રિલીઝ થઈ હતી. ગુજરાતી રંગભૂમિના નાટ્યસમ્રાટ પ્રવીણ જોશી આ થીમ પરથી ‘માણસ નામે કારાગાર’ નામનું નાટક પણ બનાવી ચુક્યા છે, જેમાં તેઓ સ્વયં અભિનય પણ કરતા. જયંત પરીખે એડપ્ટ કરેલાં આ નાટકમાં અરવિંદ જોશી અને કે.કે. જેવા અભિનેતાઓ પણ હતા. વેલ, બ્લેક-એન્ડ-વ્હાઈટમાં બનેલી ફિલ્મ ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ મૂળ તો ટીવી માટે લખાયેલું આ જ નામનું નાટક જ હતુંને. તે અમેરિકામાં ૧૯૫૪માં ટેલીકાસ્ટ થયું હતું. પછી તે સ્ટેજ પર પણ ભજવાયું. નાટક સફળ રહ્યું એટલે લેખક રેગિનેલ્ડ રોઝે સ્વયં પ્રોડ્યુસર બનીને એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. સિડની લ્યુમેટ નામના તદ્દન નવા નિશાળિયા ડિરેક્ટરને કેપ્ટન-ઓફ-ધ-શિપ બનાવવામાં આવ્યા.

શૂટિંગ શરુ કરતાં પહેલાં સિડનીએ કલાકારો પાસે બે અઠવાડિયાં સુધી રિહર્સલ કરાવ્યા હતા. શૂટિંગ ત્રણ વીક ચાલ્યું. ફિલ્મની લંબાઈ ૯૬ મિનિટ છે. શરુઆતમાં કોર્ટમાં ન્યાયાધીશ જ્યુરીને સૂચના આપે છે તે ત્રણ મિનિટને બાદ કરતાં બાકીની ૯૩ મિનિટની ફિલ્મ એક જ સાંકડા ઓરડામાં શૂટ થઈ છે. આપણે જાણે રીઅલ ટાઈમમાં ફિલ્મ જોતા હોઈએ એવી ફીલિંગ આવે છે. ફિલ્મમાં એક પણ વાર ખૂનની ઘટના દેખાડવામાં આવતી નથી. આરોપી છોકરાના ડરેલા અને આતંકિત ચહેરાનો સાયલન્ટ ક્લોઝઅપ એકવાર આવે છે, બસ. ખૂનકેસ વિશે ઓડિયન્સ માત્ર એટલું જ જાણે છે જેટલું જ્યુરીના ડિસ્કશનમાંથી બહાર આવતું જાય છે.



એક જ ઓરડામાં શૂટ થયેલી ફિલ્મમાં ઓડિયન્સ કંટાળી ન જાય? ઓડિયન્સને ચેન્જ ન જોઈએ? આ કંઈ સ્ટેજ પર ભજવાતું નાટક થોડું છે? ઈવન સ્ટેજ પર દશ્ય પ્રમાણે બેકગ્રાઉન્ડ અને સેટ બદલાતા હોય છે. આ જ તો ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ની સૌથી મોટી ખૂબી છે. એક જ લોકેશન હોવા છતાં આ ફિલ્મ એટલી ગતિશીલ છે કે તમે એક પળ માટે પણ બોર થતા નથી. ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ની વિઝ્યુઅલ પેટર્ન અને કેમેરા એન્ગલ્સ વિશે ખૂબ ચર્ચા થઈ છે. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ડિરેક્ટર એ પ્રકારે કેમેરાના લેન્સ વાપરતા ગયા કે જેથી ઓરડો વધુને વધુ સાંકડો દેખાય. સિનેમેટોગ્રાફીનું શાસ્ત્ર કહે છે કે ઊંચાઈ પર કેમેરા ગોઠવેલો હોય તો પાત્રો અન્ય કેરેક્ટર્સથી કે પરિસ્થિતિથી ડોમિનેટ થઈ ગયા હોય એવું લાગે, જ્યારે લૉ-એંગલ પર ગોઠવેલો કેમેરા નીચેથી ઉપર જોતો હોય ત્યારે કેરેક્ટર આધિપત્ય જમાવી રહ્યું હોય એવું લાગે. સિડની લ્યુમેટે શરુઆતની ત્રીસેક ટકા ફિલ્મ અબાઉ-આઈ-લેવલ શૂટ કરી છે, વચ્ચેનો ભાગ આઈ-લેવલથી અને છેલ્લો હિસ્સો આઈ-લેવલ કરતાં નીચેના એંગલથી શૂટ કરી છે. તેથી ક્લાઈમેક્સ નજીક આવતાં આવતાં ઓરડાની છત સ્ક્રીન પર દેખાવા લાગે છે. દીવાલો પણ પાત્રોથી નજીક ધસી આવી હોય એવું લાગે. આ બધાને લીધે આગળ વધતી વાર્તાના મૂડ પ્રમાણે બંધિયારપણું અને ટેન્શનની તીવ્રતા જાણે ઉત્તરોત્તર વધી રહી હોય એવી સૂક્ષ્મ અસર ઊભી થાય છે.  બારેય જ્યુરી મેમ્બરો સહમતી સાધીને છૂટા પડે ત્યારે છેલ્લા શોટમાં વાઈડ એંગલનો ઉપયોગ થયો છે. ‘હાશ... ગરમીમાંથી માંડ છૂટ્યા, હવે જરા ખુલ્લામાં શ્ર્વાસ લઈએ’ પ્રકારની અનાયાસ લાગણી વિઝ્યુઅલમાંથી પણ ઊભી થાય છે.

‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ રિલીઝ થતાં જ ખૂબ વખણાઈ. એને ક્લાસિકનો દરજ્જો મળ્યો. સર્વશ્રેષ્ઠ દસ અમેરિકન કોર્ટરુમ ડ્રામામાં આ ફિલ્મનો સમાવેશ થાય છે. આ એવી ફિલ્મ છે, જે ઓડિયન્સને ઈન્ટેલિજન્ટ સમજે છે, એની બુદ્ધિમત્તાનું અપમાન નથી કરતી. ફિલ્મને ત્રણ ઓસ્કાર નોમિનેશન મળ્યાં હતાં, પણ આ ત્રણેય કેટેગરીમાં ‘ધ બ્રિજ ઓન ધ રિવર ક્વાઈ’ નામની ફિલ્મ વિજેતા બની. વેલ, ‘ધ બ્રિજ ઓન ધ રિવર ક્વાઈ’ પણ અફલાતૂન ફિલ્મ છે. તેના વિશે પણ આ કોલમમાં વાત કરીશું.      0

 ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : સિડની લ્યુમેટ
મૂળ નાટ્યલેખક અને સ્ક્રીનપ્લે   : રેગિનેલ્ડ રોઝ
કલાકાર           : હેન્રી ફોન્ડા, લી કોબ  
રિલીઝ ડેટ        : ૧૩ એપ્રિલ ૧૯૫૭
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ફિલ્મ, ડિરેક્શન અને સ્ક્રીનપ્લે માટેનાં ઓસ્કર નોમિનેશન્સ                               0 0 0

બોલિવૂડ એક્સપ્રેસ : ભાગ ધનુષ ભાગ !


Sandesh - Cine Sandesh Supplement - 12 July 2013

Column : બોલિવૂડ એક્સપ્રેસ 

ધનુષે 'રાંઝણારિલીઝ થાય તે પહેલાં જ એના ડિરેક્ટર આનંદ રાયની હવે પછીની ફિલ્મ સાઇન કરી નાખી હતી. ધનુષનું ખરું સપનું બોલિવૂડમાં ડિરેક્ટર બનવાનું છે.

હા! 'રાંઝણા' રિલીઝ થઈ એ વાતને ત્રણ-ત્રણ અઠવાડિયાંનાં વહાણાં વાઈ ગયાં છે, છતાંય એના શ્યામલ હીરો ધનુષના નામના એવા પ્રચંડ જયજયકાર થઈ રહ્યા છે કે બોલિવૂડ બોય ઉર્ફ બો-બોના કાનમાં હવે રીતસર ત્રમ ત્રમ ત્રમ બોલવા માંડયું છે. એક વાત તો કહેવી પડે, ધનુષ આ પ્રશસ્તિવચનોના એકેએક અક્ષરનો હકદાર છે. ત્રીસ વર્ષીય ધનુષ અનુભવી માણસ છે. 'રાંઝણા'ની પહેલાં એ ઓલરેડી વીસ-પચીસ સાઉથ ઇન્ડિયન ફિલ્મો કરીને બેઠો હતો.'રાંઝણા'ના ડિરેક્ટર આનંદ રાયે એને સૌથી પહેલી વાર સ્ટોરી સંભળાવી ત્યારે એની પહેલી ફીલિંગ એ હતી કે હું કેટલીય તમિલ ફિલ્મોમાં લવરબોય-નેક્સ્ટ-ડોર બની ચૂક્યો છું એટલે 'રાંઝણા'માં કામ કરવાનું મને કંઈ અઘરું પડવાનું નથી. ફક્ત સ્થળ અને ભાષા બદલાઈ જવાનાં છે. ધનુષે ડિરેક્ટર પર ભરોસો મૂક્યો ને પરિણામ સૌની સામે છે. ધનુષ ખરેખર પારખું માણસ છે. આજે બોલિવૂડમાં ચારે કોર આનંદ રાય... આનંદ રાય થઈ રહ્યું છે, પણ ધનુષે 'રાંઝણા' રિલીઝ થાય તે પહેલાં જ આનંદ રાયની હવે પછીની ફિલ્મ સાઇન કરી નાખી હતી. મીન્સ કે ભવિષ્યમાં આપણને આનંદ રાય-ધનુષની જોડીની ઔર એક ફિલ્મ જોવા મળવાની. 
ધનુષનું ખરેખરું સપનું તો ખેર બોલિવૂડમાં ડિરેક્ટર બનવાનું છે. એણે ઓલરેડી બે સ્ક્રિપ્ટ તૈયાર રાખી છે. એક ફેન્ટસી-એડવેન્ચર છે, બીજી થ્રિલર. ધનુષનો ભાઈ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ફિલ્મ ડિરેક્ટર છે. ધનુષ એને એકાદ ફિલ્મમાં આસિસ્ટ પણ કરી ચૂક્યો છે. એ ડિરેક્ટર બને ત્યારની વાત ત્યારે, બાકી એક્ટર તરીકે ધનુષે જે રીતે બધાનું દિલ જીતી લીધું છે એ જોઈને બોલિવૂડના કેટલાય જલકૂકડી હીરોલોગ બળી બળીને બેઠા થઈ ગયા છે!
                                                   0 0 0 
રેડ હોટ 'રાંઝણા' હજુ ઠરવાનું નામ લેતી નથી ત્યાં સોનમ કપૂરને હિરોઇન તરીકે ચમકાવતી ઔર એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ આવી ગઈ- 'ભાગ મિલ્ખા ભાગ'. આજે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ પણ જો ચાલી ગઈ તો તો સોનમ ઝાલી ઝલાશે નહીં. 
બાકી 'રાંઝણા'ના પ્રમોશન દરમિયાન સોનમે ધનુષને ખૂબ મદદ કરી હતી. ધનુષ રહ્યો બોલિવૂડ માટે સાવ નવો. સાઉથમાં ફિલ્મ રિલીઝ થાય ત્યારે પત્રકારોના ઢગલાને ઇન્ટરવ્યૂઝ આપી દો એટલે વાત પૂરી થઈ જાય, પણ બોલિવૂડની વાત જુદી છે. આપણે ત્યાં ફિલ્મ પ્રમોટ કરવાની એક્ટિવિટી પંદર-વીસ દિવસ ચાલે અને આ બધામાં સ્ટારલોકોએ એટલી બધી મહેનત કરવી પડે છે કે પિદૂડી નીકળી જાય. સોનમ ધનુષને સતત સલાહ આપતી રહેતી હતી કે પત્રકારો સામે શું બોલવું, શું ન બોલવું, કેટલું બોલવું. રિયાલિટી શોઝમાં પ્રમોશન માટે જવાનું હોય ત્યારે ધનુષે કેવાં કપડાં પહેરવાં તે પણ સોનમ નક્કી કરી આપે. ફેશન અને ટાપટીપમાં આમેય સોનમને કોણ પહોંચે? એની બાજનજરમાંથી એક વસ્તુ ન છૂટે. એને એ પણ ખબર હોય કે ધનુષના શર્ટ પર કરચલીઓ દેખાઈ રહી છે, એને ઇસ્ત્રી કરવાની જરૂર છે! ધનુષ ડાહ્યોડમરો થઈને સોનમની બધી વાત માની લેતો. અસલી જીવનમાં ધનુષ બહુ જ નમ્ર અને સીધોસાદો માણસ છે. સગા સસરા રજનીકાંત પાસેથી એ બે સરસ વસ્તુ શીખ્યો છેઃ સહજતા અને નમ્રતા. વાહ!
                                                0 0 0 
કંગના રનૌત (જી બિલકુલ, રાણાવાત નહીં, પણ રનૌત), સામે પક્ષે બીજું બધું હશે, પણ સીધીસાદી અને સરળ તો ધોળે ધરમેય નથી. એ ક્યારેય નહોતી. હા, નિખાલસ પૂરેપૂરી. એનો છેલ્લો બોયફ્રેન્ડ નિકોલસ નામનો કોઈ બ્રિટિશ છોકરો હતો. થોડા સમય પહેલાં બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. એક ફિલ્મી ગ્લોસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કંગનાએ જરાય શબ્દો ચોર્યા વગર સાફ સાફ કહ્યું છેઃ 'તમે કોઈને મળો, આનંદપ્રમોદ કરો એ બરાબર છે, પણ રિલેશનશિપની વાત ખોટી. મારાથી તો પ્રેમસંબંધો જળવાતા જ નથી. શરૂઆતમાં બધું સારું લાગે, પણ પછી બધું બહુ ઓકવર્ડ થઈ જાય. આઈ હેટ બીઇંગ ઇન રિલેશનશિપ. રિલેશનશિપમાં હોઉં ત્યારે મને સતત પ્રેશર રહ્યા કરે. સતત થયા કરે કે હે ભગવાન, હું મારા બોયફ્રેન્ડની અપેક્ષા પર ખરી ઊતરું છું કે નહીં. બહુ જ હોરિબલ ફીલિંગ હોય છે આ. બોયફ્રેન્ડ બદલાયા કરે, પણ હું ઓછી પડું છું એવી લાગણી કાયમ રહે. પછી બ્રેકઅપ થાય. હું દુઃખી દુઃખી થઈ જાઉં. થોડા દિવસ એવું લાગ્યા કરે કે અરેરે, મેં ભૂલ કરી નાખી, હું હવે પહેલાં જેવી ક્યારેય નહીં થઈ શકું, આ પુરુષો સાલા બધા જ સરખા, હવે હું ક્યારેય કોઈના પ્રેમમાં નહીં પડું વગરે વગેરે.... પણ આ બધું કંઈ લાંબું ન ચાલે. થોડા દિવસોમાં આ વિચારો વિખરાઈ જાય ને વાઇનની બે બોટલ ઢીંચી જાઉં એટલે પાછી હતી એવી ને એવી!'
બો-બોને સમજાતું નથી કે કંગનાની દયા ખાવી કે ન ખાવી. ખેર, કંગનાના ઉત્પાતિયા જીવને દયાની નહીં પણ શાંતિની જરૂર છે. ચાલો ત્યારે... શુભ શુક્રવાર!                  0 0 0