Tuesday, July 9, 2013

ટેક ઓફ : આસ્થાના ઇલાકામાં કશું જ ઓવરરેટેડ હોતું નથી!

Sandesh - Ardh Saptahik Purti - 10 July 2013

Column : ટેક ઓફ 

'જ્ઞાનીઓ બ્રહ્મતત્ત્વના જાણકાર હોવા છતાં હંમેશાં એક તીર્થથી બીજા તીર્થ ભટકતા જોવા મળે છે. માર્ગમાં દુઃખ સહન કરવું પડવું હોવા છતાં તેઓ ભટકવાનો સ્વભાવ છોડી શકતા ન હોવાથી મને ખરેખર ખેદ થાય છે!'


ત્તરાખંડમાં થયેલી ટ્રેજેડી હજુ હવામાં છે. મૃતક્ો અને લાપતા વ્યકિતઓના આંક્ડા હજુ વીંઝાયા કરે છે. આ દૃેવોની ભૂમિને પુન: નિર્માણ થાય ત્યારે ખરું, પણ આ ઘટનાની પશ્ર્ચાતઅસરના કાળા પડછાયા લંબાયા કરવાના. એ સુભાષિત જુઓ: 

ગંગા તરંગ હિમશીકર શીતલાનિ
વિદ્યાધરાધ્યુષિતતારુ શિલાતલાનિ
સ્થાનાનિ કિં હિમવતઃ પ્રલયં ગતાનિ
યત્સાવમાનપરપિંડરતા મનુષ્યાઃ

અર્થાત્ ગંગા નદીના બરફ જેવા ઠંડા છાંટાથી જે શીતળ થયા છે અને જે સુંદર શિલાતલ ઉપર વિદ્વાન લોકો બેઠેલા છે તેવા હિમાલયનાં સ્થાનોનો શું પ્રલય થઈ ગયો છે કે મનુષ્યોને અપમાનિત થઈને પારકાનાં અન્ન પર આધારિત રહેવું પડે?
ભર્તૃહરિએ સદીઓ પહેલાં આ સુભાષિત કયા સંદર્ભમાં લખ્યું હતું એ તો ખબર નથી, પણ ત્રણ સપ્તાહ પહેલાં બનેલી ઉત્તરાખંડની દુર્ઘટનામાં લોકો અન્ન અને પાણી માટે મોહતાજ થઈ ગયા હતા અને કેટલાય લોકોએ ભૂખથી જીવ ગુમાવ્યો હતો. આ સંદર્ભમાં ભર્તૃહરિનું સુભાષિત કરુણ રીતે સાચું પડી ગયું છે. ઉજ્જૈનના રાજા ભર્તૃહરિ, વિક્રમાદિત્યના સાવકા ભાઈ થાય. પત્ની પિંગળાના પ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે ભર્તૃહરિએ 'શૃંગારશતક' લખ્યું. પિંગળાએ દગાબાજી કરી નાખી એટલે રાજપાટ અને સંસાર છોડીને એ સાધુ બની ગયા. પછી તેમણે 'વૈરાગ્યશતક' લખ્યું. આ સિવાય એક 'નીતિશતક' પણ છે. ભર્તૃહરિની ત્રણેય કૃતિઓ અમર બની છે.
ચાર ધામની યાત્રા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે કે કેમ તે શ્રદ્ધાનો વિષય છે. ચાર ધામની યાત્રાથી પુણ્ય મળે કે ન મળે, પણ આ વખતે ચાર ધામના યાત્રાળુઓને અને ઉત્તરાખંડના અસંખ્ય સ્થાનિકોને જિંદગીભર ચાલે એટલી પીડા તો મળી જ ગઈ છે. ભર્તૃહરિ જ્ઞાની માણસોને તીર્થયાત્રા માટે લગભગ નિષેધ ફરમાવી દે છે. એક સુભાષિતમાં લખ્યું છે કે, 

'વેદ-ઉપનિષદના જ્ઞાતાઓ,ભાષ્યકારો, જ્ઞાનીઓ બ્રહ્મતત્ત્વના જાણકાર હોવા છતાં હંમેશાં એક તીર્થથી બીજા તીર્થ ભટકતા જોવા મળે છે. માર્ગમાં દુઃખ સહન કરવું પડવું હોવા છતાં તેઓ ભટકવાનો સ્વભાવ છોડી શકતા ન હોવાથી મને ખરેખર ખેદ થાય છે! તીર્થસ્થાનોમાં વસવામાત્રથી નથી પાપો નાશ પામતાં કે નથી પુણ્ય પ્રાપ્ત થતું. કેમ? વેદોમાં કહેવાયું છે કે આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર બ્રહ્મવિદ્યા વડે કરવો. આત્મ સ્વરૂપનો પરિચય કરાવતી બ્રહ્મવિદ્યા તીર્થસ્થાનોમાં રહેલી છે તે બરાબર છે, છતાં પણ લોકો ત્યાં રહીને તપ કરવા ઇચ્છે છે તે આશ્ચર્ય ઉપજાવે છે.'
એક ઔર સુભાષિતમાં ભર્તૃહરિએ આ વાત ઔર ઘૂંટી છેઃ '

આપણું મન સ્વયં નિર્મળ જ્ઞાનરૂપી અમૃતથી ભરેલા સરોવર જેવું છે. આમ છતાં વિવેકહીન દુર્બુદ્ધિ બ્રાહ્મણો અને અન્યો તેમાં સ્નાન કરવાને બદલે તીર્થયાત્રાની ઇચ્છાથી દુઃખી થઈને જંગલોમાં આડાઅવળા ભટકે છે. છેવટે તો તેમણે દુઃખના ખાણરૂપી આ સંસારસમુદ્રમાં જ ડૂબી મરવું પડે છે. આ આખી વાત કેટલી કષ્ટદાયક છે.'
તીર્થભૂમિ પર આપણા ઋષિ-મુનિઓએ કઠિન આરાધના કરી હતી, તેથી આદર્શ રીતે તો આપણને અહીં સાત્ત્વિક સ્પંદનોનો અનુભવ થવો જોઈએ. હકીકતમાં થાય છે કશુંક જુદું જ. આ જ પાવક ધરતી પર બજારુ ઢોંગીઓ પૂજાપાઠ અને ક્રિયાકર્મ કરાવી આપવાના નામે યાત્રાળુ પર તીડનાં ટોળાંની જેમ તૂટી પડીને આતંક મચાવી દે છે. ભીખમંગાઓનો ત્રાસ અને ગંદકીનું તો પૂછવું જ શું! આ બધામાં પેલાં સાત્ત્વિક સ્પંદનોનો કચ્ચરઘાણ વળી જાય છે. ભર્તૃહરિએ લખ્યં છેઃ
'અરે ભાઈ! હે મિત્ર! કોઈ શાંત પર્વતના શિખર પર જઈને અથવા તો ઉનાળામાં કોઈ શાંત ગુફામાં બેસીને ઈશ્વરની આરાધના કરવાની તને ઇચ્છા હોય તો ત્યાં નહીં જતો. તું જ્યાં છે એ જગ્યાએ આવું કોઈ શાંત સ્થળ શોધી લઈ, મનને ભ્રમિત કરતા મહામોહરૂપી અનર્થકારક વિશાળ વૃક્ષને જડમૂળથી ઉખાડી નાખ.'
ભર્તૃહરિનાં શતકો નીલેશ મહેતાએ સરળ ભાષામાં અનુદિત કરી નાની પુસ્તિકાઓમાં સંપાદિત કર્યાં છે. સ્વામી સચ્ચિદાનંદે 'ભર્તૃહરિનાં બે શતકો' નામનું સુંદર પુસ્તક લખ્યું છે. સ્વામીજી વેદાંતનો અભ્યાસ કરવા લગભગ ૧૧ વર્ષ કાશીમાં રહ્યા હતા, પણ બન્યું એવું કે તેઓ ભણતા ગયા તેમ તેમ અદ્વૈત વેદાંતના સિદ્ધાંતો અને કોન્સેપ્ટ્સથી વિમુખ થતા ગયા. વેદાંત કહે છે કે તમામ દૃશ્ય અને અદૃશ્ય બ્રહ્માંડો માયાના તમોગુણથી રચાયાં છે. જો બધું જ તામસિક તત્ત્વોથી રચાયું હોય તો તીર્થક્ષેત્રો પણ તામસિક ગણાય. સ્વામી સચ્ચિદાનંદ પ્રશ્ન કરે છે કે તો આ તીર્થસ્થળોની સાત્ત્વિકતાનું શું? શું એનો અર્થ એ થયો કે આપણાં પવિત્ર ચાર ધામ પણ તામસિક છે?


'વૈરાગ્યશતક'નું એક સુભાષિત સમજાવતાં સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે પ્રલયકાળનો અગ્નિ પ્રગટે છે ત્યારે તેના પ્રચંડ પ્રહારથી સ્વયં મેરુ પર્વત પણ ઢળી પડે છે. આ અગ્નિપ્રલય છે. જે સમુદ્રમાં વિશાળ મગરો આદિ રહે છે તે સમુદ્ર પ્રલયકાળના વાયુમાં સુકાઈ જાય છે. સમગ્ર જળરાશિ પાણીની સાથે ઊડી જાય છે, આને વાયુપ્રલય કહે છે. પૃથ્વી પર્વતોનાં ચરણોથી દબાયેલી હોવાથી સ્થિર રહે છે. ભર્તૃહરિએ પર્વત માટે 'ધરણીધર' શબ્દ વાપર્યો છે. એટલે કે ધરતી પર્વતને નહીં, બલકે પર્વત ધરણીને એટલે કે પૃથ્વીને ધારણ કરે છે. આમ કહેવા પાછળનો તર્ક એ હોઈ શકે છે પર્વતોનું અસ્તિત્વ છે તો પૃથ્વીનું સંતુલન બની રહેવામાં, ઋતુચક્ર જળવાઈ રહેવામાં મદદ મળે છે. પૃથ્વીના પટ પર પહાડો જ ન રહે તો ઋતુચક્ર ખોરવાઈ જાય. ઉત્તરાખંડમાં થયેલી ટ્રેજેડી પાછળનું એક મોટું કારણ પહાડોને અતિ મૂર્ખતાથી કોતરી નાખવામાં આવ્યા છે, તે છે.
સો મણનો સવાલ આ છેઃ શું ચાર ધામની યાત્રા ઓવરરેટેડ છે? એને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપી દેવામાં આવ્યું છે? ખેર,શ્રદ્ધાની વાત આવે ત્યાં આ પ્રકારના પ્રશ્નો અપ્રસ્તુત થઈ જાય છે. આસ્થામાં ઇલાકામાં કશું જ 'ઓવરરેટેડ' કે 'વધારે પડતું' હોતું નથી!          0 0 0

Saturday, July 6, 2013

બોલિવૂડ એક્સપ્રેસ : બોલિવૂડના ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ આવી ગયું !

Sandesh - Cine Sandesh - 5 July 2013

Column : બોલિવૂડ એક્સપ્રેસ 

સોનાક્ષી પાસેથી ન શીખવા જેવી વસ્તુ છેશરીર જાડું નહીં થવા દેવાનું. એની પાસેથી શીખવા જેવી એક વસ્તુ પણ છેલોકો એકધારી ટીકા કરતા હોય ત્યારે જાડી ચામડીના બનીને નિર્લેપ બની જવાનું!


ઢોલ બજાઓ, વાજાં વગડાવો, શરણાઈના સૂર છેડો. આ બહુ જુનવાણી લાગે છે? ઓલરાઇટ! તો ગિટારના તાર ટ્રિંગ ટ્રિંગ કરો, ડ્રમ સેટ્સ પર દાંડી પીટો, હાઇટેક કી-બોર્ડ પર ગાજવીજનું મ્યુઝિક જનરેટ કરો. બોલિવૂડ બોય ઉર્ફ બો-બો આવી ગયો છે, હાથમાં બોલિવૂડનું અર્ધવાર્ષિક પરિણામ લઈને. જાન્યુઆરીથી જૂન ૨૦૧૩ દરમિયાન મતવાલી ફિલ્મી દુનિયામાં કોણે શું ઉકાળ્યું? કોણ હિટ થયું, કોણ ફ્લોપ થયું, કોણ અધવચ્ચે અટકી ગયું? સાંભળો... 
બોક્સઓફિસના આંકડા કહે છે કે પહેલા છ મહિનામાં સૌથી વધારે માર્ક્સ લઈને પહેલા નંબરે પાસ થનારી ફિલ્મ છે- યસ, યુ આર રાઇટ - 'યે જવાની હૈ દીવાની'! (બેવફા બો-બોએ પોતાના મોસ્ટ ફેવરિટ હીરો તરીકે રિતિક રોશનને તગેડી મૂકીને નંબર વન પોઝિશન પર રણબીર કપૂરનો રાજ્યાભિષેક ઓલરેડી કરી નાખ્યો છે. એ જ પ્રમાણે, મોસ્ટ ફેવરિટ હિરોઇનોનાં લિસ્ટમાં કરીના અને પ્રિયંકાનાં નામ પર ચોકડી મૂકીને દીપિકા પાદુકોણનું નામ સૌથી ઉપર મૂકી દેવાનું ઓલમોસ્ટ નક્કી કરી નાખ્યું છે.) ૨૦૧૩ની બીજા નંબરની હિટ ફિલ્મ છે, શ્વેત વસ્ત્રધારી ગુજરાતી ડિરેક્ટરબંધુ અબ્બાસ-મસ્તાનની 'રેસ-ટુ'. તે પછી વારો આવે છે 'શૂટઆઉટ એટ વડાલા' અને'કાઈ...પો છે'નો. ૨૦૧૩ના હિટ લિસ્ટમાં 'ચશ્મે બદ્દુર'ની રિમેક, 'મર્ડર-થ્રી', 'સાહબ, બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ' તેમજ (લો-બજેટ હોવાને કારણે) 'બોમ્બે ટોકીઝ'નું નામ પણ બોલે છે. 'એબીસીડી', 'સ્પેશિયલ ૨૬', 'જોલી એલએલબી', 'આશિકી-ટુ', 'કમાન્ડો' અને 'ગો ગોવા ગોન' પણ સરસ ચાલી ગઈ. આ ફિલ્મોને ફિલ્મી પંડિતો 'સરપ્રાઇઝ હિટ'ની કેટેગરીમાં શા માટે મૂકતા હશે ભગવાન જાણે! થિયેટરોમાં હજુ હાલ ચાલી રહેલી 'ફુકરે' અને 'રાંઝણા' બન્ને હિટ થવાના પંથે છે.

કઈ ફિલ્મોને ઓડિયન્સે રિજેક્ટ કરી નાખી? 'જિલા ગાઝિયાબાદ', 'હિમ્મતવાલા' (આ વર્ષે સૌથી વધારે ગાળો આ ફિલ્મને પડી છે.), 'ઔરંગઝેબ', 'યમલા પગલા દીવાના-ટુ', 'ડેવિડ', 'આઈ મી ઔર મૈં' (આવી કોઈ ફિલ્મો રિલીઝ થઈ હતી તે યાદ સુધ્ધાં આવે છે?) અને 'આત્મા', 'નૌટંકી સાલા', 'મટરુ કી બિજલી કા મંડોલા' અને 'એક થી ડાયન' એવરેજ કેટેગરીમાં આવે છે. બો-બોને પર્સનલી એક ફિલ્મની નિષ્ફળતા માટે અફસોસ છે, તે છે રામગોપાલ વર્માની 'ધ અટેક્સ ઓફ ટ્વેન્ટિ સિક્સ-ઇલેવન'. ખરેખર સારી ફિલ્મ હતી આ!   
                                                    0 0 0
મ તો આજે રિલીઝ થઈ રહેલી 'લૂટેરા' પણ ખરેખર સારી ફિલ્મ હશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. એ તો નીવડયે વખાણ. લૂટેરા'ની નાયિકા માટે ડિરેક્ટર આદિત્ય મોટવાણેની ફર્સ્ટ ચોઇસ કોણ હતી, જાણો છો? વિદ્યા બાલન. હિરોઇન તો જાડ્ડીપાડ્ડી જ જોઈએ એવો ડિરેક્ટરનો કદાચ આગ્રહ હશે, તેથી આ રોલ પછી સોનાક્ષી સિંહાને કાસ્ટ કરી. સોનાક્ષી જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારથી બધાં એને જાડી-જાડી કહીને ચીડવે છે. એમાં કહેનારાઓનો વાંક નથી. એ જાડી છે જ. એનાં બાવડાં સની દેઓલને શરમાવે એવાં તોતિંગ છે. એના શરીરનો ઘેરાવો અનુષ્કા શર્મા જેવી ત્રણ સુકલકડી હિરોઇનો સમાઈ જાય એટલો વિશાળ છે. 'હુ કેર્સ?' સોનાક્ષી કહે છે, "ટોચના પ્રોડયુસરો મને સાઇન કરી રહ્યા છે, મારી ફિલ્મો હિટ થઈ રહી છે, પછી મારે શું કામ ચિંતા કરવાની? હું નાની હતી ત્યારે કેટલી ભયાનક જાડી હતી તેની તમને ખબર નથી. તે વખતે લોકો જે રીતે મારી મશ્કરી કરતા હતા એની સરખામણીમાં અત્યારે જે ટીકા થઈ રહી છે એ તો કંઈ નથી. લોકોને જે કહેવું હોય તે કહે, મને કશો ફરક પડતો નથી. હવે હું જાડી ચામડીની થઈ ગઈ છું." લો બોલો. સોનાક્ષીની ચામડી પણ જાડી છે, એની તો આપણને ખબર જ નહોતી.
                                                   0 0 0 
બાજુ સોનાક્ષીના કો-સ્ટાર રણવીરસિંહને એ ખબર નથી કે છેલ્લા કેટલાય મહિનાઓથી જે ગંદી દાઢી-મૂછ લઈને ચારે બાજુ ફર્યા કરે છે એમાં એ કેટલો મોટો કાર્ટૂન દેખાય છે. આ તેનો સંજયલીલા ભણસાલીના ડિરેક્શનમાં બની રહેલી 'રામલીલા' ફિલ્મનો લુક છે. (ઓહ માય ગોડ! 'રામલીલા'માં અઢી-ત્રણ કલાક સુધી આવો ગંધારોગોબરો રણવીર કેવી રીતે સહન થશે ઓડિયન્સથી?)એ પોતાની ઔર એક ફિલ્મને લઈને પણ ભારે ઉત્સાહિત છે - યશરાજ બેનરની 'ગુંડે'. આમાં અર્જુન કપૂર એનો સાથી-ગુંડો બન્યો છે. રણવીર થનગન થનગન થતાં કહે છે, 'યુ નો વોટ, અર્જુન મારો મોસ્ટ ફેવરિટ કો-સ્ટાર છે. મારે એની સાથે હિટ જોડી બનાવવી છે. જે રીતે જય-વીરુની, અક્ષયકુમાર-સૈફની અને 'અંદાજ અપના અપના'માં આમિર-સલમાનની જોડી હતી એમ.' આશા રાખીએ કે કમસે કમ'ગુંડે'માં રણવીરે અર્જુનને ચક્રમ જેવા દાઢી-મૂછ રાખવાની પ્રેરણા આપી ન હોય. ચાલો ત્યારે, હેપી ફ્રાઇડે!       000

મલ્ટિપ્લેક્સ : કૌન સી ચક્કી કા આટા ખાયા હૈ ફરહાનને?


Sandesh - Sanskaar Purti - 7 July 2012
Column : મલ્ટિપ્લેક્સ
'ભાગ મિલ્ખા ભાગમાટે ફરહાન અખ્તરે પોતાના શરીર પર જે ગજબનાક કર્યું છે તે જોઈને સૌ ચકિત થઈ ગયા છે. આ છ મહિનાની જબરદસ્ત શારીરિક મહેનતસ્ટ્રિક્ટ ડાયટિંગ,તગડું મનોબળ અને પાક્કી શિસ્તનું પરિણામ છે. 

ફાઇનલી... ૨૦૧૩માં જેની સૌથી વધારે તીવ્રતાથી રાહ જોવાઈ રહી છે તેવી ફિલ્મોમાંની એક 'ભાગ મિલ્ખા ભાગ' આવતા શુક્રવારે રિલીઝ થઈ જવાની! ફરહાન અખ્તરે ઇન્ડસ્ટ્રીમાં ઓવરઓલ એવી ઇમેજ ઊભી કરી દીધી છે કે તેની પાસેથી ઉત્તમ કરતાં ઓછાની અપેક્ષા રાખી શકતાં નથી. આ એક ઇચ્છનીય અને આદરણીય સ્થિતિ છે કોઈ પણ કલાકાર માટે. સામે પક્ષે, 'ભાગ મિલ્ખા ભાગ'ના ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાનો બાયોડેટા મિશ્ર લાગણી જન્માવે છે. 'અક્સ' (ખરાબ), 'રંગ દે બસંતી' (ખૂબ સુંદર), 'દિલ્હી-સિક્સ' (નિરાશાજનક) અને 'તીન થે ભાઈ' (હા, આવા ટાઈટલવાળી પણ એક અતિ નબળી ફિલ્મ બે વર્ષ પહેલાં આવીને જતી રહી, જેના પ્રોડયુસર રાકેશ મહેરા હતા) એમના નામ પર બોલે છે. રાકેશ મહેરા ધાર્યું નિશાન પાર પાડશે જ એવી કોઈ ગેરંટી હોતી નથી, છતાં ફરહાન અખ્તર જેવો સુપર ટેલેન્ટેડ માણસ 'ભાગ મિલ્ખા ભાગ' સાથે સંકળાયેલો હોવાથી ફિલ્મ પાસેથી ઊંચી ઉમ્મીદ બાંધવાનું આપણને મન થાય છે.
ફિલ્મના પ્રોમો જ્યારથી રિલીઝ થયા છે ત્યારથી ફરહાને જે રીતે પોતાના શરીર પર ગજબનાક કામ કર્યું છે તે જોઈને સૌ ચકિત થઈ ગયા છે. 'ભાગ મિલ્ખા ભાગ' વિખ્યાત ભારતીય દોડવીર મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે તે આપણે જાણીએ છીએ. કોમનવેલ્થ ગેઇમ્સ (૧૯૫૮) અને એશિયન ગેઇમ્સ(૧૯૫૮, ૧૯૬૨)માં ગોલ્ડમેડલ જીતી લાવેલા આ સ્પ્રિન્ટર જોકે ૧૯૬૦માં રોમમાં યોજાયેલા ઓલિમ્પિક્સમાં જરાક માટે બ્રોન્ઝ મેડલ જીતતાં જીતતાં રહી ગયા હતા. ખૂબ જવાબદારીભર્યું કામ હોય છે કોઈ પણ ક્ષેત્રના લેજન્ડ પર ફિલ્મ, ટીવી શો કે નાટક બનાવવું. એક્ટર માટે તો ખાસ. આ ફિલ્મ માટે મૂળ અક્ષયકુમારની પસંદગી થઈ હતી, પણ પછી કોણ જાણે શું થયું કે એના સ્થાને ફરહાન ગોઠવાઈ ગયો. રાકેશ મહેરાએ ફરહાનને 'રંગ દે બસંતી' પણ ઓફર કરેલી. તે વખતે ફરહાનની ફક્ત એક જ ફિલ્મ આવી હતી, 'દિલ ચાહતા હૈ' જે તેણે ડિરક્ટ કરેલી. એક્ટર તરીકેની કરિયર દૂર ક્ષિતિજમાં પણ દેખાતી નહોતી, પણ રાકેશ મહેરાને તે વખતે પણ લાગ્યા કરતું હતું કે આ છોકરો કેમેરાની પાછળ જ નહીં, કેમેરાની સામે પણ સરસ કામ કરી શકે એમ છે.
Milkha Singh : Reel and Real


'ભાગ મિલ્ખા ભાગ' માટે ફરહાને પોતાના સીધાસાદા શરીરને ઓલિમ્પિક કક્ષાના એથ્લેટિક જેવું બનાવવાનું હતું. આ સૌથી મોટી ચેલેન્જ હતી. સીધીસાદી દોડ લગાવવી એક બાબત છે અને પ્રોફેશનલ સ્પ્રિન્ટર બનવાની તાલીમ લેવી તે તદ્દન જુદી વસ્તુ છે. રાકેશ મહેરાએ પોતાની ટીમને એક જ બ્રિફ આપેલીઃ આપણે એક એક્ટરને તૈયાર નથી કરી રહ્યા, આપણે એક એથ્લેટને તૈયાર કરવાનો છે, જે આગામી ઓલિમ્પિક્સમાં ગોલ્ડમેડલ જીતવા માટે જી-જાન લગાડી દેવાનો છે!
મિલ્ખાના રોલ માટે ફરહાને છ મહિના માટે જબરદસ્ત મહેનત કરી. સવારે પોણાસાત વાગ્યાથી એની ટ્રેનિંગ શરૂ થઈ જતી. સેન્ટ્રલ રેલવેના એથ્લેટ્સને તૈયાર કરતા મેલ્વિન નામના ટ્રેનર એને ટ્રેનિંગ આપતા. પછી ફરહાનનો પર્સનલ ટ્રેનર સમીર જઉરા એને તાલીમ આપે. દિવસ દરમિયાન કુલ છ કલાક એ આઉટડોર અને ઈન્ડોર એક્સરસાઈઝ કરતો. શૂટિંગ નિકટ આવતું ગયું તેમ એક ઓલિમ્પિક ટ્રેનરને રોકવામાં આવ્યો, જે ફરહાનની સાંજની સેશન સંભાળતો. રનિંગ સિવાય પણ જાતજાતની એક્ટિવિટીઝ કરવાની રહેતી જેમ કે, હાઈપર ટ્રોફી, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ફંક્શન ટ્રેનિંગ, ક્રોસ-ફિટ ટ્રેનિંગ, કિક બોક્સિંગ વગેરે.

માત્ર શારીરિક તાલીમ પૂરતી નથી, ડાયટિંગ પણ સ્ટ્રિક્ટ રાખવું પડે. આ છ મહિના ફરહાન લો-સુગર, લો-સોડિયમ ડાયટ પર હતો. રોટલી અને ભાત સામે જોવાનું પણ નહીં. બ્રેકફાસ્ટમાં ચાર ઈંડાંની આમલેટ, ઓટમીલ અથવા મુસલી અને સ્કિમ્ડ મિલ્ક. બે કલાક પછી પ્રોટીન શેક અને ફ્રૂટ્સ. લંચમાં સ્ટીમ્ડ ચિકલ બ્રોકોલી, બીન્સ અને મશરૂમ્સ. બે કલાક પછી ફરી એક વાર પ્રોટીન શેક. સાંજે એક ફળ. ડિનરમાં ફિશ અને ફ્રાઈડ શાકભાજી. આખા દિવસમાં ચારથી પાંચ લિટર પાણી પીવાનું ફરજિયાત. ફરહાને ગજબનાક શિસ્તથી એક્સરસાઈઝ તેમજ ખાવાપીવાનું રૂટિન એકધારું જાળવ્યું. કોઈ ઠાગાઠૈયા નહીં, કોઈ બહાનાંબાજી નહીં. આ કક્ષામાં નિષ્ઠા હોય ત્યારે પરિણામ પ્રભાવિત કરી દે તેવું આવવાનું જ. રાકેશ મહેરા ત્યાં સુધી કહે છે કે મિલ્ખાના રોલ માટે આ છોકરાએ એટલો બધો પરિશ્રમ કર્યો છે કે એના પર આખેઆખું પુસ્તક લખી શકાય!
મિલ્ખા સિંહ હાલ ૭૭ વર્ષના છે. અત્યંત ઘટનાપ્રચુર રહી છે એમની જિંદગી. ૧૧ વર્ષના હતા ત્યારે એમના આખા પરિવારની કતલ થઈ ગઈ હતી. નાનપણમાં એ ચોરી કરતા, ચાકુ ચલાવતા, પછી આર્મીમાં જોઇન થયા, દોડવીર બન્યા, દુનિયાભરમાં ૮૦ જેટલી રેસ દોડીને કેટલીય સિદ્ધિ મેળવી, પણ જીવનની સૌથી મહત્ત્વની મેચમાં જ પરાજય પામ્યા.
ફરહાન ફિલ્મની તૈયારીના ભાગરૂપે મિલ્ખા સિંહને એક કરતાં વધારે વખત મળ્યો હતો. ફરહાન કહે છે, "તમે આ પ્રકારનો રોલ કરતા હો ત્યારે જે-તે વ્યક્તિના દેખાવની કે હાવભાવની મિમિક્રી કરવાની ન હોય, બલકે તેના વ્યક્તિત્વની ખૂબીઓને સમજીને આત્મસાત્ કરવાની હોય. હું મિલ્ખા સિંહને મળ્યો ત્યારે મેં પ્રશ્નોનો મારો નહોતો ચલાવ્યો,બલકે તેઓ પોતાની લાઇફ વિશે બોલતા ગયા ને હું ફક્ત ધ્યાનપૂર્વક સાંભળતો રહ્યો. માણસ પોતાની જીવનકિતાબનાં પાનાં ખોલતો હોય ત્યારે તમને ખબર પડે કે કઈ વાત કરતા એમની આંખો ભીની થાય છે, શું યાદ કરતી વખતે એમના ચહેરા પર સ્માઇલ આવી જાય છે, એની બોડીલેંગ્વેજ કેવી રીતે બદલાય છે, વગેરે. આ બધું હું મનોમન નોંધતો ગયો, જે શૂટિંગ દરમિયાન એક્ટિંગ કરતી વખતે મને કામ આવ્યું."
રાકેશ મહેરાએ તાજેતરમાં મિલ્ખા સિંહના પરિવાર માટે 'ભાગ મિલ્ખા ભાગ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ ગોઠવ્યં હતું. જ્યારથી ફિલ્મ જોઈ છે ત્યારથી મિલ્ખા સિંહ ફરહાનનાં વખાણ કરતા થાકતા નથી. ગીતકાર તરીકે જાણીતા એડમેન પ્રસૂન જોશીએ સ્ક્રિપ્ટમાં મિલ્ખા સિંહની જીવનકથા આલેખતી વખતે જરૂર પડે ત્યાં ક્રિએટિવ લિબર્ટી લીધી છે. એમાં કશં ખોટું પણ નથી. પ્રસૂન જોશી પાસે એટલું બધું મટીરિયલ એકઠું થઈ ગયું છે કે તેઓ આ ફિલ્મની સિકવલ બનાવવાનું વિચારી રહ્યા છે, જેમાં પ્રોફેશનલ ગોલ્ફર પુત્ર જીવ સાથેના મિલ્ખા સિંહના સંબંધની વાત હશે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રસૂન ખુદ કરવા ધારે છે.

અલબત્ત, આ બધું તો શક્ય બને જો 'ભાગ મિલ્ખા ભાગ' હિટ થાય. મિલ્ખા સિંહની જીવનકથામાં એટલું બધું કૌવત છે કે જો 'ભાગ મિલ્ખા ભાગ' લક્ષ્યવેધ કરી શકશે તો તે સીમાચિહ્નરૂપ બની જશે. - ફરહાન, મહેરા અને પ્રસૂનની કરિયર માટે જ નહીં, પણ હિન્દી સિનેમા માટે પણ. 
ટચવૂડ!                               0 0 0

હોલીવૂડ હંડ્રેડ: ઍની હૉલ : પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ...

 મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) - હોલીવૂડ હંડ્રેડ - ૫ જુલાઈ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

પ્રેમ નામની વસ્તુ ગમે એટલી અવળચંડી, વાહિયાત અને ત્રાસદાયક કેમ ન હોય, પણ જીવનમાં સાલું એના વગર ચાલતું નથી. વૂડી એલનની સર્વશ્રેષ્ઠ ગણાતી ‘ઍની હૉલ’ નામની કોમેડી ફિલ્મનો આ મુખ્ય સૂર છે. 



ફિલ્મ નંબર ૨૯. ઍની હૉલ 

‘હોલિવૂડ હન્ડ્રેડ’ કોલમમાં આજે વૂડી એલનની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. વૂડી એલન ફક્ત મહત્ત્વના ક્ધટેમ્પરરી અમેરિકન ડિરેક્ટર જ નથી, તેઓ એક્ટર, લેખક અને પ્રોડ્યુસર પણ છે. તેમની ફિલ્મો રમૂજથી છલછલતી, હલકીફૂલકી અને જીવાતા જીવનથી નિકટ હોય છે. એમાંય  સંબંધો વિશેની ફિલ્મો બનાવવામાં એમની માસ્ટરી છે. આજે એમની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાતી ‘ઍની હૉલ’નો વારો.

ફિલ્મમાં શું છે?

ફિલ્મની શરુઆત ઓડિયન્સની આંખોમાં આંખ પરોવીને કબૂલાત કરી રહેલા એલ્વી સિંગર(વૂડી એલન)ના ક્લોઝ-અપથી થાય છે. એલ્વી ન્યુયોર્ક વસતો અને ચાલીસનો થવા આવેલો યહૂદી સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. નાનપણથી જ એ મહાવિચિત્ર છે. એકવાર સ્કૂલમાં એણે લેસન કરવાનું બંધ કરી દીધું હતું. શા માટે? બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે અને ભવિષ્યમાં એનો નાશ થઈ જવાનો છે એવી ખબર પડવાથી એ ડિપ્રેશનમાં આવી ગયો હતો એટલે! હજુ ટીનએજર પણ થયો નહોતો ત્યારે એ ક્લાસની છોકરીઓના ગાલ પર બચ્ચી ભરી લેતો. છોકરીઓ ભેંકડો તાણતી. ટીચર એલ્વીને ઊભો કરીને ખખડાવતા. મોટા થયા પછી એલ્વીએ બે વાર લગ્ન કર્યાં, બન્ને વખત ડીવોર્સ થઈ ગયા. ત્યાર બાદ ઍની હૉલ (ડીએન કીટન) નામની ગર્લફ્રેન્ડ બની. એની સાથેના સંબંધ પણ એક વર્ષ પહેલાં પૂર્ણવિરામ મૂકાઈ ગયું. એલ્વીને સમજાતું નથી કેમ એની રિલેશનશિપ્સ, લવલાઈફ અને સેક્સલાઈફ સ્થિર કેમ રહી શકતા નથી. ફિલ્મની પહેલી દસ જ મિનિટમાં એલ્વીનું ઉત્પાતીયું, અધીરું, નિરાશાવાદી છતાંય રમૂજી વ્યક્તિત્ત્વ સરસ રીતે એસ્ટાબ્લિશ થઈ જાય છે.

વાર્તા હવે ફ્લેશબેકમાં ગતિ કરે છે. એક રાતે એલ્વી પ્રેમ કરવાના મૂડમાં છે, પણ ઍની રસ દેખાડતી નથી. બન્ને એલ્વીની પૂર્વ પત્નીઓ વિશે ચર્ચા કરવા લાગે છે. પહેલી પત્ની સાથેની સેક્સલાઈફમાં ક્યારેય જમાવટ થઈ જ નહોતી. બીજી વધારે પડતી બૌદ્ધિક હતી. એની સાથે પણ લગભગ એવું જ થયું. પછી ઍની મળી. બન્નેની પહેલી મુલાકાત ટેનિસ કોર્ટ પર થઈ હતી. શરુઆતમાં ઍની બહુ નર્વસ રહેતી,  એનામાં આત્મવિશ્વાસની કમી હતી. બન્ને પ્રેમમાં પડ્યાં ને સાથે રહેવા લાગ્યાં. ઍની આગલી બન્ને સ્ત્રીઓ કરતાં જુદી હતી. સેક્સની ક્વોલિટી અને ક્વોન્ટિટી બન્ને હવે તર-બ-તર થઈ જવાય એવા હતા. એલ્વી જોકે માત્ર શરીર-કેન્દ્રી નહીં પણ ‘અર્થપૂર્ણ સંબંધ’  વિકસાવવા ઈચ્છતો હતો. એણે ધરાર ઍનીને કોલેજમાં કોઈક કોર્સ કરવા દાખલ કરી. મોટા થયા પછીય કંઈક ભણવાનું ચાલુ રાખીએ તો બુદ્ધિની ધાર નીકળતી રહે એવો તેનો તર્ક હતો. એેક વાર એલ્વીએ ઍનીને એના પ્રોફેસરના હાથમાં હાથ પરોવીને જતી જોઈ. પત્યું. એલ્વીએ દલીલ કરી કે આપણે એકબીજા સાથે ‘ફ્લેક્સિબલ’ રહેવાનું નક્કી કર્યું હતું, પણ ફ્લેક્સિબિલીટીનો અર્થ એવો નહીં કે તું પરપુરુષ સાથે ફર્યા કરે. બન્ને વચ્ચે બ્રેક-અપ થઈ જાય છે.



એલ્વી પાછો એકલો પડે છે. ફરી પાછું ડેટિંગ, ફરી નવા સંબંધોના અખતરા.  બાપડો ક્યાંય ઠરતો નથી. એક વાર મધરાતે અચાનક ઍનીનો  ફોન આવે છે: અબ્બી હાલ મારા ઘરે આવી જા. ઍની સખત ગભરાયેલી છે. એલ્વી ભાગે છે. ગયા પછી ખબર પડે છે કે ઍનીના બાથરુમમાં કરોળિયો ઘૂસી ગયો હતો તેથી એ ગભરાઈ ગયેલી! બન્ને વચ્ચે પાછા બુચ્ચા થઈ જાય છે. બન્ને નક્કી કરે છે કે ગમે તે થાય, આપણે હવે અલગ નહીં જ પડીએ. કમનસીબે એમની કુંડળીમાં સહજીવન લખાયું જ નથી. બન્નેને પ્રતીતિ થાય છે કે આપણી રિલેશનશિપમાં કંઈક ખૂટે છે. એમાં હવે પહેલાં જેવી મજા રહી નથી. બન્ને પાછાં અલગ પડે છે. ઍની બીજા શહેરમાં શિફ્ટ થાય છે, કરીઅર બનાવે છે. એલ્વી એક વાર જઈને એેને મળે છે. એના મનમાં હજુય આશા છે. એ ઍની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. ઍની ના ુપાડી દે છે. એલ્વી પોતાની બળતરા એક નાટક લખીને ઠાલવે છે. નાટક ઍની સાથેના એના સંબંધ પર આધારિત છે. નાટકમાં જોકે નાયિકા હીરોને હા પાડી દે છે. સમય વીતતો જાય છે. બન્ને પોતપોતાનાં જીવનમાં આગળ વધી ચુક્યાં છે. કદાચ બન્નેને નવા પાર્ટનર મળી ગયા છે. એલ્વીને સમજાય છે કે પ્રેમ નામની વસ્તુ ગમે એટલી અવળચંડી, વાહિયાત અને ત્રાસદાયક કેમ ન હોય, પણ જીવનમાં સાલું એના વગર ચાલતું નથી. બસ, એલ્વીના આ બ્રહ્મજ્ઞાન પર ફિલ્મ પૂરી થયા છે.

કથા પહેલાંની અને પછીની 

‘ઍની હૉલ’ની પહેલા વૂડી એલન નિતાંતપણે કોમેડી ફિલ્મો બનાવતા હતા. ઈટાલિયન ફિલ્મમેકર ફેડરિકો ફેલિનીની ‘એઈટ એન્ડ અ હાફ’થી ખૂબ પ્રભાવિત થઈને (આ ફિલ્મ વિશે આપણે આ કોલમમાં વાત કરી ચુક્યા છીએ. જુઓ ‘મુંબઈ સમાચાર’, ૮ મે ૨૦૧૩) તેમણે પોતાની આગલી ફિલ્મમાં રમૂજનો ડોઝ થોડો ઓછો કરવાનો તેમજ માનવસ્વભાવની વિચિત્રતાઓ અને સૂક્ષ્મતાઓ પર ફોકસ કરવાનું નક્કી કર્યું. સહલેખક માર્શલ બ્રિકમેન સાથે તેઓ એકાંતરે ચર્ચા કરતા, નવા આઈડિયા વિચારતા, રિજેક્ટ કરતા. ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ વૂડી એલને ચાર દિવસમાં લખી નાખ્યો હતો. મૂળ વાર્તામાં મર્ડર મિસ્ટરી કેન્દ્રમાં હતી જેના પર રમૂજ અને રોમાન્સ સારી પેઠે ભભરાવવામાં આવ્યા હતા. પછી રહસ્યમય ખૂનવાળો પ્લોટ ગાળી નાખવામાં આવ્યો. વૂડી એલને પછી તેને ‘મેનહટન મર્ડર મિસ્ટરી’ નામની ફિલ્મમાં ઉપયોગમાં લીધો. ફિલ્મનું ટાઈટલ પણ ખૂબ બદલ્યું. પહેલાં નામ રાખવામાં આવ્યું હતું, ‘એન્હેડોનિયા’ (મતલબ કે ખુશ થઈ શકવાની અક્ષમતા). પછી ‘ઈટ હેડ ટુ બી જ્યુ’, ‘મી એન્ડ માય ગોડ’, ‘એન્ઝાઈટી’ અને‘એલ્વી એન્ડ મી’ જેવાં ટાઈટલ્સ વિચારાયાં. આખરે ‘ઍની હૉલ’ ટાઈટલ ફાયનલાઈઝ કરવામાં આવ્યું.



‘ઍની હૉલ’નાં પાત્રો ખાતાં, પીતાં, સૂતાં, પ્રેમ કરતાં કરતાં, ચાલતાં ચાલતાં, બગીચાના બાંકડે બેસીને, સીધા કેમેરાની સામે જોઈને વાતો જ કરતાં રહે છે. શોટ્સ પણ લાંબા લાંબા હોય. ૧૯૭૦ના દાયકાની હોલીવૂડની ફિલ્મોમાં એવરેજ શોટની લંબાઈ ૪ થી ૭ સેક્ધડ જેટલી રહેતી, જ્યારે ‘ઍની હૉલ’ના શોટ્સની સરેરાશ લંબાઈ ૧૪.૫ સેક્ધડ છે. વાર્તા કહેવાની શૈલીમાં વૂડી એલને કેટલાય અખતરા કર્યા છે. જેમ કે, નાયક ઓચિંતા સૂત્રધાર બની જાય. હિરોઈન સાથે વાત કરતાં કરતાં એ અચાનક ઓડિયન્સ સાથે વાતો કરવા લાગે. એકદમ જ એનિમેશન ફિલ્મ જેવી ચિત્રપટ્ટી શરુ થઈ જાય. હીરો-હિરોઈન મોઢેથી એેક વસ્તુ બોલતાં હોય, પણ મનમાં બીજું કંઈક ચાલતું હોય તો એમની મૂંઝવણ કે ગૂંચવણ ‘મેન્ટલ સબટાઈટલ્સ’ રુપે પડદા પર ફ્લેશ થવા માંડે. હવે તો જોકે આ ટેક્નિક્સ ખૂબ સામાન્ય બની ગઈ છે.

ઓસ્કર ફંકશનમાં ‘ઍની હૉલ’ અને ‘સ્ટાર વોર્સ’ વચ્ચે તગડો મુકાબલો હતો. સૌએ માની લીધું હતું કે તમામ મહત્ત્વના ઓસ્કર અવોર્ડ્ઝ ‘સ્ટાર વોર્સ’ તાણી જશે, પણ એવું બન્યું નહીં. ‘ઍની હૉલે’ બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને બેસ્ટ એક્ટ્રેસના ઓસ્કર જીતી લઈને સપાટો બોલાવી દીધો. ‘ઍની હૉલ’ વૂડી એલનની કરીઅર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મ  એવરગ્રીન ક્લાસિક ગણાય છે, પણ એલનને અસંતોષ રહી ગયો છે. તેઓ કહે છે કે, ‘મેં તો પ્રેમ અને સંબંધોને લઈને હીરોના મનમાં જે સતત ગડમથલ ચાલતી રહે છે તેને ફોકસમાં રાખ્યું હતું, આ ફિલ્મ તેના વિશે જ છે, પણ લોકો સુધી આ વાત બરાબર પહોંચી નહીં. તેમને હીરો-હિરોઈનના લવઅફેરમાં વધારે રસ પડી ગયો! હીરોનું માનસિક દ્વંદ્વ એકબાજુ રહી ગયું. મારી નિરાશાનું કારણ આ જ છે.’



ઐસા ભી હોતા હૈ. ક્લાસિક ફિલ્મનો મેકર સ્વયં પોતાનાં સૌથી મશહૂર સર્જનથી નાખુશ હોઈ શકે છે! ખેર, આપણને તો ‘ઍની હૉલ’ જોવાની ખરેખર બહુ મજા પડે છે. ફિલ્મની રમૂજ, સતત બબડાટ કરતા રહેતા હીરોની વિચિત્રતાઓની સાથે સાથે  સ્માર્ટ લખાણ, ધારદાર નિરીક્ષણો - આ બધામાં એન્ટરટેઈનમેન્ટ ઉપરાંત ઊંડાણ પણ છે. વૂડી એલનની ફિલ્મો એડિક્ટિવ છે, એની આદત લાગી જાય છે. એમની અન્ય યાદગાર ફિલ્મો વિશે ફરી ક્યારેક.

‘ઍની હૉલ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : વૂડી એલન

સ્ક્રીનપ્લે          : વૂડી એલન, માર્શલ બ્રિકમેન
કલાકાર           : વૂડી એલન, ડીએન કીટન  
રિલીઝ ડેટ        : ૨૦ એપ્રિલ ૧૯૭૭

મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ડિરેક્ટર, ફિલ્મ, ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને એકટ્રેસ માટેના ઓસ્કર અવોર્ડ્ઝ ૦૦૦

Sunday, June 30, 2013

વાંચવા જેવું : મધુ રાય આત્મકથા શા માટે નહીં લખે?


 ચિત્રલેખા - જૂન ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું 

 ‘કૂતરાથી તમે ડરીને દોડો તો એ તમારી પાછળ પડે, તમને કરડે. પણ તમે એની આંખોમાં આંખ મેળવીને ઊભા રહો તો કૂતરું કંઈ ન કરે. એટલે સમાજનું એવું છે, તમે જેટલા ડરો એટલી વધારે લાતો એ તમને મારે. એની સામે ખૂલીને ઊભા રહો કે જુઓ ભાઈ, જે છું તે આ છું, મને સ્વીકારો કે નકારો.’


                                                                                               

ગભગ કહેવતની કક્ષાએ પહોંચી ગયેલી ‘ગમતાંને કરીએ ગુલાલ’ પંક્તિ કવિ મકરંદ દવેની છે, ખરું? ના જી. આ પંક્તિ મૂળ કુન્દનિકા કાપડીઆની છે! બન્ને જીવનસંગી બન્યાં એ પહેલાંની આ વાત છે. કુન્દનિકાજી એ વખતે ‘નવનીત’ સામયિકનાં સંપાદિકા. એક વખત તેમણે મકરંદ દવેેને પત્ર લખ્યો કે  તમે તો ગમતાંને ગુલાલ કરો એવા કવિ છો તો અમને એક સરસ કાવ્ય મોકલો. બસ, આ કાગળ વાંચ્યા પછી, આ પંક્તિ પરથી પ્રેરાઈને મકરન્દ દવેએ કાવ્ય લખ્યું જે મશહૂર થઈ ગયું: ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ...’

આજે જેની વાત કરી રહ્યા છીએ એ ‘સુરીલા સંવાદ’ પુસ્તકમાં આવી તો કેટલીય રસપ્રદ વાતો સંગ્રહાયેલી
Makarand Dave
છે. વાતો પાછી પ્રમાણભૂત છે, કેમ કે જે-તે વ્યક્તિએ ખુદ પોતાના મુખેથી એ ઉચ્ચારેલી છે. લેખિકા આરાધના ભટ્ટ અઢી દાયકાથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયાં છે. સિડની રેડિયો સ્ટેશન માટે એમણે જુદી જુદી ગુજરાતી હસ્તીઓના ઈન્ટરવ્યુ રુબરુ યા તો ફોન પર કર્યા છે. આ પુસ્તક આવી પચ્ચીસ મુલાકાતોનું પ્રિન્ટ વર્ઝન છે. અહીં એક બાજુ નરેન્દ્ર મોદી જેવા રાજકારણી છે, તો સામે મોરારિબાપુ અને સ્વામી સચ્ચિદાનંદ જેવા ધર્મગુરુ છે. સુરેશ દલાલ અને અનિલ જોષી જેવા કવિઓ છે, તો સાથે સાથે મધુ રાય અને ફાધર વાલેસ જેવા ગદ્યસ્વામીઓ છે. ગુણવંત શાહ, શાહબુદ્દીન રાઠોડ, પુરુષોત્તમ ઉપાધ્યાય, ઈલા ભટ્ટ.... સૂચિ ખરેખર પ્રભાવશાળી છે.

‘એક્શન રિપ્લે’ જેવી યાદગાર આત્મકથા લખનાર તારક મહેતા એક પ્રશ્નના ઉત્તરમાં સમાજને શ્વાન સાથે સરખાવે છે. એ કહે છે, ‘કૂતરાથી તમે ડરીને દોડો તો એ તમારી પાછળ પડે, તમને કરડે. પણ તમે એની આંખોમાં આંખ મેળવીને ઊભા રહો તો કૂતરું કંઈ ન કરે. એટલે સમાજનું એવું છે, તમે જેટલા ડરો એટલી વધારે લાતો એ તમને મારે. એની સામે ખૂલીને ઊભા રહો કે જુઓ ભાઈ, જે છું તે આ છું, મને સ્વીકારો કે નકારો.’



વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં નરેન્દ્ર મોદી આજે વિરાટ સ્વીકૃતિની ધાર પર ઊભા છે. આઈ.ટી. + આઈ.ટી = આઈ.ટી (અર્થાત ઈન્ફર્મેશન ટેકનોલોજી + ઈન્ડિયન ટેલેન્ટ = ઈન્ડિયન ટુમોરો) જેવું ચોટડુક સૂત્ર આપનાર આપનાર નરેન્દ્ર મોદીની રોજિંદી દિનચર્યા કેવી હોય છે? જવાબ સાંભળો:

‘દિવસ તો મારો પણ બીજાની જેમ ૨૪ કલાકનો જ હોય છે. સવારે પાંચ-સવા પાંચ વાગે ઊઠું છું. ઈ-મેઈલ જોવાની ટેવ છે, ઈન્ટરનેટ પર દિલ્હીનાં, બહારનાં છાપાં વાંચવાની ટેવ છે. મારે કારણે રાજ્ય પર બોજ ન આવે એટલે શરીરને સરખું રાખવું જોઈએ, માંદા ન પડાય એવી કાળજી રાખવી જોઈએ, એટલે એને માટે યોગ, વ્યાયામ, પ્રાણાયામ કરવાની ટેવ છે. બાકી ખૂબ સાદું જીવન છે. સવારે આઠ-નવ વાગ્યે કામ ચાલુ કરું છું, રાત્રે પૂરું ન થાય ત્યાં સુધી બંધ કરતો નથી.’

પુસ્તકમાં કેટલીય નિખાલસ કબૂલાતો છે. જેમ કે, ફાધર વાલેસ સ્પષ્ટપણે કહે છે કે હું સ્પેનથી ભારત આવ્યા ત્યારે એવી સંકુચિત મનોદશા લઈને આવ્યો હતો કે ચર્ચ સિવાય મુક્તિ નહીં. આઉટસાઈડ ધ ચર્ચ ધેર ઈઝ નો સાલ્વેશન. પણ ભારતમાં આવીને ફાધર સમજ્યા કે મુક્તિ બધે જ હોય છે. સાચા દિલનો માણસ હોય તો એ ભગવાન પાસે જરુર જઈ શકે. આપણા સૌના મનમાં રમતા હોય એવા સવાલો લેખિકાએ મહાનુભાવોને અચૂકપણે કર્યાં છે. દષ્ટાંત તરીકે, મોરારિબાપુને એ પૂછે છે કે આપને જીવનમાં ક્યારેય ઘોર નિરાશાનો અનુભવ થયો છે ખરો? જો થયો હોય તો એ લાગણીમાંથી શી રીતે બહાર નીકળો છો? મોરારિબાપુ કહે છે:

Morari Bapu
‘હું શરણાગતિમાં માનું છું. જેની પાસે શરણાગતિનો રસ્તો હોય, શ્રદ્ધાનો માર્ગ હોય એ નિરાશ ન થાય. મારા જીવનમાં એક પણ એવી ઘટના બની નથી કે હું નિરાશ થયો હોઉં. જે મોડથી ગુજરવું પડ્યું, હરેક ઘાટને મેં પ્રણામ કર્યા છે અને તેથી ગતિ ચાલુ જ રહી છે. કોઈ નિરાશાએ મને રોક્યો નથી... નિરાશામાંથી બહાર નીકળવાનો એક મોટામાં મોટો ઉપાય મારી દષ્ટિએ સાધુ ચરિત વ્યક્તિનો સંગ છે. એક સારી સોબત, એક સારી કંપની માણસને નિરાશામાંથી બહાર કાઢી શકે છે.’

સ્વામી સચ્ચિદાનંદના કાંતિક્રારી અને આક્રમક વિચારો હંમેશાં ધારી અસર પેદા કરતા હોય છે. એ કહે છે કે મુઠ્ઠીભર મુસ્લિમ કે અંગ્રેજ કે કોઈ પણ પ્રજા વર્ષો સુધી તમારા પર રાજ કરે તો એમનામાં કોઈ ખૂબીઓ જરુર હોવી જોઈએ. હિન્દુવાદી સંસ્થાઓએે ખરેખર તો જનતાને આ પ્રજાઓની ખૂબીઓ અને આપણી ખામી બતાવવી જોઈતી હતી. એને બદલે એ જનતાને ‘હમ મહાન હૈ’નો નશો ચડાવતી રહી. ખામીઓ ધ્યાનમાં લાવવાને બદલે પ્રજાને ઊલટા ભારતીય સંસ્કૃતિની મહાનતાની ભાંગના નશામાં ચકચૂર રાખો તો આપણી કમી કઈ રીતે નાબૂદ થવાની? ‘વીરતા પરમો ધર્મ’ એવું સૂત્ર આપીને સ્વામીજી સ્પષ્ટપણે કહે છે કે વીરતા અને અહિંસા એ કંઈ પરસ્પર વિરોધી બાબતો નથી.

મધુ રાયની આત્મકથાની આપણે સૌ તીવ્રતાથી રાહ જોઈ રહ્યા છીએ. ચંદ્રકાંત બક્ષીએ તો એનું શીર્ષક પણ નક્કી કરી નાખ્યું હતું - ‘રિટર્ન ટિકિટ’. કમબખ્તી એ છે કે મધુ રાય આત્મકથા લખવાના કોઈ મૂડમાં નથી. એ કહી દે છે કે મારાં લખાણોમાં મારી આત્મકથા એવી વણાયેલી છે કે એ ફરી લખવાનો અર્થ નથી અને જે નથી લખાયું તે લખવાની હિંમત નથી!

મુલાકાતમાં કેવળ ઉત્તર આપનારનું જ નહીં, બલકે પ્રશ્ન પૂછનારનું વ્યક્તિત્ત્વ પણ છતું થતું હોય છે. લેખિકા જે રીતે સવાલો પૂછે છે અને પછી જવાબોને પચાવીને શબ્દોમાં ઢાળે છે એના પરથી એમની સમજ, નિષ્ઠા અને પક્વતા સ્પષ્ટ થાય છે. સુઘડ છપાઈ ધરાવતાં આ પુસ્તક સાથે એક્સ્ટ્રા બોનસ પણ છે- આ તમામ મુલાકાતોને આવરી લેતી ઓડિયો સીડી. વાંચવાનો જલસો પડે એવું સુંદર પુસ્તક.           0 0 0


  સુરીલા સંવાદ


લેખિકા: આરાધના ભટ્ટ

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧

ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩ 
કિંમત:  ‚. ૩૯૫ /
પૃષ્ઠ:  ૨૩૮


૦ ૦ ૦

Saturday, June 29, 2013

મલ્ટિપ્લેક્સ : ઉડાન પછીનું આકાશ


Sandesh - Sanskaar Purti - 30 June 2013
Column: મલ્ટિપ્લેક્સ
વિક્રમાદિત્ય મોટવાણેની પહેલી ફિલ્મ 'ઉડાન'ની પુષ્કળ તારીફ થઈ હતીપણ તેણે બોક્સઓફિસ પર કમાલ નહોતી કરી. હવે જોવાનું એ છે કે વિક્રમાદિત્ય પોતાની બીજી ફિલ્મલૂટેરા'માં આટ્ર્સ અને કોમર્સનું કોમ્બિનેશન કરી શકે છે કે કેમ!

શહૂર અમેરિક્ન લેખક્ ઓ. હેનરીની એક્ સુંદૃર વાર્તા છે - ‘ધ લાસ્ટ લીફ'. વોશિંગ્ટનની એક ગલીમાં બે સ્ત્રીઓ છે - જોન્સી અને સૂ. જોન્સી મરવા પડી છે. એના પ્રાણ દેહ છોડે એટલી જ વાર છે. પથારીમાં પડી પડી એ બહેનપણીને કહે છેઃ સૂ, બારીમાંથી પેલી વેલ દેખાય છે? બસ, જે દિવસે આ વેલનું છેલ્લું પાંદડું ખરી પડશે તે દિવસે મારો જીવ જતો રહેશે. ગલીમાં નીચે એક મુફલિસ ચિત્રકાર પડયો રહેતો હતો. એ હંમેશાં કહ્યા કરતો કે જોજોને, એક દિવસ હું માસ્ટરપીસ બનાવવાનો છું. સૂ એને જોન્સીની બીમારી વિશે જાણ કરીને કહે છે કે એ હવે ઝાઝું જીવવાની નથી. જે દિવસે વેલનું છેલ્લું પાન ખરશે તે દિવસે એની આંખ મીંચાઈ જશે. ચિત્રકાર હસે છે, આવું તે કંઈ હોતું હશે? આ શું ગાંડા કાઢે છે તારી સખી?
એક રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડે છે. વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ ગયો છે. સૂ બારીનો પડદો બંધ કરી દે છે. જોન્સીને ખાતરી થઈ જાય છે કે આવા તોફાનમાં છેલ્લું પાંદડું તો શું આખેઆખી વેલ જ હતી ન હતી થઈ જવાની. બીજા દિવસે સૂ થથરતા જીવે પડદો હટાવે છે, પણ આ શું? વેલ અને તેનું છેલ્લું પાંદડું બન્ને સલામત છે! જોન્સી કહે છે ઠીક છે, બહુ બહુ તો એક દિવસ, પછી તો પાંદડું ખરવાનું જ ને. દિવસો પસાર થતા જાય છે, પણ પેલું ચમત્કારિક પાંદડું ખરવાનું નામ લેતું નથી. મરવાના વાંકે જીવી રહેલી જોન્સી સાજી થવા લાગે છે. જોતજોતામાં એ તો બિલકુલ ઠીક થઈ જાય છે, પણ કોણ જાણે કેમ પેલો મુફલિસ પેઇન્ટર બીમાર થઈને મરી જાય છે. ડોક્ટર સૂને માહિતી આપતાં કહે છે કે ચિત્રકાર પાસેથી રંગો મિક્સ કરવાની પ્લેટ મળી આવી છે, જેમાં લીલો અને પીળો કલર કાઢીને ભેળવેલા હતા. આટલું કહીને ડોક્ટર ઉમેરે છે, તને હજુય સમજાયું નથી કે તારી બારીની બહાર જે છેલ્લું પાંદડું દેખાય છે તે કેમ ખરતું નથી કે હવામાં હલતું સુધ્ધાં નથી? અરે, તે પાંદડું અસલી નથી, ચિત્ર છે. આ મુફલિસ ચિત્રકારે તૈયાર કરેલું માસ્ટરપીસ છે જે એણે તારી બારીની બહાર ગોઠવ્યું છે. પેલી ભયાનક તોફાની રાતે ભીંજાવાની પરવા કર્યા વિના એણે ગમેતેમ કરીને આ છેલ્લા પાંદડાનું આબેહૂબ ચિત્ર બનાવ્યું હતું કે જેથી જોન્સી એને જોતી રહે ને એનો જીવ બચી જાય!
O. Henry
કેટલી સુંદર કથા! આજે  ઓ. હેન્રીની આ નવલિકા યાદ કરવાનું કારણ એ છે કે આવતા શુક્રવારે રજૂ થઈ રહેલી ફિલ્મ 'લૂટેરા' આ વાર્તા પર આધારિત છે. 'લૂટેરા'ના ડિરેક્ટર છે વિક્રમાદિત્ય મોટવાણે. ૨૦૧૦માં 'ઉડાન' નામની ફિલ્મ આવી હતી, જેમાં યુવાન થઈ રહેલા સ્વપ્નીલ દીકરા (રજત બારમેચા) અને તેના જડભરત પિતા (રોનિત રોય)ની વાત હતી. અદ્ભુત ફિલ્મ હતી આ! વિક્રમાદિત્યની તે સૌથી પહેલી ફિલ્મ. બોક્સઓફિસ પર 'ઉડાને' કમાલ નહોતી કરી તે અલગ વાત છે, પણ એક ફિલ્મમેકર તરીકે, એક સ્વતંત્ર અને કોન્ફિડન્ટ સિનેમેટિક વોઇસ તરીકે વિક્રમાદિત્યે પહેલા જ બોલમાં એટલી જબરદસ્ત સિક્સર ફટકારી હતી કે એની બીજી ફિલ્મ માટે ઉત્કટતાથી રાહ જોવાનું શરૂ થઈ ગયું હતું.
અજાણ્યા અથવા ઓછા જાણીતા કલાકારોવાળી 'ઉડાન' માર્કેટની દૃષ્ટિએ નાની ફિલ્મ હતી, જ્યારે 'લૂટેરા' રણવીરસિંહ અને સોનાક્ષી સિંહા જેવાં 'હેપનિંગ' સ્ટાર્સને ચમકાવતી તેમજ પ્રમાણમાં મોટું બજેટ ધરાવતી ફિલ્મ છે. 'બેન્ડબાજાં બારાત' અને 'લેડીઝ વર્સિસ રિકી બહલ' જેવી ફિલ્મોમાં રણવીરસિંહે ચલતા પૂરજા સ્ટ્રીટ-સ્માર્ટ યુવાનની ભૂમિકા ભજવી હતી. અસલી જીવનમાં પણ એ ભારે વાતોડિયો અને એનર્જેટિક માણસ છે. જોકે 'લૂટેરા'માં એ સાવ અલગ રૂપમાં દેખાવાનો છે- ધીરગંભીર, વિષાદભર્યો, ઇન્ટેન્સ. ‘વિક્રમાદિત્ય મોટવાણે સાથે એની પહેલી મુલાકાત ફિલ્મફેર એવોર્ડ્સ ફંક્શનમાં થઈ હતી. તે વર્ષે ‘વિક્રમાદિત્યને 'ઉડાન' માટે એવોર્ડ મળ્યો હતો. બેક સ્ટેજમાં રણવીરે એને અભિનંદન આપીને કહ્યું કે, મને તારી ફિલ્મ બહુ જ ગમી છે, તારી સાથે કામ કરવું મને બહુ જ ગમશે વગેરે.  વિક્રમાદિત્યે તરત જ કહ્યું, મારી પાસે એક સ્ક્રિપ્ટ છે, બોલ રસ છે તને? બન્ને પછી બાંદરાની ઓટર્સ ક્લબમાં મળ્યા. એમની વચ્ચે તરત ક્લિક થઈ ગયું. એનું એક કારણ એ પણ હતું કે બન્ને સિંધી છે. વિક્રમાદિત્ય 'લૂટેરા'ની બાઉન્ડ સ્ક્રિપ્ટ સાથે લઈને આવ્યો હતો. એણે વાર્તા મૌખિક ન સંભળાવી બલકે રણવીરના હાથમાં સ્ક્રિપ્ટની ફાઇલ થમાવીને કહ્યું, આને વાંચી જજે. રણવીર એ જ રાતે સ્ક્રિપ્ટ વાંચી ગયો. બહુ જ ગમી ગઈ એને ફિલ્મની વાર્તા. વાંચતા વાંચતા કેટલીય વાર એની આંખો છલકાઈ આવી. એણે વિક્રમાદિત્યને ફોન કરીને કહી દીધું, ડન. હું કરી રહ્યો છું તારી ફિલ્મ!
Vikrmaditya Motwane (behind) directing Ranveer Singh and Sonakshi Sinhi (above); (below) still from the film

હા પાડતા તો પડાઈ ગઈ, પણ પછી વર્કશોપ દરમિયાન રણવીરને પરસેવો છૂટી ગયો. એનાથી પાત્રનો સૂર જ પકડાતો નહોતો. એનું ફ્રસ્ટેશન વધતું જતું હતું. એ વારે વારે વિક્રમાદિત્યને પૂછયા કરતો કે ભાઈ, તેં મને પસંદ કરીને ભૂલ તો નથી કરીને? હું ભજવી શકીશ આ કિરદાર? વિક્રમાદિત્ય શાંતિથી કહેતોઃ ડોન્ટ વરી રણવીર, તું કરી શકીશ, મને ખબર છે. તું ભલે બહારથી ભડભડિયો રહ્યો,પણ તારી પર્સનાલિટીનું ગંભીર પાસું મેં જોયું છે. એન્ડ ટ્રસ્ટ ધ પાવર ઓફ કેમેરા! શૂટિંગ શરૂ થયું પછી વિક્રમાદિત્યે એની પાસેથી એવું કામ લીધું કે રણવીર ખુદ પોતાના પર્ફોર્મન્સથી ચકિત થતો ગયો. સોનાક્ષી સિંહાએ અત્યાર સુધી માઇન્ડલેસ ફિલ્મોમાં શો-પીસ જેવા રોલ્સ કર્યા છે, પણ 'લુટેરા'માં સંભવતઃ પહેલી વાર એની અભિનયક્ષમતા જોવા મળશે એવું અત્યારે તો લાગે છે.
છત્રીસ વર્ષીય વિક્રમાદિત્યના મમ્મી એક ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર માટે પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરતાં હતાં. પછી ટેલિવિઝન શોઝ માટે પ્રોડક્શનની જવાબદારી સંભાળવા લાગ્યાં. વિક્રમાદિત્ય સત્તર-અઢાર વર્ષનો હતો ત્યારથી મમ્મીના સેટ પર જતો. એને નાનાં-મોટાં કામમાં મદદ કરતો, થોડુંક પોકેટમની કમાઈ લેતો. પછી 'હમ દિલ દે ચૂકે સનમ' અને 'દેવદાસ' ના મેકિંગ દરમિયાન સંજય ભણસાલીનો આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યો. વિક્રમાદિત્ય આજની તારીખે પણ સ્વીકારે છે કે એની પાસે સિનેમાનું જે કંઈ જ્ઞાન છે તે સંજય સરને કારણે છે. તેણે સંજય કરતાં સાવ અલગ સેન્સિબિલિટી ધરાવતા અનુરાગ કશ્યપ સાથે 'પાંચ' નામની અન-રિલીઝ્ડ ફિલ્મના મેકિંગ દરમિયાન પણ કામ કર્યું છે. 'ઉડાન'ની સ્ક્રિપ્ટ વિક્રમાદિત્યે આ વર્ષોમાં લખી નાખી હતી. અનુરાગ સ્વયં તે અરસામાં સ્ટ્રગલર હતા. તેઓ વિક્રમાદિત્યને કહ્યા કરતા કે જો હું પ્રોડયુસર હોત તો તારી આ ફિલ્મ હું જ પ્રોડયુસ કરત. એવું જ થયું. અનુરાગ જરા પાવરફુલ પોઝિશનમાં આવ્યા ને એમણે 'ઉડાન' પ્રોડયુસ કરી. વિક્રમાદિત્યે વચ્ચેનાં સાત વર્ષના ગાળામાં બીજી કેટલીય સ્ક્રિપ્ટ્સ લખી લખીને તૈયાર રાખી હતી, પણ એનું મન 'ઉડાન' પર જ ઠરતું હતું. 'ઉડાન' ફિલ્મ વિક્રમાદિત્યની ફિલ્મી કરિયરના ઉડાન માટે સશક્ત ટેક-ઓફ પુરવાર થઈ.
Udaan
'યે જવાની હૈ દીવાની' રિલીઝ થઈ ત્યારે એના ડિરેક્ટર અયાન મુખર્જી માટે જે વાત કહી હતી તે જ વાત વિક્રમાદિત્ય મોટવાણેને પણ લાગુ પડે છે. કોઈ પણ તેજસ્વી નવોદિત ફિલ્મમેકરની બીજી ફિલ્મ ખૂબ મહત્ત્વની હોય છે, કારણ કે એનાથી એની ક્ષમતાનું ખરેખરું માપ નીકળતું હોય છે. અયાને તો સુપરડુપર 'યે જવાની...' બનાવીને પોતાની ધાક જમાવી દીધી છે. જોઈએ, 'લુટેરા' વિક્રમાદિત્ય મોટવાણે માટે કેવી કમાલ કરી શકે છે!
શો-સ્ટોપર

અગાઉ હું રાજ કપૂર જેવા બડે બાપ કી ઔલાદ તરીકે ઓળખાતો. આજે હું રણબીર કપૂર જેવા બડા સુપરસ્ટારના બાપ તરીકે ઓળખાઉં છું. અરે ભાઈ, આ બન્નેની વચ્ચે એક રિશિ કપૂર પણ હતો એ તો જરા યાદ રાખો!
- રિશિ કપૂર


નોંધ: આજે ‘સંદૃેશમાં છપાયેલા આ લેખમાં સરતચૂક્થી ‘વિક્રમાદિત્ય મોટવાણે'નો ઉલ્લેખ ‘આદિત્ય મોટવાણે' તરીક્ે થયો છે. બિગ સોરી! 

                                       0 0 0


Friday, June 28, 2013

હોલીવૂડ હંડ્રેડ: સિટીઝન કેન : ખાલી હાથ આએ થે હમ, ખાલી હાથ જાએંગે...


મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) - તા. 28 જૂન 2013

  કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

  વિશ્વની શ્રેષ્ઠ સો નહીં, પણ કેવળ દસ જ ફિલ્મોનું લિસ્ટ બનાવવામાં આવે અને એમાં ‘સિટીઝન કેન’ ન હોય તો તે અધૂરું ગણાય.  આજની તારીખે પણ મોડર્ન અને પ્રસ્તુત લાગતી આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ એક ‘સિનેમેટિક વંડર’ ગણાય છે. 




  ફિલ્મ નંબર 28. સિટીઝન કેન

પ્રવાહ પલટાવી દેતી કલાકૃતિઓ દેખીતી રીતે બહુ ઓછી હોવાની. ‘સિટીઝન કેન’ ફિલ્મે હોલીવૂડમાં ફિલ્મમેકિંગની, વાર્તા કહેવાની શૈલીની સિકલ બદલી નાખી. આ એક માસ્ટરપીસ છે, જેના પાયામાં પાક્કું આયોજન કે ઠંડી ગણતરીઓ નહીં, પણ એના મેકરનું ક્રિયેટિવ સ્વાતંત્ર્ય અને રૉ એનર્જી છે.

   ફિલ્મમાં શું છે?

વર્ષ ૧૯૪૧. દેશ અમેરિકા. ફિલ્મના પ્રારંભમાં જ લાર્જર-ધેન-લાઈફ ઈમેજ ધરાવતા નાયક ચાર્લ્સ ફોસ્ટર કેન (ઓર્સન વેલ્સ)નું પાકી વયે મૃત્યુ થાય છે. ચાર્લ્સ કેન અત્યંત વગદાર અને ધનિક સેલિબ્રિટી છે. કંઈકેટલાય છાપાં-મેગેઝિનોનો માલિક હતો એટલે એણે માત્ર સમાચારો આપવાનું નહીં, બલકે અમેરિકનોના અભિપ્રાયો ઘડવાનું કામ કર્યું હતું. આ સિવાય પણ એના કંઈકેટલાય બિઝનેસ હતા. આખી ટાઉનશિપ ઊભી થઈ જાય એવડી પ્રાઈવેટ પ્રોપર્ટીમાં એનો ભવ્ય બંગલો હતો. કેન મૃત્યુ પામ્યો ત્યારે તેની જીભ પર આવેલો છેલ્લો શબ્દ હતો, ‘રોઝબડ’ (ગુલાબની ખુલ્યા વિનાની કળી). ચાર્લ્સ કેને અંતિમ ઘડીએ આ શબ્દ કેમ ઉચ્ચાર્યો હતો? શું આ કોઈ કોડવર્ડ છે? ન્યુઝરીલ બનાવતી એક એજન્સીનો એડિટર પોતાના રિપોર્ટરને કામે લગાડી દે છે: જા, આ ‘રોઝબડ’નો ભેદ ઉકેલી લાવ.

  હવે શરુ થાય છે રિર્પોટરનું ઈન્વેસ્ટિગેટિવ ફિલ્ડવર્ક. ચાર્લ્સ કેનથી નિકટ રહી ચુકેલા લોકોને એ એક પછી એક મળતો જાય છે અને કેનનું જીવન ક્રમશ: ટુકડાઓમાં ખૂલતું જાય છે. કેનને સારી એવી ધનસંપત્તિ ઉપરાંત ‘ડેઈલી ઈન્કવાયર’ નામનું તગડી ખોટ કરતું છાપું પોતાના પાલક પિતા તરફથી વારસામાં મળ્યું હતું. એ કંઈ પહેલેથી મૂડીવાદી નહોતો. યુવાનીમાં તો એ ઠીક ઠીક આદર્શવાદી હતો અને સિદ્ધાંતનિષ્ઠ પત્રકારત્વમાં માનતો હતો. ધીમે ધીમે એણે અખબારને મજબૂત અને કમાતું-ધમાતું બનાવ્યું. પછી એમિલી (રુથ વોરિક) નામની અમેરિકન પ્રેસિડન્ટની ભત્રીજી સાથે લગ્ન કર્યાં. ખુદ રાજકારણમાં ઝંપલાવ્યું, પણ ગર્વનરની ચુંટણીમાં આગળ વધે તે પહેલાં સુસન (ડોરોથી કમિન્ગોર) નામની ઊભરતી ગાયિકા સાથેનું એનું અફેર છાપામાં ચગ્યું. ચાર્લ્સ કેને રાજકીય કારકિર્દી અને પત્ની બન્ને ગુમાવ્યાં.



  એ સુસનને પરણી ગયો. સુસન ઉત્સાહી ખૂબ હતી પણ બાપડીમાં ટેલેન્ટની કમી હતી. છતાંય એના માટે ચાર્લ્સ કેને એક ઓપેરા હાઉસ બનાવ્યું,  ખર્ચાળ ઓપેરા પ્રોડ્યુસ કર્યું. સુસનનાં પર્ફોર્મન્સમાં ભલીવાર નથી તે કેન અંદરખાને સમજતો હતો. એના અખબાર માટે સમીક્ષક તરીકે કામ કરતા એના જ દોસ્તે સુસનની તીખી ટીકા કરતો રિવ્યુ લખ્યો. લખવાનું પૂરું કરે તે પહેલાં એ દારુના નશામાં ઢળી પડ્યો. ચાર્લ્સ કેને તે અધૂરો રિવ્યુ એ જ નેગેટિવ સૂરમાં પૂરો કર્યો અને બીજા દિવસે પોતાનાં તમામ અખબારોમાં બેધડક છાપ્યો પણ ખરો. સુસન દુખી દુખી થઈ ગઈ. એ કરીઅર પર પૂર્ણવિરામ મૂકી દેવા માગતી હતી, પણ કેન તેને આગળ વધવા પ્રોત્સાહિત કરતો રહ્યો. પેલા સમીક્ષકને એણે નોકરીમાંથી છુટો કરી નાખ્યો હતો. ફ્રસ્ટ્રેટ થયેલી સુસન આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. કેને એના માટે મહેલ જેવો ભવ્ય આવાસ તૈયાર કર્યો, પણ દોમ દોમ સાહ્યબી વચ્ચે પણ સુસનના જીવને ચેન નહોતો. એની એક જ ફરિયાદ હતી: તું મને પ્રેમ કરતો નથી, તું ફક્ત પૈસા ફેંકી જાણે છે. એક વાર પતિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. સુસન એને છોડીને જતી રહી. ક્રોધે ભરાયેલો કેને સુસનના ઓરડાનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. શો-પીસ તરીકે વપરાતો એક પારદર્શક નાનકડો ગોળો (સ્નો-ગ્લોબ) એના હાથમાં આવી ગયો. એના મોંમાંથી એક શબ્દ નીકળ્યો: ‘રોઝબડ’. કેનના બટલર તરીકે કામ કરતા રેમન્ડ (પોલ સ્ટુઅર્ટ)ના કાન પર આ શબ્દ બરાબર ઝીલાયો.    
  જીવનના અંતિમ વર્ષોમાં એકલો પડી ગયેલો કેન બીમારી ભોગવીને મૃત્યુ પામ્યો. જીવ છોડતી વખતે એના મુખ પર ‘રોઝબડ’ શબ્દ ફરી આવ્યો.

ચાર્લ્સ કેનના મૃત્યુ પછી એના આવાસની કિમતી ચીજવસ્તુઓને નાનામોટાં બોક્સમાં પેક કરી દેવામાં આવી. અમુક સામાનનો નાશ કરવામાં આવ્યો. નષ્ટ થયેલા સામાનમાં પેલો નાનો પારદર્શક ગોળો પણ છે. ફિલ્મના અંતે રેમન્ડ પેલા ન્યુઝ રિપોર્ટરને કહે છે: ‘રોઝબડ શબ્દનો કંઈ મતલબ છે જ નહીં. ચાર્લ્સ કેન પાસે બધું જ હતું, પણ એ બધું જ ખોઈ બેઠો. કદાચ રોઝબડ એવી વસ્તુ હોવી જોઈએ જેને તે ગુમાવી ચુક્યો હતો અને પછી તે વસ્તુ એને ફરી ક્યારેય મળી નહીં.’ આ બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

  ઓર્સન વેલ્સ થિયેટર અને રેડિયો આર્ટિસ્ટ તરીકે જાણીતા થઈ ચુક્યા હતા, પણ ડિરેક્ટર તરીકે ‘સિટીઝન કેન’ એમની પહેલી જ ફિલ્મ. મુખ્ય હીરોની ભુમિકા પણ એમણે જ ભજવી. આરકેઓ સ્ટુડિયોએ એમને ફિલ્મ લખવાથી માંડીને ડિરેક્ટ કરવાની અને ફાયનલ કટ સુધીનું એડિટિંગ કરવાની પૂરેપૂરી છૂટ આપી હતી. ફર્સ્ટ-ટાઈમ ડિરેક્ટરને આટલી સ્વતંત્રતા મળી હોય એવું હોલિવૂડમાં પહેલી વાર બની રહ્યું હતું. હર્મન મેન્કીવીક્ઝ નામના સિનિયર આલ્કોહોલિક સ્ક્રિપ્ટ-રાઈટરને ઓર્સને સાથે લીધા. ફિલ્મની વાર્તા લખતી વખતે વિલિયમ રેનડોલ્ફ હેર્ટ્ઝ નામના તે સમયના અમેરિકન મિડિયાના અસલી માંધાતાને રેફરન્સ પોઈન્ટ બનાવવામાં આવ્યા. પોતાની લાઈફ પરથી આરકેઓ સ્ટુડિયોવાળા ફિલ્મ બનાવી રહ્યા છે એવી ખબર પડતાં જ હેર્ટ્ઝ ધૂંઆફૂંઆ થઈ ગયા હતા. આ પ્રોજેક્ટ અટકાવી દેવા માટે સ્ટુડિયો પર ખૂબ દબાણ પણ લાવ્યા, પણ સ્ટુડિયોના સાહેબો અડગ રહ્યા.  ફિલ્મ બની અને જોરદાર પ્રમોશનને અંતે રિલીઝ પણ થઈ.



  ‘સિટીઝન કેન’ જોઈને દર્શકો અને સમીક્ષકો ચકિત થઈ ગયા. હોલીવૂડની ફિલ્મો અત્યાર સુધી જે બીબાંમાં બની રહી હતી તેનો ‘સિટીઝન કેન’માં ભુક્કો બોલી ગયો હતો. એક સામાન્ય સમજ એવી છે કે ફિલ્મની વાર્તા કોઈ એક જ વ્યક્તિના પોઈન્ટ-ઓફ-વ્યુથી કહેવાવી જોઈએ (ઈન ફેક્ટ, આપણી મોટા ભાગની ફિલ્મો, સિરિયલો અને નાટકો આજની તારીખે પણ આ નિયમને વળગી રહ્યાં છે), પણ ‘સિટીઝન કેન’માં વાર્તા અલગ અલગ કેટલાય લોકોના દષ્ટિકોણથી, ફ્લેશબેકમાં, સીધી લીટીમાં (લિનીઅર) નહીં, પણ આડીઅવળી ગતિ કરતી  આગળ વધે છે. ફિલ્મમેકિંગની આવી સ્ટાઈલ હોલીવૂડે અત્યાર સુધી ક્યારેય જોઈ નહોતી. નવો ફ્લેશબેક શરુ થાય એટલે થોડીક વાર્તા રિપીટ થાય, ફરી પાછાં ચાર્લ્સ કેનના કોમ્પ્લીકેટેડ વ્યક્તિત્ત્વનાં નવાં પાસાં સામે આવે. વાર્તા આગળ વધતી જાય તેમ તેમ જવાબ મળવાને બદલે સવાલો ઘૂંટાતા જાય. ફિલ્મની સિનેેમેટોગ્રાફી અને મેકઅપમાં પણ ઈન્ટરેસ્ંિટગ અને નવતર અખતરા કરવામાં આવ્યા હતા.

  ડિરેક્ટર-એક્ટર-રાઈટર ઓર્સન વેલ્સને પછી પૂછવામાં આવ્યું હતું કે કરીઅરની પહેલી જ ફિલ્મમાં આવી તદ્ન જુદી શૈલી અપનાવવાનો કોન્ફિડન્સ તમારામાં કેવી રીતે આવ્યો હતો? ઓર્સને વેલ્સનો જવાબ સાંભળોેે: ‘ફ્રોમ ઈગ્નોરન્સ... શીઅર ઈગ્નોરન્સ! મને ખબર જ નહોતી કે ફિલ્મ કેવી રીતે બનાવાય. હું તો મારી રીતે ફિલ્મ બનાવતો ગયો. આપણે આપણાં ફિલ્ડનાં નીતિ-નિયમો વિશે થોડુંઘણું જાણતા હોઈએ તો સભાન બની જઈએ, પણ કશી ખબર જ ન હોય તો શું કરવાનું. જે મનમાં આવે તે પ્રમાણે આગળ વધતા જવાનું. ‘સિટીઝન કેન’ના કેસમાં એક્ઝેક્ટલી એવું જ થયું હતું હતું.’



  જે પ્રશ્નના આધાર પર આખી ફિલ્મ ઊભી છે તે ‘રોઝબડ’ આખરે છે શું? વિખ્યાત ફિલ્મ સમીક્ષક રોજર ઈબર્ટ કહે છે કે રોઝબડ કદાચ સલામતીની ભાવના, આશા અને બાળપણની નિર્દોષતાનું પ્રતીક છે. આપણે મોટા થતા જઈએ તેમ તેમ નાનપણના નિર્ભેળ આનંદને વધુને વધુ મિસ કરતા જઈએ છીએ. ચાર્લ્સ કેને ચિક્કાર સફળતા મેળવી, દુનિયાભરની સમૃદ્ધિ મેળવી, ખૂબ ફેમસ થયો પણ પછી શું? એ એકલો પડી ગયો અને અંદરથી ખાલી ને ઉદાસ જ રહ્યો. જીવનની ઈતિ શું છે? ફિલ્મનો ફિલોસોફિકલ સૂર એ છે કે જો આખરે એકલતા અને વિષાદ જ સાંપડવાનો હોય તો જિંદગીભર ઉધામા કરતા રહેવાનો ખાસ મતલબ હોતો નથી. ‘સિટીઝન કેન’ની ડીવીડીના સ્પેશિયલ ફીચર્સ સેક્શનમાં રોજર ઈબર્ટની મસ્ત રનિંગ કોમેન્ટ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોજર ઈબર્ટની વેબસાઈટ પર જઈને એમણે લખેલો ‘સિટીઝન કેન’નો અફલાતૂન રિવ્યુ ખાસ વાંચજો.

  બીજા વિશ્વયુદ્ધને કારણે ‘સિટીઝન કેન’ યુરોપમાં રિલીઝ નહોતી થઈ શકી. આ ફિલ્મ થોડાં વર્ષો પછી એકાએક લાઈમલાઈટમાં આવી. પછી તો એના વિશે ખૂબ લખાયું, ડોક્યુમેન્ટરી ફિલ્મો બની.  દુનિયાભરના ફિલ્મમેકરો ‘સિટીઝન કેન’થી પ્રભાવિત થયા છે. એની નરેટિવ શૈલીની પછી તો ઘણી નકલ થઈ. આ ફિલ્મ એક ‘સિનેમેટિક વંડર’ ગણાય છે. આજની તારીખે પણ આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ ખૂબ જ રેલેવન્ટ અને મોડર્ન લાગે છે. ક્લાસિક ફિલ્મો સામાન્યપણે બહુ ધીમી, આર્ટી-આર્ટી અને કંટાળજનક હોય છે એવી એક છાપ છે. ‘સિટીઝન કેન’ના કિસ્સામાં આ બાબતે નિશ્ચિંત થઈ જજો. આ છેક સુધી જકડી રાખતી ગતિશીલ ફિલ્મ છે. ડોન્ટ મિસ ઈટ!

 ‘સિટીઝન કેન’ ફેક્ટ ફાઈલ 

   ડિરેક્ટર           : ઓર્સન વેલ્સ

  સ્ક્રીનપ્લે          : હર્મન મેન્કીવીક્ઝ, ઓર્સન વેલ્સ

  કલાકાર           : ઓર્સન વેલ્સ, ડોરોથી કમિન્ગોર, જોસેફ કોટન, રુથ વોરિક
 
  રિલીઝ ડેટ        : ૧ મે, ૧૯૪૧

  મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો ઓસ્કર ૦ ૦ ૦