Saturday, July 21, 2012

જિંદગી કે સફર મેં...


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - ૨૨ જુલાઈ ૨૦૧૨ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ


રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનું લગ્નજીવન એક્શન-પેક્ડ હિન્દી ફિલ્મ જેવું રહ્યું  -ઘટનાપ્રચુર, વિસ્ફોટક. એમના સંબંધે આ ૩૯ વર્ષોમાં કેવાં કેવાં સ્વરૂપો બદલ્યાં?  




દશ્ય એક

ઓગસ્ટ ૧૯૭૩. સુપર સ્ટાર રાજેશ ખન્ના અને બોબીગર્લ ડિમ્પલ કાપડિયાનાં લગ્નને માંડ પાંચ મહિના થયા છે. રાજેશ ખણાને પૂછવામાં આવે છેઃ તો કેવી જઈ રહી છે તમારી મેરિડ લાઈફ, મિસ્ટર  ખન્ના ?

‘ફેન્ટેસ્ટિક!’ રાજેશ ખન્ના ખુશખુશાલ થઈને જવાબ આપે છે.

 અને કેવું રહ્યંુ હનીમૂન?

‘ઓહ, ફેબ્યુલસ!’ એમનો ચહેરો ઓર ખીલે છે, ‘મે હની-ફની-સની-મૂનની એકેએક પળને ખૂબ એન્જોય કરી. ઈટ વોઝ એબ્સોલ્યુટલી ફેબ્યુલસ!’

થોડા મહિનાઓ પછી એમને પૂછાય છેઃ રાજેશજી, તમે બાપ બનવાના છો. કેવું લાગે છે?

‘અદભુત! મારા ખ્યાલ મુજબ ડોક્ટરે જાન્યુઆરીની તારીખ આપી છે.’

જાન્યુઆરી નહીં, પણ ડિસેમ્બર ૧૯૭૪માં દીકરી ટિ્વંકલનો જન્મ થાય છે. આનંદનો મહાસાગર ઉછળે છે. દેખીતી રીતે જ ડિમ્પલ કાકાના જીવનમાં ખૂબ બધી ખુશીઓ લાવી છે.

દશ્ય બીજું

કશું જ અચળ રહેતું નથી. એમાંય રાજેશ ખન્ના જેવા સુપરસ્ટારના જીવનમાં તો કશું જ સ્થિર રહી શકે તેમ નથી.  ૧૧ વર્ષનાં લગ્નજીવન પછી ૧૯૮૪માં પતિપત્ની નોખાં થઈ ગયાં છે.  તેમણે ડિવોર્સ લીધા નથી, પણ બન્ને પોતપોતાના રસ્તે આગળ વધી ગયાં છે. એમના સંબંધ હાંફી ગયો હતો, પણ ધીમે ધીમે શ્વાસોચ્છવાસ નોર્મલ થઈ ગયા છે. અલબત્ત, કેટલાય અનુત્તર પ્રશ્નો હવામાં હજુય એમ જ તોળાયેલા છે. હા, હવે આ સવાલો પહેલાંની માફક જીવલેણ પીડા પેદા કરતા, નથી એટલું જ. મે ૧૯૯૦માં ‘સ્ટારડસ્ટ’ મેગેઝિન એક ફીચર સ્ટોરી કરે છે. મેગેઝિનની એડિટોરિયલ ટીમ વિખૂટા પડી ગયેલાં રાજેશ ખન્ના- ડિમ્પલને એકઠાં કરે છે. એકમેકને કદીય પૂછી ન શકાયેલા સવાલો બન્નેએ જીભ પર લાવવાના છે અને બને એટલા પ્રામાણિક રહીને એના ઉત્તર આપવાના છે. આ રહ્યા કાકાડિમ્પલ વચ્ચે થયેલી એ પ્રશ્નોત્તરીના કેટલાક અંશઃ

ડિમ્પલઃ       ‘હું તો લગ્ન ઝંખતી હતી. એક પતિ, એક કંપેનિયન ઝંખતી હતી...’

રાજેશ ખન્નાઃ ‘તો તારે મને આખેઆખો, મારી નબળાઈઓ સહિત સ્વીકારી લેવો જોઈતો હતો. તારે સમજવું    જોઈતું હતું કે મારી જગ્યાએ જો તું હોત તો તેં પણ મારા જેવું જ વર્તન કર્યુ હોત...’

ડિમ્પલઃ         ‘હું પહેલી વાર ‘આશીર્વાદ’ છોડીને જતી રહી હતી ત્યારે તમારું પહેલું રિએક્શન શું હતું?’

રાજેશ ખન્નાઃ  ‘નિરાંત! રિલીફ!’

ડિમ્પલઃ          ‘તમે સ્ત્રીપુરુષ સમાનતામાં માનો છો?’



રાજેશ ખન્નાઃ     ‘સ્ત્રી પુરુષને સમોવડી હોઈ શકે જ નહીં. એ તો પુરુષ કરતાં ચડિયાતી છે. સ્ત્રી મા બની શકે છે, જન્મ આપી શકે છે, પુરુષ નહીં. માતૃત્વની ગરિમા જળવાવી બહુ મહત્ત્વની છે. પોતાની મા પરપુરુષ સાથે સંબંધ ધરાવતી હોય એ ક્યા સંતાનને ગમે?’

ડિમ્પલઃ         ‘એક્સક્યુઝ મી. પોતાનો પિતા પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોય તો એ પણ કોઈ સંતાનને ન જ ગમે. સંતાન પર મા અને બાપ બન્નેનો પ્રભાવ પડતો હોય છે, રાઈટ?’

રાજેશ ખન્નાઃ  ‘હા, પણ પુરુષથી ગરિમા ઝંખવાશે નહીં, કારણ કે એણે સંતાનને જન્મ આપ્યો નથી. ઓકે, ધારો કે કાલે તું મારી પાસે પાછી ફરે તો તને લાગે છે કે હું તને ફરીથી સ્વીકારી લઈશ?’

ડિમ્પલઃ     ‘શા માટે તમે મને સ્વીકારશો કે કેમ એ જ સવાલ હોવો જોઈએ? એવું કેમ પૂછતા નથી કે તમે મારી પાસે પાછા ફરો તો હું તમને સ્વીકારીશ કે નહીં? આપણા રસ્તા બહુ અલગ પડી ગયા છે. મને લાગે છે કે આપણે એકબીજાથી અલગ જ ખુશ રહી શકીએ છીએ...’

દશ્ય ત્રણ





૧૯ જુલાઈ, ૨૦૧૨. સ્થળઃ મુંબઈમાં વિલેપાર્લેનું સ્મશાન. ચિતા પર રાજેશ ખન્નાનો નિષ્ચેષ્ટ દેહ પડ્યો છે. કાકાના અંતિમ દિવસોમાં સતત સાથે રહેલી ડિમ્પલ હવે રડી રડીને નિચોવાઈ ચૂકી છે. જેણે આખી જિંદગી ચિક્કાર સુખ અને પુષ્કળ પીડા આપી છે એ પતિનો નિર્જીવ હાથ એણે સજ્જડ પકડી રાખ્યો છે. પતિએ પ્રાણ છોડ્યા ત્યારે પણ ડિમ્પલનો હાથ આ જ રીતે એમના હાથમાં હતો. ડિમ્પલનો બીજો હાથ પતિના ઠંડા પડી ગયેલા કપાળ પર ફરી રહ્યો છે. જાણે કે કશુંક કમ્યુનિકેશન થઈ  રહ્યું છે બન્ને વચ્ચે. અગ્નિદાહ આપવાની ઘડી નજીક આવે છે. ડિમ્પલ પતિના શરીર પર અને ચહેરા પર ઘી રેડે છે. અગ્નિદાહ અપાય છે.  ડિમ્પલ ભાંગી પડે છે. ન ઉકેલાયેલા કોયડા જેવો એમનો ૩૯ વર્ષનો સંબંધ જાણે આંખ સામે ભડભડ કરતો સળગી રહ્યો છે. ના, આ સંબંધ પર હજુય પૂર્ણવિરામ મૂકાયું નથી. માત્ર સંબંધનું સ્વરૂપ બદલાયું છે. ફરી એક વાર.

શો-સ્ટોપર


જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈં જો મકામ વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે.... 


- રાજેશ ખન્નાની ફિલ્મ ‘આપ કી કસમ’નું એક ગીત 

Monday, July 16, 2012

બૉસ કેવી રીતે બનશો?


 ચિત્રલેખા - અંક તા. જુલાઈ ૨૦૧૨ 

કોલમઃ વાંચવા જેવું 

                                                                                                           

‘મેનેજમેન્ટ’ અને ‘લીડરશીપ’ આ બે શબ્દો એકસાથે સાંભળો. શક્ય છે કે આ શબ્દોને કારણે તમારા મનમાં અૌપચારિકતાના બોજવાળું એક શુષ્ક વર્તુળ રચાઈ જાય. આ ઈમેજ જોકે છેતરામણી છે. મેનેજમેન્ટ એટલે માત્ર એમબીએની ડિગ્રી કે સોગિયા મોઢાવાળા સુટેડબુટેડ સાહેબો કે કોર્પોરેટ મિટીંગ્સમાં ફેંકાતા અઘરા અઘરા શબ્દોની માયાજાળ નહીં, પ્લીઝ. ‘ધ બૉસ’ પુસ્તકમાંથી પસાર થશો એટલે સ્પષ્ટ થતું જશે કે ‘મેનેજમેન્ટ’ અને ‘લીડરશીપ’ શબ્દોનું વર્તુળ તો ખૂબ મોટું છે. લેખકો કહે છે તેમ, મેનેજમેન્ટ એ કોઈ વિષયનું નામ નથી. એ એક જીવનશૈલીનું, એક મિજાજનું કે એક સ્પિરિટનું નામ છે. ગુણવંત શાહે જુદાં જુદાં પ્રકાશનોમાં લખેલા તેંત્રીસ જેટલા લેખોના આ સંગ્રહમાં મેનેજમેન્ટનો એ સ્પિરિટ ફક્કડ રીતે ઝીલાયો છે.

બૉસ હોવું એટલે શું? ગુણવંત શાહ કહે છે કે બૉસ હોવું એટલે લીડર હોવું. બૉસ હોવું એટલે પહેલ કરનારા હોવું. બૉસ હોવું એટલે નિર્ણય લેનારા હોવું. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો એ વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના શોર્ટ ફોર્મનો ખરો મર્મ શો છે? ‘સી’ એટલે કોન્ફિડન્સ, ‘ઈ’ એટલે એફિશિયન્સી (કાર્યક્ષમતા) અને ‘ઓ’ એટલે ઓર્ગેનાઈઝડ બિહેવિયર (વર્તનવ્યવસ્થા)!

જે -તે કંપનીના બૉસ કે સીઈઓએ મેનેજમેન્ટના માસ્ટર બનવું પડે. લેખક મેનેજમેન્ટનું સૌથી મહત્ત્વનું સૂત્ર ગીતામાંથી શોધી કાઢે છે.  કૃષ્ણ અર્જુનને કહે છે, ‘યોગઃ કર્મસુ કૌસલમ’. અર્થાત, કર્મની કુશળતા એ યોગ છે. ગીતામાં એક ઑર સૂત્ર પણ છેઃ ‘સમત્વં યોગ ઉચ્યતે’. સમત્વ જાળવી શકતો બૉસ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ડગતો નથી. ઓફિસની અડધી સમસ્યા તો બોસના આત્મવિશ્વાસને કારણે ઊભી થતી અટકી જાય છે. બૉસના આત્મવિશ્વાસની અસર છેક પટાવાળા સુધી પહોંચતી હોય છે.



બોસ પ્રભાવશાળી હોય એ જરૂરી છે. લેખક કહે છે કે પ્રભાવહીન બોસ પોતાની સંસ્થાને ભારે નુક્સાન પહોંચાડી શકે છે. ગરીબી દૂર કરવી હોય તો ગરીબડા બૉસને દૂર કરવો પડે. નાની નાની લુચ્ચાઈ બૉસની શોભા ઘટાડે છે. સહકાર્યકર્તાઓને ખબર પડી જાય છે કે સાહેબ ભરોસાપાત્ર નથી. આવું બને ત્યારે સમગ્ર કંપનીનો જસો યા તો સ્પિરિટ ઓછો થાય છે. પોતાના જુનિયર્સનો આદર ક્યારેય સહેલાઈથી મળતો નથી. જૂઠા અને લુચ્ચા બૉસની પર્સનાલિટી નિવૃત્તિ પછી ઓફિસ છૂટી જાય ત્યારે ખાલી કોથળા જેવી થઈ જતી હોય છે. વટ અને પ્રભાવમાં ફર્ક છે. હોદ્દાનો વટ પડે છેે, જ્યારે ચારિત્ર્યનો પ્રભાવ પડે છે. વડાપ્રધાનનો વટ પડે, જ્યારે મહાત્મા ગાંધીનો પ્રભાવ પડે છે. વટ કરતાં પ્રભાવનું આયુષ્ય લાંબું હોય છે. બોસ નિવૃત્ત થાય ત્યારે વટ ખતમ થાય છે, પણ પ્રભાવ ખતમ થતો નથી.

ગુણવંત શાહ જેવા ચિંતક મેનેજમેન્ટના વિષય પર લખે ત્યારે મજા એ વાતની હોય છે કે લખાણમાં મેનેજમેન્ટની થિયરીઓની સાથે સાથે રામાયણ અને મહાભારતની વાતોની પણ રેલમછેમ હોય છે! આ રહ્યું એક ઑર દષ્ટાંત. એક જગ્યાએ એમણે લખ્યું છેઃ

‘વાલ્મીકિ રામાયણમાં દશરથના સિનિયર-મોસ્ટ પ્રધાન સુમન્ત્રને માટે ‘ત્વરિતવિક્રમઃ’ વિશેષણ પ્રયોજાયું છે. જે વ્યક્તિ કામનો ઝટ નિકાલ લાવવાનું પરાક્રમ ધરાવે તે ‘ત્વરિતવિક્રમ’ કહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલ આવા સમર્થ શાસક હતા. આવી જ કાર્યક્ષમતા મોરારજીભાઈ દેસાઈમાં પણ હતી. સમર્થ મેનેજર નિર્ણય લીધા પછી એનો અમલ કરવામાં વિલંબ કરતો નથી.’

લોર્ડ માઉન્ટબેટન માનતા હતા કે આઝાદી મળ્યા પછી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનતા પંદર વર્ષ લાગી જશે, પણ સરદારે આ ચમત્કાર દસબાર મહિનામાં કરી બતાવ્યો! મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ જ નહીં, પણ સૌ કોઈએ સરદારની શાસનશૈલીનાં નીચેનાં ચાર લક્ષણોને આત્મસાત કરવાં જેવાં છેઃ (૧) વેધક દષ્ટિએ પરિસ્થિતિનો કાર્ડિયોગ્રામ મેળવી લેવો. (૨) બધો વિચાર કર્યા પછી પૂરી મક્કમતાથી સમસ્યાનો ઉકેલ અંગે નિર્ણય લેવો. (૩) નિર્ણય લેવાઈ જાય પછી કોઈ પણ જાતની અવઢવ વિના એ નિર્ણયને પાર પાડવા માટે શક્તિનું છેલ્લું ટીપું વાપરી નાખવું. (૪) આમ કરતી વખતે દેશના (એટલે કે સામૂહિક) હિતનો જ વિચાર કરવો અને ક્યાંય વ્યક્તિગત સ્વાર્થ વચ્ચે આવવા દેવો નહીં.

કંપનીમાં ખરો વહીવટકર્તા કોણ ગણાય? લેખક કહે છે કે પ્રત્યેક ‘જ્ઞાન-કારીગર’ આજની કંપનીમાં વહીવટકર્તા છે. સેનાપતિ પાયાની વ્યૂહરચના સમજાવી શકે, પરંતુ પળ પળના નિર્ણયો જેતે સિપાઈએ જાતે જ લેવા પડે છે. આજની ‘જ્ઞાન કંપની’ઓમાં પ્રત્યેક નિર્ણયકર્તા  એક ‘વહીવટકર્તા’ જ છે.

Narayan Murthy: Climbing to the top!


પુસ્તકમાં મૂકાયેલાં નાનામોટા ચિક્કાર ફીલર્સ તો મુખ્ય લેખો કરતાંય ચોટદાર છે. પુસ્તકમાં એક તરફ મનોવિજ્ઞાની અબ્રાહમ મેસ્લોની સેલ્ફએક્ચ્યુલાઈઝેશનની સમજૂતી છે તો બીજી બાજુ ભગવાન બુદ્ધના ચાર આર્યસત્યો છે. અહીં માર્કેટિંગ પણ છે અને મહંમદ પણ છે. ‘ઈન્ફોસિસ’ના ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને કોફાઉન્ડર નંદન નિલકાનીનાં યાદગાર પ્રવચનોને ય અહીં સ્થાન મળ્યું છે. નારાયણ મૂર્તિ કહે છે કે એમની સફળતાના પાયામાં આ ચાર ચીજો છેઃ જીવનના અનુભવોમાંથી મળતી શીખ, વિકાસશીલ માનસિકતા, ઓચિંતી બનતી આકસ્મિક ઘટનાઓ (ચાન્સ ઈવેન્ટ્સ) અને ‘સ્વ’ અંગે વિચારવાની ટેવ.

અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલા પોતાના લેખોને સંગ્રહરૂપે બહાર પાડતી વખતે સહેજ પણ એડિટ કરવાની તસ્દી ન લેતા આળસુ લેખકોએ આ પુસ્તકમાંથી ઘણું શીખવાનું છે. મનીષા મનીષે અહીં લેખો બેઠ્ઠા છાપી નથી નાખ્યા, બલકે ફૂટનોટ્સ તેમજ પૂરક નોંધો વડે એને અપડેટ કર્યા છે અને આખા પુસ્તકની સૂઝપૂર્વક ગૂંથણી કરી છે.

સીધીસાદી ગૃહિણીથી માંડીને પાંચસો માણસોનો સ્ટાફ ધરાવતી કંપનીના માલિક સુધીના સૌને અપીલ કરી શકે એટલું પાવરફુલ પુસ્તક.                                               ૦ ૦ ૦


ધ બૉસ


લેખકોઃ ગુણવંત શાહ  - મનીષા મનીષ
પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૨
ફોનઃ (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
કિંમતઃ  રૂ. ૨૫૦ /  
પૃષ્ઠઃ  ૨૪૪

Monday, July 9, 2012

અજબ શોઝની ગજબ વાતો


 ચિત્રલેખા -  અંક તા. 9 જુલાઈ 2012

કોલમઃ વાંચવા જેવું 

Lido (Paris)
                                                                              
વિદેશનાં પ્રવાસવર્ણન વિશેનાં ઢગલાબંધ લખાણો આપણી આંખ સામે આવતાં રહે છે, પણ એમાં સ્થાનિક રંગભૂમિ અને અજબગજબના શોઝ વિશેની વાતો કાં તો સદંતર ગાયબ હોય અથવા તો એના વિશે સાવ ઉપરછલ્લા ઉલ્લેખો હોય. ઈવન વિદેશપ્રવાસ કરી આવેલા મિત્રો-પરિચિતો પાછા આવીને ઉત્સાહભેર વાતો કરતા હોય ત્યારે એમાં આ પ્રકારના શોઝ લગભગ ગેરહાજર હોય છે. આનું કારણ છે શોઝની મોંઘીદાટ ટિકિટો. દેખીતું છે કે થોડી મિનિટો કે કલાકો ચાલતા આવા એક શો માટે દસ-વીસ હજાર રૂપિયા ખર્ચવા કંઈ સૌને ન પોષાય. ધારો કે પોષાતું હોય તો એ માટે જરુરી પેશન કે ઊંડો રસ હોતા નથી.

આ ફરિયાદનો કાયમી છેદ ઉડાવી દેવો હોય એમ સંગીતા જોશી એકસાથે બે પુસ્તકો લઈને આવ્યાં છે ‘ઓપેરા હાઉસ’ અને ‘અમેરિકાના શો’. બન્ને પુસ્તકોમાં આ વિષય એટલી સરસ રીતે ખેડાયો છે કે એક સ્તરે વાંચનાર ઊંડો સંતોષ અનુભવે અને બીજા સ્તરે, એને જોરદાર તાલાવેલી જાગે કે ક્યારે વિદેશ જાઉં અને અને ક્યારે આ શોઝ ખુદ માણવાની તક ઝડપું!  ‘અમેરિકાના શો’ના ૨૩ લેખોમાં માત્ર સ્થાનિક શોઝની વાતો છે, જ્યારે ‘ઓપેરા હાઉસ’ના ૩૮ લેખોમાં અમેરિકા સિવાયના દેશોના  શોઝ આવરી લેવામાં આવ્યા છે. આ તમામ લેખો અગાઉ ‘મુંબઈ સમાચાર’માં કોલમ સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે.

લેખિકા કહે છે કે સિંગાપોર ગયા હો અને સેન્ટોસા આઈલેન્ડ પર ચાલતો ‘સોંગ ઓફ ધ સી’ ના દેખા તો ક્યા દેખા! અહીં દરિયાકિનારે એક અનોખો અને અદભુત પરમેનન્ટ સેટ છે, જે પાણીની અંદર ઊભો કરવામાં આવ્યો છે. ૨૫૦૦ પ્રક્ષકો સમાઈ શકે એટલી બેઠકોની સાવ આગળની રૉ અને દરિયાના પાણી વચ્ચે ચાલીસેક ફૂટનું અંતર હોય. પાણીમાં ૧૨૦ મીટર લાંબા સ્ટ્રક્ચરમાં મલેશિયન ગામડાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. પાણીના ફુવારા ઉડાડવા માટે ૬૯ મશીન, આકાશમાં અદભુત આતશબાજી કરતાં મશીન, લેસર લાઈટના શેરડા છોડતા મશીન અને પાઈરોટેક્નિક ડિસ્પ્લે કરતાં મશીન વગેરે સેટ પર ખૂબીપૂર્વક સંતાડવામાં આવે છે. રેતી પર ગોઠવાયેલા મોટા ખડકોમાં કાં તો સ્પીકર્સ સંતાડેલા હોય અથવા તો આગની જ્વાળા છોડતાં યંત્ર. શાપિત રાજકુમારીની વાર્તા કરતો આ ઝાકઝમાળભર્યો શો એક વાર જુઓ એટલે દિમાગમાં કાયમ માટે અંકિત થઈ ગયો સમજો!

Song of the Sea (Singapore)

લેખિકા પાસે તીવ્ર વિસ્મયભાવ છે. એમની જિજ્ઞાસા ફક્ત મંચ પર થતી ગતિવિધિઓ પૂરતી સીમિત નથી. સ્વયં ગુજરાતી તખ્તાનાં અનુભવી અભિનેત્રી હોવાથી એમના મનમાં બેકસ્ટેજની ચહલપહલ વિશે ય કુતૂહલ હોય છે. એ માત્ર ‘શું?’ પર અટકી જતાં નથી, એમને ‘કેવી રીતે’માં પણ ઊંડો રસ પડે છે. તેથી જ તેમના લેખો પાક્કી વિગતો અને આંકડાથી સમૃદ્ધ હોય છે. જેમ કે ‘લીડો’ નામના શોની વાત કરતી વખતે એ નોંધે છે કે આ શો પેરિસમાં ૧૯૪૬થી અને લાસ વેગાસમાં ૧૯૫૮થી ચાલે છે. ૯૦ મિનિટના આ શોમાં ૨૩ વખત સેટ બદલાય છે. એક સાથે ચાર લેવલ પર અલગ અલગ કોસ્ચ્યુમ્સમાં જુદી જુદી જાતના ચાર નૃત્યો ચાલતાં હોય ત્યારે ક્યાં જોવું ને ક્યાં ન જોવું એ સવાલ થઈ પડે. સ્ત્રીના વિવિધ ભાવ અને સ્વરૂપ નિરૂપતા નૃત્યાંગના મોટે ભાગે કાં તો ટોપલેસ હોય અથવા તો પારદર્શક વસ્ત્રોમાં હોય, પણ ક્યાંય કશુંય બિભત્સ નહીં, બલકે ગરિમાપૂર્ણ લાગે. થોડી જ પળોમાં નગ્નતા એક તરફ હડસેલાઈ જાય અને દર્શકો કળામાં ખોવાતા જાય. 

લેખિકાને શબ્દોની પટ્ટાબાજી રમીને વાંચકોને આંજી નાખવા માગતાં નથી. એમનો અભિગમ રીડર-ફ્રેન્ડલી છે. એ જાણે છે કે વાચક માટે કઈ માહિતી ઉપયોગી પૂરવાર થવાની. તેથી જ તુર્કીના કાપાડોકિયા શહેરમાં ચાલતા નાઈટ શોની વાત કરતી વખતે લેખિકા કહે છેઃ ‘જો તમે એકલા હો તો ૪૫ યુરો અને જો ગ્રુપ બુકિંગ કરો તો વ્યક્તિ દીઠ ૧૭ યુરોના દરે નાઈટ શોના આયોજકો છેક તમારી હોટલ પરથી તમને લઈ જઈ શોમાં તમને તમારું મનોરંજન કરી અને રાત્રે પાછા હોટલ સુધી મૂકી જવાની જવાબદારી ઉપાડી લે છે. શિયાળામાં રાત્રે ૮ વાગ્યે અને ઉનાળામાં ૮.૩૦ વાગે શરૂ શતો આ શો ૧૧.૩૦ વાગે પૂરો થઈ જાય છે.’

'O' (Las Vegas)

‘ઓ’ નામના હેરતઅંગેજ શોનું વર્ણન ખૂબ રસપ્રદ છે. ફ્રેન્ચ ભાષામાં ‘ઓ’ એટલે પાણી. સ્ટેજ નજીક પાણીના વિશાળ હોજમાં લોકો તરવાને બદલે પાણીની સપાટી ઉપર ચાલતા દેખાય! કલાકાર એક છેડેથી બીજા છેડે પહોંચે એટલી વારમાં પાણી ગાયબ થઈ જાય અને હોજમાં જમીન દેખાવા લાગે. પછી અંગકસરતના અજબગજબના ખેલ શરૂ થાય, જેમાં આગનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવ્યો હોય. જલ, અગ્નિ, વાયુ, આકાશ અને ધરતી આ પાંચેય તત્ત્વોને વણી લેતા આ માયાવી શોમાં સાત હાઈડ્રોલિક લિફ્ટ્સ, બાવીસ દેશના ૮૪ કલાકારો, ૧૫૦ સ્કુબા ટેક્નિશિયનો અને ૧૨૦૦ કોસ્ચ્યુમ્સનો ઉપયોગ થયો છે!

કેટકેટલા શોઝ અને કેટકેટલી વાતો. કાળાગોરાના ભેદભાવ વિશે વાત કરતું બ્રોડવેનું ‘મેમ્ફિસ’, મહાન ઓસ્ટ્રિયન સંગીતકાર મોઝાર્ટની પ્રતિભાથી હીન ગ્રંથિથી પીડાતા એન્ટોનિયો સેલિયરીની વાત કરતું ‘એમેડસ’, પાંચ હજાર રૂમો ધરાવતી લાસ વેગાસ સ્થિત દુનિયાની સૌથી મોટી હોટલ એમજીએમનો ‘કા’ નામનો શો, થાઈલેન્ડની શાન ગણાતા ફિંગરનેઈલ નૃત્યની વાતો, ગણિતજ્ઞ રામાનુજન અને કેમ્બ્રિજ યનિવર્સિટીના તત્કાલીન ડીન  જી. એચ. હાર્ડીની વાત કરતું ઇંગ્લેન્ડનાં અદભુત નાટક ‘અ ડિસઅપિઅરીંગ નંબર’....

લખાણમાં સાદગી, અટક્યા વગર વાંચતા રહી શકાય એવી આકર્ષક પ્રવાહિતા અને શિસ્ત એ લેખિકાના સૌથી મોટા પ્લસ પોઈન્ટ્સ છે. એ કશુંય ઉભડક કે અધ્ધરતાલ છોડતાં નથી.  એક ઘડાયેલા ફિલ્ડ જર્નલિસ્ટની જેમ એ જેતે શોનું પાક્કું રિપોર્ટિંગ કરે છે. સંગીતા જોશી ‘ચિત્રલેખા’ને કહે છે, ‘બન્ને પુસ્તકોમાં જે શોઝની વાત કરી છે તે તમામ મેં પ્રત્યક્ષ જોયા છે. શોની એકેએક પળ માણવાની હોય એટલે એ જોતી વખતે તો મારા હાથમાં ડાયરી અને પેન ન હોય, પણ પછી હું નોંધ ટપકાવી લઉં. શો વિશે માહિતી આપતાં પુસ્તકો ઉપલબ્ધ હોય તો એ ખરીદી લઉં. લેખ લખતી વખતે સ્મરણ અને રિસર્ચ  ઉપરાંત આ તમામ મટીરિયલને ઉપયોગમાં લઉં.’

થિયેટર, કળા અને પ્રવાસમાં રસ ધરાવનારાઓને સુંદર તસવીરોવાળાં આ પુસ્તકો ખૂબ પસંદ પડશે. વિદેશપ્રવાસનું પ્લાનિંગ કરતી વખતે આ પુસ્તકોને ખાસ રિફર કરી જવાં જેવાં છે.              0 0 0


ઓપેરા હાઉસ / અમેરિકાના શો 

લેખિકાઃ સંગીતા જોશી

 પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-૧, અમદાવાદ-૧

ફોનઃ (૦૨૨) ૨૦૦૧ ૭૨૧૩, (૦૭૯) ૨૨૧૪ ૦૭૭૦

કિંમતઃ  અનુક્રમે રૂ. ૩૦૦ અને રૂ. ૨૦૦

 કુલ પૃષ્ઠઃ ૪૦૦


૦ ૦

Saturday, July 7, 2012

‘સદમા’: સુરમઈ અખિયોં મેં...


દિવ્ય ભાસ્કર  - રવિવાર પૂર્તિ  - ૮ જુલાઈ ૨૦૧૨

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

આપણી સૌથી પ્રિય હિન્દી ફિલ્મોની સૂચિમાં ‘સદમા’નું નામ જરુર હોવાનું. આ ક્લાસિક ફિલ્મ રિલીઝ થઈ એ ઘટનાને આજે ૨૯ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે એની નિર્માણ-પ્રક્રિયાની કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
 ‘’


માની શકાતું નથી! કમલ હસનશ્રીદેવીના અભિનયવાળી ‘સદમા’ ફિલ્મ રિલીઝ થઈ એ વાતને આજે એકઝેટ ૨૯ વર્ષ પૂરાં થયાં! આટલો પ્રલંબ સમયગાળો વીત્યા પછી પણ આપણા ચિત્તમાં આ ફિલ્મ આજે ભીનાશ પેદા કરી શકે છે. આ ફિલ્મની શ્રેષ્ઠતાની  નિશાની છે. ચાલો, ‘સદમા’ના ઓગણત્રીસમા બર્થડે પર એની નિર્માણકથાની થોડી વાતો માણીએ.

૧૯૮૩ની ૮ જુલાઈએ આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કમલ હસનની ઉંમર હતી ૨૮ વર્ષ અને શ્રીદેવી હતી ૨૦ વર્ષની. હિન્દી સિનેમાનું ઓડિયન્સ કમલ હસનને ‘એક દૂજે કે લિયે’ અને ‘સનમ તેરી કસમ’માં તેમજ શ્રીદેવીને ‘હિંમતવાલા’માં ઓલરેડી જોઈ ચૂક્યું હતું. ‘સદમા’ તમિલ ફિલ્મ ‘મુંદ્રમ પિરાઈ’ની રિમેક છે. બન્નેના ડિરેક્ટર એક જ છે બાલુ મહેન્દ્ર.

કમાલની લવસ્ટોરી છે. શ્રીદેવી એક મોડર્ન યુવતી છે. એક્સિડન્ટને કારણે એના દિમાગ પર ચોટ પહોંચે છે અને એનાં બુદ્ધિવર્તણૂક સાત વર્ષની બાળકી જેવાં થઈ જાય છે. સંયોગવશાત એ વેશ્યાવાડામાં પહોંચી જાય છે જ્યાં એની મુલાકાત કમલ હસન સાથે થાય છે. કમલ હસન એને ગંદવાડામાંથી બહાર કાઢીને પોતાની સાથે ઉટી લાવે છે. બન્ને વચ્ચે એક બહુ જ નિર્દોષ અને મીઠો સંંબંધ વિકસે છે. કમલ હસન એની કમાલની સારસંભાળ લે છે અને ઈલાજ પણ કરાવે છે. મહિનાઓને અંતે શ્રીદેવીની યાદદાશ્ત પાછી આવે છે. હવે આવે છે ફિલ્મનો હૃદય વલોવી નાખે એવો ક્લાઈમેક્સ. ટ્રેનમાં બેસીને પોતાનાં માબાપ સાથે ઘરે પાછી જઈ રહેલી શ્રીદેવી કમલ હસનને બિલકુલ ઓળખી શકતી નથી! કમલ એને યાદ અપાવવા ખૂબ હવાતિયાં મારે છે, ગુંલાટ મારે છે, બંદરની જેમ કૂદકા મારે છે... અને શ્રીદેવીને લાગે છે કે આ કોઈ પાગલ માણસ છે! જીંદગીભર રુઝાઈ ન શકે એવો જબરદસ્ત સદમો આપીને શ્રીદેવી જતી રહે છે...



‘ફિલ્મના છેલ્લા સીનમાં મારાં પાત્રએ ખૂબ ઉધામા મચાવવા જોઈએ આઈડિયા મારો હતો,’ કમલ હસન એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘મારા ડિરેક્ટર બાલુ ફિલ્મનો અંત શાંત અને સંયમિત રાખવા માગતા હતા, પણ મને લાગતું હતું કે કશુંક મિસિંગ છે. એક માણસ પોતાના પ્રેમને ફરીથી પામવા જીવ પર આવીને શું શું કરી શકે? એને સમજાઈ ગયું હોય કે હવે આખી જિંદગી મારે મારા પ્રેમના અભાવ વચ્ચે જીવવાનું છે ત્યારે એની માનસિક હાલત કેવી હોય? બસ, આ બધું મેં બાલુને સમજાવ્યું. સામાન્યપણે એક્ટર સૂચન કરે ત્યારે ડિરેક્ટર સતર્ક બની જતો હોય છે. એમાંય બાલુ તો પાછા પોતાના વિચાર પ્રમાણે જ ચાલનારો માણસ. પણ એમને મારી વાતમાં દમ લાગ્યો. મારે અધીરાઈ અને ઘાંઘાપણું અભિનયમાં ઉતારવા માટે પાગલ માણસની જેમ વર્તવાનું હતું. એ સીનમાં  ટ્રેનની સાથે સાથે દોડતી વખતે હું એક થાંભલા સાથે અથડાઉં છું, મારો પગ તૂટી જાય છે.  લોકોને લાગતું હતું કે શૂટિંગ દરમિયાન ખરેખર મારો પગ ભાંગી ગયો હતો, પણ સચ્ચાઈ એ છે કે આ એકેએક મુવમેન્ટ અગાઉથી પ્લાન થયેલી હતી. એ સીનમાં મેં કશું જ ઈમ્પ્રોવાઈઝ કર્યુ નથી.’

ફિલ્મનું શૂટિંગ ઊટીમાં થયું છે. ફિલ્મમાં શ્રીદેવીએ સહેજ પણ ગ્લેમર દેખાડવાનું નહોતું. એ લોકેશન પર આવતી ત્યારે ડિરેક્ટર એને નાળિયેરપાણી આપીને કહેતાઃ લે, આનાથી ચહેરો ઘસી ઘસીને ધોઈ નાખ. બસ, આ શ્રીદેવીનો મેકઅપ. ચહેરા પર સાદું ફાઉન્ડેશન લગાડવાની પણ એને પરવાનગી નહોતી. ફિલ્મના યુનિટમાં કુલ કેટલા માણસો હતા, જાણો છો? ફક્ત બાર! કમલ હસન અને શ્રીદેવીએ જિંદગીમાં આજ સુધી આટલા નાના યુનિટ સાથે કામ કર્યુ નથી! ડિરેક્ટર બાલુ મહેન્દ્ર ફિલ્મના સિનેમેટોગ્રાફર પણ હતા.

શ્રીદેવી એક વાત હંમેશાં કહે છે કે ‘સદમા’ના શૂટિંગ દરમિયાન એ સતત કમલ હસનનું નિરીક્ષણ કરતી અને ખૂબ શીખતી. શ્રીદેવીએ સાત વર્ષની છોકરી જેવો અભિનય એવી રીતે કરવાનો હતો કે એનું પાત્ર કન્વિન્સિંગ લાગે, એની માસૂમિયત તેમજ કારુણ્ય સાચુકલાં લાગે. જો અભિનય સહેજ લાઉડ બને તો પાત્રને કેરિકેચર બનતાં વાર ન લાગે. શ્રીદેવીએ આત્મસૂઝથી આ પાત્રને યાદગાર બનાવી દીધું છે. એણે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે, પણ ‘સદમા’ની ઊંચાઈ સુધી એનું બીજું કોઈ પર્ફોર્મન્સ પહોંચી શક્યું નથી. જોકે કમલ હસનું માનવું છે કે શ્રીદેવીએ હિન્દી કરતાં તમિલ આવૃત્તિમાં વધારે સારો અભિનય કર્યો છે.



ગુલઝારનાં ગીતો અને ઈલિયા રાજાનું સંગીત ફિલ્મને એક જુદી જ ઊંચાઈ પર મૂકી દે છે. યસુદાસે ગાયેલું અદભુત હાલરડું ‘સુરમઈ અખિયોં મેં નન્હામુન્હા એક સપના દે જા રે’ આપણા ચિત્તમાં જડાઈ ગયું છે. આ ગીતમાં કમલ હસન શ્રીદેવીનો પ્રેમી નથી, પણ પિતાની કક્ષા પર આવી ગયેલી સંવેદનશીલ વ્યક્તિ છે. નાયકનાયિકાના સંબંધનો આ એક બનમૂન રંગ છે. ફિલ્મમાં એક ઑર સ્ત્રીપાત્ર પણ છે સિલ્ક સ્મિતા (જેના જીવન પરથી વિદ્યા બાલનની સુપરહિટ ‘ધ ડર્ટી પિક્ચર’ બની છે). કમાલનો કોન્ટ્રાસ્ટ છે. એક તરફ જુવાનજોધ શ્રીદેવી છે, જે પોતાની સેક્સ્યુઆલિટીથી બિલકુલ અજાણ છે. સામેના છેડે સિલ્ક સ્મિતા છે, જેનું મન સતત કામવાસનાથી ખદબદતું રહે છે. ફિલ્મમાં કમર્શિયલ વેલ્યુ ઉમેરવા માટે સિલ્ક સ્મિતા અને કમલ હસનનું એક સેક્સી નૃત્ય ઉમેરવામાં આવ્યું હતું (‘ઓ બબુઆ યે મહુઆ’). બજેટ ટાંચું હતું એટલે બેકગ્રાઉન્ડમાં પચાસસો ડાન્સરોને નચાવવાનું પોસાય એમ નહોતું. જે કંઈ કરવાનું હતું એ કમલ અને સિલ્કે જ કરવાનું હતું. તકલીફ એ હતી કે સિલ્કને ડાન્સ કરતાં આવડે નહીં! ઉપરવાળો એનામાં બીટસેન્સ નાખવાનું જ ભુલી ગયેલો. કોરિયોગ્રાાફર સુંદરમ માસ્ટરે જેમતેમ કરીને કોરિયોગ્રાફી બેસાડી. સુંદરમ માસ્ટર એટલે પ્રભુ દેવાના પિતાજી. સિલ્ક મિમિક્રી સારી કરી જાણતી. આથી એ જાણે કોરિયોગ્રાાફરની મિમિક્રી કરતી હોય એ રીતે મ્યુઝિક પર પર્ફોર્મ કરતી!  

‘સદમા’ એક ટાઈમલેસ ક્લાસિક છે. આપણી મોસ્ટ ફેવરિટ હિન્દી ફિલ્મોની સૂચિમાં ‘સદમા’નું સ્થાન હંમેશા રહેવાનું.

શો- સ્ટોપર

અમારા સૌમાં વિદ્યા બાલન સૌથી સફળ હિરોઈન છે. એની ફિલ્મોમાં ગુણવત્તા ય જબરદસ્ત હોય છે અને એ બિઝનેસ પણ સારો કરે છે. હું વિદ્યાની બહુ મોટી ફેન છું.

 - પ્રિયંકા ચોપડા

Saturday, June 23, 2012

‘કેવી રીતે જઈશ’ : યે હુઈ ન બાત!


 દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - ૨૪ જૂન ૨૦૧૨

સ્લગઃ મલ્ટિપ્લેક્સ


આજકાલ ખૂબ ચર્ચાસ્પદ બનેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ ખરેખર એક સરપ્રાઈઝ પેકેજ છે. કોઈપણ ભાષાની સારી, કમર્શિયલ, એન્ટરટેનિંગ ફિલ્મમાં હોવા જોઈએ એ લગભગ તમામ તત્ત્વો અહીં મોજૂદ છે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મના પચ્ચીસ વર્ષીય રાઈટર-ડિરેક્ટર અભિષેક જૈન આગળ શું કરે છે... 


ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’  સ્ક્રીન પર ત્રણ ભાષાઓમાં આ રુટિન લખાણ ફ્લેશ થયા પછી ફિલ્મ શરુ થાય છે. લગભગ ત્રીજી જ મિનિટે, આ બોરિંગ ચેતવણીની ઠેકડી ઉડાવાતી હોય એમ, સુખી ઘરના ચાર અમદાવાદી દોસ્તો બિન્દાસ દારુની બોટલ ખોલે છે. આ પહેલો જ સીન આખી ફિલ્મનો ટોન અથવા તો સૂર સેટ કરી નાખે છે. ફિલ્મ ગુજરાતી છે, પણ શરૂઆત મેળાથી કે ચોરણાંઘાઘરીપોલકાં પહેરેલાં જોકરબ્રાન્ડ નટનટીથી થતી નથી. અહીં કોલેજ પાસ-આઉટ કરી ચુકેલા જુવાનિયાઓનું કન્ફ્યુઝન છે, કેટ (કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ)ની વાતો વચ્ચે છૂટથી ફેંકાતા ‘બકા’ અને ‘કંકોડા’ જેવા અસલી અમદાવાદી શબ્દો છે અને અફકોર્સ, ગુજરાતની દારૂબંધીમાં સંપૂર્ણ સ્વાભાવિકતાથી પીવાતા શરાબની થ્રિલ છે. પહેલું જ દશ્ય ગુજરાતી સિનેમાના ખખડી ગયેલા ગંદાગોબરા ફોર્મેટનો ભુક્કો બોલાવી નાખે છે. હવે પછીની ૧૨૮ મિનિટ આવા જ તાજગીભર્યા માહોલમાં પસાર થવાની છે.

વાત ‘કેવી રીતે જઈશ’ની થઈ રહી છે. આ ફિલ્મે શા માટે તંરગો પેદાં કર્યાં છે તે બિલકુલ સમજાય એવું છે. ખરેખર, ગુજરાતી સિનેમાના મામલે આપણી હાલત ભૂખથી હાડપિંજર થઈ ગયેલા, અન્ન મળવાની આશામાં તરફડ્યા કરતા દુષ્કાળગ્રાસ્ત પીડિતો જેવી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ‘કેવી રીતે જઈશ’ સ્ટાઈલિશ રેસ્ટોરાંમાં પિરસાતી ચટાકેદાર ગુજરાતી થાળી બનીને તમારી સામે પેશ થાય છે. શું છે ફિલ્મની વાર્તા? હરેસ (હરેશ નહીં, પણ હરેસ)ના બાપા એને યેનેકેન પ્રકારેણ અમેરિકા મોકલવા માગે છે. ન્યુયોર્ક શબ્દની પ્રિન્ટવાળું ટીશર્ટ પહેરીને ફર્યા કરતા આ યુવાનને પણ યુએસ પહોંચીને મોટેલકિંગ બની જવાના ધખારા છે. આ સપનું યા તો ઘેલછા પૂરી કરવા પટેલ પિતાપુત્ર કેવા ઉધામા કરે છે? બચુભઈનો લાલો આખરે અમેરિકા પહોંચે છે ખરો?

ગુજરાતી સિનેમાના સંદર્ભમાં ‘કેવી રીતે જઈશ’ એક સરપ્રાઈઝ પેકેજ છે. કોઈપણ ભાષાની સારી, કમર્શિયલ, એન્ટરટેનિંગ ફિલ્મમાં હોવા જોઈએ એ લગભગ તમામ તત્ત્વો અહીં મોજૂદ છે. તમામ ગુજરાતીઓ તરત આઈડેન્ટિફાય કરી શકે એવો વિષય, સરસ સ્ક્રીનપ્લે-ડાયલોગ્ઝ, સૂક્ષ્મ રમૂજો, અસરકારક અભિનય, સુંદર સિનેમેટોગ્રાફી  ગીત-સંગીત અને ધ્યાનાકર્ષક પ્રોડક્શન વેલ્યુ. આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં બધું પોતીકું લાગે છે, સાચુકલું લાગે છે. આમાં આજના ગુજરાતીઓની વાત છે. અહીં નથી ખોટી ચાંપલાશ કે નથી  હિન્દી ફિલ્મની નકલખોરી. ‘હેંડો હેંડો દેખાડી દઈએ કે આમ બનાવાય ગુજરાતી પિક્ચર...’ એવા કોઈ એટિટ્યુડની અહીં ગંધ પણ આવતી નથી. ફિલ્મમેકર અને એમની ટીમ પાસે કન્વિક્શન, પ્રામાણિકતા અને સાદગી છે, જે પડદા પર થઈને દર્શક સુધી પહોંચે છે.

Abhishek Jain: Captain of the ship


આ ફિલ્મના રાઈટર-ડિરેક્ટર અભિષેક તારાચંદ જૈન મૂળ છે તો મારવાડી, પણ એમનો જન્મ અને ઉછેર અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં. (ફિલ્મના હીરોએ, બાય ધ વે, જિંંદગીમાં ક્યારેય પોળવિસ્તાર જોયો નથી!) બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રાી મળી ગયા પછી અભિષેકે સુભાષ ધાઈની વ્હિસલિંગ વૂડસ ઈન્ટરનેશનલમાં બે વર્ષનો ફિલ્મ ડિરેક્શનનો કોર્સ કરવા માટે અમદાવાદ છોડ્યું એ જ વખતે મનોમન નક્કી કરી નાખ્યું હતું કે અત્યારે ભલે મુંબઈ જાઉં છું, પણ આખરે સેટલ તો હું અમદાવાદમાં જ થઈશ! ‘કોલેજકાળ સુધી મને ફિલ્મોનો ક્રેઝબેઝ કશું નહોતું,’ અભિષેક કહે છે, ‘સિનેમા માટેનું ખરું પેશન વ્હિસલિંગ વૂડ્સમાં ગયો પછી પેદા થયું. અહીં એક બાજુ તમે ફિલ્મસિટીમાં હાડોહાડ કમર્શિયલ હિન્દી ફિલ્મો બનતાં તમે જોતા હો અને બીજી બાજુ વર્લ્ડ સિનેમાનું એક્સપોઝર મળતું હોય. કોર્સ કરી લીધા પછી મેં સુભાષ ઘાઈને એમની બે ફિલ્મો ‘યુવરાજ’ અને ‘બ્લેક એન્ડ વ્હાઈટ’માં આસિસ્ટ કર્યા. એ પછી સંજય લીલા ભણસાલીને જોઈન કર્યું. ‘સાંવરિયા’ પછી તેઓ ‘ચેનાબ ગાંધી’ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા હતા, પણ દુર્ભાગ્યે એ ફિલ્મ ક્યારેય બની નહીં. સર્વાઈવલના સવાલો ક્રિયેટિવિટીને ચીમળાવી નાખે એ પહેલાં હું મુંબઈને અલવિદા કરીને પાછો અમદાવાદ આવી ગયો.’

હવે શું કરવું? લાઈફમાં માત્ર બે જ ગુજરાતી ફિલ્મો જોઈ હતી એક તો ’બેટર હાફ’  અને બીજી ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેનું કશું સ્મરણ મનમાં નોંધાયેલું નહોતું. નવા બનેલા મિત્રો અનિશ શાહ અને નિખિલ મુસાળે સાથે સિનેમેન પ્રોડક્શન્સ લિમિટેડ નામની એડ એજન્સી શરૂ કરીને નાનુંમોટું કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને સાથે સાથે પોતે જે ફિલ્મ બનાવવા માગે છે એના પર પણ કામ શરુ કર્યું. અભિષેક કહે છે, ‘પોતાની ભૂમિ પ્રત્યેનો પ્રેમ  લવ ફોર ધ લેન્ડ  ખરેખર પ્રચંડ હોય છે. મને હંમેશા સવાલ થયા કરતો કે લોકો ખરેખર શા માટે માઈગ્રોટ કરતા હોય છે? આથી જ્યારે પોતાની ફિલ્મ બનાવવાની વાત આવી ત્યારે આ જ વિચારબીજને વિકસાવીને ‘કેવી રીતે જઈશ’ની સ્ક્રિપ્ટ લખવા માંડી. વચ્ચે એક ફિલ્મ ફેસ્ટિવલમાં જોયેલી ફતિહ અકિન નામના જર્મન ડિરેક્ટરની ‘ધ એજ ઓફ હેવન’ નામની ફિલ્મથી ખૂબ પ્રભાવિત થયો હતો. સ્ક્રિપ્ટ લૉક કરતાં પહેલાં અમે એના ૧૭ ડ્રાફ્ટ તૈયાર કર્યા હતા!’

મોટા ભાઈ નયન જૈન પ્રોડ્યુસર બન્યા.  કાસ્ટિંગ શરૂ થયું. વ્હિસલિંગ વૂડ્સનો પોતાનો જુનિયર રહી ચુકેલો મુંબઈવાસી દિવ્યાંગ ઠક્કર મુખ્ય નાયક બન્યો. સુરતની વેરોનિકા ગૌતમ નાયિકા. અનંગ દેસાઈ, કેનેથ દેસાઈ, ટોમ ઓલ્ટર, રાકેશ બેદી, જય ઉપાધ્યાય, અભિનય બેન્કર વગેરે જોડાતા ગયા.  ફિલ્મની અફલાતૂન સિનેમેટોગ્રાાફી પુષ્કર સિંહે કરી છે. અભિષેક કહે છે, ‘હું અને પુષ્કર વ્હિસલિંગ વૂડ્સમાં રૂમમેટ્સ હતા. ડિસેમ્બર ૨૦૧૦માં એને અમદાવાદ બોલાવીને અમે શહેરનો મૂડ કેપ્ચર કરતા શોટ્સ લઈ લીધા. અગિયાર મહિના પછી પ્રિન્સિપલ શૂટિંગ શરૂ કર્યું ત્યારે સ્ટોરીબોર્ડ સહિત બધું જ રેડી હતું. એને એક્ઝિક્યુટ કરતા અમને ત્રેવીસ દિવસ લાગ્યા. આ દિવસોમાં અમે સૌ એટલી બધી એનર્જીથી છલકાતા હતા કે દોડવાનું શરૂ કર્યુર્ં હોત તો પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ હોત!’



ફિલ્મમાં કેટલાય મજાનાં દશ્યો છે. વિસા ઈન્ટરવ્યુ, એક સાથે ડીવીડી પર એડલ્ટ ફિલ્મ જોઈ રહેલા ભાઈઓ, એરપોર્ટનાં સીન્સ વગેરે.  અભિષેક કહે છે, ‘તમે માનશો, અમદાવાદ એરપોર્ટ પર શૂટિંગ કરવાની પરમિશન અમને સાવ છેલ્લી ઘડીએ મળી હતી. આ પ્રકારની ફિલ્મ બનાવવાનું શરૂ કરી દીધું હોય ત્યાં સુધી અને તમારી પાસે એરપોર્ટની પરમિશન ન હોય એ ખરેખર તો બેવકૂફી ગણાય. સદભાગ્યે, બધું સમુંસૂતરું પાર પડી ગયું.’

કદાચ આ મેડનેસ જરૂરી હોય છે એક સુંદર ફિલ્મ બનાવવા માટે. અલબત્ત, ‘કેવી રીતે જઈશ’ કંઈ ‘પાથેર પાંચાલી’ નથી કે ગુજરાતી સિનેમાનો આખી દુનિયામાં ડંકો વાગી જાય. એમાં ક્ષતિઓ છે જ, પણ તે સહિત પણ તે એક નખશિખ સરસ ફિલ્મ બની શકી છે, જેને આપણે સહેજ પણ ક્ષોભ અનુભવ્યા વગર માણી શકીએ અને સંતોષભર્યો ગર્વ પણ અનુભવી શકીએ. સવાલ હવે સાતત્યનો છે. ફક્ત એક ‘કેવી રીતે જઈશ’થી કશું નહીં વળે. જ્યાં સુધી એક વર્ષમાં આ ગુણવત્તાની કમસે કમ પાંચ ફિલ્મો બનીને રિલીઝ નહીં થાય અને આ સિલસિલો એટલીસ્ટ પાંચ વર્ષ વણથંભ્યો ન ચાલે ત્યાં સુધી  ગુજરાતી સિનેમાનો અંધારયુગ પૂરો થવાનો નથી.

પચ્ચીસ વર્ષના અભિષેક જૈને આશા જગાડી છે. એમની કરીઅરની હવે પછીની ગતિ મહત્ત્વની પૂરવાર થવાની. તેઓ કહે છે, ‘હું ગુજરાતી ફિલ્મો બનાવવાનું અટકાવીશ નહીં. મારી પાસે વાણિયાબુદ્ધિ છે. હું જાણું છું કે નવી દુકાન ખોલીએ એટલે પહેલા દિવસથી નફો શરૂ ન થઈ જાય. એ માટે ધીરજ રાખવી પડે અને કામ કરતા રહેવું પડે.’

બેસ્ટ ઓફ લક, અભિષેક.

શો-સ્ટોપર 


મેં નાની ઉંમરે બહુ બધી જવાબદારીઓ ઉપાડી લીધી હતી. બાવીસમે વર્ષે તો મેં ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરી દીધી હતી. નોર્મલ ટીનેજ લાઈફ મેં માણી જ નથી.  

- શાહિદ કપૂર 


Tuesday, June 19, 2012

કેટલાં દુષ્કૃત્યો પછી પૃથ્વી ડૂબી જાય?


 ચિત્રલેખા - અંક તા. ૧૮ જૂન ૨૦૧૨ 

કોલમઃ વાંચવા જેવું 


                                                                                                                                                                                                                             
માણસનું મન કેટલા સંઘાતો ઝીલી શકે? એમાંય કુમળાં બાળકનું મન? આકરા પ્રહારો ઝીલવાની આઠ-દસ-બાર વર્ષનાં બચ્ચાંની તાકાત કેટલી? બાળપણમાં થયેલા આઘાતના પડછાયા જીવનના ફલક પર ક્યાં સુધી લંબાતા હોય છે? કુંઠિત થઈ ગયેલું મન પૂર્વવત થાય ખરું? જો થાય તો કેવી રીતે? હિમાંશી શેલતની નવી નવલકથા ‘સપ્તઘારા’ આ અને આના જેવા કેટલાય સંવેદનશીલ સવાલો ઊભા કરે છે.

ખરું પૂછો તો ‘સપ્તધારા’ને ગુજરાતી નવલકથાનાં બીબાંઢાળ સ્વરૂપ સાથે એકરૂપ થઈ જવાની કોઈ ઝંખના નથી. એને તો છળી ઉઠાય એવા અનુભવોમાંથી પસાર થયેલાં સાત બાળકોનાં મનમાં ઊઠતા તરંગો સાથે નિસ્બત છે. આ સાત બાળકો એટલે બુલ્લાં-દલજીત-પૂરવ-ગણેશ-સલમા-રેણુ-રજત. સૌના ટ્રોમા અલગ. સૌની કહાણી ભિન્ન, પણ સૌના કારુણ્ય એક.

વંટોળિયા જેવા દલવીરનાં માબાપ એક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાં છે. મોડી રાતે એના શબ ઘરે આવ્યાં હતાં. દલવીરની આંખ ફાટી ગઈ. ચાચા એને દિલ્હી તેડી ગયા, પણ ત્યાં દંગા થઈ ગયા. સ્ત્રીઓ અને બીજાં બાળકો સાથે દલવીરને અંધારિયા ઓરડામાં ધકેલી દેવામાં આવ્યો. ગાંડૂતૂર ટોળું ડેલાં તોડીને ઘરમાં ઘૂસી ગયું. બે ડોકાં ધડથી અલગ થઈ ગયાં. ગાદલાં અને પટારા વચ્ચે ભરાયેલા દલવીરે બારીક ફાટમાંથી લાલ રંગનો ધસમસતો ઉછાળ જોયો. એ પથ્થર જેવો મૂંગો થઈ ગયો. કોઈએ જાણે એની જીભ કાપી નાખી.



મોત રેણુએ પણ જોયું હતું. સગી બહેનનું. પરિવારના પુરુષોએ જ એનું શિરચ્છેદ કરી નાખ્યું હતું. એનો અપરાધ શો? ઊતરતા વરણના છોકરા સાથે પ્રેમ કરવાનો. એના લોહીના રેલામાંથી તિલક થયાં. દીકરીનું બલિદાન દીધું એટલે કુળની આબરુ સચવાઈ ગઈ. નાનકડી બુલ્લાંની માને પણ આબરુની જ ચિંતા હતી, પણ એની ચિંતા ઘણી નક્કર હતી. એ પોતાના પતિનો જીવ લઈને જેલમાં ગઈ ગતી. એ ડર હતો એ આ નઠારો ધણી બીજી છોકરીઓની સાથે માસૂમ બુલ્લાંને પણ વેચી નાખશે!

બાર વર્ષના રજતે આત્મહત્યાની કોશિશ કરી હતી. આ ઉંમરે એવું તે કયું દુખ? એ પરીક્ષામાં ધાર્યું પરિણામ ન લાવે એટલે એના પિતાજી પાગલ થઈ જતા. મારા કુટુંબમાં તો સૌ ભણવામાં એકએકથી ચડિયાતા, પણ આ ડોબો... ગણેશના મિત્ર પર એના અણધડ શિક્ષકે ચોરીનો આરોપ મૂક્યો. છોકરાને બહુ ખોટું લાગી ગયું. બે દિવસ પછી નહેરમાંથી એનું શબ મળ્યું. ગણેશને ભયાનક ગુસ્સો ચડ્યો. એણે શિક્ષકને સાઈકલ પરથી પછાડ્યા. ભરપેટ ગાળો દીધી. સ્કૂલના ચોપડા સળગાવી માર્યા. આ લોકો મને શું ભણાવવાના? પૂરવ અને સલમાની કથા પણ એટલી જ દારુણ છે, પ્રશ્નો એટલા જ દારુણ છે.

કથાની નાયિકા સુચિતાના મનમાં પ્રશ્ન થાય છેઃ કેટલાં દુષ્કૃત્યો પછી પૃથ્વી ડૂબી જાય? સુચેતાને બાળકો પ્રત્યે સચ્ચાઈભરી નિસ્બત છે. એ અંગત સ્તરે અથવા બીજા લોકો સાથે જોડાઈને બાળકો માટે સતત કામ કરતી રહે છે.  શું આઘાતમાંથી બહાર આવેલા બાળકો નવા માહોલમાં ધીમે ધીમે ગોઠવાઈ જતાં હોય છે? સુચેતાને અનુભવે સમજાયું છે કે ના, સહેલાઈથી ગોઠવાઈ જવાતું નથી. જાતને કાપીકૂપીને, ઘસીને, રંધો ફેરવીને જે આકાર આપણે ભાગો આવ્યો હોય તે અપનાવી લેવાનો અને આટલું થયા પછી પણ બંધબેસતા થવાતું હોતું નથી. સુચેતાને એમ કે બે મહિનામાં છોકરાંવને રમતાં કરી દેવાશે. એમનું વિસ્મય, રોમાંચ, ધમાલમસ્તી પાછાં આવી જશે. પણ એવું બનતું  નહીં. ચૂરચૂર થઈ ગયેલા આત્મવિશ્વાસની રજેર ભેગી કરવાનું કામ આસાન થોડું છે? 

સમગ્ર કથાપ્રવાહને બાંધી રાખતો તંતુ સુચેતા જ છે. એણે સ્વયં બાળપણમાં મન પર ઘાવ ઝીલ્યા છે. કદાચ એટલે જ બાળકો પ્રત્યેનું તેનું સમસંવેદન તીવ્ર અને સહજ છે. એ સાવ નાની હતી ત્યારે એક રાતે એની મા પપ્પા સાથે ઝઘડીને, બેગમાં કપડાં ઠસોઠસ ભરીને ઘર છોડીને ચાલી નીકળી હતી. બહાર નીકળતી વખતે માત્ર એક વાર દીકરી સામે જોયું હતું. એના માથાં તરફ હાથ લંબાયો ખરો પણ માથાને અડ્યો નહીં. બારણું ધડ દઈને બંધ થઈ ગયું. મમ્મા જતી રહી. હોસ્ટેલમાં જીવન જીવાતું રહ્યું.





...પણ એ રાતે માત્ર ઘરનો દરવાજો બંધ નહોતો થયો. યુવાની પસાર કરીને મધ્યવય તરફ આગળ વધી ગયેલી સુચેતાના દિલના દરવાજા ચસોચસ ભીડાયેલા રહ્યા. કોઈને એણે અંદર આવવા ન દીધા. જે સંબંધો જરાતરા અડ્યા એને ગાઢ થવા ન દીધા. નિકટતાનો તબક્કો આવે એ પહેલાં તો સુચેતા સલામત અંતરે દૂર જતી રહે. એ માનવા લાગી હતી કે સાથીદાર હોવા છતાં એકલતા અનુભવવી પડે એના કરતાં આરંભથી જ એકલા હોવાની સ્થિતિ વધારે સ્વીકાર્ય છે.

અલગાવ જરુર છે, પણ સુચેતાએ પોતાનાં સાથેનો સંપર્કસેતુ સતત જળવી રાખ્યો છે. સાતેય બાળકો માટે સુચેતા જે રીતે ઘસાઈ રહી છે એ જોઈને મા વિચારે છે પોતે એકમાત્ર દીકરીનું ય જતન ન કરી શકી, પણ મારી દીકરી કેટલાંયને અપનાવી રહી છે!

લેખિકા હિમાંશી શેલતે કુલ ૨૦ વર્ષ સુધી રેલવે પ્લેટફોર્મ પર રઝળતાં બાળકો, ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ન્કસ્ટ્રક્શન સાઈટના મજૂરોનાં બાળકો તેમજ રિમાન્ડ હોમના બાળકો માટે કામ કર્યું છે. એ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મને લાગે છે કે આપણે બાળકોના અપરાધી છીએ. ભારતના અને ઈવન પશ્ચિમના દેશોમાં માબાપો કદાચ પૂરતી પાત્રતા કેળવી શક્યાં નથી. શિક્ષણ પણ બાળપણની અવજ્ઞા કરે છે. સમાજમાં જે પ્રશ્નો ઊભા થાય છે એનાં મૂળમાં આ જ બાબત રહેલી છે. હું તબક્કે કેટલાંય અવગણાયેલાં બાળકોના સંપર્કમાં આવી છ . આ અનુભવોને મેં ‘પ્લેટફોર્મ નંબર ચાર’ પુસ્તકમાં યથાતથ મૂક્યા હતા, પણ અહીં મેં સચ્ચાઈને કલ્પનાના વાઘાં પહેરાવી પેશ કરી છે.’

લાઘવ એ લેખિકાનાં લખાણોનો હંમેશા મોટો પ્લસ પોઈન્ટ રહ્યો છે. આ નવલકથા ચીલાચાલુ મનોરંજન માટે છે જ નહીં. ‘સપ્તધારા’નો કથાપ્રવાહ ભાવકના મનહૃદયમાં વેદનાનાં સ્પંદનો પેદા કરે છે, એમને વિચારતા કરી મૂકે છે અને પોતાના આગવા લયમાં વહેતો રહે છે. સંવેદનશીલ વાચકોને સ્પર્શી જાય એવી સરસ કૃતિ.                                                                                                                                 0 0 0


સપ્તધારા


લેખિકાઃ હિમાંશી શેલત


પ્રકાશકઃ અરુણોદય પ્રકાશન, ગાંધી રોડ, અમદાવાદ-૬


ફોનઃ (૦૭૯) ૨૨૧૧ ૪૧૦૮, ૬૫૨૩ ૦૧૩૫


કિંમતઃ  રૂ. ૯૦ /     પૃષ્ઠઃ ૧૧૨


                                             

Saturday, June 16, 2012

અનુરાગમાં એવું તે શું છે?


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  - 17 જૂન 1012


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

અનુરાગ કશ્યપ નાના હતા ત્યારે છાપાંમાંથી ફિલ્મોની જાહેરખબરો કાપી લઈ એનાં પોસ્ટર બનાવતા.  ફિલ્મ જોઈ ન હોય તો પણ આજુબાજુના ટાબરિયાઓને ભેગા કરીને એની કાલ્પનિક સ્ટોરી રસપૂર્વક સંભળાવતા! આજની તારીખે હિન્દી સિનેમાના સૌથી તગડા સ્ટોરીટેલરોમાં એમની ગણના થાય છે. 



માણસ પાંચ કલાક ૧૮ મિનિટ લાંબી ફિલ્મ બનાવીને પ્રતિષ્ઠિત કાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરે છે અને, પ્રાપ્ય અહેવાલો તેમજ રિવ્યુઝના આધારે કહીએ તો, દુનિયાભરમાંથી એકત્રિત થયેલા દર્શકોની વાહવાહી મેળવે છે. આ માણસે હિન્દી સિનેમામાં જીદપૂર્વક એક નવી દિશા ખોલી છે. એની પાછળ પાછળ, એની સફળતાથી પ્રેરાઈને કેટલાય યુવાન ફિલ્મમેકરો  ઉત્સાહપૂર્વક અલગ પ્રકારની સુંદર ફિલ્મો બનાવવા લાગ્યા છે.

વાત અનુરાગ કશ્યપ અને તેમની લેટેસ્ટ ફિલ્મ ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ની થઈ રહી છે. આવતા શુક્રવારે આપણાં થિયેટરોમાં આ લંબૂસ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થવાનો છે. ઉત્તર ભારતમાં કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ કરીને શી રીતે માફિયાઓ અસ્તિત્ત્વમાં આવ્યા અને પાવરફુલ બનતા ગયા એની આમાં વાત છે. અતિ હિંસા અને અપશબ્દોથી ભરપૂર આ ફિલ્મ એની ભૌગોલિકતાને કારણે મુંબઈની ગેંગસ્ટર ફિલ્મોથી અલગ પડે છે. અનુરાગને ભાઈલોકો સારા ફળ્યા છે. રામગોપાલ વર્માની અફલાતૂન ગેંગસ્ટર ફિલ્મ ‘સત્યા’ અનુરાગે લખી હતી. ‘સત્યા’થી મનોજ વાજપેયીની અભિનયપ્રતિભા બોમ્બની જેમ ફાટીને સૌની નજરમાં આવી હતી. પછી તો ‘કૌન?’ અને ‘શૂલ’ જેવી ફિલ્મોમાં પણ અનુરાગ અને મનોજે રાઈટર-ડિરેક્ટર તરીકે સાથે કામ કર્યું.

Manoj Bajpai in Gangs of Wasseypur

એક રાતે સાડા દસે અચાનક મનોજને અનુરાગ કશ્યપનો ફોન આવ્યોઃ ફ્રી છે? અબ્બીહાલ મારી ઓફિસે આવી જા. એક કલાકમાં મનોજ અનુરાગની ઓફિસમાં હતો. અનુરાગે એને ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’નો સ્ટોરી આઈડિયા સંભળાવ્યો. ફિલ્મના નાયકમાં નૈતિકતાનું નામોનિશાન નથી. એ સેક્સ મેનિયાક છે અને હિન્દી ફિલ્મનો હીરોએ જે ન કરવાં જોઈએ તે બધાં જ કામ એ કરે છે. આમ છતાંય એના વ્યક્તિત્ત્વમાં કશુંક ગમી જાય એવું તત્ત્વ છે. અનુરાગે પૂછ્યુંઃ બોલ મનોજ, બનીશ હીરો? મનોજે એક પળનો વિચાર કર્યા વિના કહી દીધુંઃ યેસ્સ! બસ, પછી શું. મિટીંગની ત્રીસમી મિનિટે બન્ને જણા વાઈનની બોટલ ખોલીને એમનો સંયુક્ત નવો પ્રોજેક્ટ સેલિબ્રેટ કરી રહ્યા હતા!

અનુરાગ નાનપણથી જ સારા સ્ટોરીટેલર છે.  એમને ઉત્તર ભારતનો, ખાસ કરીને યુપીનો સારો પરિચય છે. એમના પિતાજીની સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડમાં ટ્રાન્ફરેબલ જોબ હતી એટલે યુપીના ઘણા શહેરોમાં રહેવાનું થયું હતું. એ નાના હતા ત્યારે છાપાંમાંથી ફિલ્મોની જાહેરખબરો કાપી લઈ એનાં પોસ્ટર બનાવતા.  ફિલ્મ જોઈ ન હોય તો પણ આજુબાજુના ટાબરિયાઓને ભેગા કરીને એની કાલ્પનિક સ્ટોરી રસપૂર્વક સંભળાવતા! એટલું જ નહીં, નાનકડો અનુરાગ ખરેખર માનવા લાગતો સ્ટોરી એકદમ સાચી જ છે અને ખરેખરી ફિલ્મમાં મેં જે વિચાર્યુર્ં છે એવું જ હોવું જોઈએ!

અનુરાગ કોલેજકાળમાં થિયેટર કરતા હતા. એમને શરૂઆતમાં તો એક્ટર બનવું હતું, પણ એક વખત દિલ્હીમાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની ભાતભાતની ફિલ્મો જોઈને વિચાર બદલાયો અને ફિલ્મમેકર બનવાનો નિર્ણય લીધો. વીસ વર્ષ પહેલાં એમણે મુંબઈમાં પગ મૂક્યો. પાછળ પાછળ નાનો ભાઈ અભિનવ કશ્યપે એમબીએ કરવા મુંબઈમાં એન્ટ્રી કરી. અનુરાગે ‘પાંચ’ નામની હાર્ડહિટીંગ ફિલ્મ બનાવી હતી, પણ એ રિલીઝ થવાનું નામ નહોતી લેતી એટલે હાલત ખરાબ થઈ ગઈ હતી (આ ફિલ્મ આજની તારીખે ય રિલીઝ નથી થઈ!). સદભાગ્યે છોટે ભૈયા ‘ત્રિકાલ’ અને ‘ડર’ જેવી ટીવી સિરિયલો લખવા અને ડિરેક્ટ કરવા લાગ્યા. ટીવીમાંથી પૈસામાંથી ઘર ચાલતું. નિરાશાઓ અને સંઘર્ષ વચ્ચે પણ અનુરાગનું પેશન ક્યારેય ઢીલું ન પડ્યું એટલે એમની ગાડી ક્રમશઃ એમણે ઈચ્છી હતી એ દિશામાં ચાલવા લાગી.

Anurag with younger brother Abhinav Kashyap

અનુરાગ કશ્યપ ‘ન્યુ વેવ ફિલ્મમેકર’ ગણાયા, જ્યારે નાના ભાઈ અભિનવે વર્ષો પછી સાવ સામે છેડે જઈને ‘દબંગ’ જેવી હાડોહાડ મસાલા ફિલ્મ બનાવીને ડિરેક્ટર તરીકે ધમાકેદાર શરૂઆત કરી. ‘દબંગ’ અને ‘રાઉડી રાઠોડ’ બન્નેમાં ઉત્તર ભારતનું ગ્રાામ્ય બરછટપણું છે.

એક ઈન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપ કહે છે, ‘વિશાલ ભારદ્વાજ, તિગ્માંશુ ધુલિયા અને હું ફિલ્મોમાં ગ્રામ્ય બરછટપણું પેશ કરીએ છીએ, પણ અમારા ત્રણેયમાંથી એકેયને બોક્સઓફિસ પર પ્રચંડ સફળતા આજ સુધી મળી નથી. હવે થયું છે એવું કે ‘દબંગ’ અને ‘રાઉડી રાઠોડ’ની સુપરડુપર સફળતાને કારણે ઓડિયન્સને અમારી ફિલ્મોમાં દર્શાવાતાં પ્રમાણમાં વધારે વાસ્તવિક એવા ગ્રામ્ય માહોલમાં ધીમે ધીમે રસ પડવા માંડ્યો છે. ઓડિયન્સનો ટેસ્ટ કંઈ રાતોરાત એક ફિલ્મથી બદલાયો નથી. પ્રેક્ષકોને બીબાંઢાળ ફિલ્મોથી અલગ જોતાં કરવાનો જશ જો આપવો જ હોય તો તમે વિશાલ ભારદ્વાજનું નામ લઈ શકો, દિબાકર બેનર્જીનું નામ લઈ શકો... પણ મારા હિસાબે ખરી કમાલ તો રાજુ હિરાણીએ કરી છે. એ માણસે ‘મુન્નાભાઈ’ સિરીઝ અને ‘થ્રી ઈડિયટ્સ’ બનાવીને આર્ટ્સ અને કોમર્સ વચ્ચે જે જબરદસ્ત બેલેન્સ કર્યુર્ં છે જેવું અમારામાંથી કોઈ કરી શક્યું નથી. હિરાણી ઓડિયન્સને પ્રચંડ માત્રામાં આકર્ષી શકે છે અને સાથે સાથે પોતાને જે કહેવું હોય એ કહી પણ દે છે.’

અનુરાગ કશ્યપને ઊંડે ઊંડે આશા છે કે ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ કદાચ આટર્સ અને કોમર્સનો સંગમ કરી શકશે. આ ફિલ્મ આવતા મહિને યુરોપમાં મોટા પાયે રજૂ થવાની છે. વિદેશી ઓડિયન્સને આ પ્રકારની ભારતીય માટીની ખૂશ્બુ ધરાવતી, સ્થાનિક સેન્સિબિલિટીવાળી ફિલ્મો જ આકર્ષી શકે. આ પ્રકારની ફિલ્મોમાં દેખાડાતી દુનિયા એમના માટે નવી છે. જરૂરી નથી એ દરિદ્ર અને ગંદીગોબરી જ હોય.

અનુરાગ કશ્યપ હાલ ‘મોન્સૂન શૂટઆઉટ’ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ સિવાય એમના બે ડ્રીમ પ્રોજેક્ટ્સ છે. એક છે, ‘બોમ્બે વેલ્વેટ’ અને બીજી, ‘દોગા’. સાઠના દાયકાનું પશ્ચાદભૂ ધરાવતી ‘બોમ્બે વેલ્વેટ’ એક ખર્ચાળ ફિલ્મ બની રહેવાની.  અનુરાગ પચાસ વર્ષ પહેલાનું ફોર્ટથી માહિમ સુધીનું બોમ્બે પડદા પર રિક્રિયેટ કરવા માગે છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા એપ્રિલથી શરૂ થશે અને ઘણું કરીને રણબીર કપૂર એનો હીરો હશે. ‘દોગા’ ક્રિસ્ટોફર નોલનની ખૂબ વખણાયેલી (બેટમેનવાળી) ‘ધ ડાર્ક નાઈટ’ પ્રકારની ફિલ્મ હશે. મુંબઈનું લોકાલ ધરાવતી આ ફિલ્મ પણ ખૂબ પૈસો માગી લે એવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનુરાગ કશ્યપનું સ્ટેટસ હવે ખાસ્સું વધ્યું છે એટલે એમને મસમોટું ફાયનાન્સ અવેલેબેલ થઈ રહ્યું છે. ટોપ સ્ટાર્સ પણ એમની સાથે કામ કરવા તૈયાર થઈ રહ્યા છે. અનુરાગ કશ્યપ જેવા વેગળા ફિલ્મમેકરને નાણાં અને કાસ્ટિંગના મામલે ઝાઝી ચિંતા ન કરવી પડે એ ખરેખર ખૂબ સારી નિશાની છે!

શો-સ્ટોપર

મારો ચહેરો પોસ્ટર પર જોઈને લોકોનાં ટોળેટોળાં ફિલ્મ જોવા ઉમટી પડે એવું ક્યારેય નહોતું, પણ ‘ફરારી કી સવારી’ પછી બોક્સ ઓફિસ પર મારી પોઝિશન બહુ સ્ટ્રોન્ગ થઈ જવાની. 

-  શર્મન જોશી (એક્ટર)