Tuesday, May 24, 2011

૨૦ ઈન્ટેલિજન્ટ ઈડિયટ્સ

ચિત્રલેખા - અંક તા. ૩૦ મે ૨૦૧૧માં પ્રકાશિત




કોલમઃ વાંચવા જેવું





૨૦ ઈન્ટેલિજન્ટ ઈડિયટ્સ

                                                                                                              
મદ્રાસથી મુંબઈ ભાગી આવેલો સત્તર વર્ષનો પ્રેમ ગણપતિ નામનો  છોકરો. ડિશવોશર તરીકે કામ એ કરે છે. કાળી મજૂરી કરીને સૌથી પહેલાં તો પછી સડકછાપ ઢોસાની લારી અને ત્યાર બાદ નવી મુંબઈના એક રેલવે સ્ટેશન પર ફાસ્ટફૂડની દુકાન શરૂ કરે છે. તે પછી નવા શરૂ થઈ રહેલા શોપિંગ મોલમાં પોતાની રેસ્ટોરાં ખોલવાની તેને તક મળે છે. અર્ધશિક્ષિત માણસ માટે આટલી સફળતા તો ઘણી કહેવાય, ખરું? ના. પ્રેમ ગણપતિના સંઘર્ષ અને સફળતાની કથા આગળ વધતી રહે છે. પરિણામસ્વરૂપે તેના ‘ઢોસા પ્લાઝા’ની આજે ભારતભરમાં ૨૬ શાખાઓ છે. અરે, ન્યુઝીલેન્ડમાં પણ એક ફ્રેન્ચાઈઝી આપી છે! ‘અગર ચાન્સ મિલતા હૈ પઢને કા, તો પઢના ચાહિએ,’ પ્રેમ ગણપતિ  કહે છે, ‘લેકિન આદમી જોબ કરકે ભી સીખ સકતા હૈ. અસલી સ્ટુડન્ટ કો હર આદમી સે, હર એક્સપિરિયન્સ સે કુછ ના કુછ સીખને કો મિલતા હૈ.’

પ્રેમ ગણપતિની વાત અને કહાણી તમને ઈન્ટરેસ્ટિંગ લાગે છે? તો રશ્મિ બંસલ લિખિત ‘શૂન્યમાંથી સર્જન’ પુસ્તકમાં સમાવાયેલી વીસેવીસ વ્યક્તિઓની કથામાં તમને જલસો પડશે તેની ગેરંટી! આ બધા જ ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મની પેલી ત્રિપુટી જેવા છે. બુદ્ધિશાળી, વિચક્ષણ, બીબાંઢાળ વિચારસરણીને તોડીફોડીને આગવી કેડી કંડારનારા અને સફળતાને નહીં, શ્રેષ્ઠતાને પોતાનું ધ્યેય બનાવનારા. કોણે કહ્યું કે સફળ બિઝનેસમેન બનવા માટે મેનેજમેન્ટની ભારેખમ ડિગ્રી જરૂરી છે? અરે, એમબીએ તો ઠીક, અહીં કેટલાય પાસે સાદી ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ નથી. જે ક્ષેત્રનું ભણતર લીધું હોય તેના કરતાં સાવ જુદી દિશામાં પણ તેજસ્વી કરીઅર બનાવી શકાય છે.


વિશાખાપટ્ટનમના કલ્યાણ વર્માની વાત કરો. નવી નવી સ્થપાયેલી યાહૂ કંપનીમાં આ એન્જિનીયરે જોબ મેળવી. બાવીસ વર્ષની વય અને તોતિંગ પગાર. પર્ફોર્મન્સ એટલું ઉત્તમ કે ‘યાહૂ સુપરસ્ટાર’નો અવોર્ડ પણ મળ્યો. નાનકડા રૂમમાં શરૂ થયેલી કંપનીએ પછી તો જાયન્ટ કોર્પોરેશનનું સ્વરૂપ લેવા માંડ્યું અને તેની સાથે ફોર્માલિટી પણ વધતી ગઈ. મસ્તમૌલા કલ્યાણે રાજીનામું આપી દીધું. ગૂગલ જેવી કેટલીય કંપનીઓમાંથી લોભામણી ઓફર્સ ઠુકરાવી એણે જંગલમાં આવેલા એક રિસોર્ટમાં ગાઈડની જોબ લઈ પોતાના વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીના શોખને પોષવા માંડ્યું! તેના બ્લોગ પર મૂકાયેલી દેડકાઓની તસવીરો જોઈને  બીબીસી તરફખી  પ્રસ્તાવ મળ્યોઃ અમે ભારતના ચોમાસા વિશે પશ્ચિમ ઘાટમાં ફિલ્મ શૂટ કરી રહ્યા છીએ. તમારા માટે આ વિસ્તાર જાણીતો છે. અમારી ટીમમાં જોડાઈ જાઓ! 

કલ્યાણને તો આટલું જ જોઈતું હતું. જંગલમાં આખું વર્ષ ગાળ્યા પછી સિક્યોરિટી કન્સલ્ટન્ટ તરીકે જે કામ શરૂ કરેલું તેને કલ્યાણે તરત તિલાંજલિ આપી દીધી અને ફોટોગ્રાફીના ખોળે આખું જીવન વિતાવવાનું નક્કી કરી લીધું. પોતાના કામમાં એણે એટલી મહારત હાંસલ કરી કે બીબીસીએ તેને અન્ય સિનિયર વિદેશી તસવીરકારો જેટલું જ મહેનતાણું ચૂકવવાનું શરૂ કર્યું  રોજના ૨૪,૦૦૦ રૂપિયા. કલ્યાણ  બીબીસી માટે વર્ષના ત્રણ મહિના ‘ફુલટાઈમ’ કામ કરે અને સારું કમાઈ લે. જોકે આ તેમની કુલ આવકનો અડધો જ હિસ્સો થયો. બાકીના મહિનાઓમાં તે વર્કશોપ્સ યોજે, પોતે ખેંચેલી તસવીરો કેલેન્ડર, વગેરે બનાવતા ઉત્પાદકોને પોતાની તસવીરો વેંચે વગેરે. ‘આઈટીની લાઈનમાં હોત તો જેટલું કમાતો હોત એટલું જ આજે હું ફોટોગ્રાફીમાંથી કમાઈ લઉં છું. જોકે હવે હું ફક્ત ફોટોગ્રાફર નથી, વન-મેન-એન્ટરપ્રાઈઝ છું...’ કલ્યાણ કહે છે.


કેટકેટલી વાતો, કેટકેટલા કિસ્સાઓ. સાસરાની જાહોજલાલી વચ્ચે જીવતાં સુનીતા રામનાથકરને ક્રીમ બ્લિચ બનાવવાનો વિચાર સ્ફૂર્યો. વીસ વર્ષમાં ‘ફેમ બ્લિચ’ નામની બ્યુટી પ્રોડક્ટ બનાવતી તેમની કંપનીનું ટર્નઓવર ૧૦૦ કરોડ સુધી પહોંચી ગયું! કુંવર સચદેવને સ્કૂલમાં ફિઝિક્સ-મેથ્સ સાથે બાપા માર્યા વેર હતા, પણ આજે તેમના શ્વાસોશ્વાસમાં પાવર ઈલેક્ટ્રોનિક્સ વસે છે. ઈન્વર્ટર બનાવતી ૫૦૦ કરોડની સુકેમ કંપનીના તેઓ મેનેજિંગ ડિરેક્ટર છે. હનમંત ગાયકવાડ નાના હતા ત્યારે હાલત એટલી ખરાબ કે માએ ઘરેણાં ગિરવે મૂકીને ઘર ચલાવવું પડે.  ૨૦૦૩માં બસ્સો રૂપિયાના ભાડે તબેલામાં તેમણે કંપની શરૂ કરી. કામ શું? ફેક્ટરી, પ્લાન્ટ્સ વગેરેની સાફસફાઈ કરવાનું. આજે તેમનું ભારત વિકાસ ગ્રુપ ૩૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની બની ગઈ છે, જે મસમોટા કોમ્પલેક્સીસ, એરપોર્ટસ અને અન્ય જાહેરખાનગી ઈમારતો જ નહીં, બલકે રાષ્ટ્રપતિ ભવન સુદ્ધાંનાં રંગરોગાન તથા મેન્ટેનન્સનું કામ કરે છે. ઓરિસ્સાના નાનકડા ગામમાં વેઠિયા મજૂરોને ભેગા કરીને પ્રિન્સ ડાન્સ ગ્રુપની સ્થાપના કરનાર ક્રિષ્ના રેડ્ડીની નામના આજે આખા ભારતમાં છે. સૌરભ વ્યાસ અને ગૌરવ રાઠોડ નામના આઈઆઈટી ગ્રેજ્યુએટ્સ પોલિટિકલ કન્સલ્ટન્ટ છે. તેમની એજન્સી  રાજકારણીઓને ઉપયોગી ડેટા પૂરો પાડે છે, જેમકે તેમના મતવિસ્તારમાં કઈ જ્ઞાતિના કેટલા વોટ છે, મતદાતાઓને કેવી ભેટ ગમે (દારૂ, સાડી કે નાણાં!), ક્યા મથક પર બોગસ વોટિંગ થયું હતું, ક્યા વિસ્તારમાં શું બોલવા જેવું છે વગેરે! સ્વતંત્રપણે કામ કરવું જ હોય તો ક્ષેત્રોની ક્યાં તંગી છે! 


લેખિકા રશ્મિ બંસલ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘આ પુસ્તક  માટે મેં ૩૦થી ૪૦ વ્યક્તિઓને શોર્ટલિસ્ટ કરી હતી. મારા માટે તેમના જીવનની કહાણી અને સ્ટ્રગલ ઈન્ટરેસ્ટિંગ હોય તે મહત્ત્વનું હતું, તેમની કંપનીઓનાં ટર્નઓવર નહીં. અંતિમ પસંદગી કરતી વખતે મેં એ વાત ધ્યાનમાં રાખી કે  પુસ્તકમાં સ્થાન પામેલી વ્યક્તિઓના બેકગ્રાઉન્ડ, સેટઅપ અને ફિલોસોફીમાં પૂરતું વૈવિધ્ય જળવાયું હોય. દેશભરમાં ફરીને આ વીસેવીસ વ્યક્તિઓની વિસ્તૃત મુલાકાત લીધી. આ આખી પ્રક્રિયા આઠથી નવ મહિના ચાલી હતી.’

પુસ્તક રસાળ, માહિતીપ્રદ અને પ્રેરણાદાયી છે. આ એક ઉત્તમ કોમ્બિનેશન છે. મૂળ અંગ્રેજીમાં ‘કનેક્ટ ધ ડોટ્સ’ ટાઈટલ ધરાવતા પુસ્તકનો સોનલ મોદીએ ગુજરાતીમાં કરેલો સુંદર ભાવાનુવાદ  ઓર એક પ્લસ પોઈન્ટ છે. એક ઉદાહરણ જોઈએ. ભારતનાં કેટલાંય શહેરોમાં ક્રોસવર્ડ જેવા પ્રસિદ્ધ બુકશોપની શૃંખલા ઊભી કરનાર આર. શ્રીરામે કારકિર્દીની શરૂઆત લેન્ડમાર્ક નામના બુકસ્ટોરથી કરી હતી. તે તબક્કાના વર્ણન દરમિયાન એક વાક્ય આવે છે ‘એક બાજુ રામ બીજી બાજુ ગામ!’ આ પ્રકારનો પ્રાસાનુપ્રાસ ધરાવતું વાક્ય અસરકારક રીતે મૂકવું તે અનુવાદિકાની ભાષાકીય સૂઝ દર્શાવે છે, જે આખા પુસ્તકમાં સતત વર્તાય છે. મુખપૃષ્ઠ પર ‘શૂન્યમાંથી સર્જન’ ટાઈટલમાં ‘શૂન્ય’ અને ‘માંથી’ અક્ષરોને જે રીતે તોડવામાં આવ્યા છે તે જરૂર કઠે છે.

રૂટીન નોકરીની ઝંઝાળ તોડી ખુદનો બિઝનેસ કરવા માગતા યુવાનોમાં જુસ્સો ભરી દેવાનું કૌવત આ પુસ્તકમાં છે. અરે, તેમને જ શા માટે, જીવનમાં કશુંક ઉત્તમ અને ઓરિજિનલ કરવા માગતી કોઈ પણ વ્યક્તિને આ પુસ્તક એટલું જ સ્પર્શી જશે.  


(શૂન્યમાંથી સર્જન

લેખિકાઃ રશ્મિ બંસલ
ભાવાનુવાદઃ સોનલ મોદી

પ્રકાશકઃ એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન
પ્રાિસ્થાન ઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩૨૯૨૧/૨૨૧૩૯૨૫૩
કિંમતઃ  રૂ. ૧૫૦ /
પૃષ્ઠઃ ૨૮૦)

     

Monday, May 23, 2011

આર્ટ ઓફ ઈન્ટરવ્યુ

 ચિત્રલેખા 
અંક તા. ૧૬ મે ૨૦૧૧માં
પ્રકાશિત





  કોલમઃ વાંચવા જેવું 

                                                                                                
૧૯૯૦ના દાયકાની શરૂઆતની વાત છે. અમદાવાદમાં ભવાનભાઈ નામના એક દર્દીની એન્જિયોપ્લાસ્ટી થવાની હતી. કોઈક કારણસર ડોક્ટર મુંબઈથી આવી ન શક્યા. તેમને અગાઉ આસિસ્ટ કરી ચૂકેલા એક યુવાન ડોક્ટરે દર્દીને પૂછ્યુંઃ તમે કહેતા હો તો હું પ્લાસ્ટી કરી આપું. સ્વતંત્ર રીતે આ મારો પહેલો કેસ થશે. પેશન્ટે વિશ્વાસ મૂક્યો. તેમણે વિચાર્યું કે હૃદયરોગમાં ટ્રીટમેન્ટ નહીં થાય તો આમેય મરવાનું છે, તો એના કરતાં આ નવશીખીયા ડોક્ટર પાસે એન્જિયોપ્લાસ્ટી કરાવવાનું જોખમ લેવામાં શું ખોટું? પેલા ડોક્ટરે ભવાનભાઈ પર હાથ અજમાવ્યો. પ્લાસ્ટી સફળ રહી. ડોક્ટર અને પેશન્ટ બન્નેને હાશકારો થયો. આજની તારીખે ય ભવાનભાઈ તે ડોક્ટર માટે વીઆઈપી પેશન્ટ બની રહ્યા છે. ચેકઅપ માટે આવે ત્યારે ડોક્ટર તેમને ટોપ પ્રાયોરિટી આપે. પોતાના ઘરે લઈ જઈને જમાડે પણ ખરા!


Dr. Tejas Patel
 આ ડોક્ટર એટલે દેશવિદેશમાં નામના મેળવનાર તેજસ પટેલ અને આ કિસ્સો જેમાં ટાંકવામાં આવ્યો છે તે પુસ્તકના લેખક એટલે કૌશિક મહેતા. વર્ષોથી ‘ચિત્રલેખા’ સાથે સંકળાયેલા કૌશિક મહેતા ‘ફૂલછાબ’ દૈનિકના તંત્રી છે. તેમનાં બે પુસ્તકો તાજેતરમાં પ્રકાશિત થયાં  ‘નાખી માટીના અનોખા માણસ’ અને ‘ટાઢા પો’રે’. આજે આપણે ‘નોખી માટી...’ વિશે વાત કરવી છે કે જેમાં ૧૯ નોંધપાત્ર  વ્યક્તિઓની ઈન્ટરેસ્ટિંગ મુલાકાતોનો સંગ્રહ થયો છે. આ કંઈ ઈશ્યુબેઝડ, વાંચીને ભુલી જવાની શુષ્ક મુલાકાતો નથી. ખરેખર તો આ મુલાકાતનાં સ્વરૂપમાં ચરિત્રચિત્રણો છે. ધર્મ, બિઝનેસ, કલાશિક્ષણસાહિત્ય અને સમાજસેવા જેવાં ક્ષેત્રોમાં નિશ્ચિત  ઊંચાઈ હાંસલ કરનાર મહાનુભાવોનાં સમગ્ર વ્યક્તિત્વની બહુપરિમાણી ઝલક આ ઈન્ટરવ્યુઝમાંથી મળે છે.


Morari Bapu
 એક હૃદયસ્પર્શી કિસ્સો સાંભળો. ભાદરકાંઠે દેવીપૂજકોના લાભાર્થે એક વખત મોરારીબાપુની કથાનું આયોજન થયેલું. એક દેવીપૂજક મહિલાએ બાપુને કહ્યુંઃ બાપુ, તમે મારા ઘરે ચા પીવા ન આવો? બાપુએ હા પાડી. મહિલાએ ઉત્સાહભેર કહ્યુંઃ તો પછી મારે ત્યાં રોટલોય ખાજો.  મોરારીબાપુ વર્ષોથી ગંગાજળ જ પીએ છે અને એમની રસોઈ પણ ગંગાજળમાંથી જ બને છે. બાપુએ પોતાના ઉતારેથી એક બોટલ ગંગાજળ આ મહિલાના કૂબે પહોંચાડવાની સૂચના આપી. સાંજે સંધ્યા બાદ બાપુ પાંચ-છ લોકો સાથે મહિલાને ત્યાં પહોંચ્યા. કૂબામાં ન લાઈટ, ન બેસવાની જગ્યા. બાપુ બહાર બેસી ગયા. મહિલાને તો હરખનો પાર નહીં. એણે રોટલો અને દૂધીનું શાક પીરસ્યાં. બાપુએ પૂછ્યુંઃ ગંગાજળમાં રસોઈ બનાવી છેને! મહિલાએ ના પાડી. કહેઃ મેં તો ભાદરનાં પાણીમાં રસોઈ બનાવી છે. બાપુ મહિલાની સામે જોઈ રહ્યા. એની આંખો ભીની હતી. બાપુ ધર્મસંકટમાં મૂકાયા. એક બાજુ વર્ષોનું ગંગાજળ વ્રત હતું અને બીજી બાજુ આ ભોળી મહિલાની ભાવના હતી. બાપુએ વ્રત તૂટવા દીઘું. મહિલાને કહેઃ ‘તેં જેમાં રસોઈ બનાવી એ ભાદરનું પાણી અને આંખમાં જે આંસુ છે એ જ મારા માટે ગંગાજળ છે.’ આમ કહીને તેમણે પ્રેમથી રોટલોશાક ખાધાં!

પત્રકાર હોવાનો સંભવતઃ સૌથી મોટો આનંદ એ છે કે તમે સંતથી માંડીને ક્રિમિનલ સુધીના ભાતભાતના લોકોના જીવનને સ્પર્શી શકો છો, તેમનાં દિલદિમાગમાં અધિકારપૂર્વક ડોકિયું કરી શકો છે. જો યોગ્ય સંધાન થઈ શકે તો ઈન-ડેપ્થ મુલાકાત દરમિયાન સામેની વ્યક્તિ ખીલતી જાય, ખૂલતી જાય અને પોતાના આંતરિક વ્યક્તિત્વને ઘીમે ઘીમે અનાવૃત કરતી જાય. પોતે કરેલી ખરેખરી અથવા તો સંભવિત ભુલોની કબૂલાત કરવી આસાન નથી હોતી. મુલાકાત લેનાર વ્યક્તિ પોતાની વાતને સાચા સંદર્ભમાં મૂલવી શકશે અને યોગ્ય રીતે રજૂ કરી શકશે એવો ભરોસો બેસે ત્યારે જ આ શક્ય બને. ઉદાહરણ તરીકે,  મોટી મોટી કંપનીઓને હંફાવનાર ઓરપેટ ગ્રુપના ડિરેક્ટર જયસુખ પટેલ, કૌશિક મહેતાને  કહી શકે છેઃ અમારી ઝીરો બોરોઇંગ કંપની છે. ક્યારેક એવું લાગે કે મૂડી બજાર ન જઈ અથવા બીજી રીતે ફાઈનાન્સ ન લઈ અમે ફાસ્ટ ડેવલપમેન્ટ કરી શક્યા નથી. અમે રસ્તે ગયા હોત તો આજે અમારાં ગ્રુપનું ટર્નઓવર બેથી ત્રણ ગણું વધારે હોત...


Parimal Nathvani
 માત્ર ઈન્ટરવ્યુ લઈ લેવાથી વાત પૂરી થઈ જતી નથી, તે અસરકારક રીતે કાગળ પર ઉતરવી પણ જોઈએ. પરિમલ નથવાણી વિશેના લેખમાં કહેવાયું છે કે જામનગર પાસે મોટી ખાવડીમાં રિલાયન્સની રિફાઈનરી નું કામકાજ શરૂ થયું તે પહેલાં ખેડૂતો પાસેથી જમીનસંપાદન કરવાના કામમાં પરિમલભાઈએ મહત્ત્વની ભુમિકા ભજવી હતી. તે વખતે તેઓ વડોદરમાં શેરબજારનું કામકામ કરતા હતા. ધીરુભાઈએ પરિમલભાઈને રિલાયન્સમાં જોડાઈ જવાની ઓફર આપતા કહ્યું, ‘ભાઈ, સ્ટોક એક્સચેન્જ છોડ, એમાં કંઈ નહીં વળે.’ પરિમલભાઈ કહે, ‘પણ મારે નોકરી નથી કરવી.’ આ મિટીંગ વખતે મુકેશ અંબાણી પણ હાજર હતા. તેઓ કહે, ‘આમાં નોકરીની ક્યાં વાત આવી? તું મારો શેઠ. હું તને પરિમલશેઠ કરીને બોલાવીશ, બસ?’ ધીરુભાઈ કહે, ‘તું રિલાયન્સ પરિવારનો એક મેમ્બર. જામનગરમાં ઓફિસરોને રહેવા માટે મકાન-ફ્લેટ જોઈશે. વાહનો જોઈશ. આ બધું કોણ કરશે? તારે જ  કરવાનું છે...’

પરિમલ નથવાણી પછી તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રસિડેન્ડ (કોર્પોરેટ અફેર્સ) બન્યા. તેમની વાત કરતી વખતે લેખક ગણતરીના શબ્દલસરકાઓમાં ધીરુભાઈ અંબાણી અને મુકેશ અંબાણીની પર્સનાલિટી પણ ઉપસાવી દે છે. એક વ્યક્તિવિશેષ વિશે લખતી વખતે તેના પરિઘમાં આવતી અન્ય વ્યક્તિઓને આબાદ રીતે ઉપસાવી દેવી તે કુશળ આલેખકની નિશાની છે.

કેટકેટલી વાતો! રાજકોટમાં શિક્ષણસંસ્થા ચલાવતા શામજીભાઈ ખૂંટને રિવોલ્વર કઈ રીતે વગેરેનું ડેમોન્ટ્રેશન આપતી વિડીયો કેસેટ મોકલતા સ્વામી સચ્ચિદાનંદ, ભાઈજી રમેશભાઈ ઓઝાની સૌથી પહેલી ભાગવત કથામાં રોજ નિયમિતપણે હાજરી આપતો અને કથા પૂરી થતાં જ મૃત્યુ પામતો કૂતરો, હાસ્યમાં રિયલાઈલેશન હોવું જોઈએ, રિએક્શન નહીં એવી મનુભાઈ પંચોળીએ કહેલી વાતને ગાંઠે બાંધી લેતા તેમજ થાનની નિશાળમાં વિદ્યાર્થિનીઓ માટે બ્રાન્ડન્યુ બેન્ચ આવતાં રડી પડતા શાહબુદ્દીન રાઠોડ... ઉત્કૃષ્ટ ઢોલકવાદક હાજી રમકડુંની વાત લેખકે એેટલી સુંદર રીતે લખી છે કે જાણે ધૂમકેતુની કોઈ નવલિકા વાંચતા હોઈએ એવી લાગણી થાય.

કૌશિક મહેતા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘કોઈપણ વ્યક્તિનો ઈન્ટરવ્યુ લેતા પહેલાં હું પાક્કું હોમવર્ક કરું, એનું બેકગ્રાઉન્ડ બરાબર જાણું અને પછી જે કામને લીધે તે પબ્લિક ફિગર બની છે તે વિષય પર આવું. મુલાકાત લેનાર સારો શ્રોતા હોવો જોઈએ. વ્યક્તિ ક્યારેક એટલી વ્યસ્ત હોય કે મુલાકાત ટુકડાઓમાં લેવાય, ક્યારેક બાકી રહી ગયેલી વાતો પછી ફોન પર પણ થાય. હું મુલાકાતોનું રેકાર્ડંિગ કરતો નથી, બલ્કે જવાબોના મુદ્દા ડાયરીમાં ટપકાવતો જાઉં છું.  મેં જોયું છે કે જેને ઓલરેડી જાણતો હોઉં તેની મુલાકાત કરતા ઈન્ટરવ્યુ વખતે જ પહેલી વાર મળ્યો હોઉં તેવી વ્યક્તિની મુલાકાત વધારે સરસ થાય છે.’

બહોળો બિઝનેસ છોડીને ભારતમાં ‘ગાંધી’ બનીને પરિભ્રમણ કરતા અમેરિકન જેફ નેબેલને બાદ કરતાં પુસ્તકમાં આવરી લેવાયેલા તમામ મહાનુભાવો ગુજરાતી છે. અશોક અદેપાલે તમામ વ્યક્તિવિશેષનાં સુંદર ઈલસ્ટ્રેશન્સ તૈયાર કર્યાં છે. જો સારા પ્રિન્ટિંગનો લાભ મળ્યો હોત તો ઈલસ્ટ્રેશન્સની વિઝયુઅલ અપીલ કંઈક ઓર જ હોત. પત્રકારત્વના ભાગ રૂપે તૈયાર થયેલાં પણ આકર્ષક સાહિત્યિક ગુણવત્તા ધરાવતાં  ઈન્ટરવ્યુઝનું આ કલેક્શન વાચકોને ગમ્યા વગર રહેશે નહીં એ તો નક્કી!


(નોખી માટીના અનોખા માણસ

લેખકઃ કૌશિક મહેતા

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર
દેરાસર પાસે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩૨૯૨૧, ૨૨૧૩૯૨૫૩

કિંમતઃ  રૂ. ૨૦૦ /
પૃષ્ઠઃ ૧૪૦)

૦૦૦








Thursday, April 21, 2011

સ્વામી સચ્ચિદાનંદનું લેટેસ્ટ પુસ્તક કેવું છે?

ચિત્રલેખા  અંક તારીખ ૨ મે ૨૦૧૧માં પ્રકાશિત


રામાયણઃ પ્રેમકથા.... શૌર્યકથા


કોલમઃ વાંચવા જેવું 
    

            

રામાયણ એટલે ભારતીય અસ્મિતા અને હિંદુ સંસ્કૃતિનો એક મહાસ્તંભ. રામાયણ એક તરફ રાજા અને પ્રજાના વ્યવહારવર્તન માટે શાશ્વત માપદંડો સ્થાપિત કરે છે, તો બીજી બાજુ, સમયકાળ સાથે નવાં અર્થઘટનો ઊઘડી શકે તે માટે જરૂરી અવકાશ પણ છોડે છે. સ્વામી સચ્ચિદાનંદ જેવી અભ્યાસુ  વ્યક્તિ જ્યારે રામાયણનું મૌલિક વિશ્લેષણ કરે ત્યારે તેમાં એમના ખુદના જીવનચિંતન તેમજ વ્યક્તિત્ત્વના રંગો ઉમેરાયા વગર ન રહે.  ‘રામાયણનું ચિંતન’માં સ્વામીજીની કલમ બરાબરની ખીલી છે.

પ્રસ્તુત પુસ્તકના કેન્દ્રમાં વાલ્મીકિ રચિત રામાયણ છે. અહીં રામજન્મથી શરૂ થયેલી કથા અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડમાંથી પસાર થતી થતી આખરે ધરતીમાં સમાઈ જતાં સીતાજીની ઘટના પર વિરામ લે છે. રામકથાના વિવિધ પ્રસંગોથી કોણ અજાણ હોવાનું. આથી જાણીતી ઘટનાઓની વિગતોમાં ઊંડા ઉતરવાને બદલે સ્વામીજીને ખુદને જે અભિપ્રેત છે તેે વ્યક્ત કરવામાં વિશેષ રુચિ દાખવી છે. પાંગળી ધાર્મિકતા કે નિરથર્ક આધ્યાત્મિકતાના બોજ તળે દબાયેલી  ઢીલી પ્રજા વાસ્તવ સામે આંખ આડા કાન કરીને પલાયનવાદી બની જાય તેની સામે સ્વામીજીને તીવ્ર રોષ છે.  પ્રસ્તાવનામાં જ તેઓ સ્પષ્ટપણ લખે છે કે પ્રજાને ઝઝૂમતી કરવી છે, ભાગતી નહીં.  ‘રામાયણનું ચિંતન’ તેમણે આ દષ્ટિકોણથી લખી છે.

Swami Sachchidanand
સ્વામીજી લખે છે, ‘રામાયણમાં સીતાહરણના પ્રસંગ સિવાય ક્યાંય સાધુ દેખાતો નથી. બધા ઋષિઓ જ ઋષિઓ છે. ઋષિઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે પુરુષાર્થોનું સંતુલિત જીવન જીવવાની પ્રેરણા આપે છે. તેઓ પત્નીત્યાગી નથી. તેમને બાળકો છે. ગૃહસ્થ જીવન જીવે છે. યુદ્ધો કરે છે. નવાં નવાં શસ્ત્રોની રચના કરે છે. રાક્ષસોથી મુકિત અપાવે છે. ઋષિ એટલે માત્ર ભગતડો નહીં. તે માળાની સાથે તલવાર પણ ફેરવી જાણે છે. પ્રજાનું આ મુખ્ય પ્રેરક બળ છે.... આપણે સૌ આ ઋષિ જેવા થઈએ તો દેશ કેવો બને? પછી પ્રજા કમજોર રહે ખરી? આ ઋષિમાર્ગ છે.’

પુસ્તકનું મુખપૃષ્ઠ સૂચક છે. અહીં નથી રામનો કોમળ ચહેરો દેખાતો કે નથી તેના પર મધુર સ્મિત રેલાતું. અહીં  છાયાચિત્રમાં તેમનું સશક્ત પૌરુષિક શરીર  દ્રશ્યમાન છે અને તેઓ ધનુષ્ય ધારણ કરીને આક્રમક મુદ્રામાં ઊભા છે. આખા પુસ્તકનો અને લેખકનો આ જ મિજાજ છે.



સ્વામી સચ્ચિદાનંદ  કહે છેઃ  ‘રામાયણ પરાક્રમનો ગ્રંથ છે. કોરા ત્યાગવૈરાગ્યનો ગ્રંથ નથી. ત્યાગવૈરાગ્ય તો પૂરી કથાના પ્રાણ છે, પણ તે પરાક્રમના પગે ચાલે છે. પગ વિનાનાં લૂલાં ત્યાગવૈરાગ્ય મડદાં બરાબર હોય છે. જો પ્રજા પલાંઠીપૂજક થઈ જશે તો નિષ્ક્રિયતા અને કાયરતા વધી જશે. રામકૃષ્ણ પલાંઠી નથી વાળતા. શસ્ત્રો લઈને ઝઝૂમે છે. તેમના ઝઝૂમવાથી રાક્ષસોથી પ્રજાનું રક્ષણ થાય છે. આ સાચો આદર્શ છે. ’ આટલું કહીને તેઓ ઉમેરે છેઃ ‘પોતાને સતત મહાન હોવાનાં બણગાં ફૂંકનારા બણગાખોરોને પૂછો કે તમે કેટલાં પાળિયાં પેદા કર્યાં? છપ્પન ગજની ધજા અને સોનાના કળશવાળાં ભલે હજારો મંદિરો બાંધ્યાં. બાંધો, હજુ વધુ બાંધો, પણ હૃદય પર હાથ મૂકીને જવાબ આપો કે ગામની ભાગોળે તમારો કોઈ પાળિયો છે? સોનાનો ઈતિહાસ નથી હતો. કદાચ હોય તો લૂંટાઈ જવાનો હોય. ઈતિહાસ તો પેલાં પાળિયાઓનો જ હોય છે.’



સ્વામીજી એક ઘા ને બે કટકા કરવામાં માને છે. તેમની વાણી અને લેખનમાં કશું જ ગોળ ગોળ નથી હોતું. સીધી વાત અને આકરા મર્માઘાત. તેઓ ઘણાને અપ્રિય લાગી શકે મુદ્દા છેડે છે, વાચકને વિચારતા કરી મૂકે છે. તેઓ કહે છે કે દુખોને દૂર કરવા અને સુખોને વધારવાં તે જીવનનું પ્રાથમિક લક્ષ્ય છે. સંસારસુખના પાંચ કેન્દ્રો છે ૧. વહાલસુખ, ૨. વિષયસુખ, ૩.વાત્સલ્યસુખ, ૪. વૈભવસુખ, પ. સત્તાસુખ. સ્વામીજી લખે છે કે સંપત્તિ અને વૈભવ ત્યાં સુધી જ સુખ આપે છે, જ્યાં સુધી માણસની લાગણીઓની હત્યા થઈ નથી જતી. વિશ્વાસઘાતથી મોટી કોઈ હત્યા નથી.

આ સંદભર્માં અહલ્યા અને તેમના પતિ ગૌતમ ઋષિની વાત જાણવા જેવી છે. અન્ય ગ્રાંથોમાં અહલ્યાને નિદોર્ષ બતાવ્યાં છે, પણ વાલ્મીકિએ તેમનું અલગ ચરિત્ર આલેખ્યું છે. એક વાર અહલ્યા આશ્રમમાં એકલાં હતાં ત્યારે ઈન્દ્ર તક ઝડપીને ગૌતમ ઋષિના વેશમાં આવ્યા. અહલ્યા  ઓળખી ગયાં કે આ પોતાના પતિ નહીં પણ ઈન્દ્ર છે. છતાં પણ તેઓ ઈન્દ્રને અનુકૂળ થયાં અને બન્નેએ ભરપૂર રતિસુખ માણ્યું. ક્રોધિત થયેલા ગૌતમ ઋષિએ પછી ઈન્દ્રને નપુંસક અને અહલ્યાને શ્રાપ આપીને શિલા બનાવી દીધાં. લાંબા અંતરાલ પછી આખરે રામના સ્પશર્થી શિલાનું પુનઃ અહલ્યામાં રૂપાંતર થયું.  અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી  આ પાંચ મહાસતીઓનું રોજ સવારે નામસ્મરણ કરવાનું કહેવાયું છે. સ્વામી સચ્ચિદાનંદ લખે છે, ‘આ પાંચેયમાં ચારિત્ર્યના સ્ખલન છતાં પહેલું નામ અહલ્યાનું છે તે સમજવા જેવું છે. અહલ્યા પતિત થઈ તે વાત સાચી પણ પણ પછી તે સુધરી ગઈ. પછીની જિંદગીમાં ફરીથી એણે આવી ભૂલ નથી કરી તેથી તેને સતી માનવામાં આવે છે.’


સ્વામીજીએ આખા પુસ્તકમાં મનીમોરલ, સેક્સમોરલ અને સ્ત્રીપુરુષના સંબંધો વિશે ખૂબ લખ્યું છે. તેઓ કહે છે, ‘સ્ત્રીને સાચવવી પડતી હોય છે. સચવાયેલી સ્ત્રી જ પોતાના માટે અને પતિ માટે સુખદાયી થઈ શકતી હોય છે. સાચવવાનો અર્થ છે, તેને મોકો ન આપો. એને અવિશ્વનીય પુરુષોથી દૂર રાખો. જોકે કામવાસના એટલી પ્રબળ હોય છે કે વિશ્વસનીય પણ ક્યારે અવિશ્વનીય થઈ જાય તે કહેવાય નહીં. જ્યાં સેક્સમોરલ હોતું નથી તેવી પ્રજા સુખી સુખી દામ્પત્ય ભોગવી શકતી નથી. સુખી દામ્પત્ય તો વફાદારી, વિશ્વાસ અને એકનિષ્ઠામાંથી પ્રા થતું હોય છે. દામ્પત્ય સ્ત્રી જ જમાવતી હોય છે, પુરુષ નહીં. વ્યભિચારિણી સ્ત્રી કદી પણ વિશ્વાસુ હોતી નથી. એટલે પ્રચંડ આવેગોનું ઉત્તમ સમાધાન પોતાનો પતિ કે પત્ની જ કરી શકે છે. ધર્મભાવના તેમને પરસ્પરનો સંતોષ આપે, એકબીજાને ખીલે બાંધી દે છે. લગ્ન એ મીઠી ગુલામી છે.’

પ્રસ્તુત પુસ્તકમાં શબ્દબદ્ધ થયેલો સ્વામી સચ્ચિદાનંદનો ચિંતનયુક્ત રોષ અને આક્રમકતાના ઘણા અંશ તેમનાં અગાઉનાં પુસ્તકોમાં વ્યક્ત થઈ ચૂક્યાં છે. આ જ પુસ્તકમાં અમુક મુદ્દા સતત પુનરાવતર્ન પામતા રહે છે. ક્યારેક અમુક મુદ્દે ઓવરસિમ્પ્લીફિકેશન થતું હોય તેવું પણ લાગી શકે. સ્વામીજી ‘ચિત્રલેખા’ને કહે છે, ‘તુલસીદાસના રામાયણ અને વાલ્મીકિના રામાયણ વચ્ચે ભેદ છે. તુલસીદાસ માટે શ્રીરામને ઈષ્ટદેવ છે, પરબ્રહ્મ પરમાત્મા  છે, જ્યારે વાલ્મીકિ શ્રીરામને એક આદર્શ રાજા અને મહાપુરુષ રૂપે જુએ છે. તુલસીદાસનું રામાયણ ભાવનાપ્રધાન છે, જ્યારે વાલ્મીકિનું રામાયણ તકપ્રર્ધાન છે અને વધારે પ્રામાણિક છે. મેં તુલસીદાસ કૃત રામાયણ વિશે અગાઉ ‘સંસારરામાયણ’ નામનું પુુસ્તક લખ્યું જ છે.’

સ્વામીજીના સાદગીભર્યા લખાણમાં જે  લાક્ષાણિક ચુંબકત્વ છે તે વાચકને સતત જકડી રાખે છે. આ નખશિખ સુંદર અને વિચારોત્તેજક પુસ્તક ધર્મચિંતનમાં રસ ધરાવનારાઓ માટે તેમજ સ્વામીજીના પ્રશંસકો માટે મસ્ટરીડ છે.

રામાયણનું ચિંતન

લેખકઃ સ્વામી સચ્ચિદાનંદ

પ્રકાશકઃ  ગૂજર્ર સાહિત્ય ભવન,
રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ૧
ફોનઃ  (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩

કિંમતઃ ૧૦૦ રૂપિયા
પૃષ્ઠઃ  ૨૫૦)

૦૦૦












Friday, April 1, 2011

ચાલીસ વર્ષના થવું એટલે શું?

               અહા! જિંદગી -  એપ્રિલ ૨૦૧૧માં પ્રકાશિત      0     કોલમ : ફલક

અઢાર વર્ષની ઉંમર, બાવીસ વર્ષનો અનુભવ



ચાળીસીમાં પ્રવેશીએ ત્યાં સુધીમાં ખબર પડી ચૂકી હોય છે કે બોસ... ફેન્ટસી, મહત્ત્વાકાંક્ષા તેમ જ પોતાની ક્ષમતા આ ત્રણેય વચ્ચે હાથી, ઘોડા ને ડાયનોસોર જેટલો તફાવત છે અને આ ભેદ બેતાલાં ચશ્માં ચડાવ્યા વગર જોઈ શકાય છે!

‘દિલ તો બચ્ચા હૈ જી’ ફિલ્મમાં એક ડાયલોગ છે. સ્ત્રી વગરની જિંદગી જીવી રહેલા અજય દેવગણની ઈમરાન હાશ્મિ મશ્કરી કરે છે અને ટોણો મારે છે, ‘હવે ઉતાવળ કર. તું થર્ટીનાઈનનો તો થયો.’
અજય દેવગણને હાડોહાડ લાગી આવે છે. ‘થર્ટીએઈટ!’ એ તરત કરેકશન કરે છે, ‘બી રીઝનેબલ, યાર...’ 
આ સંવાદ જોતીસાંભળતી વખતે ભલે હોઠ મરકી જાય, પણ અજય દેવગણની પીડા સમજી શકાય એવી છે! જિંદગીનું ચાળીસમું વર્ષ નિકટ આવતું જાય તેમ તેમ માણસે  સ્ત્રી અને પુરુષ બન્નેએ  ઘાંઘાં થવાનું હોય કે અત્યાર સુધી અનુભવેલા રઘવાટમાંથી મુક્તિ મેળવવાની હોય? આનો જવાબ એણે છેલ્લા દોઢ દાયકા દરમિયાન પર્સનલ અને પ્રોફેશનલ લેવલ પર શું ઉકાળ્યું તેના પર છે.  ચાળીસમા બર્થડે પર માણસ ઓફિશિયલી મધ્યવયમાં પ્રવેશ કરે છે. આપણી ભાષામાં ‘આધેડ’ શબ્દ છે, જેનો સાર્થ ગુજરાતી કોષ અનુસાર અર્થર્ થાય છે, અડધી ઉંમરે પહોંચી ગયેલું, પ્રોઢ વયનું. ચાળીસ વર્ષનો માણસ આધેડ કહેવાય? આધેડ કરતાં મધ્યવયસ્ક શબ્દ વધારે  સહ્ય અને ઓછો અણિયાળો છે! ચાળીસીમાં પ્રવેશી રહેલા માણસ માટે ફાટફાટ જુવાનીનાં વર્ષો પાછળ છૂટી ગયાં છે, વૃદ્ધાવસ્થા દૂર ક્ષિતિજ પર ઊભી છે અને તેની આંખો આ બન્નેને એક જ ચકરાવામાં, એકસાથે જોઈ શકે છે.

ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે કે સ્ત્રીનું ઓગણચાળીસમું વર્ષ પાંચ વર્ષ ચાલતું હોય છે! સ્ત્રી કરતાં પુરુષ ચાળીસીને વધારે સ્વસ્થતાથી, વધારે સહજતાથી અપનાવી શકે છે તે હકીકત છે. આ દાયકામાં સ્ત્રી માટે એક નક્કર ઘટના બને છે મેનોપોઝ. મેનોપોઝમાં પ્રવેશવું તે મનોશારીરિક અવસ્થા છે અને તેનાં તીવ્ર કંપનોનો અનુભવ ક્યારેક આખા પરિવારને થાય છે. પુરુષે અત્યાર સુધી મિડલાઈફ ક્રાઈસિસ વિશે જાણવાસમજવાની દરકાર નહોતી કરી, પણ ચાળીસીમાં પ્રવેશતા જ આ શબ્દ એકદમ પ્રસ્તુત બની જાય છે. અત્યાર સુધી માતાપિતા અને વાઈફની નજરમાં સ્માર્ટ પુરવાર થવાનું હતું, હવે ઝપાટાભેર મોટાં થઈ રહેલાં અને શરીરના કોષની રચનાથી માંડીને બ્રહ્માંડના તારાના કદ સુધીના સવાલ પૂછપૂછ કરતા મહાઉત્સુક સંતાનની નજરમાં ઈન્ટેલિજન્ટ સાબિત થવાનું છે. અત્યાર સુધી કોઈ ‘અંકલ’ (કે ‘આન્ટી’) કહીને બોલાવતું તો ગુસ્સો છૂટી જતો, પણ ચાળીસીમાં પ્રવેશો એટલે દિવસમાં નિયમિતપણે શેવિંગ કરવા માંડેલો જુવાન કે થર્ટીફોરબી સાઈઝની બ્રા પહેરતી કોલેજિયન તમને ‘અંકલ’ કે ‘આન્ટી’ કહે તો મોઢું બગાડ્યા વગર, સહજતાથી સ્વીકારતાં શીખી જવાનું છે. ધારો કે તમે વીસ-એકવીસ વર્ષની વયે પરણી ગયાં હોત અને તરત બચ્ચું પેદા કરી નાખ્યું હોત તો બેતાલાં ચશ્માં આવવાની ઉંમરે તમે દાદાનાના કે દાદીનાનીની કેટેગરીમાં આવી ગયાં હોત! 
ચાળીસીમાં પ્રવેશી રહેલા માણસ પાસે શું હોય છે? જીવનની અત્યાર સુધીની યાત્રા માણસને જમાવટ અને સ્થિરતા આપે છે. એના વ્યક્તિત્વમાં અનુભવની ચમક ઉમેરી દે છે. ગધ્ધાપચ્ચીસીમાં જે કોઈ ઉધામાઅખતરા અને ધમપછાડા કર્યા હતા તેનાં સારાંમાઠાં પરિણામ તે હવે જુએ છે. એ જો ‘સીધી લાઈન’નો હોય તો પોતાની કરીઅરનું કમસે કમ એક શિખર તો આ વર્ષોમાં જોઈ જ લે છે અથવા, કમસે કમ શિખરની નજીક પહોંચી જાય છે. ક્યારેક ત્રીસીના દાયકામાં જોયેલું શિખર માણસની કારકિર્દીનું એકમાત્ર શિખર બની રહે છે.

પતિ અને પત્ની ચાળીસનાં થાય ત્યાં સુધીમાં  એકબીજાનાં સુલક્ષણો અને અપલક્ષણોથી સારી રીતે વાકેફ થઈ ચૂક્યાં હોય છે. એકબીજાનું બેસ્ટ અને વર્સ્ટ જોઈ ચૂકેલાં પતિપત્નીને ખબર પડી ચૂકી હોય છે કે આગલા સાત ભવ માટે આ જ જીવનસાથીનું એડવાન્સ બુકિંગ કરી નાખવું છે કે પછી આ એક ભવ પણ જેમતેમ પસાર થઈ જાય તે માટે કુળદેવીની માનતા માનવી પડે તેમ છે. સ્ત્રીપુરુષ એકબીજાનાં પ્રેમમાં પડે કે સગાઈના સંબંધથી જોડાય એટલે રોમેન્ટિક ફિલ્મ જીવતાં હોય તેવું લાગે. લગ્ન બાદ એકાએક એકબીજાંના અણધાર્યાં પાસાં સામે આવે અને બન્ને વચ્ચે એવાં હુલ્લડ થવા માંડે કે રોમેન્ટિક ફિલ્મ એકદમ જ ધૂમધડાકાથી ભરપૂર એકશન ફિલ્મ બની જાય. પછી બેય એકબીજાંથી ટેવાઈ જાય, એક પ્રકારની સ્વીકૃતિની ભાવના આવતી જાય કે ભઈ, જે છે તે આ જ છે. આમ, ચાળીસ પછી ધીમે ધીમે એક પ્રલંબ થ્રિલરનું બોરિંગ સામાજિક ચલચિત્રમાં પરિવર્તન થવા માંડે! 

ચાળીસીના દાયકાની ખૂબસૂરતી એ છે કે તે માણસને અગાઉના કોઈ દાયકાએ ન આપી હોય તેટલી માનસિક સ્પષ્ટતા આપે છે. પોતાના વિશે, પોતાના પરિવેશ વિશે. અઢાર-વીસ-બાવીસ વર્ષના હતા ત્યારે ક્રાંતિ કરી નાખવાનાં, યુગપુરુષ બનીને અમર બની જવાનાં યા તો પ્રાઈવેટ જેટમાં સવાર થઈને પોતાની માલિકીના યુરોપિયન આઈલેન્ડ પર ભવ્ય આવાસમાં વેકેશન મનાવવાનાં સપનાં જોયાં હતાં. આ બધું, કોણ જાણે કેમ, એ ઉંમરે અશક્ય નહોતું લાગતું. ચાળીસીમાં પ્રવેશીએ ત્યાં સુધીમાં હાઉસિંગ, કાર અને બીજી જાતજાતની લોનના હપ્તાના બોજ નીચે ચગદાયા પછી ખબર પડી ચૂકી હોય છે કે બોસ... ફેન્ટસી, મહત્ત્વાકાંક્ષા તેમ જ પોતાની ક્ષમતા આ ત્રણેય વચ્ચે હાથી, ઘોડા ને ડાયનોસોર જેટલો તફાવત છે. અને આ ભેદ બેતાલાં ચડાવ્યા વગર જોઈ શકાય છે! 

મોટી ઉંમર સુધી રહી ગયેલી બેબી ફેટ્સ જેવી મુગ્ધતા તૂટવી જ જોઈએ. ભ્રમ તૂટવાની આ ક્રિયા શુભ છે. ચાળીસીમાં પ્રવેશી ચૂકેલો માણસ, જો એ સ્વસ્થ હશે તો, પોતે કેટલાં પાણીમાં છે તે જાણી લીધા પછી હેબતાઈ નહીં જાય. ‘અરરર... હું બસ ચૂકી ગયો’ પ્રકારની લાગણી એનામાં નહીં જાગે, એને નવેસરથી લઘુતાગ્રંથિ કે ગિલ્ટનો એટેક નહીં આવે. એનો ઉત્સાહ અને જીવનબળ અકબંધ હશે તો એ પોતાની નબળાઈઓ સાથે મલ્લયુદ્ધ કરતા રહેવાને બદલે, તેને એની સાથે સ્માર્ટલી ડીલ કરશે, એની સાથે દોસ્તી કરીને અને એના ખભે હાથ મૂકીને આગળ વધી જશે.



ચાળીસી આત્મસ્વીકૃતિનો દાયકો છે. અને આત્મસ્વીકૃતિ હંમેશાં આત્મવિશ્વાસ પેદા કરે છે. ચાળીસી સુધી પહોંચતાં સુધીમાં જીવનના ઘણા બધા એરિયામાં પાક્કું શોર્ટલિસ્ટિંગ થઈ ચૂક્યું હોય છે. ‘ડુઝ’ અને ‘ડોન્ટ્સ’ના ખાનાં ભરાઈ ચૂક્યાં હોય છે. હવે પછીનાં વર્ષોમાં આ થઈ શકે તેમ છે, આ કરવાનું જ છે કે આ દિશામાં કોઈ કાળે જવા જેવું નથી એવી સ્પષ્ટતા થઈ ચૂકી હોય છે. ચાળીસથી પચાસ તરફની યાત્રા વધારે સફળતા, વધારે સ્થિરતા અને વધારે જમાવટની તરફની યાત્રા છે.  ‘લાઈફ બિગિન્સ એટ ફોર્ટી’ તે ઉક્તિમાં મનોશારીરિક સત્ય છુપાયેલું છે.  ચાળીસીમાં પ્રવેશ્યા પછી એક તરફ માણસની ફ્લેક્સિબિલિટી ઘટેે, તેની જોખમ ઉઠાવવાની વૃત્તિ પ્રમાણમાં મંદ પડે તો બીજી બાજુ એનામાં આઈડોન્ટકેર એટિટ્યુડ વિકસી ગયો હોય. આ એક વિરોધિતા છે. તે શામાંથી પેદા થાય છે  ઘટ્ટ થઈ ચૂકેલા ઈગોમાંથી કે આત્મસ્વીકૃતિની લાગણીમાંથી?

જન્મથી ચાળીસ વર્ષ એટલે ઊર્ધ્વ ગતિ અને એકતાળીસ પછી નીચે ઊતરવાની શરૂઆત એવો કોઈ નિયમ નથી. મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને તેમણે સત્યાગ્રહની સાથે ‘ગાંધીજી’ બનવા તરફની યાત્રાની શરૂઆત કરી ત્યારે એમની ઉંમર ૪૫ વર્ષ હતી તે યાદ છે ને? એક જગ્યાએ સરસ વાક્ય વાંચેલુંઃ ‘કોણે કહ્યું હું ચાળીસનો થયો? મારી ઉંમર અઢાર વર્ષ છે અને મને પુખ્તાવસ્થાનો બાવીસ વર્ષનો અનુભવ છે!’

બિલકુલ... ધેટ્સ ધ સ્પિરિટ!

000

Friday, March 25, 2011

ઊંઘતા માણસને સમણાં સિવાય બીજું કંઈ મળતું નથી

Baby with a bat : Sachin Tendulkar
ચિત્રલેખા અંક તારીખ 4 એપ્રિલ 2011માં પ્રકાશિત



કોલમઃ વાંચવા જેવું



'ભૂલો હંમેશા ક્ષમ્ય હોય છે જો માણસમાં ભૂલ કબૂલ કરવાની હિંમત હોય તો..’






'હું ભારત માટે ક્યારે રમીશ?’

એક નાનકડા છોકરો પોતાને ક્રિકેટ શીખવતા મોટો ભાઈને હંમેશા આ સવાલ કરતો. તે એટલો નાનો હતો કે સાચું પૂછો તો ભારત માટે રમવું એટલે શું એની પણ એને ખબર નહોતી. નર્સરીમાં જતું બાળક  ‘માલે મોટા થઈને ડોક્ટલ બનવું છે’ કહે એના જેવી આ વાત હતી. પણ ક્યારેક સાવ કૂમળી ઉંમરે ઉચ્ચારાતી કાલી કાલી ભાષામાં આખી જિંદગીનો નક્શો દોરાઈ જતો હોય છે. આ બમ્બૈયા છોકરાના કિસ્સામાં એવું જ થયું. વર્ષો પછી તે ખરેખર ટીમ ઈન્ડિયામાં સામેલ થયો, એટલું જ નહીં, વિશ્વક્રિકેટના મહાનતમ ખેલાડીઓની સૂચિમાં ક્રમશઃ હકથી સ્થાન પણ પામ્યો. આ  છોકરો એટલે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર!

યોગેશ ચોલેરા દ્વારા સંકલિત ‘લાઈફ ઈઝ એ ગેમ’ પુસ્તકનાં પાનાં રસપૂર્વક ઊથલાવતાં જાઓ એટલે સચિન જેવા દુનિયાભરના સ્પોર્ટસ લેજન્ડ્સની આવી કેટલીય વાતો અને વિગતો તમારી આંખ સામે ઊપસતાં જાય. અદમ્ય જુસ્સો, પ્રચંડ સંકલ્પશક્તિ, પોઝિટિવ આક્રમકતા, છેલ્લી ક્ષણ સુધી હાર ન માનવાની વૃત્તિ... આ ઉત્કૃષ્ટ માનવીય ગુણો સ્પોર્ટ્સમાં જેટલી આકર્ષક રીતે ઉભરે છે એટલા કદાચ બીજી કોઈ ચીજમાં ઉભરતા નથી. અત્યારે વર્લ્ડ કપ ફિવર જોરદાર ફેલાયેલો છે ત્યારે ૩૩ જેટલી રમતોના ૧૨૪ જેટલા મહાન ખેલાડીઓના ખુદના અવતરણોમાં પેશ થતી એમની પ્રેરક વાતો ઓર અપીલ કરે છે.

Sir Don Bradman

Maradona in his childhood
  સચિન તો ભાગ્યશાળી હતો કે તેને નાનપણથી ક્રિકેટની તાલીમ મળવા લાગી હતી, પણ એક શ્રમિક ઓસ્ટ્રેલિયન પિતાના પુત્ર એવા મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડોન બ્રેડમેનને કદી ક્રિકેટનું કોચિંગ મળ્યું નહોતું. બેટ કેમ પકડવું એ એમને કદી શીખવવામાં આવ્યું નહોતું.  હોકી લેજન્ડ ધનરાજ પિલ્લૈ કહે છે, ‘હોકી તો મારા લોહીમાં હતી, પણ હોકીની સ્ટિક ખરીદવા અમારી પાસે પૈસા નહોતા. આથી હું અને મારો ભાઈ ભાંગેલી તૂટેલી સ્ટિકોને દોરી બાંધીને તેનાથી હોકી રમતા.’ ૧૫ વર્ષની ઉંમરે પ્રોફેશનલ ફૂટબોલર બની ગયેલો આર્જેન્ટિનાના ઓલ-ટાઈમ-ગ્રેટ ફૂટબોલર  ડિયેગો મેરેડોના અંધારામાં ફૂટબોલ રમતા શીખ્યા છે. એ કહે છે, ‘મારા ઘરની પછવાડે ફોર્થ લીગની ટીમનું સ્ટેડિયમ હતું. હું દિવસ આખો ફૂટબોલ રમતો અને બીજા છોકરાઓ ઘરે જાય પછી રોકાઈને બે કલાક અંધારામાં રમતો. અંધારામાં મને કંઈ દેખાતું નહીં તો પણ હું ગોલ તરફ કિક મારતો. દસ વર્ષ પછી મેં આર્જેન્ટિના જુનિયર્સ માટે કોન્ટ્રેક્ટ સાઈન કર્યો ત્યારે મને સમજાયું કે અંધારામાં ખેલેલા દડા કેટલા સચોટ હતા.’


Serena Williams
 ખરેખર, એકાગ્રતા એ ઉત્કૃષ્ટ સ્પોર્ટસપર્સનનો મહત્ત્વનો ગુણ છે. ટેનિસ પ્રિન્સેસ સેરેના વિલિયમ્સ એકાગ્રતાની સરસ વ્યાખ્યા કરે છેઃ ‘કોઈ શેરીમાં બંદૂકના ધડાકા કરતું હોય ત્યાર જો તમે ટેનિસ રમવાનું ચાલુ રાખી શકો, તો એનું નામ એકાગ્રતા.’ સેરેનાનું આ ક્વોટ પણ બહુ સુંદર છેઃ ‘ઊંઘતા માણસને સમણાં સિવાય બીજું કંઈ મળતું નથી...’ સમણું તો છે, પણ તે સાકાર કરવાનો સમય ન મળે એ વાત ખોટી. શતરંજ કે ખિલાડી નંબર વન ગેરી કાસ્પારોવ કહે છે, ‘તમે જો એમ કહો કે તમારી પાસે પૂરતો સમય નહોતો તો એનો અર્થ એ થયો કે તમે સુવ્યવસ્થિત નહોતા.’


Larissa Latynina
 પુસ્તકમાં માત્ર સ્પોર્ટ્સ પીપલનાં અવતરણો નથી, બલક્ે તેમના જીવન અને કરીઅરની વિગતો પણ છે. જેમ કે, જીમનેસ્ટિક્સમાં અમીટ સ્થાન બનાવનાર રશિયન ખેલાડી લેરિસ્સા લેટીનિનાએ ઓલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ અને યુરોપિયન ચેમ્પિયનશિપ્સ આ ત્રણેયમાં થઈને અધધધ ૨૬ ગોલ્ડમેડલ, ૧૪ સિલ્વર મેડલ અને ૬ બ્રોન્ઝ મેડલ જીત્યા છે! દુનિયાના બીજા કોઈ એથ્લેટે કોઈપણ સ્પોર્ટમાં ઓલિમ્પિક્સમાં લેરિસ્સા જેટલા મેડલ્સ જીત્યા નથી (નવ સુવર્ણ, પાંચ રજત, ૪ કાંસ્ય). ૧૯૫૮માં વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં છમાંથી પાંચ સ્પર્ધામાં વિજેતા બની ત્યારે લેરિસ્સા લેટીનિના સગર્ભા હતી! શ્રેષ્ઠ સ્ત્રીખેલાડીઓની કરીઅરમાં ગર્ભાવસ્થા અને પૂર્ણવિરામ માત્ર અલ્પવિરામ હોઈ શકે, પૂર્ણવિરામ નહીં. મેરેથોન ક્વીન તરીકે જાણીતી ઈથિયોપિયાની ડેરાર્ટ તુલ્લુ પ્રસૂતિને કારણે સ્પોર્ટની બહાર થઈ ગઈ હતી, પણ થોડા અરસા પછી તે પાછી ફરી અને ગોલ્ડમેડલ પણ જીત્યો. એ કહે છે, ‘કોઈ પણ ઉંમરે કશું પણ સિદ્ધ કરવું શક્ય છે.’

મહાન ખેલાડીઓ ‘અશક્ય’ શબ્દને પોતાની ડિકશનરીથી દૂર રાખતા હોય છે. સુપર સ્ટાઈલિશ ઇંગ્લિશ ફૂટબોલર ડેવિડ બેકહેમ કહે છે, ‘અશક્ય એટલે શું? પોતે જે પરિસ્થિતિમાં હોય તેને બદલવા માટેની પોતાની શક્તિઓની તલાશ કરવાને બદલે તેમાં જ જીવવાનું વધુ આસાન માને છે એવા નાના માણસો દ્વારા આમતેમ ફેંકાતો એક શબ્દ માત્ર.’

મહાન સ્પોર્ટસમેન કોને કહેવાય? અમેરિકન ટેનિસ પ્લેયર માર્ટિના નવરાતિલોવા પાસે એનો ઉત્તર છે, ‘પોતે શ્રેષ્ઠ ફોર્મમાં હોય ત્યારે નહીં, પણ ખરાબમાં ખરાબ ફોર્મમાં હોય ત્યારે પણ ઉત્તમ પર્ફોર્મન્સ આપી શકે તે મહાન સ્પોર્ટ્સમેનની નિશાની છે.’ શું ઊંચાઈ પર પહોંચી ચૂકેલા ખેલાડીઓને સતત એવું લાગતું હોય છે કે પોતે સમવન સ્પેશિયલ છે? ક્રિકેટર બ્રાયન લારા કહે છે, ‘હું ખાસ છું એવું મેં કદી વિચાર્યું જ નહોતું. મેં તો મારી રમત માટે સજ્જ થવા સખત મહેનત કરી અને આ પ્રક્રિયામાં આનંદ માણ્યો. હું તો એમ જ માનું છું કે તમારી મજલના દરેક પગલે તમે સખત મહેનત કરો, અને એમ કરવામાં આનંદ માણો. તેનું પરિણામ ક્યારેક અલૌકિક હોય છે, અને બધા એથી આશ્ચર્યચકિત થાય છે.’

એકધારી સફળતા અને ખ્યાતિ ક્યારેક સ્પોર્ટ્સમેનનું દિમાગ ખરાબ કરી દેતાં હોય છે. માર્શલ આર્ટ્સને વિશ્વના નકશા પર મૂકી દેનાર બ્રુસ લી કહે છે, ‘તામસી સ્વભાવ તમને જલદી મૂર્ખ બનાવશે. મૂર્ખ માણસ શાણપણભરી પરિસ્થિતિમાંથી જેટલું શીખી શકશે તેના કરતા શાણો માણસ મૂર્ખાર્ઈભરી પરિસ્થિતિમાંથી વધારે શીખી શકશે. ભૂલો હંમેશા ક્ષમ્ય હોય છે જો માણસમાં ભૂલ કબૂલ કરવાની હિંમત હોય તો.’ મહાન બોલર શેન વોર્ન એટલે જ કહે છે, ‘મારામાં ગઈ ગુજરીને ઝડપથી ભૂલી જવાની માનસિક ક્ષમતા હતી. અરેર! આ મેં શું કર્યું? એમ વિચારતા બેઠા રહેવાનો કોઈ અર્થ નથી. તમારે આગળ વધવું જ રહ્યું.’ 


Dhyan Chand
 સંકલનકાર અને સહપ્રકાશક યોગેશ ચોલેરા ‘ચિત્રલેખા’ને કહે છે, ‘નાનપણથી જ મને વાંચવાનો અને સફળ લોકોનાં અવતરણો એકઠા કરવાનો ખૂબ શોખ. ત્રણ વર્ષ પહેલાં અમે વિષયવાર અવતરણોનાં પુસ્તકોની શૃંખલા શરૂ કરી હતી તેનું આ ચોથું પુસ્તક. દુનિયાભરનાં સ્પોર્ટ્સ સામયિકો સદીના ઉત્તમ ખેલાડીઓની પોતપોતાની યાદી બહાર પાડતાં હોય છે. આ યાદીઓનો આધાર લઈને સૌથી પહેલાં તો અમે ૫૦૦થી ૭૦૦ સ્પોર્ટ્સ પીપલની સૂચિ તૈયાર કરી રિસર્ચ શરૂ કર્યું. શોર્ટ લિસ્ટિંગ કરીને જેતે ખેલાડી સંબંધિત પુસ્તકો, ખાસ કરીને જીવનકથાઓ મગાવી. અમુક ખેલાડી વિશે સામગ્રી એકઠી કરવાનું ખૂબ અઘરું પૂરવાર થયું. જેમ કે ધ્યાનચંદની ‘ગોલ’ નામની જીવનકથા ક્યાંય ઉપલબ્ધ નહોતી. આખરે બેંગાલ હોકી અસોસિયેશનના પ્રેસિડેન્ટે તે પુસ્તિકાની ઝેરોક્સ કરાવીને મને મોકલી! અમુક પુસ્તકો ચીન, રશિયન કે કોરિયન જેવી ભાષામાં જ ઉપલબ્ધ હોય. આવા કેસમાં હું ઓનલાઈન કમ્યુનિટીની મદદ લઉં એને જેતે લખાણનો ઇંગ્લિશ અનુવાદ મેળવું. ઈન્ટરનેટ પર અવેલેબલ સામગ્રીનો પણ ઉપયોગ થાય, પણ ક્યાંય માહિતીદોષ ન રહી જાય માટે જુદા જુદા સોર્સનો ઉપયોગ કરીને વિગતોને વેરીફાય જરૂર કરવામાં આવે. આખરે છએક મહિનાની જહેમત બાદ પહેલાં અંગ્રેજીમાં અને પછી ગુજરાતી, હિન્દી અને મરાઠીમાં આ પુસ્તક બહાર પડ્યું.’

સંકલનકારની જહેમત આ રૂપકડાં પુસ્તકનાં પાને પાને વર્તાય છે. પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ જોકે હજુ વધારે પ્રવાહી અને સહજ થઈ શક્યો હોત. આ સત્ત્વશીલ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે જેમને સ્પોર્ટ્સમાં બહુ રસ ન હોય તેવા વાચકોને પણ તે સ્પર્શી જશે. સફળ અને પ્રેરણાદાયી વ્યક્તિઓની આ જ તો કમાલ છે! 

(લાઈફ ઈઝ એ ગેમ

સંકલનકાર: યોગેશ ચોલેરા
અનુવાદકઃ દિનેશ રાજા

પ્રકાશકઃ વંડરલેન્ડ પબ્લિકેશન,
૪૦૧-બી, સર્વોત્તમ કોમ્પલેક્સ, પંચનાથ મેઈન રોડ, રાજકોટ-૧
ફોનઃ (૦૨૮૧) ૩૦૫૩૫૭૭ 

કિંમતઃ રૂ. ૨૯૫/
પૃષ્ઠ સંખ્યાઃ ૨૪૮)

Thursday, March 24, 2011

કાંતિ ભટ્ટનું લેટેસ્ટ પુસ્તક કેવું છે?

મેરા મગજ મહાન!


ચિત્રલેખા અંક તારીખ ૨૧ માર્ચ ૨૦૧૧માં પ્રકાશિત


કોલમઃ
વાંચવા જેવું











મેરિકામાં એક  પ્રયોગ થયો. પ્રતિષ્ઠિત કોલેજોમાં સાઈકોલોજી ભણાવતા સાત પ્રોફેસરો જાણે પોતે માનસિક રીતે બિમાર હોય તેવો સ્વાંગ સજીને એક સાઈકિએટ્રિક હોસ્પિટલના ડોક્ટર પાસે ગયા. આ સાતેયને તપાસવામાં આવ્યા અને તેમના અભિનયને સાચો માનીને હોસ્પિટલમાં  દાખલ સુધ્ધાં કરી દેવામાં આવ્યા. બાવન દિવસો પછી તેમને છુટા કરાયા સાજા થયેલા દર્દી તરીકે નહીં, પણ અમુક હદે સુધારો પામેલા દર્દી તરીકે. આટલા દિવસો સુધી સાઈકિએટ્રિસ્ટો, નર્સો કે વોર્ડબોય્ઝમાંથી કોઈને ખબર ન પડી કે આ લોકો પાગલ હોવાનું નાટક કરી રહ્યા છે! આ અખતરો પછી અલગ અલગ બાર મેન્ટલ હોસ્પિટલમાં રિપીટ કરવામાં આવ્યો અને દર વખતે લગભગ એકસરખું પરિણામ આવ્યું! 

કાન્તિ ભટ્ટે આ રસપ્રદ કિસ્સો તેમનાં ‘મગજશક્તિ’ પુસ્તકમાં લખ્યો છે. માનવીનું મગજ દુનિયાનું સૌથી જટિલ ફિઝિકલ ફોર્મ છે.  તેના વિશે લખવું, વારંવાર લખવું અને સૌને રસ પડે તે રીતે લખવું સહેલું નથી. આ પુસ્તકમાં સંગ્રહ પામેલા ૩૦ લેખોમાં  મગજ વિશે ચિક્કાર અને વૈવિધ્યસભર માહિતી પિરસવામાં આવી છે.

માર્ચ-એપ્રિલ એટલે પરીક્ષાની સિઝન. કાંતિ ભટ્ટ લખે છે કે બદામ ખાવાથી કંઈ નહીં વળે, મગજની સમસ્યા મગજથી જ ઊકેલાશે. રોજ ૨૦ થી ૩૦ મિનિટ  કંઈ પણ વિચાર્યા વગર રિલેક્સ થઈને પડ્યા રહો. વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસોમાં આ ખાસ કરવા જેવું છે.  અઢાર કલાક સતત વાંચવાને બદલે અડધો કલાક ટેલિવિઝન કે વિડીયો પર મનગમતો રમૂજી કાર્યક્રમ સાંભળી લેવાથી મગજની સ્મરણશક્તિ વધે છે.

કાંતિ ભટ્ટના લેખોમાં આંકડા અને વિગતોની રેલમછેલ હોવાની. તેઓ લખેે છે કે મગજના કોષોની સંખ્યા ૧૦ અબજ છે કે ૧૦૦ અબજ છે તે નક્કી થઈ શક્યું નથી. શરીરમાં મગજ જ એક એવું અંગ છે જેને પીડા થતી નથી. પુરુષના મગજનું વજન લગભગ ૧૪૦૦ ગ્રામ અને  સ્ત્રીના મગજનું વજન આશરે ૧૨૬૦ ગ્રામ સરેરાશ હોય છે. જોકે ૧૮થી ૮૦ વર્ષનાં સ્ત્રીપુરુષોનાં મગજના તપાસને અંતે તારણ નીકળ્યું કે પુરુષોના મગજ સ્ત્રીઓના મગજ કરતા ત્રણગણી ઝડપે તેનાં કોષોને ગુમાવે છે. સ્ત્રીનું મગ લાંબુ ટકે છે, પુરુષનું મગજ જલદીથી ખરાબ થઈ જાય છે. સ્ત્રીના સૌથી મોટા અને વજનદાર મગજનો રેકોર્ડ ૧૫૬૫ ગ્રામનો હતો... અને એ સ્ત્રી ખૂની હતી!

સ્ત્રી હોય કે પુરુષ, શું માણસ વૃદ્ધ થાય એટલે તેના મગજશક્તિ ઓછી થાય જ તે જરૂરી છે? ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ૭૪ વર્ષની વયે પત્રકારને કહેલુંઃ મારામાં ક્ષીણતા નહીં આવે, હું કૃશ નહીં થાઉં, માનસિક રીતે પણ નહીં. આટલું કહીને કાન્તિ ભટ્ટ ઉમેરે છેઃ ‘જે માણસ સતત નિરીક્ષણ કરે છે, જે નીરખે છે તેને મનમાં ઉતારે છે, આત્મસાત કરે છે, એ પછી ચારેકોરથી ઊઠતા સવાલના જવાબ શોધે છે, તે કદી ક્ષીણ થતો નથી. તેની ફેકલ્ટીઓ જાગતી રહે છે. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ પોતે આ પ્રમાણે જીવ્યા.’ 

મગજની અંદર જટિલ પ્રકારે વણાયેલા વિવિધ કોષો અને કણોમાં જે પ્રકારે ફેરફાર થાય તે પ્રમાણે માનવીનાં મનમાં કે વર્તણૂકમાં ફેરફાર થાય છે. કાન્તિ ભટ્ટ લખે છે,‘જુદા જુદા એકસોથી વધુ પ્રકારના રસો મગજના પિંડમાંથી ઝરે છે. આ રસોને આપણી લાગણીઓ સાથે સીધો સંબંધ છે. માનવીની લાગણીઓ દ્વારા કે ધ્યાન દ્વારા આપણે તમામ રસોને યોગ્ય દિશામાં વાળી શકીએ નહીં, પણ એક વાત ચોક્કસ છે કે આપણે જે કોઈ વિચારો કરીએ છીએ તેનું કેમિકલ રેજિસ્ટ્રેશન થાય છે.  સારા કે નરસા વિચારો કરતી વખતે ખ્યાલ રાખજો કે આ વિચારોની રાસાયણિક નોંધ તુરંત લેવાઈ જાય છે.’

એક લેખમાં નોંધાયું છે તે પ્રમાણે, નોબલ પારિતોષિક વિજેતા ડો. હેસ સેલ્વેએ લખ્યું છે કે શાંતિવાળા અને આશાસ્પદ વિચારો આપણા મગજમાં લાભપ્રદ હોર્મોન પેદા કરે છે. કોર્ટીઝોન નામનું હોર્મોન આપણને શાંત કરે છે અને એડ્રેનેલીન આપણને આક્રમક બનાવે છે. ચિંતા કે મગજની તાણ સદંતર મિટાવી તો ન શકાય. ડો. સેલ્વે કહે છે કે આ સ્ટ્રેસ આપણા જીવનનો નોર્મલ ભાગ છે. અમુક માણસો આ માનસિક તાણ સામે જીવી શકે છે, પણ બધા તાણને જીરવી શકતા નથી.

લેખની શરૂઆતમાં જે કિસ્સો ટંકાયો છે તે પ્રમાણે સાઈકિએટ્રીના નામે લોલમ્લોલ ચાલે છે તે સાચું, પણ આજના જમાનામાં પ્રોફેશનલ માનસચિકિત્સાનું મહત્ત્વ દિન-બ-દિન વધી રહ્યું છે તે પણ એટલું જ સાચું. માનસ ચિકિત્સકે મનના બીમાર માનવીની ચિકિત્સા કરતી વખતે બે વાત ખાસ લક્ષ્યમાં રાખવી પડે છે. એક તો, માનવી પોતે પ્રેમ ઈચ્છે છે અને બીજાને પોતાનો પ્રેમ આપવા માગે છે. બીજું, એ માનવી આ દુનિયામાં ભારરૂપ નથી પણ ઉપયોગી છે અને મહત્ત્વનો છે તેવું ભાન થવું જોઈએ એટલે કે તે પોતાને તેમજ બીજાને વફાદાર રહી શકે છે તેવી ભાવના જાગૃત કરવી જોઈએ.

મગજ સાથે સંકળાયેલી કેટકેટલી વાતો આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે  ટેલીપથી, વશીકરણ, સ્પિરિચ્યુઅલ હિલીંગ, મેગ્નેટિક હિલીંગ, સાઈકિક સર્જરી, બુદ્ધિમાં ન ઊતરે તેવી વહેમની વાતો, પુનર્જન્મ, યુરિ ગેલરની વિસ્મયકારી વાતો, સ્વામી શિવાનંદજીની પ્રાણાયામની વાતો... અરે,  પુસ્તકમાં ‘સદમા’ ફિલ્મની વાત પણ વાત છે.  કાન્તિ ભટ્ટ લખે છે, ‘ શ્રીદેવીને ફિલ્મમાં અકસ્માત પછી રમકડાં જેવી બતાવી છે એ ખોટું છે. મગજને હાનિ થાય પછી દર્દી સતત દર્શનશ્રવણસંબોધન વગેરે દરેક ક્રિયા અત્યંત પીડા સાથે કરે છે. શ્રીદેવીની જે હાલત થયેલી તેને તબીબી ભાષામાં પ્રોસોપેગ્નોસિયા કહે છે. આ નામ બે ગ્રીક શબ્દો પરથી બનેલો છે  પ્રોસોપોન એટલે ચહેરો અને એગ્લોસિસ એટલે ન ઓળખવું.’  આ માહિતી કદાચ ખુદ શ્રીદેવી પાસે પણ નહીં હોય! 

કાન્તિ ભટ્ટ સંભવતઃ સૌથી જાણીતા ગુજરાતી પત્રકાર છે. તેમની સાદગીભરી લેખિનીમાં હંમેશા આકર્ષક હળવાશ અને ગતિશીલતા હોય છે. તેઓ વાચકને સીધા સંબોધીને આત્મીયતાપૂર્વક વાત કરે છે.  તેઓ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘આરોગ્ય મારો પ્રિય વિષય છે. તેમાં મગજનું આરોગ્ય પણ આવે. મગજ વિશે બહુ ઓછું લખાય છે. હું અમેરિકા જાઉં ત્યારે મહત્ત્વનાં ઘણાં શહેરોમાં આઉટલેટ્સ ધરાવતા બાર્ન્સ એન્ડ નોબલ બુકશોપમાંથી બ્રેઈન સંબંધિત પુસ્તકો જરૂર ખરીદું. હું હિન્દી સાહિત્યકાર અજ્ઞેયને વાંચીને સમજ્યો છું કે મગજ, બ્રેઈન અગર માઈન્ડ કરતાં અને જ્ઞાન કરતાં આત્મસૂઝ વધુ મહત્ત્વની છે. મગજને અનુસરજો, જ્ઞાનને પચાવજો, પણ તે પછી આત્મા કહે તે પ્રમાણે જ કરજો.’

ંજર્મન સ્પિરિચ્યુઅલ ગુરૂ ઈખાર્ટ ટોલી કહે છે કે માણસનું મગજ સભાનાવસ્થાને જન્મ નથી આપતું, પણ સભાનાવસ્થા મગજને જન્મ આપે છે. ઈખાર્ટ જે તત્ત્વને સભાનાવસ્થા કે કોન્શિયસનેસ તરીકે વર્ણવે છે એને જ કાન્તિ ભટ્ટ આત્મસૂઝ કહે છે? કદાચ.

આ પુસ્તકનો વિષય જ એવો છે કે તે તરૂણોથી માંડીને સિનિયર સિટીઝનો સુધીના સૌને અપીલ કર્યા વગર ન રહે. પ્રૂફની ભુલો જોકે રહી ગઈ છે. જેમ કે, એક આખા લેખમાં ‘સ્કિઝોફ્રેનિયા’ને બદલે ‘સીઝેફેનિયા’ શબ્દ છપાયો છે. ખેર, તે સહિત પણ સુંદર પુસ્તક. શુષ્ક ઈન્ફોર્મેશન નહીં, પણ પ્રેરણા અને પોઝિટિવિટીથી ભરપૂર પુસ્તક. દિમાગને દોસ્તી કરવાનું મન થાય તેવું પુસ્તક!  

(મગજશક્તિ


લેખકઃ કાન્તિ ભટ્ટ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર-અશોક પ્રકાશન મંદિર,
કસ્તૂરબા ખાદી ભંડારની  ઉપર, રતનપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૧ અને ૧૩૪, શામળદાસ ગાંધી રોડ, મુંબઈ-૨ 

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩

કિંમતઃ રૂ. ૧૪૦/

પૃષ્ઠ સંખ્યાઃ ૨૦૨)

                                                                                                                      

Monday, March 21, 2011

Lata, Love and Longing : My Top-12

Lata Mangeshkar : My Top-12

It is so difficult to restrict such a list within a certain limit, really. Still here are some of my most favorite Lata Mangeshkar songs. Barring few gazals they belong to same `family'. Even Lata's voice texture is same as all these songs belong to same era.  Another favorites like Allah Tero Naam are kept out as they convey different bhaav and appeal on different level.

I can keep listening to these songs whole night. Many would agree with me, I am sure. Incidentally, so many songs from this list are composed by Madan Mohan.

So enjoy... You can actually watch the songs as these are video links. Youtube ki jai ho!



(1) Agar muzse mohabbat hai..
http://www.youtube.com/watch?v=Oi4BOnTLIp8&feature=related

(2) Aap ki nazaro ne samza... (Anpadh)
http://www.youtube.com/watch?v=yPhBr3U-7Qk&NR=1

(3) Tera mera pyar amar... (Asli Naqli)
http://www.youtube.com/watch?v=Mcqao3EATEY&feature=related

(4) Zara si aahat hoti hai...
http://www.youtube.com/watch?v=Owa4Y7CiQFA

(5) Rahe na rahe hum... (Mamta)
http://www.youtube.com/watch?v=_VizU0-Gcic

(6) Lag ja gale... (Woh kaun thi)

http://www.blogger.com/post-create.g?blogID=3670795552631118996
(7) Yu hasarato ke daag ... (Adalat)
http://www.youtube.com/watch?v=Wrazbln8K9o

(8) Unko ye shikayat hai ke hum... (Adalat)
http://www.youtube.com/watch?v=ySw7BdeQO6w&NR=1

(9) Woh chup rahein toh mere dil ke daag.. (Jahan Aara)
http://www.youtube.com/watch?v=sA_d9SKhF_s&feature=related

(10) Hum pyar mein jalne walo ko... (Jailor)
http://www.youtube.com/watch?v=K_BwXcgasbA

(11) Rasm-e-ulft nibhaye to kaise... (Dil Ki Raahein)
http://www.youtube.com/watch?v=UxMW7klhq_U&feature=related

(12) Aaj socha toh aansu bhar aaye... (Haste Jakhm)
http://www.youtube.com/watch?v=B4VkmV-D-0A&feature=related

0000