Showing posts with label vegetarian. Show all posts
Showing posts with label vegetarian. Show all posts

Wednesday, May 27, 2020

શાકાહાર વિશે આપણાં વેદશાસ્ત્રો શું કહે છે?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 2020, બુધવાર
ટેક ઓફ 
હે દાંત, તમે ચોખા, જવ, અડદ, તલ ખાઓ. તમારા માટે આ રમણીય પદાર્થો જ ભોજનનો ભાગ છે. કોઈ નર કે માદા જીવની હિંસા ક્યારેય ન કરશો

કોરોના મહામારીનું એક પરિણામ સારું આવ્યું એ આવ્યું કે આજે આખી દુનિયા શાકાહાર, તેના ફાયદા તથા માંસાહાર અને તેના ગેરફાયદા વિશે ગંભીરતાપૂર્વક પુનર્વિચાર કરવા લાગી છે. એનિમલ રાઈટ્સના ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા ગૅરી ફ્રાન્સિઓન નામના અમેરિકન લીગલ સ્કોલરનું ઉદાહરણ લો. તેઓ વર્ષોથી જૈન ધર્મથી ખાસ્સા પ્રભાવિત છે. ગેરીની કાનૂની થિયરી સેન્ટીઅન્સ એટલે કે ચૈતન્યના પાયા પર ઊભી છે. આ થિયરી કહે છે કે પશુપક્ષીજંતુવનસ્પતિ સહિતના તમામ સજીવો કે જેમાં ચૈતન્ય છેતેમને અસ્તિત્વ ધરાવવાનો અધિકાર છે અને આ અધિકારનું સંપૂર્ણપણે રક્ષણ થવું જોઈએ. તમામ મનુષ્યેત્તર સજીવોની એક જ ડિમાન્ડ છેઃ અમને ‘વસ્તુ’ ન ગણો. અમને કશું જોઈતું નથી. બસઅમને જીવવા દો!

જૈન શાસ્ત્રો કહે છે કે શાકભાજીપાણીઅગ્નિધરતી અને હવા એકેન્દ્રીય આત્મા છે. તેના ભક્ષણ અથવા ઉપભોગમાં હિંસા જરૂર થાય છેપણ તે અતિ મર્યાદિત છે. જીવન ટકાવી રાખવા માટે સાધારણ મનુષ્ય આવી સિમિત હિંસા કરે તે સ્વીકાર્ય છેપણ બેત્રણચાર કે પાંચ ઇન્દ્રિયો ધરાવતાં પશુ-પક્ષી અને જીવજંતુ પર કોઈપણ સંજોગોમાં હિંસા થવી ન જોઈએ.

શું જૈન સૌથી વૈજ્ઞાનિક ધર્મ છે? આખી દુનિયા આજે મોઢે માસ્ક લગાડીને ફરે છે, પણ જૈન સાધુઓ તે સદીઓથી કરતા આવ્યા છે. ખાનપાનની વિશેના જૈન સિદ્ધાંતો - નીતિનિયમો આજે જેટલા અસરકારક અને રિલેવન્ટ લાગે છે એટલા કદાચ અગાઉ ક્યારેય લાગ્યા નહોતા. જૈન ધર્મ કરતાંય ક્યાંય જૂના એવા આપણાં પ્રાચીન વેદ-ઉપનિષદોએ શાકાહાર વિશે શું કહ્યું છે?       

એતદ્ વા ઉ સ્વાદીયો યદથિગવં ક્ષીરં વા માસં ના તદેવ નાશ્યન્તિ. આ અથર્વવેદનો અંશ છે (પ્રકરણ 8, ખંડ 6, શ્લોક 6). આનો અર્થ થાય છે, એ જ ખાદ્ય પદાર્થ રુચિકર, સ્વાદિષ્ટ અને લાભકારી હોય છે, જે ફળ, ફૂલ, અન્ન, શાક, કંદ અને મૂળમાંથી પ્રાપ્ત થાય છે અથવા જે ગાય આદિ પશુઓનાં દૂધ, દહી, ઘી આદિ રૂપમાં મળે છે. પશુ, પક્ષી, માછલી આદિને મારીને જે માંસ પ્રાપ્ત થાય છે અથવા જે પશુ-પક્ષી વગેરેના ગર્ભ અથવા ઈંડાના રૂપમાં છે તે આમેય અભક્ષ્ય છે, તેને ન ખાવા જોઈએ.

બીજા એક શ્લોકમાં કહેવાયું છે કે, જે લોકો નર અને માદા (જીવ) ભ્રૂણ તેમજ અંડાનો નાશ કરી ઉપલબ્ધ થતા માંસને કાચું અથવા રાંધીને ખાય છે તેમનો વિરોધ કરવો જોઈએ (અથર્વવેદ, 8/6/23). એક શ્લોકમાં મનુષ્યના દાંતને ઉદ્દેશીને કહેવાયું છે કે હે દાંત, તમે ચોખા ખાઓ, જવ ખાઓ, અડદ ખાઓ, તલ ખાઓ. તમારા માટે આ રમણીય પદાર્થો જ ભોજનનો ભાગ છે. કોઈ નર કે માદા જીવની હિંસા ક્યારેય ન કરશો (અથર્વવેદ, 6/140/2).

વેદને આપણે ઈશ્વરીય વાણી ગણીએ છીએ. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ જ્ઞાનની ખોજ માટે હિમાલયના પર્વતો ખૂંદતા હતા ત્યારે વેદનારાયણ ભગવાને સ્વયં આકાશવાણી રૂપે તેમને વેદ સંભળાવ્યા હતા. આમ, ઋષિઓ વેદોના રચયિતા નહીં, પણ શ્રોતા છે. વેદ એ શ્રુતિજ્ઞાન (સાંભળીને પ્રાપ્ત થયેલું જ્ઞાન) છે, જે પછી ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા સતત જીવતું રહ્યું.

યજુર્વેદમાં પણ જીવહિંસા વિશે ઘણા શ્લોકો છે. જેમ કે આઃ હે મનુષ્યો, જે ગાય આદિ પશુઓ છે તે ક્યારેય હિંસા કરવા યોગ્ય નથી (યજુર્વેદ, 1/1). જે લોકો પરમાત્માના સહચરી એવા પ્રાણી માત્રને પાતાના આત્માને સમકક્ષ માને છે, તેઓ જેટલું પોતાનું હિત ઇચ્છે છે એટલું જ અન્યોનું હિત પણ ઇચ્છે છે (યજુર્વેદ, 40/7). હે મનુષ્ય, તું બે પગવાળા અર્થાત્ અન્ય મનુષ્યો અને ચાર પગવાળાં અર્થાત્ પશુઓની હંમેશાં રક્ષા કરજે (યજુર્વેદ, 14/8).

ખાણીપીણીના મામલામાં માનવજાતમાં બે સ્પષ્ટ વર્ગ પડી ગયા છે. એક વર્ગ એવો છે, જે જમીન, પાણી કે આકાશમાં વસતા કોઈ પણ પશુ, પક્ષી, કીટક કે માછલીને પકડીને, મારીને, એની સાફસફાઈ કરીને, પકાવીને ખાઈ જાય છે. સાપ, ચામાચિડીયા, ઉંદર, ગરોળી સહિતનાં કલ્પી ન શકાય એવાં જીવ-જનાવરોને મરેલાં કે જીવતાં રખાઈ જતા ચીનાઓ હવે આખી દુનિયામાં ભયંકર બદનામ થઈ ચૂક્યા છે. બીજો વર્ગ માને છે કે માણસની જેમ હાથ, પગ, આંખ, નાક, કાન, પેટ જેવાં અવયવો ધરાવતાં, સુખ-દુખની અનુભૂતિ કરતાં, માણસની જેમ જ વહાલ કરી શકતાં ને ભયભીત થઈ શકતાં, બચ્ચાં પેદા કરીને તેમનું લાલન-પાલન કરતાં અને કુદરતના ક્રમ પ્રમાણે જન્મ લેતાં ને મૃત્યુ પામતાં પશુ-પક્ષીઓમાં પણ મનુષ્યની જેમ આત્મા હોય છે. આવાં જીવજનાવરોને મારવામાં આવે છે ત્યારે તેઓ ભયભીત થાય છે, દોડાદોડ કરી મૂકે છે, ચીસો પાડે છે, ભયંકર વેદના સહન કરે છે. તેમને મારીને ખાવા તે હિંસા છે, પાપ છે.

વૈદિક સિદ્ધાંત માંસાહાર પર સ્પષ્ટપણે નિષેધ ફરમાવે છે. સવાલ એ છે કે તો પછી જૂના જમાનામાં યજ્ઞો વગેરેમાં પ્રાણીઓની બલિ ચડાવવાની પરંપરા હતી તેનું શું? આ વિશે ફરી ક્યારેક.     
  
0 0 0 

માણસજાતને માંસાહારની લક્ઝરી પોસાવાની નથી


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 May 2020

ટેક ઓફ

માણસજાતે બેફામ જીવહિંસા કરીને જે પાપનાં પોટલાં બાંધ્યાં છે એનું જ પરિણામ કોરોનાના રૂપમાં આવ્યું છે એવું તમે માનો કે ન માનો, પણ આંખ સામે દેખાતી સચ્ચાઈ સાવ સ્પષ્ટ છે.



પૃથ્વીની બહાર માનવવસાહત સ્થાપવાનું સપનું જોતા અમેરિકન સેલિબ્રિટી બિઝનેસમેન ઇલન મસ્કે થોડા દિવસો કહ્યું કે, માણસે પોતાની ઇચ્છા અને ગમા-અણગમા પ્રમાણે જ જીવવું જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું, પણ જો આપણે બીજા કોઈ ગ્રહ પર માનવવસાહત સ્થાપી શકીશું તો ત્યાં શાકાહારી ખોરાક જ ચલણમાં હશે, કેમ કે માંસાહાર માટે પ્રાણીઓને ઉછેરવા જેટલી એનર્જી અને સ્પેસ જોઈએ તે ત્યાં પરગ્રહમાં મળશે જ નહીં.

પરગ્રહમાં માનવવસાહતની સ્થાપના એ તો ખેર, દૂરના ભવિષ્યની કલ્પના થઈ. વર્તમાનમાં તો કોરોના વાઇરસે માણસની ગતિવિધિઓને સજ્જડપણે પૉઝ કરીને એને વિચારતો કરી મૂક્યો છે. માનવજાતની તવારીખમાં કોરોના પહેલાં અને કોરોના પછી એવી સ્પષ્ટ વિભાજનરેખા દોરાઈ રહી છે ત્યારે આપણને આપણી જાતને, આપણી લાઇફસ્ટાઇલને રિસેટ કરવાનો અભૂતપૂર્વ મોકો મળ્યો છે. કોરોનાનો આતંક માણસજાતે બેફામ જીવહિંસા કરીને જે પાપનાં પોટલાં બાંધ્યાં છે એનું પરિણામ છે એવું તમે માનો કે ન માનો, કોરોના વાઇરસ નોનવેજ ફૂડથી ફેલાય છે કે કેમ તે વિશે તમે દલીલો કરો કે ન કરો, પણ સાવ આંખ સામે દેખાતી સચ્ચાઈ આ છેઃમાણસજાતને હવે માંસાહારની લક્ઝરી પોસાવાની નથી! ધરતી પર પાણીના સ્રોત સતત સૂકાઈ રહ્યા છે, પર્યાવરણની જાણવણીના પ્રશ્નો ભીષણ વાસ્તવ બનીને આંખ સામે છાતી કાઢીને ઊભા છે. આવી સ્થિતિમાં આવનારી પેઢીઓનો મને-કમને શાકાહારને અપનાવ્યે જ છૂટકો થવાનો છે.

ફૂડ ઇન્ડસ્ટ્રી માટે પ્રાણીઓ માત્ર એક વસ્તુ છે, લાઇવ સ્ટૉક છે. એનિમલ ફાર્મ્સ અને કતલખાનાં પુષ્કળ કચરો પેદા કરે છેતેને પુષ્કળ પાણીની જરૂર પડે છેતે હાનિકર્તા મિથેન ગેસ રિલીઝ કરે છે, જેની સીધી અને માઠી અસર પર્યાવરણ પર પડે છે. મિથેન તો કાર્બન ડાયોક્સાઇડ કરતાંય અનેકગણો વધારે હાનિકારક છે. માણસજાત જે મિથેન પેદા કરે છે એ પૈકીના 37 ટકા કેવળ ગાય અને ઘેટાંની કતલને કારણે પેદા થાય છે. ક્લાયમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે માણસજાતે જે પગલાં ભરવાનાં છે એમાંની એક મહત્ત્વની તકેદારી એ છે કે ગાય અને ઘેટાંના માંસથી દૂર રહેવું.

માંસાહાર માટે ઉછેરવામાં આવતાં પ્રાણીઓએ ભયાનક યાતનામાંથી પસાર થવું પડે છે તે ઊઘાડું સત્ય છે. તમને શું લાગે છે, માણસજાતની માંસની ડિમાન્ડ પૂરી કરવા રોજના કેટલાં પ્રાણીઓની કતલ થાય છે? જવાબ છેઃ રોજનાં 20 કરોડ પ્રાણીઓ. આ મરઘાં, ઘેટાં, ગાય જેવાં રેગ્યુલર ખાદ્ય પ્રાણીઓ છે. જો માછલીઓ અને વન્ય પ્રાણીઓને પણ ધ્યાનમાં લેવામાં આવે તો આ આંકડો ત્રણ અબજ પર પહોંચે છે. આ કોરોના પહેલાંના આંકડા છે.



હવે થોડા ભૂતકાળમાં જાઓ. ફક્ત 1970ના દાયકાનાં પાછલાં વર્ષોને ધ્યાનમાં લઈએ તો દુનિયાભરના લોકો 13 કરોડ ટન માંસ ખાઈ ગયા હતા. 2000ની સાલમાં આ (વાર્ષિક) આંકડો 23 કરોડ ટન પર પહોંચી ગયો હતો. જો લોકોની ફૂડ હેબિટ્સમાં કશો ફર્ક ન પડ્યો તો 2050ની સાલ સુધીમાં પ્રાણીઓના માંસની વાર્ષિક ડિમાન્ડ લગભગ 64 કરોડ ટન થઈ જવાની. વધતી જતી માંગને પહોંચી વળવા માટે વધારે પ્રાણીઓ ઉછેરવામાં આવશે, તે પણ પ્રાણીઓની લિવિંગ કંડીશન સાથે ભયંકર સમાધાનો કરીને કે જેથી પ્રોડક્શન કોસ્ટ ઓછામાં ઓછી રહે.

એનિમલ એગ્રિકલ્ચર માટે પુષ્કળ પાણી અને જમીનની જરૂર પડે છે. એક કિલો માંસ પ્રોડ્યુસ કરવા માટે કમસે કમ 13 હજાર લીટર પાણી વપરાઈ જાય છે. આની સામે, એક કિલો ઘઉં પેદા કરવા માટે ફક્ત એકથી બે હજાર લીટર પાણીની જરૂર પડે છે. આ સંજોગોમાં માંસાહારને સસ્ટેનેબલ કેવી રીતે ગણવો?

પ્રાણીઓ અને માછલીઓ જલદી વિકસી જાય, વધારે માંસલ બને અને નરક જેવી સ્થિતિમાં પણ જીવતાં રહી શકે તે માટે તેમને જાતજાતની દવાઓ અપાતી હોય છે. કતલ થયેલાં આ પ્રાણીઓનું માંસ પછી માણસોના પેટમાં જાય. અમેરિકાના ખેડૂતો પ્રાણીઓને જલદી જલદી મોટાં કરી નાખવા માટે હોર્મોન્સના ઇંજેક્શનો આપે છે. આ હોર્મોન્સ આખરે માણસના શરીરમાં પહોંચીને અલગ અલગ પ્રકારનાં કેન્સર યા તો અન્ય બીમારીઓનું કારણ બને છે. અમેરિકન ખેડૂતો કહે છે કે અમે પ્રાણીઓને જે હોર્મોન્સ આપીએ છીએ તે બિલકુલ સેફ છે, પણ આ જ સેફ હોર્મોન્સના વપરાશ પર યુરોપિયન યુનિયને 1995થી પ્રતિબંધ મૂકી દીધો છે.

ધારો કે માંસાહારી માણસના હૃદયમાં એકાએક કરૂણા ને દયાભાવનાં ઝરણાં ફૂટી નીકળે ને એ સંપૂર્ણપણે શાકાહારી બની જવાનો નિર્ણય લે તો એનું શું પરિણામ આવે છે, જાણો છો? એક માંસાહારી માણસના આ એક નિર્ણયને લીધે વર્ષ દીઠ 100 જેટલાં પ્રાણીઓ બચી જાય.  દયામાયા કે ધર્મને વચ્ચે ન લાવીને ને માત્ર માણસજાતને ટકાવી રાખવાના સ્વાર્થ પર જ અટકી રહીએ તો પણ ભવિષ્યમાં શાકાહાર તેમજ વીગન લાઇફસ્ટાઇલ અનિવાર્ય બની જવાનાં. લિખ લો.

0 0 0