Showing posts with label Kajal Oza Vaidya. Show all posts
Showing posts with label Kajal Oza Vaidya. Show all posts

Monday, July 22, 2013

વાંચવા જેવું : આંખ ખોવા કરતાં દષ્ટિ ખોવી વધારે નુક્સાનકર્તા છે...


ચિત્રલેખા - અંક તા. જુલાઈ ૨૦૧૩ માટે 

કોલમ: વાંચવા જેવું 


                                                                                   

શૉન પેને ડિરેક્ટ કરેલી એક અદભુત અમેરિકન ફિલ્મ છે - ‘ઈનટુ ધ વાઈલ્ડ’. પોતાની મરજીનો માલિક બનીને જીવતો એનો યુવા નાયક એક જગ્યાએ કહે છે કે, ‘કરીઅર તો વીસમી સદીમાં શોધાયેલી ચીજ છે અને મને એની બિલકુલ જરુર નથી!’

ફિલ્મનો હીરો આમ કહી શકે, પણ સામાન્ય માણસ કારકિર્દીનો અસ્વીકાર કરીને હવામાં દિશાહીન ઉડ્યા કરતાં પીંછા જેવું જીવન જીવી શકતો નથી. જીવનને ડિફાઈન શી રીતે કરી શકાય? સંબંધો વડે, સ્વજનો વડે, કારકિર્દી વડે. આપણે કર્મ કરવામાં માનનારા લોકો છીએ.  આજનાં પુસ્તક ‘મારી કારકિર્દીનો સૂર્ય’માં જુદાં જુદાં ક્ષેત્રના કર્મનિષ્ઠ અને સફળ લોકોના આત્મકથનાત્મક લેખોનો સંગ્રહ થયો છે.

મોરારીબાપુ કહે છે કે, ‘મને કારકિર્દીના સૂર્ય કરતાં કારકિર્દીના ચંદ્રમામાં વધારે પ્રસન્નતા દેખાય છે. ક્ષીણતા અને વૃદ્ધિ પામવા છતાં, કલંકગ્રસિત ઘટનાઓ થતી રહે છતાં ચંદ્ર પોતાનાં શીતળ સત્ય, પ્રેમ અને કરુણાના પ્રકાશને છોડતો નથી. પૂર્ણ ચંદ્રની સ્થિતિ નિરંતર રહેતી નથી. તેથી માનવીએ સતત વિચારતા રહેવાનું છે કે હું મારી કારકિર્દીમાં પૂર્ણ નથી થઈ ગયો, મારે નિરંતર વૃદ્ધિ કરતાં રહેવાની છે.’

અર્થોપાર્જન માટે થતી પ્રવૃત્તિ અને પેશનને અનુસરીને થતી પ્રવૃત્તિ - આ બન્ને વચ્ચે ભેદ હોય, ન પણ હોય. ઉત્પલ ભાયાણી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને વાર્તાકાર. ઉપરાંત સુરેશ દલાલ સાથે પુસ્તક પ્રકાશન તેમજ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનાં ક્ષેત્રમાં સીમાચિહ્ન કહી શકાય એવી એકાધિક પ્રવૃત્તિઓ કરી. આમ છતાંય નાટકો જોવાની, માણવાની અને તેના વિશે સંપૂર્ણ નિષ્ઠા તેમજ તટસ્થતાથી લખવાની સાડાત્રણ દાયકાની સાતત્યપૂર્ણ પ્રલંબ કારકિર્દી એમને સૌથી વધુ અસામાન્ય લાગે છે. અહીં ‘સાતત્ય’ શબ્દ મહત્ત્વનો છે, જેનો સીધો સંબંધ શિસ્ત સાથે છે.

કરીઅર સમયની સાથે અલગ અલગ રંગછટા ધારણ કરતી જતી હોય છે.  જેમ કે અવિનાશ પારેખને ‘બિલ્ડિંગ લાઈનનો બાદશાહ એટલે બિલ્ડર, આર્કિટેક્ટ નહીં’ એ સૂત્ર મળ્યું અને તેમના મનને જાણે ચાબૂક લાગી ગઈ. પ્લાનિંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઈનિંગ તરફથી તેઓ ક્ધસ્ટ્રક્શન તરફ વળ્યા. સફળતા અને પ્રતિષ્ઠા બન્ને મળ્યાં. અનુભવે એક વાત શીખ્યા કે ઈર્ષાજનક સફળતા મેળવ્યા પછી આત્મવિશ્વાસ કરેલી ભૂલનું મૂલ્ય ક્યારેય ઓછું હોતું નથી. દષ્ટિ ખોવી એ આંખ ખોવા કરતાં વધારે નુક્સાનકર્તા છે! એમણે ‘અભિયાન’ સાપ્તાહિકની સ્થાપના કરી. આ સામયિકે કંઈકેટલાય ‘હાઈ’ અને ‘લૉ’ જોયા, કેટલાય આરોહ-અવરોહમાંથી પસાર થયું. ‘અભિયાન’ સરવાળે સફળતા પામ્યું? અવિનાશ પારેખનો ઉત્તર છે: ‘હા અને ના!’

આ ‘હા’ અને ‘ના’નું સહઅસ્તિત્ત્વ ‘અભિયાન’નું સત્ય છે. કવિ અને ડોક્ટર રઈશ મનીઆર પોતાનાં જીવનનાં કેટલાંક સત્ય આપણી સાથે શેર કરે છે. એ કહે છે કે કારકિર્દી કે કર્મનો એજન્ડા જેટલો અંગત એટલી પીડા વધુ. જીવનમાં આપણે તલ્લીન થઈને કરેલી પ્રવૃત્તિ ધન કે યશ અપાવે જ, પણ એ તો આડપેદાશ છે. જીવનનો ખરો આનંદ તો પેલી તલ્લીનતા જ છે. સતત સક્રિય રહેવું જરુરી નથી. આપણા કાર્યક્ષેત્ર સિવાયની રોજબરોજ જિવાતા જીવનની નાની નાની બાબતોમાં પણ વ્યસ્ત અને મસ્ત રહેતાં આવડવું જોઈએ. નવરાશનેય અજંપા વગર માણતાં આવડવું જોઈએ...



‘ઈનટુ ધ વાઈલ્ડ’ ફિલ્મના નાયકની માફક કાંતિ ભટ્ટને પણ ‘કારકિદી’ કે ‘કરીઅર’ શબ્દ બિલકુલ પસંદ નથી. આ શબ્દોમાંથી એમને ગુલામીની ગંધ આવે છે! ‘કરીઅર’ મૂળ ગ્રીક શબ્દ ‘કેરરિયા’માંથી ઉતરી આવ્યો છે. કેરરિયા એટલે પૈડાંવાળું વાહન. એ કહે છે કે આજનો યુવાન કે યુવતી ડિગ્રી મેળવીને સીઈઓ કે બિઝનેસ મેનેજર કે એવા કોઈ ફેન્સી નામવાળી પોસ્ટ પર ઊંચા પગારવાળી નોકરી કરે છે, પણ આખરે રહે છે તો ગ્લેમરસ નોકર જને? પછી વર્ષો સુધી એ પૈડાંવાળાં વાહનની જેમ કારકિર્દીનો અને જિંદગીનો બોજ ઘસડ્યા કરે છે. અલબત્ત, કાંતિ ભટ્ટ હર દિન લખવા પડતા લેખને પોતાના જીવનનું પ્રેરકબળ અને રોજે રોજના સૂર્ય સાથે સરખાવે છે.

કારકિર્દી અને નસીબ વચ્ચે શો સંબંધ છે? કાઠિયાવાડના સાવરકુંડલામાં જન્મેલા અને ઉછરેલા નટવર ગાંધી કાળક્રમે અમેરિકાની રાજધાનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર જેવી પાવરફુલ પોઝિશન પર દોઢ દાયકા કરતાંય વધારે સમય માટે કાર્યરત રહ્યા. વોશિંગ્ટોનિઅન ઓફ ધ યર, (વન ઓફ) ધ મોસ્ટ પાવરફુલ મેન ઓફ વોશિંગ્ટન જેવા કેટલાય ખિતાબ મેળવ્યા. આ સિદ્ધિ નાનીસૂની નથી. નટવર ગાંધી કહે છે કે, ‘તમે ગમે તેટલા હોશિયાર હો, પણ જો નસીબની લોટરી ન લાગે તો એ હોશિયારી કામે લાગતી નથી. સફળતાના શિખરે બેઠેલા મૂછો મરડતા તિસમારખાંઓએ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એમની ઉન્નતિમાં કો’ક જાણ્યા-અજાણ્યાનો હાથ છે...’ અમદાવાદનાં ‘રજવાડું’ અને ‘માધુર્ય’ જેવી અવોર્ડવિનિંગ રેસ્ટોરાંના માલિક મનીષ પટેલ લગભગ આ જ સૂરમાં કહે છે: ‘હું નસીબમાં માનું છું અને મેં જોયું છે કે જેમ જેમ હું વધુ કામ કરું છું, તેમ તેમ વધુ નસીબદાર બનતો જાઉં છું.’

પુસ્તકમાં કેટલીય સરસ રસપ્રદ વિગતો જાણવા મળે છે. જેમ કે, સાહિત્યકાર ભોળાભાઈ પટેલ શિક્ષક બન્યા ત્યારે રઘુવીર ચૌધરી આઠમા ધોરણમાં ભણતા અને ખાદીનાં કપડાં ને સફદ ટોપી પહેરીને પહેલી બેન્ચ પર બેસતા! ભોળાભાઈ કહે છે કે ચૌધરી અત્યારે ‘મુખી’ જેવા છે એવા ત્યારે પણ હતા! આ પુસ્તકમાં તારક મહેતા, વિનોદ ભટ્ટ, ઉત્કર્ષ મઝુમદાર, ઉદયન ઠક્કર, દીપક દોશી, રતિલાલ ‘અનિલ’, ધનજીભાઈ શાહ, સ્વામી માધવપ્રિયદાસથી લઈને વિવાદાસ્પદ પોલીસ ઓફિસર વસંત ઢોબળે સુધીની પંચાવન વ્યક્તિઓએ પોતપોતાની કારકિર્દી વિશે સુંદર રીતે લખ્યું છે. કાજલ ઓઝા વૈદ્યનું લખાણ હંમેશ મુજબ શ્ર્વાસ અધ્ધર કરીને વાંચી જવું પડે એવું રસાળ છે. અલબત્ત, પુસ્તકમાં લેખકોની સૂચિને વધારે ચુસ્ત અને વૈવિધ્યપૂર્ણ બનાવી શકાઈ હોત.

ઈમેજ પબ્લિકેશનનું પુસ્તક હોય એટલે પ્રોડક્શન વેલ્યુ ઉત્કૃષ્ટ હોવાની જ. ‘મારી કારકિર્દીનો સૂર્ય’ વાંચવું અને વંચાવવું ગમે એવું પુસ્તક છે. આમેય પ્રેરણાનો સીધો મારો ચલાવતાં બીબાંઢાળ પુસ્તકોને બદલે નિશ્ચિત ગરિમા સાથે પ્રેરક વાતોને વણી લેતાં પુસ્તકો હંમેશા વધારે આવકાર્ય હોવાનાં.


મારી કારકિર્દીનો સૂર્ય  

સંપાદક: સુરેશ દલાલ
પ્રકાશક: ઈમેજ પબ્લિકેશન, મુંબઈ-૨, અમદાવાદ-૬
ફોન:  (૦૨૨) ૨૨૦૦ ૧૩૫૮, (૦૭૯) ૨૬૪૪ ૨૮૩૬
કિંમત:  ૫૦૦ /
પૃષ્ઠ: ૨૫૬

 ૦ ૦ ૦
‘’

Saturday, February 2, 2013

સત્ય વચન!


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 3 ફેબ્રુઆરી 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

 સરસ કલાકારો, સુંદર પર્ફોર્મન્સીસ અને આહલાદક શહેરી માહોલ. તાજી તાજી રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી’ આપણી ભાષામાં એક સરસ વસ્તુ જોયાનો ભરપૂર સંતોષ જન્માવે છે. 



મધ્યમવયસ્ક મોડર્ન ગૃહિણી છે. ખૂબ પ્રેમાળ અને માયાળુ છતાંય મક્કમ. અતિ સંવેદનશીલ છતાંય સિદ્ધાંત ખાતર વજ્ર જેવી સખત. ધનાઢ્ય પુુરુષની પત્ની છે, પણ સતત ગુજરાતી સાડી પહેરી રાખે છે. ઈવન, ઈવનિંગ વોક કરતી વખતે પણ સાડી નીચે વોકિંગ શુઝ ચડાવી લે છે. અમેરિકામાં ભણતી અને લાંબા વીકએન્ડ પૂરતી ઈન્ડિયા આવેલી યુવાન દીકરી સાથે એ આત્મીય સખીની જેમ દિલથી અંતરંગ વાતો વાતો શર કરે છે. એને વાતવાતમાં ટપારી પણ લે છે, ‘ભણવામાં ધ્યાન આપજે. ફેસબુક ઓછું કરી નાખજે.’ એ સ્વાતિ છે. ડો. સ્વાતિ સંઘવી.

એ સક્સેસફુલ બિઝનેસમેન છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કરોડો રુપિયાનાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. બિઝનેસ વિસ્તારતા જવામાં એને ભલે સૌથી વધારે ‘કિક’ લાગતી હોય, પણ એનું વ્યક્તિત્ત્વ શુષ્ક બિલકુલ નથી. જરુરતમંદને એ ફટાક કરતો તગડા ચેક પર સહી કરીને આપવાની ચેષ્ટા કરે ત્યારે એમાં સમસંવેદન ઓછું અને રુઆબ વધારે છલકે છે. જોેકે પૈસાએ એને બગાડ્યો નથી. પાક્કો પત્નીવ્રતો છે. બાપ તરીકે પણ એટલો જ પ્રેમાળ. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેટી સાથે વાત કરતી વખતે લાગણીશીલ બની જાય છે. એ સિદ્ધાર્થ છે. સિદ્ધાર્થ સંઘવી.

સ્વાતિ અને સિદ્ધાર્થ આ શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી: આઠમું વચન’નાં મુખ્ય પાત્રો છે. અહીં ‘ગુજરાતી’ શબ્દ નીચે જાડ્ડીપાડ્ડી અન્ડરલાઈન કરેલી છે એમ કલ્પી લો. થેન્ક ગોડ, આપણે જેની કલ્પના કરતાં પણ થરથર કાંપી ઉઠીએ છીએ એવી  ટિપિકલ અને ભયાનક ગુજરાતી ફિલ્મોથી ‘સપ્તપદી’ જોજનો દૂર છે. ગામડાં, પાઘડાં, રાસડા, ટાયલાં - આમાંનું કશું જ અહીં નથી. આ એક નખશિખ સોફિસ્ટીકેટેડ અને શહેરી ફિલ્મ છે. એનું સાદું કારણ એ છે કે ફિલ્મને બનાવનારી ટીમ સોફિસ્ટીકેટેડ, શહેરી અને ક્રિયેટીવ છે. સરસ મજાની વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ બનાવવાનો આઈડિયા જયા બચ્ચનને આવ્યો અને એક પ્રક્રિયા શરુ થઈ. વાર્તા બોસ્ટનવાસી કવિ-નાટ્યકાર ચંદ્રકાંત શાહનાં છે. એમણે અને સેલિબ્રિટી લેખિકા કાજલ ઓઝા-વૈદ્યે ફિલ્મના સંવાદો લખ્યા છે. મિસ ઈન્ડિયા અને રંગભૂમિ-હિન્દી ટીવી સિરિયલોમાં સુપરહિટ ભુમિકાઓ કરી ચુકેલાં સ્વરુપ સંપટ ફિલ્મનાં નાયિકા છે. સફળતમ ટીવીસ્ટાર્સમાં સ્થાન પામી ચુકેલા માનવ ગોહિલ ‘સપ્તપદી’ના હીરો છે. ફિલ્મના નેશનલ અવોર્ડવિનર ડિરેક્ટર નિરંજન થાડે ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)ના ગ્ર્ોજ્યુએટ છે. તેઓ ભલે મરાઠી રહ્યા, પણ ગુજરાતી સંસ્કૃતિથી સુપરિચિત છે. સંગીતકાર રજત ધોળકિયાએ ગીતો તૈયાર કયાર્ર્ં છે. પીયૂષ કનોજિયાએ અસરકારક બેકગ્ર્ાઉન્ડ મ્યુઝિક આપ્યું છે.  



ફિલ્મની હૃદયસ્પર્શી કહાણી એક કરતાં વધારે સ્તરો પર આગળ વધે છે. પતિ-પત્ની સાપુતારામાં આવેલાં એમના હોલીડે હોમમાં રજાઓ ગાળવા ગયાં છે. (જે કામ ગુજરાત ટુરિઝમ નથી કરી શક્યું એ સંભવત: આ ફિલ્મ કરી બતાવશે. અહીં સાપુતારા એટલું રુપાળું દેખાય છે કે ફિલ્મ પછી સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા ચોક્કસપણે વધી જવાની.) સ્વાતિની મુલાકાત મોહસીન નામા એક મુસ્લિમ કિશોર સાથે થાય છે. દસ-બાર વર્ષના આ નિર્દોષ છોકરો સતત આતંકિત અને ગભરાયેલો રહે છે. બાળમાનસની અભ્યાસુ સ્વાતિ સહજપણે મોહસીન તરફ ખેંચાય છે. ભયાનક દુર્ઘટનાનો સાક્ષી અને શિકાર બની ગયેલા મોહસીનને કોઈ પણ ભોગે સ્વસ્થ કરવો તે સ્વાતિનું મિશન બની જાય છે. સ્વાતિનો આશય ઉદાત્ત છે, પણ એને ક્યાં ખબર હતી કે છોકરાને સાજો કરવાના પ્રયત્નોને કારણે એનાં લગ્નજીવનમાં ભૂકંપ આવી જવાનો છે? એવું તે શું બન્યું હતું મોહસીન સાથે? સ્વાતિ શી રીતે પોતાનાં સ્વમાન અને લગ્નજીવન વચ્ચે સંતુલન સાધે છે? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

‘સપ્તપદી’ની મજા એ છે કે એણે ગુજરાતી ફિલ્મોની ગંદીગોબરી, લગભગ ડાયનોસોરના જમાનાથી ઢસડાઈ આવેલી દુષ્ટ ફોમ્યુલાની પૂંઠ પર કચકચાવીને લાત મારીને ક્યાંય દૂર ફગાવી દીધી છે. આ ફિલ્મનું ટાર્ગેટ ઓડિયન્સ મલ્ટિપ્લેક્સમાં જતાં અને ઈન્ટરવલમાં મોજથી બર્ગર-પોપકોર્ન-નાચોઝ ખાતા શહેરી દર્શકો છે. શું આ પ્રેક્ષકો ‘સપ્તપદી’ સાથે, એના માહોલ અને પાત્રો સાથે આઈડેન્ટિફાય કરી શકે છે? હા, બિલકુલ. ફિલ્મની આ પહેલી સૌથી મોટી સફળતા છે.



ટ્રોમા અનુભવતા બાળકની સારસંભાળ અને એનું પુનર્વસન - પહેલી નજરે આ વિષય આમ તો ડોક્યુમેન્ટરીનો લાગે. પણ ફિલ્મના બે મુખ્ય પ્લોટ પોઈન્ટ્સમાંનો તે એક છે. ડિરેક્ટરે એકધારાં રહસ્ય અને લગ્નજીવનનાં વિવિધ રંગો સાથે આ મુદ્દાને સરસ રીતે ભેળવીને એક આકર્ષક મિશ્રણ તૈયાર કયુર્ર્ં છે. ફિલ્મ કડક છે, જકડી રાખે છે. પ્રોડક્શન વેલ્યુ પણ મજાની છે. આ આપણે ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છીએ તે વાતનું કૌતુક થોડી જ મિનિટોમાં શમી થઈ જાય છે અને પછી તમે કોઈ એક સારી, વેલ-ઈન્ટેશનલ ફિલ્મ જોઈ રહ્યા છો એ જ લાગણી છવાયેલી રહે છે. ‘સપ્તપદી’ની આ બીજી સૌથી મોટી સફળતા છે.

તમામ મુખ્ય કલાકારોએ સરસ અભિનય કર્યો છે. સ્વરુપ સંપટે નિર્વિવાદપણે વધારે ફિલ્મો કરવી જ જોઈએ. મોહસીન બનતા હિત સોમાણી પાસેથી ડિરેક્ટરે સરસ અભિનય કરાવ્યો છે. ખાસ કરીને અંતિમ ઘટસ્ફોટ વખતે. ઉત્કર્ષ મઝુમદાર ખૂબ સરસ. પોલીસ કમિશનરના રોલમાં હોમી વાડિયા થોડી જ મિનિટો માટે પડદા પર આવે છે, છતાંય પ્રભાવશાળી છાપ છોડી જાય છે. ઉત્તમ, ઘડાયેલા કલાકારોની વરણી કરવાનો આ જ ફાયદો છે. ફિલ્મનો હુકમનો એક્કો, અલબત્ત, માનવ ગોહિલ છે. અસરકારક અભિનય, સુંદર ડાયલોગ ડિલીવરી, ચામિર્ંંગ (charming) પર્સનાલિટી અને સુપર્બ સ્ક્રીન પ્રેઝન્સ. થ્રી ચિયર્સ ફોર માનવ ગોહિલ!



અલબત્ત, ‘સપ્તપદી’માં ક્ષતિઓ છે જ. ફિલ્મનો પ્રવાહમાં વચ્ચે અણધાર્યા જમ્પ આવી જાય છે. તેને લીધે કેટલીક બાબતોમાં પ્રસ્થાપિત થઈ શકતી નથી. જેમ કે, આ કપલ મુંબઈનું છે કે અમદાવાદનું?  જો તે મુંબઈનું હોય તો હીરો ધુંઆફુંઆ થતો સાપુતારા ધસી આવે છે ત્યારે એની મર્સિડીઝ પર ગુજરાતની નંબરપ્લેટ શા માટે છે? આ તો જોકે નાની વાત થઈ, પણ એકબીજા પર મેનહટ્ટન-મણિનગર ઓવારી જતાં પતિ-પત્ની આટલી ઝડપથી અને આસાનીથી કેવી રીતે વિખૂટાં પડી ગયાં? લગ્નજીવનમાં પેદાં થતી કટોકટી માટે જરુરી બિલ્ડ-અપ અહીં મિસિંગ છે. આતંકવાદી બનતા રાજેન્દ્ર ગુપ્તા ખોટું ગુજરાતી બોલીને મજા બગાડી  નાખે છે. આખી ફિલ્મના સંવાદોમાં અંગ્રેજી ભાષાનો પ્રચુર માત્રામાં પ્રયોગ થયો તે બરાબર છે, મોટા ભાગનાં દશ્યોમાં તે સરસ પણ લાગે છે, પણ હીરો દુખી દુખી થઈ ગયો હોય ત્યારે બેકગ્ર્ાઉન્ડમાં એકાએક ‘લોનલીનેસ.... શું છે આ લોનલીનેસ...’ કરતું જે ગીત વાગે છે તે  સાવ કૃત્રિમ લાગે છે. ખેર.

થોડા અરસા પહેલાં આશિષ કક્કડેબેટર હાફ(ધર્મેન્દ્ર ગોહિલ, નેહા મહેતા) નામની અર્બન માહોલવાળી સરસ ફિલ્મ બનાવી હતી ત્યારે લાગતું હતું કે ચલો, ગુજરાતી સિનેમામાં કંઈક બન્યું ખરું. થોડા શૂન્યાવકાશ પછી અભિષેક જૈને ગયા વર્ષે ‘કેવી રીતે જઈશ?’ નામની અફલાતૂન અને સુપરહિટ બનાવીને આપણને સૌને પુલકિત કરી દીધા. તે પછી, આ જ ઢાળમાં હવે ‘સપ્તપદી’ આવી છે. ‘કેવી રીતે જઈશ?’નું આ તગડું ફોલો-અપ છે.  
 
‘સપ્તપદી’ ભલે પરફેક્ટ ફિલ્મ નથી, પણ એની ક્ષતિઓને અવગણીને તેને માણી શકાય છે. તમે એક સરસ ફિલ્મ જોઈ, અને એ પણ આપણી પોતાની ભાષામાં, તે વાતનો ભરપૂર સંતોષ ‘સપ્તપદી’ જન્માવે છે. આ શુક્રવાર-શનિવાર દરમિયાન તમે આ ફિલ્મ ઓલરેડી જોઈ લીધી હોય તો અલગ વાત છે, બાકી આજે રવિવારે તમારે શાનો પ્રોગ્ર્ાામ બનાવવાનો છે તે કહેવાની જરુર ખરી?

શો-સ્ટોપર 

એક વાર અક્ષયકુમારે મને પૂછેલું કે તું કેમ ક્યારેય મારી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતો નથી? મેં એને જવાબ આપ્યો કે જો ભાઈ, હું કોઈનો ચમચો નથી. હું કામ માગવા માટે નથી કોઈને આજીજી કરતો કે નથી કોઈ હીરોના પગના તળિયા ચાટતો.

- અનિલ કપૂર

 

Friday, November 26, 2010

સુખ માર્ગ છે, મંઝિલ નહીં...

ચિત્રલેખા અંક તારીખ ૬ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત



સ્લગઃ વાંચવા જેવું


ચંદ્રકાંત બક્ષીએ ‘હું, કોનારક શાહ...’ નવલકથામાં એક પાત્રના મોઢે શબ્દો મૂક્યા છેઃ ‘માણસે માત્ર પોતાનાં દુખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી... પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે...’



‘નવનીત સમર્પણ’ માસિકમાં વર્ષા અડાલજાની ‘ખરી પડેલો ટહુકો’ નવલકથા ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ રહી હતી. મેન્ટલી ચેલેન્જ્ડ સંતાન અને તેની મા વચ્ચેના નાજુક સંબંધની તેમાં વાત હતી. એક દિવસ તત્કાલીન તંત્રી ઘનશ્યામ દેસાઈએ લેખિકાને ફોન કર્યોઃ વર્ષબહેન, હમણાં ને હમણાં ઓફિસે આવો. બસ, આવો જ. વર્ષા અડાલજા લગભગ દોડતાં પહોંચ્યાં. તેમણે જોયું કે અમેરિકાથી આવેલાં એક ગુજરાતી મહિલા આ નવલકથાનું મિસ થઈ ગયેલું પ્રકરણ વાંચી રહ્યાં હતાં. તેમનો ખુદનો દીકરો મેન્ટલી ચેલેન્જ્ડ હતો અને તેઓ વાસ્તવમાં નવલકથાની નાયિકા જેવું જીવન જીવતાં હતાં. વર્ષાબહેનને મળતાં જ મહિલા તેમને ભેટી પડ્યાં. કહેઃ તમારી વાર્તા વાંચીને મને મારા જીવનમાં સમાધાન મળ્યું. સમાજ સામે તમે આવાં બાળકો અને તેમના સ્વજનોની કથાવ્યથાને ફોકસમાં મૂકી આપી. થેન્ક્સ. આટલો કિસ્સો વર્ણવીને વર્ષા અડાલજા કહે છે, ‘... અને મને ને ઘનશ્યામભાઈને અમારું ‘સુખ’ મળી ગયું.’



એક સર્જક ભલે લાખો રૂપિયાના પુરસ્કાર કે રોયલ્ટી મેળવતો ન હોય, પણ જો તેની કૃતિ કોઈના જીવનને મૂળમાંથી સ્પર્શી શકે તો એ જ તેનું સુખ, તેની સાર્થકતા. વ્યક્તિએ-વ્યક્તિએ સુખની સમજ અને અનુભૂતિનું સ્વરૂપ જુદાં જુદાં હોવાનાં. સુરેશ દલાલે સંપાદિત કરેલું ‘મારું સુખ’ નામનું આ રૂપકડું પુસ્તક વાસ્તવમાં સુખનું શેડકાર્ડ છે. જુદાં જુદાં ક્ષેત્રોની ૭૨ વ્યક્તિઓએ પોતપોતાનાં કરેલી સંવેદનશીલ વાતોમાં સુખના એટલા બધાં રંગો અને વૈવિધ્ય ઉપસે છે કે વાચકને પોતાના સુખ સાથે મેચ થતો શેડ મળી જ રહે.



કાલિન્દી રાંદેરી લખે છેઃ ‘મનુષ્યસ્વભાવના છ શત્રુઓઃ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને ટાળી શકાય તો સુખ જ સુખ છે.’ એમ તો આપણી એક કહેવત પણ કહે જ છે ને કે, પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર, ત્રીજું સુખ તે કહ્યાગરી નાર અને ચોથું સુખ તે ભોજનમાં કંસાર... શું જીવનનાં મહાન સત્યોની જેમ સુખનું સત્ય પણ આટલું સાદું છે? કદાચ, ના. ચંદ્રકાંત બક્ષીએ ‘હું, કોનારક શાહ...’ નવલકથામાં એક પાત્રના મોઢે શબ્દો મૂક્યા છેઃ ‘માણસે માત્ર પોતાનાં દુખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી... પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે...’

સુખનો ઝરો શું આપણી ભીતર જ કશેક છુપાયેલો હોય છે? ઈશા કુન્દનિકા કહે છે, ‘મારું સુખ...જે દુખની ઉપરવટ થઈને ટકી રહે છે. એમાં નિરંતરતા છે. એક કાયમી રહેલી લાગણી, ક્યાંક કશાક પરનો કદાચ વિશ્વાસ, કશીક શ્રદ્ધા, કશુંક. કશુંક શું તેની સમજ નથી પડતી, પણ કંઈક છે જે અંદર છે અને હંમેશાં રહે છે.’



ભગવતીકુમાર શર્મા માટે શબ્દવ્યાપાર જ ચરમ અને પરમ સુખાનુભૂતિનું માધ્યમ છે. મૂકેશ જોષી સરસ રહે છેઃ ક્યારેક મારી કવિતાના શબ્દો કોઈના હ્યદયને હળવા પવનની જેમ સ્પર્શે છે ત્યારે હું જ્યાં હોઉં ત્યાં સુખનો મિસ્ડ કોલ આવી જાય છે! અરુણા જાડેજા કાર્યશક્તિમાં સુખ જુએ છે. સુખ અને કર્મ આ બે વચ્ચે હંમેશાં ગાઢ સંબંધ રહ્યો છે. સતત કામમાં વ્યસ્ત રહેવું તે સુખની દિશા હોય છે કે પછી પલાયનવાદનું સરનામું? પ્રદીપ ખાંડવાળા પોતાની જાતને જ પ્રશ્ન પૂછે છે, ‘શું હું મેસોકિસ્ટ છું જે પોતાને દુખ આપી સુખનો અહેસાસ કરવાનો પ્રયત્ન કરતો રહે? કે શું હું નિરુત્સાહી છું જે કાર્યોમાં રત રહીને ડિપ્રેશનમાંથી છટકવાના ઉપાયો શોધતો ફરે?’ આનો જવાબ પોતાની ભીતરથી જ જડી આવે છે, ‘ના, આ કષ્ટોનો સ્ત્રોત છે કંઈ નવું કરવાનો, કંઈ નવું શીખવાનો આનંદ, પડકાર ઝીલવાનો આનંદ, સર્જન કરવાનો આનંદ...’



સર્જન પછીની નિરાંત ખરેખર સુખદાયક હોય છે. ભરત ઘેલાણી એટલે જ કહે છે ને કે, ‘મારા માટે ખરું સુખ એટલે ‘ચિત્રલેખા’નું કામ આટોપી લીધા પછી હું મારા એકાંતમાં એરકન્ડિશનની આછી હૂંફાળી ટાઢક વચ્ચે મારા ડબલ બેડ પર એકલો પથરાઈને મારું મનગમતું પુસ્તક વાંચતો હોઉં, પાછળ ફાઈવ પોઈન્ટ વન મ્યુઝિક સિસ્ટમ પર મારાં ગમતીલાં ગીત આછાં આછાં ગુંજતાં હોય અને ડબલ બેડના સાઈડ સાઈડ ટેબલ પર ચિલ્ડ બિયરનો ગ્લાસ હોય...’ ખરેખર, ભૌતિક સુવિધાઓની કિંમત ઓછી આંકવા જેવી નથી જ!



પ્રકૃતિના સાન્નિધ્ય અને સુખ વચ્ચે પાક્કી દોસ્તી છે. દીપક દોશી સુખ વિશે વિચારે એટલે તરત તેમના મનમાં મુંબઈનાં હ્યદય જેવું કેન્હેરીનું જંગલ ઊભું થાય. અઠવાડિયે એકાદ વાર અહીં આવીને ‘જીવન સુંઘી જવાનો’ તેમનો વર્ષોનો ક્રમ છે. ઉત્પલ ભાયાણી રોજ ચર્ચગેટથી અંધેરી પાછા ફરે ત્યારે લોકલ ટ્રેનમાં સાવ ફૂટબોર્ડની ધાર પર ઊભા રહે. મસ્તક ટ્રેનની સપાટીની બહાર હોય, અંદરનો કોલાહલ સતત કાને પડતો રહે અને આંખ સામેથી મુંબઈના ત્રસ્ત અને વ્યસ્ત મુંબઈનાં દશ્યો સડસડાટ પસાર થતાં જાય. ‘એટલે જે દેખાય છે એ સંભળાતું નથી અને જે સંભળાય છે એને જોતો નથી,’ ઉત્પલ ભાયાણી કહે છે, ‘આ રોજિંદો અનુભવ મારું અદકેરું સુખ છે.’ વેલ, સુખનું આ શહેરી સ્વરૂપ છે!



સુખના પરિઘમાં માત્ર ‘સ્વ’નો જ સમાવેશ થાય તે ક્યાં જરૂરી છે? કોઈ દુભાયેલી વ્યક્તિ, ખાસ કરીને સ્ત્રી જ્યારે પોતાના મનનો સંતાપ પન્ના નાયક પાસે શેર કરે, એમની સાથે વાતો કરીને એ વ્યકિતનું મન હળવું થાય ત્યારે એમને સુખ મળે છે. જયેશ ચિતલિયાને ફિલ બોસમન્સે લખેલું અને રમેશ પુરોહિતે અનુદિત કરેલું ‘સુખને એક અવસર તો આપો’ એટલું ગમી ગયું કે તેની સંખ્યાબંધ નકલો લઈને પ્રિયજનોને ભેટમાં આપવું એ તેમનું સુખ બની ગયું. ગમતાને ગુલાલ કરવામાં તેમને ભરપૂર સુખ મળે છે. જયેશ ચિતલિયા સુખની સરસ વ્યાખ્યા બાંધે છેઃ ‘સુખ મંઝિલ નથી, માર્ગ છે...’ સ્વજનો સાથે રસાયેલા સુખનું આગવું સૌંદર્ય છે. વિનોદ ભટ્ટની સુખદ ક્ષણો અણીશુદ્ધ દાદાગીરીમાં સમાયેલી છે. ‘એને માટે અલબત્ત, દાદાનું સ્ટેટસ મેળવવું પડે,’ તેઓ સ્મિતપૂર્વક લખે છે, ‘આ દાદાગીરી એ ભોગવવા જેવું સુખ છે.’



સંગીત દ્વારા પેદા થતા સુખનું મૂલ્ય તો પ્રકાશ મહેતા અને ડો. સિલાસ પટેલિયા જેવા સંગીતરસિયાઓ જ જાણે. ‘મારામાં રહેલી શક્યતાઓને મિત્રો અને વડીલોએ ઓળખી એ મારું મોટું સુખ,’ આટલું કહીને ગાયક-સંગીતકાર સુરેશ જોશી પછી ઉમેરે છે, ‘... તો પછી સુખ નામનો પદારથ એ સંગીતનું બીજું નામ તો નહીં હોય ને?’



પ્રજ્ઞા પૈની સુખની વ્યાખ્યા સાદી પણ સચોટ છેઃ ‘મારા મતે, સુખ એટલે ભૂતકાળની ભુલો અને ભવિષ્યની કપોળકલ્પિત મુશ્કેલીઓના વિચારોેને હડસેલી ડિલીટ કરી વર્તમાન ક્ષણ માણી લેવાની ક્ષમતા.’ રાધેશ્યામ શર્મા ટોટલ એક્સેપ્ટન્સ એટલે કે સમગ્રના સ્વીકારમાં સુખ જુએ છે, જ્યારે હરિભાઈ કોઠારીનું કહેવું છે કે, ‘પ્રભુની શરણાગતિ સમું સુખ જગતમાં બીજું એકેય નથી.’



આખા પુસ્તકમાં કદાચ સૌથી પારદર્શક કેફિયત કાજલ ઓઝા-વૈદ્યની છે. તેઓ લખે છે, ‘મને એવું સમજાયું છે કે સુખ એ તદ્દન અંગત લાગણી છે. સામેની વ્યક્તિને આપણા સુખ સાથે કોઈ સંબંઘ જ નથી... ઈર્ષ્યાનો પણ નહીં!’ આટલું કહીને તેઓ આખરે ઉમેરે છે, ‘હવે ‘મારું સુખ’ હું જે કરું છું તેમાં છે... જે ક્ષણે જ્યાં હોઉં છું ત્યાં જ હોય છે... હું જેને મળું છું તે સહુ મને સુખી કરે છે... જે જીવું છું એનું નામ ‘સુખ’ રાખતાં હવે મને આવડી ગયું છે.’



અપૂર્વ આશરે કરેલી ‘મારું સુખ’ પુસ્તકની સજાવટ ભારે કલ્પનાશીલ છે. પ્રત્યેક લેખકનો ટૂંકમાં પરિચય આવ્યો હોત તો સારું થાત. આ પુસ્તકમાં અંકિત થયેલાં સુખનાં સત્ત્વશીલ ગાનને કાન દઈને સાંભળવા જેવું છે. મનોહરસિંહજી જાડેજા ‘સુખ કે પછી આનંદ- એનાં ગાણાં ન ગવાય’ એવું કહેતા હોય તો પણ!



(મારું સુખ

સંપાદકઃ સુરેશ દલાલ

પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન,

પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ૧.

સેન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ,અમદાવાદ૬.

ફોનઃ (૦૨૨) ૨૨૦૦૨૬૯૧, (૦૭૯) ૨૬૫૬ ૦૫૦૪

કિંમતઃ રૂ. ૫૦૦/

પૃષ્ઠ સંખ્યાઃ ૨૭૮)



૦૦૦૦