Showing posts with label Anita Karwal. Show all posts
Showing posts with label Anita Karwal. Show all posts

Wednesday, August 21, 2013

વાંચવા જેવું : પપ્પા એટલે ઈશ્ર્વરે આપેલો ઓસ્કર અવોર્ડ!


 ચિત્રલેખા - અંક તા. ૧૪ મે ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું 




ટેબલની એક તરફ ગુજરાતી પત્રકારત્વના દંતકથારુપ તંત્રી સ્વ. હસમુખ ગાંધી બિરાજમાન છે. સામે ‘સમકાલીન’ દૈનિકમાં જોડાવા માટે અધીરાઈ અનુભવી રહેલો એક ઉત્સાહી નવયુવાન બેઠો છે. ગાંધીભાઈના આકરા ઈન્ટરવ્યુ અને લિખિત પરીક્ષામાંથી એ પસાર થઈ ચુક્યો છે. બસ, હવે અપોઈન્ટમેન્ટ ઓર્ડરની રાહ જોવાઈ રહી છે. અચાનક પર્સોનેલ ડિપાર્ટમેન્ટના ક્લર્કે ફોર્મમાં વિગત ભરવા માટે પૂછે છે: પિતાનો વ્યવસાય? યુવાને જવાબ આપે છે: ‘પિતાજી!’ ગાંધીભાઈ હસી પડે છે: અલ્યા, તારા બાપાનો વ્યવસાય પૂછે છે! યુવાન સ્થિરતાથી કહે છે: ‘ઔપચારિકતા ખાતર ‘અધ્યાપક’ લખી શકો, બાકી હી ઈઝ અ ફુલટાઈમ ફાધર...’ આ યુવાન એટલે અજય દલપતસિંહ ઉમટ, જે આજે છવીસ વર્ષ પછી ટોચના પત્રકાર તરીકે જાણીતા છે. એમને જર્નલિઝમમાં પા-પા પગલી માંડનાર એમના પિતાજી પ્રોફેસર ડી.એસ. ઉમટ જ!

પાર્ટટાઈમ પિતૃત્વ જેવું કશુંય હોય છે? પ્રસિદ્ધ વાર્તાકાર ડો. જયંત ખત્રીએ કહ્યું છે એમ, બાળક ક્યારેય એકલું જન્મતું નથી, સંતાનની સાથે એક પિતાનો જન્મ પણ થતો હોય છે... અને પછી પિતૃત્વ જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધી સતત પુરુષની સાથે રહે છે. માતૃત્વનો મહિમા ખૂબ થયો છે, હંમેશાં થતો રહ્યો છે. પિતૃત્વનો મહિમા કરવામાં આપણે પાછળ રહી ન જવાય કદાચ એટલા માટે જ રાજ ભાસ્કર ‘લવ યુ મમ્મી’ પછી ‘લવ યુ પપ્પા’ નામનું દળદાર સંપાદન લઈને આવ્યા છે. અહીં જુદાં જુદાં ક્ષેત્રની વ્યક્તિઓએ પોતાના પિતા વિશે દિલ ખોલીને લખ્યું છે.



આઈએએસ અધિકારી અનિતા કરવલે પંદર વર્ષનાં હતાં ત્યારે એક નિબંધસ્પર્ધામાં ભાગ લીધો હતો. એમણે પપ્પાને કહ્યું કે, તમારું ઈંગ્લિશ ખૂબ જ સરસ છે. મને આ એક નિબંધ લખી દેશો, પ્લીઝ? પપ્પાએ એમને બહુ સરસ જવાબ આપ્યો: ‘બેટા, તું જિંદગીમાં એક જ વખત જીતવા માગે છે કે પછી હંંમેશાં જીતવા માગે છે? જો તારે સ્કૂલમાં આ વર્ષ પૂરતા જ શ્રેષ્ઠ નિબંધલેખક બનવું હશે તો હું જરુર નિબંધ લખી આપીશ, પણ જો તારે જીવનમાં એક ઉત્તમ લેખક બનવું હશે તો એની શરુઆત આજથી જ કરવી પડશે!’

નાના-મોટા પ્રસંગે પિતાએ કહેલી આવી વાત કે એમના વર્તન-વ્યવહારમાંથી ઊપસતાં સત્યો પછી સંસ્કાર બનીને આજીવન આપણી સાથે રહેતાં હોય છે. અનિતા કરવલએ આગળ જઈને પછી પોતાના આઈએએસ અધિકારી પતિની સાથે મળીને ‘થિન્ક એવરેસ્ટ’ નામનું સુંદર પુસ્તક લખ્યું. પુત્રી ભલે પરણીને બીજા ઘરે જતી રહે, પણ પિતા સાથેનો એનો સંંબંધ ક્યારેય ભીનાશ ગુમાવતો નથી. દીકરી ભડભાદર થઈ જાય તોય પપ્પાની લાડલી જ રહે છે. એટલે જ સાહિત્યકાર રઘુવીર ચૌધરીનાં દીકરી દષ્ટિ પટેલે કહ્યું છે કે, પપ્પાની હાજરીમાં ઉંમરની દોરી સડસડાટ ફીરકીમાં પાછી લપેટાઈ જતી અનુભવાય! રેડિયો જોકી અદિતિએ તો પોતાના મોબાઈલની ફોનબુકમાં પપ્પાનું નામ જ ‘લવ યુ’ તરીકે સેવ કરેલું છે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં શ્રીમતીજી અંજલિનું પાત્ર ભજવતી એક્ટ્રેસ નેહા મહેતા છલક-છલક થઈને કહે છે: મારા પપ્પા તો મને ઈશ્ર્વરે આપેલો ઓસ્કર અવોર્ડ છે!

પણ દીકરાની દુનિયા જુદી છે. દીકરા સાથે પિતાનું સમીકરણ પણ જરા જુદું હોય છે. પત્રકાર કાના બાંટવા કહે છે કે હું નાનપણમાં બાપાની આંગળી પકડીને ફર્યો હોઉં એવું પણ મને યાદ નથી. જૂની પેઢીમાં પુરુષોમાં કદાચ સંતાનને ખૂલીને વહાલ નહીં કરવાનો રિવાજ નહીં હોય! પિતા-પુત્ર વચ્ચે લાગણીની અભિવ્યક્તિ બોલકી રીતે પ્રગટ થઈ શકતી નથી. અધ્યાપક-કોલમનિસ્ટ મુકેશ મોદી શબ્દો ચોર્યા વગર કહે છે કે નાનપણમાં એમણે વર્ષો સુધી પોતાના સીધાસાદા પિતાજી અંગે ક્ષોભ અનુભવ્યો છે. એમને થાય કે એ બીજાઓના પપ્પા જેવા મોડર્ન અને સરસ જોબ કરતા સધ્ધર આદમી કેમ નથી? એવો પ્રસંગ જ ઊભો ન થવા દે કે બાપુજીએ સ્કૂલે આવવું પડે. ધોતિયું અને ખમીસ પહરેલા બાપા શાળાએ આવે તો કેવું લાગે! અલબત્ત, સમયની સાથે સમજદારી આવતી ગઈ અને પિતાજીને નિહાળતી દષ્ટિ બદલાતી ગઈ. એ લખે છે: ‘બાપુજી માટે ‘લવ યુ ડેડી’ એવો ભાવ નીકળતો નથી. મમ્મી માટે ‘લવ યુ મમ્મી’ સ્વાભાવિક હશે.પપ્પા માટે મને લવ કરતાં સેલ્યુટ શબ્દ વધુ નજીક અને યોગ્ય લાગે છે.’



હાસ્યકાર જગદીશ ત્રિવેદી બે-અઢી વર્ષના હતા ત્યારે પિતાજીના મોટા ભાઈ-ભાભી એમને પોતાની સાથે લઈ ગયા હતા ને પછી સગા દીકરાની જેમ મોટા કર્યા. એ પાંચ-સાત વર્ષના થયા ત્યારે કોઈ ખણખોદિયા બ્રાહ્મણે એમને કહી દીધું કે તુું જેને બા અને બાપા કહે છે એ તો તારા દાદા ને ભાભુ છે, તારાં સગાં મા-બાપ તો થાનગઢ રહે છે! બાળ જગદીશને પહેલાં આઘાત લાગ્યો અને પછી ડર બેસી ગયો: મને થાનગઢ લઈ જશે તો મારાં આ મા-બાપ વગર હું કેવી રીતે રહી શકીશ?  સદભાગ્યે એવું ન બન્યું. જગદીશ ત્રિવેદીની કુંડળીમાં મા-બાપની બબ્બે જોડીનો પ્રેમ લખાયો હતો. પિતા ક્યારેક બાપ ઉપરાંત પણ બીજું ઘણું બધું હોય છે. જેમ કે, ‘હિપ્નોટિઝમનું બીજું નામ’નું બિરુદ પામેલા ડો. પી.ટી. ભીમાણીને એમના સાઈકોલોજિસ્ટ પુત્ર ડો. પ્રશાંત ભીમાણી ગુરુ તરીકે નિહાળે છે.

તદ્દન ભીમાણી બાપ-બેટાની માફક તો નહીં, પણ સંજય છેલનું ફિલ્ડ એમના પપ્પાના કર્મક્ષેત્રથી નિકટ જરુર છે. એમના પપ્પા એટલે છેલભાઈ વાયડા. રંગભૂમિની વિખ્યાત આર્ટ-ડિરેક્ટર જોડી છેલ-પરેશમાંના એક. સંજય લખે છે કે, ‘એ ભાગ્યે જ મારી ફિલ્મો, સિરિયલો વગેરે જુએ છે અને જુએ છે ત્યારે ભાગ્યે જ એમને ગમે છે. પણ મારે એમનાં નાટકોની ટીકા નહીં કરવાની અને એમણે મારી ફિલ્મોની એવી અમારા વચ્ચે મૂંગી સમજૂતિ છે!’



કહે છેને કે માતા પગ ધરતી છે તો પિતા માથા પરનું આસમાન. શું પિતાનાં મૃત્યુ પછી ઘરનો મોટો દીકરો એમનું સ્થાન લઈ શકતો હોય છે? કદાચ, ના. અંગત અનુભવના આધારે પત્રકાર-લેખક નરેશ શાહનો આ જ નીચોડ છે કે સમજણથી, સાહસથી, નસીબથી કે મહેનતથી તમે ગમે તે બની શકો છો, પણ તમે તમારા ‘બાપ’ બની શકતા નથી! મૃત્યુ પામેલા પિતાનું સ્થાન ઘરમાં હંમેશાં ખાલી જ રહે છે! આટલું કહીને લેખક ઉમેરે છે કે, ‘મા લપાઈ જવા માટે હોય છે પણ લડાઈમાં પિતાથી મોટી પ્રેરણા કે શક્તિ બીજી કોઈ નથી.’

પુસ્તકમાં કુલ ૫૧ લેખો છે, જેમાં પિતા અને સંતાન વચ્ચેના સંબંધના ઘણા શેડ્ઝ આકર્ષક રીતે ઝિલાયા છે. આ પ્રકારના પુસ્તકનાં લખાણ પર મેલોડ્રામેટિક બની જવાનું અને ‘પિતૃ દેવો ભવ... મેરે ડેડી મહાન’ પ્રકારની લાગણીમાં વહી જવાનું મોટું જોખમ તોળાતું હોય છે. આ પુસ્તકની સારી વાત એ છે કે અમુક લેખોને બાદ કરતા ઘણાખરા કિસ્સામાં લેખકો સંયમિત રહી શક્યા છે અને ઈમોશનલ ઓવરડોઝથી બચી શક્યા છે. રિપીટેશન યા તો એકની એક ભાવસ્થિતિનું પુનરાવર્તન એ બીજું ભયસ્થાન છે. ખરેખર તો મા, દીકરી વગેરે સંબંધોને કેન્દ્રમાં રાખીને તૈયાર થતાં આ પ્રકારનાં સંપાદનો સ્વયં રિપીટેશનનો ભોગ બનીને નાવીન્ય ગુમાવી ચુક્યા છે. ખેર, સ્વતંત્રપણે ‘લવ યુ પપ્પા’ એક સુંદર અને ગમી જાય એવું સંપાદન બની શક્યું છે.                                                                                                                 0 0 0


 લવ યુ પપ્પા 


સંપાદક: રાજ ભાસ્કર

પ્રકાશક: બુકશેલ્ફ, અમદાવાદ-૯ અને નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ 

ફોન: (૦૭૯) ૨૬પ૬ ૩૭૦૬, (૦૨૨)૨૨૦૧ ૭૨૧૩ 

કિંમત:   ૩૫૦ /

પૃષ્ઠ: ૨૪૨





‘’

Friday, November 12, 2010

પોતપોતાનો એવરેસ્ટ

ચિત્રલેખા ૨૨ નવેમ્બર ૨૦૧૧માં પ્રકાશિત




પોતપોતાનો એવરેસ્ટ

સ્લગઃ વાંચવા જેવું

----------------------------------------------------------------



જિંદગીનું ચુમાલીસમું વર્ષ આમ તો ફાંદાળા સદ્ગૃહસ્થો માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશેની વિચારણા શરૂ કરવાનું યા તો સંભવિત મેલ મેનોપોઝ વિશે ઓફિશિયલી ચિંતા કરી શકવાનું વર્ષ ગણાય. પણ અતુલ કરવલની ચિંતાઓ જરા જુદા પ્રકારની હતી. જેમ કે, ઓક્સિજનનું વધારાનું સિલિન્ડર ખતમ થઈ ગયું તો ૨૪,૦૦૦ હજાર ફીટથી વધારે ઉચાઈ પર કેવી રીતે પહોંચવું? અથવા તો, લગભગ આટલી જ ઉચાઈએ ભયંકર જોખમી ઢોળાવ પર દોરડાની મદદથી માંડમાંડ લટકતા રહીને એમ વિચારવું કે મને જીવનમરણ વચ્ચે ઝુલતો અટકાવી શકે એવો કોઈ માઈનો લાલ દેખા દેશે ખરો?



માણસ જ્યારે એવરેસ્ટનું શિખર સર કરવા નીકળ્યો હોય ત્યારે તેની ચિંતાઓ આ જ પ્રકારની હોવાની ને!



અલબત્ત, ‘થિન્ક એવરેસ્ટ’ પુસ્તકમાં અતુલ કરવલના આ ટેન્શન વિશે વાંચતી વખતે તમે સુપર એક્સાઈટેડ હશો, કારણ કે તમે એ જ પાના પર વાંચો છો કે કોઈ બીજી ટીમનો અજાણ્યો શેરપા ચમત્કારિક રીતે પોતાનું વધારાનું ઓક્સિજન સિલિન્ડર તેમને આપી દે છે અને પેલા ઢોળાવ પર થોડી જ મિનિટોમાં સાથી શેરપા આવીને તેમની મદદ કરે છે. પુસ્તકનાં પાનાં પર લેખક જેમ જેમ એવરેસ્ટના શિખરની નજીક પહોંચતા જાય છે તેમ તેમ ઉત્તેજનાના માર્યા તમારો શ્વાસ અધ્ધર થતો જાય છે અને જેવા એ પોતાની રકસેકમાંથી તિરંગો કાઢીને લહેરાવે છે કે તમને છળીને સીટી મારવાનું મન થાય છે. દુનિયાના સર્વોચ્ચ પર્વતારોહણ વિશેના ઉત્કૃષ્ટ લખાણનો આ જાદુ છે!




Atul Karwal : તમે કેટલા ઝડપથી ચાલો છે એ અગત્યનું નથી, તમે કેટલે દૂર સુધી પહોંચી શકો છો એ મહત્ત્વનું છે...
 અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક)ના પદ પરથી ૨૨ મે ૨૦૦૮ના રોજ એવરેસ્ટ પર સફળ આરોહણ કરનાર અતુલ કરવલ ગુજરાતના અને સમગ્ર ઓલ ઈન્ડિયા સવિર્સીઝના સૌપ્રથમ સાહસિક છે. પ્રસ્તુત પુસ્તકમાં આ સાહસકથા તેમણે પોતાનાં પત્ની અનિતા કરવલની મદદથી અત્યંત રસપ્રદ રીતે આલેખી છે. સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં પર્વતારોહણની દિલધડક કેફિયત ઉપરાંત તેમની આધ્યાત્મિક અંતર્યાત્રાનો આલેખ પણ છે. તસવીરો બ્લેક-એન્ડ-વ્હાઈટ હોવા છતાં પુસ્તકને જીવંત બનાવી દે છે. વાતનો પ્રવાહ એક કરતાં વધારે સ્તરો પર સતત ફ્લેશબેક - ફ્લેશ ફોરવર્ડ થયા કરે છે. લેખકે મનની શક્તિઓને વિસ્તારવાની, તેને અતિક્રમી જવાની વાત એટલી આસરકારક રીતે કરી છે કે વાચકને પાનો ચડી જાય. તેઓ લખે છે, ‘પર્વતારોહણ સમયે પણ જિંદગીમાં ઉતારવા જેવા સાદાસીધા અને સૌથી અગત્યના પુરવાર થતા પાઠ કેટલી સરળતાથી ભણવા મળે છેઃ ઝડપ તમને શિખર સુધી લઈ જતી નથી, એના માટે ખંત જોઈએ, દઢ નિર્ધાર જોઈએ, સતત આગળ વધતા રહેવાની મક્કમતા જોઈએ. કહેવાય છે ને કે તમે કેટલા ઝડપથી ચાલો છે એ અગત્યનું નથી, તમે કેટલે દૂર સુધી પહોંચી શકો છો એ મહત્ત્વનું છે...’



માણસ તીવ્રતાથી જે ઈચ્છતો હોય છે તે આખરે થઈને રહેતું જ હોય છે. ચંદીગઢમાં ઉછરેલા અને ફિઝિકલ ફિટનેસના દીવાના અતુલ કરવલનું પર્વતો પ્રત્યેનું તીવ્ર પેશન આખરે તેમને એવરેસ્ટના શિખર સુધી દોરી ગયું. લેખક માહિતી આપે છે કે વિશ્વમાં ૮,૦૦૦ મીટર (અથવા ૨૬,૦૦૦ ફૂટ) કરતાં ચા ૧૪ પર્વતો છે, જે તમામ હિમાલયમાં સ્થિત છે. બોલચાલની ભાષામાં તે ‘આઠ હજારી’ તરીકે ઓળખાય છે. તેમાંથી સૌથી જોખમી અણપૂર્ણા છે. તેનું આરોહણ કરનારાઓમાંથી ત્રીજા ભાગના પર્વતારોહકો પાછા ફરતા નથી. તે પછી કંચનજંગા અને કે-ટુનો વારો આવે. બણેનો મૃત્યુદર ૨૦ ટકાથી પણ વધુ. એવરેસ્ટનો મૃત્યુદર ૮થી ૯ ટકા જેટલો છે.




Atul Karwal: તમે પર્વત નથી ચડતા, પર્વત તમને ચડવા દે છે. એ નક્કી કરે છે કે તમે શિખર સુધી પહોંચશો કે નહીં
 લેખક લખે છેઃ ‘હું શીખ્યો કે કુદરતની અસીમ તાકાતનો ભય મનમાંથી કાઢી નાખવો હોય તો કુદરતનો ભરપૂર આદર કરતાં શીખી જવું જોઈએ... કુદરતનું પણ માનવસંબંધો જેવું જ છે. જો તમે કુદરતને ચાહશો, એનું માન જાળવશો તો એના પડઘારૂપે પોઝિટિવ આંદોલનો તમારા સુધી પહોંચવાના જ છે.... શેરપાઓ અને મહારથી ગણાતા ભલભલા પર્વતારોહકો પણ કંઈક આવું જ માનતા હોય છે કે તમે પર્વત નથી ચડતા, પર્વત તમને ચડવા દે છે. એ નક્કી કરે છે કે તમે શિખર સુધી પહોંચશો કે નહીં.’



પુસ્તકમાં માત્ર શ્વાસ અધ્ધર કરી દે તેવાં વર્ણનો જ નથી, ખડખડાટ હસી પડાય તેવી વાતો પણ છે. જેમ કે, હિમાલયની વિષમ પરિસ્થિતિમાં લઘુ અને ગુરૂશંકાના નિવારણ વિશેની વિગતો. ૧૭,૫૦૦ ફીટની ઉચાઈ પર ટોયલેટ માટેના તંબૂમાં સરકસના ખેલાડીઓની જેમ સંતુલન જાળવીને પીપડા પર બેસી પ્રાતઃક્રિયા પતાવતી વખતે ધ્યાન રાખવાનું કે પેશાબ પીપડાની બહાર પડે. પીપડું ભરાઈ જાય ત્યારે એને સીલબંધ પેક કરીને કાઠમંડુ પાછું મોકલી દેવાનું! આ પ્રકારની પરેશાનીઓનો અનુભવ એવરેસ્ટ આરોહણ માટેની કસોટીઓ અને તાલીમ દરમિયાન જ મળી ગયો હતો. સિક્કિમના એડવાન્સ બેઝ કેમ્પમાં એક વખત લેખકે ટ્રેનરને પૂછેલુંઃ અરે, અહીં તો ક્યાંય ખાલી જગ્યા દેખાતી નથી. સવારે ટોયલેટ જવા માટે કઈ તરફ જવાનું? જવાબ મળ્યોઃ ‘સર, ઉપર જવાનું, ઝાડ પર... કોઈ મજબૂત ડાળી જોઈને બેસી જવાનું અને કામ પતી જાય એટલે સાચવીને નીચે તરી જવાનું!’



આંશિક રીતે રોજનીશીના સ્વરૂપમાં લખાયેલા આ પુસ્તકમાં લેખકનું સંવેદનશીલ આંતરિક વ્યક્તિત્વ અને એનર્જેટિક બાહ્ય પર્સનાલિટી જ નહીં, બલકે તેમનો પારિવારિક માહોલ અને જીવનશૈલી પણ આકર્ષક રીતે પસતાં જાય છે. તેને લીધે પુસ્તક ઓર ભરેલુંભરેલું બન્યું છે. પુસ્તકનું ફલક એટલું વિશાળ છે કે તે માત્ર ટ્રેકિંગ કરવાના શોખીનોને જ નહીં, પણ સૌ કોઈને સ્પર્શી જશે. લેખક કહે છે, ‘એક પાઠ જે હું વારંવાર શીખતો રહ્યો છું તે એ કે મનની કોઈ સીમાઓ હોતી નથી, માત્ર મર્યાદાઓ હોય છે... મને લાગે છે કે દરેક વ્યક્તિ પાસે જિંદગીમાં પોતપોતાનો એક ‘એવરેસ્ટ’ હોવો જોઈએ, જેથી આપણે માની લીધેલી મર્યાદાઓમાંથી બહાર આવીએ, સરહદો તોડીને અને આપણે જે બનવું જોઈએ કે જે બનવું છે તે બનીએ.’



પુસ્તકનો અનુવાદ નહીં પણ અનુસર્જન (ટ્રાન્સક્રિયેશન) કેવી રીતે થવું જોઈએ તેનું ‘થિન્ક એવરેસ્ટ’ ઉત્તમ ઉદાહરણ છે. ઓરિજિનલને બદલે અનૂદિત પુસ્તક વાંચવાની ભલામણ કરવાનું મન થાય તેવાં સત્ત્વશીલ પુસ્તકો રોજ રોજ ક્યાં પ્રકાશિત થાય છે! સૌરભ શાહે પુસ્તકના ગુજરાતી અવતારને પોતાની શૈલીથી વધારે સમૃદ્ધ બનાવ્યો છે. તેમણે પુસ્તકમાં જેમનાં સતત ઉલ્લેખો થતા રહે છે તે ક્રેમ્પોન અને કેરબીનર જેવી પર્વતારોહણ માટે જરૂરી સામગ્રીને લગતી સચિત્ર સમજૂતી સમાવી લીધી છે (જે પુસ્તકની શરૂઆતમાં જ આવી ગઈ હોત તો વધારે સારું થાત), સરસ મજાની ફોટો કેપ્શન્સ આપી છે અને એક વધારાનું પ્રકરણ પણ ઉમેર્યું છે. ‘થિન્ક એવરેસ્ટ’ માટે આ ત્રણ જ શબ્દો કાફી છેઃ અ મસ્ટ રીડ!

Watch Atul Karwal Interview. Click on http://www.youtube.com/watch?v=MMR5nrjz-Ak
Watch a film on Atul Karwal. Click on http://www.youtube.com/watch?v=Itz6n82mqtE




(થિન્ક એવરેસ્ટ

લેખકોઃ અતુલ કરવલ - અનીતા કરવલ

અનુવાદકઃ સૌરભ શાહ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર,

દેરાસર પાસે, ગાંધી માર્ગ,

અમદાવાદ ૩૮૦૦૦૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩

કિંમતઃ રૂ. ૨૭૫/

પૃષ્ઠ સંખ્યાઃ ૩૨૦ )