Showing posts with label Father Valles. Show all posts
Showing posts with label Father Valles. Show all posts

Tuesday, April 12, 2016

ટેક ઓફ : જ્યારે ફાધર વાલેસના ઘરમાં અજાણ્યો માણસ ચાકુ લઈને ઘૂસી ગયો!

Sandesh - Ardh Saptahik Purti - 13 April 2016
ટેક ઓફ 
ફાધર વાલેસ માટે કોઈએ પરફેક્ટ શબ્દ પ્રયોજ્યો છે - 'ફાધર વ્હાલેશ'! ગુજરાતી ભાષામાં ચિક્કાર સર્જન કરીને બેસ્ટસેલર લેખક બની ચુકેલા ફાધર  વાલેસ આજકાલ પોતાનાં વતન સ્પેનમાં કેવું જીવન વીતાવે છે?

ગુડ ધેટ વી મીટ. ઓન સ્ક્રીન એન્ડ હાર્ટ. ઈન ઈલેકટ્રોનિક કંપની. ઈન પીસ એન્ડ જાેય.  
તમને કહેવામાં આવે કેઆ કાર્લોસની વેબસાઈટના હોમપેજ પર લખાયેલાં વાકયો છે તો તમે પૂછશોકાર્લોસ કોણનામ તો ઈટાલિયન માફિયા જેવું લાગે છે. માફિયાઓની વેબસાઈટ હોય?ધારો કે હોય તો ય એના હોમપેજ પર બહુ બહુ તો 'જોયશબ્દ હોઈ શકે (જોય ઓફ્ ફીલિંગ પીપલ!)પણ 'પીસતો ન જ હોય. આકેકાર્લોસ જી.વાલેસચાલો. હજુય ન સમજાયુંફઈન. ફાધર વાલેસ. હવેફાધર વાલેસનું મૂળ નામ કર્લોસ જી. વાલેસ છે તે યાદ આવતાં ચહેરા પર સ્માઈલ આવ્યું?  
ગુજરાતીઓની એક કરતાં વધારે યુવા પેઢી ફાધર વાલેસનાં લખાણો-પુસ્તકો વાંચીને જીવનના પાઠ શીખી છેવિચારતા શીખી છેખુદની માતૃભાષા પ્રત્યે સંવેદનશીલ બની છે. આજે ૯૦ વર્ષની ઉંમરે ફાધર વાલેસ પોતાનાં વતન સ્પેનમાં સુંદર અને સક્રિય જીવન જીવે છે. ફાધર ગુજરાતી નથીસ્પેનિશ છે એ વાત પ્રયત્નપૂર્વક યાદ રાખવી પડે છે! સ્પેનમાં જન્મેલા અને મોટા થયેલા એક યુરોપિયન છોકરાને ભારત મોકલવામાં આવેએ પહેલાં અંગ્રેજી શીખેપછી ગુજરાતી શીખવાનું શરૂ કરેગુજરાતને પોતાનું ઘર બનાવેઅમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત ભણાવતાં ભણાવતાં ધીમે ધીમેપુષ્કળ મહેનત અને નિષ્ઠાથી ગુજરાતી ભાષા પર એવો અંકુશ મેળવે કે ગુજરાતીમાં લેખોપુસ્તકોકોલમો લખવાનું શરૂ કરેએટલું જ નહીંબેસ્ટસેલર લેખક પુરવાર થાય! આ આખી વાત આજેય ચમત્કારિક લાગે છે.  
ફાધર વાલેસનાં બા ૯૦ વર્ષનાં થયાં ત્યારે તેઓ ભારત છોડીને પાછા વતન ગયા. ગુજરાતીમાં ચિક્કાર સર્જન કરી ચૂકેલા ફાધરે પછી અંગ્રેજી અને સ્પેનિશમાં પણ ઘણાં પુસ્તક લખ્યાં. અગાઉ તેમનો વાચકવર્ગ માત્ર ગુજરાતી પ્રજા પૂરતો સીમિત હતોપણ હવે એમનાં સ્પેનિશ પુસ્તકો સાઉથ અમેરિકાનાં વીસેક દેશોમાં વંચાય છે ને વખણાય છે. ફાધર વાલેસને મિસ કરતા એમના ચાહકોએ એમની વેબસાઈટ www.carlosvalles.com પર શાંતિથી સમય પસાર કરવા જેવો છે. સ્પેનમાં હાલ ફાધરનું જીવન કેવું છે એની સરસ ઝાંખી આ અંગ્રેજી વેબસાઈટ પર મૂકાયેલાં લખાણોમાંથી મળે છે. ફાધરનું અંગ્રેજી લખાણ ગુજરાતી જેવું જ છે - અકદમ સરળપ્રવાહી અને આત્મીય.  
અેક જગ્યાએ તેઓ લખે છે (ફાધર વાલેસનાં લખાણનો અહીં ગુજરાતીમાં ભાવાનુવાદ કરતી વખતે રોમાંચ થાય છે!):  
'હું રોજ એક કલાક ચાલું છું. સવારે ઉઠયા પછી પહેલું કામ હું આ કરું છુંકેમ કે મને ખબર છે કે જો ચાલવાનું બપોર કે સાંજ સુધી મુલતવી રાખીશ તો સાવ રહી જશે. ચાલવાની કસરત શરીર માટે સારી છે... અને દિમાગ માટે પણ. હું ચાલવા નીક્ળ્યો હોઉં ત્યારે મને નવાં વિચારો આવે છેનવાં કામ સ્ફૂરે અને કામ કરવાની નવી રીતો સૂઝે છે.'  
ફાધર આ ઉંમરે પણ જીવનરસથી છલક-છલક થાય છે. તેઓ કહે છે તેમ વૉકિંગથી હૃદયના સ્નાયુઓને નિયમિતલયબદ્ધ અને અકધારી કસરત મળે છે જેેનાથી હૃદય વધારે કાર્યક્ષમ બને છે તેમજ એનું આયુષ્ય પણ વધે છે. ફાધર વૉક કરવા નીકળે ત્યારે એમના બન્ને હાથમાં અક-એક લાકડી હોય. આ લાકડીઓ પાછી વિશિષ્ટ છે. એમના જમીન તરફ્ના છેડે ટચૂકડાં શૂઝ જડેલાં છે! ફાધર આ જૂતાંવાળી લાઠી લઈને વૉક લેવા નીકળે એટલે નાનાં બાળકોને બહુ કૌતુક થાય. મોટેરાઓનું પણ ધ્યાન ખેંચાય. કોઈ વળી એમને અટકાવીને પૂછેય ખરાઃ કયાંથી ખરીદી આ સ્ટિક્સફાધર એમને ફિનલેન્ડની દુકાનનાં નામ સહિત પૂરી માહિતી આપે.  
વોકિંગ કરીને પાછા ફર્યા બાદ બ્રેકફાસ્ટ વગેરે પતાવીને ફાધર પોતાનાં કમ્પ્યુટર પર કામ કરવા બેસે. દુનિયાભરમાંથી આવેલા ઈમેઈલના જાતે જવાબ આપે. પછી પોતાની વેબસાઈટ - પુસ્તકોનું કામ કરે. બપોરે લંચ પછી થોડી વાર 'સિએસ્તાલે એટલે કે આડા પડે. ફાધર લખે છે, 'મારા ઇંગ્લિશ દોસ્તોને હું યાદ કરાવવા માગું છું કે સ્પેનિશ ભાષાએ અંગ્રેજીમાંથી ઘણા શબ્દો લીધા છે,પણ અંગ્રેજી ભાષાએ સ્પેનિશના જે બહુ ઓછા શબ્દો અપનાવ્યા છે એમાંનો એક શબ્દ 'સિએસ્તા' છે. ભારતમાં એને 'ડાબે પડખે સૂવું' (યા તો વામકુક્ષિ કરવી) એમ કહે છે. બપોરનો સમય વાંચવા માટે છે. સાંજે દોસ્તોને મળવાનું. દિવસનો આ શ્રેષ્ઠ સમય હોય છે. રાત્રે મારા 'લિટલ એન્જલ'ને છેલ્લી વાર પ્રણામ કરીને સૂઈ જવાનું. આ નન્હા ફરિશ્તા એવો છે જે મારો સાથ કયારેય છોડતો નથી.

ફાધર સંભવતઃ પોતાના પર્સનલ ગોડને અથવા માંહૃાલાને 'લિટલ એન્જલતરીકે સંબોધે છે. એની સાથે ફાધરનું સતત કમ્યુનિકેશન ચાલતું રહે છે. આ લિટલ એન્જલ અથવા લિટલ ગાર્ડિયનના સંદર્ભમાં ફાધરે એક સરસ કિસ્સો ટાંકયો છેઃ  
'દર રવિવારની સવારે હું અને મારાં બા સગાસંબંધીઓ-દોસ્તારોને મળતાંસાથે કોફી પીતાં ને નિરાંતે વાતો કરતાં. જીવનની વાતોપરિવારની વાતો. એક વખત અમે આ રીતે ગપ્પાં મારતા બેઠાં હતાં ત્યાં અચાનક હું ઊભો થઈ ગયો. હું માત્ર આટલું જ બોલ્યોઃ 'ખબર નહીં કેમ પણ મને લાગે છે કે મારે આ જ ઘડીએ ઘરે જવું જોઈએ.જાણે હું પાગલ હોઉં એમ મારો ભાઈ મને તાકવા લાગ્યો. એની આ નજર મને સમજાતી હતી કેમ કે મને ખુદને ખબર નહોતી કે હું શું કામ ઊભો થઈ ગયો છું. ખેરહું ઘરે આવી ગયો.  
'નીચેનો ગેટ અને અમારા ફ્લેટનો દરવાજો તો બરાબર દેખાતા હતા. હું ઘરમાં ગયોબધા રૂમમાં ફરી વળ્યો ને છેલ્લે મારી ડોરમેટરીમાં ગયો... ને ત્યાં મનેે એ દેખાયો. બાલ્કનીનો દરવાજો ખુલ્લો હતો. ઘરેથી નીકળ્યો ત્યારે મેં એને તાળું નહોતું માર્યુંપણ બંધ જરૂર કરેલું. મેં જોયું કે એક જુવાન માણસ ઉપર ચડીનેસરકીને અંદર આવવાની કોશિશ કરી રહૃાો છે. એ અડધો અંદર હતોઅડધો બહાર લટકી રહ્યો હતો ને એના હાથમાં ચાકુ હતું. હું ચૂપચાપ એના તરફ ગયો. એનું માથું ઝૂકેલું હતું એટલે મારા પગ એના નાક નીચે આવ્યાં ત્યાં સુધી એનું ધ્યાન ન ગયું. એણે મારા જૂતાં જોયાંમોઢું ઊંચું કર્યુંમને જોયોબાલ્કનીમાં ઊભો થયો અને મારી આમનેસામને થયો. અમારા બન્નેની વચ્ચે દરવાજો હતો. મેં શાંતિથી કહૃાું: 'જે રીતે આવ્યો હતો એ જ રીતે પાછો ચાલ્યો જા.
...અને હવે કોમેડી શરૂ થઈ. એ કરગરવા લાગ્યોઃ 'હું બાજુનાં ઝાડ પર ચડીને ઉપર પહોંચ્યો છું. પ્લીઝમને ઝાડનો સહારો લઈને નીચે ઊતરવાનું ન કહેતા કેમ કેઆધાર લઈ શકાય એવી ડાળીઓ હવે બચી જ નથી. મહેરબાની કરીને મને અંદર આવવા દો. હું ચૂપચાપ દરવાજામાંથી ઘરની બહાર ચાલ્યો જઈશ.મેં કહૃાું: 'તારું ચાકુ મને આપી દે.એણે આપી દીધું. તે કંઈ જોખમી હથિયાર નહોતું. રસોડામાં ઉપયોગમાં લેવાતું સાવ સાધારણ ચાકુ હતું. એ માણસ નાદાન દિશાહીન બાળક જેવો લાગતો હતો. મેં એને અંદર આવવા દીધો. પછી એની બાજુમાં ઊભો રહૃાો અને એના ખભે હાથ મૂક્યો. એ રડવા લાગ્યો. શાંત થયા પછી અટકી અટકીને તૂટક તૂટક વાક્યોમાં બોલવા લાગ્યોઃ 'તમને ખબર પડી જ ગઈ હશે. હું મન્કી નામની ડ્રગ લઉં છું હું. વિથડ્રોઅલ સિમ્પટમ. અત્યારે મારી પાસે ડ્રગ નથી. એના વગર મને ચાલતું નથી. મારે ડ્રગ લેવી જ પડે છે. હું સારા ઘરમાંથી આવું છું. અહીં બાજુમાં જ રહું છું. મારા ઘરમાં કોઈને ખબર નથી. મારી પાસે પૈસા નથી. હું ચોરી કરવા ઘૂસ્યો હતો. મને હતું કે ઘરમાંથી કંઈક તો મળી જ જશે. મને એમ કે અંદર કોઈ નથી. પ્લીઝ મને જવા દો.”  
ફાધર વાલેસ એ યુવાનની સાથે નીચે આવ્યા. છેક ગલીના નાકા સુધી એને મૂકી આવ્યા. એ જઈ રહૃાો હતો ત્યારે ફાધરે કહૃાું:'બધું ઠીક થઈ જશે. તારાં મા-બાપને વાત કર.બસઆટલું જ. આનાથી વધારે એક શબ્દ નહીં. ત્યાર બાદ ફાધર પાછા એમનાં બાભાઈ અને સંબંધીઓ-મિત્રો પાસે પહોંચી ગયા. સાૈને આખી વાત કહી સંભળાવી. આ વિચિત્ર કિસ્સો વર્ણવ્યા બાદ ફાધર વાલેસ ઉમેરે છેઃ  
'સવાલ હજુય ઊભો છે. મને ત્યારે શા માટે અચાનક એવી લાગણી થઈ હતી કે મારે ઘરે જવું જોઈએમારા ગાર્ડિઅન એન્જલ સાથે મારો અત્યંત ઘનિષ્ઠ નાતો છે. ચોક્કસપણે એ કોઈક રીતે મારામાં લાગણીઓ જગાડે છે અને મારી પાસે અમુક કામ કરાવે છે. આ ક્ષણે એ મસ્તીખોર સ્મિત કરતો હશે. એ બધું જાણે છે.'  
ફાધરને થઈ એવી અંતઃ સ્ફુરણા આપણને પણ કયારેક નથી થતી શુંઅમુક લાગણીઓસ્પંદનો કે ચેષ્ટાઓને તર્કથી માપી શકાતાં નથી.  

ફાધરનાં લખાણોમાં ભારત અને ગુજરાતનું સ્મરણ સતત થતું રહે છે. સ્વાભાવિક છે. પોતાનો 'ચાલશે'વાળો લેખ એમને ખૂબ પ્રિય છે. એમનો સાવ શરૂઆતનો આ લેખ. એનું પહેલું જ વાકય આ છેઃ ''ચાલશેજેવો કોઈ અપશુકનિયાળ શબ્દ ગુજરાતીમાં નથી.ફાધરે અમદાવાદમાં કરેલી વિહારયાત્રા ખૂબ જાણીતી છે. તેઓ ખાસ કરીને પોળ વિસ્તારમાં મિત્રોમિત્રોના મિત્રો અને પોતાના વાચકોના ઘરે મહેમાન બનીને એક-અેક અઠવાડિયું રહેતા. બિલકુલ ઘરના સભ્યની જેમ જ રહેવાનું. રસોડામાં જે કંઈ બન્યું હોય એ જમવાનું. કોઈ વિશેષ આગ્રહ કે માગણી નહીં. આ સિલસિલો વર્ષો સુધી ચાલ્યો હતો. આ રીતે અમદાવાદની પ્રજા સાથે જે અંતરંગ અનુભવો થયા હતા તેના આધારે ફાધરે સુંદર પુસ્તકો પણ લખ્યાં હતાં. આ સઘળું યાદ કરીને ફાધર પોતાની વેબસાઈટ પર લખે છેઃ  
'ભારતીયોની આતિથ્યસત્કારની ભાવના દંતક્થારૂપ છે એ સાચુંપણ મેં તો હદ જ કરી નાંખી હતી. એક વાર હું એક ઘરે રહેવા ગયેલો ત્યારે એક નાનકડી છોકરી મારી પાસે આવી. પૂરા અધિકારથી એણે મને લગભગ આદેશ આપ્યોઃ હું બાજુમાં જ રહું છુંઆવતાં અઠવાડિયે તમારે મારા ઘરે રહેવા આવવાનું છે. એનો રોફ એવો હતો કે ના કહી શકાય એમ હતું જ નહીં. હમણાં થોડા અરસા પહેલાં હું ભારત ગયેલો ત્યારે આ છોકરીને મળ્યો હતો ને આ કિસ્સો એને અને એના પરિવારને કહી સંભળાવ્યો હતો. બધા હસી પડેલાં. મેં છોકરીને કહેલું: 'એ વખતે તેં કેવાં કપડાં પહેર્યાં હતાં એ ય મને યાદ છેઃ તેં ટપકાં-ટપકાંવાળું ફ્રોક પહેરેલું.મેં જોયું કે આજે પુખ્ત સ્ત્ર્રી બની ગયેલી એ છોકરીની આંખો ભીંજાઈ ગઈ હતી. મારી આંખો પણ ભરાઈ આવી. ગોડ બ્લેસ યુરૂપા'  
ફાધર જેટલું સરસ ગુજરાતી લખે છે એટલું જ મીઠું ગુજરાતી બોલે છે. થોડાં વર્ષો પહેલાં ફાધર મુંબઈ આવેલા ત્યારે એમની મુલાકાત લેવાનો ને એમની સાથે થોડા કલાકો પસાર કરવાનો સરસ મોકો મળ્યો હતો. ત્યાર બાદ એ મુલાકાતનું શીર્ષક આપ્યું હતું- 'પ્રસન્નતાનો દરિયો'. યુટયુબ પર ફાધરના કેટલાક મસ્તમજાના વીડિયો છે. ફધરની વેબસાઈટ અને આ વીડિયો બન્ને જોજો. જલસો પડશે.
0 0 0 

Sunday, June 30, 2013

વાંચવા જેવું : મધુ રાય આત્મકથા શા માટે નહીં લખે?


 ચિત્રલેખા - જૂન ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું 

 ‘કૂતરાથી તમે ડરીને દોડો તો એ તમારી પાછળ પડે, તમને કરડે. પણ તમે એની આંખોમાં આંખ મેળવીને ઊભા રહો તો કૂતરું કંઈ ન કરે. એટલે સમાજનું એવું છે, તમે જેટલા ડરો એટલી વધારે લાતો એ તમને મારે. એની સામે ખૂલીને ઊભા રહો કે જુઓ ભાઈ, જે છું તે આ છું, મને સ્વીકારો કે નકારો.’


                                                                                               

ગભગ કહેવતની કક્ષાએ પહોંચી ગયેલી ‘ગમતાંને કરીએ ગુલાલ’ પંક્તિ કવિ મકરંદ દવેની છે, ખરું? ના જી. આ પંક્તિ મૂળ કુન્દનિકા કાપડીઆની છે! બન્ને જીવનસંગી બન્યાં એ પહેલાંની આ વાત છે. કુન્દનિકાજી એ વખતે ‘નવનીત’ સામયિકનાં સંપાદિકા. એક વખત તેમણે મકરંદ દવેેને પત્ર લખ્યો કે  તમે તો ગમતાંને ગુલાલ કરો એવા કવિ છો તો અમને એક સરસ કાવ્ય મોકલો. બસ, આ કાગળ વાંચ્યા પછી, આ પંક્તિ પરથી પ્રેરાઈને મકરન્દ દવેએ કાવ્ય લખ્યું જે મશહૂર થઈ ગયું: ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ...’

આજે જેની વાત કરી રહ્યા છીએ એ ‘સુરીલા સંવાદ’ પુસ્તકમાં આવી તો કેટલીય રસપ્રદ વાતો સંગ્રહાયેલી
Makarand Dave
છે. વાતો પાછી પ્રમાણભૂત છે, કેમ કે જે-તે વ્યક્તિએ ખુદ પોતાના મુખેથી એ ઉચ્ચારેલી છે. લેખિકા આરાધના ભટ્ટ અઢી દાયકાથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયાં છે. સિડની રેડિયો સ્ટેશન માટે એમણે જુદી જુદી ગુજરાતી હસ્તીઓના ઈન્ટરવ્યુ રુબરુ યા તો ફોન પર કર્યા છે. આ પુસ્તક આવી પચ્ચીસ મુલાકાતોનું પ્રિન્ટ વર્ઝન છે. અહીં એક બાજુ નરેન્દ્ર મોદી જેવા રાજકારણી છે, તો સામે મોરારિબાપુ અને સ્વામી સચ્ચિદાનંદ જેવા ધર્મગુરુ છે. સુરેશ દલાલ અને અનિલ જોષી જેવા કવિઓ છે, તો સાથે સાથે મધુ રાય અને ફાધર વાલેસ જેવા ગદ્યસ્વામીઓ છે. ગુણવંત શાહ, શાહબુદ્દીન રાઠોડ, પુરુષોત્તમ ઉપાધ્યાય, ઈલા ભટ્ટ.... સૂચિ ખરેખર પ્રભાવશાળી છે.

‘એક્શન રિપ્લે’ જેવી યાદગાર આત્મકથા લખનાર તારક મહેતા એક પ્રશ્નના ઉત્તરમાં સમાજને શ્વાન સાથે સરખાવે છે. એ કહે છે, ‘કૂતરાથી તમે ડરીને દોડો તો એ તમારી પાછળ પડે, તમને કરડે. પણ તમે એની આંખોમાં આંખ મેળવીને ઊભા રહો તો કૂતરું કંઈ ન કરે. એટલે સમાજનું એવું છે, તમે જેટલા ડરો એટલી વધારે લાતો એ તમને મારે. એની સામે ખૂલીને ઊભા રહો કે જુઓ ભાઈ, જે છું તે આ છું, મને સ્વીકારો કે નકારો.’



વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં નરેન્દ્ર મોદી આજે વિરાટ સ્વીકૃતિની ધાર પર ઊભા છે. આઈ.ટી. + આઈ.ટી = આઈ.ટી (અર્થાત ઈન્ફર્મેશન ટેકનોલોજી + ઈન્ડિયન ટેલેન્ટ = ઈન્ડિયન ટુમોરો) જેવું ચોટડુક સૂત્ર આપનાર આપનાર નરેન્દ્ર મોદીની રોજિંદી દિનચર્યા કેવી હોય છે? જવાબ સાંભળો:

‘દિવસ તો મારો પણ બીજાની જેમ ૨૪ કલાકનો જ હોય છે. સવારે પાંચ-સવા પાંચ વાગે ઊઠું છું. ઈ-મેઈલ જોવાની ટેવ છે, ઈન્ટરનેટ પર દિલ્હીનાં, બહારનાં છાપાં વાંચવાની ટેવ છે. મારે કારણે રાજ્ય પર બોજ ન આવે એટલે શરીરને સરખું રાખવું જોઈએ, માંદા ન પડાય એવી કાળજી રાખવી જોઈએ, એટલે એને માટે યોગ, વ્યાયામ, પ્રાણાયામ કરવાની ટેવ છે. બાકી ખૂબ સાદું જીવન છે. સવારે આઠ-નવ વાગ્યે કામ ચાલુ કરું છું, રાત્રે પૂરું ન થાય ત્યાં સુધી બંધ કરતો નથી.’

પુસ્તકમાં કેટલીય નિખાલસ કબૂલાતો છે. જેમ કે, ફાધર વાલેસ સ્પષ્ટપણે કહે છે કે હું સ્પેનથી ભારત આવ્યા ત્યારે એવી સંકુચિત મનોદશા લઈને આવ્યો હતો કે ચર્ચ સિવાય મુક્તિ નહીં. આઉટસાઈડ ધ ચર્ચ ધેર ઈઝ નો સાલ્વેશન. પણ ભારતમાં આવીને ફાધર સમજ્યા કે મુક્તિ બધે જ હોય છે. સાચા દિલનો માણસ હોય તો એ ભગવાન પાસે જરુર જઈ શકે. આપણા સૌના મનમાં રમતા હોય એવા સવાલો લેખિકાએ મહાનુભાવોને અચૂકપણે કર્યાં છે. દષ્ટાંત તરીકે, મોરારિબાપુને એ પૂછે છે કે આપને જીવનમાં ક્યારેય ઘોર નિરાશાનો અનુભવ થયો છે ખરો? જો થયો હોય તો એ લાગણીમાંથી શી રીતે બહાર નીકળો છો? મોરારિબાપુ કહે છે:

Morari Bapu
‘હું શરણાગતિમાં માનું છું. જેની પાસે શરણાગતિનો રસ્તો હોય, શ્રદ્ધાનો માર્ગ હોય એ નિરાશ ન થાય. મારા જીવનમાં એક પણ એવી ઘટના બની નથી કે હું નિરાશ થયો હોઉં. જે મોડથી ગુજરવું પડ્યું, હરેક ઘાટને મેં પ્રણામ કર્યા છે અને તેથી ગતિ ચાલુ જ રહી છે. કોઈ નિરાશાએ મને રોક્યો નથી... નિરાશામાંથી બહાર નીકળવાનો એક મોટામાં મોટો ઉપાય મારી દષ્ટિએ સાધુ ચરિત વ્યક્તિનો સંગ છે. એક સારી સોબત, એક સારી કંપની માણસને નિરાશામાંથી બહાર કાઢી શકે છે.’

સ્વામી સચ્ચિદાનંદના કાંતિક્રારી અને આક્રમક વિચારો હંમેશાં ધારી અસર પેદા કરતા હોય છે. એ કહે છે કે મુઠ્ઠીભર મુસ્લિમ કે અંગ્રેજ કે કોઈ પણ પ્રજા વર્ષો સુધી તમારા પર રાજ કરે તો એમનામાં કોઈ ખૂબીઓ જરુર હોવી જોઈએ. હિન્દુવાદી સંસ્થાઓએે ખરેખર તો જનતાને આ પ્રજાઓની ખૂબીઓ અને આપણી ખામી બતાવવી જોઈતી હતી. એને બદલે એ જનતાને ‘હમ મહાન હૈ’નો નશો ચડાવતી રહી. ખામીઓ ધ્યાનમાં લાવવાને બદલે પ્રજાને ઊલટા ભારતીય સંસ્કૃતિની મહાનતાની ભાંગના નશામાં ચકચૂર રાખો તો આપણી કમી કઈ રીતે નાબૂદ થવાની? ‘વીરતા પરમો ધર્મ’ એવું સૂત્ર આપીને સ્વામીજી સ્પષ્ટપણે કહે છે કે વીરતા અને અહિંસા એ કંઈ પરસ્પર વિરોધી બાબતો નથી.

મધુ રાયની આત્મકથાની આપણે સૌ તીવ્રતાથી રાહ જોઈ રહ્યા છીએ. ચંદ્રકાંત બક્ષીએ તો એનું શીર્ષક પણ નક્કી કરી નાખ્યું હતું - ‘રિટર્ન ટિકિટ’. કમબખ્તી એ છે કે મધુ રાય આત્મકથા લખવાના કોઈ મૂડમાં નથી. એ કહી દે છે કે મારાં લખાણોમાં મારી આત્મકથા એવી વણાયેલી છે કે એ ફરી લખવાનો અર્થ નથી અને જે નથી લખાયું તે લખવાની હિંમત નથી!

મુલાકાતમાં કેવળ ઉત્તર આપનારનું જ નહીં, બલકે પ્રશ્ન પૂછનારનું વ્યક્તિત્ત્વ પણ છતું થતું હોય છે. લેખિકા જે રીતે સવાલો પૂછે છે અને પછી જવાબોને પચાવીને શબ્દોમાં ઢાળે છે એના પરથી એમની સમજ, નિષ્ઠા અને પક્વતા સ્પષ્ટ થાય છે. સુઘડ છપાઈ ધરાવતાં આ પુસ્તક સાથે એક્સ્ટ્રા બોનસ પણ છે- આ તમામ મુલાકાતોને આવરી લેતી ઓડિયો સીડી. વાંચવાનો જલસો પડે એવું સુંદર પુસ્તક.           0 0 0


  સુરીલા સંવાદ


લેખિકા: આરાધના ભટ્ટ

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧

ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩ 
કિંમત:  ‚. ૩૯૫ /
પૃષ્ઠ:  ૨૩૮


૦ ૦ ૦