Showing posts with label Nathuram Godse. Show all posts
Showing posts with label Nathuram Godse. Show all posts

Wednesday, February 6, 2019

ગાંધીજીનું ચાલત તો એમણે ગોડસેને ફાંસી ન થવા દીધી હોત!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 6 ફેબ્રુઆરી 2019
ટેક ઓફ 
ગોડસે એ તો જરૂર જાણતા હશે કે પોતે જેમ ગાંધીજીને હિંદુઓના દુશ્મન માનતા હતા એમ મુસ્લિમ લીગ તેમને મુસલમાનોના દુશ્મન માનતા હતા. હકીકત એ હતી કે ગાંધીજી અન્યાય અને અસત્યના દુશ્મન હતા, હિંદુ કે મુસલમાનના નહીં.

ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેએ પોતાના ભયાનક કૃત્યને સાચું ઠેરવતું 90 પાનાંનું નિવેદન  અદાલતમાં પેશ કર્યું હતું. એના સ્ફોટક લાગે એવા થોડા અંશ આપણે ગયા બુધવારે જોયા. ગાંધીજીના અંગત સચિવ અને મારું જીવન એ જ મારી વાણી શીર્ષક હેઠળ ગાંધીજીનું અદભુત જીવનચરિત્ર આલેખનાર નારાયણ દેસાઈ જીવ થકી શિવ ગયો નામના પ્રકરણમાં લખે છેઃ
જેમણે ગાંધીજીના જીવનનો કાંઈક પણ અભ્યાસ કર્યો હશે તેમને સારુ કોર્ટ આગળ પોતાની જાતને સાચી ઠેરવવા માટે ગાંધીજી વિશે સાફ જુઠ્ઠાણાં અને એનાથીયે વધારે દ્વેષ ભરેલા અર્ધસત્યોને વારંવાર ગાઈ ગાઈને એમને (ગાંધીજીને) હિંદુ ધર્મના અને ભારતના ભયંકર શત્રુ ચીતરવાના ગોડસેના આ આક્ષેપો ઘણા હાસ્યાસ્પદ અને ઘણા દયાજનક લાગશે. ગાંધીજીના સમગ્ર જીવનચરિત્રમાં એ આક્ષેપોના જવાબ ઠેર ઠેર વેરાયેલા છે.
ગોડસેનો આક્ષેપ હતો કે ગાંધીજી હિંદુઓના દોષો જ જોતા, મુસલમાનોના દોષો એમને દેખાતા નહીં. નારાયણ દેસાઈ કહે છે કે ગાંધીજી હિંદુઓની જ હંમેશા નીંદા કરતા અને મુસ્લિમોની સદા તારીફ કરતા એમ કહેવું એ તો કમળાને રોગીને બધું પીળું દેખાય એના જેવું છે. ગાંધીજી એની જ તરફદારી કરતા જે પીડિત હોય. નારાયણભાઈ લખે છેઃ
શું ગોડસે નહોતા જાણતા કે ગાંઘીજીએ નોઆખલીમાં હિંદુઓના આંસુઓ લૂછવા અઠવાડિયાંના અઠવાડિયાં સુધી ઉઘાડે પગે, એને જાનના જોખમે યાત્રા કરી હતી? ગોડસેને કદાચ એ નયે ખબર હોય કે કોહાટના હુલ્લડો વખતે હિંદુ લઘુમતીઓ પર થયેલા અન્યાયનું પ્રતિપાદન કરીને ગાંઘીજીએ અલીભાઈઓ સાથે કાયમી અલગાવ વહોરી લીધો હતો, પણ ગોડસે એ તો જરૂર જાણતા હશે કે પોતે જેમ ગાંધીજીને હિંદુઓના દુશ્મન માનતા હતા એમ મુસ્લિમ લીગ તેમને મુસલમાનોના દુશ્મન માનતા હતા. હકીકત એ હતી કે ગાંધીજી અન્યાય અને અસત્યના દુશ્મન હતા, હિંદુ કે મુસલમાનના નહીં. એટલે તેમણે બિહારમાં જેમ હિંદુઓએ મુસ્લિમો પર ગુજારેલા અત્યાચારના સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી, તેવી જ ઝાટકણી તેમણે મુંબઇના મુસ્લિમ મવાલીઓની પણ કાઢી હતી. જ્યાં જેની પર અન્યાય, અત્યાચાર થતો રહ્યો ત્યારે ત્યાં તેઓ અત્યાચારપીડિતની સાથે રહ્યા. છેલ્લી વાર દિલ્હીમાં તેઓ રહ્યા ત્યારે ત્યાં હિંદુઓ મોટા પ્રમાણમાં મસ્જિદોમાં કે મુસલમાનોનાં ખાલી થયેલા ઘરોમાં ઘૂસી જતા હતા. ગાંઘીજીએ હિંદુઓ અને શિખોને તેમ ન કરવા આગ્રહ કર્યો હતો, તેની સાથે સાથે જ તેમણે નિરાશ્રિતોની વહેલામાં વહેલી તકે વ્યવસ્થા કરવા સારુ સરકારને આગ્રહ કર્યો હતો. એમનાં પ્રાર્થનાપ્રવચનોમાં તેમણે અનેક વાર પાકિસ્તાનમાં થઈ રહેલા હિંદુઓ પરના જુલ્મોની ટીકા કરી હતી, અને એમની વચ્ચે વહેલામાં વહેલા પહોંચવા માગતા હતા, પણ ગોડસેની ગોળીઓએ એમનું પાકિસ્તાન જઈને હિંદુઓની પડખે ઊભા રહેવાનું સપનું વેરણછેરણ કરી નાખ્યું.
આગળ વધતાં પહેલાં ઉપરના અવતરણમાં જે કોહાટના હુલ્લડોનો ઉલ્લેખ થયો છે તે વિશે થોડી વાત કરી લઈએ. ભારતની નોર્થ-વેસ્ટ એટલે કે વાયવ્ય દિશામાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવાલા પ્રાંતમાં કોહાટ જિલ્લો છે, એમાં આ કોહાટ નગર આવેલું છે. અગાઉ એ ભારતખંડનો અંશ હતું, પણ ભાગલા પછી એ પાકિસ્તાનનો હિસ્સો બની ગયું. 1924માં 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન અહીં કોમી રમખાણ ફાટી નીકળ્યાં હતાં. કુલ 155 લોકો મરાયા, જેમાંના ત્રીજા ભાગના હિંદુ યા તો શિખ હતા. કોહાટમાં એ વખતે હિંદુઓની વસ્તી લગભગ 3200 જેટલી હતી. આ રમખાણ પછી સૌને કોહાટમાંથી અન્યત્ર ખસેડવા પડ્યા હતા. હિંદુઓ પર થયેલા આ અન્યાયનો ગાંધીજીએ વિરોધ કર્યો હતો અને મુસ્લિમોની ખફગી વહોરી લીધી હતી. આ પંથકમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે શાંતિ સ્થપાય એ માટે ગાંધીજીએ 21 દિવસના ઉપવાસ પણ કર્યા હતા.
ગોડસેનો આક્ષેપ હતો કે કોંગ્રેસ ગાંધીજીના ઈશારા મુજબ ચાલતી હતી. પોતાની કોઈ વાત સરકાર ન માને તો ગાંધીજી ઉપવાસ કરવાની ધમકી આપતા. સરકાર ગાંધીજીની આજ્ઞા મુજબ ચાલ્યા કરશે અને તેથી લીધે હિંદુઓ પર અન્યાય થતો રહેશે એવું ગોડસેનું માનવું હતું. નારાયણ દેસાઈ આ મુદ્દાનું ખંડન શી રીતે કરે છે?
ગાંધીજી કોંગ્રેસ પાસેથી ધારેલું કરાવી લેતા એમ કહેવામાં ગોડસે ભીંત ભૂલ્યા છે. આ બાબત ગોડસેએ જે દાખલા આપ્યા છે તે લગભગ બધા 1939 પછીના છે, પણ 1934થી કોંગ્રેસ ગાંધીજીની અનેક નીતિઓ બાબત મતભેદ ધરાવતી થઈ ગઈ હતી અને છેવટે દેશના ભાગલાનો નિર્ણય પણ કોંગ્રેસી આગેવાનોએ ગાંધીજીના વિરોધને અવગણીને જ કર્યો હતો. ગાંધીજીનાં વચનોની કોંગ્રેસના નેતાઓ ઉપર અસર પડતી હતી એ વાતમાં તથ્ય જરૂર હતું, પણ મતભેદ હોય ત્યારે એ સૌને પોતપોતાના મત મુજબ જ વર્તવાનો ગાંઘીજીએ સતત આગ્રહ રાખ્યો હતો એ પણ એટલું જ સાચું હતું.
ગોડસે કહે છે કે પાકિસ્તાનની રચના થવાથી હાનિ કેવળ હિંદુઓની જ થઈ. કોંગ્રેસે તે વખતે અદભુત નપુંસકતા દેખાડી અને તે કોઈ સ્થાને હિંદુઓની રક્ષા ન કરી શકી. ગાંધીજી મુસલમાનોનો પક્ષ લેતા રહ્યા. જે લાખો હિંદુઓ લૂંટાયા, મરાયા, નષ્ટ થયા, આ ગાંધીજીએ એમને સારુ એક શબ્દ પણ ન કહ્યો.
હવે નારાયણભાઈની પ્રતિદલીલ સાંભળોઃ
પાકિસ્તાનની રચના પછી જે કંઈ અત્યાચારો થયા એ બધા હિંદુઓ પર જ થયા એ હકીકતને હિંદુત્વનાં ચશ્માં ચડાવનારા સિવાય બીજા કોઈ સ્વીકારી શકે એમ નથી. હકીકત એ હતી કે નુક્સાન હિંદુ, મુસ્લિમ અને શિખ ત્રણેયને થયું હતું. ધાર્યા કરતાં ઘણું વધારે નુક્સાન સીમારેખાની બન્ને બાજુએ થયું હતું. આવું ભયંકર નુક્સાન થઈ શકે એવી ચેતવણી એકમાત્ર ગાંધીજીએ જ આપી હતી, એમ ખુદ (બ્રિટીશ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ) માઉન્ટબેટને સ્વીકાર કર્યો હતો.
આગળ લખે છેઃ
ગાંધીજીની કરણી અને કથની જુદી જુદી હતી એમ કહીને ગોડસેએ ગાંધીજી પર અસત્યાચરણનો આરોપ લગાવ્યો છે. એને શું કહેવું? ગાંધીજીના વિચારોમાં પરિવર્તન આવ્યું હોય ત્યારે તેમણે એની જાહેરમાં ચર્ચા કરી છે એ વાત સાચી, પણ તેથી તેમને અસત્યભાષી સાબિત કરવાનો પ્રયત્ન કરવો એ સાબિત કરવા મથનારીની દષ્ટિનો જ દોષ સૂચવે છે.
39 વર્ષના નાથુરામ ગોડસેને અંબાલા સેન્ટ્રલ જેલમાં 15 નવેમ્બર 1949ના રોજ ફાંસી આપવામાં આવી હતી. ગાંધીજીએ ખુદ આવું ન ઇચ્છ્યું હોત. એમણે અગાઉ કહ્યું હતું કે જો હત્યા જેવી આત્યંતિક સ્થિતિ ઊભી થાય તો પણ પોતાના હત્યારાને કોઈ સજા ન થવી જોઈએ. ગાંઘીજી જેવું જ વલણ એમના પરિવારજનોનું હતું. એમનું સ્પષ્ટપણે માનવું હતું કે ગાંધીવાદમાં ધિક્કારને સ્થાન હોઈ શકે જ નહીં. નારાયણ દેસાઈએ પોતાના બીજા એક પુસ્તક મને કેમ વિસરે રે?’માં એક બહુ સરસ વાત લખી છે.
ગાંધીજીના બીજા નંબરના પુત્ર રામદાસ ગાંધીનું મૃત્યુ 1969માં થયું. એમના છેલ્લા દિવસો ગણાઈ રહ્યા હતા ત્યારે એમના ખબરઅંતર પૂછવા ઘણા લોકો આવતા. ડોક્ટરોએ જોકે સૂચના આપી રાખી હતી કે રામદાસને ખલેલ ન પહોંચે તે ખાસ જોવું. એક દિવસ બે પુરુષો આવ્યા અને એમણે રામદાસને મળવાની માગણી કરી. એમને ના પાડવામાં આવી એટલે તેઓ પાછા વળી ગયા. એ જ વખતે રામદાસના કુંટુંબીજનોમાંથી કોઈને ખબર પડી કે એ બેમાંથી એક આદમી ગોપાલ ગોડસે છે, ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનો સગો ભાઈ. ગોપાલ ગોડસે એ જ અરસામાં જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા. એમને રામદાસ ગાંધીને મળવાની છૂટ આપવામાં આવી. મૃત્યુશય્યા પર પોઢેલા રામદાસ ગાંધીના પગ પાસે જઈને ગોપાલ ગોડસેએ નમન કર્યું. પછી કહ્યુઃ
લોકો ભલે ગાંધીજીને મહાત્મા કહેતા, પણ અમે તો આપને જ મહાત્મા ગણીએ છીએ. પોતાના પિતાની હત્યા કરનારને ફાંસી ન આપવી જોઈએ એવું કહેનાર કોઈ મહાત્મા જ હોઈ શકે!’ 
ખરેખર, માત્ર નાયકને જ નહીં, ખલનાયકને પણ એક કરતાં વધારે દષ્ટિકોણથી જોઈ શકાતો હોય છે અને મૂલવી શકાતો હોય છે...   
0 0 0 

Wednesday, January 30, 2019

ગોડસેએ શું કહ્યું?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 30 જાન્યુઆરી 2019 બુધવાર

ટેક ઓફ 
ગાંઘીજી હંમેશાં સહનશીલ હિંદુઓને જ કચડતા… કોંગ્રેસે અદભુત નપુંસકતા દેખાડી અને તે કોઈ સ્થાને હિંદુઓની રક્ષા ન કરી શકી. ગાંધીજી મુસલમાનોનો પક્ષ લેતા રહ્યા. જે લાખો હિંદુઓ લૂંટાયા, મરાયા, નષ્ટ થયા, આ ગાંધીજીએ એમને સારુ એક શબ્દ પણ ન કહ્યો.

રાબર 71 વર્ષ પહેલાં આજના જ દિવસે, એટલે કે 30 જાન્યુઆરીએ, સાંજે પાંચ વાગીને 17 મિનિટે નાથુરામ વિનાયક ગોડસેએ બંદૂકની ત્રણ ગોળી છોડીને ગાંધીજીને હણી નાખ્યા હતા.  
ગોડસેની દષ્ટિએ ગાંધીજીનો સૌથી મોટો દોષ શો હતો? એ જ કે તેઓ હંમેશાં મુસલમાનોનો પક્ષ તાણતા ને હિંદુઓને અન્યાય કરતા હતા. ગાંધીજીને હિંદુઓમાં અનેક દોષ દેખાતા, પણ મુસલમાનોમાં એકેય દોષ દેખાતો નહીં. ગોડસેનો આક્ષેપ હતો કે ગાંધીજી કહેતા એક અને પછી કરતા કંઈક બીજું જ. ગોડસેએ ગાંધીજીની સત્યનિષ્ઠાને પડકારી હતી. પોતે કરેલી ગાંધીહત્યાને જસ્ટિફાય કરતું 90 પાનાંનું નિવેદન એણે પછી અદાલતમાં પેશ કર્યું હતું. મારું જીવન એ જ મારી વાણી શીર્ષક હેઠળ ગાંધીજીની અદભુત જીવનચરિત્ર આલેખનાર નારાયણ દેસાઈ જીવ થકી શિવ ગયો નામના પ્રકરણમાં લખે છેઃ
ગોડસેના નિવેદનમાં સારા વકતૃત્વની અસરકારકતા હતી તેથી સિમલાની હાઇકોર્ટમાં જસ્ટિસ ખોસલાએ કહ્યું હતું કે તે દિવસે અદાલતમાં જે દર્શકો હાજર હતા તેમને જો જ્યૂરી બનાવવામાં આવ્યા હોત તો તેઓ ગોડસેને નિર્દોષ જાહેર કરત!’
બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો નાથુરામ ગોડસે અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં હતો. પછી એને છોડીને હિંદુ મહાસભામાં આવી ગયેલો. નારાયણ દેસાઈએ મારું જીવન એ જ મારી વાણીમાં ગોડસેના નિવેદનમાંથી કેટલાય ફકરા વિસ્તારપૂર્વક ટાંક્યા છે. એના કેટલાક અંશ પર નજર ફેરવવા જેવી છે. ગોડસે કહે છેઃ 
એ દિવસોમાં એવી ઘટનાઓ થઈ કે મેં માની લીધું કે સાવરકરજી અને બીજા નેતા મારી નીતિને ટેકો નહીં આપે... ગાંઘીજી જ્યારે દિલ્હી આવ્યા ત્યારે હરિજન કોલોનીમાં (ગોડસેએ અહીં હરિજન માટે વપરાતો બે અક્ષરનો અપમાનજનક શબ્દ લખ્યો છે) મંદિરમાં પ્રાર્થનાસભામાં પૂજારીઓ અને જનતાના વિરોધ છતાંય કુરાનની આયતો વાંચી પણ તેઓ કદી કોઈ મસ્જિદમાં ગીતા વાંચવા ન પામ્યા. તેઓ હંમેશાં સહનશીલ હિંદુઓને જ કચડતા. મેં ગાંધીજીના એ વિચારનો નાશ કરવાનું નક્કી કર્યું કે હિંદુ સહનશીલ હોય છે. હું એ સિદ્ધ કરવા માગતો હતો કે હિંદુનું અપમાન થાય છે ત્યારે તે પણ સહનશીલતા છોડી શકે છે.
...મને અને મારા મિત્રોને સાવરકરજીના (આ) વિચારો સંતોષજનક ન લાગ્યા. અમે હિંદુ જાતિના હિતમાં સાવરકરજીના નેતૃત્વને છોડવાનું ઠરાવ્યું... મને બધા પક્ષોની મિશ્ર સરકાર બને એની સામે વિરોધ નહોતો પણ કોંગ્રેસ ગાંધીજીના ઈશારા મુજબ ચાલતી હતી અને કોઈ બાબત સરકાર એમની ન માને તો તેઓ ઉપવાસ કરવાની ધમકી આપતા. અને સરકારમાં કોંગ્રેસનો બહુમત તો નક્કી જ હતો અને એ પણ નક્કી હતું કે એ સરકાર ગાંધીજીની આજ્ઞા મુજબ ચાલશે અને એ બધાને લીધે હિંદુઓ પર અન્યાય થતો રહેવાનો એ નક્કી જ હતું.
અમારી પાસે બે જ કાર્યક્રમો હતા. ગાંધીજીની સભાઓમાં શાંતિપૂર્વક વિરોધી દેખાવો કરવા અને જેમાં હિંદુ વિરોધી ભાષણો થતાં હોય તે સભાઓ થવા જ ન દેવી... મને કહેવામાં આવે છે કે મે જં કાંઈ કર્યું છે તે સાવરકરના ઈશારાને લીધે જ કર્યું છે. આ મારા વ્યક્તિત્ત્વનું, મારા  કાર્યનું અને નિર્ણયશક્તિનું અપમાન છે. વીર સાવરકરને મારા આ કાર્યક્રમની જરાય જાણ નહોતી કે જેને આધારે મેં ગાંધીનો વધ કર્યો.
ગોડસેએ પોતાના નિવેદનમાં ગાંધીજી પર જે સીધા આક્ષેપો કર્યા હતા તે જાણવા જેવા છેઃ
...આ મહાત્માના 30 વર્ષના નેતૃત્વમાં એવાં એવાં કાળાં કામો થયાં જેવાં પહેલાં કદી નહોતાં થયાં. વધુમાં વધુ મંદિરોને અપવિત્ર કીધાં. વધુમાં વધુ લોકોને મુસલમાન બનાવ્યા અને વધુમાં વધુ સ્ત્રીઓનાં અપમાન થયાં. ગાંધીજી તો શિવાજી, (મહારાણા) પ્રતાપ અને ગુરુ ગોવિંદસિંહ આગળ કાંઈ નહોતા. તેઓ એ વીરોની નીંદા કરતા એ એમની મર્યાદાની બહારનું અને અનુચિત કામ હતું.
ગાંધી એક હિંસક શાંતિમૂર્તિ હતા, જેમણે સત્ય અને અહિંસાને નામે દેશ પર ઘોર આપત્તિઓ નોતરી. ગાંધીજીના મનમાં હિંદુ અને મુસલમાન બન્નેનું નેતૃત્વ કરવાની મહત્ત્વાકાંક્ષા પ્રબળ રૂપમાં હતી. આકાંક્ષા તો સાચી હતી પણ આવી જગ્યાએ કેવું નેતૃત્વ કરવું જોઈએ એનું એમને જ્ઞાન નહોતું... થોડા સમય બાદ ગાંધીજીએ પોતાનું ધ્યેય મુસલમાનોને સંતુષ્ટ કરવાનું બનાવી દીધું. જેમ જેમ એમનો પરાજય થતો ગયો તેમ તેમ તેઓ મુસલમાનો માટે વધુ બલિદાન કરવા તત્પર થતા ગયા. મુસ્લિમ લીગની માંગો તો ઉચિત હોય કે ન હોય તોયે પૂરી કરતા ગયા.
હિંદુ-મુસ્લિમ એકતાને નામે ગાંધીના ખોટા માર્ગદર્શનમાં કોંગ્રેસ પોતાનું સાચું ધ્યેય ખોઈ બેઠી... ભારત આવ્યા પછી ગાંધીજીએ એવી રીતે કામ કર્યું કે તેઓ પોતાના નિર્ણયને છેવટનો નિર્ણય માનવા લાગ્યા... એમનો સિદ્ધાંત હતો કે સત્યાગ્રહી કદી અસફળ થઈ જ ન શકે, પણ સત્યાગ્રહની વ્યાખ્યા એમણે કદી સ્પષ્ટ ન કરી.
ગાંધીજીએ શિવબાવની જેવી સાહિત્યિક અને ઐતિહાસિક રચના પર પણ પ્રતિબંધ લગાવડાવી દીધો. (1944માં) ગાંધીજી રોજ ઝીણાને ઘેર જતા હતા અને એમનાં વખાણ કરતા હતા, એમને ભેટતા, પણ ઝીણા પોતાની પાકિસ્તાનની માગણીથી એક તસુએ ન હઠ્યો... સીધાં પગલાંથી હાનિ કેવળ હિંદુઓની જ થઈ. કોંગ્રેસે તે વખતે અદભુત નપુંસકતા દેખાડી અને તે કોઈ સ્થાને હિંદુઓની રક્ષા ન કરી શકી. ગાંધીજી મુસલમાનોનો પક્ષ લેતા રહ્યા. જે લાખો હિંદુઓ લૂંટાયા, મરાયા, નષ્ટ થયા, આ ગાંધીજીએ એમને સારુ એક શબ્દ પણ ન કહ્યો.
ગાંઘીજીને જો પોતાની અહિંસા પર વિશ્વાસ હોત તો તેઓ કાશ્મીરમાં સેનાને બદલે સત્યાગ્રહી, રાઇફલોને બદલે તકલીઓ અને બંદૂકોને બદલે રેંટિયા મોકલાવત.
જ્યારે ઉચ્ચ નેતાઓએ ગાંધીજીની સહમતિથી માતૃભૂમિના ટુકડા કરી નાખ્યા ત્યારે મારું હૃદય ક્ષોભથી ભરાઈ ગયું... મારે હાથ એટલા સારુ ઉઠાવવો પડ્યો કે પાકિસ્તાન થયા પછી જે કાંઈ ભયંકર ઘટનાઓ થઈ છે એને સારુ કેવળ ગાંધીજી જ જવાબદાર છે. સરકારે પંચાવન કરોડ ન આપવાનો નિર્ણય જનતાના પ્રતિનિધિને નાતે કર્યો હતો, પણ ગાંધીજીના અનશને આ નિર્ણયને બદલી દીધો ત્યારે હું સમજ્યો કે ગાંધીજીની પાકિસ્તાનપરસ્તી આગળ જનતાના મનનું કોઈ મહત્ત્વ નથી.
દેશભક્તિ જો પાપ હોય તો હું કબૂલ કરું છું કે મેં પાપ કર્યું છે. એ જો પ્રશંસનીય હોય તો હું મારી જાતને પ્રશંસાનો અધિકારી માનું છું. હું એ વાત માનવા તૈયાર છું કે ગાંધીજીએ દેશ સારું ઘણાં કષ્ટ વેઠ્યાં. એમણે જનતામાં જાગૃતિ પેદા કરી. એમણે પોતાના સ્વાર્થ ખાતર કશું નથી કર્યું, પણ દુખ એનું છે કે એઓ એટલા ઇમાનદાર નહોતા કે અહિંસાની હારને સ્વીકારી લે. મેં જે કૃત્ય કર્યું છે તેના નૈતિક પાસા અંગે મારો આત્મા કદી વિચલિત થયો નથી. મને જરાયે સંદેહ નથી કે ભવિષ્યમાં ઇતિહાસકારો આ ઇતિહાસને સચ્ચાઈ અને ઇમાનદારીથી લખશે ત્યારે મારાં કાર્યો અને પરિણામોનું સાચું મૂલ્યાંકન થશે.
ખેર, પોતાની જાતને સાચી પૂરવાર કરવા નાથુરામ ગોડસેએ પોતાના નિવેદનમાં જે જૂઠાણાં અને અર્ધસત્યોનો આશરો લીધો હતો એની પોકળતા સમજવા માટે ભાવિ ઇતિહાસકારોના મૂલ્યાંકનની જરૂર જ નહોતી. નારાયણ દેસાઈ કહે છે તેમ, ગાંધીજીના સમગ્ર જીવનમાં જ ગોડસેના આક્ષેપોના જવાબ ઠેર ઠેર વેરાયેલા પડ્યા છે. ક્યાં અને શી રીતે? ઉત્તર આવતા બુધવારે.
0 0 0