Showing posts with label મરીઝ. Show all posts
Showing posts with label મરીઝ. Show all posts

Monday, December 23, 2019

આવ ઓ મૃત્યુ, મને તારું જરૂરી કામ છે

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 18 ડિસેમ્બર 2019, બુધવાર 
ટેક ઓફ 
પ્રેમસંબંધ તો ઘટનાપ્રચુર જ હોવો જોઈએ. પ્રેમમાં નિષ્ક્રિયતા સ્વીકાર્ય નથી. અવગણના કે ઉદાસીનતા તો બિલકુલ નહીં.

રીઝ આપણી ભાષાના એક એવા શાયર છે, જેમની પાસે તમે કોઈ પણ સમયે જઈ શકો, કોઈ પણ ભાવસ્થિતિમાં જઈ શકો. તમે ફિલોસોફિકલ મૂડમાં હો, આત્મમંથન કરવા માગતા હો, પ્રેમમાં હો કે પ્રેમભગ્ન હો, ખુશ હો કે ઢીલા પડી ગયેલા મનને પાછું ચેતનવંતુ કરવા માગતા હો, તમારે મરીઝનાં પુસ્તકનાં પાનાં ફેરવવા. ઘણું કરીને મનને મૂંઝવતા પ્રશ્નનો જવાબ તમને જડી જશે. સંભવતઃ કશોક પ્રકાશ દેખાઈ જશે, વેરવિખેર લાગણીઓ અને વિચારો વ્યવસ્થિત ગોઠવાઈને ડિફાઇન થઈ જશે.
શરૂઆત મરીઝના આ ખુમારીભર્યા શેરથી કરીએઃ  
કિસ્મતને હથેળીમાં હંમેશાં રાખો,
ચહેરાની ઉપર એની ન રેખા રાખો,
દેવાને દિલાસો કોઈ હિંમત ન કરે,
દુખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો.
હથેળીમાં ભલે ગમે તેવી તૂટીફૂટી કિસ્મતરેખા અંકિત થયેલી હોય, માણસના ચહેરા પર આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિનું તેજ હંમેશાં ઝળકતું રહેવું જોઈએ. ચડતી-પડતી સૌના જીવનમાં આવ્યા કરે. ગમે તેવો ભડભાદર માણસ પણ નિષ્ફળ જઈ શકે, પણ મરીઝ કહે છે તેમ, માણસનું વ્યક્તિત્ત્વ, એની પ્રતિષ્ઠા  અને એની આભા એવાં બળકટ હોવા જોઈએ કે નિષ્ફળતાના દોરમાં પણ કોઈની હિંમત ન ચાલે કે પાસે આવીને સહાનુભૂતિ દેખાડવાની ચેષ્ટા સુધ્ધાં કરે.    
કિસ્મતને રડી, શક્તિનો ઉપહાસ ન કર,
નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર,
બેસી ન રહે – હોય જો તકદીર બૂરી,
કર યત્ન બૂરી ચીજનો વિશ્વાસ ન કર.
નસીબને દોષ દઈને બેસી રહેવાનો શો મતલબ છે? દુર્ભાગ્યનો વાંક કાઢવાનો સીધો અર્થ એ થયો કે ઈશ્વરે જે અપાર શક્તિઓ આપી છે એનો તમે ઉપયોગ કરી શકતા નથી અથવા કરવા માગતા નથી, હતાશાના, નિષ્ફળતાના સમયગાળામાં આપણે એટલા વલ્નરેબલ હોઈએ છીએ કે જો જાગૃત ન રહીએ તો ક્ષણિક રાહત ખાતર લપસી પડતાં, પ્રલોભનને વશ થતાં વાર ન લાગે. જેન્યુઇન પ્રેમની વાત અલગ છે. વેદનાના વરસાદ વચ્ચે જો પ્રિયજનનો સાથ મળી તો ક્યા કહને.
બંધ મુઠ્ઠી લાખની થઈ ગઈ છે સાચા અર્થમાં,
આપના પાલવનો છેડો હાથમાં આવી ગયો.
કેટલો સુંદર શેર. પ્રિયતમાનો પાલવ હાથમાં આવતાં જ કાયમ ખાલી રહેતી મારી મુઠ્ઠી બંધ થઈને લાખની થઈ ગઈ! પ્રેમનો પ્રસ્તાર ભલે ગમે તેવો હોય, આખરે તો આપણે આપણું વિશિષ્ટ સ્થાન બનાવવાનું હોય છે - સમાજની નજરમાં, ખુદની નજરમાં.
કોઈ કલા સ્વરૂપે, જગતથી જુદા બનો,
નક્શો બનો, કવિતા બનો, વાર્તા બનો.
મહેફિલ હો દોસ્તોની કે જાહેર સભાનો મંચ
જ્યાં પણ જવાનું થાય તમારી જગા બનો.
છે પ્રેમ એને યાદગીરીની જરૂર છે,
કંઈ પણ અગર બની ન શકો, બેવફા બનો. 
ઉપરની રચનાનો અંતિમ શેર વિવાદાસ્પદ છે! પ્રેમસંબંધ તો ઘટનાપ્રચુર જ હોવો જોઈએ. પ્રેમમાં નિષ્ક્રિયતા સ્વીકાર્ય નથી. અવગણના કે ઉદાસીનતા તો બિલકુલ નહીં. પ્રેમસંબંધ પાસેથી માણસને ખૂબ બધાં સ્મરણો મળવાં જોઈએ. મરીઝ કરે છે કે સારાં નહીં તો બેવફા બનીને કમસે કમ ખરાબ સ્મરણો આપો! આ વાત મસ્તીમાં કહેવાઈ છે, બાકી સચ્ચાઈ એ છે કે દગાબાજી સંવેદનશીલ માણસને અંદરથી તોડી નાખે છે. મરીઝ લખે છે -
તરી જવાની શરત છે સરળ – બહુ જ સરળ,
તમારી જાતમાં દરિયાનાં મોજાં સંકેલો.
હવે તમારાય પાલવનો આશરો ન રહ્યો,
હવે તમારોય પાલવ છે સાવ ફાટેલો.
સ્વયંનિર્ભર હોવું તે શ્રેષ્ઠ સ્થિતિ છે. બાકી પીડાદાયી તબક્કામાં પ્રિયજનની હૂંફ અતિ મૂલ્યવાન લાગે છે, પણ ક્યારેક એવું બને છે કે મુઠ્ઠીમાં પકડેલો પાલવ ફાટી ગયેલો હોય છે. સવા લાખની બંધ મુઠ્ઠી મૂલ્યહીન પાછી ખાલી ને ખુલ્લી થઈ જાય છે. ચિરાઈ ગયેલો પાલવ અને થાકી ગયેલો સંબંધ માણસને કશું આપી શકતા નથી.    

હસીને હું સહનશીલતાથી જે વાતો નિભાવું છું,
ભલી દુનિયા તે વાતોથી છૂપો આઘાત શું જાણે?
હજી તો સાથ રહેનારા, મને સમજી નથી શકતા,
નથી જે સાથ મારા, મારો ઝંઝાવાત શું જાણે?
માણસમાત્ર આખરે તો એકલો જ છે. આપણે સૌ આપણી આસપાસ ટાપુ રચીને જીવીએ છીએ. આવું ન ઇચ્છતા હોઈએ તોય થઈ જાય છે, કેમ કે-
અમે બેસી રહ્યા ખામોશ એક જ વાત સમજીને
સમજવા ઇચ્છતું હોતું નથી કોઈયે કોઈને.
પ્રેમ પ્રારંભિક અવસ્થામાં ખૂબ મહત્ત્વાકાંક્ષી હોય છે, પણ તે નિષ્ફળ જાય છે ત્યારે તેની પાસે જીજીવિષા પણ રહેતી નથી. એક નિષ્ફળ પ્રેમી પોતાની નિષ્ફળ પ્રેમિકાને શું કહી શકે? મરીઝની આ રચના ખૂબ વિશિષ્ટ છે-
આપણે બન્ને નકામાં અને બન્ને નિષ્ફળ,
આપણા બન્નેની કોઈ ન કહાની બનશે,
આપણા માટે ન છલકાશે જગતની આંખો,
આપણી વાત ન દુનિયાની ઝબાની બનશે.

કોઈ લેખકની કલમ સ્પર્શ નહીં એનો કરે,
ચિત્રકારો કદી એને નહીં રેખા આપે,
આપણા પ્રેમનો ઉલ્લેખ કદી પણ ન થશે,
આપણા પ્રેમની શાયર નહીં ઉપમા આપે.
આપણે બનવું હતું લૈલા-મજનૂ કે શીરી-ફરહાદ, પણ બની ગયા અજનબી. પ્રેમના ખંડેરમાં રહેતા બે અજનબીઓ કોઈને પ્રેરણા આપી શકતા નથી. છતાંય સાવ અંદર, ક્યાંક કશુંક બચેલું હોઈ શકે, નાના તણખા કે તિખારા જેવું. નિષ્ફળ પ્રેમી પોતાની નિષ્ફળ પ્રેમિકાને કેવો સધિયારો આપે છે તે જુઓઃ
તે છતાં મારી ઓ દિલબર, તું ગમગીન ન બન,
આપણા બન્નેનો વહેવાર સલામત રહેશે,
એને નિષ્ઠુર સમય પણ ન મટાડી શકશે,
હો ન ઉપયોગ – અધિકાર સલામત રહેશે. 

દુર્ભાગ્ય એ છે કે પ્રેમી તો ઠીક, જેને મિત્ર માન્યા હતા એ પણ આભાસી નીકળ્યા. સુખના પ્રકાશમાં ફૂટી નીકળે અને દુખના અંધકારમાં પાસે ન ફરકે એને દોસ્ત કેવી રીતે કહેવાય.   
સંકટમાં એ સંગાથી કદી થાશે નહીં,
જીવનની તિમીરતામાં એ રોકાશે નહીં,
મિત્રોનો એ આભાસ છે, મિત્રો કેવા?
મૃગજળ છે કદી રાતમાં દેખાશે નહીં.
...ને જીવન નિરુદ્દેશ ઢસડાતું જાય છે. ઉમંગ નથી, ઉત્સાહ નથી, ધ્યેય નથી. છે કેવળ ખાલીપો. મરીઝ લખે છેઃ
જે મને ગમતો નથી એવો જીવનઆરામ છે,
આવ ઓ મૃત્યુ, મને તારું જરૂરી કામ છે.
લાગણી જ્યાં જોઈ ત્યાં ફોકટમાં વેચાઈ ગયો,
કોઈ ના જાણી શક્યું કે શું અમારાં દામ છે‘?
શું કામ આખી જિંદગી આટલો લાગણીશીલ રહ્યો? કેમ જરાક અમથું હેત જોયું ત્યાં વહી ગયો? જ્યારે આપણે જ આપણી લાગણીઓની કિંમત ન કરતા હોઈએ ત્યારે બીજાઓને શું દોષ દેવાનો? સમય અને સંજોગો જીવનનાં ઘણાં સત્યોને સ્પષ્ટ કરે છે, ઘણાં સત્યોને બદલી નાખે છે. માત્ર સામેની વ્યક્તિ જ નહીં, આપણે પણ ખૂબ બદલાતા હોઈએ છીએ.  
આ કહ્યું કોણે, વિરહ, રાતે સમય વીતતો નથી,
અહીં તો લાગે છે કે સદીઓની સદી ચાલી ગઈ.
એક પળ જેના વિના ચાલતું નહોતું, મરીઝ,
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.

મૃત્યુ અંતિમ પડાવ છે, અંતિમ વિરામ છે, પણ મરીઝને તે પણ પસંદ નથી. મૃત્યુશય્યા પર પડ્યા રહેવામાં તેમને ઐયાશી દેખાય છે.  
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી, મરીઝ,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
જીવનની અંતિમ ચરણમાં લાધેલાં સત્યોનું મૂલ્ય કેટલું? આખા જીવનના અર્ક જેવાં જે સત્યો હવે સમજાયાં છે તેને જીવી શકાય એમ નથી, કેમ કે આયુષ્યરેખાનો અંતિમ છેડો આવી ગયો છે. માણસને માગ્યું મોત પણ ક્યાં મળે છે?
જિંદગીમાં આટલું સમજાય તો સારું, મરીઝા,
જિંદગી સમજીને કોને જિંદગીભર જોઈએ.
આ જગતમાં જ્યાં બધાનું મોત પણ સરખું નથી,
ત્યાં ભલા શું માંગીએ જીવન બરાબર જોઈએ?
મરીઝ આપણી ભાષાના એક અત્યંત માતબર સર્જક છે. એમની શાયરીઓ વહ્યા કરવાનું મન તમને પણ થતું હોય તો અપૂર્વ આશર દ્વારા જહેમતપૂર્વક સંપાદિત થયેલા પુનરાગમન નામના દળદાર પુસ્તકમાંથી પસાર થજો. તેમાં મરીઝની સંપૂર્ણ શાયરીને સુંદર રીતે સંગ્રહિત થઈ છે.
0 0 0 
    

Wednesday, November 28, 2018

થોડા ખુદની જાત ઉપર પ્રહારો જોઈએ...

દિવ્ય ભાસ્કર–કળશ પૂર્તિ –28 નવેમ્બર 2018
ટેક ઓફ 
પ્રેમમાં હોવું અને સ્વમાની હોવું – શું આ બન્ને વિરુદ્ધ સ્થિતિઓ છે? પ્રેમમાં અહમ ઓગાળી દેવો પડે તે બરાબર છે, પણ પ્રેમમાં શું સ્વમાન પણ ઓગાળી દેવાનો હોય?


રીઝ આપણી ભાષાના એવા સશક્ત સર્જક છે કે એમની ગઝલો પાસે જ્યારે જઈએ ત્યારે દર વખતે મનમાં નવા ઉઘાડ થાય, નવો ઉજાસ રેલાય. મૃત્યુના સાડાત્રણ દાયકા પછી પણ તેમની રચનાઓ તરોતાજા લાગે છે ને આવનારા દાયકાઓમાં પણ લાગતી રહેવાની, કેમ કે એમણે સર્વકાલીન મૂલ્યો અને સત્યોને વણી લીધાં છે.   

તાજગી યુવાનીનું લક્ષણ છે. યુવાનીમાં શરીર, એનું બળ અને આવેગો ઉચ્ચતમ સપાટી પર હોય છે. હોર્મોન્સ અશ્વની જેમ હણહણતા હોય છે. તેના કેફમાં ક્યારેક જિંદગીના અન્ય સૌંદર્યો ઢંકાઈ જાય એવું બને. મરીઝ એટલે જ કહે છે કે -  

છે બીજા કંઈક નશા એની મઝા લેવી છે,
ઓ જવાનીના નશા, થોડો હવે કમ થઈ જા!

યૌવન પોતાની સાથે જિંદગીની કેટલીક શ્રેષ્ઠતમ મજા અને શક્યતાઓ લઈને આવે છે તે સાચું, પણ યૌવન એ માત્ર શારીરિક અવસ્થા નથી. આ એક માનસિક સ્થિતિ છે. યુવાની એક એટિટ્યુડ છે, જેનો સંબંધ જીવન પ્રત્યેની ઉત્સુકતા અને તત્પરતા સાથે છે. જ્યાં સુધી પ્રશ્નો થતા રહે છે, ગ્રહણશક્તિ અકબંધ રહે છે અને વિસ્મયવૃત્તિ શમતી નથી ત્યાં સુધી માનસિક યુવાની ઓસરતી નથી. આ દષ્ટિએ ઘણા માણસો મૃત્યુપર્યંત મન-વિચાર અને કર્મથી યૌવનસભર જિંદગી જીવે છે. સમયની સાથે અનુભવોની સમૃદ્ધિ અને વૈવિધ્ય વધતાં જાય છે. જીવન આપણે કલ્પના પણ કરી ન હોય એવી રંગછટાઓમાં આંખ સામે ખૂલતું જાય છે. આ સંદર્ભમાં મરીઝનો આ શેર ખરેખર અદભુત છે -  

જિંદગાનીનું ઘડામણ એટલું સહેલું નથી,
થોડા ખુદની જાત ઉપર પ્રહારો જોઈએ.

પ્રહારો વગર શી રીતે જીવનનું ઘડતર ક્યાંથી થવાનું? સંજોગોના પ્રહારો, સંબંધોના પ્રહારો. અલબત્ત, જો મન ખૂલ્લું રાખીને જીવતાં શીખ્યા હોઈશું તો પીડાદાયી અનુભવો પણ જીવનને સરવાળે સમૃદ્ધ બનાવશે. જીવનની યાત્રા દરમિયાન ક્યારેક એવો પ્રશ્ન પણ જાગે કે પ્રેમમાં હોવું અને સ્વમાની હોવું – શું આ બન્ને વિરુદ્ધ સ્થિતિઓ છે? પ્રેમમાં અહમ ઓગાળી દેવો પડે તે બરાબર છે, પણ પ્રેમમાં શું સ્વમાન પણ ઓગાળી દેવાનો હોય?
બસ એટલી કમી છે કોઈ મહેરબાનમાં,
હો લાખ પ્રેમ તોય રહે છે સ્વમાનમાં.

મરીઝ કહે છે તેમ, કોઈના પ્રત્યે પારાવાર પ્રેમ હોવા છતાંય માણસ જો સ્વમાનભેર જીવતો હોય તો તે એની કમી ગણાઈ જાય છે. આ તે વળી કેવું? સ્વમાન રંગ અને આકારો બદલતું નથી. તે એક સ્થિર વસ્તુ છે. સ્વમાનભેર જીવવું છે? તો દુનિયાદારીને તમારા પર હાવી થવા ન દો! એટલે જ મરીઝ કહે છેને કે -     
ઇજ્જત એ શું કે જેની સ્થિતિ પર મદાર હો,
દુનિયાથી પર બને તે રહે છે સ્વમાનમાં.

પણ દુનિયાદારીથી પર થવું એટલું સહેલું નથી. જિદંગી મોટે ભાગે તો એક ગોઠવાયેલા લય પ્રમાણે વહ્યા કરતી હોય છે. પોતાની જિંદગીને ડિફાઇન કરવા માટે માણસ પાસે શું જોઈએ? જીવનની એકેએક ક્ષણનો હિસાબ કે પછી કેટલીક ખાસ પળો જે અત્યંત તીવ્રતાથી જીવાઈ હતી? રુટિન ક્રમમાં બંધાતા-છૂટતા સંબંધો કે પછી કેટલાક ખાસ સંબંધો જેણે આપણા જીવનને હર્યુંભર્યું બનાવી દીધું હોય? મરીઝ કહે છે તેમ, ડિફાઇનિંગ મોમેન્ટ બની શકે એવા પ્રસંગો અને સંબંધો તો મુઠ્ઠીભર જ હોવાના.

જીવવા જેવા હતા એમાં ફક્ત બેત્રણ પ્રસંગ,
મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી.
એ હવે રહી રહીને માગે છે, પરિવર્તન, મરીઝ,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.

શું સારું હતું ને ખરાબ હતું તે સમજવામાં ક્યારેક આખી જિંદગી નીકળી જતી હોય છે. માણસનો વિનાશ નોતરતી ક્ષણો ક્યારેક અતિ રૂપાળું સ્વરૂપ લઈને આવતી હોય છે. મરીઝ કહે છે કે બદબાદીને હું આબાદી માનતો રહ્યો ને મને એની આદત પડી ગઈ. હવે સાવ સામે છેડે પહોંચ્યા પછી તમે મને એ છોડવાનું કહો તો તે કેવી રીતે શક્ય બને!



જીવનમાં સંબંધો બનતા રહે છે, છૂટતા રહે છે. સંબંધ ધીમે ધીમે અસ્ત થવો તે એક વાત છે અને એક સંઘાત સાથે એના પર પૂર્ણવિરામ મૂકાઈ જવું તે તદન જુદી વસ્તુ છે. જીવન અકળ છે તો મોત એના કરતાંય વધારે અણધાર્યું છે. મૃત્યુ પૂર્વસૂચના આપ્યા વિના કોઈ પણ ક્ષણે ત્રાટકી શકે છે. જે સ્વજન કે પ્રિયજન સાથે અત્યારે બેઠા છીએ તે અંતિમ મુલાકાત નથી જ એની શી ગેરંટી? તેથી જ વિખૂટા પડવાનું આવે ત્યારે મનમાં કડવાશ બિલકુલ ન હોય તેની કાળજી લેવી. આવજો કહેવાની ક્ષણ હંમેશાં મીઠી હોવી જોઈએ, કેમ કે -
થા વિખૂટો પ્રેમથી કે કંઈ ખબર હોતી નથી,
કે મિલન કોનું ને ક્યારે આખરી થઈ જાય છે.

માણસને ઘણી ખબર હોય છે, એણે ઘણા અનુભવો લીધા હોય છે, પણ અનુભવમાંથી એ હંમેશાં શીખે જ તે જરૂરી નથી. ક્યારેક તેજીને ટકોર બસ થઈ પડે છે તો ક્યારેક ઘા પર ઘા પડતા રહેવા છતાં માણસ સમજતો નથી.
મરીઝ ઉપર અસર પડતી નથી કોઈ અનુભવની,
હજુ એ માન્ય રાખે છે ગમે તેની જુબાનીને.

ભૂતકાળમાં કેટલીય વાર ભરોસો કરીને પસ્તાવો કરવો પડ્યો છે, પણ તોય કોણ જાણે આ મન એવું છે કે સામેના માણસ પર અવિશ્વાસ કરી જ શકતું નથી. હજુ પણ માણસનું એની ફેસ-વેલ્યુ પરથી મૂલ્યાંકન કરી નાખે છે. અમુક પ્રકારની ચતુરાઈ કેમેય કરીને કેળવી શકાતી નથી. આ ચાતુર્ય નસીબમાં હોય તો કેળવી શકાતું હોય છે?

સફળતા-નિષ્ફળતા, યશ-ગુમનામી, મીઠા-કડવા સંબંધો... શું આ બધું નસીબની વાત છે? માણસના પ્રયાસોની સીમા ક્યાં પૂરી થાય છે અને સદનસીબની પ્રતિક્ષાનો ઈલાકો ક્યાંથી શરૂ થતો હોય છે?  

પ્રયત્નોનું ન પૂછો એ હજુ પણ લાખ સૂઝે છે,
પરંતુ હું તો બેઠો છું, મુકદ્દરમાં જ માનીને.

લોકો કહેતા રહે છે કે સૌ સારા વાના થઈ જશે. વાદળાં વિખરાઈ જશે ને સારા દિવસો પાછા આવશે. ધારો કે સારા વાના ક્યારેય ન થયા તો? વાદળોનું ઘટાટોપ યથાવત રહ્યું ને સૂર્યનાં દર્શન ક્યારેય ન થાય તો?
મોડું ન કર કે આવી જીવનગત નહીં રહે,
જેવી છે આજ તેવીય હાલત નહીં રહે.

ચાહું તો જિંદગીને ફરીથી બનાવું હું,
પણ એ ફરી બગાડવા ફૂરસદ નહીં રહે.

એક ક્ષમતા હોય છે જીવવાની. ઉપરવાળા પાસે માગતી વખતે પણ સતર્ક કહેવું, કારણ કે -


ન માગે એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એવી દેશે વિતાવી નહીં શકે.

નિવૃત્તિ હંમેશાં સુખદ હોય તે જરૂરી નથી. જીવનના પાછલાં વર્ષોનો વિશ્રામ બેધારી તલવાર જેવો હોય છે. જો વીતી ચુકેલા જીવનનું સરવૈયું સુખદ હશે અથવા તેનો ભાર ઊંચકીને જીવતાં આવડી ગયું હશે તો ઉત્તરાવસ્થા મજાની વીતશે, પણ જો ન આવડ્યું તો તકલીફનો પાર નહીં રહે. પછી તો બસ, મૃત્યુ એ જ અંતિમ ઉપાય બની રહે છે. મરીઝ કદાચ એટલા માટે જ કહે છે કે -

જે મને ગમતો નથી એવો જીવનઆરામ છે,
આવ ઓ મૃત્યુ, મને તારું જરૂરી કામ છે.

લાગણી જ્યાં જોઈ ત્યાં ફોકટમાં વેચાઈ ગયા,
કોઈ ન જાણી શક્યું કે શું અમારા દામ છે!

અમે તો લાગણીના ભૂખ્યા હતા. જરા અમથી લાગણી જોઈ ને અમે વહી ગયા. જો કડકાઈ રાખી હોત, ગણતરી કરી હોત, આટલી આસાનીથી હળતામળતા ન હોત તો દુનિયાને અમારી સાચી કિંમત સમજાત! ખેર, દુનિયાએ આખરે અમને નમન કર્યું ખરું, પણ ક્યારે? અમને કબરમાં પોઢાડયા ત્યારે.  

માટી દીધી, મરીઝ, બધાયે ઝૂકી ઝૂકી,
જ્યારે મરી ગયો તો આ દુનિયા ઝૂકી મને.
0 0 0