Showing posts with label Ghanshyamdas Birla. Show all posts
Showing posts with label Ghanshyamdas Birla. Show all posts

Wednesday, February 15, 2017

રાજકીય નેતા અને ઉદ્યોગપતિ વચ્ચેના સંબંધની કક્ષા કેવી હોવી જોઈએ?

Sandesh - Ardh Saptahik Purti - 8 Feb 2017
ટેક ઓફ 
ઘનશ્યામદાસ બિરલા અને જમનાલાલ બજાજ એકાંગી ઉદ્યોગપતિ હોત તો ગાંધીજી સાથે એમનું કોઈ સંધાન શક્ય નહોતું, પણ આ બન્ને તો દેશદાઝથી છલોછલ માનવતાવાદી શ્રીમંતો હતા. તેથી જ તેઓ ગાંધીજીના આર્થિક મહાબાહુ હોવાનું સન્માન મેળવી શક્યા. 
જમનાલાલ બજાજ  (ઉપર) અને ઘનશ્યામદાસ બિરલા  
ત્તાધારી રાજકારણી અને ધનાઢય ઉદ્યોગપતિ વચ્ચેની હૂંફળી નિકટતાને આજે આપણે વક્ર દષ્ટિએ જોઈએ છીએ, પણ એક જમાનામાં ઘનશ્યામદાસ બિરલા અને જમનાલાલ બજાજ જેવા અતિશ્રીમંતો મહાત્મા ગાંધીથી ખૂબ નજીક હતા. ખેર, એ જમાનો જુદો હતો, એ માણસો જુદા હતા, એમની માટી જુદી હતી અને અને એમના ઈરાદા જુદા હતા. બિરલા ગ્રૂપને ઊંચાઈ પર લઈ જનાર હસ્તી એટલે ઘનશ્યામદાસ બિરલા (જન્મઃ ૧૮૯૪, મૃત્યુઃ ૧૯૮૩). ટાટા અને બિરલા – આ બે અટકો આપણા દેશમાં રૂઢિપ્રયોગ બની ગઈ છે, પુષ્કળ ધનસંપત્તિના માલિક્ હોવાના અર્થમાં. અંબાણી તો પછી આવ્યા. ૧૯૨૬માં સ્થપાયેલા બજાજ ગ્રૂપનું નામ ભલે ટાટા-બિરલા-અંબાણીની સાથે એક શ્વાસમાં ન લઈ શકય, પણ તે ભારતીય ઉદ્યોગજગતનું એક મહત્ત્વનું નામ છે.
ઘનશ્યામદાસ બિરલા અને જમનાલાલ બજાજ એકાંગી ઉદ્યોગપતિ હોત તો ગાંધીજી સાથે એમનું કોઈ સંધાન શકય નહોતું, પણ આ બંને તો દેશદાઝથી છલોછલ માનવતાવાદી શ્રીમંતો હતા. દેશની આઝાદી માટે તેમણે શબ્દશઃ લોહી નહીં પણ ધન વહાવ્યું હતું, જેનું મહત્ત્વ ઓછું આંકવા જેવું નથી. બિરલા અને બજાજ ગાંધીજીના આર્થિક મહાબાહુ હતા. એક અંદાજ પ્રમાણે ઘનશ્યામદાસ બિરલાએ આઝાદી પહેલાં તત્કાલીન કોંગ્રેસ અને ગાંધીજીને એ જમાનાના કુલ વીસ કરોડ રૂપિયા જેટલી આર્થિક સહાય કરી હતી. એવું કહેનારાય હતા કે બિરલાએ ખરેખર તો દેશપ્રેમના નામે કોંગ્રેસ કનેક્શનનો ઉપયોગ કરીને પોતાનો બિઝનેસ વધાર્યો હતો. આ થિયરીનો છેદ ઉડાડી દેતી દલીલ એ છે કે જો ફેવર જ જોઈતી હોત તો ઘનશ્યામદાસ બિરલાએ જવાહરલાલ નહેરુ સાથે પનારો પાડયો હોત, ગાંધી સાથે નહીં. હકીકત એ હતી કે ૧૯૪૭થી ૧૯૬૪ દરમિયાન દેશના વડાપ્રધાન રહેલા નહેરુજી ટાટાથી વિશેષ નિકટ હતા, બિરલાઝ સામાન્યપણે નહેરુથી અંતર જાળવતા.
ગાંઘીજી સાથે ઘનશ્યામદાસ બિરલા વચ્ચે પુષ્કળ પત્રવ્યવહાર થયો હતો. બાપુએ જાતે લખેલા પહેલાં જ પત્રમાં, બિરલાએ સ્વાતંત્ર્ય સંગ્રામની જુદી જુદી ગતિવિધિઓ માટે મોકલાવેલા પાંચ હજાર રૂપિયા બદલ આભાર માન્યો છે. બાપુએ આ જ પત્રમાં ઘનશ્યામદાસ બિરલાને તબિયત જાળવવાનું અને ‘મારે તમારી પાસેથી ઘણું વધારે કામ લેવું છે’ એવા મતલબનું લખાણ પણ લખ્યું છે. ગાંધીજી સાથે થયેલા પત્રવ્યવહારને ઘનશ્યામદાસ બિરલાએ પછી ‘બાપુઃ અ યુનિક એસોસિયેશન’ શીર્ષક હેઠળ ચાર ભાગમાં પ્રકાશિત કર્યો હતો. બિરલાએ લખેલા ‘બાપુ’ નામના ઓર એક સુંદર પુસ્તક વિશે આપણે ગયા બુધવારે વિગતે વાત કરી ગયા. મોહન દાંડીકરે ગુજરાતીમાં તેનો સુંદર અનુવાદ કર્યો છે.
Ghanshyamdas Birla with Gandhiji (exptreme right)  

જમનાલાલ બજાજ (જન્મઃ ૧૮૮૯, મૃત્યુઃ ૧૯૪૨) તો ગાંધીજીનો પાંચમો દીકરો કહેવાયા છે. ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા ર્ફ્યા તે પહેલાં જ જમનાલાલના મનમાં એમના પ્રત્યે આદરભાવ પેદા થઈ ચૂકયો હતો. બાપુએ સ્વદેશાગમન કર્યા બાદ કોચરબ આશ્રમમાં નિવાસ કર્યો એ અરસામાં જમનાલાલ એમના નિકટના પરિચયમાં આવ્યા. એક દિવસ જમનાલાલે માગણી કરીઃ બાપુ, મને તમારા પાંચમા પુત્ર તરીકે સ્વીકારો! બાપુએ ઉલટભેર એમના પ્રેમભાવનો સ્વીકાર કર્યો.
જમનાલાલની ઇચ્છા હતી કે ગાંધીજી વર્ધામાં આશ્રમ સ્થાપીને ત્યાં જ નિવાસ કરે, કેમ કે ભૌગોલિક રીતે વર્ધા ભારતની મધ્યમાં પડે અને અમદાવાદની તુલનામાં વર્ધાથી દેશના કોઈપણ હિસ્સામાં આવવું-જવું આસાન સાબિત થાય. ગાંધીજી જોકે તે વખતે અમદાવાદનો આશ્રમ છોડી શકે તેમ નહોતા, પણ એમણે વિનોબાને આશ્રમ વિકસાવવાનું કામ જરૂર સોંપ્યું હતું. ૮ એપ્રિલ ૧૯૨૧માં વિનોબા છ સાથીઓ સાથે વર્ધા આવ્યા અને વિધિવત આશ્રમનું ઉદઘાટન કરેલું.
૧૯૩૦માં દાંડીકૂચ વખતે ગાંધીજીએ પ્રતિજ્ઞાા લીધી હતી કે કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના અમદાવાદ આશ્રમમાં પાછો નહીં ફરું. વર્ધા પાસે સેવાંગ નામના ગામમાં જમનાલાલ બજાજની જમીન હતી, જે તેમણે ગાંધીજીને દાનમાં આપી દીધી હતી. દાંડીકૂચ પછી ગાંધીજી આ ગામમાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરીને રહૃાા. ગાંધીજીની ઉપસ્થિતિને લીધે વર્ધા રાષ્ટ્રીય ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયું હતું. ગાંધીજીને મળવા આવતા દેશભરના નેતાઓનો ઉતારો વર્ધામાં જમનાલાલની ઘરે રહેતો. વર્ધાના સંકુલમાં ગોપુરીની વસાહતમાં જ જમનાલાલનું ઘર હતું. આઝાદીના જંગનું કોઈપણ આંદોલન કે રચનાત્મક પ્રવૃત્તિનો શુભારંભ વર્ધાથી થવા લાગ્યો. જમનાલાલ બજાજ આ પ્રવૃત્તિઓ માટે છૂટથી ધન ખરચતા. સમજોને કે જમનાલાલ બાપુના ભામાશા બની ગયેલા. એમનાં પત્ની જાનકીદેવીએ પણ ગાંધીજીના સુધારાવાદી વિચારો અપનાવ્યા હતા. જમનાલાલ બજાજ એટલી હદે ગાંધીમય બની ગયા હતા કે ગૌસેવા, નઈ તાલીમ, ગ્રામોદ્યોગ, મહિલાશ્રમ, હરિજનસેવા, અસ્પૃશ્યતા-નિવારણ વગેરે જેવાં કાર્યોમાં એમનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ મહત્ત્વનું સાબિત થતું.
Jamnadas Bajaj with Gandhi, Satyagraha Ashram, Wardha, 1934.

વર્ધામાં લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કરીને તેમાં એમણે હરિજનોનો પ્રવેશ કરાવ્યો હતો. ગાંઘીબાપુને ‘નવજીવન’ સામયિક હિન્દીમાં પ્રકાશિત કરવાનો આગ્રહ કરનારા પણ જમનાલાલ જ હતા. ગાંધીજીએ એમની વાત માની પણ ખરી. ભારત ગૌસેવા સંઘના પ્રમુખ તરીકે જમનાલાલ વર્ષો સુધી સેવા સક્રિય રહૃાા હતા.
ગાંઘીજી ધનિકોને કહેતા કે તમારું ધન ભલે વારસાગત હોય કે તમારી ખુદની બુદ્ધિ અને મહેનતનું ફ્ળ હોય, એક વાત હંમેશાં યાદ રાખવી કે આ ધન કેવળ તમારા એકલાનું નથી. આ ધનનો એક હિસ્સો દરિદ્રો માટે અને સમાજકલ્યાણનાં કાર્યો માટે વપરાવો જ જોઈએ. તમારે તમારાં ધનના ટ્રસ્ટી બનવાનું છે. જમનાલાલ બજાજે ગાંધીજીની ટ્રસ્ટીશિપની આ સંકલ્પનાને પૂર્ણપણે અપનાવી લીધી હતી. ધનસંપત્તિથી તેઓ આશ્ચર્ય થાય એટલી હદે નિસ્પૃહ રહી શકતા હતા. ખુદ ઘનશ્યામદાસ બિરલાએ એક જગ્યાએ લખ્યું છે કે, ‘જમનાલાલ બજાજના વ્યકિતત્વનું સૌથી મોટી પાસું ધન પ્રત્યેની તેમની ઉદાસીનતા હતી. ખુદને માટે પૈસા ખર્ચવામાં તેઓ અત્યંત કૃપણ હતા. તેમની રહેણીકરણી સાદી અને કરકસરયુકત હતી.’
જમનાલાલ બજાજે માત્ર બાવન વર્ષની વયે દેહ છોડયો. દેશની આઝાદી જોવાનું તેમના નસીબમાં નહોતું. પોતાના વસિયતનામામાં તેઓ લખી ગયા હતા કે મારી સંપત્તિનો ત્રણ ચતુર્થાંશ (એટલે કે પોણો) ભાગ ગાંધીજીના સિદ્ધાંતો મુજબ કામ કરતી પ્રવૃત્તિઓ પાછળ વાપરવો. ગાંધીજીએ જમનાલાલ બજાજને પોણા ત્રણસો જેટલા પત્રો લખ્યા હતા. કાકાસાહેબ કાલેલકરે તેનું સંપાદન કરીને તે પુસ્તક સ્વરૂપે છપાવ્યું હતું. આ પુસ્તકને એમણે નામ આપ્યું -‘પાંચમા પુત્રને બાપુના આશીર્વાદ’.
0 0 0 

Thursday, February 2, 2017

અહિંસાવાદી ગાંધીજીએ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને સાથ કેમ આપ્યો?

Sandesh - Ardh Saptahik purti - 1st Feb 2017 
Take off

‘યુદ્ધ અને અહિંસાનો કદી મેળ નથી ખાતો, પણ ધર્મ શું છે અને અધર્મ શું છે એનો નિર્ણય કરવો તે એટલું સરળ નથી. સત્યના ઉપાસકને કયારેકને કયારેક અંધકારમાં પણ ભટકવું પડે છે. જીવિત રહેવાની ક્રિયામાત્ર – ખાવુંપીવું, હલનચલન કરવું – જીવન હનન કરે છે. ભલે એ જીવ અણુ જેટલો સૂક્ષ્મ કેમ ન હોય. એટલે જીવન પોતે જ હિંસા છે.'

Gandhi during WWI, as organizer of the Indian Volunteer Corps, London, 1914

દુનિયાને અહિંસા જેવા અદ્ભુત શસ્ત્રની ભેટ આપનાર મહાત્મા ગાંધીએ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને દિલપૂર્વક ટેકો આપ્યો હતો તે વળી કેવું! ચોથી ઓગસ્ટ ૧૯૧૪ના રોજ ફર્સ્ટ વર્લ્ડ વોરની જાહેરાત થઈ હતી અને તેના બે દિવસ પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ઈંગ્લેન્ડ જવા નીકળ્યા હતા. લંડન પહોંચીને એમણે ત્યાં વસતા ભારતીયોની મિટિંગ બોલાવી. ગાંધીજીએ કહૃાું કે જે ભારતીયો ઈંગ્લેન્ડમાં રહે છે તેમણે અંગ્રેજ સરકારને આ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનાથી થાય એટલી સઘળી મદદ કરવી જોઈએ. અંગ્રેજ વિદ્યાર્થીઓની માફ્ક ઈંગ્લેન્ડમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પણ લશ્કરમાં ભરતી થવું જોઈએ. સ્વાભાવિક રીતે જ તરત સામી દલીલ થઈ કે, ‘અંગ્રેજો માલિક છે, આપણે ગુલામ છીએ. ગુલામે શા માટે  માલિકને સહકાર આપવો જોઈએ? જે ગુલામ સ્વતંત્ર થવા માગે છે એના માટે તો પોતાનો માલિક સંકટમાં હોય તે જ સારું ગણાયને! આ તો આપણા માટે સારો અવસર આવ્યો ગણાય. આપણે આવા સમયે જ અંગ્રેજો સામે આપણી માગણી રજૂ કરવી જોઈએ.’
પણ આ દલીલોની ગાંધીજી પણ કોઈ અસર થઈ નહોતી. ગાંધીજી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવનારા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ  બિરલાએ ‘બાપુ’ નામના પુસ્તકમાં ગાંધીજીના આ વિરોધીભાસી વલણ વિશે આખું પ્રકરણ લખ્યું છે. બિરલા નોંધે છે કે સૌથી પહેલાં તો, બાપુને નહોતું લાગતું કે ભારતીયો ગુલામીની કક્ષાએ પહોંચી ગયા છે. વળી, ગાંધીજીને એવો વિશ્વાસ હતો કે જો આપણે અંગ્રેજોનો પ્રેમ સંપાદન કરી શકીશું તો જ પરિસ્થિતિમાં ફેરફાર થશે. સંકટમાં આવી પડેલા અંગ્રેજોને મદદરૂપ થઈશું તો શકય છે કે એમનું હ્ય્દયપરિવર્તન થાય અને ભારતીયો પ્રત્યેનો એમનો વ્યવહાર બદલાય.
આખરે પ્રથમ વિશ્વયુદ્ધના માહોલ વચ્ચે લંડનમાં ભારતીય સ્વયંસેવકોની એક ટુકડી તૈયાર કરવામાં આવી. મજા જુઓ. આ ટુકડીની મદદ સ્વીકારવા માટે તે વખતના ભારતમંત્રી લોર્ડ ક્રૂ તૈયાર નહોતા! ખૂબ બધી આનાકાની પછી માંડ તેમણે ભારતીય વોલેન્ટિયર્સની સેવા સ્વીકારવાની હા પાડી. દક્ષિણ આફ્રિકામાં વસતા ગાંધીજીના સાથીદારોએ આ સાંભળ્યું ત્યારે એમની નવાઈનો પાર ન રહૃાો. એક બાજુ ગાંધીજી અહિંસાની ઉપાસના કરે છે અને બીજી બાજુ ભારતીયોને વિશ્વયુદ્ધમાં સામેલ કરે છે! આ તો વળી કેવી બેવડી નીતિ! આ વિશે ગાંધીજીએ કરેલી સ્પષ્ટતા કંઈક આવી હતીઃ


‘યુદ્ધ અને અહિંસાનો કદી મેળ નથી ખાતો, પણ ધર્મ શું છે અને અધર્મ શું છે એનો નિર્ણય કરવો તે એટલું સરળ નથી. સત્યના ઉપાસકને કયારેકને કયારેક અંધકારમાં પણ ભટકવું પડે છે. અહિંસા એક વિશાળ ધર્મ છે. માણસ એક પણ ક્ષણ જાણે-અજાણ્યે હિંસા કર્યા વિના જીવિત રહી શકતો નથી. જીવિત રહેવાની ક્રિયામાત્ર – ખાવુંપીવું, હલનચલન કરવું – જીવન હનન કરે છે. ભલે એ જીવ અણુ જેટલો સૂક્ષ્મ કેમ ન હોય. એટલે જીવન પોતે જ હિંસા છે. અહિંસાનો પૂજારી પોતાના ધર્મનું યથાર્થ પાલન એવી સ્થિતિમાં જ કરી શકે જ્યારે એના તમામ કર્મોનો એક જ સ્ત્રોત હોય. એ સ્ત્રોત છે દયા. જ્યારે બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે અહિંસાના ઉપાસકનો પ્રથમ ધર્મ છે યુદ્ધ બંધ કરાવવું. જો યુદ્ધ રોકવાની શકિત નથી તો ભલે યુદ્ધમાં કદાચ સામેલ હોય, પણ સાથેસાથે એ રાષ્ટ્રોને, દુનિયાને અને પોતાની જાતને યુદ્ધથી મુકત રાખવાનો પ્રયત્ન પણ નિરંતર કર્યા કરે છે.’
ગાંઘીજીએ ન યુદ્ધ વિરુદ્ધ બગાવત કરી, ન ઈંગ્લેન્ડની સરકાર તેની નીતિનો ત્યાગ ન કરે ત્યાં સુધી સત્યાગ્રહ કે અસહકાર કર્યો કે ન કાનૂનભંગ કરીને જેલમાં ગયા. આ બધું કરવા માટે તેઓ પોતાની જાતને અયોગ્ય માનતા હતા. આથી તેમણે અંગ્રેજોને સાથ આપવાનો રસ્તો અપનાવ્યો. ઘનશ્યામદાસ બિરલા અહીં સ્પષ્ટ શબ્દોમાં લખે છેઃ
‘ગાંધીજીનો આ તર્ક કંઈક લૂલો લાગે છે, પણ ગાંધીજી કઈ રીતે નિર્ણય પહેલાં કરે છે અને દલીલો પછીથી ઊપજાવી કાઢે છે તેની ચર્ચા પછીથી કરીશું. તર્ક મજબૂત ન હોય તો ભલે ન હોય, પણ ગાંધીજીના આત્માને જે સમયે જે સત્ય લાગ્યું તેની જ પાછળ તેઓ ચાલ્યા. એમના તર્કોમાં જાણી જોઈને આત્મવંચના નથી હોતી. મૂળ વાત એમ હતી કે એમને બ્રિટિશ શાસનપદ્ધતિમાં અનહદ શ્રદ્ધા હતી.’
ગાંધીજીએ વાઈસરોય ચેમ્સફેર્ડને પત્રમાં લખ્યું હતું કે, ‘હું માનું છું કે આ (વિશ્વયુદ્ધ જેવા) ભયંકર સમયે બ્રિટિશ રાષ્ટ્રને, જેના અમે અન્ય રાષ્ટ્રોની જેમ અત્યંત નજીકના ભવિષ્યમાં ભાગીદાર બનવાની આશા રાખીએ છીએ, તેને પ્રસન્નતાપૂર્વક અને સ્પષ્ટ મદદ કરવી જોઈએ. એ પણ સત્ય છે કે અમારી આ ઇચ્છાની પાછળ એ આશા છે કે એમ કરવાથી અમે અમારા (ભારતને આઝાદ કરવાના) ધ્યેય સુધી ઝડપથી પહોંચી શકીશું… હું એવું ઇચ્છું છું કે ભારત દરેક સશકત યુવાનોને બ્રિટિશ રાષ્ટ્રના રક્ષણ માટે હોમી દે… મારા દેશબાંધવોેને હું પ્રતીતિ કરાવવા માગું છું કે જો આપણે (બ્રિટિશ) સામ્રાજ્યની સેવા કરીશું તો એ ક્રિયામાંથી જ આપણને સ્વરાજ્ય મળી ગયું એમ સમજવું.’

Gandhi (circled) with the Indian Ambulance Corps

ગાંધીજીને આટલો બધો ભરોસો હતો અંગ્રેજો પર! બ્રિટિશ સામ્રાજ્યના રક્ષણ માટે ભારતે પોતાના યુવાનોનું બલિદાન આપ્યું, ધન આપ્યું. ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, પણ ભારતને સ્વતંત્રતા તો ન જ મળી, ઊલટાનું, ૧૯૧૯ની તેરમી એપ્રિલે અમૃતસરના જલિયાવાલા બાગમાં ભયાનક હત્યાકાંડ થઈ ગયો. અંગ્રેજો પર ગાંધીજીને  જે વિશ્વાસ હતો તેના પર કારમો ઘા થયો. જોકે ગાંધીજીના વ્યવહારમાં કોઈ ફરક ન પડયો. વર્ષો વીત્યાં. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ગાંધીજીને આ વખતે અંગ્રેજો પર શ્રદ્ધા નહોતી. એમણે અસહકારનું આંદોલન ચાલુ રાખ્યું, પણ આ સંકટના સમયમાં ઈંગ્લેન્ડની પરેશાની ન વધે તેનો ખ્યાલ પણ રાખ્યો. પોતાના લેખો, ભાષણો અને તત્કાલીન વાઈસરોય સાથેની મુલાકાતો દરમિયાન ગાંધીજીએ એક વાત સ્પષ્ટ કરી દીધી કે આ વખતે ભારતીયો અંગ્રેજોને ફ્કત નૈતિક સ્તરે જ ટેકો આપશે, ભૌતિક સ્તરે નહીં.
બીજા વિશ્વયુદ્ધ વખતે આપણે એટલા બધા પરાધીન નહોતા. નવેક પ્રદેશોમાં પ્રાંતીય સ્વરાજ્ય સ્થપાઈ ચૂકયું હતું. કેન્દ્રમાં પણ સ્વરાજ્યનું વચન અપાઈ ગયું હતું. આપણે પૂર્ણ સ્વરાજ્ય તરફ્ આગળ વધી ચૂકયા હતા. ગાંધીજીની દષ્ટિએ અહિંસાની જીવંત કસોટીનો સમય હવે આવી ગયો હતો. અહિંસાના પ્રયોગની સફ્ળતાનું પ્રદર્શન કરવું હોય તો આ ઉત્તમ અવસર હતો. એવું જ થયું. ભયંકર હિંસાનો પ્રતિકાર અહિંસા જેવા આધ્યાત્મિક અને ચમત્કારિક શસ્ત્રથી થઈ શકે છે તે એમણે દુનિયા સામે પુરવાર કરી બતાવ્યું.
ઘનશ્યામદાસ બિરલા ઉપરાંત જમનાલાલ બજાજ પણ ગાંધીજી સાથે આત્મીયતાભરી નિકટતા ધરાવતા હતા. આ બંને અત્યંત ધનાઢય ઉદ્યોગપતિઓ ગાંધીજીના  આર્થિક મહાબાહુ તરીકે ઓળખાતા હતા. તેમના વિશે વધારે વાતો આવતા અઠવાડિયે.

0 0 0