Showing posts with label ઝવેરચંદ મેઘાણી. Show all posts
Showing posts with label ઝવેરચંદ મેઘાણી. Show all posts

Saturday, January 19, 2019

મેઘાણી જ્યારે ‘દેવદાસ’ ફિલ્મનો રિવ્યુ કરે છે...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 16 જાન્યુઆરી 2019 
ટેક ઓફ 
હું લેખક છું. મારી કૃતિઓની તમે બધાં ફાવે તે ખોદણી કર્યા કરો પણ મારા સ્વભાવ અને મારી આદતોમાંથી પણ તમને શો સ્વાદ મળવાનો? હું કમભાગ્યે લેખક થયો એટલે શું તમારી સહુની પાસે મારા જીવનને પ્રગટ કરવાની ય મારા પર ફરજ છે?’
Zaverchand Meghani

ક ઉત્તમ સાહિત્યકાર જ્યારે બીજા ઉત્તમ સાહિત્યકાર વિશે લખે ત્યારે આપણને વાંચકોને મસ્તમજાની સામગ્રી સાંપડતી હોય છે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી ભાષા-સાહિત્યના કોહિનૂર હીરા સમાન છે, તો શરદબાબુ અથવા શરદચંદ્ર અથવા સરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંગાળી સાહિત્યજગતનું અમર નામ છે. શરદબાબુ કરતાં મેઘાણી એકવીસ વર્ષ નાના. શરદબાબુને આખું ભારત ખાસ કરીને એમની આ બે નવલકથા માટે જાણે છે - દેવદાસ (કે જેના પરથી જુદી જુદી ભાષાઓમાં ફિલ્મો સતત બન્યા જ કરે છે) અને શ્રીકાંત (જેના પરથી ઉત્તમ હિંદી ટીવી સિરીયલ બની ચુકી છે). બાય ધ વે, આજે શરદબાબુની પુણ્યતિથિ છે. 16 જાન્યુઆરી 1938ના રોજ 61 વર્ષની ઉંમરે એમનું નિધન થયું હતું.
વિષય ભલે ગમે તે હોય, બંગાળી સાહિત્યની વાત રવીન્દ્રનાથ ટાગોર વગર શરૂ કે પૂરી થઈ શકતી નથી. ટાગોર અને શરદબાબુને સાંકળી લેતો એક સુંદર પ્રસંગ મેઘાણીએ એક જગ્યાએ ટાંક્યો છે. 1907માં બનેલો આ કિસ્સો કંઈક એવો છે કે એક દિવસ રવીન્દ્રનાથ પાસે એક વાર બંગ-દર્શન નામના માસિકના તંત્રી આવી ચડ્યા. આવતાંની સાથે રીતસર ધોખો કર્યો.
-     આવું હોય કે?
-     શું થયું, શૈલેશબાબુ?
-     આવી ઉત્તમ વાર્તા તમે મારા માસિકને આપવાને બદલે ભારતી મેગેઝિનમાં છપાવી? મારા પ્રત્યે આવી નારાજગી? મારાથી એવી તે શી ભુલ થઈ ગઈ?
ટાગોરને નવાઈ લાગી. પૂછે છેઃ
-     મારી કઈ વાર્તાની વાત તમે કરો છો? મેં તો ભારતીમાં કોઈ વાર્તા મોકલી નથી. તમારી ભુલ થતી લાગે છે.
તંત્રીસાહેબે પોતાના થેલામાંથી પેલી વાર્તાનું કટિંગ કાઢ્યું. ટાગોરની સામે તે ધરીને કહેઃ
-     હવે મહેરબાની કરીને એમ ન કહેતા કે આ વાર્તા તમે લખી નથી. લેખક તરીકે ભલે તમે બીજું નામ લખ્યું હોય, પણ એનાથી કંઈ તમારી શૈલી થોડી છૂપી રહી શકે?
ટાગોરે લખાણ હાથમાં લીધું. લેખકના નામની જગ્યાએ બડીદીદી (એટલે કે મોટી બહેન) એવું છદ્મનામ લખાયેલું હતું. કુતૂહલવશ એક-બે પાનાં ઊથલાવ્યાં. એમની ઉત્સુકતા વધતી ગઈ. એમણે એ જ વખતે, તંત્રીની હાજરીમાં આખી વાર્તા વાંચી નાખી. પછી કહેઃ
-     અદભુત લખાણ છે, પણ આ મારું નથી.
તંત્રી નવાઈ પામી ગયા. એમને હજુ માન્યામાં આવતું નહોતું કે આવું સુંદર લખાણ ટાગોરનું નથી. તંત્રીથી રહેવાયું નહીં એટલે એમણે ભારતીના સંપાદકનો સંપર્ક કર્યોઃ
-     બડીદીદી કોણ છે? ઉત્તમ વાર્તા લખી છે એણે. મહેરબાની કરીને એની ખરી ઓળખ જાહેર કરો.
ભારતીના પછીના અંકમાં વાચકોએ એક સાવ નવું નામ જોયું. સામાન્ય વાચકથી માંડીને છેક ટાગોર જેવા સાહિત્યસ્વામીને મુગ્ધ કરી દેનાર બડીદીદીનું ખરું નામ હતુઃ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય! બંગાળી સાહિત્યવિશ્વમાં શરદબાબુનુ આ પહેલું પગલું. કહો કે આ એમની મુંહ-દિખાઈ વિધિ હતી.  
શરદબાબુ ક્રમશઃ મશહૂર થતા ગયા. કેટલાંક વર્ષ પછી યમુના નામના સામયિકમાં એમની ચરિત્રહીન નામની ધારાવાહિક નવલકથા શરૂ થઈ. સમાજમાં પ્રચલિત કેટલાક રીતિ-રિવાજો પર એમણે આ નવલકથામાં આકરા પ્રહાર કર્યા. વાર્તા એટલી બધી બોલ્ડ હતી કે વાચકો કાંપી ઉઠ્યા. ચોખલિયાઓ નગ્ન સત્ય પચાવી ન શક્યા. અત્યારે તો કોઈ પુસ્તક પર વિવાદ થાય તો એનું વેચાણ ધડાધડ વધી જાય છે, કોઈ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં કન્ટ્રોવર્સી પેદા થાય તો એના હિટ થવાના ચાન્સ અનેકગણા વધી જાય છે, પણ જૂના જમાનામાં એવું નહોતું. ચરિત્રહીનથી ખળભળી ગયેલા અસંખ્ય વાચકોએ યમુના સામયિક વાંચવાનું જ છોડી દીધું. કેટલાયે લવાજમ પાછાં મગાવી લીધાં. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે યમુના સામયિક બંધ કરવું પડ્યું. અધૂરી રહેલી ગયેલી ચરિત્રહીન નવલકથા પછી ઘણા સમય બાદ પુસ્તક સ્વરૂપે આખેઆખી પ્રગટ થઈ.

Sarat Chandra Chattopadhyay

એક વાર શરદબાબુને કોઈ ફંકશનમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવા માટે એક માણસ આવ્યો. એણે શરદબાબુને કહ્યું કે, મારા તમારા જીવનની સફર વિશે જાણવું છે. શરદબાબુ રોષે ભરાઈ ગયા. કહેઃ
મારા જીવનની વાતો સાંભળવાથી તમને શો લાભ છે? હું લેખક છું. મારી કૃતિઓની તમે બધાં ફાવે તે ખોદણી કર્યા કરો પણ મારા સ્વભાવ અને મારી આદતોમાંથી પણ તમને શો સ્વાદ મળવાનો? માણસના જીવનમાં તો ઘણી વાતો બનતી હોય છે. પણ હું કમભાગ્યે લેખક થયો એટલે શું તમારી સહુની પાસે મારા જીવનને પ્રગટ કરવાની ય મારા પર ફરજ છે?’
પેલો નિમંત્રણ આપવા આવેલો ભાઈ ડઘાઈ ગયો. કહેઃ
મને ક્ષમા કરજો, પણ જેની કૃતિઓના તસુએ તસુની અંદરથી મહાન સત્યોનો ગુંજારવ ઊઠે છે, એવા પુરુષના પોતાના જીવનના પડછાયા એમાં પડ્યા વગર કેમ રહી શકે? હું દઢપણે માનું છું કે આવી કૃતિ માત્ર કલ્પનામાંથી નથી સજાવી શકાતી. આપના પ્રત્યેક લખાણમાં માર્દવ ભર્યું છે. આપનું દેવદાસ વાંચ્યા પછી બે-ત્રણ દિવસ સુધી મને એનો વળગાડ રહ્યો હતો.
ચરિત્રહીન તો ફિક્શન હતું, બાકી શરદબાબુએ સેક્સ પર મોટો ગ્રંથ લખ્યો હતો. કમનસીબે એમના ઘરને આગ લાગતાં ગ્રંથની હસ્તપ્રત બળીને ખાખ થઈ ગઈ. શરદબાબુના મનોવિજ્ઞાની પિતાજીની કેટલીય અધૂરી હસ્તપ્રતો પણ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. જો આ દુર્ધટના ન બની હોત અને શરદબાબુનું સેક્સ વિષયક પુસ્તક બહાર પડ્યું હોત તો કોણ જાણે કેવો હોબાળો મચી ગયો હોત.  
આ બધી વાતો ઝવેરચંદ મેઘાણીએ પોતાના લખાણમાં નોંધી છે. પેલા નિમંત્રકને શરદબાબુની જે નવલકથા વાચ્યા પછી બે-ત્રણ દિવસ સુધી અસરમુક્ત થઈ શક્યા નહોતા એ દેવદાસનો ગુજરાતી યા હિન્દી અનુવાદ આપણે વાંચ્યો હોય કે ન વાંચ્યો હોય, પણ આ કૃતિ પરથી બનેલી સાયગલવાળી, દિલીપકુમારવાળી અથવા શાહરૂખ ખાનવાળી કે બીજી કોઈ પણ ફિલ્મ આપણે જરૂર જોઈ હશે. દેવદાસનું આવું એકાદ વર્ઝન જોઈને ઝવેરચંદ મેઘાણીએ એનો ફિલ્મ રિવ્યુ લખ્યો હતો. મેઘાણી દેશી-વિદેશી ફિલ્મોના જબરા શોખીન અને જાણકાર હતા એ જાણીતી વાત છે. દેવદાસના કથાવસ્તુએ આખા દેશના ફિલ્મમેકરોની કેટલીય પેઢીઓને સતત આકર્ષ્યા છે, પણ મેઘાણીને દેવદાસનું લૂઝર પાત્ર જરાય નહોતું ગમ્યું. એમનો રિવ્યુ એમના જ શબ્દોમાં વાંચવા જેવો છે. લેખનું શીર્ષક છે - દેવદાસનું ચિત્રપટઃ ખોટી ભાવના. ઓવર ટુ ઝવેરચંદ મેઘાણીઃ  
આજે સાહિત્યના સહોદર સમા વિષય ચિત્રપટને નીરખીએ. બહોશ ફોટોગ્રાફી, સ્વરવાહન અને મર્મગ્રાહી સંયોજન – એ ચિત્રપટની ખૂબીની વાતો છે. એ વાતો સાહિત્યના ક્ષેત્રની નથી. એની  ઓથે ઊભા રહેતા સાહિત્યભાવોને તપાસી જોઈએ, કેમ કે આપણી જવાબદારીનો પ્રદેશ છે.
ભાવના સાચી કઈ? ખોટી કઈ? દેવદાસ નામના ચોટદાર ચિત્રપટની ભાવના જૂઠીઃ મોડર્ન ટાઇમ્સ નામના ચાર્લી ચેપ્લિનના તમાશાની ભાવના સાચી.
દેવદાસના કારીગરોને તો હું વંદન કરું છું. કાબેલ કારીગરી કરી છે. પણ એ વંદન તેની વાર્તાના સર્જકને નથી આપી શકતો. દેવદાસ નામ એ વાર્તાનું નહોતું હોવું જોઈતું. એ વાર્તાનું વીરપાત્ર તો પેલી કન્યા છે (એટલે કે પારો), અમીરજાદો દેવદાસ નહીં.
દેવદાસ ગીતો ગાય છે. દર્દભર્યા શબ્દો બોલે છે, પ્રેમનું પાગલપણું બતાવે છે, પણ તેથી આ પાત્રની નિર્વિર્યતા ઓછી થતી નથી. એ જમીનદારનો જુવાન પુત્ર છે, ગામની એક અકુલિન કન્યા જોડે પ્રેમમાં પડ્યો છે. અભ્યાસ કરવા કરતાં પોતાની ઇચ્છા વિરુદ્ધ કલકત્તે ધકેલાય છે ને ત્યાં વિરહની વેદનાને ઓલવવા, બસ, ઝપાટાભેર કુમિત્રો, સુરાપાન તથા વેશ્યાગમનનું શરણ લે છે. (બેશક, દુરાચાર નથી સેવતો.)
પેલી કન્યા બહાદૂર છે! ઘોર રાત આવે છેઃ દેવદાસ! કાલે મારો વિવાહ થઈ જવાનો. ચાલ, હું તારી જોડે ભાગી જવા તૈયાર છું. ચાલ, સાચા પ્રેમને ખાતર હું જીવનમાંથી ઊખડી જવા તત્પર છું – ને હવે વાર નથી.
કાયર દેવદાસ એ પ્રેયસીનો બત્રીસો ચડી જવા દે છે. પછી બસ, શરાબીમાં ડૂબે છે. હિંદભરની જાત્રાઓ કરવા રેલગાડીમાં કાળી દોડાદોડ મચાવે છે, તાવમાં સળગે છે, મરે છે, વગરે વગેરે...
કારણ કે દેવદાસની ગાંઠે નિર્વિર્ય પ્રણયવેદનાનો વૈભવ માણવાનાં નાણાં હતાં, ગીતો ગાવાની સગવડ હતી, એનો પંથ લીસો અને લપટ હતો, અને એને જવાબદારીનું ભાન નહોતું.
પાંચ કુંટુંબીઓનાં પેટ ફરવાની ફરજ અદા કરતો છૂપી ઉરવ્યથાઓને પોતાના અંતરને ઊંડાણે સંઘરનાર કોઈ દેવદાસ આપણાં ચિત્રપટો પર જે દિવસે સર્જાશે તે દિવસ દૂર છે. એવું સફળ સર્જન પેલી કન્યાના પાત્રમાં થઈ શક્યું છે. દ્વિધા-જીવન જીવી જાણનારી એ યુવતીનો કરૂણ અંજામ જગતની કૈંક આંખોમાં ચિરગુંજન કરશે.
રિવ્યુ સમાપ્ત. મેઘાણીના આ દષ્ટિકોણ સાથે અસહમત થવાનો પ્રશ્ન જ ઉઠતો નથી, ખરું?
0 0 0 


Friday, January 20, 2017

સર્જક, સર્જન, મૃત્યુ અને કીર્તિનું ગણિત સમજાય એવું હોતું નથી!

Sandesh - Ardh Saptahik Purti - 18 Jan 2017
ટેક ઓફ
વર્જિનિયા વુલ્ફ ડિપ્રેશનથી પીડાતાં હતાં. તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું તેનાં બે જ અઠવાડિયા પહેલાં જ ‘બિટવીન ધ એકટ્સ’ નામની નવલકથા લખવાનું કામ પૂરું કર્યું હતું.

વિશ્વવિખ્યાત રશિયન-અમેરિકન લેખિકા એન રેન્ડની સર્વપ્રથમ નવલકથા ‘આઈડીઅલ’ તેમનાં મૃત્યુનાં ૩૪ વર્ષ પછી, છેક ૨૦૧૫માં બહાર પડી. આ આખા ઘટનાક્રમ વિશે આપણે ગયા બુધવારે વિગતવાર વાત કરી હતી.  એક સજ્જ, પ્રમાણિક લેખક શા માટે પોતાના સર્જનને કયારેક લોકોની સામે મૂકવાનું પસંદ કરતો નથી? શા માટે અમુક ઉત્તમ કૃતિઓ સર્જકના મૃત્યુ પછી પ્રકાશમાં આવે છે? આનાં અનેક કારણો હોઈ  શકે છે.
નોબલ પ્રાઈઝ વિનર અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની આત્મકથનાત્મક કૃતિ  ‘અ મૂવેબર ફીસ્ટ’ તેમની આત્મહત્યાના ત્રણ વર્ષ પછી બહાર પડી હતી. હેમિંગ્વએ ચાર લગ્નો કર્યાં હતાં. બાવીસ વર્ષે પહેલાં લગ્ન કર્યાં બાદ ૧૯૨૦ના દાયકમાં તેઓ પત્ની સાથે પેરિસ શિફ્ટ થઈ ગયા હતા. અહીં તેઓ એક અખબારના ફોરેન કોરસપોન્ડન્ટ તરીકે કામ કરતા હતા. ‘અ મુવેબલ ફીસ્ટ’માં તેમણે પેરિસ શહેર વિશે, પોતાનાં નવા નવા લગ્નજીવન વિશે અને લેખક બનવાના પોતાના પ્રયાસો વિશે ખૂલીને લખ્યું છે. માનસિક બીમારીઓનો ભોગ બની ચૂકેલા હેમિંગ્વેએ રિવોલ્વરથી આત્મહત્યા કરી ત્યારે તેઓ ૬૨ વર્ષના હતા. ‘અ મૂવેબલ ફીસ્ટ’ પુસ્તક્ એમની ચોથી પત્નીએ એડિટ કરીને છપાવ્યું હતું.
બ્રિટિશ લેખિકા વર્જિનિયા વૂલ્ફ્ની કહાણી પણ કંઈક અંશે હેમિંગ્વે જેવી જ છે. બંને સમકાલીન હતાં. વર્જિનિયા ડિપ્રેશનથી પીડાતાં હતાં. તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું તેનાં બે જ અઠવાડિયા પહેલાં જ ‘બિટવીન ધ એકટ્સ’ નામની નવલકથા લખવાનું કામ પૂરું કર્યું હતું.
જર્મન વાર્તાકાર-નવલકથાકાર ફ્રાન્ઝ કાફ્કા ફ્કત ચાલીસ વર્ષ જીવ્યા. તેઓ ઇન્શ્યોરન્સ ઓફ્સિર તરીકે કામ કરતા રહૃાા અને બાકીના સમયમાં ચુપચાપ લખતા રહૃાા. જીવતેજીવ તેમણે પોતાનું એકપણ લખાણ ન છપાવ્યું. તેઓ તો ઇચ્છતા હતા કે મૃત્યુ પછી તેમની તમામ હસ્તપ્રતો બાળી નાખવામાં આવે, પણ એક જાણકાર મિત્રે એમની આ  મરણોત્તર ઇચ્છા ધરાર પૂરી ન કરી. તેમણે કાફ્કાનું લખાણ છપાવ્યું અને કાફ્કા વીસમી સદીના સૌથી પ્રભાવશાળી લેખક તરીકે પ્રતિષ્ઠા પામ્યા! કાફ્કાની જેમ એન ફ્રેન્ક પણ જર્મન હતાં, જેમણે તરુણવયે લખેલી નોંધપોથી ‘અ ડાયરી ઓફ્ અ યંગ ગર્લ’ જગમશહૂર બની ગઈ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એન ફ્રેન્ક એમના પરિવાર સાથે કેવી રીતે બે વર્ષ સુધી નાઝીઓની નજરથી બચીને જેમતેમ જીવતાં રહૃાાં તેની બહુ જ હ્ય્દયસ્પર્શી વાત આ પુસ્તકમાં છે. એન ફ્રેન્કનો પરિવાર આખરે પકડાઈ ગયેલો. સૌને કોન્સન્ટ્રેશન કેમ્પમાં ધકેલી દેવામાં આવ્યા. ત્યાં જ એન ફ્રેન્કે જીવ ખોયો. એન ફ્રેન્કની ઇચ્છા હતી કે એમની ડાયરી છપાઈને લોકો સુધી પહોંચે. દીકરીની આ ઇચ્છા પછી એમના પિતાએ પૂરી કરી. આખા પરિવારમાંથી એક માત્ર એમના પિતાજી જીવતા રહી શકયા હતા.
ઓસ્કરવિનિંગ ‘અ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ’ (૨૦૧૧) ફ્લ્મિ આપણે થિયેટરમાં જોઈ શકયા નહોતા, કેમ કે તેના કંપાવી મૂકે એવા સેકસ્યુઅલ હિંસાનાં દશ્યો સામે આપણા સેન્સર બોર્ડને વાંધો પડી ગયો હતો. આ ફ્લ્મિ આ જ ટાઈટલ ધરાવતી નવલકથા પરથી બની છે. એના સ્વીડિશ લેખક સ્ટીગ લાર્સન જાણીતા પત્રકાર હતા, જે માત્ર શોખ ખાતર નવલકથાઓ લખતા. સ્ટીગે ત્રણ ક્રાઈમ-નોવેલ્સની શૃંખલા લખી હતી –  ‘ધ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ’, ‘ધ ગર્લ હુ પ્લેય્ડ વિથ ફાયર’ અને ‘ધ ગર્લ હુ કિકડ ધ હોર્નેટ્સ નેસ્ટ’. ૨૦૦૪માં પચાસ વર્ષની વયે સ્ટીગનું મૃત્યુ થયું પછી આ કૃતિઓ અચાનક એમની ગર્લફ્રેન્ડની નજરે ચડી. એણે આ નવલકથાઓ છપાવી, જે ઇન્ટરનેશનલ બેસ્ટસેલર બની.

આ તો થઈ વિદેશી લેખકોની વાતો. ગુજરાતી સાહિત્યજગતમાં કઈ કૃતિઓ લેખકના મૃત્યુ બાદ વિખ્યાત બની છે? કવિ નર્મદે (૧૮૩૩-૧૮૮૬) પોતાની આત્મકથા ‘મારી હકીકત’ લખીને છપાવી રાખેલી, પણ તેમની ઇચ્છા હતી કે આ પુસ્તક એમના મૃત્યુ પછી જ બજારમાં મૂકાય. એવું જ થયું. આપણી ભાષાના મહાન સાક્ષર એવા મણિલાલ નભુભાઈ દ્વિવેદી (૧૮૫૮-૧૮૯૮)એ સોળેક વર્ષ સુધી નિરંતરપણે અંગત ડાયરી લખી હતી. કેમય કરીને દમન ન થઈ શકતી પોતાની હવસવૃત્તિ, ગુપ્તરોગો, પત્ની સાથેના સંબંધો વગેરે વિશેનું એમનું લખાણ એવું હેબતાવી દે એવું છે કે આપણને થાય કે એક લેખક, ચિંતક અને લોકશિક્ષક તરીકે કીર્તિ પામેલા માણસનું અંગત જીવન આટલું કુરુપ કેવી રીતે હોઈ શકે? ૧૯૭૯માં મણિલાલનું ‘આત્મચરિત્ર’ બહાર પડયું ત્યારે હોબાળો મચી ગયો હતો, જે સ્વાભાવિક હતો.
ડાયરીલેખન તો ગાંધીજીના અંગત મદદનીશ એવા મહાદેવ દેસાઈએ પણ કર્યું હતું, પણ અલગ પ્રકારનું. ૧૯૪૨માં તેમના નિધન થયું તે પછી છ વર્ષે  ‘મહાદેવભાઈની ડાયરી’નો પહેલો ભાગ બહાર પડયો. ૧૯૮૦ સુધી ક્રમશઃ સત્તર ભાગ પ્રકાશિત થતા ગયા. 
માત્ર છવ્વીસ વર્ષનું આયુષ્ય પામેલા કવિ કલાપીની તમામ કાવ્યરચનાઓ તેમના મૃત્યુ બાદ પ્રગટ થઈ હતી. ‘કલાપીનો કેકારવ’ સંગ્રહનું મરણોત્તર પ્રકાશન મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાન્તના હાથે થયું હતું. યોગાનુયોગ જુઓ. કાન્ત પોતાના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ને જોવા પામ્યા ન હતા. ૧૬ જૂન ૧૯૨૩ના રોજ  ‘પૂર્વાલાપ’ બહાર પડયો અને એ જ દિવસે એમનું મૃત્યુ થયું. કલાપીની જેમ રાવજી પટેલ પણ સાવ કાચી વયે મૃત્યુ પામ્યા હતા – ૨૯ વર્ષે. રાવજી પટેલના ‘અંગત’ અને મણિલાલ દેસાઈના ‘રાનેરી’ કાવ્યસંગ્રહનું મરણોત્તર પ્રકાશન થયું હતું.
૧૯૬૪માં ધૂમકેતુનું નિધન થવાથી એમની ‘ધ્રૂવદેવી’ નામની ઐતિહાસિક નવલકથા અધૂરી રહી ગઈ હતી. ગુણવંતરાય આચાર્યે આ નવલકથા પૂરી કરવાના આશયથી હાથમાં લીધી હતી. ત્રણેક પ્રકરણો લખ્યાંય ખરા, પણ તેમનું ય અવસાન થઈ જતાં નવલકથા પાછી અધૂરી રહી ગઈ. આખરે ધૂમકેતુના પુત્ર દક્ષિણકુમાર જોષીએ આ નવલકથા અપૂર્ણ સ્વરુપમાં પ્રગટ કરી. રમણલાલ વસંતલાલ દેસાઈની ‘ત્રિશંકુ’ નવલકથા તેમના મૃત્યુ બાદ બહાર પડી હતી. ઝવેરચંદ મેઘાણી ૮ માર્ચ ૧૯૪૭ના રોજ મૃત્યુ પામ્યા એના એકાદ દિવસ પહેલાં જ તેમણે સંપાદિત કરેલા ‘સોરઠી સંતવાણી’ પુસ્તકના પ્રૂફ જોવા માટે આવ્યા હતા. અણધાર્યા મૃત્યુને કારણે તેમની ‘કાળચક્ર’ નામની નવલકથા અધૂરી રહી ગઈ. આ નવલકથામાં આગળ તેઓ આઝાદ હિંદ ફોજ અને લોકક્રાંતિની વાતોને વણી લેવા માગતા હતા. મેઘાણીના મૃત્યુના એક મહિના બાદ ‘સોરઠી સંતવાણી’ અને ‘કાળચક્ર’ (અપૂર્ણ સ્વરુપમાં) પ્રગટ કરવામાં આવ્યાં. ‘સોરઠી સંતવાણી’માં સંગ્રહાયેલાં પ્રાચીન ભજનોની સીડી આગામી માર્ચમાં બહાર પડવાની છે, મેઘાણીની ૭૦મી પુણ્યતિથિએ.
સર્જક, સર્જન, મૃત્યુ અને કીર્તિનું ગણિત ખરેખર સમજાય એવું હોતું નથી!
0 0 0 

Tuesday, August 30, 2016

‘કવિ' શબ્દ હવેથી અમે જાળવીને વાપરીશું...

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - 3૧ ઓગસ્ટ  ૨૦૧૬ 

ટેક ઓફ

રવીન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ મેઘાણી ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? આ બન્ને શબ્દસ્વામીઓ વચ્ચે સંબંધ કેવી  રીતે સ્થપાયો અને વિસ્તર્યો હતો? 


ઝવેરચંદ મેઘાણી

ભારતના બે ઉત્તમોત્તમ સાહિત્યપુરુષોનાં જન્મ-મૃત્યુદિન ઓગસ્ટ મહિનામાં પડે છે. રવીન્દ્રનાથ ટાગોરનો મૃત્યુદિન ૭ ઓગસ્ટ હતો, જ્યારે ઝવેરચંદ મેઘાણીનો જન્મદિન હજુ ત્રણ દિૃવસ પહેલાં જ ગયો - ૨૮ ઓગસ્ટ. ટાગોરે ૮૦ વર્ષની ભરપૂર ઉંમરે દૃેહ છોડ્યો હતો.  એમના અવસાન બાદ છ વર્ષે, ૧૯૪૭માં, મેઘાણીનુ નિધન થયું.

(નોંધઃ આજના 'સંદેશ' અખબારમાં છપાયેલા આ લેખમાં હકીકતદોષ રહી ગયો છે. 28 ઓગસ્ટનો ઉલ્લેખ મેઘાણીના જન્મદિનને બદલે મૃત્યુદિન તરીકે થયો છે. સ્લિપ-ઓફ-પેન  (અથવા કી-બોર્ડ) આને જ કહેતા હશે. ક્ષમસ્વ.)  

આ બન્ને શબ્દૃસ્વામીઓ ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? તેમની વચ્ચે કેવી રીતે પ્રત્યક્ષ સંબંધ સ્થપાયેલો અને વિકસેલો? આ સવાલોના જવાબમાં ઝવેરચંદૃના પૌત્ર પિનાકી મેઘાણીએ તારવેલી વિગતો ખરેખર માણવા જેવી છે.
ઝવેરચંદૃ મેઘાણીના મોટા ભાઈ કલકત્તામાં સ્થાયી થયા હતા. તેઓ બીમાર પડતા બાવીસ વર્ષના જુવાનજોધ મેઘાણીએ ૧૯૧૮માં ઓિંચતા કલકત્તા જવું પડેલું. રોકાણ લંબાતા જીવણલાલ એન્ડ કંપની નામની એલ્યુમિનિયમનાં વાસણો બનાવતા કારખાનામાં કામ કરવા લાગ્યા. રસ્તાઓ પર ફરતા હોય ત્યારે એમની આંખો દૃુકાનોના સાઈનબોર્ડ્સ પર સરકતી રહે. બંગાળી અક્ષરો સાથે પરિચય કેળવાતો ગયો. સભાનતાપૂર્વક બંગાળી ભાષા શીખવાનું શરુ કર્યુ. ક્રમશ: બંગાળી સાહિત્યના સીધા સંપર્કમાં આવવાનું થયું. કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાહિત્ય પ્રત્યે આદૃરભાવ કેળવાવો સ્વાભાવિક હતો.

મેઘાણીની સર્વપ્રથમ પ્રકાશિત પુસ્તક ‘કુરબાનીની કથાઓ'ના મૂળમાં ટાગોર જ છેને. ૧૯૦૦મા ટાગોરનું ‘કથા ઉ કાહિની' નામનું પુસ્તક પ્રગટ થયેલું. તેમાં એમણે શીખ, રાજપૂત, બૌદ્ધ, મરાઠા નરબંકાઓના સ્વાર્પણ તેમજ ત્યાગને ઉજાગર કરતા કથાગીતો લખ્યાં હતાં. મેઘાણીએ એમાંથી અઢાર ચોટદૃાર ઘટનાઓ પસંદૃ કરી, તેને ગદ્ય સ્વરુપમાં આપી, ‘કુરબાની કથાઓ'માં સંગ્રહિત કરી. ટાગોરનું ઋણ સ્વીકારતાં મેઘાણીએ લખ્યું છે: ‘આ મારું પહેલું પુસ્તક છે એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે મારા માટે વાચકજગતમાં અજવાળું કરી આપ્યું એ ગુણ હું કેમ ભુલી શકું?'

Meghani with Nandlal Bose


ટાગોર અને મેઘાણીનો સૌથી પહેલો વ્યવસ્થિત મેળાપ કલકત્તામાં નહીં, પણ મુંબઈમાં થયો હતો, ૧૯૩૩માં. કવિવરના અંતરંગ સાથી અને વિખ્યાત ચિત્રકાર નંદૃલાલ બોઝે ખાસ ભલામણ કરેલી: ઝવેરચંદૃ મેઘાણીને મળીને ગુજરાતના લોકસાહિત્યનો આસ્વાદૃ ખાસ માણવા જેવો છેે! ટાગોરના ગુજરાતી શિષ્યો બચુભાઈ શુકલ અને પિનાકીન ત્રિવેદૃીએ મુલાકાત ગોઠવી. નિર્ધારિત દિૃવસે સવારના સાડાસાત વાગે ફોર્ટ સ્થિત સર દૃોરાબજી ટાટા પેલેસમાં ઉતરેલા ટાગોરને મળવા મેઘાણી પહોંચી ગયા. મુલાકાત માટે માંડ અડધો કલાક ફાળવવામાં આવેલો, પણ આટલા ઓછા સમયમાંં મેઘાણીની ધોધમાર પ્રતિભા કેવી રીતે ઝીલાય? ગુજરાતના લોકસાહિત્ય, લોકજીવન અને લોકસંસ્કૃતિની શૌર્ય-શૃંગારથી ભરપૂર વાતો તેમજ લોકગીતોની મેઘાણીએ એવી તો રમઝટ બોલાવી કે ટાગોર પ્રસન્ન થઈ ગયા. મેઘાણીએ ગુજરાત અને બંગાળનાં લોકગીતોની તુલનાત્મક વાતો પણ કરી. ટાગોર ઝુમી ઉઠ્યા. સપાટામાં દૃોઢ કલાક વીતી ગયો.

બે સાચા સાહિત્યસંગીઓનો સંવાદૃ સોળે કળાએ ખીહ્લયો હતો બરાબર તે જ વખતે તેજલિસોટા જેવી એક માનુની  પ્રગટ થઈ. એ હતાં સરોજિની નાયડુ. કવિવરે એમને નવ વાગ્યાનો સમય આપેલો. મુલાકાત-ખંડમાં જે પ્રકારનો માહોલ છવાયેલો હતો તેના પરથી સરોજિની નાયડુ તરત પરિસ્થિતિ કળી ગયાં. એમણે કહ્યું, ‘આવી રસભરી ગોઠડીમાં ભંગ પાડતા મારો જીવ ચાલતો નથી. મારો સમય હું મેઘાણીને ફાળવું છું!' જતાં જતાં તેઓ ભલામણ સુધ્ધાં કરતાં ગયાં કે મેઘાણીને તો ખુદૃ ગાંધીજીએ ‘રાષ્ટ્રીય શાયરનું બિરુદૃ આપ્યું છે એટલે ગુરુદૃેવ, મેઘાણી પાસેથી એમણે રચેલાં દૃેશપ્રેમનાં ગીતો ખાસ સાંભળજો!

બોલપુર રેલવે સ્ટેશન પર ઝવેરચંદ મેઘાણીનું ભાવભીનું સ્વાગત 

વાતવાતમાં ટાગોરે કહ્યું કે હું કાઠિયાવાડ બે વાર આવી ગયો છું. વિરમગામ વટાવતાંની સાથે જ જે રીતે છોગાળી પાઘડીઓ અને હવામાં ઉડ-ઉડ કરતી ઓઢણીઓ દૃેખાવા લાગી હતી ને જોતાં લાગતું હતું કે જાણે હું કોઈક રંગપ્રેમી પ્રદૃેશમાં આવી ગયો છું!  મેઘાણીએ કહેલું: ‘ગુરુદૃેવ, બેય વખતે તમે કાઠિયાવાડી રાજવીઓના મહેમાન બનીને આવ્યા હતા એટલે તળપદૃું લોકજીવન તમારાથી દૃૂર રહી ગયું. હવે ત્રીજી વાર આવો ત્યારે એવી રીતે આવજો કે જેથી આ ભૂમિના લોકસંસ્કાર અને લોકવાણીથી નિકટ રહી શકાય. કાઠિયાવાડ તમને નિતનવાં ગીતો, કાવ્યો અને કથાઓની અખૂટ સામગ્રી આપશે...'

ટાગોરે જવાબ આપ્યો, ‘કાઠિયાવાડ આવવાનું મન તો બહુ છે, પણ હવે તો કોણ જાણે... પણ એમ કર, તું જ શાંતિનિકેતન આવ. આપણે બેઉ ગુજરાતી અને બંગાળી લોકગીતોની મેળવણી કરીશું ને ચૂંટીને અંગ્રેજી અનુવાદૃ સાથે પ્રગટ કરીશું. જરુર આવ તું... પણ હા, શિયાળામાં આવજે. ઉનાળો અમારે ત્યાં બહુ આકરો.'

આ ઠાલી ઔપચારિકતા નહોતી. કલકત્તા પરત ગયા બાદૃ ગુરુદૃેવે નંદૃલાલ બોઝ મારફતે મેઘાણીને શાંતિનિકેતન આવવાનું વિધિસર નિમંત્રણ મોકલ્યું હતું. જોકે ટાગોર-મેઘાણીની પહેલી અને બીજી મુલાકાત વચ્ચે આઠ વર્ષનાં વહાણાં વાઈ ગયાં. ૧૯૪૧માં શાંતિનિકેતનના વિદ્યાર્થી સંગઠન તરફથી ગુજરાતનાં લોકસાહિત્ય અને લોકગીતો પર ચાર વ્યાખ્યાન આપવા માટે મેઘાણીને ફરી આમંત્રણ મળ્યું. મેઘાણી મૂંઝવણમાં મૂકાયા. એક બાજુ તેઓ ગુજરાતના લોકસાહિત્યને આંતરપ્રાંતીય દૃુનિયામાં લઈ જવા માગતા હતા. એમને ખાતરી હતી કે અન્ય પ્રાંતોના લોકસાહિત્યની સરખામણીમાં આપણું સાહિત્ય જરાય ઊતરતું પૂરવાર નહીં થાય. બીજી તરફ તેમના મનમાં સંકોચ મિશ્રિત ડર હતો કે એક વિશ્ર્વકવિના ગાને રસાયેલી ને પોષાયેલી શાંતિનિકેતન જેવી મહાન સંસ્થા સામે હું ખડો રહી શકીશ? છેવટે તેમણે નક્કી કર્યું: ‘હું ટાગોરનો કરજદૃાર છું. આઠ વર્ષનું વ્યાજ ચડ્યું છે. મારા ઈષ્ટ વિષયનું શ્રેય, તેમ મારી પ્રગતિશીલતાની કસોટી પણ ત્યાં જઈ સુવર્ણતુલાએ ચડી તોળાવામાં જ છે.'

મેઘાણી.. રતન-કુટિર પાસે
આખરે નિમંત્રણને નમ્ર સ્વીકાર કરીને મેઘાણીએ ૧૨ માર્ચ ૧૯૪૧ના રોજ ટાગોરની કર્મભૂમિ શાંતિનિકેતનમાં પગ મૂક્યો. બોલપુર એમનું ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યુંં. એકદૃમ ખાસ ગણાતા યુરોપિયન ગેસ્ટહાઉસ ‘રતન-કુટિર'માં એમને માનભેર ઉતારો અપાયો. શાંતિનિકેતનના નવ દિૃવસના રોકાણ દૃરમિયાન  મેઘાણીએ અંગ્રેજીમાં ચાર પ્રવચનો આપ્યાં: ફોક સોંગ્સ ઓફ ગુજરાત, ટેલ્સ ટોલ્ડ ઈન વર્સ (ગરબા-ગીતોમાં નિરુપાયેલી જીવનકથાઓ), ધ બાર્ડિક લોર (ચારણી વાણી) અને ફોકલોર: અ લિિંવગ ફોર્સ (લોકસાહિત્ય: એક જીવંત શકિત).


શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


ઓડિયન્સમાં યુપી અને આંધ્રનાં, હિમાલય અને િંસહલદ્વિપનાં, રાજપુતાના અને પંજાબ-િંસધ-બિહારનાં યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હતાં. ચીન, જાવા અને સુમાત્રાના સ્ટુડન્ટ્સ પણ હતા. વ્યાખ્યાનોની પૂર્વભૂમિકા બાંધતા મેઘાણીએ કહ્યું, 'મારા ગુજરાતના નવઘડતરમાં જે થોડાં બળો કામ કરી રહેલ છે તે પૈકીનું એક આ લોકસાહિત્ય. મારી જન્મદૃાત્રી ગુજરાતના ભૂતકાળનો પરિચય દૃેનાર આ લોકસાહિત્યે ઈતિહાસને દૃફતરે ન સચવાઈ શકેલી એવી કેટલીક વાતો જનેતાની અદૃાથી ચીંથરીઓમાં સાચવી રાખી છે, પણ ગુજરાતની કોઈ ગર્વિષ્ઠ વિશિષ્ટતા દૃેખાડવા, ગુજરાતના ન્યારાપણાના બણગાં ફૂંકવા હું નથી આવ્યો. લોકવાણીનો ઝોક સહિયારાપણા પર હોય છે. એમાં હુંકાર નથી. હું તો આવું છું ગુરુદૃેવે દૃીધેલ નોતરાના જવાબમાં, લોકવાણીની સમાનતા પકડવા, ટુ કમ્પેર નોટ્સ.'

મેઘાણીના ગાનમિશ્રિત વ્યાખ્યાનોએ ઉપસ્થિત રહેલા દૃેશવિદૃેશના આ સેંકડો વિદ્યાર્થીઓ ઉપરાંત અધ્યાપકોેને પણ મુગ્ધ કર્યા. મેઘાણી પછી એક જગ્યાએ નોંધ્યું છે:

‘...શાંતિથી સહુ સાંભળતા હતા. મારી અને શ્રોતાઓની વચ્ચે એક ભૂમિકા ઊભી થઈ ગઈ ને એ ઝાંખા પ્રકાશમાં મેં નિહાળ્યા અનેક ઉત્કંઠિત, પુલકિત, પારદૃર્શક, પ્રેમલ યુવાન ચહેરાઓ. આસ્થા અને આદૃર તેમના પર પથરાયાં હતાં. એક અજાણ્યા ગુજરાતીની આવડી મોટી ઘૃષ્ટતા પ્રત્યે રંજ માત્ર તુચ્છકાર કે સંકુચિતતા મેં તે ચહેરાઓ પર દૃીઠી નહીં. મારો ડર ગયો.'



શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


મેઘાણી શાંતિનિકેતન હતા એ અરસામાં ગુરુદૃેવ બહુ જ અશકત અને પથારીવશ હતા. ઝાઝું જોઈ કે સાંભળી શકતા નહીં. નંદૃલાલ બોઝે મેઘાણીને કહ્યું, ‘ચાલો, કવિવરને મળવા. અશકિતને કારણે થોડાંને જ મળે છે, પણ તમને મળીને રાજી થશે. મેઘાણીએ કહ્યું, 'મારે એમની શકિત નથી બગાડવી. કોઈક વધારે મહત્ત્વના કાર્યમાં એ ખપ લાગશે. નંદૃલાલ બોઝ સાથે ગુરુદૃયાલ મલ્લિકે પણ અતિ આગ્રહ કર્યો એટલે મેઘાણી ગુરુદૃેવના તે વખતના નિવાસસ્થાન ‘શ્યામલી'ના પગથિયાં સુધી જઈ, ત્યાંથી જ ચરણરજ લઈને પાછા ફર્યા. જતાં જતાં સંદૃેશો છોડતા ગયા: ‘ગુરુદૃેવને કહેજો, મેઘાણી આવેલ ને આપને આપેલ વચન નિભાવીને ગયેલ છે...'

૧૯૪૧ના માર્ચમાં મેઘાણીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી ને એના ફકત સાડાચાર મહિના પછી, ૭ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ રવીન્દ્રનાથ ટાગોરનું મૃત્યુ થયું. મેઘાણી ખૂબ આઘાત પામ્યા. કવિવરને ભાવપૂર્વ અંજલિ આપતા એમણે લખ્યું હતું: ‘તમે કવિ હતા. ‘કવિ' શબ્દૃ હવેથી અમે જાળવીને વાપરશું.'

૧૯૨૦માં કલકત્તામાં ટાગોરના મુખેથી એમનું લોકપ્રિય કાવ્ય ‘નવવર્ષા સાંભળ્યું હતું. એ કાવ્ય સતત મેઘાણીના મન-હૃદૃયમાં રમતું રહ્યું હતું. આખરે ટાગોરના મૃત્યુનાં ત્રણ વર્ષ બાદૃ, ૧૯૪૪માં, મેઘાણીએ તે કાવ્યનો ગુજરાતીમાં અનુવાદૃ નહીં, પણ અનુસર્જન કર્યું. આ એ જ ગીત છે જે સાંભળીને આપણે આજની તારીખે પણ થનગની ઉઠીએ છીએ: 'મન મોર બની થનગાટ કરે...'  આ ગીત વાસ્તવમાં ટાગોરની ત્રીજી પુુણ્યતિથિએ પ્રગટ કરેલાં ‘રવીન્દ્ર વીણા' પુસ્તકનો અંશ છે. મેઘાણીએ આ પુસ્તકમાં ૬૪ જેટલાં રવીન્દ્ર-કાવ્યોને ગુજરાતીમાં અવતાર્યાં, જેમાં 'મન મોર બની થનગાટ કરે' ઉપરાંત ‘ગાજે ગગને મેહુલિયો રે', ‘આવજો આવજો વાલી બા', ‘કોઈ દૃી સાંભરે નૈ', ‘ગામના લોકો મૂરખા રે એને કાળવી કે'તા રે' જેવી અન્ય જાણીતી રચનાઓ પણ છે.

મેઘાણી પચાસ વર્ષ જીવ્યા હતા. ફકત પચાસ વર્ષ! જે માણસ આટલા ટૂંકા જીવનમાં આટલું વિરાટ કામ કરી શક્યો એ જો ટાગોરની માફક  દૃીર્ઘાયુષ પામ્યો હોત તો આજે ગુજરાતી સાહિત્ય કેટલું વધારે સમૃદ્ધ હોત તે મીઠી કલ્પનાનો વિષય છે.

0 0 0