Showing posts with label Anandmurti Guruma. Show all posts
Showing posts with label Anandmurti Guruma. Show all posts

Wednesday, October 31, 2018

આદત, શિસ્ત અને આપણે

દિવ્ય ભાસ્કર - કળશ પૂર્તિ- 31 ઓક્ટોબર 2018 
ટેક ઓફ
પ્લીઝ, એક વાત સમજી લો કે સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી. એ હંમેશાં નહીં રહે. જો તમે સવારે વહેલા નથી ઊઠતા, યોગ-પ્રાણાયમ નથી કરતા તો તમે પ્રકૃતિ સાથે કરેલો કોન્ટ્રેક્ટ તોડી રહ્યા છો. એક દિવસ તમે પકડાઈ જશો ને તમારી પાસેથી તમારું શરીર પાછું લઈ લેવામાં આવશે.’ 


  
રદાર વલ્લભભાઈ પરોઢિયે અચૂકપણે ઉઠી જતા. વહેલી સવારે સાડાચારથી સાડાછ - આ બે કલાક તેઓ બ્રિસ્ક વોકિંગ એટલે કે ઝડપથી ચાલવાની કસરત કરતા. આ સમયગાળા કોઈને પણ સરદાર પટેલને મળવાની, એમની સાથે વાત કરવાની છૂટ. શરત એટલી કે એણે સરદાર સાથે કદમમાં કદમ મિલાવવા પડે. વલ્લ્ભભાઈની ચાલવાની ઝડપ એટલી બધી રહેતી કે સામેના માણસે બાપડાએ લગભગ દોડવું પડતું. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં જ્યારે ડોક્ટરે મોર્નિંગ વોક લેવાની મનાઈ ફરમાવી છેક ત્યારે એમણે આ રુટિન પર પૂર્ણવિરામ મૂક્યું. સરદાર પટેલ 75 વર્ષનું એવું સુપર એક્ટિવ અને પ્રેરણાદાયી જીવન જીવ્યા કે એમના મૃત્યુના 68 વર્ષ પછી એમની એક ભવ્યાતિભવ્ય પ્રતિમા બનાવવી પડે છે (જેનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે) અને જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા હોવાનો જશ ખાટી જાય છે.    

આપણને વોટ્સએપમાં વારંવાર અથડાયા કરતું હોવાથી આ વાક્ય સાવ પ્રભાવહીન થઈ ગયું છે, પણ એમાં જે સત્ય સમાયેલું છે એ પ્રચંડ છે. વાક્ય આ છેઃ આપણા વિચારોથી આપણો હેતુ ઘડાય છે, હેતુ આપણી પ્રવૃત્તિઓ નક્કી થાય છે, પ્રવૃતિઓથી ટેવ બને છે, ટેવો આપણું ચારિત્ર્ય ઘડે છે અને ચારિત્ર્ય આપણું પ્રારબ્ધ નક્કી કરે છે! માણસ જીવનમાં જે બને છે અથવા જે બની શકતો નથી એમાં એણે કેળવેલી યા ન કેળવેલી આદતોનો સિંહફાળો હોય છે.

એક વાત વારંવાર વાંચવા-સાંભળવામાં આવે છે કે નવી ટેવ પાડવા માટે ફક્ત ૨૧ દિવસ જોઈએ. લાગલગાટ ત્રણ વીક સુધી રોજેરોજપૂરેપૂરી નિષ્ઠાથી જેની આદત પાડવી છે તે ક્રિયાને વળગી રહો તો તે તમારી પર્સનાલિટીનો ભાગ બની જશેતમારો સ્વભાવ બની જશે!

ખરેખર? ફક્ત ૨૧ દિવસજે આરામપ્રિય મહાઆળસુ માણસ જિંદગીમાં સો મીટર પણ ચાલ્યો નથી તે ગમે તેમ કરીને ૨૧ દિવસ સુધી રોજની પોણી કલાક મોર્નિંગ વોક લઈ આવે એટલે બાવીસમા દિવસથી એને ચાલવાની સજ્જડ આદત પડી જશેપોતાની જાતને બિલકુલ ધક્કા નહીં મારવા પડેના.૨૧ દિવસવાળી આ થિયરી ભ્રામક છેએક 'મિથછે તે એક કરતાં વધારે અભ્યાસોમાં પુરવાર થયું છે. સવાલ એ છે કે તો પછી આ ૨૧ દિવસનો આંકડો આવ્યો ક્યાંથીજાણભેદુઓએ ખાંખાંખોળાં કરીને આ થિયરીનાં મૂળિયાં શોધી કાઢયાં છે. ડો. મેક્સવેલ માલ્ટ્ઝ નામના એક અમેરિકન કોસ્મેટિક સર્જ્યને ૧૯૬૦માં 'સાયકો-સાયબરનેટિક્સ' નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. તેમાં એમણે લખ્યું હતું કે, 'પેશન્ટના ચહેરાની પ્લાસ્ટિક્ સર્જરી થાય પછી નવા ચહેરાથી ટેવાતા ૨૧ દિવસ લાગે છે. હાથ કે પગ વાઢી નાખવામાં આવ્યા પછી પેશન્ટને ૨૧ દિવસ સુધી ફીલિંગ થતી રહે છે કે કાપી નંખાયેલું અંગ હજુ ત્યાં જ છે. જૂની મેન્ટલ ઇમેજને ભૂંસાતા અને નવી મેન્ટલ ઇમેજને સ્થિર થતાં ઓછામાં ઓછા ૨૧ દિવસ લાગી જાય છે.

આમડો. મેક્સવેલે ૨૧ દિવસવાળી વાત મુખ્યત્વે પ્લાસ્ટિક સર્જરીના સંદર્ભમાં કરી હતીપણ કાળક્રમે તેને જનરલાઈઝ્ડ કરી નાખવામાં આવી. ટૂંકમાં૨૧ દિવસમાં નવી આદત ઘડાય તે વાત ખોટી. ઠીક છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ૨૧ નહીં તો વધારાના કેટલા દિવસમાં હેબિટ ફોર્મ થાયઆના અનેક પ્રયોગો થયા છે. એક પ્રયોગમાં પાર્ટિસિપન્ટ્સને હેલ્થને લગતી કોઈ આદત જાતે પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. ભાગ લેનારાઓનું ૮૪ દિવસ સુધી નિરીક્ષણ ક્રવામાં આવ્યું. અમુક પાર્ટિસિપન્ટ્સને ૧૮ દિવસમાં ટેવ પડી ગઈઅમુકને પૂરા ૮૪ દિવસ લાગ્યા. ટેવ પડવા માટે જરૂરી દિવસોનો સરેરાશ આંકડો ૬૬ આવ્યો. ટેવ કઈ વસ્તુની પાડવી છે તે પરિબળ સૌથી મહત્ત્વનું છે. રોજ એક લિટર પાણી અચૂક પીવા જેવી સાદી બાબત હોય તો જલદી ટેવ પડી જાય. રોજ એક કલાક જોગિંગ-રનિંગ કરવા જેવી કઠિન આદત માટે લાંબો સમય જોઈએ.


દંતકથારૂપ બની ગયેલા અને ૯૮ વર્ષનું રસિક જીવન જીવનારા અંગ્રેજી પત્રકાર-લેખક ખુશવંત સિંહે 'ખુશવંતનામાઃ ધ લેસન્સ ઓફ માય લાઇફ' નામનાં પુસ્તકમાં આપેલી લાંબું જીવન જીવવાની ટિપ્સ ખાસ્સી પોપ્યુલર બની છે. એમાંની એક ટિપ એવી છે કે, 'સ્પોર્ટ્સમાં રસ લેવો. ટેનિસ, સ્ક્વોશબેડમિન્ટન કે એવું કંઈ પણ રમો. એવું થઈ શકતું ન હોય તો નિયમિતપણે કસરત કરો. એકાદ કલાક ઝડપથી ચાલો, સ્વિમિંગ કરો. દોડી શકતા હો તો ઉત્તમ.'

ખુશવંત સિંહ ખાણીપીણી પર કાપ મૂકવાની પણ સલાહ આપે છે. પીણી એટલે શરાબ. જમવાનો સમય સહેજ પણ આઘોપાછો ન થવો જોઈએ. ખુશવંતસિંહ દિવસની શરૂઆત એક ગ્લાસ ફ્રૂટ જ્યૂસથી કરતા. સવારે સાડા છ વાગ્યે બ્રેકફાસ્ટ પતાવી લે. બ્રેકફાસ્ટ એટલે સાત્ત્વિક બ્રેકફાસ્ટ. રોજેરોજ સવારના પહોરમાં ગાંઠિયા, જલેબીતીખાં મરચાં પર તૂટી નહીં પડવાનું. કાઠિયાવાડીઓ બપોરે બે કલાક ઊંઘીને 'હાલો હવે નવો દિવસ ઊગ્યો' કરતાં નવેસરથી નાસ્તો કરવા બેસે તે પણ ન ચાલે.

આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં આનંદમૂર્તિ ગુરુમાનું નામ અત્યંત પ્રેમ અને આદરથી લેવાય છે. એમણે એમના 'માઇન્ડ મેનેજમેન્ટ' નામના પુસ્તકમાં લખ્યું છે કે,  ‘પ્લીઝ, એક વાત સમજી લો કે સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી. એ હંમેશાં નહીં રહે. તમારે એના માટે બહુ બધું કરવું પડશે. જો તમે એ નહીં કરો તો બહુ જલદી બુઢા થઈ જશો અને જલદી મરી પણ જશો... જો તમે સવારે વહેલા નથી ઊઠતા, યોગ-પ્રાણાયમ નથી કરતા તો તમે પ્રકૃતિ સાથે કરેલો કોન્ટ્રેક્ટ તોડી રહ્યા છો. એક દિવસ તમે પકડાઈ જશો ને તમારી પાસેથી તમારું શરીર પાછું લઈ લેવામાં આવશે.’

ગુરુમાએ સૂર્યોદય પહેલાં જાગી જઈને યોગાસન કરવાનો સુવર્ણ નિયમ સૂચવ્યો છે. તેઓ લખે છે, 'સૂર્યનમસ્કાર, પશ્ર્ચિમોત્તાનાસન, જાનુશીર્ષાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, સર્વાંગાસન, ભુજંગાસન, મંડૂકાસન... બસ આટલાં જ આસાન. વધુ નહીં. જો તમે આટલાં આસન કરો તો તમને ક્યારેય સ્પોન્ડેલાઈટીસ, કમર કે પીઠનો દુખાવો, પાચનતંત્રની તકલીફ, માથાનો દુખાવો, માઈગ્રન નહીં થાય. બ્લડપ્રેશરની વ્યાધિ નહીં થાય... તમે જેટલા યોગાસન, ધ્યાન, પ્રાણાયામ કરતા જશો એમ તમે બેફિકર થવા માંડશો, ગાઢ નિંદ્રા આવવા માંડશેસ વાતોમાં વિહવળ નહીં થાઓ, હતાશ નહીં થાઓ, મુંઝાશો નહીં તેમજ સમસ્યાઓને સાચા પરિપ્રેક્ષ્યમાં જોઈ શકશો.'

આપણે આખરે શું છીએ? આપણી આદતોનો સરવાળો! ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહેવુંસુખની અનુભૂતિ કરતા રહેવી,પોઝિટિવ રહેવું તે પણ એક આદત હોઈ શકે છે. મેથ્યુ રિકેર્ડ નામનો એક ફ્રેન્ચ માણસ સુખની શોધમાં એક દિવસ બધું છોડીને હિમાલય આવીને બૌદ્ધ સાધુ બની ગયો. દલાઈ લામાના ખાસ માણસ ગણાતા મેથ્યુ રિકેર્ડે કેટલાંય પુસ્તકો લખ્યાં છે. તેમને ઘણી વાર 'ધ હેપીએસ્ટ મેન ઈન ધ વર્લ્ડતરીકે સંબોધવામાં આવે છે. સુખ માટે તેઓ મેડિટેશન પર ભાર મૂકે છે. તેઓ કહે છે, 'મેડિટેશનની ટેવ પાડવી પડે છેમનને શિસ્તપૂર્વક કેળવવું પડે છે. આપણે ભણતરમાં જિંદગીનાં પંદર વર્ષ નાખી દઈએ છીએ,ફિટનેસ પાછળ પુષ્કળ શક્તિ ખર્ચીએ છીએપણ જે સૌથી વધારે મહત્ત્વનું છે - આંતરિક શાંતિ અને ખુદના મન પર કાબૂ - એના માટે કોણ જાણે કેમ સમય ફાળવી શકતા નથી. ધ્યાન અને પ્રાણાયામ તો આત્માનો ખોરાક છે.'
આજે, સરદાર પટેલના બર્થડે પર, એમની પ્રતિમાના નિર્માણ પાછળ થયેલા તોતિંગ ખર્ચ કે એવા બધા મુદ્દે સામસામા બાખડતા રહેવાને બદલે એમની મોર્નિંગ વોક જેવી સારી આદતો પર ધ્યાન આપીએ, એને ખુદના જીવનમાં ઉતારવાના નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરીએ. વાત આખરે ટેવ અને શિસ્ત પર જ આવીને અટકે છે, ખરું?
00 


Saturday, April 2, 2016

સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી

 ચિત્રલેખા - અંક તા. એપ્રિલ ૨૦૧૬

 કોલમ: વાંચવા જેવું 

‘પ્લીઝ, એક વાત સમજી લો કે સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી. એ હંમેશાં નહીં રહે. તમારે એના માટે બહુ બધું કરવું પડશે. જો તમે એ નહીં કરો તો બહુ જલદી બુઢા થઈ જશો અને જલદી મરી પણ જશો... જો તમે સવારે વહેલા નથી ઊઠતા, યોગ-પ્રાણાયમ નથી કરતા તો તમે પ્રકૃતિ સાથે કરેલો કોન્ટ્રેક્ટ તોડી રહ્યા છો. એક દિવસ તમે પકડાઈ જશો ને તમારી પાસેથી તમારું શરીર પાછું લઈ લેવામાં આવશે.’ 



 ‘હું ગુરુ નથી, હું ચિકિત્સક છું. હું તમારા ડોક્ટર અને સાઈકિયાટ્રિસ્ટ કરતાં વધુ સારી રીતે તમારા પર કામ કરી શકું છું...’

 આ આનંદમૂર્તિ ગુરુમાના શબ્દો છે અને આજે જેની વાત કરવી છે એ ‘માઈન્ડ મેનેજમેન્ટ’ પુસ્તક એમની આ વાતનું પ્રમાણ છે. ધર્મનાં નામે શરમજનક નૌટંકી કરતા ક્રિમિનલ-માઈન્ડેડ ધર્મગુરુઓ છાશવારે ઉત્પાત મચાવતા રહે છે એવા માહોલમાં આનંદમૂર્તિ ગુરુમા જેવાં જેન્યુઈન અને પ્રભાવશાળી સ્પિરિચ્યુઅલ લીડર્સનું મહત્ત્વ આપોઆપ વધી જાય છે.

 સામાન્ય છાપ તો એવી છે કે કોઈ ધર્મગુરુનું પ્રવચન એટલે આત્મા, પરમાત્મા ને એવી બધી વાતોનું બોમ્બાર્ડિંગ. ગુરુમા આ બીબાઢાળ છાપનો ભાંગીને ભુક્કો બોલાવી દે છે. એ કહે છે:


Anandmurti Guruma
‘ભગવાન જેવું કશુંક છે એ ફક્ત તમારું અનુમાન છે. આત્મા પણ અનુમાનની જ વસ્તુ છે. તો પછી આપણા માટે સચ્ચાઈ કે હકીકત શું છે? તમારી સચ્ચાઈ તમારું શરીર છે, તમારું ઘર છે, તમારી નોકરી છે, તમારી બીમારીઓ છે. તમારી સચ્ચાઈ તમારી વધી ગયેલી સુગર છે, તમારું બ્લડપ્રેશર, તમારો હાર્ટ-એટેક, કબજિયાત, માથાનો દુખાવો, માઈગ્રેન - આ બધા તમારા વાસ્તવિક અનુભવો છે.’

 ગુરુમા સ્પષ્ટપણે કહે છે કે ઈશ્ર્વરને જાણવાનું બાજુએ મૂકો, પહેલાં પોતાનાં મનને જાણો. આ મન કઈ રીતે કામ કરે છે?

 આપણે ચિંતા કરીએ છીએ ત્યારે આપણને ખબર ન પડે એ રીતે રોગ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા પણ સાથે સાથે કરતા હોઈએ છીએ. જ્યારે ક્રોધ કરીએ છીએ ત્યારે આપણી એડ્રિનલ ગ્રંથિ એક્ટિવ થઈ જાય છે. આ ગ્રંથિ એવાં રસાયણ ફેંકે છે જે શરીરને માટે ખૂબ નુક્સાનકારક હોય. દુખ, હતાશા કે ચિંતાને લીધે રાતે ઊંઘ ન આવે તો આખાં શરીરનું તંત્ર ખોરવાઈ જાય છે. એક રાતની અનિદ્રાને કારણે થયેલાં નુક્સાનને ભરપાઈ કરવા શરીરને સાતથી દસ દિવસ સુધી વધારાનું કામ કરવું પડે છે!

 બે ઈન્દ્રિય એવી છે જેના સુખ માટે માણસ ખૂબ કાર્યરત રહે છે. એક છે, જીભ. જીભનું  કામ છે, બોલવું અને સ્વાદ લેવો. બીજી ઈન્દ્રિય છે, જનનેન્દ્રિય. સેક્સની ભૂખ ક્યારેક બુઢાપામાં પણ શમતી નથી. માણસનાં મનમાંથી સેક્સના વિચારો હટવાનું નામ લેતા નથી. આ બે ઈન્દ્રિયો માણસના બધા પૈસા, શક્તિ અને વિચારો પર કબ્જો જમાવી દે છે. ગુરુમા કહે છે કે દરેક વસ્તુ એના સમય, સ્થળ અને જરુરિયાત અનુસાર હોય તો સારી જ છે, પણ સમસ્યા  ત્યારે શરુ થાય છે જ્યારે પ્રમાણભાન જળવાતું નથી. ખોરાક ખાઓ, પણ ખાવા વિશે વિચારતા જ રહો તો એ પ્રોબ્લેમ છે. એ જ રીતે સેક્સ ખરાબ નથી, પણ સેક્સ વિશે વિચારો ચાલતા જ રહે તો એ ગરબડ છે.

 મનમાં બેફામપણે ચાલતા વિચારોને લીધે માણસ સંતાપમાં રહે છે. મનમાં એક વાર નેગેટિવ વિચારોનું ચક્ર શરુ થાય છે પછી જાતે જ ગતિ પકડી લે છે. આપણે એમાં ઘસડાતા રહીએ છીએ અને ફસડાઈ પડીએ છીએ. ગુરમા કહે છે કે જો તમને તમારા પોતાનાં જ માઈન્ડને મેનેજ કરતાં આવડતું ન હોય તો તમારું મન તમને બીમાર કરી દેવા માટે અને મૃત્યુની નજીક લઈ જવા સક્ષમ છે.

 ‘પ્લીઝ, એક વાત સમજી લો કે સ્વાસ્થ્ય એ ફ્રી ગિફ્ટ નથી,’ ગુરુમા આગ્રહપૂર્વક કહે છે, ‘એ હંમેશાં નહીં રહે. તમારે એના માટે બહુ બધું કરવું પડશે. જો તમે એ નહીં કરો તો બહુ જલદી બુઢા થઈ જશો અને જલદી મરી પણ જશો... જો તમે સવારે વહેલા નથી ઊઠતા, યોગ-પ્રાણાયમ નથી કરતા તો તમે પ્રકૃતિ સાથે કરેલો કોન્ટ્રેક્ટ તોડી રહ્યા છો. એક દિવસ તમે પકડાઈ જશો ને તમારી પાસેથી તમારું શરીર પાછું લઈ લેવામાં આવશે.’

ગુરુમા તન-મનને સ્વસ્થ રાખવાના ત્રણ સોનેરી નિયમ આપે છે.



પહેલો નિયમ - સૂર્યોેદય પહેલાં જાગી જાઓ અને યોગાસન કરો. સૂર્યનમસ્કાર, પશ્ર્ચિમોત્તાનાસન, જાનુશીર્ષાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, સર્વાંગાસન, ભુજંગાસન, મંડૂકાસન... બસ આટલાં જ. વધુ નહીં. જો તમે આટલાં આસન કરો તો તમને ક્યારેય સ્પોન્ડેલાઈટીસ, કમર કે પીઠનો દુખાવો, પાચનતંત્રની તકલીફ, માથાનો દુખાવો, માઈગ્રન નહીં થાય. બ્લડપ્રેશરની વ્યાધિ નહીં થાય.

 બીજો સુવર્ણ નિયમ - કરોડરજ્જુ ટટ્ટાર રાખીને બેસો અને પ્રાણાયામ કરો. પ્રાણાયામની સાથે સાથે મંત્રજાપ કરો. ગુરુ પાસેથી મંત્ર લીધો ન હોય તો ‘ઓમ’નો જાપ કરો. મંત્રના ધ્વનિતરંગોથી તમારી એન્ડોક્રાઈનલ સિસ્ટમ (વિવિધ શારીરિક ગ્રંથિઓની કાર્યપ્રણાલિ) સંતુલિત રહે છે.

 તમે જેટલા યોગાસન, ધ્યાન, પ્રાણાયામ કરતા જશો એમ તમે બેફિકર થવા માંડશો, ગાઢ નિંદ્રા આવવા માંડશેસ વાતોમાં વિહવળ નહીં થાઓ, હતાશ નહીં થાઓ, મુંઝાશો નહીં તેમજ સમસ્યાઓને સાચા પરિપ્રેક્ષ્યમાં જોઈ શકશો.

 ... અને સુવર્ણ નિયમ નંબર ત્રણ - શુદ્ધ પ્રેમનો અનુભવ કરો. નિર્ભેેળ અને નિતાંત પ્રેમના સાગરમાં ડૂબકી લાગે છે પછી ભીતર એક એવી મસ્તી, એક એવી બેપરવાહી, એક એવું સુકૂન, એક એવી આગ પ્રગટે છે કે પછી તમારા પગમાં હંમેશાં નર્તનમાં થિરકતા રહે છે. આવા દિવ્ય અને અપેક્ષારહિત પ્રેમનો અનુભવ સાચો ગુરુ કરાવી શકે છે.

 પુસ્તકમાં જીવન જીવવાની કલા શીખવતી આવી વાતોનો આખો ખજાનો છે. ‘માઈન્ડ મેેનેજમેન્ટ’ વાસ્તવમાં ગુરુમાએ અમેરિકામાં આપેલાં પ્રવચનોની શ્રૃંખલાનું પુસ્તક સ્વરુપ છે. અંગ્રેજીમિશ્રિત હિન્દીમાં અપાયેલાં આ વકતવ્યોને ગીતા માણેકે અત્યંત સૂઝપૂર્વક રસાળ અને પ્રવાહી ગુજરાતીમાં મૂકી આપ્યાં છે. આ પુસ્તકમાંથી પસાર થશો એટલે આ શૃંખલાની આગલી કડી ‘માઈન્ડનું મેકેનિઝમ’ અને ‘મનનું દર્પણ’ વાંચવાનું મન થયા વગર રહેશે નહીં એ તો નક્કી.   0 0 0

 માઈન્ડ મેનેજમેન્ટ  
                             
લેખિકા: આનંદમૂર્તિ ગુરુમા
 સંકલનકાર: ગીતા માણેક
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-૨,અમદાવાદ-૧
 ફોન: (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩, (૦૭૯) ૨૨૧૪૪૬૬૩
 કિંમત:  Rs. ૨૦૦ /
  પૃષ્ઠ: ૨૨૨   


 ૦  ૦ ૦ 

Wednesday, February 3, 2016

ટેક ઓફ : જીવનમાં દિવ્ય અનુભૂતિ કઈ ઉંમરે થઈ શકે?

Sandesh - Ardh Saptahik purti - 3 Feb 2016
ટેક ઓફ 
આધ્યાત્મિકતા અને ઉંમર વચ્ચે શો સંબંધ હોય છે? શું માણસ પચાસ-પંચાવન-સાઠ વર્ષની ઉંમરે સાંસારિક જવાબદારીઓમાંથી ક્રમશઃ મુકત થઈ રહૃાો હોય ત્યારે આપોઆપ આધ્યાત્મિક થવા માંડે છે? અથવા આ તબક્કે એને આધ્યાત્મિક બનવાનું વધારે ફાવે છે? આત્મજ્ઞાાનની પ્રાપ્તિ કે એન્લાઈટન્મેન્ટ થવું એ સંભવતઃ આધ્યાત્મિક સફરની ચરમ સીમા છે, અંતિમ લક્ષ્ય છે. દિવ્ય અનુભૂતિના સ્તરે પહોંચવા માટે કેટલાં વર્ષોની કઠિન તપસ્યા જરુરી છે?

ગળ વધતાં પહેલાં સૌથી પહેલાં તો, દિવ્ય અનુભૂતિ કે આત્મજ્ઞાાન કે એન્લાઈટન્મેન્ટ જેવું ખરેખર કશુંક હોય છે એવું આપણે સ્વીકારી લઈએ. દુન્યવી વાસ્તવની સપાટીથી ઉપર ઉઠીને પરમ ઈશ્વરીય શકિત સાથે સંધાન થવું માણસ માટે શકય છે એવી પૂર્વધારણા બાંધી લઈએ. હવે પહેલો સવાલઃ આધ્યાત્મિકતા અને ઉંમર વચ્ચે શો સંબંધ હોય છે? શું માણસ પચાસ-પંચાવન-સાઠ વર્ષની ઉંમરે સાંસારિક જવાબદારીઓમાંથી ક્રમશઃ મુકત થઈ રહૃાો હોય ત્યારે આપોઆપ આધ્યાત્મિક થવા માંડે છે? અથવા આ તબક્કે એને આધ્યાત્મિક બનવાનું વધારે ફાવે છે?
બુદ્ધને બોધિવૃક્ષની નીચે જ્ઞાાનોદય થયો હતો. કાલિભકત સ્વામી રામકૃષ્ણ પરમહંસની દિવ્ય અનુભૂતિ વિશે અનક કથા પ્રચલિત છે. આત્મજ્ઞાાનની પ્રાપ્તિ કે એન્લાઈટન્મેન્ટ થવું એ સંભવતઃ આધ્યાત્મિક સફરની ચરમ સીમા છે, અંતિમ લક્ષ્ય છે. હવે બીજો સવાલઃ દિવ્ય અનુભૂતિના સ્તરે પહોંચવા માટે કેટલાં વર્ષોની કઠિન તપસ્યા જરુરી છે? શું આ મામલામાં કોઈ 'શોર્ટ કટ' હોઈ શકે ખરો? આ સંદર્ભમાં આધ્યાત્મિક ક્ષેત્રે જાણીતી બનેલી કેટલીક સમકાલીન વ્યકિતઓના અનુભવો જાણવા જેવા છે.  
આધ્યાત્મિક ગુરુ જગ્ગી સદગુરુના અનુયાયીઓમાં આમજનતાથી માંડીને સેલિબ્રિટીઓ સુધીની મોટી રેન્જ જોવા મળે છે. ૫૭ વર્ષીય સદગુરુના લેખો-પુસ્તકો અને વિડીયો કિલપિંગ્સ વાંચવા-જોવા ગમે તેવાં હોય છે. સદગુરુ સાઉથ ઈન્ડિયન ડોકટર-પિતાના દીકરા છે. એમનું મૂળ નામ જગદીશ. નાનપણથી સ્વભાવે અલગારી. જંગલોમાં અને પહાડો પર રખડપટ્ટી કરવી એમને બહુ ગમે. ઓગણીસ વર્ષની ઉંમરે એક યોગીએ જગદીશને સાદાં યોગાસનો શીખવ્યાં, જે તેઓ એક પણ દિવસ પાડયા વગર નિયમિત કરતા. અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએશન કરી રહૃાા હતા તે વર્ષોમાં જગદીશ ઘણી વાર દોસ્તો સાથે બાઈક પર મૈસૂર નજીક આવેલી ચામુંડી હિલ પર ફરવા જતા.
આ પહાડી પર આવેલી એક વિશાળ ચટ્ટાન જગદીશની પ્રિય જગ્યા હતી. એક બપોરે જગદીશ આ ખડક પર એકલા બેઠા હતા. આંખો ખુલ્લી હતી. સમય શાંતિથી વહેતો રહૃાો. 'થોડી મિનિટો પછી કશુંક થયું. મને એ વાતની સભાનતા જ ન રહી કે હું કયાં બેઠો છું,' સદગુરુએ વર્ષો પછી તે પ્રસંગ વર્ણવતા એક વખત કહેલું, 'તે ક્ષણ પહેલાં હું હંમેશાં એમ જ માનતો આવ્યો હતો કે આ 'હું' છું અને 'તે' બીજું કોઈ છે, પણ તે દિવસે પહેલી વાર મને અહેસાસ થયો કે હું ખરેખર શું છું અને શું નથી તેની મને કશી ખબર જ નથી. જાણે કે 'હું' મારામાંથી નીકળીને ચારે બાજુ ફેલાઈ રહૃાો હતો. મને એમ કે પાગલપણના જેવી માનસિક દશા પાંચ-દસ મિનિટ ચાલી હશે, પણ હું એકાએક ભાનમાં આવ્યો ત્યારે સમજાયું કે સાડાચાર કલાક પસાર થઈ ચુકયા છે. હું જાગ્રત અવસ્થામાં, આંખો ખુલ્લી રાખીને, એ જ ખડક પર, એ જ પોઝિશનમાં બેઠો હતો. સમજણો થયો પછી હું કયારેય રડયો નહોતો, પણ તે દિવસે મારી આંખોમાંથી આંસુનો એવો પ્રવાહ વહી રહૃાા હતા કે મારું આખું શર્ટ પલળી ગયું હતું.'
તેમને શંકા ગઈ કે પોતે કયાંક પાગલ તો નથી થઈ રહૃાાને. પાગલપણું તો પાગલપણું, પણ તેઓ આ અવસ્થામાંથી બહાર આવવા માગતા નહોતા. તેઓ માની શકતા નહોતા માણસને આવી સુંદર અનુભૂતિ થઈ શકે છે. સદગુરુ હંમેશાં એક ખુશમિજાજ અને પોતાની રીતે સફળ યુવાન હતા, પણ આ પ્રસંગ બન્યો ત્યારે તેમણે જે દિવ્ય આનંદ અનુભવ્યો તે કંઈ જુદો જ, શબ્દોમાં મૂકી ન શકાય એવો અદભુત હતો.
થોડા દિવસ પછી આ અનુભૂતિનું પુનરાવર્તન થયું. આ વખતે તેઓ એકલા નહોતા, બલકે ડાઈનિંગ ટેબલ પર ઘરના સભ્યો સાથે જમી રહૃાા હતા. એમને થયું કે માંડ બે મિનિટ પસાર થઈ હશે, પણ વાસ્તવમાં તેઓ એક જ જગ્યાએ સાત કલાક સુધી જાગ્રત અવસ્થામાં બેસી રહેલા! પછી આવંુ અવારનવાર બનવા લાગ્યું. એક વખત આ અનુભૂતિ લાગલગાટ તેર દિવસ સુધી નિરંતર ચાલી હતી.

'પહેલી વાર અનુભૂતિ થઈ તે પછીનાં છ અઠવાડિયાં દરમિયાન જાણે કે હું કોઈ નવો માણસ બની ગયો હતો,' સદગુરુ કહે છે, 'મારો અવાજ, મારી આંખોનો આકાર બદલાઈ ગયો હતો. મારા શરીરમાં, મારા દેખાવમાં ફેરફાર થઈ રહૃાા હતા. મારે કશુંક કરવું હતું, પણ શું કરવું તે સમજાતું નહોતું. મારી ભીતર જાણે દિવ્ય આનંદના ફુવારા ઉડી રહૃાા હતા. એક વાત હું સ્પષ્ટપણે સમજી રહૃાો હતો કે જો આ અનુભવ મને થઈ શકતો હોય તો કોઈને પણ થઈ શકે છે. માણસમાત્રનાં આંતરિક તત્ત્વો આખરે તો એક જ છે.'
આધ્યાત્મિક ગુરુ આનંદમૂર્તિ ગુરુમા (ઉંમર ૪૯ વર્ષ)ને દિવ્ય અનુભૂતિ થઈ ત્યારે પુખ્ત પણ બન્યાં નહોતાં. તેઓ ધાર્મિક માહોલમાં મોટાં થયાં છે. મા સાથે તેઓ નિયમિતપણે સત્સંગ, ધાર્મિક પ્રવચનો વગેરેમાં જતાં. એમના ઘરે સાધુસંતોનો આવરોજાવરો ખૂબ રહેતો. ગુરુમા એમને કઠિન પ્રશ્નો પૂછીને મૂંઝવી નાખતાં.
'મને દિવ્ય અનુભૂતિ થઈ ત્યારે હું સોળ વર્ષની હતી,' ગુુરુમાએ એક મુલાકાતમાં કહે છે, 'આ અનુભૂતિ થવા પાછળ કયાં ગૂઢ કારણો હશે તે હું જાણતી નથી. દિવ્ય અનુભૂતિ પછી પણ હું પહેલાંની જેમ સ્કૂલે જતી, સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લેતી. આ બધી ઈતર પ્રવૃત્તિ કોલેજનાં વર્ષોમાં પણ ચાલતી રહી. દિવ્ય અનુભૂતિ પછી મારી જીવનશૈલીમાં કોઈ ખલેલ નહોતી પહોંચી નહોતી. તેથી જ હું કહું છું કે દિવ્ય અનુભૂતિ માટે જુવાનિયાઓ શ્રેષ્ઠ ઉમેદવારો છે.'
આધ્યાત્મિકતા પર કંઈ કેવળ પૂર્વનો એકાધિકાર નથી. મૂળ જર્મન પણ કેનેડામાં સ્થાયી થયેલા ૬૭ વર્ષીય એકહાર્ટ ટોલનો કિસ્સો પણ સાંભળવા જેવો છે. તેમને 'ધ મોસ્ટ સ્પિરિચ્યુઅલી ઈન્ફ્લ્યુન્શીઅલ પર્સન ઈન ધ વર્લ્ડ' તેમજ 'ધ મોસ્ટ પોપ્યુલર સ્પિરિચ્યુઅલ ઑથર ઈન ધ યુનાઈટેડ સ્ટેટ્સ' જેવા ખિતાબ મળી ચુકયા છે. એમણે લખેલી 'ધ પાવર ઓફ નાઉ' અને 'અ ન્યુ અર્થ' નામનાં પુસ્તકોના વેચાણનો આંકડો પચાસ લાખ નકલોને વટાવી ચુકયો છે. 
એકહાર્ટ બાર વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતાના ડિવોર્સ થઈ ગયા હતા. પિતા જર્મનીથી સ્પેન જતા રહૃાા. સ્કૂલમાં જરાય મજા નહોતી આવતી એટલે એકહાર્ટે સ્કૂલે જવાનું બંધ કરી દીધું. અલબત્ત, તેમનું ભણતર ચાલતું રહૃાંું. તેઓ પુષ્કળ વાંચતા. બપોરે અને સાંજે લેંગ્વેજ કલાસ અટેન્ડ કરતા. સ્કૂલના ટેન્શનથી મુકત રહીને એકહાર્ટે જાતજાતના કોર્સ કર્યા. ૧૯ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા. ફોર્મલ એજ્યુકેશન લીધું ન હોવા છતાં તેમને એક જગ્યા જર્મન અને સ્પેનિશ ભાષા શીખવવાની નોકરી મળી ગઈ.
જુવાન થઈ ગયેલા ઈકહાર્ટ અવારનવાર ડિપે્રશનમાં સરી પડતા. એમને એમ કે કદાચ યુનિવર્સિટીના પ્રોફેસરો મારી મૂંઝવણો દૂર કરી શકશે. તેમણે યુનિવર્સિટીમાં એડમિશન લઈ ભણવા માંડયું, પરીક્ષાઓ સુધ્ધાં પાસ કરી, પણ હતાશા દૂર ન થઈ. યુનિવર્સિટીના એક પ્રોફેસર માટે એમને ખૂબ માન હતું. કશાક કારણસર તે પ્રોફેસરે આત્મહત્યા કરી નાખી. ઈકહાર્ટની હતાશા ઓર ઘૂંટાઈઃ જે માણસને હું ખૂબ સમજદાર અને પરિપકવ સમજતો હતો એણે પણ જો આપઘાત કરવો પડતો હોય તો બીજાઓની શું વાત કરવી?
૨૯ વર્ષના થયા ત્યાં સુધીમાં એકહાર્ટનું ડિપ્રેશન ખૂબ તીવ્ર બની ચુકયું હતું. એક રાતે અચાનક તેઓ ઊંઘમાંથી ઝબકીને જાગી ગયા. તેમનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયેલું. છાતીના ધબકારા વધી ગયેલા. કશાક અજાણ્યા ભયથી તેઓ થરથર કાંપતા હતા. જોરજોરથી માથું ધૂણાવીને તેઓ ખુદને કહેવા લાગ્યાઃ 'નહીં... આ રીતે હું મારી જાત સાથે વધારે સમય રહી નહીં શકું.'

એકાએક તેઓ સભાન બન્યા. તેમને થયું: આ હમણાં મને કેવો વિચાર આવી ગયો? 'હું મારી જાત સાથે વધારે રહી નહીં શકું' એટલે? શું 'હું' અને 'મારી જાત' બન્ને અલગ અલગ વ્યકિતઓ છે? એકહાર્ટના મનમાં વિચારોનું તાંડવ શરુ થઈ ગયું: હું કોણ છું?અને જેની સાથે હું રહી શકું તેમ નથી તે મારી જાત કોણ છે?
એકહાર્ટને સમજાયું કે એક 'હું' છે જે શુદ્ધ અને નિર્ભેળ છે અને બીજી 'મારી જાત' છે જે સતત આસપાસની પરિસ્થિતિઓ તેમજ લોકોથી પ્રભાવિત થતી રહે છે. એકહાર્ટને લાગ્યું કે તેઓ જાણે કોઈ જબરદસ્ત આંતરિક ઊર્જાના સ્રોત તરફ ધકેલાઈ રહૃાા છે. આ અનુભૂતિને લીધે એક તરફ એમને ડર લાગી રહૃાો હતો તો બીજી તરફ અજબ મુકિતનો અહેસાસ થઈ રહૃાો હતો. માંહૃાલામાંથી એક અવાજ સતત એને કહી રહૃાો હતોઃ 'વહેતો જા...કશાયને રોકીશ નહીં!'
આ નિર્ણાયક રાત્રિએ એકહાર્ટનું આખું જીવન પલટી નાખ્યું. બીજે સવારે તેઓ ઉઠયા ત્યારે નવી જ વ્યકિત બની ગયા હતા. એમની સમગ્ર દષ્ટિ બદલાઈ ચુકી હતી. બધું નવું નવું અને જાણે પહેલી વાર જોઈ રહૃાા હોય તેવું લાગતું હતું. માત્ર મન-હ્ય્દયમાં જ નહીં, બલકે આસપાસ તમામ ચીજવસ્તુ-વ્યકિતઓમાં અજબ શાંતિ વર્તાતી હતી. એકહાર્ટ ધીમે ધીમે ધાર્મિક શિક્ષણ તરફ વળ્યા અને ક્રમશઃ સ્પિરિચ્યુઅલ વ્યકિત તરીકે જાણીતા થતા ગયા.  
આમ, સદગુરુ, આનંદમૂર્તિ ગુરુમા અને એકહાર્ટ ટોલ આ ત્રણેયને નાની ઉંમરે દિવ્ય અનુભૂતિ થઈ હતી. મધ્યવય કે ઉત્તરાવસ્થા આધ્યાત્મિકતા માટે વધારે અનુકૂળ છે તે કેવળ એક માન્યતા છે, સચ્ચાઈ નહીં. ગુરુમા કહે છે તેમ, આધેડ વ્યકિતઓ અને વૃદ્ધોની તુલનામાં જુવાનિયાઓ દિવ્ય અનુભૂતિ માટેને વધારે યોગ્ય ઉમેદવાર છે!
0 0 0