Showing posts with label વેદ. Show all posts
Showing posts with label વેદ. Show all posts

Tuesday, June 2, 2020

અનર્થઘટનઃ લોટમાં પાણી નાખીને ‘માંસ’ પકાવવાની કળા!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 3 June 2020, બુધવાર
ટેક ઓફ  
શું જૂના જમાનામાં યજ્ઞોમાં પશુઓની બલિ ચડાવવાની છૂટ હતી? શું આપણા ઋષિ-મુનિઓ પણ ગૌ-માંસ ખાતા?

ભાષા ભારે અજાયબ ચીજ છે. ભાષાઓની રંગછટાઓ ને અર્થચ્છાયાઓ આપણને મુગ્ધ કરી દે છે. ભાષા જેટલી વધારે સમૃદ્ધ એટલી એમાં સૂક્ષ્મતાઓ વધારે, મસ્તી વધારે, ઇવન કોમ્પ્લીકેશન્સ પણ વધારે. એક જ શબ્દના ઘણી વાર એકમેક કરતાં સાવ જુદા જ અર્થ નીકળતા હોય છે. સાચો વિદ્વાન એ છે જે ભાષાને વધારે ગૂંચવી ન મારે, બલ્કે તેને સિમ્પ્લિફાય કરે, અર્થનો અનર્થ થતાં રોકે. કમનસીબે પ્રતિષ્ઠિત વિદ્વાનો પણ ક્યારેક અજાણપણે અથવા ઇરાદાપૂર્વક સાચા અર્થને દબાવી રાખીને ભળતાસળતા અર્થને ફેલાવા દે છે. ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન સાહિત્ય આવા અનર્થઘટનનો પુષ્કળ ભોગ બન્યું છે.
શાકાહારને અપનાવવાની ને માંસાહારને ત્યજવાની વાત આવે ત્યારે ઘણા અદકપાંસળીઓ ઉછળી ઉછલીને દલીલ કરે છે કે આપણે ત્યાં જૂના જમાનામાં યજ્ઞોમાં પશુઓના બલિ ચડાવવાનો રિવાજ હતો. તે શું હિંસા નહોતી? ઇવન આપણા ઋષિ-મુનિઓ પણ ગૌમાંસ ખાતા. જો વૈદિક સંસ્કૃતિમાં જીવહિંસા સામે કોઈને વાંધો નહોતો તો હવે શા માટે દોઢડાહ્યા થાઓ છો?
આ અર્ધજ્ઞાનીઓ જાણતા નથી કે 14મી સદીમાં દક્ષિણ ભારતમાં થઈ ગયેલા આચાર્ય સાયણ નામના સંસ્કૃતના પંડિત અને તેમનું જોઈને મેક્સમૂલર તેમજ ગ્રિફિથ જેવા પશ્ચિમના વિદ્વાનોએ વેદગ્રંથોના શ્લોકોનાં કેવાં ભયાનક અનર્થઘટનો કર્યાં હતાં. તેમણે કાઢેલાં ખોટા અર્થો પછી રેફરન્સ તરીકે લેવાતા ગયા ને તે પ્રચલિત થતા ગયા. સાયણાચાર્યે કરેલા વેદોના અર્થઘટનનો સ્વામી દયાનંદ સરસ્વતી અને શ્રી અરવિંદે કેવળ આંશિક સ્વીકાર જ કર્યો છે. સાયણાચાર્ય સામે ગંભીર આક્ષેપ એ છે કે એમણે કેટલાય વેદશ્લોકોનો ખોટો ને હિંસાત્મક અર્થ તારવ્યો છે. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના વેદ સંબંધિત દષ્ટિકોણ વિશે સ્વામી વિદ્યાનંદ સરસ્વતીએ વેદાર્થ-ભૂમિકા નામનું સરસ પુસ્તક લખ્યું છે. તેઓ લખે છે કે ચારેય વેદોમાં યજ્ઞ શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે અથવા વિશેષણ રૂપે અસંખ્ય વખત અધ્વર શબ્દ વપરાયો છે. અધ્વર ઇતિ યજ્ઞનામ – ધ્વરતિ હિંસાકર્મા તત્પ્રતિષેધઃ. અર્થાત યજ્ઞનું નામ અધ્વર છે – અધ્વરનો અર્થ થાય છે, હિંસારહિત કર્મ. આમ, યજ્ઞ શબ્દમાં  જ, બાય ડેફિનેશન, અહિંસાનું મહાત્મ્ય કરવામાં આવ્યું છે.    

વેદોમાં સંજ્ઞપન શબ્દ છે. તેનો એક અર્થ બકરાને કાપવો એવો થાય છે. સંજ્ઞપનનો બીજો અર્થ સમ્યક્ જ્ઞાન કરાવવું એવો પણ થાય છે. તોય કોણ જાણે કેમ બકરાને કાપવો અર્થને ધરાર પ્રચલિત કરી દેવામાં આવ્યો. અમુક લોકો પ્રતાપતયે પુરુષાન્ હસ્તિન આલભતે – આ પ્રકારના વાક્યો ટાંક્યા જ કરે છે, કેમ કે આલભ્ય શબ્દને તેઓ હત્યા કરવી કે બલિદાન આપવુંના અર્થમાં જુએ છે. આલભ્યનો અર્થ સ્પર્શ કરવો અથવા સારી રીતે પ્રાપ્ત કરવું તેવો પણ થાય છે, પણ યજ્ઞમાં પશુહિંસા થવા સામે જેને જરાય વાંધો નથી તેવા લોકોને આ સાત્ત્વિક અર્થમાં રસ નથી! 

વેદશ્લોકોના અનર્થઘટન વિશે ઘણા વિદ્વાનોએ વિસ્તારપૂર્વક, દાખલા-દલીલ સાથે લખ્યું છે. જેનો સૌથી વધારે અનર્થ કરવામાં આવ્યો હોય તે શબ્દો છે – અશ્વમેધ, નરમેધ, અજમેધ અને ગોમેધ. મેધ શબ્દના ત્રણ અર્થ થાય છે – એક, મેધા અટલે કે શુદ્ધ બુદ્ધિ વધારવી. બે, લોકોમાં એકતા અને પ્રેમભાવ વધારવો અને ત્રણ, હિંસા. દુષ્ટ લોકો પહેલાં બે અર્થોને ચાતરી જાય છે અને ઇરાદાપૂર્વક મેધ એટલે હિંસા એવું ઠસાવીને વેદસાહિત્ય વિષે દુષ્પ્રચાર કરતા રહે છે.  
વૈદિક સાહિત્યમાં સતત, અવારનવાર, કેટલીય જગ્યાએ ગાયની હત્યાને મહાપાપ ગણવામાં આવ્યું છે. ગોમેધ શબ્દનો અર્થ થાય છે વાણીનો સંસ્કાર કરવો, પૃથ્વીને ખેતીલાયક બનાવવી, ગાયથી પ્રાપ્ત થતાં ઘી-દૂધ વગેરે પદાર્થોની વૃદ્ધિ કરવી વગેરે. છતાંય ગોમેધ શબ્દ ટાંકીને અર્થનો અનર્થ કરનારા દ્વેષીઓ વારંવાર એવું કહ્યા કરે છે કે જુઓને ઇવન વેદોમાં પણ ગોમેધના ઉલ્લેખો છે એટલે કે ગાયનો વધ સ્વીકાર્ય હોવાનું કહેવામાં આવ્યું છે!

વેદમાં માંસ શબ્દ પણ આવે છે, પણ આ આપણે જેને માંસ કહીએ છીએ તે નહીં. જેમ કે અથર્વવેદનો આ શ્લોકઃ અશ્વાઃ કણા ગાવસ્તણ્ડુલા મશકાસ્તુષાઃ / શ્યામમયોસ્ય માંસાનિ લોહિસમસ્ય લોહિતમ્ અર્થાત્ ચોખાના કણ અશ્વ છે, છડેલા ચોખા ગૌ (ગાય) છે, ભૂંસુ મશક છે, ચોખામાં જોવા મળતો શ્યામ ભાગ માંસ છે અને લાલ ભાગ રક્ત છે. સ્વામી વિદ્યાનંદ સરસ્વતી લખે છે કે વેદોમાં આવા સેંકડો શબ્દો છે, જે પહેલી નજરે પશુઓનાં નામ લાગે, પણ આયુર્વેદના ગ્રંથો પરથી સ્પષ્ટ થાય છે કે પશુ કે તેના અવયવ જેવા લાગતા આ શબ્દો વાસ્તવમાં વનસ્પતિ તેમજ ઔષધિવાચક શબ્દો છે.  સંસ્કૃતમાં લોટ માટે લોમ શબ્દ છે. તેમાં પાણી ભેળવીને ગૂંદીને લોટનો પિંડો બનાવવામાં આવે તે માંસ કહેવાય છે... અને લોટના આ પિંડાને પકાવી લેવામાં આવે તો તે પશુ કહેવાય છે! પ્રાચીન કાળમાં લોકો અન્ન-પશુથી યજ્ઞ કરતા એવું કહેવાય છે તે આ અર્થમાં! પણ ધૂર્ત લોકોએ અપપ્રચાર શરૂ કરી દીધો કે અગાઉના જમાનામાં યજ્ઞ કરતી વખતે અગ્નિમાં અનાજ ઉપરાંત પશુઓનું માંસ પણ નાખવામાં આવતું. હદ થાય છે!

સો વાતની એક વાત. આપણી વૈદિક સંસ્કૃતિએ જીવહિંસાની ક્યારેય પરવાનગી આપી નથી. ક્યારેય નહીં.   
    
0 0 0  

Wednesday, May 27, 2020

શાકાહાર વિશે આપણાં વેદશાસ્ત્રો શું કહે છે?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 2020, બુધવાર
ટેક ઓફ 
હે દાંત, તમે ચોખા, જવ, અડદ, તલ ખાઓ. તમારા માટે આ રમણીય પદાર્થો જ ભોજનનો ભાગ છે. કોઈ નર કે માદા જીવની હિંસા ક્યારેય ન કરશો

કોરોના મહામારીનું એક પરિણામ સારું આવ્યું એ આવ્યું કે આજે આખી દુનિયા શાકાહાર, તેના ફાયદા તથા માંસાહાર અને તેના ગેરફાયદા વિશે ગંભીરતાપૂર્વક પુનર્વિચાર કરવા લાગી છે. એનિમલ રાઈટ્સના ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા ગૅરી ફ્રાન્સિઓન નામના અમેરિકન લીગલ સ્કોલરનું ઉદાહરણ લો. તેઓ વર્ષોથી જૈન ધર્મથી ખાસ્સા પ્રભાવિત છે. ગેરીની કાનૂની થિયરી સેન્ટીઅન્સ એટલે કે ચૈતન્યના પાયા પર ઊભી છે. આ થિયરી કહે છે કે પશુપક્ષીજંતુવનસ્પતિ સહિતના તમામ સજીવો કે જેમાં ચૈતન્ય છેતેમને અસ્તિત્વ ધરાવવાનો અધિકાર છે અને આ અધિકારનું સંપૂર્ણપણે રક્ષણ થવું જોઈએ. તમામ મનુષ્યેત્તર સજીવોની એક જ ડિમાન્ડ છેઃ અમને ‘વસ્તુ’ ન ગણો. અમને કશું જોઈતું નથી. બસઅમને જીવવા દો!

જૈન શાસ્ત્રો કહે છે કે શાકભાજીપાણીઅગ્નિધરતી અને હવા એકેન્દ્રીય આત્મા છે. તેના ભક્ષણ અથવા ઉપભોગમાં હિંસા જરૂર થાય છેપણ તે અતિ મર્યાદિત છે. જીવન ટકાવી રાખવા માટે સાધારણ મનુષ્ય આવી સિમિત હિંસા કરે તે સ્વીકાર્ય છેપણ બેત્રણચાર કે પાંચ ઇન્દ્રિયો ધરાવતાં પશુ-પક્ષી અને જીવજંતુ પર કોઈપણ સંજોગોમાં હિંસા થવી ન જોઈએ.

શું જૈન સૌથી વૈજ્ઞાનિક ધર્મ છે? આખી દુનિયા આજે મોઢે માસ્ક લગાડીને ફરે છે, પણ જૈન સાધુઓ તે સદીઓથી કરતા આવ્યા છે. ખાનપાનની વિશેના જૈન સિદ્ધાંતો - નીતિનિયમો આજે જેટલા અસરકારક અને રિલેવન્ટ લાગે છે એટલા કદાચ અગાઉ ક્યારેય લાગ્યા નહોતા. જૈન ધર્મ કરતાંય ક્યાંય જૂના એવા આપણાં પ્રાચીન વેદ-ઉપનિષદોએ શાકાહાર વિશે શું કહ્યું છે?       

એતદ્ વા ઉ સ્વાદીયો યદથિગવં ક્ષીરં વા માસં ના તદેવ નાશ્યન્તિ. આ અથર્વવેદનો અંશ છે (પ્રકરણ 8, ખંડ 6, શ્લોક 6). આનો અર્થ થાય છે, એ જ ખાદ્ય પદાર્થ રુચિકર, સ્વાદિષ્ટ અને લાભકારી હોય છે, જે ફળ, ફૂલ, અન્ન, શાક, કંદ અને મૂળમાંથી પ્રાપ્ત થાય છે અથવા જે ગાય આદિ પશુઓનાં દૂધ, દહી, ઘી આદિ રૂપમાં મળે છે. પશુ, પક્ષી, માછલી આદિને મારીને જે માંસ પ્રાપ્ત થાય છે અથવા જે પશુ-પક્ષી વગેરેના ગર્ભ અથવા ઈંડાના રૂપમાં છે તે આમેય અભક્ષ્ય છે, તેને ન ખાવા જોઈએ.

બીજા એક શ્લોકમાં કહેવાયું છે કે, જે લોકો નર અને માદા (જીવ) ભ્રૂણ તેમજ અંડાનો નાશ કરી ઉપલબ્ધ થતા માંસને કાચું અથવા રાંધીને ખાય છે તેમનો વિરોધ કરવો જોઈએ (અથર્વવેદ, 8/6/23). એક શ્લોકમાં મનુષ્યના દાંતને ઉદ્દેશીને કહેવાયું છે કે હે દાંત, તમે ચોખા ખાઓ, જવ ખાઓ, અડદ ખાઓ, તલ ખાઓ. તમારા માટે આ રમણીય પદાર્થો જ ભોજનનો ભાગ છે. કોઈ નર કે માદા જીવની હિંસા ક્યારેય ન કરશો (અથર્વવેદ, 6/140/2).

વેદને આપણે ઈશ્વરીય વાણી ગણીએ છીએ. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ જ્ઞાનની ખોજ માટે હિમાલયના પર્વતો ખૂંદતા હતા ત્યારે વેદનારાયણ ભગવાને સ્વયં આકાશવાણી રૂપે તેમને વેદ સંભળાવ્યા હતા. આમ, ઋષિઓ વેદોના રચયિતા નહીં, પણ શ્રોતા છે. વેદ એ શ્રુતિજ્ઞાન (સાંભળીને પ્રાપ્ત થયેલું જ્ઞાન) છે, જે પછી ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા સતત જીવતું રહ્યું.

યજુર્વેદમાં પણ જીવહિંસા વિશે ઘણા શ્લોકો છે. જેમ કે આઃ હે મનુષ્યો, જે ગાય આદિ પશુઓ છે તે ક્યારેય હિંસા કરવા યોગ્ય નથી (યજુર્વેદ, 1/1). જે લોકો પરમાત્માના સહચરી એવા પ્રાણી માત્રને પાતાના આત્માને સમકક્ષ માને છે, તેઓ જેટલું પોતાનું હિત ઇચ્છે છે એટલું જ અન્યોનું હિત પણ ઇચ્છે છે (યજુર્વેદ, 40/7). હે મનુષ્ય, તું બે પગવાળા અર્થાત્ અન્ય મનુષ્યો અને ચાર પગવાળાં અર્થાત્ પશુઓની હંમેશાં રક્ષા કરજે (યજુર્વેદ, 14/8).

ખાણીપીણીના મામલામાં માનવજાતમાં બે સ્પષ્ટ વર્ગ પડી ગયા છે. એક વર્ગ એવો છે, જે જમીન, પાણી કે આકાશમાં વસતા કોઈ પણ પશુ, પક્ષી, કીટક કે માછલીને પકડીને, મારીને, એની સાફસફાઈ કરીને, પકાવીને ખાઈ જાય છે. સાપ, ચામાચિડીયા, ઉંદર, ગરોળી સહિતનાં કલ્પી ન શકાય એવાં જીવ-જનાવરોને મરેલાં કે જીવતાં રખાઈ જતા ચીનાઓ હવે આખી દુનિયામાં ભયંકર બદનામ થઈ ચૂક્યા છે. બીજો વર્ગ માને છે કે માણસની જેમ હાથ, પગ, આંખ, નાક, કાન, પેટ જેવાં અવયવો ધરાવતાં, સુખ-દુખની અનુભૂતિ કરતાં, માણસની જેમ જ વહાલ કરી શકતાં ને ભયભીત થઈ શકતાં, બચ્ચાં પેદા કરીને તેમનું લાલન-પાલન કરતાં અને કુદરતના ક્રમ પ્રમાણે જન્મ લેતાં ને મૃત્યુ પામતાં પશુ-પક્ષીઓમાં પણ મનુષ્યની જેમ આત્મા હોય છે. આવાં જીવજનાવરોને મારવામાં આવે છે ત્યારે તેઓ ભયભીત થાય છે, દોડાદોડ કરી મૂકે છે, ચીસો પાડે છે, ભયંકર વેદના સહન કરે છે. તેમને મારીને ખાવા તે હિંસા છે, પાપ છે.

વૈદિક સિદ્ધાંત માંસાહાર પર સ્પષ્ટપણે નિષેધ ફરમાવે છે. સવાલ એ છે કે તો પછી જૂના જમાનામાં યજ્ઞો વગેરેમાં પ્રાણીઓની બલિ ચડાવવાની પરંપરા હતી તેનું શું? આ વિશે ફરી ક્યારેક.     
  
0 0 0