Showing posts with label Vinesh Antani. Show all posts
Showing posts with label Vinesh Antani. Show all posts

Sunday, February 25, 2018

એક અઠવાડિયામાં બે નવલકથા લખવાની કળા


ચિત્રલેખા - ફેબ્રુઆરી ૨૦૧૮

 કોલમ: વાંચવા જેવું 




‘જિંદગી એ નથી જે તમે જીવ્યા છો. જિંદગી વિશે વાત કરવા બેસીએ ત્યારે જે યાદ આવે અને જેવી રીતે યાદ આવે, એ જ ખરી જિંદગી છે.’

 નોબલ પ્રાઇઝવિનર લેખક ગાબ્રિયેલ ગાર્સિયા ર્માર્કેઝનું આ ક્વોટ છે, જેને ટાંકીને વીનેશ અંતાણીએ પોતાના લેટેસ્ટ પુસ્તકનો ઉઘાડ કર્યો છે. વીનેશ અંતાણીએ સભાનતાપૂર્વક ‘આત્મકથા’ શબ્દનો પ્રયોગ ટાળીને ‘સ્મૃતિકથા’ શબ્દ પ્રયોજ્યો છે. ‘આત્મકથા’ કરતાં ‘સ્મૃતિકથા’ વધારે અનૌપચારિક, વધારે સિલેક્ટિવ હોય છે?

 ગુજરાતી વાંચકે વીનેશ અંતાણીનાં સર્જનને ખૂબ ચાહ્યા છે. ખાસ કરીને એમની નવલકથાઓને. ઉમાશંકર જોશીના અદભુત સંપાદન ‘સર્જકની આંતરકથા’માં વીનેશ અંતાણીએ પોતાની ક્રિયેટિવ પ્રોસેસ વિશે વિગતે વાત કરી જ છે, છતાંય ‘એક હતો વીનેશ’માં એમની જુદી જુદી કૃતિઓની સર્જનકથાના નવા અને મસ્તમજાના શેડ્ઝ સામે આવે છે. જેમ કે, ‘પ્રિયજન’ અને ‘આસોપાલવ’ આ બન્ને નવલકથાઓ વીનેશ અંતાણીએ એક જ અઠવાડિયામાં બેક-ટુ-બેક લખી હતી!

 ‘પ્રિયજન’ ગુજરાતી સાહિત્યમાં ક્લાસિકનો દરજ્જો પામી ચુકેલી અત્યંત સંવેદનશીલ નવલકથા છે જેને વાચકોની એકાધિક પેઢીઓનો ચિક્કાર પ્રેમ મળ્યો છે. ‘પ્રિયજન’ મૂળ તો ‘માલિપા’ નામનું રેડિયોનાટક. વીનેશ અંતાણીએ પછી પોતાના જ નાટક પરથી નવલકથા લખવા માટે ઓફિસમાંથી એક અઠવાડિયાની રજા લીધી. મનમાં બધું જ સ્પષ્ટ હતું, છતાંય પહેલા દિવસે કશું લખાયું નથી. બીજો દિવસ પણ કોરોધાકોડ જઈ શક્યો હોત, પણ એ બપોરે નવી ઘટના બની. ‘પ્રિયજન’નો એક અક્ષર પણ કાગળ પણ પડ્યો નહોતો, પણ જેના વિશે અગાઉ કશુંય વિચાર્યું સુધ્ધાં નહોતું એવી તદ્દન જુદી જ નવલકથા લખવાનું એમણે શરુ કરી દીધું. આ નવલકથા એટલે ‘આસોપાલવ’. કોઈ પણ અવરોધ વિના સડસડાટ કલમ ચાલતી રહી અને અઢી દિવસમાં ‘આસોપાલવ’ પૂરી પણ થઈ ગઈ. 

 ‘આસોપાલવ’ની સમાપ્તિની બીજી જ મિનિટે ‘પ્રિયજન’ લખવાનો પ્રારંભ થઈ ગયો. લાગલગાટ ત્રણ દિવસમાં આ નવલકથા પણ આખેઆખી લખાઈને તૈયાર થઈ ગઈ!

 આ કૃતિ વીનેશ અંતાણીએ ગોલ્ડન કલરની ‘હેરો’ બ્રાન્ડની ઇન્ડિપેનથી લખી હતી. ત્યાર પછી ‘કાફલો’થી ‘ધૂંધભરી ખીણ’ સુધીનું બધું જ એ પેનથી લખાયું. વીનેશ અંતાણી કહે છે:

 ‘હવે એ ઇન્ડિપેન સાચવી રાખી છે. ક્યારેક કબાટનું ખાનું ખોલીને એને અડકી લઉં છું. એ પેન મારા વીતેલા સમયની, મુંબઈ અને ચંડીગઢ જેવા શહેરોમાં મેં અનુભવેલી એકલાતની, લખતાં-લખતાં મને થયેલા અવર્ણનીય રોમાંચની સાક્ષી છે. હું એની સાથે એટલા જ લાગણીભર્યા સંબંધે જોડાયેલો છું, જેટલા મારા પ્રિયજનો સાથે.’

 લેખકના એક પ્રિયજન એટલે એમનાં સ્વગસ્થ બહેન, સરલા. સરલાનાં પતિ શશિકાંતભાઈ છેક દાર્જિલિંગ પાસે કલિમ્પોન્ગમાં નોકરી કરતા. કલિમ્પોન્ગથી એમના પત્ર આવે એટલે બહેન રસોડાવાળી ઓસરીની ભીંતે ટેકો લઈ, ખોળામાં થાળી રાખીને બેસે અને એની ઉપર ભાઈ વીનેશની નોટબુકનાં પાનાં પર કાગળનો જવાબ લખે. લેખક નોંધે છે:

 ‘યાદ કરું છું ને કારમી ટીસ ઉઠે છે. એ વખતે એને (સરલાને) ક્યાં ખબર હતી કે બહુ થોડાં વરસોમાં એ પોતે જ કોઈ એવા સ્થળમાં ચાલી જવાની છે, જ્યાં પત્ર પહોંચાડવા માટે સરનામું નહીં હોય.... બહુ જ જતનથી સાચવીને (હું) સરલાનો કાગળ લઈ જતો. ડબામાં નાખતાં પહેલાં વિચારતો - આ કાગળ વાંચતી વખતે શશિકાંતભાઈના મનમાં શું ચાલતું હશે? કદાચ એ દર વખતે પાછા આવી જવાનું વિચારતા હશે અને યાદ આવતું હશે કે કલિમ્પોન્ગ તો કચ્છથી બહુ દૂર છે.’

આટલું કહીને લેખક ઉમેરે છે:

 ‘પ્રિયજનનું એના પ્રિયજનથી અલગ હોવું... શું એવી જ કોઈ ક્ષણે મારા મનમાં ભવિષ્યમાં લખાનારી નવલકથાનું બીજ રોપાયું હશે?’

 કોણ કોનું સર્જન કરતો હોય છે - લેખક શબ્દોનું કે શબ્દો લેખકનું? કોણ કોને ઘાટ આપતો હોય છે? વીનેશ અંતાણી લખે છે:

 ‘નાનપણમાં નાનાકાકા (પિતાજી)એ લાકડાંનાં ખોખાં ગોઠવીને મારા માટે ટેબલ જેવું બનાવી આપ્યું હતું. બેસવાનું પણ એક ખોખા પર. હું ત્યાં બેસીને બારાખડી શીખ્યો. મૂળાક્ષરો ક્યારે શબ્દમાં ગોઠવાતા ગયા, એમાંથી અર્થ ક્યારે પ્રગટવા લાગ્યા એની ખબર પડી નથી. એટલું જ યાદ છે કે લખવાનું ગમે છે અને લખતો રહ્યો છું. મારી એકલતા, મારા વિષાદ, મારા આનંદ, મારા સંઘર્ષ - કોઈ પણ સ્થિતિમાં શબ્દ મારા સાથીદાર રહ્યા છે, શબ્દોએ જ મને ઉગાર્યો છે.’

 જીવનમાં બે સરવાણી સમાંતરે વહેતી ગઈ - એક સરવાણી લેખનની, બીજી આકાશવાણીના અધિકારી તરીકેની. ભારતભરના જુદા જુદા કેટલાય રેડિયો સ્ટેશન પર લેખકની બદલી થઈ. શહેરની સાથે જીવનનો લય પણ બદલાય. નવી જગ્યાએ પરિવારથી દૂર રહીને સ્થિર થવાની કોશિશ કરવી, એકલતા સાથે સંઘર્ષ કરવો... જીવનભર ક્યારેક બેકગ્રાઉન્ડમાં, ક્યારેક ફોરગ્રાઉન્ડમાં તો ક્યારેક બિલકુલ કેન્દ્રમાં ધબકતી રહેલી આ સ્થિતિ વિશે પુસ્તકમાં વિસ્તારપૂર્વક લખાયું  છે.

 વીનેશ અંતાણીએ પુસ્તકાકારે નવલકથાઓ લખ્યા બાદ ધારાવાહિક ફોર્મેેટ અજમાવ્યું, નવલિકા-નિબંધ લખ્યા, અખબારોમાં કોલમો લખી, ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિનું સંપાદન કર્યું. એમણે પુસ્તકો સંપાદિત કર્યાં અને નિર્મલ વર્માની કૃતિઓ ઉપરાતં એરિક સેગલની ‘લવ સ્ટોરી’ને ગુજરાતીમાં ઉતારી. ‘એક હતો વીનેશ’માં લેખકજીવનની સાથે સાથે કૌટુંબિક જીવન પણ આકર્ષક રીતે ઝીલાયું છે. કચ્છના નખત્રાણા ગામની શેરીઓ વહેતી વહેતી, કંંઈ કેટલાય પડાવ પસાર કરીને લેખકની જિંદગી હવે હૈદરાબાદમાં સ્થિર થઈ છે. આ એમનું સત્તાવીસમું ઘર છે!

 વીનેશ અંતાણીની સ્મૃતિકથા ‘તોફાનીે’ નથી. પુસ્તક એમની લેખનશૈલી જેવું જ છે - શાલીન, સંવેદનશીલ અને ગરિમાપૂર્ણ. પુસ્તક એમના ચાહકોને ખૂબ ગમવાનું છે એ તો નક્કી.       

00000

એક હતો વીનેશ  
લેખક: વીનેશ અંતાણી 
 પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની 
 ગાંધીમાર્ગ - અમદાવાદ, પ્રિન્સેસ સ્ટ્રીટ - મુંબઈ
 ફોન: (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧ 
 કિંમત:  Rs. ૨૦૦ /
  પૃષ્ઠ: ૨૨૬

00000

Thursday, May 28, 2015

'વાંચવા જેવું' : જીવતા માણસનું જ નહીં, સંબંધનું પણ મૃત્યુ થતું હોય છે...

ચિત્રલેખા - અંક તા. 1 જૂન 2015 માટે 

કોલમ: વાંચવા જેવું 

‘મુક્ત જિંદગી જીવી જનારી કોઈ વ્યક્તિ પોતાના મનની કેદમાં જ જીવનભર સબડ્યા કરે છે - ને એને નથી ખબર પડતી કે એની સજાની કે નથી ખબર પડતી એના મનની આંટીઘૂંટીઓની. એનું મુક્ત હોવું જ એક મોટી સજા હોય છે.’



                                                                                 
‘પ્રિયજન’, ‘પલાશવન’, ‘ધૂન્દભરી ખીણ’ જેવી કેટલીય યાદગાર નવલકથાઓ આપનાર વીનેશ અંતાણી ફરી એક વાર ઉત્તમ કૃતિ લઈને પેશ થાય ત્યારે આપણા માટે તો ઉત્સવની ઘડી આવી કહેવાય. વીનેશ અંતાણીને ઘટનાઓની ઘમાસાણમાં રસ નથી. સપાટી પરની સ્થૂળતા એમને ખાસ આકર્ષતી નથી. એમને જે-તે ઘટના સુધી પહોંચતા રસ્તાઓમાં, રસ્તાના પથ્થરોને એક પછી એક ઊંચકીને ધ્યાનથી ચકાસવામાં અને રસ્તાએ કયાં અને કેવી રીતે વણાંક લીધા હતા એ જાણવામાં રસ છે. સંબંધ ક્ષણોના સરવાળામાંથી બનતો હોય છે. આજે જે નવલકથાની વાત કરવી છે એ ‘જિંદગી આખી’માં વીનેશ અંતાણીએ આ ક્ષણોના એક-એક રેષાને અત્યંત ખૂબસૂરતી અને મુલાયમિયતથી છુટ્ટા પાડ્યા છે.

શેખર નવલકથાનો યુવાન નાયક છે. એક દિવસ અચાનક એને એક ડાયરી મળે છે. પોતાના પિતા સુધાંશુ જોશીની ડાયરી, જે સંભવત: મૃત્યુ પામ્યા છે અને જેમની હયાતી વિશે શેખરને ત્રીસ-બત્રીસ વર્ષથી કશી જ ખબર નહોતી. શેખરની સાથે વાચક પણ આ ડાયરીના પાનાં વાંચતો જાય છે અને નવલકથા ક્રમશ: ઊઘડતી જાય છે. પિતા લખે છે:    

‘હું અહીં બેઠો છુંં. એકલો. તું મારાથી દૂર છે. અલગ. એક પિતા. એક મા. એક દીકરો. એમણે તો એક જ છત નીચે રહેવાનું હોય. આપણા ત્રણેયની વચ્ચે એ જ હવા વહેતી હોય, એ જ અજવાળું, એ જ સુગંધ... એવું નથી. તું અત્યારે કેવાં અજવાળામાં બેઠો હશે એ હું જાણતો નથી. હું કેવા અંધારામાં બેઠો છું એ તું જાણી શકવાનો નથી.’ 

ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલો નાયક ડાયરી સાથે બે સ્તરે આઈડેન્ટિફાય કરી શકે છે. એક તો, ડાયરીમાં પોતાનાં માતા-પિતાની તેમજ ખુદનાં બાળપણની વાતો છે. બીજું, નાયક સ્વયં એકલતા અનુભવી રહ્યો છે. એની પત્ની સુજાતા નાનકડા દીકરા બન્ટીને લઈને ઘર છોડીને ઈન્ડિયા જતી રહી છે. હંમેશ માટે? ખબર નથી. બે વર્ષ વીતી ગયાં છે અને સુજાતા જાણે આ સંબંધમાંથી ઊખડી ગઈ છે.



સુધાંશુ જોશી અને ગીતાનો સંબંધ કેમ તૂટી પડ્યો હતો? શા માટે શેખરે આખી જિંદગી પિતાની હૂંફથી વંચિત રહેવું પડ્યું? સુધાંશુ જોશીનાં ડાયરીનાં પાનાંમાંથી આ સવાલના જવાબ, અથવા તો જવાબનો આભાસ, ત્રુટક-ત્રુટક મળે છે. ડાયરીમાં ગીતાનું વ્યક્તિત્ત્વ સરસ રીતે ઊપસ્યું છે. આખી નવલકથાનાં તમામ પાત્રોમાં કદાચ ગીતાનું કેરેક્ટરાઈઝેશન સૌથી અસરકારક બન્યું છે. સુધાંશુ જોશી ડાયરીમાં લખે છે:

‘ગીતાને પોતાનું ઊભું કરેલું ભૂંસતા જવામાં જ રસ હતો. જ્યારે કશુંક ઊભું થવા લાગે ત્યારે એનામાં વિદ્રોહ જેવું ઝનૂન હોય અને એને ભૂંસવા તત્પર બને ત્યારે પણ એવું જ ઝનૂન હોય છે... એને જે જોઈતું હોય તે મળવવા માટે આકાશપાતાળ એક કરી નાખે અને એ મળી ગયા પછી એને ગુમાવી દેવા માટે પણ જે કરવું પડે, કરતાં ખચકાય નહીં. શું હશે એ, શેખર?’

એક પ્રકારની આત્મવિનાશક વૃત્તિ? પૂર્ણપણે ન વિકસી શકેલું સંવેદનતંત્ર? કદાચ, હા. ગીતા પતિથી અલગ થઈ ગઈ, પણ છૂટાછેડા ન લીધા. એ પતિને મુક્ત કરવા માગતી નહોતી કે ખુદ નિતાંત આઝાદી ઈચ્છતી હતી? સુધાંશુ લખે છે:

‘મુક્ત જિંદગી જીવી જનારી કોઈ વ્યક્તિ પોતાના મનની કેદમાં જ જીવનભર સબડ્યા કરે છે - ને એને નથી ખબર પડતી કે એની સજાની કે નથી ખબર પડતી એના મનની આંટીઘૂંટીઓની. એનું મુક્ત હોવું જ એક મોટી સજા હોય છે.’

સંબંધમાં પેદા થઈ ગયેલું અંતર ન ગીતા પાર કરી શકી. ન સુધાંશુ. લખે છે:

‘પછી એકાએક એવો સમય આવી જાય છે, શેખર, કે કશુંય સાચવી શકાતું નથી. બહુ મોડું થઈ જાય પછી કોઈ પ્રેમ, કોઈ સમજણ, કોઈ જ સંબંધ કામ લાગતો નથી. જ્યારે તૂટવા લાગે છે ત્યારે બધું એકીસાથે કડડભૂસ થતું જમીનદોસ્ત થઈને જ રહે છે.’

સંવેદનશીલ માણસ માટે એકલતા જેટલી કારમી ચીજ બીજી એકેય નથી, પણ સંવેદનહીન સંબંધમાં સબડતા રહેવા કરતાં એકલતા સહી લેવી બહેતર વિકલ્પ નથી શું? સુધાંશુ યોગ્ય જ કહે છે:  

‘મૃત્યુ જીવતા માણસનું જ થતું નથી, સંબંધનું મૃત્યુ પણ થાય છે. એવો સંંબંધ, જેને તમે જીવની જેમ જાળવી રાખવા મથ્યા હો છો. એના સિવાય બીજું કશુંય તમને જોઈતું હોતું નથી. તમે કરેલો પ્રેમ, તમે લીધેલી કાળજીઓ, તમારા સ્પર્શો, તમારાં આલિંગનો, એકબીજામાં ભળી જતા તમારા શ્ર્વાસોચ્છવાસ... બધું જ એક પળમાં મૃત્યુ પામે છે. એ પણ એક મૃત્યુ જ છે, શેખર - મૃત્યુથી પણ વધારે ભયાનક, વધારે એકાકી.’  



એવું માની લેવાની બિલકુલ જરુર નથી કે પુરુષોને છોડી ગયેલી બન્ને સ્ત્રીઓ ખલનાયિકા છે. લેખકે નવલકથામાં પ્રગલ્ભ તટસ્થતા જાળવી રાખી છે. નથી એમણે કોણ સાચું ને કોણ ખોટું એવા ચુકાદા તોળ્યા કે નથી સ્પષ્ટ કારણો દેખાડ્યાં. સ્ત્રીપાત્રોનાં દષ્ટિકોણને પણ અહીં પૂરતો અવકાશ મળ્યો છે.  નવલકથામાં ગીતા અને સુજાતા ઉપરાંત રેણુ નામનું એક સ્ત્રીપાત્ર પણ છે. સુધાંશુ જોશીના જીવનમાં આવેલી આ રેણુ કોણ છે? એક બિંદુ પર પુત્ર શેખરના મનમાં સવાલ સુધ્ધાં થાય છે કે પિતા ડાયરીમાં જેવા દેખાવાનો પ્રયત્ન કરે છે એનાથી જુદી વ્યક્તિ હશે? કે પછી, જાત સાથે પણ એ આત્મવંચના કરતા હશે?

નવલકથામાં આખરે શું થાય છે? શું શેખર સુજાતા સાથેના સંબંધમાં જે કંઈ બચ્યું છે એ બધું સમેટીને સંબંધને પુન: ઊભો કરવાની કોશિશ કરે છે? શબ્દ સ્વરુપે જેમને પહેલી વાર ઓળખ્યા છે એ પિતા, કે જેણે ડાયરીમાં ક્યારેય ‘બેટા’ એવું સંબોધન કર્યું નથી, એમની હૂંફ શું હવે જિંદગી આખી સાથે રહેવાની છે? આ પ્રશ્ર્નના ઉત્તર તમારે નવલકથા વાંચીને મેળવી લેવાના છે. સાહિત્યિક ગુણવત્તા ધરાવતી સંવેદનશીલ નવલકથાના ભાવકોએ અચુક વાંચવા જેવું પુસ્તક.                                                                                0 0 0

 જિંદગી આખી   
                                
લેખક: વીનેશ અંતાણી
પ્રકાશક: આર.આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૧
ફોન: (૦૭૯) ૨૫૫૦ ૬૭૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
કિંમત:  ‚. ૧૫૦ /
 કુલ પૃષ્ઠ: ૧૭૮
 

૦ ૦ ૦