Showing posts with label Satyamev Jayate. Show all posts
Showing posts with label Satyamev Jayate. Show all posts

Tuesday, April 21, 2015

ટેક ઓફ: ખુશ રહેવાની જીદ

Sandesh - Ardh-saptahik purti - 22 April 2015
ટેક ઓફ 
માંહ્યલો પીંખી નાખે, આખું અસ્તિત્વ કુંઠિત કરી નાખવાની ધાર સુધી ધકેલી દે તેવા અનુભવ પછી જીવનભર શરમ કે ગિલ્ટથી રિબાયા કરવાની જરૂર નથી. તે ઘટના વિશે લોકો સાથે આત્મવિશ્વાસપૂર્વક વાત કરી શકાય છે, ખૂલીને મુકાબલો કરી શકાય છે. હા, તે માટે જબરદસ્ત આંતરિક તાકાત જોઈએ. સુઝેટ જોર્ડન જેવી!


"હું મુંબઈના રેડલાઇટ એરિયામાં રહું છું..."
આટલું કહીને સોળેક વર્ષની એક તરુણી અટકી જાય છે. સામે ખુરશી પર ગોઠવાયેલા સાઠથી સિત્તેર લોકોની નજર એના ઘાટીલા ચહેરા પર તકાયેલી છે. ઊંચું કદ, શામળો વર્ણ, સુઘડ-શાલીન વસ્ત્રોમાં એ સ્કૂલ-કોલેજમાં જતી બીજી કોઈ પણ નોર્મલ તરુણી જેવી જ દેખાય છે. ફક્ત એની કહાણી બીજી છોકરીઓ કરતાં ઘણી જુદી અને ભયાવહ છે. હાથમાં પકડી રાખેલા માઇક ફરતે એની મુઠ્ઠી ઔર સજ્જડ બને છે. કદાચ એ મનોમન શબ્દો ગોઠવી રહી છે, કેમ કે હવે પછી એ જે કહેવાની છે તે ખૂબ સ્ફોટક છે. ઊંડો શ્વાસ લઈને, હિંમત કરીને એ બોલી નાખે છેઃ
"હું બાર વર્ષની હતી ત્યારે મારા પર મારા સરે બળાત્કાર કર્યો હતો."
એ પાછી અટકે છે, પણ ત્યાં સુધીમાં એને સાંભળી રહેલા લોકોના ચહેરા પર સ્તબ્ધતા લીંપાઈ ચૂકી છે.
"પછી તો આવું વારે વારે બનવા લાગ્યું. મારા સરે કેટલીય વાર મારા પર બળાત્કાર કર્યો. મને સમજાતું નહોતું કે મારી સાથે શું થઈ રહ્યું છે. હું મૂંઝાયેલી-મૂંઝાયેલી રહેતી. હું શું કામ અત્યાચારનો ભોગ બની? હું મુંબઈના, કદાચ દેશના સૌથી મોટા રેડલાઇટ એરિયામાં રહેતી હતી એટલે. આ શબ્દ વાપરવા માટે માફ કરજો, પણ મારે એ વાપરવો પડશે, કેમ કે કમાઠીપુરાની છોકરી રંડીની ઓલાદ જ હોય એવું પેલા નરાધમે માની લીધેલંુ અને રંડીની ઓલાદ સાથે તો કંઈ પણ થઈ શકે! પણ મારી મા રંડી નથી. મારાં ગરીબ મા-બાપની ત્રેવડ નહોતી છતાંય ગમે તેમ કરીને મને ભણવા મોકલતાં અને આ મારો સર..."
તરુણીના અવાજમાં વેદના અને આક્રોશનું વજન ઊતરી આવે છે. લોકો સ્થિર થઈને એને સાંભળી રહ્યા છે.
"સમજણી થઈ પછી કેટલોય સમય હું શરમ અને ગિલ્ટ અનુભવતી રહી. મેં ઘરમાં કોઈને વાત ન કરી, કેમ કે મારા પિતાજી પથારીવશ છે અને માની તબિયત નરમગરમ રહ્યા કરે છે. હું અંદર ને અંદર શોષવાતી રહી, પણ પેલો મારો સર આજેય નફ્ફટ થઈને ફરે છે. આખરે એક દિવસ મેં નક્કી કર્યું કે બસ, હવે વધારે નહીં. આખરે મારો વાંક શો હતો? મેં શું ગુનો કર્યો હતો? શરમાવાનું મારા સરે હોય, મારે નહીં. આજે મેં પહેલી વાર આટલા બધા લોકો સામે જાહેરમાં મારી વાત રજૂ કરી છે. મારે રિબાઈ રિબાઈને નથી જીવવું. મારું જીવન, મારું શરીર, મારું મન મારાં પોતાનાં છે અને મને એના પર ગર્વ છે."
આટલું કહીને તરુણી બેસી જાય છે. બીજી એક છોકરી આગળ આવે છે. એની ઉંમર પહેલી છોકરી કરતાંય નાની છે. એના ચહેરા પર ગભરાટ છે, પણ ધીમે ધીમે ટૂંકમાં એ પોતાની વાત રજૂ કરે છેઃ
"હું એક સેક્સવર્કરની દીકરી છું. નાની હતી ત્યારે મને સેક્સ્યુઅલી એબ્યુઝ કરવામાં આવી હતી, પણ મેં એના આઘાતમાંથી બહાર આવી જવાનું નક્કી કર્યું છે."
જેના લીધે માંહ્યલો પીંખાઈ ગયો હોય અને આખુંય અસ્તિત્વ કુંઠિત થઈ જવાની ધારે પહોંચી ગયું હોય તેવા આ પ્રકારના અનુભવોને બીજાની સાથે ખાનગીમાં શેર કરવા માટે પણ તાકાત લગાડવી પડતી હોય છે, જ્યારે અહીં તો જાહેરમાં ખૂલીને તેના વિશે વાત થઈ રહી હતી. કેટલી બધી આંતરિક હિંમત જોઈએ તેના માટે! પણ આ એક ક્ષણ આત્માને કચડી નાખતા બોજને દૂર ફગાવી દેવાની ક્ષણ છે. આવી નિર્ણાયક પળો જીવનને મહત્ત્વનો વણાંક આપી દેતી હોય છે. મુંબઈના ખાર વિસ્તારમાં ગયા અઠવાડિયે 'ધ હાઈવ' નામના એક્ટિવિટી સેન્ટરમાં એક નાનકડી પણ નક્કર બેઠક યોજાઈ હતી. કલકત્તાની પાર્ક સ્ટ્રીટ રેપ સર્વાઇવર તરીકે જાણીતી બનેલી અને એકાદ મહિના પહેલાં મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે મૃત્યુ પામેલી ખુદ્દાર મહિલા સુઝેટ જોર્ડનની સ્મૃતિમાં આ મિટિંગ ગોઠવાઈ હતી. સુઝેટના પ્રત્યક્ષ પરિચયમાં આવેલા અથવા તેની હિંમતથી પ્રેરાયેલા કેટલાક લોકો એકઠા થયા હતા. લેખની શરૂઆતમાં જેની વાત કરી તે બન્ને તરુણીઓએ અહીં જ પોતાની વાત શેર કરી હતી. આજે એ બન્ને એક સંસ્થાના સહયોગથી સુરક્ષિત માહોલમાં ભણી રહી છે, જીવનમાં આગળ વધી રહી છે.

કલકત્તામાં બે દીકરીઓ સાથે રહેતી એંગ્લો-ઇન્ડિયન સુઝેટ સિંગલ મધર હતી. ૨૦૧૨ની એક રાતે ક્લબમાંથી પાછા ફરતી વખતે થોડી વાર પહેલાં જ જેની સાથે પરિચય થયો હતો એવા એક પુરુષે એને કારમાં લિફ્ટ આપવાની ઓફર કરી. સુઝેટ કશું સમજે તે પહેલાં કારમાં પુરુષના ત્રણ દોસ્તારો પણ ઘૂસી ગયા અને પછી ચાલતી ગાડીએ એના પર ગેંગરેપ કરવામાં આવ્યો. સુઝેટને પીંખાયેલી હાલતમાં રસ્તા પર ફેંકી દઈને તેઓ નાસી ગયા. એ પોલીસ પાસે ફરિયાદ નોંધાવા ગઈ. આ પ્રકારના કિસ્સામાં પોલીસ સ્ટેશનમાં ને પછી હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન જે થતું હોય છે તે બધું જ સુઝેટ સાથે પણ થયું. ગંદી કમેન્ટ્સની વચ્ચે સવાલોની ઝડી વરસી. રાત્રે એકલી ક્લબ શું કામ ગઈ હતી? અજાણ્યા માણસ પાસે લિફ્ટ લેવાની શી જરૂર હતી? એ લોકોએ કઈ પોઝિશનમાં તારા પર રેપ કર્યો?
સુઝેટનો પાર્ક સ્ટ્રીટ રેપકેસ મીડિયામાં ઉછળ્યો. મીડિયાના રિપોર્ટ્સમાં બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ જાહેર કરી શકાતી નથી એટલે ટીવી સ્ક્રીન પર સુઝેટનો ચહેરો બ્લર કરી નાખવામાં આવતો અથવા તેની પીઠ તરફ કેમેરા તાકીને ઇન્ટરવ્યૂ લેવાતો. પશ્ચિમ બંગાળનાં મહિલા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બફાટ કર્યો કે સુઝેટ જૂઠાબોલી છે, કલકત્તાનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બદનામ કરવા માટે એણે ખોટેખોટી વાર્તા ઉપજાવી કાઢી છે! આ સાંભળીને મીડિયા અને જનતાએ તોફાન મચાવી દીધું. બળાત્કાર જાણે ઓછો હોય તેમ એકલી પડી ગયેલી સુઝેટ પર પ્રકાર પ્રકારના સામાજિક-આર્થિક અત્યાચાર થતા રહ્યા.
"હું 'પાર્ક સ્ટ્રીટ રેપ વિક્ટિમ'ના લેબલથી ત્રાસી ગઈ હતી." સુઝેટે કહેલું, "મને સમજાયું કે જો મારે અન્યાય સામે લડવું હશે તો ચહેરો બેનકાબ કરવો પડશે. મારે શા માટે શરમાવું જોઈએ? મારે નહીં, પણ પેલા હેવાનોએ શરમાવાનું છે. મારું સતત અપમાન કરી રહેલા, મને કલંકિત કરવાની કોશિશ કરતા સમાજે શરમાવાનું છે."
અને સુઝેટે હિંમતભેર લોકો સામે આવવાનું શરૂ કર્યું. એનો ઇન્ટરવ્યૂ લેવા આવતા મીડિયાકર્મીઓને એ કહેતી કે પ્લીઝ મને પાર્ક સ્ટ્રીટ રેપ વિક્ટિમ કહેવાનું બંધ કરો. હું વિક્ટિમ નથી, હું સુઝેટ જોર્ડન છંું, એક મા છું, કોઈની દીકરી અને બહેન છું. મને મારા નામથી જ બોલાવો. ટીવી સ્ક્રીન પર મારો ચહેરો ઢાંકવાનું બંધ કરો.


સુઝેટે બળાત્કારનો ભોગ બનેલી અન્ય મહિલાઓનું કાઉન્સેલિંગ શરૂ કર્યું. એના દંભ વગરના જીવંત વ્યક્તિત્વથી કેટલાયને હિંમત મળી, પ્રેરણા મળી. માત્ર બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને જ નહીં, પણ જાતજાતની માનસિક ગ્રંથિઓથી પીડાતા લોકોને અને સામાન્ય લોકોને પણ. સુઝેટ શબ્દોમાં મૂક્યા વગર, કેવળ પોતાના જીવંતપણાથી લોકો સુધી એ વાત પહોંચાડી શકતી કે પ્રહાર ગમે તેટલા આકરા કે ઊંડા કેમ ન હોય, ઘાને પંપાળ્યા કરવાનો કોઈ મતલબ હોતો નથી. જિંદગી કોઈ બિંદુ પર અટકી પડવી ન જોઈએ. જીવી શકાય છે, ભરપૂરપણે જીવી શકાય છે. બસ, હિંમત જોઈએ અને ખુશ રહેવાની જીદ જોઈએ. 
હરીશ અય્યર નામનો યુવાન એક્ટિવિસ્ટ બાળપણમાં વર્ષો સુધી જાતીય શોષણનો ભોગ બન્યો હતો. એ કહે છે, "હું અને સુઝેટ હમદર્દ હતાં, એકમેકની પીડા સમજી શકતાં હતાં, કારણ કે અમે બેય તે વેદનામાંથી પસાર થયાં હતાં. આ પીડા જ અમારી દોસ્તીનો આધાર હતી. દુઃખને તાબે ન થવાની અમારી જીદ એટલી તીવ્ર હતી કે અમે અમારા અત્યાચારને યાદ કરીને મજાક સુધ્ધાં કરી લેતાં."
મજાક તો સુઝેટ પર બળાત્કાર કરવાના આરોપ હેઠળ બે વર્ષથી જેલમાં પુરાયેલા ત્રણ યુવાનો પણ ક્યાં નહોતા કરતા. જેલમાં મોબાઇલ રાખી શકાતા નથી, પણ કોઈક રીતે આ લોકોએ મોબાઇલ સ્મગલ કરેલા. હજુ હમણાં સુધી તેઓ ફેસબુક પર પોતાનાં પ્રોફાઇલ પિક્ચર્સ બદલ્યા કરતા હતા અને 'લાઇક્સ' મેળવતા હતા. ચાલીસ વર્ષની સુઝેટ જોર્ડનના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે આ નફ્ફટ જુવાનોએ જેલમાં મીઠાઈ વહેંચી હતી.
ખેર, સુઝેટના જુસ્સા સામે આ બધું ક્ષુલ્લક છે. સુઝેટના મિજાજના સ્પર્શથી ઘણા લોકોને હિંમત મળતી રહેવાની. કમાઠીપુરાની પેલી તરુણીઓની જેમ.
0 0 0 

Saturday, July 28, 2012

‘હું સ્તબ્ધ છું!’


દિવ્ય ભાસ્કર  - રવિવાર પૂર્તિ  - ૨૯ જુલાઈ ૨૦૧૨ માટે 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

સીમાચિહ્નરૂપ બની ગયેલા ટીવી શો ‘સત્યમેવ જયતે’નો આજે અંતિમ એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે ત્યારે મળો, શોના ટેલેન્ટેડ ડિરેક્ટર, સત્યજિત ભટકળને...



‘આજે દોઢ-બે વર્ષ પછી પહેલીવાર એવું બન્યું છે કે થોડોક રિલેક્સ છું અને મારા પર કામનું પ્રેશર નથી...’ મુંબઈમાં બાંદરા સ્થિત એમઆઈજી ક્લબની રેસ્ટોરાંમાં પોતાની જિમબેગ બાજુમાં મૂકીને સત્યજિત ભટકળ સ્મિતપૂર્વક વાતચીતની શરુઆત કરે છે. સત્યજિત ભટકળ એટલે સીમાચિહ્નરૂપ બની ગયેલા ટીવી શો ‘સત્યમેવ જયતે’ના ડિરેક્ટર. આજે ‘સત્યમેવ જયતે’નો તેરમો અને અંતિમ એપિસોડ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે ત્યારે તેઓ સમગ્રા અનુભવને નિહાળે છે?

‘આઈ એમ સ્ટન્ડ!’ તેઓ કહે છે, ‘ખરેખર, ‘સત્યમેવ જયતે’એ જે વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને એણે કંઈકેટલાય સ્તરો પર જે નક્કર પ્રતિક્રિયાઓ જન્માવી છે એ જોઈને અમે બધા સ્તબ્ધ છીએ. અમારામાંથી કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યુ કે આ શો આટલી ઊંચાઈ પર પહોંચી શકશે.’

આ સિલસિલાની શરૂઆત થઈ હતી બે વર્ષ પહેલાં. એક વાર આમિર ખાન અને સત્યજિત ભટકળ એમ જ વાતો કરતા બેઠા હતા. સત્યજિત અને આમિર બાળપણના દોસ્તો છે. વકીલ તરીકે દસ વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી સત્યજિત ‘લગાન’ની ટીમમાં પ્રોડક્શન એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈને ટીમનો અંતર્ગત હિસ્સો બની ગયા હતા. આ ઓસ્કરનોમિનેટેડ ફિલ્મના ઘટનાપ્રચુર મેકિંગ વિશે પછી એમણે ‘ધ સ્પિરિટ ઓફ લગાન’ નામનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું અને ‘ચલે ચલો’ (અથવા ‘મેડનેસ ઈન ધ ડેઝર્ટ’) નામની અફલાતૂન ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી, જેણે નેશનલ અવોર્ડ જીત્યો. એ પછી એમણે ‘બોમ્બે લોયર્સ’ નામની મિની સિરીઝ લખી અને ડિરેક્ટ કરી, જે ખૂબ વખણાઈ. દર્શિલ સફારીને લઈને ‘ઝોક્કોમોન’ નામની એક બાળસુપરહીરોની થીમવાળી ફિલ્મ પણ બનાવી. પેલી અનૌપચારિક મિટીંગમાં આમિરે કહ્યુંઃ સત્યા, મારા મનમાં એક ટીવી શો કરવાનો વિચાર આવી રહ્યો છે. મને ગેમ શો કે એવું કશું આકર્ષતું નથી, પણ હું એવો શો બનાવવા માગું છું જે ટેલીવિઝનના જબરદસ્ત પાવરનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે અને જેનું સ્વરૂપ ટોકશો પ્રકારનું હોય. શું લાગે છે તને?  

સત્યજિતે આમિરને જે આઈડિયાઝ આપ્યા એ એવા હતા કે આ શો એવો હોવો જોઈએ જે આમજનતાને સૌથી વધુ સ્પર્શતા મુદ્દાઓની વાત કરતો હતો. એનું સ્વરૂપ સનસનાટીનું કે આક્ષેપબાજીનું નહીં, પણ ઈન્ક્લુઝિવ એટલે કે સૌને સમાવી લેતું હોય.  એમાં ‘આપણી’ વાત હોય, ‘તમારી’ કે ‘એ લોકોની’ નહીં. કોઈ પણ સમસ્યાનું સ્વરૂપ, એનાં કારણો અને એ નિવારવાના ઉપાયો આ ત્રણેય બાબતોને તે આવરી લેતો હોય. સત્યજિત ભટકળ કહે છે, ‘અમારી વચ્ચે ઘણી ચર્ચા થઈ. હું તો જોકે પછી એ વાત ભુલી ગયો હતો. પાંચછ વીક પછી અચાનક આમિરે મને કહ્યુંઃ સત્યા, આપણે કામ શરૂ કરી દઈએ. તું તારી ટીમ બનાવવા માંડ.’



સત્યજિતની ટીમના સૌથી પહેલાં સભ્યો હતાં કેટલાંય પ્રતિષ્ઠિત અંગ્રાજી પ્રકાશનોમાં પત્રકાર રહી ચુકેલાં એમનાં પત્ની સ્વાતિ ચક્રવર્તી ભટકળ અને આમિરસત્યજિતનના જૂના સાથી લાન્સી ફર્નાન્ડિઝ. પછી શોના અસોસિએટ ડિરેક્ટર અને લેખક સુરેશ ભાટિયા પણ જોડાયા. સૌએ નક્કી કર્યુર્ં કે શોના ફોર્મેટની ચિંતા કર્યા વગર આપણે પહેલાં તો દેશમાં ફરીએ, આપણને કેવું મટીરિયલ મળે છે એ જોઈએ. આ ટીમે ભારતભરમાં રખડીને રીતસર છ ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી (એમાંની એક સ્ત્રીભ્રૂણહત્યા વિશેની હતી). સત્યજિત કહે છે, ‘આ એક્સરસાઈઝને કારણે અમને ઝાંખો ઝાંખો આઈડિયા મળવા લાગ્યો કે ઓકે, અમારા ટીવી શોનું કન્ટેન્ટ કંઈક આ પ્રકારનું હશે, મટિરીયલને આ રીતે ફ્લો કરી શકાશે. એક વાતે અમે બિલકુલ સ્પષ્ટ હતા કે શો ઈન્ટેસ્ટિંગ બનવો જોઈએ, એકેડેમિક નહીં. એમાં નકરી માહિતીનો ખડકલો નહીં હોય, પણ એ લાગણીઓની ભાષા બોલતો હશે. અમે શોમાં આવરી શકાય એવા ૨૦ વિષયોનું લિસ્ટ બનાવ્યું. એમાંથી આખરે ૧૩ વિષયો ફાયનલાઈઝ કર્યા.’

પછી શરૂ થયું રીસર્ચવર્ક. સેંકડો પુસ્તકો, ન્યુઝપેપરમેગેઝિનનાં હજારો કટિંગ્સ અને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના ગંજ ખડકાયા. હવે સમય હતો ટીમને વિસ્તારવાનો. સ્વાતિ ચક્રવર્તી ભટકળે દેશભરમાંથી ૮ થી ૯ કોરસ્પોન્ડન્ટ પસંદ કર્યા. ત્રણ દિલ્હીમાં, ચાર મુંબઈમાં અને એક દક્ષિણ ભારતમાં. ‘સત્યમેવ જયતે’માં દેશના ખૂણેખૂણાને જે રીતે આવરી લેવામાં આવ્યા છે એ જોતા દશર્કને સહેજે લાગે કે આમિર પાસે કોરસપોન્ડન્ટ્સની જબરદસ્ત મોટી ફોજ હશે, પણ સચ્ચાઈ તદ્દન વિપરીત છે. આટલું વિરાટ ફિલ્ડવર્ક માત્ર આ ૮ થી ૯ પત્રકારોએ કર્યુર્ં છે! સત્યજિત ભટકળ કહે છે, ‘અમે બધાં જ સખ્ખત ચાર્જડઅપ હતા, ઝનૂની હતા. હું હંમેશા માનતો આવ્યો છું કે મોટા કાફલા કરતાં નાની પણ મજબૂત અને મોટિવેટેડ ટીમ હંમેશા વધારે સારું પરિણામ આપે છે. મારે એવા માણસો જોઈતા હતો જે પોતાના કામને કામ નહીં એક પેશન ગણે.’

આખરે ૨૫ ફેબ્રુઆરીએ યશરાજ સ્ટુડિયોના સાવ સાદા સેટ પર શૂટિંગ શરૂ થયું, જે મેના અંત સુધી ત્રૂટકત્રૂટક ચાલ્યું. વચ્ચેના  ખાલી દિવસોમાં પોસ્ટપ્રોડક્શન તેમજ આગલા એપિસોડની તૈયારીઓ થાય. એક એપિસોડના શૂટિંગ દરમિયાન ચારથી આઠ કલાકનું ફૂટેજ મળે, જેને વ્યવસ્થિત કાપીકૂપીને, એડિટ કરીને ૬૬ મિનિટમાં સમાવી લેવું પડે.

‘સત્યમેવ જયતે’ના પહેલા જ એપિસોડથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતીઃ આ શોમાં કન્ટેન્ટ કેન્દ્રમાં છે, આમિર ખાન નહીં. આમિરે પોતાના ઓડિયન્સને આંજી નાખવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. શો જોતી વખતે દર્શકનું ધ્યાન સુપરસ્ટાર આમિર ખાન પર, એની અદાઓ પર કે એના કપડાં પર રહ્યું નહીં, બલકે એ વિષય સાથે વહેતો ગયો. આઘાત, અરેરાટી, કારુણ્ય કે પછી આશા, આનંદ અને જુસ્સાની લાગણીને દર્શક એટલી તીવ્રતાથી અનુભવતો હોય કે આ શોમાં આમિર જેવો સુપરસ્ટાર પણ છે એ હકીકત એકતરફ હડસેલાઈ જાય, લગભગ ભુલાય જાય. શો પર હાજર રહેતા મહેમાનો આમિરથી અંજાયેલા હોય એવું પણ ક્યારેય લાગ્યું નથી.



‘બિલકુલ! આ શોમાં મહેમાનો જ અસલી સ્ટાર હતા, આમિર નહીં,’ સત્યજિત કહે છે, ‘તમે નોંધ્યું હશે કે ૭૦ થી ૭૫ ટકા જેટલી વાતો મહેમાનોએ કરી છે. અમે ટીવી ચેનલોની ચર્ચાઓમાં કાયમ દેખાતા છાપેલા કાટલા જેવા વીસપચ્ચીસ ચહેરાઓથી દૂર જ રહ્યા. અમારા માટે આ શોને ઝાકઝમાળભર્યો બનાવવો સાવ આસાન હતું. અમે ધારત તો કંઈકેટલાય સેલિબ્રિટીઓને આ શોમાં બોલાવીને ગ્લેમર ઉમેરી શક્યા હોત. શોની એન્ટટેનિંગ વેલ્યુ વધારવા માટે આમિરે નથી ક્યારેય પોતાની ફિલ્મનો ડાયલોગ બોલ્યો કે નથી કોઈ ગીત લલકાર્યું. અમે શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે અમારે આ બધામાં પડવું જ નથી.’

શોમાં બે જ જાણીતા ચહેરા દેખાયેલા  જાવેદ અખ્તર, જેમણે પોતાના દારૂના જૂના વ્યસન વિશે વાત કરેલી અને બીજા ગાયક સુખવિન્દર સિંહ, જેણે એક ગીત ગાયું હતું. ‘સત્યમેવ જયતે’નાં ગીતો પણ ખૂબ વખણાયાં છે. સત્યજિત ભટકળ કહે છે, ‘અમારે એવો સંગીતકાર જોઈતો હતો જે આ શો સાથે તીવ્રતાથી જોડાઈ શકે, લાગણીના સ્તરે આ શોને પોતાનો બનાવી શકે. અમારી આ જરુરિયાત રામ સંપટે પૂરેપૂરી સંતોષી છે. એમના કામથી હું અત્યંત ખુશ છું.’  

આમિર જે પ્રોજેક્ટ હાથમાં લે છે એમાં પોતાની જાતને રીતસર ફેંકી દે છે. સત્યજિત કહે છે, ‘છેલ્લા બે વર્ષથી આમિરના સમય પર મારી સંપૂર્ણ મોનોપોલી હતી! મારી એક જ ‘સૌતન’ હતી  આમિરનું ‘ધૂમથ્રી’ માટેનું ત્રણચાર કલાકનું એક્સરસાઈઝ રુટિન! બસ, એ સિવાયનો એનો તમામ સમય ‘સત્યમેવ જયતે’નો!’

આમિરની કામ કરવાની શૈલી વિશે સત્યજિત સરસ વાત કરે છે. એ કહે છે, ‘આમિર મજૂર માણસ છે. એ પોતાના પ્રોજેક્ટસ પર એટલી હદે મહેનત કરે છે કે નવાઈ પામી જવાય. એક ઉદાહરણ આપું. અમે લોકો આખો દિવસ એપિસોડનું શૂટિંગ કરીને, લોથપોથ થઈને રાત્રે બારસાડાબારે છૂટા પડીએ ત્યારે આમિરના ઘરે માર્કેટિંગની ટીમ મિટીંગ માટે રાહ જોઈને બેઠી હોય! એણે મને એકબે વખત આ મિટીંગમાં હાજર રહેવા માટે કહેલું, પણ પછી મારે કહેવું કહ્યું કે આમિર, હું એટલો બધો થાકેલો છું કે... આઈ કેન નોટ ફોકસ! પણ આમિરે આ મિટીંગ માટે પણ પહેલેથી તૈયારી કરી રાખી હોય, એ પૂરેપૂરો એલર્ટ હોય.  આ માણસનું ઈન્વોલ્વમેન્ટ, એનું ડેડિકેશન, એની સજ્જતા, એનું એનર્જી લેવલ... ખરેખર, ખૂબ શીખવા જેવું છે એની પાસેથી.’    
‘સત્યમેવ જયતે’નો જાદુ તમામ ઉંમરના દર્શકોથી લઈને છેક વડાપ્રધાન સુધી છવાયોે. આ શોના નક્કર પ્રભાવની ખબરો મિડીયામાં આવતી રહે છે. સામે પક્ષે, આ શોની અને વ્યક્તિગત રીતે આમિરની ટીકા પણ ખૂબ થઈ છે. આને ‘સત્યમેવ જયતે’ની ટીમ શી રીતે રિએક્ટ કરે છે?



‘વિથ અ સ્માઈલ!’ સત્યજિત હસી પડે છે, ‘જો શોની ટીકા ન થઈ હોત તો અમને ચિંતા થઈ જાત! આમાં તો એવું છે કે તમે ગમે એટલું કરો તો પણ ઓછું જ લાગવાનું. કંઈક ને કંઈક તો બાકી રહી જ જવાનું. જેમ કે, પાણીની તંગીવાળા એપિસોડમાં અમારે ગુજરાતને આવરી લેવાની જરૂર હતી, કારણ કે અહીં રેઈનવોટર હાર્વેસ્ટિંગ પર સરસ કામ થયું છે. જેતે મુદ્દાનું જટિલતા ઘટી ગઈ હોય અને વિષયનું ઓવરસિમ્પિલિફિકેશન (અતિસાધારણીકરણ) થઈ ગયું હોય એવું લગભગ દરેક વખતે બન્યું છે. જોકે એક વાતે અમે સ્પષ્ટ હતા કે આખરે તો આ એક ટીવી શો છે, એનાથી કંઈ ક્રાંતિ આવી જવાની નથી. સમાજની વિષમતા ઓછું કરવાનું કામ સ્વતંત્ર કાર્યકર્તાઓ, સંસ્થાઓ અને ઈવન સરકારો પહેલેથી કરે જ છે. અમે મૂંગે મોઢે કરતાં એ અજાણ્યા ચહેરાઓને પ્રકાશમાં લાવવાનું કાર્ય કર્યુ છે. દારુના દૂષણવાળા એપિસોડમાં અમે ‘આલ્કોહોલિક એનોનિમસ’ નામની સંસ્થાની વાત કરી હતી. એ એપિસોડ ટેલિકાસ્ટ થયો પછી સંસ્થાને ૧ લાખ ૬૦ હજાર કરતાં વધારે ફોન આવ્યા. માની લો કે આમાંથી માત્ર ૧૦ ટકા નશાખોરોને પણ ફાયદો થયો તો પણ એ કેટલી મોટી વાત છે!’

આમિરે તો જાહેર કરી દીધું છે ‘સત્યમેવ જયતે’ની બીજી સિઝન જરૂર આવશે. જોકે સત્યજિત ભટકળ કહે છે કે સામૂહિક નિર્ણય લેવાનો હજુ બાકી છે.

‘આ શોએ અમને આખેઆખા નીચોવી નાખ્યા છે.  પહેલાં તો આ આખો અનુભવ પચાવવો પડશે, એનાથી ડિટેચ થઈને પૃથક્કરણ કરવું પડશે. અમારા પ્લસ પોઈન્ટ્સ, માઈનસ પોઈન્ટ્સ, ભુલો એ બધું સમજવું પડશે... અને એના માટે સમય જોઈશે. છેલ્લા દોઢબે વર્ષમાં મેં માત્ર છ દિવસ રજા લીધી છે. એટલે અત્યારે તો મને એક જ વસ્તુ દેખાય છે.... આરામ!’  

શો-સ્ટોપર

બીજા પ્રોડ્યુસરો પર આધાર રાખ્યા વિના મારી ફિલ્મો હું પોતે જ પ્રોડ્યુસ કરી શકું છું. આહા... આનાથી બહેતર મુક્તિનો અહેસાસ બીજો કોઈ ન હોઈ શકે! 

-  સૈફ અલી ખાન