Showing posts with label Chandrakant Bakshi. Show all posts
Showing posts with label Chandrakant Bakshi. Show all posts

Sunday, June 5, 2016

મલ્ટિપ્લેક્સ: મલ્ટિ-ટાસ્કિંગના મહારાજા

Sandesh - Sanskar Purti - 5 June 2016

મલ્ટિપ્લેક્સ


એન્જીનીયરિંગ, એમબીએ જેવાં ક્ષેત્રો અને અભિનય-લેખન-સંગીત જેવાં કળાનાં ક્ષેત્રો વચ્ચે હંમેશાં બાપે માર્યા વેર જ હોય એવું કોણે કહ્યું? ટેલેન્ટેડ યુવા અભિનેતા પ્રતીક ગાંધી  આ બન્ને ફિલ્ડ્સ સાથે મીઠા સંબંધો ધરાવે છે. રિલાયન્સ જેવા જાયન્ટ ગ્રૂપમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે જવાબદારીભરી ફુલટાઈમ જોબ કરતાં કરતાં પ્રતીકે રંગભૂમિ ઉપરાંત ગુજરાતી સિનેમામાં પણ માનભર્યું સ્થાન મેળવ્યું છે. આવું કમાલનું સંતુલન તેઓ શી રીતે બનાવી શકે છે? ચંદ્રકાંત બક્ષીથી મહાત્મા ગાંધી સુધીના કેટલાંય જટિલ પાત્રોને રંગમંચ પર પ્રભાવશાળી રીતે સાકાર કરનારા અને આગામી શુક્રવારે મુંબઈ સ્થિત પૃથ્વી થિયેટરમાં એક અનોખો વિક્રમ બનાવવા જઈ રહેલા પ્રતીક ગાંધી સ્વયં એક ઈન્ટરેસ્ટિંગ કેસ-સ્ટડી છે. 




લેખની શરૂઆતમાં જ એક સ્પષ્ટતા. આજનો લેખ જેમના વિશે લખાયો છે એ અફ્લાતૂન એકટર પ્રતીક ગાંધી સાથે આ લખનાર પ્રોફેશનલ-ક્રિયેટિવ સ્તરે ભૂતકાળમાં સંક્ળાઈ ચૂકયો છે. પોતાનાં વર્તુળની વ્યકિતને લેખના વિષય તરીકે પસંદગી કરવી જરા પેચીદી બાબત છેકેમ કે આવી સ્થિતિમાં કોલમનિસ્ટની નૈતિક્તા પર જોખમ ઊભું થઈ શકે. આની સાથે એ વાત પણ એટલી જ સાચી કે માણસ તમારો પરિચિત હોય તો તે કંઈ એનો 'વાંકનથી. શ્રેષ્ઠતાની ઉપાસના કરતા કોઈ પણ ક્લાકારની સિદ્ધિ અને એની ક્રિયેટિવ પ્રોસેસ વિશે વિગતે વાત થવી જ જોઈએ. એમાંય એ જ્યારે વિક્રમ સર્જવા જઈ રહૃાા હોય ત્યારે તો ખાસ. 

શું છે આ વિક્રમ?
રંગભૂમિ પર વર્ષોથી ઉત્તમોત્તમ પર્ફોર્મન્સિસ આપતા રહેલા અને મસ્તમજાની 'બે યારફ્લ્મિના લીડ એક્ટર તરીકે નાટકે ન જોતાં ગુજરાતી ઓડિયન્સ સુધી પણ પહોંચી ચૂકેલા પ્રતીક ગાંધીની ટૂંક સમયમાં એમની બીજી મહત્ત્વાકાંક્ષી ગુજરાતી ફ્લ્મિ આવી રહી છે - 'રોંગસાઈડ રાજુ'. પણ તેની પહેલાંદસમી જૂને એટલે કે આવતા શુક્રવારેમુંબઈના પૃથ્વી થિયેટરમાં તેમનાં હિટ નાટક 'મોહનનો મસાલો'ના ત્રણ શોઝ થવાના છે. મોહનદાસ કરમચંદ ગાંધી નામના આમ તો સાવ સાધારણ લાગતા કઠિયાવાડી જુવાનમાં એવું તો શું હતું કે તેઓ આગળ જતાં મહાત્મા બન્યાઆ મુદ્દાને મનોરંજક રીતે પેશ કરતું આ નાટક વન-મેન-શો છે. પ્રતીક સતત પોણી-બે ક્લાક સુધી આ અત્યંત જટિલ કિરદારને એવી રીતે પર્ફોર્મ કરે છે કે પ્રેક્ષકે તેની જગ્યા પરથી ચસકી ન શકે. મનોજ શાહ નાટક્ના ડિરેક્ટર-પ્રોડયુસર છેતેજસ્વી યુવા લેખક ઈશાન દોશી લેખક છે અને સત્ય મહેતાએ તે સંવર્ધિત ર્ક્યું છે. 'મોહનનો મસાલોનાટક્ની હિન્દી અને અંગ્રેજી આવૃત્તિ પણ બની ચૂકી છે. ત્રણેય ભાષાના શો દેશ-દુનિયામાં યોજાતા રહે છે. આવતા શુક્રવારે વિક્રમસર્જક વાત એ બનવાની છે કે ત્રણેય ભાષાના શોઝ બેક-ટુ-બેક યોજાવાના છે. પહેલાં ગુજરાતીપછી હિન્દી અને છેલ્લે ઇંગ્લિશ. એક જ ક્લાકારએક જ સ્થળેએક જ દિવસમાં,એક જ નાટક્ના ત્રણ ભાષાઓમાં ફુલ-લેન્થ વન-મેન-શો કરે એવું ભારતીય રંગભૂમિ પર અગાઉ કયારેય બન્યું નથી! લિમકા બુક ઓફ્ રેકેર્ડ્સવાળાઓએ ઓલરેડી પોતાની ગતિવિધિ શરૂ કરી દીધી છે.


મોહનનો મસાલો / मोहन का मसाला / Mohan's Masala

પ્રતીક ગાંધી સ્વયં એક બહુ જ ઈન્ટરેસ્ટિંગ કેસ-સ્ટડી છે. લગભગ સર્વાનુમતે એવું સ્વીકારી લેવામાં આવ્યું છે કે માણસ જેન્યુઈન ક્લાકાર હોય - પછી તેનું ક્ષેત્ર અભિનયલેખનસંગીતચિત્રક્ળા કે બીજું કંઈ પણ હોઈ શકે - તો સફ્ળ થવા માટે એણે માત્ર પોતાની ટેલેન્ટ પર ફોક્સ કરવું જોઈએ. જો એ રૂટિન નોકરી - ધંધાના ચક્કરમાં પડશે તો દુઃખી દુઃખી થઈ જશે ને ઘરનો કે ઘાટનો કયાંયનો નહીં રહે. મોટે ભાગે આવું બનતું પણ હોય છેપરંતુ આજે જેમનો એક અભિનેતા તરીકે ચારેકોર મહિમા થઈ રહ્યો છે એ પ્રતીક ગાંધી એક સિનિયર કોર્પોરેટ પ્રોફેશનલ પણ છે. રિલાયન્સ જેવા જાયન્ટ ગ્રૂપમાં તેઓ ડેપ્યુટી જનરલ મેનેજર (ઈન્ડસ્ટ્રિઅલ એન્જિનિયરિંગ કોર્પોેરેટ એચઆર) તરીકે જવાબદારીભરી  ફુલટાઈમ કામગીરી બજાવી રહૃાા છે. પ્રતીક એક એવા સફ્ળ આર્ટિસ્ટ છે જેને એન્જિનીયર તરીકે પણ હંમેશાં મોજ પડી છે! યાદ રહેકોઈ હળવી ને સલામત સરકારી નોકરી કરતાં કરતાં સાઈડમાં અભિનય-લેખન વગેરે કરતાં રહેવું તે એક વાત છે, પણ કોર્પોરેટ જગતની ગળાકાપ સ્પર્ધા વચ્ચે ખુદને પુરવાર કરતાં રહીનેસતત પ્રમોટ થતા જઈને સમાંતરે અભિનયજગતમાં પણ પોતાની ધાક પેદા કરવી તે તદ્દન જુદી જ બાબત છે.     
'મને કયારેય એક સમયે એક જ વસ્તુ કરતાં આવડયું જ નથી!પ્રતીક ગાંધી સ્મિતપૂર્વક ક્હે છે,  'ક્દાચ મારી પ્રકૃતિ જ એવી છે.'
આ પ્રકૃતિ ઘડાવા પાછળ ક્દાચ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય કારણભૂત હોઈ શકે. સુરતમાં જન્મેલા પ્રતીક પહેલાં સાત ધોરણ આ સ્કૂલમાં ભણ્યા છે. 'સ્કૂલનાં નામમાં 'પ્રવૃત્તિશબ્દ એટલા માટે હતો કે અમને રેગ્યુલર વિષયો ભણવા ઉપરાંત સુથારીકામખેતીકામવણાટકામસંગીત જેવા વિષયોની પ્રેક્ટિક્લ પરીક્ષાઓમાં પણ ફરજિયાત પાસ થવું પડતું,' પ્રતીક ક્હે છે, 'અમારી સ્કૂલનું પોતાનું ખેતર હતું જ્યાં અમે કોદાળી-પાવડા લઈને પહોંચી જતા. પહેલા-બીજા ધોરણમાં અમે કોથમીરલીમડો ને એવું બધું વાવતા. તે ઊગે એટલે અમારા ટીચર સૌને થોડું થોડું આપે અને ક્હે પણ ખરા કે તમે ખેતરમાં જે મહેનત કરી હતી તેનું આ ફ્ળ છે. ચોથા-પાંચમા ધોરણમાં અમારા હાથમાં કરવત-હથોડી આપી દેવામાં આવેલીસુથારીકામ શીખવા! મને યાદ છેસાતમા ધોરણમાં અમે ચાર છોકરાઓએ સાથે મળીને લાક્ડાનું ટેબલ બનાવેલું. અમે રૂ પણ કાંતતા અને શર્ટ પર બટન ટાંક્વાનું પણ શીખતા. સ્કૂલના એન્યુઅલ ફ્ંક્શનમાં બચ્ચાઓએ નાટક પણ જાતે જ તૈયાર કરવાનું. મારી સ્કૂલના આ પ્રકારના ક્લ્ચરને લીધે હું ખૂબ ઘડાયો છું. હવે જોકે જીવનભારતી રેગ્યુલર સ્કૂલ બની ગઈ છે.'
'કલ્લુ-બલ્લુ': બાળકલાકાર પ્રતીક પોલીસની વેશભૂષામાં
પ્રાઈમરી સ્કૂલનાં આ વર્ષોમાં પ્રતીકે કરેલું 'ક્લ્લુ-બલ્લુ' નામનું પહેલું પ્રોપર નાટકરાધર નૃત્યનાટિકા દૂરદર્શન પર ટેલિકસ્ટ થયું હતું. આઠમા ધોરણથી સુરત-અડાજણની શ્રી વી.ડી. દેસાઈ વાડીવાલા સ્કૂલમાં ટ્રાન્સફર થઈ. પ્રતીક્ના પિતાજી જયંત ગાંધી આ સ્કૂલમાં ગુજરાતી-અંગ્રેજીના ટીચર. પ્રતીક ક્હે છે, 'અમારા ફેમિલીમાં બધા ટીચર જ છે. મારાં મમ્મી (રીટા ગાંધી) પણ નર્સરીમાં ટીચર હતાં. પર્ફોર્મિંગ આર્ટ્સમાં સૌને રસ. પપ્પા એમના જમાનામાં વૈજયંતિમાલા પાસે ભરતનાટયમ શીખતા અને બહુ સરસ રીતે ફોક-ડાન્સ કેરિયોગ્રાફ કરતા. જોકે અભિનયના ક્ષેત્રમાં જવાવાળો અમારી ફેમિલીમાંથી હું પહેલો છું.'
નવી સ્કૂલમાં 'આઝાદીની ગૌરવગાથાનામના ફુલ-લેન્થ મ્યુઝિક્લ ડ્રામા તૈયાર કરાવવા માટે મુંબઈના જાણીતા રંગર્ક્મી નટખટ જયુને ખાસ તેડાવવામાં આવ્યા હતા. નાનક્ડા પ્રતીક્ને સૂત્રધારની ચાવીરૂપ ભૂમિકા માટે પસંદ કરવામાં આવેલા. પ્રતીક અને બીજા એક છોકરાને નાટક્ની ટ્રેનિંગના ભાગરૂપે નટખટ જયુએ સુરતમાં એક મહિના સુધી પોતાની સાથે રાખીને ખૂબ બધું શીખવ્યું હતું. પ્રોફેશનલ થિયેટર આર્ટિસ્ટ સાથેનો પ્રતીક્નો આ પહેલો સંપર્ક. 
પ્રતીક્ને નાટક-સંગીત-ડાન્સ ઉપરાંત ગણિત-વિજ્ઞાનમાં ય બહુ મજા પડતી. ભણવામાં હોશિયાર હોય એવા કોઈ પણ સ્ટુડન્ટની માફક્ પ્રતીકે પણ બારમા પછી મેડિક્લ યા તો એન્જિનીયરિંગમાં જવાનું નક્કી કરી નાખ્યું હતું. મા-બાપનું કોઈ દબાણ નહોતું. ડિગ્રીમાં એડમિશન ન મળી શક્યું એટલે સુરતની ગાંધી કોલેજમાં મિકેનિક્લ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા કરવા માંડ્યા.

અમારી કોલેજમાં થિયેટરનો માહોલ નહોતો એટલે પપ્પાએ મને ક્શ્યપ જોશીના આશિયાના પરિવાર નામના થિયેટર ગ્રૂપમાં મૂક્યો. દર વર્ષે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નાટ્યસ્પર્ધાઓ યોજાય છે. આવી એક કોમ્પિટીશનમાં અરણ્ય રુદનનામના નાટક્માં હું દરબાર બન્યો હતો ને એમાં મારે એક જ લાઈન બોલવાની હતી - આ રહૃાો તમારો ગુનેગાર.બસ, આટલું જ!


ડિપ્લોમા ડિસ્ટિંકશન સાથે પાસ ર્ક્યા બાદ ઈન્ડસ્ટ્રીઅલ માર્કેટિંગની જોબ લીધી. પૈસા એક્ઠા ર્ક્યા ને એમાંથી ઘૂલિયાની એક એન્જિનીયરિંગની કોલેજના ડિગ્રી કોર્સની એડમિશન ફી ભરી. ઓલરેડી ડિપ્લોમા ર્ક્યો હતો એટલે મિકેનિક્લ એન્જિનીયરિંગના ડિગ્રી કોર્સમાં ભણવાની પ્રતીક્ને વિશેષ મજા આવતી હતી. વીકએન્ડમાં સુરત આવવાનું, નાટકેનાં રિહર્સલ કરવાના અને ભજવવાના. હોસ્ટેલમાં રહેતા છોકરાઓ જલસા કરવામાં અને વેકેશનમાં રખડી ખાવામાં ઉસ્તાદ હોય છે, પણ પ્રતીક વેકેશનમાં દોઢ-બે મહિના ઘરે આવે ત્યારે પણ નાના-નાના પ્રોજેકટ્‌સ કે શોર્ટ-ટાઈમ જોબ્સ કરી લેતા.

મને નવરા બેસી રહેવાનું ફાવતું જ નથી,’ પ્રતીક ક્હે છે, ‘પપ્પાને મેં ખૂબ મહેનત કરતાં જોયા છે. મારાં નાની હંમેશાં ક્હેતાં કે બધાને કામા (એટલે કે કામઢા લોકો) વહાલા હોય, ધામા (નવરાધૂપ બેસી રહેતા લોકો) વહાલા ન હોય. આ વાત મારા દિમાગમાં છપાઈ ગઈ છે.

સુરતમાં શો કરવા આવતા મુંબઈનાં મેઈનસ્ટ્રીમ નાટકોની ભવ્યતા અને પ્રોફેશનલ અપ્રોચ જોઈને ધીમે ધીમે એક વાતે સ્પષ્ટતા થઈ રહી હતી કે જો થિયેટરમાં આગળ વધવું હશે તો સુરતથી બહાર નીક્ળવું પડશે. ફાયનલ યરની એકઝામ પછી પ્રતીક સીધા મુંબઈ આવી ગયા. જૂન ૨૦૦૪ની આ વાત. સંબંધીને ત્યાં રહેવાનું શરુ ર્ક્યું. પ્રોડ્યુસર અને પીઆર પ્રોફેશનલ મનહર ગઢિયાએ મુંબઈની ક્મર્શિયલ સરક્ટિના કેટલાક લોકો સાથે એમનો ભેટો કરાવ્યો. થોડા અરસા પછી ફિરોઝ ભગત - અપરા મહેતાનાં આ પાર કે પેલે પારનાટક્માં રોલ મળ્યો. વિપ્રા રાવલ પણ ટીમમાં હતાં. આ નાટકે અઢીસો શો ર્ક્યા. ખૂબ શીખવા મળ્યું. જોકે પ્રતીક્ને તે પહેલું અને છેલ્લું પ્રોફેશનલ નાટક બની રહૃાું. કમસે કમ અત્યાર સુધી તો ખરું જ. 


નાટક્ના શો રાત્રે હોય. આખો દિવસ કરવું શું? જોબ! બે મહિનાનો એક પ્રોજેકટ તો ફ્રીલાન્સ એન્જિનીયર તરીકે આ પાર કે પેલે પારની પહેલાં જ કરી લીધો હતો. પછી કઝિન સાથે મળીને વોટર ટેન્કસ કલીન કરવાની એજન્સી શરુ કરી.  રેસિડેન્શિયલ બિલ્ડિંગો પર મોબાઈલના ટાવર ઊભા કરવાના કોન્ટ્રેકટ લીધા, ફ્રીલાન્સર તરીકે એન્જિનીયરિંગ પ્રોજેકટ્‌સ પણ ર્ક્યા.

મને ક્હેવામાં આવતું કે તું આ રીતે આડાઅવળાં કામ કરતો રહીશ તો એકિટંગની કરીઅર પર શી રીતે કોન્સન્ટ્રેટ કરી શકીશ? માત્ર અભિનય સિવાય બીજું ક્શું જ ન કરવાની કોશિશ પણ મેં કરી જોઈ હતી, પણ પાંચ-છ મહિના એવા ગયા જ્યારે મારી પાસે ક્શું જ કામ નહોતું. સર્વાઈવલનો સવાલ હતો. હું સમજતો હતો કે જો હું મુંબઈમાં ટકી રહીશ તો જ મને કામ મળશે ને તો જ આ શહેરમાં સ્થાયી થઈ શકીશ. કોઈ પણ ફિલ્ડમાં સફળ થવું હોય તો ટકી રહેવું પડે, કામને વળગી રહેવું પડે. મારા કઝિનની ઈવેન્ટ મેનેજમેન્ટ ક્પની હતી. એણે મને નાની-મોટી ઈવેન્ટ્‌સનું કોમ્પેયરિંગ કરવાનું કામ આપવા માંડ્યું. બચ્ચાની બર્થ-ડે પાર્ટી હોય, કોઈ બિલ્ડિંગની અગાસી પર ગેધરિંગ હોય, જુહુ જિમખાના- ખાર જિમખાના વગેરેમાં ક્શીક ઈવેન્ટ હોય તો હું કોમ્પેઅર તરીકે જતો. આ રીતે હું ક્રાઉડ સાથે ડીલ કરતાં શીખ્યો. મને બહુ મજા આવે છે આ કામમાં. ઈન ફેકટ, હું આજેય ક્યારેક ક્યારેક કોમ્પેઅરિંગ કરી લઉં છું.’ 

દરમિયાન મનોજ શાહનું મરીઝનાટક જોવાનું બન્યું. ધર્મેન્દ્ર ગોહિલનું પર્ફોર્મન્સ જોઈને પ્રતીક્ને જાણે બ્રહ્મજ્ઞાન લાધ્યુંઃ આ કરેકટ છે. આવું જ કરાય! ધમેન્દ્રે એમની ઓળખાણ મનોજ શાહ સાથે કરાવી. મનોજ શાહે માસ્ટર મેસ્ટ્રો સ્વામીનામના પાંત્રીસ-ચાલીસ આર્ટિસ્ટોવાળાં મૂંગા એકસપેરિમેન્ટલ નાટક્માં એક રોલ આપ્યો. પ્રતીકે આમાં સ્ટેજ પર એક્રોબેટિકસ અને ડાન્સ કરવાનો હતો. આ શરુઆત હતી એક એકટર અને એક ડિરેકટર વચ્ચેના લાંબા તેમજ સંતોષકારક અેવા નક્કર સંબંધની. પ્રતીકે કરેલું આઈડિયાઝ અનલિમિટેડ બેનરનું બીજું નાટક એટલે અપૂર્વ અવસર’, જેમાં ધર્મેન્દ્ર ગોહિલની સાથે પ્રતીક ગાંધી અને પુલક્તિ સોલંકી પણ લાજવાબ અભિનય ર્ક્યો. આ નાટક દેશ-વિદેશમાં ખૂબ ચાલ્યું. પ્રતીક આમાં છ-સાત ભુમિકા ભજવતા હતા. ત્યાર બાદ જૂજવા રુપ અનંત ભાસેઅને અન્ય નાટકો આવ્યા. ૨૦૦૮માં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં જોબ સ્વીકારી અને જિંદગીએ નવો લય પક્ડ્યો. 

'અમરફળ'

એક વાત બિલકુલ કલીયર થઈ ગઈ હતી કે મેઈનસ્ટ્રીમ ક્મર્શિયલ નાટકો કરવાનો ઓપ્શન હવે મારી પાસે રહેવાનો નથી કેમ કે એમાં બહારગામ ટૂર કરવાની હોય જે જોબને કારણે શક્ય ન બને,’ પ્રતીક ક્હે છે, ‘આથી હું સમાંતર રંગભૂમિને જ એકસપ્લોર કરી શકું તેમ હતો.

સમાંતર રંગભૂમિ પર પણ સરસ નાટકોમાં સારા રોલ મળવા જોઈએ. પ્રતીકે ફુલટાઈમ જોબને બેલેન્સ કરતાં કરતાં અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે’, ‘મેરા પિયા ગયો રંગૂન’, ‘અમરફળ’, ‘માસ્ટર મેડમ’  જેવાં ઘણાં નાટકો ર્ક્યા. સાત તરી એક્વીસ’ (પાર્ટ વન અને ટુ) અને છ ચોક્ ચોવીસથી મોનોલોગની શૃંખલા શરુ થઈ. પહેલું શિખર આવ્યું હું, ચંદ્રકાંત બક્ષી’ નાટકથી. પ્રતીક્ને ઘર અને છેક નવી મુંબઈ ખાતે આવેલી ઓફિસ વચ્ચે આવ-જા કરવામાં રોજ ત્રણ-ચાર ક્લાક થઈ જાય. રિર્હસલ શરુ થયા એટલે પ્રતીકે કાર ડ્રાઈવ કરવાને બદલે લોક્લ ટ્રેનમાં આવ-જા કરવાનું શરુ કરી દીધું. આખો દિવસ ઓફિસમાં કામ ર્ક્યા પછી પાછા ફરતી વખતે લોકલ ટ્રેનની ચિક્કાર ભીડમાં એક હાથે હેન્ડલ પક્ડ્યું હોય ને બીજા હાથમાં નાટક્ની ફાઈલ ઝાલી હોય. ડાયલોગ્ઝ વાંચવાના ને યાદ કરતા જવાના. પાર્લા સ્ટેશને રાત્રે નવ-સાડાનવે રેબઝેબ ઉતરીને સીધા રિહર્સલ પર પહોંચવાનું. મનોજ શાહ એમને ક્હે કે ભાઈ, જરા થાક ખાઈ લે, ચા-નાસ્તો કરી લે, તો પ્રતીક્નો જવાબ હોયઃ ના, સર. આપણે શરુ કરી દઈએ! ને પછી તરત પોતાની પોઝિશન લઈને ફટ-ફટ-ફટ કરતાં ડાયલોગ્ઝ બોલવા માંડે.  



મને સતત એ વાતની સભાનતા રહેતી હોય છે કે મારી ઓફિસના ટાઈમિંગ સાચવવા માટે ડિરેકટર રાત્રે આટલા મોડા રિહર્સલ ગોઠવે છે,’ પ્રતીક ક્હે છે, ‘મને થિયેટરની જરુર છે, થિયેટરની મારી જરુર નથી. હું તૈયારી વગર રિહર્સલ પર પહોંચું તે કેવી રીતે ચાલે?’

રિહર્સલના તે સમયગાળા દરમિયાન ક્યારેક મનોજ શાહ પોરસાઈને કહેતા, 'ચંદ્રકાંત બક્ષી પોતાના અલકા સ્ટોરમાં સવારના નવથી રાત્રે દસ સુધી મહેનત કરતા, જ્યારે મારા બક્ષીબાબુ (પ્રતીક) સવારના નવથી રાતના સાડાઅગિયાર સુધી પરસેવો પાડે છે!

હું, ચંદ્રકાંત બક્ષી’ નાટકે પ્રતીક્ને એક જુદી જ ભ્રમણક્ક્ષામાં મૂકી દીધા. તે પછી બે યારદ્વારા ફિલ્મોમાં ગ્રાન્ડ એન્ટ્રી મારી. આ ફિલ્મ ન્યુ વેવ ગુજરાતી સિનેમામાં સીમાચિહ્ન રુપ પૂરવાર થયું. ત્યાર બાદ આવ્યું મોહનનો મસાલો’. જૂન મહિનાના પ્રારંભમાં સાબરમતી જેલમાં સેંકડો કેદીઓ સામે આ નાટક ભજવવાનો અનુભવ ગજબનો રહ્યો. લેખના પ્રારંભમાં નોંધ્યું તેમ, આગામી શુક્રવારે એટલે કે દસમી જૂને પ્રતીક આ એક એકપાત્રીય ફુલલેન્થ નાટક બેક-ટુ-બેક ત્રણ ભાષાઓમાં ભજવીને એક રેકોર્ડ બનાવવા જઈ રહૃાા છે. વચ્ચે ઓફિસમાંથી ફરી એક વાર લાંબી રજાઓ લઈને ગુજરાતી થ્રિલર રોંગસાઈડ રાજુનું શૂટિંગ પતાવ્યું. આ મહત્ત્વાકંક્ષી ફિલ્મ અભિષેક જૈનના પ્રોડકશન હાઉસ તેમજ અનુરાગ ક્શ્યપ એન્ડ પાર્ટીના ફેન્ટમ ફિલ્મ્સ બેનર દ્વારા સંયુકતપણે હેઠળ મિખિલ મુસળેના ડિરેકશનમાં તૈયાર થઈ રહી છે.

પ્રતીક ફિટનેસ ફ્રીક છે. આટલા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ જો રોજ એકાદ ક્લાક એકસરસાઈઝ ન કરે તો એમને ચેન પડતું નથી! ભરપૂર પરિશ્રમ કરવાની ક્ષમતા, ક્ડક શિસ્તપાલન અને સાલસ સ્વભાવ પ્રતીક્ને અન્યો કરતાં જુદા પાડે છે. પ્રતીક્નાં પત્ની ભામિની ગાંધી તો એમનું ય માથું ભાંગે એવાં તગડાં એકટ્રેસ છે જે હાલ વેઈટિંગ રુમ્સનાટક દ્વારા તરંગો સજી રહૃાાં છે. ભામિની સાથે બે પાત્રોવાળું નાટક કરવાની પ્રતીક્ને તીવ્ર ઈચ્છા છે. નેચરલી. 


શું જોબ કરવાને બદલે પ્રતીક શરુઆતથી જ જીદપૂર્વક ફક્ત અને ફક્ત અભિનયજગતમાં રમમાણ રહ્યા હોત તો શું એક એક્ટર તરીકે આજે હાંસલ કર્યું છે એના કરતાં અનેકગણું વધારે પ્રાપ્ત કરી શક્યા હોત? ખબર નથી. આનાથી ઊલટું, ધારો કે તેમણે ફકત કોપોર્રેટ કરીઅર પર સમગ્ર શક્તિઓ કેન્દ્રિત કરી હોત તો તેઓ તે ક્ષેત્રમાં ઘણા વધારે આગળ વધી ગયા હોત? આનો જવાબ પણ આપણે જાણતા નથી. કદાચ આ 'જો-અને-તો'વાળા સવાલોનો કશો મતલબ હોતો નથી. જે છે તે આપણી આંખ સામે છે. જે કંઈ બન્યું છે તે સુંદર છે, ઉત્તમ છે. હું તો કેવળ એક્ટર / રાઈટર / સિંગર / વોટેવર બનવા સ્રર્જાયો છું એવું માની લઈને પોતાનું ભણતર, ડિગ્રી વગેરે તોડી-છોડી દઈને સ્ટ્રગલર તરીકે હેરાનપરેશાન થતા જુવાનિયાઓ માટે પ્રતીક એક ઉદાહરણ બની શકે તેમ છે. પ્રતીક ગાંધીના કેસ પરથી સમજાય છે કે પોતાનાં પેશનને ફોલો કરવા માટે, ખુદની ક્રિયેટિવ ભૂખ શમાવવા માટે આર્થિક સલામતી આપતી નિશ્ર્ચિત પગારવાળી જોબ કે કરીઅરને લાત મારવાની હંમેશાં જરુર હોતી નથી. તમારામાં ટેલેન્ટ હશે, મહેનત કરવાની તાકાત હશે અને નસીબયોગે સારી તકો મળતી રહેશે તો તમે તમે ફુલટાઈમ જોબ કરતાં કરતાં પણ આર્ટિસ્ટ તરીકે આકર્ષક રીતે વિકસી શકો છો. અલબત્ત, સૌની તાસીર અને ક્ષમતા જુદી જુદી હોય છે. સૌએ ખુદના માંહ્યલાનો અવાજ સાંભળીને સમજદારીપૂર્વક પગલાં ભરવાં પડે  છે.  



મુંબઈમાં બે વર્ષ પહેલાં ઘર ખરીદી લીધું છે,’ પ્રતીક્ ગાંધી સમાપન કરે છે, ‘હવે હું કોર્પોરેટ વર્લ્ડને અલવિદા ક્હેવાનું વિચારી શકું છું. હવે મારા માટે નાઉ-ઓર-નેવર જેવી સ્થિતિ આવી ગઈ છે. અલબત્ત, ફકત એકિટંગ કરીને સંતોષ માની લઉં એવો મારો સ્વભાવ નથી. કોર્પોરેટ ફિલ્ડના મારાં આટલાં વર્ષોના અનુભવને આધારે ક્ન્સલ્ટન્સી ફર્મ જેવું સાઈડમાં જરુર શરુ કરીશ.
   

ઓલ ધ બેસ્ટ, પ્રતીક. 
0 0 0   

Thursday, December 11, 2014

વાંચવા જેવું : અશ્ર્વિની ભટ્ટે શા માટે ‘ચિત્રલેખા’માં નવલકથા ન લખી?


ચિત્રલેખા - અંક તા. 1 ડિસેમ્બર ૨૦૧૪
 કોલમ: વાંચવા જેવું




હા, તો અશ્ર્વિની ભટ્ટ જેવા પોપ્યુલર લેખકે ‘ચિત્રલેખા’ જેવાં લોકપ્રિય સામયિકમાં શા માટે એક પણ ધારાવાહિક નવલકથા ન લખી?

 અસંખ્ય વાચકોના મનમાં કાયમ ખદબદ ખદબદ થતા કરતા આ સવાલનો જવાબ આખરે વિનોદ ભટ્ટે એમના મસ્તમજાના લેટેસ્ટ પુસ્તક ‘તમે યાદ આવ્યાં’માં આપી દીધો છે. આગળ વધતા પહેલાં સૌથી પહેલાં તો એ સાંભળી લો:

 ‘બજારમાં બીજા કયા કયા પ્રજાપ્રિય લેખકો છે એની હરકિસન મહેતા ખબર રાખતા ને ‘ચિત્રલેખા’માં લખવાનું કહેણ પણ મોકલતા. એકવાર તે અમદાવાદ હતા. મને કહે કે આપણે અશ્ર્વિની ભટ્ટને મળવું છે. મારે ત્યાં સાંજે મુલાકાત ગોઠવી. ચંદ્રકાંત બક્ષી, શેખાદમ આબુવાલા, અશ્ર્વિી ભટ્ટ અને હરકિસનભાઈ. હરકિસનભાઈ મને બીજા રુમમાં લઈ ગયા. પૂછ્યું: ‘જો વિનોદ, મેં અશ્ર્વિનીનું કશું વાંચ્યું નથી. તારો નિખાલસ મત જાણવો છે, તેને ‘ચિત્રલેખા’માં શરુ કરી શકાય?’ મેં તેમને હળવાશથી જણાવ્યું: ‘મારો પ્રામાણિક અભિપ્રાય એવો છે કે તમે એક વાર તેની વાર્તા ‘ચિત્રલેખા’માં શરુ કરશો તો તમારી છુટ્ટી થઈ જશે. વાચકો તેને વાંચતા થઈ જશે.’ મારી સામે લાક્ષાણિક હાસ્ય વેરતાં તે બોલ્યા: ‘તો તો ભારે પડી જાય, પણ ‘ચિત્રલેખા’ના વાચકો ફાવી જતા હોય તો અશ્ર્વિનીને છાપવા આપણે રાજી છીએ.’ અશ્ર્વિની સાથે વાત કરી, પણ તેની નવલકથા ‘સંદેશ’માં ચાલતી હતી. એટલે ‘સંદેશ’ના માલિક ચીમનભાઈ પટેલે ના પાડી દીધી. ત્યાર બાદ અશ્ર્વિની ‘અભિયાન’માં નવલકથા લખતો. પણ હરકિસનભાઈએ તેની સાથે છેક સુધી હૂંફાળો સંબંધ રાખેલો. તેમની દીકરી સ્વાતિનાં લગ્નમાં અમારી સાથે અશ્ર્વિનીનેય આગ્રહ કરીને તેડાવેલો ને બધાંનો પરિચય આપતાં તે કહેતા કે આ અશ્ર્વિની ભટ્ટ છે, મારો નાનો ભાઈ છે. મારા પછી નવલકથાકાર તરીકે મારી ગાદી તેણે સંભાળવાની છે.’

 આટલું લખીને વિનોદ ભટ્ટ ટમકું મૂકી દે છે: ‘નોવેલિસ્ટ લેખે પોતે નંબર વન છે એ બાબતે હરકિસન મહેતાના મનમાં લેશમાત્ર શંકા નહોતી!’

 આ એક કિસ્સામાં મજા પડી ગઈ હોય તો સમજી લો કે ‘તમે યાદ આવ્યાં’ પુસ્તકમાં આવી વિનોદી અને ‘અંદરની’ વાતોનો આખો ભંડાર છે. એક રીતે આ પુસ્તક ‘વિનોદની નજરે’ની સિક્વલ જેવું છે. ૩૫ વર્ષ પહેલાં પ્રગટ થયેલાં આ યાદગાર અને વિવાદાસ્પદ પુસ્તકમાં લેખકે પચ્ચીસ ગુજરાતી સાહિત્યકારોનાં અતિ રમૂજી છતાંય છોતરાંફાડ વ્યક્તિચિત્ર આલેખ્યાં હતાં. એમાંના પંદર સાહિત્યકારો આજે આપણી વચ્ચે હયાત નથી. ‘તમે યાદ આવ્યાં’માં ચંદ્રકાંત બક્ષી, જ્યોતીન્દ્ર દવે અને શેખાદમ આબુવાલા વિશે નવેસરથી લખાયું છે. બાકીના ૨૭ નામ નવાં છે.  

 ઉદાહરણ તરીકે, સુરેશ જોષી. લેખક લખે છે કે, ‘અન્ય સાહિત્યકારોના મુકાબલે એક વાતે તે (સુરેશ જોષી) ઘણા આગળ હતા, તેમના શત્રુઓની સંખ્યા બીજાઓની સરખામણીમાં અનેક ગણી મોટી. દુશ્મનો બનાવવાની બાબતમાં તે સ્વાવલંબી હતા. ચંદ્રકાંત બક્ષીને આ કળા વિકસાવવાની પ્રેરણા સુ.જો.માંથી જ સાંપડી હશે એવું આ લખનાર માને છે - બક્ષીના તે પૂર્વસૂરિ ગણાય.’

 સુરેશ જોષી પોતાનું લખેલું પુસ્તક ફાડતા નહીં. હા પુસ્તક આખેઆખું રદ કરતા ખરા. સુ.જો.નો ‘ઉપજાતિ’ નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો. એ પ્રગટ થયાનાં થોડાંક વર્ષો પછી એ કાવ્યો તેમને બરાબર  નહીં લાગ્યાં એટલે તેમણે જાહેર કર્યું: ‘આથી મારો એ સંગ્રહ રદ કરું છું.’ આ વાંચીને ચુનીલાલ મડિયાથી બોલ્યા વગર ન રહેવાયું: ‘ભાઈ, તમે આજે રદ કરો છો? અમે તો કેદિ’નો કરી નાખ્યો છે...

Harkisan Mehta (seated, right) with Chandulal Selarka and Chandrakant Bakshi (seated, left)


 ચંદ્રકાંત બક્ષીના વ્યક્તિત્ત્વમાં કમાલની એન્ટરટેનિંગ વેલ્યુ આજે પણ વર્તાતી હોય તો એ જ્યારે જીવતા હતા ત્યારે તો વાત જ શી કરવી. એ પ્રવચન આપવા જાય ત્યારે કલાક દોઢ-કલાકથી ઓછું ન બોલે. એ વિનોદ ભટ્ટ લખે છે:

 ‘બક્ષીને પાછું એવું ખરું કે વિષય ગમે તે હોય, તેમને બોલવું હોય એ જ બોલે, રત એટલી કે પ્રેક્ષકોને મજા આવવી જોઈએ... કલકત્તા સાથે જોડાણ હોવાથી બક્ષીબાબુને શરદબાબુની નવલકથા પર બોલવાનું સૂચવાયેલું. બક્ષીબાબુએ શરુ કર્યું, ‘શરદબાબુ આજકાલ આઉટડેટેડ થઈ ગયા છે. તમને શરદબાબુની વાર્તામાં ખાસ ઈન્ટરેસ્ટ નહીં પડે. આજે હું તમને મજા પડે તેવા રાઈટર ચંદ્રકાંત બક્ષીની વાત કરીશ.’ અને લગભગ ૭૦થી ૮૦ મિનિટ સુધી તેમણે પોતાની કેફિયત રજૂ કરી દીધી હતી... બીજી એક બિનસાહિત્યિક સભામાં બક્ષીજીએ ફાળવેલ સમય કરતાં ખાસ્સું લાં...બું બોલ્યા. લાંબુ બોલવાનું કારણ આપતાં નામદાર રાજ્યપાલ, મુખ્યમંત્રી વગેરે તરફ આંગળી ચીંધી શ્રોતાઓને તેમણે જણાવ્યું પણ ખરું, ‘તમે આ લોકોને નહીં, મને સાંભળવા આવ્યા છો.

 આટલું કહીને ભટ્ટજી સહેજ ઈમોશનલ થઈને ઉમેરે છે કે, ‘આજે આપણી પાસે બક્ષી તો શું, એમનો ડુપ્લિકેટ પણ નથી!’

 હરીન્દ્ર દવેનો એક કિસ્સો ખૂબ મજાનો છે. ભાવનગરથી એ નવા નવા મુંબઈ આવેલા. અહીંનું વાતાવરણ, એટિકેટ એમને માટે સાવ અજાણ્યું. જિંદગીમાં ગોળપાપડી, લાડુ જેવા મિષ્ઠ પદાર્થનો સ્વાદ માણેલો, પણ કેક એમણે મુંબઈની એક પાર્ટીમાં પહેલી વાર જોઈ. કેક હાથમાં લીધી તો ખરી, એ કેવી રીતે ખવાય એની ખબર ન પડે. ગોળ કેકની નીચે કાગળ હતો. ગામડિયામાં ગણતરી થઈ જશે એવા ડરથી આજુબાજુ કોઈને પૂછ્યું નહીં અને હરીન્દ્ર કાગળ સહિત કેક ખાઈ ગયા! આ કિસ્સો એમણે સ્વયં સુરેશ દલાલને  સંભળાવ્યો હતો. આ કિસ્સો ટાંકીને સુરેશ દલાલ પછી ઉમેરતા કે, ‘આ કાગળ સાથે કેક ખાઈ ગયો ત્યારથી એની કવિતાના કાગળમાં આટલું ગળપણ આવ્યું છે.’

 હરીન્દ્ર દવેને યાદ કરીએ ત્યારે એમના સિયામીઝ ટ્વિન જેવા સુરેશ દલાલને ન સંભારીએ કેમ ચાલે. વિનોદ ભટ્ટ લખે છે:

 ‘હું તેમને ઓળખતો થયો ત્યારથી તેમને મેં કાયમ જ જોયા છે. ક્યારેક તો મને એવું પણ લાગતું કે તે સફારી સાથે જ જન્મ્યા હશે! સફારીના ખિસ્સાં તે મોટાં રાખતા, માત્ર પોકેટ બુક્સ જ નહીં, મોટું પુસ્તક પણ તેમાં સમાઈ શકે એટલાં મોટાં... પોતાની ફાંદ તરપ ઈશારો કરીને કહેતા: ‘મારી આ ગાગર ઉતારો તો જાણું...’ તેમની કોઈ તંદુરસ્ત ટીખળ કરે તો તે ખેલદિલીથી હસી નાખતા. થોડાં વર્ષો પહેલાં તેમના ભાઈ અરવિંદ દલાલ કોઈને કહેતા હતા કે સુરેશ હમણાં ટીવી પર કાર્યક્રમ માટે જતો નથી, એનું કારણ એ છે કે તે એટલો બધો જાડો થઈ ગયો છે કે તેને જોવા હવે બે ટીવી ભેગાં કરીએ ત્યારે માંડ આખો જોઈ શકાય છે.

 ગુણવંત શાહ અને સુરેશ દલાલ વચ્ચે સરસ ભાઈબંધી. ગુણવંત શાહને હૃદયરોગનો જોરદાર હુમલો આવ્યો ને તે એમાંથી બચી ગયા ત્યારે સુરેશ દલાલની પ્રતિક્રિયા આવી હતી: ‘ગુણવંત નહીં, ખરેખર તો આપણે બચી ગયા!’

 આ સિવાય પણ કેટલાં બધાં પ્રભાવશાળી નામોને આવરી લેવાયાં છે અહીં. મુનશી, કલાપી, ગોવર્ધનરામ, કાન્ત, નર્મદ, ટાગોર, મરીઝ,  રાજેન્દ્ર શાહ વગેરે ઉપરાંત અહીં અમૃતા પ્રીતમ, શેક્સપિયર અને બર્નાર્ડ શૉને પણ આવરી લેવાયા છે.                                                                                     0 0 0


 ‘તમે યાદ આવ્યાં’ 
 લેખક: વિનોદ ભટ્ટ
પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧
 ફોન: (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩
 કિંમત:  ‚. ૨૫૦ /
 પૃષ્ઠ: ૧૮૪


Saturday, June 15, 2013

ચંદ્રકાંત બક્ષી જ્યારે ગુજરાતી રંગભૂમિ પર અવતાર ધારણ કરે છે...

As appeared in Gujarati Mid-day - 15 June 2013, Saturday

સતત અને સહજપણે વિવાદો જન્માવતા રહેવા એ શીર્ષસ્થ ગુજરાતી સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીની વિશિષ્ટતા હતી. આજથી ઓપન થઈ રહેલા તેમના પરના ગુજરાતી નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી...’માં ઘટનાપ્રચુર જીવન જીવી ગયેલા આ ગર્વિષ્ઠ લેખકના તેજાબી વિચારોની રેલમછેલ છે. બક્ષીબાબુને પોતાના લિટરરી ગૉડ માનતા લેખક-પત્રકાર શિશિર રામાવતે આ નાટક લખ્યું છે એટલે મિડ-ડેએ તેમને જ આમંત્રણ આપ્યું આ નાટકનો પરિચય કરાવવાનું. 



‘જીવન એક યુદ્ધ છે અને યુદ્ધ જીતવાનો નિયમ બૉક્સિંગ રિંગનો છે. બૉક્સિંગમાં જે મારે છે તે જીતતો નથી, જે વધારે માર ખાઈ શકે છે તે જીતે છે. જે તૂટતો નથી તે જીતે છે. જે પછડાઈ ગયા પછી ફરી ઊભો થઈને મારે છે તે જીતે છે. જીતની એક ક્ષણ માટે છ મહિના સુધી હારતાં રહેવાનું જક્કીપણું હોય તે જીતે છે.’

આ મર્દાના ભાષા અને આક્રમક મિજાજ સાથે એક તેજસ્વી નામ જોડાયેલું છે - ચંદ્રકાંત બક્ષી. ગુજરાતી સાહિત્યજગત અને છાપાં-સામયિકોના કૉલમ-વિશ્વમાં ટોચનું સ્થાન મેળવનાર બક્ષીબાબુ આજીવન તરંગો જન્માવતા રહ્યા. હવે તેઓ ગુજરાતી રંગભૂમિ પર ત્રાટકી રહ્યા છે. લેખક તરીકે નહીં, પણ સ્વયં કિરદાર બનીને. તેમના જીવન અને કાર્યને આલેખતા આ નાટકનું નામ સૂચક છે - ‘હું ચંદ્રકાંત બક્ષી...’ અહીં એકાક્ષરી ‘હું’ શબ્દનો ધનુષ્યટંકાર મહત્વનો છે. ચંદ્રકાત બક્ષીનું સમગ્ર વ્યક્તિત્વ, તેમનું સઘળું સાહિત્ય આ ‘હું’માંથી પ્રગટ્યું છે. નાટકના પ્રારંભમાં જ એક સંવાદમાં તેઓ ગર્વિષ્ઠ ભાવે કહે છે : 

‘હું... આ એકાક્ષરી શબ્દમાં મને એક વિરાટ અહંનાં દર્શન થાય છે. અહં... ઈગો... અહંકાર! મને ‘અહંકાર’ શબ્દ ‘ઓમકાર’ જેટલો જ સ-રસ લાગ્યો છે. અહંકાર એક ગુણ છે. તૂટેલા માણસને એક વસ્તુ ટકાવી રાખે છે - તેનો અહં. ‘અહં બ્રહ્માસ્મિ’નો અર્થ આવો જ કંઈક થતો હશે!’

ચંદ્રકાંત બક્ષી (જન્મ : ૨૦ ઑગસ્ટ ૧૯૩૨, મૃત્યુ : ૨૫ માર્ચ ૨૦૦૬)નું બાળપણ અને તરુણાવસ્થા પાલનપુર તેમ જ કલકત્તામાં એકસાથે, લગભગ સમાંતરે વીત્યાં. તેમની યુવાનીનાં સંઘર્ષમય વર્ષો પર કલકત્તા છવાઈ ગયું હતું. કલકત્તાને તેઓ પોતાનું પિયર કહેતા. અહીંના સોનાગાછી નામના બદનામ વેશ્યા-વિસ્તારમાં, બંગાળી વેશ્યાઓના પાડોશમાં મકાન ભાડે રાખીને તેઓ રહ્યા છે. બક્ષીબાબુના જીવનના પૂર્વાર્ધના ઘટનાપ્રચુર અગુજરાતીપણાએ તેમની કલમને અત્યંત તાજગીભરી અને અનોખી બનાવી દીધી. વતનથી દાયકાઓ સુધી દૂર રહેલા બક્ષીબાબુ આજીવન ગુજરાતને, ગુજરાતી ભાષાને અને ગુજરાતી પ્રજાને દિલ ફાડીને પ્રેમ કરતા રહ્યા. કલકત્તા છોડીને તેઓ સપરિવાર મુંબઈ સેટલ થયા અને પાછલાં વર્ષોમાં અમદાવાદ. મુંબઈ વિશે તેઓ કહે છે :

‘મુંબઈ ક્રૂર શહેર છે, માણસને મર્દ બનાવી નાખે છે અથવા તોડી નાખે છે, પણ મારા રક્તમાં પાલનપુર અને કલકત્તા હતાં એટલે મુંબઈ મને તોડી શક્યું નહીં. નહીં તો તૂટી જવાની બધી જ સામગ્રી આ ભૂમિમાં હતી.’



મુંબઈમાં તેમના જીવનની સંભવત: સૌથી મોટી દુર્ઘટનાઓ બની. એક તો તેમની ‘કુત્તી’ નામની વાર્તા માટે ગુજરાત સરકારે કરી દીધેલો અશ્લીલતાનો કેસ, જે ચાર વર્ષ ચાલ્યો અને જેણે બક્ષીને ખુવાર કરી નાખ્યા. બીજો કિસ્સો એટલે સાધના કૉલેજના પ્રિન્સિપાલપદ પરથી થયેલી તેમની હકાલપટ્ટી. આ દુર્ઘટના એક જમાનામાં ફુલ મૅરથૉન-રનર રહી ચૂકેલા કસરતબાજ બક્ષીબાબુ માટે મૅસિવ હાર્ટ-અટૅકનું કારણ બની ગઈ. ‘હું ચંદ્રકાંત બક્ષી...’ નાટકમાં પાલનપુર, કલકત્તા, મુંબઈ અને અમદાવાદમાં ફેલાયેલા તેમના જીવનનો તબક્કાવાર આલેખ નાટ્યાત્મક શૈલીમાં રજૂ થયો છે.

ચંદ્રકાંત બક્ષીએ અનેક વિષયો પર પુષ્કળ લખ્યું, આજીવન લખ્યું; કોઈની સાડીબારી રાખ્યા વગર, વિવાદોની ચિંતા કર્યા વગર બિન્દાસપણે લખ્યું. તેમનો આ ઍટિટ્યુડ શરૂઆતથી જ રહ્યો હતો. આજથી સાઠેક વર્ષ પહેલાં બક્ષીબાબુ જ્યારે ખુદ ગુજરાતી સાહિત્યમાં નવોદિત લેખક હતા ત્યારે તેમને કેવી સમસ્યાઓ હતી? તે ઉંમરે થોડોક કકળાટ કર્યો છે :

‘ગુજરાતી સાહિત્ય બહુ સીમિત છે. રશિયાના સ્ટાલિનયુગ જેવું. સેક્સ, સેડિઝમ, હત્યા, ઈષ્ર્યા, તીવ્ર ઇચ્છાઓ, હિંસા, શિકાર, જુલમ, ખુનામરકી આ બધું કોઈ વાર્તામાં આવતું નથી. ગુજરાતી વાર્તાજગત એટલું બધું સરસ છે કે આવું કંઈ બનતું જ નથી. ક્યારેક મને લાગે છે કે હું પાગલખાનામાં ઘૂસી ગયેલા સ્વસ્થ માણસ જેવો છું. હું મારી નાયિકાને તેના બેડરૂમમાં પણ બ્લાઉઝ ખોલાવી શકતો નથી, કારણ કે સાહિત્યના બૉસ લોકોને એ પસંદ નથી. તેમને સ્ટવની સામે બેઠેલી મુરઝાયેલી નાયિકા જોઈએ છે. બાજુમાં ત્રણ સુકલકડી બચ્ચાં હોય, જાડો પતિ તડકામાં ઊભો-ઊભો દાતણ કરતો હોય; આ જાતનું ચિત્રણ બુઢ્ઢાઓ માટે છે, જે પચીસ વર્ષોથી લખ-લખ કરીને હજી થાક્યા નથી. મારા માટે તો ઉપરથી ખૂલી ગયેલા બ્લાઉઝવાળી ભરપૂર સ્ત્રી લાપરવાહ રીતે વાળ ઓળી રહી છે. મારો ટ્રક-ડ્રાઇવર ગ્લાસમાં ચા પીતો-પીતો મજબૂત સ્ત્રી સામે જોઈને કૉમેન્ટ કરે છે તો હું તેને રોકતો નથી. તે કોઈ આશ્રમનો અંતેવાસી નથી, તે ભૂદાનનો કાર્યકર નથી. ગુજરાતી સાહિત્યના ‘ટૉપ ડૉગ્ઝ’ને આ બધામાંથી અરુચિકર વાસ આવ્યા કરે એ સ્વાભાવિક છે. મારી પ્રથમ નવલકથા ‘પડઘા ડૂબી ગયા’ તરત જ ‘હિટ’ થઈ, કારણ કે ગુજરાતી ભાષામાં આ જાતનું લખાયું નહોતું. ફિરાક ગોરખપુરીની ભાષામાં કહીએ તો ગુજરાતી સાહિત્યના હમામમાં કોઈ નાગો માણસ કૂદી પડ્યો હતો!’


Manoj Shah, the producer-director of the play (below); (top) Pratik
Gandhi as Chandrakant Bakshi

‘પડઘા ડૂબી ગયા’માં તદ્દન નવી અ-ગુજરાતી દુનિયા ખૂલી ગઈ, જે આ પહેલાં કોઈ ગુજરાતી લેખકે જોઈ નહોતી. એની ભાષા જુદી હતી, પાત્રો અસ્તિત્વવાદી હતાં. એમાં હિંસા હતી, મૂલ્યોના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. ‘પડઘા ડૂબી ગયા’ પછી, બક્ષીબાબુના શબ્દોમાં જ કહીએ તો ગુજરાતી નવલકથા સાહિત્યનું ચક્કર ૩૬૦ ડિગ્રી ફરી ગયું. કદાચ આ પહેલી જ નવલકથાથી તેઓ ગુજરાતી સાહિત્યના બ્લૅક લિસ્ટ પર મુકાઈ ગયા હતા.

ચંદ્રકાંત બક્ષી પાલનપુરી જૈન હતા, પણ તેઓ ખુદને અ-જૈન તરીકે ઓળખાવતા. તેમના તેજાબી હિન્દુત્વવાદી વિચારો જાણીતા છે. બે-મોઢાંળા દંભી સુડો-સેક્યુલરિસ્ટોને તેઓ સતત ફટકારતા રહ્યા. તેમના ચમકાવી મૂકે એવા અણિયાળા વિચારો આ નાટકમાં ચાબુકની જેમ વીંઝાયા કરે છે.

૧૬૧ પુસ્તકોના આ લેખક આ નવા ગુજરાતી નાટકનો વિષય બન્યા છે, પણ મજાની વાત એ છે કે તેમને ખુદને મુંબઈનાં નાટકો પ્રત્યે ભારે ચીડ હતી! તેમણે શબ્દો ર્ચોયા વગર કહ્યું છે:

‘મુંબઈમાં નાટકો બહુ ઓછાં આવે છે, પણ ચેટકોની ભરમાર થઈ ગઈ છે. થોડાં ડૂસકાં, થોડા ટુચકા, થોડા દ્વિઅર્થી વન-લાઇનર્સનું મિશ્રણ હલાવીને ઉપરથી અહિંસક સેક્સ સ્પ્રે કરે એટલે ચેટક તૈયાર! અને જેમ કરિયાણાબજારમાં ઉકાળેલી ચાના ઘરાકો એ જ ચા પીવાના બંધાણી થઈ ગયા છે એમ આ ચેટકો ચાટનારા ચેટકતલબીઓ દુકાન ખૂલે એટલે ગલ્લો છલકાવવા હાજર થઈ જાય! આ છે મુંબઈના ગુજરાતીઓના ચેટકબજારની અસ્મિતા! ચેટકબજારમાં ગલ્લો છલકાવવો બહુ કઠિન કામ નથી, જો તમે તમારા ઘરાકોનો ‘ટેસ્ટ’ સમજી લો તો... જે રીતે બટાટાવડા વેચનારા સમજી લે છે.’

આઇડિયાઝ અનલિમિટેડ બૅનર હેઠળ બનેલા ‘હું ચંદ્રકાંત બક્ષી...’ નાટકના નિર્માતા-નર્દિશક મનોજ શાહ છે. તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘ચંદ્રકાંત બક્ષી એ માણસ છે જેણે ‘મહાજાતિ ગુજરાતી’ શબ્દ આપણી પ્રજાને આપ્યો છે. તેમણે ગુજરાતીઓમાં ગુજરાતીપણાનો, આપણા હોવા વિશેનો ગર્વ તીવ્ર બનાવ્યો છે. કેટલી વિપુલ માત્રામાં ક્વૉલિટી વર્ક કર્યું છે તેમણે. વાર્તાકાર, નવલકથાકાર, ઇતિહાસવિદ, પ્રોફેસર, કૉલમનિસ્ટ... તેમના ગંજાવર કામ તરફ નજર કરીએ તો લાગે કે બક્ષીબાબુ ૭૪ વર્ષ નહીં પણ દોઢસો વર્ષ જીવ્યા હોવા જોઈએ.’

આ એક ફુલ-લેન્ગ્થ નાટક છે, જેમાં મધ્યાંતર નથી. મનોજ શાહ કહે છે તેમ, મળવા જેવા માણસને વિક્ષેપ વગર મળીએ, એકબેઠકે સળંગ મળીએ તો જ દીવા પ્રગટી શકે. ચંદ્રકાંત બક્ષી વિશે નાટક બનાવવું એક જોખમી કામ છે એ બાબતે મનોજ શાહ પૂરેપૂરા સભાન છે. તેઓ ઉમેરે છે. ‘હું જાણું છું કે હું ડેન્જર ઝોનમાં ઊભો છું. મેં અત્યાર સુધીમાં શ્રીમદ્ રાજચંદ્ર, ભરથરી, મણિલાલ નભુભાઈથી લઈને મરીઝ અને કાર્લ માર્ક્સ સુધીનાં કેટલાંય વ્યક્તિવિશેષ પર નાટકો બનાવ્યાં છે; પણ આ બધાં ચાલીસથી લઈને સાડાચારસો વર્ષ પહેલાંનાં પાત્રો છે. તેમના આલેખનમાં હું ઘણી ક્રીએટિવ છૂટછાટ લઈ શકતો હતો, પણ બક્ષી તો હજી હમણાં સુધી આપણી વચ્ચે હતા. લોકોએ તેમને જોયા છે, જાણ્યા છે, સાંભળ્યાં છે, તેમની સાથે ઇન્ટરૅક્ટ કર્યું છે. તેમની પર્સનાલિટી અને ઇમેજને વફાદાર રહીને હું નાટકમાં શું-શું કરી શકું? પ્રેક્ષકોએ તેમને વાંચેલા અને સાંભળેલા છે, છતાંય નાટક જોવા આવે તો તેમને કઈ રીતે કંઈક જુદી, કંઈક નવી અનુભૂતિ થઈ શકે? આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મેં આ ડ્રામામાં બક્ષી અને બક્ષીત્વનું મારી રીતે નાટ્યાત્મક અર્થઘટન કર્યું છે.’

ચાર શહેરોમાં ફેલાયેલા બક્ષીના ઘટનાપ્રચુર જીવન અને તેમની ચિક્કાર લેખનસામગ્રીમાંથી શું લેવું અને કેવી રીતે લેવું એ અમારા માટે મોટો પડકાર બની રહ્યો હતો. આ એકપાત્રી નાટક છે. ચંદ્રકાંત બક્ષીને મંચ પર સાકાર કરનાર તેજસ્વી યુવા અભિનેતા છે પ્રતીક ગાંધી. એક પણ સહકલાકારના સાથ વગર, માત્ર પોતાની અભિનયશક્તિથી દોઢ કલાક કરતાંય વધારે સમય માટે પ્રેક્ષકોને સતત બાંધી રાખવા માટે કેટલી તાકાત અને કૉન્ફિડન્સ જોઈએ!  ‘હું ચંદ્રકાંત બક્ષી...’નું પ્રકાશ-આયોજન અસ્મિત પાઠારેએ અને સંગીત-સંચાલન ઓજસ ભટ્ટે સંભાળ્યું છે.

‘હું ચંદ્રકાંત બક્ષી...’ આજે પૃથ્વી થિયેટરમાં મોડી સાંજે નવ વાગ્યે ઓપન થઈ રહ્યું છે. બીજા બે પ્રીમિયર શો પૃથ્વીમાં જ આવતી કાલે મોડી બપોરે ચાર વાગ્યે અને રાત્રે નવ વાગ્યે યોજાયા છે.           0 0 0 

Sunday, June 3, 2012

કાન, કપડાં અને કલા


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 3-6-2012

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

 આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ઘોષિત થયેલી ફ્રેન્ચ ફિલ્મ ‘આમોર’ની સિનિયર એકટ્રેસનું નામ ઈમેન્યુએલ રિવા છે. દાયકાઓ પહેલાં સ્વ. ચંદ્રકાંત બક્ષી એનાથી એટલા પ્રભાવિત થયા હતા કે પોતાની દીકરીનું નામ એના પરથી ‘રિવા’ પાડ્યું હતું. 


Emmanuelle Riva in award winning French film Amour


પણે સામાન્ય રીતે વિદેશની બે ફિલ્મી ઈવેન્ટ વિશે વારાફરતી સાંભળતા રહીએ છીએ  ઓસ્કર અવોર્ડઝ નાઈટ અને કાન (કાન્સ નહીં) ફિલ્મ ફેસ્ટિવલ. થેન્ક્સ ટુ મિડીયા. ઓસ્કર અવોર્ડઝનો ખેલ થોડી કલાકોમાં ખતમ થઈ જાય છે, જ્યારે દર વર્ષે ફ્રાન્સમાં યોજાતો કાન ફિલ્મ ફેસ્ટિવલ દસ દિવસ સુધી ધમધમતો રહે છે. દુનિયાનો આ સૌથી ગ્લેમરસ ફિલ્મ ફેસ્ટિવલ છે. જુદા જુદા સેક્શનમાં દુનિયાભરની ઢગલાબંધ ફિલ્મો રજૂ થાય છે, વખણાય છે કે વખોડાય છે. કમનસીબે કાન ફિલ્મ ફેસ્ટિવલનું ઈમેજ મેકઓવર થઈ ગયું છે. અહીં રેડ કાર્પેટ પર કોણ કેવો ડિઝાઈનર ડ્રેસ પહેરીને આવ્યું હતું એનો તસવીરી હોબાળો એટલો બધો ગાજતો રહે છે કે આપણે પ્રયત્નપૂર્વક  યાદ રાખવું પડે કે ભાઈ, આ ઈવેન્ટ સિનેમા અને કળાને લગતી છે, ફેશનબેશનની નહીં. સાઉથ અમેરિકન લેખક પોલો કોએલ્હોની ‘ધ વિનર સ્ટેન્ડ અલોન’ નવલકથા કાન ફિલ્મ ફેસ્ટિવલના પશ્ચાદભૂમાં આકાર લે છે.    

૧૬ થી ૨૭ મે દરમિયાન ચાલેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે ત્રણ બ્રાન્ડન્યુ ભારતીય ફિલ્મો રજૂ થઈ. અનુરાગ કશ્યપની બે ભાગમાં બનેલી ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ (કુલ સ્ક્રીન ટાઈમ પાંચ કલાસ દસ મિનિટ), અશિમ અહલુવાલિયાની ‘મિસ લવલી’ (જેમાં સીગ્રોડની ફિલ્મો બનાવતા અને એક જ સ્ત્રીને પ્રેમ કરતા બે ભાઈઓની વાત છે) અને વાસન બાલાએ ડિરેક્ટ કરેલી  મુંબઈની લાક્ષાણિકતા રજૂ કરતી ‘પેડલર્સ’.

Emmanuelle Riva... in young age
ખેર, આપણી એક પણ ફિલ્મ કોમ્પિટિશન સેક્શનનો હિસ્સો નહોતી. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ફિલ્મ સર્વશ્રેષ્ઠ ઘોષિત થઈ? માઈકલ હેનેકી નામના રાઈટરડિરેક્ટરની ફ્રેન્ચ ફિલ્મ, ‘આમોર’. આમોર એટલે પ્રેમ. એક વૃદ્ધ દંપતી છે. પતિપત્ની બન્ને એક સમયે મ્યુઝિક ટીચર હતાં. છેલ્લાં કેટલાંય વર્ષથી બન્ને રિટાયર્ડ છે. એમને એક દીકરી છે, જે વિદેશ રહે છે. વૃદ્ધા બાપડી મરવા પડી છે. પેરેલિસિસના હુમલાનો ભોગ બનવાને કારણે એનું અડધંુ શરીર માંડ કામ કરે છે. એક રીતે જોકે એ નસીબદાર છે. એના પતિદેવ એની ખૂબ ચાકરી કરી છે. અત્યંત સંવેદનશીલ કથાવસ્તુ અને અસરકારક પર્ફોર્મન્સવાળી આ ફિલ્મને સૌએ એકઅવાજે વખાણી છે.

ઓસ્ટ્રિયન રાઈટર-ડિરેક્ટર માઈકલ હેનેકી ખુદ ૭૦ વર્ષના છે. એમણે ૧૪ વર્ષના લાંબા અંતરાલ પછી આ ફિલ્મ બનાવી છે. વૃદ્ધાની ભુમિકા ઈમેન્યુએલ રિવા નામની ફ્રેન્ચ અભિનેત્રીએ ભજવી છે. એ હાલ ૮૫ વર્ષનાં છે! એમની સૌથી પહેલી ફિલ્મ ‘હિરોશીમા, મોં આવુર’ ૧૯૫૯માં રિલીઝ થઈ હતી. આપણા અતિવહાલા સાહિત્યકાર સ્વ. ચંદ્રકાંત બક્ષી આ અભિનેત્રીથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. એટલે સુધી કે ઈમેન્યુએલ રિવાના નામ પરથી એમણે પોતાની દીકરીનું નામ ‘રિવા’ પાડ્યું હતું!

આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોકે બેસ્ટ એકટ્રેસનો ખિતાબ જોકે ‘બિયોન્ડ ધ હિલ્સ’ નામની રોમાનિઅન ફિલ્મની નાયિકાઓ ક્રિસ્ટિના ફ્લટર અને કોસ્મિના સ્ટ્રેટનને સંયુક્તપણે મળ્યો. બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ પાછી ત્રીજી ફિલ્મના ખાતામાં નોંધાયો. ‘પોસ્ટ ટિનીબ્રાસ લક્સ’ (અર્થાત, અંધકાર પછીનો ઉજાસ) નામની મેક્સિકન ફિલ્મના ડિરેક્ટર કાર્લોસ રેગેડ્સે આ ખિતાબ જીત્યો. ૪૧ વર્ષના કાર્લોસની બે વસ્તુ માટે જાણીતી છે સેક્સ અને ગંધારા ગોબરાં પાત્રો. એક દંપતીના જીવન વિશે વાત કરતી ‘પોસ્ટ ટિનીબ્રાસ લક્સ’ આંશિક રીતે આત્મકથનાત્મક છે.
Mikkelson in Hunt


કાર્લોસે એક વાર કહ્યું હતું, ‘મારું એવું છે કે હું પહેલાં ફિલ્મ બનાવી કાઢું અને પછી એનાં આંતરપ્રવાહોને સમજવા બેસું. પત્રકારો ફિલ્મ જોયા પછી જાતજાતને સવાલ કરે ત્યારે એમને સંતોષ થાય એવા ખુલાસા તો કરવા પડેને. એ વાત અલગ છે કે હું પોતે એ ખુલાસાઓ પર વિશ્વાસ કરતો નથી!’

બેસ્ટ એક્ટરનો અવોર્ડ જીતનાર ડેનિશ અભિનેતાનું નામ છે, મેડ્સ મિકેલસન. આ એવોર્ડ તેને ‘ ધ હન્ટ’ નામની ફિલ્મને મળ્યો છે. મેડ્સને તમે જેમ્સ બોન્ડની ફિલ્મ ‘કેસિનો રોયલ’માં જોયો છે. ૪૭ વર્ષના મેડ્સને કેટલીય વાર ‘ધ સેક્સીએસ્ટ મેન ઓફ ડેનમાર્ક’ના ખિતાબથી નવાજવામાં આવ્યો છે. ‘ધ હન્ટ’માં એક માણસ કોઈક કારણસર રોષે ભરાયેલા ગામલોકોની બરાબરની હડફેટમાં આવી જાય છે એવી કથા છે.

A still from Italian film, Reality

આ વખતનો ગ્રા પ્રિ અવોર્ડ (એટલે કે જ્યુરી અવોર્ડ) ‘રિઆલિટી’ નામની ઈટાલિયન ફિલ્મને મળ્યો. આખી ફિલ્મ ‘બિગ બોસ’ જેવા એક રિયાલિટી શોમાં આકાર લે છે!

સિનેમાના ચાહકો આ લેખમાં સ્થાન પામેલી બધી ફિલ્મોનાં નામ નોંધી રાખે અને તક મળે ત્યારે જોઈ પણ લે. આમાંની એક પણ ફિલ્મ પાસેથી હોલીવૂડની બિગ બજેટ મસાલા ફિલ્મ જેવી અપેક્ષા નથી રાખવાની એ ખાસ યાદ રાખવાનું!


શો-સ્ટોપર

‘બેન્ડ બાજા બારાત’વાળા રણબીર સિંહને અભિનેતા બનતા પંદર વર્ષ લાગી જશે. આ બધા જિમમાં તૈયાર થયેલા એક્ટરો છે. 

 - તિગ્માંશુ ધૂલિયા (‘પાન સિંહ તોમર’ના ડિરેક્ટર)

Friday, June 3, 2011

મોહમાયા અને જીવનરસ : ગર્ભથી શ્રાદ્ધ સુધી

‘અહા! જિંદગી’  - જૂન ૨૦૧૧માં પ્રકાશિત


જીવનમાંથી મોહતત્ત્વની બાદબાકી કરી નાખો તો એની રસિકતા મંદ પડી જવાની.  માતાના ગર્ભથી વંશજો દ્વારા થતાં શ્રાદ્ધકર્મ સુધી જીવનરસ માણસ સામે અવનવાં સ્વરૂપે પ્રગટતો રહે છે...




માણસને મોહતત્ત્વનો પહેલો સ્પર્શ અમૂર્તરૂપે થાય છે, એક કલ્પના કે વિચાર સ્વરૂપે. માણસ હજુ ગર્ભરૂપે આરોપિત પણ થયો નથી ને મોહની એક પ્રલંબ શંૃખલાની પહેલી કડી આકાર લઈ લે છે. અમૂર્તથી શરૂ થયેલી સફર આખરે અમૂર્ત સ્વરૂપે જ અંત પામે છે. આ મહાયાત્રાને જુદાજુદા તબક્કાઓમાં વિભાજિત કરી દઈએ...

પહેલો તબક્કો ઃ કલ્પના અને ફેન્ટસી

માણસના મોહતત્ત્વ સાથેના સંબંધની શરૂઆત ક્યારથી થાય છે? તે માતાના ઉદરમાં આકાર લેવાનું શરૂ કરે ત્યારથી? ના. શારીરિક સંદર્ભની બહુ પહેલાં કલ્પનાનો પ્રદેશ વિસ્તરી ચૂકે છે. માણસનો મોહતત્ત્વ સાથેનો પહેલો સંપર્ક કલ્પનાના ફલક પર થાય છે.
 - મને માન્યામાં નથી આવતું... વી આર એક્ચ્યુઅલી ગેટિંગ મેરિડ!
 - લિસન, અત્યારથી કહી દઉં છું. મેરેજ કર્યાં પછી બચ્ચું પેદા કરવામાં આપણે બિલકુલ વાર લગાડવાની નથી.
 - મને પણ મારી ડ્રીમ ગર્લને મળવાની જોરદાર ઉતાવળ છે, સ્વીટહાર્ટ.
 - ડ્રીમ ગર્લ? એ વળી કોણ?
 - આપણી દીકરી! આપણી એક દીકરી હોવી જોઈએ, નાની નાની, બ્યુટીફુલ...
 - દીકરીનો મોહ બહુ સારો નહીં. એ પરણીને વિદાય લેશે ત્યારે દુખી થઈ જઈશ.
 - આઈ ડોન્ટ કેર! પહેલું સંતાન તો દીકરી જ, બસ!

બીજો તબક્કો ઃ ગર્ભનાળ જોડાય તે પહેલાં...

પુરુષના શુક્રકોષ અને સ્ત્રીના અંડકોષનું મિલન થાય, ગર્ભમાં માનવદેહનો પિંડ બંધાવાની શરૂઆત થાય અને અત્યાર સુધી કલ્પનામાં ઘૂમરાયા કરતાં મોહને એક નિશ્ચિત આકાર મળવા લાગે.

 પ્રિય સંતાન,

 આજે અમે તને પહેલી વાર જોયો. મેં અને તારા ડેડીએ. તું મારા પેટમાં પોણા ચાર મહિનાથી છો. આજે સોનોગ્રાફી કરાવવા ગયાં ત્યારે હું બેડ પર સૂતી હતી, ડેડી બાજુમાં ઊભા હતા અને સામે મોનિટર પર તું હતો. તું બહુ જ સુંદર છો. એકદમ નાનો નાનો. નાજુક રમકડા જેવો. તારી લંબાઈ કેટલી છે, ખબર છે? સાડા ત્રણ સેન્ટિમિટર! અને વજન? ૪૮ ગ્રામ! પણ તોય સોનોગ્રાફી માટેના મોનિટર પર અમે તને ચોખ્ખો નિહાળ્યો. તું પીઠ પર સૂતો હતો અને એટલો રમી રહ્યો હતો કે ન પૂછો વાત. જાણે પાંચછ મહિનાનું બાળક સ્તનપાન કરી લીધા પછી હાથપગ ઊંચાનીચા કરતું, સંતોષપૂર્વક કિલકારીઓ કરતંુ ન હોય! તારો એક પગ ઊંચો હતો અને એ તું હલાવી રહ્યો હતો. એક હાથને પણ ઊંચોનીચો કરી રહ્યો હતો. નાનું ટપકા જેવડું તારંુ હૃદય ધક્ ધક્ કરી રહ્યું હતું. તારી પાંચેપાંચ આંગળીઓ, કરોડરજ્જુ બધું જ સ્પષ્ટ દેખાતું હતું. તને જોયા પછી અમને શું લાગ્યું, ખબર છે? તું દીકરી નહીં; પણ દીકરો છે! ખબર નહીં શું કામ! તને જોઈને મારી આંખો છલકાઈ આવી હતી, તારા ડેડી પણ ઈમોશનલ થઈ ગયા હતા. સાજોનરવો રહેજે, બેટા... માત્ર મારા પેટમાં જ નહીં, પણ તું જન્મીને આ પૃથ્વી પર આવીશ અને લાંબું જીવન જીવીશ ત્યારે પણ એકદમ સ્વસ્થ અને સુખી રહેજે. તારે એક બહુ જ સુંદર મનુષ્ય બનવાનું છે... બનીશ ને?
 તારા મોહમાં આસક્ત
તારી મમ્મી

ત્રીજો તબક્કો ઃ બચપન કે દિન




માણસ જન્મે એ પહેલાં જ એનાં માબાપના મોહપાશમાં જકડાઈ ચૂક્યો હોય છે. નવજાત શિશુને હજુ ભાષાની સમજ નથી, લાગણીઓની સમજ નથી. તેની વર્તણૂક ફક્ત ઇન્દ્રિયજન્ય છે. ક્રમશઃ એ ચહેરા અને સ્પર્શ ઓળખવાનું શરૂ કરે છે. તેનું વર્તન ધીમેધીમે પ્રતિક્રિયાત્મક બનવા લાગે છે. તેને હવે અમુક વસ્તુઓ ગમે છે. ‘ઘોડિયા’માં લટકાવેલા ગોળ ગોળ ફરતા લાલ રંગના ઘુમ્મટને તે ‘તાકી રહે છે.’ મનગમતાં રમકડાં તરફ એ ભાખોડિયાં ભરતો ‘ખેંચાય છે.’ કેરીનો રસ એને ‘ભાવે છે.’ ગમવું, તાકી રહેવું, ખેંચાવું, ભાવવું... બાળકમાં મોહતત્ત્વનાં આરોપણની શરૂઆત આ ક્રિયાઓ દ્વારા જ થઈ જતી હોય છે!
- બાબો દાદીનો બહુ હેવાયો છે, નહીં?
- બહુ જ. દાદીને એનો મોહ છે એના કરતાં એને દાદીનો વધારે મોહ છે. દાદી સિવાય આખો દિવસ એને ખોળામાં લઈને બેસી કોણ રહે?
- માસીએ લંડનથી આ રિમોટકંટ્રોલવાળો જોકર મોકલ્યો છે. એની સામે નજર પણ કરતો નથી, પણ રસ્તા પરથી લીધેલા ત્રીસ રૂપિયાના ડોગી માટે એને કેટલો મોહ છે, જો તો!

બર્થડે કેક પર કેન્ડલ્સની સંખ્યા વધતી જાય છે તેમ તેમ બચ્ચાનો મોહ વધુ ને વધુ વેલ  ડિફાઈન્ડ થતો જાય છે. પાડોશના પિન્ટુ પાસે છે એવી જ કાર એને જોઈએ છે. એને મોલમાં શોપિંગ કરવા મમ્મીપપ્પાની સાથે આવવું પસંદ છે, કારણ કે એને શોપિંગ ટ્રોલીમાં બેસીને ફરવાનો મોહ છે. એને સનફીસ્ટ બ્રાન્ડનાં જ બિસ્કિટ જોઈએ છે, કારણ કે બિસ્કિટના પેકેટની સાથે આવતી નાનકડી ફ્રી ગિફ્ટ (પ્લાસ્ટિકની ટચૂકડી જીપ, સાઈકલ, હેલિકોપ્ટર)નો એને મોહ છે. અતરંગી આઈટમો એને જરાય ભાવતી નથી, પણ તોય મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવાઈ ગયા પછી મેક્ડોનાલ્ડઝમાં જવાની જીદ કરે છે, કારણ કે અહીં હેપી મિલ સાથે બચ્ચેલોગ માટે એકાદું રમકડું પણ ‘સર્વ’ કરવામાં આવે છે એવું તેણે ટીવી પર જોયું છે.
બાલ્યાવસ્થાનો મોહ વધારે બોલકો અને સ્પષ્ટ હોય છે. બાળકોને મોહિત કરવાં આસાન છે, ઉપભોક્તાવાદની આબોહવામાં ફૂલીફાલી રહેલી પેલી કંપનીઓ આ સત્યનો ભરપૂર ફાયદો ઉઠાવે છે.

ચોથો તબક્કો ઃ ફર્સ્ટ ક્રશથી થર્ડ લવ સુધી

મોહ, માયા, આકર્ષણ, લાલચ, આસક્તિ, ચાહના, વાસના, ઝંખના ઈવન પ્રેમ... આ બધી એકબીજાંની પાસેપાસેની સગોત્રી લાગણીઓ છે. આ એકાકી કે સ્ટેન્ડઅલોન ફિલિંગ્સ નથી. મોહ છે ત્યાં બે ભિન્નભિન્ન અસ્તિત્વો છે અને એકની બીજા તરફની ગતિ છે. મોહ પોતાની સાથે કદાચ અનેક લાગણીઓને ખેંચી લાવે છે. કિશોરાવસ્થા ઓળંગીને તરુણાવસ્થામાં પગ મૂક્યા પછી ઘર અને સ્કૂલ સિવાયની દુનિયા ખૂલવા લાગે છે. દોસ્તીનો અર્થ સમજાવા લાગે છે. જીવનમાં મૈત્રીના સંબંધનો રંગ સ્પષ્ટપણે ઉમેરાતો જોઈ શકાય એટલી સજ્જતા કેળવાતી જાય છે. ભાઈબંધો સાથે વધારે ને વધારે સમય પસાર કરવાનો મોહ વધતો જાય છે. બ્રહ્મવૈવર્તપુરાણ કહે છે કે આ વિશ્વમાં ત્રણ પ્રકારના સંબંધ છે ઃ વિદ્યાથી નીપજતો, યોનિમાંથી નીપજતો અને પ્રીતિમાંથી ઉત્પન્ન થતો. પ્રીતિમાંથી ઉત્પન્ન થતા સંબંધોમાં મૈત્રીનો સંબંધ દુર્લભ છે. આ દુર્લભ સંબંધનાં મૂળિયાં ક્યારે બાળપણમાં નખાઈ જતાં હોય છે. રમેશ પારેખે લખ્યું છે ઃ
મારા ચારપાંચ મિત્રો છે એવા 
કેવા?
આમ લુચ્ચા પણ ચુંબનની ઢગલી
જેવા.

શરીરમાં હોર્મોન્સની ઊછળકૂદ શરૂ થાય એટલે ભાઈબંધો સાથે શોર્ટ કટથી ટ્યૂશન ક્લાસમાં પહોંચી જવાને બદલે લાંબો રૂટ પસંદ થવા લાગે છે? શા માટે? એ રસ્તે ગર્લ્સ સ્કૂલ છે અને પેલી ઊંચી, બોબ્ડ હેરવાળી છોકરીની એક ઝલક મેળવવાનો મોહ છૂટતો નથી. એ છોકરી તમારો પહેલો ‘ક્રશ’ છે. ‘ક્રશ’ એ મોહનું શારીરિક આવેગોમાં ઝબોળાયેલું ગમતીલું સ્વરૂપ છે...

ફર્સ્ટ લવમાં કેટલું મોહતત્ત્વ ઓગળેલું હોય છે? પ્રેમ એક કરતાં વધારે લાગણીઓનું ઝૂમખું છે અને એમાં મોહનું વજન ખાસ્સું એવું છે. સેકન્ડ, થર્ડ, ફોર્થ લવમાં બીજી બધી લાગણીઓનું જે થતું હોય તે પણ મોહનું એલિમેન્ટ ઉત્તરોત્તર ઘટતું જ જતું હોય છે! પ્રેમમાં પડવું અથવા પ્રેમમાં હોવું એટલે મોહભંગ થવા માટે રેડી રહેવું! ‘ઓફિશિયલી’ દિલ તૂટે કે ન તૂટે, પણ ગાઢ સંબંધમાં નિભ્રરન્ત થવાની ક્ષણ તો આવે જ છે. આવું થાય અને તમારામાં અને તમારા પાર્ટનરમાં થોડીઘણી સમજદારી હોય તો સામસામા બેસીને તમે ભારે ચહેરે ‘કમ્યુનિકેટ’ કરવા બેસો છોઃ

- આર યુ શ્યોર કે તું મને પહેલાં જેટલો જ પ્રેમ કરે છે?
 -અફકોર્સ!
 -આ સવાલ હું તને એકલાને નહીં; મારી જાતને પણ પૂછી રહી છું...
 - એટલે?
 - એમ કે... આઈ ડોન્ટ નો, પણ મને લાગી રહ્યું છે કે તારા પ્રત્યેની મારી ફિલિંગ્સ પણ પહેલાં જેટલી ઈન્ટેન્સ નથી રહી.
 - ડોન્ટ વરી, સ્વીટહાર્ટ.
 - ડોન્ટ વરી એટલે?
 - જો, સંબંધ વડે જોડાયેલી બે વ્યક્તિઓ વચ્ચે એક સરહદરેખા કાયમ અંકાયેલી રહે છે. સંબંધ ગમે તેટલાં પરિપક્વ, ઊર્ધ્વગામી અને કલ્યાણકારી કેમ ન હોય, એક પરાકાષ્ઠા પછી બન્ને વ્યક્તિઓ એકાકી બની જ જાય છે. એક હદ સુધી જ લાગણીઓ અને વિચારોનાં આદાનપ્રદાન શક્ય છે. એ હદ આવી જાય પછી બન્નેએ ફરજિયાત એકલા પડી જવું પડે...
 - કદાચ તું સાચું કહે છે... બાકી આપણા બેનો એકબીજા પ્રત્યેનો મોહ જે રીતે ઘટી રહ્યો છે એ જોઈને હું તો ચિંતામાં પડી ગઈ હતી.
 - ચિંતા કરવા જેવું કશું નથી. ચલ, ફૂડ ઓર્ડર કર...

પાંચમો તબક્કો ઃ વસમું વ્યક્તિત્વઘડતર





મોહના આલંબનથી બંધાવા માટે બીજી વ્યક્તિની જરૂર પડે જ એ જરૂરી નથી, પોતાની જાત પ્રત્યેના મોહનું વર્તુળ ઘણું મોટું હોય છે અને જીવનના અંત સુધી તે વિસ્તરતું રહે છે. સ્કૂલકોલેજમાં હંમેશાં ફર્સ્ટ આવવાનો મોહ, ખુદને સ્કૂલ/કોલેજ/સોસાયટી/હોસ્ટેલમાં ‘હીરો’ તરીકે સ્થાપિત કરવાનો મોહ, ખુદને એક અતિ સફળ વ્યક્તિ તરીકે જોવાનો મોહ, પોતાની જાતને આદર્શ પુત્ર (કે પુત્રી)/આદર્શ પતિ(કે પત્ની)/આદર્શ પિતા(કે માતા) તરીકે સ્થાપિત કરવાનો મોહ...

આ બધા ‘પોઝિટિવ’ મોહ છે!

સ્વપ્રતિમા કે સેલ્ફઈમેજ પણ આમ તો માયા જ છે. સેલ્ફઈમેજના મોહમાં પડવું એટલે ખુદના પડછાયાને પકડવાની ચેષ્ટા કરવી. અમૃતા પ્રીતમે એમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’માં લખ્યું છે ઃ
‘Create an idealised image of yourself and try to resemble it... આ શબ્દો કજાન્તજાકિસે પોતાની પ્રેયસીને પહેલી મુલાકાતમાં કહ્યા હતા. હું એમ નથી કહેતી કે આ શબ્દોનો મર્મ મારી પકડમાં આવી ગયો છે  કેવળ એટલું કે આખી જિંદગી એ મારા સહાયક રહ્યા છે... એનો મર્મ જ કદાચ એ વાતમાં છે કે પોતાનો ચહેરો જ્યારે પણ કલ્પિત પ્રતિમા સાથે મળતો આવવા માંડે છે કે તરત કલ્પિત પ્રતિમા (એટલે કે સેલ્ફઈમેજ) વધુ સુંદર થઈને દૂર જઈને ઊભી રહે છે. કેવળ એટલું કહી શકું કે આખી જિંદગી એના સુધી પહોંચવા મથતી રહું છું.’

પ્રસિદ્ધિનો મોહ પ્રચંડ હોય છે અને એ ક્યારેક મર્યા પછી પણ છૂટતો નથી! ખેર, ખ્યાતનામ બનવાનો મોહ અંકુશમાં રહે તો એ માણસની શક્તિઓને યોગ્ય દિશા આપી શકે. વિશ્વની સૌથી ધનિક સ્ત્રીઓમાં સ્થાન પામતી અમેરિકાની વિખ્યાત ટીવી પર્સનાલિટી ઓપરાહ વિન્ફ્રેએ બાર વર્ષની ઉંમરે જ એના ફાધરને કહી દીધું હતું કે ડેડી, મારે મોટા થઈ ફેમસ થવું છે અને એનું પ્લાનિંગ મેં અત્યારથી શરૂ કરી દીધું છે!
પ્રસિદ્ધિ અને કીર્તિમાં ફર્ક છે. પ્રસિદ્ધ માણસ સત્ત્વશીલ હોય તે ફરજિયાત નથી, પણ કીર્તિ પામેલા માણસમાં અનિવાર્યપણે એક પ્રકારની ગરિમા અને સત્ત્વશીલતા હોવાનાં. એક સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છેઃ ‘પ્રથમ અવસ્થામાં વિદ્યા, બીજી અવસ્થામાં ધન અને ત્રીજી અવસ્થામાં કીર્તિ ન મેળવે એ માણસ ચોથી અવસ્થામાં (એટલે કે વૃદ્ધાવસ્થામાં) શું કરવાનો?’

 - આ બધી વાત સાચી, બોસ, પણ ધનવાન અને કીર્તિવાન બનવા માટે પ્રોપર પ્લેસ જોઈએ.
 - પ્રોપર પ્લેસ મતલબ?
 - બિગ સિટી... બોમ્બે જેવું! સિટી ઓફ ડ્રીમ્સ... સિટી ઓફ મિરેકલ્સ! મોહમયી નગરી મુંબઈ... હિયર આઈ કમ!

છઠ્ઠો તબક્કો ઃ જન્મભૂમિથી કર્મભૂમિ


ચંદ્રકાંત બક્ષી એમની આત્મકથા ‘બક્ષીનામા’માં લખે છે ઃ
‘...અને એક દિવસ દરેક છોકરાએ મર્દ બનવા માટે ઘર છોડવું પડે છે. એક દિવસ ગુમાન શબ્દનો અર્થ શોધવો પડે છે. એક દિવસ ગુલામીના કાયદા સમજવા પડે છે... છોકરાઓની દુનિયા જુદી છે. પ્યારથી જિંદગીના સબક શિખાતા નથી. એક જ માર્ગ શીખવાનો, જિંદગીને અને માણસોને સમજવાનો ઃ અપમાનબોધ. રોમાન્સ પછી આવે છે, રોટી પહેલી આવે છે. જેણે બેકારી જોઈ છે એને ત્યાગનું મહત્ત્વ સમજાવતા બાવાસાધુઓની જરૂર નથી... દરેક છોકરીએ બીજા ઘરમાં જવાનું છે, દરેક છોકરાએ પહેલું ઘર છોડવાનું છે. ઘર છોડવાનું છે એટલે ઘર બહાર નીકળવાનું છે, નવી હવા, નવા સંજોગો, નવા સંબંધો, નવો પરિવેશ...’

સ્થળ કે શહેર સાથે મોહાસક્ત થતાં ક્યાં વાર લાગે છે? તમારે બોરીવલી, કાંદિવલી કે મલાડ છોડવું નથી, કારણ કે તમને ગુજરાતી લોકાલિટીનો મોહ છે. મુંબઈની લાઈફ ગમે તેટલી હાર્ડ કેમ ન હોય, તમને આ મોહમયી નગરીનો મોહ છૂટવાનો નથી. પોતાની જન્મભૂમિ સાથે જ નહીં, કર્મભૂમિ સાથે પણ મોહમાયાનાં બંધનમાં જકડાઈ જવું સ્વાભાવિક છે.

એઝરા પાઉન્ડ નામના અમેરિકન કવિએ લખેલી એક કવિતામાં પોતાના શહેર પ્રત્યેની ચાહના કેટલી તીવ્રતાથી વ્યક્ત થઈ છે તે જુઓ. ‘ન્યુયોર્ક’ શીર્ષક ધરાવતી આ કૃતિને ઉત્પલ ભાયાણીએ અનુવાદિત કરી છે ઃ

મારંુ શહેર, મારી પ્રેયસી, મારી શ્વેતા! આહ કેવી નમણી!
સાંભળ! મને સાંભળ અને હું મારા શ્વાસથી તારામાં પ્રાણ પૂરીશ.
નજાકતથી વાંસળીમાં હવા પુરાય, તું મારામાં જીવ રાખ
હવે હું બરાબર જાણું છું કે હું પાગલ છું,
કારણ કે અહીં ભીડ સાથે તોછડા બની ગયેલા
લાખો લોકો છે
આ કોઈ આયા નથી અને
મારી પાસે કોઈ વાસંળી હોત તો એ વગાડવી
મારા માટે શક્ય પણ નથી.
મારંુ શહેર, મારી પ્રેયસી
તું તો સ્તન વગરની આયા છે.
તું તો બંસરી જેવી નમણી છે.
મને સાંભળ, મારી સંભાળ રાખ!
અને હું મારા શ્વાસથી તારામાં પ્રાણ પૂરીશ
અને તું અમર બની જશે.

ગૃહસ્થાશ્રમ પરિવાર બનાવવાનો, પૈસા બનાવવાનો, સ્ટેટ્સ બનાવવાનો સમય છે અને આ તબક્કામાં મોહવૃત્તિ એની પરાકાઠાએ પહોંચે છે. મોટી ગાડી લેવાનો મોહ, મોટું ઘર લેવાનો મોહ, સપરિવાર યુરોપની ટૂર કરી આવવાનો મોહ, લાખોનું દાન આપીને વતનમાં જ્ઞાતિના છોકરાઓ માટે બોર્ડંિગ ઊભી કરી અને પોતાનું કે સ્વર્ગસ્થ બાનું કે બાપુજીનું નામ આપવાનો મોહ, દીકરા કે દીકરી માટે સમાજમાં વટ પડી જાય એવું હાઈક્લાસ ઠેકાણું શોધવાનો મોહ... આ સૂચિ અંતહીન હોઈ શકે છે.

સાતમો તબક્કો ઃ વાનપ્રસ્થાશ્રમ અને વૈરાગ્ય



વાનપ્રસ્થાશ્રમ એટલે આમ તો મોહમાયામાંથી મન વાળવાની શરૂઆત કરવાનો તબક્કો... પણ એમ મોહમાયામાંથી મુક્તિ મેળવવી ક્યાં સહેલી છે? સંતાનો પરણી ગયાં છે અને તેમના ઘરે પણ પારણાં બંધાઈ ગયાં છે... હવે મુદ્દલ કરતાં વ્યાજ વધારે વહાલંુ હોવાનું જ ને!
 - મારા અમિતના બાબાને મારા વગર એક ઘડી પણ ન ચાલે. આખો દિવસ ‘દાદી...દાદી’ કરતો હોય.
 મારેય એવું જ છે ને! જિજ્ઞેશની બેઉ બેબીને મમ્મી વગર ચાલે, પણ મારા વગર ન ચાલે. એને સ્કૂલ લઈ આવવામૂકવાનું કામ મારંુ જ.
 - મારી એકતાના ઘરે પારણું બંધાઈ જાય એટલે ભયોભયો. ચોથી પેઢીનું મોઢું જોવાઈ જાય એટલે પછી બધી મોહમાયા ત્યજી દેવી છે, બસ.

પણ આ ‘બસ’ ક્યારેય થતું નથી. મોહને ટાંગવા માટેની નવીનવી ખીંટીઓ મળી જ રહે છે.
મોહનો વિરુદ્ધાર્થી શબ્દ ત્યાગ છે? ત્યાગ અને વૈરાગ્ય તરફ ગતિ કરવાથી આપોઆપ મોહમાંથી મુક્તિ મળી જતી હોય છે અને આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવામાં આસાની થઈ જતી હોય છે? કુંદનિકા કાપડિયા એમની ‘પરોઢ થતાં પહેલાં’ નવલકથામાં લખે છેઃ

‘ત્યાગ અને વૈરાગ્યમાંથી જો અંદર અજવાળું ન થતું હોય, જંગલમાં ઊછળતાં, વહેતાં, ગાતાં ઝરણાં જેવો બંધનહીન આનંદ ન પ્રગટતો હોય તો એ ત્યાગ અને વૈરાગ્ય ખોટા છે...’

જીવનના સામા કાંઠા નજીક પહોંચી રહ્યા હોઈએ એટલે વૃત્તિઓને સંકોરતા જઈને મોહમુક્ત, નિર્લેપ જિંદગી જીવવા માંડવી જોઈએ? કે પછી, જીવનને અંતિમ ક્ષણ સુધી એના તમામ રંગોમાં ભરપૂરપણે જીવી લેવું જોઈએ? વીતતા જતા દાયકાઓ સાથે મોહતત્ત્વને હેન્ડલ કરવાની ક્ષમતા પણ વધતી જતી હોય છે? કદાચ. સહજ વિરક્તિ પામી લેતા વિરલાઓની વાત જુદી છે, બાકી સામાન્ય માણસ માટે તો જિંદગી નામના પુસ્તકમાં મોહ કદી ખતમ ન થતું પ્રકરણ છે. વચ્ચે વચ્ચે નિર્લેપ હોવાનાં છૂટાંછવાયાં પાનાં આવી જાય, બાકી મોહનું અનુસંધાન છેક સુધી મળતું રહે છે, અનિવાર્યપણે, સતત, અંતિમ પૃષ્ઠ સુધી.



આઠમો તબક્કો ઃ મૃત્યુને પેલે પાર


મૃત્યુ જિવાયેલાં જીવનની તમામ ઘટનાવલીઓનો લોજિકલ અંત છે. એક પૂર્ણવિરામ. મૃત્યુને કારણે કદાચ બીજું બધું અટકી જતું હશે પણ મોહતત્ત્વ પર હજુય ‘ધી એન્ડ’નું પાટિયું ઝૂલતું નથી, હજુય તેના પર પૂર્ણવિરામ મુકાતું નથી.

આપણામાં માણસ મરી જાય ત્યારે કહેવાય છે કે તેણે ‘દેહ છોડ્યો’. અર્થાત્ ‘તે’ અને ‘દેહ’ બન્ને એક નથી. મૃત્યુ પામેલા માણસનો આત્મા અતૃપ્ત હોઈ શકે છે, પાછળ છોડી દીધેલા કુટુંબીજનોમાં એનો જીવ અટકી રહ્યો હોય તેવું બની શકે છે. નશ્વર દેહ છોડી ચૂકેલા આપણા સ્વજનો અને પૂર્વજો માટે આપણે શ્રાદ્ધકર્મ કરીએ છીએ, દર વર્ષે કાગવાસ નાખીએ છીએ. નાનું બાળક દૂર અગાસીની પાળી પર બેઠેલા કાગડાને જોઈને નિર્દોષતાથી પૂછે છે ઃ ડેડી, પેલો કાગડો દાદાજી છે? તમે કહો છો ઃ હા બેટા, દાદાજીને પૌત્ર રમાડવાનો બહુ મોહ હતો, પણ તારો જન્મ થયો એ પહેલાં જ એ ભગવાનના ઘરે જતા રહ્યા; એટલે અત્યારે તને મળવા કાગડો બનીને આવ્યા છે...

પૂર્વજોના આત્માની શાંતિ-અશાંતિ કે તૃપ્તિ-અતૃપ્તિનો સીધો, આડકતરો કે આંશિક સંબંધ તેમની મોહવૃત્તિ સાથે જરૂર હોવાનો. અવકાશમાં વિહાર કરતા આત્માઓને હજુય તેમની આગલી પેઢીઓના વારસદારોના જીવનને સ્પર્શ કરવાનો મોહ રહેતો હશે? લખચોર્યાશીનો ફેરો કદાચ મોહતત્ત્વ વગર શક્ય નહીં બનતો હોય! એક વાત સ્પષ્ટ છે. માતાના ગર્ભથી વંશજોના શ્રાદ્ધકર્મ સુધી મોહતત્ત્વ માણસને મુક્ત કરતંુ નથી.