Showing posts with label Nathabhai Joshi Gondal. Show all posts
Showing posts with label Nathabhai Joshi Gondal. Show all posts

Wednesday, August 13, 2014

ટેક ઓફ : જિંદગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ

Sandesh - Ardh Saptahik Purty - 13 August 2014

ટેક ઓફ 

 શું જે દૃશ્યમાન છે તે જ 'સત્ય' છે? સ્વપ્નિલ ભાવસ્થિતિમાં નહીં પણ કદાચ ખુલ્લી આંખે દર્શન થઈ જાય તો સત્ય, સૌંદર્ય અને શાંતિનું રહસ્ય ખૂલી જાય છે. જરૂર હોય છે કેવળ આંતરિક ને આધ્યાત્મિક સજ્જતાની. આ સજ્જતા કેળવવામાં આખી જિંદગી નીકળી જાય છે.


Makarand Dave


કેવી હોઈ શકે ઈશ્વરના સાક્ષાત્કારની ક્ષણ? શું તે પળને અને તે અનુભૂતિને શબ્દોમાં બાંધી શકાય? જો વાત કવિ મકરંદ દવેની થઈ રહી હોય તો હા, આ શક્ય છે. મકરંદ દવે (જન્મઃ ૧૯૨૨, મૃત્યુઃ ૨૦૦૫) કશુંક 'ભાળી ગયેલો' કવિ છે. માનવમનની ગૂઢ આધ્યાત્મિક અનુભૂતિની મિમાંસા તેમના વગર શક્ય નથી - ગુજરાતી કાવ્યજગતના સંદર્ભમાં. આંગળી મૂકીને સ્પર્શી ન શકાય એવી છતાંય વજ્ર જેવી નક્કર દૈવી લાગણીઓનું આલેખન મકરંદ દવેએ કર્યું છે તેવું પ્રતીતિપૂર્ણ અને અસરકારક આલેખન અન્ય બહુ ઓછા કવિઓ કરી શક્યા છે.  'હળવે ટકોરા' નામની કવિતામાં તેઓ કહે છેઃ 
દીવો રે ઓલવાયો અધમધ રાતનો,
થંભી ગઈ ઝૂલણ ખાટ,
બારણે ટકોરા પડયા તે સમે,
કોઈ જાણે જુએ મારી વાટ!
હળવા ટકોરા કોના હેતના?

મધરાત છે. કવિ નિદ્રાધીન થયા નથી, પણ તેઓ કદાચ ઓસરીમાં કે ફળિયામાં હીંચકા પર ઝૂલી રહ્યા છે. મનોમન પ્રભુસ્મરણ થઈ રહ્યું છે અથવા વિચારવલોણું ચાલી રહ્યું છે. અચાનક ઝૂલણ ખાટ થંભી જાય છે. ખાટ અહીં મનનું પ્રતીક છે. મન સ્થિર થતાં અચાનક બારણે ટકોરા પડે છે. આ બારણું બહાર નથી, ભીતર છે. ટકોરાની સાથે જ કશાંક સ્પંદન જાગે છે. આ ટકોરા બીજું કશું નહીં બલકે પરમ પિતાના હેતનો ધ્વનિ છે! ધ્વનિની સાથે કેટલાક પ્રશ્નો પણ રેલાય છે. કોણ ઊભું હશે હ્ય્દય-દ્વારની પેલી તરફ? કેવું હશે એનું રૂપ? કેવી હશે એની વાણી? એ અગમ દેશનો અતિથિ હશે એટલું તો નક્કી. દરવાજો ખોલતાં જ આંતરચક્ષુને પ્રભુનાં દર્શન થાય છે. તે ક્ષણે જે પ્રગટે છે તે છે કેવળ અને કેવળ નિર્ભેળ આનંદ. જુઓઃ
મુખ રે જોયું એક મલકતું
જોઈ એક ઝળઝળ મશાલ,
બીજું તે જોવાની કોને ઝંખના?
મનનો ઊંડે મત્ત ગુલાલ
હૈયે રે હિલોળા એના હેતના.
અંતરનાં દ્વાર ઊઘડતાં જ કવિને મુસ્કુરાતો ચહેરો ને ઝળહળતી મશાલ દેખાય છે અને બસ, જીવન જાણે ધન્ય ધન્ય થઈ જાય છે. બસ, અત્યાર સુધી જે કંઈ જિવાયું છે એની આ જ તો ઈતિ છે. આ જ તો લક્ષ્ય છે. વહાલાનાં દિવ્ય દર્શન થઈ ગયાં. બસ, હવે કોઈ ઝંખના નથી, કોઈ અપેક્ષા નથી.  
મકરંદ દવે લિખિત આ કુળની અન્ય કેટલીય કવિતાઓની વાત ને વિવરણ 'મકરંદ દવેની કવિતામાં રહસ્યવાદ' પુસ્તકમાં થયાં છે. ડો. રાજેન્દ્રસિંહ રાયજાદાએ આ નાનકડું પણ સુંદર પુસ્તક લખ્યું છે. વાસ્તવમાં તે 'અર્વાચીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદ'વિષય પર લખેલા શોધનિબંધનો એક અંશ છે. મકરંદ દવે સાથે લેખકને સારો પરિચય. વાસ્તવમાં, નાથાલાલ જોશી અને મકરંદ દવેનું સાન્નિધ્ય માણવા માટે જ તેમણે ગોંડલમાં નોકરી સ્વીકારી હતી. એયને રોજ રાતે અગિયાર-બાર વાગ્યા સુધી સાહિત્ય ઉપરાંત અધ્યાત્મ, સાધના અને ચમત્કારી અનુભૂતિઓની અલકમલકની વાતો થયા કરે. આ ગોઠડીઓમાંથી જ આ પુસ્તક જન્મ્યું છે.
અગમનિગમ અને અધ્યાત્મની વાત આવે ત્યારે સહેજે સવાલ જાગે કે શું ગૂઢ તત્ત્વ અનિવાર્યપણે અદૃશ્ય જ હોય? જરૂરી નથી. કદાચ દૃશ્યમાન પદાર્થોમાં પણ ગૂઢ તત્ત્વો સમાયેલાં હોઈ શકે છે. તેને જોવાની દૃષ્ટિ કેળવવી પડે. પાઠ શીખવા પડે. કેવા પાઠ?
એક પાઠ પઢીને સૌ
ભેદ પામી ગયા અમે
કોયડા ગૂઢ અદૃશ્યે
નથી, દૃશ્યે સદા રમે.
અનંત તરતા રહી,
વાતો જે ગૂંથતા ગેબી
તેની તે ધૂળમાં અહીં
ધરામાં ધબકી રહેલાં
તરણાં મને કહી.



અહીં 'ભાળી જવાની' વાત છે. જો આંતરપ્રજ્ઞાા સતેજ હોય તો ગૂઢતાને સંવેદી શકાય છે, સેન્સ કરી શકાય છે. ગરજતું આકાશ,વરસતો વરસાદ, ભીંજાતી ધરતી, બીજમાંથી અંકુર ફૂટવા, વનસ્પતિનું વિકસવું - આ બધું અપાર વિસ્મય પમાડે એવું નથી શું?આ બધું શી રીતે બને છે તેના વૈજ્ઞાાનિક ખુલાસા આપી શકાય છે, પણ છતાંય એક પ્રશ્ન નાગની ફેણની જેમ સતત ડોલતો રહે છેઃ ઘટનાની શૃંખલાઓ તો જાણે બરાબર છે, પણ આ એવું તે શું છે જેના આધારે આ શૃંખલાઓ દિમાગ કામ ન કરે તેટલી ચોકસાઈથી ચાલતી થતી રહે છે? એ કયું ગેબી પ્રેરકબળ છે? કઈ ગૂઢ ચેતના છે? કવિ વાતને ઔર વળ ચડાવે છે-

સત્ય, સૌંદર્ય ને શાંતિ
રહસ્યોના રહસ્યમાં
વાતો બોલે સદા ખુલ્લી
અદૃશ્ય નહીં, દૃશ્યમાં.
તો શું જે દૃશ્યમાન છે તે જ 'સત્ય' છે? સ્વપ્નિલ ભાવસ્થિતિમાં નહીં પણ કદાચ ખુલ્લી આંખે દર્શન થઈ જાય તો સત્ય, સૌંદર્ય અને શાંતિનું રહસ્ય ખૂલી જાય છે. જરૂર હોય છે કેવળ આંતરિક ને આધ્યાત્મિક સજ્જતાની. આ સજ્જતા કેળવવામાં આખી જિંદગી નીકળી જાય છે.
જિંદગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ
અને જિંદગી તો સૂરજનું બિંબ,
આંસુના દરિયાની આંખો લૂછે છે અહીં
સોનેરી હ્રાસનો કિનારો.

મકરંદ દવે જિંદગીને ધુમ્મસના ગૂઢ પડદા તરીકે વર્ણવે છે. અંદરથી પ્રકાશ પ્રગટે યા તો ઈશ્વરનો અદીઠ સાથ સાંપડે તો જ આ ધુમ્મસ દૂર થાય. ઉપરવાળા કરતાં મોટો જાદુગર બીજો કયો હોવાનો ? રહસ્ય તત્ત્વની પ્રકૃતિ કરતાં બહેતર અભિવ્યક્તિ બીજી કઈ હોવાની. ડો. રાજેન્દ્રસિંહ રાયજાદા કહે છે તે પ્રમાણે, રહસ્યવાદ અથવા મિસ્ટીસિઝમ શબ્દના કેટલાય અર્થો અને સંદર્ભો છે. કોઈ એને ધર્મ અને અધ્યાત્મ સાથે જોડે છે. કોઈ મંત્ર, તંત્ર, ત્રાટક, ગૂઢવિદ્યા, જાદુ અને હિપ્નોટિઝમ સાથે રહસ્યવાદને જોડે છે. અમુક શબ્દકોશ પ્રમાણે રહસ્ય શબ્દનો અર્થ ખેલ, વિનોદ, મજાક, મશ્કરી, મૈત્રી અને પ્રેમ પણ થાય છે!
છેલ્લે, મકરંદ દવેની આ પંક્તિઓ જુઓઃ
પગલું માંડું હંુ અવકાશમાં
જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
અવકાશ પગલું માંડવું એટલે ઉર્ધ્વગતિ કરવી. ઈશ્વર ભલે અદીઠ હોય, પણ તે સાથે જ છે, એણે મારો હાથ ઝાલ્યો છે તેવી પ્રતીતિ ખૂબ નક્કર હોઈ શકે છે. અંતિમ પંક્તિ ખૂબ સૂચક છે. જાગ્યા પછી એટલે કે ભાવસ્થિતિમાંથી બહાર આવ્યા પછી કવિને લાગે છે કે ફક્ત પોતે જ નહીં, બલકે કોઈ એકલું નથી! એક વાર ઈશ્વરીય તત્ત્વ સાથે સંધાન થઈ જાય પછી માણસને ક્યારેય એકલતા સતાવતી નથી. 

Tuesday, July 30, 2013

ટેક ઓફ : અધ્યાત્મ અને અનુભૂતિ : બુદ્ધિના સીમાડાની પેલે પાર...


Sandesh - Ardh Saptahik Purty - 1 August 2013

Column: ટેક ઓફ

'મને સાગર જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો. મારા ઉપર જાણે પ્રકાશનો દરિયો ફેલાઈ આવ્યો. જાણે નક્કર જગતનો લોપ થઈ ગયો. નાથાભાઈ જોશીએ કહ્યું: હવે શંકા કરશો નહીં. માએ તમને શક્તિનો અનુભવ કરાવ્યો છે.'


ગુરુપૂર્ણિમાના પર્વ પર આ વખતે કેટલાય ગુજરાતીઓએ ગોંડલવાસી નાથાભાઈ જોશીની ગેરહાજરી તીવ્રતાથી અનુભવી હશે. નાથાભાઈ એટલે કશુંક 'ભાળી ચૂકેલો' આત્મા. પ્રસિદ્ધિથી જોજનો દૂર રહેલા અત્યંત લો-પ્રોફાઈલ આધ્યાત્મિક ગુરુ, જેમનું મે મહિનામાં નિધન થયું. નાથાભાઈના શિષ્યોમાં (એમને તો 'શિષ્ય' શબ્દ સામે પણ વિરોધ હતો) પત્રકારો અને પ્રતિષ્ઠિત સાહિત્યકારોનાં નામ બોલે છે, છતાંય જાહેર માધ્યમોમાં તેમના વિશે ભાગ્યે જ કશુંક લખાયું છે કે ચર્ચાયું છે. તેમના વિશે ઝાઝી વાત પણ ન કરવાની એક સ્વયંશિસ્ત અનુયાયીઓએ પાળી છે.
જોકે નાથાભાઈના જીવનકાળ દરમિયાન એમના વિશે સ્વર્ગસ્થ કવિ મકરંદ દવે સહેજ ખૂલીને બોલ્યા હતા, સુરેશ દલાલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં. આ સોળેક વર્ષ પહેલાંની વાત છે. મકરંદ દવે વાત કરી શક્યા એનું કારણ એ હશે કે નાથાભાઈ સાથે તેમનો મૈત્રીનો સંબંધ હતો, ગુરુ-શિષ્યનો નહીં. બંનેની પહેલી મુલાકાત જે સંજોગોમાં થઈ હતી તે આખો કિસ્સો ભારે રસપ્રદ છે. તર્કને જરા એક બાજુ પર મૂકીને સાંભળવા જેવી આ અલૌકિક વાત છે.
Nathabhai Joshi (Gondal)

મકરંદ દવે યુવાનીમાં રાજકોટના એક અખબારમાં સબ-એડિટર તરીકે કામ કરતા હતા. એક વાર રાતે બે વાગ્યે અચાનક તેમની નાભિમાંથી અવાજ આવ્યોઃ 'હરિ બોલ... હરિ બોલ.' મકરંદ દવે ચમકી ગયા. થોડું પાણી પીધું ને આમતેમ આંટા માર્યા એટલે એ અવાજ, એ અનુભૂતિ જતા રહ્યા. બીજા દિવસે રાત્રે ફરી પાછો આ અનુભવ થયો. કવિ મૂંઝાઈ ગયા. દિવસે ઓફિસમાં તો બરાબર કામ થાય છે, પણ રાતે અચાનક શું થઈ જાય છે? નર્વસ બ્રેકડાઉન થઈ ગયો કે શું? ધીમે ધીમે એ સ્થિતિ આવી ગઈ કે દિવસ દરમિયાન પણ એકાએક'હરિ બોલ' અવાજ સંભળાવા લાગ્યો. મકરંદ એના તરફ ધ્યાન ન આપે, ઇચ્છાશક્તિથી અનુભૂતિને દબાવી દે, પણ એક રાત્રે ફરી પાછું નાભિમાંથી 'હરિ બોલ' સંભળાયું ને મકરંદ ભયંકર ચીસ પાડી ઊઠયા. એવું લાગતું હતું કે જાણે મગજની નસો ફાટી જશે. સવારે જાગ્યા ત્યારે વિસ્ફોટ પછીની શાંતિ અનુભવાઈ, પરંતુ રાતે ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું ત્યારે મકરંદ કાબૂ ગુમાવી બેઠા. એમને અવાજ સંભળાયોઃ "તમે ગોંડલ જાઓ. એક માણસ તમને મળશે. એ બધું સમજાવશે." મકરંદે કહ્યું: "મારા પર દૈનિકની જવાબદારીઓ છે. કામ મૂકીને કેવી રીતે જાઉં?" અવાજ આવ્યોઃ "તમે જાઓ. તમારે જવું જ પડશે."
બીજા દિવસે અખબારના માલિક અને તંત્રી વચ્ચે મતભેદ થઈ ગયો. માલિકે તંત્રીને છૂટા કર્યા. તંત્રીને અન્યાય થઈ રહ્યો છે એવું લાગતા સાથી પત્રકારોએ સામૂહિક રાજીનામું આપી દીધું. મકરંદ દવે પરથી ચમત્કારિક રીતે કામની જવાબદારીઓ જતી રહી! હવે ધારે તો તેઓ ગોંડલ જઈ શકે એમ હતા, પણ એ રહ્યા બુદ્ધિવાદી માણસ. આ જે અવાજો સંભળાય છે એ કેવળ ભ્રમણા કે માનસિક બીમારી હોય તો? તર્કની શક્તિમાં વિશ્વાસ હોવા છતાં મકરંદ મૂંઝાયા કરે. ભૂખ-તરસ જાણે મરી ગઈ. ગિરનાર જઈને કોઈ યોગીને મળવાની ઇચ્છા થયા કરે. જોકે એમને જૂનાગઢ જવાની જરૂર જ ન પડી. એક દિવસ એક મિત્રે કહ્યું કે જૂનાગઢથી નાથાભાઈ જોશી નામના એક કૃષ્ણભક્ત આવ્યા છે. જૂનાગઢનું નામ પડતાં મકરંદ દવેના કાન ચમક્યા. નાથાભાઈને મળવા ગયા ત્યારે ઘણા માણસો બેઠા હતા. મકરંદ દવેએ કહ્યું: "એક પ્રશ્ન પૂછવો છે. કશુંક જાણવું છે મારે. તમને ખબર પડે?" જવાબ મળ્યોઃ "ભાઈ, આજે તો ઘણા લોકો છે, કાલે આવજો."

બીજા દિવસે સવારે નવ વાગ્યે નાથાભાઈ બારણે રાહ જોતા ઊભા હતા. મકરંદ દવેને ઓરડામાં લઈ જઈ બારણાં બંધ કર્યાં. નાથાભાઈ કહે, "તમે કશું કહેશો નહીં. હું કહું છું." પછી 'હરિ બોલ'ના અવાજથી માંડીને મકરંદ દવેને જે કંઈ અનુભવો થયા હતા તે બધા જ નાથાભાઈ બોલી ગયા. ત્યારબાદ ઉમેર્યું: "આ બધું જ સાચું છે, ભ્રમણા નથી, કલ્પના નથી. ભગવાનનો આ અનુગ્રહ છે. તમે એનો સ્વીકાર કરો.' મકરંદ દવે કહેઃ "મારી આજીવિકાનું શું? બા-કુટુંબનું શું?" નાથાભાઈએ જવાબ આપ્યો કે ભગવાનનું નામ લો, બાકીની ચિંતા મા જગદંબા પર છોડી દો. મકરંદ દવેના મનનું સમાધાન થઈ ગયું. પ્રશ્નો દૂર થયા. શાંતિનો અનુભવ થયો.
આ રીતે નાથાભાઈ સાથે બંધાયેલો સંબંધ ઘનિષ્ઠ થતો ગયો અને મૃત્યુપર્યંત જળવાઈ રહ્યો. બંને ભેગા થાય એટલે ગંભીર વાતો વચ્ચે હાસ્યના ફુવારા ઊડે અને હાસ્ય શમે ત્યાં અંતર્લીન, ભાવમસ્ત અવસ્થા આવી જાય. મકરંદ દવે કહે છે, "અધ્યાત્મ અને અંગત પ્રાપ્તિની એવી કોઈ ભૂમિકા નહીં હોય જેના વિશે અમે ઝીણી નજરે ન જોયું હોય. ઘણા પડદા હટાવીને અંતરંગ વાતો થઈ છે, સંવેદના અનુભવી છે."
મકરંદ દવે આપણી ભાષાના શ્રેષ્ઠતમ કવિઓમાંના એક છે. એ જ્યારે કશુંક ગંભીરતાથી કહેતા હોય ત્યારે આપણા વૈજ્ઞાાનિક મિજાજને ઝટકો લાગે તો પણ સાંભળવું જોઈએ. એક વખત નાથાભાઈ સાથે મકરંદ દવે શક્તિપાત વિશે ચર્ચા કરી રહ્યા હતા. શક્તિપાત એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં પવિત્ર મંત્ર, દૃષ્ટિ કે સ્પર્શથી આધ્યાત્મિક શક્તિનું આરોપણ કરે એ. સામાન્યપણે આ ઘટના ગુરુ-શિષ્ય વચ્ચે બનતી હોય છે. મકરંદ દવેએ કહ્યું કે હું કંઈ શક્તિપાતમાં માનતો નથી. વ્યક્તિએ સ્વયં પોતાની જાતને પ્રગટ કરવી જોઈએ. નાથાભાઈ કહે, "ના, એવી શક્તિ છે. એ શક્ય છે. ભગવદ્ શક્તિ દ્વારા એ ઉત્પન્ન થઈ શકે." મકરંદના ગળે વાત ન ઊતરી. નાથાભાઈ ઊભા થઈને મકરંદ પાસે આવ્યા. એમના મસ્તક પર હાથ મૂક્યો. કંઈક અજબ ચમક હતી નાથાભાઈની આંખોમાં. એ વખતે તો કશું થયું નહીં, પણ સાંજ થતા પરિસ્થિતિ પલટાઈ ગઈ.


'મને સાગર જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો,' મકરંદ દવે કહે છે, "મારા ઉપર જાણે પ્રકાશનો દરિયો ફેલાઈ આવ્યો. હું તેમાં ડૂબી ગયો. જાણે નક્કર જગતનો લોપ થઈ ગયો. મને વિચાર આવ્યો કે આ મને શું થઈ ગયું છે? હું નાથાભાઈને કહેવા ગયો. એમણે મને પૂરી અને દહીં ખવડાવ્યાં. ત્યારબાદ શાંતિ થઈ ગઈ. તેમણે કહ્યું: "હવે શંકા કરશો નહીં. માએ તમને શક્તિનો અનુભવ કરાવ્યો." આ જગતના કેન્દ્રમાં એક શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ પ્રકાશ છે. જ્ઞાાનનો પ્રકાશ છે. પ્રકાશનાં આવર્તનો છે. અમારો સંબંધ ભગવતી શક્તિના ખોળામાં ખીલ્યો છે. 'મા' એટલે સર્વસ્વ. 'મા'ને આમ જીવંત, જાગ્રત રીતે અનુભવવી તે મને જીવનનો સાર લાગ્યો છે."
સઘળું તર્કની ફૂટપટ્ટીથી માપી શકાતું નથી. બધું જ ઈન્દ્રિયોના જોરથી સમજી શકાતું નથી. બુદ્ધિના સીમાડાની પેલે પાર એવું કશુંક હોય છે જેની પાસે કેવળ શ્રદ્ધાના માધ્યમ થકી જ પહોંચી શકાય!
                                           0 0 0