Saturday, March 29, 2014

મલ્ટિપ્લેક્સ : વેલ ડન, બોલિવૂડ!


Sandesh - Sanskar Purty - 30 March 2014

મલ્ટિપ્લેક્સ 

'ક્વીન'ની કંગના અને 'અર્થ'ની શબાના આઝમીના ડીએનેએ એકસરખા છે. 'હાઈવે'ની આલિયા અને 'થેલમા એન્ડ લુઈસ'ની સુસન સેરન્ડનનું કુળ એક છે. જીવનનાં મૂળભૂત મૂલ્યો અને સંઘર્ષો બધે એકસમાન જ હોવાના. કોણ કહે છે કે આ બધી ફેમિનિસ્ટ ફિલ્મો છે?

૨૧ ફેબ્રુઆરીથી ૨૧ માર્ચ દરમિયાન ત્રણ પ્રભાવશાળી ફિલ્મો રિલીઝ થઈ - 'હાઈવે', 'કવીન' અને 'લક્ષ્મી'. ત્રણેયમાં સશક્ત સ્ત્રીપાત્રો છે. 'હાઈવે'માં આલિયા ભટ્ટ બાળપણમાં ભોગવેલી પીડામાંથી ધક્કા સાથે બહાર આવે છે, 'ક્વીન'ની કંગના અપમાન અને તૂટેલા સંબંધના ભંગારને દૂર હડસેલીને નવો આત્મપરિચય કેળવે છે, જ્યારે શરીરબજારમાં વેચાઈ ગયેલી 'લક્ષ્મી' હિંમત કરીને નર્કની યાતના પર પૂર્ણવિરામ મૂકે છે. પરિસ્થિતિઓ જુદી જુદી છે, તીવ્રતા અલગ અલગ છે, પણ ત્રણેય ફિલ્મોમાં જિંદગીને કચડી નાખતા ઘટનાક્રમને ઓળંગીને મુક્તિ થવાનો સંઘર્ષ છે, પોતાની જાતને નવેસરથી ઓળખવાની છે, ખુદની ગરિમા અને આત્મસન્માનની રક્ષા કરવાની વાત છે.
આ જ કુળની બે ફિલ્મો યાદ આવે છે. શબાના આઝમી-સ્મિતા પાટિલને ચમકાવતી 'અર્થ' (૧૯૮૨) અને સુસન સેરન્ડન-જીના ડેવિસની 'થેલમા એન્ડ લુઈસ' (૧૯૯૧). 'ક્વીન'ની કંગનાનો સંબંધ ધારો કે બાવીસ-ત્રેવીસને બદલે પાંત્રીસ-ચાલીસ વર્ષની ઉંમરે તૂટયો હોત તો એણે કદાચ એનું વર્તન 'અર્થ'ની શબાના આઝમી જેવું હોત. 'કવીન'ની કંગના અને 'અર્થ'ની શબાનાનાં પાત્રોનાં ડીએનએ એક છે!
'અર્થ'માં શબાના આઝમીનું કિરદાર પૂજા પોતાના પતિ પર સંપૂર્ણપણે નિર્ભર છે. આર્થિક રીતે, લાગણીના સ્તરે, બધી રીતે. પતિ ઈન્દર (કુલભૂષણ ખરબંદા) સિવાય દુનિયામાં એના કોઈ સ્વજનો નથી. પતિ ફિલ્મ ડિરેક્ટર છે. કવિતા (સ્મિતા પાટિલ) નામની ગ્લેમરસ હિરોઈન સાથે એનું એકસ્ટ્રા-મેરિટલ અફેર ચાલે છે. પૂજાને અફેર વિશે ખબર પડે ત્યારે એ માની શકતી નથી. એ પતિને કરગરે છેઃ "ઈન્દર, જે થયું તે થયું, તું બસ ભૂલી જા કવિતાને. આપણે નવેસરથી જિંદગી શરૂ કરીશું..." પણ ઈન્દર પ્રેમિકાથી છેડો ફાડી શકે તેમ નથી. શબાના સ્મિતાને પણ ફોન કરીને કરગરે છેઃ "કવિતા, પ્લીઝ મારું ઘર ન ભાંગ. ઈન્દર સિવાય દુનિયામાં મારું કોઈ નથી..." કવિતા ધડામ કરતી ફોન મૂકી દે છે. અદ્ભુત સીન છે આ. શબાના આઝમીની અભિનયકળાના ઉત્કૃષ્ટ નમૂના એકઠા કરવા હોય તો આ સીનને ટોપ-થ્રીમાં મૂકવો પડે.
'Arth'

ફિલ્મમાં એક ત્રીજું સ્ત્રીપાત્ર પણ છે- રોહિણી હટંગડી, જે શબાનાના ઘરે સાફસફાઈ-વાસણ-કપડાંનું કામ કરવા આવે છે. એનો પતિ દારૂડિયો છે, બીજી સ્ત્રી પાસે જાય છે. હવે શબાના અને એની કામવાળી બાઈ બન્ને એકસરખી સ્થિતિમાં મૂકાઈ ગઈ છે.
દરમિયાન આપણને એટલે કે દર્શકોને ખબર પડે છે કે કવિતાને સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારી લાગુ પડી છે. પૂજા ઘર છોડીને વુમન હોસ્ટેલમાં રહેવા લાગે છે. એને કમાવું છે, પગભગ થવું છે. સદ્ભાગ્યે એની પાસે મિત્રોની હૂંફ છે. રાજ (રાજ કિરણ) નામનો એક ખુશનુમા ગાયક સાથે એનો પરિચય થાય છે. પૂજાને એ ખૂબ આદર અને મોરલ સપોર્ટ આપે છે.
આ બાજુ કવિતા ઈન્દર પ્રત્યે વધુ ને વધુ પઝેસિવ બનતી જાય છે. એને ઈન્દર તરફથી કમિટમેન્ટ જોઈએ છે. પૂજાને જન્મદિવસના દિવસે જ ઈન્દર તરફથી ડિવોર્સના કાગળિયાં મળે છે. પૂજા સહી કરી આપે છે, પણ કવિતાના જીવને તોય નિરાંત નથી. પોતે કોઈનું ઘર ભાંગ્યું છે તે વાતનું ગિલ્ટ તીવ્ર બનતું જાય છે કે પોતાના બિસ્તરની ચાદરમાંથી એને પૂજાની વાસ આવે છે.
દરમિયાન કામવાળી બાઈ રોહિણી હટંગડીના હાથે પોતાના નઠારા પતિની હત્યા થઈ જાય છે. એ જાતે પોલીસ સ્ટેશન જઈને ગુનો કબૂલે છે. એને ચિંતા એક જ વાતની છેઃ "મારી પાંચ-છ વર્ષની દીકરીનું શું થશે? એનું ધ્યાન કોણ રાખશે?" શબાના એને ભરોસો આપે છેઃ "તું ચિંતા ન કર. હું છુંને. હું સાચવીશ તારી દીકરીને."
રાજ પૂજાને પ્રપોઝ કરે છે, પણ પૂજા ના પાડે છે. કહે છેઃ "તું બહુ સારો માણસ છો, રાજ. બહુ સારો દોસ્ત, પણ ઈમોશનલી એટલી બધી ખાલી થઈ ચૂકી છું કે તને આપવા માટે મારી પાસે કંઈ નથી." જોકે, પોતે હજુ ડિઝાયરેબલ છે અને હજુય રાજ જેવો પુરુષ પોતાને પ્રેમ કરી શકે છે તે હકીકતથી પૂજાના આત્મસન્માનને ખૂબ બળ મળે છે. આ બાજુ કવિતાનું ગાંડપણ વધતું જાય છે ને આખરે ઈન્દર સાથેનો સંબંધ તોડી નાખે છે. પ્રેમિકાએ કાઢી મૂકયો એટલે ઈન્દર પાછો પત્ની પાસે આવે છેઃ "પૂજા, આઈ એમ સોરી. મારાથી ભૂલ થઈ ગઈ. કવિતા સાથે મારે હવે કંઈ નથી. મને અપનાવી લે."
શબાના શાંતિથી એની વાત સાંભળે છે. પછી એક જ સવાલ કરે છેઃ "ધારો કે તારી જગ્યાએ હું હોત, મેં પરપુરુષ સાથે સંબંધ બાંધ્યો હોત ને પછી તારી પાસે પાછી ફરી હોત તો શું તું મને અપનાવી લેત?" ઈન્દર કહે છેઃ "ના." શબાના ચહેરા પર પીડાભર્યું વ્યંગાત્મક સ્મિત લાવીને કહે છેઃ "ગુડબાય ઈન્દર." આટલું કહીને એ અંદર જતી રહે છે. પૂજાને હવે પુરુષના સહારાની જરૂર નથી. ઈન્દરના સહારાની તો બિલકુલ નહીં. કામવાળીની દીકરીએ એના જીવનની શૂન્યતાની ભરી દીધી છે, એના જીવનને નવો અર્થ આપ્યો છે. પૂજાના વ્યકિતત્વમાં હવે નવાં આત્મસન્માન, નવી ગરિમાની ચમક આવી ચૂકી છે. 'અર્થ'ની શબાના અને 'ક્વીન'ની કંગના આ બિંદુ પર જાણે કે એકરૂપ થઈ જાય છે.
'Highway' and 'Queen'

'થેલમા એન્ડ લુઈસ' નામની હોલિવૂડની અફલાતૂન ફિલ્મમાં શું છે? બે પાક્કી બહેનપણીઓ છે. થેલમા (જીના ડેવિસ) ભીરુ હાઉસવાઈફ છે. એનો વર એક નંબરનો જડભરત છે. લુઈસ (સુસન સેરેન્ડન) સ્વતંત્ર દિમાગની મજબૂત ઔરત છે. એક રેસ્ટોરાંમાં વેઈટ્રેસ તરીકે કામ કરે છે. એને પતિ નહીં, પણ એક બોયફ્રેન્ડ જરૂર છે.
બન્ને જણીઓ રોડ ટ્રિપ પર નીકળી પડે છે અને રસ્તામાં એક પછી એક અકલ્પ્ય અનુભવો થાય છે. શરૂઆત ક્લબના અંધારિયા પાર્કિંગ લોટથી થાય છે. થેલમાએ એક અજાણ્યા માણસ સાથે જરા હસી-બોલીને વાત કરી તો એણે સમજી લીધું કે આ બાઈ મને લાઇન આપી રહી છે. એ થેલમા પર રેપ કરવાની અણી પર આવી જાય છે. થેલમા રોકે છે તો પેલો જબરદસ્તી પર ઊતરીને એને લાફો મારી દે છે. ત્યાં લુઈસ આવી પહોંચે છે. એ ત્રાડ પાડે છેઃ "આંધળો છે તું? દેખાતું નથી તને? આ છોકરી રડી રહી છે, કરગરી રહી છે તોય તને લાગે છે કે એને મજા આવી રહી છે?" પેલો આદમી થેલમાને છોડી દે છે. બન્ને સ્ત્રીઓ બહાર નીકળવા પગ ઉપાડે છે ત્યાં જ પાછળથી પેલો ગંદી ગાળ બોલીને કંઈક ઘટિયા અને અપમાનજનક કોમેન્ટ કરે છે. લુઈસની કમાન છટકે છે. ક્રોધથી કાળઝાળ થઈને એ ગોળી મારી દે છે. પેલાના રામ રમી જાય છે.
પોલીસ પાછળ પડે છે ને પછી શરૂ થાય છે ઉંદર-બિલાડાની રમત. થેલમાને સમજાતું નથી કે પેલા માણસને જાનથી મારી નાખવાની શી જરૂર હતી? કેમ એની કોમેન્ટથી લુઈસ આટલી ભયાનક રીતે ભડકી ઊઠી? પ્લાનિંગ એવું છે કે કારમાં દક્ષિણ તરફ ભાગતા રહેવું અને અમેરિકાની બોર્ડર ક્રોસ કરીને મેક્સિકોમાં ઘૂસી જવું. આમ કરવા માટે ટેક્સાસમાંથી પસાર થવું પડે, પણ આ શહેરનું નામ પડતાં જ લુઈસ આતંકિત થઈ જાય છે. એ થેલમાને ચોખ્ખું કહે છેઃ "તું આના વિશે મને ક્યારેય કશુંય પૂછતી નહીં."
'Thelma and Louise'

ફિલ્મનો અંત દર્દનાક છે. પોલીસના હાથે પકડાઈ જવા કરતાં સ્ત્રીઓ કાર સહિત ખીણમાં કૂદી પડીને જીવ દઈ દેવાનું પસંદ કરે છે. અંતિમ ઘડીએ બન્નેની આંખોમાં ખુમારી છે. જીવન પોતાની રીતે જીવાયું કે ન જીવાયું, પણ મોત પર પોતાનો અંકુશ છે તે વાતનો સંતોષ છે.
'થેલમા એન્ડ લુઈસ'માં કેવળ એક્શન અને એડવેન્ચરની સપાટીની નીચે ઘણું બધું બનતું રહે છે. આ સ્ત્રીઓ શું કામ આ રીતે વર્તી રહી હતી? લુઈસનાં જીવનમાં એવું તે શું બની ગયું હતું? શું લુઈસ સાથે ભૂતકાળમાં કોઈ દર્દનાક ઘટના બની ચૂકી છે, જેનો સંબંધ ટેકસાસ સાથે હતો? 'હાઈવે'માં આલિયા ભટ્ટ બાળપણમાં થયેલી પોતાના જાતીય શોષણ વિશે લાંબા ડાયલોગ બોલે છે, પણ 'થેલમાં એન્ડ લુઈસ'માં ક્યારેય લુઈસ આ વિશે ફોડ પાડીને કશું જ કહેતી નથી. આ અસ્પષ્ટતા ફિલ્મને વધારે અર્થગંભીર, વધારે ખૂબસૂરત બનાવી દે છે.
કોણ કહે છે કે આ બધી ફેમિનિસ્ટ ફિલ્મો છે? આત્મસન્માન જાળવી રાખવાનો સંઘર્ષ, ગરિમા ટકાવી રાખવાની ખેવના, આઈડેન્ટિટી ક્રાઈસિસ, ખુદની નજરમાં સન્માનનીય બનવાની ઝંખના, વ્યકિતત્વને મૂરઝાવી નાખતી ગ્રંથિઓમાંથી બહાર આવવાનાં તરફડિયાં... આ બધી યુનિવર્સલ લાગણીઓ છે અને તે સ્ત્રી-પુરુષ બન્નેને એકસરખી લાગુ પડે છે.
હિન્દી સિનેમા પર પાછા આવીએ તો, બેક-ટુ-બેક આટલી સરસ ફિલ્મો આપીને બોલીવૂડે આપણને આનંદના આંચકા આપી રહ્યું છે. વેલ ડન, બોલિવૂડ!
0 0 0

Wednesday, March 26, 2014

ટેક ઓફ : નવું ઉમેરવા માટે જૂનું ખાલી કરવું પડે છે

Sandesh - Ardh Saptahik Purti - 26 March 2014

ટેક ઓફ 

"જિંદગીમાં મને ત્યારે જ કંઈક મળ્યું છેજ્યારે મેં કશુંક છોડયું હોય. આપણી પાસે છોડવા માટે હંમેશાં કશુંક હોય છેએવું કશુંક કે જેનાથી છેડો ફાડવાથી આપણે પોતાની જાતથી વધારે નિકટ આવી શકીએ."

જિંદગીમાં તમારે ખરેખર જે બનવું છે તે બનવા માટે અથવા તીવ્રતાથી જે કંઈ મેળવવા માગો છો તે મેળવવા માટે અત્યારે તમારી પાસે જે કંઈ છે તેમાંથી શું છોડી શકો તેમ છો?
એલિઝાબેથ ગિલ્બર્ટે આ પ્રશ્ન હમણાં સોશિયલ મીડિયા પર રમતો મૂક્યો હતો. એલિઝાબેથ ગિલ્બર્ટ એટલે 'ઇટ, પ્રે, લવ' અને 'ધ સિગ્નેચર ઓફ ઓલ થિંગ્સ' જેવાં પુસ્તકોની બેસ્ટસેલર અમેરિકન લેખિકા, જેના વિશે આપણે આ કોલમમાં અગાઉ વાત કરી ચૂક્યા છીએ. ઉપરનો સવાલ સાંભળવામાં ભલે સાદોસીધો લાગે, પણ તે એટલો ધારદાર છે કે વિચારોની કેટલીય બારીઓ ખૂલી જાય. આપણે અંદરખાને જાણતા હોઈએ છીએ કે આપણને ખરેખર શું જોઈએ છે, કેવી જિંદગી જીવવા માગીએ છીએ, કયા સંબંધો અને માહોલમાંથી છૂટવા માગીએ છીએ, શું ઉમેરીને જીવનને વધારે અર્થપૂર્ણ, વધારે સંતોષકારક બનાવવા ઇચ્છીએ છીએ. તકલીફ એ છે કે આના જવાબ ક્યારેક ઘીના દીવા જેવા સ્પષ્ટ હોય તોપણ આપણે બદલાવ લાવી શકતા નથી, કારણ કે સેટ થઈ ગયેલી રૂટિન જિંદગી ભલે પીડાદાયી હોય તોપણ તેમાં આપણે કમ્ફર્ટ અને સલામતી અનુભવતા હોઈએ છીએ. વાત આંતરિક રૂટિનની પણ છે. અમુક વાતોને આપણે સતત વિચાર્યા કરીએ છીએ, અમુક હાનિકારક લાગણીઓને એકધારા ઘૂંટયા કરીએ છીએ, અમુક નકારાત્મક ગ્રંથિઓને જળોની જેમ ચોંટયા રહીએ છીએ. ખબર હોય કે આ બધું નુકસાન કરે છે તોપણ આપણે એનાથી દૂર થઈ શકતા નથી.
"જિંદગીમાં મને ત્યારે જ કંઈક મળ્યું છે, જ્યારે મેં કશુંક છોડયું હોય." એલિઝાબેથ કહે છે, "આપણી પાસે છોડવા માટે હંમેશાં કશુંક હોય છે, એવું કશુંક કે જેનાથી છેડો ફાડવાથી આપણે પોતાની જાતથી વધારે નિકટ આવી શકીએ."
"સો વોટ આર યુ વિલિંગ ટુ ગિવ અપ, ઇન ઓર્ડર ટુ બિકમ હુ યુ રિઅલી નીડ ટુ બી?" એલિઝાબેથ ગિલ્બર્ટે આ પ્રશ્ન રમતો મૂક્યો અને પ્રતિભાવનું પૂર આવી ગયું.
એક મહિલાએ કહ્યું, "મારું લગ્નજીવન ખાડે ગયું હતું. મારું વ્યક્તિત્વ રૃંધાઈ ગયું હતું. આખરે દસ વર્ષે મારામાં હિંમત આવી ને મેં ડિવોર્સ લીધા. પતિની સાથે વૈભવી લાઇફસ્ટાઇલ પણ છોડવી પડી. મને એ વાતનો અફસોસ છે? જરાય નહીં. શરૂઆતમાં બહુ ડર હતો કે હવે શું થશે, કેવી રીતે એકલી આગળ વધીશ, પણ પછી જે શાંતિ મળી તેનો કોઈ મુકાબલો નથી. મને મારી ઓરિજિનલ પર્સનાલિટી પાછી મળી છે. મારી જિંદગીમાં નવું પ્રકરણ લખાઈ રહ્યું છે... એન્ડ આઈ એમ એક્સાઇટેડ!"

ઘણા વાચકોએ કહ્યું કે અમને જાત સાથે સતત નેગેટિવ વાતો કર્યા કરવાની જે આદત પડી ગઈ છે તે છોડી દઈશું. મોટી કંપનીમાં દરજ્જેદાર પોસ્ટ પર કામ કરી રહેલા પંચાવન વર્ષના એક મહાશયને મંદીને કારણે નોકરી છોડવી પડી. તેઓ એવા ભ્રમમાં હતા કે હું રહ્યો વર્ષોના એક્સપિરિયન્સવાળો સિનિયર આદમી, મને નવી જોબ મળતાં કેટલી વાર લાગવાની. એવું બન્યું નહીં. નોકરીઓ ઓફર થાય, પણ પોસ્ટમાં મજા ન હોય. બેકારી લંબાતી ગઈ. તેઓ કહે છે, "બસ, બહુ થયું. ઊતરતી પોસ્ટ પર હું કામ ન જ કરી શકું એવો જે ઈગો મારા મનમાં ઘર કરી ગયો છે તે મારે છોડી દેવો છે. કામ, કામ છે. મારે કમાવાનું છે, ઘર ચલાવવાનું છે. હું કોઈ પણ નોકરી સ્વીકારી લઈશ. અફકોર્સ, સાથે સાથે વધારે સારી જોબ માટે અરજીઓ કરવાનું ને ઇન્ટરવ્યૂ આપવાનું પણ ચાલુ રાખીશ. બેકારીનો સૌથી મોટો ફાયદો શું થયો, ખબર છે? છેલ્લી ઘડીઓ ગણી રહેલી મારી બીમાર મા સાથે રહેવાનો મને પુષ્કળ સમય મળ્યો. ઉપરવાળો હંમેશાં જાણતો હોય છે કે આપણને શાની જરૂર છે!"
એક મહિલાએ કહ્યું, "હું હંમેશાં ચિંતાતુર હોઉં છું કે મેં જે કામ હાથમાં લીધું છે તે કેવી રીતે પાર પડશે? બધું મેં ધાર્યું હોય તે જ રીતે પાર પડે તે માટે હું પરિસ્થિતિને કંટ્રોલમાં લેવાના ઉધામા કરતી હોઉં છું. મને લાગે છે કે માનસિક શાંતિ મેળવવા માટે સઘળું મારી ઇચ્છા પ્રમાણે જ થાય તેવા આગ્રહને છોડી દેવો પડશે."
"મેં મારો શાનદાર પલંગ છોડી દીધો!" એક યુવાન કહે છે, "મને પેઇન્ટિંગનો શોખ છે. બેડરૂમ ખાલી કરું તો જ એની જગ્યાએ આર્ટ સ્ટુડિયો બનાવી શકાય તેમ હતું. હું હવે હોલમાં નીચે પથારી પાથરીને સૂઈ જાઉં છું, બટ આઈ એમ હેપી! જે વસ્તુનું પેશન હોય તેને પોષવા માટે આટલું તો કરવું જ પડેને."
એકે કહ્યું, "મને સતત એવું થયા કરે છે કે મને જે કંઈ મળ્યું છે એને હું લાયક નથી. બસ, આ ગૂંગળાવી નાખતા ગિલ્ટમાંથી મારે બહાર આવી જવું છે. મારે મનમાં એક હકીકત ઠસાવી દેવી છે કે મેં જે કંઈ હાંસલ કર્યું છે તે મારી પાત્રતાને કારણે જ હાંસલ કર્યું છે."  

ઘણાં લોકોને દોસ્તારોનાં ટોળાં એકઠાં કરવાની ટેવ હોય છે. દોસ્તી વર્ષો પુરાણી હોય એટલે દમદાર જ હોય તે જરૂરી નથી. એક એક્ઝિક્યુટિવ કહે છે, "મારે નકામા મિત્રોને છોડી દેવા છે, એમની સાથે બહુ બધી યાદો સંકળાયેલી હોય, તો પણ. આઈ મીન,મારી સિદ્ધિ જોઈને ખુશ ન થઈ શકતા, મારી પ્રગતિ જોઈને બળતરા કરતા, મને ટોન્ટ મારતા, નીચું દેખાડવાની કોશિશ કરતા ફ્રેન્ડ્ઝ શું કામના? મને સમજાયું છે કે મિત્રોની ક્વોલિટી મહત્ત્વની છે, ક્વોન્ટિટી નહીં. મને પોઝિટિવ ફીલ કરાવે અને મારું ધ્યેય પાર પાડવામાં મદદ કરી શકે એવા મિત્રો સાથે જ હવેથી સંબંધ રાખવો છે."
"બીજા લોકો મારા માટે શું વિચારે છે, મને કેવી રીતે મૂલવે છે એની ચિંતા મારે છોડી દેવી છે. તો જ હું મારી જાત પ્રત્યે પ્રામાણિક રહીને, મારે જે રીતે જીવવું છે તે રીતે જીવી શકીશ," ઔર એક સજ્જન કહે છે આ પણ સાંભળો, "એક તબક્કે મારે પસંદગી કરવાની હતી કે ઓફિસમાં પ્રમોશન લેવું છે કે ખભે બેકપેક ચડાવીને હિપ્પીની જેમ દુનિયાભરના દેશોમાં રખડવું છે? હું ધારત તો જોબ સાચવીને થોડા દિવસોનું વેકેશન લઈ શક્યો હોત, પણ મેં બીજો વિકલ્પ પસંદ કર્યો. આ રીતે વર્લ્ડ-ટૂર કરવાનું અને એ રીતે મારી જાતની નજીક આવવાનું મારું વર્ષો જૂનું સપનું હતું."
એક વ્યક્તિએ સરસ વાત કરી, "મને બીજાઓનાં દુખડા દૂર કરવાના બહુ ધખારા છે. મને સતત થયા કરે કે સામેનો માણસ હર્ટ થવો ન જોઈએ, મારે એના ઘા પર મલમ લગાડવું જ જોઈએ, પણ હવે મને આ ચેષ્ટાની નિરર્થકતા સમજાય છે. સૌએ પોતપોતાના હિસ્સાની પીડા ભોગવવી જ પડે છે. મેં ખુદ ભોગવી છે. આ એક પ્રક્રિયા છે, એમાંથી પાસ થવું જ પડે. એટલે મારે હવે કોઈને ડિસ્ટર્બ કર્યા વગર આ પ્રક્રિયામાંથી પસાર થવા દેવા છે."
સરસ-સરસ જવાબો મળતા ગયા. મારી અંદર એક ક્રિટિક બેઠો છે જે કાયમ ન્યાયાધીશ બનીને મારો ચુકાદો તોળતો રહે છે, મારી ટીકા કર્યા કરે છે. હું આ ઇનર ક્રિટિકને કાઢી મૂકીશ... મને જગ્યાઓનું બહુ વળગણ છે - મારું ઘર, મારી ઓફિસ, મારું ગામ - હું આ વળગણમાંથી મુક્ત થઈશ.... હું મારા ચિંતાખોર સ્વભાવને છોડી દઈશ, કારણ કે ઉપરવાળો બેઠો જ છે મારી ચિંતા કરવા માટે... માત્ર સેક્સ માટે બંધાયેલા સંબંધોને છોડી દઈશ, કારણ કે આવી રિલેશનશિપમાં ક્યારેય દમ હોતો નથી... બધાંએ મને અન્યાય કર્યો છે, બધાં મારો લાભ લઈ ગયા છે જેવી ફાલતુ લાગણી હું છોડી દેવાની છું... હું બધી વાતમાં પરફેક્ટ જ હોઉં એવો દુરાગ્રહ છોડી દેવો છે.... હું ઓથોરિટી છોડી દઈશ, બધી વસ્તુમાં મારું જ ચાલે, બધાં હું કહું એમ જ કરે એવો આગ્રહ છોડી દઈશ.... હું સમાજની અપેક્ષાઓને વધારે પડતું મહત્ત્વ આપવાનું છોડી દઈશ.... મને ગૂંગળાવી નાખતા સત્ત્વહીન સંબંધોને ત્યજી દઈશ.... ડર અને ક્રોધ આ બે વસ્તુમાંથી આઝાદ થઈ જઈશ.
આપણાં સૌના વ્યક્તિત્વનો એક કુદરતી લય હોય છે, એક સ્વાભાવિક પ્રવાહ હોય છે. આ પ્રવાહને જેટલા વધારે વફાદાર રહી શકીશું એટલા વધારે હળવાફુલ થઈને જીવી શકીશું. જેટલા દૂર જઈશું એટલા વધારે દુઃખી થઈશું. નવું ઉમેરવા માટે જૂનું ખાલી કરવું પડે છે. ઓથેન્ટિક જિંદગી જીવવા માટે આપણા નેચરલ ફ્લોમાં અંતરાયરૂપ બનતી વસ્તુ-સંબંધો-પરિસ્થિતિઓને ઓળખી તેને હિંમતપૂર્વક છોડતા જવું પડે છે. તો હવે તમે કહો, તમે શું શું ત્યજી શકો તેમ છો?
0 0 0 

Tuesday, March 25, 2014

મલ્ટિપ્લેક્સ: ટીવીનો સૌથી ઉદ્ધત માણસ કોણ?


Sandesh - Sanskaar - 23 March 2014
મલ્ટિપ્લેક્સ
'રોડીઝશોથી પોપ્યુલર બનેલા રઘુ રામની છાપ આજે સોફિસ્ટીકેટેડ ભારાડી માણસની છે. કન્ટેસ્ટન્ટ્સ છેક શો પૂરો થાય ત્યાં સુધી એનાથી ફફડતા રહે છે. સ્કૂલના જમાનામાં એ માયકાંગલા હતા અને બીજાઓનો માર ખાધા કરતાપણ આજે રઘુની આક્રમકતા જોઈને અર્ણબ ગોસ્વામી પણ બે-ચાર ટિપ્સ લઈ શકે તેમ છે!


એમટીવીનો પોપ્યુલર શો 'રોડીઝ' જેના વગર કલ્પી શકાતો નથી તે રઘુ રામ માટે વપરાતું આ વિશેષણ છે. ટકલુ. કરડી આંખો. ભડકી ઊઠતો ગુસ્સો. સામે બેઠેલો કન્ટેસ્ટન્ટ તુચ્છ મગતરું હોય તેવો એટિટયુડ. આ રઘુની ઇમેજ છે. 'રોડીઝ'ની હાલ અગિયારમી સીઝન ચાલે છે. શો હજુ પ્રોડયુસરોના મનમાં આકાર લઈ રહ્યો હતો ત્યારથી રઘુ તેની સાથે સંકળાયેલા છે. યંગસ્ટર્સમાં 'રોડીઝ'નો ભારે ક્રેઝ છે. સીઝન શરૃ થવાની હોય ત્યારે મુંબઈ, દિલ્હી, પુના, ચંડીગઢ વગેરે શહેરોમાં એનાં ઓડિશન્સ લેવાય. આખા દેશમાંથી ગાંડાની જેમ અઢારથી પચીસ વર્ષનાં છોકરા-છોકરીઓ ઊમટી પડે. સૌથી પહેલાં પોતાનો પરિચય આપતું એક ફોર્મ ભરવું પડે. પછી વીસ-પચીસ યંગસ્ટર્સની ટુકડીઓ પાડીને એમની વચ્ચે જુદા જુદા વિષયો પર હો-હો ને દેકારા વચ્ચે ગ્રુપ ડિસ્કશન થાય (શું અપરાધીઓનું દિમાગ શાંત રહે તે માટે છોકરીઓ અંગપ્રદર્શન કરતાં કપડાં ન પહેરવાં જોઈએ? લિવ-ઇન રિલેશનશિપ સારી કે ન સારી?). આમાંથી સારું પરફોર્મ કરનારાઓને અલગ તારવીને પર્સનલ ઈન્ટરવ્યૂ માટે મોકલવામાં આવે. રઘુ સાચા અર્થમાં હવે રાજાપાઠમાં આવે.
કમરામાં એક બાજુ ટેબલ-ખુરસી પર રઘુ, એમની ડિજિટલ કોપી જેવો દેખાતો જોડિયો ભાઈ રાજીવ અને વીજે રણવિજય બિરાજમાન હોય. સામે હલાલ થવા આવેલા બકરાની જેમ કન્ટેસ્ટન્ટ બેઠો (યા બેઠી) હોય. પછી શરૃ થાય સાયકોલોજિકલ મલ્લયુદ્ધ. ત્રણેય નિર્ણાયકોમાંથી ખાસ કરીને રઘુ કન્ટેસ્ટન્ટ પર એવા પ્રશ્નો, પ્રતિપ્રશ્નો, કોમેન્ટ્સ, ક્રોધ અને ઈવન ગાળોનો વરસાદ વરસે કે પેલો હાંકોબાંકો થઈ જાય, ગેંગેંફેંફેં થવા માંડે, ભડકી ઊઠે, રડી પડે, તૂટી જાય, એની બધી હોશિયારી હવાઈ જાય...અને આ જ પ્રતિક્રિયાઓમાંથી એનું અસલી વ્યકિતત્વ પણ છતું થતું જાય. એનામાં કેવોક દમ છે તે સ્પષ્ટ થવા માંડે. રોડ જર્ની દરમિયાન જે અત્યંત કઠિન ટાસ્કમાંથી ક્રમશઃ પસાર થવાનું છે, તે માટેની કાબેલિયત તેનામાં છે કે નહીં તેનો અંદાજ આવતો જાય.
Raghu, Ranvijay and Rajiv 


આ પાવર-પેકડ ઈન્ટરવ્યૂ રાઉન્ડ્સ 'રોડીઝ'ની જાન છે. ખરેખરી રોડ જર્ની કરતાંય બંધ કમરામાં લેવાતાં આ ઈન્ટરવ્યૂ જોવાની અનેકગણી વધારે મજા આવે છે, તેનું મુખ્ય કારણ રઘુ છે. એની આક્રમકતા એવી છે કે અર્ણબ ગોસ્વામી પણ બે-ચાર ટિપ્સ લઈ શકે! (એ વાત અલગ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીની નેતા શાઝિયા ઈલ્મીનો પ્રચાર કરતી વખતે રઘુ 'રોડીઝ'ના તેવરમાં આવીને ટોચના કોંગ્રેસી નેતા માટે 'હરામી' જેવો અપશબ્દ વાપરી બેઠા હતા. જોકે, ભુલ સમજાતાં રઘુ-શાઝિયા બન્નેએ તરત માફી પણ માગી લીધી હતી.)

રઘુએ તાજેતરમાં એક અંગ્રેજી પુસ્તક બહાર પાડયું છે- 'રિઅરવ્યૂ : માય રોડીઝ જર્ની'. ૩૮-૩૯ વર્ષની ઉંમર આત્મકથનાત્મક પુસ્તક લખવા માટે આમ તો નાની કહેવાય, પણ પુસ્તક 'રોડીઝ'ના, ખાસ તો રઘુના ચાહકોને મજા પડે તેવું બન્યું છે. 'રોડીઝ' શોનું મૂળ ફોર્મેટ એવું હતું કે સાત સ્પધર્કો બાઇક પર એકસાથે નીકળી પડે અને રસ્તામાં એમને જાતજાતના અનુભવો થાય. શોનું ટાઈટલ 'સાત-સાથ' રાખવામાં આવ્યું હતું. રઘુને આ ટાઇટલ સહેજે નહોતું ગમતું. 'સાત-સાથ' એટલે શું વળી? આ કંઈ કરણ જોહરની ફિલ્મ થોડી છે? આખરે શોનાં કામચલાઉ ટાઇટલ 'રોડીઝ'ને ફાયનલાઇઝ કરવામાં આવ્યું.
સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલનાં વર્ષોમાં આપણને એક વાત સમજાઈ જતી હોય છે કે ભલે માણસ ગમે તેટલો સુસંસ્કૃત અને શિક્ષિત બને, પણ આખરે તો એ 'પ્રાણી' છે. અમુક પરિસ્થિતિઓમાં બુદ્ધિ, સંસ્કાર, સ્વભાવ, બેકગ્રાઉન્ડ કશું જ કામ આવતું નથી, કામ આવે છે કેવળ શારીરિક તાકાત, ખુદને બચાવવા માટે સામેવાળા પર શારીરિક પ્રહાર કરી શકવાની ક્ષમતા. રઘુની છાપ આજે ભારાડી માણસ તરીકેની છે, 'રોડીઝ'ના કન્ટેસ્ટન્ટ્સ છેક શો પૂરો થાય ત્યાં સુધી એનાથી ફફડતા રહે છે, પણ એ દિલ્હીમાં સ્કૂલના ભણતર વખતે હકીકત ઊલટી હતી. નવમા ધોરણમાં આવ્યા ત્યાં સુધી જોડિયા ભાઈઓનો અવાજ 'ક્રેક' થયો નહોતો. દાઢીમૂછના વાળ પણ બીજા છોકરાઓની સરખામણીમાં મોડા ઊગ્યા. સિનિયર છોકરાઓ સતત આ દુબળાપાતળા જંતુડાને દબાવ્યા કરે. કારણ વગર મારતા રહે. બધી સ્કૂલોમાં આવા દાદા ટાઇપના છોકરાઓ હોય છે.

માર પડે ત્યારે ફકત શરીર પર નહીં, આત્મસન્માન પર પણ ઘા થતો હોય છે. એક દિવસ રઘુએ વિચારી લીધું: ઇનફ ઇઝ ઇનફ. હવે હું વધારે માર નહીં ખાઉં. બીજા દિવસે રિસેસમાં આદત મુજબ પેલા મવાલી છોકરાઓએ વાયડાઈ શરૃ કરી. રઘુને કારણ વગર ધક્કે ચડાવ્યો, એક-બે લાફા ઠોકી દીધા, પેટમાં ઘુસ્તા માર્યા. આસપાસ ઊભેલા બીજા છોકરાઓ હસવા લાગ્યા. ટીનેજર રઘુ આજે સમસમીને ચૂપ ન રહ્યો. એણે પોતાનો સાંઠીકડા જેવો હાથ ઊગામ્યો અને પેલા છોકરાને સામી ઝીંકી દીધી. છોકરો ચમકી ગયો. આ મચ્છરે મને માર્યું? એ રઘુ પર તૂટી પડયો. રઘુ પણ પોતાનાથી થાય એવો પ્રતિકાર કરતો રહ્યો. બાહુબળના મામલામાં બન્ને વચ્ચે કોઈ તુલના જ નહોતી, રઘુના મુક્કા કદાચ પેલાના શરીર પર બરાબર પડતા પણ નહોતા. તે દિવસે રઘુને ઊલટાનો રોજ કરતાં વધારે માર પડયો, પણ રઘુ માટે તે વાત મહત્ત્વની નહોતી. એના માટે મોટી વાત આ હતીઃ આજે હું લડયો, મેં ચુપચાપ સહન ન કર્યું, મેં સામનો કર્યો!
"તે ઘટના પછી પણ મારું માર ખાવાનું કંઈ બંધ નહોતું થયું," રઘુ કહે છે, "મને ધીબેડવાનો કાર્યક્રમ ચાલુ જ રહ્યો, સ્કૂલે જવાના વિચાર માત્રથી મને ત્રાસ થતો, પણ આજે ટીવી પર લોકો જે આક્રમક રઘુને જુએ છે એનો જન્મ પેલી દસ મિનિટમાં થયો. પછી તો ખેર ઘણું બન્યું. મારા અને રાજીવ જેવા માયકાંગલા છોકરાઓએ ગેંગ બનાવી. અમે બધા ભેગાભેગા જ ફરતા એટલે પરિસ્થિતિ જરા સુધરી. પછી સ્કૂલ બદલી. અમારો દેખાવ પુરુષ જેવો થવા લાગ્યો. આત્મસન્માનનું સ્તર ઊંચકાયું. વ્યકિતત્વમાં સેલ્ફ-ડિફેન્સ માટે જરૃરી હોય એવી કરડાકી આવતી ગઈ. કહેવાનો મુદ્દો એ છે કે મવાલીઓને ઉપદેશ આપવા ન બેસાય. એમના પર હાથ જ ઉગામવો પડે. એ આપણા કરતાં વધારે જોરાવર હોય તોપણ. એને સ્પષ્ટ સંદેશો મળી જવો જોઈએ કે જો હું એક ઘુસ્તો મારીશ તો સામે બે ઘુસ્તા ખાવા પડશે. એક વાર એને આ સમજાઈ જશે એટલે હાથ ઉગામતા પહેલાં બે વાર વિચાર કરશે. અલબત્ત, આ બધામાં આપણને ખુદને ખૂબ માર ખાવો પડશે, ઉઝરડા પડશે, દાંત તૂટશે, લોહી નીકળશે, પણ કમ સે કમ ખુદની નજરમાંથી નીચા નહીં પડીએ."
'રોડીઝ'માં કન્ટેસ્ટન્ટ્સ સામે એક સવાલ સતત ઊભો થતો રહે છેઃ વિનિંગ ઓર રિસ્પેકટ? જુઠું બોલીને, છળકપટ અને દગાબાજી કરીનેય ટાસ્ક જીતવી છે? કે પછી, બીજાઓની અને ખુદની નજરમાં સન્માનનીય બનવું છે? શોના બંધારણમાં આ જે છટા ઊપસી છે એનાં મૂળિયાં પણ કદાચ રઘુની તરુણાવસ્થાના અનુભવોમાં દટાયેલા છે.
અગિયારમી સીઝન સુધી પહોંચી ગયેલો આ શો જે રીતે આકાર લઈ રહ્યો છે, એમાં ભાગ લઈ ચૂકેલા યંગસ્ટર્સને જે રીતે મિની-સિલિબ્રિટી સ્ટેટસ મળે છે, જે રીતે એમાંના કેટલાયની કરીઅર બની ગઈ છે તે જોતાં 'રોડીઝ'નું આયુષ્ય ઘણું લાંબુ હોવાનું.
શો-સ્ટોપર

મહિલાપ્રધાન ફિલ્મો કરવાની બહુ મજા આવે. સેટ પર તમારું નામ લખેલી સ્પેશિયલ ખુરશી હોય. મલ્ટિસ્ટારર ફિલ્મોમાં આવી આળપંપાળ ન થાય.
- કંગન રનૌત

Wednesday, March 19, 2014

ટેક ઓફ: લતા કરતાં બહેતર ગાવું, સચિન કરતાં બહેતર રમવું

Sandesh - Ardh Saptahik Purti - 19 March 2014

ટેક ઓફ 
કોઈ પણ ક્ષેત્રમાં આપણને ચકિત કરી દેભયંકર હદે પ્રભાવિત કરી નાખે એવા બાપ-માણસો ભૂતકાળમાં પેદા થયેલા હોવાના જ. તેનો અર્થ એવો નથી કે એમના કરતાં સવાયા થઈ શકવાની તાકાત કે જડબેસલાક ગેરંટી હોય તો જ જે-તે ક્ષેત્રમાં પગલું માંડવાનું.



ધારો કે કોઈ હોંશીલા યુવાનને બિઝનેસમેન બનવું છે, પણ ધીરુભાઈ અંબાણીની જીવનકથા વાંચીને એ વિચારે કે બોસ,ધીરુભાઈએ જે સિદ્ધિઓ મેળવી છે તે હું આ લાઇફમાં કોઈ રીતે હાંસલ કરી શકું તેમ નથી. આમ વિચારીને એ બિઝનેસમેન બનવાનું માંડી વાળે તો? કોઈને ગાયિકા બનવું છે, પણ લતા મંગેશકરનાં ગીતો સાંભળીને એ વિચારવા માંડે કે લતાબાઈ ઓલરેડી આટલાં અદ્ભુત ગીતો ગાઈ ચૂકી છે તો પછી હું હવે સિંગર બનીને શું કાંદા કાઢી લેવાની છું, તો? હિન્દી સિનેમામાં દિલીપ કુમાર કે અમિતાભ બચ્ચન જેવા અભિનયના બેતાજ બાદશાહ થઈ ગયા એટલે શું તેમના પછી કોઈએ એક્ટિંગ કરવાની જ નહીં?ખબર હોય કે ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, સુરેશ જોશી, ચંદ્રકાંત બક્ષી જેવું લખવાનું આપણું ગજું નથી, તો શું એમના સમકાલીનોએ કે પછીની પેઢીઓમાંથી કોઈએ કલમ ઉપાડવાની જ નહીં? સચિન તેંડુલકર નામનો ક્રિકેટનો દેવતા થઈ ગયો એટલે શું એના કરતાં વધારે ટેલેન્ટ હોય તો જ હાથમાં બેટ પકડવાની હિંમત કરવાની?
હિંમત કરવાની, જરૃર કરવાની. હાથમાં બેટ લેવાનું, કલમ પકડવાની અને પછી પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરવાના. ધીરુભાઈ જે કરી ગયા તે કરી ગયા. જો આપણે બિઝનેસમેન બનવાનું સપનું જોયું હોય તે સાકાર કરવા બનતી મહેનત કરવાની. ગાવાનું પેશન અને પ્રતિભા હોય તો સારા સિંગર બનવા માટે જીવ લગાવી દેવાનો. એવું જ એક્ટિંગનું. કોઈ પણ ક્ષેત્રમાં આપણને ચકિત કરી દે, ભયંકર હદે પ્રભાવિત કરી નાખે એવા બાપ-માણસો ભૂતકાળમાં પેદા થયેલા હોવાના જ. તેનો અર્થ એવો નથી કે એમના કરતાં સવાયા થઈ શકવાની તાકાત કે જડબેસલાક ગેરંટી હોય તો જ જે-તે ક્ષેત્રમાં પગલું માંડવાનું.

Atul Dodiya

આ સંદર્ભમાં ભારતના ઉત્તમ કન્ટેમ્પરરી ચિત્રકારોમાં અધિકારપૂર્વક સ્થાન પામતા અતુલ ડોડિયાનો એક અનુભવ જાણવા જેવો છે. દસ વર્ષની ઉંમરે તેમણે નક્કી કરી નાખ્યું હતું કે મોટા થઈને આપણે ચિત્રકાર બનવું છે. મહાન સ્પેનિશ ચિત્રકાર પાબ્લો પિકાસો એમના હીરો. છાપાંમાં એમના વિશે જે કંઈ છપાતું તે બધું જ કાપીને સાચવી રાખે. પિકાસોનાં ચિત્રની તસવીરવાળાં 'ટાઇમ'મેગેઝિનના અંકો શોધવા રદ્દીવાળાને ત્યાં ફેંદાફેંદ કરી મૂકે. ૧૯૭૩માં પિકાસોના મૃત્યુ થયું તે વખતના સમાચારનું કટિંગ પણ એમણે સાચવી રાખેલું. તે વખતે અતુલ ડોડિયા તેર વર્ષના હતા.
રણજિત હોસકોટે અને નેન્સી અડજાણિયાએ 'ધ ડાયલોગ સિરીઝ' હેઠળ ભારતના કેટલાક ઉત્તમ ચિત્રકારો સાથે થયેલા પ્રલંબ સંવાદોને પુસ્તકકારે પ્રગટ કર્યા છે. પેઇન્ટિંગ અને આર્ટમાં રસ ધરાવનારાઓએ આ શૃંખલા ખાસ વાંચવી જોઈએ. રણજિત હોસકોટેએ તાજેતરમાં 'અતુલ ડોડિયા' નામનું બધા અર્થમાં કીમતી પુસ્તક પણ એડિટ કર્યું છે. ડાયલોગ સિરીઝની અફલાતૂન પુસ્તિકામાં અતુલ ડોડિયા કહે છે, "આપણે નાનપણથી જાણતા હોઈએ છીએ કે ઓરિજિનલ 'મોનાલિસા' ચિત્ર પેરિસમાં છે. નાનો હતો ત્યારે મારે પેઇન્ટર બનવું છે એવું બોલતો ત્યારે મુંબઈની અમારી ઘાટકોપરની ચાલમાં રહેતા લોકો તરત કહેતા, "તારે પેરિસ જવું જોઈએ, પેરિસ કલાકારોનું સ્વર્ગ છે." 'મોનાલિસા'ને કારણે તેઓ લિઓનાર્ડોને ઓળખતા. તેમણે વેન ગોગનું નામ સાંભળેલું. તેઓ પિકાસોના નામથી પણ પરિચિત હતા, કારણ કે આ બધાં ફેમસ ચિત્રકારો હતા. એ દિવસોમાં અમારા મનમાં એવી જ છાપ હતી કે ચિત્રકલા તો બસ, યુરોપની જ."
Pablo Picasso


વૈચારિક સ્પષ્ટતા કિશોર વયમાં જ આવી ગઈ હતી એટલે મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન લઈને અતુલ ડોડિયા પદ્ધતિસર ચિત્રકળા શીખ્યા. ૩૧ વર્ષની ઉંમરે ફ્રાન્સ સરકારની સ્કોલરશિપ મળી. ચિત્રકાર પત્ની અંજુ ડોડિયા સાથે એક વર્ષ પેરિસમાં રહેવાના યોગ ઊભા થયા. પેરિસના પિકાસો મ્યુઝિયમની નજીકમાં જ એમનું રહેઠાણ. અસલી માસ્ટરપીસને પ્રત્યક્ષ જોવાની તક ઓછા લોકોને મળતી હોય છે. મોટેભાગે આપણે પુસ્તકમાં કે છાપાં, મેગેઝિન, ફિલ્મોમાં વિખ્યાત ચિત્રકૃતિઓની ઇમેજીસ જોઈ હોય છે. પ્રતિકૃતિ જોવી એક વાત છે અને ઓરિજિનલ માસ્ટરપીસ જોવો તદ્દન જુદી અનુભૂતિ છે. જેમના વિશે નાનપણથી પાર વગરનું કુતૂહલ અને આકર્ષણ હતું, જેમને નાનપણથી પોતાના હીરો ગણ્યા હતા એ પિકાસોનાં અસલી ચિત્રો પેરિસની આર્ટ ગેલેરીમાં જોઈને અતુલ ડોડિયા ચકિત ન થાય તો જ આશ્ચર્ય. પેરિસમાં ગાળેલા તે એક વર્ષ દરમિયાન પિકાસોને ખૂબ માણ્યો એમણે. અન્ય માસ્ટર્સનું કામ તેમજ શૈલી પણ નજીકથી નિહાળ્યાં. અતુલ ડોડિયા માટે તે એક વર્ષ આત્યંતિક અનુભૂતિઓનું વર્ષ બની રહ્યું. ક્યારેક નિર્ભેળ આનંદનો પારાવાર છલકાય તો ક્યારેક તીવ્ર ઉદાસીનો અનુભવ થાય.
 અતુલ ડોડિયા કહે છે, "પેરિસમાં યુરોપિયન માસ્ટર્સ અને મારા સમકાલીનોનું કામ જોઈને હું એક વાત સમજ્યો કે કલાકાર તરીકે તેઓ નીડર છે. ભારતના મારા સિનિયરો કરતાં આ લોકો બહુ જુદા હતા. તેઓ ખુદની નિશ્ચિત શૈલી ઊભી કરતા હતા અને પછી એને ક્રમશઃ વિકસાવતા જતા હતા."

Grace, one of Dodiya’s famous shutter paintings 
પેરિસવાસ દરમિયાન અતુલ ડોડિયા કળાની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ બન્યા, પણ સાથે સાથે નિર્ભ્રાન્ત પણ થતા ગયા. નિર્ભ્રાન્તિ પોતાની જાત વિશેની, પોતાની દિશા વિશેની. તેમને થાય કે માસ્ટરો ઓલરેડી આટલું ઉત્તમ કામ કરી ગયા છે, હવે હું શું નવું કરવાનો? શું મહત્ત્વપૂર્ણ કહી શકાય એવું કરી શકવાનો? એમનું ચિત્રકામ લગભગ બંધ થઈ ગયું. ધુમ્મસ જેવો આ તબક્કો લગભગ ત્રણ વર્ષ સુધી ખેંચાયો. ક્રમશઃ નવેસરથી સ્પષ્ટતા આવવા માંડી.

Grace part 2;  the artwork on display when the shutter opens

"મારાં ચિત્રો વિશે બીજા ચિત્રકારો શું કહેશે, મારા દોસ્તોની પ્રતિક્રિયા કેવી આવશે વગેરે પ્રકારની સભાનતા ઓગળવા માંડી." અતુલ ડોડિયા કહે છે, "અલબત્ત, આ સૌનો પ્રતિભાવ ખૂબ મહત્ત્વનો હોય જ, પણ મને સમજાઈ ગયું હતું કે મારે ડર્યા વિના,કોઈને શું લાગશે તેના વિશે ઝાઝું વિચાર્યા વિના, મુક્ત રીતે વ્યક્ત થવાનું હોય. નવા અનુભવો, નવી અભિવ્યક્તિઓ માટે મેં મારી જાતને ખોલી નાખી. હવે મને નવા નવા વિષયો સ્પર્શવા લાગ્યા. મારાં ચિત્રોમાં 'રિશફલ્ડ રિઅલિઝમ' ઊપસવા માંડયું. અલબત્ત, મેં ફિગરેટિવ શૈલી ક્યારેય સંપૂર્ણપણે ત્યજી નહીં. એટલે મારું પેઇન્ટિંગ ક્યારેક ર્હોિડગ સ્ટાઇલનું હોય તો ક્યારેક ફિલ્મના પોસ્ટર સ્ટાઇલનું હોય. ચિત્રના વિષય અનુસાર એપ્રોચ બદલાતો રહે."
પેરિસના નિવાસ દરમિયાન એમને એ પણ સમજાયું હતું કે ચિત્રની જરૃરિયાત પ્રમાણે તેઓ રિઅલિઝમ પણ સરસ રીતે હેન્ડલ કરી શકે છે અને જો એબ્સ્ટ્રેક્શન તરફ જવું પડે તો તે પણ કરી શકે છે. ટૂંકમાં, એમણે કોઈ સીમાડામાં પુરાઈ રહેવાની જરૃર નહોતી. જુદી જુદી સ્ટાઇલ અને જોનર આ જ અભિગમમાંથી પ્રગટયાં. જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણતા હતા તે વર્ષોમાં વિખ્યાત પેઇન્ટર તૈયબ મહેતાએ કહેલું કે એમની પેઢીના ચિત્રકારોને અલગ અલગ ઘણું કરવાનું મન થતું, પણ તે વખતે સર્વસ્વીકૃત ખ્યાલ એવો હતો કે એ બધી ફીલિંગ્સ આર્ટ તરીકે વ્યક્ત ન થઈ શકે. અતુલ ડોડિયાએ તે જડ થઈ ગયેલી પૂર્વધારણાઓમાંથી બહાર આવીને મુક્ત વિહાર કરવાનું શરૃ કર્યું.

Cover page of Ranjit Hoskote's book 

"હું કોઈ એક જ શૈલી પકડીને કામ કરતો નથી." તેઓ કહે છે, "મારાં ચિત્રોમાં ને શૈલીમાં ઘણાં ડ્રામેટિક શિફ્ટ આવ્યા છે. મેં જે વિષય પસંદ કર્યો હોય તેને શી રીતે ન્યાય આપવો, ધારી અસર શી રીતે ઉપજાવવી, ચિત્રમાં ઇમેજ અને ટેક્સ્ટનો ચોક્કસ ફ્લો કઈ રીતે પેદા કરવો, કઈ ઇમેજીસનો સમાવેશ કરવો - આ બધી પડકારરૃપ બાબતો હોય છે."
જેમને પોતાના હીરો માન્યા હોય તે વ્યક્તિનો પ્રભાવ કલાકારનાં કામ પર પડયા વગર રહેતો નથી. તેમાં કશું ખોટું પણ નથી, પણ હા, આ પ્રભાવમાંથી ધીમે ધીમે બહાર આવી જવાનું હોય. ખુદની શૈલી, આગવી ઓળખ ઊભાં કરવાનાં હોય. અતુલ ડોડિયા તે અસરકારક રીતે કરી શક્યા.
 "પિકાસોમાંથી હું જુદી જુદી ચિત્રશૈલીઓ પ્રત્યેનું ખુલ્લાપણું શીખ્યો છું," અતુલ ડોડિયા કહે છે, "મને ખુદનેય ખબર નહોતી કે મારાં પંદર ચિત્રો પર પિકાસોની સીધી અસર યા તો સંદર્ભ છે. માઇકલ ફિટ્ઝગેરાલ્ડ નામના ક્યુરેટરે ધ્યાન દોર્યું ત્યારે મને આ વાતની ખબર પડી હતી."
સમકાલીન કલાજગત પર પિકાસોનો કેવો પ્રભાવ પડયો છે? બાર્સેલોનામાં આ મહિને એક આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનનું ઓપનિંગ થયું છે. જૂનના અંત સુધી ચાલનારા આ એક્ઝિબિશનનું નામ છે, 'પોસ્ટ-પિકાસોઃ કન્ટેમ્પરરી રિએક્શન્સ.' જેમનાં ચિત્રો પર પિકાસોની અસર ઝિલાઈ હોય એવા દુનિયાભરના ૪૨ ચિત્રકારોને પસંદ કરવામાં આવ્યા છે. આમાંથી બે ભારતીય છે - એક,જેમને ઘણી વાર 'ભારતના પિકાસો' તરીકે નવાજવામાં આવ્યા છે એ જન્નતનશીન એમ.એફ. હુસેન અને બીજા, અતુલ ડોડિયા. અતુલ ડોડિયાનાં ત્રણ ચિત્રો એક્ઝિબિશનમાં મુકાયાં છે.


જેમનાથી પ્રભાવિત થયા હોઈએ તે માસ્ટર માણસ પ્રત્યેનો આદર જિંદગીમાં ક્યારેય ઓછો થતો નથી. પ્રભાવ ઓસરી ગયા પછી પણ નહીં. અતુલ ડોડિયાની આ વાત સૌએ યાદ રાખવા જેવી છે, "લિજેન્ડ્સ પાસેથી શીખવાનું હોય, એમની પાસેથી પ્રેરણા લેવાની હોય. એમના કરતાં બહેતર બનવાની વાત જ અપ્રસ્તુત છે."
                                                            0 0 0 

Friday, March 14, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ: 64: ‘ધ એક્સોર્ઝિસ્ટ’

Mumbai Samachar - Matinee Purty - 14 March 2014 

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ફિલ્મ 64: ‘ધ એક્સોર્ઝિસ્ટ’ : જાન હથેલી પે

ચાલીસ વર્ષ પહેલાં ‘ધ એકઝોર્સિસ્ટ’ રિલીઝ થઈ ત્યારે કોઈએ કલ્પના કરી નહોતી કે કોઈ ફિલ્મ આટલો જબરદસ્ત ખોફ પેદા કરી શકે. બેસ્ટ પિકચર માટે કોઈ હોરર ફિલ્મને ઓસ્કર નોમિનેશન મળ્યું હોય તેવું ‘ધ એક્ઝોર્સિસ્ટ’ના કેસમાં પહેલી વાર બન્યું. તમે ભૂતપ્રેતમાં માનતા હો કે ન માનતા હો, આ ફિલ્મ અચુક માણવા જેવી છે. 



લાંબી પ્રસ્તાવના બાંધ્યા વગર સીધા હાંજા ગગડાવી દેતી આ સુપર હોરર ફિલ્મની કથાવસ્તુ પર આવી જઈએ.

ફિલ્મમાં શું છે?

ક્રિસ મેકનીલ (એલેન બ્લેર) નામની એક અભિનેત્રી પોતાની બાર વર્ષની મીઠડી દીકરી રેગન (લિન્ડા બ્લેર) સાથે મોજથી રહે છે. રાધર, રહેતી હતી. ઢગલાબંધ અમેરિકન ફિલ્મોની માફક અહીં પણ મુખ્ય પાત્ર એટલે કે ક્રિસ સિંગલ પેરેન્ટ છે. ઘરમાં ક્રિસની પર્સનલ આસિસ્ટન્ટ અને બે હાઉસકીપરનો આવરોજાવરો છે. અચાનક એક દિવસ ઘરનાં માળિયામાંથી વિચિત્ર અવાજો આવવા લાગે છે. ક્રિસને એમ કે, હશે કંઈ ઉંદર-બુંદર. ધીમે ધીમે દીકરી રેગનનું વર્તન બદલાવા માંડે છે. એક દિવસ રાત્રે મમ્મીને ઉઠાડીને કહે છે, મોમ, મારો પલંગ ધ્રૂજે છે. એ અદશ્ય આત્માઓ સાથે એકલી એકલી વાતો કરે છે. માટીમાંથી ઘાટઘૂટ વગરના પ્રાણીઓની મૂર્તિઓ બનાવે છે.

એક દિવસ ક્રિસ ઘરે ગોઠવાયેલી પાર્ટીમાં રેગન ગુડ ગર્લની જેમ મહેમાનો સાથે હળેમળે છે. મોડું થાય છે સૂવા માટે પોતાના રુમમાં જાય તો છે, પણ થોડી વારમાં પાછી બહાર આવીને મહેમાનોની સામે હૉલમાં પેશાબ કરે છે. આટલું ઓછું હોય તેમ પુરુષ જેવો અવાજ કાઢીને એક મહેમાનને કહે છે: તું હવે મરવાનો છે! મહેમાનોએ વિદાય લીધા પછી ક્રિસ એને નવડાવીને સૂવડાવે છે. થોડી વાર પછી અચાનક રેગનના રુમમાંથી ભયાનક અવાજ સંભળાય છે. ક્રિસ દોડીને શું જુએ છે? રેગનનો પલંગ હવામાં અધ્ધર ધ્રૂજી રહ્યો છે. ક્રિસ કૂદકો મારીને પલંગ મારીને ચડી જાય છે તો પણ પલંગ શાંત થવાનું નામ લેતો નથી. રેગનની જાતજાતની મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવે છે. બધા ટેસ્ટ નોર્મલ આવે છે. દિવસે દિવસે રેગનનો રુપકડો ચહેરો વધુ ને વધુ વિકૃત થતો જાય છે. એક દિવસ ઘરે આવેલા ડોક્ટરો પલંગ પર ઊછાળા મારતી રેગનને જોઈને આભા થઈ જાય છે. એને શાંત કરવા ઈન્જેક્શન મારવાની કોશિશ કરે છે તો અમાનવીય તાકાતથી રેગન ડોક્ટરોને ઓરડામાં ફંગોળે છે. 




આટલી ધમાલ હજુય સ્વીકાર્ય ચલાવી લવાય, પણ એક દિવસ ક્રિસની હાઉસકીપરની લાશ કઢંગી હાલતમાં ઘરની સીડી પરથી મળી આવે છે. એની આખી ગરદન મરડાઈ ગઈ છે. કોઈએ જાણે એને ઉપરથી નીચે ફંગોળી દીધી હતી. કિંડરમેન (લી જે. કોબ) નામનો ડિટેક્ટિવ આ કમોતનાં કારણો શોધવા કામે લાગે છે. ક્રિસ એકવાર બેડરુમમાં રેગનને ક્રોસ હાથમાં પકડીને પોતાના શરીર સાથે બીભત્સ ચાળા કરતી જુએ છે. ક્રિસ એને અટકાવવાની કોશિશ કરે છે. રેગન ભયાનક તાકાતથી એવો પ્રહાર કરે છે કે પેલી ફંગોળાય જાય છે. ઓરડાની ચીજવસ્તુઓ એકાએક હલવા લાગે છે અને રેગનનું મસ્તક ધડ પર ગોળ ગોળ ફરવા લાગે છે. છાતીના પાટિયાં બેસી જાય એવું ખોફનાક દશ્ય છે. ભારે પુરુષસ્વરમાં રેગન ગંદી ગાળ આપીને ચિલ્લાય છે: તને ખબર છે તારી કામવાળી તારી દીકરી સાથે શું કરતી હતી? ક્રિસને સમજાય જાય છે કે હાઉસકીપરનો જીવ રેગને જ લીધો છે.

                                                              



લાચાર ક્રિસ ફાધર કેરેસને (જેસન મિલર) કહે છે કે ફાધર, તમે એક્સોર્સિઝમ (મતલબ કે શરીરમાંથી વળગાડ દૂર કરવા માટેની અતિ ખતરનાક વિધિ) કરો, કંઈ પણ કરો, પણ મારી દીકરીને ઠીક કરો. અંગત જીવનના અનુભવોને લીધે ફાધરનો ભગવાન પરથી ય ભરોસો ઉઠી ગયો હોય ત્યારે ભૂત-બૂતમાં ક્યાંથી માનતા હોય, પણ રેગનની હાલત જોઈને એ સ્તબ્ધ થઈ જાય છે. ફાધર કેરેસ અને ઓર એક ફાધર કિંડરમેન (મેક્સ વોન સિડો) છોકરીના શરીરમાંથી શેતાને દૂર કરવાનો નિર્ણય લે છે. બહુ જ જોખમી વિધિ છે આ. વિધિ કરનારનો જીવ પણ તેમાં જઈ શકે છે. દિમાગ કામ ન કરે તેવી ભયંકર ઘટનાઓનો સિલસિલો ચાલતો રહે છે.

આખરે શું થાય છે? બીજા કેટલા લોકોના જીવ જાય છે? છોકરીનો વળગાડ દૂર થાય છે? એ પાછી નોર્મલ બને છે? બન્ને ફાધરોનું શું થયું? આ બધા સવાલોના જવાબ ફિલ્મની ડીવીડીમાંથી શોધી લેવાના છે.

કથા પહેલાંની અને પછીની

ફિલ્મ તમે જોઈ ન હોય તો એની સ્ટોરી વાંચીને થશે કે આમાં નવું શું છે. આ બઘું તો કેટલીય હિન્દી ફિલ્મોમાં ને ટીવી પર હોરર સિરિયલોમાં આવી ગયું છે. મુદ્દો એ છે કે કોઈ પણ ક્લાસિક ફિલ્મને એના સંદર્ભો સહિત માણવી જોઈએ. ‘ધ એસ્ઝોર્સિસ્ટ’ છેક ૧૯૭૩માં આવેલી ફિલ્મ છે. ચાલીસ વર્ષ પહેલાં સિનેમા સંબંધિત ટેકનોલોજી ક્યાં એટલી વિકસેલી હતી. છતાં ‘ધ એસ્ઝોર્સિસ્ટ’ આજેય કેવી ગજબનાક અસર પેદા કરી શકે છે તે જુઓ. આજની તારીખે પણ સિનેમાના ઈતિહાસની સૌથી ખોફનાક ફિલ્મોની સૂચિ બનાવવાની આવે ત્યારે ‘ધ એક્ઝોર્સિસ્ટ’ને સૈાથી પહેલાં યાદ કરવામાં આવે છે. 




ફિલ્મ રિલીઝ થઈ થિયેટરમાં ઓડિયન્સ છળી ઊઠતું હતું. પ્રેક્ષકો બેભાન થવાના કિસ્સા બનવા લાગ્યા પછી અમુક થિયેટરોમાં રીતસર ડોક્ટરો હાજર રાખવા પડ્યા હતા. ‘ધ એક્ઝોર્સિસ્ટ’ની ચર્ચા થાય ત્યારે આ ડોક્ટરાવાળી વાત જરુર થાય છે. તે કેટલી ઓથેન્ટિક છે એ તો જિસસ જાણે. ઑર એક કિસ્સો એવો છે કે એક દર્શક એટલો બધો ડરી ગયો કે બેહોશ થઈને ઢળી પડ્યો ને ખુરસીનો હાથો એની જડબાંને લાગી ઘાયલ થઈ ગયો. પછી એણે નિર્માતા વોર્નર્સ બ્રધર્સ પર કેસ ઠોકી દીધો કે મને જે શારીરિક નુક્સાન થયું છે તે માટે તમે બનાવેલી ફિલ્મ જવાબદાર છે. મામલો પછી મોટી રકમ ભરપાઈ કરીને આઉટ-ઓફ-કોર્ટ સુલઝાવી નાખવામાં આવ્યો!

કિશોરીને વળગાડ થતાં એ પુરુષ જેવા ઘોઘરા અવાજમાં બોલવા માંડે છે, ચીસો પાડે છે. આ અવાજ મર્સિડીઝ મેકકેમ્બ્રિજ નામની અભિનેત્રીનો છે. રેગનનું કિરદાર જે પ્રચંડ અસર પેદા કરી શકે છે એમાં મર્સિડીઝના ઓરલ પર્ફોેર્મન્સનું મોટું યોગદાન છે. ડબિંગ કરતાં પહેલાં મર્સિડીઝ કાચા ઈંડા ખાતી અને ઉપરાઉપરી સિગારેટો ફૂંકતી કે જેથી અવાજમાં કુદરતી ખારાશ આવે. થોડો શરાબ પણ પીતી કેમ કે દારુથી એનો અવાજ ઑર તરડાતો અને કામચલાઉ પાગલપણું અનુભવી શકાતું. એણે ડિરેક્ટર વિલિયમ ફ્રીડકિન આગ્રહ કરેલો કે મને રેકોર્ડિંગ રુમમાં ખુરસી સાથે બાંધી દેવામાં આવે કે જેથી સંઘર્ષ કરી રહેલા શેતાનની માફક ચિલ્લાતી વખતે એ વઘારે વાસ્તવિક અસર પેદા કરી શકે. ડબિંગ આર્ટિસ્ટ તરીકે એણે જીવ રેડી દીધો હતો. તેથી જ રેગન બનેલી ચાઈલ્ડ આર્ટિસ્ટ લિન્ડા બ્લેરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટેનું ઓસ્કર નોમિનેશન મળ્યું હતું ત્યારે વિવાદ પેદા થઈ ગયો હતો. મર્સિડીઝનું કહેવું હતું કે રેગનનું પાત્ર એકલી લિન્ડાએ અસરકારક નથી બનાવ્યું, તેમાં મારો પણ મોટો ફાળો છે. લિન્ડાને ઓસ્કર ન મળ્યો એની પાછળ આ વિવાદ સંભવત: મોટું કારણ હતું. 





ફિલ્મમાં કિશોરીના બેડરુમમાં ઠુઠવાઈ જવાય એવી ટાઢ પડતી દેખાડી છે. કલાકારો બોલતા હોય ત્યારે મોંમાંથી વરાળ નીકળતી દેખાય છે. ક્લાઈમેક્સના શૂટિંગ દરમિયાન લિન્ડાના બેડરુમના સેટને ખરેખર તોતિંગ મશીનો વડે રેફ્રિજરેટેડ કરવામાં આવ્યો હતો. લિન્ડાએ ફક્ત પાતળું નાઈટગાઉન પહેરવાનું હતું. કલ્પના કરો, શૂટિંગ વખતે બાળકલાકારના કેવા હાલ થયા હશે.

ધારી અસર પેદા કરવા માટે ડિરેક્ટર કંઈ પણ કરવા માટે તૈયાર હતા. દીકરી જાનવરી તાકાતથી થપ્પડ મારતાં મા ઉછળી પડે છે તે દશ્યના શૂટિંગ દરમિયાન દેખીતી રીતે જ હાર્નેેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હાર્નેેસને જાણી જોઈને એટલા જોરથી ઝાટકા મારવામાં આવતા કે માનું પાત્ર ભજવનાર એલીન બર્સ્ટીન ખરેખર પીડાથી રાડ પાડી ઉઠતી. આ જ ટ્રિક લિન્ડા સાથે પણ અજમાવવામાં આવતી. એક કલાકારનો ઓચિંતા ચમકી જવાનો શોટ હતો. એક્સપ્રશન્સ પરફેક્ટ આવે તે માટે ડિરેક્ટરે સાવ એની કાનની બાજુમાં સાચી બંદૂકનો ધડાકો કર્યો હતો!

ફિલ્મના એક યાદગાર સીનમાં છોકરી શરીરને કમાનની માફક ઊંધું વાળીને પછી કરોળિયાની જેમ દાદરા ઉતરતી બતાવી છે. તે માટે ડુપ્લિકેટની મદદ લેવામાં આવી હતી. એના શરીરને હાર્નેેસ તેમજ પાતળા વાયરથી બાંધવામાં આવ્યું હતું. પોસ્ટ પ્રોડક્શન દરમિયાન ડિરેક્ટરને લાગ્યું કે આ સીન ફિલ્મમાં બહુ વહેલો આવી જાય છે. વળી, યોગ્ય ટેક્નોલોજીના અભાવે પેલા વાયર પણ કેમેરામાં દેખાઈ જતા હતા. તેથી આ સીનને ઉડાવી દેવામાં આવ્યો. ૨૭ વર્ષ પછી ૨૦૦૦ની સાલમાં ફિલ્મની નવી એડિશન બહાર પડી. તેમાં પેલા વાયર ડિજિટલી દૂર કરીને સીન ઉમેરવામાં આવ્યો. મૂળ આયોજન પ્રમાણે ફિલ્મનું શૂટિંગ ૮૪ દિવસ ચાલવાનું હતું, જે ૨૨૪ દિવસ સુધી ખેંચાઈ ગયું. આ સમયગાળા દરમિયાન ફિલ્મ સાથે સંકળાયેલા નવ માણસોનું મૃત્યુ થયું. એક વાર સેટ પર રહસ્યમય રીતે આગ લાગી હતી. આવું બધું થાય એટલે ફિલ્મના યુનિટ પર ખરેખર અશુભ તત્ત્વોની કાળી છાયા છે એવી વાત કાં તો આપોઆપ ફેલાવા લાગી હતી યા તો આવી અફવા ફેલાવામાં આવી હતી. 




ખેર, ફિલ્મ સુપરહિટ પૂરવાર થઈ. ૧૯૭૩ના સમયમાં કોઈએ આ પ્રકારની ફિલ્મની અપેક્ષા નહોતી રાખી. આપણે ભૂત-પ્રેતમાં માનતા ન હોઈએ તો પણ ફિલ્મ જોતી વખતે એમાં ખોવાઈ જઈએ છીએ, આંચકા અનુભવ્યા કરીએ છીએ. ‘આવું તે થોડું કંઈ હોય?’ ટાઈપના સવાલો ફિલ્મ પૂરી થયા પછી જ મનમાં સળવળે છે. ‘ધ એસ્ઝોર્સિસ્ટ’ની આ સિદ્ધિ છે. કોઈ હોરર ફિલ્મને બેસ્ટ પિક્ચરનું નોમિનેશન મળ્યું હોય તેવું ‘ધ એક્ઝોર્સિસ્ટ’ના કેસમાં પહેલી વાર બન્યું હતું. આ ફિલ્મના મેકિંગ વિશે ‘ફિઅર ઓફ ગોડ: ધ મેકિંગ ઓફ ધ એસ્ઝોસિસ્ટ’ નામની ડોક્યુમેન્ટરી પણ બની છે.

૧૯૭૭માં સિકવલ આવી- ‘એક્ઝોર્સિસ્ટ ટુ: ધ હેરેટિક’. આ ફિલ્મની જોકે સારી એવી ટીકા થઈ હતી. ૧૯૯૦માં મૂળ નવલકથાકાર વિલિયમ બ્લેટીએ ખુદ ફિલ્મ બનાવી - ‘ઘ એસ્ઝોર્સિસ્ટ થ્રી’. આ એમની ‘લિજિયન’ નામની ઓર એક નવલકથા પર આધારિત હતી. સિક્વલ પાસે નહીં જાઓ તો ચાલશે, પણ ઓરિજિનલ ‘ધ એક્ઝોર્સિસ્ટ’ તો જોવી જ પડે.

‘ધ એક્સોર્ઝિસ્ટ’ ફેક્ટ ફાઈલ 



ડિરેક્ટર : વિલિયમ ફ્રેડકિન

મૂળ નવલકથાકાર : વિલિયમ પીટર બ્લેટી

રાઈટર : લેરી ગેલબર્ટ, મુર્રે શિસગલ,

બેરી લેવિન્સન, ઈલેન મે

કલાકાર : લિન્ડા બ્લેર, એલેન બર્સ્ટીન, જેસન મિલર, મેક્સ વોન સિડો,લી. જે. કોબ


રિલીઝ ડેટ : ૨૬ ડિસેમ્બર, ૧૯૭૩

મહત્ત્વના અવોર્ડ્ઝ : બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે અને સાઉન્ડ માટેના ઓસ્કર અર્વોેડ્ઝ. બેસ્ટ ફિલ્મ, ડિરેક્ટર, એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટર, એડિટિંગ અને સેટ ડિઝાઈન માટેના ઓસ્કર નોમિનેશન્સ

Tuesday, March 11, 2014

ટેક ઓફ: બૈરી-છોકરાંને ભૂલી જઈએ તો જ લાઇફમાં 'ઊંચા માંહ્યલું' કામ થઈ શકે?


Sandesh - Ardh Saptahik Purti - 12 March 2014

ટેક ઓફ 

"નાનો હતો ત્યારથી જ હું ગાંધી બાપુની પડખે કલાકો સુધી બેસીને નિહાળ્યા કરતો કે ઘરના બીજાઓ કરતાં બાપુજી પાસે શી વિશેષતા છેજોકેબાહ્ય જીવન અમારા કુટુંબના અનેક વૃદ્ધોનું એકસરખું હતું,તો કેવળ બાપુનું વ્યક્તિત્વ એકાએક આમ ગગનચુંબી કેમ બની ગયું?"
Prabhudas Gandhi with Mahatma Gandhi                                    (Courtesy: gandhiserve.org)

રાબર ૮૪ વર્ષ પહેલાં ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસની એક વિરાટ ક્ષણે આકાર લેવાની શરૂઆત કરી હતી. આ દિવસે ગાંધીજીએ સાથીઓ-સંગાથીઓ સહિત અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો. ૨૪ દિવસ સુધી લાગલગાટ ૩૯૦ કિલોમીટર ચાલીને તેઓ દાંડીના દરિયાકાંઠે પહોંચ્યા હતા અને હાથમાં મીઠું લઈને કાનૂનભંગ કર્યો હતો.
મહાન ધ્યેયને નજર સામે રાખીને ચાલનાર માણસે જીવનમાં કેટલા ફોકસ્ડ રહેવું પડે? સાદી સમજ એમ કહે છે કે ફોકસ્ડ રહેવું એટલે ધ્યેયપ્રાપ્તિ સિવાયની તમામ બાબતોને ભૂલી જવી, એક બાજુ હડસેલી દેવી અને પોતના કામમાં ખંતપૂર્વક મચી રહેવું. બ્રિટિશ મહાસત્તાને દેશમાંથી ભગાડી મૂકવા કરતાં ઊંચું ધ્યેય બીજું શું હોવાનું? શું આ ધ્યેય સિદ્ધ કરવા માટે ગાંધીજીએ પોતાના બહોળા કૌટુંબિક જીવનને અવગણ્યું? ના. ગાંધીજીના ઘરસંસાર વિશે પ્રભુદાસ ગાંધીએ કેટલીક રસપ્રદ વાતો કરી છે.
ઉત્તમચંદ ગાંધીને બે દીકરા - જીવનચંદ અને કરમચંદ. કરમચંદના દીકરા મોહનદાસ (આપણા ગાંધી બાપુ) અને જીવનચંદના દીકરા ખુશાલચંદ. પ્રભુદાસ ગાંધી એટલે આ ખુશાલચંદના પૌત્ર. મતલબ કે પ્રભુચંદના દાદા અને ગાંધીજી પિતરાઈ ભાઈઓ થાય. પ્રભુચંદનાં માતા-પિતા ગાંધીજીના કહેવાથી દક્ષિણ આફ્રિકા ગયાં હતાં. પ્રભુદાસનું બાળપણ ગાંધીજીની આંખ સામે દક્ષિણ આફ્રિકામાં જ પસાર થયું. ભારત પરત આવ્યા પછી ગાંધીજીએ કોચરબ આશ્રમ શરૂ કર્યો ત્યારે પહેલા પચીસ અંતેવાસીઓમાં એક પ્રભુદાસ હતા. બાપુ અને કસ્તુરબા સાથે તેમણે બિહારયાત્રા કરી, ચંપારણના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો. ટૂંકમાં, પ્રભુદાસે ગાંધીજીને ખૂબ નજીકથી જાણ્યા-પિછાણ્યા છે. ગાંધીજી વિશે તેમણે અધિકારપૂર્વક ઘણું લખ્યું છે, સુંદર લખ્યું છે. બન્ને વચ્ચે ઘણો પત્રવ્યવહાર પણ થયો છે.
પ્રભુદાસ ગાંધી એક જગ્યાએ લખે છે, "નાનો હતો ત્યારથી જ હું બાપુની પડખે કલાકો સુધી બેસીને નિહાળ્યા કરતો કે ઘરના બીજાઓ કરતાં બાપુજી પાસે શી વિશેષતા છે? જોકે, બાહ્ય જીવન અમારા કુટુંબના અનેક વૃદ્ધોનું એકસરખું હતું, એમનાં સત્ત્વ અને શીલ, એમની તપસ્યા અને ત્યાગ, એમની પ્રામાણિકતા અને ભક્તિ મોળાં ન હતાં, તો કેવળ બાપુનું વ્યક્તિત્વ એકાએક આમ ગગનચુંબી કેમ બની ગયું?"
આગળ કહે છે, "વિનોબાની પેઠે સાવ નાનપણથી જ ઘરના બધા સંબંધોનો વિચ્છેદ કરીને કાતરિયામાં જ પુસ્તકો વચ્ચે બાપુ પુરાઈ રહ્યા હોત અને ઘરમાં બહેનનું લગન થાય ત્યારે બનેવીને જોવા, મળવાની કે એનું નામ સુધ્ધાં જાણવાની પરવાહેય બાપુજીએ ન રાખી હોત! તો તો આપણે એમ કહી શકત કે મૂળથી જ ઘરના જીવનથી બાપુજી નિરાળા હતા તથા જનમના જ તેઓ કોઈ અવધૂત હતા. કાકાસાહેબ કાલેલકરની પેઠે ભરજુવાનીમાં ઘેરથી પત્ની તથા બાળકોની વિદાય લઈને બાપુ હિમાલય પહોંચી ગયા હોત અને પૂર્વજીવનને તિલાંજલિ આપી નવેસરથી બ્રહ્મચર્યાશ્રમમાં પ્રવેશ કરવાનો સંકલ્પ કર્યો હોત તો ઘરની માયાને વેગળી મૂકી દેનાર ત્યાગી તરીકે આપણે એમને ઓળખત. પણ બાપુ ઘરની માયા-મમતામાં સાધારણથીયે વધુ ઘેરાયેલા રહ્યા અને ઘરનાં બંધનો ઉલાળી દેવાને બદલે ઘરની નાની-મોટી વાતોને આગ્રહપૂર્વક સાંભળતા રહ્યા."
કેટલી મોટી વાત! ઘર-પરિવારની જવાબદારીઓનો ઉલાળિયો કરીને, છૈયાં-છોકરાં ભૂલી જઈએ તો જ લાઇફમાં કંઈક 'ઊંચા માંહ્યલું' કામ થઈ શકે એવું માનનારાઓએ ગાંધીજીના ગૃહસ્થ તરીકેના સ્વરૂપને ધ્યાનથી જોવું જોઈએ. ગાંધીજી બેરિસ્ટર થઈને આવ્યા હતા તે અરસામાં એમના બનેવી માંદા પડયા. તે વખતે ગાંધીજીએ જાતે ઊભા પગે પોતાના બનેવીની સેવા કરી હતી. ખાટલો જાતે ફેરવ્યો, પોતાની ખાસ જગ્યામાં એમને સુવાડયા. કોઈને હાથ ન લગાડવા દે. પોતે જ બધું કરે. બહેનને કહેશે, તમે ધીરજ રાખો. ઊંઘ ન બગાડશો. માવજતનું કામ મને કરવા દો.
માત્ર મુરબ્બીઓની સેવા જ નહીં, પરિવારનાં બાળકોનું કામ પણ જાતે કરતા. એક વાર મણિલાલ ગાંધીને શીતળા નીકળ્યા હતા ત્યારે ગાંધીજીએ રાત-દિવસ એમાં જીવ પરોવી રાખ્યો હતો. સ્વયં વૃદ્ધ થયા ત્યાં સુધી ઘરના માણસોની માંદગી વખતે પૂરી મમતાપૂર્વક તેમની સારવાર અને કાળજી લેવાનું ચાલુ રાખ્યું હતું. કસ્તુરબા માંદાં પડે ત્યારે રાંધવા-કરવાનું પણ પોતે જ કરે.
Prabhudas Gandhi

"માંદાની માવજત કરવી એ એમનો શોખ હતો. એ ઉપરાંત સગાંઓમાં કોઈને ત્યાં બાળકનો જન્મ થાય, મૃત્યુ થાય, કોઈને પરણાવવાનો બોજો આવે, કોઈ વિધવાને સંભાળવાનું આવે, કોઈ ધણી-ધણિયાણી વચ્ચે ભાણાં ખખડે કે બાપ-દીકરા અથવા ભાઈઓ વચ્ચે કોયડા ઊભા થાય, ત્યારે હરખશોક અને મૂંઝવણમાં જે માગે તેને સાથ આપવામાં બાપુજી ન ચૂકે. કુટુંબના મોટેરા તરીકે આખી જવાબદારી પોતા ઉપર લઈ લેવા તૈયાર રહે. વહુને પિયર મોકલવી હોય કે દીકરીને સાસરે વળાવવાની હોય, તો તેમાંય પોતાની પુખ્ત દોરવણી આપે." આટલું કહીને પ્રભુદાસ ગાંધી ઉમેરે છે, "સાર એ કે ઘરમાં ખૂબ ઓતપ્રોત રહેવા છતાં અને કુટુંબીઓ વચ્ચે સોળે આના કુટુંબીજન બની રહેવા છતાં બાપુજી પોતાના જીવનને અસાધારણ ઊંચાઈએ લઈ ગયા. ઘરકામના ભારે દબાણમાં અને ઘરની જંજાળના પૂરા વળગાડમાંયે એમણે પ્રગતિ સાધી."
પ્રભુદાસ ગાંધીના ખુશાલદાદા દિવસમાં કેટલીય વાર બોલતા રહેતાં કે આપણે પુષ્ટિમાર્ગી વલ્લભ સંપ્રદાયના, પુષ્ટિમાર્ગી વૈષ્ણવને ન શોભે એવું આપણાથી કંઈ થાય જ નહીં. ગાંધીજીના મોઢે આવા શબ્દો ભાગ્યે જ આવે. વૈષ્ણવના આચારવિચાર વિશે શિખામણ આપવા કરતાં તેને આચરણમાં મૂકીને ઉત્તમ નમૂનો રજૂ કરવાની એમને હોંશ રહેતી.
ગાંધીજી રાષ્ટ્રપિતા કહેવાયા, પણ પોતાનાં સંતાનોના પિતા તરીકે નિષ્ફળ ગયા હતા એવું અવારનવાર કહેવાતું રહે છે. દીકરા હરિલાલ સાથે પોતાને કોઈ સંબંધ નથી એવું એમણે છાપાંમાં છપાવેલું, પણ જીવનનાં સાવ છેલ્લાં વર્ષોમાંય હરિલાલ બાપુને મળવા આવતા ત્યારે પોતાને ત્યાં જ રહે એવો આગ્રહ રાખતા. હરિલાલના જમાઈ કુંવરજીભાઈને ક્ષય રોગ થયો હતો ત્યારે બાપુએ તેમને સેવાગ્રામમાં પોતાની પાસે રાખ્યા. ખૂબ ચીવટથી સારવાર કરી. છૂટથી ફળ, દૂધ-માવાનું સેવન કરાવ્યું. એ સાજા થયા પછી પાછા ફરવાનો સમય આવ્યો ત્યારે ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું: તમે મારા દીકરાના જમાઈ છો એ સાચું, પણ આશ્રમમાં જમ્યા કર્યાનું બિલ ચૂકવી દેજો! કસ્તુરબાને બહુ લાગી આવ્યું કે આ રીતે કંઈ દીકરી-જમાઈ પાસેથી પૈસા લેવાતા હશે, પણ બાપુની દૃષ્ટિએ એ ઉચિત જ હતું. કુંવરજીભાઈએ બિલ ભરી પણ આપ્યું!
"આવી જ રીતે મારા કાકાના દીકરા કેશુભાઈ પર પણ બાપુએ કડકાઈ કરેલી," પ્રભુદાસ ગાંધી લખે છે, "મગનલાલકાકાએ તો પોતાનું આખું જીવન આશ્રમની સેવામાં અને બાપુજીને પંથે જ ગાળી નાખેલું. એમના મૃત્યુનો આઘાત બાપુને જીવનમાં લાગેલો એક મોટામાં મોટો આઘાત હતો અને મગનકાકા ગુજરી જતાં બાપુ પોતાનું રહેઠાણ છોડી મગનકાકાના ઘરમાં રહેવા ગયા હતા, જેથી એમના ઘરનાઓને હૂંફ મળે."
આ ઘટના પછી થોડાં વર્ષે મગનકાકાનો પુત્ર કેશુભાઈ આપબળે ઉત્તમ એન્જિનિયર બન્યો. વધારે અનુભવ લેવા એને અમેરિકા જવું હતું, પણ તે માટે પોતાના ફંડમાંથી એક પાઈ ખર્ચવાની ગાંધીજીએ ચોખ્ખી ના પાડી દીધી. એમણે સ્પષ્ટપણે કહ્યું કે મગનલાલની આજીવન સેવાનો આ રીતે મદ્દલ લાભ ન લઈ શકાય. એટલું જ નહીં, એમણે જમનાલાલ અને બિરલાજીને પણ આર્થિક મદદ કરવાની ઘસીને ના પાડી. આ રીતે પૈસા અપાય તે બાપુનાં સગાંને રકમ આપી ગણાય અને એમાં બાપુની પોતાની વગ આડકતરી વપરાઈ ગણાય, તેથી બિરલાના પૈસા વડે પણ કેશુથી અમેરિકા ન જ જવાય!
 દેશ માટે કે વ્યક્તિગત સિદ્ધિ માટે મહેનત કરતાં કરતાં જીવ રેડી દેવો અને છતાંય પરિવાર સાથે સતત સ્પર્શ જાળવી રાખવો - ગાંધીજી પાસે આ શીખવા જેવું છે.
o o o 

Sunday, March 9, 2014

મલ્ટિપ્લેક્સ: ફિલ્મ લેખક કઇ રીતે બની શકાય?

Sandesh - Sanskaar Purti - 9 march 2014

મલ્ટિપ્લેક્સ 

ફુલટાઇમ કોર્સ કરો તો જ સારા ફિલ્મ રાઇટર બની શકાય તે બિલકુલ જરૃરી નથી. સલીમ-જાવેદ જેવાં ઉદાહરણો આપણી સમક્ષ હાજર જ છે. ક્રિએટિવિટીસ્વયં શિસ્ત અને ખંત થકી તમેય સારા સ્ક્રીનપ્લે રાઇટર બની શકો છો.




 કંગના રનૌતની 'ક્વીન' શુક્રવારે રિલીઝ થઈ. 'ક્વીન'ની પ્રમોશનલ એક્ટિવિટી શરૃ થવાની હતી ત્યારે કંગના ગાયબ હતી. કેમ? કેમ કે એ ન્યૂ યોર્ક ફિલ્મ એકેડેમીમાં સ્ક્રીનપ્લે રાઇટિંગનો બે મહિનાનો કોર્સ કરવા ગઈ હતી. જોકે, ફુલટાઇમ કોર્સ અધૂરો મૂકીને એણે નછૂટકે મુંબઈ પાછું આવી જવું પડયું. બાકીનો સિલેબસ એ ઓનલાઇન પૂરો કરી શકી કે નહીં તે અલગ મામલો છે, પણ આજનો આપણો વિષય આ છેઃ સ્ક્રીનપ્લે રાઇટિંગ કોર્સ. કંગના જેવી ઓલરેડી સ્થાન જમાવી ચૂકેલી બિઝી એક્ટ્રેસને પણ જેના માટે પૂરાં આઠ અઠવાડિયાં ફાળવવાનું, અટેન્ડ કરવાનું મન થઈ ગયું એ સ્ક્રીનપ્લે રાઇટિંગ કોર્સમાં એક્ઝેક્ટલી હોય છે શું?
સ્ક્રીનપ્લે અથવા સ્ક્રિપ્ટ એટલે ફિલ્મની વાર્તાનું વિસ્તૃત સ્વરૃપ. રામગઢ નામના ગામમાં ગબ્બરસિંહ નામના ગુંડાએ ત્રાસ ફેલાવ્યો છે, તેથી ગામના લાચાર ઠાકુર જય અને વીરુ નામના બે બહાદુર કેદીને તેડાવે છે. આ બન્ને ભાઈબંધો ગબ્બરનો જોરદાર મુકાબલો કરે છે ને આખરે સૌ સારાં વાનાં થાય છે. આ 'શોલે'નો બેઝિક સ્ટોરી-આઇડિયા થયો. આ વાર્તાની શરૃઆત એક્ઝેક્ટલી કયા બિંદુથી થાય છે? વાર્તા કઈ રીતે ટ્વિસ્ટ-ટર્ન્સ લેતી લેતી અંત સુધી પહોંચે છે? એક પછી એક પાત્રો કેવી રીતે ઇન્ટ્રોડયુસ થતાં જાય છે?પ્રસંગોની ગૂંથણી શી રીતે થાય છે? પ્રત્યેક પાત્રની ખાસિયતો શી રીતે બહાર આવે છે? ખાસ તો, એકેએક સીનમાં એક્ઝેક્ટલી શું બને છે? આ તમામ સવાલોના જવાબનો સરવાળો એટલે સ્ક્રીનપ્લે. આના પછીનો તબક્કો એટલે ડાયલોગ યા તો સંવાદનો. પ્રત્યેક સીનમાં જે-તે કેરેક્ટર એક્ઝેક્ટલી કઈ લાઇન બોલે છે? એ બોલતી વખતે તે શું કરી રહ્યો છે- એ ઊભો છે, બેઠો છે, સૂતો છે, સિગારેટ પી રહ્યો છે? એવું બને કે આખા સીનમાં એક પણ સંવાદ ન હોય, માત્ર મૂવમેન્ટ્સ હોય. જેમ કે, વિલનની પાછળ હીરો હાથ ધોઈને પડયો હોય અને શાકભાજીની લારીઓ, એક ઉપર એક ગોઠવેલાં માટલાં ને સ્ટેન્ડ પર ચડાવેલી સાઇકલોનો કચ્ચરઘાણ બોલાવી રહ્યા હોય તો આ લાંબા સીનમાં એક પણ ડાયલોગ ન હોય. આ પ્રકારની ઝીણી ઝીણી વિગતો સાથેનું કામ પૂરું થાય એટલે ડાયલોગ વર્ઝનવાળો સ્ક્રીનપ્લે રેડી થયો ગણાય.
સ્ક્રીનપ્લે પાયો છે અને દરેક સારી ફિલ્મનું તોસ્તાન માળખું કાગળ પર ટાઇપ થયેલા સ્ક્રીનપ્લે પર ઊભું હોય છે. પાયો નબળો તો માળખું પણ નબળું. પાયો જેટલો સ્ટ્રોંગ, ઇમારત મજબૂત હોવાની શક્યતા એટલી જ સ્ટ્રોંગ. સ્ક્રીનપ્લે રાઇટિંગ એક કળા છે, મા સરસ્વતીના આશીર્વાદથી માંહ્યલો જો ક્રિએટિવિટીથી છલકાતો હોય તો જ લેખક બની શકાય છે એ બધું બરાબર છે, પણ સ્ક્રીનપ્લે રાઇટિંગ એક સ્કિલ પણ છે, કૌશલ્ય છે. કૌશલ્ય કેળવી શકાતું હોય છે. તો સ્ક્રીનપ્લે રાઇટિંગનું કૌશલ્ય ક્યાં શીખી શકાય? ફિલ્મ લેખક બનવું હોય તો શું કરવું? એનો કોર્સ ક્યાં થાય? આવા પ્રશ્નો ઘણી વાર પુછાતા હોય છે.
પૂનાની જાણીતી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (FTII) તમને બે વિકલ્પો આપે છે. અહીં તમે ડિરેક્શન એન્ડ સ્ક્રીનપ્લેનો ત્રણ વર્ષનો કોર્સ કરી શકો છો, જેમાં ડિરેક્ટર-કમ-રાઇટર બનવાની તાલીમ અપાય છે. તમારે ફક્ત ફિલ્મ લેખન શીખવું હોય તો એક વર્ષનો સ્ક્રીનપ્લે કોર્સ કરી શકો છો. આ કોર્સ દરમિયાન ફિલ્મ લેખનના વ્યાકરણની શાસ્ત્રીય સમજ મળે, કલ્પનાશક્તિ ખીલે, તે માટેનાં ઓજારો મળે અને ખાસ તો, સિનેમા પ્રત્યેનું તમારું પેશન ઔર તીવ્ર બને તે પ્રકારનો માહોલ મળે.
ધારો કે તમે એક વર્ષ કે ત્રણ વર્ષનો ફુલટાઇમ કોર્સ (જે ક્યારેક ચાર-પાંચ વર્ષ સુધી ખેંચાઈ જતો હોય છે) કરી શકો તેમ ન હો તો? બીજો મહત્ત્વનો સવાલઃ શું ફિલ્મ રાઇટર બનવાનો આ એકમાત્ર રસ્તો છે? શું બોલિવૂડ-હોલિવૂડમાં મસ્તમજાની ફિલ્મો લખનારા તમામ લેખકોએ આ પ્રકારના કોર્સ કર્યા જ હોય છે? આ તમામ સવાલના જવાબ છેઃ ના. 'શોલે' જેવી કેટલીય મેગાહિટ ફિલ્મોની સુપરડુપર લેખક બેલડી સલીમ-જાવેદ ક્યારેય કોઈ ફિલ્મ સ્કૂલમાં ગયા નહોતા. આજની તારીખે બોલિવૂડના શ્રેષ્ઠ ફિલ્મ લેખકોમાંના એક ગણાતા જયદીપ સાહનીએ (જેમણે 'કંપની', 'ખોસલા કા ઘોંસલા', 'ચક દે ઇન્ડિયા' જેવી કમાલની ફિલ્મો લખી છે) કોઈ કોર્સ કર્યો નથી. અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ અને એવા તો કેટલાંય હોટ એન્ડ હેપનિંગ રાઇટર્સ, ડિરેક્ટરો ક્યારેય કોઈ ફિલ્મ ઇન્સ્ટિટયૂટનાં પગથિયાં ચડયાં નથી. આ સૌ ફિલ્મો લખવાનું મેળે શીખ્યા છે. જાત અભ્યાસથી, અનુભવથી, શિસ્તથી.

Jagammathan Krishnan, filmmaker and teacher of direction and screenwriting

ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમેકર અને સ્ક્રીનપ્લે-ડિરેક્શનના ટીચર જગન્નાથન કૃષ્ણન સરસ વાત કરે છે, "અગાઉની વાત જુદી હતી, પણ આજે ઇન્ટરનેટને કારણે આપણી સામે દુનિયાભરની ફિલ્મો અને સિનેમા સંબંધિત એટલી બધી વેબસાઇટ્સ ઉપલબ્ધ છે કે કોર્સ કરવા બહાર જવાની જરૃર જ નથી. ઓનલાઇન કોર્સ પણ થઈ શકે છે. લાંબા ગાળાના ફુલટાઇમ કોર્સ કરવાને બદલે ટૂંકો ફિલ્મ એપ્રિશિયેશન કોર્સ કરી શકાય છે. સ્ક્રીનપ્લે રાઇટિંગ માટેના સેમિનાર અને વર્કશોપમાં ભાગ લઈ શકાય છે. આ બધાં સરસ માધ્યમો છે, જેના થકી ફિલ્મ રાઇટિંગ માટે જરૃરી સમજ અને કૌશલ્યો વિકસાવી શકાય છે."
www.iversity.org નામની વેબસાઇટ પર જાતજાતના ઓનલાઇન કોર્સ થઈ શકે છે, જેમાં ફિલ્મ રાઇટિંગ સંબંધિત કોર્સનો પણ સમાવેશ થાય છે. સિનેમા લેખન પ્રત્યે પેશન ધરાવનારાઆએ આ વેબસાઇટ્સ પણ જોઈ જવીઃ

- nofilmschool.com

- storyandplot.com
- oscars.org/education-outreach/teachersguide/screenwriting, 
- imsbb.com/scripts
- raindance.org
- dartmouth.edu 
- writeitsideways.com. 

યુ ટયૂબ પર ફિલ્મમેકિંગનાં અન્ય પાસાં ઉપરાંત ફિલ્મ રાઇટિંગ વિશેના વીડિયોઝ પણ છે. ted.com (ટેડ) પર સ્ક્રીનપ્લે રાઇટિંગ ટાઇપ કરીને સર્ચ કરી જોવું. આ તો અમુક જ નામ થયાં. તમે ગૂગલદેવના દરબારમાં જશો એટલે તમારી સામે ફિલ્મ રાઇટિંગ સંંબંધિત મટીરિયલનો દરિયો ખૂલી જશે. સરસ ફિલ્મોના આખેઆખા સ્ક્રીનપ્લે માટેની કેટલીય વેબસાઇટ્સ છે. વિદેશી ઉપરાંત કેટલીક ઉત્તમ હિન્દી ફિલ્મોના સ્ક્રીનપ્લે પુસ્તક સ્વરૃપે ઉપલબ્ધ છે. જેમ કે, 'થ્રી ઇડિયટ્સ'. ફિલ્મ રાઇટર બનવા માગતા શોખીનો માટે આ મસ્ટ છે. 
"ફિલ્મ લેખન વિશે સિડ ફિલ્ડનાં પુસ્તકો એક સમયે ખૂબ પોપ્યુલર હતાં, પણ હવે તે ઓલ્ડ-ફેશન ગણાવાં લાગ્યાં છે." જગન્નાથન કહે છે, "રોબર્ટ મેક્કી (Robert McKee) લિખિત 'સ્ટોરી' અને જોન વોરહોસ (John Vorhaus) લિખિત 'ક્રિએટિવ રૃલ્સઃ રાઇટર્સ વર્કશોપ' આ બન્ને પુસ્તકો હું રિકમન્ડ કરું છું."
તમે ફિલ્મ લખવા માગતા હો કે વાર્તા કે નવલકથા લખવા ઇચ્છતા હો, અમુક પાયાના સિદ્ધાંતો સમાન રહેવાના. લેખક બનનારે ખૂબ, ખૂબ, ખૂબ વાંચવું જ પડે. ફિલ્મ લેખક બનનારે વધારામાં અલગ અલગ શૈલીની અઢળક ફિલ્મો જોવી જોઈએ. જગન્નાથન કહે છે, "માત્ર કલાસિક ફિલ્મો જોવાનો આગ્રહ ન રાખવો, કારણ કે આ ફિલ્મો આપણને દંગ કરી દે છે, અભિભૂત કરી દેશે. ખરાબમાં ખરાબ ફિલ્મો પણ જોવાની, કારણ કે તેમાંથી પણ ખૂબ શીખવાનું મળે છે. તમને તરત સમજાતું રહેશે કે ક્યાં કેવી ભૂલો છે, શું બહેતર થઈ શકે તેમ હતું. નવલકથા પરથી કેટલીય ઉત્તમ ફિલ્મો બની છે. ઉદાહરણ તરીકે, સ્ટિફન કિંગની 'ધ શોશંક રિડમ્પશ'નોવેલ. આ નવલકથા અને તેના પરથી લખાયેલી ઓસ્કર વિનર ફિલ્મનો સ્ક્રીનપ્લે બન્ને વાંચવાં અને ક્યાં કેવા કેવા ફેરફાર કરવામાં આવ્યા છે તેનો અભ્યાસ કરવો. આવાં તો ઘણાં દૃષ્ટાંતો છે. ગ્રાફિક નોવેલ અને કોમિક્સ પણ સ્ટોરી ટેલિંગનાં જ સ્વરૃપો છે. જે કોઈ માધ્યમ થકી વા-ર-તા કહેવાતી હોય તે બધું જ વાંચવું. એ રીતે નવા નવા એપ્રોચની જાણકારી મળશે."

જગન્નાથન અમુક સરસ એક્સરસાઇઝ સજેસ્ટ કરે છે. તમારી કોઈ પણ મનગમતી ફિલ્મ લો. ધારો કે
ઇમ્તિયાઝ અલીની કરીના-શાહિદવાળી 'જબ વી મેટ' તમારી ફેવરિટ ફિલ્મ છે. તમારા કમ્પ્યૂટર કે ડીવીડી પ્લેયર પર એને જોવી શરૃ કરો અને પોઝ કરતાં કરતાં એક પછી એક દરેક સીનમાં શું કન્ટેન્ટ છે તે એક નોટબુકમાં લખતા જાઓ. ડાયલોગ નહીં, પણ ફક્ત ટૂંકી વિગત. આ રીતે પાંચ-છ પાનાંમાં આખી ફિલ્મ લખાઈ જશે. આ પ્રકારના લખાણને બીટ-શીટ કહે છે. તમે તમારા હાથે તમારી ફેવરિટ ફિલ્મ આ રીતે 'લખશો' એટલે કેટલાય ઉઘાડ થશે. તમને સમજાશે કે વાર્તા કેવી રીતે આગળ વધે છે, ક્યાં કઈ વાતને કેટલં મહત્ત્વ આપવામાં આવ્યું છે, વગેરે.


બીજી એક્સરસાઇઝ તરીકે છાપાંમાં આવેલી કોઈ ન્યૂઝ આઇટમની ઘટનાને જુદા જ એંગલથી જોવી. ધારો કે 'એક પરિણીત પુરુષે આત્મહત્યા કરી જીવ ટૂંકાવ્યો' એવા સમાચાર હોય તો તમે તેની લાપતા પત્નીનું કાલ્પનિક વર્ઝન તૈયાર કરો. આ રીતે એક જ ઘટનાને અલગ અલગ પોઇન્ટ ઓફ વ્યૂથી જોવાની દૃષ્ટિ કેળવાશે.   
"એક ડાયરી મેન્ટેન કરો," સમાપન કરતાં પહેલાં જગન્નાથન ઔર એક સૂચન કરે છે, "તમે જે કોઈ ફિલ્મો જુઓ છો તે શું કામ ગમી કે શું કામ ન ગમી તે વિગતે તેમાં લખો. આ રીતે તમારા દિમાગમાં આ બધું વધારે સારી રીતે સચવાશે, નવા સંદર્ભો સ્પષ્ટ થશે અને હા, શરૃઆતમાં તમે જે સ્ક્રીનપ્લે લખશો તે ઘણું કરીને નબળો હશે, પણ તેનાથી બિલકુલ ડરવાનું નહીં. લખતા રહો. સેલ્ફ સ્ટડી દ્વારા સ્ક્રીન રાઇટર બનવું હોય તો શિસ્ત અને ખંત - આ બે પૂર્વશરત છે."

                                                                    0 0  0

Wednesday, March 5, 2014

ટેક ઓફ: ડોન્ટ એન્ગ્રી મી...!


Sandesh - Ardh Saptahik Purti - 5 March 2014
ટેક ઓફ

તમે વિચારી લીધું છે કે બસ, બહુ થયું. ગુસ્સો વ્યક્ત કરવો જ પડશે. તેના વગર સામેની વ્યક્તિ લાઈન પર નહીં જ આવે. ફાઈન. ગુસ્સો વ્યક્ત કરીને આપણે ખરેખર તો મેસેજ આપવા માગતા હોઈએ છીએ. હવે એ નક્કી કરો કે તમે કયા સ્વરૂપમાં મેસેજ આપવા માગો છો? કઈ રીતે ગુસ્સો પ્રગટ કરવાથી ધારી અસર પેદા થશે? જુદી જુદી અસર પેદા કરવા માટે અલગ અલગ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી અપનાવવી પડે. જનરલ સિમેન્ટિક્સ તેના વિશે પણ સરસ વાત  કહે છે. 


નરલ સિમેન્ટિક્સ. સાંભળવામાં ભારેખમ લાગતી આ વિદ્યાશાખાનો સંંબંધ આપણાં દિલ-દિમાગ-વિચારો અને વર્તણૂક સાથે છે. આલ્ફ્રેડ કોર્ઝીબ્સ્કી નામના પોલિશ-અમેરિકને છેક ૧૯૩૩માં 'સાયન્સ અને સેનિટીઃ અન ઈન્ટ્રોડક્શન ટુ નોન-એરિસ્ટોટેલિઅન સિસ્ટમ્સ એન્ડ જનરલ સિમેન્ટિક્સ' નામનું માતબર પુસ્તક લખીને આ સંકલ્પના અથવા તો પ્રોગ્રામને વ્યવસ્થિત રીતે ડિફાઈન કરી હતી. આલ્ફ્રેડ કોર્ઝીબ્સ્કી કહે છે કે માણસ તેનો સ્વભાવ ન જ બદલી શકે એવું કોણે કહ્યું? એ જરૂર બદલી શકે છે. જનરલ સિમેન્ટિક્સનો પાયો જ આ છે. અમુક વ્યક્તિ, વસ્તુ, વિચાર કે પરિસ્થિતિને અમુક રીતે જ જોવી,અમુક રીતે જ મૂલવવી એમ નહીં. એને ધીરજપૂર્વક જુદા સંદર્ભોમાં તપાસવી, તેમાંથી નવી અર્થચ્છાયાઓ તારવવી, એમાંથી નવા ઉઘાડ થતા નિહાળવા, નવી ચર્ચાઓ જગાવવી. આમ કરતી વખતે સાઇકોલોજી અને ફિલોસોફીથી લઈને ગાંધીવિચાર જેવાં ઓજારોને કામ લગાડવાં. માત્ર આપણી આસપાસ જ નહીં, પણ વિશ્વસ્તરે માહોલ વધુ ને વધુ તામસી થઈ રહ્યો છે ત્યારે જનરલ સિમેન્ટિક્સની સંકલ્પના વધારે ને વધારે પ્રસ્તુત બની રહી છે. 
હજુય આ બધું બહુ ભારેખમ અને આપણાં વર્તુળની બહારની વસ્તુ લાગે છે, ખરું? તો સાદી ભાષામાં સમજી લો કે જનરલ સિમેન્ટિક્સ ખરેખર તો રોજ-બ-રોજના જીવનનું વિજ્ઞાાન છે. એનો સીધો સંબંધ આપણાં વર્તન, અભિગમ અને બીજા લોકો સાથે આપણે કઈ રીતે કામ પાર પાડીએ છીએ તેની સાથે છે. જેમ કે, ગુસ્સો. ક્રોધ. આ લાગણી વિશે પરસ્પર વિરોધાભાસી સલાહો અપાતી રહે છે. એક તરફ કહેવાય છે  કે ગુસ્સો ન કરવો જોઈએ, તેનાથી સ્વાસ્થ્ય અને પારસ્પરિક સંબંધોને નુકસાન થાય. બીજી તરફ કહેવાય છે કે ગુસ્સો આવે તો તરત વ્યક્ત કરી નાખવો જોઈએ. જે કંઈ દિલ-દિમાગમાં ઘુમરાઈ રહ્યું હોય તે બધું ખાલી કરી નાખવાનું, જો બધું અંદર ને અંદર દબાવી રાખશો તો વહેલામોડો ભયાનક વિસ્ફોટ થયા વગર રહેશે નહીં. ઔર એક થિયરી કહે છે કે ના, ગુસ્સાને વ્યક્ત કરી નાખવાથી ગુસ્સાનો નાશ થતો નથી, ઊલટાનો વકરે છે. ક્રોધ આવે ત્યારે મનોમન એકથી દસ સુધી ગણી નાખવાની યુક્તિ અજમાવવાનું અવારનવાર કહેવામાં આવે છે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે આ ટેક્નિક પણ કંઈ દર વખતે કામ આવતી નથી. ગુસ્સાથી કાળઝાળ થયેલો માણસ દસ શું, સો સુધી પહોંચી જાય તોય તેની ગરમી ન ઘટે એવું બને. તો પછી શું કરવાનું?


એન્ગર મેનેજમેન્ટ વિશે જનરલ સિમેન્ટિક્સ સરસ થિયરી પેશ કરે છે. તેને નામ અપાયું છે, સ્ક્રીમ થિયરી. એસ-સી-આર-ઈ-એ-એમ SCREAM. સ્ક્રીમ એટલે આમ તો ચીસ પાડવી, પણ અહીં છ અલગ અલગ શબ્દોના શોર્ટ ફોર્મ તરીકે સ્ક્રીમ શબ્દ વપરાયો છે. વિગતે જોઈએ.
સૌથી પહેલાં 'એસ.' એસ ફોર સેલ્ફ. તમારા માટે તમે ખુદ કેટલા મહત્ત્વના છો? શું બ્લડ પ્રેશર વધારીનેય ગુસ્સો કરવો જરૂરી છે?સામેના માણસે ખરેખર તમને દુભવવા માટે જ અમુક વર્તન કર્યું હતું કે તમે એવું ધારી લીધું છે? તમને સો ટકા ખાતરી છે કે જેને કારણે તમે રાતાપીળા થઈ ગયા છો તે ઘટના ખરેખર બની છે? તમે માત્ર કલ્પનાના ઘોડા દોડાવી રહ્યા હો એવું તો નથીને? વિચારજો.
'સી' ફોર કોન્ટેકસ્ટ. કોન્ટેકસ્ટ એટલે સંદર્ભ, માહોલ. ગુસ્સો વ્યક્ત કરવા માટે આ સમય અને સ્થળ યોગ્ય છે? શું આ જ ઘડીએ, અહીં જ ગુસ્સો ઠાલવી દેવો જરૂરી છે? બહેતર સમય અને જગ્યા માટે રાહ જોઈ શકાય તેમ નથી?
'આર' ફોર રિસીવર. જેના પર ગુસ્સો ઠલવાઈ રહ્યો છે તે માણસ. શું તમે ખરેખર આ જ વ્યક્તિ પર ક્રોધે ભરાયા છો? એવું તો નથીને કે ઓફિસમાં સાહેબ સામે સમસમીને ચૂપ થઈ જવું પડયું હતું એટલે હવે એનો રોષ ઘરે આવીને પત્ની પર કે પરિવારના બીજા કોઈ સદસ્ય પર વરસી પડયા છો?
 'ઈ' ફોર (ઈમિડિએટ) ઈફેક્ટ. ગુસ્સો પ્રગટ કરીને તમે ખરેખર શું હાંસલ કરવા માગો છો? તમારો ઈરાદો મનનો ઉકળાટ ઠાલવવાનો છે? સામેની વ્યક્તિને હર્ટ કરવાનો છે? તમારા ક્રોધથી ડરીને સામેનો માણસ તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શરૂ કરી દેશે એવું તમને લાગે છે? એ શક્યતા વિશે પણ વિચારી રાખો કે તમારા ગુસ્સાથી સામેનો માણસ પણ ક્રોધે ભરાયો તો? અક્ષયકુમારની માફક તમે ફિલ્મી સ્ટાઈલમાં 'ડોન્ટ એન્ગ્રી મી...' કહીને ચિલ્લાશો તો પણ એનું મોઢું બંધ ન થાય ને વાત વણસી ગઈ તો? તમે ધાર્યું હતું તેના કરતાં ઊંધી અસર થઈ ગઈ તો?
'એ' ફોર આફ્ટરમેથ. તમારા ગુસ્સાના લાંબા ગાળાના પરિણામ વિશે પણ વિચારો. ગુસ્સો વ્યક્ત કરી નાખવાથી સંબંધ પર કેવી અસર થશે? ધારો કે તમે ઓફિસમાં બોસ સામે યા તો ક્લાયન્ટ સામે જોરશોરથી રાડારાડી કરી નાખી તો એવું તો શું ન બને કે તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે અથવા તો હાથમાંથી કોન્ટ્રેક્ટ જતો રહે?
'એમ' ફોર મેસેજ. તમે વિચારી લીધું છે કે બસ, બહુ થયું. ગુસ્સો વ્યક્ત કરવો જ પડશે. તેના વગર સામેની વ્યક્તિ લાઈન પર નહીં જ આવે. ફાઈન. ગુસ્સો વ્યક્ત કરીને આપણે ખરેખર તો મેસેજ આપવા માગતા હોઈએ છીએ. હવે એ નક્કી કરો કે તમે કયા સ્વરૂપમાં મેસેજ આપવા માગો છો? કઈ રીતે ગુસ્સો પ્રગટ કરવાથી ધારી અસર પેદા થશે? જુદી જુદી અસર પેદા કરવા માટે અલગ અલગ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી અપનાવવી પડે. જનરલ સિમેન્ટિક્સ તેના વિશે પણ સરસ વાત  કહે છે. સૌથી પહેલાં તો,એન્ગર કમ્યુનિકેશન એટલે એન્ગ્રી કમ્યુનિકેશન નહીં. ગુસ્સો ખરેખર તો ઠંડકથી અને ઉશ્કેરાયા વગર વ્યક્ત કરવો જોઈએ. સામેની વ્યક્તિ સુધી ક્રોધ પહોંચવો જોઈએ, ક્રોધભર્યું વર્તન નહીં. કેવી રીતે?


સૌથી પહેલાં તો રિલેક્સ થઈ જાઓ. પોતાની જાતને કહોઃ ઓલ ઈઝ વેલ... ઓલ ઈઝ વેલ... મારે સેન્સિબલ થઈને વિચારવાનું છે, આત્યંતિક બનીને નહીં. શું સામેના માણસે ખરેખર એટલો ભયાનક ગુનો કરી નાખ્યો છે? શું એણે તમારાથી ડરીને ખોટું પગલું ભરી નાખ્યું હતું? ગુસ્સો વ્યક્ત કરવાનાં કયાં માધ્યમો તમારી પાસે છે તે જુઓ. સામસામા બેસીને? ફોન પર? ઈ-મેઇલ કરીને કે કાગળ લખીને? એસએમએસથી? ફેસબુક મેસેજ કે વોટ્સેપ દ્વારા? કયા સમયે અને કયા સ્થળે ગુસ્સો વ્યક્ત કરવાનો છે તે પણ વિચારો.અમુક વાતો મારે કરવાની જ છે અથવા અમુક શબ્દો મારે નથી જ બોલવા તે વિશે પણ આગોતરા સ્પષ્ટ થઈ જાઓ.
મોઢામોઢ રોષ વ્યક્ત કરવામાં જોખમ હોય છે. સામેની વ્યક્તિ કંઈક આડુંઅવળું બોલી જાય તો શક્ય છે કે તમારો ક્રોધ કલ્પના ન કરી હોય એટલો ભડકી ઊઠે અને તમે એવું કંઈક કહી દો કે પગલું ભરી બેસો કે પછી જિંદગીભર તે વાતનો અફસોસ રહી જાય. ખુદના ગુસ્સા પર કાબૂ નહીં રહે એવો ડર લાગતો હોય તો ઈ-મેઇલ-એસએમએસ-પત્રનો વિકલ્પ અજમાવો. આમાં એક ફાયદો એ છે કે તમે ક્રોધને ડીલે કરી શકો છો. જેમ કે, ઈ-મેઇલ કે લેટર લખ્યા પછી તરત મોકલવાની ઉતાવળ ન કરો. થોડી કલાકો કે એકાદ દિવસ લખાણને એમ જ રહેવા દો. આખરે મોકલતાં પહેલાં ફરીથી વાંચો. તમને કદાચ થશે કે સાલું આ વધારે પડતું લખાઈ ગયું છે. કદાચ તમે લખાણમાંથી ગુસ્સાની તીવ્રતા ઓછી કરશો, અમુક લાઈનો કાઢી નાખશો કે અમુક શબ્દો બદલી કાઢશો. એ પણ શક્ય છે કે તમે ઈ-મેઇલ - લેટર મોકલવાનું જ સમૂળગું માંડી વાળો.
ગુસ્સો કોઈ પણ સ્વરૂપમાં વ્યક્ત કરતી વખતે મુદ્દાને વળગી રહો. જૂની વાતો ઉખેડવાને બદલે કે આડીઅવળી, જનરલ વાતો કરવાને બદલે મૂળ વિષય પર જ કમ્યુનિકેટ કરો. યાદ રહે, શબ્દ બોલાયેલો હોય કે લખાયેલો, તીર એક વાર કમાનમાંથી છૂટી જશે પછી પાછું વળવાનું નથી. તેથી સંભવિત પરિણામો માટે તૈયાર રહેવાનું છે.
જનરલ સિમેન્ટિક્સની આ સલાહોને અનુસરવા જેવી છે. તેનાથી સમસ્યા ભલે પૂરેપૂરી સોલ્વ ન થાય, પણ ક્રોધની ખરાબ અસરો ઓછી જરૂર થશે. કદાચ ક્રોધ આખેઆખો વરાળ બની જાય એવુંય બને. જો તમને ઉપરની થિયરીમાં રસ પડયો હોય તો એ વાત જાણવામાં પણ રસ પડશે કે ભારતમાં જનરલ સિમેન્ટિક્સનું એકમાત્ર કેન્દ્ર વડોદરામાં સક્રિય છે. તેનું નામ છે, બળવંત પારેખ સેન્ટર ફોર જનરલ સિમેન્ટિક્સ એન્ડ અધર હ્યુમન સાયન્સીસ. બહુ જ મહત્ત્વનું અને વિદ્વત્તાપૂર્ણ કામ થઈ રહ્યું છે અહીં. આખું ગુજરાત અને મુંબઈ મળીને તેની ૧૧ શાખાઓ બહુ જલદી સક્રિય થવાની છે. આ વિષયમાં ઊંડા ઊતરવા જેવું છે એ તો નક્કી.

                                                                        0 0 0