Saturday, October 24, 2015

મલ્ટિપ્લેક્સ : 'પ્રોફેશનલ એક્ટરને હું ક્લાકાર ગણતો જ નથી...'

Sandesh - Sanskar purti - 25 Oct 2015
મલ્ટિપ્લેક્સ 
દુનિયાના સૌથી મહાન અભિનેતાઓમાં સ્થાન પામેલા માર્લોન બ્રાન્ડો બીજા એક્ટરો તો ઠીક, ખુદને પણ આર્ટિસ્ટ ગણતા નહોતા. તેમના હિસાબે પ્રેક્ષકોને ચોકકસ પ્રકારની અનુભૂતિ કરાવવી કે 'ક્ષણને પકડવી' એ કંઈ બહુ મહાન વાત નથી. ઈવન વેશ્યા પણ પોતાના ગ્રાહકને સ્વર્ગની અનુભૂતિ કરાવી શકે છે! 

'પ્લેબોય' મેગેઝિન હમણાં સમાચારોમાં ચમકયું હતું. દાયકાઓથી સ્ત્રીઓની કામુક તસવીરો છાપીને વિશ્વવિખ્યાત (કે વિશ્વકુખ્યાત) બની ગયેલાં આ મેગેઝિનની એડિટોરિયલ ટીમે હવે નક્કી કર્યું છે કે,સ્ત્રીઓના ન્યુડ ફોટોગ્રાફ્સ નહીં છાપવામાં આવે. ખેર, 'પ્લેબોય' એના ઈન્ટરવ્યુઝ માટે પણ ખૂબ જાણીતું છે. સાહિત્ય, રાજકારણ,સિનેમાથી લઈને જુદાં જુદાં કેટલાંય ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલી દુનિયાભરની સેલિબ્રિટીઝના અત્યંત વિસ્તૃત, ઊંડાણસભર અને ગંભીર મુલાકાતો 'પ્લેબોય' છાપતું આવ્યું છે. આજે દંતકથારૂપ અભિનેતા માર્લોન બ્રાન્ડોના 'પ્લેબોય' ઈન્ટરવ્યુ વિશે વાત કરવી છે.
માર્લોન બ્રાન્ડો (જન્મઃ ૧૯૨૪, મૃત્યુઃ ૨૦૦૪) મેથડ એકિટંગના બાપ ગણાય છે. 'ધ ગોડફાધર', 'ઓન ધ વોટરફ્રન્ટ', 'અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર', 'લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ', 'અપોકેલિપ્સ નાઉ' જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરીને એમણે દુનિયાના ઓલટાઈમ-ગ્રેટ એકટર્સની સૂચિમાં ય પાછું ટોચનું સ્થાન મેળવ્યું છે. સ્વભાવે ભયંકર અતરંગી. મિડિયા સાથે જરાય ન ગમે. પત્રકારોને મુલાકાત આપવાની વાત આવતાં જ ભડકી ઉઠે. એક ફોટોગ્રાફરને ધીબેડવા બ્રાન્ડોએ એની પાછળ રીતસર દોટ મૂકી હતી એવો કિસ્સોય બન્યો છે. તેથી જ 'પ્લેબોય'ના જાન્યુઆરી ૧૯૭૯માં છપાયેલા આ ઈન્ટરવ્યુનું વિશેષ મહત્ત્વ છે. જો કે બ્રાન્ડોને મુલાકાત માટે મનાવવા આસાન નહોતા. લોરેન્સ ગ્રોબલ નામના પત્રકારને ઈન્ટરવ્યુ માટે હા પાડવામાં બ્રાન્ડોએ સત્તર મહિના કાઢી નાખ્યા હતા. કેટલીય વાર તારીખ પોસ્ટપોન કરી. આખરે બ્રાન્ડોએ પત્રકારને પોતાની માલિકીના ટાપુ પર તેડાવ્યા. બન્ને દસ દિવસ સુધી સતત વાતો કરતા રહૃાા. વચ્ચે વચ્ચે ખાણીપીણી કરે, ચેસ રમે, બોટિંગ કરવા ઉપડી જાય, વગેરે. આમાંથી જેને ઈન્ટરવ્યુ કહી શકાય એવી પાંચ જ સેશન થઈ. પ્રત્યેક સેશન બે કલાકથી છ કલાક સુધી ચાલતી. આ મટીરિયલમાંથી આખરે લોરેન્સે લાંબોલચ્ચ ઈન્ટરવ્યુ લખ્યો. એમાંથી કેટલાક અંશ અહીં પેશ છે. બ્રાન્ડોના વ્યકિતત્ત્વના કેટલાક ઈન્ટરેસ્ટિંગ અને વિરોધાભાસી શેડ્ઝ આમાં ઊપસ્યા છેઃ વાંચો બ્રાન્ડોના જ શબ્દોમાં...
- એકિટંગની ટેલેન્ટ વિશે કારણ વગર હો-હા કરી મૂકવામાં આવી છે. સચ્ચાઈ એ છે કે આપણે બધા જ એકટર છીએ. આપણે આખો દિવસ એકિટંગ કરતા હોઈએ છીએ. દિવસમાં અસંખ્ય વખત એવું બનતું હોય છે કે, મનમાં કંઈક ચાલતું હોય, ફીલ કશુંક જૂદુ થઈ રહૃાું હોય, પણ એ બધું સતત છુપાવીને વર્તન સાવ ત્રીજા પ્રકારનું કરતા હોઈએ ,આપણે કોઈને અપસેટ કરવા ન માગતા હોઈએ, કોઈને જાણીજોઈને અપસેટ કરવા માગતા હોઈએ. કાં મનમાં જે ધિક્કાર કે પ્રેમ કે ગુસ્સો કે ઈર્ષ્યાની લાગણી ફૂંફાડા મારે છે તે દેખાડવા માગતા ન હોઈએ અથવા તો સામેવાળાના અમુકતમુક વર્તાવથી મને કશો જ ફરક નથી જ પડતો એવું સાબિત કરવા માગતા હોઈએ. 'કેમ છો?' એવો ઔપચારિક સવાલ થાય એટલે આપણે ફટ કરતા બોલી નાખીએ, 'મજામાં'. ટૂંકમાં માણસમાત્ર એકિટંગ કરતો હોય છે, હંમેશાં.


- અભિનયને પ્રોફેશન બનાવનારા અને અસલી જીવનમાં અભિનય કરનારા બાકીના લોકો વચ્ચે ફર્ક એટલો જ છે હોય કે, પ્રોફેશનલ એકટરો (વેલ, બધા તો નહીં, પણ અમુક પ્રોફેશનલ એકટરો) અભિનયકળા વિશે થોડુંક વધારે જાણતા હોય છે અને એમને અભિનય કરવાના પૈસા મળતા હોય છે. એકચ્યુઅલી, આ વાત પણ સાચી નથી. અસલી જીવનમાં અભિનય કરનારાઓને પણ એકિટંગ કરવાના પૈસા મળે જ છે. ઉદાહરણ તરીકે, તમારી બહુ જ રૂપાળી અને ચાર્મિંગ સેક્રેટરીને જરૂર ખબર હોય છે કે, પોતાને આ જોબ મળી છે એની પાછળ એના ચાર્મ અને સેકસ અપીલનો મોટો ફાળો છે. એ પોતાના રૂપનો ઉપભોગ કરવા દેે કે ન દે તે અલગ વાત છે. તમારો કોઈ જુનિયર બહુ જ મીઠડો અને રમૂજી હોય, તમને ખુશ રાખતો હોય, તમારાથી એ ખૂબ પ્રભાવિત છે એવું દેખાડયા કરતો હોય ત્યારે અંદરખાને એને ખબર હોય છે કે, પ્રમોશન મેળવવામાં એનો આ વર્તાવ કામ આવવાનો છે. સરકારો અને રાજકારણીઓનો પાવર-પ્લે પણ અભિનય જ છેને. હું પ્રોફેશનલ એકટરો અને અસલી જીવનમાં એકિટંગ કરનારા વચ્ચે કોઈ ભેદ જોતો નથી. પ્રોફેશનલ એકટરોને ક્ષણને પકડતા આવડતું હોય છે એમ કહેવાય છે પણ એવું તો વેશ્યાને પણ આવડતું હોય છે. એ એના ઘરાકને જાણે સ્વર્ગ મળી ગયું હોય તેવી અદભૂત અનુભૂતિ કરાવી શકે છે.
- પ્રોફેશનલ એકટરને હું કલાકાર ગણતો જ નથી. મેં મારી જાતને કયારેય એકટર ગણ્યો નથી. એક પણ ફિલ્મ મને કલાકૃતિ લાગી નથી. હું ગાયકોને પણ કલાકાર ગણતો નથી. અમે સૌ કલાકાર બનવા માગતા લોકો છીએ. 'કલાકાર' એક જનરીક ટર્મ છે,એક લેબલ છે જે આપણે ગમે તેેને ચોંટાડી દઈએ છીએ. આપણે ક્રાફ્ટ (કુશળતા)ને કળા કહીએ છીએ અને ચતુરાઈને ક્રાફ્ટમાં ખપાવી દઈએ છીએ. ઈટ્સ ડિગસ્ટિંગ. અસલી કળામાં ભવ્યતા હોય, તેનામાં ઈતિહાસ બદલી નાખવાની તાકાત હોય. અમે લોકો કલાકાર નહીં, વેપારી છીએ. આર્ટ જેવું કશું છે જ નહીં દુનિયામાં. શેકસપિઅર અને પિકાસો અંતિમ આર્ટિસ્ટ હતા. એમના પછી કોઈ આર્ટિસ્ટ પાકયો જ નથી.
- (માર્લોન બ્રાન્ડો સ્વયં એક બ્રાન્ડ છે અને તમને એકિટંગ કરવાની તગડી ફી મળે છે તે વિશે પૂછાતા) શંુ તમે પૈસાને યોગ્યતા સાથે સાંકળો છો? મને એકિટંગ કરવી ગમે છે કે, કેમ એમ તમે પૂછો છો? લિસન, તમને બીજે કયાં એટલા પૈસા મળવાના છે કે,જેનાથી તમે આખેઆખો ટાપુ ખરીદી શકો અને ટેસથી બેઠા બેઠા વાતોના વડાં કરી શકો? હા, હું મારા કામને સિરીયસલી લઉં છું. તમે તમારાં કામમાં સારા નહીં હો તો ભૂખે મરવું પડે. હું મારા કામમાં સારો છું એટલે આવી લાઈફસ્ટાઈલ પરવડે છે અને ફેમિલી સાથે સમય વિતાવી શકું છું. બાકી નવથી પાંચની નોકરી હું ન કરી શકું. હું એ વિચાર માત્રથી કાંપી ઉઠું છું. રંગભૂમિ એટલે જ સિનેમા કરતાં અઘરૂ માધ્યમ છે. નાટક કરતા હો તો રોજેરોજ રિહર્સલમાં અને શો ટાઈમે હાજર થવું પડે.
- ફિલ્મોમાં અમુક દશ્યો એકટર-પ્રૂફ હોય છે. મતલબ, સીન પોતે જ એટલો સરસ હોય, ઉત્તમ રીતે લખાયો ને ડિઝાઈન થયો હોય કે એમાં એકટરે ઝાઝી ચંચુપાત કરવાની જરૂર જ ન પડે. હા, એકટર-પ્રૂફ ન હોય એવાં સીનમાં ખૂબ મજૂરી કરવી પડે. તો જ એ સીન ઉઠાવ આપે.
- લોકો મહાન લેખકો, મહાન ચિત્રકારો, મહાન વિચારકો, મહાન સર્જકો વિશે વાત કરતા હોય છે. પણ મહાન લેખક શું કહેવા માગે છે એે તો જ પૂરેપૂરૂ સમજાશે તો તમારા ખુદમાં એ કક્ષાનું ઉંડાણ અને સમજણ હશે.

- મને મિલીટરી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો ત્યારે મારા ફાધર ગુસ્સાથી પાગલ થઈ ગયા હતા. એમની નજરમાં હું સાવ નાલાયક ને નઠારો છોકરો હતો. એમાંય મેં એકિટંગ સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે આભ તૂટી પડયુ હતું. એમની દષ્ટિએ હું એકટર બનવાના ધખારા રાખું એના કરતાં ખરાબ બીજું કશું ન હોઈ શકે પણ ધીમે ધીમે હું સફળ થયો, ચિક્કાર કમાવા લાગ્યો. મારા ફાધર માની નહોતા શકતા કે, મારા જેવો હોપલેસ છોકરો આટલું બધું કમાય છે. આ પૈસાનું શું કરવું એ જ એમને સમજાતું નહોતું.
- ફિલ્મ રિવ્યુઅર જો ખરેખર સારો હોય તો એના રિવ્યુ વાંચીને એકટરને કે ઈવન ડિરેકટર વગેરેને ખૂબ બધું નવું શીખવાનું મળે છે. ખરાબ રિવ્યુઝમાંથી કશું જ શીખવા મળતું નથી. જેમ કે, પૌલીન કાઈલ એકદમ તીવ્રતાથી પેશનથી રિવ્યુ લખે છે. એમનાં માટે રિવ્યુ લખવો એક ભરપૂર અનુભવ છે. તમે પૌલીન સાથે સહમત થાઓ કે ન થાઓ, પણ એમનાં રિવ્યુ વાંચવાનું ગમે તો ખરું જ. ટેલેન્ટેડ રિવ્યુઅર લખાણમાં પોતાની જાતને ખુલ્લી કરતો હોય છે, એક કલાકારની જેમ.
- અમુક એકટરોને ઈમ્પ્રોવાઈઝ કરવું સહેજ પણ ગમતું નથી જેમ કે, લોરેન્સ ઓલિવિયર. (એમની ગણના પણ દુનિયાના મહાન એકટરોમાં થાય છે.) એની મુવમેન્ટ્સ, લાઈન્સ બધું જ પહેલેથી નક્કી થયેલું હોય. બિલ્ડિંગ બનાવતા પહેલાં આર્કિટેકચર પ્લાન બનાવતા હોય છે. લોરેન્સ ઓલિવિયર પણ પોતાના રોલને એક આર્કિટેકટની માફક અપ્રોચ કરે છે.
- ચાર્લી ચેપ્લિને 'અ કાઉન્ટેસ ફ્રોમ હોંગકોંગ' નામની ફિલ્મ ડિરેકટ કરી હતી અને એમાં મને એક રોલ આપ્યો હતો. સ્ક્રિપ્ટના રિડીંગ માટે મને લંડન તેડાવેલો. મને એટલો બધો જેટલેગ હતો કે ચાર્લી ચેપ્લિન નરેશન આપી રહૃાા હતા ત્યારે હું રીતસર નસકોરાં બોલાવવા માંડેલો! ધેટ વોઝ ટેરીબલ. આ ફિલ્મ માટે મારી પસંદગી જ ખોટી હતી. ચાર્લી ચેપ્લિને ડિરેકટ કરવાની જરૂર જ નહોતી. એ બહુ સેડિસ્ટિક માણસ હતા. લોકોને ત્રાસ આપવામાં એમને બહુ આનંદ મળતો. પોતાના સગા દીકરા (સિડની ચેપ્લિન)નું એ સેટ પર સૌની હાજરીમાં ભયંકર અપમાન કરી નાખતા. એક વાર મારી સાથે પણ આ રીતે વર્તવાની કોશિશ કરી હતી. બન્યંુ એવું કે હું કંઈક સેટ પર સહેજ મોડો પહોંચ્યો ને ચાર્લી ચેપ્લિન મને ખખડાવવા માંડયાં હું ઉકળી ઉઠયો. મેં સંભળાવી દીધું કે આજ પછી કયારેય મારી સાથે આ રીતે વાત કરવાની ગુસ્તાખી ન કરતા. એ માણસ કોઈને ડિરેકશન આપી શકે એમ હતો જ નહીં. કદાચ જુવાનીમાં સારા ડિરેકટર બની શકયા હોત. હી વોઝ અ રીમાર્કેબલ ટેલેન્ટ બટ અ મોન્સ્ટર ઓફ અ મેન.
- મોટા ભાગે એકટર પોતે જ ખુદને ડિરેકટ કરતો હોય છે.

- વૂડી એલન સાથે મારે અંગત પરિચય નહોતો, પણ મને એ માણસ બહુ ગમે છે. એમની 'ઍની હૉલ' ફિલ્મમાં મને જલસો પડી ગયો હતો.
- (સ્ત્રીઓ સાથેના સંબંધોના સંદર્ભમાં) હું ગિલ્ટની ભાવનાથી કયારેય પીડાતો નથી. અપરાધીભાવ સાવ નકામી લાગણી છે,એનાથી કશો ફાયદો થતો નથી. હા, અંતરાત્મા સ્વસ્થ જરૂર હોવો જોઈએ.
શો-સ્ટોપર

બ્રાન્ડો જાણતા હતા કે પોતે ગ્રેટેસ્ટ એકટર છે પણ આ વાતના ગુમાનમાં એ જીવતા નહોતા. એક કલાકાર તરીકે હું માર્લોન બ્રાન્ડોની તુલના પિકાસો સાથે કરું છું.
- જેક નિકલસન

Wednesday, October 21, 2015

ટેક ઓફ : એક પત્રકારને જ્યારે સાહિત્યનું નોબલ પ્રાઇઝ મળે છે...

Sandesh - Ardh Saptahik Purti - 21 Oct 2015

ટેક ઓફ 

માનવીય વેદનાને વાચા આપવાનું કામ જેવુંતેવું નથી. આ વાચાનું સ્વરૂપ કયું છે તે બીજા નંબરની વાત છે. સ્વેત્લાના એલેક્સિવિચ નામના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટે આ વર્ષનું સાહિત્યનું નોબલ પ્રાઇઝ જીતીને ઇતિહાસ રચ્યો છે. કોઈ કવિ કે વાર્તાકારને બદલે પત્રકારે આ પ્રાઇઝ જીત્યું હોય એવું ભૂતકાળમાં અગાઉ કયારેય બન્યું નથી. સ્વેત્લાનાનાં નોન-ફિક્શન લખાણોમાં એવું તે શું છે?



સાહિત્ય અકાદમીના પારિતોષિકો ધડાધડ પાછા ફેંકી રહેલા સાહિત્યકારોએ છેલ્લા કેટલાક દિવસોથી એવો ઉપાડો લીધો છે કે આ વર્ષના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતાની ઘોષણા હાંસિયામાં ધકેલાઈ ગઈ. ધારો કે આ ઘોષણા કાને પડી હોત તોય આપણને વિજેતા સ્વેત્લાના એલેક્સિવિચનું નામ પરિચિત લાગ્યું ન હોત, કેમ કે બેલારૂસનાં વતની એવાં આ લેખિકા રશિયન ભાષામાં લખે છે. એમનાં પુસ્તકો, અલબત્ત, અંગ્રેજી સહિત ઘણી વિદેશી ભાષાઓમાં અનુવાદિત થયાં છે. બેલારૂસ ૧૯૯૦માં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં સોવિયેત સંઘનો હિસ્સો હતું, મજા એ છે કે આ વખતે સાહિત્યના નોબલ પ્રાઈઝ માટે કોઈ કવિ, વાર્તાકાર કે નવલકથાકારને બદલે પત્રકાર પર પસંદગીનો કળશ ઢોળાયો છે. ૬૭ વર્ષીય સ્વેત્લાના એલેક્સિવિચે આખી જિંદગી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ તરીકે સેંકડો લોકોના ઇન્ટરવ્યૂ લઈને અફલાતૂન હ્મુમન-ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ લખી છે અને એનાં પુસ્તકો બહાર પાડયાં છે.

સ્વેત્લાના જર્નાલિસ્ટિક નોન-ફિકશન લખાણોમાં એવું તે શું છે કે, તે નોબલ પ્રાઈઝને પાત્ર ગણાયુંં? સાદો જવાબ એ છે કે સ્વેત્લાનાએ સોવિયેત સંઘના દેશો છૂટા પડી ગયા તેની પહેલાંના અને પછીના સમયગાળાની કેટલીક દર્દનાક ઘટનાઓનો ચિતાર પોતાનાં લખાણોમાં આલેખ્યો છે. ખાસ કરીને ૧૯૮૬માં ચર્નાેબિલના ન્યુકિલયર પાવર પ્લાન્ટમાં જે ભયાનક દુર્ઘટના ઘટી હતી તેના પીડિતોને વાચા આપવાનું કામ કર્યું છે.

શું હતી આ દુર્ઘટના ? ચર્નોબિલ ન્યુકિલયર પાવર પ્લાન્ટ આમ તો યૂક્રેનમાં, બેલારૂસની બોર્ડરથી સાવ વીસ જ કિલોમીટરનાં અંતરે ધમધમતો હતો. ચર્નોબિલનગરમાં બાર હજાર લોકો રહેતાં હતાં અને થોડે અંતરે પ્રિપ્યેત નામનાં ગામમાં અડધા લાખ જેટલી વસતી હતી. ૨૫ એપ્રિલ ૧૯૮૬ની મધરાતે ૧.૨૩ કલાકે(એટલે કે ઓફિશિયલી ૨૬ એપ્રિલે) ન્યુકિલયર પાવર પ્લાન્ટનાં ચાર પૈકીનું એક અણુ રિએક્ટર ટેક્નિકલ ક્ષતિને લીધે પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટયું. ધડાકો એટલો મોટો હતો કે ૧,૦૦૦ ટનનું છાપરું ઊડી ગયું. થોડી સેકન્ડમાં આના કરતાંય વધારે મોટો બીજો વિસ્ફોટ થયો. અણુ રિએક્ટરનાં મકાનના ફુરચા ઊડી ગયા. અત્યંત હાનિકારક રેડિયેશનનો એક મોટો જથ્થો વાતાવરણમાં ભળવા લાગ્યો. વિસ્ફોટો અને તેને લીધે લાગેલી આગને કારણે મરનારાઓની સંખ્યા ૩૧ પર અટકી પણ લાંબા ગાળે જે નુકસાન થવાનું હતું તેનો અંદાજ કોઈને નહોતો.



સોવિયેત યુનિયનના સત્તાધિકારીઓ જાણે કશું બન્યું જ ન હોય એમ માહિતી દબાવીને બેસી ગયા. ચૂપચાપ પ્રિપ્યેતનગરને ખાલી કરાવી નાખવામાં આવ્યું. દુર્ઘટનાના બે દિવસ પછી, પાડોશી દેશ સ્વિડનના એક ન્યુકિલયર પ્લાન્ટમાં કામદારોનાં કપડાં પર રેડિયોએકિટવ કણો દેખાયાં, તરત જ આખા ન્યુકિલયર પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી. પ્લાન્ટમાં કયાંય લીકેજ નહોતું તો પછી આ રેડિયોએક્ટિવ કણો આવ્યા કયાંથી? તપાસ કરતાં સમજાયું કે આ પાર્ટિકલ્સ ૧,૧૦૦ કિલોમીટરના અંતરે આવેલા ચર્નોબિલના ન્યુકિયર પ્લાન્ટમાંથી ઊડતાં ઊડતાં આવ્યાં છે! આનો અર્થ કે ચર્નોબિલમાં નક્કી કશીક ગંભીર સમસ્યા સર્જાઈ હોવી જોઈએ, એ સિવાય આવું બને નહીં. ચર્નોબિલનું ભોપાળું બહાર પડી ગયું. હવે સોવિયેતના અધિકારીઓ પાસે કબૂલાત કરવા સિવાય કોઈ ઉપાય નહોતો. વિગતો સામે આવતાં દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. આટલી મોટી ન્યુકિલયર દુર્ઘટના અગાઉ કે ઈવન આજે ૨૦૧૫ સુધીમાં કયારેય થઈ નથી.

દુનિયાભરના સેંકડો પત્રકારો ચર્નોબિલધસી આવ્યા હતા. એમાંના એક સ્વેત્લાના એલેક્સિવિચ પણ હતા. એમનું વતન બેલારૂસ સૌથી વધારે અસરગ્રસ્ત બન્યું હતું. શું વાતાવરણ રેડિયેશન વડે દૂષિત થઈ જવાથી બહુ જ ખતરનાક અને લાંબા ગાળાનાં પરિણામ આવવાનાં હતાં? અસરગ્રસ્ત વિસ્તારમાં આવનારી કેટલીય પેઢીઓમાં હાનિકારક રેડિયેશનની અસર જોવા મળશે? ભય ફેલાઈ જવો સ્વાભાવિક હતો, પરસ્પર વિરોધી અહેવાલો આવતા રહ્યા. યૂક્રેન, બેલારૂસ અને રશિયામાં થાઈરોઈડ કેન્સરના છ હજાર કેસ નોંધાયા, જેનો સીધો સંબંધ કદાચ આ રેડિયેશન સાથે હતો. એક રિપોર્ટ પ્રમાણે દુર્ઘટના પછીના  છ વર્ષમાં ખોડખાપણવાળાં નવજાત શિશુઓનું પ્રમાણ ૪૦ ટકા વધી ગયું. ૨૦૦૦ની સાલ સુધીમાં યૂક્રેનના પાંચ ટકા વસતી(લગભગ ૩૫ લાખ લોકો) પર રેડિયેશનની કોઈને કોઈ કુ-અસર જોવા મળી. ૨૦૦૫ના રિપોર્ટ પ્રમાણે બેલારૂસના ૯૫ ટકા બાળકોને કમસે કમ એક ક્રોનિક બીમારી જોવા મળી.

આની સામે તદ્દન સામા છેડાના રિપોર્ટ એવા આવ્યા કે, શરૂઆતમાં જેવો ગભરાટ ફેલાયો હતો એવું અસલમાં કશું બન્યું નથી ને બનવાનું નથી! રેડિયેશનને લીધે પર્યાવરણને કે લોકોનાં સ્વાસ્થ્યને જે કહેવાતી ખરાબ અસર થઈ છે તે અવગણી શકાય એટલી ક્ષુલ્લક છે, હકીકત તો એ છે કે બેલારુસ અને યૂક્રેનમાં સાવ સાચુકલા હેલ્થ-રિલેટેડ ડેટા આજે પણ જાહેર થવા દેવામાં આવતા નથી.

અને તેથી જ સ્વેત્લાના એલેક્સિવિચે પાંચસો કરતાં વધારે લોકોને મળીને, અત્યંત જહેમત ઉઠાવીને એમના ફર્સ્ટ-હેન્ડ અનુભવોનું દસ્તાવેજીકરણ કર્યું છે તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. સ્વેત્લાના જે લોકોને મળ્યાંં એમાં વિસ્ફોટ પછી આગ ઠારવા દોડી ગયેલા બંબાવાળા, ખંડિયર બની ગયેલા અણુ રિએક્ટરનો કાટમાળ સાફ કરવાવાળા, રાજકારણીઓ, ડોક્ટરો, ભૌતિકશાસ્ત્રીઓ, અસરગ્રસ્ત લોકો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. દસ વર્ષના આકરા રિસર્ચ પછી એમણે જે પુસ્તક લખ્યું એનું નામ છે,  'વોઇસિસ ફ્રોમ ચર્નોબિલઃ ધ ઓરલ હિસ્ટરી ઓફ અ ન્યુકિલયર ડિઝાસ્ટર'.

'ચર્નોબિલ ડિઝાસ્ટરનું કારણ શું હતું, કોની ભૂલ હતી, લોકોને કેવી હાનિ પહોંચી, પર્યાવરણ અને જિનેટિક્સને શું નુકસાન થયું વગેરે જેવી ટક્નિકલ બાબતોમાં મને બહુ રસ નહોતો,' સ્વેત્લાના એક ઇન્ટરવ્યૂમાં કહે છે, 'રિપોર્ટિંગ કરવા દુનિયાભરમાંથી ચર્નોબિલદોડી આવેલા સેંકડો પત્રકારાએે જે પ્રકારના અહેવાલો અને પુસ્તકો પ્રગટ કર્યા એ મને બહુ છીછરાં લાગ્યાં. માત્ર પોલિટિકલ કે સાયન્ટિફિક વિગતોથી શું વળે? સમસ્યાના ઊંડાણમાં જવું જોઈએ. મને તરત સમજાઈ ગયું કે બીજા પત્રકારોની જેમ ફટાફટ પુસ્તક લખીને છપાવી નાખવાનો કશો મતલબ નથી, આથી મેં ર્દુઘટનાના સાક્ષી હોય એવાં  લોકોના ઇન્ટરવ્યૂ લેવાના શરૂ કર્યા. સામાન્ય રીતે મને એક પુસ્તક લખતાં ૩થી ૪ વર્ષ થાય છે પણ આ પુસ્તક તૈયાર કરતાં મને આખો દાયકો લાગ્યો. ચર્નોબિલની દુર્ઘટનાએ શી રીતે લોકોની જિંદગીઓને અને એમના આખા માંહૃયલાઓને ખળભળાવી મૂકયા છે એની આ પુસ્તકમાં વાત છે.'



સ્વેત્લાના લોકોને ઝીણા ઝીણા કેટલાય સવાલ કરે, એમને મોકળા મને બોલતરાં કરે. પ્રત્યેક ઇન્ટરવ્યૂ રેકોર્ડરમાં ટેપ કરી લે, પછી એ વાતચીત યથાવત્ ટ્રાન્સસ્ક્રાઈબ કરે એટલે કે સહેજ પણ ફેરફાર કર્યા વગર બેઠું લખી નાખે. અમુક મુલાકાતની ટ્રાન્સસ્ક્રિપ્શન ૧૦૦થી ૧૫૦ પાનાં જેટલી લાંબી થાય. સ્વેત્લાનાએ પાંચસો કરતાં વધારે માણસોની મુલાકાત લીધી હતી એટલે કલ્પના કરો કે એમની પાસે કેટલું ગંજાવર મટિરિયલ એકઠું થયું હશે, આમાંથી ફકત ૧૦૩ મુલાકાતો અલગ તારવવામાં આવી. પછી પ્રત્યેક શોર્ટલિસ્ટેડ બયાનને ચુસ્ત રીતે એડિટ કરવામાં આવ્યું. સો-દોઢસો પાનાંમાંથી કામની વાતો ચારથી પાંચ પાનામાં સમેટાઈ ગઈ. અમુક મુલાકાતમાંથી ઉપયોગી વાત માત્ર અડધા પાનામાં આવી ગઈ હોય એવું ય બન્યું. આ રીતે પુસ્તકને આખરી સ્વરૂપ મળ્યું.

નાટકનો અદાકાર મોનોલોગ એટલે કે એકોક્તિ બોલતો હોય એ રીતે ફર્સ્ટ પર્સનમાં દરેક મુલાકાત લખાઈ છે. વાંચવામાં બહુ જ રસાળ અને પ્રવાહી છે આ લખાણ. જાણે ફિક્શન વાંચતા હોઈએ એવી ફીલ આવશે. એલેસ અદામોવીચ નામના બેલારૂસના અન્ય એક લેખકની શૈલીના પ્રભાવ હેઠળ આ પુસ્તક લખાયંુ છે એવું સ્વેત્લાનાએ ખુદ પોતાના બ્લોગમાં લખ્યું છે. આ શૈલી અથવા જોનરને કલેકિટવ નોવેલ, નોવેલ-ઓરેટોરિઓ, નોવેલ-એવિડન્સ અથવા એપિક કોરસ કહે છે.(બાય ધ વે, 'વોઈસિસ ઓફ ચર્નાેબિલ' પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ આપણે બંદાએ  ઓનલાઈન ઓર્ડર કરીને મગાવી લીધી છે. તમે એમ કરવાના ન હો તો કમસે કમ પુસ્તકની પ્રસ્તાવના અને શરૂઆતનાં થોડાં પાનાં ઓનલાઈન વાંચી લેજો. આ બધું જ ઈન્ટરનેટ પર અવેલેબલ છે.)

સ્વેત્લાના કહે છે, 'ઘણાં લોકો મને કહેતાં હોય છે કે આ પુસ્તક લખીને તમે શી મોટી ધાડ મારી. જે કંઈ કન્ટેન્ટ છે એ તો બધું કોઈના મોઢે બોલાયેલંુ હતું, આમા તમારુંં શું છે? વેલ, આ કામ કંઈ એટલું સાદું નથી. તમે સામેના માણસને શું પૂછો છો, કેવી રીતે પૂછો છો, કેવી રીતે એને ધીમે ધીમે ખોલતા જાઓ છો, એ જે કહે છે એમાંથી શું સાંભળો છો અને આખરે એમાંથી ફાઇનલ વર્ઝનમાં લખવા માટે શું પસંદ કરો છો તે મહત્ત્વનું છે. મને વાસ્તવિકતા ચુંબકની જેમ આકર્ષે છે, ટોર્ચર કરે છે, મંત્રમુગ્ધ બનાવી દે છે. મારે બધાની વાતો શુદ્ધ સ્વરૂપમાં કાગળ ઉપર ઉતારવી હતી એટલે સાક્ષીઓ જાણે કોર્ટમાં વારાફરતી જુબાની આપતા હોય તે રીતે પુસ્તક લખ્યું છે. મને લાગે છે કે આ પુસ્તક દ્વારા મેં લેખક, રિપોર્ટર, સમાજશાસ્ત્રી, મનોવિજ્ઞાાની અને ઉપદેશક આ બધી ભૂમિકાઓ એક સાથે નિભાવી છે.' 

ચર્નાેબિલની સચ્ચાઈ એકદમ નગ્ન થઈને દુનિયા સામે આવે તે બેલારૂસના શાસકોથી કેવી રીતે સહન થાય? શું કામ દટાયેલાં મડદાં ખોદો છો એમ કહીને સ્વેત્લાનાનો વિરોધ થયો, એમને દેશદ્રોહીનું બિરૂદ આપવામાં આવ્યું, વર્ષો સુધી એમનાં પુસ્તક છાપવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, એમને હેરાન કરવામાં કશું બાકી રાખવામાં ન આવ્યું. સ્વેત્લાના ૨૦૦૦ની સાલમાં દેશ છોડીને પેરિસ જતાં રહ્યાં, પછી ગોથનબર્ગ અને બર્લિનમાં રહ્યાં. છેક ૨૦૧૧માં તેઓ બેલારૂસનાં પાટનગર મિન્સ્ક પાછાં ફર્યાં.

નોબલ પ્રાઈઝ લેખકના સમગ્ર કાર્યને ધ્યાનમાં રાખીને અપાતું હોય છે. 'વોઈસિસ ઓફ ચર્નાેબિલ' ઉપરાંત અફઘાનિસ્તાન વોર સંબંધિત 'ઝિંકી બોય્ઝઃ ધ રેકોર્ડ ઓફ અ લોસ્ટ સોવિયેત જનરેશન', 'વોર્સ અનવુમનલી ફેસ' જેવાં સ્વેત્લાનાનાં અન્ય પુસ્તકો પણ નોંધપાત્ર છે. ચર્નાેબિલવાળાં પુસ્તકના આધારે જુઆનિટા વિલ્સન નામની આઈરિશ ડિરેક્ટરે 'ધ ડોર' નામની શોર્ટ ફિલ્મ બનાવી હતી, જે ૨૦૧૦માં ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી. સત્તર મિનિટની આ ફિલ્મ યૂ ટયૂબ પર અવેલેબલ છે, જોઈ કાઢજો.

                                        0 0 0

Wednesday, October 14, 2015

ટેક ઓફ : મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ...

Sandesh - Ardh Saptahik Purti - 14 Oct 2015

ટેક ઓફ 

પોરબંદરના બગવદર ગામના એક મોભાદાર મેરાણીએ 'ફિલ્ડ વર્ક'કરવા નીકળેલા ઝવેરચંદ મેઘાણીને કંઈકેટલાય રાસડા ગાઈ સંભળાવ્યા ત્યારે કલ્પના નહીં કરી હોય કે આ રીતે મેઘાણીના ચિત્તમાં ચંપાઈ ગયેલી લોકગીતપ્રેમની ચિનગારીથી ગુજરાતના લોકસંગીત પર કેટલો મોટો ઉપકાર થઈ જવાનો છે! પરંપરાગત રાસ-ગરબામાં એવી કઈ તાકાત હોય છે જે આપણને આજે પણ ઝુમાવી દે છે?
Jhaverchand Meghani

ગુજરાતની લોકકથાઓ અને લોકસંગીતની વાત આવે ત્યારે ઝવેરચંદ મેઘાણી (જન્મઃ ૧૮૯૭, મૃત્યુઃ ૧૯૪૭) આપણને સૌથી પહેલાં યાદ આવે. મેઘાણીને લોકગીતોનો નાદ શી રીતે લાગ્યો હતો? બહુ રસપ્રદ કહાણી છે. એક વાર તેઓ પોરબંદરના બગવદર ગામે કથાસાહિત્યના સંશોધન માટે ગયા હતા. એ વખતે એમની ઉંમર હશે સત્તાવીસેક વર્ષ. બહુ મહેનત કરી, પણ જોઈતી સામગ્રી હાથ ન લાગી. તેઓ મેરાણીઓના રાસડા પ્રત્યક્ષ સાંભળવા માગતા હતા, પણ એમાંય મેળ ન પડયો. બહુ મહેનતને અંતે એમનો ભેટો ઢેલીબહેન નામની મેરાણી સાથે થઈ ગયો. આ મહિલાએ હાડ ગાળી નાખે એવી ઠંડીમાં, પોણી રાત જાગીને,ઘાસલેટના દીવાની જ્યોતમાં અસંખ્ય ગીતો સંભળાવ્યાં ને મેઘાણીના લોકગીતોના સંશોધનનો શુભારંભ થઈ ગયો!
ઢેલીબહેનને તે પછી મેઘાણી ફરી ક્યારેય મળી ન શક્યા. મેઘાણી બહુ નાની ઉંમરે જતા રહ્યા. કેવળ પચાસ વર્ષનું એમનું આયુષ્ય. એમના મૃત્યના બે દાયકા પછી, ૧૯૬૭માં સર્જક-સંશોધક નરોત્તમ પલાણે ઢેલીબહેનની મુલાકાત લીધી હતી. ઢેલીબહેન તે વખતે ૯૦ વર્ષનાં હતાં, પણ ૪૩ વર્ષ પહેલાં મેઘાણી સાથે થયેલી મુલાકાત એમને યથાતથ યાદ હતી! એ દિવસને સંભારતાં ઢેલીબહેને કહેલું, 'મેઘાણી એક દિવસ મારી પાસે આવ્યા, ધોળા ધોળા લૂગડાંમાં. મોટી મોટી આંખો નીચે ઢાળીને મારે આંગણે ઈ ઊભા'તા. જોતાં જ આવકાર આપવાનું મન થાય એવો માણસ! મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડયા. હું હેઠે બેસવા જતી'તી ત્યાં પગે પડીને 'હં... હં... હં... તમે અહીં ઉપર બેસો નહીંતર હુંય નીચે બેસું છું' એમ કહીને મનેય ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતાં'તાં એની અડધી અડધી કડીઓ પોતે બોલે ને હું આખું ગીત પૂરું કરી દઉં. નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવ્યે જાય. મને ગીત ગાયા વિના બોલતાં નો આવડે એટલે પોતે હસે અને હું તો જેના જેવા રાગ તેમ મન મૂકીને હલકો કાઢીને ગાઉં! આજુબાજુનાંય ભેળાં થઈ ગ્યાં અને છેક બપોર સુધી ગીતો ગાયાં.'
જમવાનો સમય થયો. ગારવાળા ઘરમાં મહેમાનનાં કપડાં ન બગડે તે માટે ઢેલીબહેને પાટલો ઢાળ્યો, પણ મેઘાણી કહે, 'રોટલા ઘડનારી નીચે બેસે અને ખાનારો ઊંચે બેસે એ ક્યાંનો ન્યાય?' એ ધરાર નીચે જ બેઠા. પૂરું જમી લે એ પહેલાં તો આખું ગામ ઓસરીમાં ભેગું થઈ ગયું.
'અમારી કોમમાં ગીતો ગાવાં-સાંભળવાં બઉ ગમે,' ઢેલીબહેને કહેલું, 'જમીને એમણે મેઘાણીએ એક ગીત ગાયું - અસલ અમે ગાઈએ એ જ ઢાળમાં! અમે તો બધાં એના મોઢા સામંુ જોઈ જ રિયાં! ને પછે તો એક પછે એક રોંઢો ઢળ્યા સુધી એની પાસે ગવડાવ્યે રાખ્યું! પછી અમારો વારો આવ્યો. અમે આઠ દસ બાયુંએ ગીત ગાવાં માંડયાં, પણ બધી બાયું ભેળી થાય એટલે બેસીને કેમ ગવાય? થયાં ઊભાં અને ફળિયામાં જ રાસડા માંડયા. પોતે તો હમણાં ઢગલોએક હસી નાખશે એવા થતાં થતાં કાગળિયામાં ટપકાવ્યે જાય. જોણાંને ને રોણાંને તેડું થોડું હોય? ઢગ બાયું ભેળી થઈ અને અંધારું થયા સુધી રાસડા હાલ્યા. વાળુ કરીને પાછાં ભેળાં થ્યાં તે એક પછી એક નવાં નવાં ગીત મધરાત સુધી ગાયાં. છેલ્લે પોતે થોડાક મરકડાં કીધાં ને સઉને હસાવ્યા.'
ના, વાત અહીં પૂરી ન થઈ. થોડાં ગીતો બાકી રહી ગયેલાં તે ઢેલીબહેને બીજા દિવસે સવારે ગાયાં. મેઘાણી એમનાં વખાણ કરતા જાય ને મોઢું નીચું કરીને લખતા જાય. ઢેલીબહેનને આખેઆખાં ગીતો યાદ હોય. સવારોસવાર ગાય તોય એકનું એક ગીત બીજી વાર જીભે ન આવે. બીજા દિવસે મેઘાણીને બગવદરથી બાજુનાં બખરલા ગામે જવું હતું એટલે શિરામણ કરીને ગાડું જોડયું, પણ એ કહે, હું ગાડાંમાં ન બેસું. એક જીવ તાણે અને બીજા જીવથી અમથું અમથું નો બેસાય! 'અમારા સંધાયની આંખમાં પાણી આવી આવી ગ્યાં,' ઢેલીબહેને કહેલું, 'ઓહોહો! આવો માણસ મેં કોઈ દી' જોયો નથી! એની હાજરીનો કોઈ કરતાં કોઈને ભાર જ નો લાગે!'

ઢેલીબહેને કલ્પના સુધ્ધાં નહીં કરી હોય કે એમણે અને ગામની અન્ય મહિલાઓએ એ રાતે મેઘાણીના દિલદિમાગમાં લોકગીતપ્રેમની ચિનગારી ચાંપીને ગુજરાતના લોકસંગીત પર કેટલો મોટો ઉપકાર કરી નાખ્યો હતો! પછી તો ગુજરાતનાં લોકગીતો વિશે સંશોધન કરવા મેઘાણીએ ગજબનાક ઉદ્યમ કર્યો. અગાઉ લોકગીતો કેવળ ગવાતાં હતાં, એનું વ્યવસ્થિત લિખિત દસ્તાવેજીકરણ બિલકુલ થયું નહોતું. કેટલાય લોકગીતો લગભગ નષ્ટ થઈ ચૂક્યાં હતાં. મેઘાણી ગુજરાતભરનાં ગામડાં ખૂંદી વળ્યા. અડધાપડધા, વેરવિખેર ગીતોના ટુકડા એકઠા કર્યા. પોતાની સમજ, તર્કશક્તિ, કલ્પના અને ઇવન ચાતુરીનો ઉપયોગ કરીને ગીતોના આ ટુકડાઓને સાંધ્યા, અખંડિત સ્વરૂપ આપ્યું અને 'રઢિયાળી રાત'ના ચાર સંગ્રહો બહાર પાડીને અમર બનાવી દીધા. 'મારા લોકગીતપ્રેમની પ્રાણની જનેતા' તરીકે ઢેલીબહેનને નવાજીને અને સંગ્રહનો ચોથો ભાગ ઢેલીબહેનને અર્પણ કરીને મેઘાણીએ ઋણસ્વીકાર કર્યો છે.
અત્યારે નવરાત્રી બરાબરની જામી છે ત્યારે આવો, 'રઢિયાળી રાત'માં સંગ્રહાયેલા કેટલાક રાસ-ગરબા માણીએ. ગીતો વાંચતાં વાંચતાં સાથે ગણગણવાનું ફરજિયાત છે! શરૂઆત કરીએ ઝૂલણ મોરલીથી.
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!
એ હાલાને જોવા જાયે રે,
મોરલી વાગી રે, રાજાના કુંવર!
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર...
દસેય આંગળિયે વેઢ રે
મોરલી વાગી રે, રાજાના કુંવર!
હવે પછીના ગરબામાં એવી દુખિયારી વહુની વાત છે જેનું સાસરું અને પિયર બન્ને એક જ ગામમાં છે. એક વાર સ્ત્રીએ પોતાની મા પાસે જઈને દુઃખો સંભળાવ્યાં. પાછળ જાસૂસ બનીને આવેલી નણંદે આ વાત ઘરે જઈને કહી. 'મોટા આબરુદાર ઘર'ની નિંદા વહુ બહાર કરતી ફરે તે સાસરિયાઓથી શી રીતે સહન થાય? સૌએ વરને ખૂબ ઉશ્કેર્યો. વરે સ્ત્રી સામે ઝેરનો કટોરો ધર્યોઃ કાં તું પી, કાં હું પીઉં. 'મોટા ખોરડા'ની જાજરમાન વહુએ ઝેર પીને જીવ આપી દીધો.
ગામમાં સાસરું ને ગામમાં પી'રિયું રે લોલ
દીકરી કે'જો સખદખની વાત જો.
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.
સખના વાયરા તો માડી, વહી ગયા રે લોલ.
દખનાં ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો
કવળા સાસરિયામાં જીવવું રે લોલ.
પછવાડે ઊભી નણદી સાંભળે રે લોલ.
વહુ કરે છે આપણા ઘરની વાત જો!
વહુએ વગોવ્યા મોટાં ખોરડાં રે લોલ...

એક બાજુ ગરીબ ગાય જેવી વહુ છે, તો બીજી બાજુ અવળચંડી નાર છે. ઘરનાં કામ કરાવી કરાવીને સાસુ એને થકવી નાખે છે. એ વાત અલગ છે કે આ જોગમાયામાં સાસુએ જે કહ્યું હોય એનાથી ધરાર ઊલટું સમજવાની ગજબની આવડત છે! આ મસ્તીભર્યો ગરબો જુઓ -


મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર!
સૈયર મેંદી લેશું રે...
મારી સાસુએ એમ કહ્યું કે વાસીદા વાળી મેલ્ય
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ્ય!
સૈયર મેંદી લેશું રે...
મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ્ય
મેં ભોળીએ એમ માન્યું કે બેડલાં ફોડી મેલ્ય!
સૈયર મેંદી લેશું રે...

 જવાની ચાર દિન કી હોતી હૈ એવું હિન્દી ફિલ્મી ગીતો આપણને વર્ષોથી કહ્યાં કરે છે. અહીં ટીપણી ટીપતા મજૂરો ગાય છે કે હે માનવીઓ! જોબનિયાને સાચવીને રાખો. જોબનિયું એટલે વધારે વ્યાપક અર્થમાં ટકાટક હેલ્થ. જો ફિઝિકલી ફિટ હોઈશું તો જ જીવતરનો ઉલ્લાસ માણી શકીશું. સાંભળોઃ
જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે.
જોબનિયાને માથાના અંબોડામાં રાખો જોબનિયું કાલ્ય જાતું રે'શે.
જોબનિયાને આંખ્યુંના ઉલાળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતંુ રે'શે...

હવે એક બહુ જ લોકપ્રિય અને મીઠું ગીત, જે ડિસ્કો ડાંડિયાનો જમાનો નહોતો આવ્યો ત્યાં સુધી મહિલાઓ તાળીઓના તાલે ગાતી હતીઃ
સોના ઈંઢોણી રૂપા બેડલું
નાગર ઊભા રો' રંગરસિયા...
પાણીમાં ગઈ'તી તળાવ રે
નાગર, ઊભા રો' રંગરસિયા....
કાંઠે તે કાન ઘોડા ખેલવે રે... નાગર
કાન મુને ઘડુલો ચડાવ્ય રે.... નાગર

રાસ-ગરબાથી રોમાન્સ ક્યાં સુધી દૂર રહી શકે? સાંભળોઃ

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા
લીલો તે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.
પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા
કાંબિયુંની બબ્બે તારે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા.
કેડ પરમાણે ઘાઘરો સોઈ રે વાલમિયા
ઓઢળીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.

ફરમાઈશ આગળ વધતી જાય છે. હાથ પ્રમાણે ચૂડલા, ડોકપ્રમાણે તુલસી, કાન પ્રમાણે ઠોળિયાં, નાક પ્રમાણે નથણી! રાસ-ગરબા સાથે કાનુડો અભિન્નપણે જોડાયેલો છે. આ સાંભળોઃ
મારી શેરીએથી કાન કંુવર આવતા રે લોલ
મુખેથી મોરલી વગાડતા રે લોલ.
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢયાના અંબર વીસરી રે લોલ.
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ
અમરાપરના ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું કે હરિ અહીં વસે રે લોલ.
બીજું એક કૃષ્ણગીતઃ

વા વાયા ને વાદળ ઊમટયાં
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે છો સદાયના ચોર
મળવા આવો સંુદિરવર શામળિયા

પરંપરાગત રાસ-ગરબામાં પરિવારના તમામ સભ્યોને જબરી મીઠાશ સાથે આવરી લે છે. જેમ કે -
મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો...
નાનો દિયરિયો લાડકો રે, જઈ લાવ્યો મેંદીનો છોડ રે
મેંદી રંગ લાગ્યો...
વાંટી ઘૂંટીને ભર્યો વાટકો ને, ભાભી રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્યો...


0 0 0