Showing posts with label Morarji Desai. Show all posts
Showing posts with label Morarji Desai. Show all posts

Tuesday, February 27, 2018

સ્વમૂત્રપાન, ફિલ્મમાં એક્ટિંગ અને મોરારજી દેસાઈ!


સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 28 ફેબ્રુઆરી 2018

ટેક ઓફ                      

'જીવનમાં કેવાં કર્મ કરવા છે તે નક્કી કરવામાં કંઈ નસીબનો હાથ હોતો નથી. હા, તે કર્મનાં તમને કેવાં ફળ મળે છે તે જરૂર નસીબની વાત છે. નસીબ એ ભગવાને આપેલી વસ્તુ નથી. ભગવાન એવું કહેતા નથી કે જા ભાઈ, આ તારું નસીબ, આ પેલાનું નસીબ. ભગવાન ખુદ જો પક્ષપાત કરવા માંડે તો એ ભગવાન શાના?'

                                                                                                                                               Photo courtesy: Alarm Stock Photo

મોરારજી દેસાઈની જન્મજયંતિ ગણવી ભારે કઠિન છે, કેમ કે તે દર ચાર વર્ષે એક જ વાર આવે છે - 29મી ફેબ્રુઆરીએ! છતાંય સગવડ ખાતર કહી શકાય કે જો મોરારજીભાઈ આજે જીવતા હોત તો આજે 122 વર્ષ પૂરાં કરીને 123મા વર્ષમાં પ્રવેશવાની તૈયારી કરતા હોય. આઝાદ ભારતે બે જ ગુજરાતી વડાપ્રધાન જોયા છે - મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી.

મોરારજીભાઈ 1977થી 1979 દરમિયાન 27 મહિના સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. ઇંદિરા ગાંધીએ 1975-'77 દરમિયાન દેશમાં કટોકટી લાદી હતી તે સમયગાળા દરમિયાન મોરારજી દેસાઈની અટકાયત થઈ હતી. એમને હરિયાણામાં એક જગ્યાએ રાખવામાં આવેલા. અટકાયત દરમિયાન એમની દિનચર્યા કેવી હતી તે વિશે મોરારજીભાઈએ પોતાની આત્મકથામાં જે વર્ણન કર્યું છે તેમાંથી એમનું વ્યક્તિત્ત્વ આબાદ ઊપસે છે. રોજિંદા શેડ્યુલની આ વિગતો મોરારજીભાઈના શબ્દોમાં જ વાંચોઃ

3.00 - વહેલી સવારે ઊઠતી વેળાએ ટૂંકી પ્રાર્થના, પ્રાતઃ ક્રિયાઓ - કુદરતી હાજતો, એકાંતરે હજામત ને સ્નાન.
4.15 - પૂજા, મારી પેટીમાં મારી પૂજાની સામગ્રી હું જોડે લઈ ગયો હતો. પુષ્પો વિના હું મારી પૂજા કરતો. પૂજા દરમિયાન હું ગીતાપાઠ કરતો.
5.00 - એક કલાક પદ્માસન.
6.00 - એક કલાક ફરવા જતો ને ચાલતાં ચાલતાં ગીતાપાઠ કરતો. સવારના ફરવા જતી વેળાએ આખી ગીતાના હું પાઠ કરતો. (શરૂઆતના ત્રણ કે ચાર સપ્તાહ તો મેં ખંડમાં જ આંટા મારવાનું રાખેલું.)
7.00 - દૂધ
7.30 - કાંતણ, વાચન. કાંતણ દરરોજ હું અચૂકપણે 1000 મીટર કાંતતો. કેટલાક દિવસો 2000 મીટર ને અટકાયત વખતે તો એમ મહિના સુધી દરરોજા 3000 મીટર છ કલાક કાંતતો હતો.
10.30 - સવારનું ભોજનઃ ગાયનું દૂધ, કેરી, સફરજન ને ચીકુ જેવાં ફળો. ક્યારેક લાંબો સમય ચાલે એવાં ફળો પદ્મા લાવતાં અને જાળવી રાખવાને રેફ્રિજરેટર ત્યાં હતું. ભોજન પછી એક કલાક સુધી આરામ. સૂવાનું નહીં પણ માત્ર લાંબા થઈ પડી રહેવાનું રાખતો.
1.00 - એક કલાક પદ્માસન ને ગાયત્રી મંત્રનો જપ.
2.30 - વાચન અને કાંતણ. મારી વિનંતીને માન આપીને ફરજ પરના અધિકારી મારા માટે રામચરિતમાનસ લઈ આવ્યા હતા.
5.00 - ત્રીસ-ચાળીસ મિનિટ સુધી સાંજે ફરવા જવાનું.
6.00 - સાંજનું ભોજન, દૂધ અને ફળ.
6.45 - પ્રાર્થના અને એક કલાક સુધી પદ્માસન.
9.00 - ઊંઘી જતા પહેલાં ટૂંકી પ્રાર્થના અને શયન.

વડાપ્રધાનપદ ગુમાવ્યા પછી મોરારજીભાઈ પોતાના પુત્ર કાંતિભાઈ દેસાઈ સાથે રહેવા મુંબઈ આવી ગયેલા. મુંબઈના દક્ષિણ કાંઠે મરીન ડ્રાઇવ તરીકે ઓળખાતા પોશ વિસ્તારમાં કાંતિભાઈનો વિશાળ સી-ફેસિંગ ફ્લેટ હતો. તેમાંથી અરબી સમુદ્ર, ગળામાં પહેરેલા હાર (ક્વીન્સ નેકલેસ) જેવો અર્ધવર્તુળાકારે ખેંચાયેલો રોડ અને મલબાર હિલની થોડીક પટ્ટી પણ નજરે ચડે.

મોરારજીભાઈ પોતે સખત ચોક્સાઈવાળા માણસ. કાયમ સ્ટાર્ચવાળાં ધોતિયું-ઝભ્ભો જ પહેરે. કોઈને પણ ધારી લેવાનું મન થાય કે એમના ઘરમાં એમનો કમરો જબરો ચોખ્ખોચણક રહેતો હશે. સંભવતઃ હકીકત જરા જુદી હતી. 'સોસાયટી' નામના અંગ્રેજી મેગેઝિને સપ્ટેમ્બર, 1980ના અંકમાં મોરારજી દેસાઈનો વિસ્તૃત ઇન્ટરવ્યુ છાપ્યો હતો. આ મુલાકાત લેવા જનાર બિનોય થોમસ નામના પત્રકાર નોંધે છે કે મોરારજીભાઈનો ઓરડો આપણે અપેક્ષા રાખી હોય એવો વ્યવસ્થિત નહોતો. બે કબાટની ઉપર ડઝન જેટલી સુટકેસો એકની ઉપર એક ખડકાયેલી હતી. એક બાજુ અડધો ડઝન જૂતાં અને એના કરતાંય વધારે સ્લિપરો પડ્યાં હતાં. દીવાલ પર થોડી તસવીરો લટકતી હતી, જેમાંની એક તસવીર કદાચ એમના પિતાજીની હતી. ખાસ ધ્યાન તો જળાશય પાસે માછલી પકડી રહેલી એક સ્ત્રીનું યુરોપિયન પેઇન્ટિંગ ખેંચતું હતું. પલંગની બાજુમાં સાઈડ ટેબલ પર એક રેડિયો પડ્યો હોય. આખા કમરામાં મોડર્ન કહી શકાય એવી કોઈ ચીજ હોય તો તે આ જ.



એ અરસામાં મોરારજીભાઈ ભાગ્યે જ ઘરની બહાર જતા. ઘરમાં જ થોડી લટાર મારીને ચાલવાની કસરત કરી લેતા. પોતાની પથારી પર બેસીને મુલાકાતીઓને મળે અને પોતાના જ હસ્તાક્ષરોમાં પત્રોના જવાબ લખે. મોરારજીભાઈએ પોતાની આસપાસ કોઈ કિલ્લા નહોતા ચણ્યા. એમને મળવું હોય તો તાવડે નામના એકદમ હસમુખ સ્વભાવના એમના પર્સનલ આસિસ્ટન્ટને ફોન કરવાનો. તાવડે અટકધારી આ ત્રીસ-પાંત્રીસ વર્ષનો એકદમ મળતાવડો જુવાનિયો 1967થી મોરારજીભાઈની સાથે હતો. ઘણા મુલાકાતીઓ આવીને આદર વ્યકત કરવા માટે ફર્શ પર એમના પગ પાસે બેસતા. મોરારજીભાઈ જોકે બધાને એકસરખા જ ટ્રીટ કરતા. મુલાકાતી સામે ચાલીને આવ્યો હોય તો મોરારજીભાઈ એને ચા-કોફીનું પૂછવાનો વિવેક સુધ્ધાં ન કરે. એમને લાગતું કે આવા ઠાલા શિષ્ટાચારની કશી જરૂર નથી.  

સેલિબ્રિટી વ્યક્તિ વૃદ્ધ થાય (જેમ કે દિલીપકુમાર) એટલે છાશવારે એના મૃત્યુની અફવા ફેલાતી રહે છે. આ કંઈ આજકાલનું નથી. 1980ના ગાળામાં એક તબક્કે 'મોરારજીભાઈ ગુજરી ગયા' એવા મતલબની મજબૂત અફવા ફેલાઈ હતી. તેના સંદર્ભમાં મોરારજીભાઈએ કહેલું કે, 'મને તો મારા મરવાની અફવાઓ સાંભળીને મોજ પડે છે. મને મૃત્યુનો ભય નથી. હું તો આ ક્ષણે મરવા માટે તૈયાર છું.' (મોરારજીભાઈનું નિધન, બાય ધ વે, 1995માં થયું હતું.)

સફળ માણસ પોતાના કયા કેન્દ્રીય સત્યના જોરે આખું જીવન વ્યતીત કરતો હોય છે? અથવા તો, ભરપૂર જીવન જીવી લીધા પછી જો એ પાછું વળીને જુએ તો એને એવો કયો મંત્ર કે કઈ ગાઇડલાઇન દેખાતી હશે જેના દિશાસૂચન પ્રમાણે એણે આખી જીવનયાત્રા કરી હોય? મોરારજી દેસાઈના જીવનની ફિલોસોફી સાદી હતી - 'ટેક લાઇફ એઝ ઇટ કમ્સ.' એટલે કે જિંદગી જે રીતે આંખ સામે ખૂલતી જાય તે રીતે જીવતા જવાનું. લાંબા લાંબા પ્લાનિંગ કરવાનો બહુ મતલબ નથી.

'જીવનમાં કેવાં કર્મ કરવા છે તે નક્કી કરવામાં કંઈ નસીબનો હાથ હોતો નથી,' મોરારજીભાઈ કહે છે, 'હા, તે કર્મનાં તમને કેવાં ફળ મળે છે તે જરૂર નસીબની વાત છે. નસીબ કંઈ ભગવાને આપેલી વસ્તુ નથી. ભગવાન એવું કહેતા નથી કે જા ભાઈ, આ તારું નસીબ, આ પેલાનું નસીબ. ભગવાનના રાજમાં આવો અન્યાચ ન હોય. ભગવાન ખુદ જો પક્ષપાત કરવા માંડે તો એ ભગવાન શાના'
પોતે જોકે દેશના વડાપ્રધાન પદ પર બિરાજમાન થઈ શક્યા તે ઘટનાને મોરારજીભાઈ પોતાનું નસીબ ગણતા. કહે છે, 'હું પ્રાઇમ મિનિસ્ટર બન્યો તે મારાં કર્મોનું ફળ નહોતું, પણ હા, પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી મેં જે કોઈ પગલાં ભર્યાં તે માટે સંપૂર્ણપણે હું જ જવાબદાર કહેવાઉં. જો મેં કંઈ ખોટું કર્યું હશે તો મારે એની કિમત ચૂકવવી જ પડશે.'

મોરારજી દેસાઈ એમની વિચિત્રતાઓ માટે જાણીતા હતા. ખાસ કરીને, એમનો સ્વમૂત્ર (એટલે કે પોતાનો જ પેશાબ) પીવાનો પ્રયોગ ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો. ઇવન વિદેશનું મિડીયા પણ મોરારજીભાઈની યુરિન-થેરપીની ઠેકડી ઉડાવતું, પણ સ્વમૂત્રપાનથી શરીરની કેટલીય બીમારીઓ દૂર થાય છે એવું મોરારજીભાઈ દઢપણે માનતા. વાતની શરૂઆત 1959માં થઈ હતી. બન્યું એવું કે મોરારજી દેસાઈએ 'માનવ મૂત્ર' નામનાં એક પુસ્તકની પ્રસ્તાવના લખી. તેઓ તે વખતે દેશના નાણાપ્રધાન હતા. સંસદના એક સેશન દરમિયાન કોઈ કમ્યુનિસ્ટ સાંસદે ઊભા થઈને સવાલ કર્યો કે ભારતના ફાયનાન્સ મિનિસ્ટર સ્વમૂત્રપાન જેવી ગંદી વસ્તુ લખી જ શી રીતે શકે? મોરારજીભાઈએ જવાબ આપ્યો કે, 'આ મેં ભારતના નાણાપ્રધાન તરીકે નહીં, પણ એક અદના નાગરિક તરીકે લખ્યું છે. હું મિનિસ્ટર બન્યો એનો અર્થ એવો થોડો છે કે મારી કોઈ પર્સનલ લાઇફ ન હોય!'      

શું યુરિન-થેરપી ખરેખર ફાયદો થાય છે ખરો? સ્વમૂત્ર પીવાથી શરીર સારું રહે છે એવી થિયરીને કોઈ નક્કર સાયન્ટિફિક આધાર ખરો? આ સવાલના જવાબમાં મોરારજીભાઈ શું કહ્યું હતું?
'મને કેટલાય લોકો કાગળ લખીને જણાવે છે કે યુરિન-થેરપીથી એમને ખૂબ ફાયદો થયો છે... અને તમે કયા સાયન્ટિફિક રિસર્ચની વાત કરો છો? આ રિસર્ચ એક પ્રકારનું તૂત જ છે. લોકોને એલોપોથિક દવાઓ વિશેના રિસર્ચની વિશે જાણ હોય છે ખરી? તઓ કેટલી હાનિકારક દવાઓ ખાધા કરે છે એ તો તમે જુઓ. વિટામીનની ગોળીઓ લોકો આડેધડ લીધા કરે છે.'



આટલું કહીને દેસાઈસાહેબ લોરેન્સ આર્મસ્ટ્રોંગ નામના વિદેશી માણસનું ઉદાહરણ આપે છે, 'લોરેન્સ ટીબીથી પીડાતો હતો. એક વાર એ બાઇબલ વાંચતો હતો. એમાં એક વાક્ય આવ્યું કે, 'તકલીફ હોય ત્યારે પોતાના જ કુંડમાંથી પીવું'. એને નવાઈ લાગી કે આ વાક્યનો શો અર્થ થયો? પછી એને એકાએક સમજાયું કે આ મૂત્ર વિશે વાત થઈ રહી છે. એણે જોયું કે પશુઓના દવાખાનામાં કોઈ જનાવર માંદું પડે તો ડોક્ટર એને એનું જ (એટલે કે બીમાર પ્રાણી ખુદનું જ) મૂત્ર દવા તરીકે આપતા હતા. જંગલમાં રહેતાં પશુ-પક્ષીઓ પણ આ જ કરે છેને! લોરેન્સે પછી પૂરા પિસ્તાલીસ દિવસ સુધી પોતાનુ તમામ મૂત્ર પીધું. પિસ્તાલીસ દિવસને અંતે એનામાં જાણે પાછી જુવાની ફૂટી. પછી એણે 'વોટર્સ ઓફ લાઇફ' નામનું પુસ્તક પણ લખ્યું.'

વેલ, મોરારજીભાઈના સ્વમૂત્રપાન વિશેની વાતોમાંથી સૌથી પોતપોતાની રીતે યથામતિ તારણ કાઢવાનું છે. મોરારજી દેસાઈ વિશેની ઓર એક ફન-ફેક્ટ જાણો છો? એમણે એક ફિલ્મમાં એક્ટિંગ પણ કરી છે! 1961માં બનેલી એક બાળફિલ્મમાં એમણે ગાંધીજીનાં અવતરણો બોલવાના હતા. આઠથી દસ મિનિટનો રોલ હતો અને મોરારજીભાઈ એક પણ રિહર્સલ વગર કે કોઈ પણ જાતના લખાણ વગર એક જ ટેકમાં શોટ ઓકે કરી નાખ્યો હતો0
         
0 0 0 

Tuesday, April 16, 2013

વ્હિસ્કીને વય સાથે શો સંબંધ છે?


સંદેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - ૧૭ એપ્રિલ ૨૦૧૩ 

કોલમટેક ઓફ 

ખુશવંતસિંહનું રોજ સાંજે એક પેગ શરાબ પીવાનું ફેન્સી સૂચન ગુજરાતની જનતા માટે જરા જોખમી છે! મુંબઈના ગુજરાતીઓની વાત અલગ છે.


'કાચબાની જેમ સો-સવા સો વર્ષ ખદબદવા કરતાં રેસના ઘોડાની જેમ દસ-પંદર વર્ષ દોડી લેવું સારું. ફાસ્ટ લાઇફ! કાચબો ન તો ખુલ્લી જમીન પર આવે છે કે ન તો ઊંડા પાણીમાં ઊતરે છે. બે-ચાર ફૂટ પાણીમાં અથવા બહાર સૂકા કાદવમાં ખદબદ્યા કરવાનો અને જરાક કંઈક થાય એટલે એની ઢાલમાં ઘૂસી જવાનો. કાચબાની જેમ જીવો તો જરૂર ઘણું લાંબું જીવતા રહેવાય.'
ચંદ્રકાંત બક્ષીની વિખ્યાત નવલકથા 'પેરાલિસિસ'માં યુવાન થઈ રહેલી દીકરી પ્રોફેસર પિતાને આ શબ્દો કહે છે. માની કૂખમાંથી અવતરતાંની સાથે જ માણસનું જીવન ટેક ઓફ કરે છે. કેટલાં વર્ષ જીવવું તે માણસના હાથમાં હોતું નથી, પણ કેવી રીતે જીવવું - હણહણતા ઘોડાની જેમ કે ખદબદતા કાચબાની જેમ - તેના પર જરૂર આપણો અંકુશ હોઈ શકે છે. ધારો કે હણહણતા ઘોડાની જેમ સો વર્ષ જીવવું હોય તો? આનો જવાબ ભારતીય પત્રકારત્વના 'ડર્ટી ઓલ્ડ મેન' ખુશવંતસિંહ પાસે છે. ફેબ્રુઆરીમાં તેમણે ૯૮ વર્ષ પૂરાં કર્યાં. પોતાના બર્થડેની આસપાસ તેમણે એક પુસ્તક બહાર પાડયું - 'ખુશવંતનામાઃ ધ લેસન્સ ઓફ માય લાઇફ'. આ પુસ્તકમાં તેમણે લાંબું જીવન જીવવા માટેની બાર ટિપ્સ આપી છે. શું છે તે? સાંભળોઃ
૧. સ્પોર્ટ્સમાં રસ લો. ટેનિસ, સ્ક્વોશ, બેડમિન્ટન કે એવું કંઈ પણ રમો. એવું થઈ શકતું ન હોય તો નિયમિતપણે કસરત કરો . એકાદ કલાક ઝડપથી ચાલો, સ્વિમિંગ કરો. દોડી શકતા હો તો ઉત્તમ.
૨. માનો કે તમારાથી આમાંનું કશં થઈ શકતું ન હોય તો દિવસમાં કમ સે કમ એક વાર આખા શરીરે હાઈક્લાસ મસાજ કરાવો. મસાજથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે. યાદ રહે, અહીં નિર્દોષ હેલ્થ મસાજની વાત છે. પેલાં ભમરાળાં મસાજ પાર્લરોના મસાજ સાથે આનો કોઈ સંબંધ નથી.
૩. ખાણીપીણી પર કાપ મૂકો. પીણી એટલે શરાબ. જમવાનો સમય સહેજ પણ આઘોપાછો ન કરો. ખુશવંતસિંહ દિવસની શરૂઆત એક ગ્લાસ ફ્રૂટ જ્યૂસથી કરે છે. સવારે સાડા છ વાગ્યે બ્રેકફાસ્ટ પતાવી લે. બ્રેકફાસ્ટ એટલે સાત્ત્વિક બ્રેકફાસ્ટ. રોજેરોજ સવારના પહોરમાં ગાંઠિયા, જલેબી, તીખાં મરચાં પર તૂટી નહીં પડવાનું. કાઠિયાવાડીઓ બપોરે ત્રણ કલાક ઊંઘીને 'હાલો હવે નવો દિવસ ઊગ્યો' કરતાં નવેસરથી બ્રેકફાસ્ટ કરવા બેસે તે પણ ન ચાલે.
૪. રાતના ભોજન પહેલાં સિંગલ મોલ્ટ વ્હિસ્કીનો એક પેગ (એક જ હં, વધારે નહીં) લગાવવો. તેનાથી ભૂખ સારી ઊઘડે છે. આવું ખુશવંતસિંહ કહે છે, અમે નહીં.
Khushwant Singh

૫. રાત્રે ડિનર લેતાં પહેલાં તમારી જાતને કહો, દાબી-દાબીને ન ખાતો (કે ખાતી). આપણે પરિવારના સભ્યો સાથે જમવા બેસવાનું પસંદ કરતા હોઈએ છીએ, પણ ખુશવંતસિંહ નવી વાત કરે છે. તેઓ કહે છે કે એકલા જમવા બેસવું. આની પાછળનું લોજિક એ છે કે સાથે જમવામાં અલકમલકની વાતો કરતાં કરતાં આપણે એકાદ ગરમાગરમ ભાખરી વધારે ખાઈ લઈએ એવું બને.
૬. એક જ પ્રકારનું શાક ખાવું. એનો મતલબ એવો નહીં કે રોજ તેલમાં લથડપથડતું આખાં બટાકા-રીંગણાંનું મસાલેદાર ભરેલું શાક ઝાપટવું. ખુશવતસિંહનો કહેવાનો મતલબ છે કે સ્વાદના ચટાકા ન રાખવા. જમ્યા પછી ચપટી એક પાચક ચૂર્ણ ફાકી લેવું. ડિનરમાં ઈડલી-ઢોંસાનો વિકલ્પ સારો છે, કારણ કે તે આસાનીથી પચી જાય છે.
૭. ભૂલેચૂકેય કબજિયાત ન થાય એની ખાસ કાળજી રાખો. તમારાં આંતરડાં કોઈ પણ હિસાબે ચોખ્ખાં રાખો. એ માટે એનિમા લેવો પડે એમ હોય તો શરમાયા વગર એનિમા લો.
૮. ફક્ત શરીર નહીં, માનસિક શાંતિ માટે તમારું બેન્ક બેલેન્સ પણ તંદુરસ્ત હોવું જોઈએ. ભવિષ્યની જરૂરિયાતો માટે તથા સંભવિત માંદગી દરમિયાન સરખા ઇલાજ માટેની વ્યવસ્થા હોય તે પૂરતું છે.
 ૯થી ૧૨. મગજ પર કાબૂ રાખવો. વાત વાતમાં કમાન છટકે તે ન ચાલે. હસતા રહો. જૂઠું બોલીને દિલ પર બોજ ન વધારો. ઉદાર બનો. ધરમધ્યાન અને પૂજાપાઠમાં સમય વેડફવાને બદલે નવો શોખ વિકસાવો. બાગકામ, સંગીત, બાળકોને કે જરૂરતમંદોને મદદ કરવી, કંઈ પણ. ટૂંકમાં, કાયમ બિઝી બિઝી રહો.તમારા હાથ અને દિમાગ બંને ચાલતા રહેવા જોઈએ.
લાલકૃષ્ણ અડવાણી આ પુસ્તક વાંચ્યા પછી અપોઇન્ટમેન્ટ લઈને ખુશવંતસિંહને મળવા ગયા હતા. તેમણે હસીને કહેલુંં, 'સરદારજી, તમે લાંબં જીવવા વિશે જે લખ્યું છે એમાંની અગિયાર ટિપ્સ તો જાણે બરાબર છે, પણ રોજ સાંજે વ્હિસ્કીનો ગ્લાસ ગટગટાવી જવાની ટિપ મને ફાવે એવી નથી!' વ્હિસ્કીવાળું ફેન્સી સૂચન ગુજરાતની જનતા માટે જરા જોખમી છે! મુંબઈના ગુજરાતીઓની વાત અલગ છે. પ્રખર મદિરાવિરોધીઓ દાંત કચકચાવીને, મુઠ્ઠી ઉગામીને કહેશે, કોણ કહે છે કે લાંબું જીવવા માટે માફકસરનો દારૂ પીવો જોઈએ? દારૂને અડયા વગર દીર્ઘાયુ પામેલા મહાનુભાવો વિશે કેમ સરદારજી કંઈ બોલતા નથી?
Morarji Desai
વાતમાં તથ્ય છે. જેમ કે, મોરારજી દેસાઈ આજીવન શરાબના ઉગ્ર વિરોધી રહ્યા અને તેઓ ૧૦૦ વર્ષ જીવ્યા. ખાસ્સા મોટા થયા ત્યાં સુધી પલાંઠી વાળીને બેઠા હોય ત્યારે હાથ ટેકવ્યા વિના કે બીજી કોઈ પણ ચીજનો ટેકો લીધા વિના સટ્ટાક કરતા ઊભા થઈ શકતા. (શોખીનો કહેશે કે લાંબું જીવવા મોરારજીભાઈની જેમ સ્વમૂત્રસેવન કરવા કરતાં શરાબનું માફકસરનું સેવન કરવું શું ખોટું?)પ્રખર લોકસેવક રવિશંકર મહારાજ પૂરી એક સદી જીવ્યા હતા. તેમણે દારૂના દૂષણના વિરોધમાં ઘણું કામ કર્યું હતું. કમાલનું હતું એમનું એનર્જી લેવલ! ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન આંદોલનમાં જોડાઈને તેઓ પગપાળા ગામેગામ ફર્યા હતા અને દુકાળગ્રસ્તો માટે ફાળો ઉઘરાવવા નીકળ્યા ત્યારે ૮૯ વર્ષના હતા. કે.કા. શાસ્ત્રી આયુષ્યનું શતક પૂરું કરવા નજીક પહોંચી ગયા હતા ત્યાં છેક સુધી અમદાવાદની વિશ્વ હિંદુ પરિષદની ઓફિસમાં રોજ બે કલાક હાજરી આપવા આવતા. ૧૦૧ વર્ષ જીવેલા શાસ્ત્રીજીનું લાંબા આયુષ્ય માટેનું સૂત્ર હતું, 'કમ ખા, ગમ ખા'
Ravishankar Maharaj
ખુશવંતસિંહની માફક પ્રતિષ્ઠિત બંગાળી લેખક નીરદ ચૌધરી પણ ૧૦૨ વર્ષ સુધી ભરપૂર જીવ્યા. અંતિમ પુસ્તક બહાર પડયું ત્યારે તેઓ ૯૯ વર્ષના હતા. ૮૭ વર્ષની ઉંમરે રેડ વાઇનનો ગ્લાસ હાથમાં રાખીને ઘરમાં ઘૂમતાં ઘૂમતાં પ્રણય રોયને 'ધ વર્લ્ડ ધિસ વીક' નામના ટીવી શો માટે ઇન્ટરવ્યૂ આપતી વખતે તેમણે કહ્યું હતું, "જે વસ્તુ હું નહીં કરી શકું એની મને ખબર હોય એનાથી હું કાયમ દૂર રહું છું."
વેલ, વધારે જીવવા માટે શરાબ કરતાં અનેક ગણું મહત્ત્વનું સિક્રેટ તો આ છે, અનુકૂળ ન હોય એવાં કામ, વ્યક્તિઓ અને પરિસ્થિતિઓથી દૂર રહેવું. ચિયર્સ!  
                                                               0 0 0 
Link to e-edition of Sandesh: 

Saturday, June 18, 2011

હિટલરને હિટલર કોણે બનાવ્યો?

ચિત્રલેખા 
અંક તા. ૨૭ જૂન ૨૦૧૧માં પ્રકાશિત






કોલમઃ વાંચવા જેવું


                                                                                                           


મોરારજી દેસાઈ બૃહદ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વલ્લભવિદ્યાનગરની એન્જિનીયરિંગ કોલેજના એક ફંકશનમાં મુખ્ય મહેમાન બન્યા. પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યા પછી પ્રશ્નોત્તરી શરૂ થઈ. મોરારજી દેસાઈએ વિદ્યાર્થીઓને કહ્યું કે તમે ડર્યા વિના કોઈ પણ સવાલ મને પૂછી શકો છો. એક સ્ટુડન્ટે ઊભા થઈને છાપાંમાં છપાતાં અહેવાલોના આધારે સવાલ કર્યોઃ તમારા બાંધકામ ખાતાના પ્રધાન ભ્રષ્ટાચાર આદરી પૈસા બનાવી રહ્યા છે તેનાથી આપ માહિતીગાર છો? આ અણિયાળો સવાલ સાંભળીને મોરારજીભાઈ રાતાપીળા થઈ ગયા. ઉપસ્થિત શિક્ષકોએ વિદ્યાર્થીનો બચાવ કર્યો તો મોરારજીભાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેઓ ટેવવશ ગરજ્યાઃ ‘બેજવાબદાર વિદ્યાર્થી અને આ અશિષ્ટ પ્રોફેસરોને અહીંથી બહાર કાઢો. શું વિદ્યાર્થીઓને અહીં આવા સંસ્કાર અપાય છે?’

કોલેજના પ્રિન્સિપાલ એસ.વી. જનરકર ઊભા થયા અને મક્કમ અવાજે બોલ્યાઃ ‘આદરણીય મુખ્યમંત્રી, વિદ્યાર્થી કે કોઈએ અશિષ્ટ વર્તન કર્યું નથી. આપની આજ્ઞા પછી જ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો છે, આપ એથી ઉશ્કેરાયા છો. હું આ વિદ્યાલયનો માસ્તર છ .મારા વિદ્યાર્થીઓનું માન જળવાય એ મારી ફરજ છે. હું આપને વધારે બોલવા દેવાની નમ્રતાપૂર્વક મનાઈ કરું છ . સભા હવે બરખાસ્ત થાય છે.’ અને આચાર્ય અતિથિને બહાર દોરી ગયા.


Vinod Bhatt
 આ અફલાતૂન કિસ્સો પ્રતિષ્ઠિત હાસ્યકાર વિનોદ ભટ્ટનાં પુસ્તક ‘સોટી વાગે ચમચમ’માં નોંધાયો છે. અગાઉના જમાનાથી  લઈને આજની સ્કૂલો તેમજ વિદ્યાર્થીજીવનનું લેખકે આબાદ વિહંગાવલોકન કર્યું છે અને પછી તેને પોતાની નર્મમર્મથી ભરપૂર રસાળ શૈલીમાં રજૂ કર્યું છે.  (લટકામાં ઉમેરી દઈએ કે લેખકનું ‘વિનોદકથા’ નામનું પુસ્તક પણ આ સાથે જ પ્રગટ થયું છે, જે હાસ્યવ્યંગથી ભરપૂર ટચૂકડી કથાઓનું સુંદર સંકલન છે.)

લેખની શરૂઆતનો કિસ્સો વાંચીને એવું સહેજે ધારી ન લેવું કે અગાઉની સ્કૂલકોલેજોમાં બધું સુષ્ઠુ સુષ્ઠુ જ હતું તેમ લેખક કહેવા માગે છે. તેઓ તો લખે છે કે, ‘આમ તો અંગ્રેજી શબ્દ ‘ટુ ટીચ’નો અર્થ ભણાવવું એવો થાય છે, પણ આ ‘ટીચ’ શબ્દનો અર્થ ટીચી નાખવું પણ થતો હોવો જોઈએ, કેમ કે અગાઉના વખતમાં સ્કૂલો પોલીસસ્ટેશન જેવી હતી, અડફેટે ચડતા છોકરાને ટીચી નખાતો.’

હિટલરને એક ખલનાયક બનાવનાર તેનો શિક્ષક હતો એવું ખુદ હિટલરે પોતાની આત્મકથામાં નોંધ્યું છે. આપણે ત્યાં જૂના જમાનામાં શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર ફટકારતા નહોતા, સાથે અવનવી અને મૌલિક ગાળો પણ બોલતા. લેખકનો તર્ક છે કે કદાચ આ પ્રકારની અમૃતવાણી સાંભળીને જ ગાંધીજીથી માંડીને એમના ખુદના કાન મોટા થઈ ગયેલા! એમાંય જો છોકરું સુરતની શાળામાં ભણતું હોય અને માસ્તર તેને પચીસત્રીસ સારી ગાળ પણ ન શીખવી શકે તો એ કેળવણી અધૂરી ગણાય.



મહેતો મારે પણ નહીં અને ભણાવે પણ નહીં એવી એક કહેવત છે. લેખક લખે છે, ‘આજે મહેતો મારે છે ખરો, પણ ભણાવતો નથી.  ભણવાની જો ગરજ હોય તો અમારું ટ્યુશન રાખવું પડશે. બાકી સ્કૂલમાં તો એકડો ઘૂંટતા શીખવું હશે તો એની ફી અલગ થશે. સ્કૂલની ફી તો છોકરાને સાચવવા માટેની છે, ભણાવવાની નહીં... ઘણા શિક્ષકો શાળાની નોકરી પર પત્ની જેવો અૌપચારિક અને ટયૂશન પર પ્રિયતમા જેવો દિલી પ્રેમ રાખતા હોય છે. વિજ્ઞાન પ્રવાહનો શિક્ષક ટયૂશનમાંથી લાખો રૂપિયા ઘરભેગા કરી લે છે. હવે માસ્તર બિચારો બાપડો નથી.’


સમયની સાથે માસ્તરોનું સ્તર ભયજનક નીચે નીચે આવી ગયું છે અને આવી રહ્યું છે તે હકીકત છે. ‘એક પ્રતિષ્ઠિત ગણાતી શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને ભણાવ્યું હતું કે માઈકલ જેક્સન વૈજ્ઞાનિક હતો. કોલમ્બસ એક નહીં, બબ્બે થઈ ગયા. શાળાના સંચાલકો આ બધું જાણવા છતાં આ શિક્ષકનું કશું બગાડી શકતા નથી. અને શિક્ષણખાતું!’ આટલું લખીને લેખક અહીં ધારદાર વાત કરી નાખે છેઃ ‘એ તો છોકરાનાં ભણતર સિવાય કોઈનું કશું બગાડી શકે એમ જ નથી.’

વિનોદ ભટ્ટ ‘ચિત્રલેખા’ને હસતા હસતા કહે છે, ‘પાછળ ફરીને મારા વિદ્યાર્થીકાળ તરફ જોઉં છ  ત્યારે સમજાય છે કે સ્કૂલ સુધરી ગઈ છે, પણ મારામાં કશો ફેરફાર નથી થયો. આજે પણ હું વિદ્યાર્થી તરીકે ‘ઢ’ જ છ !’ ખુદને અને આસપાસની પરિસ્થિતિઓને ગંભીરતાથી ન લઈને તેના પર રમૂજનો ઢોળ ચડાવતા રહેવો તે વિનોદ ભટ્ટની લાક્ષાણિકતા છે. હકીકત એ છે કે આ પુસ્તકમાં માત્ર હાસ્ય કે ઠઠ્ઠા નથી, બલકે શિક્ષણતંત્રના એકધારા થતા જતાં અવમૂલ્યન બાબતે આક્રોશમિશ્રિત પીડાનો ઝીણો અન્ડરકરંટ પણ છે. આ પ્રકારનું સંયોજન એક સિદ્ધહસ્ત લેખકથી જ શક્ય બને.   

વેકેશન પૂરું થઈ ગયું છે અને સ્કૂલકોલેજોનાં નવાં સત્ર શરૂ થઈ રહ્યાં છે એવી મોસમમાં ‘સોટી વાગે ચમચમ’ પુસ્તક વાંચવાની ચોક્કસ મોજ પડશે.

 સોટી વાગે ચમચમ

લેખકઃ વિનોદ ભટ્ટ

પ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અમદાવાદ-૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩
કિંમતઃ  રૂ. ૧૦૦ /
પૃષ્ઠઃ ૧૭૪



-----------------------------------બોક્સ આઈટમ----------------------------------------

નામ તેવાં ગુણ

હાલ તમે જે વાંચી રહ્યા છો તે ‘વાંચવા જેવું’ કોલમ વિનોદ ભટ્ટે છ વર્ષ પહેલાં શરૂ કરી હતી અને જબરદસ્ત જમાવી હતી. આ કોલમમાં પ્રકાશિત થયેલા ૭૨ લેખો હવે પુસ્તક સ્વરૂપે સંગ્રહ પામ્યા છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રકાશિત કરેલાં આ પુસ્તકનું નામ છે, ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’. ૨૨૨ પાનાંનું અને દોઢસો રૂપિયાનું મૂલ્ય ધરાવતાં આ પુસ્તકમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલાં ઉત્તમ પ્રકાશનોની રસાળ સમીક્ષાઓ ગાગરમાં સાગરની જેમ સમાઈ ગઈ છે. વસાવવા લાયક પુસ્તકોની વાત કરતું આ પુસ્તક પોતાનાં શીર્ષકને સાર્થક કરે છે.   


000000000000000000000